1પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં.2પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા1 પાણી પર ફરતો હતો.3ઈશ્વરે કહ્યું, "ત્યાં અજવાળું થાઓ" અને અજવાળું થયું.4ઈશ્વરે અજવાળું જોયું કે તે સારું છે. તેમણે અજવાળું તથા અંધારું અલગ કર્યાં.5ઈશ્વરે અજવાળાંને "દિવસ" અને અંધારાને "રાત" કહ્યું. આમ સાંજ થઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ2 .6ઈશ્વરે કહ્યું, "પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ અને પાણીને પાણીથી અલગ કરો."7ઈશ્વરે અંતરિક્ષ બનાવ્યું અને અંતરિક્ષની નીચેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી અલગ કર્યાં. એ પ્રમાણે થયું.8ઈશ્વરે અંતરિક્ષને "આકાશ" કહ્યું. સાંજ થઈ તથા સવાર થઈ, બીજો દિવસ.9ઈશ્વરે કહ્યું, "આકાશ નીચેનાં પાણી એક જગ્યામાં એકત્ર થાઓ અને કોરી ભૂમિ દેખાઓ." એ પ્રમાણે થયું.10ઈશ્વરે કોરી જગ્યાને "ભૂમિ" કહી અને એકત્ર થયેલા પાણીને "સમુદ્રો" કહ્યા. તેમણે જોયું કે તે સારું છે.11ઈશ્વરે કહ્યું, "પૃથ્વી પર બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે." એ પ્રમાણે થયું.12ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક, પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ, જેનાં બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.13સાંજ થઈ તથા સવાર થઈ, ત્રીજો દિવસ.14ઈશ્વરે કહ્યું, "રાત અને દિવસ જુદાં પાડવા સારુ આકાશમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસો તથા વર્ષોને અર્થે થાઓ.15પૃથ્વી પર અજવાળું આપવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ." એ પ્રમાણે થયું.16ઈશ્વરે જ્યોતિ આપવા માટે બે મોટી પ્રકાશ બનાવી. દિવસ પર અમલ ચલાવનારી એક મોટી પ્રકાશ અને રાત પર અમલ ચલાવનારી તેનાથી નાની એક પ્રકાશ બનાવી. તેમણે તારાઓ પણ બનાવ્યા.17ઈશ્વરે પૃથ્વી પર અજવાળું આપવાને,18દિવસ અને રાત પર અમલ ચલાવવાને, અને અંધારામાંથી અજવાળાંને જુદાં કરવાને આકાશમાં તેઓને સ્થિર કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.19સાંજ થઈ તથા સવાર થઈ, ચોથો દિવસ.20ઈશ્વરે કહ્યું, "પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો અને આકાશમાં પક્ષીઓ ઉડો."21ઈશ્વરે સમુદ્રમાંના મોટા જીવો બનાવ્યા, દરેક પ્રકારનાં જીવજંતુઓ, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં પક્ષીને ઉત્પન્ન કર્યાં. ઈશ્વરે જોયું કે તે સારું છે.22ઈશ્વરે તેઓને આશીર્વાદ આપતા કહ્યું, "સફળ થાઓ, વધો અને સમુદ્રોમાંના પાણીને ભરપૂર કરો. પૃથ્વી પર પક્ષીઓ વધો."23સાંજ થઈ તથા સવાર થઈ, પાંચમો દિવસ.24ઈશ્વરે કહ્યું કે, "પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામ્યપશુઓ, પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવો." એ પ્રમાણે થયું.25ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, ગ્રામ્યપશુઓ, અને પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને બનાવ્યાં. તેમણે જોયું કે તે સારું છે.26ઈશ્વરે કહ્યું કે, "આપણે આપણા સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશના પક્ષીઓ પર, પશુઓ પર, આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પર શાસન કરે."27ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. તેમણે ઈશ્વરના સ્વરૂપમાં તેને ઉત્પન્ન કર્યું. તેમણે પુરુષ અને સ્ત્રીને ઉત્પન્ન કર્યાં.28ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, "સફળ થાઓ અને વધતાં જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશના પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો."29ઈશ્વરે કહ્યું કે, "જુઓ, દરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે અને દરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યાં છે. તેઓ તમારા ખોરાકને સારુ થશે.30પૃથ્વીનું દરેક પશુ, આકાશમાંનું દરેક પક્ષી, પૃથ્વી પર પેટે ચાલનારું દરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે, તેઓના ખોરાકને સારુ મેં સર્વ લીલોતરી આપી છે." એ પ્રમાણે થયું.31ઈશ્વરે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેમણે જોયું. તે સર્વોત્તમ હતું. સાંજ થઈ તથા સવાર થઈ, છઠ્ઠો દિવસ.
1આમ આકાશ, પૃથ્વી તથા તેમાનાં સર્વ સેનાઓનું1 સર્જન પૂર્ણ થયું.2ઈશ્વરે પોતાનું જે કામ હતું તે પૂર્ણ કર્યું અને પોતાનાં કરેલાં સર્વ કામોથી પરવારીને સાતમા દિવસે આરામ કર્યો.3ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર ઠરાવ્યો, કેમ કે તેમણે જે સર્વ ઉત્પન્ન કર્યું તે સઘળાં કામ પછી તે દિવસે તેમણે આરામ લીધો હતો.
1હવે યહોવાહ ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, "શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, 'વાડીના કોઈપણ વૃક્ષનું ફળ તમારે ન ખાવું?'"2સ્ત્રીએ સાપને કહ્યું કે, "વાડીના વૃક્ષોનાં ફળ અમે ખાઈ શકીએ છીએ,3પણ ઈશ્વરે કહેલું છે કે, "જે વૃક્ષ વાડીની મધ્યમાં છે તેનું ફળ 'તમારે ખાવું નહિ કે અડકવું નહિ. જો ખાશો તો તમે મૃત્યુ પામશો.'"4સાપે સ્ત્રીને કહ્યું કે, "તમે મૃત્યુ નહિ પામો.5કેમ કે ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તેને ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે ઈશ્વરો સમાન સારું શું અને નરસું શું છે તે સમજનારાં થશો."6તે વૃક્ષનું ફળ ખાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને સ્ત્રીએ તે ફળ તોડીને ખાધું અને તેની સાથે તેનો પતિ હતો તેને પણ આપ્યું. તેણે પણ ફળ ખાધું.7ત્યારે તેઓ બન્નેની આંખો ઉઘડી ગઈ અને તેઓ સમજ્યા કે અમે વસ્ત્રહીન છીએ. તેથી તેઓએ અંજીરનાં પાંદડાં જોડીને પોતાને માટે આવરણ બનાવ્યાં.8દિવસના ઠંડા પહોરે વાડીમાં પ્રભુ ઈશ્વરનો ચાલવાનો અવાજ તેઓના સાંભળવામાં આવ્યો, તેથી તે માણસ તથા તેની પત્ની પોતાને પ્રભુ ઈશ્વરના સાનિધ્યથી દૂર રાખવા માટે વાડીના વૃક્ષોની વચમાં સંતાયાં.9યહોવાહ ઈશ્વરે આદમને હાંક મારી કે, "તું ક્યાં છે?"10આદમે કહ્યું કે, "મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો અને હું ગભરાયો. કેમ કે હું વસ્ત્રહીન છું. તેથી હું સંતાઈ ગયો."11ઈશ્વરે કહ્યું, "તને કોણે કહ્યું કે, તું નિવસ્ત્ર છે? જે ફળ ન ખાવાની મેં તને આજ્ઞા આપી હતી, તે ફળ તેં ખાધું છે શું?"12તે માણસે કહ્યું કે, "મારી સહાયકારી તરીકે જે સ્ત્રી તમે મને આપી હતી તેણે મને ફળ આપ્યું અને મેં ખાધું."13યહોવાહ ઈશ્વરે તે સ્ત્રીને કહ્યું, "આ તેં શું કર્યું?" સ્ત્રીએ કહ્યું કે, "સાપે મને છેતરી. તેથી મેં ફળ ખાધું."
1આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ અને તેણે પુત્ર કાઈનને જન્મ આપ્યો. તેણે કહ્યું, "ઈશ્વરની કૃપાથી મને દીકરો જન્મ્યો છે."2પછી તેણે બીજા પુત્ર હાબેલને જન્મ આપ્યો. બન્ને ભાઈઓમાંનો હાબેલ ઘેટાંપાળક હતો અને કાઈન ખેડૂત હતો.3આગળ જતા એમ થયું કે કાઈન ઈશ્વરને માટે ભૂમિનાં ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો.4હાબેલ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પ્રથમ જન્મેલાં તથા ઉત્તમ અર્પણો લાવ્યો. ઈશ્વરે હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યાં,5પણ કાઈનને તથા તેના અર્પણને અમાન્ય કર્યાં. તેથી કાઈન ઘણો ગુસ્સે થયો અને તેનું મોં ઊતરી ગયું.6યહોવાહે કાઈનને કહ્યું કે, "તને શા માટે ગુસ્સો આવ્યો છે અને તારું મોં ઊતરી ગયું છે?7જે સારું છે તે તું કરે, તો શું તું માન્ય નહિ થશે? પણ જે સારું છે તે તું નહિ કરે, તો પાપ તારે દ્વારે રહે છે અને તે તેની તરફ તારું આકર્ષણ કરશે, પણ તું તેના પર જીત મેળવી શકીશ."8કાઈને પોતાના ભાઈ હાબેલ સાથે વાત કર્યો જયારે તેઓ ખેતરમાં હતા1 , ત્યારે ત્યાં કાઈને પોતાના ભાઈ હાબેલ વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખ્યો.9પછી ઈશ્વરે કાઈનને કહ્યું, "તારો ભાઈ હાબેલ ક્યાં છે?" તેણે કહ્યું, "હું જાણતો નથી? શું હું મારા ભાઈનો રખેવાળ છું?"10ઈશ્વરે કહ્યું, "આ તેં શું કર્યું છે? તારા ભાઈનું લોહી ભૂમિમાંથી બદલો લેવા માટે મને હાંક મારે છે.11હવે તારા ભાઈનું લોહી તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મુખ ઉઘાડ્યું છે, તેથી તું શાપિત થયો છે.12તું ગમે તેટલી મહેનતથી ભૂમિને ખેડશે, પણ તે પોતાનાં બળ તને આપશે નહિ. તું પૃથ્વી પર નિરાશ્રિતની માફક અહીંતહીં ભટકતો રહેશે."13કાઈને ઈશ્વરને કહ્યું કે, "હું સહન કરું તે કરતાં તમે મને વધારે સજા કરી છે.14તમે મને આજે અહીંથી હાંકી કાઢ્યો છે અને હવે તમારી આગળથી મારે સંતાવાનું, પૃથ્વી પર ભટકવાનું તથા નાસતા ફરવાનું થશે. હવે જે કોઈ મને જોશે તે મને મારી નાખશે."15ઈશ્વરે તેને કહ્યું કે, "જે કોઈ તને મારી નાખશે, તેને સાત ગણી સજા થશે." પછી ઈશ્વરે કાઈનને ઓળખવા સારુ તેના શરીર પર ચિહ્ન મૂક્યું કે જે કોઈ તેને જુએ, તે તેને મારી નાખે નહિ.16કાઈન ઈશ્વરની સમક્ષતામાંથી ચાલ્યો ગયો. અને જઈને એદનની પૂર્વના નોદ2 દેશમાં રહ્યો.
1આદમની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસનું સર્જન કર્યું.2પુરુષ તથા સ્ત્રીને તેમણે સર્જ્યા, તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓની ઉત્પત્તિના દિવસે તેઓનું નામ માનવજાત પાડવામાં આવ્યું.3જયારે આદમ એકસો ત્રીસ વર્ષનો થયો, ત્યારે તેને તેની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે તેની પત્નીએ દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેથ પાડ્યું.4શેથના જન્મ પછી આદમ આઠસો વર્ષ જીવ્યો અને તે ઘણાં દીકરા અને દીકરીઓનો પિતા થયો.5આદમ નવસો ત્રીસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.6જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો.7અનોશનો જન્મ થયા પછી, શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.8શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો.9જયારે તેના પુત્ર કેનાનનો જન્મ થયો ત્યારે અનોશ નેવું વર્ષનો હતો.10કેનાનના જન્મ પછી અનોશ આઠસો પંદર વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.11અનોશ નવસો પાંચ વર્ષની ઉંમરે મરણ પામ્યો.12જયારે તેના પુત્ર માહલાલેલ1 નો જન્મ થયો ત્યારે કેનાન સિત્તેર વર્ષનો હતો.13માહલાલેલનો જન્મ થયા પછી કેનાન આઠસો ચાળીસ વર્ષ સુધી જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.14કેનાન નવસો દસ વર્ષની ઉંમરે મરણ પામ્યો.15જ્યારે તેના પુત્ર યારેદનો જન્મ થયો ત્યારે માહલાલેલ પાંસઠ વર્ષનો હતો.16યારેદનો જન્મ થયા પછી માહલાલેલ આઠસો ત્રીસ વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.17માહલાલેલ આઠસો પંચાણું વર્ષની ઉંમરે મરણ પામ્યો.18જયારે તેના પુત્ર હનોખનો જન્મ થયો ત્યારે યારેદ એકસો બાસઠ વર્ષનો હતો.19હનોખનો જન્મ થયા પછી યારેદ આઠસો વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.20યારેદ નવસો બાસઠ વર્ષની ઉંમરે મરણ પામ્યો.21તેના પુત્ર મથૂશેલાહનો જન્મ થયો ત્યારે હનોખ પાંસઠ વર્ષનો હતો.22મથૂશેલાહનો જન્મ થયાં પછી હનોખ ત્રણસો વર્ષ ઈશ્વરની સંઘાતે ચાલ્યો અને તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.23હનોખનું પૃથ્વી પરનું આયુષ્ય ત્રણસો પાંસઠ વર્ષનું હતું.24હનોખ ઈશ્વરની સંઘાતે ચાલતો હતો. પછી તે અદ્રશ્ય થઈ ગયો, કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો હતો.25જયારે તેના પુત્ર લામેખનો જન્મ થયો ત્યારે મથૂશેલાહ એકસો સિત્યાસી વર્ષનો હતો.26લામેખનો જન્મ થયા પછી મથૂશેલાહ સાતસો બ્યાસી વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.27મથૂશેલાહ નવસો અગણોસિત્તેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.28જયારે લામેખ એકસો બ્યાસી વર્ષનો થયો ત્યારે તે એક દીકરાનો પિતા થયો.29તેણે તેનું નામ નૂહ રાખ્યું અને કહ્યું કે, "આ ઈશ્વરે શાપિત કરેલી ભૂમિ પર અમારા સખત કામ અને અમારા હાથોના સખત પરિશ્રમથી અમને વિસામો આપશે."30નૂહનો જન્મ થયા પછી લામેખ પાંચસો પંચાણું વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.31લામેખ સાતસો સિત્તોતેર વર્ષની ઉંમરે મરણ પામ્યો.32નૂહ પાંચસો વર્ષનો થયો પછી તે શેમ, હામ તથા યાફેથનો પિતા થયો.
1પૃથ્વી પર માણસો વધવા લાગ્યાં. તેમાં દીકરીઓના પણ જન્મ થયા, ત્યારે એમ થયું કે,2ઈશ્વરના દીકરાઓ1 એ જોયું કે માણસોની દીકરીઓ મનમોહક છે. તેઓમાંથી તેઓએ પોતાને માટે તેમને પત્નીઓ તરીકે પસંદ કરી.3ઈશ્વરે કહ્યું કે, "મારો આત્મા2 માનવજાતમાં સદા રહેશે નહિ, કેમ કે તેઓ શરીર છે. તેઓનું આયુષ્ય એકસો વીસ વર્ષનું રહેશે."4ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓ સાથે લગ્ન કર્યાં અને તેઓથી તેમને બાળકો થયાં. તેઓમાં પૃથ્વી પર પુરાતનકાળના સશક્ત અને નામાંકિત મહાકાય પુરુષો હતા.5ઈશ્વરે જોયું કે, પૃથ્વી પર માનવજાતના દુરાચાર ઘણાં વધી ગયા છે અને તેઓના હૃદયના વિચારોની દરેક કલ્પના દુષ્ટ જ છે.6તેથી ઈશ્વરને પૃથ્વી પર માણસને ઉત્પન્ન કરવા બદલ દુઃખ થયું અને તે નિરાશ થયા.7ઈશ્વરે કહ્યું કે, "જે માનવજાતને મેં ઉત્પન્ન કરી છે, તેનો હવે હું પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ; તે સાથે પશુઓને, પેટે ચાલનારાં અને આકાશના પક્ષીઓને પણ નષ્ટ કરીશ. કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાથી હું હૃદયભંગ થયો છું."8પણ નૂહના આચરણથી ઈશ્વર સંતુષ્ટ હતા.
1ઈશ્વરે નૂહને કહ્યું, "તું, તારા કુટુંબ સાથે, વહાણમાં આવ, કેમ કે આ પેઢીમાં મારી સમક્ષ તું એકલો જ ન્યાયી માલૂમ પડ્યો છે.2દરેક શુદ્ધ પશુઓમાંથી સાત નર અને સાત નારીને લાવ અને અશુદ્ધ પશુઓમાંથી બે નર અને બે નારીને વહાણમાં લે.3તેની સાથે આકાશના પક્ષીઓમાંનાં સાત નર અને સાત નારીને પણ તારી સાથે લે, કે જેથી જળપ્રલય પછી તેઓની પ્રજોત્પત્તિ વધતી રહે.4સાત દિવસ પછી હું પૃથ્વી પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત સુધી વરસાદ વરસાવીશ. મેં ઉત્પન્ન કર્યાં છે એ સર્વ સજીવોનો હું પૃથ્વી પરથી નાશ કરીશ."5ઈશ્વરે જે સર્વ આજ્ઞા નૂહને આપી હતી તે પ્રમાણે તેણે કર્યું.6જળપ્રલયના સમયે નૂહની ઉંમર છસો વર્ષની હતી.7જળપ્રલય થવાનો હોવાને કારણે નૂહ, તેના દીકરા, તેની પત્ની અને તેની પુત્રવધૂઓ એકસાથે વહાણમાં ગયાં.8શુદ્ધ તથા અશુદ્ધ પશુઓ, પક્ષીઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સર્વ સજીવો હતા,9તેઓમાંના દરેક નર તથા નારીની જોડી ઈશ્વરની આજ્ઞા અનુસાર નૂહ પાસે આવ્યાં અને વહાણમાં ગયા.10સાત દિવસ પછી પૃથ્વી પર જળપ્રલય થયો.11નૂહના આયુષ્યનાં છસોમા વર્ષના બીજા મહિનાને સત્તરમે દિવસે જળનિધિના મોટા ઝરા ફૂટી નીકળ્યા અને આકાશમાંથી મુશળધાર વરસાદ વરસ્યો.12ચાળીસ દિવસ તથા ચાળીસ રાત સુધી પૃથ્વી પર સતત વરસાદ વરસ્યો.13તે જ દિવસે નૂહ, તેના દીકરાઓ શેમ, હામ, યાફેથ તથા તેની પત્ની અને પુત્રવધૂઓ સહિત વહાણમાં ગયો.14તેઓની સાથે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વન્ય પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પાલતુ પશુ, પોતપોતાની જાત પ્રમાણે સર્વ પેટે ચાલનારાં અને પોતપોતાની જાત પ્રમાણે દરેક જાતનાં મોટાં તથા નાનાં સર્વ પક્ષીઓ વહાણમાં ગયાં.15સર્વ દેહધારી જાત જેમાં જીવનનો શ્વાસ છે તેમાંથી બબ્બે નૂહ પાસે વહાણમાં ગયાં.16જેઓ વહાણમાં ગયાં તે સર્વ પ્રાણીઓમાં નર તથા નારી હતાં; ઈશ્વરે નૂહને એ માટેની આજ્ઞા આપી હતી. પછી ઈશ્વરે વહાણનું દ્વાર બંધ કર્યું.17પછી પૃથ્વી પર ચાળીસ રાત દિવસો સુધી જળપ્રલય થયો અને પાણી વધવાથી વહાણ પૃથ્વીની સપાટી પરથી ઊંચકાઈને તરતું થયું.18પાણીનો પુરવઠો વધ્યો અને પૃથ્વી પર તે ઘણું ઊંચે ચઢ્યું અને વહાણ પાણી પર તરવા લાગ્યું.19પૃથ્વી પર પાણી એટલું બધું વધ્યું કે પૃથ્વી પરના સર્વ ઊંચા પહાડો પાણીથી ઢંકાઈ ગયા.20પર્વતોનાં સૌથી ઊંચા શિખર કરતાં પણ પાણીની સપાટી પંદર હાથ1 જેટલી ઊંચી વધી ગઈ.21પૃથ્વી પર ફરનારાં સર્વ પશુઓ, પક્ષીઓ, જાનવરો, વન્ય પ્રાણીઓ, જીવજંતુઓ તથા સર્વ માણસો મરણ પામ્યા.22કોરી ભૂમિ પરનાં સર્વ, જેઓનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ હતો, તેઓ સર્વનો નાશ થયો.23આમ પૃથ્વીના સર્વ જીવો, એટલે માણસો, પશુઓ, પેટે ચાલનારાં તથા આકાશના પક્ષીઓ પૃથ્વી પરથી નષ્ટ થયાં. માત્ર નૂહ તથા તેની સાથે જેઓ વહાણમાં હતાં તેઓ જ જીવતાં રહ્યાં.24પૃથ્વી પર એકસો પચાસ દિવસો સુધી પાણી છવાયેલું રહ્યું.
1ઈશ્વરે નૂહના કુટુંબની તથા તેની સાથે જે સર્વ પશુ, પક્ષી તથા સજીવો વહાણમાં હતા તેઓની સંભાળ લીધી. તેમણે પૃથ્વી પર પવન ફૂંકાવ્યો અને પાણીનું પ્રમાણ ઓછું થવા લાગ્યું.2જળનિધિના ઝરા, આકાશના દ્વારો બંધ થયાં અને વરસાદ વરસતો અટકી ગયો.3જળપ્રલય શરૂ થયાના એકસો પચાસ દિવસો પછી પૃથ્વી પરથી ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યું.4સાતમા મહિનાને સત્તરમે દિવસે વહાણ અરારાટ પર્વત પર આવીને થંભ્યું.5પાણી ઓસરતાં ગયાં અને ત્રીજા મહિના પછી અન્ય ઊંચા પહાડોનાં શિખર દેખાયાં.6ચાળીસ દિવસ પછી નૂહે વહાણની બારી ઉઘાડી.7તેણે એક કાગડાને બહાર મોકલ્યો. પૃથ્વી પરનાં પાણી સુકાયાં નહિ ત્યાં સુધી કાગડો આમતેમ ઊડતો ફર્યો.8પછી જમીનની સપાટી પર પાણી ઓસર્યાં છે કે નહિ તે જોવા સારુ નૂહે એક કબૂતરને મોકલ્યું,9પણ આખી પૃથ્વી પર પાણી હોવાને લીધે કબૂતરને પોતાના પગ મૂકવાની જગ્યા મળી નહિ, તેથી તે તેની પાસે વહાણમાં પાછું આવ્યું. નૂહે પોતાનો હાથ લંબાવીને તેને પોતાની પાસે વહાણમાં લઈ લીધું.10બીજા સાત દિવસ રાહ જોયા પછી નૂહે ફરીથી વહાણમાંથી કબૂતરને મોકલ્યું.11કબૂતર ફરીને સાંજે તેની પાસે પાછું આવ્યું. તેની ચાંચમાં જૈતૂનવૃક્ષનું એક પાંદડું હતું. તેથી નૂહને સમજાયું કે પૃથ્વી પરથી પાણી ઓસર્યાં છે.12તેણે બીજા સાત દિવસો સુધી રાહ જોઈ અને ફરીથી કબૂતરને બહાર મોકલ્યું. પણ તે તેની પાસે ફરી પાછું આવ્યું નહિ.13નૂહની ઉંમર છસો એક વર્ષની થઈ ત્યારે તે વર્ષના પ્રથમ દિવસે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયાં. નૂહે વહાણની છત ઉઘાડીને બહાર જોયું, તો ભૂમિની સપાટી કોરી થયેલી હતી.14બીજા મહિનાને સત્તાવીસમે દિવસે પૃથ્વી પરની ભૂમિ કોરી થઈ ગઈ હતી.15પછી ઈશ્વરે નૂહને કહ્યું કે,16"તું, તારી પત્ની, તારા દીકરાઓ તથા તારી પુત્રવધૂઓ વહાણમાંથી બહાર આવો.17વળી દરેક જાતનાં પ્રાણીઓને, એટલે પક્ષીઓ, પશુઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સર્વને તારી સાથે બહાર લાવ, કે જેથી તેઓ પૃથ્વી પર સફળ થાય અને વૃદ્ધિ પામે."18તેથી નૂહ તેની સાથે તેના દીકરા, તેની પત્ની અને તેની પુત્રવધૂઓ સહિત બહાર આવ્યાં.19દરેક સજીવ પ્રાણી, દરેક પેટે ચાલનારાં, દરેક પક્ષી તથા દરેક જે પૃથ્વી પર ચાલે છે તે પોતપોતાની જાત પ્રમાણે સર્વ વહાણમાંથી બહાર આવ્યાં.
1પછી ઈશ્વરે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, "સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો.2પૃથ્વીના દરેક પશુ પર, આકાશના દરેક પક્ષી પર, પૃથ્વી પર પેટે ચાલનારાં દરેક અને સમુદ્રનાં દરેક માછલાં તમારાથી બીશે અને ડરશે. તેઓને તમારા હાથમાં આપવામાં આવેલા છે.3પૃથ્વી પર ચાલનારાં બધા પશુ તમારે સારુ ખોરાક થશે. જે પ્રમાણે મેં તમને લીલાં શાક આપ્યાં છે તે પ્રમાણે હવે હું તમને સઘળું બક્ષુ છું.4પણ તેનું માંસ તમારે જીવ એટલે લોહી સહિત ન ખાવું.5હું નિશ્ચે તમારા લોહીનો બદલો માગીશ. દરેક પશુ પાસેથી હું બદલો લઈશ. કોઈપણ માણસના હાથ પાસેથી, એટલે કે, જે હાથે તેણે પોતાના ભાઈની હત્યા કરી છે, તેના જીવનો બદલો હું માંગીશ.6જે કોઈ માણસનું લોહી વહેવડાવે, તેનું લોહી પણ માણસથી વહેવડાવાશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું છે.7તમે સફળ થાઓ, આખી પૃથ્વી પર વંશવૃદ્ધિ કરો અને વધતા જાઓ."8પછી ઈશ્વરે નૂહ સાથે તથા તેના દીકરાઓ સાથે વાત કરતા કહ્યું,9"હું જે કહું છું તે સાંભળો! હું તારી સાથે તથા તારી પાછળ આવનાર સંતાનો સાથે મારો કરાર સ્થાપન કરીશ.10અને તમારી સાથે પક્ષી, પશુ અને પૃથ્વી પરનાં સર્વ જાનવર તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું.11તમારી સાથે હું મારો કરાર સ્થાપન કરું છું કે, હવે પછી ફરી જળપ્રલયથી સર્વ માનવજાતનો નાશ થશે નહિ. પૃથ્વીનો નાશ કરવાને ફરી કદી જળપ્રલય થશે નહિ.12ઈશ્વરે કહ્યું, "મારી તથા તમારી વચ્ચે તથા તમારી સાથે જે દરેક સજીવ પ્રાણી છે તેની સાથે તથા ભાવિ પેઢીને સારુ કર્યો છે તે કરારનું આ ચિહ્ન છે:13મેં મારું મેઘધનુષ્ય વાદળમાં મૂક્યું છે અને તે મારા તથા પૃથ્વી વચ્ચેના કરારની ચિહ્નરૂપ થશે.14જયારે પૃથ્વી પર હું વરસાદ વરસાવીશ ત્યારે એમ થશે કે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે,15ત્યારે મારી અને તમારી તથા સર્વ સાથે કરેલો કરારનું હું સ્મરણ કરીશ. સર્વ સજીવોનો નાશ કરવાને માટે ફરી કદી જળપ્રલય થશે નહિ.16મેઘધનુષ્ય વાદળમાં દેખાશે અને ઈશ્વર પૃથ્વીનાં સર્વ સજીવ પ્રાણીની વચ્ચે, જે સર્વકાળનો કરાર છે તે યાદ રાખવાને હું ધનુષ્યની સામે જોઈશ."17પછી ઈશ્વરે નૂહને કહ્યું, "મારી તથા પૃથ્વી પરના સર્વ સજીવોની વચ્ચે જે કરાર મેં સ્થાપિત કર્યો છે તેનું આ ચિહ્ન છે."
1નૂહના દીકરા, શેમ, હામ અને યાફેથની વંશાવળી આ પ્રમાણે છે. જળપ્રલય પછી તેઓને જે દીકરાઓ થયા તે આ હતા.
1હવે આખી પૃથ્વીમાં એક જ ભાષા તથા એક જ બોલી વપરાતી હતી.2તેઓ પૂર્વ તરફ ગયા, તેઓએ શિનઆર1 દેશમાં એક સપાટ જગ્યા શોધી ત્યાં તેઓ રહ્યા.3તેઓએ એકબીજાને કહ્યું કે, "ચાલો, આપણે ઈંટો બનાવીએ અને તેને સારી રીતે પકવીએ." પથ્થરની જગ્યાએ તેઓની પાસે ઈંટો અને ચૂનાની જગ્યાએ ડામર હતો.4તેઓએ કહ્યું, "આપણે એક શહેર બનાવીએ જેનો બુરજ આકાશો સુધી પહોંચે. એનાથી આપણે આપણું નામ પ્રતિષ્ઠિત કરીએ અને આપણે પૃથ્વી પર વિખેરાઈ જઈએ નહિ."5તેથી આદમના વંશજો જે નગરનો બુરજ બાંધતા હતા તે જોવાને ઈશ્વર નીચે ઊતર્યા.6ઈશ્વરે કહ્યું, "જુઓ, આ લોકો એક છે અને તેઓ સર્વની ભાષા એક છે, તેઓએ આવું કરવા માંડ્યું છે! તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને કશો અવરોધ નડશે નહિ.7આવો, આપણે ત્યાં નીચે ઉતરીએ અને તેઓની ભાષાને ગૂંચવી નાખીએ, કે જેથી તેઓ એકબીજાની બોલી સમજી શકે નહિ."8તેથી ઈશ્વરે તેઓને ત્યાંથી આખી પૃથ્વીની સપાટી પર વિખેરી નાખ્યા અને તેઓ નગરનો બુરજ બાંધી શક્યા નહિ.9તેથી તે નગરને બાબિલ2 એટલે ગૂંચવણ કહેવામાં આવે છે. કેમ કે ઈશ્વરે પૃથ્વી પરની ભાષામાં ગૂંચવણ કરી અને ઈશ્વરે તેઓને ત્યાંથી પૃથ્વી પર ચોતરફ વિખેરી નાખ્યા.
1હવે ઈશ્વરે ઇબ્રામને કહ્યું, "તું તારો દેશ, તારા સગાંઓ1 અને તારા પિતાના કુટુંબને છોડીને, જે દેશ હું તને બતાવું ત્યાં જા.2હું તારાથી એક મોટી જાતિ ઉત્પન્ન કરીશ, હું તને આશીર્વાદ દઈશ, તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદરૂપ થશે.3જેઓ તને આશીર્વાદ આપશે, તેઓને હું આશીર્વાદ આપીશ અને જેઓ તને શાપ આપશે, તેઓને હું શાપ આપીશ. પૃથ્વીના સર્વ કુટુંબો તારી મારફતે આશીર્વાદિત થશે.4તેથી ઈશ્વરે તેને જે પ્રમાણે કરવાનું કહ્યું હતું તે પ્રમાણે, ઇબ્રામ અને તેની સાથે તેનો ભત્રીજો લોત પણ ગયો. જયારે ઇબ્રામ હારાન દેશથી રવાના થયો ત્યારે તે પંચોતેર વર્ષનો હતો.5ઇબ્રામે તેની પત્ની સારાયને તથા તેના ભત્રીજા લોતને તેઓએ મેળવેલી સર્વ સંપત્તિ, જાનવરો તથા જે દાસદાસીઓ તેમને હારાનમાં પ્રાપ્ત થયાં હતા તેઓને સાથે લીધાં. તેઓ કનાન દેશમાં પહોંચ્યા.6ઇબ્રામ કનાન દેશમાં શખેમથી મુસાફરી કરતાં મોરેના એલોન વૃક્ષ પાસે આવ્યો. તે વખતે કનાનીઓ તે દેશમાં રહેતા હતા.7ઈશ્વરે ઇબ્રામને દર્શન આપીને કહ્યું, "હું તારા વંશજોને આ દેશ આપીશ." તેથી જેમણે તેને દર્શન આપ્યું હતું તે ઈશ્વરના સ્મરણમાં ઇબ્રામે ત્યાં વેદી બાંધી.8ઇબ્રામે ત્યાંથી નીકળીને બેથેલની પૂર્વ તરફ જે પર્વતીય પ્રદેશ છે ત્યાં સ્થળાંતર કર્યું અને ત્યાં તંબુ ઊભો કર્યો. તેની પશ્ચિમે બેથેલ તથા પૂર્વે આય હતું. ત્યાં તેણે ઈશ્વરને નામે વેદી બાંધી અને ઈશ્વરને પ્રાર્થના કરી.9પછી ઇબ્રામે નેગેબ તરફ જવા માટે મુસાફરી ચાલુ રાખી.
1તેથી ઇબ્રામ તેની સ્ત્રી અને તેની સર્વ સંપત્તિને લઈને મિસરથી નેગેબમાં ગયો. લોત પણ તેઓની સાથે ગયો.2ઇબ્રામ પાસે જાનવરો, ચાંદી તથા સોનું પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે ઘણો ધનવાન હતો.3નેગેબથી મુસાફરી કરીને જ્યાં તેણે અગાઉ છાવણી કરી હતી ત્યાં તે આવી પહોંચ્યો. આ જગ્યા બેથેલ તથા આયની વચ્ચે આવેલી હતી.4અહીં તેણે અગાઉ વેદી બાંધી હતી. એ વેદી આગળ તેણે ઈશ્વરના નામે પ્રાર્થના કરી.5હવે લોત, જે ઇબ્રામની સાથે મુસાફરી કરી રહ્યો હતો, તેની પાસે પણ ઘેટાં, અન્ય જાનવરો તથા કુટુંબો1 હતા.6તે દેશ એટલો બધો ફળદ્રુપ ન હતો કે તેઓ બન્ને એકસાથે રહી શકે, કેમ કે તેઓના પાલતું પશુઓની સંખ્યા ઘણી હતી.7એવામાં ઇબ્રામના ગોવાળિયાઓ અને લોતના ગોવાળિયાઓની વચ્ચે ઝઘડો થયો. તે સમયે કનાનીઓ તથા પરિઝીઓ તે દેશમાં રહેતા હતા.8તેથી ઇબ્રામે લોતને કહ્યું, "તારી તથા મારી વચ્ચે અને તારા તથા મારા ગોવાળિયાઓની વચ્ચે તકરાર થવી ન જોઈએ; કારણ કે આપણે ભાઈઓ છીએ.9શું તારી આગળ આખો દેશ નથી? તું આગળ જા અને પોતાને મારાથી જુદો કર. જો તું ડાબી બાજુ જશે, તો હું જમણી બાજુ જઈશ. અથવા જો તું જમણી બાજુ જશે, તો પછી હું ડાબી બાજુ જઈશ."10તેથી લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સોઆર સુધી જોયો કે તેમાં બધે પુષ્કળ પાણી છે. ઈશ્વરે સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ ઈશ્વરની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો.11તેથી લોતે પોતાને સારુ યર્દનનો આખો પ્રદેશ પસંદ કર્યો. તે પૂર્વ તરફ ગયો. આમ ભાઈઓ એકબીજાથી અલગ થયા.12ઇબ્રામ કનાન દેશમાં રહ્યો અને લોત તે સપાટ પ્રદેશવાળા નગરોમાં ગયો. તેણે સદોમ નગરમાં સ્થાયી વસવાટ કર્યો.13હવે સદોમના માણસો ઈશ્વરની વિરુદ્ધ અતિ ભ્રષ્ટ તથા દુરાચારી હતા.
1શિનઆરના રાજા આમ્રાફેલે, એલ્લાસારના રાજા આર્યોખે, એલામના રાજા કદોરલાઓમેરે અને ગોઈમના રાજા તિદાલે પોતાની કારકિર્દી દરમિયાન,2સદોમના રાજા બેરા, ગમોરાના રાજા બિર્શા, આદમાના રાજા શિનાબ, સબોઈમના રાજા શેમેબેર અને બેલા એટલે સોઆરના રાજાની સામે લડાઈ કરી.3એ પાંચ રાજાઓ સિદ્દીમની ખીણ જે હાલમાં ખારો સમુદ્ર છે તેમાં એકત્ર થયા.4બાર વર્ષ સુધી તેઓ કદોરલાઓમેરના તાબે રહ્યા હતા, પણ તેરમા વર્ષે તેઓએ બળવો કર્યો.5પછી ચૌદમા વર્ષે કદોરલાઓમેર તથા જે રાજાઓ તેની સાથે હતા, તેઓએ આવીને આશ્તારોથ-કારનાઈમ દેશના રફાઈઓને, હામ દેશના ઝૂઝીઓને, શાવેહ કિર્યાથાઈમ દેશના એમીઓને,6હોરીઓ જે પોતાના સેઈર નામના પર્વતમાં રહેતા હતા તેઓના પર અરણ્ય પાસેના એલપારાન સુધી હુમલા કરીને મારતા રહ્યા.7પછી તેઓ પાછા ફર્યા અને એન-મિશ્પાટ એટલે કાદેશમાં આવ્યા અને અમાલેકીઓના આખા દેશને તથા હાસસોન-તામારમાં રહેનારા અમોરીઓને પણ તેઓએ હરાવ્યા.8પછી સદોમનો રાજા, ગમોરાનો રાજા, આદમાનો રાજા, સબોઈમનો રાજા, બેલા એટલે સોઆરના રાજાએ યુદ્ધની તૈયારી કરીને,9એલામના રાજા કદોરલાઓમેર, ગોઈમના રાજા તિદાલ, શિનઆરના રાજા આમ્રાફેલ તથા એલ્લાસારના રાજા આર્યોખ, એ ચાર રાજાઓએ પેલા પાંચ રાજાઓની વિરુદ્ધ લડાઈ કરી.10હવે સિદ્દીમની ખીણોમાં ડામરના ઘણાં ખાડા હતા અને સદોમ તથા ગમોરાના રાજાઓ નાસી જઈને તેમાં પડ્યા. જે બાકી રહ્યા હતા તેઓ પહાડ તરફ નાસી ગયા.11પછી સદોમ તથા ગમોરામાંની ચીજવસ્તુઓ અને તેઓની સંપત્તિ લઈને પોતાને રસ્તે ચાલ્યા ગયા.12જયારે તેઓ ગયા, ત્યારે તેઓએ ઇબ્રામનો ભત્રીજો લોત, જે સદોમમાં રહેતો હતો, તેને પણ પકડીને તેની સર્વ સંપત્તિ લઈને તેઓ ચાલ્યા ગયા.13જે એક જણ બચી ગયો હતો તેણે આવીને હિબ્રૂ ઇબ્રામને ખબર આપી. તે વખતે ઇબ્રામ અમોરી મામરેનાં એલોન વૃક્ષ પાસે રહેતો હતો. મામરે ઇબ્રામના મિત્રો એશ્કોલ અને આનેરનો ભાઈ હતો.14જયારે ઇબ્રામે સાંભળ્યું કે દુશ્મનોએ તેના સગાં સંબંધીઓને તાબે કર્યાં છે, ત્યારે તેણે પોતાના ઘરમાં જન્મેલા અને તાલીમ પામેલા ત્રણસો અઢાર પુરુષોને લઈને દાન સુધી સૈન્યનો પીછો કર્યો.15તે રાત્રે તેણે તેઓની વિરુદ્ધ પોતાના માણસોના બે ભાગ પાડીને તેઓ પર હુમલો કર્યો અને દમસ્કસની ડાબી બાજુના હોબા સુધી તેઓનો પીછો કર્યો.16પછી તે પોતાના સંબંધી લોતને, તેની સંપત્તિને, સ્ત્રીઓને તથા બીજા દાસોને પાછા લાવ્યો.
1પછી ઈશ્વરના વચન દર્શનમાં ઇબ્રામ પાસે આવ્યું અને કહ્યું, "ઇબ્રામ, તું બીશ નહિ! હું તારી રક્ષા કરીશ તથા મોટું પ્રતિફળ આપીશ."2ઇબ્રામે કહ્યું, "પ્રભુ ઈશ્વર, તમે મને શું આપશો? કેમ કે હું નિ:સંતાન છું અને મારા ઘરનો વારસ આ દમસ્કસનો એલીએઝેર બનશે."3ઇબ્રામે કહ્યું, "તમે મને હજી સુધી સંતાન આપ્યું નથી, માટે મારા ઘરનો કારભારી મારો વારસ થશે."4પછી ઈશ્વરના વચન તેની પાસે આવ્યું અને કહ્યું, "એ તારો વારસ થશે નહિ, પણ તેના બદલે તારો જે પુત્ર જન્મશે તે જ તારો વારસ થશે."5પછી ઈશ્વર ઇબ્રામને રાત્રે ઘરની બહાર આકાશ નીચે લઈ ગયા અને કહ્યું, "તું ઊંચે આકાશ તરફ જો અને ગણી શકે તો તારાઓ ગણ," પછી તેમણે તેને કહ્યું, "એ તારાઓ જેટલાં તારા સંતાન થશે."6તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેમણે તે તેના ન્યાયીપણાના અર્થે માન્ય રાખ્યો.17ઈશ્વરે તેને કહ્યું, "આ દેશ વતન તરીકે તને આપવા માટે ખાલદીઓના નગર ઉરમાંથી તને અહીં લઈ આવનાર ઈશ્વર હું છું."8તેણે કહ્યું, "પ્રભુ ઈશ્વર, હું તેનો વારસો પામીશ, એની ખાતરી મને કેવી રીતે થાય?"9પછી તેમણે તેને કહ્યું, "મારે માટે ત્રણ વર્ષની એક વાછરડી, ત્રણ વર્ષની બકરી, ત્રણ વર્ષનું ઘેટું, એક હોલું અને કબૂતરનું બચ્ચું લે."10તેણે એ સર્વ લીધાં, તેઓને વચ્ચેથી બે ભાગમાં કાપ્યા અને દરેકના અડધા ભાગને સામસામા મૂક્યા, પણ તેણે પક્ષીઓને કાપ્યાં નહિ.11જયારે શિકારી પક્ષી તે મૃત દેહ ઉપર ધસી આવ્યાં ત્યારે ઇબ્રામે તેઓને ઉડાડી દીધાં.12પછી સૂર્ય આથમતો હતો ત્યારે ઇબ્રામ ભરનિદ્રામાં પડ્યો અને તેના પર ભયંકર અંધકાર આવી પડ્યો.13પછી ઈશ્વરે ઇબ્રામને કહ્યું, "તું નિશ્ચે જાણી લે કે, તારા વંશજો વિદેશમાં ભટકશે, ગુલામ બનશે અને તેઓ પર ચારસો વર્ષ સુધી જુલમ ગુજારવામાં આવશે.14તેઓ જે લોકોની સેવા કરશે, તે લોકોનો ન્યાય હું કરીશ અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને ત્યાંથી મુક્ત થઈને બહાર આવશે.15પણ તું પોતાના પૂર્વજોની પાસે શાંતિએ જશે અને તું ઘણી વૃદ્ધ ઉંમરે મૃત્યુ પામશે અને દફનાવાશે.16તારા વંશજો ત્યાંથી ચોથી પેઢીમાં અહીં પાછા આવશે, કેમ કે અત્યારે અહીં રહેતા અમોરીઓના પાપનો ઘડો ત્યારે ભરાઈ જશે અથવા તેઓ શિક્ષાને પાત્ર થશે."17સૂર્ય આથમતાં અંધારું થયું, ત્યારે જુઓ, એક સળગતી સગડી તથા બળતી મશાલ એ ટુકડાંઓની વચ્ચેથી પસાર થઈ.18તે જ દિવસે ઈશ્વરે ઇબ્રામ સાથે કરાર કરીને કહ્યું, "મિસરની નદીથી તે મોટી નદી ફ્રાત સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે.19કેનીઓનો, કનિઝીઓનો, કાદમોનીઓનો;20હિત્તીઓનો, પરિઝીઓનો, રફાઈઓનો;21અમોરીઓનો, કનાનીઓનો, ગિર્ગાશીઓનો તથા યબૂસીઓનો દેશ તેઓને આપ્યો છે."
1હવે ઇબ્રામની પત્ની સારાયને બાળકો થતાં ન હતાં. તેની એક મિસરી દાસી હતી. તેનું નામ હાગાર હતું.2તેથી સારાયે ઇબ્રામને કહ્યું, "જો, ઈશ્વરે મને બાળકો થવા દીધાં નથી. માટે તું મારી દાસી સાથે સૂઈ જા, કદાપિ તેનાથી હું બાળક પ્રાપ્ત કરું." ઇબ્રામે સારાયનું કહ્યું માન્યું.3ઇબ્રામ કનાન દેશમાં દસ વર્ષ રહ્યો પછી તેની પત્ની સારાયે તેની મિસરી દાસી હાગારને તેના પતિ ઇબ્રામને પત્ની તરીકે આપી.4ઇબ્રામના હાગાર સાથેના સંબંધથી તે ગર્ભવતી થઈ. જયારે તેણે જાણ્યું કે હું ગર્ભવતી થઈ છું ત્યારે તેણે તેની શેઠાણીનો તિરસ્કાર કર્યો.5પછી સારાયે ઇબ્રામને કહ્યું, "મારી સાથે આ ખોટું થયું છે. મેં મારી દાસી તને આપી અને જયારે ખાતરી થઈ કે તે ગર્ભવતી થઈ છે ત્યારે તેની દ્રષ્ટિમાં હું તુચ્છ થઈ છું. મારી અને તારી વચ્ચે ઈશ્વર ન્યાય કરો."6પણ ઇબ્રામે સારાયને કહ્યું, "તારી દાસી તારા અધિકારમાં છે, જે તને સારું લાગે તે તેને કર." તેથી સારાયે તેની સાથે કઠોર વર્તાવ કર્યો. એટલે તેની પાસેથી હાગાર ભાગી ગઈ.7અરણ્યમાં શૂરના માર્ગે પાણીનો જે ઝરો હતો તેની પાસે ઈશ્વરના દૂતે તેને જોઈ.8દૂતે તેને કહ્યું, "સારાયની દાસી હાગાર, તું ક્યાંથી આવી અને ક્યાં જઈ રહી છે?" અને તેણે કહ્યું, "મારી શેઠાણી સારાયની પાસેથી હું નાસી જઈ રહી છું."9ઈશ્વરના દૂતે તેને કહ્યું, "તું તારી શેઠાણી પાસે પાછી જા. અને તેની આધીનતામાં રહે."10વળી ઈશ્વરના દૂતે તેને કહ્યું, "હું તારો વંશ ઘણો વધારીશ. તારા વંશમાં અસંખ્ય સંતાનો થશે."11દૂતે તેને એ પણ કહ્યું, "તું ગર્ભવતી છે. તું દીકરાને જન્મ આપશે. તેને તું ઇશ્માએલ1 નામ આપજે. કેમ કે ઈશ્વરે તારું દુઃખ સાંભળ્યું છે.12તે માણસો મધ્યે જંગલના ગર્દભ જેવો થશે. તેનો હાથ દરેકની વિરુદ્ધ તથા દરેકનો હાથ તેની વિરુદ્ધ થશે અને તે પોતાના સર્વ ભાઈઓની વચ્ચે2 દુશ્મનાવટથી રહેશે."13પછી તેણે ઈશ્વર; જેઓ તેની સાથે વાત કરતા હતા તેમનું નામ "એલ-રોઈ3 " પાડ્યું, કેમ કે તેણે કહ્યું, "ઈશ્વરે મારા પર દ્રષ્ટિ કરી છે શું?"14તે માટે તે ઝરાનું નામ બેર-લાહાય-રોઈ4 રાખવામાં આવ્યું; તે કાદેશ તથા બેરેદની વચ્ચે આવેલો છે.15હાગારે ઇબ્રામના દીકરાને જન્મ આપ્યો અને ઇબ્રામે હાગારથી જન્મેલા તેના દીકરાનું નામ ઇશ્માએલ પાડ્યું.16જયારે હાગારે ઇશ્માએલને જન્મ આપ્યો ત્યારે ઇબ્રામ છ્યાસી વર્ષનો હતો.
1ઇબ્રામ નવાણું વર્ષનો થયો ત્યારે ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું, "હું સર્વસમર્થ ઈશ્વર છું, તું મારી આગળ ચાલ અને પ્રામાણિક થા.2પછી હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ અને તારા વંશને ઘણો જ વધારીશ.3ઇબ્રામ ભૂમિ સુધી નીચો નમ્યો. ઈશ્વરે તેની સાથે વાત કરતાં કહ્યું,4"જો, તારી સાથે મારો આ કરાર છે. તું ઘણી દેશજાતિઓનો પિતા થશે.5હવે તારું નામ ઇબ્રામ1 નહિ રહે, પણ તારું નામ ઇબ્રાહિમ2 થશે - કેમ કે ઘણી દેશજાતિઓના પિતા તરીકે મેં તારી પસંદગી કરી છે.6હું તને અતિશય સફળ કરીશ અને તારા વંશમાં ઘણી પ્રજા અને દેશજાતીઓ ઉત્પન્ન થશે. તેમાંથી રાજાઓ પણ થશે.7તારો તથા તારા પછીના તારા વંશજોનો ઈશ્વર થવા સારુ, હું મારો કરાર સનાતન કરાર તરીકે મારી તથા તારી વચ્ચે અને પેઢી દર પેઢી તારાં વંશજોની વચ્ચે કરીશ.8જે દેશમાં તું રહે છે, તે આખો કનાન દેશ, હું તને અને તારા પછીના તારા વંશજોને કાયમી વતન તરીકે આપીશ. અને હું તેઓનો ઈશ્વર થઈશ."9ઈશ્વરે તેને કહ્યું, "તારે તથા તારા પછીના તારા વંશજોએ પેઢી દરપેઢી મારા એ કરારનું પાલન કરવાનું રહેશે.10મારી તથા તારી વચ્ચે અને તારા પછી તારા વંશજો વચ્ચે, મારો જે કરાર તમારે પાળવો, તે એ જ કે તમારામાંના દરેક પુરુષે પોતાની સુન્નત કરવી.11તમારે તમારી ચામડીની સુન્નત કરાવવી અને એ મારી અને તમારી વચ્ચેના કરારની નિશાની થશે.12તમારામાંના દરેક છોકરાંની તેના જન્મ પછી આઠમે દિવસે સુન્નત કરવી. એટલે તમારી સમગ્ર પેઢીમાંથી, જે દરેક નર બાળક તમારા ઘરમાં જન્મ્યો હોય તેની અને વિદેશી પાસેથી નાણાં આપી વેચાતો લીધો હોય પછી ભલે તે તમારા વંશનો ન હોય, તેની પણ સુન્નત કરવી.13જે તારા ઘરમાં જન્મેલો હોય અને જે તારા પૈસાથી વેચાતો લીધેલો હોય તેની સુન્નત જરૂર કરવી. આમ તો મારો કરાર તમારા શરીરમાં સનાતન કરાર તરીકે રહેશે.14દરેક પુરુષ જેના શરીરમાં સુન્નત કરવામાં આવી નહિ હોય તેને પોતાના લોકોમાંથી અલગ કરાશે3 . તેણે મારો કરાર તોડ્યો છે."15ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, "તારી પત્ની સારાયને હવે પછી સારાય ન કહે. તેના બદલે, તેનું નામ સારા થશે.16હું તેને આશીર્વાદ આપીશ અને હું તેના દ્વારા તને દીકરો આપીશ. હું તેને આશીર્વાદ આપીશ અને તે દેશજાતિઓની માતા થશે. તેનાં સંતાનોમાંથી દેશજાતિઓના રાજાઓ થશે."17પછી ઇબ્રાહિમ જમીન સુધી નમી પડીને હસ્યો અને પોતાના મનમાં બોલ્યો, "જે સો વર્ષનો છે તેને શું દીકરો થાય ખરો? નેવું વર્ષની સારાને શું દીકરો જન્મે ખરો?"18ઇબ્રાહિમે ઈશ્વરને કહ્યું કે, "પ્રભુ ઇશ્માએલ તમારી સંમુખ જીવતો રહે એ જ અમારે માટે બસ છે!"19ઈશ્વરે કહ્યું, "ના, પણ તારી પત્ની સારા તારા માટે એક દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઇસહાક પાડશે. તેની સાથે તેના પછીના તેના વંશજોને માટે હું મારો કરાર સદાના કરાર તરીકે સ્થાપીશ.20ઇશ્માએલ માટે, મેં તારું સાંભળ્યું છે. જો, મેં તેને આશીર્વાદ આપ્યો છે, હું તેને સફળ કરીશ અને તેને અતિ ઘણો વધારીશ. તે બાર કુળોના આગેવાનોનો પિતા થશે અને હું તેનાં સંતાનોની એક મોટી કોમ બનાવીશ.21વળી ઇસહાક કે જેને આવતા વર્ષે નિયુક્ત કરેલા સમયે સારા તારે સારુ જન્મ આપશે, ત્યારે હું તેની સાથે મારો કરાર સ્થાપીશ."22ઈશ્વરે ઇબ્રાહિમની સાથે વાત કરવાનું પૂરું કર્યું અને ઈશ્વર તેની પાસેથી ગયા.23પછી ઇબ્રાહિમે પોતાના દીકરા ઇશ્માએલને, પોતાના ઘરમાં જે સર્વ જન્મેલાં તેઓને તથા પોતાને પૈસે જે સર્વ વેચાતા લીધેલા, એવા ઇબ્રાહિમના કુટુંબોમાંના દરેક પુરુષને લઈને, જેમ તેને ઈશ્વરે કહ્યું હતું તેમ, તે જ દિવસે તેઓની સુન્નત કરી.24જયારે ઇબ્રાહિમની સુન્નત કરવામાં આવી ત્યારે તે નવસો નવાણું વર્ષનો હતો.25અને તેના દીકરા ઇશ્માએલની સુન્નત કરવામાં આવી ત્યારે તે તેર વર્ષનો હતો.26ઇબ્રાહિમની તથા તેના દીકરા ઇશ્માએલની સુન્નત એક જ દિવસે થઈ.27તેના ઘરના સર્વ પુરુષો જેઓ તેના ઘરમાં જન્મ્યા હતા તથા વિદેશીઓ પાસેથી પૈસે વેચાતા લીધેલા હતા તેઓની સુન્નત તેની સાથે થઈ.
1બપોરના સમયે જયારે ઇબ્રાહિમ તંબુના બારણામાં બેઠો હતો, ત્યારે ઈશ્વરે મામરેનાં એલોન વૃક્ષની પાસે તેને દર્શન આપ્યું.2તેણે આંખો ઊંચી કરીને જોયું, તો ત્રણ પુરુષો તેની નજીક ઊભા હતા. જયારે તેણે તેઓને જોયા, ત્યારે તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડ્યો અને જમીન સુધી નમીને તેઓને પ્રણામ કર્યા.3તેણે કહ્યું, "હે મારા પ્રભુ, જો હવે હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, તો તમે તમારા દાસ પાસેથી જતા રહેશો નહિ.4હું થોડું પાણી લાવું છું તેથી તમે તમારા પગ ધુઓ અને આ વૃક્ષ નીચે તમે આરામ કરો.5હવે મને થોડું ભોજન લાવવા દો, કે જેથી તમે સ્ફૂર્તિ પામો. ત્યાર પછી તમે આગળ જજો, સારું તો હું તમારે માટે રોટલી લાવું." અને તેઓએ કહ્યું, "તું કહે છે તે પ્રમાણે કર."6પછી ઇબ્રાહિમ ઉતાવળે સારાની પાસે તંબુમાં ગયો અને કહ્યું, "જલ્દી કર. ત્રણ માપ1 મેંદો મસળ અને રોટલી તૈયાર કર."7પછી ઇબ્રાહિમ દોડીને જ્યાં તેના જાનવર હતાં ત્યાં ગયો અને એક પુષ્ટ તથા કુમળું વાછરડું લાવીને નોકરને આપ્યું, જે તેને ઉતાવળે તૈયાર કરવા લાગ્યો.8તેણે માખણ, દૂધ તથા ભોજન માટે જે રોટલી તથા વાછરડું તૈયાર કર્યું હતું તે લઈને તેઓની આગળ પીરસ્યાં. તેઓ જમતા હતા તે દરમિયાન તે તેઓની પાસે વૃક્ષ નીચે ઊભો રહ્યો.9તેઓએ તેને કહ્યું, "તારી પત્ની સારા ક્યાં છે?" તેણે જવાબ આપ્યો, "ત્યાં, તંબુમાં છે."10યહોવાહે તેને કહ્યું, "હું ચોક્કસ વસંતમાં તારી પાસે પાછો આવીશ અને જો, તારી પત્ની સારાને દીકરો થશે." તેની પાછળ જે તંબુનું બારણું હતું, ત્યાંથી સારાએ તે વાત સાંભળી.11હવે ઇબ્રાહિમ તથા સારા વૃદ્ધ હતાં અને તેઓને ઘણાં વર્ષ થયાં હતાં. જે ઉંમરમાં સ્ત્રીઓ બાળકોને જન્મ આપે છે, તે ઉંમર, સારા વટાવી ચૂકી હતી.12તેથી સારા મનોમન હસી પડી. તેણે ખુદને કહ્યું, "હું વૃદ્ધ થઈ ગઈ છું અને મારો પતિ પણ વૃદ્ધ છે, તો પછી કેવી રીતે પુત્ર જન્મે અને હર્ષ થાય?"13ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું, "શા માટે સારા એમ કહેતાં હસી કે, 'શું હું ખરેખર મારી વૃદ્ધાવસ્થામાં બાળકને જન્મ આપી શકીશ?'14ઈશ્વરને શું કંઈ અશક્ય છે? મેં નિયુક્ત કરેલા સમયે, વસંતમાં, હું તારી પાસે પાછો આવીશ. આવતા વર્ષના આ સમયે સારાને દીકરો થશે."15પછી સારાએ તે બાબતનો ઇનકાર કરીને કહ્યું, "હું તો હસી નથી," કેમ કે તે ગભરાઈ હતી. તેમણે જવાબ આપ્યો, "ના, તું નિશ્ચે હસી છે."
1સદોમમાં સાંજે બે દૂત આવ્યા. ત્યારે લોત સદોમના પ્રવેશદ્વારે બેઠો હતો. લોત તેઓને જોઈને મળવા ઊઠ્યો અને સાષ્ટાંગ પ્રણામ કર્યા.2તેણે કહ્યું, "મારા પ્રભુ, કૃપા કરો, હું તમને વિનંતી કરું છું કે તમારા દાસને ઘરે આવો, રાતવાસો કરો અને મારા મહેમાન થાઓ. પછી વહેલા ઊઠીને તમારા માર્ગે જજો." અને તેઓએ કહ્યું, "ના, અમે તો આખી રાત નગરના ચોકમાં વિતાવીશુ."3પણ તેણે તેઓને ઘણો આગ્રહ કર્યો તેથી તેઓ તેની સાથે ગયા અને તેના ઘરમાં પ્રવેશ કર્યો. તેણે ભોજન અને બેખમીરી રોટલી તૈયાર કરી અને તેઓ જમ્યા.4પરંતુ તેઓના સૂઈ ગયા અગાઉ નગરના માણસોએ, એટલે સદોમ નગરના દરેક ભાગથી ધસી આવેલા વૃદ્ધો અને જુવાનો લોકોએ ઘરને ઘેરી લીધું.5તેઓએ લોતને બોલાવ્યો અને તેને કહ્યું, "જે માણસો આજ રાત્રે તારી પાસે આવ્યા તેઓ ક્યાં છે? તેઓને અમારી પાસે બહાર લાવ, કે અમે તેઓ પર બળાત્કાર કરીએ."6તેથી લોત બારણા બહાર તેઓની પાસે ગયો અને પછી તેણે પોતે તે બારણું બંધ કરી દીધું.7તેણે કહ્યું, "મારા ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે એવું ખરાબ કામ કરશો નહિ.8મારી બે દીકરીઓ છે. તેઓનો કોઈ પુરુષ સાથે સંબંધ થયેલો નથી. હું વિનંતી કરું છું કે મને તેઓને તમારી પાસે બહાર લાવવા દો અને તમારી દ્રષ્ટિમાં જે તમને સારું લાગે, તે તેઓને કરો, પણ જે માણસો મારા ઘરે મહેમાન તરીકે આવ્યા છે તેઓને કંઈ ન કરો."9તેઓએ કહ્યું, "પાછો હટ!" તેઓએ એ પણ કહ્યું, "આ અહીં વિદેશીની જેમ રહેવાને આવ્યો હતો અને હવે તે આપણો ન્યાયાધીશ થવા બેઠો છે! હવે તેઓના કરતા અમે તારી સાથે વધારે ખરાબ વ્યવહાર કરીશું." તેઓએ લોતને, ધક્કાધક્કી કરી અને દરવાજો તોડી નાખવા માટે નજીક આવ્યાં.10પણ અંદર રહેલા પુરુષોએ પોતાના હાથ લંબાવીને તેઓની પાસેથી લોતને ઘરમાં ખેંચી લીધો અને બારણું બંધ કરી દીધું.11અને ઘરના બારણા પાસે જે હતા, તે સર્વને અંધ બનાવી દીધા. તેઓ ઘરનું બારણું શોધતાં શોધતાં થાકી ગયા.
1ઇબ્રાહિમ મુસાફરી કરતા નેગેબ દેશ તરફ જઈને કાદેશ તથા શૂરની વચ્ચે રહ્યો. તેણે ગેરારમાં વિદેશી તરીકે વસવાટ કર્યો.2ઇબ્રાહિમે પોતાની પત્ની સારા વિષે કહ્યું, "તે મારી બહેન છે." તેથી ગેરારના રાજા અબીમેલેખે માણસો મોકલીને સારાને બોલાવી લીધી.3પણ રાત્રે સ્વપ્નમાં ઈશ્વરે અબીમેલેખને કહ્યું, "તું પોતાને મરણ પામેલો જાણજે, કેમ કે જે સ્ત્રીને તેં પચાવી પાડી છે, તે એક પુરુષની પત્ની છે."4હવે અબીમેલેખ તેની પાસે ગયો ન હતો અને તેણે કહ્યું, "પ્રભુ, શું તમે ન્યાયી લોકોનો પણ નાશ કરશો?5શું ઇબ્રાહિમે પોતે જ મને કહ્યું ન હતું કે, 'તે મારી બહેન છે?' વળી તે સ્ત્રીએ પોતે પણ કહ્યું હતું કે, 'તે મારો ભાઈ છે.' મેં મારા સાચા હૃદયથી તથા નિર્દોષ હાથથી આ કામ કર્યું છે."6પછી ઈશ્વરે સ્વપ્નમાં તેને કહ્યું, "હા, હું જાણું છું કે તેં તારા સાચા હૃદયથી આ કામ કર્યું છે અને મેં પણ તને મારી વિરુદ્ધ અપરાધ કરવાથી અટકાવ્યો છે. તેથી મેં તને તેને સ્પર્શવા માટે પરવાનગી આપી નહિ.7તેથી, તે માણસની પત્નીને તું પાછી આપ. કેમ કે તે પ્રબોધક છે. તે તારા માટે પ્રાર્થના કરશે અને તું જીવશે. પણ જો તું તેને પાછી નહિ આપે, તો જાણજે કે તું તથા તારા સર્વ લોકો નિશ્ચે મરણ પામશો."8અબીમેલેખે વહેલી સવારે ઊઠીને પોતાના સર્વ ચાકરોને બોલાવ્યા. તેણે તેઓને આ સર્વ બાબતો કહી સંભળાવી અને તે માણસો ઘણાં ગભરાયા.9પછી અબીમેલેખે ઇબ્રાહિમને બોલાવીને કહ્યું, "આ તેં અમને શું કર્યું છે? મેં તારો શો અપરાધ કર્યો છે કે, તું મારા પર તથા મારા રાજ્ય પર મોટું પાપ લાવ્યો છે? જે કામ કરવા યોગ્ય ન હતું તે તેં મારા પ્રત્યે કર્યું છે."10અબીમેલેખે ઇબ્રાહિમને કહ્યું, "તને આવું કરવા કોણે પ્રેરણા આપી?"11ઇબ્રાહિમે કહ્યું, "કેમ કે મને લાગ્યું, 'નિશ્ચે આ જગ્યાએ ઈશ્વરનો ભય રખાતો નથી અને તેઓ મારી પત્નીના લીધે મને મારી નાખશે, એવું સમજીને મેં એમ કર્યું.'12એક રીતે, તે મારી બહેન છે, એ સાચું છે, એટલે તે મારા પિતાની દીકરી છે, પણ મારી માતાની દીકરી નથી; અને તે મારી પત્ની થઈ.13જયારે ઈશ્વરે મને મારા પિતાનું ઘર છોડવાનું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવાનું જણાવ્યું, ત્યારે મેં તેને કહ્યું, 'મારી પત્ની તરીકે તું મને વિશ્વાસુ રહેજે: જે સ્થળે આપણે જઈએ ત્યાં તું મારા વિષે કહેજે, "આ મારો ભાઈ છે."'"14પછી અબીમેલેખે ઇબ્રાહિમને ઘેટાં, બળદો, દાસો તથા દાસીઓ આપ્યાં અને તેણે તેની પત્ની સારા પણ તેને પાછી આપી.15અબીમેલેખે કહ્યું, "જો, મારો દેશ તારી આગળ છે. જ્યાં તને યોગ્ય લાગે ત્યાં રહે."16સારાને પણ તેણે કહ્યું, "જો, મેં તારા ભાઈને હજાર ચાંદીના સિક્કા આપ્યાં છે. તે તારી સાથેના સર્વની આંખો આગળ તારે માટે પડદારૂપ છે અને દરેક વ્યક્તિની આગળ, તું સંપૂર્ણપણે સાચી ઠરી છે."17પછી ઇબ્રાહિમે ઈશ્વરને પ્રાર્થના કરી કે તેઓ અબીમેલેખને, તેની પત્નીને તથા તેની દાસીઓને સાજા કરે કે જેથી તેઓ બાળકોને જન્મ આપી શકે.18કેમ કે ઇબ્રાહિમની પત્ની સારાને કારણે ઈશ્વરે અબીમેલેખના ઘરમાંની તમામ સ્ત્રીઓનાં ગર્ભસ્થાન બંધ કર્યાં હતાં.
1ઈશ્વરે જેમ કહ્યું હતું તેમ સારા પર તેમણે કૃપાદ્રષ્ટિ કરી અને ઈશ્વરે જે વચન સારાને આપ્યું હતું તે પ્રમાણે તેમણે કર્યું.2સારા ગર્ભવતી થઈ અને ઇબ્રાહિમને સારુ તેની વૃદ્ધાવસ્થામાં, જેમ ઈશ્વરે તેને કહ્યું હતું, તેમ નક્કી કરેલ સમયે તેણે દીકરાને જન્મ આપ્યો.3ઇબ્રાહિમે સારાથી જન્મેલા દીકરાનું નામ ઇસહાક રાખ્યું.4ઈશ્વરે ઇબ્રાહિમને આપેલી આજ્ઞા અનુસાર તેણે પોતાનો દીકરો ઇસહાક આઠ દિવસનો થયો, ત્યારે તેની સુન્નત કરી.5જયારે તેનો દીકરો ઇસહાક જન્મ્યો ત્યારે ઇબ્રાહિમ સો વર્ષનો હતો.6સારાએ કહ્યું, "ઈશ્વરે મને પ્રફુલ્લિત કર્યો છે; દરેક જે આ વાત સાંભળશે તેઓ મારી સાથે હસશે."7તેણે એમ પણ કહ્યું, "ઇબ્રાહિમને કોણ કહેશે કે સારા છોકરાંને પોતાનું દૂધ પીવડાવશે? તેની વૃદ્ધાવસ્થામાં પણ મેં તેના માટે એક દીકરાને જન્મ આપ્યો છે!"
1ત્યાર બાદ ઈશ્વરે ઇબ્રાહિમની આધીનતાની કસોટી કરી. તેમણે તેને કહ્યું, "ઇબ્રાહિમ!" ઇબ્રાહિમે કહ્યું, "હું આ રહ્યો."2પછી ઈશ્વરે કહ્યું, "તારો એકનો એક દીકરો, ઇસહાક, જેના પર તું ખૂબ પ્રેમ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં જા. અને ત્યાંના પર્વતોમાંના હું તને બતાવું તે પર તું તેનું દહનીયાર્પણ કર."3તેથી ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને તેણે ગધેડા પર જીન બાંધ્યું. તેના બે યુવાન ચાકરોને તથા દીકરા ઇસહાકને તેની સાથે લીધા. દહનીયાર્પણને સારુ લાકડાં પણ લીધાં. ઈશ્વરે જે જગ્યા બતાવી હતી ત્યાં તેઓ ગયા.4ત્રીજા દિવસે ઇબ્રાહિમે દૂરથી તે જગ્યાને નિહાળી.5ઇબ્રાહિમે તેના જુવાનોને કહ્યું, "તમે અહીં ગધેડા પાસે રહો, હું તથા ઇસહાક ત્યાં ઉપર જઈશું. અમે અર્પણ કરીને તમારી પાસે પાછા આવીશું."6પછી ઇબ્રાહિમે દહનીયાર્પણ માટેનાં લાકડાં ઊંચકી લેવા માટે પોતાના દીકરા ઇસહાકને આપ્યાં. તેણે પોતાના હાથમાં અગ્નિ તથા છરો લીધાં અને તેઓ બન્ને સાથે પર્વત પર ગયા.7ઇસહાકે તેના પિતા ઇબ્રાહિમને કહ્યું, "મારા પિતા" અને તેણે કહ્યું, "બોલ, મારા દીકરા, હું આ રહ્યો." તેણે કહ્યું, "જુઓ, અહીં અગ્નિ તથા લાકડાં તો છે, પણ દહનીયાર્પણને માટે ઘેટું ક્યાં છે?8ઇબ્રાહિમે કહ્યું, "મારા દીકરા, દહનીયાર્પણને સારુ ઈશ્વર પોતે ઘેટું પૂરું પાડશે." અને તેઓ આગળ ચાલ્યા.9જે જગ્યા વિશે ઈશ્વરે તેમને કહ્યું હતું, ત્યાં તેઓ પહોંચ્યા ત્યારે ઇબ્રાહિમે ત્યાં વેદી બનાવી અને તેના પર લાકડાં ગોઠવ્યાં. પછી તેના દીકરા ઇસહાકને બાંધીને તેને વેદી પરનાં લાકડાં પર મૂક્યો.10ઇબ્રાહિમે તેના દીકરાને મારવાને માટે હાથમાં છરો લીધો.11પછી તેણે છરો ઉગામ્યો એવામાં ઈશ્વરના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, "ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!" અને તેણે કહ્યું, "બોલો, હું અહીં છું."12દૂતે તેને કહ્યું, "તારા દીકરા પર તારો હાથ ઉગામીશ નહિ અને તેને કશી ઈજા કરીશ નહિ, કેમ કે મને ખાતરી થઈ છે કે તેં તારા એકનાએક દીકરાને, મારાથી પાછો રાખ્યો નથી. તું ઈશ્વરની બીક રાખે છે."13ઇબ્રાહિમે ઉપર જોયું અને ત્યાં એક ઘેટો જોયો. તેનાં શિંગડાં ઝાડીમાં ભરાયેલાં હતા. ઇબ્રાહિમે તેના દીકરાને બદલે એ ઘેટાંનું દહનીયાર્પણ કર્યું.14પછી તેણે દહનીયાર્પણની એ જગ્યાનું નામ "યહોવાહ-યિરેહ1 " પાડ્યું." તે આજ સુધી એ નામે ઓળખાય છે તેનો અર્થ એ છે કે, "ઈશ્વરના પર્વત પર ઈશ્વર પૂરું પાડે છે."15ઈશ્વરના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમ સાથે ફરીથી વાત કરી,16અને કહ્યું કે, "આ ઈશ્વરની વાણી છે, "મેં પોતાના સમ ખાધા છે, તેં એ કામ કર્યું છે અને તારા એકનાએક દીકરાને તેં પાછો રાખ્યો નથી,17તેથી નિશ્ચે હું તને આશીર્વાદ આપીશ અને આકાશના તારા તથા સમુદ્ર કિનારાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ; અને તારાં સંતાન તેમના શત્રુઓના નગરના પ્રવેશદ્વારને કબજે કરશે.18તારા વંશજોથી પૃથ્વીના સર્વ લોક આશીર્વાદિત થશે, કેમ કે તેં મારું કહ્યું માન્યું છે."19પછી ઇબ્રાહિમ તથા ઇસહાક પોતાના જુવાન ચાકરો પાસે પાછા આવ્યા, ત્યાંથી તેઓ બેરશેબા આવ્યા અને ત્યાં રહ્યા.
1સારાના આયુષ્યનાં વર્ષો એકસો સત્તાવીસ હતાં.2તે કનાન દેશના હેબ્રોનમાં આવેલા કિર્યાથ-આર્બામાં મરણ પામી. ઇબ્રાહિમે સારાને માટે શોક પાળ્યો અને રુદન કર્યું.3પછી ઇબ્રાહિમે સારાના મૃતદેહ પાસે ઊભા રહીને હેથના દીકરાઓને કહ્યું,4"હું તમારી મધ્યે વિદેશી છું. કૃપા કરી મને મારી મૃત પત્નીને દફનાવવા માટે તમારા લોકોમાં જગ્યા આપો."5હેથના દીકરાઓએ ઇબ્રાહિમને ઉત્તર આપ્યો,6"મારા માલિક, અમારું સાંભળ. અમારી મધ્યે તો તું ઈશ્વરના રાજકુમાર જેવો છે. જે જગ્યા તને પસંદ પડે ત્યાં અમારી કોઈપણ કબરમાં તારી મૃત પત્નીને દફનાવ. તેને દફનાવવાને માટે અમારામાંથી કોઈપણ પોતાની કબર આપવાની ના નહિ પાડે."7ઇબ્રાહિમે ઊઠીને તે દેશના લોકોને, એટલે હેથના દીકરાઓને પ્રણામ કર્યા.8તેણે તેઓની સાથે વાતચીત કરીને કહ્યું, "હું અહીં મારી મૃત પત્નીને દફનાવું, એવી જો તમારી સંમતિ હોય, તો મારું સાંભળો. મારે માટે સોહારના દીકરા એફ્રોનને વિનંતી કરો.9તેને પૂછો કે માખ્પેલાની ગુફા જે તેની પોતાની માલિકીની છે અને જે તેના ખેતરની સરહદ પર છે, તે પૂરતી કિંમતે તમારી મધ્યે કબરને માટે મને સુપ્રત કરે."10હવે એફ્રોન હેથના દીકરાઓ સાથે જ બેઠેલો હતો. અને પોતાના નગરના દરવાજામાં પેસનારા હેથના સર્વ દીકરાઓના સાંભળતાં એફ્રોન હિત્તીએ ઇબ્રાહિમને ઉત્તર આપ્યો,11"એવું નહિ, મારા માલિક. મારું સાંભળ. હું ખેતર અને તેમાં ગુફા છે તે પણ તને હું આપું છું. મારા લોકોના દીકરાઓના દેખતાં તે હું તને તારી મૃત પત્નીને દફનાવવા માટે આપું છું."12પછી દેશના લોકોની આગળ ઇબ્રાહિમે પ્રણામ કર્યા.13તેણે તે દેશના લોકોના સાંભળતાં એફ્રોનને કહ્યું, "પણ જો તારી મરજી હોય તો કૃપા કરી મારું સંભાળ. હું ખેતરને માટે કિંમત ચૂકવીશ. મારી પાસેથી રૂપિયા લે. ત્યાં હું મારી મૃત પત્નીને દફનાવીશ."14એફ્રોને ઇબ્રાહિમને ઉત્તર આપ્યો,15"કૃપા કરી, મારા માલિક, મારું સાંભળ. ચારસો શેકેલ ચાંદીના સિક્કાની જમીન, તે મારી અને તારી વચ્ચે શા લેખામાં છે? જા તારી મૃત પત્નીને ત્યાં દફનાવ."16ઇબ્રાહિમે એફ્રોનનું સાંભળ્યું અને તેણે હેથના દીકરાઓના સંભાળતાં કહ્યું હતું એટલા પ્રમાણમાં ચારસો શેકેલ ચાંદીના સિક્કા અંદાજે સાતસો એંસી રૂપિયા એફ્રોનને ચૂકવ્યા.17તેથી માખ્પેલામાં મામરેની આગળ એફ્રોનનું જે ખેતર, જે ગુફા તથા ખેતરની ચારે બાજુની સરહદની અંદર જે સર્વ વૃક્ષો તે,18તેના નગરના દરવાજામાં સર્વ જનારાંની આગળ હેથના દીકરાઓની હાજરીમાં ઇબ્રાહિમને વતનને માટે સોંપવામાં આવ્યાં.19તે પછી, ઇબ્રાહિમે કનાન દેશનું મામરે જે હેબ્રોન છે, તેની આગળ, માખ્પેલાના ખેતરની ગુફામાં પોતાની મૃત પત્ની સારાને દફનાવી.20હેથના દીકરાઓએ ઇબ્રાહિમને કબ્રસ્તાનને માટે, તે ખેતરનો તથા તેમાંની ગુફાનો કબજો આપ્યો.
1ઇબ્રાહિમ વૃદ્ધ અને ઘણાં વર્ષનો થયો હતો અને ઈશ્વરે તેને સર્વ બાબતે પુષ્કળ આશીર્વાદ આપ્યાં હતા.2તેણે પોતાના ઘરના સર્વસ્વના કારભારી વરિષ્ઠ ચાકરને કહ્યું, "મારી જાંઘ નીચે તારો હાથ મૂક13અને પ્રભુ જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના સોગન આપીને હું તને કહું છું કે, કનાનીઓ કે, જેઓમાં હું રહું છે તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારુ તું પત્ની લાવીશ નહિ.4પણ તું મારા દેશમાં મારા કુટુંબીઓ પાસે જા અને મારા દીકરા ઇસહાકને માટે કન્યા શોધી લાવ."5ચાકરે તેને કહ્યું, "કદાચ તે કન્યા મારી સાથે આ દેશમાં આવવા રાજી ન હોય તો? તો શું જ્યાંથી તું આવ્યો છું તે દેશમાં તારા દીકરાને વસવા માટે હું લઈ જાઉં?"6ઇબ્રાહિમે તેને કહ્યું, "ધ્યાન રાખ કે તું મારા દીકરાને ત્યાં લઈ જઈશ નહિ!7આકાશના પ્રભુ ઈશ્વર, જે મને મારા પિતાના ઘરમાંથી અને મારા સંબંધીઓના દેશમાંથી2 બહાર લાવ્યા અને જેમણે મને સોગન સાથે ખાતરીદાયક આપ્યું છે કે, 'આ દેશ હું તારા સંતાનને આપીશ,' તેઓ તારી આગળ પોતાના દૂતને મોકલશે અને ત્યાંથી તેઓ મારા દીકરાને માટે કન્યા મળે એવું કરશે.8તોપણ જો તે કન્યા તારી સાથે આવવાને રાજી ન હોય, તો તું મારા આ સમથી મુક્ત થશે. કેવળ મારા દીકરાને તું અહીંથી ત્યાં લઈ જઈશ નહિ."9તેથી ચાકરે પોતાના માલિક ઇબ્રાહિમને વચન આપ્યું અને તે વાત સંબંધી સમ ખાધા.10તે ચાકરે તેના માલિકનાં ઊંટોમાંથી દસ ઊંટ લીધાં અને તેના માલિક તરફથી વિવિધ પ્રકારની ઘણી ભેટો પણ પોતાની સાથે લીધી. તે લઈને તે રવાના થયો અને મુસાફરી કરીને અરામ-નાહરાઈમ3 ના નાહોરના શહેરમાં આવ્યો.11સ્ત્રીઓના પાણી ભરવાના સમયે સંધ્યાકાળે તેણે ઊંટોને નગરની બહાર કૂવા પાસે બેસાડ્યાં.12પછી તેણે પ્રાર્થના કરી, "પ્રભુ, મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, આજે મારું કામ સફળ કરો. મારા માલિક ઇબ્રાહિમ પર દયા કરો.13હું અહીં પાણીના ઝરા પાસે ઊભો છું અને નગરના માણસોની દીકરીઓ પાણી ભરવાને બહાર આવશે.14ત્યારે એમ થવા દેજો કે જે યુવતીને હું એમ કહું કે, 'કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું તેમાંથી પાણી પીઉં,' ત્યારે તે મને એમ કહે કે, 'પીઓ અને તમારા ઊંટોને પણ હું પાણી પીવડાવીશ,' તે એ જ યુવતી હોય કે જેને તમે તમારા દાસ ઇસહાકને સારુ પસંદ કરેલી હોય. એનાથી મને ખાતરી થશે કે તમે મારા માલિક સાથે કરેલા કરાર અનુસાર વિશ્વાસુ વચનબદ્ધ રહેલા છો."15તેની આ પ્રાર્થના પૂરી થયા અગાઉ રિબકા ખભા પર ગાગર સાથે ત્યાં આવી. રિબકા, ઇબ્રાહિમના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના દીકરા બથુએલની દીકરી હતી.16તે ઘણી સુંદર અને યુવાન હતી. કોઈ પુરુષ સાથે તેણે સંબંધ બાંધ્યો ન હતો. તે કૂવા પાસે આવી અને પોતાની ગાગર ભરીને નીચે ઊતરી.17તેને જોઈને ચાકર દોડીને તેની પાસે ગયો અને કહ્યું, "કૃપા કરીને તારી ગાગરમાંથી થોડું પાણી મને પીવા માટે આપ."18તેણે કહ્યું, "મારા માલિક, પીઓ," અને તેણે ઉતાવળ કરીને પોતાની ગાગર હાથ પરથી ઉતારીને તેને પાણી પાયું.19તેને પાણી પીવડાવ્યા પછી તેણે કહ્યું, "તારાં ઊંટો પણ પાણી પી રહે ત્યાં સુધી હું તેમને સારું પાણી ભરીશ."20પછી તેણે ઝડપથી પોતાની ગાગર હવાડામાં ખાલી કરી અને પાણી ભરવાને ફરીથી કૂવા તરફ દોડી. તેણે તેનાં સર્વ ઊંટોને માટે પાણી ભર્યું.21ઇબ્રાહિમના ચાકરે તેને જોઈ. ઈશ્વરે તેની મુસાફરી સફળ કરી છે કે નહિ, તે સમજવા માટે તે શાંત રહ્યો.22ઊંટો પાણી પી રહ્યાં પછી એમ થયું કે તે માણસે અડધા તોલાની સોનાની એક નથની અને તેના હાથને સારુ દસ તોલા સોનાની બે બંગડી બહાર કાઢી.23તેણે તેને પૂછ્યું, "તું કોની દીકરી છે? કૃપા કરી મને કહે કે શું અમારે માટે તારા પિતાના ઘરમાં ઉતારો મળી રહેશે?"24રિબકાએ તેને કહ્યું, "મિલ્કાનો દીકરો બથુએલ, જે નાહોરનો દીકરો છે, તેની હું દીકરી છું."25વળી તેણે એ પણ કહ્યું, "અમારી પાસે ઘણો ઘાસચારો છે અને ઉતારાની જગ્યા પણ છે."26પછી તે માણસે માથું નમાવીને ઈશ્વરની સ્તુતિ કરી,27અને કહ્યું, "મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, જેમણે મારા માલિક સાથે કરેલા કરાર અનુસાર પોતાના વિશ્વાસુપણાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી, તેમની સ્તુતિ થાઓ. ઈશ્વર મારા માલિકના સગાંઓના ઘરે મને દોરી લાવ્યા છે."28પછી તે યુવતી દોડીને ઘરે ગઈ અને તેની માતાને અને તેના કુટુંબીઓને એ વાત જણાવી.29રિબકાને એક ભાઈ હતો. તેનું નામ લાબાન હતું. લાબાન રસ્તાની બાજુ પરના પાણીના ઝરા પાસે ઊભેલા ઇબ્રાહિમના ચાકરની પાસે દોડી ગયો.30તેણે નથની તથા પોતાની બહેનના હાથમાં બંગડીઓ જોઈ. જયારે તેણે તેની બહેન રિબકાએ કહેલી વાત સાંભળી કે, "તે માણસે મને એમ કહ્યું છે," ત્યારે તે તે માણસની પાસે ગયો. તે કૂવા પાસે ઊંટો સાથે ઊભો હતો.31લાબાને કહ્યું, "તું ઈશ્વરથી આશીર્વાદિત છે, આવ, બહાર કેમ ઊભો છે? મેં તારા માટે ઉતારો તથા ઊંટોને સારુ જગ્યા તૈયાર કરી છે."32તેથી તે માણસ ઘરમાં આવ્યો અને તેણે ઊંટો પરનો સામાન ઉતાર્યો. લાબાને ઊંટોને ઘાસચારો અને તેને તથા તેના સાથી માણસોનો અતિથિ સત્કાર કર્યો અને પાણી આપ્યું.33તેઓએ તેની આગળ જમવાનું પીરસ્યું, પરંતુ તેણે કહ્યું, "મારે જે કહેવાનું છે એ જણાવ્યાં અગાઉ હું જમીશ નહિ." તેથી લાબાને કહ્યું, "બોલ."34તેણે કહ્યું, "હું ઇબ્રાહિમનો ચાકર છું."35ઈશ્વરે મારા માલિકને ઘણો આશીર્વાદ આપ્યો છે અને તે મહાન થયો છે. તેમણે તેને ઘેટાં, ઊંટો, ગધેડાં તથા અન્ય જાનવરો, ચાંદી, સોનું, દાસો અને દાસીઓ આપ્યાં છે.36મારા માલિકની પત્ની સારાએ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાને જન્મ આપ્યો છે અને તેની પાસે જે છે તે બધું મારા માલિકે તેને આપ્યું છે.37મારા માલિકે ઈશ્વરની સમક્ષતામાં મને એવું કહ્યું, 'જે કનાનીઓના દેશમાં હું રહું છું તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારુ તું પત્ની ન લાવ.38પણ મારા પિતાના ઘરે તથા મારા સગાંઓની પાસે તું જા અને મારા દીકરાને સારુ તું પત્ની લાવ.'39મેં મારા માલિકને કહ્યું, 'કદાચ તે કન્યા મારી સાથે આવે નહિ તો?'40પણ તેણે મને કહ્યું, 'જે ઈશ્વરની આગળ હું ચાલુ છું તેઓ તેમના દૂતને તારી સાથે મોકલશે અને તારો માર્ગ સફળ કરશે, કે જેથી મારાં સગાંઓમાંથી તથા મારા પિતાના ઘરમાંથી મારા દીકરાને સારુ તું કન્યા લાવી શકે.41પણ જો તું મારા કુટુંબીઓ પાસે જાય અને તેઓ ત્યાંથી તને કન્યા આપે નહિ, તો તું મારા સોગનથી છૂટો થશે.'42તેથી આજે જયારે હું કૂવાની પાસે આવી પહોંચ્યો ત્યારે મેં પ્રાર્થના કરી, 'મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, કૃપા કરો, નિશ્ચે મારી મુસાફરીમાં જો તમે મને સફળતા આપવાના જ હોય,43તો હું અહીં કૂવા પાસે ઊભો છું. ત્યારે એવું થવા દો કે જે યુવતી અહીં પાણી ભરવા આવે અને તેને હું કહું, "કૃપા કરીને તારી ગાગરમાંથી થોડું પાણી મને પીવડાવ,"44અને તે યુવતી મને કહે, "પીઓ અને તમારા ઊંટોને સારુ પણ હું પાણી ભરીશ." તે જ મારા માલિકના દીકરાને સારુ ઈશ્વરથી પસંદ કરાયેલી યુવતી હોય.'45હું પ્રાર્થના કરી રહ્યો તે પહેલાં, રિબકા ખભા પર ગાગર લઈને ત્યાં આવી અને તેણે કૂવા પાસે આવીને પાણી ભર્યું. તેથી મેં તેને કહ્યું, 'કૃપા કરીને મને પાણી પીવડાવ.'46તેણે ઉતાવળ કરીને ખભા પરથી ગાગર ઉતારીને કહ્યું, 'પીઓ અને તમારા ઊંટોને પણ હું પાણી પીવડાવીશ.' મેં પાણી પીધું અને તેણે ઊંટોને પણ પીવડાવ્યું.47મેં તેને પૂછ્યું, 'તું કોની દીકરી છે?' તેણે કહ્યું, 'હું મારા દાદાદાદી નાહોર અને મિલ્કાના દીકરા બથુએલની દીકરી છું.' પછી મેં તેના નાકમાં નથની અને તેના બન્ને હાથમાં બંગડી પહેરાવી,48અને મેં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની આરાધના કરી અને મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, જેમણે તેના દીકરાને સારુ મારા માલિકનાં સ્વજનોમાંથી કન્યા લેવા માટે મને સાચા માર્ગે દોરી લાવ્યા હતા તેમની સ્તુતિ કરી.49તે માટે, હવે, જો તમે મારા માલિકની સાથે વિશ્વાસ તથા કૃપાથી વર્તવાના હોય તો મને સંમતિ દર્શાવો, જો સંમત ના હો તો પણ મને જણાવો, કે જેથી હું પાછો વળું."50પછી લાબાને તથા બથુએલે ઉત્તર આપ્યો, "એ વાત તો ઈશ્વરથી નક્કી થયેલી છે; અમે તને આમ કે તેમ કહી શકતા નથી.51હવે જો, રિબકા તારી સમક્ષ છે, તેને લગ્ન માટે લઈ જા, જેથી ઈશ્વરના કહ્યા પ્રમાણે તે તારા માલિકના દીકરાની પત્ની થાય."52ઇબ્રાહિમના ચાકરે તેઓની વાત સાંભળી ત્યારે તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઈશ્વરની સ્તુતિ કરી.53તે ચાકરે વસ્ત્રો અને ચાંદીના તથા સોનાના દાગીના રિબકાને આપ્યાં, તેના ભાઈને તથા તેની માતાને પણ કિંમતી ભેટો આપી.54પછી તેણે અને તેની સાથે જે માણસો હતા તેઓએ ખાધું પીધું. રાત્રે મુકામ કર્યો. તેઓ સવારે ઊઠ્યા, ત્યારે તેણે કહ્યું, "મને મારા માલિકને ત્યાં જવાને વિદાય કરો."55રિબકાના ભાઈ તથા માતાએ કહ્યું, "રિબકાને અમારી સાથે ઓછામાં ઓછા દસેક દિવસ રહેવા દે. ત્યાર પછી તે આવશે."56પણ તેણે તેઓને કહ્યું, "ઈશ્વરે મારો માર્ગ સફળ કર્યો છે, માટે તમે મને રોકશો નહિ. મને વિદાય કરો કે હું મારા માલિક પાસે જાઉં."57તેઓએ કહ્યું, "અમે દીકરીને બોલાવીને તેને પૂછીએ."58તેથી તેઓએ રિબકાને બોલાવીને તેને પૂછ્યું, "શું તું આ માણસ સાથે જવા તૈયાર છે?" તેણે જવાબ આપ્યો, "હા હું જઈશ."59તેથી તેઓએ પોતાની બહેન રિબકાને, તેની દાઈને, ઇબ્રાહિમના દાસને તથા તેના માણસોને વિદાય કર્યા.60તેઓએ રિબકાને આશીર્વાદ આપતા તેને કહ્યું,
1ઇબ્રાહિમે બીજી પત્ની સાથે લગ્ન કર્યા હતા. તેનું નામ કટૂરા હતું.2કટૂરાએ ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક તથા શૂઆને જન્મ આપ્યો.3શેબા તથા દેદાન એ યોકશાનના પુત્રો હતા. આશ્શૂરિમના લોકો, લટુશીમના લોકો તથા લઉમીમના લોકો દેદાનના વંશજો હતા.4એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાહ એ મિદ્યાનના પુત્રો હતા. એ બધા કટૂરાના વંશજો હતા.5ઇબ્રાહિમે પોતાના વારસાની મિલકત ઇસહાકને આપી.6પણ પોતાની ઉપપત્નીના દીકરાઓને તેણે કેટલીક ચીજવસ્તુની બક્ષિસો આપીને તેઓને પોતાની તથા પોતાના દીકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા.
1હવે ઇબ્રાહિમના સમયમાં પહેલો દુકાળ પડ્યો હતો, તે ઉપરાંત તે દેશમાં બીજો દુકાળ પડ્યો, ત્યારે ઇસહાક પલિસ્તીઓના રાજા અબીમેલેખની પાસે ગેરારમાં ગયો.2ઈશ્વરે તેને દર્શન આપીને કહ્યું, "તું મિસરમાં ન જતો; જે દેશ વિશે હું તને કહીશ ત્યાં રહે.3આ દેશમાં તું પ્રવાસી થઈને રહે, હું તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ; કેમ કે તને તથા તારા વંશજોને હું આ આખો દેશ આપીશ અને તારા પિતા ઇબ્રાહિમની આગળ મેં જે સોગન લીધા છે તે હું પૂરા કરીશ.4હું તારા વંશજોને વધારીને આકાશના તારાઓ જેટલા કરીશ અને આ સર્વ પ્રદેશો હું તારા વંશજોને આપીશ. પૃથ્વીનાં સર્વ કુળ તારાં સંતાનમાં આશીર્વાદ પામશે.5હું એમ કરીશ કેમ કે ઇબ્રાહિમે મારી વાણી માનીને મારું ફરમાન, મારી આજ્ઞાઓ, મારા વિધિઓ તથા મારા નિયમો પાળ્યા છે."6તેથી ઇસહાક ગેરારમાં રહ્યો.7જયારે ત્યાંના માણસોએ તેની પત્ની વિષે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, "તે મારી બહેન છે." કેમ કે તે મારી પત્ની છે, એવું કહેતાં તે ગભરાતો હતો, રખેને ત્યાંના માણસો રિબકાને લીધે તેને મારી નાખે, કારણ કે તે રૂપાળી હતી."8પછી ઇસહાક ત્યાં ઘણો સમય રહ્યો અને પલિસ્તીઓના રાજા અબીમેલેખે બારીએથી જોયું તો જુઓ, ઇસહાક અને તેની પત્ની રિબકાને લાડ કરતો હતા.9અબીમેલેખે ઇસહાકને બોલાવીને કહ્યું, "જો, તે નિશ્ચે તારી પત્ની છે. તો પછી તું એમ કેમ બોલ્યો કે, 'તે મારી બહેન છે?'" ઇસહાકે તેને કહ્યું, "મેં એવું વિચારેલું કે તેને પડાવી લેવા માટે કદાચ મને કોઈ મારી નાખે."10અબીમેલેખે કહ્યું, "તેં આ અમને શું કર્યું છે? લોકોમાંથી કોઈપણ એક જણે તારી પત્ની સાથે સંબંધ બાંધ્યો હોત અને એવું કર્યાને લીધે તેં અમારી પાસે અપરાધ કરાવ્યો હોત."11તેથી અબીમેલેખે સર્વ લોકોને ચેતવીને કહ્યું, "આ માણસને અથવા તેની પત્નીને નુકશાન કરનાર તે નિશ્ચે માર્યો જશે."12ઇસહાકે તે દેશમાં વાવણી કરી અને તે જ વર્ષે સો ગણી કાપણી કરી, કેમ કે ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો હતો.13તે ધનવાન થયો અને વૃદ્ધિ પામતાં ઘણો પ્રતિષ્ઠિત થયો.14તેની પાસે ઘણાં ઘેટાં તથા અન્ય જાનવર થયાં અને તેનું કુટુંબ પણ મોટું થયું. તેથી પલિસ્તીઓને તેના પ્રત્યે અદેખાઈ થઈ.15તેથી તેના પિતા ઇબ્રાહિમના દિવસોમાં જે સર્વ કૂવા તેના પિતાના દાસોએ ખોદ્યા હતા તે પલિસ્તીઓએ માટીથી પૂરી દીધા હતા.16અબીમેલેખે ઇસહાકને કહ્યું, "તું અમારી પાસેથી દૂર જા, કેમ કે તું અમારા કરતાં ઘણો બળવાન થયો છે."17તેથી ઇસહાક ત્યાંથી નીકળીને ગેરારના નીચાણમાં જઈને વસ્યો.18તેના પિતા ઇબ્રાહિમના દિવસોમાં પાણીના જે કૂવા હતા જે તેના મરણ પછી પલિસ્તીઓએ પૂરી દીધા હતા, તે કૂવાઓ ઇસહાકે ફરીથી ખોદાવ્યા. તે કૂવાઓનાં જે નામ તેના પિતાએ રાખ્યા હતાં, તે જ નામ ઇસહાકે રાખ્યાં.19જયારે ઇસહાકના દાસોએ ખીણમાં ખોદ્યું ત્યારે તેઓને ત્યાં વહેતા પાણીનો એક કૂવો મળ્યો.20"એ પાણી અમારું છે" એમ કહેતાં ગેરારના ઘેટાંપાળકો ઇસહાકના ઘેટાંપાળકો સાથે ઝઘડયા અને તેથી તે કૂવાનું નામ ઇસહાકે "એસેક1 " રાખ્યું, કેમ કે તેઓ તેની સાથે ઝઘડ્યા હતા.21પછી તેઓએ બીજો કૂવો ખોદ્યો અને તે વિષે પણ તેઓ ઝઘડ્યા, તેથી તેણે તેનું નામ "સિટના2 " એટલે ગુસ્સાનો કૂવો રાખ્યું.22ત્યાંથી નીકળી જઈને તેણે બીજો કૂવો ખોદ્યો પણ તેને સારુ તેઓ ઝઘડયા નહિ. તેથી તેણે તેનું નામ રહોબોથ3 રાખ્યું જેનો અર્થ એ છે કે, 'હવે ઈશ્વરે અમારા માટે જગ્યા કરી છે તેથી આ દેશમાં અમે સમૃદ્ધ થઈશું.'23પછી ઇસહાક ત્યાંથી બેરશેબા ગયો.24તે જ રાત્રે તેને દર્શન આપીને ઈશ્વરે કહ્યું, "હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું. બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ અને તારો વંશ વધારીશ."25ઇસહાકે ત્યાં વેદી બાંધી અને ઈશ્વર સાથે વાત કરી. ત્યાં તેણે તેનો તંબુ બાંધ્યો અને તેના દાસોએ એક કૂવો ખોદ્યો.
1જયારે ઇસહાક વૃદ્ધ થયો અને તેની આંખોનું તેજ એટલું બધું ઘટ્યું કે તે નિહાળી શકતો ન હતો. ત્યારે તેણે પોતાના મોટા દીકરા એસાવને બોલાવીને કહ્યું, "મારા દીકરા." તેણે તેને કહ્યું, "બોલો પિતાજી."2તેણે કહ્યું, "અહીં જો, હું વૃદ્ધ થયો છું. મારા મરણનો દિવસ હું જાણતો નથી.3તે માટે તારાં હથિયાર, એટલે તારા બાણનો ભાથો અને તારું ધનુષ્ય લઈને જંગલમાં જા. મારા માટે શિકાર કર.4મને પસંદ છે તેવું સ્વાદિષ્ટ ભોજન મારે માટે તૈયાર કર અને મારી પાસે લાવ કે, તે હું ખાઉં અને હું મરણ પામું તે પહેલાં તને આશીર્વાદ આપું."5હવે જયારે ઇસહાક તેના દીકરા એસાવની સાથે વાત કરતો હતો ત્યારે રિબકાએ તે સાંભળ્યું હતું. એસાવ શિકાર કરી લાવવા માટે જંગલમાં ગયો.6ત્યારે રિબકાએ તેના નાના દીકરા યાકૂબને કહ્યું, "જો, તારા ભાઈ એસાવની સાથે તારા પિતાને મેં વાત કરતા સાંભળ્યા છે. તેમણે કહ્યું,7'તું શિકાર લાવીને મારે સારુ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર, કે હું તે ખાઉં અને હું મરણ પામું તે અગાઉ ઈશ્વરની હજૂરમાં તને આશીર્વાદ આપું.'8માટે, મારા દીકરા, હું તને જે આજ્ઞા કરું તે પ્રમાણે મારું કહેવું માન.9તું આપણાં ટોળાંમાંથી ઘેટાંબકરાંનાં બે સારાં લવારાં મારી પાસે લઈ આવ. તેનું હું તારા પિતાને ભાવતું સ્વાદિષ્ટ ભોજન તેમને માટે બનાવી આપીશ.10તે તું તારા પિતા આગળ લઈ જજે, કે જેથી તે ખાઈને તેમના મરણ અગાઉ તને આશીર્વાદ આપે."11યાકૂબે તેની માતા રિબકાને કહ્યું, "મારો ભાઈ એસાવ રુંવાટીવાળો માણસ છે અને હું સુંવાળો છું.12કદાચ મારો પિતા મને સ્પર્શ કરે અને હું પકડાઈને તેમને છેતરનાર જેવો માલૂમ પડું તો મારા પર આશીર્વાદને બદલે શાપ નહિ આવી પડે?13તેની માતાએ તેને કહ્યું, "મારા દીકરા, તે શાપ મારા પર આવો. માત્ર મારું કહેવું માન અને જઈને લવારાં લઈ આવ."14તેથી યાકૂબ ગયો અને લવારાં લઈને તેની માતાની પાસે આવ્યો; તેની માતાએ તેના પિતાને ભાવતું હતું તેવું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું.15રિબકાએ તેના જયેષ્ઠ દીકરા એસાવનાં સારાં વસ્ત્ર જે તેની પાસે ઘરમાં હતાં તે લઈને તેના નાના દીકરા યાકૂબને પહેરાવ્યાં.16તેણે તેના બન્ને હાથ પર તથા તેના ગળાના સુંવાળા ભાગ પર લવારાનાં ચર્મ વીંટાળી દીધાં.17વળી તેણે તૈયાર કરેલું સ્વાદિષ્ટ ભોજન રોટલી તથા શાક તેના દીકરા યાકૂબના હાથમાં આપ્યાં.18યાકૂબે તેના પિતા પાસે જઈને કહ્યું, "મારા પિતા." તેણે કહ્યું, "મારા દીકરા, હું આ રહ્યો, તું કોણ છે?"19યાકૂબે તેના પિતાને કહ્યું, "હું એસાવ તમારો જયેષ્ઠ દીકરો છું; તમારું કહ્યા પ્રમાણે મેં કર્યું છે. હવે, બેઠા થઈને મારો શિકાર ખાઓ અને મને આશીર્વાદ આપો."20ઇસહાકે તેના દીકરાને કહ્યું, "મારા દીકરા, તને આટલો જલ્દી શિકાર કેવી રીતે મળ્યો?" તેણે કહ્યું, "કેમ કે ઈશ્વર તારા પ્રભુ, તેને મારી પાસે લાવ્યા."21ઇસહાકે યાકૂબને કહ્યું, "મારા દીકરા, મારી નજીક આવ જેથી હું તને સ્પર્શ કરું અને જાણું કે તું જ મારો સાચો દીકરો એસાવ છે કે નહિ?22યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો; ઇસહાકે તેને સ્પર્શીને કહ્યું, "આ અવાજ તો યાકૂબનો અવાજ છે પણ હાથ તો એસાવના છે."23તેના હાથ તેના ભાઈ એસાવના જેવા રુંવાટીવાળા હતા માટે ઇસહાક તેને ઓળખી શક્યો નહિ, તેથી તેણે તેને આશીર્વાદ આપવાનું નક્કી કર્યું.24તેણે કહ્યું, "શું તું નિશ્ચે મારો દીકરો એસાવ જ છે?" અને તેણે કહ્યું, "હા, હું એ જ છું."25ઇસહાકે કહ્યું, "એ ભોજન મારી પાસે લાવ એટલે હું તારો શિકાર ખાઉં અને તને આશીર્વાદ આપું." યાકૂબ તેની પાસે ભોજન લાવ્યો. ઇસહાકે ખાધું અને યાકૂબ તેના માટે જે દ્રાક્ષાસવ લાવ્યો હતો તે પણ તેણે પીધો.26પછી તેના પિતા ઇસહાકે તેને કહ્યું, "મારા દીકરા, હવે પાસે આવ અને મને ચુંબન કર.27યાકૂબે તેની પાસે આવીને તેને ચુંબન કર્યું. તેણે તેનાં વસ્ત્રોની સુગંધ લીધી અને તેને આશીર્વાદ આપીને કહ્યું,
1ઇસહાકે યાકૂબને બોલાવીને તેને આશીર્વાદ આપ્યો અને તેને આજ્ઞા આપી, "કનાન દેશની કન્યાઓમાંથી તું કોઈની સાથે લગ્ન કરીશ નહિ.2ઊઠ, પાદ્દાનારામમાં તારી માતાના પિતા બથુએલને ઘરે જા અને ત્યાંથી તારી માતાના ભાઈ એટલે તારા મામા લાબાનની દીકરીઓમાંથી એકની સાથે તું લગ્ન કર.3સર્વસમર્થ ઈશ્વર તને આશીર્વાદ આપે, ફળવંત કરે અને વૃદ્ધિ આપે કે જેથી તારા સંતાનો અસંખ્ય થાય.4ઇબ્રાહિમને આપેલો આશીર્વાદ ઈશ્વર તને તથા તારા પછીના તારાં સંતાનને પણ આપે અને જે દેશ ઈશ્વરે ઇબ્રાહિમને આપેલો છે જેમાં તું પ્રવાસી છે તેનો વારસો તને મળે."5ઇસહાકે યાકૂબને વિદાય કર્યો. યાકૂબ પાદ્દાનારામમાં બથુએલ અરામીના દીકરા અને યાકૂબ તથા એસાવની માતા રિબકાના ભાઈ લાબાનને ત્યાં ગયો.
1પછી યાકૂબ ત્યાંથી આગળ મુસાફરી કરીને પૂર્વના લોકોના દેશમાં આવ્યો.2તેણે જોયું કે, ખેતરમાં એક કૂવો હતો. ત્યાં તેની નજીક ઘેટાંનાં ત્રણ ટોળાં હતાં. તે કૂવામાંથી તેઓ ટોળાંને પાણી પીવડાવતા હતા. કૂવા પર મોટો પથ્થર ઢાંકવામાં આવેલો હતો.3જયારે ત્યાં સર્વ ટોળાં ભેગાં થતાં ત્યારે ઘેટાંપાળકો કૂવાના પથ્થરને ગબડાવી દેતા અને ઘેટાંને પાણી પીવડાવતા હતા પછી તે પથ્થરને પાછો તેની જગ્યાએ કૂવા પર મૂકી દેતાં.4યાકૂબે તેઓને પૂછ્યું, "મારા ભાઈઓ, તમે ક્યાંના છો?" તેઓએ કહ્યું, "અમે હારાનના છીએ."5તેણે તેઓને પૂછ્યું, "શું તમે નાહોરના દીકરા લાબાનને ઓળખો છો?" તેઓએ કહ્યું, "હા, અમે તેને ઓળખીએ છીએ."6તેણે તેઓને પૂછ્યું, "શું તે ક્ષેમકુશળ છે?" તેઓએ કહ્યું, "તે ક્ષેમકુશળ છે. તું સામે જો, તેની દીકરી રાહેલ ઘેટાંને લઈને આવી રહી છે."7યાકૂબે કહ્યું, "હજી તો સાંજ પડી નથી. ઘેટાંને ભેગા કરવાનો સમય થયો નથી. માટે તમે ઘેટાંને પાણી પીવડાવો, પછી તેઓને લઈ જાઓ અને ચરવા દો."8તેઓએ કહ્યું, "ઘેટાંનાં બધાં ટોળાં અને ભરવાડો એકઠાં નહિ થાય ત્યાં સુધી અમે તેઓને પાણી પીવડાવી શકતા નથી. કૂવા પરથી પથ્થર ખસેડાય તે પછી અમે ઘેટાંને પાણી પીવડાવી શકીએ છે.9તે તેઓની સાથે વાત કરતો હતો એટલામાં રાહેલ તેના પિતાનાં ઘેટાં લઈને આવી. તે તેઓને ચરાવતી અને સાચવતી હતી.10યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેમનાં ઘેટાંને જોયાં ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ખસેડ્યો અને તેના મામા લાબાનના ઘેટાંને પાણી પાયું.11યાકૂબે રાહેલને ચુંબન કર્યું અને રડી પડ્યો.12યાકૂબે રાહેલને જણાવ્યું કે, "હું તારા પિતાનો સંબંધી એટલે તેની બહેન રિબકાનો દીકરો છું." એ જાણીને રાહેલે દોડી જઈને તેના પિતાને ખબર આપી.13જયારે લાબાને તેની બહેનના દીકરા યાકૂબની ખબર સાંભળી ત્યારે તે તેને મળવા દોડી આવ્યો અને ભેટીને તેને ચૂમ્યો અને તેને પોતાના ઘરે લાવ્યો. યાકૂબે લાબાનને પોતાના આવવા વિષેની વાત કરી.14લાબાને તેને કહ્યું, "વાસ્તવમાં, આપણે એક જ લોહી તથા માંસના છીએ." પછી યાકૂબ તેની સાથે લગભગ એક મહિના સુધી રહ્યો.
1જયારે રાહેલે જોયું કે તે પોતે બાળકોને જન્મ આપી શકતી નથી ત્યારે તેણે તેની બહેન પર અદેખાઈ રાખી અને યાકૂબને કહ્યું, "મને બાળકો આપ નહિ તો હું મરી જઈશ."2યાકૂબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું, "ઈશ્વર જેમણે તને બાળકોનો જન્મ આપતા અટકાવી છે, શું હું તેમને સ્થાને છું?"3તેણે કહ્યું, "તું, મારી દાસી બિલ્હાની પાસે જા કે જેથી તે તારા સંબંધથી બાળકોને જન્મ આપે અને તેનાથી હું બાળકો મેળવી શકું."4તેણે પત્ની તરીકે તેની દાસી બિલ્હા યાકૂબને આપી અને યાકૂબે તેની સાથે પત્ની તરીકેનો સંબંધ રાખ્યો.5બિલ્હા ગર્ભવતી થઈ. તેણે યાકૂબના દીકરાને જન્મ આપ્યો.6પછી રાહેલે કહ્યું, "ઈશ્વરે મારું સાંભળ્યું છે. તેમણે નિશ્ચે મારી વિનંતી સાંભળીને મને દીકરો આપ્યો છે." તે માટે તેણે તેનું નામ 'દાન' પાડ્યું.7રાહેલની દાસી બિલ્હા ફરી ગર્ભવતી થઈ અને તેણે યાકૂબના બીજા દીકરાને જન્મ આપ્યો.8રાહેલે કહ્યું, "મેં મારી બહેન સાથે જબરદસ્ત લડાઈ લડી છે અને હું જીતી છું." તેણે તેનું નામ 'નફતાલી' પાડ્યું.9જયારે લેઆએ જોયું કે તેને પોતાને સંતાન જનમવાનું બંધ થયું છે, ત્યારે તેણે તેની દાસી ઝિલ્પાને યાકૂબની પત્ની થવા સારુ આપી.10લેઆની દાસી ઝિલ્પાએ યાકૂબના દીકરાને જન્મ આપ્યો.11લેઆએ કહ્યું, "આના પર ઈશ્વરની દયા છે!" તેથી તેણે તેનું નામ 'ગાદ' પાડ્યું.12પછી લેઆની દાસી ઝિલ્પાને યાકૂબથી બીજો દીકરો જન્મ્યો.13લેઆએ કહ્યું, "હું આશિષીત છું! કેમ કે અન્ય સ્ત્રીઓ મને આશીર્વાદિત માનશે." તેથી તેણે તેનું નામ 'આશેર' એટલે આશિષીત પાડ્યું.14રુબેન ઘઉંની કાપણીના દિવસોમાં ખેતરમાં ગયો હતો ત્યાં એક છોડ પર રીંગણાં1 હતા. તેમાંથી કેટલાંક રીંગણાં તે લેઆની પાસે લઈ આવ્યો. તે જોઈને રાહેલે લેઆને કહ્યું, "તારા દીકરાના રીંગણાંમાંથી થોડાં મને આપ."15લેઆએ તેને કહ્યું, "તેં મારા પતિને લઈ લીધો છે, એ શું ઓછું છે? તો હવે મારા દીકરાનાં રીંગણાં પણ તારે લેવાં છે?" રાહેલે કહ્યું, "તારા દીકરાનાં રીંગણાં બદલે આજ રાત્રે યાકૂબ તારી સાથે સહશયન કરશે."16સાંજે યાકૂબ ખેતરમાંથી આવ્યો. લેઆ તેને મળવાને બહાર ગઈ અને કહ્યું, "આજે રાત્રે તારે મારી સાથે સહશયન કરવાનું છે. કેમ કે મારા દીકરાનાં રીંગણાં આપીને મેં આ શરત કરી છે." માટે તે રાત્રે યાકૂબ તેની સાથે સૂઈ ગયો.17ઈશ્વરે લેઆનું સાંભળ્યું અને તે ગર્ભવતી થઈ. તેણે યાકૂબના પાંચમા દીકરાને જન્મ આપ્યો.18લેઆએ કહ્યું, "ઈશ્વરે મને બદલો આપ્યો છે, કેમ કે મેં મારા પતિને મારી દાસી આપી હતી." તેણે તેનું નામ 'ઇસ્સાખાર2 ' પાડ્યું.19લેઆ ફરી ગર્ભવતી થઈ અને તેણે યાકૂબના છઠ્ઠા દીકરાને જન્મ આપ્યો.20લેઆએ કહ્યું, "ઈશ્વરે મને સારી ભેટ આપી છે. હવે મારો પતિ મને માન આપશે, કેમ કે મેં તેના છ દીકરાને જન્મ આપ્યો છે. "માટે તેણે તેનું નામ ઝબુલોન3 પાડ્યું.21ત્યાર પછી તેણે એક દીકરીને જન્મ આપ્યો અને તેણીએ તેનું નામ દીના પાડ્યું.22ઈશ્વરે રાહેલને યાદ કરીને તેની પ્રાર્થના સાંભળી. તેને સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ આપ્યો.23તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, "ઈશ્વરે મારી શરમ દૂર કરી છે"24તેણે તેનું નામ 'યૂસફ' પાડીને કહ્યું, "ઈશ્વર એક બીજો દીકરો પણ મને આપો."
1હવે યાકૂબે લાબાનના દીકરાઓને એવી વાતો કહેતા સાંભળ્યાં કે, "જે સઘળું આપણા પિતાનું હતું તે યાકૂબે લઈ લીધું છે. આપણા પિતાની સર્વ સંપત્તિ તેણે મેળવી છે."2યાકૂબે લાબાનના મુખ પર જોતાં તેને જણાયું કે તેના પ્રત્યેનું લાબાનનું વલણ બદલાયેલું છે.3પછી ઈશ્વરે યાકૂબને કહ્યું, "તું તારા પિતૃઓના દેશમાં તથા તારા કુટુંબીજનો પાસે પાછો જા અને હું તારી સાથે હોઈશ.4યાકૂબે માણસ મોકલીને રાહેલને તથા લેઆને ખેતરમાં તેના ટોળાં પાસે બોલાવી લીધાં.5અને તેઓને કહ્યું, "તમારા પિતાનું મારા પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે પણ મારા પિતાના ઈશ્વર મારી સાથે છે.6તમે જાણો છો કે મેં મારા પૂરા સામર્થ્ય સહિત તમારા પિતાની ચાકરી કરી છે.7તમારા પિતાએ મને ઠગ્યો છે અને મારા વેતનનો કરાર દસ વાર ભંગ કરેલો છે. પણ ઈશ્વરે તેનાથી મારું નુકસાન થવા દીધું નહિ."8તેણે કહ્યું હતું કે, 'છાંટવાળાં પશુઓ તારું વેતન થશે,' પછી સર્વ પ્રાણીઓને છાંટવાળાં બચ્ચાં થયાં. વળી તેણે કહ્યું, પટ્ટાવાળાં પશુઓ તારું વેતન થશે અને પછી સર્વ પશુઓને પટ્ટાવાળાં બચ્ચાં જન્મ્યાં.9એ રીતે ઈશ્વરે તમારા પિતાના જાનવરોને લઈને મને આપ્યાં છે.10એક વાર મેં સ્વપ્નમાં જોયું કે ગર્ભધારણ કરવાની ઋતુમાં જે બકરાં ટોળાં સાથે મળીને આવતાં હતાં તેઓ પટ્ટાદાર, છાંટવાળાં તથા કાબરચીતરાં હતાં.11ઈશ્વરના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, 'યાકૂબ.' મેં કહ્યું, 'હું આ રહ્યો.'12તેણે કહ્યું, 'તારી આંખો ઊંચી કરીને જો કે ટોળાં સાથે જે બકરાં સંબંધ બાંધે છે તેઓ સર્વ પટ્ટાદાર, છાંટવાળા તથા કાબરચીતરા છે. કેમ કે લાબાન તને જે કરે છે તે સર્વ મેં જોયું છે.13જ્યાં તેં સ્તંભને અભિષિક્ત કર્યો હતો અને જ્યાં તેં મારી પ્રતિજ્ઞા લીધી હતી, તે બેથેલનો ઈશ્વર હું છું. હવે આ દેશમાંથી તું તારી જન્મભૂમિના દેશમાં પાછો જા."14રાહેલે તથા લેઆએ તેને ઉત્તર આપ્યો, "શું અમારા પિતાના ઘરમાં અમારે સારુ કંઈ હિસ્સો કે વારસો છે?15શું તેમણે અમારી સાથે વિદેશી જેવો વ્યવહાર કર્યો નથી? કેમ કે તેણે અમને વેચી દીધી છે અને અમારા તમામ પૈસા પણ ખાઈ ગયા છે.16કેમ કે ઈશ્વરે અમારા પિતા પાસેથી જે સંપત્તિ લઈ લીધી, તે સર્વ અમારી તથા અમારા બાળકોની છે. તો પછી હવે, ઈશ્વરે તમને જે કંઈ કહ્યું છે તે પ્રમાણે કરો."17પછી યાકૂબે ઊઠીને તેના દીકરાઓને તથા તેની પત્નીઓને ઊંટો પર બેસાડ્યાં.18તેના પિતા ઇસહાકના દેશ કનાન તરફ જવાને તેણે તેનાં સર્વ ઘેટાંબકરાં તથા જે બધી સંપત્તિ તેણે મેળવી હતી, એટલે જે અન્ય જાનવરોની સંપત્તિ તેણે પાદ્દાનારામમાં પ્રાપ્ત કરી હતી તે બધાની સાથે ત્યાં રવાના થવાની શરૂઆત કરી.19પછી લાબાન પોતાનાં ઘેટાંને કાતરવા ગયો હતો અને રાહેલે તેના પિતાના ઘરની મૂર્તિઓ ચોરી લીધી હતી.20યાકૂબે પોતાના જવાની ખબર તેને આપી નહિ અને લાબાન અરામીને છેતર્યો.21તેની પાસે જે હતું તે સર્વ લઈને તે વિદાય થયો અને ઝડપથી નદી પાર ઊતરી ગયો અને ગિલ્યાદ પર્વત તરફ આગળ વધ્યો.
1યાકૂબ પણ પોતાના રસ્તે ચાલતો થયો અને રસ્તામાં ઈશ્વરના દૂતો તેને મળ્યા.2જયારે યાકૂબે તેઓને જોયા ત્યારે તે બોલ્યો, "આ તો ઈશ્વરની છાવણી છે," તેથી તેણે તે જગ્યાનું નામ 'માહનાઇમ1 ' પાડ્યું.3યાકૂબે પોતાની આગળ અદોમના દેશમાંના સેઈર પ્રદેશમાં તેના ભાઈ એસાવની પાસે સંદેશાવાહકો મોકલ્યા.4તેણે તેઓને આજ્ઞા આપીને કહ્યું, "મારા માલિક એસાવને તમે એમ કહેજો: તારો સેવક યાકૂબ કહે છે કે: 'આજ સુધી મામા લાબાનને ત્યાં હું રહ્યો હતો.5મારી પાસે બળદ, ગધેડાં, ઘેટાંબકરાં, દાસ તથા દાસીઓ છે. મેં મારા માણસોને આ ખબર આપવાને મારા ઘણી પાસે મોકલ્યા છે, જેથી તું મારા પ્રત્યે ભલાઈ અને સહાનુભૂતિ દર્શાવે."6એસાવને મળીને પાછા આવ્યા પછી સંદેશાવાહકોએ યાકૂબને કહ્યું, "અમે તારા ભાઈ એસાવની પાસે ગયા હતા. તે તને મળવાને આવી રહ્યો છે અને તેની સાથે ચારસો માણસો છે.7તેથી યાકૂબ ઘણો ગભરાઈને ચિંતાતુર થયો. તેણે પોતાની સાથેના લોકોના, ઘેટાંબકરાંના, ઊંટોના તથા અન્ય જાનવરોના ભાગ પાડીને બે છાવણી કરી.8તેણે કહ્યું, "જો એસાવ એક છાવણી પાસે આવીને તેની પર હુમલો કરે, તો બાકી રહેલી છાવણી બચી જશે.9યાકૂબે કહ્યું, "પ્રભુ, મારા પિતા ઇબ્રાહિમ તથા પિતા ઇસહાકના ઈશ્વર, જેમણે મને કહ્યું હતું, 'તું તારા દેશ તથા તારા સંબંધીઓની પાસે પાછો જા અને હું તને સમૃદ્ધ કરીશ,'10તમે કરેલા કરાર સંબંધી તમે મારા પર જે કૃપા કરી છે તેને તથા તમારી સત્યનિષ્ઠાને હું લાયક જ નથી. કેમ કે હું કેવળ મારી લાકડી લઈને યર્દન પાર ગયો હતો અને હવે મારી પાસે જાનવરોના ટોળાંની બે છાવણી છે.11કૃપા કરીને મારા ભાઈના હાથથી એટલે એસાવના હાથથી મને બચાવો, કેમ કે હું તેનાથી ગભરાઉં છું કે તે આવીને મારા પર, મારા દીકરાઓ પર તથા તેઓની માતાઓ પર હુમલો કરે.12પણ તમે તો કહેલું છે કે, 'નિશ્ચે હું તને સમૃદ્ધ કરીશ અને સમુદ્રના કાંઠાની રેતી જેની સંખ્યા ગણી શકાય નહિ, તેના જેટલો તારો વંશ કરીશ.'"13યાકૂબ તે રાત્રે ત્યાં જ રહ્યો. તેના ભાઈ એસાવને ભેટ આપવા સારુ તેની પાસે જે હતું તેમાંથી તેણે થોડું લીધું.14એટલે બસો બકરીઓ, વીસ બકરાં, બસો ઘેટીઓ તથા વીસ ઘેટાં,15ત્રીસ દુઝણી ઊંટડી તેઓનાં બચ્ચાં સહિત, ચાળીસ ગાય, દસ બળદ, વીસ ગધેડીઓ તથા દસ ગધેડાં લીધાં.16એ સર્વના જુદાં જુદાં ટોળાં કરીને તેણે તેના દાસોના હાથમાં સોંપ્યાં અને તેના દાસોને કહ્યું, "તમે મારી આગળ જાઓ અને દરેક ટોળાંઓની વચ્ચે અંતર રાખો.17તેણે પહેલાને આજ્ઞા આપી, "મારો ભાઈ એસાવ તને મળે અને તને પૂછે, 'તું ક્યાંનો છે? તું ક્યાં જાય છે? તારી આગળ આ જે પ્રાણીઓ ચાલે છે તે કોનાં છે?'18ત્યારે તું કહેજે, 'તેઓ તારા દાસ યાકૂબનાં છે. તેઓ મારા મોટા ભાઈ અને માલિક એસાવને મોકલેલી ભેટ છે. અને જો, તે પણ અમારી પાછળ આવે છે.'"19યાકૂબે બીજાને, ત્રીજાને તથા જે માણસો ટોળાંની પાછળ જતા હતા તે સર્વને પણ સૂચનો આપ્યાં કે, "જયારે તમે એસાવને મળો ત્યારે એ જ પ્રમાણે કહેજો.20તમે એમ પણ કહેજો, 'તારો દાસ યાકૂબ અમારી પાછળ આવે છે.''' કેમ કે તેણે વિચાર્યું, "જે ભેટો મારી આગળ જાય છે, તેથી હું તેને શાંત કરીશ. જયારે પાછળથી હું તેને મળીશ ત્યારે કદાચ તે મારો સ્વીકાર કરે."21તેથી સર્વ ભેટો તેની આગળ ગઈ. તે રાત્રે તે પોતાની છાવણીમાં રહ્યો.
1યાકૂબે સામે દૂર સુધી નજર કરી તો જોવામાં આવ્યું કે, એસાવ તથા તેની સાથે ચારસો માણસો આવી રહ્યા હતા. યાકૂબે લેઆને, રાહેલને તથા તેઓની બે દાસીઓને બાળકો વહેંચી આપ્યાં.2પછી તેણે દાસીઓને તથા તેઓનાં સંતાનોને આગળ રાખ્યાં, તે પછી લેઆ તથા તેના પુત્રો અને તે પછી છેલ્લે રાહેલ તથા યૂસફને રાખ્યાં.3તે પોતે સૌની આગળ ચાલતો રહ્યો. તેના ભાઈની પાસે તે આવ્યો ત્યાં સુધીમાં તેણે સાત વાર નમીને તેને દંડવત પ્રણામ કર્યા.4એસાવ તેને મળવાને ઉતાવળે આવ્યો. તે તેને ગળે ભેટીને ચૂમ્યો. પછી તેઓ ભાવુક થઈને રડી પડ્યા.5જયારે એસાવે સામે જોયું તો તેણે સ્ત્રીઓ તથા છોકરાંને જોયા. તેણે કહ્યું, "તારી સાથે આ કોણ છે?" યાકૂબે કહ્યું, તેઓ તો ઈશ્વરે કૃપા કરીને તારા દાસને આપેલાં સંતાનો છે."6પછી દાસીઓ તેઓનાં સંતાનો સાથે આગળ આવી અને તેઓએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.7પછી લેઆ પણ તેનાં સંતાનો સાથે આવી અને તેઓએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. છેલ્લે યૂસફ તથા રાહેલ આવ્યાં અને તેઓએ પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.8એસાવે કહ્યું, "આ જે સર્વ જાનવરોના ટોળાં મને મળ્યાં તેનો મતલબ શું છે?" યાકૂબે કહ્યું, "મારા માલિકની નજરમાં કૃપા પામવા માટેની એ ભેટ છે."9એસાવ બોલ્યો, "મારા ભાઈ, મારી પાસે પૂરતું છે. તારું સઘળું તું તારી પાસે રાખ."10યાકૂબે કહ્યું, "એમ નહિ, જો હું તારી નજરમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરી મારા હાથથી મારી ભેટ સ્વીકાર, કેમ કે જાણે ઈશ્વરનું મુખ જોયું હોય તેમ મેં તારું મુખ જોયું છે અને તેં મને સ્વીકાર્યો છે.11મારી જે ભેંટ તારી પાસે લાવવામાં આવી છે તે કૃપા કરી સ્વીકાર, કેમ કે ઈશ્વરે મારા ઉપર કૃપા કરી છે તેથી મારી પાસે પુષ્કળ છે." યાકૂબે તેને આગ્રહ કર્યો અને એસાવે તેનો સ્વીકાર કર્યો.12પછી એસાવે કહ્યું, "ચાલો, આપણે આપણા રસ્તે જઈએ. હું તારી આગળ ચાલીશ."13યાકૂબે તેને કહ્યું, "મારા માલિક તું જાણે છે કે સંતાનો કિશોર છે અને બકરીઓનાં તથા અન્ય જાનવરોના બચ્ચાં મારી સાથે છે. જો તેઓને એક દિવસ પણ વધારે લાંબા અંતરે હાંકવામાં આવે તો સર્વ ટોળાં મરી જાય એવું થાય.14માટે મારા માલિક તારા દાસની આગળ જા. હું સેઈરમાં તારી પાસે આવી પહોંચીશ, ત્યાં સુધી જે જાનવરો મારી આગળ છે તેઓ તથા સંતાનો ચાલી શકે તે પ્રમાણે હું ધીમે ધીમે ચાલતો આવીશ."15એસાવે કહ્યું, "મારી સાથેના લોકોમાંથી હું થોડા તારી પાસે રહેવા દઉં છું." પણ યાકૂબે કહ્યું, "શા માટે? હું મારા માલિકની નજરમાં કૃપા પામું એટલું પૂરતું છે."16તેથી તે દિવસે એસાવ સેઈર જવાને પાછો ફર્યો.17સુક્કોથમાં યાકૂબ ચાલતો આવ્યો, તેણે પોતાને માટે ઘર બાંધ્યું અને તેનાં ઢોરને માટે આશ્રયસ્થાનો બનાવ્યા. એ માટે તે જગ્યાનું નામ સુક્કોથ પડ્યું.18જયારે યાકૂબ પાદ્દાનારામમાંથી આવ્યો, ત્યારે તે કનાન દેશના શખેમ સુધી સહીસલામત આવ્યો. તેણે શહેરની નજીક મુકામ કર્યો.19પછી જે જમીનના ટુકડામાં તેણે પોતાનો મુકામ કર્યો હતો, તે જમીન તેણે શખેમના પિતા હમોરના દીકરાઓની પાસેથી સો ચાંદીના સિક્કાથી વેચાતી લીધી.20ત્યાં તેણે વેદી બાંધી અને તેનું નામ એલ-એલોહે ઇઝરાયલ1 પાડ્યું.
1હવે લેઆથી જન્મેલી યાકૂબની દીકરી દીના તે દેશની સ્ત્રીઓને મળવા બહાર ગઈ.2હમોર હિવ્વી જે દેશનો હાકેમ હતો, તેના દીકરા શખેમે તેને જોઈને તેને પકડી અને બળાત્કાર કર્યો.3યાકૂબની દીકરી દીના પર તેનું દિલ મોહી પડ્યું. તેણે તે જુવાન દીના પર પ્રેમ કર્યો અને તેણે તેની સાથે વાત કરી.4શખેમે પોતાના પિતા હમોરને કહ્યું, "આ યુવાન કન્યા સાથે મારું લગ્ન કરાવી આપ."5હવે યાકૂબે સાંભળ્યું કે મારી દીકરી દીનાની સાથે તેણે બળાત્કાર કર્યો છે. તેના દીકરા ખેતરમાં જાનવરોની પાસે હતા, તેથી તેઓ આવ્યા ત્યાં સુધી યાકૂબ ચૂપ રહ્યો.6શખેમનો પિતા હમોર યાકૂબની સાથે વાતચીત કરવાને તેની પાસે બહાર ગયો.7જયારે યાકૂબના દીકરાઓએ એ સાંભળ્યું ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને ખેતરમાંથી આવ્યા. તેઓ ક્રોધિત થયા, કેમ કે શખેમે યાકૂબની દીકરી સાથે બળાત્કાર કરીને ઇઝરાયલને બદનામ કર્યું હતું આ બનાવ અણઘટતો હતો.8હમોર તેઓની સાથે વાતચીત કરીને બોલ્યો, "મારો દીકરો શખેમ તમારી દીકરીને પ્રેમ કરે છે. કૃપા કરી તેને તેની સાથે લગ્ન કરાવી આપો.9આપણે અરસપરસ વિવાહ કરીએ, એટલે તમારી દીકરીઓ અમને આપો અને અમારી દીકરીઓ તમે પોતાને માટે લો.10તમે અમારી સાથે રહો અને દેશ તમારી આગળ છે, તેમાં તમે રહો અને વેપાર કરીને માલમિલકત મેળવો.11શખેમે તેના પિતા તથા ભાઈઓને કહ્યું, "મહેરબાની કરીને મારી પર કૃપા દર્શાવો, તો તમે મને જે કહેશો તે હું આપીશ.12તમે મારી પાસે ગમે તેટલું મૂલ્ય તથા ભેટ માગો અને જે તમે મને કહેશો, તે પ્રમાણે આપીશ, પણ આ યુવાન કન્યા દીનાના લગ્ન મારી સાથે કરાવો."13તેઓની બહેન દીના પર તેણે બળાત્કાર કર્યો હતો, માટે યાકૂબના દીકરાઓએ શખેમ તથા તેના પિતા હમોરને કપટથી ઉત્તર આપ્યો.14તેઓએ તેઓને કહ્યું, "જે માણસની સુન્નત ન થઈ હોય તેને અમારી બહેન આપવી એ કામ અમે કરી શકતા નથી, કેમ કે તેથી અમારી બદનામી થાય.15કેવળ આ શરતે અમે તમારું માનીએ કે: જેમ અમે સુન્નત પામેલા છીએ, તેમ તમારાં સર્વ પુરુષોની સુન્નત કરાય.16પછી અમે અમારી દીકરીઓનાં લગ્ન તમારી સાથે કરાવીએ, તમારી દીકરીઓ સાથે અમે લગ્ન કરીએ અને તમારી સાથે રહીએ. આપણે પરસ્પર એકતામાં આવીએ.17પણ જો સુન્નત કરવા વિષે તમે અમારું ન સાંભળો, તો અમે અમારી બહેનને લઈને ચાલ્યા જઈશું."18તેઓની વાત હમોર તથા તેના દીકરા શખેમને સારી લાગી.19તે જુવાન માણસે તે પ્રમાણે કરવામાં વાર ન લગાડી, કેમ કે તે યાકૂબની દીકરી માટે આશક્ત થયેલો હતો. તે પોતાના પિતાના ઘરમાં સર્વ કરતાં માનવંત માણસ હતો.20હમોર તથા તેનો દીકરો શખેમ પોતાના નગરના દરવાજે આવ્યા અને પોતાના નગરના માણસો સાથે વાતચીત કરીને કહ્યું,21"આ માણસો આપણી સાથે શાંતિથી રહે છે, તે માટે તેઓને દેશમાં રહેવા દો; અને તેમાં વેપાર કરવા દો કેમ કે નિશ્ચે, આ દેશ તેઓ માટે પૂરતો છે. આપણે તેઓની દીકરીઓ સાથે લગ્ન કરીએ અને તેઓ આપણી દીકરીઓ સાથે લગ્ન કરે.22તેથી જેમ તેઓમાંના દરેક પુરુષની સુન્નત કરવામાં આવે છે, તેમ આપણા પણ દરેક પુરુષની સુન્નત કરવામાં આવે, કેવળ આ એક શરતે તેઓ આપણી સાથે રહેવા અને એકતામાં જોડાવાને સંમત થશે.23તેઓના ટોળાં, તેઓની સંપત્તિ તથા તેઓનાં ઢોરઢાંક, શું આપણાં નહિ થશે? તેથી આપણે તેઓની વાત માનીએ. તેઓ આપણી મધ્યે રહેશે."24શહેરના સર્વ પુરુષોએ હમોર તથા તેના દીકરા શખેમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને સર્વ પુરુષોની સુન્નત કરવામાં આવી.25ત્રીજા દિવસે, સુન્નતના કારણે જયારે તેઓ પીડાતા હતા, ત્યારે યાકૂબના બે દીકરા, દીનાના ભાઈઓ, શિમયોન તથા લેવીએ તેમની તલવાર લીધી અને ઓચિંતા નગરમાં ધસી જઈને સર્વ પુરુષોને મારી નાખ્યા.26તેઓએ હમોરને તથા તેના દીકરા શખેમને તલવારની ધારથી માર્યા અને શખેમના ઘરેથી દીનાને લઈને ચાલ્યા ગયા.27યાકૂબના બાકીના દીકરાઓએ મૃત્યુ પામેલાઓના એ નગરમાં આવીને તેને લૂટ્યું, કેમ કે તે લોકોએ તેઓની બહેનને ભ્રષ્ટ કરી હતી.28તેઓએ તેઓનાં ઘેટાંબકરાં, ગધેડાં અને અન્ય જાનવરો તથા નગરમાં તથા ખેતરમાં જે હતું તે સર્વ તેઓની સંપત્તિ સહિત લૂંટી લીધું.29તેઓનાં સર્વ બાળકો તથા તેઓની પત્નીઓને તેઓએ કબજે કરી. વળી તેઓએ તેઓના ઘરોમાં જે હતું તે બધું પણ લઈ લીધું.30યાકૂબે શિમયોનને તથા લેવીને કહ્યું, "તમે મારા પર મુશ્કેલી લાવ્યા છો, આ દેશના રહેવાસીઓ એટલે કનાનીઓ તથા પરિઝીઓમાં તમે મને તિરસ્કારપાત્ર કર્યો છે. સંખ્યામાં મારા માણસો થોડા છે. જો તેઓ મારી વિરુદ્ધ એકઠા થઈને હુમલો કરે તો પછી મારો અને મારા પરિવારનો નાશ થશે."31પણ શિમયોન તથા લેવીએ કહ્યું, "શખેમ ગણિકાની સાથે જેવું વર્તન કરે તેવું જ વર્તન અમારી બહેન સાથે કરે એ શું બરાબર છે?"
1ઈશ્વરે યાકૂબને કહ્યું, "હવે તું બેથેલમાં જા અને ત્યાં રહે. જયારે તું તારા ભાઈ એસાવથી ડરીને નાસી ગયો હતો ત્યારે જેમણે તને દર્શન આપ્યું હતું, તે ઈશ્વરને સારુ તું ત્યાં વેદી બાંધ."2પછી યાકૂબે તેના ઘરનાંને તથા જે સર્વ તેની સાથે હતાં તેઓને કહ્યું, "તમારી વચ્ચે જે અન્ય દેવો છે તેઓને દૂર કરો, પોતપોતાને શુદ્ધ કરો અને તમારાં વસ્ત્ર બદલો.3પછી આપણે બેથેલમાં જઈએ. જે ઈશ્વરે મારી આપત્તિના દિવસે મને સાંભળ્યો હતો અને જ્યાં કંઈ હું ગયો ત્યાં જેઓ મારી સાથે રહ્યા, તેમને સારુ ત્યાં વેદી બાંધવાની છે."4તેથી તેઓએ તેમની પાસે જે અન્ય દેવો હતા, તથા તેમના કાનમાં જે કુંડળો હતાં તે સર્વ યાકૂબને આપ્યાં. યાકૂબે શખેમની પાસે એલોન વૃક્ષ નીચે તેઓને દાટી દીધાં.5જેમ જેમ તેઓ આગળ વધતાં ગયાં, તેમ તેમ ઈશ્વરે તેઓની ચારેગમનાં નગરોને ભયભીત કર્યા. તેથી ત્યાંના લોકોએ યાકૂબના દીકરાઓનો પીછો કર્યો નહિ.6યાકૂબ તથા તેની સાથેના સર્વ લોકો કનાન દેશમાં આવેલા લૂઝ એટલે બેથેલમાં પહોંચ્યાં.7તેણે ત્યાં વેદી બાંધી અને તે જગ્યાનું નામ એલ બેથેલ1 પાડ્યું, કેમ કે જયારે તે તેના ભાઈથી નાસી જતો હતો, ત્યારે ત્યાં ઈશ્વરે તેને દર્શન આપ્યું હતું.8રિબકાની સંભાળ રાખનારી દાઈ દબોરા મૃત્યુ પામી. તેને બેથેલ પાસે એલોન વૃક્ષ નીચે દફનાવામાં આવી તેથી તે વૃક્ષનું નામ એલોન-બાખૂથ2 રાખવામાં આવ્યું.9જયારે પાદ્દાનારામથી યાકૂબ આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું અને આશીર્વાદ આપ્યો.10ઈશ્વરે તેને કહ્યું, "તારું નામ યાકૂબ છે પણ હવેથી તારું નામ યાકૂબ કહેવાશે નહિ. તારું નામ ઇઝરાયલ થશે." તેમણે તેનું નામ ઇઝરાયલ પાડ્યું.11ઈશ્વરે તેને કહ્યું, "હું સર્વસમર્થ ઈશ્વર છું. તું સફળ થા અને વૃદ્ધિ પામ. તારા વંશમાં પ્રજાઓ અને પ્રજાઓના સમુદાયો પેદા થશે અને તારાં સંતાનોમાંથી કેટલાંક રાજાઓ થશે.12મેં જે દેશ ઇબ્રાહિમને તથા ઇસહાકને આપ્યો છે, તે હું તને આપીશ અને તારા પછી તારા સંતાનોને પણ હું તે દેશ આપીશ."13જે જગ્યાએ ઈશ્વરે તેની સાથે વાત કરી હતી ત્યાંથી તેઓ ચાલ્યા ગયા.14જ્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી તે જગ્યાએ યાકૂબે પથ્થરનું એક સ્મારક એટલે સ્તંભ ઊભો કર્યો. તેણે તેના પર પેયાર્પણ કર્યું તથા તેલ રેડ્યું.15જ્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી તે જગ્યાનું નામ યાકૂબે બેથેલ પાડ્યું. યાકૂબના બાર દીકરા હતા.
1એસાવ એટલે અદોમની વંશાવળી આ છે.2એસાવે કનાનીઓની દીકરીઓ સાથે લગ્ન કર્યા. આ તેની પત્નીઓ હતી: આદા જે એલોન હિત્તીની દીકરી; ઓહોલીબામાહ જે સિબયોન હિવ્વીની દીકરી અનાની દીકરી હતી,3અને બાસમાથ જે ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન.4આદાએ એસાવને માટે અલિફાઝને જન્મ આપ્યો અને બાસમાથે રેઉએલને જન્મ આપ્યો.5ઓહોલીબામાહએ યેઉશ, યાલામ તથા કોરાને જન્મ આપ્યાં. એસાવને કનાન દેશમાં જે દીકરા જન્મ્યા હતા તેઓ એ હતા.6એસાવ તેની પત્નીઓ, તેના દીકરા, તેની દીકરીઓ, તેના ઘરના સર્વ લોકો, તેનાં સર્વ જાનવરો, તથા તેની સર્વ માલમિલકત જે તેણે કનાન દેશમાં મેળવી હતી, તે સર્વ લઈને તેના ભાઈ યાકૂબની પાસેથી બીજા દેશમાં ગયો.7તેણે આમ કર્યું કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે તેઓ એકસાથે રહી શકે તેમ ન હતું. જે દેશમાં તેઓ રહેતા હતા ત્યાં તેઓનાં જાનવરોને લીધે તેઓને કોઈ આશરો ન મળ્યો.8તેથી એસાવ એટલે જે અદોમ કહેવાય છે તેણે સેઈર પહાડ પર જઈને વસવાટ કર્યો.9સેઈર પહાડ પરના અદોમી લોકના પૂર્વજ, એસાવની વંશાવળી આ પ્રમાણે છે.10એસાવના દીકરાઓ: એસાવની પત્ની આદાનો દીકરો અલિફાઝ; અને એસાવની પત્ની બાસમાથનો દીકરો રેઉએલ.11તેમાન, ઓમાર, સફો, ગાતામ તથા કનાઝ એ અલિફાઝના દીકરા હતા.12એસાવના દીકરા અલિફાઝની ઉપપત્ની તિમ્ના હતી, તેણે અલિફાઝને માટે અમાલેકને જન્મ આપ્યો. એસાવની પત્ની આદાના દીકરા એ છે.13રેઉએલના દીકરા આ છે: નાહાથ, ઝેરાહ, શામ્મા તથા મિઝઝા. આ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા.14સિબયોનની દીકરી અનાની દીકરી ઓહોલીબામાહ જે એસાવની પત્ની હતી તેના દીકરા આ છે: તેણે યેઉશ, યાલામ તથા કોરાને જન્મ આપ્યો.15એસાવના વંશજોનાં સરદારો આ હતાં: એસાવના જ્યેષ્ઠ દીકરા અલિફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફો, કનાઝ,16કોરા, ગાતામ તથા અમાલેક હતા. જે સરદારો અલિફાઝથી અદોમ દેશમાં થયા તેઓ એ છે. તેઓ આદાના પૌત્રો હતા.17એસાવના દીકરા રેઉએલના કુટુંબો આ છે: નાહાથ, ઝેરાહ, શામ્મા, મિઝઝા. એ વંશજો રેઉએલથી અદોમ દેશમાં થયા. એ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા.18એસાવની પત્ની ઓહોલીબામાહના દીકરા આ છે: યેઉશ, યાલામ, કોરા. એ સરદારોને એસાવની પત્ની ઓહોલીબામાહ જે અનાની દીકરી હતી તેણે જન્મ આપ્યાં હતા.19એસાવના દીકરા અને તેઓના સરદારો આ છે.20સેઈર હોરીના દીકરા જે દેશના રહેવાસીઓ હતા તેઓ આ છે: લોટાન, શોબાલ, સિબયોન, અના,21દિશોન, એસેર તથા દિશાન. તે સેઈર હોરીઓના કુટુંબનાં સરદારો જે અદોમ દેશમાં થયા એ હતા.22લોટાનના દીકરા હોરી તથા હેમાન હતા. તિમ્ના લોટાનની બહેન હતી.23શોબાલના દીકરા આ છે, એટલે આલ્વાન, માનાહાથ, એબાલ, શફો તથા ઓનામ.24સિબયોનના દીકરા આ છે, એટલે એયાહ તથા અના, જેને તેના પિતા સિબોનનાં ગધેડાં ચરાવતાં અરણ્યમાં ગરમ પાણીનાં ઝરા1 મળ્યા હતા તે એ છે.25અનાનાં સંતાનો આ છે: દિશોન તથા અનાની દીકરી ઓહોલીબામાહ.26દિશોનના દીકરા આ છે; હેમ્દાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન.27એસેરના દીકરા આ છે; બિલ્હાન, ઝાવાન, તથા અકાન.28દિશાનના દીકરા આ છે; ઉસ તથા આરાન.29હોરીઓના સરદારો આ છે; લોટાન, શોબાલ, સિબયોન તથા અના.30દિશોન, એસેર, દિશાન; સેઈર દેશમાં સરદારોની યાદી પ્રમાણે હોરીઓનું કુટુંબ એ છે.
1યાકૂબ તેનો પિતા જે દેશમાં રહેતો હતો તેમાં, એટલે કનાન દેશમાં રહ્યો.2યાકૂબના વંશ સંબંધિત આ વૃતાંત છે. યૂસફ સત્તર વર્ષનો જુવાન થયો, ત્યારે તે તેના ભાઈઓની સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તે તેના પિતાની પત્નીઓ બિલ્હા તથા ઝિલ્પાના દીકરાઓની સાથે હતો. યૂસફ તેઓના દુરાચારની જાણ તેના પિતાને કરતો રહેતો હતો.3હવે ઇઝરાયલ તેના સર્વ દીકરાઓ કરતાં યૂસફ પર વિશેષ પ્રેમ રાખતો હતો, કેમ કે તે તેના વૃદ્ધાવસ્થાનો દીકરો હતો. તેણે તેને સારુ રંગબેરંગી ઝભ્ભો સીવડાવ્યો.4તેના ભાઈઓએ જાણ્યું કે તેઓનો પિતા તેના તમામ દીકરાઓમાંથી યૂસફ પર વિશેષ પ્રેમ કરે છે. તેથી તેઓ તેને નફરત કરતા હતા અને તેની સાથે શુદ્ધ હૃદયથી વાત કરતા નહોતા.5યૂસફને સ્વપ્ન આવ્યું અને તેણે તેના ભાઈઓને તેના વિષે કહી સંભળાવ્યું. તેથી તેઓ તેને વધારે નફરત કરવા લાગ્યા.6તેણે તેઓને કહ્યું, "મેં જે સ્વપ્નમાં જોયું છે તે મહેરબાની કરી સાંભળો."7આપણે ખેતરમાં અનાજની પૂળીઓ બાંધતા હતા. ત્યારે મારી પૂળી ઊભી થઈ. તેની સામે તમારી પૂળીઓ ચારેતરફ ઊભી રહી. તેઓ મારી પૂળીની આગળ નમી."8તેના ભાઈઓએ તેને કહ્યું, "શું તું ખરેખર અમારા પર રાજ કરશે? શું તું ખરેખર અમારા પર અધિકાર ચલાવશે?" તેઓ તેના સ્વપ્નને લીધે તથા તેની વાતને લીધે તેના પર વધારે નફરત કરવા લાગ્યા.9તેને ફરી બીજું સ્વપ્ન આવ્યું. તે વિષે તેણે તેના ભાઈઓને કહ્યું, "જુઓ, મને બીજું એક સ્વપ્ન આવ્યું: સૂર્ય, ચંદ્ર તથા અગિયાર તારાઓ મારી આગળ નમ્યાં."10જેવું તેણે તેના ભાઈઓને કહ્યું તેવું તેણે તેના પિતાને પણ કહ્યું અને તેના પિતાએ તેને ધમકાવ્યો. તેણે તેને કહ્યું, "જે સ્વપ્ન તને આવ્યું તે શું છે? તારી આગળ જમીન સુધી નમવાને હું, તારી માતા તથા તારા ભાઈઓ શું ખરેખર આવીશું?"11તેના ભાઈઓને તેના પર અદેખાઈ આવી, પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી.
1તે સમયે યહૂદા તેના ભાઈઓની પાસેથી જઈને હીરા નામે એક અદુલ્લામીને ત્યાં રહ્યો.2ત્યાં યહૂદા એક કનાની માણસની દીકરી જેનું નામ શૂઆ હતું તેને મળ્યો. તેણે તેની સાથે લગ્ન કર્યું અને તેની સાથે સંબંધ કર્યો.3શૂઆ સગર્ભા થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ એર પાડ્યું.4તે ફરીથી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ ઓનાન પાડ્યું.5તેણે ત્રીજા દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ શેલા પાડ્યું. ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો.6યહૂદાએ તેના જયેષ્ઠ દીકરા એરનાં લગ્ન કરાવ્યાં. તેની પત્નીનું નામ તામાર હતું.7યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિએ દુષ્ટ હતો. તેથી ઈશ્વરે તેને મરણાધીન કર્યો.8યહૂદાએ ઓનાનને કહ્યું, "તું તારા ભાઈની પત્ની પર પ્રેમ કર. તેના પ્રત્યે ભાઈની ફરજ બજાવ અને તારા ભાઈને સારુ સંતાન નિપજાવ."9ઓનાને વિચાર્યું કે એ સંતાન તેનું નહિ ગણાય. તેથી, જયારે પણ તે તેના ભાઈની પત્નીની પાસે જતો, ત્યારે તેના ભાઈના નામે સંતાન ન અપાય તે માટે તે પોતાનું વીર્ય તેના ભાભીના અંગમાં જવા દેવાને બદલે બહાર વેડફી દેતો હતો.10તેનું આ કૃત્ય ઈશ્વરની નજરમાં ખરાબ હતું. તેથી ઈશ્વરે તેને પણ મરણાધીન કર્યો.11પછી યહૂદાએ તેની પુત્રવધૂ તામારને કહ્યું કે, "મારો દીકરો શેલા પુખ્ત વયનો થાય, ત્યાં સુધી તું તારા પિતાના ઘરમાં વિધવા તરીકે રહે." કેમ કે તેણે વિચાર્યું કે, "કદાચ તે પણ તેના ભાઈઓની જેમ મૃત્યુ પામે." પછી તામાર જઈને તેના પિતાના ઘરમાં રહી.12ઘણાં દિવસો પછી, યહૂદાની પત્ની શૂઆ મૃત્યુ પામી. યહૂદા દિલાસો પામ્યા પછી તે તેના મિત્ર હીરા અદુલ્લામી સાથે તેના ઘેટાં કાતરનારાઓની પાસે તિમ્ના ગયો.13તામારને ખબર મળી, "જો, તારાં સસરા તેના ઘેટાં કાતરવાને તિમ્ના જઈ રહ્યો છે."14તેણે તેની વૈધવ્ય અવસ્થાનાં વસ્ત્ર તેના શરીર પરથી ઉતાર્યા અને ઘૂંઘટથી પોતાને આચ્છાદિત કરીને એનાઈમના દરવાજા પાસે, તિમ્નાના માર્ગની બાજુએ જઈને બેઠી. કેમ કે તેણે જાણ્યું કે શેલા મોટો થયો છે, પણ તેને તેની પત્ની થવા માટે આપવામાં આવી નથી.15જયારે યહૂદાએ તેને જોઈ, ત્યારે તેણે વિચાર્યું કે તે ગણિકા હશે, કેમ કે તેણે તેનું મુખ ઢાંક્યું હતું.16તે માર્ગની બાજુએ તેની પાસે ગયો અને કહ્યું, "ચાલ, મને તારી સાથે સંબંધ બાંધવા દે." કેમ કે તે તેની પુત્રવધૂ છે એ તે જાણતો નહોતો. તેણે કહ્યું, "મારી સાથે સંબંધ બાંધવાના બદલામાં તું મને શું આપીશ?17તેણે કહ્યું, "ટોળાંમાંથી એક લવારું હું તને મોકલી આપું છું." તેણીએ કહ્યું, જ્યાં સુધી તું તે ના મોકલે ત્યાં સુધી તું મને કશું ગીરવે આપું?18તેણે કહ્યું, હું તને શું ગીરવે આપી શકું? તેણે કહ્યું, "તારી મુદ્રા, તારો અછોડો તથા તારા હાથમાંની લાકડી." તેણે તેને તે આપ્યાં. પછી તે તેની પાસે ગયો. તેના સંસર્ગથી તે ગર્ભવતી થઈ.19તે ઊઠીને ચાલી. પછી તેણે તેનો ઘુંઘટ ઉતાર્યો અને તેનાં વૈધવ્યનાં વસ્ત્ર પહેર્યા.20તે સ્ત્રીના હાથમાંથી ગીરવે મૂકેલી વસ્તુ લેવા માટે યહૂદાએ તેના મિત્ર અદુલ્લામીની સાથે લવારું મોકલ્યું, પણ તે તેને મળી નહિ.21પછી અદુલ્લામીએ તે જગ્યાના માણસોને પૂછ્યું, "જે ગણિકા એનાઈમ પાસેના માર્ગ પર હતી તે ક્યાં છે?" તેઓએ કહ્યું, "અહીં તો કોઈ ગણિકા નથી."22તે યહૂદાની પાસે પાછો આવ્યો અને કહ્યું, "મને તે મળી નથી. ત્યાંના માણસોએ પણ કહ્યું કે, 'અહીં કોઈ ગણિકા ન હતી.'"23યહૂદાએ કહ્યું, "તે ભલે તેની પાસે વસ્તુઓ રાખે, રખેને આપણે શરમજનક સ્થિતિમાં મુકાઈએ. તેને લીધે, મેં આ લવારું મોકલ્યું, પણ તને તે મળી નહિ."24પછી આશરે ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી કે, "તેની પુત્રવધૂ તામારે વ્યભિચાર કર્યો છે અને તે ગર્ભવતી થઈ છે." યહૂદાએ કહ્યું, "તેને અહીં લાવો અને સળગાવી દો."25જયારે તેને ત્યાં લાવવામાં આવી ત્યારે તેણે પેલા પુરાવા સાથે તેના સસરાને સંદેશ કહેવડાવ્યો કે, "આ વસ્તુઓ જેની છે, તેનાથી હું ગર્ભવતી થયેલી છું" તેણે કહ્યું, "આ મુદ્રા, અછોડો તથા લાકડી કોનાં છે, તે મહેરબાની કરીને તું ઓળખી લે."26યહૂદાએ એ વસ્તુઓને ઓળખી અને કહ્યું, "તે મારા કરતાં ન્યાયી છે, કારણ કે મેં તેને મારા દીકરા શેલાને પત્ની તરીકે ન આપી. તે પછી તેણે તેની સાથે સંબંધ બાંધ્યો નહિ.27તેની પ્રસૂતિના સમયે એમ થયું કે, તેના પેટમાં જોડિયાં બાળકો હતાં.28જન્મ આપતી વખતે પ્રથમના એક બાળકે તેનો હાથ બહાર કાઢ્યો તેથી દાસીએ તેનો હાથ પકડ્યો અને તેના હાથ પર લાલ દોરો બાંધ્યો. તેણે કહ્યું, "આનો જન્મ પ્રથમ થયો છે."29પછી તેણે તેનો હાથ પાછો ખેંચ્યો ત્યારે, તેના ભાઈનો જન્મ થયો અને દાસીએ કહ્યું, તું કેમ કરીને જન્મ પામ્યો? તેણે તેનું નામ પેરેસ1 પાડ્યું.30પછી તેનો ભાઈ, જેને હાથે લાલ દોરો હતો તે જન્મ પામયો. તેનું નામ ઝેરાહ2 પડ્યું.
1યૂસફને મિસરમાં લાવવામાં આવ્યો. ત્યાં જે ઇશ્માએલીઓ તેને લઈને આવ્યા હતા, તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસરી, જે ફારુનનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો, તેણે યૂસફને વેચાતો લીધો.2ઈશ્વર યૂસફની સાથે હતા. પોટીફાર ઘણા સંપત્તિવાન માણસ હતો. યૂસફે તેના માલિક, મિસરી પોટીફારના ઘરમાં વસવાટ કર્યો.3તેના માલિકે જોયું કે ઈશ્વર યૂસફની સાથે છે અને તે જે કંઈ કરે છે તેમાં ઈશ્વર તેને સફળ કરે છે.4તેથી યૂસફ તેની દ્રષ્ટિમાં કૃપાપાત્ર થયો અને તેણે પોટીફારની સેવા કરી. પોટીફારે તેને તેના ઘરનો કારભારી ઠરાવીને તેનું જે સર્વ હતું તે તેનો વહીવટ તેના હાથમાં સોંપ્યો.5તેણે તેના ઘરનો તથા તેની સર્વ મિલકતનો કારભારી તેને ઠરાવ્યો, ત્યાર પછીથી ઈશ્વરે યૂસફને લીધે મિસરીના ઘરને આશીર્વાદ આપ્યો. ઘરમાં તથા ખેતરમાં જે સર્વ તેનું હતું તે પર ઈશ્વરનો આશીર્વાદ હતો.6પોટીફારનું જે હતું તે સર્વ તેણે યૂસફના હાથમાં સોંપ્યું. તે જે અન્ન ખાતો તે સિવાય તેનું પોતાનું શું શું છે, એ કંઈપણ તે જાણતો નહોતો. યૂસફ સુંદર તથા આકર્ષક હતો.7પછી એવું થયું કે તેના માલિક પોટીફારની પત્નીએ યૂસફ પર કુદ્રષ્ટિ કરીને કહ્યું, "મારી સાથે સૂઈ જા."8પણ તેણે ઇનકાર નકાર કરીને તેના માલિકની પત્નીને કહ્યું, "જો, ઘરમાં શું શું મારા હવાલામાં છે તે મારો માલિક જાણતો નથી અને તેણે તેનું જે સર્વ છે તે મારા હાથમાં સોંપ્યું છે.9આ ઘરમાં મારા કરતાં કોઈ મોટો નથી. તેણે તારા વિના બીજા કશા જ પર મારા માટે રોક લગાવી નથી, કેમ કે તું તેની પત્ની છે. તો પછી આવું મોટું દુષ્કર્મ કરીને હું શા માટે ઈશ્વરનો અપરાધી થાઉં?"10દરરોજ તે યૂસફને મોહપાશમાં આકર્ષતી હતી, પણ તેણે તેના પર મોહિત થવાનો તથા તેની સાથે રહેવાનો ઇનકાર કર્યો.11એક દિવસે એમ થયું કે યૂસફ પોતાનું કામ કરવા માટે ઘરમાં ગયો. ઘરનું અન્ય કોઈ માણસ અંદર ન હતું.12ત્યારે પોટીફારની સ્ત્રીએ યૂસફના વસ્ત્રો પકડીને કહ્યું, "મારી સાથે સૂઈ જા." પણ તે તેનું વસ્ત્ર તેના હાથમાં રહેવા દઈને નાસીને બહાર જતો રહ્યો.13જયારે સ્ત્રીએ જોયું કે તે તેનું વસ્ત્ર તેના હાથમાં મૂકીને બહાર નાસી ગયો છે,14ત્યારે તેણે તેના ઘરમાંનાં માણસોને બોલાવીને તેઓને કહ્યું, "જુઓ, મારો પતિ પોટીફાર આપણું અપમાન કરવાને આ હિબ્રૂ માણસને આપણી પાસે લાવ્યો છે. તે મારી સાથે સુવા માટે મારી પાસે આવ્યો એટલે મેં બૂમ પાડી.15અને મેં જયારે બૂમ પાડી, ત્યારે તે સાંભળીને તે તેનું વસ્ત્ર મારા હાથમાં રહેવા દઈને નાસી ગયો અને બહાર જતો રહ્યો."16તેનો પતિ ઘરે આવ્યો ત્યાં સુધી તેણે તેનું વસ્ત્ર પોતાની પાસે રાખી મૂક્યું.17તેણે તેના પતિ સમક્ષ ખુલાસો કર્યો કે, "આ હિબ્રૂ દાસ કે જેને તું આપણા ઘરમાં લાવ્યો છે, તે મારી આબરુ લેવા માટે મારી પાસે આવ્યો હતો.18પણ જયારે મેં બૂમ પાડી, ત્યારે તે તેનું વસ્ત્ર મારી પાસે રહેવા દઈને નાસી છૂટ્યો."
1એ બીનાઓ પછી એમ થયું કે મિસરના રાજાના પાત્રવાહકે તથા રસોઈયાએ તેમના માલિક મિસરના રાજાનો ગુન્હો કર્યો.2ફારુન તેના બન્ને સેવકો પર, એટલે મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ક્રોધિત થયો.3જ્યાં યૂસફ બંદીવાન હતો તે કેદખાનામાં એટલે અંગરક્ષકોના ઉપરી અમલદારને ત્યાં તેણે તે બન્નેને કેદ કરાવ્યા.4અંગરક્ષકોના ઉપરી અમલદારે યૂસફને તેઓના ઉત્તરદાયી તરીકે નીમ્યો. તેણે તેઓની દેખભાળ રાખી. તેઓ કેટલીક મુદત સુધી કેદમાં રહ્યા.5અને મિસરના રાજાનો પાત્રવાહકને તથા રસોઈયાને એક જ રાત્રે, સ્વપ્નના જુદા જુદા અર્થ પ્રમાણે, સ્વપ્ન આવ્યાં.6યૂસફે સવારે તેઓની પાસે અંદર આવીને તેઓને જોયા ત્યારે તેઓ ઉદાસ હતા.7ફારુનના એ અમલદારો કે જેઓ તેની સાથે તેના માલિકના ઘરમાં કેદી હતા તેઓને યૂસફે પૂછ્યું, "તમે આજે ઉદાસ કેમ દેખાઓ છો?"8તેઓએ તેને કહ્યું, "અમને બન્નેને સ્વપ્ન આવ્યું છે અને તેનો અર્થ બતાવે એવો કોઈ મળી શકે તેમ નથી." યૂસફે તેઓને કહ્યું, "અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી? તમારા સ્વપ્ન વિષે મને જણાવો તો ખરા!"9મુખ્ય પાત્રવાહકે તેનું સ્વપ્ન યૂસફને જણાવ્યું, "જુઓ, મારા સ્વપ્નમાં મારી સામે એક દ્રાક્ષવેલો દેખાયો.10તે દ્રાક્ષવેલાને ત્રણ ડાળીઓ હતી. તેઓને જાણે કળીઓ આવી, મોર ખીલ્યો અને તેના ગુચ્છામાં દ્રાક્ષો પાકી.11ફારુનનો પ્યાલો મારા હાથમાં હતો. મેં દ્રાક્ષો લઈને ફારુનના પ્યાલામાં તેનો રસ નિચોવીને એ પ્યાલો ફારુનના હાથમાં આપ્યો."12યૂસફે તેને કહ્યું, "એનો અર્થ આ છે: ત્રણ ડાળી તે ત્રણ દિવસ છે.13ત્રણ દિવસમાં ફારુન તને પ્રતિષ્ઠિત કરશે અને તને પાછો તારી અસલ ફરજ પર પુનઃનિયુક્ત કરશે. તું તેનો પાત્રવાહક હતો ત્યારની પ્રણાલી પ્રમાણે તું ફારુનને તેનો પ્યાલો તેના હાથમાં આપીશ.14પણ તારું સારું થાય ત્યારે કૃપા કરીને મને યાદ કરીને મારા પર દયા કરજે. મારા વિષે ફારુનને જણાવીને આ કેદમાંથી હું બહાર આવું એવું કરજે.15કેમ કે હિબ્રૂઓના દેશમાંથી હું ખરેખર ફેંકાઈ ગયેલો છું. અહીં પણ કેદમાં નંખાવા જેવો કોઈ અપરાધ મેં કરેલો નથી."16જયારે મુખ્ય રસોઈયાએ જોયું કે ખુલાસાનો અર્થ સારો છે, ત્યારે તેણે યૂસફને કહ્યું, "મને પણ સ્વપ્ન આવ્યું હતું. રોટલી ભરેલી ત્રણ ટોપલીઓ મારા માથા પર હતી.17ઉપલી ટોપલીમાં ફારુનને માટે સર્વ પ્રકારનાં પકવાન હતાં, પણ મારા માથા પરની એ ટોપલીઓમાંથી પક્ષીઓ ખાઈ જતા હતાં."18યૂસફે ઉત્તર આપીને કહ્યું, "એનો અર્થ આ છે. તે ત્રણ ટોપલી ત્રણ દિવસ છે.19ત્રણ દિવસમાં ફારુન તારું માથું તારા ધડ પરથી દૂર કરશે અને તને ઝાડ પર લટકાવવામાં આવશે. પક્ષીઓ તારું માંસ ખાશે."20ત્રીજે દિવસે, એટલે ફારુનના જન્મ દિવસે એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી. તેણે તેના બીજા અધિકારીઓ સમક્ષ કરતાં મુખ્ય પાત્રવાહક તથા મુખ્ય રસોઈયા પર ધ્યાન આપ્યું.21તેણે મુખ્ય પાત્રવાહકને તેની અસલની પદવી પર પાછો નિયુક્ત કર્યો અને તેણે પ્યાલો ફારુનના હાથમાં ફરીથી મુક્યો.22યૂસફે મુખ્ય રસોઈયાને અર્થ સમજાવ્યો હતો તે પ્રમાણે ફારુને તેને ફાંસી આપી.23પણ મુખ્ય પાત્રવાહકે યૂસફને યાદ કર્યો નહિ. તે તેને ભૂલી ગયો.
1બે વર્ષ પછી ફારુનને સ્વપ્ન આવ્યું. તેમાં તે નીલ નદીની પાસે ઊભો હતો.2ત્યાં સુંદર તથા પુષ્ટ એવી સાત ગાયો નદીમાંથી બહાર આવીને સરકટના બીડમાં ચરવા લાગી.3અચાનક તેઓની પાછળ કદરૂપી તથા સૂકાઈ ગયેલી એવી બીજી સાત ગાયો નીલ નદીમાંથી બહાર આવી. તેઓ નદીને કિનારે અન્ય ગાયોની પાસે ઊભી રહી.4પછી કદરૂપી તથા સૂકાઈ ગયેલી ગાયો પેલી સાત સુંદર તથા પુષ્ટ ગાયોને ગળી ગઈ. એટલામાં ફારુનની ઊંઘ ઊડી ગઈ.5પછી તે પાછો ઊંઘી ગયો અને તેને બીજું સ્વપ્ન આવ્યું. એક સાંઠા પર દાણા ભરેલાં તથા સારાં એવાં સાત કણસલાં આવ્યાં.6તેઓની પછી સુકાઈ ગયેલાં તથા પૂર્વના પવનથી ચીમળાયેલાં એવાં સાત કણસલાં આવ્યાં.7અને સુકાઈ ગયેલાં કણસલાં પેલા સાત પાકાં તથા દાણા ભરેલાં કણસલાંને ગળી ગયાં. ફારુન જાગી ગયો. તેને થયું કે, તે તો સ્વપ્ન હતું.8સવારે તે ઊઠ્યો ત્યારે તેનું મન ગભરાયું. તેણે મિસરના સર્વ શાસ્ત્રીઓને તથા જ્ઞાનીઓને બોલાવ્યા; અને પોતે જોયેલાં સ્વપ્ન વિષે તેઓને જણાવ્યું; પણ તેઓમાં એવો કોઈ ન હતો કે જે ફારુનનાં સ્વપ્નનો અર્થ જણાવી શકે.9એટલામાં મુખ્ય પાત્રવાહકે ફારુનને કહ્યું, "આજે મને મારો અપરાધ યાદ આવે છે.10જયારે ફારુનને પોતાના દાસો પર ગુસ્સો આવ્યો હતો અને મને તથા મુખ્ય રસોઈયાને અંગરક્ષકોના ઉપરી અમલદારના ઘરમાં નજરકેદ કર્યા હતા,11ત્યારે મને અને તેને એક જ રાત્રે સ્વપ્ન આવ્યાં હતાં.12ત્યાં એક હિબ્રૂ જુવાન જે અંગરક્ષકોના ઉપરી અમલદારનો દાસ હતો, તે અમારી સાથે કેદમાં હતો. અમે તેને અમારા સ્વપ્નો જણાવ્યાં અને તેણે અમારા સ્વપ્નના અર્થ કહી બતાવ્યા હતા. તેણે અમને બન્નેને અમારા સ્વપ્ન પ્રમાણે ખુલાસા કરી બતાવ્યાં હતા.13તેણે અમને સ્વપ્નના જે ખુલાસા કરી બતાવ્યા હતા, તે જ પ્રમાણે થયું. મને મારી પદવી પર પાછો નિયુક્ત કરવામાં આવ્યો અને રસોઈયાને ફાંસી આપવામાં આવી હતી."14ફારુને માણસો મોકલીને યૂસફને બોલાવી મંગાવ્યો. તેઓ તેને અંધારી કોટડીમાંથી ઉતાવળે બહાર લાવ્યા. તેની હજામત કરાવી. તેને નવાં વસ્ત્રો પહેરાવ્યાં અને ફારુનની સમક્ષ હાજર કર્યો.15ફારુને યૂસફને કહ્યું, "મને સ્વપ્ન આવ્યું હતું, પણ તેનો અર્થ જણાવનાર કોઈ નથી. પણ મેં તારા વિષે સાંભળ્યું છે કે, તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કહી જણાવે છે."16યૂસફે ફારુનને ઉત્તર આપ્યો, "હું નહિ, પણ ઈશ્વર આપને શાંતિ થાય એવો ઉત્તર આપશે."17ફારુને યૂસફને કહ્યું, "હું મારા સ્વપ્નમાં નીલ નદીને કિનારે ઊભો હતો.18ત્યાં પુષ્ટ તથા સુંદર એવી સાત ગાયો નીલ નદીમાંથી બહાર આવીને સરકટના બીડમાં ચરવા લાગી.19તેઓની પાછળ નબળી, બહુ કદરૂપી તથા સુકાઈ ગયેલી એવી બીજી સાત ગાયો નદીમાંથી બહાર આવી. તે એટલી બધી કદરૂપી હતી કે તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા મિસર દેશમાં કદી જોઈ નથી.20તે કદરૂપી તથા દુબળી ગાયો બીજી સાત પુષ્ટ ગાયોને ગળી ગઈ.21જ્યારે તેઓ તેને ખાઈ ગઈ, તો પણ તેઓ તેને ખાઈ ગઈ હોય એવું માલૂમ પડ્યું નહિ, પણ તેઓ અગાઉની જેમ જ કદરૂપી અને નબળી રહી. પછી હું જાગી ગયો.22ફરીથી હું ઊંધી ગયો ત્યારે મેં મારા સ્વપ્નમાં જોયું કે, એક સાંઠા પર દાણાએ ભરેલાં તથા પાકાં એવાં સાત કણસલાં આવ્યાં,23અને તેઓની પાછળ સુકાઈ ગયેલાં તથા પૂર્વના પવનથી ચીમળાઈ ગયેલાં એવાં સાત કણસલાં આવ્યાં.24સુકાઈ ગયેલાં કણસલાં પેલા સાત સારાં કણસલાંને ગળી ગયાં. આ સ્વપ્ન મેં જ્ઞાનીઓને કહ્યા, પણ કોઈ એવો મળ્યો નહિ કે જે મને તેનો અર્થ જણાવી શકે."25યૂસફે ફારુનને કહ્યું, "આપનાં સ્વપ્નો એક જેવા જ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને જણાવ્યું છે.26જે સાત સારી ગાયો તે સાત વર્ષો છે અને સાત સારાં કણસલાં તે પણ સાત વર્ષો છે. સ્વપ્નો તો એકસમાન જ છે.27તેઓની પાછળ જે સુકાઈ ગયેલી તથા કદરૂપી ગાયો આવી તે સાત વર્ષ છે અને દાણા વગરના તથા પૂર્વના વાયુથી ચીમળાયેલાં જે સાત કણસલાં તે દુકાળનાં સાત વર્ષ છે.28જે વાત મેં ફારુનને કહી તે આ છે. ઈશ્વર જે કરવાના છે તે તેમણે આપને બતાવ્યું છે.29જુઓ, આખા મિસર દેશમાં ઘણી પુષ્કળતાનાં સાત વર્ષ આવશે.30પછી દુકાળના સાત વર્ષ આવશે અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે અને દુકાળ દેશનો નાશ કરશે.31તે આવનાર દુકાળને કારણે દેશમાં પુષ્કળતા જણાશે નહિ કેમ કે તે દુકાળ બહુ કપરો હશે.32ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તે એ માટે કે એ વાત ઈશ્વરે નક્કી ઠરાવી છે અને ઈશ્વર તે થોડી જ વારમાં પૂરી કરવાના છે.33હવે ફારુને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા માણસને શોધી કાઢીને તેને મિસર દેશ પર ઠરાવવો જોઈએ.34વળી ફારુને આમ કરવું: મિસર દેશ પર ઉપરીઓ ઠરાવવા અને પુષ્કળતાનાં સાત વર્ષ દરમિયાન પેદાશનો પાંચમો ભાગ લઈને રાજ્યભંડારમાં ભરે.35જે સારાં વર્ષ આવશે, તેઓમાં તેઓ સઘળો ખોરાક એકઠો કરે અને ફારુનના હાથ નીચે સઘળું અનાજ નગરેનગર ખોરાકને માટે એકઠું કરીને તેને રાખી મૂકે.36પછી દુકાળનાં જે સાત વર્ષ મિસર દેશમાં આવશે તે માટે તે અન્ન દેશને માટે સંગ્રહ થશે. આ રીતે દુકાળથી દેશનો નાશ નહિ થાય.
1હવે યાકૂબના જાણવામાં આવ્યું કે મિસરમાં અનાજ મળે છે. તેથી તેણે તેના દીકરાઓને કહ્યું, "તમે એકબીજા સામે જોતા કેમ ઊભા છો?"2મારા સાંભળવામાં આવ્યું છે કે, "મિસરમાં અનાજ ઉપલબ્ધ છે. ત્યાં જાઓ અને ત્યાંથી આપણે સારુ અનાજ વેચાતું લાવો કે આપણે ખાઈને મરણથી બચીએ અને જીવતા રહીએ."3યૂસફના દસ ભાઈઓ અનાજ ખરીદવાને મિસરમાં ગયા.4પણ તેઓની સાથે યૂસફના ભાઈ બિન્યામીનને યાકૂબે મોકલ્યો નહિ, કેમ કે તેણે કહ્યું, "કદાચને તેના પર કંઈ વિઘ્ન આવી પડે."5બીજા લોકો કે જેઓ અનાજ વેચાતું લેવા આવેલા હતા તેઓની સાથે ઇઝરાયલના દીકરા પણ અનાજ માટે આવ્યા હતા. કેમ કે કનાન દેશમાં પણ દુકાળ હતો.6અહીં મિસર દેશનો અધિપતિ યૂસફ હતો. દેશના સર્વ લોકોને અનાજ વેચાતું આપનાર તે જ હતો. યૂસફના ભાઈઓ આવ્યા અને તેઓએ જમીન સુધી માથાં નમાવીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.7યૂસફે પોતાના ભાઈઓને જોયાં. તેઓને ઓળખ્યા, પણ તે જાણે તેઓને ઓળખતો ન હોય તેમ તેઓની સાથે વર્ત્યો. તેણે તેઓની સાથે કઠોરતાથી વાત કરીને પૂછ્યું, "તમે ક્યાંથી આવ્યા છો?" તેઓએ કહ્યું, "અમે કનાન દેશથી અનાજ વેચાતું લેવાને આવ્યા છીએ.8યૂસફે તેના ભાઈઓને ઓળખ્યા પણ તેઓએ તેને ઓળખ્યો નહિ.9યૂસફને તેઓ વિષે જે સ્વપ્ન આવ્યાં હતાં તે યાદ આવ્યાં. તેણે તેઓને કહ્યું, "તમે જાસૂસ છે. અનાજને બહાને જાસૂસી કરવા આવ્યા છો."10તેઓએ તેને કહ્યું, "ના, મારા માલિક, તારા દાસો અનાજ વેચાતું લેવાને આવ્યા છે.11અમે સર્વ એક માણસના દીકરાઓ છીએ. અમે પ્રમાણિક પુરુષો છીએ. જાસૂસો નથી."12પણ યૂસફે તેઓને કહ્યું, "ના, તમે તો દેશની જાસૂસી માટે આવ્યા છો."13તેઓ બોલ્યા, "અમે તારા દાસો બાર ભાઈઓ છીએ, કનાન દેશના એક માણસના દીકરા છીએ. જુઓ, નાનો ભાઈ અમારા પિતાની પાસે છે અને એક ભાઈનો તો પત્તો નથી."14યૂસફે તેઓને કહ્યું, "જેમ મેં તમને કહ્યું કે તમે જાસૂસ છો, એ વાત ખરી છે.15તેથી તમારી તપાસ કરવામાં આવશે. ફારુનના જીવના સમ કે તમારો નાનો ભાઈ અહીં આવ્યા વિના તમને અહીંથી જવા દેવામાં આવશે નહિ.16તમે તમારામાંથી એકને મોકલો. તે તમારા ભાઈને લઈને અહીં આવે. તમને કેદમાં રાખવામાં આવશે. તમારી વાતની ખાતરી કરાશે કે તમે સાચું બોલો છો કે નહિ. હું તો ફારુનના સમ ખાઈને કહું છું કે તમે જાસૂસ જ છો."17તેણે તેઓને ત્રણ દિવસ સુધી કેદમાં પૂરી રાખ્યા.18ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, "તમે એક કામ કરો અને જીવતા રહો. કેમ કે હું ઈશ્વરથી ડરું છું.19જો તમે પ્રમાણિક અને સાચા પુરુષો હો, તો તમારામાંનો એક ભાઈ કેદખાનામાં રહે અને બાકીના જાઓ અને દુકાળને લીધે તમારા ઘર માટે અનાજ લઈ જાઓ.20તમારા નાના ભાઈને મારી પાસે લાવો. જેથી તમારી વાત સાચી ઠરશે અને તમે મરણને પાત્ર થશો નહિ." તેથી તેઓએ એમ જ કર્યું.21તેઓએ એકબીજાને કહ્યું, "નિશ્ચે આપણે આપણા ભાઈ સંબંધી અપરાધી છીએ, કેમ કે જયારે તેણે કાલાવાલા કર્યા ત્યારે આપણે તેની પીડા જોઈ, પણ તેનું સાંભળ્યું નહિ. તેથી આ સંકટ આપણા પર આવી પડ્યું છે."22રુબેને તેઓને ઉત્તર આપ્યો, "શું મેં તમને કહ્યું ન હતું, 'આ છોકરા સંબંધી તમે પાપ ન કરો?' પણ તમે માન્યું નહિ. હવે તેના લોહીનો બદલો લેવામાં આવે છે."23તેઓ જાણતા ન હતા કે યૂસફ તેમની વાત સમજે છે, કેમ કે તેઓની અને યૂસફની વચ્ચે દુભાષિયા મારફતે વાતચીત થતી હતી.24યૂસફ તેના ભાઈઓની પાસેથી દૂર જઈને રડી પડ્યો. તેણે તેઓની પાસે પાછા આવીને વાત કરી. તેઓમાંથી શિમયોનને લઈને તેઓના દેખતાં તેને બાંધ્યો.
1કનાન દેશમાં ભયંકર દુકાળ તો વ્યાપેલો જ હતો.2તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા, તે પૂરું થવા આવ્યું હતું ત્યારે તેઓના પિતાએ તેઓને કહ્યું, "તમે ફરીથી જઈને આપણે માટે અન્ન વેચાતું લઈ આવો."3યહૂદાએ તેને કહ્યું, "તે માણસે અમને ગંભીરતાથી ચેતવણી આપેલી છે, 'જો તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારી આગળ આવી શકશો નહિ.'4જો તું અમારા ભાઈને અમારી સાથે મોકલે તો જ અમે જઈને આપણે માટે અનાજ લાવી શકીએ એવું છે.5પણ જો તું તેને નહિ મોકલે તો અમે જઈશું નહિ. કેમ કે તે માણસે અમને કહ્યું છે, 'તમારો ભાઈ તમારી સાથે નહિ આવે, તો તમે મારી આગળ આવી શકશો નહિ.'"6ઇઝરાયલે કહ્યું, "અમારો બીજો ભાઈ છે, એમ તે માણસને કહીને તમે મારી સાથે આવું વર્તન કેમ કર્યું?"7તેઓએ કહ્યું, "આપણા વિષે તથા આપણા કુટુંબ વિષે તે માણસે પૂછપરછ કરીને કહ્યું, 'શું તમારો પિતા હજુ હયાત છે? શું તમારો બીજો કોઈ ભાઈ છે?' અમે તેના પ્રશ્નો પ્રમાણે તેને ઉત્તર આપ્યો. અમને શું ખબર કે તે એમ કહેશે, 'તમારા ભાઈને અહીં લાવો?'"8યહૂદાએ તેના પિતા ઇઝરાયલને કહ્યું, "અમારી સાથે બિન્યામીનને મોકલ કે, અમે રવાના થઈએ અને મિસરમાંથી અનાજ લાવીએ કે જેથી આપણે જીવતા રહીએ અને મરી જઈએ નહિ.9હું તેની ખાતરી આપું છું કે તું તેને મારી પાસેથી માગજે. જો હું તેને તારી પાસે ન લાવું અને તેને તારી આગળ રજૂ ન કરું, તો તેનો દોષ સદા મારા પર રહેશે.10કેમ કે જો આપણે વિલંબ કર્યો ન હોત, તો ચોક્કસ અમે અત્યાર સુધીમાં બીજીવાર જઈને પાછા આવ્યા હોત."11ઇઝરાયલે તેઓને કહ્યું, "હવે જો એમ જ હોય, તો આ દેશની કેટલીક ઉત્તમ ચીજ વસ્તુઓ તે માણસને ભેટ તરીકે આપવા માટે તમારી સાથે લઈ જાઓ: ખાસ કરીને દેશની ઔષધ, મધ, મસાલા, બોળ, પિસ્તા તથા બદામ લઈ જાઓ.12તમારી મોટી ગૂણોમાં મૂકીને પાછું અપાયેલું નાણું પણ લઈ જાઓ. કદાચ એ ભૂલથી આવી ગયું હશે.13તમારા ભાઈ બિન્યામીનને પણ સાથે લઈ જાઓ. તૈયાર થાઓ અને મિસરમાં તે માણસ પાસે ફરીથી જાઓ.14સર્વસમર્થ ઈશ્વર તમને તે માણસ દ્વારા કૃપા દર્શાવે કે જેથી તે તમારી સાથે તમારા બીજા ભાઈને તથા બિન્યામીનને મુક્ત કરે. જો મારે મારા દીકરાથી વંચિત થવાનું થાય તો તે સહન કરવું જ પડશે.15તેઓએ ભેટ લીધી, બમણાં નાણાં લીધાં અને બિન્યામીનને સાથે લઈને તેઓ મિસરમાં ગયા; અને યૂસફની સમક્ષ આવીને ઊભા રહ્યા.16જયારે યૂસફે તેઓની સાથે બિન્યામીનને જોયો, ત્યારે તેણે તેના ઘરના કારભારીને કહ્યું, "આ માણસોને ઘરમાં લઈ આવ, પશુને કાપીને તેને રાંધીને તે માણસોને માટે તૈયાર કર; કે જેથી તેઓ બપોરે મારી સાથે જમે."17જે પ્રમાણે યૂસફે કહ્યું હતું તે પ્રમાણે કારભારીએ કર્યું. તે તેઓને યૂસફના ઘરે લઈ આવ્યો.18તેઓને યૂસફના ઘરમાં લાવવામાં આવ્યા તેથી તેઓને બીક લાગી. તેઓ બોલ્યા, "આપણે પ્રથમ વાર આવ્યા ત્યારે આપણા થેલાઓ સાથે જે નાણું પાછું આપવામાં આવ્યું હતું, તેને કારણે તે આપણી વિરુદ્ધ તક શોધતો હોય એવું શક્ય છે. તે કદાચ આપણી અટકાયત કરે, આપણને ગુલામ બનાવે અને આપણા ગધેડાં પણ જપ્ત કરી લે ખરો."19તેઓ યૂસફના ઘરના કારભારી પાસે ગયા, ઘરના દરવાજા આગળ તેઓએ વાતચીત કરતાં તેને કહ્યું,20"ઓ અમારા માલિક, અમે પ્રથમવાર અનાજ ખરીદવાને આવ્યા હતા.21ત્યારે એવું બન્યું હતું કે, અમે જયારે અમારા ઉતારાના સ્થાને પહોંચ્યા અને અમે અમારા થેલાઓ છોડ્યા, ત્યારે અમારામાંના દરેકની ગૂણોમાં અમે ચૂકવેલાં નાણાં અમારા જોવામાં આવ્યાં. અમે તે નાણાં પાછાં લાવ્યા છીએ.22તે ઉપરાંત વધારાનાં નાણાં પણ અમે અનાજ ખરીદવા લાવ્યા છીએ. અમારા થેલાઓમાં નાણાં કોણે મૂકેલાં હતાં એ અમે જાણતા નથી."23કારભારીએ કહ્યું, "તમને શાંતિ થાઓ, ગભરાશો નહિ. તમારા તથા તમારા પિતાના ઈશ્વરે જ એ નાણું તમારા થેલાઓમાં મૂક્યું હશે. મને તમારા નાણાં મળ્યા હતા." ત્યાર પછી કારભારી શિમયોનને તેઓની પાસે લાવ્યો.24પછી કારભારી બધા ભાઈઓને યૂસફના ઘરમાં લઈ ગયો. તેણે તેઓને પાણી આપ્યું અને તેઓએ પગ ધોયા. તેણે તેઓનાં ગધેડાંને ચારો આપ્યો.25તેઓએ જાણ્યું કે અમારે યૂસફના ઘરે જમવાનું છે, માટે યૂસફ ઘરે આવે તે પહેલા તેઓએ ભેટો તૈયાર કરી.26જયારે યૂસફ ઘરમાં આવ્યો, ત્યારે તેઓના હાથમાં જે ભેટો હતી તે તેની પાસે ઘરમાં લઈ આવીને જમીન સુધી નમીને પ્રણામ કર્યાં.27યૂસફે તેઓની ખબરઅંતર પૂછીને કહ્યું, "જે વૃદ્ધ પિતા વિષે તમે મને કહ્યું હતું તે શું ક્ષેમકુશળ છે? તે શું હજી હયાત છે?"28તેઓએ કહ્યું, "તારો દાસ અમારો પિતા ક્ષેમકુશળ છે. તે હજી હયાત છે." ફરીથી તેઓએ નમીને યૂસફને પ્રણામ કર્યાં.29યૂસફે તેના ભાઈ બિન્યામીનને એટલે તેની માતાના દીકરાને જોયો અને બોલ્યો, "શું આ તમારો સૌથી નાનો ભાઈ છે કે જેના વિષે તમે મને કહ્યું હતું?" તેણે પૂછ્યું, "મારા દીકરા, તું કેમ છે? ઈશ્વરની કૃપા તારા પર થાઓ."30યૂસફ ઉતાવળથી ઓરડાની બહાર ચાલ્યો ગયો, કારણ કે તેના ભાઈને લીધે તેનું હૃદય ભરાઈ આવ્યું. ત્યાં જઈને તે રડ્યો.31તેણે પોતાનો ચહેરો ધોયો અને બહાર આવ્યો. તેની લાગણીઓ દબાવી રાખીને બોલ્યો, "ચાલો, આપણે જમીએ."32દાસોએ યૂસફને માટે, તેના ભાઈઓને માટે તથા જે મિસરીઓ તેની સાથે જમવાના હતા તેઓને માટે અલગ અલગ ટેબલ પર ભોજન પીરસ્યું. કેમ કે મિસરીઓ હિબ્રૂઓ સાથે જમતા ન હતા, કેમ કે મિસરીઓ તેઓ સાથે અમંગળપણું લાગે છે.33યૂસફે ભાઈઓને તેઓની ઉંમર પ્રમાણે પ્રથમજનિતથી માંડીને મોટાથી નાના સુધી દરેકને ક્રમાનુસાર બેસાડ્યા હતા. તેથી તેઓ અંદરોઅંદર વિસ્મિત થયા.34યૂસફના ટેબલ પરના ખોરાકમાંથી ભાઈઓને પીરસવામાં આવ્યું. બિન્યામીનને બધાના કરતાં પાંચગણું વધારે પીરસાયું. તેઓ સંતોષથી જમ્યા અને યૂસફની સાથે આનંદ કર્યો. પછી પુષ્કળ પ્રમાણમાં દ્રાક્ષારસ પણ આપવામાં આવ્યો.
1યૂસફે તેના ઘરના કારભારીને આજ્ઞા આપી કે, "આ માણસોની ગૂણોમાં અનાજ ભરી દો. તેઓ ઊંચકી શકે તેટલું અનાજ ભરો અને દરેકની ગૂણોમાં અનાજની ઉપર તેઓએ ચૂકવેલા નાણાં પાછા મૂકીને ગૂણો બંધ કરો.2મારો પ્યાલો જે ચાંદીનો છે તે તથા અનાજના નાણાં સૌથી નાના ભાઈની ગૂણમાં ઉપર મૂકો." યૂસફે કારભારીને જેવું કહ્યું હતું તેમ તેણે કર્યું.3સવાર થતાં જ તે માણસો તેમનાં ગધેડાં સાથે રવાના થયા.4તેઓ શહેરની બહાર પહોંચ્યા એટલામાં તો યૂસફે પોતાના કારભારીને કહ્યું, "ઊઠ, તે માણસોનો પીછો કર. જયારે તું તેઓની પાસે પહોંચે ત્યારે તેઓને કહેજે, 'તમે ભલાઈનો બદલો દુષ્ટતાથી શા માટે વાળ્યો છે?5મારા માલિકનો પાણી પીવાનો ચાંદીનો પ્યાલો તમે કેમ ચોરી લીધો છે? એ પ્યાલાનો ઉપયોગ તો તે શુકન જોવા માટે પણ કરે છે. આ તમે જે કર્યું છે તે તો દુષ્કૃત્ય છે.'"6કારભારીએ તેમની પાસે પહોંચીને તેઓને આ શબ્દો કહ્યા.7તેઓએ તેને કહ્યું, "શા માટે મારો માલિક આ શબ્દો અમને કહે છે? આવું કંઈ પણ તારા સેવકો કદાપિ ન કરો!8અગાઉ અમારી ગૂણોમાંથી અમને પાછાં મળેલા નાણાં જયારે અમે કનાનથી પાછા આવ્યા ત્યારે અમે તે પરત લાવ્યા હતા. તો પછી અમે તારા માલિકના ઘરમાંથી સોના અથવા ચાંદીની ચોરી શા માટે કરીએ?9હવે તપાસી લે. અમારામાંથી જેની ગૂણોમાંથી પ્યાલો મળે તે માર્યો જાય. બાકીના અમે પણ મારા માલિકના ગુલામ થઈ જઈશું."10કારભારીએ કહ્યું, "હવે તમારા કહ્યા પ્રમાણે થશે. જેની પાસેથી તે પ્યાલો મળશે તે ગુલામ થશે અને બીજા બધા નિર્દોષ ઠરશો."11પછી દરેકે પોતાની ગૂણો ઝડપથી ઉતારીને જમીન પર મૂકી અને તેને ખોલી.12કારભારીએ શોધ કરી. તેણે મોટાથી માંડીને નાના સુધીના સર્વની ગૂણો તપાસી. ત્યારે પ્યાલો બિન્યામીનની ગૂણમાંથી પકડાયો.13તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને રડ્યા. તેઓ ગૂણો પાછી ગધેડાં પર મૂકીને પાછા શહેરમાં આવ્યા.14યહૂદા તથા તેના ભાઈઓ યૂસફના ઘરે આવ્યા. તે હજુ પણ ત્યાં જ હતો. તેઓએ તેની આગળ જમીન સુધી પડીને નમન કર્યું.15યૂસફે તેઓને કહ્યું, "તમે આ શું કર્યું છે? શું તમે જાણતા નથી કે હું શુકન જોઉં છું?"16યહૂદા બોલ્યો, "અમે અમારા માલિકને શું કહીએ? શું મોં બતાવીએ? અમે અમારી જાતને કેવી રીતે ન્યાયી ઠરાવીએ? ઈશ્વરે અમારો અન્યાય ધ્યાનમાં લીધો છે. હવે અમે તથા જેની ગૂણમાંથી પ્યાલો મળ્યો તે તમારા ગુલામો છીએ."17યૂસફે કહ્યું, "એવું નહિ. બધા નહિ પણ માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો છે તે જ મારા ગુલામ તરીકે અહીં રહે. બાકીના તમે બધા શાંતિથી તમારા પિતાની પાસે પાછા જાઓ."
1પછી યૂસફ તેની આસપાસ ઊભા રહેલા સર્વ દાસોની ઉપસ્થિતિમાં તેની સંવેદના સમાવી રાખી શક્યો નહિ. તેણે મોટેથી હુકમ કર્યો, "દરેક વ્યક્તિ મારી પાસેથી દૂર જાય." તેઓ ગયા ત્યારે યૂસફે તેના ભાઈઓ આગળ પોતાની ઓળખ આપી. તે વખતે કોઈપણ ચાકર ત્યાં હતો નહિ.2પછી યૂસફ મોટેથી રડ્યો. તેનું રુદન મિસરીઓએ તથા ફારુનના મહેલમાંના સૌએ સાંભળ્યું.3યૂસફે પોતાના ભાઈઓને કહ્યું, "હું યૂસફ છું. શું આપણા પિતા હજુ હયાત છે?" તેના ભાઈઓ તેને ઉત્તર આપી શક્યા નહિ. તેઓ યૂસફને ઓળખીને સખત ગભરાઈ ગયા હતા.4પછી યૂસફે ભાઈઓને કહ્યું, "કૃપા કરી મારી પાસે આવો." તેઓ પાસે આવ્યા અને તેણે કહ્યું, "હું તમારો ભાઈ યૂસફ છું, જેને તમે મિસરમાં વેચી દીધો હતો.5પરંતુ તમે મને અહીં વેચી દીધો હોવાને કારણે હવે કશો અપરાધ કે ઉચાટ અનુભવશો નહિ, કેમ કે એ ઈશ્વરની યોજના હતી. જીવનો બચાવવા માટે તેમણે મને તમારી અગાઉ અહીં મોકલ્યો છે.6કેમ કે બે વર્ષથી દેશમાં દુકાળ છે અને હજી બીજા પાંચ વર્ષ સુધી વાવણી તથા કાપણી થશે નહિ.7પૃથ્વીમાં તમારાં સંતાનો જીવંત રાખવાને તથા તમારા જીવનો બચાવવાને ઈશ્વરે તમારી આગળ મને મોકલ્યો છે.8તેથી હવે તમે નહિ, પણ ઈશ્વર મને અહીં લાવ્યા હતા. તેમણે જ મને ફારુનનો સલાહકાર, તેના સમગ્ર રાજ્યનો પ્રભુ તથા આખા મિસરનો અધિપતિ બનાવ્યો છે.9તમે જેમ બને તેમ જલ્દી આપણા પિતા પાસે પાછા જાઓ અને તેને કહો, 'તારો દીકરો યૂસફ આ પ્રમાણે કહે છે, ઈશ્વરે મને સમગ્ર મિસરનો અધિપતિ બનાવ્યો છે. તું મારી પાસે આવ અને વિલંબ કરીશ નહિ.10ગોશેન દેશમાં તારો મુકામ થશે. તું, તારાં સંતાનો, તારા સંતાનોનાં સંતાનો, તારા જાનવરો તથા તારું સર્વસ્વ અહીં મારી નજીક રહેશો.11તું, તારું કુટુંબ તથા જેઓ પણ તારી સાથે છે તેઓ સર્વ ગરીબાઈમાં ન આવી પડે તે માટે હું સર્વનું પાલનપોષણ કરીશ, હજુ દુકાળનાં બીજા પાંચ વર્ષ બાકી છે.'12ભાઈઓ, જુઓ, તમારી આંખો તથા મારા ભાઈ બિન્યામીનની આંખો જોઈ રહી છે કે મારું મુખ તમારી સાથે બોલી રહ્યું છે.13મિસરમાં મારો સર્વ મહિમા તથા જે સર્વ તમે જોયું તે મારા પિતાને જણાવો. જલ્દી જઈને મારા પિતાને અહીં લઈ આવો."14પછી યૂસફ તેના નાના ભાઈ બિન્યામીનને ભેટીને રડ્યો અને બિન્યામીન પણ તેને ભેટીને રડ્યો.15તેણે સર્વ ભાઈઓને ચુંબન કર્યું અને તેઓને ભેટીને ગળગળો થયો. તે પછી તેના ભાઈઓએ હૃદય ખોલીને તેની સાથે વાતચીત કરી.16ફારુનના કુટુંબમાં આ સમાચાર જણાવાયા કે, "યૂસફના ભાઈઓ આવ્યા છે." ત્યારે ફારુનને તથા તેના દાસોને તે વાત સારી લાગી.17ફારુને યૂસફને કહ્યું, "તું તારા ભાઈઓને કહે, 'તમે આમ કરો, તમારાં પશુઓ પર અનાજ લાદીને કનાન દેશમાં જાઓ.18પછી તમારા પિતાને તથા તમારા સમગ્ર કુટુંબને અહીં મિસરમાં મારી પાસે લઈ આવો. હું તેઓને મિસર દેશનો ઉત્તમ પ્રદેશ રહેવા માટે આપીશ અને દેશની ઉત્તમ પેદાશો તેઓ ખાશે.'19હવે હું તને તારા ભાઈઓને આ પ્રમાણે કહેવાની આજ્ઞા આપું છું, 'આ પ્રમાણે કરો. તમારાં બાળકોને માટે તથા તમારી પત્નીઓને માટે મિસર દેશમાંથી ગાડાં લઈ જાઓ અને તેમાં બેસાડીને તમારા પિતા સહિત બધાને અહીં લઈ આવો.20તમારી માલમિલકતની ચિંતા ન કરો, કેમ કે આખા મિસર દેશમાં જે ઉત્તમ છે તે તમારું છે.'"21ઇઝરાયલના પુત્રોએ તે માન્ય રાખ્યું. યૂસફે ફારુનની આજ્ઞા પ્રમાણે તેઓને ગાડાં આપ્યાં અને તેઓની મુસાફરીને માટે સર્વ વ્યવસ્થા પણ કરી આપી.22તેઓમાંના દરેકને યૂસફે એક જોડી વસ્ત્રો આપ્યાં, પણ બિન્યામીનને તેણે ત્રણસો ચાંદીના સિક્કા અને પાંચ જોડ વસ્ત્રો આપ્યાં.23તેણે તેના પિતાને માટે આ પ્રમાણે ભેટસોગાદો મોકલી: મિસર દેશની ઉત્તમ વસ્તુઓથી લાદેલા દસ ગધેડાં; અને મુસાફરીને માટે તેના પિતાને સારુ અનાજ, રોટલી તથા અન્ય ખોરાકથી લાદેલી દસ ગધેડીઓ.24આ રીતે તેણે તેના ભાઈઓને વિદાય કર્યાં અને તેઓના જતા અગાઉ તેણે તેઓને કહ્યું, "જુઓ, માર્ગમાં મુસાફરી દરમિયાન લડી પડતાં નહિ."25તેઓ મિસરમાંથી નીકળીને કનાન દેશમાં તેના પિતા યાકૂબની પાસે આવ્યા.26તેઓએ તેને કહ્યું, "યૂસફ હજી સુધી જીવે છે અને તે આખા મિસર દેશનો અધિપતિ થયેલો છે." તે સાંભળીને યાકૂબ સ્તબ્ધ થઈ ગયો, તેણે તેઓની વાત પર વિશ્વાસ કર્યો નહિ.27પણ જ્યારે યૂસફે તેઓને જે જે વાત કરી હતી તે સર્વ તેઓએ પિતાને જણાવી અને યૂસફે તેને લેવા માટે જે ગાડાં મોકલ્યા હતાં તે જયારે તેના પિતા યાકૂબે જોયાં, ત્યારે તે સ્વસ્થ થયો.28ઇઝરાયલે કહ્યું, "આટલું પૂરતું છે. મારો દીકરો યૂસફ હજુ જીવે છે. મારા મૃત્યુ પહેલા હું મિસરમાં જઈશ અને તેને જોઈશ."
1ઇઝરાયલ પોતાના કુટુંબકબીલા અને સર્વ સહિત બેરશેબા આવ્યો. અહીં તેણે પોતાના પિતા ઇસહાકના ઈશ્વરને અર્પણો ચઢાવ્યાં.2ઈશ્વરે ઇઝરાયલને રાત્રે સ્વપ્નમાં સંદર્શન આપીને કહ્યું, "યાકૂબ, યાકૂબ." તેણે કહ્યું, "હું અહીં છું."3તેમણે કહ્યું, "હું પ્રભુ, તારા પિતાનો ઈશ્વર છું. મિસરમાં જતા બીશ નહિ, કેમ કે ત્યાં હું તારાથી વિશાળ પ્રજા ઉત્પન્ન કરીશ.4હું તારી સાથે મિસરમાં આવીશ અને હું ત્યાંથી નિશ્ચે તારા વંશજોને પાછા લાવીશ. મિસરમાં તારા મૃત્યુસમયે યૂસફ તારી પાસે હશે."5યાકૂબ બેરશેબાથી રવાના થયો. તેને લઈ જવાને જે ગાડાં ફારુને મોકલ્યાં હતાં તેમાં ઇઝરાયલના પુત્રોએ પોતાના પિતા યાકૂબને, પોતાના બાળકોને તથા પોતાની પત્નીઓને બેસાડ્યાં.6તેમનાં જાનવરો તથા જે સંપત્તિ તેઓએ કનાન દેશમાં મેળવી હતી તે લઈને યાકૂબ તથા તેની સાથે તેના વંશજો મિસરમાં આવ્યા.7તેના દીકરા તથા તેની સાથે તેના દીકરાના દીકરા, તેની દીકરીઓ તથા તેના દીકરાઓની દીકરીઓને તથા તેના સર્વ સંતાનને તે તેની સાથે મિસરમાં લાવ્યો.8જે ઇઝરાયલપુત્રો મિસરમાં આવ્યા તેઓનાં નામ આ છે: યાકૂબ તથા તેના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન;9રુબેનના દીકરા: હનોખ, પાલ્લૂ, હેસ્રોન તથા કાર્મી;10શિમયોન તથા તેના દીકરા: યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીનો દીકરો શાઉલ;11લેવી તથા તેના દીકરા: ગેર્શોન, કહાથ તથા મરારી;12યહૂદા તથા તેના દીકરા: એર, ઓનાન, શેલા, પેરેસ તથા ઝેરાહ, પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરણ પામ્યા. પેરેસના દીકરા હેસ્રોન તથા હામૂલ હતા;13ઇસ્સાખાર તથા તેના દીકરા: તોલા, પુવાહ, લોબ તથા શિમ્રોન;14ઝબુલોન તથા તેના દીકરા: સેરેદ, એલોન તથા યાહલેલ.15યાકૂબને લેઆથી પાદ્દાનારામમાં જન્મેલા દીકરા તથા તેની દીકરી દીના. તેઓ સર્વ મળીને તેત્રીસ જણ હતાં.16ગાદ તથા તેના દીકરા: સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી તથા આરએલી;17આશેર તથા તેના દીકરા: યિમ્ના, યિશ્વા, યિશ્વી, બરિયા તથા તેઓની બહેન સેરાહ; અને બરિયાના દીકરા: હેબેર તથા માલ્કીએલ.18લાબાને તેની દીકરી લેઆને જે દાસી ઝિલ્પા આપી હતી તેનાં સંતાનો એ છે. તેઓ તેને યાકૂબ દ્વારા થયાં, તેઓ સર્વ મળીને સોળ જણ હતાં;19યાકૂબની પત્ની રાહેલના દીકરા: યૂસફ તથા બિન્યામીન;20યૂસફના મિસર દેશમાં જન્મેલા દીકરાઓ મનાશ્શા તથા એફ્રાઇમ. તેઓને ઓનના યાજક પોટીફારની દીકરી આસનાથે જન્મ આપ્યો હતો;21બિન્યામીનના દીકરા: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ તથા આર્દ.22તેઓ રાહેલના દીકરા, જે યાકૂબ દ્વારા થયા. તેઓ સર્વ મળીને ચૌદ જણ હતા;23દાન તથા તેનો દીકરો હુશીમ;24નફતાલી તથા તેના દીકરા: યાહસએલ, ગૂની, યેસેર તથા શિલ્લેમ.25લાબાને તેની દીકરી રાહેલને જે દાસી બિલ્હા આપી તેના દીકરા એ છે જેઓ યાકૂબ દ્વારા તેને થયા. તે સર્વ મળીને સાત જણ હતા.26યાકૂબના દીકરાઓની પત્નીઓ સિવાય કનાનમાં જન્મેલાં જે સર્વ માણસ યાકૂબ સાથે મિસરમાં આવ્યાં તેઓ છાસઠ જણ હતાં.27યૂસફના દીકરા જે મિસર દેશમાં તેને જન્મ્યા હતા, તે બે હતા. યાકૂબના ઘરનાં સર્વ માણસો જે મિસરમાં આવ્યાં તેઓ સિત્તેર હતાં.
1પછી યૂસફ ફારુનને મળવા ગયો. તેણે ફારુનને કહ્યું, "મારા પિતા, મારા ભાઈઓ તથા તેઓનાં બકરાં, અન્ય જાનવરો તથા જે સર્વ તેઓનું છે તે સહિત તેઓ કનાન દેશથી આવ્યા છે. તેઓ ગોશેન દેશમાં છે."2તેણે પોતાના ભાઈઓમાંના પાંચનો પરિચય ફારુન સાથે કરાવ્યો.3ફારુને તેના ભાઈઓને પૂછ્યું, "તમારો વ્યવસાય શો છે?" અમે તારા દાસો અમારા પૂર્વજોની જેમ ભરવાડો છીએ.4પછી તેઓએ ફારુનને કહ્યું, "અમે આ દેશમાં પ્રવાસી તરીકે આવ્યા છીએ. કેમ કે કનાન દેશમાં દુકાળ ભારે હોવાને લીધે અમારા ટોળાંને સારુ ચારો નથી. માટે હવે અમને કૃપા કરીને ગોશેન દેશમાં રહેવા દે."5પછી ફારુને યૂસફને કહ્યું, "તારા પિતા તથા તારા ભાઈઓ તારી પાસે આવ્યા છે.6આખો મિસર દેશ તારી આગળ છે. દેશમાં ઉત્તમ સ્થળે તારા પિતાને તથા તારા ભાઈઓને રહેવા દે. તેઓ ગોશેન દેશમાં રહે. જો તું જાણતો હોય કે તેઓમાં કોઈ માણસો હોશિયાર છે, તો મારાં જાનવરો પણ તેઓના હવાલામાં સોંપ."7પછી યૂસફે તેના પિતા યાકૂબને ફારુનની સમક્ષ બોલાવ્યો. યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યો.8ફારુને યાકૂબને કહ્યું, "તમારી ઉંમર કેટલી થઈ છે?"9યાકૂબે ફારુનને કહ્યું, "મારા જીવનપ્રવાસના એકસો ત્રીસ વર્ષ થયાં છે. એ અતિ પરિશ્રમવાળા રહ્યાં છે. હજી મારા પિતૃઓના પ્રવાસમાં તેઓની ઉંમરના જેટલાં મારા વર્ષો થયાં નથી."10પછી યાકૂબ ફારુનને આશીર્વાદ આપીને તેની હજૂરમાંથી બહાર ગયો.11યૂસફે તેના પિતાને તથા તેના ભાઈઓને રહેવાને જગ્યા આપી. તેણે તેઓને મિસર દેશની ઉત્તમ જગ્યામાં એટલે રામસેસમાં ફારુનની આજ્ઞા પ્રમાણે વસવાનો પ્રદેશ આપ્યો.12યૂસફે તેના પિતાને, ભાઈઓને તથા તેના પિતાના ઘરનાં સર્વને તેઓની સંખ્યા પ્રમાણે અન્ન પૂરું પાડ્યું.
1એ બાબતો થયા પછી કોઈએ યૂસફને કહ્યું, "જો, તારો પિતા બીમાર પડ્યો છે." તેથી તે પોતાના બે દીકરા મનાશ્શાને તથા એફ્રાઇમને સાથે લઈને પિતાની પાસે ગયો.2યાકૂબને કોઈએ ખબર આપી, "જો, તારો દીકરો યૂસફ તારી પાસે આવી પહોંચ્યો છે," ત્યારે ઇઝરાયલ બળ કરીને પલંગ પર બેઠો થયો.3યાકૂબે યૂસફને કહ્યું, "કનાન દેશના લૂઝમાં સર્વસમર્થ ઈશ્વરે મને દર્શન આપ્યું હતું. તેમણે મને આશીર્વાદ આપીને,4કહ્યું હતું, 'ધ્યાન આપ, હું તને સફળ કરીશ અને તને વધારીશ. હું તારાથી મોટો સમુદાય ઉત્પન્ન કરીશ. તારા પછી હું તારા વંશજોને આ દેશ સદાકાળના વતનને માટે આપીશ.'5હવે મિસર દેશમાં તારી પાસે મારા આવ્યા અગાઉ તારા બે દીકરા મિસર દેશમાં જન્મ્યા છે તેઓ એટલે એફ્રાઇમ તથા મનાશ્શા મારા છે. રુબેન તથા શિમયોનની જેમ તેઓ મારા થશે.6તેઓ પછી તારાં જે સંતાનો થશે તેઓ તારાં થશે; અને તારા તરફથી એફ્રાઇમ તથા મનાશ્શાને મળનારા ભાગના વારસ થશે.7જયારે અમે પાદ્દાનથી આવતા હતા ત્યારે એફ્રાથ પહોંચવાને થોડો રસ્તો બાકી હતો એટલામાં રાહેલ મારા દેખતાં માર્ગમાં કનાન દેશમાં મૃત્યુ પામી. ત્યાં એફ્રાથના એટલે બેથલેહેમના માર્ગમાં મેં તેને દફનાવી."8ઇઝરાયલે યૂસફના દીકરાઓને જોઈને પૂછ્યું કે, "આ કોણ છે?"9યૂસફે તેના પિતાને કહ્યું, "તેઓ મારા દીકરા છે, જેમને ઈશ્વરે મને અહીં આપ્યાં છે." ઇઝરાયલે કહ્યું, "તેઓને મારી પાસે લાવ કે હું તેઓને આશીર્વાદ આપું."10હવે ઇઝરાયલની આંખો તેની વૃદ્ધાવસ્થાને કારણે ઝાંખી પડી હતી, તે બરાબર જોઈ શકતો ન હતો. તેથી યૂસફ તેઓને તેની એકદમ નજીક લાવ્યો અને તેણે તેઓને ચુંબન કરીને તેઓને બાથમાં લીધા.11ઇઝરાયલે યૂસફને કહ્યું, "મને જરા પણ આશા નહોતી કે હું તારું મુખ જોઈ શકીશ. પણ ઈશ્વરે તો તારા સંતાન પણ મને બતાવ્યાં છે."12યૂસફે તેઓને ઇઝરાયલ પાસેથી થોડા દૂર કર્યા અને પોતે જમીન સુધી નમીને તેને પ્રણામ કર્યા.13પછી યૂસફે તે બન્નેને લઈને પોતાને જમણે હાથે એફ્રાઇમને ઇઝરાયલના ડાબા હાથની સામે અને પોતાને ડાબે હાથે મનાશ્શાને ઇઝરાયલના જમણા હાથની સામે રાખ્યા અને એમ તેઓને તેની પાસે લાવ્યો.14ઇઝરાયલે તેનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઇમ જે નાનો હતો તેના માથા પર મૂક્યો અને તેનો ડાબો હાથ મનાશ્શાના માથા પર મૂક્યો. તેણે સમજપૂર્વક તેના હાથ એ રીતે મૂક્યા હતા. આમ તો મનાશ્શા જ્યેષ્ઠ હતો.15ઇઝરાયલે યૂસફને આશીર્વાદ આપીને કહ્યું, "જે ઈશ્વરની આગળ મારા પિતૃઓ ઇબ્રાહિમ તથા ઇસહાક ચાલ્યા, જે ઈશ્વરે મને આજ સુધી સંભાળ્યો અને16દૂત સ્વરૂપે મને સર્વ દુષ્ટતાથી બચાવ્યો છે, તે આ દીકરાઓને આશીર્વાદ આપો. તેઓ મારું, મારા દાદા ઇબ્રાહિમનું તથા પિતા ઇસહાકનું નામ પ્રતિષ્ઠિત કરનારા થાઓ. તેઓ પૃથ્વીમાં વધીને વિશાળ સમુદાય થાઓ."17જયારે યૂસફે જોયું કે તેના પિતાએ તેનો જમણો હાથ એફ્રાઇમના માથા પર મૂક્યો, ત્યારે તે નાખુશ થયો. એફ્રાઇમના માથા પરથી મનાશ્શાના માથા પર મૂકવાને તેણે તેના પિતાનો હાથ ઊંચો કર્યો,18યૂસફે પિતાને કહ્યું, "મારા પિતા, એમ નહિ; કેમ કે મનાશ્શા જ્યેષ્ઠ છે. તેના માથા પર તારો જમણો હાથ મૂક."19તેનો પિતાએ ઇનકાર કરતા કહ્યું, "હું જાણું છું, મારા દીકરા, હું જાણું છું. તે પણ એક પ્રજા થશે અને તે પણ મહાન થશે. પણ તેનો નાનો ભાઈ તો તેના કરતાં વધારે મહાન થશે અને તેનાં વંશજોની બેશુમાર વૃદ્ધિ થશે."20ઇઝરાયલે તે દિવસે તેઓને આ રીતે આશીર્વાદ આપ્યો, "ઇઝરાયલ લોકો તમારું નામ લઈને એકબીજાને આશીર્વાદ આપીને કહેશે, 'ઈશ્વર એફ્રાઇમ તથા મનાશ્શા જેવો તને બનાવે.'" આ રીતે તેણે એફ્રાઇમને મનાશ્શા કરતાં અગ્રસ્થાન આપ્યું.21ઇઝરાયલે યૂસફને કહ્યું, "હું મરણ પામી રહ્યો છું, પણ ઈશ્વર તમારી સાથે રહેશે અને તમને આપણા પિતૃઓના કનાન દેશમાં પાછા લઈ જશે.22મેં શખેમનો પ્રદેશ તારા ભાઈઓને નહિ પણ તને આપ્યો છે. એ પ્રદેશ મેં મારી તલવારથી તથા ધનુષ્યથી અમોરીઓના હાથમાંથી જીતી લીધો હતો."
1યાકૂબે તેના દીકરાઓને બોલાવીને કહ્યું, "તમે ભેગા થાઓ કે ભવિષ્યમાં તમારું શું થશે તે હું તમને કહી જણાવું.
1પછી યૂસફ તેના પિતાના દેહને ભેટીને રડ્યો અને તેને ચુંબન કર્યું.2યૂસફે તેના દાસોમાં જે વૈદો હતા તેઓને તેના પિતાના દેહમાં સુગંધીઓ ભરવાની આજ્ઞા આપી. તેથી વૈદોએ ઇઝરાયલના દેહમાં સુગંધીઓ ભરી.3સુગંધીઓ ભરવાનું કામ ચાલીસ દિવસ પછી પૂરું થયું. યાકૂબના મરણ નિમિત્તે મિસરીઓએ સિત્તેર દિવસ શોક પાળ્યો.4જયારે તેના શોકના દિવસો પૂરા થયા ત્યારે યૂસફે ફારુનની રાજસભાને કહ્યું, "તમે મારા પર સહાનુભૂતિ દર્શાવેલી છે. તો હવે મારા વતી ફારુનને એમ કહો,5'મારા પિતાએ મને સમ આપીને કહ્યું હતું કે, "હું મૃત્યુ પામવાનો છું. મેં મારા માટે કનાન દેશમાં કબર ખોદાવેલી છે, ત્યાં મને દફનાવજો." તો હવે ફારુન મારા પિતાને દફનાવવા માટે મને જવા દે. એ વિધિ પૂરી કર્યા પછી હું પાછો આવીશ.'"6ફારુને જવાબ આપ્યો, "તારા પિતાએ તને સમ આપ્યાં છે તે મુજબ તારા પિતાને દફનાવવા માટે જા."7યૂસફ તેના પિતાને દફનાવવા માટે ગયો. ફારુનના સર્વ અધિકારીઓ, તેના ઘરના સભ્યો, મિસર દેશના સર્વ ઉચ્ચ અધિકારીઓ પણ તેની સાથે ગયા.8યૂસફના ઘરનાં સર્વ, તેના ભાઈઓ અને તેના પિતાના ઘરનાં સર્વ પણ ગયાં. તેઓએ તેમનાં નાનાં બાળકો, તેમના ટોળાં તથા તેમનાં અન્ય જાનવરોને ગોશેન દેશમાં રહેવા દીધાં.9તેની સાથે રથો તથા ઘોડેસવારો સહિત લોકોનો વિશાળ સમુદાય હતો.10જયારે તેઓ યર્દનની સામે પાર આટાદની ખળી છે ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ આક્રંદ કર્યું. પિતાને માટે સાત દિવસ સુધી શોક કર્યો.11આટાદની ખળીમાં તે દેશના કનાનીઓએ તે શોકનું વાતાવરણ જોયું, ત્યારે તેઓ બોલ્યા, "મિસરીઓના માટે આ એક શોકની મોટી જગ્યા છે." તે માટે તે જગ્યાનું નામ આબેલ-મિસરાઈમ1 કહેવાય છે, જે યર્દન પાર છે.12પોતાના દીકરાઓને જેવા સલાહસૂચનો યાકૂબે આપ્યાં હતાં તે પ્રમાણે તેઓએ પિતાને સારુ કર્યું.13તેના દીકરાઓ તેને કનાન દેશમાં લાવ્યા અને મામરે નજીક, માખ્પેલાના ખેતરમાંની ગુફામાં તેને દફ્નાવ્યો. ઇબ્રાહિમે કબરસ્તાન માટે તે ખેતર ગુફા સહિત એફ્રોન હિત્તી પાસેથી વેચાતું લીધું હતું.14તેના પિતાને દફનાવ્યા પછી યૂસફ તથા તેના ભાઈઓ અને જેઓ તેના પિતાને દફનાવવા માટે તેની સાથે ગયા હતા, તે સર્વ મિસરમાં પાછા આવ્યા.