Language: ગુજરાતી
Book: Deuteronomy
Deuteronomy
Chapter 1
1 યર્દન પાર [1] અરણ્યમાં, સૂફ સમુદ્રની સામેના અરાબાની ખીણ પ્રદેશમાં, પારાન, તોફેલ, લાબાન, હસેરોથ તથા દી-ઝાહાબ તેઓની નગરો આવેલાં હતા ત્યાં જે વચનો મૂસાએ ઇઝરાયલપુત્રોને કહી સંભળાવ્યાં તે નીચે મુજબ છે. 2 સેઈર પર્વતને માર્ગે હોરેબથી કાદેશ બાર્નેઆ સુધીનું અંતર અગિયાર દિવસની મજલ જેટલું છે.
3 મિસર દેશ છોડ્યાના ચાળીસમા વર્ષના અગિયારમા મહિનાને પ્રથમ દિવસે એમ થયું કે, જે સર્વ આજ્ઞાઓ યહોવાહે મૂસાને આપી હતી, તે તેણે ઇઝરાયલી લોકોને કહી સંભળાવી. 4 એટલે અમોરીઓનો રાજા સીહોન જે હેશ્બોનમાં રહેતો હતો અને બાશાનનો રાજા ઓગ જે આશ્તારોથમાં એડ્રેઇ પાસે રહેતો હતો, તેઓનો ઈશ્વરે નાશ કર્યો ત્યાર પછી;
5 યર્દન પાર મોઆબ દેશમાં મૂસાએ આ નિયમ પ્રગટ કરવાની શરૂઆત કરીને કહ્યું કે, 6 આપણા ઈશ્વર યહોવાહે હોરેબ પર આપણને કહ્યું હતું કે, તમને આ પર્વત પર ઘણો જ વખત વીતી ગયો છે.
7 તો હવે તમે પાછા ફરો, અને કૂચ કરીને અમોરીઓના પહાડી પ્રદેશમાં તથા તેની નજીકની સર્વ જગ્યાઓમાં એટલે અરાબા, પહાડીપ્રદેશમાં, નીચલાપ્રદેશમાં, નેગેબમાં તથા સમુદ્રકાંઠે, કનાનીઓના દેશમાં તથા લબાનોનમાં એટલે મોટી નદી ફ્રાત નદી સુધી જાઓ. 8 જુઓ, તમારી આગળ આ જે દેશ હું દર્શાવું છું; તેમાં પ્રવેશ કરો. એ દેશ વિષે યહોવાહે તમારા પૂર્વજો એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ પ્રતિજ્ઞા લીધી હતી કે હું તમને તથા તમારા વંશજોને તે દેશ આપીશ તેનું વતન પ્રાપ્ત કરો'"
9 "તે સમયે મેં તમને એવું કહ્યું હતું કે, હું પોતે એકલો તમારો બધાનો બોજો ઉપાડવાને શક્તિમાન નથી. 10 તમારા યહોવાહે તમારો વિસ્તાર વધાર્યો છે, અને જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી છે. 11 તમારા પૂર્વજોના ઈશ્વર યહોવાહે તમને આપેલા વચન પ્રમાણે તમે છો તેના કરતાં તમને હજારગણા વધારો અને આશીર્વાદ આપો.
12 પણ હું એકલો જાતે તમારી જવાબદારી, તમારી સમસ્યા તથા તમારા ઝઘડાનું નિરાકરણ શી રીતે કરી શકું? 13 માટે તમે પોતપોતાના કુળોમાંથી જ્ઞાની, બુદ્ધિમાન અને અનુભવી માણસોને પસંદ કરો. હું તેઓને તમારા અધિકારીઓ ઠરાવીશ." 14 પછી તમે મને ઉત્તર આપ્યો હતો અને કહ્યું હતું કે, જે વાત તેં કહી છે તે પ્રમાણે કરવું તે સારું છે. 15 "તેથી તમારાં કુળોમાંના આગેવાનો જેઓ બુદ્ધિમાન અને અનુભવી પુરુષો હતા તેઓને લઈને મેં તમારા અધિકારીઓ ઠરાવ્યા. એટલે તમારાં કુળો પ્રમાણે હજાર-હજારના આગેવાનો તથા સો-સોના આગેવાનો, પચાસ-પચાસના આગેવાનો દસ-દસના આગેવાનો તથા અમલદારો ઠરાવ્યા. 16 અને તે સમયે મેં તમારા ન્યાયીધીશોને એવી આજ્ઞા કરી હતી કે, તમારા ભાઈઓ વચ્ચેની તકરાર તમારે સાંભળવી. અને ભાઈ ભાઈની વચ્ચે તથા ભાઈ અને તેની સાથેના પરદેશી વચ્ચે તમારે નિષ્પક્ષ ન્યાય કરવો.
17 ન્યાય કરતી વખતે તમારે આંખની શરમ રાખવી નહિ; નાના તથા મોટા સૌનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહિ, કેમ કે ન્યાય કરવો એ ઈશ્વરનું કામ છે. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમારે મારી પાસે લાવવો એટલે તે હું સંભાળીશ. 18 અને તમારે શું કરવું તે સર્વ વિષે મેં તમને તે સમયે આજ્ઞા આપી હતી.
19 અને આપણે હોરેબ પર્વત છોડીને જે વિશાળ અને ભયંકર અરણ્ય તમે જોયું તે અરણ્ય, ઈશ્વર આપણા યહોવાહે આપેલી આજ્ઞા પ્રમાણે અમોરીઓના પર્વતીય પ્રદેશને રસ્તે ચાલતાં આપણે ઓળગ્યું. અને આપણે કાદેશ બાર્નેઆ આવ્યા.
20 ત્યારે મેં તમને કહ્યું કે, "અમોરીઓનો જે પહાડી પ્રદેશ ઈશ્વર આપણા યહોવાહે આપણને આપવાનું વચન આપ્યું હતું, તેમાં તમે આવી પહોંચ્યા છો. 21 જુઓ, ઈશ્વર તમારા યહોવાહે તે દેશ તમારી આગળ મૂક્યો છે; ઈશ્વર તમારા પિતૃઓના યહોવાહે તમને કહ્યું તે પ્રમાણે આગળ વધીને તેનો કબજો લો. બીશો નહિ અને ગભરાશો નહિ."
22 અને તમે સર્વએ મારી પાસે આવીને કહ્યું કે, "આપણે માણસો મોકલીએ, એ માટે કે તેઓ આપણે વાસ્તે દેશની બાતમી કાઢે અને આપણે કયે રસ્તે આગળ જવું અને કયાં નગરો આપણા રસ્તામાં આવશે તે વિષે તેઓ પાછા આવીને આપણને ખબર આપે.'' 23 અને એ સૂચના મને સારી લાગી; તેથી મેં દરેક કુળમાંથી એકેક માણસ એટલે તમારામાંથી બાર માણસો પસંદ કર્યા. 24 અને તેઓ પાછા ફરીને પર્વત પર ચઢ્યા અને એશ્કોલની ખીણમાં જઈને તેની જાસૂસી કરી. 25 અને તેઓ તે દેશનાં ફળ પોતાની સાથે લઈને આપણી પાસે આવ્યા. અને તેઓ એવી ખબર લાવ્યા કે, જે ભૂમિ આપણા ઈશ્વર યહોવાહ આપણને આપવાના છે તે ભૂમિ સારી છે.
26 "પણ તમે ત્યાં જવા નહિ ચાહતા ઈશ્વર તમારા યહોવાહની આજ્ઞાનો અનાદર કર્યો. 27 અને તમે લોકોએ તમારા તંબુમાં બબડાટ કરીને કહ્યું કે, 'યહોવાહ આપણને ધિક્કારે છે, તેથી જ તેમણે આપણને મિસરમાંથી બહાર લાવીને અમોરીઓના હાથમાં સોંપી દીધા છે જેથી તેઓ આપણા સૌનો નાશ કરે. 28 હવે આગળ અમે કયાં જઈએ? "તે લોકો આપણા કરતાં કદમાં મોટા અને શક્તિશાળી છે; તેઓનાં નગરો મોટાં અને તેના કોટ ગગન જેટલા ઊંચા છે; અને વળી ત્યાં અનાકપુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે. એવું કહીને અમારા ભાઈઓએ અમને ભયભીત કરી નાખ્યા છે."
29 ત્યારે મેં તમને કહ્યું કે, "ડરો નહિ અને તેઓથી બી ન જાઓ. 30 તમારા ઈશ્વર યહોવાહ તમારી આગળ જશે અને તમેે મિસરમાં હતા ત્યારે તમારા માટે જે પરાક્રમી કૃત્યો કર્યા હતા તેમ તે તમારા માટે લડશે. 31 અરણ્યમાં પણ તમે જોયું તેમ જ આ જગ્યાએ આવ્યા ત્યાં સુધી જે માર્ગે તમે ગયા ત્યાં જેમ પિતા પોતાના દીકરાને ઊંચકી લે તેમ ઈશ્વર તમારા યહોવાહે તમને ઊંચકી લીધા છે."
32 આ બધી બાબતોમાં પણ તમે તમારા ઈશ્વર ફક્ત યહોવાહ પર વિશ્વાસ કર્યો નહિ, 33 રસ્તે તમારા માટે તંબુ બાંધવાની જગ્યા શોધવા, કયા માર્ગે તમારે જવું તે બતાવવાને યહોવાહ રાત્રે અગ્નિરૂપે અને દિવસે મેઘરૂપે તમારી આગળ ચાલતા હતા.
34 યહોવાહ તમારો અવાજ સાંભળીને કોપાયમાન થયા; તેમણે સમ ખાઈને કહ્યું કે, 35 "જે સારો દેશ તમારા પૂર્વજોને આપવાને મેં સમ ખાધા હતા, તે આ ખરાબ પેઢીના માણસોમાંથી એક પણ જોશે નહિ. 36 ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ તે દેશ જોશે. જે ભૂમિમાં તે ફર્યો છે તે હું તેને તથા તેના સંતાનોને આપીશ, કેમ કે તે સંપૂર્ણપણે યહોવાહને અનુસર્યો છે."
37 વળી તમારા લીધે યહોવાહે મારા પર પણ ગુસ્સે થઈને કહ્યું કે, "તું પણ તેમાં પ્રવેશ કરશે નહિ; 38 નૂનનો દીકરો યહોશુઆ જે તારી આગળ તારા ચાકર તરીકે ઊભો છે તે તેમાં પ્રવેશ કરશે; તું તેને હિંમત આપ, કેમ કે તે ઇઝરાયલને તેનો વારસો અપાવશે.
39 વળી તમારાં બાળકો જેના વિષે તમે કહ્યું કે, તેઓ ભક્ષ થઈ જશે, જેઓને આજે સારા અને ખરાબની સમજ નથી તેઓ તેમાં પ્રવેશ કરશે. તેઓને હું તે આપીશ અને તેઓ તેનું વતન પામશે. 40 પણ તમે પાછા ફરો અને અરણ્યમાં લાલ સમુદ્રના માર્ગે થઈને ચાલો."
41 ત્યારે તમે મને જવાબ આપ્યો કે, "અમે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે, અમે ઉપર ચઢીને આપણા ઈશ્વર યહોવાહે આપણને આપેલી બધી આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરીશું." તમારામાંનો દરેક માણસ પોતપોતાનાં યુદ્ધશસ્ત્ર ધારણ કરીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કરવા જવાને તૈયાર થઈ ગયો હતો. 42 યહોવાહે મને કહ્યું, "તેઓને કહે કે, 'હુમલો કરશો નહિ, તેમ યુદ્ધ પણ કરશો નહિ, રખેને તમે તમારા શત્રુઓથી પરાજિત થાઓ, કેમ કે હું તમારી સાથે નથી."
43 એમ મેં તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ. તમે યહોવાહની આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો; તમે આવેશમાં આવીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કર્યો. 44 પહાડી પ્રદેશમાં રહેતા અમોરીઓ તમારી વિરુદ્ધ બહાર નીકળી આવ્યા અને મધમાખીઓની જેમ તમારી પાછળ લાગ્યા, સેઈરમાં છેક હોર્મા સુધી તમને મારીને હાર આપી.
45 તમે પાછા ફરીને યહોવાહની આગળ રડ્યા; પણ યહોવાહે તમારો અવાજ સાંભળ્યો નહિ, તમારી દરકાર કરી નહિ. 46 આથી ઘણાં દિવસો તમે કાદેશમાં રહ્યા, એટલે કે બધા દિવસો તમે ત્યાં રહ્યા.
Footnotes
Chapter 2
1 પછી યહોવાહે મૂસા સાથે આ પ્રમાણે વાત કર્યું. યહોવાહે મને કહ્યું હતું તે મુજબ અમે પાછા ફરીને લાલ સમુદ્રને માર્ગે અરણ્યમાં ચાલ્યા. ઘણાં દિવસો સુધી અમે સેઈર પર્વતની આસપાસ ફરતા રહ્યા. 2 પછી યહોવાહે મને કહ્યું, કે, 3 "આ પર્વતની આસપાસ તમે લાંબો સમય ફર્યા છો, હવે ઉત્તર તરફ પાછા વળો.
4 લોકોને આજ્ઞા કરીને કહે, તમે સેઈરમાં રહેનારા તમારા ભાઈઓ, એટલે કે એસાવના વંશજોની હદમાં થઈને પસાર થવાના છો. તેઓ તમારાથી ડરી જશે. માટે તમે કાળજી રાખજો. 5 તેઓની સાથે યુદ્ધ કરશો નહિ, કેમ કે તેઓના દેશમાંથી હું તમને કંઈપણ આપીશ નહિ, પગ મૂકવા જેટલું પણ આપીશ નહિ. કેમ કે મેં સેઈર પર્વત એસાવને વતન તરીકે આપ્યો છે.
6 નાણાં આપીને તેઓની પાસેથી ખોરાક ખરીદો, જેથી તમે ખાઈ શકો; પાણી પણ નાણાં આપીને ખરીદો, જેથી તમે પી શકો. 7 કેમ કે ઈશ્વર તમારા યહોવાહે તમારા હાથનાં બધાં જ કાર્યોમાં તમને આશીર્વાદ આપ્યો છે, આ મોટા અરણ્યમાં તમારું ચાલવું તેમણે જાણ્યું છે. કેમ કે આ ચાળીસ વર્ષ ઈશ્વર તમારા યહોવાહ તમારી સાથે રહ્યા, તમને કશાની ખોટ પડી નથી.'"
8 જેથી અમે આપણા સેઈરવાસી ભાઈઓ એટલે કે એસાવના વંશજોના દેશમાંથી પસાર થયા, અરાબાના માર્ગે થઈને એલાથ તથા એસ્યોન-ગેબેરથી ગયા.
અને અમે પાછા વળીને મોઆબના અરણ્યના માર્ગે ચાલ્યા.
9 યહોવાહે મને કહ્યું કે, "મોઆબને સતાવશો નહિ, તેમની સાથે યુદ્ધમાં લડશો નહિ. કેમ કે, તેઓના દેશમાંથી હું તમને વતન આપીશ નહિ, કેમ કે, આર તો મેં લોતના વંશજોને વતન તરીકે આપ્યું છે."
10 અગાઉ એમીઓ ત્યાં રહેતા હતા. તેઓની વસ્તી ઘણી હતી અને તેઓ અનાકીઓ જેવા ઊંચા તથા કદાવર હતા. 11 અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમી [1] ઓ ગણાય છે; પણ મોઆબીઓ તેઓને એમીઓ કહે છે.
12 અગાઉ હોરીઓ પણ સેઈરમાં રહેતા હતા, પણ એસાવપુત્રો તેઓની જગ્યાએ આવ્યા. તેઓ પોતાની આગળથી તેઓનો નાશ કરીને તેઓની જગ્યાએ વસ્યા. જેમ ઇઝરાયલે જે દેશ યહોવાહે તેઓને વતનને માટે આપ્યો તેને કર્યું હતું તેમ જ.
13 "હવે ઊઠો અને ઝેરેદનું નાળું ઊતરો." તેથી આપણે ઝેરેદનું નાળું ઊતર્યા. 14 આપણે કાદેશ બાર્નેઆથી નીકળીને ઝેરેદનું નાળું ઊતર્યા ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષ પસાર થયા. તે સમયે લડવૈયા માણસોની આખી પેઢી, યહોવાહે તેઓને પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું હતું તે પ્રમાણે નાશ પામી હતી. 15 વળી તેઓ બધા નાશ પામે ત્યાં સુધી છાવણી મધ્યેથી તેઓનો નાશ કરવા સારુ યહોવાહનો હાથ તેઓની વિરુદ્ધ હતો.
16 હવે લોકોમાંથી સર્વ લડવૈયાઓ નાશ પામ્યા તથા મરી ગયા ત્યાર પછી, 17 યહોવાહે મને કહ્યું કે, 18 તું આજે આર એટલે કે મોઆબની સરહદ પાર કરવાનો છે; 19 અને જયારે તું આમ્મોનપુત્રોની નજીક આવે ત્યારે તેઓને સતાવીશ નહિ કે તેઓની સાથે લડીશ પણ નહિ; કારણ કે, હું તમને આમ્મોનપુત્રોના દેશમાંથી વતન આપવાનો નથી. કેમ કે મેં તે પ્રદેશ વતન તરીકે લોતપુત્રોને આપ્યો છે."
20 તે પણ રફાઈઓનો દેશ ગણાય છે; અગાઉ રફાઈઓ તેમાં રહેતા હતા. જો કે આમ્મોનીઓ તેઓને ઝામઝુમીઓ એવું નામ આપે છે. 21 તે લોક પણ અનાકીઓની જેમ બળવાન તથા કદાવર હતા. તેઓની સંખ્યા ઘણી હતી; પરંતુ યહોવાહે આમ્મોનીઓ આગળથી તેઓનો નાશ કર્યો અને તેઓ તેઓના વતનમાં દાખલ થઈને તેઓની જગ્યાએ વસ્યા. 22 જેમ હોરીઓનો નાશ કરીને યહોવાહે સેઈરવાસી એસાવપુત્રો માટે કર્યું હતું તેમ જ; અને તેઓએ તેઓનું વતન લઈ લીધું. અને તેઓની જગ્યાએ તેઓ આજ સુધી વસ્યા.
23 અને આવ્વીઓ જેઓ ગાઝા સુધીના ગામોમાં રહેતા હતા, તેઓનો કાફતોરીઓએ કાફતોરીમમાંથી ધસી આવીને નાશ કર્યો અને તેઓની જગ્યાએ રહ્યા.
24 "હવે તમે ઊઠો, આગળ ચાલો અને આર્નોનની ખીણ ઓળંગો; જુઓ, મેં હેશ્બોનના રાજા અમોરી સીહોનને તેમ જ તેના દેશને તમારા હાથમાં સોંપી દીધો છે. તેનું વતન જીતવાનું શરૂ કરો અને તેની સાથે યુદ્ધ કરો. 25 હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજાઓ પર તમારો ડર તથા ધાક એવો બેસાડીશ કે તેઓ તમારી ખ્યાતી સાંભળી ધ્રૂજશે અને તીવ્ર વેદનાથી દુઃખી થશે."
26 અને કદેમોથના અરણ્યમાંથી મેં હેશ્બોનના રાજા સીહોન પાસે સંદેશવાહકો મોકલ્યા કે, તેઓ શાંતિનો સંદેશો લઈને કહે કે, 27 "અમને તારા દેશમાં થઈને જવા દે; અમે રસ્તે જ ચાલીશું; ડાબે કે જમણે હાથે વળીશું નહિ.
28 ખાવાને માટે અન્ન અમને પૈસા લઈને વેચાતું આપજે જેથી અમે ખાઈએ; પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે જેથી હું પીવું; ફક્ત તારા દેશમાંથી થઈને અમને પગે ચાલીને જવા દે; 29 જ્યાં સુધી અમે યર્દન નદી ઓળંગીને અમારા ઈશ્વર યહોવાહ અમને જે દેશ આપવાના છે ત્યાં પહોંચીએ ત્યાં સુધી જેમ સેઈરમાં વસતા એસાવપુત્રો તથા આરમાં વસતા મોઆબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્તજે"
30 પરંતુ હેશ્બોનના રાજા સીહોને આપણને પોતાના દેશમાં થઈને જવા દેવાની ના પાડી; કેમ કે ઈશ્વર તમારા યહોવાહ તેનું મન કઠણ અને હૃદય હઠીલું કર્યું હતું કે તે તેને તારા હાથમાં સોંપે, જેમ આજે છે તેમ. 31 અને યહોવાહે મને કહ્યું, 'જો મેં સીહોનને તથા તેના દેશને તને સ્વાધીન કરવાનો આરંભ કર્યો છે. વતન પ્રાપ્ત કરવાનું શરૂ કર કે જેથી તું તે દેશનો વારસો પામે."
32 "ત્યારે સીહોન તથા તેના સર્વ લોક યાહાસ આગળ આપણી સામે લડાઈ કરવાને બહાર નીકળી આવ્યા. 33 પરંતુ આપણા ઈશ્વર યહોવાહે તેને આપણને સ્વાધીન કરી દીધો. અને આપણે તેને તથા તેના પુત્રોને તથા તેના સર્વ લોકોને હરાવ્યા.
34 આપણે તેનાં સર્વ નગરો જીતી લીધા. અને વસ્તીવાળાં સર્વ નગરોનો, તેઓની સ્ત્રીઓ તથા બાળકો શુદ્ધા તેઓનો પૂરો નાશ કર્યો. કોઈને પણ જીવતા રહેવા દીધા નહિ. 35 ફક્ત જે નગરો આપણે જીતી લીધાં હતાં તેમની લૂંટ સાથે આપણે પોતાને સારુ જાનવરો લીધા.
36 આર્નોનની ખીણની સરહદ પર આવેલા અરોએર તથા ખીણની અંદરના નગરથી માંડીને ગિલ્યાદ સુધી એક પણ નગર એવું મજબૂત નહોતું કે આપણાથી જિતાય નહિ. ઈશ્વર આપણા યહોવાહે આપણા સર્વ શત્રુઓ પર વિજય આપ્યો. 37 ફક્ત આમ્મોનપુત્રોના દેશની નજીક તથા યાબ્બોક નદીના કાંઠા પરનો આખો પ્રદેશ, પર્વતીય પ્રદેશના નગરો તથા જે જગ્યા વિષે આપણા ઈશ્વર યહોવાહે આપણને મના કરી હતી ત્યાં આપણે ગયા જ નહિ.
Footnotes
Chapter 3
1 ત્યારબાદ આપણે પાછા વળીને બાશાનના માર્ગે આગળ વધ્યા. બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વ લોક એડ્રેઇ આગળ આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા. 2 યહોવાહે મને કહ્યું, ''તેનાથી તું બીશ નહિ; કારણ કે, મેં તેને તેના સર્વ લોકને અને તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે. અને અમોરીનો રાજા સીહોન જે હેશ્બોનમાં રહેતો હતો તેને તેં જેવું કર્યું તેવુ જ તેને પણ કર."
3 તેથી ઈશ્વર આપણા યહોવાહે બાશાનના રાજા ઓગ અને તેના સર્વ લોકને આપણા હાથમાં સોંપી દીધા. આપણે તેઓને પરાજિત કર્યા. તેઓમાંનું કોઈ પણ જીવતું રહ્યું નહિ. 4 તે સમયે આપણે તેઓનાં સર્વ નગરો જીતી લીધા. એટલે તેઓની પાસેથી જીતી લીધું ના હોય એવું એક પણ નગર ન હતું. સાઠ નગરો તથા આર્ગોબનો આખો પ્રદેશ એટલે કે બાશાનમાં ઓગનું રાજ્ય આપણે જીતી લીધું.
5 આ બધાં નગરોના રક્ષણ માટે ઊંચા કોટ, દરવાજા તથા ભૂંગળો હતાં. તે ઉપરાંત, કોટ વગરનાં બીજા અનેક ગામો હતાં. 6 અને આપણે હેશ્બોનના રાજા સીહોનને કર્યુ હતું તેમ તેઓનો પૂરો નાશ કર્યો. વસ્તીવાળાં સર્વ નગરો, તેઓની સ્ત્રીઓ અને બાળકોનો સંપૂર્ણ નાશ કર્યો. 7 પરંતુ સર્વ જાનવરો તથા નગરોની લૂંટ આપણે પોતાને માટે લીધી.
8 તે સમયે આપણે યર્દન પાર અમોરીઓના બન્ને રાજાઓના હાથમાંથી આર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો દેશ કબજે કરી લીધો. 9 સિદોનીઓ હેર્મોન પર્વતને સીર્યોન કહે છે અને અમોરીઓ તેને સનીર કહે છે; 10 સપાટ પ્રદેશનાં બધાં નગરો, આખું ગિલ્યાદ, આખું બાશાન તથા બાશાનમાં ઓગના રાજ્યનાં સાલખા અને એડ્રેઇ નગરો આપણે જીતી લીધાં.
11 કેમ કે રફાઈઓમાંનાં બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ બાકી રહ્યો હતો; જુઓ, તેનો પલંગ લોખંડનો હતો. શું તે રાબ્બામાં નથી કે જ્યાં આમ્મોનપુત્રો રહે છે? માણસનાં હાથના માપ પ્રમાણે તેની લંબાઈ નવ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી.
12 અને તે સમયે જે દેશને અમે કબજે કર્યો હતો, તે આર્નોનની ખીણના અરોએર [1] થી ગિલ્યાદના પર્વતીય પ્રદેશનો અડધો ભાગ તથા તેનાં નગરો મેં રુબેનીઓને અને ગાદીઓને આપ્યાં. 13 ગિલ્યાદનો બાકીનો ભાગ તથા ઓગનું રાજ્ય એટલે આખું બાશાન મેં મનાશ્શાના અર્ધકુળને આપ્યું. આર્ગોબનો આખો પ્રદેશ, આખું બાશાન આપ્યું. તે રફાઈઓનો દેશ કહેવાય છે.
14 મનાશ્શાના વંશજ યાઈરે ગશૂરીઓ અને માખાથીઓની સરહદ સુધીનો આખો આર્ગોબનો પ્રદેશ જીતી લીધો. તેણે પોતાના નામ ઉપરથી બાશાનને, હાવ્વોથ યાઈર એ નામ આપ્યું, તે આજ સુધી ચાલે છે.
15 મેં માખીરને ગિલ્યાદ આપ્યું. 16 રુબેનીઓને અને ગાદીઓને મેં ગિલ્યાદથી માંડીને આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ જે પ્રદેશની સરહદ તે ખીણની વચ્ચે આવેલી હતી તે, યાબ્બોક નદી જે આમ્મોનપુત્રોની સરહદ છે ત્યાં સુધીનો પ્રદેશ આપ્યો.
17 અરાબામાં પશ્ચિમે યર્દન નદી તથા તેની સીમા પણ, કિન્નેરેથથી અરાબાના સમુદ્ર એટલે કે ખારા સમુદ્રની પૂર્વમાં પિસ્ગાહ પર્વતના ઢોળાવ તળે આવેલી છે, ત્યાં સુધીનો પ્રદેશ.
18 તે સમયે મેં તમને આજ્ઞા આપીને કહ્યું હતું કે, "ઈશ્વર તમારા યહોવાહે આ દેશ તમને વતન કરી લેવા માટે આપ્યો છે. તમે તથા બધા યોદ્ધાઓ હથિયાર સજીને તમારા ભાઈઓની એટલે ઇઝરાયલના લોકોની આગળ પેલી બાજુ જાઓ.
19 પણ તમારી પત્નીઓ, તમારાં બાળકો તથા તમારાં જાનવર હું જાણું છું કે તમારી પાસે ઘણાં જાનવર છે, જે નગરો મેં તમને આપ્યાં છે તેમાં તેઓ રહે, 20 જ્યાં સુધી કે જેમ તમને તેમ તમારા ભાઈઓને યહોવાહે જે દેશ ઈશ્વર તમારા યહોવાહ તેઓને યર્દનને પેલી બાજુ આપવાના છે તેનું વતન તેઓ પણ પામે ત્યાં સુધી આરામ આપ્યો. ત્યાર પછી તમે બધા પોતપોતાનાં વતન તમને આપ્યાં છે તેમાં પાછા આવો."
21 મેં યહોશુઆને આજ્ઞા આપીને કહ્યું કે, "યહોવાહે આ બે રાજાઓને જે બધું કર્યું, તે તારી આંખોએ તેં જોયું છે, તે જ પ્રમાણે જે સર્વ રાજ્યોમાં તું જશે તેઓને યહોવાહ એવું કરશે. 22 તમે તેઓથી બીશો નહિ, કેમ કે, ઈશ્વર તમારા યહોવાહ એકલા જ તમારા માટે લડશે."
23 તે સમયે મેં યહોવાહને આગ્રહપૂર્વક વિનંતી કરીને કહ્યું કે, 24 "હે પ્રભુ યહોવાહ, તમે તમારા દાસોને તમારી મહાનતા તથા તમારો બળવાન હાથ બતાવ્યો છે; કેમ કે આકાશમાં કે પૃથ્વી પર એવા કયા દેવ છે કે જે તમારા જેવાં કામો તથા તમારા જેવા ચમત્કારો કરી શકે? 25 કૃપા કરીને મને પેલી બાજુ જવા દો, યર્દનની પેલી બાજુનો સારો દેશ, સારો પર્વતીય પ્રદેશ તથા લબાનોન પણ મને જોવા દો."
26 પરંતુ તમારે કારણે યહોવાહ મારા પર ગુસ્સે થયા હતા તેમણે મારી અરજ સાંભળી નહિ. અને મને કહ્યું, "તારા માટે આટલું જ બસ છે, આ બાબત વિષે કદી મારી આગળ બોલીશ નહિ. 27 પિસ્ગાહ પર્વતના શિખર પર ચઢ, તારી આંખો ઊંચી કરીને પશ્ચિમબાજુ, ઉત્તરબાજુ, દક્ષિણબાજુ તથા પૂર્વબાજુ જો તારી આંખોથી જોઈ લે, તું આ યર્દનની પાર જવા પામવાનો નથી.
28 યહોશુઆને આદેશ આપ; તેને હિંમત તથા બળ આપ, કેમ કે, તે આ લોકોને પેલી પાર લઈ જશે અને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તે તેઓને અપાવશે." 29 એ પ્રમાણે આપણે બેથ-પેઓરની સામેની ખીણમાં મુકામ કર્યો.
Footnotes
Chapter 4
1 હવે, હે ઇઝરાયલ, જે કાયદાઓ અને નિયમો હું તમને શીખવું છું તે ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો; એ માટે કે તમે જીવતા રહો અને તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહ જે દેશ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેને કબજે કરો. 2 હું તમને જે આજ્ઞા આપું છું તેમાં તમારે કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ. એ માટે કે ઈશ્વર તમારા યહોવાહની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું તે તમે પાળો.
3 બઆલપેઓરના લીધે યહોવાહે જે કંઈ કર્યું તે તમારી નજરે તમે જોયું છે; કેમ કે જે બધા માણસો બઆલ-પેઓરને અનુસરતા હતા, તેઓના ઈશ્વર તમારા યહોવાહે તમારી મધ્યેથી નાશ કર્યો. 4 પણ તમે જેઓ ઈશ્વર તમારા યહોવાહને આધીન રહ્યા તેઓ આજે જીવતા રહ્યા છે.
5 જુઓ, જેમ ઈશ્વર મારા યહોવાહે મને આજ્ઞા આપી તે પ્રમાણે મેં તમને કાનૂનો અને નિયમો શીખવ્યા છે, કે જેથી જે દેશનું વતન પ્રાપ્ત કરવા માટે તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે કરો. 6 માટે તે પાળીને તેને અમલમાં લાવો; તેથી લોકોની દ્રષ્ટિમાં તમે જ્ઞાની તથા સમજદાર ગણાશો, જેઓ સર્વ આ કાનૂનો વિષે સાંભળશે તેઓ કહેશે કે, "ખરેખર, આ મહાન દેશજાતિ જ્ઞાની અને સમજદાર છે."
7 કેમ કે એવી કઈ મોટી દેશજાતિ છે કે જેની સાથે કોઈ ઈશ્વર નજીક છે, જેમ ઈશ્વર આપણા યહોવાહને જયારે આપણે પોકારીએ છીએ ત્યારે તે આપણી સાથે સંબંધ રાખે છે. 8 બીજી કઈ એવી મહાન જાતિ છે કે તેઓની પાસે આ બધા નિયમો જેને આજે હું તમારી આગળ પ્રગટ કરું છું તેના જેવા ન્યાયી નિયમો તથા કાનૂનો છે?
9 ફક્ત પોતાના વિષે સાવધ રહો અને ધ્યાનથી તમારા આત્માની કાળજી રાખો, કે જેથી તમારી આંખે જે જોયું છે તે તું ભૂલી જાઓ નહિ અને તમારા જીવનના સર્વ દિવસો પર્યંત તમારા હૃદયમાંથી તે દૂર થાય નહિ. પણ, તમારા સંતાનને અને તમારા સંતાનના સંતાનને શીખવો. 10 તમે હોરેબમાં તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ ઊભા રહ્યા હતા તે દિવસે યહોવાહે મને કહ્યું કે, "લોકોને મારી સમક્ષ ભેગા કર. હું તેઓને મારાં વચનો કહી સંભળાવીશ અને જે સર્વ દિવસો સુધી તેઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી મારો ડર રાખતા શીખે અને પોતાનાં સંતાનોને પણ તે શીખવે."
11 તેથી તમે આવીને પર્વતની તળેટી નજીક ઊભા રહ્યા અને પર્વત અગ્નિથી બળતો હતો અને જ્વાળાઓ આકાશ સુધી પહોંચતી હતી. ત્યારે વાદળ તથા ઘોર અંધકાર સર્વત્ર વ્યાપી ગયાં હતાં. 12 તે વખતે યહોવાહ અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા; તમે તેમના શબ્દોનો અવાજ સાંભળ્યો, પણ તમે કોઈ આકાર જોયો નહિ, તમે ફક્ત અવાજ સાંભળ્યો.
13 તેમણે તમને પોતાનો કરાર જાહેર કર્યો એટલે કે દસ નિયમોનું પાલન કરવાની આજ્ઞા ઈશ્વરે તમને આપી. અને એ નિયમો બે શિલાપાટીઓ પર લખ્યા. 14 તે સમયે યહોવાહે તમને કાયદાઓ તથા કાનૂનો શીખવવાનું મને ફરમાવ્યું, એ સારું કે પેલી પાર જે દેશમાં તમે વતન પ્રાપ્ત કરવા જાઓ છો તેમાં તમે તે પાળો.
15 "માટે પોતાના વિષે સાવધ રહેજો, જે દિવસે તમે હોરેબમાં યહોવાહને અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલતા સાંભળ્યા તે દિવસે તમે કોઈ આકાર જોયો ન હતો. 16 માટે સાવધ રહો કે રખેને તમે ભ્રષ્ટ થઈને કોઈ પ્રકારના આકારની નર કે નારીની પ્રતિમા બનાવો, 17 પૃથ્વી પર ચાલનારા કોઈ પશુની કે આકાશમાં ઊડતા પક્ષીની પ્રતિમા, 18 અથવા પૃથ્વી તળેના પાણીમાંની કોઈ માછલીની પ્રતિમા બનાવીને તમે ભ્રષ્ટ થશો નહિ.
19 સાવધ રહો રખેને જયારે તમે આકાશ તરફ નજર કરો ત્યારે સૂર્ય, ચંદ્ર, તારા એટલે આખું ગગનમંડળ જેઓને ઈશ્વર તમારા યહોવાહે આકાશ નીચેના સર્વ લોકોને વહેંચી આપ્યાં છે. તેઓને જોઈને તમે આકર્ષાઈને તેમની સેવાપૂજા કરો. 20 પરંતુ યહોવાહ તમને મિસરમાં ધગધગતા લોખંડ ઓગળવાનું ભઠ્ઠીમાંથી બહાર કાઢી લાવ્યા છે. જેથી જેમ આજે છો તેમ તમે તેમના વારસાના લોક બની રહો.
21 વળી તમારે કારણે યહોવાહ મારા પર શબ્દો વડે કોપાયમાન થયા; અને તેમણે એવા સમ ખાધા કે, "તું યર્દનની પેલે પાર જવા પામશે નહિ. અને ઈશ્વર જે ઉતમ દેશનો વારસો તમને આપે છે તેમાં તું પ્રવેશ પામશે નહિ." 22 હું તો નક્કી આ દેશમાં જ મરવાનો છું, હું યર્દન નદી ઓળંગી શકવાનો નથી. પણ તમે પેલી પાર જશો. અને એ ઉતમ દેશનું વતન પ્રાપ્ત કરશો.
23 તમે હવે સાંભળો, જે કરાર ઈશ્વર તમારા યહોવાહે તમારી સાથે કર્યો છે તે તમે ભૂલશો નહિ. કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ જે વિષે યહોવાહ તમારા ઈશ્વરે મના કરી છે તે બનાવશો નહિ. 24 કેમ કે ઈશ્વર તમારા યહોવાહ ભસ્મકારક અગ્નિરૂપ તથા ઈર્ષ્યાળુ ઈશ્વર છે.
25 તમને સંતાનો અને સંતાનોનાં પણ સંતાનો પણ પ્રાપ્ત થાય અને તમે બધા તે દેશમાં સ્થાયી થયા પછી તમે જો ભ્રષ્ટ થઈને કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ બનાવશો અને જે ઈશ્વર તારા યહોવાહની નજરમાં અજૂગતું છે તે કરીને તેમને કોપાયમાન કરશો; 26 તો હું આજે આકાશ તથા પૃથ્વીને સાક્ષી રાખીને તમને કહું છું કે, યર્દન ઊતરીને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે જાઓ છો, તેમાંથી જલ્દી તમારો પૂરો નાશ થઈ જશે. તેમાં તમે દીર્ઘાયુષ્ય પામશો નહિ, તેમાંથી તમારો પૂરો નાશ થશે.
27 યહોવાહ તમને દેશજાતિઓ મધ્યે વિખેરી નાખશે અને તમને જે દેશજાતિ મધ્યે લઈ જશે તેમની વચ્ચે તમારામાંના બહુ થોડા જ બચવા પામશે. 28 અને તમે ત્યાં રહીને માણસનાં હાથનાં ઘડેલાં લાકડાનાં તથા પથ્થરનાં દેવદેવીઓની બનાવેલી મૂર્તિઓ કે જે જોઈ ન શકે કે સાંભળી ન શકે, ખાઈ ન શકે કે સૂંઘી ન શકે, એવા દેવદેવીઓની પૂજા કરશો.
29 પણ જો તમે ત્યાંથી ઈશ્વર તમારા યહોવાહને શોધશો, જો તમે તમારા પૂરા અંત:કરણથી તથા તમારા પૂરા હૃદયથી તેમની પ્રતિક્ષા કરશો તો તેઓ તમને મળશે.
30 જયારે તમે સંકટમાં અને આ સર્વ આફત તમારા પર આવી પડી હોય ત્યારે છેવટે તમે ઈશ્વર તમારા યહોવાહ તરફ પાછો ફરીને તેમનું કહેવું સાંભળશો; તો 31 તમારા ઈશ્વર યહોવાહ દયાળુ ઈશ્વર છે; તે તમારો ત્યાગ કરશે નહિ અને તમારો નાશ પણ કરશે નહિ તેમ જ જે કરાર તમારા પિતૃઓની સાથે સમ ખાઈને તેમણે કર્યો છે તેને તે ભૂલી જશે નહિ.
32 કેમ કે ઈશ્વરે પૃથ્વી પર માણસનું સર્જન કર્યું ત્યારથી માંડીને તમારી અગાઉનો જે સમય વીતી ગયો છે તેને તથા પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પૂછો કે, પહેલાં કદી આ પ્રમાણેની અદ્દભુત ઘટના બનેલી જોઈ છે કે સાંભળી છે? 33 જેમ તમે ઈશ્વરની વાણી અગ્નિ મધ્યે બોલતી સાંભળી તેવી વાણી સાંભળીને કોઈ લોકો કદી જીવતા રહ્યા છે શું?
34 અથવા જે સર્વ તમારા ઈશ્વર યહોવાહે મિસરમાં તમારા માટે તમારી નજર સમક્ષ કર્યું તેવું કરીને એટલે પરીક્ષણો, ચિહનો, ચમત્કારો, યુદ્ધ, પરાક્રમી હાથ તથા લંબાવેલા ભુજ તથા મોટાં ત્રાસદાયક કૃત્યો વડે બીજી દેશજાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે?
35 આ બધું તેમણે એટલા માટે કર્યુ કે તમે જાણો કે ઈશ્વર યહોવાહ છે. તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી. 36 તેઓ તમને બોધ આપે એ માટે યહોવાહે આકાશમાંથી પોતાની વાણી તમને સંભળાવી. અને તમને પૃથ્વી પર મોટી આગ બતાવી અને તેં તેમના શબ્દો અગ્નિમાંથી સાંભળ્યા.
37 અને તમારા પિતૃઓ પર તેમને પ્રેમ હતો માટે ઈશ્વરે તેઓની પાછળ તેઓના વંશજોને પસંદ કર્યા હતા. એટલે એ જાતે જ તમને પોતાના સામર્થ્યથી મિસરમાંથી બહાર લઈ આવ્યા. 38 એ માટે કે તેઓ તમારા કરતાં મોટી અને સમર્થ દેશજાતિઓને નસાડી મૂકે. અને તેઓના દેશમાં પ્રવેશ કરાવી અને તેઓને વારસો આપે, જેમ આજે છે તેમ.
39 એ માટે આજે તમે જાણો અને અંત:કરણમાં રાખો કે આકાશમાં અને પૃથ્વી ઉપર ઈશ્વર તે જ યહોવાહ છે અને તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી. 40 તેમના કાનૂનો તથા તેમની આજ્ઞાઓ જેનો આજે હું તમને આદેશ આપું છું તે તમારે પાળવા, કે જેથી તમારું અને તમારા પછી તમારા સંતાનનું ભલું થાય અને ઈશ્વર તમારા યહોવાહ જે દેશ તમને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય.
41 પછી મૂસાએ યર્દન નદીની પૂર્વ દિશાએ ત્રણ નગરો અલગ કર્યાં, 42 એ માટે, જો તેણે અગાઉ કોઈ દુશ્મનાવટ વગર અજાણતાં કોઈ વ્યક્તિને મારી નાખી હોય, તો તે ત્યાંથી નાસી જાય. આ નગરોમાંથી એક નગરમાં નાસી જઈને તે બચી જાય. 43 તે નગરો આ હતાં: રુબેનીઓ માટે અરણ્યના સપાટ પ્રદેશમાંનું બેસેર; ગાદીઓ માટે ગિલ્યાદમાંનું રામોથ અને મનાશ્શીઓ માટે બાશાનમાંનું ગોલાન.
44 ઇઝરાયલી લોકો આગળ મૂસાએ જે નિયમ મૂક્યો તે એ છે; 45 ઇઝરાયલી લોકો મિસરમાંથી રવાના થયા ત્યારે જે કરારો, નિયમો, કાનૂનો તથા હુકમો મૂસા બોલ્યો તે એ છે, 46 અમોરીઓનો રાજા સીહોન, જે હેશ્બોનમાં રહેતો હતો, જેને મૂસા અને ઇઝરાયલી લોકોએ મિસરમાંથી તેઓ બહાર નીકળ્યા ત્યારે તેને હરાવ્યો હતો, તેના દેશમાં યર્દનની પૂર્વ તરફ, બેથ-પેઓરની સામેની ખીણમાં મૂસાએ આ વચનો કહી સંભળાવ્યાં.
47 તેઓએ તેના દેશનો તેમ જ બાશાનના રાજા ઓગના દેશનો, યર્દનની પૂર્વ તરફ આવેલા અમોરીના બે રાજાઓના દેશનો કબજો લીધો હતો. 48 આ પ્રદેશ આર્નોનની ખીણના કિનારે આવેલા અરોએરથી તે સિયોન પર્વત જે હેર્મોન પર્વત સુધી, 49 અને યર્દનની પેલી બાજુ પૂર્વ તરફ, યર્દન નદીની ખીણના બધા મેદાનો, તે છેક પિસ્ગાહ પર્વતના ઢોળાવ નીચે આવેલા અરાબાના સમુદ્ર સુધીનો હતો.
Chapter 5
1 મૂસાએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેઓને કહ્યું, "હે ઇઝરાયલ, જે કાનૂનો તથા નિયમો હું તમને આજે કહી સંભળાવું છું તે સાંભળો, કે તમે તે શીખો અને તેને પાળો. 2 યહોવાહ આપણા ઈશ્વરે હોરેબમાં આપણી સાથે કરાર કર્યો હતો. 3 યહોવાહે આપણા પિતૃઓ સાથે આ કરાર કર્યો નહિ પણ આપણી સાથે, એટલે કે આપણે બધા આજે અહીં હયાત છીએ તેઓની સાથે કર્યો.
4 યહોવાહ પર્વત પર તમારી સાથે અગ્નિજ્વાળામાંથી પ્રત્યક્ષ બોલ્યા હતા, 5 તે સમયે યહોવાહનું વચન તમને સંભળાવવા હું તમારી અને યહોવાહની મધ્યે ઊભો રહ્યો હતો, કેમ કે, તમને અગ્નિથી ભય લાગતો હતો અને તમે પર્વત પર ગયા ન હતા. યહોવાહે કહ્યું.
6 'ગુલામીના ઘરમાંથી એટલે મિસર દેશમાંથી જ્યાં તમે ગુલામ તરીકે રહેતા હતા ત્યાંથી તમને બહાર કાઢી લાવનાર હું ઈશ્વર તારો યહોવાહ છું.
7 મારી સમક્ષ તારે કોઈ પણ અન્ય દેવો હોવા જોઈએ નહિ.
8 તું પોતાના માટે કોતરેલી મૂર્તિની પ્રતિમા ન બનાવ, ઉપર આકાશમાંની કે નીચે પૃથ્વીમાંની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની પ્રતિમા ન બનાવ.
9 તું તેઓની આગળ નમીશ નહિ કે તેઓની પૂજા કરીશ નહિ. કેમ કે, હું યહોવાહ, તમારો ઈશ્વર, ઈર્ષ્યાળુ ઈશ્વર છું. જેઓ મારો તિરસ્કાર કરે છે, તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી પિતૃઓના અન્યાયની શિક્ષા સંતાનો પર લાવનાર, 10 અને જે લોકો મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે, તેઓની હજારો પેઢી સુધી મારા કરાર અનુસાર તેઓના પર દયા દર્શાવનાર છું.
11 તું યહોવાહ તારા ઈશ્વરનું નામ વ્યર્થ ન લે, કેમ કે, જે કોઈ યહોવાહનું નામ વ્યર્થ લે છે તેને તેઓ નિર્દોષ ગણશે નહિ.
12 યહોવાહ તારા ઈશ્વરે આજ્ઞા આપી તે મુજબ વિશ્રામવારના દિવસને પવિત્ર પાળવાને તું ધ્યાન રાખ. 13 છ દિવસ તું પરિશ્રમ કર અને તારું બધું કામ કર; 14 પણ સાતમો દિવસ યહોવાહ તારા ઈશ્વરનો વિશ્રામવાર છે. તેમાં તારે કોઈ પણ કામ કરવું નહિ, તું, તારો દીકરો કે તારી દીકરી, તારા દાસ કે તારી દાસી, તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ અન્ય જાનવર, તારા દરવાજામાં વસતા કોઈ પણ પરદેશી આ દિવસે કશું કામ ન કરે. જેથી તારા દાસ કે દાસીઓને પણ તારી જેમ આરામ મળે.
15 યાદ રાખ કે મિસર દેશમાં તું દાસ હતો, ઈશ્વર તારા યહોવાહ તેમના પરાક્રમી હાથ વડે તથા અદ્દભુત શક્તિ વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા. તે માટે ઈશ્વર તારા યહોવાહે તને વિશ્રામવાર પાળવાની આજ્ઞા આપી છે તે તારે પાળવી.
16 ઈશ્વર તારા યહોવાહે તને જેમ આજ્ઞા આપી છે, તેમ તારા માતા અને પિતાનો આદર કર, કે જેથી ઈશ્વર તારા યહોવાહે તને જે દેશ આપ્યો છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય અને તારું ભલું થાય,
17 તું હત્યા ન કર.
18 તું વ્યભિચાર ન કર.
19 તું ચોરી ન કર.
20 તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર. 21 'તું તારા પડોશીની પત્ની પર લોભ ન રાખ, તેમ જ તેના ઘર કે ખેતર, દાસ કે દાસી, પશુ, ગધેડું કે અન્ય જાનવર તારા પડોશીનું જે કંઈ હોય તે પર લોભ ન રાખ.'
22 આ વચનો યહોવાહ પર્વત ઉપર અગ્નિજ્વાળા, વાદળ તથા ઘોર અંધકારની મધ્યેથી મોટા સાદે તમારી આખી સભા આગળ બોલ્યા; તેમાં તેમણે કંઈ પણ વધારો કર્યો નહિ. અને ઈશ્વરે મને તે આજ્ઞાઓ બે શિલાપાટીઓ ઉપર લખીને આપી.
23 પર્વત જયારે અગ્નિથી ભડભડ બળતો હતો, ત્યારે અંધકારમાંથી નીકળતી વાણી તમે સાંભળી. પછી એમ થયું કે, તમારાં કુળોના સર્વ આગેવાનો અને વડીલો મારી પાસે આવ્યા. 24 તમે કહ્યું કે, જો ઈશ્વર આપણા યહોવાહે આપણને પોતાનું ગૌરવ તથા માહાત્મ્ય બતાવ્યું છે. અને અગ્નિ મધ્યેથી તેમની વાણી આપણે સાંભળી છે; આજે આપણે જોયું છે કે ઈશ્વર મનુષ્ય સાથે બોલે છે તેમ છતાં મનુષ્ય જીવતો રહે છે.
25 તો હવે અમે શા માટે માર્યા જઈએ? કેમ કે આ મહાભયંકર અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે; જો અમે વધારે વાર અમારા ઈશ્વર યહોવાહની વાણી સાંભળીશું તો અમે માર્યા જઈશું. 26 પૃથ્વી પર એવો કયો માણસ છે કે જેણે જીવતા ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી આપણી જેમ બોલતી સાંભળી હોય અને જીવતો રહ્યો હોય? 27 તું પાસે જઈને ઈશ્વર આપણા યહોવાહ જે કહે તે સાંભળ; અને ઈશ્વર આપણા યહોવાહ જે તને કહે તે અમને જણાવજે; અને અમે તે સાંભળીને તેનો અમલ કરીશું.'
28 જયારે તમે મારી સાથે વાત કરતા હતા ત્યારે યહોવાહે તમારો અવાજ સાંભળ્યો; અને યહોવાહે મને કહ્યું કે, 'આ લોકોએ તને જે કહ્યું છે તે મેં સાંભળ્યું છે. જે સર્વ તેઓ બોલ્યા છે તે તેઓનું કહેવું ઠીક છે. 29 જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે અને મારી સર્વ આજ્ઞાઓ સદા પાળે તો કેવું સારું! તેથી તે લોકો અને તેઓનાં સંતાનો સદા સુખી રહે. 30 જા, તેઓને કહે કે, "તમે તમારા તંબુઓમાં પાછા જાઓ."
31 પણ તું અહીં મારી પાસે ઊભો રહે, એટલે હું તને મારી સર્વ આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો કહીશ; અને પછી તું તે લોકોને શીખવજે, એ સારુ કે જે દેશ હું તેઓને વતન કરી લેવા સારુ આપવાનો છું તેમાં તેઓ તે પાળે.
32 માટે ઈશ્વર તમારા યહોવાહે તમને જે આજ્ઞાઓ આપી છે તેનું કાળજી રાખીને તેનું પાલન કરવું અને તમારે તેમાંથી ડાબે કે જમણે હાથે વળવું નહિ. 33 જે માર્ગ ઈશ્વર તમારા યહોવાહે બતાવ્યો છે તેમાં જ તમારે ચાલવું. એ સારુ કે તમે જીવતા રહો અને તમારું ભલું થાય. અને જે દેશનું વતન તમે પ્રાપ્ત કરવાના છો તેમાં તમારું આયુષ્ય લાંબું થાય.
Chapter 6
1 હવે જે આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો ઈશ્વર તમારા યહોવાહે તમને શીખવવા માટે મને કહ્યું છે એ સારુ કે જે દેશનું વતન પામવા માટે તમે યર્દન ઊતરીને પ્રવેશ કરો છો, તેમાં તમે તે પાળો. તે આ છે: 2 તેથી તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા જીવનભર યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખીને તેમના સર્વ નિયમો અને આજ્ઞાઓ જે હું તમને કહું છું તે પાળો; જેથી તમારું આયુષ્ય લાંબું થાય.
3 માટે હે ઇઝરાયલ સાંભળ અને કાળજીપૂર્વક એનું પાલન કર; એ માટે કે, જેમ યહોવાહ તારા પિતૃઓના ઈશ્વરે આપેલા વચન પ્રમાણે દૂધ તથા મધથી રેલછેલવાળો [1] દેશમાં તારું ભલું થાય અને તમે ખૂબ વૃદ્ધિ પામો.
4 હે ઇઝરાયલ સાંભળ: યહોવાહ આપણા ઈશ્વર તે એકલા જ યહોવાહ છે. 5 અને યહોવાહ તારા ઈશ્વર પર તું તારા પૂર્ણ મનથી તથા પૂર્ણ જીવથી તથા પૂર્ણ બળથી પ્રેમ રાખ.
6 આ વચનો જે હું તમને ફરમાવું છું તેને તારા અંત:કરણમાં રાખ. 7 અને ખંતથી તું તારા સંતાનોને તે શીખવ અને જયારે તું ઘરમાં બેઠો હોય કે રસ્તે ચાલતો હોય, જયારે તું સૂઈ જાય કે ઊઠે તેના વિષે વાત કર.
8 તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ અને તારી આંખોમાં તેમને કપાળભૂષણ તરીકે રાખ. 9 અને તું તેમને તારા ઘરની બારસાખ ઉપર તથા દરવાજા ઉપર તે લખ.
10 અને એમ થશે કે જયારે યહોવાહ તારા ઈશ્વરે જે દેશ તારા પિતૃઓની સમક્ષ એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબની સમક્ષ સમ ખાધા હતા તે દેશમાં તમને લઈ જશે એટલે જે મોટાં અને ઉત્તમ નગરો તમે બાંધ્યાં નથી. 11 અને સર્વ પ્રકારની સારી વસ્તુઓથી ભરેલાં ઘર જે તમે ભર્યાં નથી, ખોદી કાઢેલા કૂવા જે તમે ખોઘ્યા નથી તથા દ્રાક્ષવાડીઓ અને જૈતૂનવૃક્ષો જે તમે વાવ્યાં નથી તેમાં લાવે અને તે તમે ખાઈને તૃપ્ત થાઓ. 12 ત્યારે સાવધાન રહેજો, રખેને મિસર એટલે કે ગુલામીના ઘરમાંથી તમને કાઢી લાવનાર યહોવાહ તમારા ઈશ્વરને તમે ભૂલી જાઓ.
13 યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો; અને તેમની જ સેવા કરો અને તેમના જ નામના સમ ખાઓ. 14 તમારી આસપાસના અન્ય દેવદેવીઓની સેવા તમારે કરવી નહિ. 15 કારણ કે, તમારી મધ્યે રહેનાર યહોવાહ તમારા ઈશ્વર ઈર્ષ્યાળુ ઈશ્વર છે. રખેને યહોવાહ તમારા ઈશ્વરનો કોપ તમારા પર સળગી ઊઠે અને પૃથ્વીના પટ પરથી તમારો સંહાર કરે.
16 જેમ તમે માસ્સામાં તેમની કસોટી કરી, તેમ યહોવાહ તમારા ઈશ્વરની કસોટી કરશો નહિ. [2]17 તમારા ઈશ્વર યહોવાહના કાનૂનો, નિયમો અને તેમની આજ્ઞાઓ જે તેમણે ફરમાવ્યાં છે તેનું ખંતથી પાલન કરો.
18 અને યહોવાહની નજરમાં જે યોગ્ય અને સારું છે તે તું કર, એ માટે કે તારું ભલું થાય. અને જે ઉત્તમ દેશ તારા પિતૃઓને આપવાના યહોવાહે સમ ખાધા છે તેમાં પ્રવેશ કરીને તું તેનું વતન પામે અને 19 જેમ યહોવાહે કહ્યું તેમ તે તારી આગળથી તારા બધા દુશ્મનોને નસાડી મૂકે.
20 ભવિષ્યકાળમાં જયારે તારો દીકરો તને પૂછે કે; "યહોવાહ આપણા ઈશ્વરે તમને જે કરારો, નિયમો અને કાનૂનો ફરમાવ્યા છે તેનો અર્થ શો છે?" 21 ત્યારે તું તારા દીકરાને કહેજે કે, "અમે મિસરમાં ફારુનના ગુલામ હતા; ત્યારે યહોવાહ તેમના મહાન પરાક્રમી હાથ વડે અમને મિસરમાંથી બહાર લાવ્યા, 22 અને તેમણે અમારા દેખતાં મિસર પર, ફારુન પર તથા તેના આખા ઘર પર મોટાં અને દુઃખ ભર્યાં ચિહ્નો તથા ચમત્કારો બતાવ્યા; 23 તેઓ અમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા, કે જેથી આપણા પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે આપવા માટે તેઓ આપણને તેમાં લઈ જઈ શકે.
24 આપણા ભલાને માટે હંમેશા આ બધા નિયમો પાળવાની તથા ઈશ્વરનો ભય રાખવાની તેમણે આપણને આજ્ઞા આપી કે, જેથી તેઓ આપણને જીવતા રાખે, જેમ આજે જીવતા છીએ તેમ. 25 યહોવાહ આપણા ઈશ્વરે આપણને જે આજ્ઞાઓ આપી છે, તે પ્રમાણે જો આપણે બધી આજ્ઞાઓ કાળજીથી પાળીએ તો તે આપણા હિતમાં ન્યાયીપણાને અર્થે ગણાશે."
Footnotes
Chapter 7
1 જે દેશનું વતન પામવા માટે તું જાય છે ત્યાં યહોવાહ તારા ઈશ્વર તને લઈ જશે, તારી આગળથી અનેક પ્રજાઓને કાઢી મૂકશે, એટલે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ, જે તારા કરતાં મોટી તથા જોરાવર સાત પ્રજાઓ છે; તેઓને ત્યાંથી નસાડી મૂકશે.
2 જયારે યહોવાહ તારા ઈશ્વર તને યુદ્ધમાં તેઓની સામે વિજય અપાવે, ત્યારે તું તેઓ પર હુમલો કર અને તેઓનો તદ્દન નાશ કર. તારે તેઓની સાથે કંઈ કરાર કરવો નહિ કે દયા દર્શાવવી નહિ. 3 તારે તેઓની સાથે લગ્ન વ્યવહાર રાખવો નહિ; તેમ જ તારે તારી દીકરીઓનાં લગ્ન તેઓના દીકરાઓ સાથે અને તારા દીકરાઓના લગ્ન તેઓની દીકરીઓ સાથે કરાવવાં નહિ.
4 કેમ કે તેઓ તારા દીકરાઓને મારી આરાધના કરતાં અટકાવશે જેથી તેઓ બીજા દેવોની સેવા કરે. કે જેથી યહોવાહનો ગુસ્સો તમારી વિરુદ્ધ ઊઠે અને તેઓ જલ્દી તમારો નાશ કરે. 5 તમારે તેઓ સાથે આ પ્રમાણે વર્તવું; તેઓની વેદીઓને તોડી પાડવી, તેઓના સ્તંભોને ભાગીને ટુકડા કરી નાખવા, તેઓની અશેરા મૂર્તિઓને કાપી નાખવી અને તેઓની કોતરેલી મૂર્તિઓને બાળી નાખવી.
6 કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોકો છો. યહોવાહ તમારા ઈશ્વરે પૃથ્વીની સપાટી પરની બધી પ્રજાઓમાંથી તમને જ પોતાની પ્રજા થવા માટે પસંદ કર્યા છે.
7 તમે બીજા લોકો કરતા સંખ્યામાં વધારે હતા તેને કારણે યહોવાહે તમારા પર પ્રેમ રાખ્યો અને તમને પસંદ કર્યા છે એવું નથી; કેમ કે તમે તો બધા લોકો કરતાં સૌથી ઓછા હતા. 8 પણ યહોવાહ તમને પ્રેમ કરે છે, તમારા પિતૃઓને આપેલી પ્રતિજ્ઞા પાળવા તેઓ ઇચ્છે છે. તે માટે યહોવાહ તમને પરાક્રમી હાથ વડે બહાર લાવ્યા અને ગુલામીના ઘરમાંથી એટલે મિસરના રાજા ફારુનના હાથમાંથી સ્વતંત્ર કર્યા છે.
9 તે માટે તારે જાણવું કે યહોવાહ તમારા ઈશ્વર છે, તે ઈશ્વર છે, તે વિશ્વાસુ ઈશ્વર છે, જે તેમના પર પ્રેમ રાખે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે તેમની હજારો પેઢીઓ સુધી કરાર પાળવા માટે તે વિશ્વાસુ છે. 10 પણ જેઓ તેમનો તિરસ્કાર કરે છે તેમનો સામી છાતીએ બદલો લઈને તે નષ્ટ કરે છે; જે કોઈ તેમનો તિરસ્કાર કરે છે તેમનો બદલો લેવામાં તે વિલંબ નહિ કરે; તે બદલો વાળશે. 11 માટે જે આજ્ઞાઓ, કાનૂનો તથા વિધિઓ આજે હું તને ફરમાવું છું, તે પાળીને તું તેનો અમલ કર.
12 જો તમે આ હુકમો સાંભળીને તેનું પાલન કરશો અને અમલમાં મૂકશો, તો એવું થશે કે જે કરાર તથા દયા વિષે યહોવાહ તમારા ઈશ્વરે તમારા પિતૃઓ સાથેે પ્રતિજ્ઞા લીધી છે, તે તમારી પ્રત્યે તે અદા કરશે. 13 તે તારા પર પ્રેમ રાખશે, તને આશીર્વાદ આપશે તથા તને વધારશે; જે દેશ તને તારા પિતૃઓને આપવાની પ્રતિજ્ઞા લીધી છે, તેમાં તે તારા પેટના ફળને તથા તારી ભૂમિના ફળને આશીર્વાદ આપશે, તારા અનાજને, તારા દ્રાક્ષારસને, તારા તેલને, તારા પશુઓના વિસ્તારને તથા તારા જુવાન ટોળાને આશીર્વાદ આપશે.
14 બીજા લોકો કરતાં તું વધારે આશીર્વાદિત થશે. તમારી વચ્ચે કે તમારા પશુઓ મધ્યે કોઈ નર કે નારી વાંઝણું રહેશે નહિ. 15 યહોવાહ તારી બધી બીમારી દૂર કરશે; મિસરના ખરાબ રોગો જેની તને ખબર છે તેઓમાંનો કોઈ પણ તેઓ તારા પર લાવશે નહિ. પણ જેઓ તારો તિરસ્કાર કરે છે તેના પર લાવશે.
16 જે બધી પ્રજાઓ પર યહોવાહ તારા ઈશ્વર તને જય અપાવશે તેઓનો તારે ઉપભોગ કરવો, તારી આંખ તેઓ પર દયા લાવે નહિ. તારે તેઓનાં દેવોની પૂજા કરવી નહિ, કેમ કે તે તારા માટે ફાંદારૂપ થશે.
17 જો તું તારા મનમાં એમ કહેશે કે, "આ જાતિઓ મારા કરતાં સંખ્યામાં વધારે છે; હું કેવી રીતે તેઓને પરાજિત કરી શકું?" 18 તું તેઓથી બીશ નહિ; યહોવાહ તારા ઈશ્વરે ફારુન તથા આખા મિસરને જે કર્યું તે તારે યાદ રાખવું; 19 એટલે જે ભારે દુઃખો તેં તારી આંખોથી જોયાં તે, ચિહ્નો, ચમત્કારો, પરાક્રમી હાથ તથા સામર્થ્ય દેખાડીને યહોવાહ તારા ઈશ્વર તને મિસરમાંથી બહાર લાવ્યા. જે લોકોથી તું ડરે છે તેઓને યહોવાહ તારા ઈશ્વર તેવું જ કરશે.
20 વળી, યહોવાહ તારા ઈશ્વર તેઓની મધ્યે ભમરીઓ [1] મોકલશે, જેઓ તારાથી બચી રહ્યા હશે અને તારાથી સંતાઈ રહ્યા હશે તેઓનો તારી હજૂરમાંથી નાશ કરશે. 21 તું તેઓથી ભયભીત થઈશ નહિ, કેમ કે, યહોવાહ તારા ઈશ્વર તારી મધ્યે છે, મહાન અને ભયાવહ ઈશ્વર છે. 22 યહોવાહ તારા ઈશ્વર ધીમે ધીમે તારી આગળથી તે પ્રજાઓને હાંકી કાઢશે. તું એકદમ તેઓનો પરાજય કરીશ નહિ, રખેને જંગલી પશુઓ વધી જાય અને તને હેરાન કરે.
23 જ્યારે તું તેઓ સાથે યુદ્ધ કરીશ, ત્યારે યહોવાહ તારા ઈશ્વર તને તેઓ પર વિજય આપશે; જ્યાં સુધી તેઓનો નાશ ન થાય ત્યાં સુધી તે તેઓને ગૂંચવશે. 24 યહોવાહ તેઓના રાજાઓને તમારા હાથમાં સોંપી દેશે અને તમે તેઓનું નામ આકાશ તળેથી નાબૂદ કરી દેશો. અને તેમનો નાશ થશે નહિ ત્યાં સુધી કોઈ માણસ તમારી આગળ ટકી શકશે નહિ.
25 તેઓના દેવદેવીઓની કોતરેલી મૂર્તિઓ તમારે આગથી બાળી નાખવી. તેઓના શરીર પરના રૂપા પર કે સોના પર તમે લોભ કરશો નહિ. રખેને તમે તેમાં ફસાઈ પડો; કેમ કે યહોવાહ તમારા ઈશ્વરની નજરમાં તે શ્રાપિત છે. 26 માટે તમે કોઈ ધિક્કારપાત્ર વસ્તુ તમારા ઘરમાં લાવી તેની સેવા કરવી નહિ, તમારે તેને ધિક્કારવું અને તમારે તેનાથી કંટાળવું; કેમ કે તે શાપિત વસ્તુ છે.
Footnotes
Chapter 8
1 આજે હું તમને જે સર્વ આજ્ઞાઓ જણાવું છું તે તમે કાળજી રાખીને તેને પાળો, જેથી તમે જીવતા રહો અને તમે વૃદ્ધિ પામો. અને જે દેશ આપવાના યહોવાહે તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા તેનું વતન પ્રાપ્ત કરો. 2 તમને નમ્ર બનાવવા અને તમે તેમની આજ્ઞાઓનું પાલન કરવા માગો છો કે કેમ, એ જાણવા માટે તથા પારખું કરવા યહોવાહ તમારા ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી જે રસ્તે તમને ચલાવ્યાં તે તમે યાદ રાખો.
3 અને યહોવાહે તમને નમ્ર બનાવવા માટે તમને ભૂખ્યા રહેવા દીધા. અને તમે નહોતા જાણતા કે તમારા પિતૃઓ પણ નહોતા જાણતા એવા માન્નાથી તમને પોષ્યા; એ માટે કે યહોવાહ તમને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવિત રહેતો નથી, પણ યહોવાહના મુખમાંથી નીકળતા દરેક વચનોથી માણસ જીવે છે.
4 આ ચાળીસ વર્ષ દરમ્યાન તમારા શરીર પરનાં વસ્રો ઘસાઈ ગયા નહિ અને તમારા પગ સૂજી ગયા નહિ. 5 એટલે આ વાત તમે સમજો કે જે રીતે પિતા પોતાના પુત્રને શિક્ષા કરે છે તેમ યહોવાહ તમારા ઈશ્વર તમને શિક્ષા કરે છે. 6 તેથી તમારે યહોવાહ તમારા ઈશ્વરના માર્ગોમાં ચાલવું, તેમનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી.
7 કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમને એક સમૃદ્વ દેશમાં લઈ જાય છે એટલે પાણીનાં વહેણવાળા તથા ખીણોમાં અને ઉચ્ચપ્રદેશમાં ફૂટી નીકળતા ઝરણાં તથા જળનિધિઓવાળા દેશમાં; 8 ઘઉં તથા જવ, દ્રાક્ષ, અંજીરીઓ તથા દાડમોનાં દેશમાં; જૈતૂન તેલ અને મધના દેશમાં;
9 જયાં તું ધરાઈને અન્ન ખાશે અને તને ખાવાની કોઈ ખોટ પડશે નહિ એવા દેશમાં. વળી કોઈ વસ્તુની ખોટ નહિ પડે, તેમ જ જેના પથ્થર લોખંડના છે અને જેના ડુંગરોમાંથી તું પિત્તળ કાઢી શકે. એવા દેશમાં લઈ જાય છે. 10 ત્યાં તમે ખાઈને તૃપ્ત થશો અને યહોવાહ તમારા ઈશ્વરે જે સમૃદ્વ દેશ તમને આપ્યો છે તે માટે તમે યહોવાહની સ્તુતિ કરશો.
11 સાવધ રહેજો રખેને તેમની આજ્ઞાઓ, કાનૂનો અને નિયમો જે આજે હું તને ફરમાવું છું તે ન પાળતાં તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ. 12 રખેને તમે ખાઈને તૃપ્ત થાઓ અને સારાં ઘરો બાંધીને તેમાં રહો.
13 અને જ્યારે તમારાં ઢોરઢાંક અને ઘેટાંબકરાંની અને અન્ય જાનવરોની સંખ્યામાં વધારો થાય અને જ્યારે તમારું સોનુંચાંદી વધી જાય અને તમારી માલમિલકત વધી જાય, 14 ત્યારે રખેને તમારું મન ગર્વિષ્ઠ થાય અને તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ કે જે તમને મિસરમાંથી એટલે ગુલામીના દેશમાંથી બહાર લાવ્યા છે.
15 જેણે તમને આગિયા સાપ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ અને ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યાં. જેમણે તમારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેતું કર્યું અને જે 16 યહોવાહે અરણ્યમાં તમને માન્ના કે જે તમારા પિતૃઓએ કદી નહોતું જોયું તેનાથી તમારું પોષણ કર્યું, એ માટે યહોવાહ તમને નમ્ર કરે અને આખરે તમારું સારું કરવા માટે તે તમારી કસોટી કરે. 17 રખેને તમે તમારા મનમાં વિચારો કે "મારી પોતાની શક્તિથી અને મારા હાથનાં સામર્થ્યથી મેં આ સર્વ સંપત્તિ મેળવી છે.''
18 પણ તમે હંમેશા યહોવાહ તમારા ઈશ્વરનું સ્મરણ કરો કેમ કે સંપત્તિ પ્રાપ્ત કરવા માટેની શક્તિ આપનાર તો તે એકલા જ છે; એ માટે કે તેનો કરાર અને તેમણે તમારા પિતૃઓની આગળ જે સમ ખાધા તે તેઓ પૂર્ણ કરે. 19 અને એમ થશે કે જો તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જઈને અન્ય દેવદેવીઓની તરફ વળશો અને તેઓની સેવા કરશો તો હું આજે તમારી વિરુદ્ધ સાક્ષી આપું છું કે તમે નિશ્ચે નાશ પામશો. 20 જે પ્રજાઓનો યહોવાહ તમારી આગળથી નાશ કરે છે તેઓની જેમ તમે નાશ પામશો. કેમ કે યહોવાહ તમારા ઈશ્વરની વાણી તમે સાંભળવાને ચાહ્યું નહિ.
Chapter 9
1 હે ઇઝરાયલ સાંભળ; તારા કરતાં મહાન અને શક્તિશાળી દેશજાતિઓનું મોટાં તથા ગગનચુંબી કોટવાળાં નગરોનું વતન પ્રાપ્ત કરવા સારુ તું આજે યર્દન નદી પાર ઊતરવાનો છે, 2 એ લોકો કદાવર અને બળવાન છે. તેઓ અનાકીઓના દીકરાઓ છે. જેઓને તું સારી રીતે ઓળખે છે. તેઓ વિશેની અફવા પણ તેં સાંભળી છે કે અનાકપુત્રોની સામે કોણ ટકી શકે?
3 માટે આજે જાણ કે ખાઈ નાખનાર અગ્નિરૂપે તમારી આગળ પેલે પાર જનાર તો યહોવાહ તમારા ઈશ્વર છે. તે એ લોકોનો નાશ કરશે. અને તે તેઓને નીચા પાડશે; અને યહોવાહના વચન અનુસાર તમે તેઓને કાઢી મૂકશો તેમ જ જલ્દી તેઓનો નાશ કરશો. 4 યહોવાહ તમારા ઈશ્વર તેઓને તમારી આગળથી હાંકી કાઢે ત્યારે તમે મનમાં એમ ન કહેતા કે, મારા ન્યાયીપણાને લીધે યહોવાહે મને અહીં લાવીને આ દેશનો વારસો અપાવ્યો છે; ખરું જોતાં તો એ લોકોની દુષ્ટતાને લીધે યહોવાહ તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.
5 તમારા ન્યાયીપણાને લીધે કે તમારા અંત:કરણના પ્રમાણિકપણાને લીધે તમે તેઓના દેશનું વતન પામવાને જાઓ છો એમ તો નહિ; પણ એ લોકોની દુષ્ટતાને લીધે તથા જે વચન યહોવાહે સમ ખાઈને તમારા પિતૃઓને એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને આપ્યું હતું તે પૂર્ણ કરવા માટે યહોવાહ તમારા ઈશ્વર તેઓને તમારી આગળથી નસાડી મૂકે છે.
6 એ માટે નક્કી જાણ કે તારા ન્યાયીપણાને લીધે યહોવાહ તારા ઈશ્વર આ ઉતમ દેશ તને નથી આપતા કેમ કે તમે તો હઠીલી પ્રજા છો.
7 તમે અરણ્યમાં કેવી રીતે યહોવાહ તમારા ઈશ્વરને કોપ ચઢાવ્યો તે તું યાદ રાખ, ભૂલી જઈશ મા; મિસર દેશમાંથી તમે બહાર નીકળ્યા તે દિવસથી તે અહીં આવ્યા ત્યાં સુધી તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા આવ્યા છો. 8 હોરેબમાં પણ તમે યહોવાહને ગુસ્સો કરવા માટે ઉશ્કેર્યા હતા, તે એટલા બધા ગુસ્સે થયા હતા કે તેમણે તમારો નાશ કરી નાખ્યો હોત.
9 જ્યારે હું શિલાપાટીઓ, એટલે યહોવાહે કરેલી કરારની શિલાપાટીઓ લેવા પર્વત પર ગયો, ત્યારે હું ચાળીસ દિવસ અને ચાળીસ રાત પર્વત પર રહ્યો; મેં રોટલી ખાધી નહિ તેમ જ પાણી પીધું નહિ. 10 યહોવાહે પોતાની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ મને આપી; જે બધાં વચનો યહોવાહ સભાના દિવસે અગ્નિ મધ્યેથી બોલ્યાં હતા તે તેના પર લખેલાં હતાં.
11 ચાળીસ દિવસ અને ચાળીસ રાત પછી એવું બન્યું કે, યહોવાહે મને બે શિલાપાટીઓ, એટલે કે કરારની શિલાપાટીઓ આપી. 12 યહોવાહે મને કહ્યું, "ઊઠ, અહીંથી જલ્દી નીચે ઊત્તર, કેમ કે, તારા લોકો જેને તું મિસરમાંથી બહાર લાવ્યો છે તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યાં છે. જે માર્ગ મેં તેઓને બતાવ્યો હતો તેમાંથી તેઓ જલ્દી ભટકી ગયા છે. તેઓએ પોતાના માટે કોતરેલી મૂર્તિઓ બનાવી છે."
13 વળી યહોવાહે મને કહ્યું, "મેં આ લોકોને જોયા છે; કે તેઓ કેવા હઠીલા લોકો છે. 14 તું મને રોકીશ નહિ, કે જેથી હું તેઓનો નાશ કરીને આકાશ નીચેથી તેઓનું નામ ભૂંસી નાખીશ, હું તારામાંથી તેઓના કરતાં વધારે પરાક્રમી અને મોટી પ્રજા ઉત્પન્ન કરીશ.
15 તેથી હું પાછો ફરીને પર્વત પરથી નીચે આવ્યો, ત્યારે પર્વત સળગતો હતો. અને કરારની બે શિલાપાટીઓ મારા હાથમાં હતી. 16 મેં જોયું, તો જુઓ, તમે યહોવાહ તમારા ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું હતું. તમે પોતાના માટે વાછરડાંની મૂર્તિ બનાવી. યહોવાહે જે માર્ગ તમને બતાવ્યો હતો તેમાંથી તમે પાછા ફરી ગયા હતા.
17 ત્યારે મેં પેલી બે શિલાપાટીઓ લઈને મારા હાથમાંથી ફેંકી દીધી. મારી નજર આગળ મેં તેમને તોડી નાખી. 18 યહોવાહની નજરમાં ખોટું કરવાથી જે પાપ કરીને તમે તેમને ગુસ્સો કરવા માટે ઉશ્કેર્યા હતા તે બધાને લીધે હું ફરીથી યહોવાહની આગળ ચાળીસ દિવસ અને ચાળીસ રાત ઊંધો પડી રહ્યો; મેં રોટલી ખાધી નહિ તેમ જ પાણી પણ પીધું નહિ.
19 કેમ કે યહોવાહ તમારા પર એટલા બધા ગુસ્સે તેમ જ નાખુશ થયા હતા કે તમારો નાશ કરે, એટલે હું ડરી ગયો. પણ યહોવાહે તે સમયે મારી પ્રાર્થના સાંભળી. 20 યહોવાહ હારુન પર પણ ગુસ્સે થયા હતા કે તેનો પણ નાશ કરી નાખત; પરંતુ મેં હારુન માટે પણ તે જ સમયે પ્રાર્થના કરી.
21 મેં તમારાં પાપને, તમે જે વાછરડું બનાવ્યું હતું તે લઈને બાળી નાખ્યું, તે ધૂળ જેવું થઈ ગયું ત્યાં સુધી ટીપીને જમીનમાં ભૂકો કરી નાખ્યું. મેં તે ભૂકાને પર્વત પરથી વહેતા ઝરણામાં ફેંકી દીધો.
22 અને તાબેરાહ, માસ્સા અને કિબ્રોથ હાત્તાવાહમાં પણ તમે યહોવાહને કોપાયમાન કર્યા. 23 જ્યારે યહોવાહે તમને કાદેશ બાર્નેઆથી એવું કહીને મોકલ્યા કે, "જાઓ, મેં તમને જે દેશ આપ્યો છે તેનો કબજો લો," ત્યારે તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ બળવો કર્યો, તમે તેમનો અવાજ સાંભળ્યો નહિ કે તેમના પર વિશ્વાસ કર્યો નહિ. 24 જે દિવસથી હું તમને ઓળખતો થયો [1] ત્યારથી તમે યહોવાહની વિરુદ્ધ બળવાખોર રહ્યા છો.
25 તેથી હું ચાળીસ દિવસ અને ચાળીસ રાત યહોવાહની આગળ પડી રહ્યો, કેમ કે તેમણે કહ્યું હતું કે, હું તેઓનો નાશ કરીશ. 26 એટલે મેં યહોવાહને પ્રાર્થના કરીને કહ્યું, "હે પ્રભુ યહોવાહ, કૃપા કરીને તમારા લોકોનો, તમારા વારસાનો, જેઓને તમે તમારી મહાનતાથી છોડાવ્યા છે, જેઓને તમે તમારા પરાક્રમી હાથથી મિસરમાંથી બહાર કાઢી લાવ્યા છો, તેમનો નાશ કરશો નહિ.
27 તમારા સેવકો, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને યાદ કરો; આ લોકોની હઠીલાઈ, તેઓની દુષ્ટતા તથા તેઓના પાપની તરફ ન જુઓ. 28 રખેને જે દેશમાંથી તમે અમને બહાર કાઢી લાવ્યા તે દેશના લોકો કહે કે, 'કેમ કે જે દેશમાં લઈ જવાનું વચન યહોવાહે આપ્યું હતું તેમાં તે લઈ જઈ શકયા નહિ, કેમ કે તેઓ તેઓને ધિક્કારતા હતા, તેઓ તે લોકોને અરણ્યમાં મારી નાખવા માટે બહાર કાઢી લાવ્યા હતા.' 29 તો પણ, તેઓ તમારા લોક તથા તેઓ તમારો વારસો છે, જેઓને તમે તમારી મહાન શક્તિ તથા તમારા લંબાવેલા ભૂજથી દેખાડીને બહાર કાઢી લાવ્યા છો."
Footnotes
Chapter 10
1 તે સમયે યહોવાહે મને કહ્યું, "પહેલાં હતી તેવી જ બે શિલાપાટીઓ તૈયાર કર અને તેને મારી પાસે પર્વત પર લાવ વળી લાકડાની એક પેટી બનાવ. 2 પહેલી પાટીઓ જે તેં તોડી નાખી, તેના પર જે વચનો લખેલાં હતા તે હું આ પાટીઓ ઉપર લખીશ, તું તેઓને કોશમાં મૂકી રાખજે."
3 માટે મેં બાવળના લાકડાનો એક કોશ બનાવ્યો. અને પહેલાના જેવી બે શિલાપાટીઓ બનાવી, તે બે શિલાપાટીઓ મારા હાથમાં લઈને હું પર્વત પર ગયો. 4 સભાના દિવસે પર્વત પર અગ્નિમાંથી જે દસ આજ્ઞાઓ યહોવાહ બોલ્યા, તે તેમણે અગાઉના લખાણ પ્રમાણે શિલાપાટીઓ ઉપર લખી; યહોવાહે તે મને આપી.
5 પછી હું પર્વત પરથી પાછો નીચે આવ્યો, જે કોશ મેં બનાવ્યો હતો તેમાં તે શિલાપાટીઓ મૂકી; યહોવાહે મને આજ્ઞા આપી હતી તે મુજબ તેઓ ત્યાં છે.
6 ઇઝરાયલી લોકો બેરોથ બેની યાકાન [1] થી મુસાફરી કરીને મોસેરા આવ્યા. ત્યાં હારુનનું મૃત્યુ થયું, તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેના દીકરા એલાઝારે યાજકપદની સેવા બજાવી. 7 ત્યાંથી તેઓએ ગુદગોદા સુધી મુસાફરી કરી, ગુદગોદાથી યોટબાથાહ જે પાણીના ઝરણાંનો પ્રદેશ છે ત્યાં આવ્યા.
8 તે સમયે યહોવાહે લેવીના કુળને યહોવાહનો કરારકોશ ઊંચકવા, યહોવાહની સમક્ષ ઊભા રહીને તેમની સેવા કરવા, તેમના નામથી લોકોને આશીર્વાદ આપવા માટે પસંદ કર્યું. આજ સુધી તે તેની સેવા કરે છે. 9 તેથી લેવીઓને પોતાના ભાઈઓની સાથે કંઈ ભાગ કે વારસો મળ્યો નથી. જેમ યહોવાહ તારા ઈશ્વરે કહ્યું તેમ યહોવાહ પોતે તેનો વારસો છે.
10 અગાઉની જેમ હું ચાળીસ રાત અને ચાળીસ દિવસ પર્વત પર રહ્યો; અને યહોવાહે તે સમયે પણ મારું સાંભળીને તમારો નાશ કર્યો નહિ. 11 પછી યહોવાહે મને કહ્યું, ઊઠ, આ લોકોની આગળ ચાલ; એટલે જે દેશ તેઓને આપવાના મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા છે, તેમાં તેઓ પ્રવેશ કરીને તેનું વતન પ્રાપ્ત કરે.
12 હવે હે ઇઝરાયલ, તું યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખે, તેમના માર્ગોમાં ચાલે અને તેમના પર પ્રેમ રાખે અને તારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવાહ તારા ઈશ્વરની સેવા કરે. 13 અને આજે હું તમને યહોવાહની જે આજ્ઞાઓ અને નિયમો તારા હિતાર્થે ફરમાવું છું તેનું પાલન કરે.
14 જો, આકાશ તથા આકાશોનાં આકાશ; પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તે યહોવાહ તમારા ઈશ્વરનું છે. 15 તેમ છતાં તમારા પિતૃઓ પર પ્રેમ રાખવાનું યહોવાહને સારું લાગ્યું. અને તેમણે તેઓની પાછળ તેઓનાં સંતાનને એટલે સર્વ લોકોના કરતાં તમને પસંદ કર્યા જેમ આજે છે તેમ.
16 તેથી તમે તમારાં પાપી હૃદયોને શુદ્વ કરો અને હઠીલાપણું છોડી દો. 17 કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તે તો સર્વોપરી ઈશ્વર છે. તે મહાન, પરાક્રમી અને ભયાનક ઈશ્વર છે, તે નિષ્પક્ષ અને ન્યાયી છે, તે કદી લાંચ લેતા નથી.
18 તે વિધવાની તથા અનાથની દાદ સાંભળે છે. તે પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે. 19 તેથી તમારે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો. કારણ કે તમે પણ મિસરમાં પરદેશી હતા.
20 તમે યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો અને તમે તેમની જ સેવા કરો; તેમને જ તમે વળગી રહો. અને તેમના જ નામે સમ ખાઓ. 21 તમારે તેમની સ્તુતિ કરવી, તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા માટે જે મહાન અને અદ્ભૂત કાર્યો કર્યાં છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે.
22 જયારે તમારા પિતૃઓ બધા મળીને મિસર ગયા હતા ત્યારે તેઓ ફક્ત સિત્તેર જ હતા. પણ અત્યારે તમારા ઈશ્વર યહોવાહે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી છે.
Footnotes
Chapter 11
1 એ માટે યહોવાહ તારા ઈશ્વર પર પ્રેમ રાખો અને તેમના ફરમાન, કાયદા, નિયમો અને આજ્ઞાઓ સર્વદા પાળો.
2 હું તમારાં સંતાનો સાથે નહિ પણ તમારી સાથે બોલું છું. જેઓએ યહોવાહ તમારા ઈશ્વરની શિક્ષા [1] , તેમની મહાનતા, તેમનો પરાક્રમી હાથ તથા તેમનાં અદ્દભુત કામો જોયા કે જાણ્યાં નથી, 3 તેમનાં ચિહ્નો, તેમનાં કામો, જે તેમણે મિસર મધ્યે મિસરના રાજા ફારુન તથા તેના આખા દેશ પ્રત્યે કર્યા તે.
4 મિસરનું સૈન્ય તેના ઘોડા અને રથો તમારો પીછો કરતાં હતાં, ત્યારે સૂફ સમુદ્રનું પાણી તેમની પર ફેરવી વાળ્યું. એ રીતે યહોવાહે તેમનો આજ સુધી કેવી રીતે વિનાશ કર્યો તે તેમણે જોયું નથી; 5 અને તમે આ સ્થળે આવી પહોંચ્યા ત્યાં સુધી તેમણે અરણ્યમાં તમારે સારું જે કર્યુ તે.
6 અને સર્વ ઇઝરાયલીઓના જોતાં રુબેનના દીકરાઓમાંથી, અલિયાબના દીકરા દાથાન અને અબિરામને યહોવાહે શું કર્યું તે તમે જોયું છે, પણ તમારા સંતાનો એ જોયું નથી. એટલે કેવી રીતે પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓના કુટુંબોને, તેઓના તંબુઓને અને તેમની સાથેના નોકર ચાકર તથા તેમની માલિકીનાં સર્વ જાનવરોને ગળી ગઈ. 7 પણ તમારી આંખોએ યહોવાહે કરેલાં અદ્દભુત કામો નિહાળ્યાં છે.
8 તેથી જે સર્વ આજ્ઞા હું આજે તમને ફરમાવું છું તે સર્વ પાળો જેથી તમે બળવાન થાઓ અને જે દેશનું વતન પામવાને તમે જઈ રહ્યા છો તેમાં પ્રવેશ કરીને તેનું વતન સંપાદન કરો; 9 યહોવાહે જે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ વિષે તમારા પિતૃઓ આગળ સોગન ખાધા હતા કે હું તમને તથા તમારા સંતાનોને આપીશ અને તેમાં તમારું આયુષ્ય લંબાવીશ.
10 તમે જે દેશનું વતન પામવાને જઈ રહ્યા છો તે તો મિસર દેશ જ્યાંથી તમે બહાર નીકળી આવ્યા છો તેના જેવો નથી કે જયાં બી વાવ્યા પછી તમારે શાકભાજીની વાડીની જેમ પોતાના પગથી પાણી પાવું પડતું હતું. 11 પરંતુ જે દેશનું વતન પામવાને માટે તમે પેલે પાર જાઓ છો તે ડુંગરવાળો અને ખીણોવાળો દેશ છે. તે આકાશના વરસાદનું પાણી પીએ છે, 12 તે દેશ વિષે યહોવાહ તમારા ઈશ્વર કાળજી રાખે છે. વર્ષના આરંભથી તે અંત સુધી યહોવાહ તમારા ઈશ્વરની નજર હમેશાં તેના પર રહે છે.
13 અને આજે હું [2] તમને જે આજ્ઞાઓ જણાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળી અને તમારા ઈશ્વર યહોવાહ પર પ્રીતિ રાખીને તમારા ખરા મન અને આત્માથી તેમની સેવા કરશો તો એમ થશે કે, 14 હું તમારા દેશમાં વરસાદ એટલે આગળનો વરસાદ તથા પાછળનો વરસાદ તેની ઋતુ અનુસાર મોકલીશ. જેથી તમે તમારું અનાજ, તમારો નવો દ્રાક્ષારસ તથા તમારા તેલનો સંગ્રહ કરી શકો. 15 હું તમારાં ઢોરને સારુ ખેતરોમાં ઘાસ ઉગાવીશ. અને તમે ખાઈને તૃપ્ત થશો.
16 સાવચેત રહો રખેને તમારું અંત:કરણ ઠગાઈ જાય. અને તમે ભટકી જઈ બીજા દેવ દેવીઓની સેવા કરો અને તેમનું ભજન કરો; 17 રખેને યહોવાહનો કોપ તમારી વિરુદ્ધ સળગી ઊઠે અને તેઓ આકાશમાંથી વરસાદ બંધ કરે અને જમીન પોતાની ઊપજ ન આપે. અને યહોવાહ જે ફળદ્રુપ દેશ તમને આપે છે તેમાં તમારો જલ્દી નાશ થાય.
18 માટે મારાં આ વચનો તમે તમારા હૃદયમાં તથા મનમાં મૂકી રાખો, ચિહ્ન તરીકે તમારા હાથમાં બાંધો તથા તેઓને તમારી આંખોની વચ્ચે કપાળભૂષળ તરીકે રાખો. 19 જયારે તમે ઘરમાં બેઠા હોય ત્યારે, બહાર ચાલતા હોય ત્યારે, તું સૂતા હોય ત્યારે અને ઊઠતી વેળાએ તે વિષે વાત કરો અને તમારા સંતાનોને તે શીખવો.
20 તમારા ઘરની બારસાખ પર તથા તમારા નગરના દરવાજા પર તમે તેઓને લખો. 21 જેથી જે દેશ આપવાનું વચન યહોવાહે તમારા પિતૃઓને આપ્યું હતું તેમાં તમારા દિવસો અને તમારા વંશજોના દિવસો પૃથ્વી પરના આકાશોના દિવસોની જેમ વૃદ્ધિ પામે.
22 કેમ કે આ જે બધી આજ્ઞાઓ હું તમને આપું છું તેને જો તમે ખંતપૂર્વક પાળીને અમલમાં મૂકશો અને યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ રાખીને તેમના સર્વ માર્ગોમાં ચાલશો અને તેમને વળગી રહેશો તો, 23 યહોવાહ આ સર્વ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢશે, તમે તમારા કરતાં મોટી અને બળવાન પ્રજાને કબજે કરશે.
24 દરેક જગ્યા જ્યાં તમારા પગ ફરી વળશે તે તમારી થશે; અરણ્યથી તથા લબાનોનથી, નદીથી એટલે ફ્રાત નદી સુધી, પશ્ચિમના સમુદ્ર સુધી તમારી સરહદ થશે. 25 વળી તમારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ; જે ભૂમિ પર તમે ચાલશો તે પર યહોવાહ તમારા ઈશ્વર તમારી બીક અને ધાક રાખશે. જેમ તેમણે તમને કહ્યું છે તે પ્રમાણે.
26 જો, આજે હું તમારી આગળ આશીર્વાદ તથા શાપ બન્ને મૂકું છું. 27 જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે સાંભળશો તો તમે આશીર્વાદ પામશો; 28 જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ નહિ સાંભળો, જે માર્ગ હું તમને આજે ફરમાવું છું તે છોડીને બીજા દેવો કે જેઓ વિષે તમે જાણતા નથી તેની પાછળ જશો તો તમે શાપ પામશો.
29 જે દેશનો કબજો કરવાને તમે જાઓ તેમાં જ્યારે યહોવાહ તમારા ઈશ્વર તમને લાવે ત્યારે એવું થાય કે આશીર્વાદને તમે ગરીઝીમ પર્વત પર અને શાપને એબાલ પર્વત પર રાખજો. 30 શું તેઓ યર્દન નદીની સામે પાર પશ્ચિમ દિશાના રસ્તા પાછળ, ગિલ્ગાલની સામેના અરાબામાં રહેતા કનાનીઓના દેશમાં, મોરેના એલોનવૃક્ષોની પાસે નથી?
31 કેમ કે જે દેશ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપ્યો છે તેનું વતન પામવા માટે તમે યર્દન નદી પાર કરીને જવાના છો, તમે તેનું વતન પામીને તેમાં રહેશો. 32 હું આજે તમારી સમક્ષ જે બધા કાનૂનો તથા નિયમો મૂકું છું તેને તમે કાળજીપૂર્વક પાળો.
Footnotes
Chapter 12
1 તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહે તમને જે દેશ વતન તરીકે આપ્યો છે, તેમાં તમારે નિયમો તથા કાનૂનો પૃથ્વી પરના તમારા બધા દિવસો પર્યંત પાળવા તે આ છે. 2 જે જે પ્રજાઓનો તમે કબજો કરશો તેઓ જે ઊંચા પર્વતો પર, ડુંગરો પર તથા દરેક લીલાં વૃક્ષોની નીચે જે બધી જગ્યાઓમાં તેઓનાં દેવોની પૂજા કરતા હતા તે સર્વનો તમારે નિશ્ચે નાશ કરવો.
3 તમારે તેઓની વેદીઓ તોડી નાખવી, તેઓના સ્તંભોને ભાંગીને ટુકડા કરી નાખવા, અશેરીમ મૂર્તિઓને બાળી નાખવી અને તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓ કાપી નાખીને તે જગ્યાએથી તેઓના નામનો નાશ કરવો. 4 તમારે યહોવાહ તમારા ઈશ્વરની આરાધના તે પ્રમાણે ન કરવી.
5 પણ યહોવાહ તમારા ઈશ્વર તમારા સર્વ કુળમાંથી જે સ્થળ પસંદ કરશે તે સ્થળ આગળ એટલે જ્યાં તે રહે છે ત્યાં તમારે ભેગા થવું, ત્યાં તમારે આવવું. 6 ત્યાં તમારે તમારાં બધાં દહનીયાર્પણો, તમારાં બલિદાનો, તમારાં દશાંશો, તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો, તમારી માનતાઓ, તમારાં ઐચ્છિકાર્પણ તથા તમારાં ઘેટાં બકરાનાં તથા અન્ય જાનવરોનાં પ્રથમજનિતને લાવવાં.
7 ત્યાં તમારે યહોવાહ તમારા ઈશ્વરની આગળ જમવું અને તમારા હાથની સર્વ બાબતોમાં યહોવાહ તારા ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યો છે તેમાં તમારે તથા તમારા કુટુંબોએ આનંદ કરવો.
8 આજે આપણે જે બધું અહીં કરીએ છીએ, એટલે દરેક માણસ પોતાની દ્રષ્ટિમાં જે સારું લાગે છે તે કરે છે તે પ્રમાણે તમારે કરવું નહિ; 9 કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર જે આરામ તથા વારસો આપવાના છે તેમાં હજુ સુધી તમે ગયા નથી.
10 તમે યર્દન નદી પાર કરીને યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તરીકે આપવાના છે તેમાં જ્યારે તમે રહેશો, ત્યારે યહોવાહ તમને ચારે બાજુના દુશ્મનોથી આરામ આપશે કે જેથી તમે બધા સુરક્ષિત રહો. 11 ત્યારે એવું બને કે યહોવાહ તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે જે જગ્યા પસંદ કરે ત્યાં, હું તમને ફરમાવું તે બધું તમારે લાવવું: તમારાં દહનીયાર્પણ, તમારાં બલિદાનો, તમારાં દશાંશો, તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો, જે બધી શ્રેષ્ઠ માનતાઓ તમે યહોવાહ પ્રત્યે માનો તે તમારે લાવવાં.
12 તમે, તમારા દીકરાઓ, તમારી દીકરીઓ, તમારા દાસો, તમારી દાસીઓ તથા લેવીઓ કે જેને તમારી મધ્યે કોઈ હિસ્સો કે વારસો નથી જેઓ તમારા દરવાજાની અંદર રહેતા હોય તેઓએ યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો.
13 સાવધ રહેજો, જે દરેક જગ્યા તમે જુઓ ત્યાં તમારે તમારા દહનીયાર્પણ ચઢાવવાં નહિ; 14 પણ જે જગ્યા યહોવાહ તમારા ઈશ્વર તમારા કુળો મધ્યેથી એકને પસંદ કરે ત્યાં તારે તારા દહનીયાર્પણો ચઢાવવાં.
15 તોપણ તમારી ઇચ્છા પ્રમાણે તમે તમારા દરવાજાના પ્રાણીઓને મારીને ખાજો, કેમ કે યહોવાહ તમારા ઈશ્વરે તમને જે બધું આપ્યું છે તેનો આશીર્વાદ તમે પ્રાપ્ત કરો. શુદ્ધ તથા અશુદ્ધ જન તે ખાય, જેમ હરણનું અને જેમ સાબરનું માંસ ખવાય છે તેમ ખાજો. 16 પણ લોહી તમારે ખાવું નહિ એ તમારે પાણીની જેમ જમીન પર રેડી દેવું.
17 તમારા અનાજનો, દ્રાક્ષારસનો કે તેલનો દશમો ભાગ, અથવા તમારાં ઘેટાંબકરાંનાં અને અન્ય જાનવરોનાં પ્રથમજનિત અથવા તમારી લીધેલી કોઈ પણ માનતા અથવા તમારા ઐચ્છિકાર્પણ તથા તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણ એ સર્વ તમારા રહેઠાણોમાં ખાવાની તમને રજા નથી. 18 પણ તમારે અને તમારા દીકરાએ અને તમારી દીકરીએ, તમારા દાસે અને તમારી દાસીએ તમારા ઘરમાં રહેનાર તમારા લેવીએ યહોવાહ તમારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે તેમાં તમારા યહોવાહની સમક્ષ તે ખાવાં; અને જે સર્વને તમે તમારો હાથ લગાડો છો તેમાં યહોવાહ તમારા ઈશ્વરની સમક્ષ આનંદ કરવો. 19 પોતાના વિષે સાંભળો કે જ્યાં સુધી તમે આ ભૂમિ પર વસો ત્યાં સુધી લેવીઓનો ત્યાગ તમારે કરવો નહિ.
20 જયારે યહોવાહ તમારા ઈશ્વર પોતાના આપેલા વચન મુજબ તમારો વિસ્તાર વધારે ત્યારે તમને જો માંસ ખાવાની ઇચ્છા થાય તો ખાવું કેમ કે મન માનતાં સુધી ખાવાની તમને છૂટ છે.
21 તમારા ઈશ્વર યહોવાહે પોતાના નામ માટે પસંદ કરેલું સ્થળ જો બહુ દૂર હોય તો જેમ યહોવાહે તમને આજ્ઞા આપી છે તેમ, તમારાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવર કે જે યહોવાહે તમને આપ્યાં છે તે કાપવાં અને તમારી ઇચ્છા થાય ત્યાં સુધી તમારે ઘરે ખાવાં. 22 હરણ કે સાબરનું માંસ ખવાય છે તેમ તમારે તે ખાવું; માણસ શુદ્ધ કે અશુદ્ધ સ્થિતિ હોય તો પણ તે ખાઈ શકે છે.
23 પરંતુ એટલું સંભાળજો કે લોહી તમારા ખાવામાં ન આવે, કારણ કે, રક્તમાં જ જીવ છે અને માંસ સાથે તેનો જીવ તમારે ખાવો નહિ. 24 તમારે લોહી ખાવું નહિ, પણ જળની જેમ જમીન પર ઢોળી દેવું. 25 તમારે તે ખાવું નહિ; એ માટે કે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કર્યાથી તમારું તથા તમારી પાછળ તમારા સંતાનોનું ભલું થાય.
26 તમારી પાસેની અર્પિત વસ્તુઓ તથા તમારી માનતાઓ તે તમારે યહોવાહે પસંદ કરેલા સ્થાનમાં લઈ જવાં. 27 અને યહોવાહ તમારા ઈશ્વરની વેદી પર તમારે તમારાં દહનીયાર્પણ એટલે માંસ તથા લોહી ચઢાવવાં; પણ તમારા યજ્ઞોનું લોહી તમારે યહોવાહ તમારા ઈશ્વરની વેદી પર રેડી દેવું.
28 જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે ધ્યાન આપીને સાંભળો એ માટે કે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં જે સારું અને યથાર્થ કર્યાથી તમારું અને તમારાં સંતાનોનું સદા ભલું થાય.
29 જે દેશજાતિઓનું વતન પ્રાપ્ત કરવા તમે જાઓ છો તેઓનો જયારે યહોવાહ તમારા ઈશ્વર તમારી આગળથી નાશ કરે અને તમે તેઓનું વતન પામી તેમના દેશમાં રહો, 30 ત્યારે સાવધ રહેજો, રખેને તેઓનો તમારી આગળથી નાશ થયા પછી તમે તેઓનું અનુકરણ કરીને ફસાઈ જાઓ. અને તમે તેઓના દેવદેવીઓની પૂછપરછ કરતાં એવું કહો કે "આ લોકો કેવી રીતે પોતાના દેવદેવીઓની પૂજા કરે છે.''
31 યહોવાહ તમારા ઈશ્વર વિષે એવું કરશો નહિ; કેમ કે જે સર્વ અમંગળ કાર્યો યહોવાહની દૃષ્ટિએ ધિક્કારજનક છે. તે તેઓએ પોતાના દેવદેવીઓની સમક્ષ કર્યા છે. કેમ કે પોતાના દીકરા દીકરીઓને પણ તેઓ તેઓનાં દેવદેવીઓની આગળ આગમાં બાળી નાખે છે.
32 મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે તમારે કાળજી રાખીને પાળવી. તમારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ.
Chapter 13
1 તમારી મધ્યે કોઈ પ્રબોધક કે સ્વપ્નદ્રષ્ટા ઊભો થાય અને જો તે તમને ચિહ્ન કે ચમત્કાર બતાવે, 2 જો કદાચ તેણે તમને કહેલા ચિહ્ન કે ચમત્કાર થાય અને જો તમને તે કહે ''ચાલો આપણે અન્ય દેવદેવીઓની પૂજા કરીએ જેને તમે જાણતા નથી અને ચાલો આપણે તેમની સેવા કરીએ," 3 તોપણ તે પ્રબોધકના શબ્દોને કે સ્વપ્નદ્રષ્ટાને સાંભળશો નહિ, કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમારી કસોટી કરે છે કે, તમે તમારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ કરો છો કે નહિ તે જણાય.
4 તમે તમારા ઈશ્વર યહોવાહ પાછળ ચાલો અને તેમનો ડર રાખો અને તેમની આજ્ઞાઓ પાળો, તેમનું કહ્યું કરો તથા તમે તેમની સેવા કરો. અને તેમને વળગી રહો. 5 અને તે પ્રબોધક તથા તે સ્વપ્નદ્રષ્ટાને મારી નાખવો; કેમ કે તે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી બહાર લાવ્યા છે, જેમણે તમને ગુલામીમાંથી મુક્ત કર્યા તેમની સામે બળવો કરવાનું કહે છે, એ માટે કે રખેને જે માર્ગમાં ચાલવાની યહોવાહ તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તેમાંથી તે તમને ભમાવી દે. એ રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.
6 જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો અથવા તારી દીકરી અથવા તારી પ્રિય પત્ની તથા તારો પ્રિય મિત્ર તને લલચાવતાં એમ કહે કે ''ચાલો જે અન્ય દેવદેવીઓને તમે જાણતા નથી, તેમ તમારા પિતૃઓ પણ જાણતા નહોતા તેઓની આપણે પૂજા કરીએ. 7 તથા જે દેશજાતિઓ તમારી ચોતરફ, તમારી આસપાસમાં કે તમારાથી દૂર પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી છે તેઓનાં દેવદેવીઓની સેવા કરીએ."
8 તો તમારે તેઓની વાત સાંભળવી કે માનવી નહિ, તમારી આંખ તેની પર દયા ન લાવે. તમારે તેને જવા દેવો નહિ અને છુપાવવો પણ નહિ. 9 પરંતુ તેને નક્કી મારી નાખવો, તેને મારી નાખવા માટે તમારો હાથ પહેલો તેના પર પડે ત્યાર બાદ બીજા લોકો પણ તેમ કરે.
10 તમારે તેને પથ્થર વડે મારી નાખવો, કેમ કે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી એટલે ગુલામીમાંથી બહાર લાવ્યા, તેમની પાસેથી તમને દૂર લઈ જવાનો પ્રયત્ન તેણે કર્યો છે. 11 સર્વ ઇઝરાયલ તે સાંભળીને બીશે. અને પછી ફરીથી એવી કોઈ દુષ્ટતા તમારી મધ્યે થશે નહિ.
12 જે નગરો યહોવાહ તમારા ઈશ્વર તમને રહેવા માટે આપે છે તેઓમાંથી એક પણ વિષે તમે એવી વાત સાંભળો કે, 13 કેટલાક બલિયાલપુત્રો તમારી મધ્યેથી નીકળી જઈને તેઓના નગરના લોકોને એમ કહીને ખેંચી લીધા છે કે ચાલો આપણે જઈને અન્ય દેવદેવીઓ કે જેઓને તમે જાણતા નથી તેમની સેવા કરીએ." 14 તેથી તારે તેની પૂરેપૂરી તપાસ કરવી, શોધ કરીને ખંતથી પૂછપૂરછ કરવી. જો તે વાત સાચી અને નક્કી હોય કે એ અમંગળ કર્મ તમારી મધ્યે કરવામાં આવેલું છે,
15 તો તમારે નગરના બધા રહેવાસીઓનો, તેમાં જે બધા લોકો રહે છે તે સર્વનો તેઓના પશુઓના ટોળાં સાથે તલવારની ધારથી સંપૂર્ણપણે નિશ્ચે હુમલો કરીને નાશ કરવો. 16 તેમાંની સર્વ લૂંટ તે નગરના ચોકની વચમાં એકઠી કરીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે તે નગરને તથા તેની સર્વ લૂંટને અગ્નિમાં છેક બાળી નાખવાં; તેનો સદાને માટે ઢગલો થઈ જાય; તે ફરીથી બંધાય નહિ.
17 લૂંટમાંથી કશું જ તમારે તમારા હાથમાં રાખવું નહિ. તેથી યહોવાહ તમારા પર ગુસ્સો કરવાથી પાછા વળશે અને બદલામાં તેઓ તમારા પ્રત્યે કૃપાળુ બનશે. તેઓ તમારા પ્રત્યે કરુણા દર્શાવશે અને જેમ તમારા પિતૃઓને વચન આપેલું હતું તે પ્રમાણે તમને સંખ્યામાં વધારશે. 18 યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે તમે તેમની વાણી સંભાળીને પાળશો, યહોવાહ તમારા ઈશ્વરની દ્રષ્ટિમાં જે યોગ્ય છે તે કરશો ત્યારે ઈશ્વર તે પ્રમાણે કરશે.
Chapter 14
1 તમે યહોવાહ તમારા ઈશ્વરનાં સંતાન છો. મૃત્યુ પામેલાંને લીધે તમારે તમારા શરીર પર ઘા ન કરવા, કે ચહેરા પર મૂંડન ન કરવું. 2 કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોકો છો, પૃથ્વીની સપાટી પરના સર્વ લોકોમાંથી તમને યહોવાહે પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યા છે.
3 તમારે કોઈ અશુદ્ધ વસ્તુમાંથી ખાવું નહિ. 4 તમારે આ પ્રાણીઓને ખાવાં એટલે બળદ, ઘેટાં, બકરાં, 5 હરણ, સાબર, કાળિયાર, જંગલી બકરાં, પર્વતીય ઘેટાં.
6 જે કોઈ પ્રાણીની ખરી ફાટેલી હોય અને ફાટીને તેના બે ભાગ થઈ ગયેલા હોય, વાગોળતો હોય તેવાં પ્રાણીને તમે ખાઈ શકો. 7 પરંતુ, તમારે કેટલાંક પ્રાણીઓ જેવા કે, વાગોળતાં હોય પણ જેઓની ખરી બે ભાગમાં ફાટી ગયેલી હોય આ પ્રાણીઓ ન ખાવાં. એટલે કે ઊંટ, સસલું તથા શાફાન કેમ કે તેઓ વાગોળે છે પણ તેમની ખરી ફાટેલી નથી, તેઓ તમારા માટે અશુદ્ધ છે.
8 ડુક્કરની ખરી ફાટેલી હોય છે પણ તે વાગોળતું નથી એટલે તે તમારા માટે અશુદ્ધ છે. તેનું માંસ તમારે ખાવું નહિ અને તેમના મૃતદેહને તમારે સ્પર્શ કરવો નહિ.
9 જળચર પ્રાણીઓમાં તમારે ખાવાં તે આ છે: જેમને ભિંગડાં તથા પર હોય તે ખાવાં; 10 પરંતુ જેઓને પર કે ભિંગડાં ના હોય તેવા જળચરો તમારે ખાવાં નહિ, તેઓ તમારા માટે અશુદ્ધ છે.
11 બધાં જ શુદ્ધ પક્ષીઓ તમે ખાઈ શકો. 12 પણ આ પક્ષીઓમાંથી તમારે ખાવાં નહિ એટલે કે, ગરુડ, ગીધ, કુરર, 13 સમડી, બાજ તથા કલીલ તેની જુદી જાત પ્રમાણે,
14 પ્રત્યેક જાતના કાગડા, 15 શાહમૃગ, ચીબરી, સીગલ, તથા દરેક જાતના શકરા, 16 ચીબરી, ઘુવડ, રાજહંસ, 17 જળકૂકડી, ગીધ, કરઢોક; 18 દરેક જાતનું બગલું, હંસલો તથા ચામાચીડિયું. 19 બધાં પાંખવાળાં સર્પટિયાં તમારા માટે અશુદ્ધ છે. તે ન ખાવાય 20 પરંતુ તમે બધાં શુદ્ધ પક્ષીઓ ખાઈ શકો.
21 પોતાની રીતે મૃત્યુ પામેલા કોઈ પણ પશુનું માંસ તમારે ખાવું નહિ. તમારા નગરમાં રહેતા પરદેશીને ખાવા માટે આપવું હોય તો આપો. ભલે તે લોકો ખાય; અથવા કોઈ પરદેશીને તે વેચે તો ભલે વેચે. કેમ કે તમે તો યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોક છો. વળી બકરીના બચ્ચાંને માતાના દૂધમાં બાફવું નહિ.
22 પ્રતિવર્ષ તમારે તમારા ખેતરના બીજની બધી ઊપજમાંથી દશમો ભાગ જુદો રાખવો. 23 તેઓ જે જગ્યા પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરે ત્યાં તેઓની આગળ તમારા અનાજનો દશાંશ, તમારા દ્રાક્ષારસનો, તમારા તેલનો તથા તમારાં પશુ તથા ઘેટાં બકરાંના તથા અન્ય જાનવરોના પ્રથમજનિતને તમારે ખાવાં, કે જેથી તમે યહોવાહ તમારા ઈશ્વરનો આદર કરતાં શીખો.
24 જો મુસાફરી એટલી લાંબી હોય કે તે તું લઈ જઈ શકે નહિ, કેમ કે જ્યારે યહોવાહ ઈશ્વર તને આશીર્વાદ આપે, ત્યારે યહોવાહ તારા ઈશ્વર જે જગ્યા તેમના પવિત્રસ્થાન માટે પસંદ કરે તે તારાથી ઘણે દૂર હોય, 25 તો તમારે તે વેચીને, નાણાં તમારા હાથમાં લઈને યહોવાહ તમારા ઈશ્વર જે જગ્યા પસંદ કરે ત્યાં જવું.
26 અને તારું દિલ ચાહે તે ખરીદવા માટે તારે એ પૈસા વડે બળદો, ઘેટાં, દ્રાક્ષારસ અને મધ તમને જે કંઈ પસંદ પડે તે ખરીદવું અને તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ તમારે અને તમારા કુટુંબે તે ખાઈને આનંદ કરવો; 27 તમારા ઘરના લેવીઓને તમારે કદી ભૂલવા જોઈએ નહિ. કારણ કે, તેઓને તમારી સાથે કોઈ પણ ભાગ કે વારસો મળેલો નથી.
28 દર ત્રીજે વર્ષને અંતે તે વર્ષની તમારી ઊપજનો દશમો ભાગ કાઢી લાવીને તમારા ઘરમાં તમારે સંગ્રહ કરવો; 29 તમારા ઘરમાં રહેનાર લેવી કે જેને તમારી સાથે કોઈ ભાગ કે વારસો મળ્યો નથી, તે તથા પરદેશી, અનાથ તથા વિધવા આવે અને ખાઈને તૃપ્ત થાય. એ માટે કે જે કામ તમે કરો છો તેમાં તમારા ઈશ્વર યહોવાહ તમને આશીર્વાદ આપે.
Chapter 15
1 દર સાતમું વર્ષ તમારે માટે છુટકારાનું વર્ષ થાય. 2 અને છૂટકો કરવાની રીત આ છે; દરેક લેણદારે પોતાના પડોશીને દેવાથી મુકત કરવા. તેણે પોતાના પડોશી પાસેથી તથા પોતાના ભાઈ પાસેથી દેવું વસૂલ કરવા દબાણ કરવું નહિ. કારણ કે યહોવાહના માનાર્થે છુટકારાનો ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. 3 વિદેશીઓ પાસે તમે દેવું ભરપાઈ કરાવી શકો છો પરંતુ તારું લેણું જો તારા ભાઈ પાસે હોય તો તે જતું કર.
4 તોપણ તમારામાં કોઈ ગરીબ નહિ હોય કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશના વતનનો વારસો આપે છે, તેમાં યહોવાહ નક્કી તમને આશીર્વાદ દેશે; 5 ફક્ત એટલું જ કે તમે યહોવાહ તમારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને આ જે સર્વ આજ્ઞાઓ આજે હું તમને જણાવું છું, તે તમે કાળજીથી પાળશો તો. 6 કેમ કે તમને આપેલા વચન મુજબ યહોવાહ તમને આશીર્વાદ આપશે અને તમે અનેક પ્રજાઓના લેણદાર બનશો, તમે કોઈના દેવાદાર નહિ બનો અને તમે અનેક પ્રજાઓ પર રાજ કરશો, પણ કોઈ તમારા પર રાજ કરશે નહિ.
7 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે, તેમાં તમારા ઘરમાં રહેતો તમારો કોઈ જ્ઞાતિજન ગરીબ હોય તો તમે તમારું હૃદય કઠણ ન કરો. 8 પરંતુ તેમના પ્રત્યે તમારો હાથ ઉદાર રાખો અને તેની અછતને લીધે જેટલાંની તેમને જરૂરિયાત હોય તે પ્રમાણે આપો.
9 પણ સાવધ રહો, રખેને તમારા મનમાં એવો દુષ્ટ વિચાર આવે કે સાતમું વર્ષ એટલે છુટકારાનું વર્ષ પાસે છે. અને તમારી દાનત તમારા ગરીબ ભાઈની વિરુદ્ધ બગડે અને તમે તેને કંઈ ન આપો. અને તે યહોવાહની આગળ પોકાર કરે તો તમે દોષિત ઠરશો. 10 વળી તમારે તેને આપવું જ કે જે તેને આપતાં તમારો જીવ કચવાય નહિ. કારણ કે, એ કાર્યને લીધે યહોવાહ તમારા ઈશ્વર તમારાં બધાં કામમાં એટલે જે કંઈ કામ તમે હાથમાં લેશો તેમાં તમને આશીર્વાદ આપશે.
11 કેમ કે દેશમાંથી ગરીબો કદી ખૂટશે નહિ તેથી હું તમને આજ્ઞા કરું છું કે, તમારે તમારા દેશમાં તમારા ભાઈ પ્રત્યે જરૂરિયાતમંદવાળા પ્રત્યે તથા ગરીબ પ્રત્યે ઉદારતા બતાવવી.
12 જો તમારો ભાઈ એટલે કોઈ હિબ્રૂ સ્ત્રી કે પુરુષ તમારે ત્યાં વેચાયો હોય અને છ વર્ષ સુધી તે તમારી ચાકરી કરે. તો સાતમે વર્ષે તમારે તેને છોડી મૂકવો. 13 જયારે તમે તેને મુક્ત કરો ત્યારે તેને ખાલી હાથે જવા દેવો નહિ; 14 તમારે તમારાં ઘેટાંબકરાંમાંથી અને તમારાં ખળામાંથી અને તમારાં દ્રાક્ષકુંડમાંથી તેને ઉદારતાથી આપવું. યહોવાહે તમને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તમારે તેને આપવું.
15 અને તમારે યાદ રાખવું કે, તમે પોતે પણ મિસરમાં ગુલામ હતા અને યહોવાહ તમારા ઈશ્વરે તમને છોડાવ્યા હતા. એ માટે હું આજે તમને આ આજ્ઞા આપું છું. 16 અને એમ બને કે, જો તે તમને કહે કે 'મારે તમારી પાસેથી જવું નથી,'' એ માટે કે તેને તમારી સાથે અને તમારાં ઘરનાંની સાથે પ્રેમ છે. અને તમારે ત્યાં સુખચેનમાં રહે છે. 17 તો એક સોયો લઈને તેને બારણાની સાથે ઊભો રાખીને તેનો કાન વીંધવો એટલે તે સદાને માટે તારો દાસ થશે. અને તારી દાસી વિષે પણ એ પ્રમાણે કરવું.
18 જયારે તમે તેને ગુલામીમાંથી મુકત કરો ત્યારે એમ કરવાનું તમને કઠણ ન લાગવું જોઈએ. કારણ કે, મજૂરના પગાર કરતાં બમણી ચાકરી તેણે તમારે ત્યાં છ વર્ષ સુધી કરી છે. તમારા સર્વ કામમાં યહોવાહ તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે.
19 તમારાં ઘેટાંબકરાંના તથા અન્ય જાનવરના પ્રથમજનિત નર બચ્ચાંને તમારે યહોવાહ તમારા ઈશ્વરને અર્પિત કરી દેવાં; પ્રથમજનિત એટલે કે વાછરડા પાસે કંઈ કામ ન કરાવ અને તારા ઘેટાંબકરાંના પ્રથમજનિત બચ્ચાંને તું ન કાતર. 20 વર્ષોવર્ષ તમારે અને તમારા પરિવારે યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલા સ્થાને તે પ્રાણીઓ ખાવાં. 21 પરંતુ જો તેને કંઈ ખોડખાંપણ હોય, એટલે કે અપંગ અંધ કે કશી ખોડવાળું હોય તો તે યહોવાહ તમારા ઈશ્વરને તેનો યજ્ઞ ન કરો.
22 તમે તે તમારે ઘરે ખાઓ; જેમ હરણ તથા સાબર, તેમ શુદ્ધ કે અશુદ્ધ જન તે ખાય. 23 પરંતુ તમારે તેનું લોહી ખાવું નહિ તેને પાણીની જેમ જમીન પર ઢોળી દેવું.
Chapter 16
1 આબીબ [1] માસ ધ્યાન રાખીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે પાસ્ખાપર્વ પાળો; કેમ કે આબીબ માસમાં યહોવાહ તમારા ઈશ્વર તમને રાત્રે મિસરમાંથી બહાર લઈ આવ્યા. 2 અને પોતાનું નામ રાખવા માટે યહોવાહ જે સ્થળ પસંદ કરે ત્યાં ઘેટાંબકરાંનો કે અન્ય જાનવરોનો પાસ્ખાયજ્ઞ તું યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે કર.
3 તમારે તેની સાથે ખમીરી રોટલી ન ખાવી. સાત દિવસ સુધી તમારે તેની સાથે ખમીર વગરની એટલે દુઃખની રોટલી ખાવી કારણ કે, તમે મિસર દેશમાંથી ઉતાવળે નીકળ્યા હતા. અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે બહાર આવ્યા તે દિવસ આખા જીવનભર યાદ રહે. 4 સાત દિવસ સુધી તમારી સર્વ સરહદોમાં તમારી મધ્યે ખમીર જોવામાં આવે નહિ. તેમ જ પહેલે દિવસે સાંજે વધેલા બલિદાનનું થોડું પણ માંસ સવાર સુધી રહેવા દેવું નહિ.
5 જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાંની કોઈ પણ ભાગળમાં તારે પાસ્ખાયજ્ઞ કરવું નહિ. 6 પરંતુ, યહોવાહ તારા ઈશ્વર પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં સાંજે સૂર્યાસ્ત સમયે એટલે જે વર્ષે તમે મિસરમાંથી બહાર આવ્યા તે સમયે, પાસ્ખાયજ્ઞ કરો.
7 યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલી જગાએ તમારે તે શેકીને ખાવું; સવારમાં પાછા પોતાના તંબુઓમાં જવું. 8 છ દિવસ સુધી તમારે બેખમીરી રોટલી ખાવી, સાતમા દિવસે યહોવાહ તમારા ઈશ્વર માટે પવિત્ર સભા કરવી, તે દિવસે તમારે કોઈ કામ કરવું નહિ.
9 તમે તમારે પોતાને માટે સાત અઠવાડિયાં ગણો; ઊભા પાકને દાતરડું લગાવાનું શરૂઆત કરો તે સમયથી સાત અઠવાડિયાં ગણવાં. 10 તમે યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે અઠવાડિયાનાં પર્વ ઉજવો, યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારા હાથનાં ઐચ્છિકાર્પણ આપો.
11 યહોવાહ તમારા ઈશ્વરે પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરેલી જગ્યાએ તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસીઓ, નગરની ભાગળમાં રહેતા લેવીઓ, તમારી મધ્યે રહેતા વિદેશીઓ, અનાથો તથા તમારી મધ્યે રહેતી વિધવાઓએ બધાએ મળીને યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો. 12 તમે મિસરમાં ગુલામ હતા તે યાદ રાખીને તમે આ કાનૂનો પાળો અને તેને અમલમાં મૂકો.
13 તમારા ખળામાંથી તથા તમારા દ્રાક્ષકુંડમાંથી ઊપજ ભેગી કરી લો પછી તમે સાત દિવસ સુધી માંડવાપર્વ ઉજવો. 14 તમારાં પર્વ દરમિયાન તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસી, લેવી, નગરની ભાગળમાં રહેતા પરદેશીઓ, અનાથો તથા વિધવાઓ આનંદ કરો.
15 તમે યહોવાહ તમારા ઈશ્વરના માટે યહોવાહે પસંદ કરેલા સ્થાને સાત દિવસ સુધી પર્વ ઉજવો, કેમ કે યહોવાહે તમારી બધી ઉપજમાં, તમારા હાથનાં સર્વ કામોમાં તમને આશીર્વાદ આપશે, તમે પુષ્કળ આનંદ પામશો.
16 તમારા બધા પુરુષો એ જે જગ્યા યહોવાહ પસંદ કરે ત્યાં વર્ષમાં ત્રણ વાર યહોવાહ તમારા ઈશ્વરની આગળ ઉપસ્થિત થવું. બેખમીરી રોટલીના પર્વના પ્રસંગે અઠવાડિયાનાં પર્વના પ્રસંગે અને માંડવાપર્વના પ્રસંગે યહોવાહ આગળ ખાલી હાથે આવવું નહિ. 17 પરંતુ, દરેક માણસે પોતાની યથાશક્તિ પ્રમાણે યહોવાહની આજ્ઞા પાળીને યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારે આપવું.
18 જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાં તમે તમારા માટે તમારા કુળોમાંથી ન્યાયાધીશો તથા બીજા અધિકારીઓની નિમણૂક કરો, તેઓ લોકોનો ઉચિત ન્યાય કરશે. 19 તમે ન્યાય માટે બળજબરી ન કરો, પક્ષપાત ન કર, લાંચ ન લો, કેમ કે લાંચ જ્ઞાની આંખોને અંધ બનાવી દે છે અને ન્યાયી માણસોના વચનો ખોટા કરી નાખે છે. 20 તમે ન્યાયનું અનુસરણ કરો, કે જેથી તમે જીવતા રહો અને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેનો વારસો પ્રાપ્ત કરો. 21 તમે યહોવાહ તમારા ઈશ્વરની માટે જે વેદી બનાવો તેની બાજુએ કોઈ પણ જાતની અશેરા મૂર્તિ ન ગોઠવો. 22 તમારે તમારા માટે કોઈ સ્તંભ ઊભો કરવો નહિ. કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તેને ધિક્કારે છે.
Footnotes
Chapter 17
1 યહોવાહ તમારા ઈશ્વરને તમારે ખોડખાંપણવાળાં કે કંઈ પણ રીતે ખરાબ બળદ કે ઘેટો અર્પણ કરવો નહિ. કેમ કે યહોવાહ તમારા ઈશ્વરને તે બલિદાનો ઘૃણાસ્પદ છે.
2 જો યહોવાહ તમારા ઈશ્વર તમને જે ગામો આપે છે તેમાં તમારી મધ્યે કોઈ સ્ત્રી કે પુરુષ મળી આવે કે જે યહોવાહ તમારા ઈશ્વરના કરારનું ઉલ્લંઘન કરીને તેમની દૃષ્ટિમાં જે ખોટું છે તે કરે, 3 અને જો કોઈ બીજા દેવોની પૂજા કરતો હોય, તેઓની આગળ નમતો હોય, એટલે સૂર્ય, ચંદ્ર અથવા તારા જેના વિષે મેં તમને ફરમાવ્યું નથી તેની પૂજા કરતો હોય, 4 તે વિષે તમને ખબર પડે કે તમે તે વિષે સાંભળો તો તમે તે વિષે કાળજીપૂર્વક તપાસ કરો. જો એ વાત સાચી અને ચોક્કસ હોય કે, એવું ઘૃણાસ્પદ કામ ઇઝરાયલમાં બન્યું છે,
5 તો એવું અધમ કૃત્ય કરનાર સ્ત્રી કે પુરુષને, એટલે તે જ સ્ત્રી કે પુરુષને નગરના દરવાજા આગળ લાવીને તેમને પથ્થર મારીને મારી નાખો. 6 બે સાક્ષીના કે ત્રણ સાક્ષીના આધારે તે મરનારને મરણદંડ આપવામાં આવે; પણ એક સાક્ષીના આધારે તેને મરણદંડ આપવો નહિ. 7 સૌપ્રથમ સાક્ષીઓનો હાથ તેને મારી નાખવા તેના પર પડે, ત્યારપછી બીજા બધા લોકોના હાથ. આ રીતે તમે તમારી મધ્યેથી દુષ્ટતા નાબૂદ કરો.
8 જો કોઈ વાતનો ન્યાય આપવો તમને બહુ મુશ્કેલ લાગે, જેમ કે ખૂનનો, મિલકતના હકનો, મારામારીનો એક કે બીજી વ્યક્તિ વચ્ચે વિવાદનો કે, કોઈ ઈજાનો પ્રશ્ન હોય કે તમારા નગરના દરવાજામાં કોઈ બાબતનો મતભેદ હોય, તો તમારે યહોવાહ તમારા ઈશ્વર પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં જવું. 9 લેવી યાજકો પાસે જઈને તે સમયે જે ન્યાયાધીશ હોય તેને પૂછવું, તેઓ તમને તેનો ચુકાદો આપશે.
10 યહોવાહ પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાંથી જે ચુકાદો તેઓ તમને કહે, તે ચુકાદા પ્રમાણે તમારે અનુસરવું. તેઓ તમને જે કંઈ કરવા કહે તે કાળજીપૂર્વક કરવું. 11 તેઓ જે નિયમ તમને શીખવે તેને અનુસરો, જે નિર્ણય તેઓ આપે તે પ્રમાણે કરો. તેઓ જે કહે તેમાંથી ડાબે હાથે કે જમણે હાથે ફરશો નહિ.
12 જો કોઈ માણસ યહોવાહ તમારા ઈશ્વરની સેવા કરનાર યાજકના કે ન્યાયાધીશના ચુકાદાઓનો અસ્વીકાર કરવાની દૃષ્ટતા કરે, તો તે માર્યો જાય. અને એ રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી. 13 અને સર્વ લોકોને એની જાણ થશે ત્યારે તેઓ ડરશે. અને એવી દુષ્ટતા ફરી કદી કરશે નહિ.
14 યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ આપે છે ત્યાં જ્યારે તમે પહોંચો અને તેનું વતન લઈને તેમાં વસો અને એમ કહો કે, 'અમારી આસપાસની અન્ય પ્રજાઓની જેમ અમે અમારે માથે રાજા ઠરાવીશું. 15 તો જેને યહોવાહ તમારા ઈશ્વર પસંદ કરે તેને જ તમારે રાજા તરીકે નિયુકત કરવો. તમારા ભાઈઓમાંથી એકને તમારે તમારા શિરે રાજા તરીકે નિયુક્ત કરવો. કોઈ પરદેશી કે જે તમારો ભાઈ નથી તેને તમે તમારે શિરે રાજા નિયુક્ત કરશો નહિ.
16 ફક્ત આટલું જ કે તે પોતાને માટે મોટી સંખ્યામાં ઘોડાઓ ન રાખે. અને પોતાના ઘોડાઓની સંખ્યામાં વધારો કરવાના મતલબથી તે લોકોને પાછા મિસર ન મોકલે [1] . કેમ કે યહોવાહે તમને કહ્યું છે કે ''તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહિ.'' 17 વળી તે ઘણી પત્નીઓ કરે નહિ. કે જેથી તેનું હૃદય યહોવાહ તરફથી વિમુખ થઈ ન જાય. વળી તે પોતાને સારુ સોનુંચાંદી અતિશય ન વધારે.
18 અને જયારે તે તેના રાજ્યાસને બેસે પછી તેણે લેવી યાજકો પાસેથી આ નિયમની નકલ પુસ્તકમાં ઉતારે 19 અને તે તેની પાસે રહે અને તેના જીવનપર્યત તેમાંથી વાંચે કે, તે યહોવાહનો ડર રાખતાં શીખીને આ નિયમનાં સર્વ વચનો તથા વિધિઓનું પાલન કરે.
20 એ માટે કે તેનું હૃદય તેના ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ઠ ન થઈ જાય. તથા આ આજ્ઞાઓથી તે વિમુખ થઈ ન જાય. એ સારુ કે ઇઝરાયલ મધ્યે તેના રાજ્યમાં તેનું તથા તેના સંતાનોનું આયુષ્ય વધે.
Footnotes
Chapter 18
1 લેવી યાજકો તથા લેવીના આખા કુળને ઇઝરાયલની સાથે ભાગ કે વારસો ન મળે; તેઓ યહોવાહને ચઢાવેલાં હોમયજ્ઞો અને તેમના વારસા ઉપર ગુજરાન ચલાવે. 2 તેઓને તેઓના બીજા ભાઈઓની મધ્યે વારસો મળે નહિ, તેઓનો વારસો તો યહોવાહ છે. જેમ તેમણે કહ્યું છે તેમ.
3 લોકો તરફથી એટલે વાછરડાનો કે ઘેટાંનો યજ્ઞ ચઢાવનાર તરફથી આ પ્રત્યેક ઘેટાના અથવા બળદના ખભાનો ભાગ, મોં તથા પેટનો ભાગ યાજકોને આપે. 4 તમારા અનાજની, નવા દ્રાક્ષારસની તથા તેલની પેદાશની પ્રથમફળ ઊપજ અને ઘેટાંની પહેલી કાતરણીનું ઊન તમે લેવીઓને આપો. 5 કારણ કે યહોવાહ તમારા ઈશ્વરે તમારાં સર્વ કુળોમાંથી તેઓ તથા તેઓના દીકરાઓને સદાને માટે પસંદ કર્યા છે કે, તેઓ ઊભા રહીને યહોવાહને નામે સેવા કરે.
6 અને કોઈ પણ લેવી આખા ઇઝરાયલમાં તમારી કોઈ પણ જગ્યાએ રહેતો હોય અને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઇચ્છાથી યહોવાહ જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં આવે. 7 તો ત્યાં યહોવાહની હજૂરમાં ઊભા રહેનાર તેઓના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહોવાહ તેઓના ઈશ્વરના નામે સેવા કરે. 8 તેઓના વડીલોની મિલકતના વેચાણથી જે તેઓને મળે તે ઉપરાંત તેઓને બીજાઓના જેટલો જ ભાગ ખાવાને મળે.
9 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર આપે છે, તેમાં તમે જાઓ ત્યારે તે દેશજાતિઓનાં ધિક્કારપાત્ર કાર્યોનું અનુકરણ તમારે કરવું નહિ. 10 તમારી મધ્યે એવો કોઈ માણસ હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે, જોષ જોતો હોય કે, શકુન જોતો હોય કે, ધંતરમંતર કરનાર કે જાદુગર, 11 મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, ઈલમી કે ભૂવો હોય.
12 કેમ કે જે કોઈ આવાં કામો કરે છે તેઓને યહોવાહ ધિક્કારે છે અને આવાં ધિક્કારપાત્ર કામોને કારણે જ યહોવાહ તમારા ઈશ્વરે તેઓને તારી આગળથી કાઢી મૂકવા છે. 13 તેથી તમે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં નિર્દોષ થાઓ. 14 કેમ કે આ જે દેશજાતિઓનું વતન તમે પામવાના છો, તેઓ જોષ જોનારોઓનું તથા શુકન જોનારાનું પણ સાંભળે છે. તમને તો યહોવાહ તમારા ઈશ્વરે એવું કરવા દીધું નથી.
15 યહોવાહ તમારા ઈશ્વર તમારે માટે તમારી મધ્યેથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે. અને તેઓનું તમારે સાંભળવું. 16 હોરેબમાં સભાને દિવસે જે સર્વ તમે યહોવાહ તમારા ઈશ્વર પાસે માગ્યું કે, "હવે પછી યહોવાહ અમારા ઈશ્વરની વાણી અમારા સાંભળવામાં ન આવે. તેમ જ આ મોટો અગ્નિ હવે પછી અમારા જોવામાં ન આવે. રખેને તે પ્રમાણે હું માર્યો જાઉં."
17 અને યહોવાહે મને કહ્યું કે, તેઓએ જે કહ્યું છે તે ઠીક કહ્યું છે. 18 હું તેમને માટે તેઓમાંથી તારા જેવા એક પ્રબોધકને ઊભો કરીશ. અને હું મારા વચનો તેના મુખમાં મૂકીશ. અને જે સર્વ હું ફરમાવું તે તેઓને કહેશે. 19 અને એમ થશે કે, મારે નામે મારાં જે વચનો તે બોલશે, તે જે કોઈ નહિ સાંભળે તેની પાસેથી હું જવાબ લઈશ.
20 પણ જો કોઈ પ્રબોધક ગર્વ કરીને મારે નામે જે વાત બોલવાની મેં તેને આજ્ઞા આપી નથી, તે બોલશે, અથવા અન્ય દેવોને નામે જે બોલશે તે પ્રબોધક માર્યો જશે. 21 અને જો તમે તમારા હૃદયમાં એમ કહો કે, યહોવાહ જે વાત બોલ્યા નથી તે અમે શી રીતે જાણીએ?'
22 જયારે કોઈ પ્રબોધક યહોવાહના નામે બોલે અને જો તે વાત પ્રમાણે ન થાય, અથવા તે પૂરી કરવામાં ન આવે, તો તે વાત યહોવાહ બોલ્યા નથી એમ તમારે જાણવું; પ્રબોધક ગર્વથી તે બોલ્યા છે, તેનાથી તું બીશ નહિ.
Chapter 19
1 જે દેશજાતિઓનો દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે, તે દેશજાતિઓનો જ્યારે યહોવાહ તમારા ઈશ્વર નાશ કરે, તમે તેઓનો કબજો કરો અને તેઓનાં નગરો અને ઘરોમાં વસવાટ કરો, 2 ત્યારે જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને વતન પામવા માટે આપે, તેની મધ્યે તમે તમારા માટે ત્રણ નગરો પસંદ કરો. 3 તમે તમારા માટે માર્ગ બનાવો [1] , યહોવાહ તમારા ઈશ્વર જે દેશનો તમને વારસો આપે, તે દેશની સીમાના ત્રણ ભાગ કરો, કે જેથી દરેક વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિને મારી નાખે તે તેમાં નાસી જાય.
4 જે કોઈ અન્ય વ્યક્તિને મારી નાખીને ત્યાં નાસી જાય તે બચી જાય આ નિયમ તેઓના માટે છે: જે કોઈને પોતાના પડોશી પર પહેલાં દ્રેષ ન હતો, પણ અજાણ્યે તે તેને મારી નાખે તે, 5 જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પડોશી સાથે જંગલમાં લાકડાં કાપવા જાય, ત્યાં લાકડાં કાપતાં કુહાડો હાથમાંથી છટકીને પડોશીને વાગે અને તેનું મૃત્યુ થાય, એવો ખૂની આ ત્રણ નગરમાંથી કોઈ એકમાં નાસી જાય અને તેમાં આશ્રય મળે.
6 રખેને લોહીનો બદલો લેનારને ગુસ્સો આવે અને મનુષ્યઘાતકની પાછળ લાગીને રસ્તો લાંબો હોવાના કારણથી તે તેને પકડી પાડીને તેને મરણતોલ માર મારે, જો કે પહેલાથી તે તેના પર દ્રેષ કરતો ન હોવાને લીધે તે મરણયોગ્ય ન હોય તો પણ. 7 એ માટે હું તમને આજ્ઞા આપું છું કે, તમારા માટે ત્રણ નગરો પસંદ કરો.
8 જો યહોવાહ તમારા ઈશ્વર, તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે, તમારી સરહદો વધારે અને તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે આખો દેશ તમને આપે; 9 જો હું તમને આજે જે આજ્ઞાઓ ફરમાવું છું એટલે કે, યહોવાહ તમારા ઈશ્વરને પ્રેમ કરવો, હંમેશા તેમના માર્ગોમાં ચાલવું, તે પાળીને તમે અમલમાં મૂકો, તો તમારે આ ત્રણ નગર ઉપરાંત બીજાં ત્રણ નગરોનો વધારો કરવો. 10 આ રીતે જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને વારસા માટે આપે છે તેમાં નિર્દોષ લોકોનાં લોહી વહેવડાવામાં ન આવે, કે જેથી લોહીનો દોષ તમારા પર ન આવે.
11 પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી પર દ્વેષ રાખે, લાગ તાકીને છુપાઈ રહે અને તેની સામે ઊઠીને તેનો નાશ થાય ત્યાં સુધી તેને મારે કે તે મરી જાય ત્યારે જો તે આ નગરોમાંના કોઈ એકમાં નાસી જાય, 12 ત્યારે નગરના વડીલો કોઈને મોકલીને તેને ત્યાંથી પાછો લાવે, તેને મરનારના નજીકના સગાને સોંપે, કે જેથી તે માર્યો જાય. 13 તમારે તેની પર દયા બતાવવી નહિ. તમારે ઇઝરાયલમાંથી લોહીનો દોષ નાબૂદ કરવો, કે તમારું ભલું થાય.
14 યહોવાહ તમારા ઈશ્વરે તને જે દેશ વતન માટે આપે છે, તેમાં વતનનો વારસો તમને મળે તે અગાઉના સમયમાં પૂર્વજોએ નક્કી કરેલી તમારા પડોશીઓની સરહદ હઠાવશો નહિ.
15 કોઈ માણસનાં પાપ માટે, કોઈ અન્યાય માટે કે કોઈ પાપની બાબતમાં એક જ વ્યક્તિની સાક્ષી ચાલે નહિ, બે કે ત્રણ સાક્ષીઓના મુખથી કોઈ પણ વાત સાબિત થઈ શકે. 16 જો કોઈ અન્યાયી સાક્ષી કોઈ માણસની વિરુદ્ધ તેણે ખોટું કર્યું છે તેમ સાબિત કરવા ઊભો થાય.
17 તો તે બન્ને માણસોને, એટલે જેઓની વચ્ચે વિવાદ હોય તેઓએ યહોવાહ, યાજકો અને તે સમયના ન્યાયાધીશો સમક્ષ ઊભા રહેવું. 18 ન્યાયાધીશોએ કાળજીપૂર્વક તપાસ કરવી, જો સાક્ષી આપનાર સાક્ષી જૂઠો હોય અને તેના ભાઈ વિરુદ્ધ ખોટી સાક્ષી આપી હોય, 19 તો તેણે પોતાના ભાઈની સાથે જે કરવાની ઇચ્છા રાખી તે તમારે તેની સાથે કરવું; આ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.
20 ત્યારે જેઓ આ સાંભળશે તેઓ બીશે, ત્યાર પછી કોઈ આવું દુષ્ટ કાર્ય તારી મધ્યે કરશે નહિ. 21 તમારે દયા દર્શાવવી નહિ; જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલેે હાથ અને પગને બદલે પગની શિક્ષા કરવી.
Footnotes
Chapter 20
1 જયારે તમે યુદ્ધમાં તમારા દુશ્મનો વિરુદ્ધ લડવા જાઓ, ત્યારે ઘોડાઓ, રથો અને તમારા કરતાં વધારે લોકો તમે જુએ તો તેઓથી બીશો નહિ, કેમ કે, મિસરની ભૂમિમાંથી બહાર લાવનાર યહોવાહ તમારા ઈશ્વર તમારી સાથે છે.
2 જયારે તમે યુદ્ધભૂમિની નજીક પહોંચો, ત્યારે યાજક આગળ આવીને લોકોની સાથે બોલે, 3 તેઓને કહે કે, "હે ઇઝરાયલ, સાંભળો; આજે તમે તમારા દુશ્મનો સામે યુદ્ધ કરવા આવ્યા છો, ત્યારે નાહિંમત થશો નહિ, બીશો નહિ, ભયભીત થશો નહિ કે તેઓનાથી ગભરાશો નહિ; 4 કેમ કે તમને બચાવવા અને તમારા પક્ષે રહીને તમારા દુશ્મનો સામે જે લડવા જાય છે તે તો યહોવાહ તમારા ઈશ્વર છે.
5 ત્યારે અધિકારીઓએ લોકોને કહેવું કે, "શું એવો કોઈ માણસ છે કે જેણે નવું ઘર બાંધ્યું હોય અને તેની અર્પણવિધિ કરી ના હોય? તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજા કોઈ માણસે તેના ઘરનું અર્પણ કરવું પડે.
6 શું કોઈ એવો માણસ છે જેણે દ્રાક્ષવાડી રોપી હોય અને તેનાં ફળ ખાધાં ન હોય? તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજો કોઈ માણસ તેનાં ફળ ખાય. 7 વળી શું કોઈ એવો માણસ છે કે જેણે કોઈ સ્ત્રી સાથે સગાઈ કરી હોય પણ તેની સાથે લગ્ન કર્યાં ન હોય? તો તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજો કોઈ પુરુષ તે સ્ત્રી સાથે લગ્ન કરે.
8 અધિકારીઓએ લોકોને એવું પણ પૂછવું કે, "શું કોઈ એવો માણસ છે જે ગભરાઈ ગયો હોય કે નાહિંમત થઈ ગયો હોય? તો તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તેના હૃદયની જેમ તેના ભાઈઓનાં હૃદય પણ નાહિમ્મત થઈ જાય." 9 જયારે અધિકારીઓ લોકોને પૂછવાનું બંધ કરે, ત્યારે તેઓ તેઓના પર સેનાપતિ નિયુક્ત કરે.
10 જયારે તમે કોઈ નગર પર હુમલો કરવા જાઓ, ત્યારે તે પહેલાં તેને શાંતિનું કહેણ મોકલો. 11 અને એમ થશે કે જો તે તમને સલાહનો પ્રત્યુત્તર આપીને તમારે માટે દરવાજા ઉઘાડે, તો એમ થાય કે તેમાં જે લોકો હોય તે સર્વ તમને ખંડણી આપીને તમારા દાસ થાય.
12 અને જો તે નગર તમારી સાથે સલાહ ન કરે પણ તમારી વિરુદ્ધ યુદ્ધ કરે તો તમે તે નગરને ઘેરો ઘાલો; 13 અને જ્યારે યહોવાહ તમારા ઈશ્વર તેને તમારા હાથમાં સોંપે ત્યારે તમે તેમાંના દરેક પુરુષને તલવારની ધારથી મારી નાખો.
14 પરંતુ સ્ત્રીઓ, બાળકો, જાનવરો તથા નગરમાં જે કંઈ હોય તે, એટલે તેમાંની સર્વ લૂંટ તમે તમારે માટે લો; અને તમારા શત્રુઓની જે લૂંટ તમે તમારે સારુ લો; અને તમારા શત્રુઓની જે લૂંટ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપી હોય તે તમે ખાઓ. 15 જે નગરો તમારાથી ઘણાં દૂરના અંતરે છે, જે આ દેશજાતિઓનાં નગરોમાંનાં નથી, તે સર્વને તમે એમ જ કરો.
16 પણ આ લોકોનાં જે નગરો યહોવાહ તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપે છે. તેઓમાંના કોઈ પણ પશુંને તારે જીવતું રહેવા દેવું નહિ. 17 પણ જેમ યહોવાહ તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તેમ તમારે તેઓનો, એટલે કે હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, હિવ્વીઓ પરિઝીઓ અને યબૂસીઓનો તમારે સંપૂર્ણ નાશ કરવો. 18 રખેને જે સર્વ અમંગળ કામો તેઓએ તેમના દેવોની પૂજામાં કર્યા છે. તે પ્રમાણે કરવાને તેઓ તમને શીખવીને યહોવાહ તમારા ઈશ્વરની સામે તમારી પાસે પાપ કરાવે.
19 જયારે યુદ્ધ કરતાં તું કોઈ નગર જીતવા માટે લાંબા સમય સુધી તેનો ઘેરો ઘાલે, ત્યારે તેનાં વૃક્ષો પર કુહાડી લગાડીને તું તે કાપી નાખતો નહિ; કેમ કે તું તેઓનું ફળ ભલે ખાય, પણ તું તેઓને કાપી ન નાખ; કેમ કે ખેતરનું વૃક્ષ તે શું માણસ છે કે તારે તેને ઘેરો ઘાલવો પડે? 20 જે વૃક્ષ ફળો ના આપે તેવાં વૃક્ષોનો તમે નાશ કરી શકો; એટલે તેઓને જ તમારે કાપી નાખવા; અને જે નગર તારી વિરુદ્ધ યુદ્ધ કરે છે તેનો પરાજય થતાં સુધી તારે તેની સામે મોરચા બાંધવા.
Chapter 21
1 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તેનું વતન પામવા માટે તમને આપે છે, તેમાં જો કોઈની લાશ ખેતરમાં પડેલી તમને મળી આવે અને તેને કોણે માર્યો છે તે કોઈ જાણતું ન હોય; 2 તો તમારા આગેવાનો અને ન્યાયાધીશો બહાર જઈને લાશની આસપાસનાં નગરોનું અંતર માપી જુએ,
3 અને એમ થાય કે જે નગર લાશથી નજીકના અંતરે હોય એટલે તે નગરના વડીલોએ ટોળાંમાંથી એવી વાછરડી લાવવી કે જે કામમાં લીધેલી ન હોય તથા તેના પર કદી ઝૂંસરી ખેંચેલી ન હોય. 4 અને તે નગરના વડીલો તે વાછરડીને વહેતા પાણીવાળી એક ખીણ કે જ્યાં કદી વાવણી કે ખેડાણ ના થયું હોય ત્યાં લાવે અને તે ખીણમાં તેની ગરદન ભાંગી નાખે.
5 અને યાજકો એટલે લેવીના દીકરાઓ, પાસે આવે; કેમ કે, પોતાની સેવા કરવાને તથા યહોવાહને નામે આશીર્વાદ આપવાને યહોવાહ તમારા ઈશ્વરે તેઓને પસંદ કર્યા છે. અને તેઓના કહ્યા પ્રમાણે દરેક તકરાર તથા દરેક મારનો ચુકાદો થાય.
6 ત્યારબાદ તે નગરના વડીલો કે જેઓ પેલી લાશની સૌથી નજીક રહે છે, તેઓ ખીણમાં ગરદન ભાગી નાખેલી વાછરડી પર પોતાના હાથ ધોઈ નાખે. 7 અને તેઓ એમ કહે કે, "અમારે હાથોએ આ લોહી વહેવડાવ્યું નથી, તેમ જ અમારી આંખોએ તે જોયું પણ નથી.
8 હે યહોવાહ, તમારા ઇઝરાયલી લોકો જેઓનો તમે ઉદ્ધાર કર્યો છે તેઓને તમે માફ કરો. અને તમારા ઇઝરાયલી લોકો મધ્યે નિદોર્ષના ખૂનના દોષમાંથી તેમને મુકત કરો." અને તેઓને તેઓના ખૂનના દોષની માફી મળશે. 9 આ રીતે યહોવાહની દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરીને તમારી મધ્યેથી તમારે નિર્દોષના લોહીથી દૂર રહેવું.
10 જયારે તમે તમારા શત્રુઓની સાથે યુદ્ધમાં જાઓ અને યહોવાહ તમારા ઈશ્વર તેઓને તમારા હાથમાં સોંપે. 11 અને બંદીવાનોમાં કોઈ સુંદર સ્ત્રી જોઈને તું તેના પર મોહિત થાય, તેની સાથે લગ્ન કરવા માટે ઇચ્છા રાખે, 12 તો તેને તારે ઘરે લઈ આવવી અને તે પોતાનું માથું મૂંડાવે અને તે પોતાના નખ કપાવે.
13 અને તે પોતાની બંદીવાન અવસ્થાનું વસ્ત્ર બદલી નાખે; અને તે તારા ઘરમાં રહે અને એક માસ સુધી તેના માતાપિતા માટે શોક કરે. પછી તમારે તેની પાસે જવું અને તમે તેના પતિ થાઓ અને તે તમારી પત્ની થાય. 14 પછી એમ થાય કે જયારે તે તમને ન ગમે તો તમારે તેને તે ચાહે ત્યાં જવા દેવી. પરંતુ તમારે પૈસા લઈ તેને વેચવી નહિ તેમ જ ગુલામ તરીકે તારે તેની સાથે વર્તવું નહિ, કારણ કે તમે તેની આબરુ લીધી છે.
15 જો કોઈ પુરુષને બે પત્નીઓ હોય, એક માનીતી અને બીજી અણમાનીતી અને તે બન્નેને પુત્ર જન્મે અને અણમાનીતીનો પુત્ર જયેષ્ઠ હોય. 16 પછી જયારે તે તેના દીકરાઓને મિલકતનો વારસો આપે ત્યારે એમ થવું જોઈએ કે અણમાનીતીનો દીકરો જે એનો ખરો જયેષ્ઠ દીકરો છે તેની અવગણના કરીને માનીતી પત્નીના પુત્રને જયેષ્ઠ દીકરો ગણવો નહિ. 17 પણ તેની સર્વ મિલકતનો બમણો ભાગ અણમાનીતીના દીકરાને આપીને તે તેને જયેષ્ઠ તરીકે માન્ય રાખે; કારણ, તે તેનું પ્રથમફળ છે અને જયેષ્ઠ પુત્ર તરીકેનો અધિકાર તેનો છે.
18 જો કોઈ પુરુષને જીદ્દી અને બંડખોર દીકરો હોય અને તે તેના માતાપિતાનું કહેવું માનતો ન હોય અને તેઓ શિક્ષા કરવા છતાં પણ તેં તેમને ગણકારતો ન હોય. 19 તો તેમનાં માતાપિતા તેને પકડીને તેઓના નગરના વડીલોની આગળ અને નગરના દરવાજા પાસે તેને બહાર લાવે.
20 અને તેઓ તે નગરના વડીલોને કહે કે "આ અમારો દીકરો જીદ્દી અને બળવાખોર છે તે અમારું કહ્યું માનતો નથી. તે લાલચું અને મદ્યપાન કરનારો છે." 21 પછી તે નગરના બધા માણસોએ તેને પથ્થરે મારીને મારી નાખવો. અને આ રીતે તારે તારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરવી. પછી બધા ઇઝરાયલીઓ તે સાંભળશે અને બીશે.
22 જો કોઈ માણસે મરણયોગ્ય પાપ કર્યું હોય, જો તેને મૃત્યુદંડ આપ્યો હોય તો તમે તેને ઝાડ પર લટકાવો. 23 તેનો મૃતદેહ આખી રાત ઝાડ પર લટકતો ન રહે, તે જ દિવસે તારે તેને દફનાવી દેવો, કેમ કે લટકાવેલા માણસ ઈશ્વરથી શાપિત છે. આ આજ્ઞા પાળો જેથી જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપે છે તેને તમે અશુદ્ધ કરશો નહિ.
Chapter 22
1 તમારા ભાઈના ભૂલા પડી ગયેલા બળદ કે ઘેટાંને જોઈને તારે સંતાવું નહિ, તમારે તેને તેના માલિકની પાસે પાછું લાવવું. 2 જો તમારો ઇઝરાયલી સાથી નજીકમાં રહેતો ન હોય, કે તમે તેને ઓળખતા ન હોય, તો તે પશુને તમારે પોતાને ઘરે લઈ જવું અને તે શોધતો આવે ત્યાં સુધી તમારી પાસે રાખવું. જ્યારે તે આવે ત્યારે તમારે તેને તે પાછું સોંપવું.
3 તેનાં ગધેડાં, વસ્ત્રો તથા તમારા સાથી ઇઝરાયલીની ખોવાયેલી કોઈ વસ્તુ તમને મળી આવે તો તેના માટે પણ તમારે આમ જ કરવું, તમારે તેનાથી સંતાવું નહિ. 4 તમારા ઇઝરાયલી સાથીના ગધેડાને કે બળદને રસ્તામાં પડી ગયેલું જોઈને તમે તેઓથી પોતાને અળગા રાખશો નહિ; તમારે તેને ફરીથી ઊભું કરવામાં સહાય કરવી.
5 સ્ત્રીએ પુરુષનાં વસ્ત્રો પહેરવાં નહિ, તેમ જ પુરુષે સ્ત્રીનાં વસ્ત્રો પહેરવાં નહિ; કેમ કે, જે કોઈ એવું કામ કરે છે તે યહોવાહ તમારા ઈશ્વરને ઘૃણાસ્પદ લાગે છે.
6 જો માર્ગે જતાં કોઈ પક્ષીનો માળો જમીન પર કે વૃક્ષ પર તમારા જોવામાં આવે, તેની અંદર બચ્ચાં કે ઈંડાં હોય, માતા બચ્ચાં પર બેઠેલી હોય તો તમારે માતાને બચ્ચાં સાથે લેવી નહિ. 7 તમે બચ્ચાં લો, પણ માતાને રહેવા દો. જો તમે આમ કરશે તો તમારું ભલું થશે અને તમારા આયુષ્યનાં દિવસો લાંબા થશે.
8 જયારે તમે નવું ઘર બાંધે ત્યારે તમારે અગાશીની ચારે ફરતે પાળ બાંધવી, કે જેથી ત્યાંથી કોઈ પડી ન જાય અને તમારા ઘર પર લોહીનો દોષ ન આવે.
9 તમારી દ્રાક્ષની વાડીઓમાં બે જુદી જાતનું બીજ વાવવું નહિ; નહિ તો બધી જ દ્રાક્ષવાડીની ઉપજ તેમ જ જે કંઈ વાવ્યું હશે તે ડૂલ [1] થાય. 10 બળદ તથા ગધેડા બન્નેને એક સાથે જોડીને તું હળ વડે ખેતી ન કર. 11 ઊન તથા શણનું મિશ્રણ હોય તેવાં વસ્ત્ર પહેરવાં નહિ.
12 જે ઝભ્ભો તું પહેરે છે તેની ચારે બાજુની કિનારે સુુશોભિત ઝાલર મૂકવી.
13 જો કોઈ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે, તેની પાસે જાય, પછી તેને ધિક્કારે, 14 તેને બદનામ કરીને તેના પર ખોટા આરોપ મૂકીને કહે કે,"મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેની પાસે ગયો, ત્યારે મેં જોયું તો તેનામાં કૌમાર્યનાં કોઈ ચિહ્ન મને મળ્યાં નહિ."
15 તો તે કન્યાના માતાપિતા તેના કૌમાર્યનાં પુરાવા ગામના વડીલો પાસે લાવે.
16 અને કન્યાના પિતા ગામના વડીલોને કહે કે, "મેં મારી દીકરીને આ પુરુષને પરણાવી, હવે તે તેને ધિક્કારે છે." 17 જો તેે તેના પર ખોટા આરોપ મૂકીને કહે છે કે, "મને તમારી દીકરીમાં કૌમાર્યનાં પુરાવા મળ્યા નથી પણ મારી દીકરીના કૌમાર્યના પુરાવા આ રહ્યા." પછી તેઓ ગામના વડીલો આગળ ચાદર પાથરે.
18 ત્યારે તે નગરના વડીલો તે પુરુષને પકડીને સજા કરે; 19 તેઓ તેને સો શેકેલ ચાંદીનો દંડ કરે, તે કન્યાના પિતાને આપે, કેમ કે તે પુરુષે ઇઝરાયલની કન્યા પર ખોટા આરોપ મૂક્યો છે. તે હંમેશા તેની પત્ની તરીકે રહે; તેના બધા દિવસો દરમિયાન તે તેને દૂર કરી શકે નહિ.
20 પણ જો આ વાત સાચી હોય અને તે કન્યામાં કૌમાર્યના પુરાવા મળ્યા ન હોય, 21 તો તેઓ તે કન્યાને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે અને તે ગામના લોકો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે, કેમ કે, તેણે તેના પિતાના ઘરમાં [2] વ્યભિચાર કરીને ઇઝરાયલમાં શરમજનક કૃત્ય કર્યું છે.આ રીતે તારે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.
22 જો કોઈ પુરુષ પરિણીત સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં જોવા મળે, તો તેઓ એટલે કે તે સ્ત્રી તથા વ્યભિચાર કરનાર પુરુષ બન્ને માર્યા જાય. આ રીતે તારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.
23 જો કોઈ કન્યાની સગાઈ કોઈ પુરુષ સાથે થઈ હોય અને જો અન્ય પુરુષ તેને નગરમાં મળીને તેની સાથે વ્યભિચાર કરે, 24 તો તમારે તે બન્નેને ગામના દરવાજા આગળ લાવીને પથ્થર મારીને મારી નાખવાં. કન્યાને પથ્થરે મારવી, કેમ કે તે નગરમાં હતી છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને પથ્થરે મારવો, કેમ કે તેણે ઇઝરાયલી પડોશીની પત્નીનું અપમાન કર્યું છે. આ રીતે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.
25 પણ જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે, જો તે તેની સાથે બળજબરી કરીને વ્યભિચાર કરે, તો ફક્ત તેની સાથે વ્યભિચાર કરનાર પુરુષ જ માર્યો જાય. 26 પણ તે કન્યાને તમારે કંઈ કરવું નહિ; મરણયોગ્ય કોઈ પાપ કન્યાએ કર્યું નથી. આ તો કોઈ માણસ તેના પડોશી વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખે તેના જેવી તે વાત છે. 27 કેમ કે તે તેને ખેતરમાં મળી; સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી, પણ ત્યાં તેને બચાવનાર કોઈ ન હતું. 28 વળી જો કોઈ પુરુષ કુંવારી કન્યા કે જેની સગાઈ કરેલી નથી, તેને પકડીને તેની સાથે વ્યભિચાર કરતાં તેઓ પકડાય; 29 તો તે કન્યા સાથે વ્યભિચાર કરનાર તે પુરુષ તે કન્યાના પિતાને પચાસ શેકેલ ચાંદી આપે. તે તેની પત્ની થાય, વળી તેણે આબરુ લીધી છે. તેના આખા આયુષ્યભર માટે તે કદી તેને છૂટાછેડા આપે નહિ.
30 કોઈ પણ પુરુષે પોતાના પિતાની પત્ની [3] સાથે વ્યભિચાર કરવો નહિ, તેમ પોતાના પિતાની નિવસ્ત્રતા જોવી નહિ.
Footnotes
Chapter 23
1 જો કોઈ વ્યક્તિના વૃષણ ઘાયલ થયાં હોય અથવા જેની જનનેન્દ્રિય કાપી નાખવામાં આવી હોય, તેને યહોવાહની સભામાં દાખલ થવા દેવો નહિ. 2 વ્યભિચારથી જન્મેલો યહોવાહની સભામાં પ્રવેશ ન કરે; તેઓની છેક દસ પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાહની સભામાં પ્રવેશ કરે નહિ.
3 આમ્મોની કે મોઆબી અથવા દસ પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાહની સભામાં દાખલ થાય નહિ. 4 કારણ કે, જયારે તમે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે તેઓ માર્ગમાં રોટલી તથા પાણી લઈને તમારી સામે આવ્યા નહિ; વળી તેને લીધે તેઓએ અરામ-નાહરાઈમના પથોરથી બેઓરના દીકરા બલામની સાથે કરાર કરીને તમને શાપ આપવા તેને બોલાવ્યો.
5 પરંતુ યહોવાહ તમારા ઈશ્વરે બલામની વાત સાંભળી નહિ પણ યહોવાહ તમારા ઈશ્વરે તમારે માટે શાપને બદલીને આશીર્વાદ આપ્યો. કારણ કે યહોવાહ તમારા ઈશ્વર તમારા પર પ્રેમ રાખતા હતા. 6 તમે તમારા આખા આયુષ્યભર કદી તેઓની શાંતિ કે આબાદી શોધશો નહિ.
7 પરંતુ તમે કોઈ અદોમીઓનો તિરસ્કાર કરશો નહિ કારણ કે તેઓ તમારા ભાઈ છે; અને મિસરીઓનો તિરસ્કાર કરશો નહિ, કેમ કે તમે તેના દેશમાં પ્રવાસી હતા. 8 તેઓની ત્રીજી પેઢીનાં છોકરા જે તેઓને જન્મ્યાં તેઓ યહોવાહની સભામાં પ્રવેશ કરી શકે.
9 જયારે તમે તમારા શત્રુઓની સામે છાવણીમાં જાઓ ત્યારે દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. 10 જો તમારામાંથી કોઈ પુરુષ રાતના અચાનક બનાવથી શુદ્ધ ન હોય તો તેણે છાવણીમાંથી બહાર ચાલ્યા જવું અને તેણે છાવણીની અંદર પાછા ન આવવું. 11 પરંતુ એમ થાય કે સાંજ પડતાં તેણે સ્નાન કરવું અને જયારે સૂર્ય અસ્ત થાય ત્યારે તેણે છાવણીમાં પાછા આવવું.
12 વળી કુદરતી હાજતે જવા માટેની જગ્યા તમારે છાવણીની બહાર રાખવી અને પછી તમારે તે માર્ગે જવું; 13 અને ખાડો ખોદવા માટે તમારાં હથિયારોમાં તમારી પાસે કશું રહે; અને જયારે તમે કુદરતી હાજતે જાઓ ત્યારે તમારે ખાડો ખોદીને વિષ્ટાને માટી વડે ઢાંકી દેવી. 14 આમ કરવાથી યહોવાહ તમારા ઈશ્વર તમારું રક્ષણ કરવા તથા શત્રુઓને તમારા હાથમાં સોંપવાને તમારી છાવણીમાં ફરે છે. માટે તમારી છાવણી શુદ્વ રહે. વળી તમારામાં કોઈ અશુદ્ધ વસ્તુ જોઈને તે તમારાથી દૂર જતા રહે નહિ.
15 જો કોઈ દાસ તેના માલિક પાસેથી તમારી પાસે નાસી આવ્યો હોય. તેને તમે પાછો તેના માલિકને ન સોંપો. 16 તમારાં નગરોમાંથી તેને જયાં પસંદ પડે ત્યાં રહેવા દેવો અને તમારે તેના પર જુલમ કરવો નહિ.
17 ઇઝરાયલની દીકરીઓમાં કોઈ પણ ગણિકા [1] ન હોય અને ઇઝરાયલપુત્રોમાં કોઈ સજાતીય સંબંધ ધરાવતા ન હોય. 18 સ્ત્રી અથવા પુરુષ વેશ્યાની કમાણીને માનતા ઉતારવા માટે યહોવાહ તમારા ઈશ્વરના ઘરમાં લાવવા નહિ; કારણ કે એ બન્ને કમાણીને યહોવાહ તમારા ઈશ્વર ધિક્કારે છે.
19 તમે તમારા ભાઈને કંઈ પણ વ્યાજે ન ધીરો; નાણાનું વ્યાજ કે અનાજનું વ્યાજ કે વ્યાજે ધીરાતી કોઈપણ વસ્તુનું વ્યાજ લેવું નહિ. 20 પરંતુ પરદેશીને વ્યાજે આપવાની છૂટ છે. પણ તમારા ઇઝરાયલી ભાઈઓ પાસે વ્યાજ લેવું નહિ, તેથી જે દેશનું વતન પામવા તમે જાઓ છો. તેમાં જે કશામાં તમે હાથ લગાડો તેમાં યહોવાહ તમારા ઈશ્વર આશીર્વાદ આપે.
21 જો તમે યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે માનતા લો તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો, કારણ કે યહોવાહ તમારા ઈશ્વર નિશ્ચે તમારી પાસેથી ઉત્તર લેશે. કેમ કે એ તો તમારો દોષ ગણાય. 22 પણ જો તમે માનતા લેવા માંગતા ન હોય તો તેથી તમે દોષિત નહિ ઠરો. 23 પરંતુ જે કંઈ બોલ્યા હોય તે તમે પાળો, તથા અમલમાં મૂકો; યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે જે કંઈ માનતા લીધી હોય એટલે કે જે ઐચ્છિકાર્પણનું વચન તે તમારા મુખથી આપ્યું હોય તો તે પ્રમાણે કરો.
24 જયારે તમે તમારા પડોશીની દ્રાક્ષવાડીમાં જાઓ ત્યારે મરજી પ્રમાણે દ્રાક્ષ ધરાઈને ખાઈ શકો છો, પરંતુ તમારા પાત્રમાં ભરીને લઈ જાઓ નહિ. 25 તમે તમારા પડોશીના ખેતરમાં જાઓ ત્યારે કણસલાં તોડવાની છૂટ છે. પણ તારા પડોશીનાં પાકેલાં અનાજને દાંતરડાથી કાપી લો નહિ.
Footnotes
Chapter 24
1 જો કોઈ પુરુષે સ્ત્રીની સાથે લગ્ન કર્યા હોય અને તેનામાં કંઈ શરમજનક બાબત માલૂમ પડ્યાથી તે તેની નજરમાં કૃપા ન પામે, તો તેને છૂટાછેડા ના પ્રમાણ પત્ર લખી આપે અને તે તેના હાથમાં મૂકીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી શકે. 2 અને જયારે તે સ્ત્રી તેના ઘરમાંથી નીકળી જાય પછી અન્ય પુરુષ સાથે લગ્ન કરવાની તેને છૂટ છે.
3 જો તેનો બીજો પતિ પણ તેને ધિક્કારે અને છૂટાછેડાના પ્રમાણ પત્ર લખી તેના હાથમાં મૂકે, તેના ઘરમાંથી તેને કાઢી મૂકે; અથવા જે બીજા પતિએ તેને પત્ની તરીકે લીધી હતી તે જો મૃત્યુ પામે, 4 ત્યારે તેનો પહેલો પતિ, જેણે તેને અગાઉ કાઢી મૂકી હતી, તે તેને અશુદ્ધ થયા પછી પોતાની પત્ની તરીકે ફરીથી ન લે; કેમ કે, યહોવાહની દૃષ્ટિમાં તે ઘૃણાસ્પદ છે. યહોવાહ તમારા ઈશ્વર તને જે દેશ વારસા તરીકે આપનાર છે તે દેશને તું પાપનું કારણ ન બનાવ.
5 જયારે કોઈ પુરુષ નવ પરિણીત હોય ત્યારે તે લશ્કરમાં ન જાય કે તેને કંઈ જ કામ સોંપવામાં ન આવે; તે એક વર્ષ સુધી ઘરે રહે, જે પત્ની સાથે તેણે લગ્ન કર્યું છે, તેને આનંદિત કરે.
6 કોઈ માણસ લોટ દળવાની ઘંટીની નીચેનું કે ઉપલું પડ પણ ગીરવે ન લે; કેમ કે તેમ કરવાથી તે માણસની આજીવિકા ગીરવે લે છે.
7 જો કોઈ માણસ ઇઝરાયલના લોકોમાંથી પોતાના કોઈ ભાઈનું અપહરણ કરી તેને ગુલામ બનાવે, કે તેને વેચી દે, તો તે ચોર નિશ્ચે માર્યો જાય. આ રીતે તમારે તમારામાંથી દુષ્ટતા દૂર કરવી.
8 કુષ્ઠ રોગ વિષે તમે સાવધ રહો, કે જેથી લેવી યાજકોએ શીખવેલી સૂચનાઓ તમે કાળજીપૂર્વક પાળો જેમ મેં તમને આજ્ઞા આપી તે પ્રમાણે તમે કરો. 9 મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાહ તમારા ઈશ્વરે મરિયમ સાથે શું કર્યું તે યાદ કરો.
10 જ્યારે તમે તમારા પડોશીને કંઈ ઉધાર આપો, ત્યારે તમે ગીરે મૂકેલી વસ્તુ લેવા તેના ઘરમાં ન જાઓ. 11 તમે બહાર ઊભો રહો, જે માણસે તમારી પાસેથી ઉધાર લીધું હશે તે ગીરે મૂકેલી વસ્તુને તમારી પાસે બહાર લાવે.
12 જો કોઈ માણસ ગરીબ હોય તો તેની ગીરેવે મૂકેલી વસ્તુ લઈને તમે ઊંઘી જશો નહિ. 13 સૂર્ય આથમતાં પહેલાં તમારે તેની ગીરે મૂકેલી વસ્તુ પાછી આપી દેવી, કે જેથી તે તેનો ઝભ્ભો પહેરીને સૂએ અને તમને આશીર્વાદ આપે; યહોવાહ તમારા ઈશ્વરની આગળ તે તારું ન્યાયીપણું ગણાશે.
14 તમારા ઇઝરાયલી સાથીદાર સાથે કે તમારા દેશમાં તમારા ગામોમાં રહેનાર પરદેશીમાંના કોઈ ગરીબ કે દરિદ્રી ચાકર પર તમે જુલમ ન કરો; 15 દરેક દિવસે તમે તેનું વેતન તેને આપો; સૂર્ય તે પર આથમે નહિ, કેમ કે તે ગરીબ છે તેના જીવનનો આધાર તેના પર જ છે. આ પ્રમાણે કરો કે જેથી તે તમારી વિરુદ્ધ યહોવાહને પોકાર કરે નહિ અને તમે દોષિત ઠરો નહિ.
16 સંતાનોનાં પાપને કારણે તેઓનાં માતાપિતા માંર્યા જાય નહિ, માતાપિતાઓનાં પાપને કારણે સંતાનો માંર્યા જાય નહિ. પણ દરેક પોતાના પાપને કારણે માર્યો જાય.
17 પરદેશી કે અનાથોનો તમે ન્યાય ન કરો, કે વિધવાનાં વસ્રો કદી ગીરે ન લો. 18 તમે મિસરમાં ગુલામ હતા અને યહોવાહ તમારા ઈશ્વરે તમને ત્યાંથી બચાવ્યા તે તમારે યાદ રાખવું. તે માટે હું તમને આ આજ્ઞા પાળવાનું ફરમાવું છું.
19 જયારે તમે ખેતરમાં વાવણી કરો, ત્યારે જો તમે પૂળો ખેતરમાં ભૂલી જાઓ તો તે લેવા તમે પાછા જશો નહિ, તેને પરદેશી, અનાથો તથા વિધવાઓ માટે ત્યાં જ પડયો રહેવા દેવો, જેથી યહોવાહ તમારા ઈશ્વર તમને તમારા હાથનાં સર્વ કામમાં આશીર્વાદ આપે. 20 જયારે તમે જૈતૂનનાં વૃક્ષને ઝૂડો ત્યારે ફરીથી ડાળીઓ પર ફરો નહિ; તેના પર રહેલા ફળ પરદેશીઓ, વિધવાઓ અને અનાથો માટે રહે.
21 જયારે તમે તમારી દ્રાક્ષવાડીની દ્રાક્ષ ભેગી કરી લો, ત્યારે ફરીથી તેને એકઠી ન કરો. તેને પરદેશી માટે, વિધવા માટે તથા અનાથો માટે રહેવા દો. 22 યાદ રાખો કે તમે મિસર દેશમાં ગુલામ હતા, એ માટે તમને આજ્ઞા પાળવાનું ફરમાવું છું.
Chapter 25
1 જો બે માણસો વચ્ચે ઝઘડો હોય અને તેઓ ન્યાય માટે અદાલતમાં જાય, ન્યાયાધીશો ન્યાય કરે, તેઓ ન્યાયીને નિર્દોષ અને દુષ્ટનો તિરસ્કાર કરે. 2 જો ગુનેગાર ફટકા મારવા યોગ્ય હોય તો ન્યાયાધીશ તેને નીચે સુવાડીને તેના ગુના પ્રમાણે ગણીને તેની હાજરીમાં ફટકા મારે.
3 ન્યાયાધીશ તેને ચાળીસ ફટકા મારે, પણ ચાળીસથી વધારે ફટકા ન મારે; કેમ કે જો તે તેને વધારે ફટકા મારે, તો તમારો સાથી તમારી નજરમાં અપમાનિત ઠરે.
4 પારે ફરતા બળદના મોં પર તું જાળી ન બાંધ.
5 જો બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમાંનો એક નિ:સંતાન મૃત્યુ પામે, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર કોઈ પારકા પુરુષ સાથે લગ્ન કરવું નહિ. તેના પતિનો ભાઈ તેની પાસે જાય અને તેને પોતાના માટે પત્ની તરીકે લે, તેની પ્રત્યે પતિના ભાઈની ફરજ અદા કરે. 6 અને એમ થાય કે તેને જે પ્રથમજનિત જન્મે તે તે માણસનાં મૃત્યુ પામેલા ભાઈનું નામ પ્રાપ્ત કરે, જેથી તેનું નામ ઇઝરાયલમાંથી નષ્ટ ન થાય.
7 પણ જો તે માણસ પોતાના મૃત્યુ પામેલા ભાઈની પત્નીને પોતાની પત્ની તરીકે રાખવા ઇચ્છતો ન હોય તો તેના ભાઈની પત્નીએ ગામના આગેવાનો સમક્ષ જઈને કહે કે, "મારા પતિનો ભાઈ તેના ભાઈનું નામ ઇઝરાયલમાં રાખવાનો ઇનકાર કરે છે; વળી તે મારા પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવવા ઇચ્છતો નથી." 8 ત્યારે નગરના વડીલો તેને બોલાવીને તેને કહે. પણ કદાચ તે આગ્રહ કરીને કહે, "હું તેને લેવા ઇચ્છતો નથી."
9 તો પછી તેના ભાઈની પત્ની વડીલોની હાજરીમાં તેની પાસે જાય, તેના પગમાંથી તેના ચંપલ કાઢી નાખીને તેના મુખ પર થૂંકે. તે તેને જવાબ આપીને કહે, "જે માણસ પોતાના ભાઈનું ઘર બાંધવા ઇચ્છતો નથી તેના આવા જ હાલ થાય." 10 ઇઝરાયલમાં તેનું નામ આ રાખવામાં આવે, "જેના ચંપલ કાઢી લેવાયાં હતાં તેનું કુટુંબ."
11 જો કોઈ માણસો એકબીજાની સાથે ઝઘડો કરતા હોય અને તેઓમાંના કોઈ એકની સ્ત્રી પોતાના પતિને મરનારના હાથમાંથી છોડાવવાને જાય અને હાથ લાંબો કરીને તેના શરીરના ખાનગી ભાગને પકડે, 12 તો તમારે તે સ્ત્રીનો હાથ કાપી નાખવો; તમારી આંખ તેના પર દયા ન લાવે.
13 તમારે તમારી થેલીમાં જુદા જુદા માપનાં કાટલાં એટલે કે એક હલકું અને બીજું ભારે એમ ન રાખવાં. 14 વળી તમારા ઘરમાં અનેક તરેહના માપ એટલે એક મોટું અને બીજું નાનું એમ ન રાખો.
15 તમારે સાચું અને પ્રમાણિત વજન તથા માપ રાખવું જેથી યહોવાહ તમારા ઈશ્વર જે દેશ તમને આપે છે તેમાં તમે લાંબુ આયુષ્ય ભોગવો. 16 જે કોઈ વ્યક્તિ એવાં કામ કરે છે એટલે જેઓ અન્યાય કરે છે. તે સર્વ યહોવાહ તમારા ઈશ્વરને ધિક્કારપાત્ર લાગે છે.
17 તમે જયારે મિસરથી આવતા હતા ત્યારે અમાલેકે જે કર્યું તે તમે યાદ કરો; 18 તમે બેહોશ અને થાકેલાં હતા ત્યારે માર્ગમાં તે તમને મળ્યો. અને જે અબળો તારી પાછળ હતા તેઓના સર્વ પર આક્રમણ તેણે કર્યુ; અને ઈશ્વરનો પણ તેને ડર લાગ્યો નહિ. 19 તેથી યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તથા વતન તરીકે આપે છે તેમાં તે તમારી આસપાસના શત્રુઓથી તમને રાહત આપે ત્યારે એમ થાય કે તમે આકાશ તળેથી અમાલેકનું નામોનિશાન નષ્ટ કરી નાખવાનું તમે ભૂલશો નહિ.
Chapter 26
1 અને યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વતન તરીકે આપે છે તેમાં તમે આવો અને તેનો વારસો લઈને તેમાં રહો ત્યારે એમ થાય કે, 2 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તે ભૂમિનો પ્રથમ પાક તમારે લઈને તેને ટોપલીમાં ભરી જે સ્થળ યહોવાહ તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા સારું પસંદ કરે ત્યાં લઈ જવો.
3 અને તે દિવસે ત્યાં જે કોઈ યાજક સેવા કરતો હોય તેની પાસે જઈને કહેવું કે, "આજે હું યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ જાહેર કરું છું કે, જે દેશ આપણને આપવાને યહોવાહે આપણા પિતૃઓની આગળ સમ ખાધા હતા તેમાં અમે પહોંચ્યા છીએ.'' 4 પછી યાજક તમારા હાથમાંથી ટોપલી લઈને યહોવાહ તમારા ઈશ્વરની વેદી આગળ નીચે મૂકે.
5 પછી તમારે યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ એમ કહેવું કે, "અમારા પિતા સ્થળાંતર [1] કરીને આવેલ અરામી હતા અને મિસરમાં જઈને રહ્યા. અને તેમના લોકની સંખ્યા થોડી હતી. ત્યાં તેઓ એક મોટી, શક્તિશાળી અને વસ્તીવાળી પ્રજા બન્યા.
6 પરંતુ મિસરીઓએ અમારી સાથે દુર્વ્યવહાર કરી અમને ગુલામ બનાવી અમારી પાસે સખત મજૂરી કરાવી. 7 ત્યારે અમે અમારા પિતૃઓના ઈશ્વર યહોવાહને પોકાર કર્યો. તેમણે અમારો સાદ સાંભળ્યો અને અમારી વિપત્તિ, મુશ્કેલીઓ અને અમારા પર થતાં જુલમ પર દ્રષ્ટિ કરી.
8 અને યહોવાહે પોતાના બળવાન હાથે અદ્ભૂત સામર્થ્યથી તથા તેમના પ્રચંડ બાહુબળથી, ચિહ્ન તથા ચમત્કારોથી અમને મિસરમાંથી બહાર લાવ્યા; 9 અને અમને આ સ્થળે લાવીને તેમણે અમને દૂધ તથા મધથી રેલછેલવાળો [2] દેશ આપ્યો.
10 અને હવે, હે યહોવાહ જુઓ જે દેશ તમે અમને આપ્યો છે તેની ઊપજનું પ્રથમ ફળ અમે લાવ્યા છીએ." અને યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ તે મૂકીને તમારે યહોવાહ તમારા ઈશ્વરનું ભજન કરવું; 11 અને જે કંઈ સારું યહોવાહ તમારા ઈશ્વરે તમારા અને ઘરનાંને માટે કર્યુ હોય તે સર્વમાં તમારે તથા લેવીઓએ અને તમારી મધ્યે રહેતા પરદેશીઓએ ભેગા મળીને આનંદોત્સવ કરવો.
12 ત્રીજું વર્ષ દશાંશનું વર્ષ છે. તેમાં જ્યારે તમે તમારી ઊપજનો દશાંશ આપી ચૂકો પછી તમારે લેવીઓને, પરદેશીઓને, વિધવાઓને અને અનાથોને આપવો જેથી તેઓ તમારી ભાગળોમાં ખાઈને તૃપ્ત થાય. 13 પછી તમારે યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ કહેવું કે, 'અમે અમારા ઘરમાંથી બધી અર્પિત વસ્તુઓ કાઢી છે અને અમે તે વસ્તુઓ લેવીઓને, પરદેશીઓને, વિધવાઓને અને અનાથોને તમારી આજ્ઞા મુજબ આપી છે. અમે તમારી એકપણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી તેમ જ અમે ભૂલી પણ ગયા નથી.
14 શોકના સમયમાં અમે તેમાંથી કંઈ પણ ખાધું નથી અને અશુદ્ધ થઈને અમે તેમાંથી કંઈ રાખી મૂક્યું નથી. વળી મૂએલાંને સારું તેમાંથી કંઈ આપ્યું નથી; અમે યહોવાહ અમારા ઈશ્વરની વાણી સાંભળીને જે સર્વ આજ્ઞા તમે અમને આપી છે તે પ્રમાણે કર્યું છે. 15 તમે તમારા પવિત્ર રહેઠાણમાંથી એટલે સ્વર્ગમાંથી નીચે જોઈ અને તમારી ઇઝરાયલી પ્રજા તેમ જ અમારા પિતૃઓની આગળ સમ ખાધા હતા તે પ્રમાણે જે ભૂમિ તમે અમને આપી છે એટલે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ આપ્યો છે તેના પર આશીર્વાદ આપો.
16 આજે યહોવાહ તમારા ઈશ્વર તમને આ નિયમો અને હુકમો પાળવાની આજ્ઞા કરે છે; માટે તમે તમારા પૂરા હૃદયથી તથા પૂરા જીવથી તેને પાળો તથા અમલમાં મૂકો. 17 તમે આજે યહોવાહને તમારા ઈશ્વર તરીકે સ્વીકાર્યાં છે. તમે તેમના માર્ગમાં ચાલશો તથા તેમના કાયદાઓ, આજ્ઞાઓ અને નિયમો પાળશો અને તેમની વાણી સાંભળશો.
18 અને યહોવાહે તમને જે વચન આપ્યું હતું તે પ્રમાણે તેમણે કબૂલ કર્યું છે કે, તમે તેમના પસંદ કરેલા લોક છો તેથી તમારે તેમની સર્વ આજ્ઞાઓ પાળવી. 19 અને જે દેશજાતિઓને તેમણે ઉત્પન્ન કરી છે તે સર્વના કરતાં તમને મહાન પ્રજા બનાવશે અને તમને માન-પ્રતિષ્ઠા અને આદર પ્રાપ્ત થશે. અને યહોવાહે આપેલા વચન પ્રમાણે તમે યહોવાહ તમારા ઈશ્વરની પવિત્ર પ્રજા થશો.
Footnotes
Chapter 27
1 અને મૂસાએ તથા ઇઝરાયલના આગેવાનોએ લોકોને આજ્ઞા આપી કે, "જે આજ્ઞાઓ આજે હું તમને બધાને ફરમાવું છું તે સર્વ પાળો. 2 જયારે તમે યર્દન નદી ઓળંગીને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેમાં તમે જાઓ ત્યારે તમારે પોતાને સારુ મોટા પથ્થર ઊભા કરીને તેના પર ચૂનાનો લેપ મારજો. 3 પાર ઊતર્યા પછી આ નિયમના સર્વ શબ્દો તેના પર તમારે લખવા. તમે યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ આપે છે એટલે કે દૂધ તથા મધથી રેલછેલવાળો [1] દેશ, યહોવાહ તમારા પિતૃઓના ઈશ્વરે તમને આપેલા વચન પ્રમાણે તમને આપે છે, તેમાં તમે જાઓ.
4 જયારે તમે યર્દન પાર કરી રહો, ત્યારે આ પથ્થરો જે વિષે હું આજે તમને આજ્ઞા આપું છું તેઓને એબાલ પર્વત પર મૂકવા અને તેના પર ચૂનો લેપ કરવો. 5 ત્યાં તમારે યહોવાહ તમારા ઈશ્વરના નામે પથ્થરની વેદી બાંધવી, પણ તમે તે પથ્થર પર લોખંડનું હથિયાર વાપરશો નહિ.
6 તમારે યહોવાહ તમારા ઈશ્વર માટે વેદી બાંધવા સારુ અસલ પથ્થરોનો ઉપયોગ કરવો, તેના ઉપર યહોવાહ તમારા ઈશ્વર માટે દહનીયાર્પણ ચઢાવવાં. 7 તમારે શાંત્યર્પણો ચઢાવીને ત્યાં ખાવું; તમારે યહોવાહ તમારા ઈશ્વરની સમક્ષ આનંદ કરવો. 8 પથ્થરો ઉપર તારે નિયમના બધા શબ્દો સ્પષ્ટ રીતે લખવા."
9 મૂસાએ તથા લેવી યાજકોએ સર્વ ઇઝરાયલને કહ્યું, "હે ઇઝરાયલ શાંત રહો અને સાંભળો. આજે તમે યહોવાહ તમારા ઈશ્વરની પ્રજા થયા છે. 10 તે માટે તમારે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળવો, આજે હું તમને જે આજ્ઞાઓ અને કાનૂનો ફરમાવું છું તેનું પાલન કરવું."
11 તે જ દિવસે મૂસાએ તે લોકોને આજ્ઞા આપીને કહ્યું, 12 "યર્દન નદી પાર કર્યા પછી લોકોને આશીર્વાદ આપવા, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યૂસફ તથા બિન્યામીન કુળો ગરીઝીમ પર્વત પર ઊભાં રહે.
13 રુબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન તથા નફતાલીનાં કુળો શાપ આપવા એબાલ પર્વત પર ઊભાં રહે. 14 લેવીઓ જવાબ આપીને મોટે અવાજે સર્વ ઇઝરાયલના માણસોને કહે.
15 'જે માણસ કોતરેલી કે ગાળેલી ધાતુની એટલે કારીગરના હાથે બનેલી પ્રતિમા, જે યહોવાહને ઘૃણાસ્પદ લાગે છે તે બનાવીને તેને ગુપ્તમાં ઊભી કરે તે શાપિત હો.' અને બધા લોકો જવાબ આપીને કહે, 'આમીન'.
16 'જે કોઈ માણસ પોતાના પિતા કે માતાનો અનાદર કરે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
17 'જે કોઈ માણસ પોતાના પડોશીની જમીનની સીમાનું નિશાન હઠાવે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
18 'જે કોઈ માણસ અંધ વ્યક્તિને રસ્તાથી દૂર ભમાવે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
19 'જે કોઈ માણસ પરદેશી, અનાથ કે વિધવાનો અન્યાય કરે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
20 'જે કોઈ માણસ પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે તો તે શાપિત થાઓ, કેમ કે, તેણે પોતાના પિતાની નિવસ્ત્રતા જોઈ.' અને બધા લોકો કહે, 'આમીન.'
21 'જે કોઈ માણસ કોઈ પણ પ્રકારના પશુંની સાથે કુકર્મ કરે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
22 'જો કોઈ માણસ પોતાની બહેન સાથે, પોતાના પિતાની દીકરી, પોતાની માતાની દીકરી સાથે કુકર્મ કરે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
23 'જે કોઈ માણસ તેની સાસુ સાથે કુકર્મ કરે તો તે શ્રાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
24 'જે કોઈ માણસ પોતાના પડોશીને ગુપ્ત રીતે મારી નાખે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
25 'જે કોઈ માણસ નિર્દોષ માણસને મારી નાખવા માટે લાંચ લે તો તે માણસ શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.' 26 'જે કોઈ માણસ આ નિયમના શબ્દોનું પાલન ન કરે તો તે માણસ શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'
Footnotes
Chapter 28
1 જો યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ કાળજીથી સાંભળીને જે આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે સર્વ પાળીને તેને અમલમાં મૂકો, તો યહોવાહ તમારા ઈશ્વર તમને પૃથ્વીની બીજી જાતિઓ ઉપર શ્રેષ્ઠ દેશજાતિ તરીકે સ્થાપિત કરશે. 2 જો તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળશો, તો આ બધા આશીર્વાદ તમારા ઉપર આવશે અને તમને મળશે.
3 તમે નગરમાં આશીર્વાદિત થશો, ખેતરમાં તમે આશીર્વાદિત થશો. 4 તમારાં સંતાન, તમારી ભૂમિનું ફળ, તમારાં પશુનું ફળ, તમારાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવરોના બચ્ચાં આશીર્વાદિત થશે.
5 તમારી ફળની ટોપલી તથા તમારા ગૂંદવાની વાસણ આશીર્વાદિત થશે. 6 તમે અંદર આવતાં અને બહાર જતાં આશીર્વાદિત થશો.
7 યહોવાહ તમારા ઉપર હુમલો કરવા આવનાર શત્રુઓને પરાજિત કરશે; તમારી સામે તેઓ એક માર્ગેથી આવશે તો પણ તમારી સામેથી સાત માર્ગે નાસી જશે. 8 યહોવાહ તમારા ભંડારોમાં અને જેમાં તમે હાથ નાખો છો તે સર્વમાં અને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેમાં તમને આશીર્વાદ આપશે.
9 જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ પાળીને તેમના માર્ગોમાં ચાલશો. તો જેમ, યહોવાહે તમારી આગળ સમ ખાધા છે તેમ તે તમને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે. 10 પૃથ્વીના સર્વ લોક જોશે કે, યહોવાહના નામ પરથી તમારું નામ પડેલું છે. અને તેઓ તમારાથી બીશે.
11 અને જે દેશ તમને આપવા અંગે યહોવાહે તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા, તેમાં તમારાં સંતાનો વિષે, તમારાં જાનવરોના બચ્ચા વિષે તથા તમારી ભૂમિના ફળ વિષે તમને ઘણાં જ આબાદ કરશે. 12 તમારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા માટે અને તમારા હાથનાં કામ પર આશીર્વાદ આપવા માટે યહોવાહ તમારા માટે અખૂટ ભંડાર એટલે આકાશ ઉઘાડશે; અને તમે ઘણી દેશજાતિઓને ઉછીનું આપશો પણ તમારે ઉછીનું લેવું નહિ પડે.
13 અને યહોવાહ તમને સર્વના અગ્રેસર બનાવશે, પણ પૂંછ નહિ. અને તમે ઉપર જ રહેશો નીચે નહિ. જો યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે લક્ષ આપીને પાળો અને અમલમાં લાવો, 14 અને જે વચનો આજે હું તમને કહું છું તેઓમાંના કોઈથી જો તમે ડાબે કે જમણે ફરી જઈને અન્ય દેવોની સેવા કરવા તેઓની પાછળ નહિ જાઓ, તો તે પ્રમાણે થશે.
15 યહોવાહ તમારા ઈશ્વરની વાણી ન સાંભળતાં તેમની જે સર્વ આજ્ઞાઓ તથા કાયદાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે પાળીને તમે અમલમાં નહિ મૂકો, તો એમ થશે કે, આ સર્વ શાપ તમારા પર આવીને તમને પકડી પાડશે.
16 તમે નગરમાં શાપિત થશો અને ખેતરમાં શાપિત થશો. 17 તમારી ફળની ટોપલી તથા તમારો ગૂંદવાનો વાસણ શાપિત થશે.
18 તમારા સંતાનો તથા તમારી ભૂમિના ફળ, તમારી ગાયોનો વિસ્તાર તથા તમારા ઘેટાંબકરાંના બચ્ચાં શાપિત થશે. 19 તમે અંદર આવતાં તેમ જ બહાર જતા શાપિત થશો.
20 જે કંઈ કામમાં તમે હાથ નાખશે તેમાં યહોવાહ તમારા પર શાપ તથા પરાજય તથા ધમકી મોકલશે, એટલે સુધી કે, જે દુષ્ટ કામ કરીને તમે મારો ત્યાગ કર્યો છે. તેથી તમારો સંહાર થાય અને તમે જલ્દી નાશ પામો. 21 જે દેશનું વતન પામવા સારુ તમે જાઓ છો, તેમાંથી યહોવાહ તમારો પૂરો નાશ નહિ કરે ત્યાં સુધી તે તમારા પર મરકી લાવ્યા કરશે.
22 યહોવાહ તમને ચેપી રોગોથી તથા સોજાથી, સખત તાપથી, તલવાર [1] થી, લૂ તથા ફૂગથી મારશે. અને તમારો નાશ થતા સુધી તેઓ તમારી પાછળ લાગશે. 23 તમારા માથા ઉપરનું આકાશ પિત્તળ જેવું થઈ જશે. તમારા પગ નીચેની ભૂમિ તે લોખંડ જેવી થઈ જશે. 24 તમારા દેશ પર યહોવાહ વરસાદને બદલે ભૂકો તથા ધૂળ વરસાવશે; તમે નાશ પામો ત્યાં સુધી આકાશમાંથી તે તમારા પર વરસ્યા કરશે.
25 યહોવાહ તમારા શત્રુઓની સામે તમને માર ખવડાવશે, તમે એક માર્ગે તેઓની સામે ધસી જશે અને સાત માર્ગે તેઓની સામેથી નાસી જશો; અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં તમે આમતેમ ભટક્યા કરશો. 26 અને તમારા મૃતદેહ ખેચર પક્ષીઓનો તથા પૃથ્વીના સર્વ પશુઓનો ખોરાક થશે. અને તેઓને નસાડી મૂકનાર કોઈ નહિ હોય.
27 મિસરનાં ગૂમડાંથી તથા ગાંઠિયા રોગથી તથા રક્તપિત્તથી તથા ખસથી યહોવાહ તમને મારશે. અને તેમાંથી તમે સાજા થઈ શકશો નહિ. 28 પાગલપનથી, અંધાપાથી તથા મનના ગભરાટથી યહોવાહ તમને મારશે. 29 અને જેમ અંધજન અંધારામાં ફાંફાં મારે છે તેમ તમે ભર બપોરે ફાંફાં મારશો. અને તમારા માર્ગોમાં તમે સફળ નહિ થાઓ; અને તમે કેવળ લૂંટ તથા જુલમને આધીન થશો. અને તમને બચાવનાર કોઈ નહિ હોય.
30 તમે જે સ્ત્રી સાથે સગાઈ કરશો તેનો ઉપભોગ બીજો પુરુષ કરશે. તમે ઘર બાંધશો પણ તેમાં રહેવા નહિ પામો; તમે દ્રાક્ષવાડીઓ રોપશો પણ તેનાં ફળ તમે ખાવા નહિ પામો. 31 તમારી નજર આગળથી તમારો બળદ કાપી નંખાશે પણ તેનું માસ તમે ખાવા નહિ પામો. તમારા દેખતાં તમારો ગધેડો બળાત્કારે લઈ લેવાશે અને તે તમને પાછો મળશે નહિ. તમારું ઘેટું તમારા શત્રુઓને આપવામાં આવશે અને તમને મદદ કરનાર કોઈ નહિ હોય.
32 તમારા દીકરાઓ અને તમારી દીકરીઓ બીજા લોકને અપાશે અને તમારી આંખ તે જોશે. તેઓને સારુ ઝૂરી ઝૂરીને તમારી આંખો ઝાંખી થઈ જશે. અને તમે કંઈ જ કરી શકશો નહિ.
33 જે દેશજાતિઓને તમે ઓળખતા નથી તે તમારી ભૂમિનું ફળ તથા તમારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે; અને તમે સર્વદા ફક્ત જુલમ જ વેઠ્યા કરશો તથા કચરી નંખાશો. 34 અને તમારી આંખો જે દ્રશ્ય નીરખશે, તેને લીધે તમે પાગલ થઈ જશો. 35 તમારા પગનાં તળિયાથી માંડીને માથાના તાલકા સુધી પીડાકારક તથા અસાધ્ય ગૂમડાં થશે. અને યહોવાહ તમને ઘૂંટણોમાં તથા પગોમાં મારશે.
36 જે દેશ જાતિઓને તમે કે તમારા પિતૃઓ ઓળખતા નથી તેની પાસે યહોવાહ તમને તથા જે રાજા તમે તમારા પર ઠરાવો તેને લાવશે; અને ત્યાં તમે લાકડાના તથા પથ્થરના અન્ય દેવોની પૂજા કરશો. 37 જે સર્વ લોકોમાં યહોવાહ તમને દોરશે તેઓ મધ્યે તમે કહેણીરૂપ, ત્રાસરૂપ તથા ઘૃણાપાત્ર થઈ પડશો.
38 તમે ખેતરમાં ઘણું બીજ લઈ જશો, પણ તમે તેમાંથી થોડાં જ બીજ પેદા કરી શકશો, કેમ કે, તીડ તે ખાઈ જશે. 39 તમે દ્રાક્ષવાડીઓ રોપશો અને તેને ઉછેરશો, પણ તમે તેમાંથી દ્રાક્ષારસ પીવા પામશો નહિ, કે તેમાંની દ્રાક્ષ પણ ભેગી કરવા પામશો નહિ, કેમ કે કીડા તેઓને ખાઈ જશે.
40 તમારા આખા પ્રદેશમાં તમારી પાસે જૈતૂનવૃક્ષ હશે, પણ તમે તમારા પર તેનું તેલ લગાવવા નહિ પામો, કેમ કે, તમારાં જૈતૂનવૃક્ષનાં ફળ ખરી પડશે. 41 તમને દીકરા અને દીકરીઓ હશે, પણ તેઓ તમારાં નહિ થાય, કેમ કે, તેઓ ગુલામી કરવા જશે.
42 તમારા બધા વૃક્ષો અને જમીનનાં ફળ તીડો ખાઈ જશે. 43 તમારી મધ્યે રહેલો પરદેશી તમારા કરતાં વધારે અને વધારે ઉચ્ચ થશે, પણ તમે વધારે અને વધારે નિમ્ન થતાં જશો. 44 તેઓ તમને ઉછીનું આપશે, પણ તમે તેઓને ઉછીનું નહિ આપો, તે સર્વોપરી થશે અને તમે પાછળ રહી જશો.
45 તમારો નાશ થતાં સુધી આ બધા શાપો તમારા પર આવશે અને તમારી પાછળ લાગીને તમને પકડી પાડશે. કેમ કે, તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળ્યો નહિ, તેમની જે આજ્ઞાઓ તથા કાનૂનો તેમણે તમને ફરમાવ્યાં તે પાળ્યાં નહિ. માટે આ પ્રમાણે બધું થશે. 46 આ બધા શાપો તમારા પર તથા તમારા વંશજો પર હંમેશા ચિહ્નોરૂપ તથા આશ્ચર્યરૂપ થઈ પડશે.
47 જયારે તમે સમૃદ્ધ હતા ત્યારે તમે યહોવાહ તમારા ઈશ્વરની આરાધના આનંદથી તથા ઉલ્લાસથી કરી નહિ, 48 માટે તમે ભૂખમાં, તરસમાં, નિવસ્ત્રઅવસ્થામાં તથા દરિદ્રતામાં તમારા દુશ્મનો કે, જેઓને યહોવાહ તમારી વિરુદ્ધ મોકલશે તેઓની તમે સેવા કરશે. તમારો નાશ થતાં સુધી યહોવાહ [2] તમારી ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકશે.
49 યહોવાહ પૃથ્વીના છેડાથી એટલે દૂર દેશથી એક દેશજાતિ જેની ભાષા તમે સમજશો નહિ તેને જેમ ગરુડ ઊડતો હોય છે તેમ તમારી વિરુદ્ધ લાવશે; 50 તે જાતિ વિકરાળ હાવભાવ વાળી કે જે વૃદ્ધોનો આદર ન કરે અને જુવાનો પર દયા ન રાખતો હોય તેવી હશે. 51 તે તમારો નાશ થતાં સુધી તમારા પશુઓના બચ્ચાં અને તમારી ભૂમિનું ફળ ખાઈ જશે. તેઓ તમારો વિનાશ થતાં સુધી તમારા માટે અનાજ, નવો દ્રાક્ષારસ, તેલ, પશુઓ કે ઘેટાંબકરાંના બચ્ચાં રહેવા દેશે નહિ.
52 તમારા દેશમાંના જે ઊંચી અને કોટવાળી દીવાલો કે જેઓના પર તમે ભરોસો રાખતા હતા, તેઓ દરેક જગ્યાએ પડી જતાં સુધી તમારા નગરમાં ઘેરો નાખશે. યહોવાહ તમારા ઈશ્વરે જે આખો દેશ તમને આપ્યો છે તેમાં તમારા સર્વ નગરોમાં તે ઘેરી લેશે. 53 જે ઘેરો તથા આપત્તિ તમારા દુશ્મનો તમારા પર લાવ્યા છે, તેને લીધે તમે તમારા સંતાનોને, એટલે તમારા દીકરાદીકરીઓ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપ્યાં છે તે તઓનું માંસ તમે ખાશો.
54 તમારી મધ્યે જે કોઈ માણસ લાગણીશીલ હશે તેની નજર તેના ભાઈ પ્રત્યે, પોતાની પ્રિય પત્ની પ્રત્યે અને પોતાનાં બાકી રહેલાં સંતાનો પ્રત્યે ઈર્ષ્યાળુ થશે. 55 જે પોતાનાં સંતાનોનું માંસ ખાતો હશે તે તેઓમાંના કોઈને નહિ આપે, કેમ કે જે ઘેરાથી તથા આપત્તિથી તમારા સર્વ નગરોમાં તમારા શત્રુઓ ઘેરો નાખશે, તેને લીધે તેની પાસે કંઈ જ રહ્યું નહિ હોય.
56 તમારી મધ્યે જે કોમળ તથા નાજુક સ્ત્રી તેની કોમળતા તથા નાજુકતાને લીધે પોતાના પગની પાની જમીન પર મૂકવાનું સાહસ કરી શકતી નહિ હોય, તે પોતાના પ્રિય પતિ પ્રત્યે, પોતાના દીકરા પ્રત્યે, પોતાની દીકરી પ્રત્યે, 57 પોતે જન્મ આપેલા સંતાન પ્રત્યે અને જે બાળકને તે જન્મ આપવાની હોય તેના પ્રત્યે ઈર્ષ્યાળુ થશે. કેમ કે જે ઘેરાથી તથા આપત્તિથી તમારા શત્રુઓ તમને ઘેરશે, તેમાં સર્વ વસ્તુની અછતને લીધે તે તેઓને છાનીમાની રીતે ખાઈ જશે.
58 યહોવાહ તમારા ઈશ્વરના ગૌરવી તથા ભયાનક નામથી તમે બીહો, માટે આ નિયમના જે સર્વ શબ્દો આ પુસ્તકમાં લખેલા છે, તે તમે પાળીને અમલમાં નહિ મૂકો, 59 તો યહોવાહ તમારા પર તથા તમારા વંશજો પર મરકીઓ, આકસ્મિક મરકીઓ, એટલે ભારે તથા લાંબા સમય ચાલે એવી મરકીઓ તથા ભારે તથા લાંબા સમયનો રોગ લાવશે.
60 મિસરના જે રોગથી તમે બીતા હતા, તે રોગો હું તમારા પર લાવીશ; તે તમને વળગી રહેશે. 61 તમારો નાશ થાય ત્યાં સુધી જે રોગ તથા મરકી નિયમનાં પુસ્તકમાં લખેલાં નથી, તે યહોવાહ તારા પર લાવ્યા કરશે. 62 તમે સંખ્યામાં આકાશના તારાઓ જેટલા હતા તેને બદલે અતિ અલ્પ થઈ જશો, કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળ્યો નથી.
63 જેમ યહોવાહ તમારું ભલું કરવામાં અને તમારી વૃદ્ધિ કરવામાં આનંદ પામતા હતા, તમે યહોવાહ તમારો વિનાશ કરવામાં તથા નાશ કરવામાં આનંદ પામશે. જે દેશમાં તમે વતન પામવા જાઓ છો તેમાંથી તને ઉખેડી નાખવામાં આવશે. 64 યહોવાહ તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી વિખેરી નાખશે; ત્યાં તમે કે તમારા પિતૃઓ લાકડાંના અને પથ્થરના દેવો જેઓને તમે ઓળખતા નથી, તેઓની પૂજા કરશો.
65 આ દેશજાતિઓ મધ્યે તને કંઈ ચેન નહિ પડે, તમારા પગનાં તળિયાંને કંઈ આરામ નહિ મળે, પણ, ત્યાં યહોવાહ તમને કંપિત હૃદય, ધૂંધળી આંખ અને શોકાતુર હૃદય આપશે. 66 તમારું જીવન શંકામાં રહશે; તમે રાત અને દિવસ ભયભીત રહેશો અને તમારા જીવનની કોઈ ખાતરી નહિ રહે. 67 તમારા મનમાં જે બીક લાગશે તેને લીધે અને તમારી આંખોથી જે બનાવ તું જોશે તેને લીધે સવારમાં તમે કહેશો કે, ઈશ્વર કરે અને ક્યારે સાંજ પડે અને સાંજે તમે કહેશે કે, ઈશ્વર કરે અને ક્યારે સવાર થાય. 68 જે માર્ગ વિષે મેં તમને કહ્યું હતું કે તે માર્ગ પર ફરી કદી તમે જશો નહિ. અને તે માર્ગ પર વહાણોમાં યહોવાહ ફરીથી તને મિસરમાં લાવશે. ત્યાં તમે દાસ અને દાસી તરીકે તમારા શત્રુઓને વેચાઈ જવા માગશો પણ તમને કોઈ ખરીદશે નહિ.
Footnotes
Chapter 29
1 હોરેબમાં જે કરાર યહોવાહે ઇઝરાયલી લોકો સાથે કર્યો, તે ઉપરાંત મોઆબ દેશમાં તેઓની સાથે જે કરાર કરવા ને મૂસાએ આજ્ઞા આપી હતી તે આ મુજબ છે.
2 અને મૂસાએ સર્વ ઇઝરાયલી લોકોને બોલાવીને તેઓને કહ્યું, "તમારી નજર આગળ મિસર દેશમાં ફારુનને તથા તેના સેવકોને તથા સમગ્ર દેશને યહોવાહે જે કર્યુ તે બધું તમે નિહાળ્યું છે; 3 એટલે તમારી આંખોએ જોયેલ ભયંકર મરકી, ચિહ્નો, તથા અદ્દભુત ચમત્કારો તમે જોયા. 4 પણ યહોવાહે તમને સમજણવાળું હૃદય કે નિહાળતી આંખ કે સાંભળવાને કાન આજ દિન સુધી આપ્યાં નથી.
5 મેં તમને ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ચલાવ્યાં, તેમ છતાં તમારાં શરીર પરનાં વસ્ત્રો ફાટી ગયાં નહિ કે તમારાં પગરખાં ઘસાઈ ગયાં નહિ. 6 તમે રોટલી ખાધી નથી તેમ જ દ્રાક્ષાસવ કે મદ્ય પીધાં નથી; એ સારુ કે હું તમારો ઈશ્વર છું એ તમે જાણો.
7 જયારે તમે આ જગ્યાએ આવ્યા ત્યારે હેશ્બોનનો રાજા સીહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડવા આવ્યા અને આપણે તેઓનો પરાજય કર્યો. 8 અને આપણે તેઓનો દેશ લઈને રુબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અડધા કુળને વતન તરીકે આપ્યો. 9 તેથી તમે જે કરો છો તે સર્વમાં સફળ થાઓ માટે આ કરારના શબ્દો પાળો અને અમલમાં લાવો.
10 આજે યહોવાહ તમારા ઈશ્વરની આગળ તમે બધા ઉપસ્થિત છો; તમારા નેતા, તમારાં કુળો, તમારા વડીલો તથા તમારા સરદારો એટલે સર્વ ઇઝરાયલી માણસો, 11 વળી તમારી સાથે તમારાં સંતાનો, પત્નીઓ, તમારી સાથે છાવણીમાં રહેનાર પરદેશી, કઠિયારાથી માંડીને પાણી ભરનાર સુધી તમે સર્વ ઈશ્વરની સમક્ષ છો.
12 માટે યહોવાહ તમારા ઈશ્વરનો કરાર તથા તેમની જે પ્રતિજ્ઞા યહોવાહ તમારા ઈશ્વર આજે તમારી આગળ કરે છે, તે પ્રમાણે કરવાને તમે તૈયાર થાઓ. 13 કે તેઓ આજે તમને પોતાની પ્રજા બનાવે અને જેમ તેમણે તમને કહ્યું હતું, તથા જેમ તેમણે તમારા પિતૃઓ આગળ, એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા, તેમ તે તમારા ઈશ્વર થાય.
14 અને હું આ કરાર માત્ર તમારી જ સાથે કરતો નથી તથા આ સમ ખાતો નથી. 15 પરંતુ આજે આપણી સાથે યહોવાહ આપણા ઈશ્વરની સમક્ષ જે ઊભો રહેલો હશે તેની સાથે, તેમ જ આજે આપણી સાથે જે નહિ હોય તેની સાથે પણ;
16 આપણે મિસર દેશમાં કેવી રીતે રહેતા હતા અને જે દેશજાતિઓમાં થઈને આપણે પસાર થયા તેઓની મધ્યે થઈને આપણે કેવી રીતે બહાર આવ્યા એ તમે જાણો છો.
17 તમે તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યો તેઓની લાકડાની, પથ્થરની, ચાંદીની તેમ જ સોનાની મૂર્તિઓ જે તેમની પાસે હતી તે જોઈ છે. 18 રખેને તમારામાંથી કોઈ પુરુષ, સ્ત્રી, કુટુંબ કે ઇઝરાયલનું કોઈ કુળ એવું હોય કે જેનું હૃદય યહોવાહ તમારા ઈશ્વર તરફથી ભટકી જઈને બીજી પ્રજાઓના દેવોની પૂજા કરવા લલચાય. રખેને પિત તથા કડવાશરૂપી મૂળ તમારામાં હોય, 19 રખેને તે આ શાપની વાતો સાંભળે ત્યારે તે પોતાના હૃદયમાં આશીર્વાદ આપીને કહે કે, હું મારા હૃદયની હઠીલાઈ પ્રમાણે ચાલું અને સૂકાની સાથે લીલાનો નાશ કરું તો પણ મને શાંતિ મળશે.
20 યહોવાહ તેને માફ નહિ કરે પણ તે માણસની સામે યહોવાહનો રોષ તથા જુસ્સો તપી ઊઠશે અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે. અને યહોવાહ આકાશ નીચેથી તેનું નામોનિશાન નષ્ટ કરી નાખશે. 21 અને નિયમના આ પુસ્તકમાં લખેલા કરારમાંના બધા શાપો પ્રમાણે યહોવાહ તેને ઇઝરાયલના સર્વ કુળોમાંથી અલગ [1] કરીને તેને નુકસાન કરશે.
22 અને તમારી પાછળ થનાર તમારાં સંતાનોની આગામી પેઢી તથા દૂર દેશથી આવનાર પરદેશી પણ યહોવાહે આ દેશને આપેલા રોગો અને આફતો જોશે. 23 વળી સદોમ, ગમોરા, આદમા અને સબોઈમ જેઓનો સંહાર યહોવાહે પોતાના કોપથી તથા રોષથી કર્યો તેઓના નાશની પેઠે આખો દેશ ગંધક, ખારરૂપ તથા બળતો થયો છે કે, જેમાં કંઈ વવાતું નથી, વળી કંઈ નીપજતું નથી, તેમ જ તેમાં કંઈ ઘાસ ઊગતું નથી તે જયારે જોશે. 24 ત્યારે સર્વ પ્રજાઓ પૂછશે કે, 'યહોવાહે આ દેશને આવું શા માટે કર્યું? એના ઉપર આવા ભારે કોપની ઉગ્રતાનું શું કારણ હશે?'
25 ત્યારે લોકો કહેશે કે, એનું કારણ એ છે કે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાહ તેઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેઓની સાથે તેમણે જે કરાર કર્યો હતો તે કરારનો તેઓએ ત્યાગ કર્યો. 26 બીજા જે દેવોને તેઓ જાણતા નહોતા તથા જેઓને તેણે તેઓને આપ્યા નહોતા. તેઓની સેવા તથા તેઓનું ભજન તેઓએ કર્યું.
27 તેથી આ પુસ્તકમાં લખેલા શાપો આ દેશ પર લાવવાને યહોવાહનો કોપ તેઓ પર સળગ્યો હતો. 28 યહોવાહે કોપમાં તથા ક્રોધમાં તથા તેના ઘણાં રોષમાં તેઓને તેઓના દેશમાંથી ઉખેડીને બીજા દેશમાં કાઢી મૂક્યા. જેમ આજે છે તે પ્રમાણે.
29 મર્મો યહોવાહ આપણા ઈશ્વરના છે, પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણાં સંતાનોની છે, તેથી આપણે આ નિયમનાં સર્વ વચનો પાળીએ.
Footnotes
Chapter 30
1 અને એમ થશે કે જયારે આ બાબતો એટલે કે આશીર્વાદો તથા શાપો જે મેં તમારી આગળ મૂક્યા છે તે તમારા પર આવશે અને જે સર્વ દેશોમાં યહોવાહ તમારા ઈશ્વરે તમને વિખેરી મૂક્યા હશે ત્યારે તે બાબતોને યાદ રાખીને, 2 તમે યહોવાહ તમારા ઈશ્વરની પાસે પાછા આવશો અને જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું, તે તમે તથા તમારા સંતાન પૂરા હૃદયથી તથા પૂરા અંત:કરણથી પાળશો તથા તેમનો અવાજ સાંભળશો, 3 તો યહોવાહ તમારા ઈશ્વર તમારી ગુલામી ફેરવી નાખશે, તમારા પર દયા કરશે; અને પાછા આવીને જે બધા લોકોમાં યહોવાહ તમારા ઈશ્વરે તમને વિખેરી નાખ્યો હશે તેઓમાંથી તમને એકત્ર કરશે.
4 જો તમારામાંના દેશનિકાલ કરાયેલામાંના કોઈ આકાશ નીચેના દૂરના દેશોમાં [1] વસ્યા હશે, ત્યાંથી યહોવાહ તમારા ઈશ્વર તમને એકત્ર કરશે, ત્યાંથી તે તમને લાવશે. 5 જે દેશ તમારા પિતૃઓના કબજામાં હતો, તેમાં યહોવાહ તમારા ઈશ્વર તમને લાવશે, તમે ફરીથી તેનો કબજો કરશો, તે તમારું ભલું કરશે અને તમારા પિતૃઓ કરતાં તમને વધારશે.
6 યહોવાહ તમારા ઈશ્વર તમારાં તથા તમારાં સંતાનોનાં હૃદયની સુન્નત કરશે, જેથી તમે યહોવાહ તમારા ઈશ્વરને તમારા પૂરા હૃદયથી તથા પૂરા અંત:કરણથી પ્રેમ કરો, અને જીવતા રહો. 7 યહોવાહ તમારા ઈશ્વર આ બધા શાપો તમારા શત્રુઓ પર તથા તમને ધિક્કારનાર પર મોકલી આપશે. 8 તમે પાછા ફરીને યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળશો, આજે હું તને જે આજ્ઞાઓ ફરમાવું છું તેનું તમે પાલન કરશો.
9 યહોવાહ તમારા ઈશ્વર તમારા હાથનાં સર્વ કામમાં, તમારાં સંતાનોમાં, તમારાં પશુઓનાં બચ્ચામાં, તમારી ભૂમિના ફળમાં પુષ્કળ વૃદ્ધિ કરશે. જેમ યહોવાહ તમારા પિતૃઓ પર પ્રસન્ન હતા તેમ તેઓ ફરી તમારા હિતને માટે પ્રસન્ન થશે. 10 યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળીને તેઓની જે આજ્ઞાઓ તથા કાનૂનો લખેલાં છે તે તમે પાળશો અને તમે તમારા પૂરા અંત:કરણથી યહોવાહ તમારા ઈશ્વરની તરફ ફરશો તો એ પ્રમાણે થશે. 11 કેમ કે આજે હું તમને જે આજ્ઞાઓ ફરમાવું છું તે તમારી શક્તિ ઉપરાંતની નથી, તેમ તમારાથી એટલી દૂર પણ નથી કે તમે પહોંચી ન શકો. 12 તે આકાશમાં નથી કે તમે કહો કે, 'કોણ આપણે માટે ઉપર જઈને લાવીને આપણને સંભળાવે કે આપણે તે પાળીએ?'
13 વળી તે સમુદ્રને પેલે પાર પણ નથી કે તમે કહો કે, 'કોણ સમુદ્રને પેલે પર જઈને લાવીને અમને સંભળાવે જેથી અમે તેનું પાલન કરીએ?' 14 પરંતુ તે વચન તો તમારી નજીક છે, તમારા મુખમાં અને તારા હૃદયમાં છે, કે જેથી તમે તેને પાળી શકો.
15 જુઓ, આજે મેં તમારી આગળ જીવન તથા સારું, મરણ તથા ખોટું મૂક્યાં છે. 16 આજે હું તમને યહોવાહ તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ ફરમાવું છું એટલે કે યહોવાહ તમારા ઈશ્વરને પ્રેમ કરવો, તેમના માર્ગોમાં ચાલવું, તેમની આજ્ઞાઓ, નિયમો અને કાનૂનો પાળવા, કે જેથી તમે જીવતા રહેશો. અને તમારી વૃદ્ધિ થશે, જે દેશનું વતન પામવા તમે જાઓ છો તેમાં યહોવાહ તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે.
17 પરંતુ જુઓ તમારું હૃદય તેમનાંથી દૂર થઈ જાય અને તમે તેમનું સાંભળો નહિ, પણ તેમનાંથી દૂર થઈને બીજા દેવોનું ભજન તથા પૂજા કરો, 18 તો આજે હું તમને જણાવું છું કે તમે નિશ્ચે નાશ પામશો, યર્દન ઓળંગીને તમે જે દેશમાં વતન પામવા જઈ રહ્યા છો, ત્યાં તમે તમારું આયુષ્ય ભોગવી નહિ શકો.
19 હું આજે આકાશ તથા પૃથ્વીને તમારી આગળ સાક્ષી રાખું છું કે મેં તમારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે. માટે જીવન પસંદ કરો કે જેથી તમે અને તમારા વંશજો જીવતા રહો. 20 યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ રાખવાનું, તેમની વાણી સાંભળવાનું અને તેમને વળગી રહેવાનું પસંદ કરો, કેમ કે તે તમારા જીવન તથા તમારા આયુષ્યની વૃદ્ધિ કરે છે; તે માટે જે દેશ તમારા પિતૃઓને, એટલે ઇબ્રાહિમ, ઇસહાક, તથા યાકૂબને આપવાને યહોવાહે સમ ખાધા તેમાં તમે રહો."
Footnotes
Chapter 31
1 મૂસાએ જઈને આ બધી વાતો આખા ઇઝરાયલને કહી. 2 તેણે તેઓને કહ્યું, "હવે હું એકસો વીસ વર્ષનો થયો છું; હું બહાર જઈ શકતો નથી કે અંદર આવી શકતો નથી, યહોવાહે મને કહ્યું કે, 'તું યર્દન નદી પાર જવા પામશે નહિ.' 3 યહોવાહ તારા ઈશ્વર તારી આગળ પાર જશે; તે તારી આગળથી પ્રજાઓનો નાશ કરશે અને તું તેઓનું વતન પામશે. યહોવાહની આજ્ઞા પ્રમાણે યહોશુઆ તમારી આગળ જશે.
4 અમોરીઓના રાજાઓ સીહોન તથા ઓગ તેઓના દેશ જેમનો યહોવાહે નાશ કર્યો, તેઓને જેમ તેમણે કર્યું તેમ તે તેઓને કરશે. 5 અને યહોવાહ તે લોકોને તમારા હાથમાં સુપ્રત કરશે અને તમારે તેમની સાથે મેં તમને આજ્ઞા કરી છે તે મુજબ વર્તવુ. 6 બળવાન તથા હિંમતવાન થાઓ, બીહો નહિ, તેઓથી ભયભીત ન થાઓ, કેમ કે, જે તમારી સાથે જાય છે તે તો યહોવાહ તમારા ઈશ્વર છે. તે તમને છોડી દેશે નહિ કે તમને તજી દેશે નહિ."
7 મૂસાએ યહોશુઆને બોલવીને બધા ઇઝરાયલીઓની નજર સમક્ષ તેને કહ્યું, "બળવાન તથા હિંમતવાન થા, કેમ કે જે દેશ યહોવાહ તારા ઈશ્વરે આ લોકોને આપવાનું તારા પિતૃઓ આગળ વચન આપ્યું છે, તેમાં તું તેઓની સાથે જશે. તું તે લોકોને દેશનો વારસો અપાવશે. 8 જે તારી આગળ જાય છે, તે તો યહોવાહ છે; તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહિ કે તને તજી દેશે નહિ, માટે તું ગભરાઈશ નહિ કે નાહિંમત થઈશ નહિ."
9 મૂસાએ આ નિયમ લખીને યહોવાહના કરારકોશ ઊંચકનાર લેવી યાજકોને તથા ઇઝરાયલના બધા આગેવાનોને તેની એક એક નકલ આપી. 10 મૂસાએ તેઓને આજ્ઞા કરીને કહ્યું, "દર સાતમા વર્ષને અંતે એટલે કે છુટકારાના વર્ષને ઠરાવેલે સમયે, માંડવાપર્વમાં, 11 જયારે બધા ઇઝરાયલીઓ યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલા સ્થળે હાજર થાય, ત્યારે બધા ઇઝરાયલની આગળ તેઓના સાંભળતાં તમે આ નિયમ વાંચજો.
12 લોકોને એટલે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો તેમ જ તારી ભાગળમાં વસતા પરદેશીઓને એકત્ર કરજો જેથી તેઓ સાંભળે તથા શીખે અને યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખે અને આ નિયમોનું કાળજીપૂર્વક પાલન કરે. 13 અને તેઓના સંતાનો કે જેઓ જાણતા નથી તેઓ પણ સાંભળી અને જે દેશનું વતન પામવાને તમે યર્દન નદી ઊતરીને ત્યાં જાઓ છો તેમાં, જ્યાં સુધી તમે જીવતા રહો ત્યાં સુધી યહોવાહ તમારા ઈશ્વરથી બીતા શીખો.
14 પછી યહોવાહે મૂસાને કહ્યું, "જો, તારો મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે. યહોશુઆને બોલાવ અને તમે બન્ને મુલાકાતમંડપમાં મારી પાસે આવો, જેથી હું તને મારી આજ્ઞા આપું." તેથી મૂસા અને યહોશુઆ ગયા અને મુલાકાતમંડપમાં ઉપસ્થિત રહ્યા. 15 અને યહોવાહ તંબુની અંદર મેઘસ્તંભમાં દેખાયા; અને તે મેઘસ્તંભ તંબુના દ્વારની સામે સ્થિર રહ્યો.
16 યહોવાહે મૂસાને કહ્યું, "જો તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે; અને આ લોકો ઊઠશે અને જે દેશમાં તેઓ વસવા જઈ રહ્યા છે તેમાં જઈ તેઓ અન્ય દેવોની પાછળ ગણિકાવૃતિ કરશે અને મારો ત્યાગ કરશે. અને મારો કરાર જે મેં તેઓની સાથે કર્યો તેનો તેઓ ભંગ કરશે.
17 ત્યારે મારો કોપ તે લોકો પર સળગી ઊઠશે અને હું તેઓને તજી દઈશ તથા તેઓનાથી વિમુખ થઈ જઈશ. અને તેઓ ભક્ષ થઈ પડશે. તેઓના પર અનેક આફતો અને સંકટો ઊતરશે ત્યારે તેઓ કહેશે કે, 'આપણા ઈશ્વર આપણી વચ્ચે નથી તેથી આ બધાં સંકટો આપણા પર આવી પડ્યાં નથી શું? 18 પણ તેઓએ અન્ય દેવોની પાછળ જઈને જે સર્વ દુષ્ટતા કરી હશે તેને કારણે જરૂર હું તેઓનાથી તે દિવસે મારું મુખ સંતાડીશ.
19 હવે આ ગીત તમે પોતાને માટે લખી લો અને તે તમે ઇઝરાયલપુત્રોને શીખવજો, તેઓને તે રટણ કરવા કહો કે જેથી આ ગીત ઇઝરાયલપુત્રોની વિરુદ્ધ મારા માટે સાક્ષીરૂપ થાય. 20 કેમ કે જે દૂધમધથી ભરપૂર દેશ વિષે મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા હતા, તેમાં જ્યારે હું તેઓને લઈ જઈશ ત્યારે તેઓ ખાઈને તથા તૃપ્ત થઈને પુષ્ટ થશે; અને તેઓ અન્ય દેવો તરફ વળી જઈને તેઓની સેવા કરશે અને મને ધિક્કારશે અને મારો કરાર તોડશે.
21 અને તેઓના પર ભયંકર દુઃખ તથા સંકટ આવી પડે ત્યારે આ ગીત સાક્ષીરૂપે તેઓની આગળ શાહેદી પૂરશે; કેમ કે તે તેઓના વંશજો ભૂલી જશે નહિ. કે અત્યારે પણ, એટલે જે દેશ વિષે મેં સમ ખાધા હતા તેમાં હું તેઓને લાવું. તે પહેલાં તેઓ જે મનસૂબા ઘડે છે તે હું જાણું છું."
22 તેથી તે જ દિવસે મૂસાએ આ ગીત લખ્યું. અને ઇઝરાયલપુત્રોને તે શીખવ્યું. 23 પછી યહોવાહે નૂનના પુત્ર યહોશુઆને સોંપણી કરી અને તેને કહ્યું, "બળવાન તથા હિંમતવાન થા; કારણ કે, ઇઝરાયલપુત્રોને મેં જે દેશ આપવાને મેં સમ ખાધા હતા તેમાં તારે એમને લઈ જવાના છે, અને હું તારી સાથે રહીશ."
24 જયારે મૂસાએ આ નિયમોના શબ્દો શરૂથી અંત સુધી પુસ્તકમાં લખવાનું પૂર્ણ કર્યું ત્યારે એમ થયું કે, 25 મૂસાએ યહોવાહના કરારકોશને ઊંચકનારા લેવીઓને આજ્ઞા કરી કે, 26 "આ નિયમનું પુસ્તક લો અને તેને યહોવાહ તમારા ઈશ્વરના કરારકોશની સાથે રાખો કે, જેથી એ તમારી વિરુદ્ધ સાક્ષી તરીકે ત્યાં રહે.
27 કેમ કે હું તમારા જડ ગર્દન અને હઠીલાઈ જાણું છું. જુઓ, હું આજે હજી તો તમારી વચ્ચે જીવતો છું છતાં આજે તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો; તો મારા મૃત્યુ પછી તો તમે શું નહિ કરો? 28 તમારા કુળોના સર્વ વડીલો અને અમલદારોને મારી આગળ એકત્ર કરો કે, જેથી હું તેઓના સાંભળતાં આ વચનો કહું અને તેઓની વિરુદ્ધ આકાશ તથા પૃથ્વીને સાક્ષી તરીકે રાખું.
29 મને ખબર છે કે મારા મૃત્યુ પછી તમે દુષ્ટ થશો અને જે માર્ગે મેં તમને ચાલવાનું કહ્યું છે તેમાંથી ભટકી જશો; તેથી ભવિષ્યમાં તમારા પર દુઃખ આવી પડશે. કારણ કે યહોવાહની નજરમાં જે દુષ્ટ છે તે કરીને તમે તમારા હાથનાં કામથી તમે યહોવાહને ક્રોધ ચઢાવશો."
30 પછી મૂસાએ ઇઝરાયલની સમગ્ર સભાને સાંભળતાં એ આખા ગીતનાં વચનો શરૂથી અંત સુધી કહી સંભળાવ્યા.
Chapter 32
1 હે આકાશો, કાન ધરો અને હું બોલીશ.
હે પૃથ્વી, તું મારા મુખના શબ્દો સાંભળ.
2 મારો બોધ વરસાદની જેમ ટપકશે, મારી વાતો ઝાકળની જેમ પડશે,
કુમળા ઘાસ પર પડતા ઝરમર ઝરમર વરસાદના ટીપાની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ તે પડશે.
3 કેમ કે હું યહોવાહનું નામ પ્રગટ કરીશ.
અને આપણા ઈશ્વરના માહાત્મ્યને લીધે તેમને સ્તુત્ય માનો.
4 યહોવાહ અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે;
તેમના સર્વ માર્ગો ન્યાયી છે.
વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર
તે ન્યાયી તથા સાચા ઈશ્વર છે.
5 તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા છે. તેઓના સંતાનો રહ્યાં નથી. અને તેઓ પાપથી ખરડાયા.
તેઓ અડિયલ તથા કુટિલ પેઢી છે.
6 ઓ મૂર્ખ તથા નિર્બુદ્ધ લોકો
શું તમે યહોવાહને આવો બદલો આપો છો?
શું તે તમને ખંડી લેનાર તમારા પિતા નથી
તેમણે તમને સરજ્યા અને સ્થિર કર્યા.
7 ભૂતકાળના દિવસોનું તમે સ્મરણ કરો,
ઘણી પેઢીઓનાં વર્ષોનો વિચાર કરો.
તમારા પિતાને પૂછો એટલે તે તમને કહી બતાવશે.
તમારા વડીલોને પૂછો એટલે તે તમને કહેશે.
8 જ્યારે પરાત્પર યહોવાહે દેશજાતિઓને તેઓનો વારસો આપ્યો.
જયારે તેમણે માનવપુત્રોને જુદા કર્યા,
ત્યારે તેમણે ઇઝરાયલનાં સંતાનોની ગણતરી પ્રમાણે તે લોકોને સીમાઓ ઠરાવી આપી.
9 કેમ કે યહોવાહનો હિસ્સો તો તેમના લોક છે.
યાકૂબ એ તેમના વારસાનો ભાગ છે.
10 તે તેઓને ઉજ્જડ દેશમાં,
તથા વેરાન અને વિકટ રણમાં મળ્યા;
તે તેઓની આસપાસ કોટરૂપ રહ્યા.
અને તેમણે તેઓની આંખની કીકીની જેમ સંભાળ કરી.
11 જેમ કોઈ ગરુડ પોતાના માળાની ચોકી કરે અને પોતાના બચ્ચાં ઉપર પાંખો ફફડાવે છે.
તેમ યહોવાહે પોતાની પાંખો ફેલાવીને તેમને પોતાની પાંખો પર ઊંચકી લીધા.
12 એકલા યહોવાહે જ તેમને ચલાવ્યાં;
કોઈ પરદેશી દેવ તેઓની સાથે નહોતો.
13 તેમણે તેઓને દેશની ઊંચાઈઓ પર બેસાડ્યા,
તેમણે તેઓને ખેતરનું ફળ ખવડાવ્યું,
તેમણે તેઓને ખડકમાંથી મધ તથા
ચકમકના પથ્થરમાંથી તેલ પીવડાવ્યું
14 તેમણે તેઓને ગાયોનું માખણ ખવડાવ્યું તથા ઘેટીઓનું દૂધ પીવડાવ્યું,
હલવાનની ચરબી,
બાશાનના ઘેટાં તથા બકરાં,
સારામાં સારા ઘઉં તથા
દ્રાક્ષોમાંથી બનાવેલો સારો દ્રાક્ષારસ તમે પીધો.
15 પણ યશુરૂને [1] પુષ્ટ થઈને લાત મારી,
તું હુષ્ટપુષ્ટ, જાડો અને સુંવાળો થયો, જે ઈશ્વરે તેને બનાવ્યો હતો તેમનો તેણે ત્યાગ કર્યો, તેણે તેના ઉદ્ધારના ખડકનો તિરસ્કાર કર્યો.
16 તેઓએ બીજા અજાણ્યા દેવોની પૂજા કરીને યહોવાહને ઈર્ષ્યા ઉત્પન્ન કર્યો; ઘૃણાસ્પદ કર્મોથી ઈશ્વરને ગુસ્સે કર્યા.
17 તેઓ દુષ્ટાત્માને કે જે ઈશ્વર ન હતા તેઓને,
જે દેવોને તેઓ જાણતા ન હતા,
ટૂંક સમયમાં જ પ્રગટ થયેલા દેવોને
કે જે દેવોથી તમારા પિતાઓ બીતા ન હતા તેઓને બલિદાનો ચઢાવતા હતા.
18 ખડક સમાન તારા પિતાને તેં તજી દીધા,
તને જન્મ આપનાર ઈશ્વરને તું ભૂલી ગયો.
19 આ જોઈને યહોવાહે તેને નાપસંદ કર્યો,
કેમ કે તેના દીકરા અને દીકરીઓ તેમને ગુસ્સે કર્યા.
20 તેમણે કહ્યું, "હું મારું મુખ તેઓથી સંતાડીશ," "તેઓના હાલ કેવા થશે તે હું જોઈશ; કેમ કે તે પેઢી વિકૃત છે, તેઓનાં સંતાનો વિશ્વાસઘાતી છે.
21 જે દેવ નથી તે વડે તેઓએ મારામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરી છે. નકામા દેવોથી મને ગુસ્સે કર્યો છે.
22 માટે મારો કોપ ભડકે બળે છે
શેઓલના તળિયાં સુધી તે બળે છે,
પૃથ્વીને અને તેના પાક સહિત ખાઈ જશે,
અને પર્વતોના પાયાને સળગાવી દે છે.
23 પછી હું તે લોકો પર એક પછી એક આફતો લાવીશ; તીરોથી હું તેઓને વીંધી નાખીશ.
24 તેઓ ભૂખથી સુકાઈ જશે અને ઉગ્ર તાપથી
અને દારુણ વિનાશથી ખવાઈ જશે;
હું તેના પર પશુઓના દાંત અને ધૂળમાં પેટે ચાલનાર જનાવરોનું ઝેર રેડીશ,
25 બહાર તલવાર તેઓને પૂરા કરશે,
અને ઘરમાં ત્રાસથી તેઓ મરશે.
જુવાન સ્ત્રી-પુરુષ કે વૃદ્વોનો અને દૂધપીતાં બાળકોનો પણ નાશ થશે,
26 હું તેઓને દૂરના દેશોમાં વિખેરી નાખત.
હું તેઓનું સ્મરણ માણસોમાંથી નષ્ટ કરત.
27 પરંતુ હું શત્રુઓની ખીજવણીથી ગભરાઉં છું,
કે રખેને તેઓના શત્રુઓ ખોટું સમજે
અને તેઓ કહે કે, અમારો હાથ પ્રબળ થયો છે.'
અને યહોવાહે આ સર્વ કર્યું નથી.
28 કેમ કે તેઓ સમજણ વગરની મૂર્ખ પ્રજા છે.
અને તેઓમાં કંઈ સમજણ નથી.
29 તેઓમાં શાણપણ હોત, તેઓ સમજનારા થયા હોત,
અને તેઓએ પોતાના અંતકાળનો વિચાર કર્યો હોત તો કેવું સારું!
30 જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત,
યહોવાહે દુશ્મનોના હાથમાં સોંપ્યા ન હોત, તો હજારની પાછળ એક કેમ ધાત
અને દસ હજારને બે કેમ નસાડી મૂકત?
31 આપણા શત્રુઓના માનવા પ્રમાણે
તેઓનો ખડક આપણા ખડક જેવો નથી,
32 તેઓનો દ્રાક્ષવેલો સદોમના દ્રાક્ષવેલામાંનો તથા ગમોરાનાં ખેતરોનો છે.
તેઓની દ્રાક્ષો ઝેરી દ્રાક્ષો છે;
તેઓની લૂમો કડવી છે.
33 તેઓના દ્રાક્ષારસ અજગરોનું ઝેર
તથા ઝેરી સર્પોનું પ્રાણઘાતક વિષ છે.
34 શું મેં તેને મારા ખજાનામાં મુદ્રિત કરાઈને
મારી પાસે સંગ્રહ કરી રાખેલું નથી?
35 તેનો પગ લપસી જશે;
તે વખતે વેર વાળવું તથા બદલો લેવો એ મારું કામ છે.
કેમ કે તેઓની વિપતીના દિવસ પાસે છે,
અને તેઓ પર જે આવી પડવાનું છે તે જલદી આવી પડશે."
36 કેમ કે યહોવાહ પોતાના લોકનો ન્યાય કરશે,
અને જયારે તેઓ જોશે કે તેઓ નિર્બળ થઈ ગયા છે,
અને ગુલામ તથા મુક્ત એવો કોઈ બાકી રહ્યો નથી.
તે જોઈ તે પોતાના સેવકો માટે દુ:ખી થશે. 37 પછી તે કહેશે કે, 'તેઓના દેવો ક્યાં છે, એટલે જે ખડક પર તેઓ ભરોસો રાખતા હતા તેઓ?
38 જેઓ તમારા બલિની ચરબી ખાતા હતા;
જે પેયાર્પણનો દ્રાક્ષારસ પીતા હતા, તે ક્યાં ગયા?
તેઓ ઊઠીને તમને મદદ કરે, તેઓ તમારો આશરો થાય!
39 હવે જુઓ હું જ એકલા જ ઈશ્વર છું. હા હું તે જ છું,
મારા વગર બીજા કોઈ ઈશ્વર નથી, શું તમે નથી જોતા?
હું જ મારું છું, અને હું જ જિવાડું છું,
હું જ ઘાયલ કરું છું અને હું જ સાજા કરું છું;
અને મારા હાથમાંથી કોઈ છોડાવી શકે એમ નથી.
40 હું મારો હાથ આકાશ તરફ ઊંચો કરીને,
મારા સનાતન નામે પ્રતિજ્ઞા લઈને કહું છું કે,
41 જો હું મારી ચળકતી તલવારની ધાર કાઢીશ,
અને મારો હાથ ન્યાય કરશે તો મારા દુશ્મનો પર હું વેર વાળીશ,
અને જે મને ધિક્કારે છે તેઓનો હું બદલો લઈશ.
42 જેઓને મારી નાખવામાં આવ્યા છે તે તથા કેદીઓના લોહીથી,
શત્રુઓના આગેવાનોના માથાના લોહીથી,
મારાં બાણોને લોહી પાઈને તૃપ્ત કરીશ,
અને મારી તલવાર માંસ ખાશે."'
43 ઓ દેશજાતિઓ, ઈશ્વરના લોકોની સાથે આનંદ કરો,
તે પોતાના સેવકોના ખૂનનો બદલો લેશે,
અને પોતાના શત્રુઓ પર વેર વાળશે,
અને પોતાના દેશનું તથા પોતાના લોકનું પ્રાયશ્ચિત કરશે.
44 મૂસા અને નૂનના દીકરા યહોશુઆએ આ ગીતનાં શબ્દો લોકોની સમક્ષ બોલ્યા. 45 પછી મૂસા સર્વ ઇઝરાયલીઓને આ વચનો કહી રહ્યો.
46 ત્યારે તેણે કહ્યું કે, જે સર્વ વચનોની આજે હું તમારી સમક્ષ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો; અને તે વિષે તમારાં સંતાનોને આજ્ઞા કરજો કે, આ નિયમનાં સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં મૂકે. 47 આ નિયમો નકામી વાત નથી કેમ કે તેમાં તમારું જીવન છે અને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે યર્દન પાર જાઓ છો તેમાં તમે રહીને આ બાબતને લીધે તમે તમારું આયુષ્ય વધારશો."
48 તે જ દિવસે યહોવાહે મૂસાને કહ્યું, 49 "મોઆબ દેશમાં યરીખોની સામે અબારીમ પર્વતોમાં નબો પર્વત પર ચઢીને જે કનાન દેશ હું ઇઝરાયલપુત્રોને આપવાનો છું તે તું જોઈ લે.
50 અને જે પર્વત પર તું ચઢે છે ત્યાં તું મૃત્યુ પામ અને તારા પિતૃઓની સાથે મળી જા; જેમ તારો ભાઈ હારુન હોર પર્વત પર મૃત્યુ પામીને તારા પૂર્વજો સાથે મળી ગયો તે મુજબ. 51 કારણ કે તેં સીનના અરણ્યમાં કાદેશ આગળ આવેલા મરીબાનાં પાણી નજીક મારા પર અવિશ્વાસુ કરીને ઇઝરાયલપુત્રો આગળ મને પવિત્ર માન્યો નહિ. 52 કેમ કે તે દેશને તું દૂરથી જોશે; પણ જે દેશ હું ઇઝરાયલપુત્રોને આપનાર છું તેમાં પ્રવેશ કરી શકીશ નહિ."
Footnotes
Chapter 33
1 અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલીઓને જે આશીર્વાદ આપ્યો તે આ છે; 2 મૂસાએ કહ્યું,
"યહોવાહ સિનાઈ પર્વત પરથી આવ્યા.
તે સેઈર પર્વત પરથી તેઓ પર પ્રગટ્યા
પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા,
અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા.
અને તેમને જમણે હાથે નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો.
3 હા, યહોવાહ પોતાના લોકોને પ્રેમ કરે છે;
તેમના સર્વ પવિત્ર લોકો તેમના હાથમાં છે,
તેઓ તેમના ચરણ આગળ બેઠા;
અને દરેક તમારાં વચનો ગ્રહણ કરશે.
4 મૂસાએ અમને યાકૂબના સમુદાયને વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું.
5 જયારે લોકોના આગેવાનો
અને ઇઝરાયલનાં સર્વ કુળો એકત્ર થયાં હતાં
ત્યારે યહોવાહ યશુરૂનમાં રાજા હતા.
6 રુબેન સદા જીવંત રહો અને મરે નહિ;
પરંતુ તેના માણસો થોડા રહે."
7 મૂસાએ કહ્યું, યહૂદા માટે આ આશીર્વાદ છે:
હે યહોવાહ, યહૂદાની વાણી સાંભળો,
અને તેને તેના લોકો પાસે પાછા લાવો,
તેને માટે લડાઈ કરીને;
અને તેના દુશ્મનોનો સામનો કરવામાં તમે તેને સહાય કરજો."
8 ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું કે;
તમારાં તુમ્મીમ તથા તમારાં ઉરીમ, તમારો પસંદ કરેલો પુરુષ,
જેની તમે માસ્સામાં પરીક્ષા કરી.
અને મરીબાના પાણી પાસે તમે એમની કસોટી કરી તેની સાથે છે.
9 અને તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું કે મેં તેઓને જોયાં નથી;
અને તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યાં નહિ.
અને તેણે પોતાનાં સંતાનોને પણ ઓળખ્યાં નહિ;
કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતા આવ્યા છે,
અને તમારો કરાર તેઓ પાળે છે.
10 તેઓ યાકૂબને તમારા હુકમો
અને ઇઝરાયલને તમારો નિયમ શીખવશે;
અને તેઓ તમારી આગળ ધૂપ,
તથા તમારી વેદી સમક્ષ દહનીયાર્પણ ચઢાવશે.
11 હે યહોવાહ તેઓની સંપત્તિને આશીર્વાદ આપજો,
અને તેઓના હાથનાં કામો સ્વીકારો;
જેઓ તેઓની વિરુદ્ધ ઊઠે છે
અને જેઓ તેમની અદેખાઈ રાખે છે, તેમની કમર તોડી નાખજો,
જેથી તેઓ ફરી વાર બેઠા જ ન થઈ શકે."
12 પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું,
"તે યહોવાહનો પ્રિય છે તેની પાસે સુરક્ષિત રહેશે;
યહોવાહ સદાય તેનું રક્ષણ કરે છે.
અને એ તેમની ખાંધોની વચ્ચે રહે છે."
13 પછી યૂસફ વિષે મૂસાએ કહ્યું;
તેનો દેશ યહોવાહથી આશીર્વાદિત થાઓ, આકાશની ઉતમ વસ્તુઓથી અને ઝાકળથી અને પાતાળના પાણીથી,
14 સૂર્યની ઊપજની ઉતમ વસ્તુઓથી
તથા ચંદ્રની [1] વધઘટની ઉત્તમ વસ્તુઓથી,
15 પ્રાચીન પર્વતોની ઉત્તમ વસ્તુઓથી
અને સાર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુઓથી,
16 પૃથ્વી તથા તેની ભરપૂરીપણાની કિંમતી વસ્તુઓથી,
ઝાડમાં જે રહ્યો છે તેની કૃપાથી.
યૂસફ, જે તેના ભાઈઓ પર આગેવાન જેવો હતો,
તેના પર આશીર્વાદ આવો.
17 તેનો પ્રથમજનિત તેજસ્વી બળદના જેવો છે,
તેનાં શિંગડાં જંગલી બળદના જેવાં છે,
પ્રજાઓને તે પૃથ્વીને છેડેથી હાંકી કાઢશે.
એફ્રાઇમના દસ હજારો અને
મનાશ્શાના હજારો છે."
18 મૂસાએ ઝબુલોન વિષે કહ્યું, "ઝબુલોન, તેના બહાર જવામાં,
ઇસ્સાખાર તેના તંબુઓમાં આનંદ કરો.
19 તેઓ લોકોને પર્વત પર બોલાવશે.
ત્યાં તેઓ ન્યાયીપણાના યજ્ઞો ચઢાવશે.
કેમ કે તેઓ સમુદ્રમાંની પુષ્કળતાને,
દરિયાકિનારાની ગુપ્ત રેતીને ચૂસશે."
20 ગાદ વિષે મૂસાએ કહ્યું,
"ગાદને વિસ્તારનાર આશીર્વાદિત હો.
તે ત્યાં સિંહણ જેવો રહે,
તે તેના હાથને તથા તેના માથાને ફાડી નાખે છે.
21 તેણે પોતાના માટે પ્રથમ ભાગ મેળવ્યો,
કેમ કે, ત્યાં આગેવાનોને જમીનનો ભાગ ફાળવવામાં આવ્યો હતો.
તેણે લોકોને નેતૃત્વ પૂરું પાડયું,
ઇઝરાયલ માટેની યહોવાહની આજ્ઞાઓ,
અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો."
22 મૂસાએ દાન વિષે કહ્યું,
"દાન બાશાનથી કૂદી નીકળતું,
સિંહનું બચ્ચું છે."
23 નફતાલી વિષે મૂસાએ કહ્યું,
"અનુગ્રહથી તૃપ્ત થયેલા,
યહોવાહના આશીર્વાદથી ભરપૂર નફતાલી,
તું પશ્ચિમ તથા દક્ષિણનું વતન પામ."
24 આશેર વિષે મૂસાએ કહ્યું,
"બધા દીકરાઓ કરતાં આશેર વધારે આશીર્વાદિત થાઓ;
તે પોતાના ભાઈઓને માન્ય થાઓ,
તે પોતાના પગ જૈતૂનનાં તેલમાં બોળો.
25 તારી ભૂંગળો લોખંડ તથા પિત્તળની થશે;
જેવા તારા દિવસો તેવું તારું બળ થશે."
26 હે યશુરૂન, આપણા ઈશ્વર જેવા કોઈ નથી,
તેઓ આકાશમાંથી વાદળો પર સવાર થઈને
પોતાના ગૌરવમાં તમને મદદ કરવા આવશે.
27 સનાતન ઈશ્વર તમારો આશ્રય છે, તારી નીચે અનંત હાથો છે.
તેમણે તારી આગળથી દુશ્મનોને કાઢી મૂક્યા,
અને કહ્યું, "નાશ કર!"
28 ઇઝરાયલ સલામતીમાં રહે,
યાકૂબનો રહેઠાણ [2] એકલો,
ધાન્ય તથા દ્રાક્ષારસના દેશમાં રહે છે,
તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે.
29 હે ઇઝરાયલ, તું આશીર્વાદિત છે!
યહોવાહ જે તારી સહાયની ઢાલ,
તારી ઉત્તમતાની તલવાર
તેનાથી ઉદ્ધાર પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે?
તારા શત્રુઓ જુઠા કરશે;
તું તેઓના ઉચ્ચસ્થાનો [3] ખૂંદી નાખશે.
Footnotes
Chapter 34
1 મૂસા મોઆબના મેદાનમાંથી યરીખોની સામે આવેલા નબો પર્વત પર, પિસ્ગાહના શિખર પર ચઢયો. યહોવાહે તેને દાન સુધીનો આખો ગિલ્યાદ દેશ, 2 આખો નફતાલીનો પ્રદેશ, એફ્રાઇમ તથા મનાશ્શાનો પ્રદેશ, પશ્ચિમ સમુદ્ર સુધીનો યહૂદાનો આખો પ્રદેશ, 3 નેગેબનો પ્રદેશ અને ખજૂરીઓના નગર યરીખોથી સોઆર સુધીનો સપાટ પ્રદેશ બતાવ્યો.
4 યહોવાહે તેને કહ્યું, "જે દેશ વિષે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને સમ ખાઈને કહ્યું હતું કે, 'હું તારા વંશજોને આપીશ તે આ છે.' મેં તે દેશ તને તારી આંખે જોવા દીધો છે, પણ તું તેમાં પ્રવેશ કરવા નહિ પામે." 5 આમ, યહોવાહનો સેવક મૂસા યહોવાહના વચન પ્રમાણે મોઆબની ભૂમિમાં મરણ પામ્યો. 6 યહોવાહે તેને મોઆબના દેશમાં બેથ-પેઓરની સામેની ખીણમાં દફનાવ્યો, પરંતુ આજ સુધી કોઈ તેની કબર વિષે જાણતું નથી.
7 મૂસા મરણ પામ્યો ત્યારે તે એક સો વીસ વર્ષનો હતો. તેના શરીરનું બળ ઓછું થયું નહોતું કે તેની આંખો ઝાંખી થઈ નહોતી. 8 મોઆબના મેદાનમાં ઇઝરાયલીઓએ ત્રીસ દિવસ સુધી મૂસાના માટે શોક પાળ્યો, ત્યાર બાદ મૂસા માટેના શોકના દિવસો પૂરા થયા.
9 નૂનનો દીકરો યહોશુઆ ડહાપણના આત્માથી ભરપૂર હતો, કેમ કે મૂસાએ તેના પર પોતાના હાથ મૂક્યા હતા. તેથી ઇઝરાયલી લોકોએ તેનું સાંભળ્યું અને યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું.
10 ઇઝરાયલમાં મૂસા જેવો કોઈ બીજો પ્રબોધક ઊઠયો નથી, તેની સાથે ઈશ્વર જેને યહોવાહ મુખોપમુખ વાત કરતા હતા. 11 મિસર દેશમાં ફારુન પર તથા તેના ચાકરો પર તથા તેના આખા દેશ પર યહોવાહે તેને જે બધા ચમત્કારો તથા ચિહ્નો કરવા મોકલ્યો તેના જેવો બીજા કોઈ પ્રબોધક નથી. 12 આખી ઇઝરાયલી પ્રજાના દેખતાં મૂસાએ જે મહાન અને આશ્ચર્યજનક કૃત્યો કર્યા, તેવાં કૃત્યો બીજો કોઈ પ્રબોધક કરી શકયો નથી.
Book: Matthew
Matthew
Chapter 1
1 ઈસુ ખ્રિસ્ત જે ઇબ્રાહિમનાં દીકરા, જે દાઉદના દીકરા, તેમની વંશાવળી. 2 ઇબ્રાહિમ ઇસહાકનો પિતા, ઇસહાક યાકૂબનો પિતા, યાકૂબ યહૂદા તથા તેના ભાઈઓનો પિતા, 3 યહૂદા તથા તામારથી થયેલા પેરેસ અને ઝેરાહ, પેરેસ હેસ્રોનનો પિતા, હેસ્રોન આરામનો પિતા.
4 આરામ આમ્મીનાદાબનો પિતા, આમ્મીનાદાબ નાહશોનનો પિતા, નાહશોન સલ્મોનનો પિતા, 5 સલ્મોન બોઆઝનો પિતા અને રાહાબ તેની માતા, બોઆઝ ઓબેદનો પિતા અને રૂથ તેની માતા, ઓબેદ યિશાઈનો પિતા અને 6 યિશાઈ દાઉદ રાજાનો પિતા હતો. દાઉદ સુલેમાનનો પિતા હતો જેની મા પહેલા ઉરિયાની પત્ની હતી.
7 સુલેમાન રહાબામનો પિતા, રહાબામ અબિયાનો પિતા, અબિયા આસાનો પિતા, 8 આસા યહોશાફાટનો પિતા, યહોશાફાટ યોરામનો પિતા, યોરામ ઉઝિયાનો પિતા હતો.
9 ઉઝિયા યોથામનો પિતા, યોથામ આહાઝનો પિતા, આહાઝ હિઝકિયાનો પિતા, 10 હિઝકિયા મનાશ્શાનો પિતા, મનાશ્શા આમોનનો પિતા, આમોન યોશિયાનો પિતા, અને 11 બાબિલના બંદીવાસને સમયે યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓનો પિતા હતો.
12 અને બાબિલના બંદીવાસ પછી, યખોન્યા શાલ્તીએલનો પિતા, શાલ્તીએલ ઝરુબ્બાબેલનો પિતા, 13 ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા, અબીઉદ એલિયાકીમનો પિતા, એલિયાકીમ આઝોરનો પિતા, 14 આઝોર સાદોકનો પિતા, સાદોક આખીમનો પિતા, આખીમ અલિયુદનો પિતા.
15 અલિયુદ એલાઝારનો પિતા, એલાઝાર મથ્થાનનો પિતા, મથ્થાન યાકૂબનો પિતા, અને 16 યાકૂબ યૂસફનો પિતા, યૂસફ જે મરિયમનો પતિ હતો; અને મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જનમ્યાં. 17 ઇબ્રાહિમથી દાઉદ સુધી બધી મળીને ચૌદ પેઢી થઈ, દાઉદથી બાબિલના બંદીવાસ સુધી ચૌદ પેઢી, અને બાબિલના બંદીવાસથી ખ્રિસ્તનાં સમય સુધી ચૌદ પેઢી થઈ.
18 ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. તેમની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થયા પછી, તેઓનો શારીરિક સંબંધ થયા અગાઉ તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ. 19 તેના પતિ યૂસફ એક પ્રામાણિક માણસ હતો, પણ તે જાહેરમાં તેનું અપમાન કરવા ન ચાહતો હતો. તેથી તેને ગુપ્ત રીતે તેની સાથે સગાઈ તોડી નાખવાનો નિર્ણય કર્યો.
20 જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દેખાયો અને કહ્યું કે, “યૂસફ, દાઉદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે. 21 તેને દીકરો થશે અને તું તેમનું નામ ઈસુ પાડશે, કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી ઉદ્ધાર કરશે.”
22 હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય, એટલે, 23 “જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ‘ઈશ્વર આપણી સાથે.”
24 ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના સ્વર્ગદૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું; તે પોતાની પત્નીને તેડી લાવ્યો. 25 મરિયમને દીકરો થયો ત્યાં સુધી યૂસફે મરિયમની સાથે શારીરિક સંબંધ કર્યો નહિ; અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું.
Chapter 2
1 હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જનમ્યાં ત્યારે, જ્ઞાની માણસો પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું કે, 2 “જે બાળક જેનો જન્મ થયો છે, જે યહૂદીઓના રાજા છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને, અમે તેમનું ભજન કરવાને આવ્યા છીએ.” 3 એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું.
4 ત્યાર પછી હેરોદ રાજાએ સર્વ મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને એકત્ર કરીને તેઓને પૂછ્યું કે, “ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?” 5 તેઓએ તેને જવાબ આપ્યો કે, “યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે, 6 ‘ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયલી લોકોના પાળક થશે.’”
7 ત્યારે હેરોદ રાજાએ તે જ્ઞાનીઓને ગુપ્તમાં બોલાવીને, તારો કયા સમયે દેખાયો, તે વિષે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. 8 તેણે તેઓને બેથલેહેમમાં મોકલતાં કહ્યું કે, “તમે જઈને તે બાળક સંબંધી સારી રીતે શોધ કરો અને જયારે તમને મળશે ત્યાર પછી મને જણાવો, એ માટે કે હું પણ આવીને તે બાળકનું ભજન કરું.”
9 તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા અને જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો અને જ્યાં બાળક હતો તે જગ્યા પર આવીને અટકી ગયો. 10 તેઓ તારાને જોઈને ઘણા આનંદથી હરખાયા.
11 ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયું; પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી ખોલીને સોનું, લોબાન તથા બોળ તેને નજરાણું કર્યું. 12 હેરોદ પાસે પાછા જવું નહિ, એવી ચેતવણી સ્વપ્નમાં મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા.
13 તેઓના પાછા ગયા પછી, પ્રભુના સ્વર્ગદૂતે સ્વપ્નમાં યૂસફને કહ્યું કે, “ઊઠ, બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા. હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહેજે, કેમ કે બાળકને મારી નાખવા સારુ હેરોદ તેની શોધ કરવાનો છે.” 14 તે રાત્રે યૂસફ ઊઠીને બાળક તથા તેની માને લઈને મિસરમાં ગયો. 15 અને હેરોદના મરણ સુધી ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય કે, “મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો.”
16 જયારે હેરોદને માલૂમ પડ્યું કે જ્ઞાનીઓએ તેને છેતર્યો છે, ત્યારે તે ઘણો ગુસ્સે થયો અને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે જ્ઞાનીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં સર્વ નર બાળકો જેઓ બેથલેહેમમાં તથા તેના આસપાસના વિસ્તારમાં હતાં, તેઓને મારી નંખાવ્યાં.
17 ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, 18 “રામાની સ્ત્રીઓ રુદન તથા મોટા વિલાપ કરે છે. એટલે તે સ્ત્રીઓની પૂર્વજ રાહેલ પોતાનાં બાળકો માટે રડે છે પણ દિલાસો પામવા ઇચ્છતી નહોતી, કેમ કે તેના સંતાન રહ્યાં ન હતા.”
19 હેરોદના મરણ પછી, પ્રભુના સ્વર્ગદૂતે મિસરમાં યૂસફને સ્વપ્નમાં આવીને કહ્યું કે, 20 “ઊઠ, બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં જા કેમ કે જેઓ બાળકનો જીવ લેવા ઇચ્છતા હતા, તેઓ મૃત્યુ પામ્યા છે.” 21 ત્યારે યૂસફ બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં આવ્યો.
22 પણ આર્ખિલાઉસ પોતાના પિતા હેરોદને સ્થાને યહૂદિયામાં રાજ કરે છે, એ સાંભળીને તે ત્યાં જતા ગભરાયો. તોપણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલીલના પ્રાંત તરફ વળ્યો 23 અને નાસરેથ નામના નગરમાં આવીને રહ્યો. આમ એટલા માટે થયું, જેથી પ્રબોધકોનું કહેલું પૂરું થાય કે તે નાઝીરી કહેવાશે.
Chapter 3
1 તે દિવસોમાં યોહાન બાપ્તિસ્મા કરનાર યહૂદિયાના અરણ્યમાં ઉપદેશ આપતા એમ કહેતો હતો કે, 2 “પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.” 3 કારણ કે તે એ જ છે, જેનાં વિષે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, “અરણ્યમાં પોકારનારની એવી વાણી છે, ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.’”
4 યોહાનનાં વસ્ત્રો ઊંટના વાળનાં હતાં, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા રાની મધ તેનો ખોરાક હતા. 5 ત્યારે યરુશાલેમના, યહૂદિયાના તથા યર્દનના આસપાસના સર્વ પ્રદેશના લોકો તેની પાસે ગયા. 6 તેઓ પોતાનાં પાપો કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.
7 પણ ફરોશીઓમાંના તથા સદૂકીઓમાંના ઘણાંને પોતાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને યોહાને તેઓને કહ્યું કે, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં? 8 પસ્તાવો કરનારાને શોભે તેવા ફળ આપો. 9 તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે, ‘ઇબ્રાહિમ અમારા પિતા છે’, કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાનો ઉત્પન્ન કરી શકે છે.
10 વૃક્ષોના મૂળ પર કુહાડો પહેલેથી જ મુકાયો છે. માટે દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. 11 માટે પસ્તાવાને સારુ હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સામર્થ્યવાન છે, હું તેમના ચંપલ ઊંચકવાને યોગ્ય નથી; તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી તથા અગ્નિથી કરશે. 12 તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને પોતાના ઘઉં વખારમાં ભરશે, પણ ભૂસું, ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.”
13 ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન નદીએ તેની પાસે આવ્યા. 14 પણ યોહાને તેમને અટકાવતાં કહ્યું કે, “તમારાથી તો મારે બાપ્તિસ્મા પામવું જોઈએ અને શું તમે મારી પાસે આવો છો?” 15 પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, “હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઉચિત છે.” ત્યારે યોહાને તેને બાપ્તિસ્મા આપ્યું.
16 જયારે ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી બહાર આવ્યા, અને જુઓ, તેમને સારુ સ્વર્ગો ઉઘાડાયું અને ઈશ્વરના આત્માને કબૂતર રૂપે ઊતરતા તથા પોતા પર આવતા તેમણે જોયા. 17 જુઓ, સ્વર્ગોમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું.”
Chapter 4
1 પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા. 2 ચાળીસ રાતદિવસ ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી. 3 પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું કે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.” 4 પણ ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, “એમ લખેલું છે કે, ‘માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેથી જીવશે.’”
5 ત્યારે શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ ગયો અને ભક્તિસ્થાનના બુરજ પર તેમને ઊભો રાખ્યો, 6 અને તેમને કહ્યું કે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો પોતાને નીચે પાડી નાખ; કેમ કે એમ લખેલું છે કે, ‘ઈશ્વર પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને દૂતો તને પોતાના હાથો પર ધરી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે ન અફળાય.”
7 ઈસુએ તેને કહ્યું, “એમ પણ લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું તું પરીક્ષણ ન કર.’ 8 ફરીથી શેતાન તેને ઘણાં ઊંચા પહાડ ઉપર લઈ ગયો અને દુનિયાના સઘળાં રાજ્યો તથા તેઓનો વૈભવ તેમને બતાવ્યું. 9 અને તેને કહ્યું કે, “જો તું પગે પડીને મારું ભજન કરશે, તો આ સઘળાં હું તને આપીશ.”
10 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “અરે શેતાન, દૂર જા! કેમ કે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેમની જ સેવા કર.’”
11 ત્યારે શેતાન તેમને મૂકીને ગયો; અને સ્વર્ગદૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી.
12 યોહાન બંદીવાન કરાયો છે, એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા આવ્યા. 13 પછી નાસરેથ મૂકીને ઝબુલોનના તથા નફતાલીના પ્રદેશમાંના સમુદ્ર પાસેના કપરનાહૂમમાં તે આવીને રહ્યા.
14 એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે, 15 “ઝબુલોનના પ્રાંત, નફતાલીના પ્રાંત, યર્દન નદીની પેલે પાર, એટલે બિનયહૂદીઓના ગાલીલ! 16 જે લોકો અંધકારમાં જીવતા હતા, તેઓએ મોટું અજવાળું જોયું અને તે વિસ્તારમાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.”
17 ત્યાર પછી ઈસુ ઉપદેશ આપતા કહેવા લાગ્યા કે, “પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”
18 ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતા હતા ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા. 19 ત્યારે ઈસુ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.’ 20 તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા.
21 ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોયા. તે તેઓને બોલાવ્યા, 22 અને તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની પાછળ ગયા.
23 ઈસુ સભાસ્થાનોમાં શિક્ષણ આપતા, રાજ્યની સુવાર્તાનો ઉપદેશ આપતા અને લોકોમાં દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા. 24 ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, અને લોકો તેમની પાસે સઘળાં માંદાઓને, અનેક જાતનાં રોગીઓ અને દર્દીઓને, દુષ્ટાત્મા વળગેલાંઓને, વાઈ તથા લકવાગ્રસ્તથી પીડાતાઓને લાવ્યા; અને તેમણે તેઓને સાજાં કર્યા. 25 ગાલીલથી, દસનગરથી, યરુશાલેમથી, યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા.
Chapter 5
1 ત્યારે ઘણાં લોકને જોઈને ઈસુ પહાડ પર ચઢ્યાં; ત્યાં તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા. 2 તેમણે પોતાનું મુખ ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું કે.
3 “આત્મામાં જેઓ નિર્ધન છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે. 4 જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દિલાસો પામશે. 5 જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. 6 જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ તૃપ્ત થશે. 7 દયાળુઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દયા પામશે. 8 મનમાં જેઓ શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરને જોશે. 9 સુલેહ કરાવનારાંઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે. 10 ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.
11 જયારે લોકો તમારી નિંદા કરશે અને તમને સતાવશે તથા મારે લીધે તમારી વિરુદ્ધ જાત જાતની ખોટી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમે આશીર્વાદિત છો. 12 તમે આનંદ કરો તથા ખૂબ હરખાઓ, કેમ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે. તમારી અગાઉનાં પ્રબોધકોની સાથે લોકો આ રીતે જુલમ કર્યા હતા.
13 તમે માનવજગતનું મીઠું છો; પણ જો મીઠું બેસ્વાદ થયું તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે કશા કામનું નથી. 14 તમે માનવજગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.
15 દીવો કરીને તેને વાસણ નીચે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે. 16 તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારાં સદકૃત્યો જોઈને સ્વર્ગમાંનાં તમારા પિતાનો મહિમા કરે.
17 એમ ન ધારો કે હું નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને આવ્યો છું; હું નાશ કરવા નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું. 18 કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા માત્રા જતી રહેશે નહિ.
19 એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એકને જો કોઈ તોડશે અથવા માણસોને એવું કરવાનું શીખવશે, તો તે સ્વર્ગના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જો કોઈ તે પાળશે અને શીખવશે તે સ્વર્ગના રાજ્યમાં મોટો કહેવાશે. 20 કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ કરશો.
21 ‘હત્યા ન કર’, અને ‘જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે,’ એમ પહેલાંના સમયનાં લોકોએ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે. 22 પણ હવે હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને ‘બેવકૂફ’ કહેશે, તે ન્યાયસભામાં અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે ‘તું મૂર્ખ છે’, તે નરકાગ્નિના જોખમમાં આવશે.
23 એ માટે જો તું તારું અર્પણ યજ્ઞવેદી પાસે લાવે અને જો ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈક છે, 24 તો ત્યાં યજ્ઞવેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પ્રથમ તારા ભાઈની સાથે સુલેહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.
25 જ્યાં સુધી તું તારા દુશ્મનની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે ત્વરિત સમાધાન કર; રખેને તારો દુશ્મન તને ન્યાયાધીશને સોંપે, ન્યાયાધીશ તને સિપાઈને સોંપે અને તને જેલમાં પૂરવામાં આવે. 26 ખરેખર હું તમને કહું છું કે, તમે પૂરેપૂરો દંડ ચૂકવશો નહિ, ત્યાં સુધી તમે ત્યાંથી નીકળશો નહિ.
27 ‘વ્યભિચાર ન કરો’, એમ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે. 28 પણ હું તમને કહું છું કે, સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે ક્યારનુંયે વ્યભિચાર કર્યો છે.
29 જો તારી જમણી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે. 30 જો તારો જમણો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે.
31 ‘જે કોઈ પોતાની પત્નીને છોડી દે તે તેને છૂટાછેડા લખી આપે’, એમ પણ કહેલું હતું. 32 પણ હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને છોડી દે, તે તેની પાસે વ્યભિચાર કરાવે છે; અને જે કોઈ તે ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે.
33 વળી, ‘તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર’, એમ પહેલાના સમયમાં લોકોને કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. 34 પણ હું તમને કહું છું કે, કોઈ પણ પ્રકારના સમ ન ખાઓ; સ્વર્ગના નહિ, કેમ કે તે ઈશ્વરનું રાજ્યાસન છે; 35 પૃથ્વીના નહિ, કેમ કે તે તેમનું પાયાસન છે; અને યરુશાલેમના નહિ, કેમ કે તે મોટા રાજાનું નગર છે.
36 તમે તમારા માથાના પણ સમ ન ખાઓ, કેમ કે તમે એક પણ વાળને પણ સફેદ અથવા કાળો કરી શકતા નથી. 37 પણ તમારું બોલવું તે ‘હા’ તે ‘હા’ અને ‘ના’ તે ‘ના’ હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે દુષ્ટ તરફથી છે.
38 ‘આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. 39 પણ હું તમને કહું છું કે જે દુર્જન હોય તેમની સામા ન થાઓ; પણ જે કોઈ તારા જમણાં ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.
40 જે તારો કોટ લેવા માટેનો દાવો કરીને તને ન્યાયસભામાં લઈ જવા ઇચ્છે, તેને તારું પહેરણ પણ લેવા દે. 41 જે કોઈ તને બળજબરીથી એક માઇલ લઈ જાય, તો તેની સાથે બે માઇલ જા. 42 જે કોઈ તારી પાસે માગે તેને તું આપ અને તારી પાસે જે ઉછીનું લેવા ચાહે, તેનાથી મોં ન ફેરવ.
43 ‘તું તારા પડોશી પર પ્રેમ કર અને તારા દુશ્મન પર દ્વેષ કર’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. 44 પણ હું તમને કહું છું કે તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમને સતાવે છે તેઓને માટે પ્રાર્થના કરો, 45 એ માટે કે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરા થાઓ. કેમ કે તે સૂર્યને દુષ્ટ તથા ભલા પર ઉગાવે છે અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ મોકળે છે.
46 કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શો બદલો મળે? દાણીઓ પણ શું એમ નથી કરતા? 47 જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો, તો તમે વિશેષ શું કરો છો? દેવ વગરના લોકો પણ શું એમ નથી કરતાં? 48 એ માટે જેવા તમારા સ્વર્ગમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે પણ સંપૂર્ણ થાઓ.
Chapter 6
1 માણસો તમને જુએ તે હેતુથી તેઓની આગળ તમારાં ન્યાયી કૃત્યો કરવાથી સાવધાન રહો; નહિ તો સ્વર્ગમાંના તમારા પિતાથી તમને બદલો મળશે નહિ. 2 માટે જયારે તમે દાનધર્મ કરો, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ પોતાની આગળ રણશિંગડું ન વગાડો. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.
3 પણ તમે જયારે દાનધર્મ કરો, ત્યારે જે તમારો જમણો હાથ કરે તે તમારો ડાબો હાથ ન જાણે, 4 એ માટે કે તમારા દાનધર્મ ગુપ્તમાં થાય; ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.
5 જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે ઢોંગીઓનાં જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ, માટે તેઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ચાહે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. 6 પણ જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે તમારી ઓરડીમાં જાઓ, બારણું બંધ કરીને ગુપ્તમાંના તમારા પિતાને પ્રાર્થના કરો; અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે. 7 તમે પ્રાર્થના કરતાં બિનયહૂદીઓની જેમ બકવાસ ન કરો; કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણાં બોલવાથી અમારું સાંભળવામાં આવશે.
8 એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને જરૂર છે, તે તેમની પાસે માગ્યા અગાઉ તમારા પિતા જાણે છે. 9 માટે તમે આ રીતે પ્રાર્થના કરો: “ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ. 10 તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ. 11 દિવસની અમારી રોટલી આજ અમને આપો. 12 જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો. 13 અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.”
14 કેમ કે જો તમે માણસોના અપરાધો તેઓને માફ કરો, તો તમારા સ્વર્ગમાંના પિતા પણ તમને માફ કરશે. 15 પણ જો તમે માણસોને તેઓના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધો પણ માફ નહિ કરે.
16 વળી જયારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની માફક ઊતરી ગયેલા ચહેરાવાળાં ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાના મોં પડી ગયેલા બતાવે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. 17 પણ જયારે તમે ઉપવાસ કરો, ત્યારે તમારા માથા પર તેલ લગાવો અને તમારો ચહેરો ધોઓ, 18 એ માટે કે ફક્ત માણસો ન જાણે કે તમે ઉપવાસ કરી રહ્યા છો, પણ તમારા પિતા જે ગુપ્તમાં છે તેમને તમે ઉપવાસી દેખાય. અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.
19 પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકત્ર ન કરો, ત્યાં તો કીડા તથા કાટ નાશ કરે છે અને ચોરો દીવાલ તોડીને ચોરી જાય છે. 20 પણ તમે પોતાને સારુ સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા અને જ્યાં ચોરો દીવાલ તોડીને ચોરી જતા નથી. 21 કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે, ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.
22 શરીરનો દીવો તે આંખ છે. એ માટે જો તમારી દ્રષ્ટિ સારી હોય, તો તમારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે. 23 પણ જો તમારી દ્રષ્ટિ ખરાબ હોય, તો તમારું આખું શરીર અંધકારથી ભરેલું થશે. માટે તમારામાં જે અજવાળું છે, તે જો અંધકારરૂપ હોય, તો તે અંધકાર કેટલો મોટો!
24 કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ. 25 એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું અથવા શું પીશું; તેમ જ તમારા શરીરને માટે ચિંતા ન કરો કે, અમે શું પહેરીશું? શું જીવ ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી? 26 આકાશના પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, કાપતાં નથી અને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા સ્વર્ગીય પિતા તેઓનું પોષણ કરે છે. તો તેઓ કરતાં તમે અધિક મૂલ્યવાન નથી શું?
27 ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળમાં એકાદ પળનો વધારો કરી શકો છે? 28 વળી વસ્ત્રો સંબંધી તમે ચિંતા કેમ કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી અને કાંતતાં પણ નથી. 29 તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.
30 એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં નંખાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું તેથી વિશેષ નહિ પહેરાવે? 31 માટે ‘અમે શું ખાઈશું?’, ‘શું પીશું?’ અથવા ‘શું પહેરીશું?’ એમ કહેતાં ચિંતા ન કરો.
32 કારણ કે એ સઘળાં વાનાં અવિશ્વાસીઓ શોધે છે; કેમ કે સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે એ બધાની તમને જરૂર છે. 33 પણ તમે પ્રથમ તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો અને એ બધાં વાનાં પણ તમને અપાશે. 34 તે માટે આવતી કાલને સારુ ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે. દિવસને સારુ તે દિવસનું દુઃખ બસ છે.
Chapter 7
1 કોઈનો ન્યાય ન કરો અને તમારો ન્યાય નહિ કરાશે. 2 કેમ કે જે ન્યાય પ્રમાણે તમે ન્યાય કરો તે પ્રમાણે તમારો ન્યાય થશે. જે માપથી તમે માપી આપો છો, તે જ પ્રમાણે તમને માપી અપાશે.
3 તું તારા ભાઈની આંખમાંનું ફોતરાં ધ્યાનમાં લે છે, અને તારી પોતાની આંખમાંનો ભારોટીયો કેમ જોતો નથી? 4 અથવા તું તારા ભાઈને કેવી રીતે કહી શકે કે ‘મને તારી આંખમાંથી ફોતરું કાઢવા દે’; પણ જો, તારી પોતાની જ આંખમાં ભારોટીયો છે? 5 ઓ ઢોંગી! પ્રથમ તું પોતાની જ આંખમાંથી ભારોટીયો કાઢ, ત્યાર પછી તને તારા ભાઈની આંખમાંથી ફોતરું કાઢવાને સારી રીતે દેખાશે.
6 જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો; એમ ન થાય કે તેઓ તે પોતાના પગ તળે છૂંદે અને તમને ફાડી નાખે.
7 માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે સારુ ઉઘાડાશે. 8 કેમ કે જે દરેક માગે છે તેઓ પામે છે; જે શોધે છે તેઓને જડે છે; અને જે કોઈ ખટખટાવે છે, તેઓને માટે દરવાજા ઉઘાડવામાં આવશે. 9 તમારામાં એવી કઈ વ્યક્તિ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે? 10 અથવા જો માછલી માગે, તો તે તેને સાપ આપશે?
11 માટે જો તમે ખરાબ હોવા છતાં, જો પોતાના બાળકોને સારાં વાનાં આપવા જાણો છો, તો તમારા સ્વર્ગમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલી વિશેષે કરીને સારાં વાનાં આપશે? 12 માટે જે કંઈ તમે ઇચ્છો છો કે બીજા લોકો તમારા પ્રત્યે કરે, તેવું તમે પણ તેઓ પ્રત્યે કરો; કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર તે છે.
13 તમે સાંકડે બારણેથી અંદર પ્રવેશો; કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તેનું બારણું પહોળું છે અને ઘણાં તેમાં થઈને પ્રવેશે છે. 14 જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, તેનું બારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.
15 જે જૂઠાં પ્રબોધકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ અંદરથી ફાડી ખાનાર વરુના જેવા છે, તેઓ સંબંધી તમે સાવધાન રહો. 16 તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાનાં ઝાડ પરથી દ્રાક્ષ અથવા ઝાંખરાં પરથી અંજીર તોડે છે? 17 તેમ જ દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે અને ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે.
18 સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી અને ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી. 19 દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. 20 તેથી તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો.
21 જેઓ મને ‘પ્રભુ, પ્રભુ,’ કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશશે. 22 તે દિવસે ઘણાં મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ,’ શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નહોતો? તમારે નામે દુષ્ટાત્માઓને કાઢયાં નહોતાં? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યા નહોતાં? 23 ત્યારે હું તેઓને સ્પષ્ટ કહીશ કે, ‘મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ દુષ્ટકર્મીઓ, તમે મારી પાસેથી દૂર જાઓ!’”
24 એ માટે, જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે, તે એક ડાહ્યા માણસની જેમ છે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. 25 વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં અને તે ઘર પર સપાટા લાગ્યા; પણ તેનો પાયો ખડક પર નાખેલો હોવાથી તે પડ્યું નહિ.
26 જે કોઈ મારી આ વાતો સાંભળે છે પણ પાળતો નથી, તે એક મૂર્ખ માણસની જેમ છે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું. 27 વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં, તે ઘર પર સપાટા લાગ્યા અને તે પડી ગયું; અને તેનો નાશ મોટો થયો.
28 ઈસુ એ વાતો કહી રહ્યા પછી, એમ થયું કે, લોકો તેમના ઉપદેશથી આશ્ચર્ય પામ્યા, 29 કેમ કે શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેવી રીતે તે તેઓને ઉપદેશ કરતા હતા.
Chapter 8
1 જયારે ઈસુ પહાડ પરથી ઊતર્યા, ત્યારે અતિ ઘણાં લોક તેમની પાછળ ગયા. 2 અને જુઓ, એક કુષ્ઠ રોગીએ આવીને તેમને પગે પડીને કહ્યું કે, “ઓ પ્રભુ, જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો.” 3 ત્યારે ઈસુએ પોતાના હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શીને કહ્યું, “હું ચાહું છું, તું શુદ્ધ થા.” અને તરત તે પોતાના કુષ્ઠ રોગથી શુદ્ધ થયો.
4 પછી ઈસુ તેને કહ્યું કે, “જોજે, તું કોઈને કહીશ નહિ; પણ જા, યાજકને જઈને પોતાને બતાવ અને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસાનાં ફરમાવ્યાં પ્રમાણે છે તે ચઢાવ.”
5 ઈસુ કપરનાહૂમમાં આવ્યા, પછી એક શતપતિ તેમની પાસે આવીને વિનંતી કરી કે, 6 “ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે, તેને ભારે પીડા થાય છે.” 7 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “હું આવીને તેને સાજો કરીશ.”
8 શતપતિએ ઉત્તર આપતાં કહ્યું કે, “ઓ પ્રભુ, તમે મારા છાપરા હેઠળ આવો એવો હું યોગ્ય નથી; પણ તમે કેવળ શબ્દ કહો, એટલે મારો ચાકર સાજો થશે. 9 કેમ કે હું પણ કોઈનાં અધિકાર હેઠળ છું અને સિપાઈઓ મારે સ્વાધીન છે. એકને હું કહું છું કે, ‘જા’, ને તે જાય છે; બીજાને કહું છું કે, ‘આવ’ અને તે આવે છે; અને મારા દાસને કહું છું કે, ‘એ પ્રમાણે કર’, ને તે કરે છે.” 10 ત્યારે ઈસુને તે સાંભળીને આશ્ચર્ય થયું, પાછળ આવનારાઓને તેમણે કહ્યું, “હું તમને નિશ્ચે કહું છું કે, આવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.
11 હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણાં લોકો આવશે અને ઇબ્રાહિમની, ઇસહાકની તથા યાકૂબની સાથે સ્વર્ગના રાજ્યમાં જમવા બેસશે. 12 પણ રાજ્યના દીકરાઓ બહારના અંધકારમાં નંખાશે કે, જ્યાં રડવું અને દાંત પીસવું થશે.” 13 ઈસુએ તે શતપતિને કહ્યું કે, “જા! જેવો તેં વિશ્વાસ કર્યો તેવું જ તને થાઓ.” તે જ ઘડી તેનો ચાકર સાજો થયો.
14 ઈસુ પિતરના ઘરમાં આવ્યા, ત્યાં તેમણે તેની સાસુને તાવે બિમાર પડેલી જોઈ. 15 ઈસુ તેના હાથને સ્પર્શ્યા, એટલે તેનો તાવ જતો રહ્યો અને તેણે ઊઠીને તેમની સેવા કરી.
16 સાંજ પડી ત્યારે લોકોએ ઘણાં દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા અને તેમણે શબ્દથી તે દુષ્ટાત્માઓને બહાર કાઢ્યાં, અને સઘળાં માંદાઓને સાજાં કર્યાં. 17 એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, “તેમણે પોતે આપણી માંદગીઓ લીધી અને આપણા રોગો ભોગવ્યા.”
18 ઈસુએ લોકોની મોટી ભીડ પોતાની આસપાસ એકત્ર થયેલો જોયો, ત્યારે તેમણે સરોવરની પેલે પાર જવાની આજ્ઞા કરી. 19 એક શાસ્ત્રીએ પાસે આવીને તેમને કહ્યું કે, “ઓ ઉપદેશક, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.” 20 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “શિયાળોને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.”
21 તેમના શિષ્યોમાંથી બીજાએ તેમને કહ્યું કે, “પ્રભુ, મને રજા આપો કે હું જઈને પહેલાં મારા પિતાને દફનાવીને આવું.” 22 પણ ઈસુએ તેને કહ્યું કે, “તું મારી પાછળ આવ, મરણ પામેલાંઓને પોતાનાં મરણ પામેલાંઓને દફનાવવા દો.”
23 જયારે ઈસુ હોડી પર ચઢ્યાં, ત્યારે તેમના શિષ્યો તેમની પાછળ ગયા. 24 જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું, જેથી હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ; પણ ઈસુ પોતે ઊંઘતા હતા. 25 ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું કે, “ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ!”
26 પછી ઈસુ તેઓને કહ્યું કે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?” પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યાં; અને મહાશાંતિ થઈ. 27 ત્યારે તે માણસોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “એ કયા પ્રકારના માણસ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?”
28 જયારે ઈસુ પેલે પાર ગાડરેનેસના દેશમાં પહોંચ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલાં બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા; તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું નહોતું. 29 જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, “ઓ ઈશ્વરના દીકરા, અમારે ને તમારે શું છે? નિશ્ચિત સમય અગાઉ તમે અમને પીડા દેવાને અહીં આવ્યા છો શું?”
30 હવે તેઓથી થોડેક દૂર ઘણાં ભૂંડોનું એક ટોળું ચરતું હતું. 31 દુષ્ટાત્માઓએ તેમને વિનંતી કરતાં કહ્યું કે, “જો તમે અમને કાઢો તો ભૂંડોના ટોળાંમાં અમને મોકલો.” 32 ઈસુએ તેઓને કહ્યું કે, ‘જાઓ!’ પછી તેઓ નીકળીને ભૂંડોમાં પેઠાં; અને જુઓ, આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ઘસી પડ્યું અને પાણીમાં ડૂબી મર્યું.
33 ત્યારે ચરાવનારા ભાગ્યા, તેઓએ નગરમાં જઈને સઘળું કહી સંભળાવ્યું; સાથે દુષ્ટાત્મા વળગેલાંઓને શું થયું તે પણ કહ્યું. 34 ત્યારે જુઓ, આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું. તેમને જોઈને તેઓએ તેમને વિનંતી કરી કે, અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.
Chapter 9
1 ત્યારે હોડીમાં બેસીને ઈસુ પેલે પાર ગયા, ત્યાર પછી પોતાના નગરમાં આવ્યા. 2 ત્યાં જુઓ, ખાટલે પડેલા એક લકવાગ્રસ્તને લોકો તેમની પાસે લાવ્યા. ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું કે, “દીકરા, હિંમત રાખ, તારાં પાપ તને માફ થયા છે.”
3 ત્યારે શાસ્ત્રીઓમાંના કેટલાકે પોતાના મનમાં કહ્યું કે, “એ દુર્ભાષણ કરે છે.” 4 ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે, “તમે તમારા મનમાં શા માટે દુષ્ટ વિચાર કરો છો? 5 કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે ‘તારાં પાપ તને માફ થયાં છે,’ અથવા એમ કહેવું કે ‘ઊઠીને ચાલ્યો જા?’ 6 પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એ તમે જાણો,” તેથી ઈસુ લકવાગ્રસ્ત માણસને કહ્યું કે “ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.”
7 અને તે ઊઠીને પોતાને ઘરે ગયો. 8 તે જોઈને લોકો આશ્ચર્યચકિત થયા, અને ઈશ્વરે માણસોને એવો અધિકાર આપ્યો છે, એ માટે તેઓએ તેમનો મહિમા કર્યો.
9 ઈસુએ ત્યાંથી જતા માથ્થી નામનો એક માણસને જકાત લેવાની ચોકી પર બેઠેલો જોયો; તેમણે તેને કહ્યું કે, ‘તું મારી પાછળ આવ.’ ત્યારે તે ઊઠીને તેમની પાછળ ગયો.
10 ત્યાર પછી એમ થયું કે, ઈસુ માથ્થીના ઘરે જમવા બેઠા ત્યારે જુઓ, ઘણાં જકાત લેનારાઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેમના શિષ્યોની સાથે બેઠા. 11 ફરોશીઓએ એ જોઈને તેમના શિષ્યોને કહ્યું કે, “તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે કેમ ખાય છે?”
12 ઈસુએ એ સાંભળીને તેઓને કહ્યું કે, “જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે. 13 પણ, ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો શો અર્થ છે, તે જઈને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.”
14 ત્યારે યોહાનના શિષ્યો તેમની પાસે આવીને કહ્યું કે “અમે તથા ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી. એનું કારણ શું?” 15 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “જ્યાં સુધી વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસો આવશે કે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે.
16 વળી નવા વસ્ત્રોનું થીંગડું જૂના વસ્ત્રોમાં કોઈ મારતું નથી, કેમ કે તે થીંગડાથી તે વસ્ત્રો ખેંચાય છે, અને તે વધારે ફાટી જાય છે.
17 વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો મશકો ફાટી જાય છે, દ્રાક્ષારસ ઢોળાઈ જાય છે, અને મશકોનો નાશ થાય છે. પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે, જેથી બન્નેનું રક્ષણ થાય છે.”
18 ઈસુ તેઓને આ વાત કહેતાં હતા, ત્યારે જુઓ, એક અધિકારી આવીને તેમને પગે પડીને કહ્યું કે, “મારી દીકરી હમણાં જ મૃત્યુ પામી છે, પણ તમે આવીને તમારો હાથ તેના પર મૂકો એટલે તે જીવતી થશે.” 19 ત્યારે ઈસુ ઊઠીને પોતાના શિષ્યો સહિત તેની પાછળ ગયા.
20 ત્યારે જુઓ, એક સ્ત્રી જેને બાર વર્ષથી સખત લોહીવા હતો, તે ઈસુની પાછળ આવીને તેમના વસ્ત્રોની કોરને અડકી; 21 કેમ કે તેણે પોતાના મનમાં વિચાર્યું કે, “જો હું માત્ર તેમના વસ્ત્રને અડકું તો હું સાજી થઈ જઈશ.” 22 ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું કે, “દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે;” અને તે સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ.
23 પછી જયારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસળી વગાડનારાઓને તથા લોકોને કકળાટ કરતા જોયા; 24 ત્યારે તેમણે કહ્યું કે, “અહીંથી ચાલ્યા જાઓ; કેમ કે છોકરી મરી ગઈ નથી, પણ ઊંઘે છે.” અને તેઓએ ઈસુની વાતને મજાકમાં કાઢી.
25 લોકોને બહાર કાઢ્યાં પછી, તેમણે અંદર જઈને તેનો હાથ પકડ્યો; અને તે છોકરી ઊઠી. 26 તે વાતની ચર્ચા આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ.
27 ઈસુ ત્યાંથી જતા હતા, તેવામાં બે અંધજનો તેમની પાછળ જઈને બૂમ પાડતાં કહ્યું કે, “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કરો!” 28 ઈસુ ઘરમાં આવ્યા, ત્યારે તે અંધજનો તેમની પાસે આવ્યા. ઈસુએ તેઓને કહ્યું છે કે, “હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું?” તેઓ તેમને કહ્યું કે, ‘હા પ્રભુ.’”
29 ત્યારે ઈસુ તેઓની આંખોને અડકીને કહ્યું કે, “તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ.” 30 તે જ સમયે તેઓની આંખો ઊઘડી ગઈ. પછી ઈસુએ તેઓને કડક આજ્ઞા આપીને કહ્યું કે, “જોજો, કોઈ આ વિષે જાણે નહિ.” 31 પણ તેઓએ બહાર જઈને આખા દેશમાં તેમની કીર્તિ ફેલાવી.
32 તેઓ બહાર ગયા ત્યારે જુઓ, દુષ્ટાત્મા વળગેલાં એક મૂંગા માણસને લોકો તેમની પાસે લાવ્યા. 33 દુષ્ટાત્મા કાઢવામાં આવ્યો ત્યારે તે મૂંગો માણસ બોલ્યો અને લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “ઇઝરાયલમાં આવું કદી જોવામાં આવ્યું નથી!” 34 પણ ફરોશીઓએ કહ્યું કે, “તે દુષ્ટાત્માઓનાં સરદારથી જ દુષ્ટાત્માઓ કાઢે છે.”
35 ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, દરેક પ્રકારનો રોગ તથા દરેક પ્રકારની બીમારી મટાડતા; સઘળાં નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા. 36 લોકોને જોઈને તેમને તેઓ પર અનુકંપા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન તથા નિરાધાર હતા.
37 ત્યારે ઈસુ પોતાના શિષ્યોને કહ્યું કે, “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. 38 એ માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે, તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.”
Chapter 10
1 પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારનો મંદવાડ તથા દરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપી.
2 તે બાર પ્રેરિતોનાં નામ આ છે. પહેલો સિમોન જે પિતર કહેવાય છે, અને તેનો ભાઈ આન્દ્રિયા; ઝબદીનો દીકરો યાકૂબ, તથા તેનો ભાઈ યોહાન; 3 ફિલિપ તથા બર્થોલ્મી; થોમા તથા માથ્થી દાણી; અલ્ફીનો દીકરો યાકૂબ તથા થદી; 4 સિમોન જે અતિ ઝનૂની માણસ હતો તથા યહૂદા ઇશ્કારિયોત, જે ઈસુને પરસ્વાધીન કરનાર હતો.
5 ઈસુએ તે બાર શિષ્યોને મોકલીને એવી આજ્ઞા આપી કે, “તમે વિદેશીઓને માર્ગે ન જાઓ અને સમરૂનીઓના કોઈ નગરમાં ન પેસો. 6 પણ તેના કરતાં ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંની પાસે જાઓ. 7 તમે જતા જતા એમ પ્રગટ કરો કે, ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’”
8 માંદાઓને સાજાં કરો, મૂએલાંઓને સજીવન કરો, રક્તપિત્તના રોગીઓને શુદ્ધ કરો, અને દુષ્ટાત્માઓને કાઢો. તમે મફત પામ્યા છો, મફત આપો. 9 સોનું, ચાંદી કે પિત્તળ તમારા કમરબંધમાં ન રાખો; 10 મુસાફરીને સારુ થેલો, બે અંગરખા, ચંપલ, લાકડી પણ ન લો; કેમ કે મજૂર પોતાના વેતનને યોગ્ય છે.
11 જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો, ત્યાંથી નીકળતાં સુધી તેને ત્યાં રહો. 12 ઘરમાં જઈને તેઓને સલામ કહો. 13 જો તે ઘર યોગ્ય હોય તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો તે ઘર યોગ્ય ન હોય તો તમારી શાંતિ તમારા પર પાછી રહેશે.
14 જો કોઈ તમારો આવકાર નહિ કરે તથા તમારી વાતો નહિ સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તેની ધૂળ તમારા પગ પરથી ખંખેરી નાખો. 15 હું તમને નિશ્ચે કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરના કરતાં સહેલ થશે.
16 જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું; માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરનાં જેવા સાલસ થાઓ. 17 તમે માણસોથી સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાને સોંપશે, અને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે. 18 તેઓને તથા બિનયહૂદીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમને અધિકારીઓની તથા રાજાઓની આગળ લઈ જવાશે.
19 પણ જયારે તેઓ તમને સોંપશે ત્યારે તમે ચિંતા ન કરો કે શી રીતે અથવા શું બોલીએ; કેમ કે શું બોલવું તે તે જ ઘડીએ તમને અપાશે. 20 કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ પિતાનો આત્મા તમારા દ્વારા બોલે છે.
21 ભાઈ ભાઈને તથા પિતા બાળકને મારી નંખાવવાને સોંપી દેશે અને બાળકો માતાપિતાની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે. 22 મારા નામને કારણે સહુ તમારો દ્વેષ કરશે, પણ જે કોઈ અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે. 23 જયારે તેઓ તમને એક નગરમાં સતાવણી કરે ત્યારે તમે બીજામાં ભાગી જાઓ, કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇઝરાયલનાં સઘળાં નગરોમાં તમે ફરી નહિ વળશો.
24 શિષ્ય ગુરુ કરતાં મોટો નથી અને નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી. 25 શિષ્ય પોતાના ગુરુ જેવો અને નોકર પોતાના શેઠ જેવો હોય તો તે જ ઘણું છે. જો ઘરના માલિકને તેઓએ બાલઝબૂલ કહ્યો છે, તો તેના ઘરના લોકોને કેટલું વિશેષે કરીને તેઓ એમ જ કહેશે!
26 તે માટે તેઓથી તમે ગભરાશો નહિ, કેમ કે ઉઘાડું નહિ કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, અને પ્રગટ નહિ થશે એવું કશું ગુપ્ત નથી. 27 હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, તમે કાને જે સાંભળો છો તે ધાબાઓ પરથી પ્રગટ કરો.
28 શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા. પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નર્કમાં કરી શકે છે તેનાથી ગભરાઓ. 29 શું ચકલીઓ બે પૈસે વેચાતી નથી? તોપણ તમારા પિતાની ઇચ્છા વગર તેમાંથી એક પણ જમીન પર પડનાર નથી. 30 તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે. 31 તે માટે ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.
32 માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે, તેને હું પણ મારા સ્વર્ગમાંના પિતાની આગળ કબૂલ કરીશ; 33 પણ માણસોની આગળ જે કોઈ મારો ઇનકાર કરશે, તેનો હું પણ મારા સ્વર્ગમાંના પિતાની આગળ ઇનકાર કરીશ.
34 એમ ન ધારો કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું; શાંતિ તો નહિ, પણ તલવાર લઈને આવ્યો છું. 35 કેમ કે પુત્રને તેના પિતાની વિરુદ્ધ, દીકરીને તેની માની વિરુદ્ધ તથા પુત્રવધૂને તેની સાસુની વિરુદ્ધ કરવાને હું આવ્યો છું. 36 માણસના દુશ્મન તેના ઘરનાં થશે.
37 મારા કરતાં જે પોતાની મા અથવા પોતાના પિતા પર વધારે પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી; અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધારે પ્રેમ કરે છે, તે પણ મારે યોગ્ય નથી. 38 જે પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી તે મારે યોગ્ય નથી. 39 જે પોતાનું જીવન બચાવે છે તે તેને ખોશે, મારે લીધે જે પોતાનું જીવન ગુમાવે છે તે તેને બચાવશે.
40 જે તમારો આવકાર કરે છે તે મારો આવકાર કરે છે, જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે. 41 જે કોઈ વ્યક્તિ પ્રબોધકનો આવકાર કરે છે, કેમ કે તે પ્રબોધક છે, તે પ્રબોધકનું બદલો પામશે; અને જે કોઈ વ્યક્તિ ન્યાયીનો આવકાર કરે છે, કેમ કે તે ન્યાયી છે, તે ન્યાયીનું બદલો પામશે.
42 હું તમને નિશ્ચે કહું છું કે શિષ્યને નામે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપશે તે તેનું બદલો પામ્યા વિના રહેશે જ નહિ.”
Chapter 11
1 ઈસુ પોતાના બાર શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યા, ત્યારે એમ થયું કે શીખવવા તથા ઉપદેશ આપવા તે ત્યાંથી તેઓનાં નગરોમાં ગયા. 2 હવે યોહાને જેલમાં ખ્રિસ્તનાં કાર્યો સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને 3 તેમને પુછાવ્યું કે, “જે આવનાર છે તે તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?”
4 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમે જે જે સાંભળો છો તથા જુઓ છો, તે જઈને યોહાનને કહી બતાવો. 5 અંધજનો દેખતા થાય છે, અપંગો ચાલતા થાય છે, રક્તપિત્તના રોગીઓ શુદ્ધ કરાય છે, બહેરાઓ સાંભળતાં થાય છે; મૃત્યુ પામેલાઓ સજીવન થાય છે, તથા દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે. 6 જે કોઈ મારાથી દૂર ન થાય તે આશીર્વાદિત છે.”
7 જયારે તેઓ જતા હતા ત્યારે ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યા કે, “તમે અરણ્યમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને? 8 પણ તમે શું જોવા નીકળ્યા? શું મુલાયમ વસ્ત્રો પહેરેલા માણસને? ખરેખર, જે એવાં વસ્ત્રો પહેરે છે તેઓ તો રાજમહેલોમાં છે.
9 તો તમે શું જોવા નીકળ્યા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, પ્રબોધક કરતાં જે ઘણાં અધિક છે તેને. 10 જેનાં સંબંધી એમ લખેલું છે કે, ‘જો, હું મારા સંદેશવાહકને તારી આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે.’”
11 હું તમને નિશ્ચે કહું છું કે, જેટલાં સ્ત્રીઓથી જનમ્યાં છે, તેઓમાં યોહાન બાપ્તિસ્મા કરનાર કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી, તોપણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે તે પણ તેના કરતાં મોટો છે. 12 યોહાન બાપ્તિસ્મા કરનારનાં સમયથી તે અત્યાર સુધી સ્વર્ગના રાજ્ય પર બળજબરી થાય છે, તથા બળજબરી કરનારાઓ તેને છીનવી લે છે.
13 કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન સુધી પ્રબોધ કર્યો છે. 14 જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે. 15 જેને સાંભળવાને કાન છે તે સાંભળે.
16 પણ આ પેઢીને હું શાની સાથે સરખાવવું? તે છોકરાંનાં જેવી છે કે, જેઓ બજારોમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે કે 17 ‘અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; ‘અમે શોક કર્યો, પણ તમે રડ્યા નહિ.’”
18 કેમ કે યોહાન ખાતો પીતો નથી આવ્યો, અને તેઓ કહે છે કે,’ તેને દુષ્ટાત્મા વળગ્યો છે.’ 19 માણસનો દીકરો ખાતો પીતો આવ્યો, તો તેઓ કહે છે કે, ‘જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર! પણ જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.’”
20 ત્યારે જે નગરોમાં તેમના પરાક્રમી કામો ઘણાં થયાં હતાં, તેઓએ પસ્તાવો નહિ કર્યો, માટે તે તેઓની ટીકા કરી. 21 “ઓ ખોરાજીન, તને હાય! ઓ બેથસાઈદા તને હાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામ થયાં છે, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હોત. 22 વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતાં સહેલ થશે.
23 ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને પાતાળ સુધી નીચું કરી નંખાશે; કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત. 24 વળી હું તમને કહું કે, ન્યાયકાળે સદોમ દેશને તારા કરતાં સહેલ થશે.”
25 તે વેળા ઈસુએ કહ્યું કે, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા સમજણોથી તમે એ વાતો ગુપ્ત રાખી તથા બાળકોની આગળ પ્રગટ કરી છે. 26 હા, પિતા, કેમ કે તમને તે સારું લાગ્યું. 27 મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે, પિતા સિવાય દીકરાને કોઈ જાણતું નથી અને દીકરા સિવાય પિતાને કોઈ જાણતું નથી, તથા જેમને દીકરો પ્રગટ કરવા ચાહે તેને જ પિતા જાણે છે.
28 ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ. 29 મારી ઝૂંસરી તમે પોતા પર લો, અને મારી પાસેથી શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા દીન છું, તમે તમારા જીવમાં વિસામો પામશો. 30 કેમ કે મારી ઝૂંસરી સહેલી અને મારો બોજો હલકો છે.”
Chapter 12
1 તે વેળાએ ઈસુ વિશ્રામવારે અનાજના ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યોને ભૂખ લાગી, તેઓ કણસલાં તોડવા તથા ખાવા લાગ્યા. 2 ફરોશીઓએ તે જોઈને ઈસુને કહ્યું કે, “જો, વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમારા શિષ્યો કરે છે.”
3 પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જયારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી? 4 તેણે ઈશ્વરના ઘરમાં પેસીને અર્પણ કરેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી, પણ એકલા યાજકોને ઉચિત હતી, તે તેણે ખાધી.
5 અથવા શું નિયમશાસ્ત્રમાં તમે એ નથી વાંચ્યું કે, વિશ્રામવારે ભક્તિસ્થાનમાં યાજકોએ વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષ છે? 6 પણ હું તમને કહું છું કે ભક્તિસ્થાન કરતાં અહીં એક મોટો છે.
7 વળી ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત. 8 કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.”
9 ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા. 10 ત્યારે જુઓ, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ પર દોષ મૂકવા સારુ ફરોશીઓએ તેમને પૂછ્યું કે, “શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?”
11 ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “તમારામાં કયો માણસ એવો છે કે, જેને એક ઘેટું હોય, અને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તેને પકડીને બહાર નહિ કાઢે? 12 તો માણસ ઘેટાં કરતાં કેટલું મૂલ્યવાન છે! એ માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે.”
13 ત્યારે પેલા માણસને ઈસુએ કહ્યું કે, “તારો હાથ લાંબો કર.” તેણે તે લાંબો કર્યો, તરત તેનો હાથ બીજા હાથનાં જેવો સાજો થયો. 14 ત્યારે ફરોશીઓએ નીકળીને તેમને મારી નાખવાને માટે તેમની વિરુદ્ધ મસલત કરી.
15 પણ ઈસુ એ જાણીને ત્યાંથી નીકળી ગયા. ઘણાં લોકો તેમની પાછળ ગયા, અને તેમણે બધાને સાજાં કર્યા. 16 તેઓને કડક આજ્ઞા આપી કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ’, 17 એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે, 18 “જુઓ, મારો સેવક, જેને મેં પસંદ કર્યો; મારો પ્રિય, જેનાં પર મારો જીવ પ્રસન્ન છે. તેના પર હું મારો આત્મા મૂકીશ, અને તે બધા જ જાતિઓનો ન્યાયચુકાદો પ્રગટ કરશે. 19 તે ઝઘડો નહિ કરશે, બૂમ નહિ પાડશે; તેની વાણી રસ્તાઓમાં કોઈ નહિ સાંભળશે. 20 જ્યાં સુધી ન્યાયચુકાદાને તે જયમાં નહિ પહોંચાડે, ત્યાં સુધી છૂંદેલું બરુ તે ભાંગી નહિ નાખશે, ધુમાતું શણ પણ તે નહિ હોલવશે. 21 બધા જ દેશના લોકો તેમના નામ પર આશા રાખશે.”
22 ત્યારે દુષ્ટાત્મા વળગેલાં કોઈ અંધ અને મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા; તેમણે તેને સાજો કર્યો, એટલે જે અંધ તથા મૂંગો હતો તે બોલવા અને જોવા લાગ્યો. 23 સર્વ લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “શું આ દાઉદનો દીકરો હોઈ શકે?”
24 પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું કે, “દુષ્ટાત્માના સરદાર બાલઝબૂલની મદદથી જ તે દુષ્ટાત્માઓને કાઢે છે.” 25 ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે, “દરેક રાજ્ય જે ભાગલા પડે, તે તૂટી પડે છે; તથા દરેક નગર અથવા ઘર જે ભાગલા પડે, તે સ્થિર નહિ રહેશે.
26 જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો; તો પછી તેનું રાજ્ય શી રીતે સ્થિર રહેશે? 27 જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો તમારા લોકો કોની મદદથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે.
28 પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો. 29 વળી બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલાં બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લુટાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે. 30 જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વિખેરી નાખે છે.
31 એ માટે હું તમને કહું છું કે, દરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ કરે તે માણસને માફ નહિ કરાશે. 32 માણસના દીકરા વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરાશે; આ યુગમાં પણ નહિ, અને આવનાર યુગમાં પણ નહિ.
33 ઝાડ સારું કરો અને તેનું ફળ સારું થશે, અથવા ઝાડ ખરાબ કરો અને તેનું ફળ ખરાબ થશે; કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે. 34 ઓ ઝેરી સર્પોના વંશ, તમે દુષ્ટ છતાં સારી વાતો તમારાથી શી રીતે કહી શકાય? કેમ કે મનના ભરપૂરીપણામાંથી મોં બોલે છે. 35 સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ખરાબ માણસ મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે.
36 વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે. 37 કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે; અને તારી વાતોથી અન્યાયી ઠરાવાશે.”
38 ત્યારે કેટલાક શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “ઓ ઉપદેશક, અમે તમારી પાસેથી ચમત્કારિક ચિહ્ન જોવા ચાહીએ છીએ.” 39 પણ ઈસુએ ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, “દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂના પ્રબોધકનાં ચમત્કારિક ચિહ્ન સિવાય કોઈ ચમત્કારિક ચિહ્ન તેને અપાશે નહિ. 40 કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટી માછલીના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પેટાળમાં રહેશે.
41 ન્યાયકાળે નિનવેહના માણસ આ પેઢી સાથે ઊઠીને ઊભા રહેશે અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.
42 દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે; કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી; અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.
43 જયારે અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળે છે ત્યારે તે ઉજ્જડ જગ્યામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો. 44 ત્યારે તે કહે છે કે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ;’ અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું ખાલી તથા શોભાયમાન કરેલું હોય છે. 45 પછી તે જઈને પોતા કરતાં વધારે દુષ્ટ એવા સાત દુષ્ટાત્માઓને પોતાની સાથે લાવે છે, અને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે, ત્યારે તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં વધારે ખરાબ થાય છે. તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે.”
46 ઈસુ લોકોને હજુ વાત કહેતાં હતા એટલામાં જુઓ, તેમની મા તથા તેમના ભાઈઓ બહાર આવીને ઊભા હતાં, અને તેમની સાથે વાત કરવા ચાહતા હતાં. 47 ત્યારે કોઈએ તેમને કહ્યું કે, “જુઓ, તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે, તેઓ તમારી સાથે વાત કરવા ચાહે છે.”
48 પણ પેલા કહેનારને તેમણે ઉત્તર દેતાં કહ્યું કે, “મારી મા કોણ છે? અને મારા ભાઈઓ કોણ છે?” 49 તેમણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લંબાવીને કહ્યું કે, “જુઓ મારી મા તથા મારા ભાઈઓ! 50 કેમ કે મારા સ્વર્ગમાંના પિતાની ઇચ્છા પ્રમાણે જે કોઈ કરે, તે જ મારો ભાઈ, બહેન તથા મા છે.”
Chapter 13
1 તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠા. 2 અતિ ઘણાં લોક તેમની પાસે એકઠા થયા, માટે તે હોડી પર ચઢીને બેઠા; અને સર્વ લોક કિનારે ઊભા રહ્યા.
3 ઈસુએ દ્રષ્ટાંતોમાં તેઓને ઘણી વાતો કહેતાં કહ્યું કે, “જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. 4 તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાના કિનારે પડ્યાં; એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. 5 કેટલાક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી; તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં. 6 પણ જયારે સૂર્ય ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયા, તેને જડ ન હોવાથી તે સુકાઈ ગયા.
7 કેટલાક કાંટાનાં ઝાડવામાં પડ્યાં; કાંટાનાં ઝાડવાએ વધીને તેને દબાવી નાખ્યાં. 8 બીજાં સારી જમીન પર પડ્યાં, તેઓએ ફળ આપ્યાં; કેટલાકે સોગણાં, કેટલાકે સાંઠગણાં, અને કેટલાક ત્રીસગણાં. 9 જેને સાંભળવાને કાન છે તે સાંભળે.”
10 પછી શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, “તમે તેઓની સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલો છો?” 11 ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, “સ્વર્ગના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને આપેલું નથી. 12 કેમ કે જેની પાસે સમજ છે તેને અપાશે, અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે સમજ નથી તેની પાસે જે છે, તે પણ તેની પાસેથી લઈ લેવાશે.
13 એ માટે હું તેઓને દ્રષ્ટાંતોમાં બોલું છું; કેમ કે જોતાં તેઓ જોતાં નથી, સાંભળતાં તેઓ સાંભળતાં નથી, અને સમજતા પણ નથી. 14 યશાયાની ભવિષ્યવાણી તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે કે, ‘તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; અને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ. 15 કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયા છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ રાખી છે, એમ ન થાય કે, તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે, પશ્ચાતાપ કરે અને હું તેઓને સાજાં કરું.’”
16 પણ તમારી આંખો આશીર્વાદિત છે, કેમ કે તેઓ જુએ છે; અને તમારા કાનો આશીર્વાદિત છે, કેમ કે તેઓ સાંભળે છે. 17 હું તમને નિશ્ચે કહું છું કે, તમે જે જે જુઓ છો, તે ઘણાં પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ચાહ્યું, પણ જોયું નહિ; તમે જે જે સાંભળો છો તે સાંભળવા ચાહ્યું, પણ સાંભળ્યું નહિ.
18 હવે વાવનારનું દ્રષ્ટાંત સાંભળો. 19 ‘જયારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, પણ સમજતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું તે છીનવી લઈ જાય છે; રસ્તાની કોરે જે બીજ વાવેલું તે એ જ છે.
20 પથ્થરવાળી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને સ્વીકારી લે છે; 21 તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, જયારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે પાછા પડે છે.
22 કાંટાનાં જાળાંમાં જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ ભૌતિક જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દબાવી નાખે છે, અને તે નિષ્ફળ થઈ જાય છે. 23 સારી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, અને તેને નિશ્ચે ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાંઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે.”
24 ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય એવા માણસના જેવું છે કે જેણે પોતાના ખેતરમાં સારું બી વાવ્યું. 25 પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો દુશ્મન આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. 26 પણ જયારે છોડવા ઊગ્યા, તેમને કણસલાં આવ્યાં, ત્યારે કડવા દાણા પણ દેખાયા.
27 ત્યારે તે માલિકના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે, ‘સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા?’ 28 તેણે તેઓને કહ્યું કે, ‘કોઈ દુશ્મને એ કર્યું છે.’ ત્યારે ચાકરોએ તેને કહ્યું કે, ‘તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ?’”
29 પણ તેણે કહ્યું, ‘ના, એમ ના થાય કે તમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો. 30 કાપણી સુધી બન્નેને સાથે વધવા દો. કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, “તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો, બાળવા સારુ તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.”
31 ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય રાઈના બીજ જેવું છે, જેને એક વ્યક્તિએ લઈને પોતાના ખેતરમાં વાવ્યું. 32 તે સઘળાં બીજ કરતાં નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, તે એવું ઝાડ પણ થાય છે કે આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે.”
33 તેમણે તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય ખમીર જેવું છે કે, જેને એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો.”
34 એ બધી વાતો ઈસુએ લોકોને દ્રષ્ટાંતોમાં કહી; દ્રષ્ટાંત વગર તેમણે તેઓને કંઈ કહ્યું નહિ. 35 એ માટે કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, “હું મારું મુખ ઉઘાડીને દ્રષ્ટાંતો કહીશ, સૃષ્ટિનો પાયો નાખ્યાના વખતથી જે ચૂપ રખાયાં છે તે હું પ્રગટ કરીશ.”
36 ત્યારે લોકોને મૂકીને ઈસુ ઘરમાં ગયા; પછી તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, “ખેતરનાં કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહો.” 37 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “સારું બીજ જે વાવે છે તે માણસનો દીકરો છે. 38 ખેતર દુનિયા છે; સારાં બી રાજ્યના સંતાન છે, પણ કડવા દાણા શેતાનના સંતાન છે; 39 જેણે વાવ્યાં તે દુશ્મન શેતાન છે. કાપણી જગતનો અંત છે, અને કાપનારા સ્વર્ગદૂતો છે.
40 એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતનો અંતે થશે. 41 માણસનો દીકરો પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, પાપમાં પાડનારી બધી વસ્તુઓને તથા દુષ્ટતા કરનારાંઓને તેમના રાજ્યમાંથી તેઓ એકઠા કરશે, 42 અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. 43 ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.
44 વળી સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે; કે જે એક માણસને મળ્યું, પછી તેણે તે સંતાડી રાખ્યું. તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખેતર વેચાતું લીધું.
45 વળી સ્વર્ગનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે. 46 જયારે તેને અતિ મૂલ્યવાન મોતી મળ્યું, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખરીદી લીધું.
47 વળી સ્વર્ગનું રાજ્ય જાળના જેવું છે, જેને સમુદ્રમાં નાખવામાં આવ્યું, અને દરેક જાતનાં સમુદ્રજીવો તેમાં સમેટાયા. 48 જયારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, બેસીને જે સારું હતું તે તેઓએ વાસણમાં એકઠું કર્યું, પણ નરસું ફેંકી દીધું.
49 એમ જ જગતને અંતે પણ થશે; સ્વર્ગદૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદાં પાડશે, 50 અને તેઓ તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.
51 શું તમે એ બધી વાતો સમજ્યા?” તેઓ ઈસુને કહ્યું કે, “હા.” 52 ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “દરેક શાસ્ત્રી જે સ્વર્ગના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરમાલિક કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”
53 ત્યારે એમ થયું કે ઈસુ એ દ્રષ્ટાંતો કહી રહ્યા, ત્યારે તે ત્યાંથી ચાલ્યા ગયા. 54 પછી પોતાના પ્રદેશમાં આવીને તેમણે તેઓના સભાસ્થાનમાં તેઓને એવો બોધ કર્યો કે, તેઓ આશ્ચર્યચકિત થઈને બોલ્યા કે, “આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવાં પરાક્રમી કામો ક્યાંથી? 55 શું એ સુથારના દીકરા નથી? શું એમની માનું નામ મરિયમ નથી? શું યાકૂબ, યૂસફ, સિમોન તથા યહૂદા તેમના ભાઈઓ નથી? 56 શું એમની સઘળી બહેનો આપણી સાથે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?”
57 તેઓ તેમને સ્વીકાર કર્યો નહિ. પણ ઈસુએ તેઓને કહ્યું કે, “પ્રબોધક પોતાના વતનમાં તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી.” 58 તેઓના અવિશ્વાસને લીધે તેમણે ત્યાં ઘણાં પરાક્રમી કામ કર્યા નહિ.
Chapter 14
1 તે સમયે ગાલીલના રાજ્યકર્તા હેરોદે ઈસુની કીર્તિ સાંભળી. 2 તેમણે પોતાના ચાકરોને કહ્યું કે, “આ તો યોહાન બાપ્તિસ્મા કરનાર છે; તે મૃત્યુમાંથી સજીવન થયો છે, એ માટે એવાં પરાક્રમી કામો તેનાથી થાય છે.”
3 કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો અને તેને બાંધીને જેલમાં નાખ્યો હતો. 4 કેમ કે યોહાને તેને કહ્યું હતું કે, “તેને તારે પત્ની તરીકે રાખવી યોગ્ય નથી.” 5 હેરોદે તેને મારી નાખવા ઇચ્છતો હતો, પણ લોકોથી તે બીતો હતો, કેમ કે તેઓ તેને પ્રબોધક ગણતા હતા.
6 પણ હેરોદની વર્ષગાંઠ આવી, ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો. 7 ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે જે કંઈ તે માગશે તે તેને અપાશે.
8 ત્યારે તેની માની સૂચના પ્રમાણે તે બોલી કે, “યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું મને થાળમાં આપો.” 9 હવે રાજા દિલગીર થયો, તોપણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે જમવા બેઠેલાઓને લીધે, તેણે તે આપવાનો હુકમ કર્યો.
10 તેણે માણસોને મોકલીને યોહાનનું માથું જેલમાં કપાવ્યું. 11 અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું. 12 ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેનો મૃતદેહ ઉઠાવી લઈ જઈને તેને દફનાવ્યો અને જઈને ઈસુને ખબર આપી.
13 ત્યારે ઈસુએ સાંભળીને ત્યાંથી હોડીમાં એકાંત જગ્યાએ ગયા. લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા. 14 ઈસુએ નીકળીને ઘણાં લોકોને જોયા, ત્યારે તેઓ પર તેમને અનુકંપા આવી; અને તેમણે તેઓમાંનાં માંદાઓને સાજાં કર્યા.
15 સાંજ પડી ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, “આ જગ્યા ઉજ્જડ છે, હવે સમય થઈ ગયો છે, માટે લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.”
16 પણ ઈસુએ તેઓને કહ્યું કે, “તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને જમવાનું આપો.” 17 તેઓએ તેમને કહ્યું કે, “અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.” 18 ત્યારે ઈસુએ કહ્યું કે, “તે અહીં મારી પાસે લાવો.”
19 પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી. અને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો અને રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને આપી. 20 તેઓ સર્વ જમીને ધરાયાં; પછી ભાણામાં વધેલા કકડાઓની બાર ટોપલી ભરાઈ. 21 જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.
22 પછી તરત તેમણે શિષ્યોને આગ્રહથી હોડીમાં બેસાડ્યા અને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા અને તેણે પોતે લોકોને વિદાય કર્યા. 23 લોકોને વિદાય કર્યા પછી, ઈસુ પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતમાં ગયા અને સાંજ પડી ત્યારે ઈસુ ત્યાં એકલા હતા. 24 પણ તે સમયે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો.
25 રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા. 26 શિષ્યોએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈને કહ્યું, “એ તો કોઈ ભૂત છે” અને બીકથી તેઓએ બૂમ પાડી. 27 પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે, “હિંમત રાખો! એ તો હું છું! ગભરાશો નહિ.”
28 ત્યારે પિતરે તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “પ્રભુ, એ જો તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.” 29 ઈસુએ કહ્યું કે “આવ.” ત્યારે પિતર હોડીમાંથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. 30 પણ પવનને જોઈને તે ગભરાયો અને ડૂબવા લાગ્યો, તેથી તેણે બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, મને બચાવો.”
31 ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહ્યું કે, “અરે અલ્પવિશ્વાસી, તેં શંકા કેમ કરી?” 32 પછી જયારે ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યાં એટલે તરત જ પવન બંધ થયો. 33 હોડીમાં જેઓ હતા તેઓએ તેમનું ભજન કરતાં કહ્યું કે, “ખરેખર તમે ઈશ્વરના દીકરા છો.”
34 તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા. 35 જયારે તે જગ્યાનાં લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેમની પાસે લાવ્યા. 36 તેઓએ ઈસુને વિનંતી કરી કે ‘કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;’ અને જેટલાં અડક્યા તેટલાં સાજાં થયા.
Chapter 15
1 તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ઈસુની પાસે આવીને કહ્યું કે, 2 “તમારા શિષ્યો વડીલોના રિવાજોનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ કે તેઓ હાથ ધોયા વગર ભોજન કરે છે.” 3 પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?”
4 કેમ કે ઈશ્વરે કહ્યું છે કે, ‘તમે તમારા માતાપિતાનું સન્માન કરો’ અને ‘જે કોઈ પોતાના માતાપિતાની નિંદા કરે તે નિશ્ચે માર્યો જાય.’ 5 પણ તમે કહો છો કે, ‘જે કોઈ પોતાના માતાપિતાને કહેશે કે, “જે વડે મારાથી તમને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે,’” 6 તો તેઓ ભલે પોતાના માતાપિતાનું સન્માન ન કરે; એમ તમે તમારા રિવાજથી ઈશ્વરની આજ્ઞાને રદ કરી છે.
7 ઓ ઢોંગીઓ, યશાયા પ્રબોધકે તમારા સંબંધી ઠીક જ કહ્યું છે કે, 8 ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં હૃદય મારાથી વેગળાં જ રહે છે. 9 તેઓની ભક્તિ નિરર્થક છે, કેમ કે તેઓ પોતાના સિદ્ધાંત પ્રમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.’”
10 પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું કે, “સાંભળો અને સમજો. 11 મુખમાં જે જાય છે તે માણસને ભ્રષ્ટ કરતું નથી, પણ મુખમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.”
12 ત્યારે ઈસુના શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, “આ વાત સાંભળીને ફરોશીઓ નારાજ છે, એ શું તમે જાણો છો?” 13 પણ ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, ‘જે રોપા મારા સ્વર્ગીય પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે. 14 તેઓને રહેવા દો, તેઓ અંધ માર્ગદર્શકો છે; અને જો અંધવ્યક્તિ બીજી અંધવ્યક્તિને દોરે તો તેઓ બન્ને ખાડામાં પડશે.
15 ત્યારે પિતરે ઈસુને જવાબ આપતાં કહ્યું કે, “આ દ્રષ્ટાંતનો અર્થ અમને કહો.” 16 ઈસુએ કહ્યું કે, “શું હજી સુધી તમે પણ અણસમજુ છો? 17 શું તમે હજી નથી સમજતા કે મુખમાં જે કંઈ ભોજન લઈએ છીએ, તે પેટમાં જાય છે તેનો બિનઉપયોગી કચરો નીકળી જાય છે?
18 પણ મુખમાંથી જે બાબતો નીકળે છે, તે મનમાંથી આવે છે, અને તે માણસને ભ્રષ્ટ કરે છે. 19 કેમ કે દુષ્ટ કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જાતીય ભ્રષ્ટતા, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા દુર્ભાષણો હૃદયમાંથી નીકળે છે. 20 માણસને જે ભ્રષ્ટ કરે છે તે એ જ છે; પણ હાથ ધોયા વગર ભોજન કરવું એ માણસને ભ્રષ્ટ કરતું નથી.”
21 ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા. 22 જુઓ, એક કનાની સ્ત્રીએ તે વિસ્તારમાંથી આવીને ઊંચે અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો; મારી દીકરી દુષ્ટાત્માથી બહુ પીડા પામે છે.” 23 પણ ઈસુએ તે સ્ત્રીને કંઈ જવાબ આપ્યો નહિ. તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, “તે સ્ત્રીને મોકલી દો, કેમ કે તે આપણી પાછળ બૂમ પાડયા કરે છે.”
24 તેમણે તે સ્ત્રીને ઉત્તર આપ્યો કે, “ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકવામાં આવ્યો નથી.” 25 પછી તે સ્ત્રીએ ઈસુની પાસે આવીને તેમને પગે પડીને કહ્યું કે, “ઓ પ્રભુ, મને મદદ કરો.” 26 તેમણે ઉત્તર આપતાં કહ્યું કે, “છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે ઉચિત નથી.”
27 તે સ્ત્રીએ કહ્યું કે, “ખરું, પ્રભુ, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકોની મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.” 28 ઈસુએ ઉત્તર આપતાં તેને કહ્યું કે, “ઓ બહેન, તારો વિશ્વાસ મોટો છે જેવું તું ચાહે છે તેવું તને થાઓ.” તે જ સમયે તેની દીકરીને સાજાંપણું મળ્યું.
29 પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને બેઠા. 30 ત્યારે કેટલાક પંગુઓ, અંધજનો, મૂંગાંઓ, પગે અપંગ તથા બીજાં ઘણાંઓને લોકો તેમની પાસે લઈને આવ્યા અને ઈસુના પગ પાસે તેઓને લાવ્યા અને તેમણે તેઓને સાજાંપણું આપ્યું. 31 જયારે લોકોએ જોયું કે મૂંગાઓ બોલતાં થયાં છે, અપંગો સાજાં થયાં છે, પાંગળાઓ ચાલતાં થયા છે તથા અંધજનો દેખતા થયાં છે, ત્યારે તેઓએ આશ્ચર્ય પામીને ઇઝરાયલના ઈશ્વરનો મહિમા કર્યો.
32 ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે, “આ લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, તેઓની પાસે કંઈ ખાવા માટે નથી. તેઓને ભૂખ્યા વિદાય કરવાનું હું ઇચ્છતો નથી, એમ ન થાય કે તેઓ રસ્તામાં બેહોશ થઈ જાય.” 33 શિષ્યોએ તેમને કહ્યું કે, આટલા બધા લોકો ભોજનથી તૃપ્ત થાય તેટલું ભોજન અમે આ અરણ્યમાં ક્યાંથી લાવીએ? 34 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ કહ્યું કે, “સાત રોટલી અને થોડીએક નાની માછલીઓ છે.” 35 તેમણે લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી.
36 તેમણે તે સાત રોટલી તથા માછલી લઈ સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપી, શિષ્યોએ લોકોને આપી. 37 સઘળાં ખાઈને તૃપ્ત થયાં; પછી વધેલા કકડાની તેઓએ સાત ટોપલી ભરી. 38 જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ તથા બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષ હતા. 39 લોકોને વિદાય કર્યા પછી ઈસુ હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં આવ્યા.
Chapter 16
1 ફરોશીઓએ તથા સદૂકીઓએ આવીને ઈસુનું પરીક્ષણ કરતાં સ્વર્ગથી કોઈ ચમત્કારિક ચિહ્ન કરી બતાવવાની માંગણી કરી. 2 પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ‘હવામાન સારું થશે, કેમ કે આકાશ લાલ છે.’”
3 સવારે તમે કહો છો કે, ‘આજે વરસાદ પડશે, કેમ કે આકાશ લાલ તથા અંધરાયેલું છે.’ તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોના ચિહ્ન તમે પારખી નથી શકતા. 4 દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાના ચમત્કારિક ચિહ્ન વગર બીજું કોઈ ચમત્કારિક ચિહ્ન તેઓને અપાશે નહિ.” ત્યાર પછી ઈસુ તેઓને મૂકીને ચાલ્યા ગયા.
5 શિષ્યો સરોવરને પેલે પાર ગયા, પરંતુ તેઓ રોટલી લેવાનું ભૂલી ગયા હતા. 6 ઈસુએ તેઓને કહ્યું કે, “ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન થાઓ અને સચેત રહો.” 7 ત્યારે તેઓએ પરસ્પર વિચાર કર્યો કે, “આપણે રોટલી નથી લાવ્યા માટે ઈસુ એમ કહે છે.” 8 ઈસુએ તેમના વિચાર જાણીને તેઓને કહ્યું કે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તે માટે તમે પરસ્પર કેમ વિચારો છો?
9 શું હજી સુધી તમે નથી સમજતા? પેલા પાંચ હજાર પુરુષ માટે પાંચ રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું શું તમને સ્મરણ નથી? 10 વળી પેલા ચાર હજાર પુરુષ માટે સાત રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું પણ શું તમને સ્મરણ નથી?
11 તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન રહો એમ મેં કહ્યું હતું.” 12 ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહિ, પરંતુ ફરોશીઓના તથા સદૂકીઓના ઉપદેશ વિષે સાવધાન રહેવાનું તેમણે કહ્યું હતું.
13 ઈસુએ કાઈસારિયા ફિલિપ્પીના વિસ્તારમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે, “માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?” 14 ત્યારે તેઓએ કહ્યું કે, “કેટલાક કહે છે, યોહાન બાપ્તિસ્મા કરનાર, કેટલાક એલિયા, કેટલાક યર્મિયા, અથવા પ્રબોધકોમાંના એક.” 15 ઈસુ તેઓને પૂછ્યું, “પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?” 16 ત્યારે સિમોન પિતરે જવાબ આપતાં કહ્યું કે, “તમે ખ્રિસ્ત, જીવતા ઈશ્વરના દીકરા છો.”
17 ઈસુએ જવાબ આપતાં સિમોન પિતરને કહ્યું કે, સિમોન યૂનાપુત્ર, “તું આશીર્વાદિત છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાએ તને એ જણાવ્યું છે. 18 હું પણ તને કહું છું કે તું પિતર છે અને આ પથ્થર પર હું મારી મંડળી સ્થાપીશ, તેની વિરુદ્ધ પાતાળની સત્તાનું જોર ચાલશે નહીં.
19 આકાશના રાજ્યની ચાવીઓ હું તને આપીશ, પૃથ્વી પર જે કંઈ તું બાંધીશ, તે સ્વર્ગમાં બંધાશે; અને પૃથ્વી પર તું જે કંઈ છોડીશ, તે સ્વર્ગમાં પણ છોડાશે.” 20 તે ખ્રિસ્ત છે તેવું કોઈને પણ નહિ જણાવવા ઈસુએ તેના શિષ્યોને આજ્ઞા આપી.
21 ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવાં લાગ્યા કે, તેણે યરુશાલેમમાં જવું પડશે. વડીલો, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું દુઃખ સહન કરવી પડશે, માર્યો જશે અને ત્રીજે દિવસે પાછા મૃત્યુમાંથી સજીવન થશે. 22 પિતર તેમને એક બાજુ પર લઈ જઈને ઠપકો દેવા લાગ્યો અને કહ્યું કે, “અરે પ્રભુ, એ તમારાથી દૂર રહે; એવું તમને કદાપિ ન થાઓ.” 23 પણ તેમણે પાછળ ફરીને પિતરને કહ્યું કે, “અરે શેતાન, મારી પછવાડે જા! તું મને અડચણ છે; કેમ કે ઈશ્વરની વાતો પર નહિ, પણ માણસોની વાતો પર તું મન લગાડે છે.”
24 પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “જો કોઈ મને અનુસરવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 25 કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે. 26 કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે અને પોતાનું જીવન ગુમાવે, તો તેને શો લાભ થશે? વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે?
27 કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના સ્વર્ગદૂતો સહિત આવશે, ત્યારે તે દરેકને તેમના કાર્યો પ્રમાણે બદલો ભરી આપશે. 28 હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.”
Chapter 17
1 છ દિવસ પછી ઈસુએ પિતર, યાકૂબ તથા તેના ભાઈ યોહાનને લઈને એક ઊંચા પહાડ પર ચાલ્યા ગયા. 2 તેઓની આગળ તેમનું રૂપાંતર થયું, એટલે તેમનું મુખ સૂર્યના જેવું તેજસ્વી થયું અને તેમના વસ્ત્ર અજવાળાનાં જેવા શ્વેત થયા.
3 જુઓ, મૂસા તથા એલિયા તેમની સાથે વાતો કરતાં તેઓને દેખાયા. 4 પિતરે ઈસુને કહ્યું કે, “પ્રભુ, આપણે અહીં રહીએ તે સારું છે. જો તમારી ઇચ્છા હોય તો હું અહીં ત્રણ મંડપ બાંધુ; એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે.”
5 તે બોલતો હતો એટલામાં, જુઓ, એક ચળકતી વાદળી તેઓ પર આચ્છાદિત થઈ; અને વાદળીમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.” 6 શિષ્યો એ સાંભળીને બહુ ગભરાયા, અને ઊંધે મોઢે જમીન પર પડયા. 7 ઈસુએ તેઓની પાસે આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું કે, “ઊઠો, અને બીશો નહિ.” 8 તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ અન્ય કોઈને જોયા નહિ.
9 જયારે તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, “આ જે તમે જોયું તે જ્યાં સુધી માણસનો દીકરો મરણમાંથી પાછો સજીવન થાય ત્યાં સુધી કોઈને કહેશો નહિ.” 10 તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, “શાસ્ત્રીઓ કેમ કહે છે કે, એલિયાએ પ્રથમ આવવું જોઈએ?”
11 ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “એલિયા ખરેખર આવશે અને સઘળું વ્યવસ્થિત કરશે. 12 પણ હું તમને કહું છું કે, “એલિયા આવી ચૂક્યા છે, તોપણ તેઓએ તેને ઓળખ્યા નહિ, પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું; તેમ જ માણસનો દીકરો પણ તેઓથી દુઃખ સહન કરશે.” 13 ત્યારે શિષ્યો સમજ્યા કે યોહાન બાપ્તિસ્મા કરનાર સંબંધી તેમણે તેઓને કહ્યું હતું.
14 જયારે તેઓ લોકોની ભીડ પાસે આવ્યા, ત્યારે એક વ્યક્તિએ ઈસુની પાસે આવીને તેમની આગળ ઘૂંટણે પડીને કહ્યું કે, 15 “ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કરો; કેમ કે તેને વાઈનુ દર્દ છે, તેથી તે ઘણો પીડાય છે; અને તે ઘણીવાર અગ્નિમાં તથા પાણીમાં પડે છે. 16 તેને હું તમારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહીં.”
17 ત્યારે ઈસુએ જવાબ આપ્યો કે, “ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.” 18 પછી ઈસુએ તે દુષ્ટાત્માને ધમકાવ્યો, અને તે તેનામાંથી નીકળી ગયો; તે જ સમયે તે છોકરો સાજો થયો.
19 પછી શિષ્યો એકાંતમાં ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તેને કેમ કાઢી ન શક્યા?” 20 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમારા અવિશ્વાસને લીધે; કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, ‘તું અહીંથી ત્યાં ખસી જા’ અને તે ખસી જશે; અને તમારા માટે કંઈ અશક્ય નહિ હોય. 21 [પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી.”]
22 જયારે તેઓ ગાલીલમાં રહેતા હતા ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે; 23 તેઓ તેને મારી નાખશે, પણ ત્રણ દિવસ પછી તે પાછો ઊઠશે.” ત્યારે શિષ્યોએ બહુ દિલગીર થયા.
24 પછી તેઓ કપરનાહૂમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિતરની પાસે આવીને કહ્યું કે, “શું તમારો ઉપદેશક ભક્તિસ્થાનના કરનાં પૈસા નથી આપતા?” 25 પિતરે કહ્યું કે, “હા.” અને તે ઘરમાં આવ્યો ત્યારે તેના બોલવા અગાઉ ઈસુએ કહ્યું કે, “સિમોન, તને શું લાગે છે, દુનિયાના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પરદેશીઓ પાસેથી?”
26 પિતરે ઈસુને કહ્યું કે, “પરદેશીઓ પાસેથી.” ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તો પછી દીકરાઓ તો કરમુક્ત છે. 27 રખેને આપણે તેઓને અપમાન કરીએ, તું સમુદ્રકિનારે જઈને ગલ નાખ; અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, જયારે તું તેનું મુખ ઉઘાડશે ત્યારે તેમાંથી તને પૈસા મળશે, તે લઈને મારે અને તારે માટે તેઓને આપ.”
Chapter 18
1 તે જ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?” 2 ત્યારે ઈસુએ એક બાળકને પોતાની પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને 3 તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે તમારું બદલાણ નહિ કરો, અને બાળકોના જેવા નહિ થાઓ તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ કરી શકો.
4 માટે જે કોઈ પોતાને આ બાળકના જેવો નમ્ર કરશે, તે સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે. 5 વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે.
6 પણ આ નાનાંઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે વ્યક્તિ પાપ કરવા પ્રેરે, તે કરતાં તેના ગળે ભારે પથ્થર બંધાય અને સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે. 7 માનવજગતને અફસોસ છે! કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની અગત્ય છે. પણ તે વ્યક્તિને અફસોસ છે જે બીજાને પાપ કરાવવા જવાબદાર છે! 8 માટે જો તારો હાથ અથવા પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંતઅગ્નિમાં નંખાય, તેના કરતાં હાથ અથવા પગે અપંગ થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
9 જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બન્ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, તેના કરતાં એક આંખ સાથે જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.
10 સાવધાન રહો કે આ નાનાઓમાંના એકનો પણ અનાદર તમે ન કરો, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના સ્વર્ગદૂત મારા સ્વર્ગમાંના પિતાનું મુખ સદા જુએ છે. 11 [કેમ કે જે ખોવાયેલું છે તેને બચાવવાને માણસનો દીકરો ઈસુ આવ્યો છે.]
12 તમે શું ધારો છો? જો કોઈ વ્યક્તિની પાસે સો ધેટાં હોય અને તેમાંથી એક ભૂલું પડે, તો શું નવ્વાણુંને પહાડ પર મૂકીને તે ભૂલાં પડેલાં ઘેટાંને શોધવા જતો નથી? 13 જો તે તેને મળે તો હું તમને નિશ્ચે કહું છું કે, જે નવ્વાણું ભૂલાં પડેલાં ન હતાં, તેઓના કરતાં તેને લીધે તે વધારે ખુશ થાય છે. 14 એમ આ નાનાંઓમાંથી એકનો નાશ થાય, એવી તમારા સ્વર્ગમાંના પિતાની ઇચ્છા નથી.
15 વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા અને તેને એકાંતમાં લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે. 16 પણ જો તે ન સાંભળે, તો બીજા એક બે માણસને તારી સાથે લે, એ માટે કે દરેક બાબત બે અથવા ત્રણ સાક્ષીઓના મુખથી સાબિત થાય.
17 જો તે તેઓનું માન્ય ન રાખે, તો મંડળીને કહે અને જો તે વિશ્વાસી સમુદાયનુ પણ માન્ય ન રાખે તો તેને બિનયહૂદીઓ તથા દાણીઓનાં જેવા ગણ.
18 હું તમને નિશ્ચે કહું છું કે, જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો, તે સ્વર્ગમાં બંધાશે; અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો, તે સ્વર્ગમાં છોડાશે. 19 વળી હું તમને સાચે જ કહું છું કે, જો પૃથ્વી પર તમારામાંના બે જણ કંઈ પણ બાબત સંબંધી એક ચિત્તના થઈને માગશે, તો મારા સ્વર્ગમાંના પિતા તેઓને માટે એવું કરશે. 20 કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની મધ્યે હું છું.”
21 ત્યારે પિતરે ઈસુની પાસે આવીને કહ્યું કે, “ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે અને હું તેને માફ કરું? શું સાત વાર સુધી?” 22 ઈસુએ તેને કહ્યું કે, “સાત વાર સુધીનું હું તને કહેતો નથી, પણ સિત્તેરગણી સાત વાર સુધી કહું છું.
23 એ માટે સ્વર્ગના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ માગ્યો. 24 તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓ એક દેવાદારને તેમની પાસે લાવ્યા જેણે જીવનભર કમાય તો પણ ના ભરી શકે તેટલું દેવું હતું. 25 પણ પાછું આપવાનું તેની પાસે કંઈ નહિ હોવાથી, તેના માલિકે તેને, તેની પત્ની, તેનાં બાળકોને તથા તેની પાસે જે હતું તે સઘળું વેચીને દેવું ચૂકવવાની આજ્ઞા કરી.
26 એ માટે તે ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, ‘માલિક, ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી આપીશ.’ 27 ત્યારે તે ચાકરનાં માલિકને અનુકંપા આવી તેથી તેણે તેને જવા દીધો અને તેનું દેવું માફ કર્યું.
28 પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો જેને, ત્રણ મહિનાના પગાર જેટલું દેવું હતું, ત્યારે તેણે તેનું ગળું પકડીને કહ્યું કે, ‘તારું દેવું ચૂકવ.’ 29 ત્યારે તેના સાથી ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, ‘ધીરજ રાખ અને હું તારું દેવું ચૂકવી આપીશ.’”
30 તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું ચૂકવે નહિ ત્યાં સુધી તેણે તેને જેલમાં પુરાવ્યો. 31 ત્યારે જે થયું તે જોઈને તેના સાથી ચાકરો ઘણાં દિલગીર થયા, તેઓએ જઈને તે સઘળું પોતાના માલિકને કહી સંભળાવ્યું.
32 ત્યારે તેના માલિકે તેને બોલાવીને કહ્યું કે, ‘અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તારું તે બધું દેવું માફ કર્યું. 33 મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત નહોતી?’”
34 તેના માલિકે ગુસ્સે થઈને તેનું બધું દેવું ચૂકવે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો. 35 એ પ્રમાણે જો તમે પોતપોતાનાં ભાઈઓના અપરાધ તમારાં હૃદયપૂર્વક માફ નહિ કરો, તો મારા સ્વર્ગીય પિતા પણ તમને એમ જ કરશે.”
Chapter 19
1 ઈસુએ એ વાતો પૂરી કર્યા પછી એમ થયું કે, તે ગાલીલથી નીકળીને યર્દન નદીને પેલે પાર યહૂદિયાના પ્રદેશમાં આવ્યા. 2 અતિ ઘણાં લોક તેમની પાછળ ગયા અને ત્યાં તેમણે તેઓને સાજાં કર્યા.
3 ફરોશીઓએ તેમની પાસે આવીને તેમનું પરીક્ષણ કરતાં પૂછ્યું કે, “કોઈ પણ કારણને લીધે શું પુરુષે પત્નીને છોડી દેવી ઉચિત છે?” 4 ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, “શું તમે એમ નથી વાંચ્યું કે, જેમણે તેઓને ઉત્પન્ન કર્યાં, તેમણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્ન કર્યા?
5 અને કહ્યું કે ‘તે કારણને લીધે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે, અને તે બન્ને એક દેહ થશે?’ 6 માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેમને જોડ્યાં છે તેમને માણસોએ જુદા ન પાડવાં.”
7 તેઓએ ઈસુને કહ્યું કે, “તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે, ફારગતીનું પ્રમાણપત્ર આપીને તેને મૂકી દેવી?” 8 ઈસુએ તેઓને કહ્યું કે, “મૂસાએ તમારાં હૃદયની કઠોરતાને લીધે તમને તમારી પત્નીઓને મૂકી દેવા દીધી, પણ આરંભથી એવું ન હતું. 9 હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને ત્યજીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે, તો તે વ્યભિચાર કરે છે; અને જો કોઈ ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તો તે પણ વ્યભિચાર કરે છે.”
10 તેમના શિષ્યોએ તેમને કહ્યું કે, “જો પુરુષની તેની પત્ની સંબંધી આ સ્થિતિ હોય, તો લગ્ન કરવું સારું નથી.” 11 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “બધાથી એ વાત પળાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ. 12 કેમ કે કેટલાક નપુંશક છે કે જેઓ પોતાની માતાઓથી જ એવા જન્મેલાં છે. કેટલાક એવા છે કે જેઓને માણસોએ નપુંશક બનાવ્યા છે; વળી કેટલાક એવા છે કે જેઓએ સ્વર્ગના રાજ્યને લીધે પોતાની જાતને જ નપુંશક તરીકે કર્યા છે. જે સ્વીકારી શકે છે તે આ વાત સ્વીકારે.”
13 ત્યાર પછી તેઓ બાળકોને તેમની પાસે લાવ્યા, એ માટે કે તે તેઓ પર હાથ મૂકીને પ્રાર્થના કરે; પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. 14 પણ ઈસુએ કહ્યું કે, “બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય એવાઓનું છે.” 15 તેઓ પર હાથ મૂક્યા પછી તે ત્યાંથી ગયા.
16 ત્યાર પછી, કોઈકે ઈસુની પાસે આવીને કહ્યું કે, “ઉપદેશક, અનંતજીવન પામવા માટે હું શું સારું કરું?” 17 ત્યારે તેમણે તે વ્યક્તિને કહ્યું, “તું મને સારાં વિષે કેમ પૂછે છે? સારો તો એક જ છે, પણ જો તું જીવનનાં માર્ગમાં પ્રવેશવા ચાહે છે, તો આજ્ઞાઓ પાળ.”
18 તે વ્યક્તિએ ઈસુને કહ્યું કે, ‘કઈ આજ્ઞાઓ?’ ત્યારે ઈસુએ કહ્યું કે, “તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર, 19 પોતાનાં માતાપિતાને માન આપ, પોતાના પડોશી પર પોતાના જેવો પ્રેમ કર.”
20 તે જુવાને તેમને કહ્યું કે, “એ બધી આજ્ઞાઓ તો હું પાળતો આવ્યો છું; હજી મારામાં શું ખૂટે છે?” 21 ઈસુએ તે જુવાનને કહ્યું કે, “જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારું જે છે તે વેચી નાખ અને ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; અને આવીને મારી પાછળ ચાલ.” 22 પણ તે જુવાન એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.
23 ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે ધનવાનને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે. 24 વળી હું તમને ફરી કહું છું કે ‘ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.”
25 ત્યારે તેમના શિષ્યોએ તે સાંભળીને ઘણાં અચરત થયા અને કહેવા લાગ્યા કે, “તો કોણ ઉદ્ધાર પામી શકે?” 26 પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું કે, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.” 27 ત્યારે પિતરે ઈસુને જવાબ આપ્યો કે, “અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?”
28 ઈસુએ તેઓને કહ્યું, “હું તમને નિશ્ચે કહું છું કે, જયારે પુનઃઆગમનમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયલનાં બાર કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બિરાજશો.
29 જે કોઈએ ઘરોને, ભાઈઓને, બહેનોને, પિતાઓને, માતાઓને, બાળકોને, કે ખેતરોને મારા નામને લીધે પાછળ મૂકી દીધાં છે, તે સોગણાં પામશે અને અનંતજીવનનો વારસો પામશે. 30 પણ ઘણાં જેઓ પ્રથમ તેઓ છેલ્લાં થશે; અને જેઓ છેલ્લાં તેઓ પ્રથમ થશે.”
Chapter 20
1 કેમ કે સ્વર્ગનું રાજ્ય એક જમીનદાર જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને માટે મજૂરો નક્કી કરવાને વહેલી સવારે બહાર ગયો. 2 તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા.
3 તે દિવસના આશરે સવારના ત્રણ કલાકે બહાર જઈને તેણે ચોકમાં બીજાઓને કામની શોધમાં ઊભા રહેલા જોયા. 4 ત્યારે માલિકે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ અને જે કંઈ ઉચિત હશે, તે હું તમને આપીશ.’ ત્યારે તેઓ ગયા.
5 વળી તે જ દિવસે આશરે બાર કલાકે અને ત્રણ કલાકે ફરીથી બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. 6 ત્યાર પછી આશરે અગિયારમાં કલાકે પણ તેણે બહાર જઈને બીજાઓને કામ મળવાની રાહમાં ઊભેલા જોયા; તે માલિક તેઓને કહ્યું કે, ‘આખો દિવસ તમે કેમ અહીં કામ વગરનાં ઊભા રહો છો?’ 7 તેઓએ તેને કહ્યું કે, ‘કેમ કે કોઈએ અમને મજૂરીએ રાખ્યા નથી.’ તેણે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.’”
8 સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો માલિક પોતાના કારભારીને કહ્યું કે, ‘મજૂરોને બોલાવીને છેલ્લી વ્યક્તિથી માંડીને તે પહેલી વ્યક્તિ સુધીનાઓને તેઓનું વેતન આપ.’ 9 જેઓને આશરે અગિયારમાં કલાકે કામ પર રાખ્યા હતા, તેઓ જયારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર આપવામાં આવ્યો. 10 પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ ધારતા હતા કે અમને વધારે મળશે; પરંતુ તેઓને પણ એક દીનાર અપાયો.
11 ત્યારે તે લઈને તેઓએ જમીનદારની વિરુદ્ધ કચકચ કરી. 12 અને કહ્યું કે, ‘આ મોડેથી આવનારાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે અને અમે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરી, તેમ છતાં તેં તેઓને અમારી બરોબર ગણ્યા છે.’”
13 પણ તેણે તેઓમાંના એકને જવાબ આપ્યો કે, મિત્ર, હું તને કશો અન્યાય નથી કરતો; શું તે મારી સાથે એક દીનાર નક્કી કર્યો નહોતો? 14 તારું જે છે તે લઈને ચાલ્યો જા; જેટલું તને તેટલું આ છેલ્લાઓને પણ આપવાની મારી મરજી છે.
15 જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ દુષ્ટ છે શું?’ 16 એમ જેઓ છેલ્લાં તેઓ પહેલાં અને જેઓ પહેલાં તેઓ છેલ્લાં થશે.”
17 ઈસુએ યરુશાલેમ જતા, રસ્તા પર બાર શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું કે, 18 જુઓ, “આપણે યરુશાલેમ જઈએ છીએ, માણસના દીકરાને મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને હાથે પરાધીન કરાશે અને તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે 19 અને ઠઠ્ઠામશ્કરી કરવાને, કોરડા મારવાને, વધસ્તંભે જડવાને તેઓ તેમને બિનયહૂદીઓને સોંપશે; અને ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે.”
20 ત્યારે ઝબદીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે ઈસુની પાસે આવીને તથા પગે પડીને તેમની પાસે કંઈક માગણી કરી. 21 ઈસુએ તેમને કહ્યું કે, “તમે શું ચાહો છો?” તેને તેમને કહ્યું કે, “તમારા રાજ્યમાં આ મારા બે દીકરામાંનો એક તમારે જમણે હાથે અને બીજો તમારે ડાબે હાથે બેસે, એવી આજ્ઞા તમે કરો.”
22 પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, “તમે જે માગો છો તે તમે સમજતા નથી; જે પ્યાલો હું પીવાનો છું તે તમે પી શકો છો?” તેઓએ તેમને કહ્યું કે, “અમે પી શકીએ છીએ.” 23 તેમણે તેઓને કહ્યું કે, “તમે મારો પ્યાલો પીશો ખરા, પણ જેઓને માટે મારા પિતાએ તૈયાર કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવા દેવા એ મારા અધિકારમાં નથી.” 24 જયારે બીજા દસ શિષ્યોએ તે સાંભળ્યું ત્યારે તેઓ બન્ને ભાઈઓ પર ગુસ્સે થયા.
25 પણ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું કે, “તમે જાણો છો કે વિદેશીઓના કર્તાઓ તેઓ પર સત્તા ચલાવે છે. અને જે મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે. 26 પણ તમારામાં એવું ન થાય. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો ચાકર થાય; 27 અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય; 28 જેમ માણસનો દીકરો સેવા કરાવવા નહિ, પણ સેવા કરવાને, તથા ઘણાં લોકોના મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”
29 જયારે તેઓ યરીખોમાંથી નીકળતા હતા, ત્યારે લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ચાલતો હતો. 30 જુઓ, બે અંધજનો રસ્તાની બાજુએ બેઠા હતા, ઈસુ તેઓની પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ ઊંચા અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કરો.” 31 પણ લોકોએ તેઓને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું, પણ તેઓએ વધારે મોટેથી બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા ઉપર દયા કરો.”
32 ત્યારે ઈસુએ ઊભા રહીને તેઓને બોલાવીને કહ્યું કે, “હું તમારે માટે શું કરું, એ વિષે તમારી શી ઇચ્છા છે?” 33 તેઓએ તેમને કહ્યું કે, “પ્રભુ, અમારી આંખો ઉઘાડો.” 34 ત્યારે ઈસુને અનુકંપા આવી, અને તે તેઓની આંખોને અડક્યા અને તરત તેઓ દેખતા થયા અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા.
Chapter 21
1 જયારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા અને તેઓ જૈતૂન નામના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલીને 2 કહ્યું કે, “તમે સામેના ગામમાં જાઓ, તેમાં પ્રવેશતા જ તમને બાંધેલી એક ગધેડી તથા તેની પાસે બચ્ચું જોવા મળશે; તેઓને છોડીને મારી પાસે લાવો. 3 જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે, ‘પ્રભુને તેઓની જરૂર છે,’ એટલે તે તેઓને તરત જ મોકલી દેશે.”
4 હવે આ એટલા માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, 5 “સિયોનની દીકરીને એમ કહો કે, જુઓ, તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડા પર, હા, ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર, સવાર થઈને આવે છે.”
6 ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને જે ફરમાવ્યું હતું તેમ કર્યું. 7 તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા અને પોતાના વસ્ત્ર તેઓ પર નાખ્યાં, અને ઈસુ તેના પર સવાર થયા. 8 લોકોમાંના ઘણાંખરાએ પોતાના વસ્ત્ર રસ્તામાં પાથર્યા, બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી.
9 હવે આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે, “દાઉદના દીકરાને હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!” 10 તેઓ જયારે યરુશાલેમમાં આવ્યા ત્યારે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું કે, ‘એ કોણ છે?’ 11 ત્યારે લોકોએ કહ્યું કે, “ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાસરેથના, તે એ છે.”
12 પછી ઈસુ ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા. ત્યાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા; અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં. 13 ઈસુએ તેઓને કહ્યું કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે,’ એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર બનાવ્યું છે.” 14 ત્યાર પછી અંધજનો તથા અપંગો તેમની પાસે ભક્તિસ્થાનમાં આવ્યા અને તેમણે તેઓને સાજાં કર્યા.
15 પણ જે ચમત્કારો તેમણે કર્યા, તથા જે બાળકો ભક્તિસ્થાનમાં મોટા અવાજે ‘દાઉદના દીકરાને હોસાન્ના’ પોકારતા હતાં, તેઓને જયારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા. 16 તેઓએ ઈસુને કહ્યું કે, “તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?” ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‘હા!’ “બાળકોના તથા નવજાત શિશુઓના મુખથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?” 17 પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને ઈસુએ રાતવાસો કર્યો.
18 હવે સવારે નગરમાં પાછા આવતા ઈસુને ભૂખ લાગી. 19 રસ્તાની બાજુમાં એક અંજીરી જોઈને ઈસુ તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે તેને કહ્યું કે, “હવેથી તારા પર કદી ફળ ન લાગો;” અને એકાએક તે અંજીરી સુકાઈ ગઈ.
20 તે જોઈને શિષ્યો આશ્ચર્ય પામીને બોલ્યા કે, “અંજીરી કેવી રીતે એકાએક સુકાઈ ગઈ?” 21 ત્યારે ઈસુએ ઉત્તર આપતા તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો, એટલું જ નહિ પણ જો તમે આ પહાડને કહેશો કે, ‘તું ઊંચકાઈને સમુદ્રમાં પડ,’ તો તેમ જ થશે. 22 જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો, તે સઘળું તમે પામશો.”
23 પછી ભક્તિસ્થાનમાં આવીને ઈસુ બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ તેમની પાસે આવીને કહ્યું કે, “તું કયા અધિકારથી એ કામો કરે છે? અને તે અધિકાર તને કોણે આપ્યો?” 24 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “હું પણ તમને એક વાત પૂછીશ. તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું, તે હું પણ તમને કહીશ.
25 જે બાપ્તિસ્મા યોહાન આપતો હતો તે ક્યાંથી હતું સ્વર્ગથી કે માણસોથી?” ત્યારે તેઓએ પરસ્પર વિચાર કરીને કહ્યું, “જો આપણે કહીએ કે ‘સ્વર્ગથી,’ તો ઈસુ આપણને કહેશે કે, ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ? 26 અથવા જો આપણે કહીએ કે ‘માણસોથી,’ તો લોકોથી આપણને બીક છે, કેમ કે સહુ યોહાનને પ્રબોધક માને છે.” 27 પછી તેઓએ ઈસુને ઉત્તર આપતાં કહ્યું કે, ‘અમે નથી જાણતા’. તેમણે પણ તેઓને કહ્યું કે, “હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.
28 પણ તમે શું ધારો છો? એક વ્યક્તિને બે દીકરા હતા; તેણે પહેલાની પાસે આવીને કહ્યું કે, ‘દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’ 29 ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, ‘હું નથી જવાનો;’ તોપણ પછીથી તે પસ્તાઈને ગયો. 30 અને બીજા પાસે આવીને તેણે તેમ જ કહ્યું, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે ‘હું જાઉં છું, સાહેબ,’ તોપણ તે ગયો નહિ.
31 તો તે બન્નેમાંથી કોણે પોતાના પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? તેઓએ ઈસુને કહ્યું કે, ‘પહેલાએ.’ ઈસુ તેઓને કહે છે કે, “હું તમને નિશ્ચે કહું છું કે, દાણીઓ તથા કસબણો તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે. 32 કેમ કે યોહાન ન્યાયીપણાને માર્ગે તમારી પાસે આવ્યો, તોપણ તમે તેના ઉપર વિશ્વાસ ન કર્યો પણ દાણીઓએ તથા વારંગનાઓ તેના પર વિશ્વાસ કર્યો; એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહિ કે તમે તેના પર વિશ્વાસ કરો.
33 એક બીજું દ્રષ્ટાંત સાંભળો. એક જમીનદાર હતો, તેણે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો અને બુરજ બનાવ્યો, પછી ખેડૂતોને તે ઈજારે આપી, તે પરદેશ ગયો. 34 ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારુ પોતાના ચાકરોને તે ખેડૂતો પાસે મોકલ્યા.
35 ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો, બીજાને મારી નાખ્યો અને ત્રીજાને પથ્થરે માર્યો. 36 પછી તેણે અગાઉ કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને એવું જ કર્યું. 37 પછી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલતાં કહ્યું કે, ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’”
38 પણ ખેડૂતોએ દીકરાને જોઈને પરસ્પર કહ્યું કે, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ.’ 39 ત્યારે તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો.
40 એ માટે જયારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે ત્યારે તે ખેડૂતોનું શું કરશે?” 41 તેઓએ ઈસુને કહ્યું કે, “તે દુષ્ટોનો પૂરો નાશ કરશે; અને બીજા ખેડૂતો કે જેઓ મોસમે તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી ઈજારે આપશે.”
42 ઈસુએ તેઓને કહ્યું કે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયા. તે પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે,’ એ શું તમે શાસ્ત્રવચનોમાં કદી નથી વાંચ્યું?
43 એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે અને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને તે અપાશે. 44 આ પથ્થર પર જે પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.”
45 મુખ્ય યાજકો તથા ફરોશીઓ તેમના દ્રષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તેઓ અમારા સંબંધી બોલે છે. 46 તેઓએ ઈસુને પકડવાનો રસ્તો શોધતા હતા પણ તેઓ લોકોથી ડરી ગયા, કેમ કે લોકો ઈસુને પ્રબોધક માનતા હતા.
Chapter 22
1 ઈસુએ ફરીથી તેઓને દ્રષ્ટાંતોમાં કહ્યું કે, 2 “સ્વર્ગનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનો ભોજન સમારંભ યોજ્યો. 3 ભોજન માટે આમંત્રિતોને બોલાવવા તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહિ.
4 ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું કે, ‘આમંત્રિતોને કહો, “જુઓ, મેં મારું ભોજન તૈયાર કર્યું છે, મારા બળદો તથા પુષ્ટ પ્રાણીઓ કાપ્યાં છે અને સઘળી ચીજો તૈયાર છે, લગ્નમાં આવો.’”
5 પણ તેઓએ તે ગણકાર્યું નહિ; તેઓ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા, કોઈ તેના પોતાના ખેતરમાં અને કોઈ પોતાના વેપાર પર. 6 બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા અને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા. 7 તેથી રાજા ગુસ્સે થયો, તેણે પોતાનું લશ્કર મોકલીને તે હત્યારાઓનો નાશ કર્યો અને તેઓનું નગર બાળી નાખ્યું.
8 પછી તે પોતાના ચાકરોને કહ્યું કે, ‘લગ્નનું ભોજન તૈયાર છે ખરું, પણ આમંત્રિતો યોગ્ય નહોતા. 9 એ માટે તમે રસ્તાઓનાં નાકા પર જાઓ અને જેટલાં તમને મળે તેટલાંને ભોજન સમારંભમાં બોલાવો.’ 10 તે ચાકરોએ બહાર રસ્તાઓમાં જઈને સારાં-નરસાં જેટલાં તેઓને મળ્યા તે સર્વને એકત્ર કર્યા, એટલે મહેમાનોથી ભોજન સમારંભ ભરાઈ ગયો.
11 મહેમાનોને જોવા સારુ રાજા અંદર આવ્યા, ત્યારે તેમણે ત્યાં લગ્નના વસ્ત્રો પહેર્યા વગરના એક માણસને જોયો. 12 ત્યારે તે તેને કહે છે કે, ‘ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?’ તે ચૂપ રહ્યો.
13 ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે, ‘તેના હાથપગ બાંધીને તેને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું અને દાંત પીસવું થશે.’ 14 કેમ કે નિમંત્રિત ઘણાં છે, પણ પસંદ કરેલા થોડા છે.”
15 ત્યાર પછી ફરોશીઓએ જઈને ઈસુને શી રીતે વાતમાં ફસાવવા, એ સંબંધી મનસૂબો કર્યો. 16 પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું કે, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તમે સાચા છો, સત્યથી ઈશ્વરનો માર્ગ શીખવો છો અને તમે કોઈની પરવા કરતા નથી, કેમ કે તમે માણસો વચ્ચે પક્ષપાત કરતા નથી. 17 માટે તમે શું ધારો છો? કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ, તે અમને કહો?”
18 પણ ઈસુએ તેઓની દુષ્ટ ઇરાદો જાણીને કહ્યું કે, “ઓ ઢોંગીઓ, તમે મારું પરીક્ષા કેમ કરો છો? 19 કરનું નાણું મને બતાવો.” ત્યારે તેઓ એક દીનાર તેમની પાસે લાવ્યા.
20 ઈસુએ તેઓને કહ્યું કે, “આ ચિત્ર તથા લેખ કોનાં છે?” 21 તેઓએ તેમને કહ્યું કે, ‘કાઈસારનાં.’ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરનાં તે ઈશ્વરને ભરી આપો. 22 એ સાંભળીને તેઓ આશ્ચર્ય પામ્યા, અને તેમને મૂકીને ચાલ્યા ગયા.
23 તે જ દિવસે સદૂકીઓ, જેઓ કહે છે કે મૃત્યુ બાદ પુનરુત્થાન નથી, તેઓએ તેમની પાસે આવીને પૂછ્યું, 24 “ઓ ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, ‘જો કોઈ પુરુષ નિઃસંતાન મરી જાય, તો તેનો ભાઈ તેની સ્ત્રીની સાથે લગ્ન કરીને પોતાના ભાઈને સારુ વંશ ઉપજાવે.’”
25 તો અમારામાં સાત ભાઈ હતા, અને પ્રથમ લગ્ન કરીને મરણ પામ્યો. તે નિઃસંતાન હોવાથી પોતાના ભાઈને સારુ પોતાની પત્ની મૂકી ગયો. 26 તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ સાતેય મરણ પામ્યા. 27 સહુથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી. 28 એ માટે પુનરુત્થાન પામેલા પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમ કે તે બધા ભાઈઓની પત્ની થઈ હતી.”
29 ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે, “પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાંને લીધે તમે ભૂલ ખાઓ છો. 30 કેમ કે પુનરુત્થાન બાદ તેઓ લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંના સ્વર્ગદૂતો જેવા હોય છે.
31 પણ મરણ પામેલાંઓના પુનરુત્થાન સંબંધી, ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું? 32 ‘હું ઇબ્રાહિમનો, ઇસહાકનો તથા યાકૂબનો ઈશ્વર છું;’ તેઓ મરણ પામેલાઓના નહિ પણ જીવતાંઓના ઈશ્વર છે.” 33 લોકો તે સાંભળીને તેમના બોધથી આશ્ચર્ય પામ્યા.
34 જયારે ફરોશીઓએ સાંભળ્યું કે તેમણે સદૂકીઓના મોં બંધ કર્યા ત્યારે તેઓ એકઠા થયા. 35 તેઓમાંથી એક શાસ્ત્રીએ તેમની પરીક્ષા કરવા સારુ તેમને પૂછ્યું કે, 36 “ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?”
37 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.’ 38 પહેલી અને મોટી આજ્ઞા તે છે.
39 બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે ‘જેવો સ્વયં પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ કર.’ 40 આ બે આજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.”
41 હવે ફરોશીઓ એકઠા મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું કે, 42 “ખ્રિસ્ત સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે?” તેઓએ તેમને કહ્યું કે, ‘દાઉદનો.’”
43 ઈસુએ તેઓને કહ્યું, “તો પવિત્ર આત્મા વડે દાઉદ તેમને પ્રભુ કેમ કહે છે?’ 44 જેમ કે, ‘પ્રભુ ઈશ્વરે મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’”
45 હવે જો દાઉદ તેમને ‘પ્રભુ’ કહે છે, તો તે કેવી રીતે તેનો દીકરો કહેવાય?” 46 એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેમને આપી શકયું નહિ, વળી તે દિવસથી કોઈએ તેમને કંઈ પૂછવાની હિંમત કરી નહિ.
Chapter 23
1 ત્યારે ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે, 2 “શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે; 3 એ માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કાર્યોને ન અનુસરો, કેમ કે તેઓ કહે છે, તે પ્રમાણે કરતા નથી.
4 કેમ કે ભારે અને પાળવા મુશ્કેલ પડે એવા બોજા તેઓ માણસોની પીઠ પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની આંગળીથી પણ તેને ખસેડવા ઇચ્છતા નથી.’ 5 લોકો તેઓને જુએ તે હેતુથી તેઓ પોતાનાં સઘળાં કામ કરે છે; તેઓ પોતાનાં સ્મરણપત્રોની પેટી પહોળાં બનાવે છે તથા પોતાનાં વસ્ત્રોની કોરની ઝાલર વધારે છે.
6 વળી જમણવારોમાં મુખ્ય જગ્યાઓ, સભાસ્થાનોમાં મુખ્ય આસનો, 7 તથા ચોકમાં સલામો તથા માણસો તેઓને ‘ગુરુ’ કહે, તેવું તેઓ ચાહે છે.
8 પણ તમે પોતાને ‘ગુરુ’ ન કહેવડાવો; કેમ કે તમારો એક જ ગુરુ છે અને તમે સઘળાં ભાઈઓ છો. 9 પૃથ્વી પર તમે કોઈ માણસને તમારા પિતા ન કહો, કેમ કે એક જે સ્વર્ગમાં છે, તે તમારા પિતા છે. 10 તમે પોતાને ‘શિક્ષક’ પણ ન કહેવડાવો, કેમ કે એક, જે ખ્રિસ્ત, તે તમારા શિક્ષક છે.
11 પણ તમારામાં જે મોટો છે તે તમારો ચાકર થશે. 12 જે કોઈ પોતાને ઊંચો કરશે, તેઓને નીચો કરાશે; જે કોઈ પોતાને નીચો કરશે, તેઓને ઊંચો કરાશે.
13 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, અને જેઓ પ્રવેશવા ચાહે છે તેઓને તમે પ્રવેશવા દેતા નથી. 14 [ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે વિધવાઓનાં ઘર ખાઈ જાઓ છો, દેખાડા માટે લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે માટે તમે મોટો સજા ભોગવશો.] 15 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય બનાવવા સારુ તમે સમુદ્ર તથા પૃથ્વીમાં ફર્યા કરો છો; અને તેવું થાય છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.
16 ઓ અંધજનોને દોરનારાઓ, તમને અફસોસ છે; તમે કહો છો કે, ‘જો કોઈ ભક્તિસ્થાનના સમ ખાય, તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ ભક્તિસ્થાનના સોનાનાં સમ ખાય તો તેથી બંધાયેલો છે.’ 17 ઓ મૂર્ખો તથા અંધજનો, વિશેષ મોટું કયું? સોનું કે સોનાને પવિત્ર કરનારું ભક્તિસ્થાન?
18 અને તમે કહો છો કે, ‘જો કોઈ યજ્ઞવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ તે પરના અર્પણના સમ ખાય તો તે તેથી બંધાયલો છે.’ 19 ઓ અંધજનો, વિશેષ મોટું કયું? અર્પણ કે અર્પણને પવિત્ર કરનારી યજ્ઞવેદી?
20 એ માટે જે કોઈ યજ્ઞવેદીના સમ ખાય છે, તે તેના તથા જે બધું તેના પર છે તેના પણ સમ ખાય છે. 21 જે કોઈ ભક્તિસ્થાનના સમ ખાય છે, તે તેના તથા તેમાં જે રહે છે તેના પણ સમ ખાય છે. 22 જે સ્વર્ગના સમ ખાય છે, તે ઈશ્વરના રાજ્યાસનના તથા તે પર બિરાજનારના પણ સમ ખાય છે.
23 ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો, સૂવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની અગત્યની વાતો, એટલે ન્યાય, દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, અને એની સાથે તે પણ પડતાં મૂકવા જોઈતાં ન હતાં. 24 ઓ અંધજનોને દોરનારાઓ, તમે માખીને દૂર કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો!
25 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ તમને અફસોસ છે! કેમ કે તમે થાળી અને વાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની અંદર જુલમ તથા ભોગવિલાસ ભરેલા છે. 26 ઓ આંધળા ફરોશી, તું પહેલાં થાળી અને વાટકો અંદરથી સાફ કર કે, જેથી તે બહારથી પણ સાફ થઈ જાય.
27 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મૃતકનાં હાડકાં તથા દરેક અશુદ્ધિથી ભરેલી છે. 28 તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગથી તથા દુષ્ટતાથી ભરેલા છો.
29 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો. 30 તમે કહો છો કે, ‘જો અમે અમારા પૂર્વજોના સમયોમાં હોત, તો તેઓની સાથે પ્રબોધકોની હત્યામાં ભાગીદાર ન થાત.’ 31 તેથી તમે પોતાના સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો.
32 તો તમારા પૂર્વજોના બાકી રહેલાં માપ પૂરા કરો. 33 ઓ સર્પો, સાપોના વંશ, નર્કની શિક્ષાથી તમે કેવી રીતે બચશો?
34 તેથી જુઓ, પ્રબોધકોને, જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, તમે તેઓમાંના કેટલાકને મારી નાખશો, વધસ્તંભે જડશો, તેઓમાંના કેટલાકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો અને નગરેનગર તેઓની પાછળ લાગશો. 35 કે ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા, જેને મંદિરની તથા યજ્ઞવેદીની વચ્ચે તમે મારી નાખ્યો હતો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે. 36 હું તમને નિશ્ચે કહું છું કે, એ બધું આ પેઢીને શિરે આવશે.
37 ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ! 38 જુઓ, તમારે સારુ તમારું ઘર ઉજ્જડ કરી દીધું. 39 કેમ કે હું તમને કહું છું કે, ‘જ્યાં સુધી તમે એમ નહિ કહો કે, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, ત્યાં સુધી હવેથી તમે મને નહિ જ દેખશો.’”
Chapter 24
1 ઈસુ ભક્તિસ્થાનમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને ભક્તિસ્થાનમાંનાં બાંધકામો બતાવવાને પાસે આવ્યા. 2 ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “શું તમે એ બધા નથી જોતાં? હું તમને નિશ્ચે કહું છું કે, આ બધું તોડી નાખવામાં આવશે, એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.”
3 પછી જૈતૂનનાં પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, “એ બધું ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.” 4 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમને કોઈ ન ભુલાવે માટે સાવધાન રહો. 5 કેમ કે મારે નામે ઘણાં એમ કહેતાં આવશે કે, ‘હું ખ્રિસ્ત છું;’ અને ઘણાંને છેતરશે.
6 યુધ્ધો તથા યુધ્ધોની અફવાઓ તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહિ આવે. 7 કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુષ્કાળો તથા જગ્યા જગ્યાએ ધરતીકંપો થશે. 8 પણ આ બધાં તો માત્ર મહાદુઃખનો આરંભ છે.
9 ત્યારે તેઓ તમને શિક્ષા માટે સોંપશે અને તમને મારી નાખશે. મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે. 10 અને તે સમયે ઘણાં લોકો વિશ્વાસ ગુમાવશે, અને એકબીજાને પરાધીન કરાવશે અને એકબીજા પર વૈર કરશે. 11 ઘણાં જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને ઘણાંને ભુલાવામાં નાખશે.
12 દુષ્ટતા વધી જવાના કારણથી ઘણાંખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. 13 પણ જે અંત સુધી ટકશે તે ઉદ્ધાર પામશે. 14 સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.
15 માટે પાયમાલીની ધિક્કારપાત્રતા જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જયારે તમે પવિત્રસ્થાને ઊભેલી જુઓ (વાચક તેનો અર્થ સમજે), 16 ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય, 17 અગાશી પર જે હોય તે પોતાના ઘરનો સામાન લેવાને ન ઊતરે, 18 અને જે ખેતરમાં હોય તે પોતાનાં વસ્ત્ર લેવાને પાછો ન આવે.
19 તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને જેઓ સ્તનપાન કરાવતી હોય, તેઓને અફસોસ છે! 20 પણ તમારું નાસવાનું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો. 21 કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી આવી નથી, અને કદી આવશે પણ નહિ. 22 જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ માણસ બચી ન શકત; પણ પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરાશે.
23 ત્યારે જો કોઈ તમને કહે કે, ‘જુઓ, ખ્રિસ્ત અહીં છે!’ અથવા ‘ખ્રિસ્ત ત્યાં છે!’ તો તમે માનશો નહિ. 24 કેમ કે જૂઠા મસીહ તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને મોટા ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવી શકે. 25 જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે.
26 એ માટે જો તેઓ તમને કહે કે, ‘જુઓ, તે અરણ્યમાં છે,’ તો બહાર જતા નહીં; કે જુઓ, તે ઓરડીઓમાં છે,’ તો માનતા નહિ. 27 કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આગમન થશે. 28 જ્યાં મૃતદેહ હોય, ત્યાં ગીધો એકઠાં થશે.
29 તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઈ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશના પરાક્રમો હલાવાશે.
30 પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત તેઓ આકાશના વાદળ પર આવતા જોશે. 31 રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે.
32 હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જયારે તેની ડાળી કુમળી થઈ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે. 33 એમ જ તમે પણ જયારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે, તે પાસે એટલે બારણા આગળ જ છે.
34 હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ. 35 આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
36 પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.
37 જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે. 38 કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા; 39 અને જળપ્રલય આવીને બધાને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.
40 તે સમયે બે માણસ ખેતરમાં હશે તેમાંનો એક લેવાશે તથા બીજો પડતો મુકાશે. 41 બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે તેમાંની એક લેવાશે અને બીજી પડતી મુકાશે. 42 માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારા પ્રભુ આવી રહ્યા છે.
43 પણ જાણો કે ચોર કયા પહોરે આવશે એ જો ઘરનો માલિક જાણતો હોત, તો તે જાગતો રહેત અને પોતાના ઘરમાં તેને ચોરી કરવા ન દેત. 44 એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો આવશે.
45 તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાને સમયસર ખાવાનું આપવા સારુ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે? 46 જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જોશે, તે ચાકર આશીર્વાદિત છે. 47 હું તમને સાચું કહું છું કે, તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.
48 પણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાના મનમાં કહે કે, ‘મારા માલિકને આવવાની વાર છે;’ 49 અને તે બીજા દાસોને મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે; 50 તો જે દિવસે તે તેની રાહ જોતો નહિ હોય અને જે સમય તે જાણતો નહિ હોય તે જ સમયે તેનો માલિક આવશે. 51 તે તેને ખરાબ રીતે સજા કરશે તથા તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવાનું તથા દાંત પીસવાનું થશે.
Chapter 25
1 તો સ્વર્ગના રાજ્ય દસ કુમારિકાઓ જેવું છે, જેઓ પોતાની મશાલો લઈને વરરાજાને મળવા સારુ બહાર ગઈ. 2 તેઓમાંની પાંચ મૂર્ખ હતી અને પાંચ બુદ્ધિમાન હતી. 3 મૂર્ખ કુમારિકાઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ; 4 પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે કુપ્પીમાં તેલ લીધું.
5 વરરાજાને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને નિદ્રાવશ થઈ. 6 મધરાતે જાહેરાત થઈ કે, ‘જુઓ, વરરાજા આવ્યો છે! તેને મળવાને નીકળો.’”
7 ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઊઠીને પોતાની મશાલો તૈયાર કરી. 8 મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું કે, ‘તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મશાલો હોલવાઈ જાય છે.’ 9 પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘કદાચ અમને તથા તમને પૂરું નહિ પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતાને સારુ તેલ વેચાતું લો.’”
10 તેઓ તેલ ખરીદવા ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા, જેઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઈ અને બારણું બંધ કરવામાં આવ્યું. 11 પછી મૂર્ખ કુમારિકાઓએ આવીને કહ્યું કે, ‘ઓ સ્વામી, સ્વામી, અમારે સારુ ઉઘાડો.’ 12 પણ તેણે ઉત્તર દેતાં કહ્યું, ‘હું તમને નિશ્ચે કહું છું કે હું તમને ઓળખતો નથી.’ 13 માટે તમે જાગતા રહો, કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી.
14 કેમ કે તેમનું આવવું એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી. 15 એકને તેણે પાંચ તાલંત, બીજાને બે, ત્રીજાને એક એમ દરેકને તેઓની શક્તિ પ્રમાણે આપ્યું; અને તે પરદેશ ગયો. 16 પછી જેને પાંચ તાલંત મળ્યા હતા, તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા પાંચ તાલંત કમાયો.
17 તેમ જ જેને બે, તે પણ બીજા બે તાલંત કમાયો. 18 પણ જેને એક તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાના માલિકનું નાણું દાટી રાખ્યું.
19 હવે લાંબી મુદત પછી તે ચાકરોનો માલિક આવ્યો, ત્યારે તેણે તેઓની પાસેથી હિસાબ માગ્યો. 20 ત્યારે જેને પાંચ તાલંત મળ્યા હતા તે બીજા પાંચ તાલંત પણ લેતો આવ્યો, તેણે કહ્યું કે, ‘માલિક, તમે મને પાંચ તાલંત સોંપ્યાં હતા; જુઓ, હું તે ઉપરાંત બીજા પાંચ તાલંત કમાયો છું.’ 21 ત્યારે તેના માલિકે તેને કહ્યું કે, ‘શાબાશ, સારાં તથા વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ. તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.’”
22 જેને બે તાલંત મળ્યા હતા, તેણે પણ પાસે આવીને કહ્યું કે, ‘માલિક, તેં મને બે તાલંત સોંપ્યાં હતા; જો, હું તે ઉપરાંત બીજા બે તાલંત કમાયો છું.’ 23 તેના માલિકે તેને કહ્યું કે, ‘શાબાશ, સારાં તથા વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ. તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.’”
24 પછી જેને એક તાલંત મળ્યો હતો, તેણે પણ પાસે આવીને કહ્યું કે, ‘માલિક મેં જોયું કે તું એવો કઠોર માણસ છે કે, જ્યાં તેં નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર અને જ્યાં તેં નથી વેર્યું ત્યાંથી તું એકઠું કરનાર છે. 25 માટે મને બીક લાગી અને જઈને તારા તાલંતને મેં જમીનમાં દાટી રાખ્યું. જો, તને તારું તાલંત પાછું પહોંચ્યું છે.
26 તેના માલિકે ઉત્તર દેતાં તેને કહ્યું કે, અરે દુષ્ટ તથા આળસુ ચાકર જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું અને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું, એમ તું જાણતો હતો; 27 તો તારે મારાં નાણાં શાહુકારોને આપવા જોઈતાં હતા કે હું આવું ત્યારે મને વ્યાજ સાથે પાછા મળત.
28 એ માટે તેની પાસેથી તાલંત લઈને જેની પાસે દસ તાલંત છે તેને તે આપો. 29 કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે નથી, તેની પાસે જે છે તે પણ લઈ લેવાશે. 30 તે નકામા ચાકરને બહારના અંધકારમાં ફેંકી દો. ત્યાં તેણે રડવાનું તથા દાંત પીસવાનું થશે.’”
31 જયારે માણસના દીકરા પોતાના મહિમામાં સર્વ પવિત્ર સ્વર્ગદૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. 32 સર્વ દેશજાતિઓ તેમની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે. 33 ઘેટાંને તે પોતાને જમણે હાથે, પણ બકરાંને ડાબે હાથે રાખશે.
34 ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે, ‘મારા પિતાના આશીર્વાદિતો તમે આવો, જે રાજ્ય સૃષ્ટિનો પાયો નાખ્યા અગાઉ તમારે સારુ તૈયાર કરેલું છે તેનો વારસો લો. 35 કેમ કે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને ખવડાવ્યું; હું તરસ્યો હતો, ત્યારે તમે મને કંઈક પીવા માટે આપ્યું; હું પારકો હતો; ત્યારે તમે મને અતિથિ તરીકે રાખ્યો; 36 હું નિર્વસ્ત્ર હતો, ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં; હું માંદો હતો ત્યારે તમે મારી ચાકરી કરી; હું જેલમાં હતો, ત્યારે તમે મને મળવા આવ્યા.’”
37 ત્યારે ન્યાયીઓ તેમને ઉત્તર આપશે કે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા જોઈને ખવડાવ્યું, તરસ્યા જોઈને કંઈક પીવા માટે આપ્યા? 38 ક્યારે અમે તમને પારકા જોઈને અતિથિ રાખ્યા, નિર્વસ્ત્ર જોઈને વસ્ત્ર પહેરાવ્યાં? 39 ક્યારે અમે તમને માંદા અથવા જેલમાં જોઈને તમને મળવા આવ્યા?’ 40 ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ મારા ભાઈઓમાંના બહુ નાનાંઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’”
41 પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે, ‘ઓ શાપિતો, જે અનંતઅગ્નિ શેતાન તથા તેના દૂતોને સારુ તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ, 42 કેમ કે હું ભૂખ્યો હતો, પણ તમે મને ખવડાવ્યું નહિ, હું તરસ્યો હતો, પણ તમે મને કંઈક પીવા માટે આપ્યું નહિ; 43 હું પારકો હતો, પણ તમે મને અતિથિ રાખ્યો નહિ; નિર્વસ્ત્ર હતો, પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યાં નહિ; માંદો તથા જેલમાં હતો, પણ તમે મારી ચાકરી કરી નહિ.’”
44 ત્યારે તેઓ પણ તેમને ઉત્તર આપશે કે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા, તરસ્યા, પારકા, નિર્વસ્ત્ર, માંદા કે જેલમાં જોઈને તમારી સેવા નથી કરી?’ 45 ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપશે કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહિ, એટલે તે મને કર્યું નહિ.’ 46 તેઓ અનંતકાળિક સજા માટે જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં પ્રવેશશે.”
Chapter 26
1 ઈસુએ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, 2 “તમે જાણો છો બે દિવસ પછી પાસ્ખાપર્વ છે, અને માણસના દીકરાને વધસ્તંભે જડાવા સારુ પરાધીન કરાશે.”
3 પછી મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકત્ર થયા. 4 ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ સંકલ્પ કર્યો. 5 પણ તેઓએ કહ્યું કે, “પર્વમાં નહિ, રખેને લોકોમાં હુલ્લડ થાય.”
6 ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા, 7 તેઓ જમવા બેઠા હતા ત્યારે એક સ્ત્રી અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને તેમની પાસે આવી, અને તેમના માથા ઉપર અત્તર રેડ્યું. 8 જયારે તેમના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે, “એ બગાડ શા માટે કર્યો? 9 કેમ કે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત અને ગરીબોને અપાત.”
10 ત્યારે ઈસુએ તે જાણીને તેઓને કહ્યું કે, “એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે. 11 કેમ કે ગરીબો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.
12 તેણીએ અત્તર મારા શરીર પર રેડ્યું તે કામ તો મારા દફનની તૈયારીને સારુ કર્યું છે. 13 હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ સુવાર્તા આખી દુનિયામાં જ્યાં કહીં પ્રગટ કરાશે ત્યાં એણે જે કર્યું છે તે પણ તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.”
14 ત્યારે યહૂદા ઇશ્કારિયોત નામે બાર શિષ્યોમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે, 15 “તેને હું તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?” તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવી આપ્યા. 16 ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.
17 બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તમારે માટે પાસ્ખા ખાવાની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?” 18 ત્યારે ઈસુએ કહ્યું કે, “નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ‘ઉપદેશક કહે છે કે “મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સાથે તારે ઘરે પાસ્ખા પાળીશ.’” 19 ઈસુએ શિષ્યોને જેવી આજ્ઞા આપી હતી, તેવું તેઓએ કર્યું અને પાસ્ખા તૈયાર કર્યું.
20 સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે ઈસુ જમવા બેઠા હતા. 21 તેઓ જમતા હતા ત્યારે તેમણે કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંથી એક મને પરસ્વાધીન કરશે.” 22 ત્યારે તેઓ ઘણાં દુઃખી થયા અને તેઓમાંનો દરેક તેમને કહેવા લાગ્યો કે, “પ્રભુ, શું તે હું છું?”
23 ઈસુએ ઉત્તર દેતાં કહ્યું કે, “જેણે મારી સાથે થાળીમાં હાથ મૂક્યો છે તે જ મને પરાધીન કરશે. 24 માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરાધીન કરાય છે, તેને અફસોસ છે! જો તે માણસ જન્મ્યો ન હોત, તો તેને માટે વધારે સારું હોત.” 25 ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે, “ગુરુજી, શું તે હું છું?” ઈસુએ તેને કહ્યું કે, “તેં પોતે જ કહ્યું છે.”
26 તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને આપીને કહ્યું કે, “લો, ખાઓ, આ મારું શરીર છે.”
27 પછી ઈસુએ પ્યાલો લઈને આભાર માન્યો અને તેઓને આપતાં કહ્યું કે, “તમે બધા એમાંથી પીઓ,” 28 કેમ કે એ નવા કરારનું મારું રક્ત છે, જે પાપોની માફીને અર્થે ઘણાંઓને માટે વહેવડાવવામાં આવે છે. 29 હું તમને કહું છું કે, હું મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી.”
30 તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા. 31 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમે બધા આજ રાત્રે મારાથી દૂર થઈ જશો, કેમ કે એમ લખેલું છે કે ‘હું ઘેટાંપાળકને મારીશ અને ટોળાંનાં ઘેટાં વિખેરાઈ જશે.’ 32 પણ મારા ઊઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.”
33 ત્યારે પિતરે ઉત્તર દેતાં ઈસુને કહ્યું કે, “જો બધા તમને ત્યજી દેશે, તોપણ હું તમારાથી દૂર થઈશ નહિ.” 34 ઈસુએ તેને કહ્યું, “હું તને નિશ્ચે કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ, ત્રણ વાર તું મારો નકાર કરીશ.” 35 પિતરે તેને કહ્યું કે, “જો મારે તમારી સાથે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ.” બધાં શિષ્યોએ પણ તેમ જ કહ્યું.
36 ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામની જગ્યાએ આવ્યું અને શિષ્યોને કહ્યું કે, “હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો.” 37 પિતરને તથા ઝબદીના બે દીકરાઓને સાથે લઈને ઈસુ પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા. 38 પછી ઈસુએ તેઓને કહ્યું કે, “મારો જીવ મરવા જેવો ઘણો દુઃખી છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.”
39 પછી તેમણે થોડે દૂર જઈને મુખ નમાવીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” 40 પછી ઈસુએ શિષ્યોની પાસે આવ્યું અને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહ્યું કે, “શું તમે એક કલાક પણ મારી સાથે જાગતા રહી નથી શકતા? 41 તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.”
42 બીજી વાર ઈસુએ જઈને પ્રાર્થના કરતા કહ્યું કે, “ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર થઈ ન શકે તો તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” 43 ઈસુએ બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી. 44 ઈસુ ફરીથી શિષ્યોને મૂકીને પ્રાર્થના કરવા ગયા, અને ત્રીજી વાર એ જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી.
45 ત્યારે તે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહ્યું કે, “હજુ પણ તમે ઊંઘો છો અને આરામ કરો છો? જુઓ, સમય પાસે આવ્યો છે, માણસનો દીકરો પાપીઓના હાથમાં પરાધીન કરાય છે. 46 ઊઠો આપણે જઈએ; જુઓ, મને પકડાવનાર આવી પહોંચ્યો છે.”
47 તે હજી બોલતા હતા, એટલામાં જુઓ, બાર શિષ્યમાંનો એક, એટલે યહૂદા, આવ્યો; તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણાં લોક તલવારો તથા લાકડીઓ લઈને આવ્યા. 48 હવે તેમને પરાધીન કરનારે તેઓને નિશાની આપી હતી કે, “હું જેને ચુંબન કરું તે જ તે છે; તેને પકડી લેજો.”
49 તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, ‘ગુરુજી સલામ!’ અને તે તેમને ચૂમ્યો. 50 ઈસુએ તેને કહ્યું કે, “મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.” ત્યારે તેઓએ પાસે આવીને, ઈસુ પર હાથ નાખીને, તેમની ધરપકડ કરી.
51 પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તલવાર ખેંચી કાઢ્યું અને પ્રમુખ યાજકના ચાકર પર હુમલો કરીને તેનો કાન કાપી નાખ્યો. 52 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તારી તલવાર મ્યાનમાં પાછી મૂક; કેમ કે જેઓ તલવાર પકડે છે તેઓ તલવારથી જ નાશ પામશે. 53 શું તું ધારે છે કે હું પિતાની પાસે એવું નથી માગી શકતો કે તે હમણાં જ સૈન્યની બાર જૂથો કરતાં વધારે સ્વર્ગદૂતોને મારી પાસે મોકલી દે? 54 તો શાસ્ત્રવચનોમાં જે લખેલું છે કે, એવું થવું જોઈએ, તે કેમ પૂરું થશે?”
55 તે જ સમયે ઈસુએ લોકોને કહ્યું કે, “તમે તલવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને પકડે તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ ભક્તિસ્થાનમાં બેસીને બોધ કરતો હતો; ત્યારે તમે મને પકડ્યો ન હતો. 56 પણ પ્રબોધકોના લેખો પૂર્ણ થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો ઈસુને મૂકીને જતા રહ્યા.
57 પછી જેઓએ ઈસુને પકડ્યા, તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા. 58 પિતર દૂરથી તેમની પાછળ પ્રમુખ યાજકની આંગણું સુધી ચાલ્યો અને અંદર જઈને ઈસુને શું કરશે તે જોવાને ચોકીદારોની સાથે બેઠો.
59 મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ, ઈસુને મારી નાખવાને, તેમની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી. 60 જોકે ઘણાં જૂઠા સાક્ષીઓ આવ્યા, પણ તેઓની સાક્ષીઓથી તેઓ સહમત થયા નહિ. પણ પાછળથી બે માણસો આવીને બોલ્યા કે, 61 “આ માણસે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરના સભાસ્થાનને પાડી નાખવાને તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધવાને સમર્થ છું.’”
62 ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું, “શું તું કંઈ ઉત્તર નથી દેતો? તેઓ તારી વિરુદ્ધ સાક્ષી આપે છે.” 63 પણ ઈસુ મૌન રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હું તને જીવતા ઈશ્વરના સમ આપું છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત છે તે તું જ છે કે નહિ, એ અમને કહે.” 64 ઈસુએ તેને કહ્યું કે, “તેં જ કહ્યું છે, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણાં હાથ પર બેઠેલા તથા આકાશના વાદળો પર આવતા નિહાળશો.”
65 ત્યારે પ્રમુખ યાજકે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે, “તેણે દુર્ભાષણ કર્યું છે. આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, હવે તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે. 66 તમે શું વિચારો છો?” તેઓએ ઉત્તર દેતાં કહ્યું કે, “તે મૃત્યુદંડને પાત્ર છે.”
67 ત્યારે તેઓએ તેના મુખ પર થૂંકીને તેને મુક્કીઓ મારી, અને તેને થપ્પડો મારતાં કહ્યું કે, 68 “ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યું એ અમને કહી બતાવ.”
69 પિતર બહાર આંગણમાં બેઠો હતો, ત્યારે એક સેવિકા તેની પાસે આવીને કહ્યું કે, “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.” 70 પણ તેણે સહુની આગળ નકાર કરતાં કહ્યું કે, “તું જે કહે છે તે હું જાણતો નથી.”
71 તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજી દાસીએ તેને જોઈને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે, “એ પણ નાસરેથના ઈસુની સંગાથે હતો.” 72 પણ તેણે સમ ખાતાં ફરીથી નકાર કર્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.”
73 થોડીવાર પછી પાસે ઊભેલાઓએ આવીને પિતરને કહ્યું કે, “ખરેખર તું પણ તેઓમાંનો એક છે, કેમ કે તારી બોલીથી તું ઓળખાય છે.” 74 ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.” તરત જ મરઘો બોલ્યો. 75 જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, “મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ,” તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.
Chapter 27
1 હવે સવાર થઈ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ કાવતરું કર્યું. 2 પછી તેઓએ ઈસુને બાંધ્યા અને તેમને લઈ જઈને પિલાત રાજ્યપાલને સોંપ્યાં.
3 જયારે યહૂદાએ, જેણે તેમને પરાધીન કર્યાં હતા તેણે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે, ત્યારે તેને ખેદ થયો, અને તેણે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે, 4 “નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ કહ્યું કે, “તેમાં અમારે શું? તે તારી ચિંતા છે.” 5 પછી સિક્કાઓ ભક્તિસ્થાનમાં ફેંકી દઈને તે ગયો; અને જઈને ગળે ફાંસો ખાધો.
6 મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે, “એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં મૂકવા ઉચિત નથી.” 7 તેઓએ ચર્ચા કરીને પરદેશીઓને દફનાવવા સારું એ રૂપિયાથી કુંભારનું ખેતર વેચાતું લીધું. 8 તે માટે આજ સુધી તે ખેતર ‘લોહીનું ખેતર’ કહેવાય છે.
9 ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, “જેનું મૂલ્ય ઇઝરાયલપુત્રોએ તેના જીવન માટે ઠરાવ્યાં હતા, તે ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા, 10 અને જેમ પ્રભુએ મને હુકમ કર્યો, તેમ કુંભારના ખેતરને માટે આપ્યા.”
11 અને ઈસુ રાજ્યપાલની આગળ ઊભા રહ્યા અને રાજ્યપાલે તેમને પૂછ્યું કે, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ તેને કહ્યું કે, “તું પોતે કહે છે.” 12 મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમના પર આરોપ મૂક્યો છતાં તેમણે કંઈ ઉત્તર આપ્યો નહિ. 13 ત્યારે પિલાતે તેમને કહ્યું કે, “તારી વિરુદ્ધ તેઓ કેટલા આરોપો મૂકે છે એ શું તું નથી સાંભળતો?” 14 ઈસુએ તેને એક પણ શબ્દનો ઉત્તર આપ્યો નહિ તેથી રાજ્યપાલને ઘણું આશ્ચર્ય લાગ્યું.
15 હવે પર્વમાં રાજ્યપાલનો એક રિવાજ હતો કે જે એક બંદીવાનને લોકો માગે, તેને તેઓને માટે છોડી દેતો હતો. 16 તે વખતે બરાબાસ નામનો એક પ્રખ્યાત બંદીવાન હતો.
17 તેથી તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું કે, “હું તમારે માટે કોને છોડી દઉં, તે વિષે તમારી શી મરજી છે? બરાબાસને, કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?” 18 કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઇના કારણે ઈસુને સોંપ્યો હતો. 19 જયારે તે ન્યાયાસન પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, “તે નિર્દોષ માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.”
20 હવે મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યાં, કે તેઓ બરાબાસને માગે અને ઈસુને મારી નંખાવે. 21 પણ રાજ્યપાલે તેઓને કહ્યું કે, “તે બેમાંથી હું કોને તમારે માટે છોડી દઉં, તમારી શી મરજી છે?” તેઓને કહ્યું કે ‘બરાબાસને.’ 22 પિલાતે તેઓને કહ્યું કે, “તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?” સઘળાંએ તેને કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”
23 ત્યારે તેણે કહ્યું, “શા માટે? તેણે શો અપરાધ કર્યો છે?” પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’ 24 જયારે પિલાતે જોયું કે તેનાથી કંઈ કરી શકે તેમ નથી, પણ તેને બદલે વધારે ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, “એ ન્યાયીના રક્ત સંબંધી હું નિર્દોષ છું; હવે એ તમારી ચિંતા છે.”
25 ત્યારે સર્વ લોકોએ ઉત્તર દેતાં કહ્યું કે, “એનું રક્ત અમારે માથે તથા અમારા સંતાનને માથે આવે.” 26 ત્યારે તેણે બરાબાસને તેઓને માટે છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવા સારુ સોંપ્યો.
27 ત્યારે રાજ્યપાલના સિપાઈઓ ઈસુને મહેલમાં લઈ ગયા અને આખી પલટણ તેની આસપાસ એકઠી કરી. 28 પછી તેઓએ તેમના વસ્ત્રો ઉતારીને લાલ ઝભ્ભો પહેરાવ્યો. 29 તેમના માથા પર કાંટાનો મુગટ ગૂંથીને મૂક્યો, તેમના જમણાં હાથમાં સોટી આપી અને તેમની આગળ ઘૂંટણ ટેકીને તેમના ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, “હે યહૂદીઓના રાજા, સલામ!”
30 પછી તેઓ તેમના પર થૂંક્યાં અને સોટી લઈને તેમના માથામાં મારી. 31 તેમની ઠઠ્ઠામશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમનો ઝભ્ભો ઉતારીને તેમના પોતાના જ વસ્ત્રો તેમને પહેરાવ્યાં અને વધસ્તંભે જડવાને તેઓ તેમને લઈ ગયા.
32 તેઓ બહાર ગયા ત્યારે કુરેનીનો સિમોન નામે એક માણસ તેઓને મળ્યો, જેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ બળજબરીપૂર્વક ઊંચકાવ્યો. 33 તેઓ ગલગથા એટલે કે, ‘ખોપરીની જગ્યા’ કહેવાય છે, ત્યાં પહોંચ્યા. 34 તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ ચાખ્યાં પછી તેમણે પીવાની ના પાડી.
35 ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમના વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં; 36 અને તેઓએ ત્યાં બેસીને તેમની ચોકી કરી. 37 ‘ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.’ એવું તેમના વિરુદ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.
38 તેઓએ તેમની સાથે બે ચોરને વધસ્તંભે જડ્યાં, એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ. 39 પાસે થઈને જનારાંઓએ પોતાના માથાં હલાવતાં તથા તેમનું અપમાન કરતાં કહ્યું કે, 40 “અરે મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો છે તો વધસ્તંભ પરથી ઊતરી આવ.”
41 તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સાથે ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, 42 “તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી નથી શક્તો; એ તો ઇઝરાયલનો રાજા છે, તે હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું.
43 તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેમને ચાહતો હોય તો હમણાં તેને છોડાવે; કેમ કે તેણે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરનો દીકરો છું.’” 44 જે ચોરોને તેમની સાથે વધસ્તંભે જડાવ્યાં હતા, તેઓએ પણ તેમની નિંદા કરી.
45 બપોરના લગભગ બાર કલાકથી ત્રણ કલાક સુધી આખા દેશમાં અંધારપટ છવાયો. 46 આશરે ત્રણ કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, “એલી, એલી, લમા શબકથની?” એટલે, “ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને શા માટે છોડી દીધો?” 47 જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાકે તે સાંભળીને કહ્યું કે, ‘તે એલિયાને બોલાવે છે.’”
48 તરત તેઓમાંથી એકે દોડીને વાદળી લઈને સરકાથી ભીંજવી અને લાકડીની ટોચે બાંધીને તેમને ચુસવા આપી. 49 પણ બીજાઓએ કહ્યું કે, “રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેમને બચાવવા આવે છે કે નહિ.” 50 પછી ઈસુએ બીજી વાર ઊંચે અવાજે બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
51 ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, પૃથ્વી કાંપી, અને ખડકો ફાટ્યા. 52 કબરો ઊઘડી ગઈ અને ઘણાં મરણ પામેલા સંતોનાં શરીર ઊઠ્યાં. 53 અને ઈસુના પુનરુત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાંઓને દેખાયા.
54 ત્યારે શતપતિ તથા તેની સાથે જેટલાં ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ ગભરાતા કહ્યું કે, “ખરેખર એ ઈશ્વરના દીકરા હતા.” 55 ત્યાં ઘણી સ્ત્રીઓ, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેમની પાછળ આવી હતી, તેઓ દૂરથી જોયા કરતી હતી. 56 તેઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબની તથા યોસેની મા મરિયમ તથા ઝબદીના દીકરાઓની મા હતી.
57 સાંજ પડી ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક શ્રીમંત માણસ આવ્યો, જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો. 58 તેણે પિલાત પાસે જઈને ઈસુનું શબ માગ્યું, ત્યારે પિલાતે તે સોંપવાની આજ્ઞા આપી.
59 પછી યૂસફે શબ લઈને શણના સ્વચ્છ વસ્ત્રમાં તે વીંટાળ્યું, 60 અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂક્યો; અને એક મોટો પથ્થર કબરના દ્વાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો. 61 મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી.
62 સિદ્ધીકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થયા. 63 તેઓએ કહ્યું કે, “સાહેબ, અમને યાદ છે કે, તે છેતરનાર જીવતો હતો ત્યારે કહેતો હતો કે, ‘ત્રણ દિવસ પછી હું પાછો ઊઠીશ.’ 64 માટે ત્રણ દિવસ સુધી કબરની ચોકી રાખવાની આજ્ઞા કરો, રખેને તેના શિષ્યો આવીને તેને ચોરી જાય અને લોકોને કહે કે, મૂએલાંઓમાંથી તે જી ઊઠ્યો છે અને છેલ્લી કાવતરું પહેલીના કરતાં મોટી થશે.”
65 ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, “આ ચોકીદારો લઈને જાઓ અને તમારાથી બની શકે તેવી તેની ચોકી રખાવો.” 66 તેથી તેઓ ગયા અને પથ્થરને મહોર મારીને તથા ચોકીદારો બેસાડીને કબરનો જાપ્તો રાખ્યો.
Chapter 28
1 વિશ્રામવારની આખરે, અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. 2 ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો સ્વર્ગદૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબર પર પથ્થરને ગબડાવીને તે પર બેઠો.
3 તેનું રૂપ વીજળી જેવું અને તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું. 4 તેની ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા અને મરણ પામ્યા હોય તેવા થઈ ગયા.
5 ત્યારે સ્વર્ગદૂતે ઉત્તર દેતાં તે સ્ત્રીઓને કહ્યું, “તમે બીશો નહિ, કેમ કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, એ હું જાણું છું. 6 જુઓ ઈસુ અહીં નથી, કેમ કે તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે. તમે આવો, જ્યાં તે સૂતા હતા તે જગ્યા જુઓ. 7 જલદી જઈને તેમના શિષ્યોને કહો કે, મૃત્યુમાંથી તે સજીવન થયા છે. ‘જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને દેખશો.’ જુઓ મેં તમને કહ્યું છે.”
8 ત્યારે તેઓ ભય તથા ઘણાં હર્ષસહિત, કબરની પાસેથી વહેલા નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી. 9 ત્યારે જુઓ, ઈસુએ તેઓને મળીને શુભેચ્છા પાઠવી. તેઓએ પાસે આવીને તેમના પગ પકડ્યા, અને તેમનું ભજન કર્યું. 10 ઈસુએ તેઓને કહ્યું કે, “બીશો નહિ, જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય અને ત્યાં તેઓ મને દેખશે.”
11 તેઓ જતી હતી, ત્યારે જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહ્યું. 12 તેઓએ તથા વડીલોએ એકઠા થઈને સંકલ્પ કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને સમજાવ્યું કે, 13 તમે એમ કહો કે, “અમે ઊંઘતા હતા એટલામાં ‘તેમના શિષ્યો રાત્રે આવીને તેમને ચોરી ગયા.’”
14 જો એ વાત રાજ્યપાલને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.” 15 પછી તેઓએ નાણાં લીધાં અને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું. એ વાત યહૂદીઓમાં આજ સુધી ચર્ચા થાય છે.
16 પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું, ત્યાં ગયા. 17 તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું, પણ કેટલાકને સંદેહ આવ્યો.
18 ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, “સ્વર્ગ તથા પૃથ્વી પરના સર્વ અધિકાર મને અપાયો છે. 19 એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.
20 મેં તમને જે જે આજ્ઞા આપી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવવું. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”
Translation Words
અંજીર, અંજીરો
વ્યાખ્યા:
અંજીર એ નાનું, પોચું, મીઠું ફળ છે કે જે વૃક્ષો ઉપર થાય છે.
જયારે તે પાકે છે, ત્યારે ભુખરો, પીળો, અથવા જાંમલી જેવા વિવિધ રંગના હોઈ શકે છે.
- અંજીરના વૃક્ષો 6 મીટરની ઊંચાઈમાં વધી શકે છે અને તેઓના મોટા પાંદડા સુખદ છાયો આપે છે.
ફળ લગભગ 3-5 સેન્ટીમીટર લાંબુ હોય છે.
- આદમ અને હવાએ પાપ કર્યા પછી અંજીર વૃક્ષના પાંદડામાંથી કપડાં બનાવીને પોતાના માટે ઉપયોગ કર્યો.
- અંજીરોને કાચા, રાંધીને, અથવા સૂકા ખાઈ શકાય છે.
લોકો તેઓને નાના ટુકડાઓમાં કાપે છે અને ચકતામાં દબાવી પછી ખાય છે.
- બાઈબલના સમયમાં, અંજીરો ખોરાક અને આવક માટે મહત્વનો સ્ત્રોત હતા.
- બાઈબલમાં વારંવાર સમૃદ્ધિના ચિહ્ન તરીકે ફળદાયી અંજીરના વૃક્ષની હાજરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- ઘણી વખત ઈસુએ તેના શિષ્યોને આત્મિક સત્યો શીખવવા માટે ઉદાહરણ તરીકે અંજીરના વૃક્ષોનો ઉપયોગ કર્યો છે.
બાઈબલની કલમો:
- હબાક્કુક 3:17
- યાકૂબ 3:11-12
- લૂક 13:6-7
- માર્ક 11:13-14
- માથ્થી 7:15-17
- માથ્થી 21:18-19
શબ્દ માહિતી:
- Strong's: H1061, H1690, H6291, H8384, G3653, G4808, G4810
અંજીર, અંજીરો
વ્યાખ્યા:
અંજીર એ નાનું, પોચું, મીઠું ફળ છે કે જે વૃક્ષો ઉપર થાય છે.
જયારે તે પાકે છે, ત્યારે ભુખરો, પીળો, અથવા જાંમલી જેવા વિવિધ રંગના હોઈ શકે છે.
- અંજીરના વૃક્ષો 6 મીટરની ઊંચાઈમાં વધી શકે છે અને તેઓના મોટા પાંદડા સુખદ છાયો આપે છે.
ફળ લગભગ 3-5 સેન્ટીમીટર લાંબુ હોય છે.
- આદમ અને હવાએ પાપ કર્યા પછી અંજીર વૃક્ષના પાંદડામાંથી કપડાં બનાવીને પોતાના માટે ઉપયોગ કર્યો.
- અંજીરોને કાચા, રાંધીને, અથવા સૂકા ખાઈ શકાય છે.
લોકો તેઓને નાના ટુકડાઓમાં કાપે છે અને ચકતામાં દબાવી પછી ખાય છે.
- બાઈબલના સમયમાં, અંજીરો ખોરાક અને આવક માટે મહત્વનો સ્ત્રોત હતા.
- બાઈબલમાં વારંવાર સમૃદ્ધિના ચિહ્ન તરીકે ફળદાયી અંજીરના વૃક્ષની હાજરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- ઘણી વખત ઈસુએ તેના શિષ્યોને આત્મિક સત્યો શીખવવા માટે ઉદાહરણ તરીકે અંજીરના વૃક્ષોનો ઉપયોગ કર્યો છે.
બાઈબલની કલમો:
- હબાક્કુક 3:17
- યાકૂબ 3:11-12
- લૂક 13:6-7
- માર્ક 11:13-14
- માથ્થી 7:15-17
- માથ્થી 21:18-19
શબ્દ માહિતી:
- Strong's: H1061, H1690, H6291, H8384, G3653, G4808, G4810
અંત:કરણ, અંત:કરણો
વ્યાખ્યા:
અંત:કરણ વ્યક્તિના વિચારોનો એક ભાગ છે કે જે દ્વારા દેવ તેને વાકેફ કરે છે કે તે કઈંક કરી રહ્યો છે તે અધમ (પાપ) છે.
- દેવે લોકોને સાચું અને ખોટું જાણવાની મદદ કરવા માટે અંત:કરણ આપ્યું છે.
- દેવ કહે છે વ્યક્તિ કે જે આજ્ઞા પાળે છે, તેની પાસે તેની “શુદ્ધ” અથવા “નિર્મળ” અથવા “સ્વચ્છ” અંત:કરણ હોય છે.
- જો વ્યક્તિને “નિર્મળ અંત:કરણ હોય” તેનો અર્થ કે તે કોઇપણ પાપ છૂપાવતો નથી.
- જો કોઈ તેમના અંત:કરણનો નકાર કરે અને જયારે તે પાપો કરે ત્યારે અપરાધની લાગણી ના થાય, તેનો અર્થ કે જે બાબત ખોટી છે તે માટે તેનું અંત:કરણ સંવેદનશીલ રહ્યું નથી. બાઈબલ તેને “દમાયેલું” અંત:કરણ તરીકે દર્શાવે છે, જેના પર ગરમ લોખંડ દ્વારા “નિશાન (છાપ)” પાડવામાં આવ્યું છે. એટલે કે તેનું અંત:કરણ “લાગણીશૂન્ય” અને “પ્રદૂષિત” થયેલું છે.
- સંભવિત રીતે આ શબ્દનું ભાષાંતર, “આંતરિક નૈતિક માર્ગદર્શક” અથવા “નૈતિક વિચારો” એવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
બાઈબલની કલમો:
- 1 તિમોથી 1:18-20
- 1 તિમોથી 3:8-10
- 2 કરિંથી 5:11-12
- 2 તિમોથી 1:3-5
- રોમન 9:1-2
- તિતસ 1:15-16
શબ્દ માહિતી:
અંધકાર
વ્યાખ્યા:
“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી.
આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:
- એક રૂપક તરીકે, ‘અંધકાર” શબ્દના અર્થો, “અશુદ્ધતા” અથવા “દુષ્ટ” અથવા “આત્મિક અંધાપો” થાય છે.
- તે બાબત કંઈપણ જે પાપ અને નૈતિક ભ્રષ્ટાચાર લગતું હોય તેને દર્શાવે છે.
- ” “અંધકારનું અધિપત્ય” અભિવ્યક્તિ જે બધુ દુષ્ટ છે, અને જે શેતાનના શાસન દ્વારા ચાલે છે, તેને દર્શાવે છે.
- “અંધકાર” શબ્દ, મરણ માટેના પણ રૂપક તરીકે વાપરી શકાય છે. (જુઓ : રૂપક
- લોકો કે જેઓ દેવને જાણતા નથી તેઓ “અંધકારમાં જીવી રહ્યા છે” અને જેઓ તેને સમજતા અથવા ન્યાયી વ્યવહાર કરતા નથી.
- દેવ પ્રકાશ છે (ન્યાયીપણું), અને અંધકાર (દુષ્ટ) તે પ્રકાશ પર જીત પામી શકતું નથી.
- જેઓ દેવનો નકાર કરે છે તેઓ માટે ક્યારેક આ સજાના સ્થળને “બહારના અંધકાર” તરીકે દર્શાવવામાં આવ્યું છે.
ભાષાંતરના સૂચનો:
લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો.
આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે.
રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.
સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”
(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)
બાઈબલની કલમો:
- 1 યોહાન 1:5-7
- 1 યોહાન 2:7-8
- 1થેસ્સલોનિકી 5:4-7
- 2 શમુએલ 22:10-12
- કલોસ્સી 1:13-14
- યશાયા 5:29-30
- યર્મિયા 13:15-17
- યહોશુઆ 24:7
- માથ્થી 8:11-13
શબ્દ માહિતી:
- Strong's: H652, H653, H2816, H2821, H2822, H2825, H3990, H3991, H4285, H5890, H6205, G2217, G4652, G4653, G4655, G4656
અંધકાર
વ્યાખ્યા:
“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી.
આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:
- એક રૂપક તરીકે, ‘અંધકાર” શબ્દના અર્થો, “અશુદ્ધતા” અથવા “દુષ્ટ” અથવા “આત્મિક અંધાપો” થાય છે.
- તે બાબત કંઈપણ જે પાપ અને નૈતિક ભ્રષ્ટાચાર લગતું હોય તેને દર્શાવે છે.
- ” “અંધકારનું અધિપત્ય” અભિવ્યક્તિ જે બધુ દુષ્ટ છે, અને જે શેતાનના શાસન દ્વારા ચાલે છે, તેને દર્શાવે છે.
- “અંધકાર” શબ્દ, મરણ માટેના પણ રૂપક તરીકે વાપરી શકાય છે. (જુઓ : રૂપક
- લોકો કે જેઓ દેવને જાણતા નથી તેઓ “અંધકારમાં જીવી રહ્યા છે” અને જેઓ તેને સમજતા અથવા ન્યાયી વ્યવહાર કરતા નથી.
- દેવ પ્રકાશ છે (ન્યાયીપણું), અને અંધકાર (દુષ્ટ) તે પ્રકાશ પર જીત પામી શકતું નથી.
- જેઓ દેવનો નકાર કરે છે તેઓ માટે ક્યારેક આ સજાના સ્થળને “બહારના અંધકાર” તરીકે દર્શાવવામાં આવ્યું છે.
ભાષાંતરના સૂચનો:
લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો.
આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે.
રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.
સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”
(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)
બાઈબલની કલમો:
- 1 યોહાન 1:5-7
- 1 યોહાન 2:7-8
- 1થેસ્સલોનિકી 5:4-7
- 2 શમુએલ 22:10-12
- કલોસ્સી 1:13-14
- યશાયા 5:29-30
- યર્મિયા 13:15-17
- યહોશુઆ 24:7
- માથ્થી 8:11-13
શબ્દ માહિતી:
- Strong's: H652, H653, H2816, H2821, H2822, H2825, H3990, H3991, H4285, H5890, H6205, G2217, G4652, G4653, G4655, G4656
અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ
વ્યાખ્યા:
અગ્નિ એ ગરમી, પ્રકાશ, અને જ્યોત છે કે જે જયારે કઈંક બળે છે ત્યારે ઉત્પન્ન થાય છે.
- જયારે અગ્નિ દ્વારા લાકડું બળે છે ત્યારે તે રાખમાં ફેરવાઈ જાય છે.
- સામાન્યરીતે, “અગ્નિ” શબ્દનો રૂપકાત્મક ઉપયોગ, ન્યાય અથવા શુદ્ધિકરણ પણ થઇ શકે છે.
- અવિશ્વાસીઓનો આખરી ન્યાય (ચુકાદો) અગ્નિની ખાઇમાં છે.
- અગ્નિ સોનું અને અન્ય ધાતુઓને શુદ્ધ કરે છે.
- બાઈબલમાં, આ એક એવી પ્રક્રિયા છે કે જે દ્વારા દેવ લોકોના જીવનમાં મુશ્કેલ બાબતો આવવા દઈને તેઓને શુદ્ધ કરે છે તેને સમજાવવા માટે (તે શબ્દ) વાપરવામાં આવ્યો છે.
- “અગ્નિથી બાપ્તિસમા પામવું” શબ્દસમૂહનું ભાષાંતર, “દુઃખનો અનુભવ કરવાથી શુદ્ધ થવું” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: શુદ્ધ)
બાઈબલની કલમો:
- 1 રાજા 16:18-20
- 2 રાજા 1:9-10
- 2 થેસ્સલોનિકી 1:6-8
- પ્રેરિતો 7:29-30
- યોહાન 15:5-7
- લૂક 3:15-16
- માથ્થી 3:10-12
- નહેમ્યા 1:3
શબ્દ માહિતી:
- Strong's: H215, H217, H398, H784, H800, H801, H1197, H1200, H1513, H2734, H3341, H3857, H4071, H4168, H5135, H6315, H8316, G439, G440, G1067, G2741, G4442, G4443, G4447, G4448, G4451, G5394, G5457
અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ
વ્યાખ્યા:
અગ્નિ એ ગરમી, પ્રકાશ, અને જ્યોત છે કે જે જયારે કઈંક બળે છે ત્યારે ઉત્પન્ન થાય છે.
- જયારે અગ્નિ દ્વારા લાકડું બળે છે ત્યારે તે રાખમાં ફેરવાઈ જાય છે.
- સામાન્યરીતે, “અગ્નિ” શબ્દનો રૂપકાત્મક ઉપયોગ, ન્યાય અથવા શુદ્ધિકરણ પણ થઇ શકે છે.
- અવિશ્વાસીઓનો આખરી ન્યાય (ચુકાદો) અગ્નિની ખાઇમાં છે.
- અગ્નિ સોનું અને અન્ય ધાતુઓને શુદ્ધ કરે છે.
- બાઈબલમાં, આ એક એવી પ્રક્રિયા છે કે જે દ્વારા દેવ લોકોના જીવનમાં મુશ્કેલ બાબતો આવવા દઈને તેઓને શુદ્ધ કરે છે તેને સમજાવવા માટે (તે શબ્દ) વાપરવામાં આવ્યો છે.
- “અગ્નિથી બાપ્તિસમા પામવું” શબ્દસમૂહનું ભાષાંતર, “દુઃખનો અનુભવ કરવાથી શુદ્ધ થવું” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: શુદ્ધ)
બાઈબલની કલમો:
- 1 રાજા 16:18-20
- 2 રાજા 1:9-10
- 2 થેસ્સલોનિકી 1:6-8
- પ્રેરિતો 7:29-30
- યોહાન 15:5-7
- લૂક 3:15-16
- માથ્થી 3:10-12
- નહેમ્યા 1:3
શબ્દ માહિતી:
- Strong's: H215, H217, H398, H784, H800, H801, H1197, H1200, H1513, H2734, H3341, H3857, H4071, H4168, H5135, H6315, H8316, G439, G440, G1067, G2741, G4442, G4443, G4447, G4448, G4451, G5394, G5457
અદાલત, અદાલતો, મંદિરનું આંગણુ, મંદિરના આંગણાઓ
વ્યાખ્યા:
“મંદિરના આંગણાઓ” અને “આંગણુ” શબ્દો, બંધ વિસ્તાર કે જે આકાશ નીચે ખુલ્લો હોય અને તે દિવાલોથી ઘેરાયેલો હોય, તેને દર્શાવે છે.
“અદાલત” શબ્દ એવી જગ્યાને પણ દર્શાવે છે કે જ્યાં ન્યાયાધીશો કાનૂની અને ગુનાહિત બાબતો નક્કી કરે છે.
- મુલાકાતમંડપ એ એક મંદિરના આંગણાથી ઘેરાયેલું હતું જે જાડા કપડાથી બનાવેલા, પડદાઓની દિવાલો દ્વારા બંધ કરાયેલું હતું.
- મંદિરની ઈમારતને ત્રણ આંતરિક આંગણાઓ હતા: એક યાજકો માટે, એક યહૂદી પુરુષો માટે, અને એક યહૂદી સ્ત્રીઓ માટે.
- આ આંતરિક આંગણાઓ નીચા પત્થરની દીવાલથી ઘેરાયેલા હતા કે જે તેઓને બહારના મંદિરના આંગણાઓથી અલગ કરે છે કે જ્યાં વિદેશીઓને આરાધના કરવા માટેની પરવાનગી હતી.
- ઘરનું આંગણું એ ઘરના વચ્ચેનો ખુલ્લો વિસ્તાર હતો.
- “રાજાનું આગણું” શબ્દસમૂહ તેનો મહેલ અથવા તેના મહેલમાંની જગ્યા કે જ્યાં તે ચુકાદાઓ આપે છે, તેને દર્શાવી શકે છે.
- “યહોવાના આંગણા” અભિવ્યક્તિ રૂપકાત્મક રીતે “યહોવાનું નિવાસસ્થાન” અથવા સ્થળ કે જ્યાં લોકો યહોવાની આરાધના કરવા જાય છે તેને દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- “મંદિરનું આંગણુ” શબ્દનું ભાષાંતર, “બંધ જગ્યા” અથવા “કોટ કરેલી જગ્યા” અથવા “મંદિરની જગ્યા” અથવા “મંદિરની ચોતરફની દિવાલ,” એમ કરી શકાય.
- ક્યારેક “મંદિર” શબ્દનું ભાષાંતર માટે, “મંદિરના આંગણાઓ” અથવા “મંદિરનો ભાગ” એવા શબ્દો હોવા જરૂરી છે, જેથી તે સ્પષ્ટ કરી શકાય કે તે મંદિરના આંગણાને દર્શાવે છે, અને તે મંદિરની ઇમારતને દર્શાવતું નથી.
- “યહોવાના આંગણા” અભિવ્યક્તિનું ભાષાંતર, “સ્થળ કે જ્યાં યહોવા રહે છે” અથવા “સ્થળ કે જ્યાં યહોવાની આરાધના થાય છે.”
- રાજાના આંગણા માટે વાપરેલો શબ્દ, યહોવાના આંગણા માટે પણ વાપરી શકાય છે.
(આ પણ જુઓ: વિદેશી, ન્યાયાધીશ, રાજા, મુલાકાતમંડપ, મંદિર)
બાઈબલની કલમો:
- 2 રાજા 20:4-5
- નિર્ગમન 27:9-10
- યર્મિયા 19:14-15
- લૂક 22:54-55
- માથ્થી 26:69-70
- ગણના 3:24-26
- ગીતશાસ્ત્ર 65:4
શબ્દ માહિતી:
- Strong's: H1004, H1508, H2691, H5835, H6503, H7339, H8651, G833, G933, G2681, G4259
અદેખાઈ, લોભ
વ્યાખ્યા:
“અદેખાઈ” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈને કોઈની પર, તે વ્યક્તિના અમુક પ્રશંસા કરવાલાયક ગુણોને કારણે ઈર્ષ્યા થાય.
“લોભ” શબ્દનો અર્થ, કઈંક હોવા (પ્રાપ્ત કરવા) માટેની મજબૂત ઈચ્છા હોવી.
- અદેખાઈ એ સામાન્ય રીતે બીજી વ્યક્તિની સફળતા, સારું નસીબ, અથવા સંપત્તિ માટે રોષની નકારાત્મક લાગણી છે.
- લોભ એ કોઈ બીજાની મિલકત, અથવા બીજા કોઈની પત્ની લેવાની મજબૂત ઈચ્છા છે.
(આ પણ જુઓ: ઈર્ષાળુ)
બાઈબલની કલમો:
- 1 કરિંથી 13:4-7
- 1 પિતર 2:1-3
- નિર્ગમન 20:15-17
- માર્ક 7:20-23
- નીતિવચન 3:31-32
- રોમન 1:29-31
શબ્દ માહિતી:
- Strong's: H183, H1214, H1215, H2530, H3415, H5869, H7065, H7068, G866, G1937, G2205, G2206, G3713, G3788, G4123, G4124, G4190, G5354, G5355, G5366
અદોમ, અદોમી, અદોમીઓ, અદોમીયા (ઈદુમીયા)
સત્યો:
અદોમ એ એસાવનું બીજું નામ હતું.
જ્યાં તે રહેતો હતો તે પ્રદેશ “અદોમ” અને પછી, “અદોમીયા” તરીકે પણ જાણીતો બન્યો.
“અદોમીઓ” એ તેના વંશજો હતા.
- સમય જતાં અદોમ પ્રદેશના સ્થળોને બદલાયા છે.
તે મોટેભાગે ઈઝરાએલના દક્ષિણમાં આવેલા હતા અને છેવટે તે યહૂદાના દક્ષિણ તરફ વિસ્તૃત પામ્યા.
- નવા કરારના સમય દરમ્યાન, અદોમે યહૂદિયાના દક્ષિણનો અર્ધો પ્રાંત આવરી લીધો.
ગ્રીકમાં તે “અદોમીયા (ઈદુમીયા)” કહેવાય છે.
- “અદોમ” નો અર્થ “લાલ” છે જે કદાચ તે હકીકત દર્શાવે છે કે જયારે એસાવ જન્મ્યો હતો ત્યારે લાલ રંગના વાળથી ઢંકાયેલો હતો.
અથવા કદાચ તે લાલ શાક કે જેને લીધે તેણે તેનું જ્યેષ્ઠ વેચી લીધું હતું, તેને દર્શાવે છે.
- જૂના કરારમાં, મોટેભાગે અદોમના દેશને ઈઝરાએલના શત્રુ તરીકે ઉલ્લેખવા આવ્યો છે.
- ઓબાદ્યાનું સમગ્ર પુસ્તક અદોમના વિનાશ વિશે છે.
જૂના કરારના અન્ય બીજા પ્રબોધકો પણ અદોમની વિરુદ્ધ નકારાત્મક ભવિષ્યવાણીઓ બોલ્યાં.
(આ પણ જુઓ: વૈરી, જન્મસિદ્ધ હક, એસાવ, ઓબાદ્યા, પ્રબોધક)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 25:29-30
- ઉત્પત્તિ 32:3-5
- ઉત્પત્તિ 36:1-3
- યશાયા 11:14-15
- યહોશૂઆ 11:16-17
- ઓબાદ્યા 1:1-2
શબ્દ માહિતી:
- Strong's: H123, H130, H8165, G2401
અધિકાર,અધિકારીઓ
વ્યાખ્યા:
“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.
- રાજાઓ અને બીજા શાસકોને લોકો, જેના પર તેઓ રાજ્ય કરે છે તેઓ પર શાસન કરવાનો અધિકાર હોય છે.
“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે.
“અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.
- સ્વામીઓને તેમના સેવકો અથવા ગુલામો ઉપર અધિકાર હોય છે.
માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.
- સરકારને તેના નાગરિકો ઉપર સત્તા ચલાવવા કાયદા બનાવવા અધિકાર અથવા હક હોય છે.
ભાષાંતર ના સુચનો:
- “અધિકાર” શબ્દનું ભાષાંતર “નિયંત્રણ” અથવા “હક” અથવા “લાયકાત” પણ કરી શકાય.
- ક્યારેક “અધિકાર” એ “વર્ચસ્વ” અર્થ સાથે વપરાય છે.
- જયારે “અધિકારીઓ” નો ઉલ્લેખ લોકો અથવા સંસ્થાઓ કે જે લોકો પર શાસન કરેછે તે માટે વપરાય છે, તેનું ભાષાંતર “આગેવાનો” અથવા “શાસકો” અથવા “સત્તા” આ રીતે પણ કરી શકાય.
- “તેના પોતાના અધિકાર દ્વારા,” આ વાક્યનું ભાષાંતર “તેના પોતાના હક થી દોરવું” અથવા ‘તેની પોતાની લાયકાત પર આધારિત” એ રીતે પણ કરી શકાય.
- ”અધિકાર હેઠળ” ની અભિવ્યક્તિનું ભાષાંતર “જવાબદાર હેઠળ” અથવા “હુકમોને પાળવા જવાબદાર” અથવા “બીજાઓની આજ્ઞાઓ પાળવા બંધાયેલ” થઇ શકે છે.
(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)
બાઈબલની કલમો:
- કલોસ્સી 2:10-12
- એસ્તર 9:29
- ઉત્પત્તિ 41:35-36
- યૂના 3:6-7
- લૂક 12:4-5
- લૂક 20:1-2
- માર્ક 1:21-22
- માથ્થી 8:8-10
- માથ્થી 28:18-19
- તિતસ 3:1-2
શબ્દ માહિતી:
- Strong's: H8633, G831, G1413, G1849, G1850, G2003, G2715, G5247
અધિકાર,અધિકારીઓ
વ્યાખ્યા:
“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.
- રાજાઓ અને બીજા શાસકોને લોકો, જેના પર તેઓ રાજ્ય કરે છે તેઓ પર શાસન કરવાનો અધિકાર હોય છે.
“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે.
“અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.
- સ્વામીઓને તેમના સેવકો અથવા ગુલામો ઉપર અધિકાર હોય છે.
માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.
- સરકારને તેના નાગરિકો ઉપર સત્તા ચલાવવા કાયદા બનાવવા અધિકાર અથવા હક હોય છે.
ભાષાંતર ના સુચનો:
- “અધિકાર” શબ્દનું ભાષાંતર “નિયંત્રણ” અથવા “હક” અથવા “લાયકાત” પણ કરી શકાય.
- ક્યારેક “અધિકાર” એ “વર્ચસ્વ” અર્થ સાથે વપરાય છે.
- જયારે “અધિકારીઓ” નો ઉલ્લેખ લોકો અથવા સંસ્થાઓ કે જે લોકો પર શાસન કરેછે તે માટે વપરાય છે, તેનું ભાષાંતર “આગેવાનો” અથવા “શાસકો” અથવા “સત્તા” આ રીતે પણ કરી શકાય.
- “તેના પોતાના અધિકાર દ્વારા,” આ વાક્યનું ભાષાંતર “તેના પોતાના હક થી દોરવું” અથવા ‘તેની પોતાની લાયકાત પર આધારિત” એ રીતે પણ કરી શકાય.
- ”અધિકાર હેઠળ” ની અભિવ્યક્તિનું ભાષાંતર “જવાબદાર હેઠળ” અથવા “હુકમોને પાળવા જવાબદાર” અથવા “બીજાઓની આજ્ઞાઓ પાળવા બંધાયેલ” થઇ શકે છે.
(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)
બાઈબલની કલમો:
- કલોસ્સી 2:10-12
- એસ્તર 9:29
- ઉત્પત્તિ 41:35-36
- યૂના 3:6-7
- લૂક 12:4-5
- લૂક 20:1-2
- માર્ક 1:21-22
- માથ્થી 8:8-10
- માથ્થી 28:18-19
- તિતસ 3:1-2
શબ્દ માહિતી:
- Strong's: H8633, G831, G1413, G1849, G1850, G2003, G2715, G5247
અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ
વ્યાખ્યા:
“શાશ્વત” અને “અનંત” શબ્દોના ખૂબજ સમાન અર્થો હોય છે, અને તે કઈંક જે હંમેશા અસ્તિત્વમાં હશે અથવા કે જે હંમેશા ચાલુ રહેશે, તે દર્શાવે છે.
- “અનંતકાળ” શબ્દ કે જેની શરૂઆત અથવા અંત નથી, તે દર્શાવે છે.
જીવન કે જેનો કદી અંત નથી, તે માટે પણ દર્શાવી શકાય છે.
- પૃથ્વી પરના હાલના જીવન પછી, મનુષ્યો દેવની સાથે સ્વર્ગમાં અથવા દેવ સિવાય નર્કમાં અનંતકાળ પસાર કરશે.
- “અનંતજીવન” અને “શાશ્વત જીવન” શબ્દો, નવા કરારમાં સદાકાળ દેવની સાથે સ્વર્ગમાં રહેવા માટે વાપરવામાં આવ્યા છે.
- “સનાતન અને હંમેશા” શબ્દસમૂહમાં સમયનો વિચાર આવેલો છે કે જેનો કદી અંત નથી, અને અનંતકાળ અથવા અનંતજીવન શું છે તે વ્યક્ત કરે છે.
“સનાતન” શબ્દ, કદી અંત નહિ આવનાર સમયને દર્શાવે છે.
ક્યારેક તેને “ખૂબજ લાંબા સમય” માટે રૂપકાત્મક અર્થમાં વાપરવામાં આવ્યો છે.
- “સદાકાળ અને હંમેશા” શબ્દ, કઈંક કે જે હંમેશા બનશે અથવા અસ્તિત્વમાં આવશે, તેના પર ભાર મૂકે છે.
- “સદાકાળ અને હંમેશા” શબ્દસમૂહ, અનંતકાળ અથવા અનંતજીવન શું છે, તે વ્યક્ત કરે છે.
તેમાં સમયનો વિચાર પણ છે કે, જેનો કદી અંત નથી.
- દેવે કહ્યું કે દાઉદનું સિંહાસન “સદાકાળ” ટકી રહેશે.
આ એક સત્ય દર્શાવે છે કે દાઉદનો વંશજ ઈસુ રાજા તરીકે હંમેશા રાજ કરશે.
ભાષાંતરના સૂચનો:
- “અનંત” અથવા “શાશ્વત” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરવામાં આવે તો, “જેનો કદી અંત નથી” અથવા “કદી બંધ ન થનાર” અથવા “હંમેશા ચાલુ,” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
- “અનંતજીવન” અને “શાશ્વત જીવન” શબ્દનું ભાષાંતર, “જીવન કે જેનો કદી અંત નથી” અથવા “જીવન કે જે બંધ થયા વગર હંમેશા ચાલુ રહે છે” અથવા “આપણા શરીરો હંમેશા જીવવા ઉઠશે.” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય.
- સંદર્ભ પર આધાર રાખીને “અનંતકાળ” શબ્દના વિવિધ ભાષાંતરમાં, “સમય બહારનું અસ્તિત્વ” અથવા “જેનો અંત નથી તેવું જીવન” અથવા “સ્વર્ગમાંનું જીવન,” જેવા (શબ્દો)નો સમાવેશ કરીને કરી શકાય છે.
-
આ પણ ધ્યાનમાં રાખો કે બાઈબલના ભાષાંતરમાં સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં આ શબ્દનું ભાષાંતર કેવી રીતે થયેલું છે.
-
“સદાકાળ” શબ્દનું ભાષાંતર, “હંમેશા” અથવા “જેનો કદી અંત નથી,” જેવા શબ્દો દ્વારા પણ કરી શકાય છે.
- “સદાકાળ ટકશે” શબ્દસમૂહનુ ભાષાંતર, “હંમેશા અસ્તિત્વમાં” અથવા “કદી બંધ થશે નહીં” અથવા “હંમેશા ચાલુ રહેશે,” તરીકે પણ કરી શકાય છે.
- “સદાકાળ અને હંમેશા” ભારયુક્ત શબ્દસમૂહનું ભાષાંતર, “હંમેશા અને હંમેશા માટે” અથવા “ક્યારેય અંત નથી” અથવા “કે જેનો કદી, ક્યારેય અંત નથી,” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.
- દાઉદનું સિંહાસન સદાકાળ ટકશે, તેનું ભાષાંતર “દાઉદના વંશજો સદાકાળ રાજ કરશે” અથવા “દાઉદના વંશજ હંમેશા રાજ કરશે” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: દાઉદ, રાજ કરવું, જીવન)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 17:7-8
- ઉત્પત્તિ 48:3-4
- નિર્ગમન 15:17-18
- 2 શમુએલ 3:28-30
- 1 રાજા 2:32-33
- અયૂબ 4:20-21
- ગીતશાસ્ત્ર 21:3-4
- યશાયા 9:6-7
- યશાયા 40:27-28
- દાનિયેલ 7:17-18
- લૂક 18:18-21
- પ્રેરિતો 13:46-47
- રોમન 5:20-21
- હિબ્રૂ 6:19-20
- હિબ્રૂ 10:11-14
- 1 યોહાન 1:1-2
- 1 યોહાન 5:11-12
- પ્રકટીકરણ 1:4-6
- પ્રકટીકરણ 22:3-5
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 27:1 એક દિવસે, એક યહૂદી કાયદાના નિષ્ણાતે ઈસુની પરીક્ષા કરવા તેની પાસે આવ્યો, કહે છે, ગુરુજી, અનંતજીવન નો વારસો પામવા મારે શું કરવું?”
- 28:1 એક દિવસે, એક જુવાન ધનવાન અધિકારી ઈસુની પાસે આવ્યો, અને તેને પૂછયું “સારા શિક્ષક, “અનંતજીવન” પામવા મારે શું કરવું જોઈએ?” ઈસુએ તેને કહ્યું, “તું સારા વિશે મને કેમ પૂછે છે? ફક્ત દેવ એકજ સારો છે, અને તે દેવ છે. પરંતુ જો તારે અનંતજીવન પામવું હોય તો દેવના નિયમોને પાળ.”
- 28:10 ઈસુએ જવાબ આપ્યો કે, જે કોઈ મારા નામને લીધે ઘરો, ભાઈઓ, બહેનો, પિતા, માતા, બાળકો, અથવા મિલકતને છોડી દીધા છે, તેઓ 100 ઘણું વધારે અને અનંતજીવન પણ પ્રાપ્ત કરશે.”
શબ્દ માહિતી:
- Strong's: H3117, H4481, H5331, H5703, H5705, H5769, H5865, H5957, H6924, G126, G165, G166, G1336
અનાજ, દાણાં, પાકના ખેતરો
વ્યાખ્યા:
સામાન્ય રીતે “અનાજ” શબ્દ, એ ખાવાના છોડના દાણાંને દર્શાવે છે જેવા કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, અથવા ચોખા.
તે સમગ્ર છોડને પણ દર્શાવી શકે છે.
- બાઈબલમાં, મુખ્ય અનાજ કે જે ઘઉં અને જવને દર્શાવે છે.
- કણસલું એ છોડનો ભાગ છે કે જે અનાજ ધરાવે છે.
- નોંધ કરો કે કેટલાક જૂના બાઈબલની આવૃત્તિઓમાં સામાન્ય અનાજને દર્શાવવા માટે “મકાઈ” શબ્દ વાપર્યો છે.
જો કે આધુનિક અંગ્રેજીમાં, “મકાઈ” ફક્ત એક પ્રકારનું અનાજ દર્શાવે છે.
(આ પણ જુઓ: શિર, ઘઉં)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 42:1-4
- ઉત્પત્તિ 42:26-28
- ઉત્પત્તિ 43:1-2
- લૂક 6:1-2
- માર્ક 2:23-24
- માથ્થી 13:7-9
- રૂથ 1:22
શબ્દ માહિતી:
- Strong's: H1250, H1430, H1715, H2233, H2591, H3759, H3899, H7054, H7383, H7641, H7668, G248, G2590, G3450, G4621, G4719
અનાજ, દાણાં, પાકના ખેતરો
વ્યાખ્યા:
સામાન્ય રીતે “અનાજ” શબ્દ, એ ખાવાના છોડના દાણાંને દર્શાવે છે જેવા કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, અથવા ચોખા.
તે સમગ્ર છોડને પણ દર્શાવી શકે છે.
- બાઈબલમાં, મુખ્ય અનાજ કે જે ઘઉં અને જવને દર્શાવે છે.
- કણસલું એ છોડનો ભાગ છે કે જે અનાજ ધરાવે છે.
- નોંધ કરો કે કેટલાક જૂના બાઈબલની આવૃત્તિઓમાં સામાન્ય અનાજને દર્શાવવા માટે “મકાઈ” શબ્દ વાપર્યો છે.
જો કે આધુનિક અંગ્રેજીમાં, “મકાઈ” ફક્ત એક પ્રકારનું અનાજ દર્શાવે છે.
(આ પણ જુઓ: શિર, ઘઉં)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 42:1-4
- ઉત્પત્તિ 42:26-28
- ઉત્પત્તિ 43:1-2
- લૂક 6:1-2
- માર્ક 2:23-24
- માથ્થી 13:7-9
- રૂથ 1:22
શબ્દ માહિતી:
- Strong's: H1250, H1430, H1715, H2233, H2591, H3759, H3899, H7054, H7383, H7641, H7668, G248, G2590, G3450, G4621, G4719
અનુકરણ, અનુકરણ કરનાર, અનુકરણ કરનારાઓ
વ્યાખ્યા:
“અનુકરણ” અથવા “અનુકરણ કરનાર” શબ્દો, એ વ્યક્તિને દર્શાવે છે કે જે અભિનય દ્વારા બીજા કોઈની જેમ જ નકલ કરે છે.
- ખ્રિસ્તીઓને જેવું ઈસુએ કર્યું તેવી જે રીતે દેવની આજ્ઞા પાળવા અને બીજાઓને પ્રેમ કરી, ઈસુનું અનુકરણ કરવાનું શીખવવામાં આવ્યું છે.
- પાઉલ પ્રેરિતે પ્રારંભિક મંડળીને કહ્યું કે જેમ તેણે ખ્રિસ્તનું અનુકરણ કર્યું તેમ તેઓ પણ તેનું અનુકરણ કરે.
ભાષાંતરના સૂચનો:
- “અનુકરણ” શબ્દનું ભાષાંતર, “તેના જેવી સમાન બાબતો કરવી” અથવા “તેના ઉદાહરણને અનુસરવું” તરીકે કરી શકાય છે.
- “દેવનું અનુકરણ કરનારા હોવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “એવા લોકો હોવું કે જેઓ દેવના જેવું કાર્ય કરે છે” અથવા “એવા લોકો હોવું કે દેવ કરે છે તેવી બાબતો કરે” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
- “તમે અમારું અનુકરણ કરનારા બનો” તેનું ભાષાંતર, “તમે અમારા ઉદાહરણને અનુસર્યા” અથવા “તમે અમને જે કરતા જોયા છે તેવી જ રીતે તમે દૈવી બાબતો કરી રહ્યા છો” તરીકે પણ કરી શકાય છે.
બાઈબલની કલમો:
- 3 યોહાન 1:11-12
- માથ્થી 23:1-3
શબ્દ માહિતી:
- Strong's: H310, H6213, G1096, G2596, G3401, G3402, G4160
અન્યાય, અન્યાયો
વ્યાખ્યા:
“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.
- “અન્યાય” શબ્દનો વાસ્તવિક/શબ્દિક અર્થ, (કાયદાને) વાંકો વાળવો અથવા ખંડિત કરવો છે. તે મોટા અન્યાયને દર્શાવે છે. અન્યાય એ બીજા લોકોની વિરુદ્ધ, ઇરાદાપૂર્વક અને હાનિકારક ક્રિયાઓ તરીકે વર્ણવી શકાય છે.
- અન્યાયની અન્ય વ્યાખ્યાઓમાં “વૈમનસ્ય” અને “દુરાચરણ” જેવા શબ્દોનો સમાવેશ થાય છે, કે જે બંને શબ્દો ભયંકર પાપની સ્થિતિનું વર્ણન કરે છે.
ભાષાંતરના સૂચનો:
- “અન્યાય” શબ્દનું ભાષાંતર, “દુષ્ટતા” અથવા “વિકૃત ક્રિયાઓ” અથવા “હાનિકારક કાર્યો” તરીકે કરી શકાય છે.
“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.
(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)
બાઈબલની કલમો:
- દાનિયેલ 9:12-14
- નિર્ગમન 34:5-7
- ઉત્પત્તિ 15:14-16
- ઉત્પત્તિ 44:16-17
- હબાક્કુક 2:12-14
- માથ્થી 13:40-43
- માથ્થી 23:27-28
- મીખાહ 3:9-11
શબ્દ માહિતી:
- Strong's: H205, H1942, H5753, H5758, H5766, H5771, H5932, H5999, H7562, G92, G93, G458, G3892, G4189
અન્યાય, અન્યાયો
વ્યાખ્યા:
“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.
- “અન્યાય” શબ્દનો વાસ્તવિક/શબ્દિક અર્થ, (કાયદાને) વાંકો વાળવો અથવા ખંડિત કરવો છે. તે મોટા અન્યાયને દર્શાવે છે. અન્યાય એ બીજા લોકોની વિરુદ્ધ, ઇરાદાપૂર્વક અને હાનિકારક ક્રિયાઓ તરીકે વર્ણવી શકાય છે.
- અન્યાયની અન્ય વ્યાખ્યાઓમાં “વૈમનસ્ય” અને “દુરાચરણ” જેવા શબ્દોનો સમાવેશ થાય છે, કે જે બંને શબ્દો ભયંકર પાપની સ્થિતિનું વર્ણન કરે છે.
ભાષાંતરના સૂચનો:
- “અન્યાય” શબ્દનું ભાષાંતર, “દુષ્ટતા” અથવા “વિકૃત ક્રિયાઓ” અથવા “હાનિકારક કાર્યો” તરીકે કરી શકાય છે.
“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.
(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)
બાઈબલની કલમો:
- દાનિયેલ 9:12-14
- નિર્ગમન 34:5-7
- ઉત્પત્તિ 15:14-16
- ઉત્પત્તિ 44:16-17
- હબાક્કુક 2:12-14
- માથ્થી 13:40-43
- માથ્થી 23:27-28
- મીખાહ 3:9-11
શબ્દ માહિતી:
- Strong's: H205, H1942, H5753, H5758, H5766, H5771, H5932, H5999, H7562, G92, G93, G458, G3892, G4189
અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય
વ્યાખ્યા:
“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું.
તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.
- “અપમાન યોગ્ય” શબ્દ, જે શરમજનક છે તેને અથવા કોઈ અપમાનજનક કાર્યને વર્ણવે છે.
- ક્યારેક “અપમાન યોગ્ય” એવી વસ્તુઓને દર્શાવે છે કે જે કંઇ ખાસ કામ માટે ઉપયોગી ના હોય.
- બાળકોને તેઓના માતાપિતાનું સન્માન કરવા અને આજ્ઞા પાળવા આદેશ આપવામાં આવ્યો છે.
જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે.
તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.
- જયારે ઈઝરાએલીઓએ જૂઠા દેવોની આરાધના અને અનૈતિક આચરણનો વ્યવહાર કર્યો, ત્યારે તેઓએ યહોવાને અપમાનિત કર્યો.
- તેને ભૂત વળગ્યું છે તેમ કહીને યહૂદીઓએ ઈસુને અપમાનિત કર્યો.
- આ શબ્દનું ભાષાંતર, “સન્માન ન કરવું” અથવા “આદરથી ન વર્તવું” કરી શકાય છે.
- “અપમાન” સંજ્ઞાનું ભાષાંતર, “અનાદર” અથવા “સન્માનની ખોટ” તરીકે કરી શકાય.
- સંદર્ભ પર આધાર રાખીને “અપમાન યોગ્ય” શબ્દનું ભાષાંતર, “સન્માનને યોગ્ય નથી” અથવા “શરમજનક” અથવા “યોગ્ય નથી” અથવા “મૂલ્યવાન નથી,” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: કલંક, માન)
બાઈબલની કલમો:
- 1 કરિંથી 4:10-11
- 1 શમુએલ 20:32-34
- 2 કરિંથી 6:8-10
- હઝકિયેલ 22:6-9
- યોહાન 8:48-49
- લેવીય 18:6-8
શબ્દ માહિતી:
- Strong's: H1540, H2490, H2781, H3637, H3639, H5006, H5034, H6172, H6173, H7034, H7036, H7043, G818, G819, G820, G2617
અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય
વ્યાખ્યા:
“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું.
તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.
- “અપમાન યોગ્ય” શબ્દ, જે શરમજનક છે તેને અથવા કોઈ અપમાનજનક કાર્યને વર્ણવે છે.
- ક્યારેક “અપમાન યોગ્ય” એવી વસ્તુઓને દર્શાવે છે કે જે કંઇ ખાસ કામ માટે ઉપયોગી ના હોય.
- બાળકોને તેઓના માતાપિતાનું સન્માન કરવા અને આજ્ઞા પાળવા આદેશ આપવામાં આવ્યો છે.
જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે.
તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.
- જયારે ઈઝરાએલીઓએ જૂઠા દેવોની આરાધના અને અનૈતિક આચરણનો વ્યવહાર કર્યો, ત્યારે તેઓએ યહોવાને અપમાનિત કર્યો.
- તેને ભૂત વળગ્યું છે તેમ કહીને યહૂદીઓએ ઈસુને અપમાનિત કર્યો.
- આ શબ્દનું ભાષાંતર, “સન્માન ન કરવું” અથવા “આદરથી ન વર્તવું” કરી શકાય છે.
- “અપમાન” સંજ્ઞાનું ભાષાંતર, “અનાદર” અથવા “સન્માનની ખોટ” તરીકે કરી શકાય.
- સંદર્ભ પર આધાર રાખીને “અપમાન યોગ્ય” શબ્દનું ભાષાંતર, “સન્માનને યોગ્ય નથી” અથવા “શરમજનક” અથવા “યોગ્ય નથી” અથવા “મૂલ્યવાન નથી,” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: કલંક, માન)
બાઈબલની કલમો:
- 1 કરિંથી 4:10-11
- 1 શમુએલ 20:32-34
- 2 કરિંથી 6:8-10
- હઝકિયેલ 22:6-9
- યોહાન 8:48-49
- લેવીય 18:6-8
શબ્દ માહિતી:
- Strong's: H1540, H2490, H2781, H3637, H3639, H5006, H5034, H6172, H6173, H7034, H7036, H7043, G818, G819, G820, G2617
અપરાધ, અપરાધો, ઉલ્લંઘન
વ્યાખ્યા:
"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.
- અપરાધ એ નૈતિક અથવા દીવાની કાયદાનું ઉલ્લંઘન હોઈ શકે છે અથવા અન્ય વ્યક્તિ સામે કરેલું પાપ હોઈ શકે છે.
- આ શબ્દ "પાપ," અને "ઉલ્લંઘન" શબ્દ સાથે સંબંધિત છે, ખાસ કરીને તે ઈશ્વરનું ઉલ્લંઘન કરવા સાથે સંબંધિત છે. બધા પાપો ઈશ્વર સામે અપરાધ છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- સંદર્ભના આધારે, "વિરુદ્ધ અપરાધ કરવો" નો અનુવાદ " સામે પાપ કરવું " અથવા "નિયમ ભંગ કરવો" તરીકે કરી શકાય છે.
- કેટલીક ભાષાઓમાં "અપરાધ."નું ભાષાંતર "મર્યાદા ઓળંગવી" જેવી અભિવ્યક્તિ હોઈ શકે છે.
- વિચાર કરો કે આ શબ્દ બાઇબલ લખાણના આસપાસના અર્થ સાથે કેવી રીતે બંધબેસે છે અને અન્ય શબ્દો સાથે જેનો સમાન અર્થ હોય તેની સાથે તુલના કરો, જેમ કે "ઉલ્લંઘન" અને "પાપ."
(આ પણ જુઓ: આજ્ઞાભંગ, અન્યાય, પાપ, ઉલ્લંઘન)
બાઇબલના સંદર્ભો:
- 1 શમુએલ 25 :27-28
- 2 કાળવૃતાંત 26:16-18
- કલોસી 2:13-15
- એફેસી 2:1-3
- હઝકીએલ 15:7-8
- રોમન 5:16-17
- રોમન 5:20-21
શબ્દ માહિતી:
- Strong's: H816, H817, H819, H2398, H4603, H4604, H6586, H6588, G264, G3900
અપરાધ, (દોષ), દોષિત
વ્યાખ્યા:
“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.
- “દોષિત હોવું” શબ્દનો અર્થ, નૈતિક રીતે કંઈક ખોટું હોય કે જે દર્શાવે છે કે (તે વ્યક્તિએ) દેવની આજ્ઞાનો અનાદર કર્યો છે.
- “દોષિત” શબ્દનો વિરુદ્ધભાસી “નિર્દોષ” થાય છે.
ભાષાંતરના સૂચનો:
- કેટલીક ભાષાઓ કદાચ “દોષ” શબ્દનું ભાષાંતર, “પાપનો ભાર” અથવા “પાપોની ગણતરી” તરીકે કરે છે.
- “દોષિત હોવું” શબ્દના ભાષાંતરમાં જે શબ્દ અથવા શબ્દસમૂહ વપરાય જેનો અર્થ, “દોષ પર હોવું” અથવા “નૈતિક રીતે કંઈક ખોટું કરેલું હોવું” અથવા “પાપ કરેલું હોવું” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, શિક્ષા કરવી, પાપ)
બાઈબલની કલમો:
- નિર્ગમન 28:36-38
- યશાયા 6:6-7
- યાકૂબ 2:10-11
- યોહાન 19:4-6
- યૂના 1:14-16
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 39:2 તેઓ ઘણા સાક્ષીઓ લાવ્યાં કે જેઓ તેના (ઈસુ) વિશે જૂઠું બોલ્યાં. જો કે, તેઓની નિવેદનો એકબીજા સાથે સંમત થયા નહોતા, જેથી યહૂદી આગેવાનો તે (ઇસુ) કંઈપણ બાબત માટે દોષિત હતો તે સાબિત કરી શક્યા નહીં.
- 39:11 ઈસુ સાથે વાત કર્યા પછી, પિલાત ટોળામાં બહાર ગયો અને કહ્યું, “આ ણસમાં મને કોઈ દોષ માલૂમ પડતો નથી. પણ યહૂદી આગેવાનો અને ટોળાએ બૂમો પાડી, “તેને વધસ્તંભે જડો!” પિલાતે ઉત્તર આપ્યો, “તે દોષિત નથી.” પણ તેઓએ બધારે મોટેથી બૂમો પાડી. પછી પિલાતે ત્રીજી વાર કહ્યું, “તે દોષિત નથી!.
- 40:4 ઈસુને બે લૂંટારાઓની વચ્ચે વધસ્તંભે જડવામાં આવ્યો.
તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી?
આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.
- 49:10 તારા પાપને કારણે, તું દોષિત છે અને મૃત્યુને લાયક છે.
શબ્દ માહિતી:
- Strong's: H816, H817, H818, H5352, H5355, G338, G1777, G3784, G5267
અફસોસ
વ્યાખ્યા:
આ" અફસોસ "શબ્દ મહાન તણાવની એક લાગણીનો ઉલ્લેખ કરે છે.
તે એક ચેતવણી પણ આપે છે કે કોઇને ગંભીર મુશ્કેલીનો અનુભવ થશે.
- “અફસોસ "શબ્દની અભિવ્યક્તિ લોકો માટે ચેતવણી દ્વારા કરવામાં આવે છે કે તેઓ તેમના પાપોની સજા તરીકે દુઃખનો અનુભવ કરશે.
- બાઇબલમાં અનેક જગ્યાએ, ખાસ કરીને ભયંકર ચુકાદા પર ભાર મૂકવા, " અફસોસ " શબ્દ પુનરાવર્તન કરવામાં આવે છે.
- જે વ્યકિત કહે છે કે " અફસોસ છે મને " અથવા "મને અફસોસ" ગંભીર દુઃખ વિશે દુઃખ વ્યક્ત કરે છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- સંદર્ભને આધારે, " અફસોસ " શબ્દનો અનુવાદ "મહાન દુ: ખ" અથવા "ઉદાસી" અથવા "આફત" અથવા "આપત્તિ" તરીકે પણ કરી શકાય છે.
- “અફસોસ)શહેરના નામ)” અભિવ્યક્તિને અન્ય રીતે અનુવાદ કરવામાં શામેલ થઈ શકે છે, "તે)શહેરના નામ) માટે કેટલું ભયંકર હશે" અથવા "લોકો )તે શહેરમાં) ને ગંભીર સજા કરવામાં આવશે"અથવા "તે લોકો મોટા પ્રમાણમાં સહન કરશે."
- અભિવ્યકિત, " મને અફસોસ છે!" અથવા "મને અફસોસ !" નું ભાષાંતર "હું કેવી રીતે ઉદાસી છું!" અથવા "હું ખૂબ ઉદાસ છું!" અથવા "મારા માટે કેટલું ભયંકર છે!" એમ કરી શકાય છે.
- અભિવ્યક્તિ "તમને અફસોસ" નું ભાષાંતર પણ "તમે ઘણું સહન કરવું પડશે" અથવા "તમે ભયંકર મુશ્કેલીઓનો અનુભવ કરશો."
બાઇબલના સંદર્ભો:
- હઝકિયેલ 13:17-18
- હબાક્કુક 2:12-14
- યશાયા 31:1-2
- યર્મિયા 45:1-3
- યહુદા 1:9-11
- લૂક 6:24-25
- લૂક 17:1-2
- માથ્થી 23:23-24
શબ્દ માહિતી:
- Strong's: H188, H190, H337, H480, H1929, H1945, H1958, G3759
અબિયા
સત્યો
અબિયા યહૂદિયાનો રાજા હતો જેણે ઈસ. પૂર્વે 915 થી 913 સુધી રાજ કર્યુ. તે રહાબઆમ રાજાનો પુત્ર હતો.
જુનાકરારમાં અબિયા નામના બીજા ઘણા માણસો પણ હતા.
- બેરશેબામાં ઈઝરાએલ લોકો ઉપર શમુએલના પુત્રો અબિયા અને યોએલ ન્યાયાધીશો હતા.
અબિયા અને તેનો ભાઈ અપ્રમાણિક અને લોભી હતા, તે કારણથી લોકોએ શમુએલને રાજા નિમવા માટે માંગણી કરી કે જે તેમની જગ્યાએ શાસન કરે.
- દાઉદ રાજાના સમય દરમ્યાન અબિયા મંદિરના યાજકોમાંનો એક હતો.
- અબિયા યરોબઆમ રાજાના પુત્રોમાંનો એક હતો.
- બાબિલના બંદીવાસમાંથી અબિયા જે મહાયાજક હતો, તે પણ ઝરુબ્બાબેલ સાથે યરુશાલેમ પાછો ફર્યો.
બાઈબલની કલમો
- 1 રાજા 15:1-3
- 1 શમુએલ 8:1-3
- 2 કાળવૃતાંત 13:1-3
- 2 કાળવૃતાંત 13:19-22
- લૂક 1:5-7
શબ્દ માહિતી:
અમંગળ, અમંગળ વસ્તુઓ, અમંગળ થયેલ
વ્યાખ્યા:
“અમંગળ” શબ્દનો ઉપયોગ એવી વસ્તુ માટે કરવામાં આવ્યો છે કે, જેને કોઈ વસ્તુ પ્રત્યે અણગમો અથવા સખત નાપસંદગી હોય.
- મિસરી લોકોને હિબ્રુ લોકો પ્રત્યે ખુબ જ “અણગમો” હતો
એટલે કે જે મિસરી લોકોને હિબ્રુ લોકો પ્રત્યે ખુબ જ અણગમો હતો, તેઓ તેની સાથે ભળતા ન હતા અથવા તેમની નજીક જતા નહીં.
- બાઈબલની અંદર અમુક બાબતોને “યહોવાહને અમંગળ” કહેવામાં આવી છે, જેમકે જુઠું બોલવું, અભિમાન, માનવ બલિદાન, મૂર્તિપૂજા, ખૂન, અને જાતિયતાના પાપો જેવા કે વ્યભિચાર, પુમૈથીનીઓ.
- જયારે ઈસુએ તેના શિષ્યોને અંતના દિવસોનું શિક્ષણ આપ્યું ત્યારે દાનિએલની ભવિષ્યવાણી બતાવીને દર્શાવ્યું કે જયારે “ઉજ્જ્ળતાની અમંગળ” નિશાની જોશો, જે ઈશ્વરની સામે એક બળવાખોર અને ભજનસ્થાનને અપવિત્ર કરનારી હશે.
ભાષાંતર માટેના સૂચનો:
- “અમંગળ” શબ્દનું ભાષાંતર એવું થઇ શકે કે “જેનાથી ઈશ્વરને ધિક્કાર આવે” અથવા “અણગમો આવે એવી વસ્તુ” અથવા “અણગમો આવે એવી પ્રથા” અથવા “ખુબજ ભૂંડું કાર્ય.”
- સંદર્ભ પ્રમાણે “જે અમંગળ છે” તે શબ્દનું ભાષાંતર “જેને ખુબજ ધિક્કાર કરવામાં આવે છે તેવું” અથવા “જેનાથી અણગમો થાય તેવું” અથવા “જે સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે તેવું” અથવા “જેનાથી ઊંડો અણગમો થાય” તેમ થઈ શકે છે.
- “વેરાનકારક અમંગળ” શબ્દનું ભાષાંતર એવું થઇ શકે છે કે “એવી વસ્તુ હોય કે જેનાથી લોકોને ખુબજ નુકશાન થાય” અથવા “અણગમો લાવનાર બાબત જેનાથી ખુબજ વેદના આવે.”
(જુઓ: વ્યભિચાર, અપવિત્ર કરવું, પાયમાલ, દેવ, બલિદાન)
બાઈબલની કલમો:
- એઝરા 9:1-2
- ઉત્પત્તિ 46: 33-34
- યશાયા 1: 12-13
- માથ્થી 24: 15-18
- નીતિવચનો 26:24-26
શબ્દ માહિતી:
- Strong's: H887, H6292, H8251, H8262, H8263, H8441, G946
અમાલેક, અમાલેકી, અમાલેકીઓ
સત્યો:
અમાલેકીઓ એ ભટકતા લોકોનો જનસમુદાય હતો, જેઓ કનાનના દક્ષિણ ભાગના અરબ દેશથી નેગેબના રણ સુધી રહેતા હતા.
અમાલેકમાંથી ઉતરી આવેલું આ જૂથના લોકો, જેઓ એસાવના પૌત્ર હતા.
- ઇઝરાએલીઓ જયારે કનાનમાં રહેવા માટે આવ્યા ત્યારથી તેઓ અમાલેકીઓના ખરાબ દુશ્મનો હતા.
- અમુકવાર અમાલેક શબ્દનો ઉપયોગ અમાલેકીઓને રૂપકાત્મક રીતે દર્શાવે છે.
(જુઓ: અલંકાર
- અમાલેકીઓની વિરુદ્ધની એક લડાઈમાં જયારે મૂસા પોતાનો હાથ ઉપર રાખતો ત્યારે ઇઝરાએલીઓ વિજય પામતા.
જયારે તે થાકી જતો ત્યારે પોતાના હાથ નીચે લાવતો, ત્યારે તેઓ હાર પામતા.
તેથી હારુને અને હુરે, જ્યાં સુધી ઇઝરાએલીઓ અમાલેકીઓને હરાવી ન દીધા, ત્યાં સુધી તેઓએ મુસાના હાથો ઉપર પકડી રાખ્યા.
- અમાલેકીઓની વિરુધ્ધ દાઉદ રાજા અને શાઉલ રાજાએ લશ્કરી હુમલો કર્યો.
- અમાલેકીઓ સામે જીત બાદ, શાઉલે લુંટ રાખીને અને અમાલેકના રાજાનો સંહાર ન કરીને ઈશ્વરની આજ્ઞાનો અનાદર કર્યો.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર
(જુઓં: અરબસ્તાન, દાઉદ, એસાવ, નેગેબ, [શાઉલ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
અમોરી, અમોરીઓ
સત્યો:
અમોરીઓ એ લોકોનો શક્તિશાળી સુમદાય હતો કે જે નૂહના પૌત્ર કનાનથી ઉતરી આવેલા હતા.
તેમના નામનો અર્થ “ઊંચા,” કે જે પર્વતીય પ્રદેશ હોવાનું દર્શાવે છે કે જ્યાં તેઓ રહેતા અથવા શક્ય કે તેઓ ખુબજ ઊંચા હતા.
- અમોરીઓ યર્દન નદીના બંને બાજુના વિસ્તારમાં રહેતા હતાં.
આય નગરમાં અમોરીઓ દ્વારા વસવાટ થયો હતો.
“અમોરીઓના પાપ” વિશે દેવે ઉલ્લેખ કર્યો છે, જેમાં તેમની જુઠા દેવોની ઉપાસના અને દુષ્ટ આચરણનો સમાવેશ થાય છે.
દેવનું આજ્ઞા પ્રમાણે યહોશુઆએ અમોરીઓનો વિનાશ કરવા ઈઝરાયેલીઓને દોર્યા.
બાઈબલની કલમો :
- આમોસ 2:9-10
- હઝકિએલ 16:1-3
- ઉત્પત્તિ 10:15-18
- ઉત્પત્તિ 15:14-16
- યહોશુઆ 9:9-10
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 15:7 થોડા સમયબાદ, કનાનના અન્ય રાજાઓના લોકોનું જૂથ, અમોરીઓએ સાંભળ્યું કે ગિબિયોનિઓએ ઈઝરાયેલીઓ સાથે શાંતિ કરાર કર્યો છે, તેથી તેઓએ તેમનું મોટું સૈન્ય એકત્રિત કરી, ગિબિયોનિઓ પર હુમલો કર્યો.
- 15:8 તેઓએ વહેલી સવારે અમોરીઓના સૈન્ય ઉપર હુમલો કરીને તેમને આશ્ચર્યમાં મૂકી દીધા.
- 15:9 તે દિવસે દેવ ઈઝરાયેલ માટે લડયો.
તેણે અમોરીઓને મુંઝવણમાં મૂકી તેમના પર મોટા કરા મોકલીને ઘણા અમોરીઓને મારી નાખ્યા.
- 15:10 જેથી દેવે સૂર્યને પણ આકાશમાં એક જ જગ્યાએ થોભાવી દીધો અને એમ ઈઝરાયેલઓને પુરતો સમય આપી તેમણે અમોરીઓને સંપૂર્ણપણે હરાવ્યા.
શબ્દ માહિતી:
અરામ, અરામી, અરામીઓ, અરામીક
વ્યાખ્યા:
જૂનાકરારમાં “અરામ” નામનાં બે માણસો હતા.
તે ક્નાનના ઉત્તરપૂર્વ પ્રદેશનું નામ હતું, કે જ્યાં હાલમાં સિરિયા આવેલું છે.
- અરામમાં રહેનારા લોકો “અરામીઓ” તરીકે ઓળખાય છે, અને અરામીક ભાષા બોલે છે.
ઈસુ અને તેમના સમયના બીજા યહુદિયો પણ અરામીક બોલતા હતા.
- તેમાંના એક શેમના દીકરાનું નામ અરામ હતું.
અરામ નામનો બીજા એક માણસ જે રિબકાનો પિતરાઈ હતો.
તે સંભવ છે કે અરામના પ્રદેશનું નામ આ બેમાંથી એકના નામ પરથી પડ્યું હશે.
- સમય જતાં અરામ ગ્રીક નામ “સિરિયા” તરીકે જાણીતું થયું.
- આ શબ્દ “પાદ્દાનારામ” એટલે કે “અરામના મેદાન” અને આ મેદાન અરામના ઉત્તરભાગમાં આવેલું હતું.
- ઈબ્રાહિમના કેટલાક સબંધીઓ હારાન શહેરમાં રહેતા હતા કે જે “પાદ્દાનારામ” માં આવેલું હતું.
- જૂનાકરારમાં ક્યારેક આ શબ્દ “અરામ” અને “પાદ્દાનારામ” એક જ પ્રદેશ માટે વપરાયો છે.
- “અરામ નહારીમ” શબ્દનો અર્થ “અરામની બે નદીઓ” હોઈ શકે.
આ પ્રદેશ મેસોપોટેમીયાના ઉત્તર ભાગમાં અને “પાદ્દાનારામ” પૂર્વમાં ભાગમાં આવેલો હતો.
(આ પણ જુઓ: મેસોપોતામિયા, પાદાનારામ, રિબકા, શેમ, [સિરિયા)
બાઈબલની કલમો:
- સીરિયા
- 2શમુએલ 8:5-6
- આમોસ 1:5
- હઝકિયેલ 27:16-18
- ઉત્પતિ 31:19-21
- હોશિયા 12:11-12
- ગીતશાસ્ત્ર 60:1
શબ્દ માહિતી:
- Strong's: H758, H763, G689
અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ
વ્યાખ્યા:
સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.
- દાઉદે તેનું સોનું અને ચાંદી પ્રભુને અર્પણ કર્યું.
- મોટેભાગે “સમર્પણ” શબ્દ, ઔપચારિક પ્રસંગ અથવા સમારંભના વિશેષ હેતુ માટે જે કઈંક અલગ કરેલ છે, તેને દર્શાવે છે
- વેદીના સમર્પણમાં દેવને અપાતા બલિદાનના અર્પણનો પણ સમાવેશ થાય છે.
- નહેમ્યાએ ઈઝરાએલીઓને યરૂશાલેમના દીવાલોનું સમારકામના કાર્યની સાથે ફક્ત યહોવાની જ સેવા કરવાનું વચન તાજું કરાવ્યું અને તેના શહેરની સંભાળ રાખવાના સમર્પણમાં દોર્યા.
આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.
“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: સોંપવું)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 15:11-12
- 1 કરિંથી 6:9-11
- 1 રાજા 7:51
- 1 તિમોથી 4:3-5
- 2 કાળવૃતાંત 2:4-5
- યોહાન 17:18-19
- લૂક 2:22-24
શબ્દ માહિતી:
- Strong's: H2596, H2597, H2598, H2764, H4394, H6942, H6944, G1456, G1457
અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ
વ્યાખ્યા:
સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.
- દાઉદે તેનું સોનું અને ચાંદી પ્રભુને અર્પણ કર્યું.
- મોટેભાગે “સમર્પણ” શબ્દ, ઔપચારિક પ્રસંગ અથવા સમારંભના વિશેષ હેતુ માટે જે કઈંક અલગ કરેલ છે, તેને દર્શાવે છે
- વેદીના સમર્પણમાં દેવને અપાતા બલિદાનના અર્પણનો પણ સમાવેશ થાય છે.
- નહેમ્યાએ ઈઝરાએલીઓને યરૂશાલેમના દીવાલોનું સમારકામના કાર્યની સાથે ફક્ત યહોવાની જ સેવા કરવાનું વચન તાજું કરાવ્યું અને તેના શહેરની સંભાળ રાખવાના સમર્પણમાં દોર્યા.
આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.
“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: સોંપવું)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 15:11-12
- 1 કરિંથી 6:9-11
- 1 રાજા 7:51
- 1 તિમોથી 4:3-5
- 2 કાળવૃતાંત 2:4-5
- યોહાન 17:18-19
- લૂક 2:22-24
શબ્દ માહિતી:
- Strong's: H2596, H2597, H2598, H2764, H4394, H6942, H6944, G1456, G1457
અવાજ, અવાજો
વ્યાખ્યા:
"અવાજ" શબ્દનો ઉપયોગ ઘણી વખત બોલવાની અથવા કંઈક વાતચીત કરવા માટે વપરાય છે.
ઈશ્વરે પોતાના અવાજનો ઉપયોગ કર્યો એમ કહેવાય છે, ભલે તે મનુષ્યની જેમ જ કોઈ અવાજ ન હોય.
- આ શબ્દનો ઉપયોગ સમગ્ર વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે થઈ શકે છે, જેમ કે વિધાનમાં "અરણ્યમાંપોકારનારની વાણી સંભળાય છે, 'ઈશ્વરનો માર્ગ તૈયાર કરો.' 'આનું ભાષાંતર " એક વ્યક્તિ અરણ્યમાં બોલતો સંભળાય છે .... " કરી શકાય છે (જુઓ: લક્ષણલંકાર
" કોઈના અવાજ સાંભળવો" નો અનુવાદ "કોઈને બોલતા સાંભળવો" તરીકે પણ કરી શકાય છે.
" અવાજ" શબ્દ કેટલીકવાર વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે જે શાબ્દિક રીતે બોલી શકતા નથી, જેમ કે જયારે દાઊદે ગીતશાસ્ત્રમાં કહ્યું કે સ્વર્ગની "વાણી" ઈશ્વરનાં શકિતશાળી કાર્યોને જાહેર કરે છે.
આનો અનુવાદ આ પણ કરી શકાય છે "તેમની ભવ્યતા બતાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે."
(આ પણ જુઓ: તેડું, પ્રચાર કરવો, [વૈભવ[)
બાઇબલ સંદર્ભો
- વૈભવ
- લૂક 1:42-45
- લૂક 9:34-36
- માથ્થી 3:16-17
- માથ્થી 12:19-21
શબ્દ માહિતી:
- Strong's: H6963, H7032, H7445, H8193, G2906, G5456, G5586
અવાજ, અવાજો
વ્યાખ્યા:
"અવાજ" શબ્દનો ઉપયોગ ઘણી વખત બોલવાની અથવા કંઈક વાતચીત કરવા માટે વપરાય છે.
ઈશ્વરે પોતાના અવાજનો ઉપયોગ કર્યો એમ કહેવાય છે, ભલે તે મનુષ્યની જેમ જ કોઈ અવાજ ન હોય.
- આ શબ્દનો ઉપયોગ સમગ્ર વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે થઈ શકે છે, જેમ કે વિધાનમાં "અરણ્યમાંપોકારનારની વાણી સંભળાય છે, 'ઈશ્વરનો માર્ગ તૈયાર કરો.' 'આનું ભાષાંતર " એક વ્યક્તિ અરણ્યમાં બોલતો સંભળાય છે .... " કરી શકાય છે (જુઓ: લક્ષણલંકાર
" કોઈના અવાજ સાંભળવો" નો અનુવાદ "કોઈને બોલતા સાંભળવો" તરીકે પણ કરી શકાય છે.
" અવાજ" શબ્દ કેટલીકવાર વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે જે શાબ્દિક રીતે બોલી શકતા નથી, જેમ કે જયારે દાઊદે ગીતશાસ્ત્રમાં કહ્યું કે સ્વર્ગની "વાણી" ઈશ્વરનાં શકિતશાળી કાર્યોને જાહેર કરે છે.
આનો અનુવાદ આ પણ કરી શકાય છે "તેમની ભવ્યતા બતાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે."
(આ પણ જુઓ: તેડું, પ્રચાર કરવો, [વૈભવ[)
બાઇબલ સંદર્ભો
- વૈભવ
- લૂક 1:42-45
- લૂક 9:34-36
- માથ્થી 3:16-17
- માથ્થી 12:19-21
શબ્દ માહિતી:
- Strong's: H6963, H7032, H7445, H8193, G2906, G5456, G5586
આત્મા, આત્માઓ
વ્યાખ્યા:
આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે.
તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.
- “આત્મા” અને”આત્મા” શબ્દો બે અલગ ખ્યાલો હોઈ શકે, અથવા તે બે શબ્દો હોય જે સમાન ખ્યાલનો ઉલ્લેખ કરતાં હોય.
- જ્યારે વ્યક્તિ મરણ પામે છે ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે.
- “આત્મા” શબ્દ કેટલીકવાર રૂપકાત્મક રીતે સમગ્ર વ્યક્તિને સંબોધવા વપરાય છે.
ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”
અનુવાદ માટેના સૂચનો:
- “આત્મા” શબ્દનો અનુવાદ “આંતરિક સ્વ” અથવા “આંતરિક વ્યક્તિ” તરીકે પણ કરી શકાય.
- કેટલાંક સંદર્ભોમાં, “મારો આત્મા” નું અનુવાદ “હું” કે “મને” એમ કરી શકાય.
- સામાન્ય રીતે “આત્મા” શબ્દસમૂહનું અનુવાદ સંદર્ભને આધારે “વ્યક્તિ” અથવા “તે” અથવા “તેને” એમ કરી શકાય.
- કેટલીક ભાષાઓ પાસે “આત્મા” અને “આત્મા” ના ખ્યાલને માટે એક જ શબ્દ હોઈ શકે.
- હિબ્રુઓ 4:12 માં, રૂપકાત્મક શબ્દસમૂહ “આત્મા અને મજ્જાને અલગ કરનાર” નો અર્થ “ઘણી ઊંડે સુધુ દ્રષ્ટિવાળું અથવા આંતરિક વ્યક્તિને ખુલ્લો પાળવો” એમ થઇ શકે.
(આ પણ જુઓ: આત્મા)
બાઈબલના સંદર્ભો:
- 2 પિતર 2:7-9
- પ્રેરિતોના કૃત્યો 2:27-28
- પ્રેરિતોના કૃત્યો 2:40-42
- ઉત્પતિ 49:5-6
- યશાયા 53:10-11
- યાકુબ 1:19-21
- યર્મિયા 6:16-19
- યુના 2:7-8
- લૂક 1:46-47
- માથ્થી 22:37-38
- ગીતશાસ્ત્ર 19:7-8
- પ્રકટીકરણ 20:4
શબ્દ માહિતી:
- Strong's: H5082, H5315, H5397, G5590
આત્મા, આત્માઓ
વ્યાખ્યા:
આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે.
તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.
- “આત્મા” અને”આત્મા” શબ્દો બે અલગ ખ્યાલો હોઈ શકે, અથવા તે બે શબ્દો હોય જે સમાન ખ્યાલનો ઉલ્લેખ કરતાં હોય.
- જ્યારે વ્યક્તિ મરણ પામે છે ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે.
- “આત્મા” શબ્દ કેટલીકવાર રૂપકાત્મક રીતે સમગ્ર વ્યક્તિને સંબોધવા વપરાય છે.
ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”
અનુવાદ માટેના સૂચનો:
- “આત્મા” શબ્દનો અનુવાદ “આંતરિક સ્વ” અથવા “આંતરિક વ્યક્તિ” તરીકે પણ કરી શકાય.
- કેટલાંક સંદર્ભોમાં, “મારો આત્મા” નું અનુવાદ “હું” કે “મને” એમ કરી શકાય.
- સામાન્ય રીતે “આત્મા” શબ્દસમૂહનું અનુવાદ સંદર્ભને આધારે “વ્યક્તિ” અથવા “તે” અથવા “તેને” એમ કરી શકાય.
- કેટલીક ભાષાઓ પાસે “આત્મા” અને “આત્મા” ના ખ્યાલને માટે એક જ શબ્દ હોઈ શકે.
- હિબ્રુઓ 4:12 માં, રૂપકાત્મક શબ્દસમૂહ “આત્મા અને મજ્જાને અલગ કરનાર” નો અર્થ “ઘણી ઊંડે સુધુ દ્રષ્ટિવાળું અથવા આંતરિક વ્યક્તિને ખુલ્લો પાળવો” એમ થઇ શકે.
(આ પણ જુઓ: આત્મા)
બાઈબલના સંદર્ભો:
- 2 પિતર 2:7-9
- પ્રેરિતોના કૃત્યો 2:27-28
- પ્રેરિતોના કૃત્યો 2:40-42
- ઉત્પતિ 49:5-6
- યશાયા 53:10-11
- યાકુબ 1:19-21
- યર્મિયા 6:16-19
- યુના 2:7-8
- લૂક 1:46-47
- માથ્થી 22:37-38
- ગીતશાસ્ત્ર 19:7-8
- પ્રકટીકરણ 20:4
શબ્દ માહિતી:
- Strong's: H5082, H5315, H5397, G5590
આત્મા, આત્માઓ, આત્મિક
વ્યાખ્યા:
“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી.
જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે.
“આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.
- “આત્મા” શબ્દ જેને ભૌતિક શરીર નથી તેવાં અસ્તિત્વ ધરાવનાર ખાસ કરીને દુષ્ટાત્માનો ઉલ્લેખ કરી શકે છે.
- વ્યક્તિનો આત્મા એ તેનામાંનો ભાગ છે કે જે ઈશ્વરને ઓળખી શકે અને તેમનામાં વિશ્વાસ કરી શકે.
- સામાન્ય રીતે, “આત્મિક” શબ્દ એ બિન ભૌતિક જગતનું કંઈ પણ વર્ણવે છે.
- બાઈબલમાં, તે ખાસ કરીને જે કંઈ ઈશ્વર સાથે સંબંધિત છે ખાસ કરીને પવિત્ર આત્મા તેનો ઉલ્લેખ કરે છે,
- ઉદાહરણ તરીકે, “આત્મિક ભોજન” ઈશ્વરના શિક્ષણનો ઉલ્લેખ કરે છે, જે વ્યક્તિના આત્માને પોષણ આપે છે, અને “આત્મિક ડહાપણ” એ જ્ઞાન અને ન્યાયી વર્તન કે જે પવિત્ર આત્મા પાસેથી આવે છે તેનો ઉલ્લેખ કરે છે.
- ઈશ્વર આત્મા છે અને તેમણે બીજા આત્મિક અસ્તિત્વ ધરાવનારા વ્યક્તિઓ બનાવ્યાં, કે જેઓને ભૌતિક શરીરો નથી.
- દૂતો આત્મિક અસ્તિત્વ ધરાવનારા છે, તેઓને સમાવિષ્ટ કરીને કે જેઓએ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકાર્યું હતું અને દુષ્ટાત્માઓ બન્યા હતા.
- “નો આત્મા” તેનો અર્થ “ની લાક્ષણિકતા હોવી,” જેમ “ડહાપણના આત્મામાં” અથવા “એલિયાના આત્મામાં” થઇ શકે.
- “આત્મા” ના વલણ અને લાગણી તરીકેના ઉદાહરણો “ડરનો આત્મા” અને “અદેખાઈનો આત્મા” નો સમાવેશ કરશે.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભને આધારે, “આત્મા”ને અનુવાદિત કરવાની રીતમાં “બિન ભૌતિક વ્યક્તિ” અથવા “આંતરિક ભાગ” અથવા “આંતરિક વ્યક્તિ” નો સમાવેશ કરી શકાય.
- કેટલાંક સંદર્ભોમાં, “આત્મા” શબ્દનું અનુવાદ “દુષ્ટ આત્મા” અથવા “દુષ્ટ આત્માંવાળું” એમ કરી શકાય.
- ઘણીવાર “આત્મા” શબ્દ વ્યક્તિની લાગણીઓ વ્યક્ત કરવા માટે વપરાય છે, જેમ “મારો આત્મા મારાં અંતરાત્મામાં ખેદિત થયો છે” તેમ.
તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”
- “નો આત્મા” શબ્દસમૂહનું અનુવાદ “ના લક્ષણો” અથવા “ની અસર” અથવા “નું વલણ” અથવા “ના દ્વારા વર્ગીકૃત થયેલા વિચારો” એમ કરી શકાય.
- સંદર્ભને આધારે, “આત્મિક”નું અનુવાદ “બિન ભૌતિક” અથવા “પવિત્ર આત્માથી” અથવા “ઈશ્વરનું” અથવા “બિન ભૌતિક જગતનો ભાગ” તરીકે કરી શકાય.
- “આત્મિક દૂધ” રૂપકાત્મક અભિવ્યક્તિનું અનુવાદ “ઈશ્વર તરફથી પાયાનું શિક્ષણ” અથવા “ઈશ્વરનું શિક્ષણ કે જે આત્માને પોષણ આપે છે (દૂધ અઆપે છે તેમ)” તરીકે પણ કરી શકાય.
- “આત્મિક પરિપક્વતા”નું અનુવાદ “ઈશ્વરને ગમતું વર્તન કે જે પવિત્ર આત્માને આધીન છે તેમ બતાવે છે” તરીકે કરી શકાય.
- “આત્મિક દાન”નું અનુવાદ “ખાસ ક્ષમતા જે પવિત્ર આત્મા આપે છે” તારીકેકારી શકાય.
(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)
બાઈબલના સંદર્ભો:
- 1 કરિંથીઓ 5:3-5
- 1 યોહાન 4:1-3
- 1 થેસ્સાલોનિકીઓ 5:23-24
- પ્રેરિતોના કૃત્યો 5:9-11
- કોલીસ્સીઓ 1:9-10
- એફેસીઓ 4:23-24
- ઉત્પતિ 7:21-22
- યશાયા 4:3-4
- માર્ક 1:23-26
- માથ્થી 26:39-41
- ફિલિપ્પીઓ 1:25-27
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 13:3 ત્રણ દિવસ પછી,લોકોએ પોતાને તૈયાર કર્યા આત્મિક રીતે, ઈશ્વર સિનાઈ પર્વતને ટોચે મેઘગર્જના, વીજળી, ધુમાડા, અને મોટા રણશિંગડાના અવાજ સાથે ઉતરી આવ્યા.
- 40:7 પછી ઈસુ રડ્યા અને બોલ્યા, “સંપૂર્ણ થયું!
પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.”
પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.
- 45:5 જેમ સ્તેફન મરણ વખતે બોલ્યો, “ઈસુ, સ્વીકારો મારો આત્મા."
- 48:7 સર્વ પ્રજા જૂથો તેમના દ્વારા આશીર્વાદિત થયા, કારણ કે જે સર્વ ઈસુમાં વિશ્વાસ કરે છે તે પાપમાંથી બચી જાય છે, અને બને છે આત્મિક વારસદાર ઈબ્રાહિમનો.
શબ્દ માહિતી:
- Strong's: H178, H1172, H5397, H7307, H7308, G4151, G4152, G4153, G5326, G5427
આત્મા, આત્માઓ, આત્મિક
વ્યાખ્યા:
“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી.
જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે.
“આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.
- “આત્મા” શબ્દ જેને ભૌતિક શરીર નથી તેવાં અસ્તિત્વ ધરાવનાર ખાસ કરીને દુષ્ટાત્માનો ઉલ્લેખ કરી શકે છે.
- વ્યક્તિનો આત્મા એ તેનામાંનો ભાગ છે કે જે ઈશ્વરને ઓળખી શકે અને તેમનામાં વિશ્વાસ કરી શકે.
- સામાન્ય રીતે, “આત્મિક” શબ્દ એ બિન ભૌતિક જગતનું કંઈ પણ વર્ણવે છે.
- બાઈબલમાં, તે ખાસ કરીને જે કંઈ ઈશ્વર સાથે સંબંધિત છે ખાસ કરીને પવિત્ર આત્મા તેનો ઉલ્લેખ કરે છે,
- ઉદાહરણ તરીકે, “આત્મિક ભોજન” ઈશ્વરના શિક્ષણનો ઉલ્લેખ કરે છે, જે વ્યક્તિના આત્માને પોષણ આપે છે, અને “આત્મિક ડહાપણ” એ જ્ઞાન અને ન્યાયી વર્તન કે જે પવિત્ર આત્મા પાસેથી આવે છે તેનો ઉલ્લેખ કરે છે.
- ઈશ્વર આત્મા છે અને તેમણે બીજા આત્મિક અસ્તિત્વ ધરાવનારા વ્યક્તિઓ બનાવ્યાં, કે જેઓને ભૌતિક શરીરો નથી.
- દૂતો આત્મિક અસ્તિત્વ ધરાવનારા છે, તેઓને સમાવિષ્ટ કરીને કે જેઓએ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકાર્યું હતું અને દુષ્ટાત્માઓ બન્યા હતા.
- “નો આત્મા” તેનો અર્થ “ની લાક્ષણિકતા હોવી,” જેમ “ડહાપણના આત્મામાં” અથવા “એલિયાના આત્મામાં” થઇ શકે.
- “આત્મા” ના વલણ અને લાગણી તરીકેના ઉદાહરણો “ડરનો આત્મા” અને “અદેખાઈનો આત્મા” નો સમાવેશ કરશે.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભને આધારે, “આત્મા”ને અનુવાદિત કરવાની રીતમાં “બિન ભૌતિક વ્યક્તિ” અથવા “આંતરિક ભાગ” અથવા “આંતરિક વ્યક્તિ” નો સમાવેશ કરી શકાય.
- કેટલાંક સંદર્ભોમાં, “આત્મા” શબ્દનું અનુવાદ “દુષ્ટ આત્મા” અથવા “દુષ્ટ આત્માંવાળું” એમ કરી શકાય.
- ઘણીવાર “આત્મા” શબ્દ વ્યક્તિની લાગણીઓ વ્યક્ત કરવા માટે વપરાય છે, જેમ “મારો આત્મા મારાં અંતરાત્મામાં ખેદિત થયો છે” તેમ.
તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”
- “નો આત્મા” શબ્દસમૂહનું અનુવાદ “ના લક્ષણો” અથવા “ની અસર” અથવા “નું વલણ” અથવા “ના દ્વારા વર્ગીકૃત થયેલા વિચારો” એમ કરી શકાય.
- સંદર્ભને આધારે, “આત્મિક”નું અનુવાદ “બિન ભૌતિક” અથવા “પવિત્ર આત્માથી” અથવા “ઈશ્વરનું” અથવા “બિન ભૌતિક જગતનો ભાગ” તરીકે કરી શકાય.
- “આત્મિક દૂધ” રૂપકાત્મક અભિવ્યક્તિનું અનુવાદ “ઈશ્વર તરફથી પાયાનું શિક્ષણ” અથવા “ઈશ્વરનું શિક્ષણ કે જે આત્માને પોષણ આપે છે (દૂધ અઆપે છે તેમ)” તરીકે પણ કરી શકાય.
- “આત્મિક પરિપક્વતા”નું અનુવાદ “ઈશ્વરને ગમતું વર્તન કે જે પવિત્ર આત્માને આધીન છે તેમ બતાવે છે” તરીકે કરી શકાય.
- “આત્મિક દાન”નું અનુવાદ “ખાસ ક્ષમતા જે પવિત્ર આત્મા આપે છે” તારીકેકારી શકાય.
(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)
બાઈબલના સંદર્ભો:
- 1 કરિંથીઓ 5:3-5
- 1 યોહાન 4:1-3
- 1 થેસ્સાલોનિકીઓ 5:23-24
- પ્રેરિતોના કૃત્યો 5:9-11
- કોલીસ્સીઓ 1:9-10
- એફેસીઓ 4:23-24
- ઉત્પતિ 7:21-22
- યશાયા 4:3-4
- માર્ક 1:23-26
- માથ્થી 26:39-41
- ફિલિપ્પીઓ 1:25-27
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 13:3 ત્રણ દિવસ પછી,લોકોએ પોતાને તૈયાર કર્યા આત્મિક રીતે, ઈશ્વર સિનાઈ પર્વતને ટોચે મેઘગર્જના, વીજળી, ધુમાડા, અને મોટા રણશિંગડાના અવાજ સાથે ઉતરી આવ્યા.
- 40:7 પછી ઈસુ રડ્યા અને બોલ્યા, “સંપૂર્ણ થયું!
પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.”
પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.
- 45:5 જેમ સ્તેફન મરણ વખતે બોલ્યો, “ઈસુ, સ્વીકારો મારો આત્મા."
- 48:7 સર્વ પ્રજા જૂથો તેમના દ્વારા આશીર્વાદિત થયા, કારણ કે જે સર્વ ઈસુમાં વિશ્વાસ કરે છે તે પાપમાંથી બચી જાય છે, અને બને છે આત્મિક વારસદાર ઈબ્રાહિમનો.
શબ્દ માહિતી:
- Strong's: H178, H1172, H5397, H7307, H7308, G4151, G4152, G4153, G5326, G5427
આદમ
સત્યો:
આદમ પ્રથમ વ્યક્તિ હતો જેને દેવે બનાવ્યો.
દેવે તેને અને તેની પત્ની હવાને પોતાના સ્વરૂપ પ્રમાણે રચ્યા.
- દેવે ધૂળમાંથી આદમને બનાવ્યો અને તેનામાં જીવનનો શ્વાસ મુક્યો.
- આદમ શબ્દનો ઉચ્ચાર હિબ્રુ શબ્દ “લાલ ધૂળ” અથવા “જમીન”ની સમકક્ષ થાય છે.
જુનાકરારમાં “મનુષ્ય” અને “મનુષ્યજાત” માટે “આદમ” શબ્દ વાપરવામાં આવ્યો છે.
- સર્વ લોકો આદમ અને હવાના વંશજો છે.
- આદમ અને હવા ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું.
તેઓ દેવથી અલગ કરાયા અને તેને કારણે જગતમાં પાપ અને મૃત્યુએ પ્રવેશ કર્યો.
(જુઓ: મરી જવું, વારસામાં ઉતરેલું, હવા, દેવની પ્રતિમા, જીવન)
બાઈબલની કલમો:
- 1 તિમોથી 2:13-15
- ઉત્પત્તિ 3:17-19
- ઉત્પત્તિ 5:1-2
- ઉત્પત્તિ 11: 5-7
- લૂક 3:36-38
- રોમનો 5:14-15
બાઈબલની વાર્તામાંથી ઉદાહરણ:
- 1:9 ત્યારપછી દેવે કહ્યું, "ચાલો આપણે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસ બનાવીએ."
- 1:10 આ માણસનું નામ આદમ હતું.
દેવે બાગ બનાવ્યો જેથી આદમ ત્યાં રહી શકે, અને તેને ત્યાં મુકવામાં આવ્યો જેથી તે તેની સંભાળ રાખે.
- 1:12 પછી દેવે કહ્યું કે, "માણસ એકલો રહે તે સારું નથી."
પણ પ્રાણીઓમાંથી __આદમ__માટે સહાયકારી બની શક્યો નહીં.
- 2:11 અને દેવે __આદમને__અને હવાને પ્રાણીના ચામડાના વસ્ત્ર પહેરાવ્યા.
- 2:12 તેથી દેવે આદમ અને હવાને એ સુંદર બાગમાંથી કાઢી મુક્યા.
- 49:8 જયારે આદમ અને હવાએ પાપ કર્યું, જેની અસર તેના બધા સંતાન પર થઇ.
- 50:16 કારણકે જયારે આદમ અને હવાએ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને તેથી આ જગત પર પાપ આવ્યું, દેવે તેને શાપ દીધો અને તેનો નાશ કરવા નિર્ણય કર્યો.
શબ્દ માહિતી:
આદેશ, આદેશ આપવો, આજ્ઞા આપી, આજ્ઞા, આજ્ઞાઓ
વ્યાખ્યા:
“આદેશ” શબ્દનો અર્થ, કોઈકને કઈંક કરવા હુકમ કરવો.
“આદેશ” અથવા “આજ્ઞા” જે વ્યક્તિને કરવા હુકમ આપવામાં આવે છે.
- જો કે મૂળભૂત રીતે આ બધા શબ્દોનો અર્થ સમાન હોય છે, ઘણી વખત “આજ્ઞા” દેવની ચોક્કસ આજ્ઞાઓ કે જે વધુ ઔપચારિક અને કાયમી હોય છે, તેને દર્શાવે છે, જેમકે “દસ આજ્ઞાઓ.”
- આજ્ઞા હકારાત્મક (“તારા માબાપનું સન્માન કર”) અથવા નકારાત્મક (ચોરી કરવી નહીં”) હોઈ શકે છે.
- “જવાબદારી લેવી” તેનો અર્થ કોઈકનું અથવા કશાકનું “નિયંત્રણ કરવું” અથવા “કામની જવાબદારી લેવી.”
ભાષાંતરના સૂચનો
આ શબ્દનું શ્રેષ્ઠ રીતે ભાષાંતર કરાય ત્યારે “કાયદો” શબ્દનું અલગ રીતે ભાષાંતર કરવું.
“હુકમનામું અને “કાનૂન” ની વ્યાખ્યાઓ સાથે પણ તેની તુલના કરવી.
- કેટલાક અનુવાદકો “આદેશ” અને “આજ્ઞા” તેઓની ભાષામાં એક સમાન શબ્દથી ભાષાંતર કરવાનું પસંદ કરી શકે છે.
- જયારે બીજા આજ્ઞા શબ્દ માટે ખાસ શબ્દ કે જે ઔપચારિક કાયમી આદેશો કે જે દેવે બનાવ્યા તે દર્શાવવા પસંદ કરી શકે છે.
(જુઓ વિધિ (હુકમ), વિધિ, કાયદો/કાનૂન, દસ આજ્ઞાઓ)
બાઈબલની કલમો:
- લૂક 1:5-7
- માથ્થી 1:24-25
- માથ્થી 22:37-38
- માથ્થી 28:20
- ગણના 1:17-19
- રોમન 7:7-8
શબ્દ માહિતી:
- Strong's: H559, H560, H565, H1696, H1697, H1881, H2706, H2708, H2710, H2941, H2942, H2951, H3027, H3982, H3983, H4406, H4662, H4687, H4929, H4931, H4941, H5057, H5713, H5749, H6213, H6310, H6346, H6490, H6673, H6680, H7101, H7218, H7227, H7262, H7761, H7970, H8269, G1263, G1291, G1296, G1297, G1299, G1690, G1778, G1781, G1785, G2003, G2004, G2008, G2036, G2753, G3056, G3726, G3852, G3853, G4367, G4483, G4487, G5506
આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું
વ્યાખ્યા:
આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે.
“આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.
- જયારે વ્યક્તિ જે તે ખૂબ સારું છે તે અનુભવે છે ત્યારે તેને ખૂબ આનંદ શું છે તેનો ઊંડો અનુભવ થાય છે.
- દેવ જે એક છે કે જે લોકોને સાચો આનંદ આપે છે.
- આનંદ હોવો તે સુખદ સંજોગો પર આધાર રાખતો નથી.
જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.
- ક્યારેક સ્થળોને આનંદી તરીકે વર્ણવેલ છે, જેવા કે ઘરો અથવા શહેરો.
તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે.
“ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.
- મોટેભાગે આ શબ્દો દેવે જે સારી બાબતો કરી છે તે વિશે ખૂબ ખુશ હોવાનું દર્શાવે છે.
- તેનું ભાષાંતર “ખૂબ ખુશ હોવું” અથવા “ખૂબ પ્રસન્ન હોવું” અથવા “સંપૂર્ણ આનંદમાં હોવું” તરીકે કરી શકાય છે.
જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”
ભાષાંતરના સૂચનો:
- “આનંદ” શબ્દનું ભાષાંતર, “ઉલ્લાસ” અથવા “હર્ષ” અથવા “મહાન સુખ” તરીકે પણ કરી શકાય છે.
- “આનંદી રહો” શબ્દસમૂહનું ભાષાંતર, “ખુશ થવું” અથવા “ઉલ્લાસી” અથવા “ઈશ્વરની ભલાઈમાં આનંદ કરવો” થઇ શકે છે.
- વ્યક્તિ કે જે આનંદી છે તેનું વર્ણન, “ખૂબ સુખી” અથવા “ઉલ્લાસી” અથવા “અતિશય પ્રસન્ન” તરીકે કરી શકાય છે.
- “મોટેથી હર્ષનાદકરો” શબ્દસમૂહનું ભાષાંતર, “એવી રીતે અવાજ કરો કે તમે ખૂબ ખુશ છો” તરીકે કરી શકાય છે.
- “આનંદી શહેર” અથવા “આનંદી ઘર” નું ભાષાંતર, “શહેર કે જ્યાં આનંદી લોકો રહે છે” અથવા “આનંદી લોકોનું ભરપૂર ઘર” અથવા “શહેર કે જેના લોકો ખૂબ સુખી છે” તરીકે કરી શકાય છે.
બાઈબલની કલમો:
- નહેમ્યા 8:9-10
- ગીતશાસ્ત્ર 48:1-3
- યશાયા 56:6-7
- યર્મિયા 15:15-16
- માથ્થી 2:9-10
- લૂક 15:6-7
- લૂક 19:37-38
- યોહાન 3:29-30
- પ્રેરિતો 16:32-34
- રોમન 5:1-2
- રોમન 15:30-32
- ગલાતી 5:22-24
- ફિલિપ્પી 4:10-13
- 1 થેસ્સલોનિકી 1:6-7
- 1 થેસ્સલોનિકી 5:15-18
- ફિલેમોન 1:4-7
- યાકૂબ 1:1-3
- 3 યોહાન 1:1-4
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 33:7 “વ્યક્તિ એક ખડકવાળી જમીન છે કે જે દેવના વચન સાભળે છે અને આનંદ થી તેને સ્વીકારી લે છે”.
- 34:4 “દેવનું રાજ્ય પણ એક ખજાના જેવું છે કે જેને કોઈએ ખેતરમાં સંતાડ્યું. બીજા વ્યક્તિને ખજાનો મળ્યો અને પછી તેણે તે ફરીથી દાટી દીધો. તે અતિશય આનંદ થી ભરપૂર હતો, તે ગયો અને તેનું જે હતું તે બધું વેચી દીધું અને તે પૈસા તેણે તે ખેતર ખરીદવામાં વાપર્યા.
- 41:7 સ્ત્રીઓ અતિશય ભયમાં અને મહાન આનંદ માં હતી.
તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.
શબ્દ માહિતી:
- Strong's: H1523, H1524, H1525, H1750, H2302, H2304, H2305, H2654, H2898, H4885, H5937, H5938, H5947, H5965, H5970, H6342, H6670, H7440, H7442, H7444, H7445, H7797, H7832, H8055, H8056, H8057, H8342, H8643, G20, G21, G2165, G2167, G2620, G2744, G2745, G3685, G4640, G4796, G4913, G5463, G5479
આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું
વ્યાખ્યા:
આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે.
“આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.
- જયારે વ્યક્તિ જે તે ખૂબ સારું છે તે અનુભવે છે ત્યારે તેને ખૂબ આનંદ શું છે તેનો ઊંડો અનુભવ થાય છે.
- દેવ જે એક છે કે જે લોકોને સાચો આનંદ આપે છે.
- આનંદ હોવો તે સુખદ સંજોગો પર આધાર રાખતો નથી.
જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.
- ક્યારેક સ્થળોને આનંદી તરીકે વર્ણવેલ છે, જેવા કે ઘરો અથવા શહેરો.
તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે.
“ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.
- મોટેભાગે આ શબ્દો દેવે જે સારી બાબતો કરી છે તે વિશે ખૂબ ખુશ હોવાનું દર્શાવે છે.
- તેનું ભાષાંતર “ખૂબ ખુશ હોવું” અથવા “ખૂબ પ્રસન્ન હોવું” અથવા “સંપૂર્ણ આનંદમાં હોવું” તરીકે કરી શકાય છે.
જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”
ભાષાંતરના સૂચનો:
- “આનંદ” શબ્દનું ભાષાંતર, “ઉલ્લાસ” અથવા “હર્ષ” અથવા “મહાન સુખ” તરીકે પણ કરી શકાય છે.
- “આનંદી રહો” શબ્દસમૂહનું ભાષાંતર, “ખુશ થવું” અથવા “ઉલ્લાસી” અથવા “ઈશ્વરની ભલાઈમાં આનંદ કરવો” થઇ શકે છે.
- વ્યક્તિ કે જે આનંદી છે તેનું વર્ણન, “ખૂબ સુખી” અથવા “ઉલ્લાસી” અથવા “અતિશય પ્રસન્ન” તરીકે કરી શકાય છે.
- “મોટેથી હર્ષનાદકરો” શબ્દસમૂહનું ભાષાંતર, “એવી રીતે અવાજ કરો કે તમે ખૂબ ખુશ છો” તરીકે કરી શકાય છે.
- “આનંદી શહેર” અથવા “આનંદી ઘર” નું ભાષાંતર, “શહેર કે જ્યાં આનંદી લોકો રહે છે” અથવા “આનંદી લોકોનું ભરપૂર ઘર” અથવા “શહેર કે જેના લોકો ખૂબ સુખી છે” તરીકે કરી શકાય છે.
બાઈબલની કલમો:
- નહેમ્યા 8:9-10
- ગીતશાસ્ત્ર 48:1-3
- યશાયા 56:6-7
- યર્મિયા 15:15-16
- માથ્થી 2:9-10
- લૂક 15:6-7
- લૂક 19:37-38
- યોહાન 3:29-30
- પ્રેરિતો 16:32-34
- રોમન 5:1-2
- રોમન 15:30-32
- ગલાતી 5:22-24
- ફિલિપ્પી 4:10-13
- 1 થેસ્સલોનિકી 1:6-7
- 1 થેસ્સલોનિકી 5:15-18
- ફિલેમોન 1:4-7
- યાકૂબ 1:1-3
- 3 યોહાન 1:1-4
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 33:7 “વ્યક્તિ એક ખડકવાળી જમીન છે કે જે દેવના વચન સાભળે છે અને આનંદ થી તેને સ્વીકારી લે છે”.
- 34:4 “દેવનું રાજ્ય પણ એક ખજાના જેવું છે કે જેને કોઈએ ખેતરમાં સંતાડ્યું. બીજા વ્યક્તિને ખજાનો મળ્યો અને પછી તેણે તે ફરીથી દાટી દીધો. તે અતિશય આનંદ થી ભરપૂર હતો, તે ગયો અને તેનું જે હતું તે બધું વેચી દીધું અને તે પૈસા તેણે તે ખેતર ખરીદવામાં વાપર્યા.
- 41:7 સ્ત્રીઓ અતિશય ભયમાં અને મહાન આનંદ માં હતી.
તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.
શબ્દ માહિતી:
- Strong's: H1523, H1524, H1525, H1750, H2302, H2304, H2305, H2654, H2898, H4885, H5937, H5938, H5947, H5965, H5970, H6342, H6670, H7440, H7442, H7444, H7445, H7797, H7832, H8055, H8056, H8057, H8342, H8643, G20, G21, G2165, G2167, G2620, G2744, G2745, G3685, G4640, G4796, G4913, G5463, G5479
આનંદ કરવો, આનંદ કરે છે, આનંદી, આનંદિત
વ્યાખ્યા:
“આનંદ” જે કોઈ બાબત કોઈક વ્યક્તિને સારી પેઠે ખુશ કરે અથવા ખૂબ આનંદિત કરે છે.
- “(કશાક) માં આનંદ કરવો” તેનો અર્થ, “(જીવન) માં આનંદ લેવો” અથવા તે “વિશે પ્રસન્ન થવું”
- જયારે કંઈક ખૂબજ અનુકૂળ અથવા ખુશી આપનારું હોય તેને “આનંદિત” કરનારું કહી શકાય છે.
- જો વ્યક્તિઓ કોઈ બાબતમાં આનંદ કરે છે, તેનો અર્થ કે તે ખૂબ જ આનંદ માણે છે.
- “યહોવાના નિયમોમાં મારો આનંદ છે” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “યહોવાના નિયમો મને મહાન ખુશી આપે છે” અથવા “યહોવાના નિયમો પાડવામાં હું આનંદ માનું છું” અથવા “જયારે હું યહોવાની આજ્ઞાઓ પાડું છું ત્યારે હું ખુશ હોઉં છું” એવું (ભાષાંતર) કરી શકાય છે.
- “તેમાં પ્રસન્ન નથી” અને “તેમાં આનંદ ન લેવો” શબ્દસમૂહનું ભાષાંતર, “(તેનાથી) બિલકુલ ખુશ નથી” અથવા “(તેના) વિશે ખુશ નથી” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
- “પોતામાં આનંદ કરવો” શબ્દસમૂહનો અર્થ “તે કઈંક કરવામાં આનંદ માણે છે” અથવા કોઈ વ્યક્તિથી કે કોઈ બાબતથી “તે ખુબ જ ખુશ છે.”
- “આનંદ કરવો” શબ્દ દર્શાવે છે કે વ્યક્તિ કોઈ વસ્તુઓનો આનંદ માણે છે. આ શબ્દનું ભાષાંતર, “મોજ (સુખો)” અથવા “વસ્તુઓ કે જે ખુશી આપે છે, એવું (ભાષાંતર) કરી શકાય છે.
- “હું તમારી ઈચ્છા પૂરી કરવામાં આનંદ માનું છું” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “હું તમારી ઈચ્છા પૂરી કરવામાં ખુશ છું” અથવા “જયારે હું તમારી આજ્ઞા પાડું છું ત્યારે હું ખૂબ ખુશ થાઉં છું,” એવું (ભાષાંતર) કરી શકાય.
બાઈબલની કલમો:
- નીતિવચન 8:30-31
- ગીતશાસ્ત્ર 01:1-2
- ગીતશાસ્ત્ર 119:69-70
- ગીતોનું ગીત 1:1-4
શબ્દ માહિતી:
- Strong's: H1523, H2530, H2531, H2532, H2654, H2655, H2656, H2836, H4574, H5276, H5727, H5730, H6026, H6027, H7306, H7381, H7521, H7522, H8057, H8173, H8191, H8588, H8597
આન્દ્રિયા
સત્યો:
આન્દ્રિયા એ બારમાંનો એક માણસ હતો જેને ઈસુએ પોતાની નજીકના શિષ્યોમાંના એક તરીકે પસંદ કર્યો.(પછી તેઓ પ્રેરિતો કહેવાયા).
- સિમોન પિતર આન્દ્રિયાનો ભાઈ હતો. તેઓં બન્ને માછીમાર હતા.
- ઈસુએ જયારે પિતર અને આન્દ્રિયાને તેના શિષ્યો થવા બોલાવ્યા ત્યારે તેઓ ગાલીલના સમુદ્રમાં માછલાં પકડતાં હતા.
- પિતર અને આન્દ્રિયાને ઈસુને મળ્યા પહેલા તેઓ યોહાન બાપ્તિસ્મીના શિષ્યો હતા.
(જુઓ: પ્રેરિત, શિષ્ય, બાર)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 1:12-14
- યોહાન 1: 40-42
- માર્ક 1: 16-18
- માર્ક 1: 29-31
- માર્ક 3: 17-19
- માથ્થી 4: 18-20
- માથ્થી 10: 2-4
શબ્દ માહિતી:
આમ્મોન,આમ્મોની ,આમ્મોનીઓ
સત્યો:
“આમ્મોનના લોક” અથવા “આમ્મોનીઓ” ક્નાનમાંનો લોકોનો સમુદાય હતો.
તેઓ બેન-આમ્મીથી ઉતરી આવેલા હતા, કે જે લોતની નાની પુત્રી દ્વારા થયેલો પુત્ર હતો.
“આમ્મોનેણ” શબ્દ વિશિષ્ઠપણે આમ્મોની સ્ત્રીને દર્શાવે છે.
તેનું ભાષાંતર “આમ્મોની સ્ત્રી” થઇ શકે છે.
આમ્મોનીઓ યર્દન નદીની પૂર્વ ગમ રહેતા હતા, અને તેઓ ઇઝરાયેલીઓના દુશ્મનો હતા.
એક સમયે આમ્મોનીઓએ ઈઝરાયેલને શ્રાપ દેવા બલામ નામનાં પ્રબોધકને ભાડે રાખ્યો, પણ દેવે તેને તેમ કરવાની મંજુરી આપી નહીં.
(જુઓ : શાપ, યર્દન નદી, લોત)
બાઈબલ ની કલમો:
- 1 કાળવૃતાંત 19:1-3
- હઝકિયેલ 25:1-2
- ઉત્પત્તિ 19:36-38
- યહોશુઆ 12:1-2
- ન્યાયાધીશો 11:26-28
- સફાન્યા 2:8-9
શબ્દ માહિતી:
- Strong's: H5983, H5984, H5985
આય
સત્યો:
જુના કરારના સમયમાં આય ગામ, કનાનીઓનું એક નગર, જે બેથેલના દક્ષિણ ભાગમાં અને યરીખોથી 8 કિલોમીટર વાયવ્ય દિશામાં આવેલું હતું.
યરીખોને હરાવ્યા બાદ યહોશુઆએ ઈઝરાએલીઓને આયમાં હુમલો કરવા દોર્યા.
પણ તેઓનો સરળતાથી પરાજય થયો હતો, કારણકે દેવ તેમના પર ખુશ નહોતો .
યરીખોમાંથી આખાન નામના એક ઈઝરાએલીએ લૂંટમાંથી કાંઈક ચોરી લીધું હતું, અને તેથી ઈશ્વરે તેને તથા તેના પરિવારને મારી નંખાવ્યા.
ત્યારબાદ આયને હરાવવામાં ઈશ્વરે ઈઝરાએલીઓની મદદ કરી.
(જુઓ: બેથેલ, યરીખો)
બાઈબલની કલમો:
- એઝરા 2:27-30
- ઉત્પત્તિ 12:8-9
- ઉત્પત્તિ 13:3-4
- યહોશુઆ 7:2-3
- યહોશુઆ 8:10-12
શબ્દ માહિતી:
આરામ, વિશ્રામ, આરામ કરે છે, આરામ કર્યો, આરામ કરતું, બેચેન
વ્યાખ્યા:
“આરામ” કરવો શબ્દનો શાબ્દિક અર્થ હળવાશ અનુભવવા કે બળ પુનઃપ્રાપ્ત કરવા કામ કરવાનું બંધ કરવું એવો થાય છે.
"the rest of" કોઈક વસ્તુની બાકી રહેલી બાબતોનો ઉલ્લેખ કરે છે.
કાર્ય કરવાનું બંધ કરવું તે “આરામ” છે.
- કોઈ વસ્તુ “આરામ કરે છે” એમ કહી શકાય જ્યાં તેનો અર્થ તે વસ્તુ “ઊભી” છે અથવા તો “પડી” છે એવો થાય છે.
- એક હોડી “આરામના સ્થળે પહોંચે છે” નો અર્થ એ થાય છે કે તે કિનારે આવીને “અટકી છે” અથવા તો “કિનારે પહોંચી” છે.
- જ્યારે કોઈ વ્યક્તિ કે પ્રાણી આરામ કરે છે ત્યારે, તેઓ હળવાશ અનુભવવા બેઠેલા છે અથવા તો આડા પડ્યા છે.
- ઈશ્વરે ઇઝરાયલીઓને અઠવાડિયાના સાતમા દિવસે આરામ કરવા કહ્યું.
આ કામ નહીં કરવાના દિવસને “સાબ્બાથદિન” કહેવામાં આવ્યો હતો.
- કોઈ વસ્તુને બીજી વસ્તુના આધાર પર ગોઠવવીનો અર્થ તેને “મૂકવી” અથવા તો “ગોઠવવી” એવો થાય છે.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભ અનુસાર, “(જાતે) આરામ કરવો” તેનો અનુવાદ “કામ કરવાનું બંધ કરવું” અથવા તો “પોતાની જાતને તાજી કરવી” અથવા તો “ભાર ઊચકવાનું બંધ કરવું” તરીકે કરી શકાય.
- કોઈ વસ્તુને બીજી વસ્તુના આધાર પર “ગોઠવવી” નો અનુવાદ તેને બીજી વસ્તુ પર “મૂકવી” અથવા તો “ગોઠવવી” અથવા તો “બેસાડવી” તરીકે કરી શકાય.
- જ્યારે ઈસુએ કહ્યું કે, “હું તમને વિશ્રામ આપીશ” ત્યારે તેનો અનુવાદ “તમે તમારો બોજો ઊચકવાનું બંધ કરો તેવું હું કરીશ” અથવા તો “હું તમને શાંત થવા મદદ કરીશ” અથવા તો “હું તમને હળવાશ અનુભવવા તથા મારામાં ભરોસો રાખવા સમર્થ કરીશ” તરીકે કરી શકાય.
- ઈશ્વરે કહ્યું, “તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ નહીં કરે” અને આ વાક્યનો અનુવાદ “તેઓ મારા વિશ્રામના આશીર્વાદો નહીં માણી શકે” અથવા તો “તેઓ જે આનંદ અને શાંતિ મારામાં વિશ્વાસ કરવાથી આવે છે તેનો અનુભવ નહીં કરે” એ રીતે કરી શકાય.
- "the rest" શબ્દનો અનુવાદ “બાકી રહેલા” અથવા તો “બીજા બધા લોકો” અથવા તો “બાકી રહેલું બધુ” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: શેષ, વિશ્રામવાર)
બાઇબલના સંદર્ભો:
- 2 કાળવૃતાંત 6:40-42
- ઉત્પત્તિ 2:1-3
- યર્મિયા 6:16-19
- માથ્થી 11:28-30
- પ્રકટીકરણ 14:11-12
શબ્દ માહિતી:
- Strong's: H14, H1824, H1826, H2308, H3498, H3499, H4494, H4496, H4771, H5117, H5118, H5183, H5564, H6314, H7258, H7280, H7599, H7604, H7605, H7606, H7611, H7673, H7677, H7901, H7931, H7954, H8058, H8172, H8252, H8300, G372, G373, G425, G1515, G1879, G1954, G1981, G2270, G2663, G2664, G2681, G2838, G3062, G4520
આરામ, વિશ્રામ, આરામ કરે છે, આરામ કર્યો, આરામ કરતું, બેચેન
વ્યાખ્યા:
“આરામ” કરવો શબ્દનો શાબ્દિક અર્થ હળવાશ અનુભવવા કે બળ પુનઃપ્રાપ્ત કરવા કામ કરવાનું બંધ કરવું એવો થાય છે.
"the rest of" કોઈક વસ્તુની બાકી રહેલી બાબતોનો ઉલ્લેખ કરે છે.
કાર્ય કરવાનું બંધ કરવું તે “આરામ” છે.
- કોઈ વસ્તુ “આરામ કરે છે” એમ કહી શકાય જ્યાં તેનો અર્થ તે વસ્તુ “ઊભી” છે અથવા તો “પડી” છે એવો થાય છે.
- એક હોડી “આરામના સ્થળે પહોંચે છે” નો અર્થ એ થાય છે કે તે કિનારે આવીને “અટકી છે” અથવા તો “કિનારે પહોંચી” છે.
- જ્યારે કોઈ વ્યક્તિ કે પ્રાણી આરામ કરે છે ત્યારે, તેઓ હળવાશ અનુભવવા બેઠેલા છે અથવા તો આડા પડ્યા છે.
- ઈશ્વરે ઇઝરાયલીઓને અઠવાડિયાના સાતમા દિવસે આરામ કરવા કહ્યું.
આ કામ નહીં કરવાના દિવસને “સાબ્બાથદિન” કહેવામાં આવ્યો હતો.
- કોઈ વસ્તુને બીજી વસ્તુના આધાર પર ગોઠવવીનો અર્થ તેને “મૂકવી” અથવા તો “ગોઠવવી” એવો થાય છે.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભ અનુસાર, “(જાતે) આરામ કરવો” તેનો અનુવાદ “કામ કરવાનું બંધ કરવું” અથવા તો “પોતાની જાતને તાજી કરવી” અથવા તો “ભાર ઊચકવાનું બંધ કરવું” તરીકે કરી શકાય.
- કોઈ વસ્તુને બીજી વસ્તુના આધાર પર “ગોઠવવી” નો અનુવાદ તેને બીજી વસ્તુ પર “મૂકવી” અથવા તો “ગોઠવવી” અથવા તો “બેસાડવી” તરીકે કરી શકાય.
- જ્યારે ઈસુએ કહ્યું કે, “હું તમને વિશ્રામ આપીશ” ત્યારે તેનો અનુવાદ “તમે તમારો બોજો ઊચકવાનું બંધ કરો તેવું હું કરીશ” અથવા તો “હું તમને શાંત થવા મદદ કરીશ” અથવા તો “હું તમને હળવાશ અનુભવવા તથા મારામાં ભરોસો રાખવા સમર્થ કરીશ” તરીકે કરી શકાય.
- ઈશ્વરે કહ્યું, “તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ નહીં કરે” અને આ વાક્યનો અનુવાદ “તેઓ મારા વિશ્રામના આશીર્વાદો નહીં માણી શકે” અથવા તો “તેઓ જે આનંદ અને શાંતિ મારામાં વિશ્વાસ કરવાથી આવે છે તેનો અનુભવ નહીં કરે” એ રીતે કરી શકાય.
- "the rest" શબ્દનો અનુવાદ “બાકી રહેલા” અથવા તો “બીજા બધા લોકો” અથવા તો “બાકી રહેલું બધુ” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: શેષ, વિશ્રામવાર)
બાઇબલના સંદર્ભો:
- 2 કાળવૃતાંત 6:40-42
- ઉત્પત્તિ 2:1-3
- યર્મિયા 6:16-19
- માથ્થી 11:28-30
- પ્રકટીકરણ 14:11-12
શબ્દ માહિતી:
- Strong's: H14, H1824, H1826, H2308, H3498, H3499, H4494, H4496, H4771, H5117, H5118, H5183, H5564, H6314, H7258, H7280, H7599, H7604, H7605, H7606, H7611, H7673, H7677, H7901, H7931, H7954, H8058, H8172, H8252, H8300, G372, G373, G425, G1515, G1879, G1954, G1981, G2270, G2663, G2664, G2681, G2838, G3062, G4520
આરોપ, તહોમત મુકવું, આરોપી, તહોમત મુકવો, આરોપ મુકનાર, આરોપ મુકનારા, આરોપ મુકવો, આરોપો
વ્યાખ્યા:
શબ્દ” આરોપ “અને “આરોપ મુકવો” એનો અર્થ કોઈના પર અયોગ્ય કાર્ય કરવા બદલ મુકવામાં આવેલો દોષ .
જે વ્યક્તિ આરોપ મુકે તેને “આરોપ મુકનાર” કહે છે.
- કોઈની વિરુધ્ધ જે સાચું નથી તેવું તહોમત મુકવામાં તેને જૂઠો આરોપ તરીકે ઓળખવામાં આવે છે, જેમકે જયારે યહૂદી આગેવાનોએ ઇસુ પર ખોટું કર્યાનું જુઠું તહોમત મુક્યું હતું.
- નવાકરારમાં પ્રકટીકરણના પુસ્તકમાં શેતાનને “ આરોપ મુકનાર” તરીકે ઓળખવામાં આવ્યો છે.
બાઈબલની કલમો :
- પ્રેરિતોના કૃત્યો 19:38-41
- હોશિયા 4:4-5
- યર્મિયાહ 2:9-11
- લૂક 6:6-8
- રોમન 8:33-34
શબ્દ માહિતી:
- Strong's: H3198, H8799, G1458, G2147, G2596, G2724
આરોપ, તહોમત મુકવું, આરોપી, તહોમત મુકવો, આરોપ મુકનાર, આરોપ મુકનારા, આરોપ મુકવો, આરોપો
વ્યાખ્યા:
શબ્દ” આરોપ “અને “આરોપ મુકવો” એનો અર્થ કોઈના પર અયોગ્ય કાર્ય કરવા બદલ મુકવામાં આવેલો દોષ .
જે વ્યક્તિ આરોપ મુકે તેને “આરોપ મુકનાર” કહે છે.
- કોઈની વિરુધ્ધ જે સાચું નથી તેવું તહોમત મુકવામાં તેને જૂઠો આરોપ તરીકે ઓળખવામાં આવે છે, જેમકે જયારે યહૂદી આગેવાનોએ ઇસુ પર ખોટું કર્યાનું જુઠું તહોમત મુક્યું હતું.
- નવાકરારમાં પ્રકટીકરણના પુસ્તકમાં શેતાનને “ આરોપ મુકનાર” તરીકે ઓળખવામાં આવ્યો છે.
બાઈબલની કલમો :
- પ્રેરિતોના કૃત્યો 19:38-41
- હોશિયા 4:4-5
- યર્મિયાહ 2:9-11
- લૂક 6:6-8
- રોમન 8:33-34
શબ્દ માહિતી:
- Strong's: H3198, H8799, G1458, G2147, G2596, G2724
આશા, આશા રાખી, આશા રાખે છે
વ્યાખ્યા:
આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે.
આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.
- બાઈબલમાં, “આશા’ શબ્દનો અર્થ “વિશ્વાસ” પણ છે, જેમ કે “મારો વિશ્વાસ મારા પ્રભુમાં છે.”
દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.
- આ મોટેભાગે નવા કરારની પરિસ્થિતિઓમાં આ બને છે, કે જયારે લોકો કે જેઓએ ઈસુને પોતાનો તારનાર છે તેવો વિશ્વાસ રાખે છે અને તેણે જે વચન આપ્યું છે તે પ્રાપ્ત કરવા વિશ્વાસની ખાતરી (અથવા આત્મવિશ્વાસ અથવા આશા) રાખે છે, તેને દર્શાવે છે.
- “આશા ના હોવી” તેનો અર્થ કંઈક સારું બનશે એવી અપેક્ષા ન હોવી. તેનો અર્થ કે તે ખરેખર તે ખૂબજ નિશ્ચિત છે કે તે થશે નહિ.
ભાષાંતરના સૂચનો:
- કેટલાક સંદર્ભોમાં, “આશા” શબ્દનું ભાષાંતર, “માંગવું” અથવા “ઈચ્છા” અથવા “અપેક્ષા” તરીકે પણ કરી શકાય છે.
- “કોઈપણ બાબત માટે આશા નથી” અભિવ્યક્તિનું ભાષાંતર, “કશામાં વિશ્વાસ નથી” અથવા “કંઈપણ સારા માટે અપેક્ષા નથી” તરીકે કરી શકાય છે.
- “આશા નથી” શબ્દસમૂહનું ભાષાંતર, “કંઈપણ સારા થવાની અપેક્ષા નથી” અથવા “સુરક્ષા ન હોવી” અથવા “ખાતરી હોવી કે કંઈપણ સારું થશે નહિ” તરીકે કરી શકાય છે.
- તેના ઉપર તમારી આશા રાખો” અભિવ્યક્તિનું ભાષાંતર, “તેનામાં તમારો આત્મવિશ્વાસ મૂકો” અથવા “માં વિશ્વાસ રાખવામાં આવ્યો છે” તરીકે પણ કરી શકાય છે.
- “તમારા વચનમાં મને આશા મળી છે” શબ્દસમૂહનું ભાષાંતર, “મને વિશ્વાસ છે કે તારું વચન સત્ય છે” અથવા “તારું વચન મને તારામાં વિશ્વાસ રાખવામાં મદદ કરે છે” અથવા “જયારે મેં તારા વચનોનું પાળ્યા છે ત્યારે હું ચોક્કસ આશીર્વાદિત થયો છું,” તરીકે પણ કરી શકાય છે.
- શબ્દસમૂહ જેવા કે દેવ “માં આશા,” તેનું ભાષાંતર, “દેવમાં વિશ્વાસ કરવો” અથવા “નક્કી જાણવુંકે દેવે જે વચન આપ્યુ છે તે કરશે” અથવા “નિશ્ચિત રહો કે દેવ વિશ્વાસુ છે” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 29:14-15
- 1 થેસ્સલોનિકી 2:17-20
- પ્રેરિતો 24:14-16
- પ્રેરિતો 26:6-8
- પ્રેરિતો 27:19-20
- કલોસ્સી 1:4-6
- અયૂબ 11:20
શબ્દ માહિતી:
- Strong's: H982, H983, H986, H2620, H2976, H3175, H3176, H3689, H4009, H4268, H4723, H7663, H7664, H8431, H8615, G91, G560, G1679, G1680, G2070
આશેર
સત્યો:
આશેર યાકૂબનો આઠમો દીકરો હતો.
તેના વંશજો ઈઝરાએલના બાર રચાયેલા કુળમાંનો એક હતું, અને આ કુળ “આશેર” તરીકે પણ ગણાતું હતું.
લેઆહની દાસી, ઝિલ્પાહ આશેરની માતા હતી.
તેના નામનો અર્થ “આનંદીત” અથવા “ધન્ય.”
જયારે ઈઝરાએલીઓ વચનની ભૂમિમાં પ્રવેશ્યા ત્યારે આશેરના કુળને જે મુલક સોંપ્યો તેનું નામ પણ આશેર હતું.
(આ પણ જુઓ: [ઈઝરાએલ, ઈઝરાએલ)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
આશ્ચર્યરૂપ, ભયાનકતાઓ, ભયાનક, ભયાનક રીતે, ભયભીત, ભયભીત કરવું
વ્યાખ્યા:
“આશ્ચર્યરૂપ” શબ્દ, ભય અથવા ધાસ્તીની ખૂબજ તીવ્ર લાગણીને દર્શાવે છે.
વ્યક્તિ કે જે આશ્ચર્ય અનુભવે છે તેને ભયભીત કહેવામાં આવે છે.
- આશ્ચર્યરૂપ એ સામાન્ય ભય કરતાં વધુ નાટ્યાત્મક અને તીવ્ર હોય છે.
- સામાન્ય રીતે જયારે કોઈ ભયભીત છે ત્યારે તેઓ આઘાતમાં અથવા સ્તબ્ધ પણ હોય છે.
(આ પણ જુઓ: ડર, આતંક)
બાઈબલની કલમો:
- પુનર્નિયમ 28:36-37
- હઝકિયેલ 23:33-34
- યર્મિયા 2:12-13
- અયૂબ 21:4-6
- ગીતશાસ્ત્ર 55:4-5
શબ્દ માહિતી:
- Strong's: H367, H1091, H1763, H2152, H2189, H4032, H4923, H5892, H6343, H6427, H7588, H8047, H8074, H8175, H8178, H8186
આશ્રય, શરણાર્થી, શરણાર્થીઓ, આશ્રયસ્થાન, આશ્રયસ્થાનો, આશ્રય લીધેલું, આશ્રય લેતું
વ્યાખ્યા:
“આશ્રય” શબ્દ સલામતી અને સુરક્ષાની જગા અથવા પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે.
“શરણાર્થી” સલામત જગા શોધનાર વ્યક્તિ છે.
“આશ્રયસ્થાન” વાતાવરણ અને જોખમોથી રક્ષણ કરી શકે એવી જગાનો ઉલ્લેખ કરે છે.
- બાઇબલમાં, ઈશ્વરને ઘણી વાર આશ્રયસ્થાન તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે કે જ્યાં તેમના લોકો સલામત અને સુરક્ષિત રહી શકે અને તેમની કાળજી લેવામાં આવે.
- જૂના કરારમાં “આશ્રયસ્થાનનું શહેર” શબ્દસમૂહ કેટલાક શહેરોમાંના એકનો ઉલ્લેખ કરે છે જ્યાં જે વ્યક્તિએ અકસ્માતે કોઇની હત્યા કરી હોય તો તેનો બદલો લેવા હુમલો કરતા લોકોથી રક્ષણ પામવા જઇ શકે.
- “આશ્રયસ્થાન” ઘણી વાર એક છત કે ઇમારત જેવુ ભૌતિક માળખું છે કે જે લોકો કે પ્રાણીઓ માટે રક્ષણ પૂરું પાડે છે.
- કેટલીક વાર “આશ્રયસ્થાન” નો અર્થ “રક્ષણ” થાય છે, જેમ કે લોતે કહ્યું કે તેના મહેમાનો તેની છત “નીચે આશ્રય” પામ્યા હતા.
તે જણાવતો હતો કે તેઓ સુરક્ષિત રહેવા જોઈએ કારણ કે તે પોતાના પરિવારના સદસ્યો તરીકે તેઓનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવતો હતો.
અનુવાદ માટેના સૂચનો:
- “આશ્રયસ્થાન” શબ્દનો અનુવાદ “સુરક્ષિત જગા” અથવા તો “રક્ષણની જગા” તરીકે કરી શકાય.
- “શરણાર્થીઓ” એવા લોકો છે જેઓ જોખમી પરિસ્થિતીથી બચવા પોતાના ઘર છોડી દે છે અને તેનો અનુવાદ “પરદેશી,” ઘરવિહોણા લોકો” કે “નિર્વાસિતો” તરીકે કરી શકાય.
- સંદર્ભ અનુસાર, “આશ્રયસ્થાન” શબ્દનો અનુવાદ “રક્ષણ કરતી બાબત” અથવા તો “રક્ષણ” અથવા તો “સુરક્ષિત જગા” તરીકે કરી શકાય.
- જો તે ભૌતિક માળખાનો ઉલ્લેખ કરતું હોય તો, “આશ્રયસ્થાન” નો અનુવાદ “રક્ષણ આપતી ઇમારત” અથવા તો “સલામતીનું ઘર” તરીકે પણ કરી શકાય.
- “સુરક્ષિત આશ્રયસ્થાનમાં” શબ્દસમૂહનો અનુવાદ “સુરક્ષતિ જગામાં” અથવા તો “એવી જગામાં કે જ્યાં રક્ષણ મળશે” તરીકે કરી શકાય.
- “શરણ મેળવવું” અથવા તો “શરણ લેવું” અથવા તો “આશ્રય લેવો” નો અનુવાદ “સુરક્ષિત જગા મેળવવી” અથવા તો “પોતાની જાતને સુરક્ષિત જગામાં રાખવી” તરીકે કરી શકાય.
બાઇબલના સંદર્ભો:
- 2 શમુએલ 22:3-4
- પુનર્નિયમ 32:37-38
- યશાયા 23:13-14
- યર્મિયા 16:19-21
- ગણના 35:24-25
- ગીતશાસ્ત્ર 46:1-3
- ગીતશાસ્ત્ર 28:6-8
શબ્દ માહિતી:
- Strong's: H2620, H4268, H4498, H4585, H4733, H4869
આસા
સત્યો:
આસા રાજાએ, ઈસ. પૂર્વે 913 થી ઈસ. પૂર્વે 873 દરમ્યાન યહૂદાના રાજ્ય ઉપર ચાળીસ વર્ષો સુધી રાજ કર્યું હતું.
આસા સારો રાજા હતો જેણે જુઠા દેવોની ઘણી મૂર્તિઓને કાઢી નાંખી, અને તે કારણે ઈઝરાએલીઓ એ ફરીથી યહોવાનું ભજન કરવાનું શરુ કર્યું.
યહોવાએ આસા રાજાને બીજા દેશોની વિરુદ્ધ યુદ્ધમાં વિજય આપ્યો.
પછી તેના શાસનમાં, આસા રાજાએ યહોવા પર ભરોસો રાખવાનું મૂકી દીધું અને તે એક રોગથી બિમાર પડ્યો જેણે તેનો જીવ લીધો.
(ભાષાંતરના સુચનો : નામોનું ભાષાંતર કરો
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 9:14-16
- 1 રાજા 15:7-8
- 2 કાળવૃતાંત 14:1-4
- યર્મિયા 41:8-9
- માથ્થી 1:7-8
શબ્દ માહિતી:
આહાઝ
વ્યાખ્યા:
આહાઝ યહુદિયાના રાજ્યનો એક ભૂંડો રાજા હતો, જેમાં તેણે ઈસ.પૂર્વે 732 થી 716 સુધી રાજ્ય કર્યું.
આ લગભગ 140 વર્ષોના પહેલાના સમયગાળાની વાત છે કે જયારે ઈઝરાઈલના તથા યહુદિયાના ઘણા લોકોને બાબિલમાં બંદીવાનો તરીકે લઈ જવાયા હતા.
- જયારે આહાઝ યહુદિયામાં રાજ્ય કરતો હતો, ત્યારે તેણે આશ્શૂરના જુઠા દેવોને ભજવા માટે વેદી બંધાવી, કે જેથી લોકો સાચા દેવ યહોવાથી વિમુખ થઈ ગયા.
- જયારે આહાઝ રાજા 20 વર્ષ હતો તેને યહુદિયામાં રાજ્ય શરુ કર્યું, અને તેણે 17 વર્ષ રાજ કર્યું.
(ભાષાંતર માટેના સૂચનો: નામનું ભાષાંતર કેવી રીતે કરવું
(જુઓ: બાબિલોન)
બાઈબલની કલમો:
- 1કાળવૃતાંત 8:35-38
- 2 કાળવૃતાંત 28: 1-2
- 2 રાજાઓ 16:19-20
- હોશિયા 1:1-2
- યશાયા 1:1
- યશાયા 7:3-4
- માથ્થી 1: 9-11
શબ્દ માહિતી:
ઈશ્વરના લોકો, મારા લોકો
વ્યાખ્યા:
“ઈશ્વરના લોકો” શબ્દ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓને ઈશ્વરે પોતાની સાથે ખાસ સંબંધ રાખવા જગતમાંથી તેડ્યા છે.
- જ્યારે ઈશ્વર “મારા લોકો” કહે છે ત્યારે તેઓ જેઓને તેઓએ પસંદ કર્યા છે અને જેઓનો ઈશ્વર સાથે સંબંધ છે તે લોકો વિષે વાત કરે છે.
- ઈશ્વરના લોકોને ઈશ્વર દ્વારા પસંદ કરવામાં આવ્યા છે અને ઈશ્વરને પ્રસન્ન કરે તેવી રીતે જીવવા જગતમાંથી અલગ કરવામાં આવ્યા છે.
ઈશ્વર પોતાના લોકોને પોતાના બાળકો પણ કહે છે.
- જૂના કરારમાં, “ઈશ્વરના લોકો” શબ્દ ઇઝરાયલ દેશનો ઉલ્લેખ કરે છે કે જેને ઈશ્વર દ્વારા પસંદ કરાયો હતો અને તેમની સેવા કરવા તથા આજ્ઞાઓ પાળવા બીજા દેશોમાંથી અલગ કરાયો હતો.
- નવા કરારમાં, “ઈશ્વરના લોકો” શબ્દ ખાસ કરીને એ બધા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે અને જેઓને મંડળી કહેવામા આવે છે.
તેમાં યહૂદીઓ અને બિનયહૂદીઓ બંનેનો સમાવેશ થાય છે.
અનુવાદ માટેના સૂચનો:
- “ઈશ્વરના લોકો” શબ્દનો અનુવાદ “ઈશ્વરની પ્રજા” અથવા તો “ઈશ્વરની આરાધના કરતા લોકો” અથવા તો “ઈશ્વરની સેવા કરતા લોકો” અથવા તો “ઈશ્વરની માલિકીના લોકો” તરીકે કરી શકાય.
- જ્યારે ઈશ્વર “મારા લોકો” શબ્દ વાપરે છે તો તેનો બીજો અનુવાદ “એવા લોકો કે જેઓને મેં પસંદ કર્યા છે” અથવા તો “મારી આરાધના કરતા લોકો” અથવા તો “મારી માલિકીના લોકો” એ રીતે કરી શકાય.
- તેવી જ રીતે, “તમારા લોકો” શબ્દનો અનુવાદ “તમારી માલિકીના લોકો” અથવા તો “એવા લોકો જેમણે તમારા બનવા પસંદ કર્યું” તરીકે કરી શકાય.
- વળી “તેમના લોકો” શબ્દનો અનુવાદ “તેમની માલિકીના લોકો” અથવા તો “ઈશ્વરે પોતાના બનાવવા માટે પસંદ કરેલા લોકો” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 11:1-3
- પ્રેરિતોનાં કૃત્યો 7:33-34
- પ્રેરિતોનાં કૃત્યો 7:51-53
- પ્રેરિતોનાં કૃત્યો 10:36-38
- દાનિયેલ 9:24-25
- યશાયા 2:5-6
- યર્મિયા 6:20-22
- યોએલ 3:16-17
- મીખાહ 6:3-5
- પ્રકટીકરણ 13:7-8
શબ્દ માહિતી:
- Strong's: H430, H5971, G2316, G2992
ઈશ્વરનું રાજ્ય, સ્વર્ગનું રાજ્ય
વ્યાખ્યા:
"ઈશ્વરનું રાજ્ય" અને "સ્વર્ગનું રાજ્ય" બંને શબ્દો ઈશ્વરના લોકો અને સર્વ સર્જન પર તેમના શાસન અને સત્તાનો ઉલ્લેખ કરે છે.
- યહુદીઓ અવારનવાર "સ્વર્ગ" શબ્દનો ઉપયોગ ઈશ્વરને સંબોધવા, સીધે સીધેસીધી રીતે તેમના નામનો ઉપયોગ ટાળવા કરતાં હતા. (જુઓ: ભાષાલંકાર
- નવા કરારના માથ્થીએ લખેલ પુસ્તકમાં, તે ઈશ્વરના રાજ્યને "સ્વર્ગના રાજ્ય" તરીકે સંબોધે છે, કદાચ તે મુખ્યત્વે યહૂદી શ્રોતાઓ માટે તે લખી રહ્યો હતો તેને કારણે.
- ઈશ્વરનું રાજ્ય એ ઈશ્વર આત્મિક રીતે લોકોને દોરે છે તથા ભૌતિક જગત પર રાજ કરે છે તેનો ઉલ્લેખ કરે છે.
- જૂના કરારના પ્રબોધકોએ લખ્યું કે ઈશ્વર મસીહાને ન્યાયથી રાજ કરવા મોકલશે.
ઈસુ, ઈશ્વરના દીકરા, મસીહા છે જે ઈશ્વરના રાજ્ય પર સદાકાળ રાજ કરશે.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભને આધારે, "ઈશ્વરનું રાજ્ય" નું અનુવાદ "ઈશ્વરનું શાસન (રાજા તરીકે)" અથવા "જ્યારે ઈશ્વર રાજા તરીકે રાજ કરશે ત્યારે" અથવા "સઘળાં પર ઈશ્વરનું શાસન" એમ કરી શકાય.
- "સ્વર્ગનું રાજ્ય" શબ્દનું અનુવાદ "સ્વર્ગમાથી ઈશ્વરનું રાજા તરીકે રાજ" અથવા "સ્વર્ગમાના ઈશ્વર રાજ કરે છે" અથવા "સ્વર્ગ સઘળાં પર રાજ કરે છે" એમ પણ કરી શકાય. જો તેનું અનુવાદ સરળ અને સ્પષ્ટ રીતે કરવું શક્ય નથી તો, તેને બદલે "ઈશ્વરનું રાજ્ય" એમ અનુવાદ કરી શકાય.
- કેટલાંક અનુવાદકો "સ્વર્ગ" શબ્દને અંગ્રેજીમાં કેપીટલ અક્ષરમાં તે ઈશ્વર માટે સંબોધવામાં આવ્યું છે તે માટે લખે છે. બીજાઓ લખાણમાં નોંધનો સમાવેશ કરે છે, જેમ કે "સ્વર્ગનું રાજ્ય (જે ઈશ્વરનું રાજ્ય)."
- બાઇબલના પૃષ્ઠની નીચેના ભાગનો આ અભિવ્યક્તિમાં "સ્વર્ગ" શબ્દનો અર્થ સમજાવવા પણ નોંધ કરવા ઉપયોગ કરી શકાય.
(આ પણ જુઓ: દેવ, સ્વર્ગ, રાજા, રાજ્ય, યહુદીઓનો રાજા, રાજ કરવું)
બાઈબલના સંદર્ભો:
- 2 થેસ્સાલોનિકીઓ 1:3-5
- પ્રેરિતોના કૃત્યો 8:12-13
- પ્રેરિતોના કૃત્યો 28:23-24
- કલોસ્સીઓ 4:10-11
- યોહાન 3:3-4
- લૂક 7:27-28
- લૂક 10:8-9
- લૂક 12:31-32
- માથ્થી 3:1-3
- માથ્થી 4:17
- માથ્થી 5:9-10
- રોમનો 14:16-17
બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:
- 24:2 તેણે (યોહાન) લોકોને બોધ કર્યો, એમ કહીને કે, "પસ્તાવો કરો કેમ કે ઈશ્વરનું રાજ્ય નજીક છે!"
- 28:6 પછી ઈસુએ તેમના શિષ્યોણે કહ્યું, "ધનવાન લોકોને પેંસવું ઘણું અઘરું છે ઈશ્વરના રાજયમાં!
હા, સોયના નાકામાથી ઊંટને પસાર થવું સહેલું છે ધનવાન માણસના પ્રવેશવા કરતાં ઈશ્વરના રાજયમાં."
- 29:2 ઈસુએ કહ્યું, " ઈશ્વરનું રાજય એક રાજા જેવુ છે જે તેના ચાકરો સાથે હિસાબની પતાવટ કરવા માંગે છે."
- 34:1 ઈસુએ બીજી ઘણી વાતો કહી ઈશ્વરના રાજ્યની.
ઉદાહરણ તરીકે એમણે કહ્યું, " ઈશ્વરનું રાજ્ય એ રાઈના દાણા જેવુ છે જે કોઇકે તેના ખેતરમાં વાવ્યું."
- 34:3 ઈસુએ બીજી વાત કહી, " ઈશ્વરનું રાજ્ય એ ખમીર જેવુ છે કે જેને સ્ત્રીએ લોટમાં ભેળવી દીધું જ્યાં સુધી તે સર્વ લોટમાં ફેલાય ન જાય ત્યાં સુધી."
- 34:4 " ઈશ્વરનું રાજ્ય એ છુપાયેલા ખજાના જેવુ છે જેને કોઇકે ખેતરમાં છુપાવી દીધું હતું..
બીજા કોઈક માણસને તે ખજાનો મળ્યો અને તેણે પણ દાટી દીધો."
- 34:5 " ઈશ્વરનું રાજ્ય એ સંપૂર્ણ મોતી જે ઘણું મૂલ્યવાન છે તેના જેવુ પણ છે."
- 42:9 તેમણે તેમના શિષ્યોને ઘણી રીતે સાબિત કરી આપ્યું કે તેઓ જીવંત છે, અને તેમણે તેમણે શીખવ્યું ઈશ્વરના રાજ્ય વિષે.
- 49:5 ઈસુએ કહ્યું કે ઈશ્વરનું રાજ્ય જગતમાં જે કંઈ પણ છે તેનાથી ઘણું મૂલ્યવાન છે.
- 50:2 જ્યારે ઈસુ પૃથ્વી પર જીવંત હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, "મારા શિષ્યો સારા સમાચારનો બોધ કરશે ઈશ્વરના રાજ્યના સર્વત્ર જગતના લોકોને, અને પછી અંત આવશે."
શબ્દ માહિતી:
- Strong's: G932, G2316, G3772
ઈશ્વરનો દીકરો, દીકરો
તથ્યો:
“ઈશ્વરનો દીકરો” શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે, ઈશ્વરનો શબ્દ, કે જે માનવ બનીને આ જગતમાં આવ્યાં.
તેમને ઘણીવાર “દીકરા” તરીકે પણ સંબોધવામાં આવે છે.
- ઈશ્વરના દીકરા પાસે ઈશ્વર પિતા જેવો જ સ્વભાવ છે, અને તેઓ સંપૂર્ણપણે ઈશ્વર છે.
- ઈશાવ્ર પિતા, ઈશ્વર પુત્ર, અને ઈશ્વર પવિત્ર આત્મા તેઓ એક ગુણધર્મના છે.
- માનવ પુત્રોની જેમ, ઈશ્વરના દીકરા હંમેશા અસ્તિત્વ ધરાવે છે.
- શરૂઆતમાં, ઈશ્વરના દીકરા, પિતા અને પવિત્ર આત્મા સાથે દુનિયા બનાવવામાં સક્રિય હતા.
ઈસુએ ઈશ્વરના દીકરા છે તે માટે, તેઓ તેમના પિતાને પ્રેમ કરે છે અને તેમને આધીન થાય છે, અને તેમના પિતા તેમને પ્રેમ કરે છે.
અનુવાદ માટેના સૂચનો:
- “ઈશ્વરના દીકરા” શબ્દ માટે, ભાષામાં માનવ દીકરાને સંબોધવા જે શબ્દનો ઉપયોગ થાય છે તે સમાન શબ્દ “દીકરા” નું અનુવાદ કરવું એ શ્રેષ્ઠ છે.
- “દીકરા” નું અનુવાદ કરવા જે શબ્દનો ઉપયોગ કરો તેનું ધ્યાન રાખો કે તે “પિતા” નું અનુવાદ કરવાના શબ્દ સાથે બંધબેસે અને આ શબ્દો પ્રોજેક્ટ ભાષામાં પિતા-દીકરાના સંબંધને વ્યક્ત કરવા સર્વસામાન્ય હોય.
- “દીકરા” શબ્દની શરૂઆત અંગ્રેજીમાં મોટાં અક્ષરથી કરવાથી એ બતાવવા મદદ મળશે કે તે ઈશ્વર વિશેની વાત છે.
- “દીકરા” શબ્દસમુહએ “ઈશ્વરના દીકરા”નું નાનું રૂપ છે, ખાસ કરીને જ્યારે તે “પિતા”ના સમાન સંદર્ભમાં ઉદ્દભવે ત્યારે.
(આ પણ જુઓ: ખ્રિસ્ત, પૂર્વજ, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, ઈસુ, દીકરો, ઈશ્વરના દીકરાઓ)
બાઈબલના સંદર્ભો:
- 1 યોહાન 4:9-10
- પ્રેરિતોના કૃત્યો 9:20-22
- કોલોસ્સીઓ 1:15-17
- ગલાતીઓ 2:20-21
- હિબ્રુઓ 4:14-16
- Jયોહાન 3:16-18
- લૂક 10:22
- માથ્થી 11:25-27
- પ્રકટીકરણ 2:18-19
- રોમનો 8:28-30
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 22:5 ડોટે જણાવ્યું, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને ઈશ્વરનું સામર્થ્ય તારા પર આચ્છાદન કરશે. તેથી બાળક પવિત્ર હશે, ઈશ્વરના દીકરા.”
- 24:9 ઈશ્વરે યોહાનને કહ્યું, “પવિત્ર આત્મા નીચે ઉતરશે અને જેણે તું બાપ્તિસ્મા આપીશ તેના પર બેસશે. તે વ્યક્તિ ઈશ્વરના દીકરા હશે."
- 31:8 શિષ્યો આશ્ચર્ય પામ્યાં. તેઓએ ઈસુની આરાધના કરી, એમ કહીને, “ખરેખર તમે ઈશ્વરના દીકરા છો.”
- 37:5 માર્થાએ જવાબ આપ્યો, હા, માલિક! હું જાણું છું કે તમે મસીહા છો, ઈશ્વરના દીકરા."
- 42:10 તેથી જાઓ, દરેક જૂથના લોકોને શિષ્યો બનાવો બાપ્તિસ્મા આપીને પિતાના, દીકરાના, અને પવિત્ર આત્માના નામમાં, અને મેં જે તમને હુકમ કર્યો છે તે સર્વને આધીન થવાનું શિક્ષણ આપીને.”
- 46:6 તરત જ, શાઉલે દમાસ્ક્સમાં યહુદીઓને બોધ કરવાનો શરૂ કર્યો, એમ કહીને કે, “ઈસુએ ઈશ્વરના દીકરા છે!”
- 49:9 કેમ કે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો દીકરો આપ્યો, કે જેથી જે કોઈ ઈસુમાં વિશ્વાસ કરે તેને તેના પાપોની શિક્ષા ન થાય, પરંતુ તે ઈશ્વર સાથે સદાકાળ જીવે.
શબ્દ માહિતી:
- Strong's: H426, H430, H1121, H1247, G2316, G5207
ઈશ્વરભક્ત
તથ્યો:
“ઈશ્વરભક્ત” શબ્દપ્રયોગ યહોવાના પ્રબોધકને માનપૂર્વક સંબોધવાની રીત છે.
તેનો ઉપયોગ યહોવાના દૂતનો ઉલ્લેખ કરવા પણ થાય છે.
- જ્યારે તેનો ઉપયોગ એક પ્રબોધકનો ઉલ્લેખ કરવા થાય છે ત્યારે, તેનો અનુવાદ “ઈશ્વરનો માણસ” અથવા તો “ઈશ્વરે પસંદ કરેલો માણસ” અથવા તો “ઈશ્વરની સેવા કરનાર માણસ” એવો પણ કરી શકાય.
- જ્યારે તેનો ઉપયોગ એક દૂતનો ઉલ્લેખ કરવા થાય છે ત્યારે, તેનો અનુવાદ “ઈશ્વરનો સંદેશાવાહક” અથવા તો “તમારો દૂત” અથવા તો “ઈશ્વર તરફથી આવેલો સ્વર્ગીય જીવ કે જે મનુષ્ય જેવો દેખાય છે” એવો પણ કરી શકાય.
(આ પણ જૂઓ: દેવદૂત, માન, પ્રબોધક)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 23:12-14
- 1 રાજા 12:22-24
- 1 શમુએલ 9:9-11
શબ્દ માહિતી:
- Strong's: H376, H430, G444, G2316
ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ
સત્યો:
ઈસુ દેવનો પુત્ર છે.
“ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.”
“ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.
- મોટેભાગે “ઈસુ ખ્રિસ્ત” અથવા “ખ્રિસ્ત ઈસુ” તે બે નામો સંયુક્ત કરવામાં આવે છે.
આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.
- ચમત્કારિક રીતે, દેવનો અનંત દીકરો મનુષ્ય તરીકે જન્મ્યો.
એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.
- ઈસુએ ઘણા ચમત્કારો કર્યા કે જે પ્રગટ કરે છે કે તે ઈશ્વર છે અને તેજ ખ્રિસ્ત, અથવા મસીહા છે.
ભાષાંતરના સૂચનો:
- ઘણી ભાષાઓમાં “ઈસુ” અને “ખ્રિસ્ત” ની જોડણી એવી રીતે કરવામાં આવી છે કે તે શક્ય રીતે અસલ જોડણીમાં રાખી શકાય.
ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.
- “ખ્રિસ્ત” શબ્દ માટે કદાચ કેટલાક અનુવાદકો ફક્ત “મસીહા” શબ્દ વાપરવાનું પસંદ કરે છે.
- એ પણ ધ્યાન રાખવું કે આ નામોની જોડણી નજીકની સ્થાનિક અને રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે કરવામાં આવી છે.
(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)
બાઇબલના કલમો:
- 1કરિંથી 6:9-11
- 1 યોહાન 2:1-3
- 1 યોહાન 4:15-16
- 1 તિમોથી 1:1-2
- 2 પિતર 1:1-2
- 2 થેસ્સલોનિકી 2:13-15
- 2 તિમોથી 1:8-11
- પ્રેરિતો 2:22-24
- પ્રેરિતો 5:29-32
- પ્રેરિતો 10:36-38
- હિબ્રૂ 9:13-15
- હિબ્રૂ 10:19-22
- લૂક 24:19-20
- માથ્થી 1:20-21
- માથ્થી 4:1-4
- ફિલિપ્પી 2:5-8
- ફિલિપ્પી 2:9-11
- ફિલિપ્પી 4:21-23
- પ્રકટીકરણ 1:4-6
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 22:4 દૂતે કહ્યું, “તને ગર્ભ રહેશે અને પુત્રને જન્મ દેશે.
તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”
- 23:2 "તેનું નામ ઈસુ રાખજે (જેનો અર્થ, ‘યહોવા બચાવે છે'), કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવશે."
- 24:7 જેથી ઈસુ એ કદી પાપ કર્યું નહોતું છતાંપણ યોહાને (ઈસુ) ને બાપ્તિસ્મા આપ્યું.
- 24:9 ફક્ત એકજ દેવ છે. પણ યોહાને ઈશ્વરપિતાની વાણી સાંભળી, અને ઈસુ ને તથા પવિત્ર આત્માને જોયો ત્યારે તેણે ઈસુ ને બપ્તિસ્મા આપ્યું.
- 25:8 ઈસુ શેતાનના પરીક્ષણોને સોંપાયો નહિ, જેથી શેતાન તેને છોડી ચાલ્યો ગયો.
- 26:8 પછી ઈસુ સમગ્ર ગાલીલના વિસ્તારમાં ગયો, અને મોટું ટોળું તેની પાસે આવ્યું. તેઓ ઘણા લોકો કે જેઓ માંદા અથવા અપંગ અને જેઓ જોઈ, ચાલી, સાંભળી, અથવા બોલી શકતા ન હતા તેઓ સહિત તેની પાસે લાવ્યાં, અને _ઈસુ_એ તેઓને સાજા કર્યા.
- 31:3 પછી ઈસુ એ પ્રાર્થના પૂરી કરી અને શિષ્યો પાસે ગયા.
તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!
- 38:2 તે (યહૂદા) જાણતો હતો કે યહૂદી આગેવાનો કે જેઓ ઈસુ મસીહા હતો તેમ સ્વીકારતા નથી અને તેઓ તેને મારી નાંખવાનું કાવતરું કરતા હતા.
- 40:8 ઈસુ એ તેના મૃત્યુ દ્વારા, લોકો માટે દેવની પાસે આવવાનો માર્ગ ખોલ્યો.
- 42:11 પછી ઈસુ ને સ્વર્ગમાં ઉપર લઈ લેવામાં આવ્યો હતો, અને વાદળોએ તેને તેઓની દ્રષ્ટિથી ઢાંકી દીધો. ઈસુ સઘળી બાબતો પર રાજ કરવા દેવને જમણે હાથ પર બિરાજમાન છે.
- 50:17 ઈસુ અને તેના લોકો નવી પૃથ્વી પર રહેશે, અને તે જે બધું અસ્તિત્વમાં હશે તેના પર સદાકાળ રાજ કરશે. તે બધા આંસુ લૂછી નાખશે અને ત્યાં વધુ પીડા, નિરાશા, રુદન, દુષ્ટતા, દુઃખ, અથવા મરણ નહિ હોય. ઈસુ શાંતિ અને ન્યાયથી તેનું રાજ્ય ચલાવશે, અને તે તેના લોકો સાથે સદાકાળ રહેશે.
શબ્દ માહિતી:
ઉચ્ચસ્થાન, ઉચ્ચસ્થાનો
વ્યાખ્યા:
“ઉચ્ચસ્થાનો” શબ્દ વેદીઓ અને દેવળોને દર્શાવે છે કે તેઓ મૂર્તિઓની પૂજા કરવા માટે વાપરવામાં આવતા હતા. સામાન્ય રીતે તેઓને ઉચ્ચ જમીન પર બાંધવામાં આવતા હતા, જેવા કે ટેકરા ઉપર અથવા પર્વત ની બાજુ પર આવેલા હોય.
- આ ઉચ્ચસ્થાનો પર જૂઠા દેવોની વેદીઓ બાંધીને ઈઝરાએલના ઘણા રાજાઓએ દેવની વિરુદ્ધ પાપ કર્યું.
આ બાબતે લોકોને ઊંડી રીતે મૂર્તિઓની પૂજા કરવા માટે સામેલ કરીને દોરવણી આપી.
- તે વારંવાર થયું કે જયારે ઈઝરાએલ અથવા યહૂદામાં દેવનો ભય રાખનાર રાજાએ રાજ્ય કરવાનું શરૂ કર્યું, ત્યારે મોટેભાગે તે આ મૂર્તિઓની પૂજા બંધ કરવા માટે ઉચ્ચસ્થાનો અથવા વેદીઓને કાઢી નાખતા.
- જો કે, આમાંના ઘણા સારા રાજાઓ બેદરકાર હતા અને તેઓએ ઉચ્ચસ્થાનોને કાઢી નાખ્યા નહીં, કે જેના પરિણામે ઈઝરાએલના સમગ્ર દેશે મૂર્તિઓની પૂજા કરવાનું સતત ચાલુ રાખ્યું.
ભાષાંતરના સૂચનો:
બીજી રીતે આ શબ્દના ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “મૂર્તિપૂજા માટે ઊંચા કરેલા સ્થાનો” અથવા “પર્વતો ઉપરના મૂર્તિ દેવળો” અથવા “મૂર્તિ વેદીઓના ટેકરા” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
- ખાતરી રાખીને તે સ્પષ્ટ કરો કે આ શબ્દો મૂર્તિ વેદીઓને દર્શાવે, ફક્ત ઉચ્ચસ્થાનો નહીં કે જ્યાં તે વેદીઓ આવેલી હતી.
(આ પણ જુઓ: યજ્ઞવેદી, દેવ, ઉપાસના)
બાઈબલની કલમો:
- 1 શમુએલ 9:12-13
- 2 રાજા 16:3-4
- આમોસ 4:12-13
- પુનર્નિયમ 33:29
- હઝકિયેલ 6:1-3
- હબાક્કુક 3:18-19
શબ્દ માહિતી:
- Strong's: H1116, H1181, H1354, H2073, H4791, H7311, H7413
ઉપવાસ, ઉપવાસ કરે છે, ઉપવાસ કર્યા, ઉપવાસ, ઉપવાસો
વ્યાખ્યા:
“ઉપવાસ” શબ્દનો અર્થ થોડા સમય, જેમેકે એક દિવસ અથવા વધુ સમય માટે ખાવાનું બંધ કરવું.
ક્યારેક તેમાં (કોઈ પીણું) ના પીવાનો પણ સમાવેશ થાય છે.
- ઉપવાસ લોકોને દેવ ઉપર ધ્યાન આપવામાં અને ખાવાનું અથવા ખોરાક તૈયાર ન કરવાથી વિચલિત થયા વગર પ્રાર્થના કરવામાં મદદ કરી શકે છે.
- ઈસુએ યહૂદી ધાર્મિક આગેવાનોને ખોટા કારણો માટે ઉપવાસ કરવા માટે ઠપકો આપ્યો.
તેઓએ ઉપવાસ કર્યા જેથી બીજાઓ વિચારે કે તેઓ પ્રામાણિક હતા.
- ક્યારેક લોકો કોઈક બાબત વિશે ખૂબજ નિરાશ અથવા ઉદાસ હોય છે, તે કારણથી તેઓ ઉપવાસ કરે છે.
- “ઉપવાસ” ક્રિયાપદનું ભાષાંતર “ખાવાથી દૂર રહેવું” અથવા “ખાવું નહીં,” તરીકે પણ કરી શકાય છે.
- “ઉપવાસ” સંજ્ઞાનું ભાષાંતર, “નહિ ખાવાનો સમય” અથવા “ખોરાકથી દૂર રહેવાનો સમય,” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: યહૂદી અધિકારીઓ)
બાઈબલની કલમો:
- 1 રાજા 21:8-10
- 2 કાળવૃતાંત 20:3-4
- પ્રેરિતો 13:1-3
- યૂના 3:4-5
- લૂક 5:33-35
- માર્ક 2:18-19
- માથ્થી 6:16-18
- માથ્થી 9:14-15
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 25:1 ઈસુ બાપ્તિસમાં પામ્યા પછી તરત જ, પવિત્ર આત્મા તેને બહાર રાનમાં દોરી ગયો, જ્યાં તેણે ચાલીસ દિવસ અને રાત માટે ઉપવાસ કર્યો.
- 34:8 “ઉદાહરણ તરીકે, હું અઠવાડિયામાં બે વખત ઉપવાસ કરું છું અને સઘળા પૈસાનો અને માલ કે જે હું પ્રાપ્ત કરું છું તેનો દસમો ભાગ આપું છું.
- 46:10 એક દિવસ, જયારે અંત્યોખમાંના ખ્રિસ્તીઓ ઉપવાસ અને પ્રાર્થના કરતા હતા, ત્યારે પવિત્ર આત્માએ કહ્યું કે “બાર્નાબાસ અને શાઉલને જે કાર્ય માટે મેં તેમણે બોલાવ્યા છે તે કરવા માટે તેઓને અલગ કરો.”
શબ્દ માહિતી:
- Strong's: H2908, H5144, H6684, H6685, G777, G3521, G3522, G3523
ઉર
તથ્યો:
ખાલદીના પ્રાચીન પ્રદેશમાં યુફ્રેટિસ નદી પર ઉર મહત્વનું શહેર હતું, જે મેસોપોટેમિયાનો ભાગ હતો.
આ પ્રદેશ જે હવે આધુનિક સમયનો ઇરાક દેશ છે તેમાં આવેલું હતું.
- ઈબ્રાહિમ ઉર શહેરનો હતો અને ઈશ્વરે તેને તેમાંથી નીકળીને કનાન દેશમાં જવાનું તેડું આપ્યું હતું.
- ઈબ્રાહિમના ભાઈ અને લોતના પિતા, હારાન, ઉર શહેરમાં મૃત્યુ પામ્યા.
આ કદાચ એક પરિબળ હતું જેના પર લોતને ઇબ્રાહિમ સાથે ઉર છોડવા માટે પ્રભાવિત કર્યો હતો.
)આ પણ જુઓ: ઈબ્રાહિમ, કનાન, કાસ્દી, ફ્રાત નદી, હારાન, લોત, મેસોપોતામિયા)
બાઇબલ સંદર્ભો
- ઉત્પત્તિ 11:27-28
- ઉત્પત્તિ 11:31-32
શબ્દ માહિતી:
ઉર
તથ્યો:
ખાલદીના પ્રાચીન પ્રદેશમાં યુફ્રેટિસ નદી પર ઉર મહત્વનું શહેર હતું, જે મેસોપોટેમિયાનો ભાગ હતો.
આ પ્રદેશ જે હવે આધુનિક સમયનો ઇરાક દેશ છે તેમાં આવેલું હતું.
- ઈબ્રાહિમ ઉર શહેરનો હતો અને ઈશ્વરે તેને તેમાંથી નીકળીને કનાન દેશમાં જવાનું તેડું આપ્યું હતું.
- ઈબ્રાહિમના ભાઈ અને લોતના પિતા, હારાન, ઉર શહેરમાં મૃત્યુ પામ્યા.
આ કદાચ એક પરિબળ હતું જેના પર લોતને ઇબ્રાહિમ સાથે ઉર છોડવા માટે પ્રભાવિત કર્યો હતો.
)આ પણ જુઓ: ઈબ્રાહિમ, કનાન, કાસ્દી, ફ્રાત નદી, હારાન, લોત, મેસોપોતામિયા)
બાઇબલ સંદર્ભો
- ઉત્પત્તિ 11:27-28
- ઉત્પત્તિ 11:31-32
શબ્દ માહિતી:
ઉરિયા
તથ્યો:
ઊરિયા એક પ્રામાણિક માણસ હતો અને રાજા દાઉદના શ્રેષ્ઠ સૈનિકોમાંનો એક હતો.
તેને ઘણીવાર "ઊરિયા હિત્તી" તરીકે ઓળખવામાં આવે છે.
- ઊરિયાની બાથશેબા નામની એક સુંદર પત્ની હતી.
દાઊદે ઊરિયાની પત્ની સાથે વ્યભિચાર કર્યો, અને તે દાઉદના બાળક સાથે ગર્ભવતી થઈ.
- આ પાપને ઢાંકવા માટે, દાઉદે ઊરિયાને યુદ્ધમાં મારી નંખાવ્યોં..
પછી દાઉદે બાથશેબા સાથે લગ્ન કર્યા.
- રાજા આહાઝના સમયમાં ઊરિયા નામનો એક યાજક હતો.
(આ પણ જુઓ: આહાઝ, બાથ-શેબા, દાઉદ, હિત્તી)
બાઇબલ સંદર્ભો
- 1 રાજાઓ 15:4-6
- 2 શમુએલ 11:2-3
- 2 શમુએલ 11:26-27
- નહેમ્યા 3:3-5
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 17:12 બાથશેબાના પતિ, ઊરિયા નામનો માણસ, દાઉદના શ્રેષ્ઠ સૈનિકોમાંનો એક હતો. દાઉદે ઊરિયા ને યુદ્ધમાંથી પાછો બોલાવ્યો અને તેને તેની પત્ની સાથે રહેવા માટે કહ્યું.
પરંતુ ઊરિયા એ ઘરે જવાનો ઇનકાર કર્યો જ્યારે બાકીના સૈનિકો યુદ્ધમાં હતા. તેથી દાઉદે ઊરિયાને યુદ્ધમાં પાછો મોકલ્યો અને સેનાપતિને કહ્યું કે દુશ્મન મજબૂત હોય ત્યાં તેને રાખવો, જેથી તે માર્યા જાય.
- 17:13 ઊરિયાના__ મૃત્યુ થયા બાદ, દાઉદે બાથશેબા સાથે લગ્ન કર્યા.
શબ્દ માહિતી:
ઉલ્લંઘન, ઉલ્લંઘનો, ઉલ્લંઘન
વ્યાખ્યા:
"ઉલ્લંઘન" શબ્દનો અર્થ આદેશ, નિયમ અથવા નૈતિક કોડને તોડવા એવો થાય છે. "ઉલ્લંઘન" કરવું એટલે "નિયમભંગ" કરવું.
- બીજા શબ્દોમાં કહીએ તો, "ઉલ્લંઘન" માટે, "રેખા ઓળંગવી", વ્યક્તિ અને અન્યના ભલા માટે એક મર્યાદા અથવા સીમા નક્કી કરવામાં આવી હોય છે તેની ઉપરવટ જવાને વર્ણવી શકાય.
- શબ્દો "ઉલ્લંઘન," "પાપ," "અન્યાય," અને "દોષ બધામાં ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ કાર્ય કરવાનો અને તેમની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવાનો સમાવેશ થાય છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- " ઉલ્લંઘન " નું ભાષાંતર "પાપ કરવું" અથવા "અનાજ્ઞાધીન થવું" અથવા "બળવો કરવો" કરી શકાય છે.
- જો કોઈ કલમ અથવા ફકરામાં બે શબ્દોનો ઉપયોગ કરે છે જેનો અર્થ "પાપ" અથવા "ઉલ્લંઘન" અથવા "દોષ" થાય છે, જો શક્ય હોય તો, આ શબ્દોનો વિવિધ રીતે અનુવાદ કરવો. જ્યારે બાઇબલ સમાન સંદર્ભમાં સમાન અર્થો સાથે બે અથવા વધુ શબ્દોનો ઉપયોગ કરે છે, ત્યારે સામાન્ય રીતે તેના હેતુ પર ભાર મૂકે છે કે શું કહેવામાં આવ્યું છે અથવા તેનું મહત્વ દર્શાવવું તે છે
(આ પણ જુઓ: પાપ, અપરાધ, અન્યાય)
બાઇબલના સંદર્ભો:
- 1 થેસ્સલોનીકી 4:3-6
- દાનિએલ 9:24-25
- ગલાતી 3:19-20
- ગલાતી 6:1-2
- ગણના 14:17-19
- ગીતશાસ્ત્ર 32:1-2
શબ્દ માહિતી:
- Strong's: H898, H4603, H4604, H6586, H6588, G458, G459, G3845, G3847, G3848, G3928
ઉલ્લંઘન, ઉલ્લંઘનો, ઉલ્લંઘન
વ્યાખ્યા:
"ઉલ્લંઘન" શબ્દનો અર્થ આદેશ, નિયમ અથવા નૈતિક કોડને તોડવા એવો થાય છે. "ઉલ્લંઘન" કરવું એટલે "નિયમભંગ" કરવું.
- બીજા શબ્દોમાં કહીએ તો, "ઉલ્લંઘન" માટે, "રેખા ઓળંગવી", વ્યક્તિ અને અન્યના ભલા માટે એક મર્યાદા અથવા સીમા નક્કી કરવામાં આવી હોય છે તેની ઉપરવટ જવાને વર્ણવી શકાય.
- શબ્દો "ઉલ્લંઘન," "પાપ," "અન્યાય," અને "દોષ બધામાં ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ કાર્ય કરવાનો અને તેમની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવાનો સમાવેશ થાય છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- " ઉલ્લંઘન " નું ભાષાંતર "પાપ કરવું" અથવા "અનાજ્ઞાધીન થવું" અથવા "બળવો કરવો" કરી શકાય છે.
- જો કોઈ કલમ અથવા ફકરામાં બે શબ્દોનો ઉપયોગ કરે છે જેનો અર્થ "પાપ" અથવા "ઉલ્લંઘન" અથવા "દોષ" થાય છે, જો શક્ય હોય તો, આ શબ્દોનો વિવિધ રીતે અનુવાદ કરવો. જ્યારે બાઇબલ સમાન સંદર્ભમાં સમાન અર્થો સાથે બે અથવા વધુ શબ્દોનો ઉપયોગ કરે છે, ત્યારે સામાન્ય રીતે તેના હેતુ પર ભાર મૂકે છે કે શું કહેવામાં આવ્યું છે અથવા તેનું મહત્વ દર્શાવવું તે છે
(આ પણ જુઓ: પાપ, અપરાધ, અન્યાય)
બાઇબલના સંદર્ભો:
- 1 થેસ્સલોનીકી 4:3-6
- દાનિએલ 9:24-25
- ગલાતી 3:19-20
- ગલાતી 6:1-2
- ગણના 14:17-19
- ગીતશાસ્ત્ર 32:1-2
શબ્દ માહિતી:
- Strong's: H898, H4603, H4604, H6586, H6588, G458, G459, G3845, G3847, G3848, G3928
ઊંચામાં, પરમ ઊંચામાં
વ્યાખ્યા:
“ઊંચામાં” અને “પરમ ઊંચામાં” શબ્દો એવી અભિવ્યક્તિઓ છે જેનો અર્થ સામાન્ય રીતે “સ્વર્ગમાં” એવો થાય છે.
- “પરમ ઊંચામાં” અભિવ્યક્તિનો બીજો અર્થ “સૌથી વધારે સન્માનિત” એવો થઇ શકે છે.
- આ અભિવ્યક્તિનો ઉપયોગ શબ્દશઃ રીતે પણ થઇ શકે છે, જેમ કે “સૌથી ઊંચા ઝાડમાં” કે જેનો અર્થ થાય છે “બધા ઝાડોમાં સૌથી ઊંચા ઝાડમાં”.
- “ઊંચામાં” અભિવ્યક્તિ આકાશમાં ઊંચા હોવાનો ઉલ્લેખ પણ કરી શકે છે, જેમ કે પક્ષીનો માળો ઊંચામાં છે.
તે સંદર્ભમાં તેનો અનુવાદ “આકાશમાં ઊંચે” અથવા તો “એક ઊંચા ઝાડની ટોચે” તરીકે કરી શકાય.
- “ઉચ્ચ” શબ્દ ઊંચું સ્થાન અથવા તો વ્યક્તિ કે વસ્તુનું મહત્ત્વ પણ સૂચિત કરી શકે છે.
- “ઉચ્ચસ્થાને થી” અભિવ્યક્તિનો અનુવાદ “સ્વર્ગમાંથી” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: સ્વર્ગ, માન)
બાઇબલના સંદર્ભો:
- યર્મિયાનો વિલાપ 1:13-14
- ગીતશાસ્ત્ર 69:28-29
શબ્દ માહિતી:
- Strong's: H1361, H4605, H4791, H7682, G1722, G5308, G5310, G5311
ઊંટ, ઊંટો
વ્યાખ્યા:
ઊંટ એ મોટું, ચાર પગવાળું પ્રાણી છે, તેની પીઠ ઉપર એક અથવા બે ખૂંધ હોય છે.
(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું
- બાઈબલના સમયમાં, ઈઝરાએલના આસપાસના વિસ્તારોમાં ઊંટ એ સૌથી મોટું પ્રાણી મળી આવતું હતું.
- ઊંટ એ મુખ્યત્વે લોકોના વાહન અને બોજો ઉંચકવા માટે વપરાતું હતું.
- કેટલાક લોકોના જૂથો ઊંટોને ખોરાક માટે પણ વાપરતા હતા, પણ ઈઝરાએલીઓ એમ કરતા નહીં, કારણકે દેવે તેઓને કહ્યું હતું કે ઊંટો અશુધ્ધ પ્રાણી છે અને જેઓને તમારે ખાવા નહીં.
- ઊંટો એ મુલ્યવાન હતા, કેમકે તેઓ રેતીમાં ઝડપથી ચાલતા અને તેઓ કોઈક વાર ઘણા અઠવાડિયાઓ સુધી ખોરાક અને પાણી વગર રહી શકતા હતા.
(આ પણ જુઓ: બોજો, શુદ્ધ)
બાઈબલની કલમો :
- 1 કાળવૃતાંત 5:20-22
- 2 કાળવૃતાંત 9:1-2
- નિર્ગમન 9:1-4
- માર્ક 10:23-25
- માથ્થી 3:4-6
- માથ્થી 19:23-24
શબ્દ માહિતી:
- Strong's: H327, H1581, G2574
ઊંટ, ઊંટો
વ્યાખ્યા:
ઊંટ એ મોટું, ચાર પગવાળું પ્રાણી છે, તેની પીઠ ઉપર એક અથવા બે ખૂંધ હોય છે.
(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું
- બાઈબલના સમયમાં, ઈઝરાએલના આસપાસના વિસ્તારોમાં ઊંટ એ સૌથી મોટું પ્રાણી મળી આવતું હતું.
- ઊંટ એ મુખ્યત્વે લોકોના વાહન અને બોજો ઉંચકવા માટે વપરાતું હતું.
- કેટલાક લોકોના જૂથો ઊંટોને ખોરાક માટે પણ વાપરતા હતા, પણ ઈઝરાએલીઓ એમ કરતા નહીં, કારણકે દેવે તેઓને કહ્યું હતું કે ઊંટો અશુધ્ધ પ્રાણી છે અને જેઓને તમારે ખાવા નહીં.
- ઊંટો એ મુલ્યવાન હતા, કેમકે તેઓ રેતીમાં ઝડપથી ચાલતા અને તેઓ કોઈક વાર ઘણા અઠવાડિયાઓ સુધી ખોરાક અને પાણી વગર રહી શકતા હતા.
(આ પણ જુઓ: બોજો, શુદ્ધ)
બાઈબલની કલમો :
- 1 કાળવૃતાંત 5:20-22
- 2 કાળવૃતાંત 9:1-2
- નિર્ગમન 9:1-4
- માર્ક 10:23-25
- માથ્થી 3:4-6
- માથ્થી 19:23-24
શબ્દ માહિતી:
- Strong's: H327, H1581, G2574
એલિયા
સત્યો:
એલિયા એ યહોવાના સૌથી મહત્વના પ્રબોધકોમાંનો એક હતો.
એલિયા એ ઈઝરાએલ અને યહૂદાના કેટલાક રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી, જેમાં આહાબ રાજાનો પણ સમાવેશ થાય છે.
- દેવે એલિયા દ્વારા ઘણા ચમત્કારો કર્યા, જેમાં મરેલા છોકરાને સજીવન કર્યો, તેનો પણ સમાવેશ થાય છે.
- એલિયા એ જૂઠા દેવ બઆલની પૂજા કરવાને બદલે આહાબ રાજાને ઠપકો આપ્યો.
- તેણે યહોવા તેજ ફક્ત સાચો દેવ છે તે સાબિત કરવા બઆલના પ્રબોધકોની પરીક્ષા કરી પડકાર આપ્યો.
- એલિયાના જીવનના અંતે, જયારે હજુ તે જીવતો હતો છતાં, દેવે ચમત્કારિક રીતે તેને સ્વર્ગમાં ઉપર લઈ લીધો.
- ઘણા વર્ષો પછી, એલિયા, મૂસા, અને ઈસુની સાથે પહાડ ઉપર દેખાયો, અને તેઓએ સાથે મળીને ઈસુનું યરૂશાલેમમાં આવવું, દુઃખ સહન કરવું અને મૃત્યુ પામવા વિશે વાતચીત કરી.
(આ પણ જુઓ: ચમત્કાર, પ્રબોધક, યહોવાહ)
બાઈબલની કલમો:
- 1 રાજા 17:1
- 2 રાજા 1:3-4
- યાકૂબ 5:16-18
- યોહાન 1:19-21
- યોહાન 1:24-25
- માર્ક 9:4-6
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 19:2 જયારે આહાબ ઈઝરાએલ ઉપર રાજા હતો ત્યારે એલિયા પ્રબોધક હતો.
- 19:2 એલિયા એ આહાબ ને કહ્યું, જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી ઈઝરાએલના રાજ્યમાં વરસાદ અથવા ઝાકળ પડશે નહીં.
- 19:3 દેવે એલિયા ને કહ્યું, આહાબ કે જે તને મારી નાખવા માંગે છે તેનાથી સંતાવા માટે અરણ્યના વહેળામાં જતો રહે. દરેક સવારે અને સાંજે, પક્ષીઓ તેના માટે રોટલી અને માંસ લાવતા.
- 19:4 પણ તેઓએ એલિયા ની સંભાળ રાખી, અને દેવે તેઓને પૂરું પાડ્યું જેથી કદી તેઓની માટલીમાંનો લોટ અને તેઓની બરણીમાંનું તેલ ખૂટ્યું નહીં.
- 19:5 સાડા ત્રણ વર્ષ પછી, દેવે એલિયા ને કહ્યું ઈઝરાએલના રાજ્યમાં પાછો જા અને આહાબ સાથે વાત કર, કારણકે તે ફરીથી વરસાદ મોકલવાનો હતો.
- 19:7 પછી એલિયા એ બઆલના પ્રબોધકોને કહ્યું, “બળદને મારી અને તેને બલિદાન માટે તૈયાર કરો, પણ અગ્નિ પેટાવશો નહીં.
- 19:12 પછી એલિયા એ કહ્યું, “બઆલના પ્રબોધકોમાંથી એક પણ બચી જવો જોઈએ નહીં!”
- 36:3 પછી મૂસા અને એલિયા પ્રબોધક દેખાયા. આ સમય પહેલા આ માણસો ઘણા વર્ષો જીવ્યા. તેઓએ ઈસુ સાથે તેનું મરણ કે જે ટૂંક સમયમાં યરૂશાલેમમાં થવાનું હતું તે વિશે વાત કરી.
શબ્દ માહિતી:
એસાવ
સત્યો:
એસાવ એ ઈસહાક અને રિબકાના જોડિયા દીકરાઓમાંનો એક હતો.
તે તેઓનું જન્મેલું પ્રથમ બાળક હતું.
યાકૂબ તેનો જોડિયો ભાઈ હતો.
- એસાવે તેના એક વાટકી ભોજન માટે પોતાનું જ્યેષ્ઠપણું તેના ભાઈ યાકૂબને વેચી દીધું.
- એસાવ પ્રથમ જન્મ્યો હતો તેથી તેના પિતા ઈસહાક તેને ખાસ આશીર્વાદ આપવાનું ઈચ્છા રાખતા હતા.
પરંતુ યાકૂબે તે આશીર્વાદ તેના બદલે તેને મળે માટે ઈસહાક સાથે બનાવટ કરી.
એસાવ શરુઆતમાં તેના પર ખુબજ ગુસ્સે હતો કે તે યાકૂબને મારી નાખવા માંગતો હતો, પણ પછી તેણે તેને માફ કરી દીધો.
- એસાવને ઘણા બાળકો અને પૌત્રો પૌત્રીઓ હતા, અને આ વંશજોએ કનાનની ભૂમિમાં વસવાટ કરી, એક લોકોના મોટા જૂથની રચના કરી.
(આ પણ જુઓ: અદોમ, ઈસહાક, ઈઝરાએલ, રિબકા)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 25:24-26
- ઉત્પત્તિ 25:29-30
- ઉત્પત્તિ 26:34-35
- ઉત્પત્તિ 27:11-12
- ઉત્પત્તિ 32:3-5
- હિબ્રૂ 12:14-17
- રોમન 9:10-13
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 6:7 જયારે રિબકાને બાળકો જન્મ્યા, ત્યારે મોટો દીકરો લાલ અને રુવાંટીવાળો બહાર આવ્યો, અને તેઓએ તેનું નામ એસાવ પાડ્યું.
- 7:2 જેથી એસાવે તેના પ્રથમ દીકરા તરીકેના અધિકારો યાકૂબને આપી દીધા.
- 7:4 જયારે ઈસહાકને બકરીના વાળ લાગ્યા અને કપડાંને સુંઘ્યા, ત્યારે તેને વિચાર્યું કે તે એસાવ હતો અને તેને આશીર્વાદ આપ્યો
- 7:5 એસાવે યાકૂબની નફરત કરી કારણકે યાકૂબે પ્રથમ દીકરા તરીકેનો તેનો અધિકાર અને તેનો આશીર્વાદ પણ ચોરી લીધા હતા.
- 7:10 પણ એસાવે પહેલેથી જ યાકૂબને માફ કરી દીધો હતો, અને તેઓ ફરીથી એકબીજાને જોઈ ખુશ હતા.
શબ્દ માહિતી:
ઐચ્છિકાર્પણ, ઐચ્છિકાર્પણો
વ્યાખ્યા:
ઐચ્છિકાર્પણ એ દેવને આપવામાં આવતું એક પ્રકારનું બલિદાન હતું કે જેને મૂસાના નિયમ દ્વારા કરવું જરૂરી નહોતું.
આ અર્પણ આપવું તે વ્યક્તિની પોતાની પસંદગીની બાબત હતી.
- જો ઐચ્છિકાર્પણમાં એક પશુનું બલિદાન આપવાનું હતું, આ અર્પણ સ્વૈચ્છિક હતું તેથી થોડી ખામી વાળા પશુની પરવાનગી આપવામાં આવતી હતી.
- ઈઝરાએલીઓ મિજબાનીના ઉજવણીના ભાગ તરીકે બલિદાન આપેલું પ્રાણી ખાતા.
- જયારે ઐચ્છિકાર્પણ આપવામાં આવતું, ત્યારે તે ઈઝરાએલ માટે આનંદનું કારણ હતું જે બતાવે છે કે ફસલ સારી રહી છે જેથી લોકો પાસે ખોરાક પુષ્કળ છે.
- એઝરાનું પુસ્તક અલગ અલગ પ્રકારના ઐચ્છિકાર્પણ વર્ણવે છે કે જે મંદિરને ફરીથી બાંધવા માટે લાવવામાં આવ્યા હતા.
આ અર્પણમાં સોના અને ચાંદીના પૈસા, તેમજ વાટકીઓ અને સોના અને ચાંદીમાંથી બનાવેલી અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.
(આ પણ જુઓ: દહનાર્પણ, એઝરા, મિજબાની, ખાદ્યાર્પણ, દોષાર્થાર્પણ, નિયમ/કાયદો/કાનૂન, પાપાર્થાપણ)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 29:6-7
- 2 કાળવૃતાંત 35:7-9
- પુનર્નિયમ 12:17
- નિર્ગમન 36:2-4
- લેવીય 7:15-16
શબ્દ માહિતી:
કચરો, કચરો, વેડફાયેલું, બરબાદી, પડતર જમીન, પડતર જમીનો
વ્યાખ્યા:
કંઈક બગાડવાનો અર્થ છે બેદરકારીથી તેને ફેંકી દેવું અથવા તેનો ઉપયોગ અયોગ્ય રીતે કરવો.
"પડતર જમીન" અથવા "કચરો" કંઈક એવી જમીન અથવા એક શહેરનો ઉલ્લેખ કરે છે કે જેનો એવો નાશ કરવામાં આવ્યો હોય તેથી હવે તેમાં કંઇ ન રહે.
- "બગાડતા જવું" શબ્દ એ અભિવ્યક્તિ છે જેનો અર્થ થાય કે વધુ અને વધુ બીમાર અથવા બગાડતું જ્વું.
જે વ્યક્તિ બીમાર રહેતી હોય છે તે બીમારી અથવા ખોરાકની અછતને લીધે સામાન્ય રીતે ખૂબ જ પાતળું બની જાય છે.
- શહેર અથવા જમીન “ પર કચરો મૂક્વો ” તેનો અર્થ તેનો નાશ કરવાનો છે.
- ' પડતર જમીન ' માટેનો અન્ય શબ્દ "રણ" અથવા "જંગલ” હોઈ શકે છે.
પરંતુ પડતર જમીન એ પણ સૂચવે છે કે લોકો ત્યાં રહેતા હતા અને જમીન પર વૃક્ષો અને છોડ હતાં જે ખોરાક ઉત્પન્ન કરતા હતાં.
બાઇબલ સંદર્ભો
- હઝકિયેલ 6:6-7
- લેવીય 26:37-39
- માથ્થી 26:6-9
- પ્રકટીકરણ 18:15-17
- ઝખાર્યા 7:13-14
શબ્દ માહિતી:
- Strong's: H535, H1086, H1104, H1110, H1197, H1326, H2100, H2490, H2522, H2717, H2720, H2721, H2723, H3615, H3765, H3856, H4087, H4127, H4198, H4592, H4743, H4875, H5307, H5327, H7334, H7582, H7703, H7722, H7736, H7843, H8047, H8074, H8077, H8414, H8437, G684, G1287, G2049, G2673, G4199
કઠણ, વધારે કઠણ, એકદમ સખત, કઠણ કરવું, કઠણ કરે છે, કઠણ કરેલુ, સખ્તાઇ, કઠિનતા
વ્યાખ્યા:
સંદર્ભ પર આધારિત, “કઠણ” શબ્દના કેટલાક અલગ અલગ અર્થો હોય છે.
સામાન્ય રીતે તે એવી કાંઇક બાબત દર્શાવે છે કે જે મુશ્કેલ, સતત ચાલુ, અથવા અતિ કઠોર હોય.
- “કઠણ હ્રદય” અથવા “કઠોર મનવાળું” અભિવ્યક્તિઓ કે જેઓ જીદ્દીપણે પસ્તાવો નહીં કરનારા લોકોને દર્શાવે છે.
આ અભિવ્યક્તિઓ લોકો કે જેઓ સતત દેવનો અનાદર કરે છે તે વર્ણવે છે.
- ”હ્રદયની કઠિનતા” અને “તેઓના હ્રદયની કઠિનતા” રૂપકાત્મક અભિવ્યક્તિઓ પણ જીદ્દી આજ્ઞાભંગને દર્શાવે છે.
- જો કોઈનું હ્રદય કઠિન છે તો તેનો અર્થ એમ થાય કે તે વ્યક્તિ આજ્ઞા પાળવાનો ઇનકાર અને પસ્તાવો કરતો નથી અને જીદ્દી રહે છે.
- જયારે “સખત કામ કરો” અથવા “કઠિન પ્રયાસ કરો,” ક્રિયા વિશેષણ વાપરવામાં આવે છે, ત્યારે તેનો અર્થ કંઈક ખૂબ જ મજબૂત રીતે અને ખંતપૂર્વક, કંઈક ખૂબ જ સારું કરવા પ્રયાસ કરવામાં આવે છે.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને “કઠણ” શબ્દનું ભાષાંતર, “મુશ્કેલ” અથવા “જીદ્દી” અથવા “પડકારરૂપ” પણ કરી શકાય છે.
- “કઠિનતા” અથવા “હ્રદયની કઠિનતા” અથવા “કઠણ હ્રદય” શબ્દોનું ભાષાંતર, “જીદ્દીપણું” અથવા “સતત બળવો” અથવા” બળવાખોર વલણ” અથવા “જીદ્દી આજ્ઞાભંગ” અથવા “જીદ્દીપણે પસ્તાવો ન કરનાર” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
- “કઠણ કરેલું” શબ્દનું ભાષાંતર, “જીદ્દીપણે પસ્તાવો નહીં કરનાર” અથવા “આજ્ઞા માનવાનો ઇનકાર કરનાર” તરીકે પણ થઇ શકે છે.
- “તમારા હ્રદયોને કઠણ ન કરો” તેનું ભાષાંતર, “પસ્તાવો કરવાનો ઇનકાર ન કરો” અથવા “જીદ્દીપણે અનાદર કરવાનું ચાલુ ન રાખો” તરીકે કરી શકાય છે.
- “કઠણ મનવાળું” અથવા “કઠણ દિલનું” વિવિધ ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “જીદ્દી પણે અવગણના કરનારું” અથવા “સતત અનાદર કરનાર” અથવા “પસ્તાવો કરવાનો ઇનકાર” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
- અભિવ્યક્તિઓમાં જેવી કે “સખત કામ કરો” અથવા “કઠિન પ્રયાસ કરો” જેનું ભાષાંતર, “દ્રઢતાથી” અથવા “ખંતપૂર્વક” તરીકે કરી શકાય છે.
- ”વિરુદ્ધમાં સખત દબાવવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “જોરથી ધક્કો મારવો” અથવા “મજબૂત રીતે વિરુદ્ધમાં ધક્કો મારવો” તરીકે પણ કરી શકાય છે.
- “સખત કામથી લોકોનું દમન કરવું” જેનું ભાષાંતર, “લોકોને વધુ કામ કરવા બળજબરી કરવી કે તેઓ દુઃખી થાય” અથવા “તેઓને ખૂબ જ મુશ્કેલ કામ કરવા બળજબરી કરવી જેથી લોકો દુઃખી થાય” તરીકે કરી શકાય છે.
- અલગ પ્રકારની “સખત પીડા,” સ્ત્રી કે જે બાળકને જન્મ આપે છે, તે અનુભવે છે.
(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, હ્રદય, મજૂરી, અક્કડ ગરદન)
બાઈબલની કલમો:
- 2 કરિંથી 11:22-23
- પુનર્નિયમ 15:7-8
- નિર્ગમન 14:4-5
- હિબ્રૂ 4:6-7
- યોહાન 12:39-40
- માથ્થી 19:7-9
શબ્દ માહિતી:
- Strong's: H280, H386, H553, H1692, H2388, H2389, H2420, H2864, H3021, H3332, H3513, H3515, H3966, H4165, H4522, H5450, H5539, H5564, H5646, H5647, H5797, H5810, H5980, H5999, H6089, H6277, H6381, H6635, H7185, H7186, H7188, H7280, H8068, H8307, H8631, G917, G1419, G1421, G1422, G1423, G1425, G2205, G2532, G2553, G2872, G2873, G3425, G3433, G4053, G4183, G4456, G4457, G4641, G4642, G4643, G4645, G4912, G4927
કનાન, કનાની, કનાનીઓ
સત્યો:
કનાન હામનો દીકરો હતો, કે જે નુહના દીકરાઓમાંનો એક હતો.
કનાનીઓ એ કનાનના વંશજો હતા.
- “કનાન” અથવા “કનાનની ભૂમિ” શબ્દ, યરદન નદી અને ભૂમધ્ય સમુદ્રની વચ્ચેની જમીનના વિસ્તાર તરીકે ઓળખાય છે.
તેની સરહદ દક્ષિણમાં મિસરની સુધી અને ઉત્તરે અરામની સરહદ સુધી વિસ્તરેલી છે.
- આ જગ્યામાં કનાનીઓ સાથે બીજા અનેક લોકોના જૂથો વસેલા હતા.
દેવે ઈબ્રાહીમ અને તેના વંશજો, ઈઝરાએલીઓને કનાનની ભૂમિ આપવાનું વચન આપ્યું.
(આ પણ જુઓ: હામ, વચનનો દેશ)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 13:19-20
- નિર્ગમન 3:7-8
- ઉત્પત્તિ 9:18-19
- ઉત્પત્તિ 10:19-20
- ઉત્પત્તિ 13:5-7
- ઉત્પત્તિ 47:1-2
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો
- 4:5 તેણે (ઈબ્રામે) તેની પત્ની સારા, તથા બધાજ નોકરો અને તેની માલિકીનું જે હતું તે બધુ જ લીધું અને દેવે જે કનાનની ભૂમિ તેને બતાવી તેમાં ગયો.
- 4:6 જયારે ઈબ્રામ કનાનમાં આવ્યો દેવે કહ્યું, “તારી આસપાસ નજર કર.”
આ બધી જમીન જે તું જુએ છે તે હું તને અને તારા વંશજોને વારસા તરીકે આપીશ.”
- 4:9”હું કનાનની ભૂમિ તારા વંશજોને આપું છું.”
- 5:3 કનાનની ભૂમિ હું તને અને તારા વંશજોને માલિકી તરીકે આપીશ અને સદાને માટે હું તેઓનો દેવ થઈશ.
- 7:8 કનાનમાં તેના ઘરથી વીસ વર્ષો દૂર રહ્યા પછી યાકુબ તેના કુટુંબને, તેના નોકરોને, અને તેના પ્રાણીઓના બધા ટોળાઓ સાથે ત્યાં પાછો આવ્યો.
શબ્દ માહિતી:
- Strong's: H3667, H3669, G2581, G5478
કનાન, કનાની, કનાનીઓ
સત્યો:
કનાન હામનો દીકરો હતો, કે જે નુહના દીકરાઓમાંનો એક હતો.
કનાનીઓ એ કનાનના વંશજો હતા.
- “કનાન” અથવા “કનાનની ભૂમિ” શબ્દ, યરદન નદી અને ભૂમધ્ય સમુદ્રની વચ્ચેની જમીનના વિસ્તાર તરીકે ઓળખાય છે.
તેની સરહદ દક્ષિણમાં મિસરની સુધી અને ઉત્તરે અરામની સરહદ સુધી વિસ્તરેલી છે.
- આ જગ્યામાં કનાનીઓ સાથે બીજા અનેક લોકોના જૂથો વસેલા હતા.
દેવે ઈબ્રાહીમ અને તેના વંશજો, ઈઝરાએલીઓને કનાનની ભૂમિ આપવાનું વચન આપ્યું.
(આ પણ જુઓ: હામ, વચનનો દેશ)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 13:19-20
- નિર્ગમન 3:7-8
- ઉત્પત્તિ 9:18-19
- ઉત્પત્તિ 10:19-20
- ઉત્પત્તિ 13:5-7
- ઉત્પત્તિ 47:1-2
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો
- 4:5 તેણે (ઈબ્રામે) તેની પત્ની સારા, તથા બધાજ નોકરો અને તેની માલિકીનું જે હતું તે બધુ જ લીધું અને દેવે જે કનાનની ભૂમિ તેને બતાવી તેમાં ગયો.
- 4:6 જયારે ઈબ્રામ કનાનમાં આવ્યો દેવે કહ્યું, “તારી આસપાસ નજર કર.”
આ બધી જમીન જે તું જુએ છે તે હું તને અને તારા વંશજોને વારસા તરીકે આપીશ.”
- 4:9”હું કનાનની ભૂમિ તારા વંશજોને આપું છું.”
- 5:3 કનાનની ભૂમિ હું તને અને તારા વંશજોને માલિકી તરીકે આપીશ અને સદાને માટે હું તેઓનો દેવ થઈશ.
- 7:8 કનાનમાં તેના ઘરથી વીસ વર્ષો દૂર રહ્યા પછી યાકુબ તેના કુટુંબને, તેના નોકરોને, અને તેના પ્રાણીઓના બધા ટોળાઓ સાથે ત્યાં પાછો આવ્યો.
શબ્દ માહિતી:
- Strong's: H3667, H3669, G2581, G5478
કન્યા, કન્યાઓ,કન્યા વિશે
વ્યાખ્યા:
કન્યા લગ્ન સમાંરભ માં સ્ત્રી છે કે જે તેણીના પતિ સાથે લગ્ન કરી રહી છે, જે વરરાજા છે.
- ”કન્યા” શબ્દ ઈસુમાં જેઓ વિશ્વાસીઓ માટે રૂપક તરીકે, મંડળી માટે વપરાયો છે
- મંડળી માટે ઈસુ અલંકારયુક્ત રીતે “વરરાજા” કહેવાય છે.
(જુઓ : રૂપક
(આ પણ જુઓ: વરરાજા, મંડળી)
બાઈબલની કલમો:
- નિર્ગમન 22:16-17
- યશાયા 62:5
- યોએલ 2:15-16
શબ્દ માહિતી:
કબર, કબર ખોદનારા, કબરો, કબર, કબરો, દફનાવવાનું સ્થળ
વ્યાખ્યા:
"કબર" અને "કબર” શબ્દો એવી જગ્યા છે જ્યાં લોકો મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિના શરીરને મૂકે છે તેનો ઉલ્લેખ કરેછે.
"દફનવિધિ" એ વધુ સામાન્ય શબ્દ છે જેનો સંદર્ભ પણ આ છે.
- યહુદીઓ ક્યારેક કુદરતી ગુફાઓની કબરો તરીકે ઉપયોગ કરતા હતા, અને કેટલીક વાર તેઓ ટેકરીની બાજુમાં ખડકમાં ગુફાઓ ખોદી કાઢતા હતા.
- નવા કરારના સમયમાં, એક કબરની આગળ સામે તેને બંધ કરવા માટે એક વિશાળ, ભારે પથ્થર ગબડાવી દેતા એ સામાન્ય હતું.
- જો લક્ષ્ય ભાષા કબર માટેનો શબ્દ ફક્ત કાણ।નો ઉલ્લેખ કરે છે જેમાં શરીરને જમીનની નીચે મૂકવામાં આવે છે, તો તેનું અનુવાદ અન્ય રીતે "ગુફા" અથવા"ટેકરીની બાજુમાં એક કાણું” થઈ શકે છે.
- “કબર” શબ્દસમૂહ મોટે ભાગે મુએલાની સ્થિતિ અથવા મૃત લોકોના આત્માઓ છે તે સ્થળનો સંદર્ભ આપવા માટે સામાન્ય રીતે અને લાક્ષણિક રીતે વપરાય છે.
(આ પણ જુઓ: દફનાવવું, મરી જવું)
બાઇબલ સંદર્ભો
- પ્રેરિતોનાં કૃત્યો 2: 29-31
- ઉત્પત્તિ 23: 5-6
- ઉત્પત્તિ 50: 4-6
- યોહાન 19: 40-42
- લુક 23: 52-53
- માર્ક 5: 1-2
- માથ્થી 27: 51-53
- રોમન 3: 13-14
બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:
- [32:4 આ માણસ કબ્રસ્તાન માં રહેતો હતો.
- 37:6 ઈસુએ તેમને પૂછ્યું, "લાજરસને ક્યાં મૂક્યો છે?"
તેઓએ તેને કહ્યું, " કબર માં
આવો અને જુઓ."
- [37:7 કબર એ એક ગુફા હતી જેનાપર પત્થર મૂકેલો હતો
- [40:9 પછી યુસફ અને નીકોદેમસ, બે યહુદી આગેવાનોએ જે ઇસુ મસીહ હતા એમ માનતા હતા, તેમણે પિલાતને ઈસુના શબ માટે પૂછ્યું.
તેઓએ તેમના શરીરને કાપડમાં લપેટીને અને તેને ખડકમાંથી ખોદેલી કબર માં મૂક્યા.
પછી તેઓએ કબર __ આગળ એક મોટો પથ્થર ગબડાવી દીધો.
- 41:4 તેણે (દૂતે) એ પથ્થરને ગબડાવ્યો જે કબર ના પ્રવેશદ્વારને ઢાંકતો હતો અને તેના પર બેઠો.
કબરનું રક્ષણ કરતા સૈનિકો ડરી ગયા હતા અને મૂએલા જેવા જમીન પર પડી ગયા હતા.
- 41:5 જ્યારે સ્ત્રીઓ કબર પહોંચી, ત્યારે દૂતે તેમને કહ્યું, "ડરશો નહીં.
ઈસુ અહીં નથી.
જેમ તેમણે જણાવ્યું હતું તેમ, તે મરણમાંથી ઉઠ્યા છે!
કબરમાં જુઓ અને નિહાળો."
સ્ત્રીઓ કબર માં જોયું અને નિહાળ્યું કે જ્યાં ઈસુનું શરીર મૂકવામાં આવ્યું હતું.
તેનું શબ ત્યાં ન હતું!
શબ્દ માહિતી:
- Strong's: H1164, H1430, H6900, H6913, H7585, H7845, G86, G2750, G3418, G3419, G5028
કબર, કબર ખોદનારા, કબરો, કબર, કબરો, દફનાવવાનું સ્થળ
વ્યાખ્યા:
"કબર" અને "કબર” શબ્દો એવી જગ્યા છે જ્યાં લોકો મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિના શરીરને મૂકે છે તેનો ઉલ્લેખ કરેછે.
"દફનવિધિ" એ વધુ સામાન્ય શબ્દ છે જેનો સંદર્ભ પણ આ છે.
- યહુદીઓ ક્યારેક કુદરતી ગુફાઓની કબરો તરીકે ઉપયોગ કરતા હતા, અને કેટલીક વાર તેઓ ટેકરીની બાજુમાં ખડકમાં ગુફાઓ ખોદી કાઢતા હતા.
- નવા કરારના સમયમાં, એક કબરની આગળ સામે તેને બંધ કરવા માટે એક વિશાળ, ભારે પથ્થર ગબડાવી દેતા એ સામાન્ય હતું.
- જો લક્ષ્ય ભાષા કબર માટેનો શબ્દ ફક્ત કાણ।નો ઉલ્લેખ કરે છે જેમાં શરીરને જમીનની નીચે મૂકવામાં આવે છે, તો તેનું અનુવાદ અન્ય રીતે "ગુફા" અથવા"ટેકરીની બાજુમાં એક કાણું” થઈ શકે છે.
- “કબર” શબ્દસમૂહ મોટે ભાગે મુએલાની સ્થિતિ અથવા મૃત લોકોના આત્માઓ છે તે સ્થળનો સંદર્ભ આપવા માટે સામાન્ય રીતે અને લાક્ષણિક રીતે વપરાય છે.
(આ પણ જુઓ: દફનાવવું, મરી જવું)
બાઇબલ સંદર્ભો
- પ્રેરિતોનાં કૃત્યો 2: 29-31
- ઉત્પત્તિ 23: 5-6
- ઉત્પત્તિ 50: 4-6
- યોહાન 19: 40-42
- લુક 23: 52-53
- માર્ક 5: 1-2
- માથ્થી 27: 51-53
- રોમન 3: 13-14
બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:
- [32:4 આ માણસ કબ્રસ્તાન માં રહેતો હતો.
- 37:6 ઈસુએ તેમને પૂછ્યું, "લાજરસને ક્યાં મૂક્યો છે?"
તેઓએ તેને કહ્યું, " કબર માં
આવો અને જુઓ."
- [37:7 કબર એ એક ગુફા હતી જેનાપર પત્થર મૂકેલો હતો
- [40:9 પછી યુસફ અને નીકોદેમસ, બે યહુદી આગેવાનોએ જે ઇસુ મસીહ હતા એમ માનતા હતા, તેમણે પિલાતને ઈસુના શબ માટે પૂછ્યું.
તેઓએ તેમના શરીરને કાપડમાં લપેટીને અને તેને ખડકમાંથી ખોદેલી કબર માં મૂક્યા.
પછી તેઓએ કબર __ આગળ એક મોટો પથ્થર ગબડાવી દીધો.
- 41:4 તેણે (દૂતે) એ પથ્થરને ગબડાવ્યો જે કબર ના પ્રવેશદ્વારને ઢાંકતો હતો અને તેના પર બેઠો.
કબરનું રક્ષણ કરતા સૈનિકો ડરી ગયા હતા અને મૂએલા જેવા જમીન પર પડી ગયા હતા.
- 41:5 જ્યારે સ્ત્રીઓ કબર પહોંચી, ત્યારે દૂતે તેમને કહ્યું, "ડરશો નહીં.
ઈસુ અહીં નથી.
જેમ તેમણે જણાવ્યું હતું તેમ, તે મરણમાંથી ઉઠ્યા છે!
કબરમાં જુઓ અને નિહાળો."
સ્ત્રીઓ કબર માં જોયું અને નિહાળ્યું કે જ્યાં ઈસુનું શરીર મૂકવામાં આવ્યું હતું.
તેનું શબ ત્યાં ન હતું!
શબ્દ માહિતી:
- Strong's: H1164, H1430, H6900, H6913, H7585, H7845, G86, G2750, G3418, G3419, G5028
કમર
વ્યાખ્યા:
"કમર" શબ્દનો ઉલ્લેખ પ્રાણી અથવા વ્યક્તિના શરીરના ભાગનો થાય છે જે નીચલા પાંસળી અને હિપ હાડકા વચ્ચે હોય છે, જેને નીચલા પેટ તરીકે પણ ઓળખાય છે.
- અભિવ્યક્તિ "કમર સજવી" સખત કામ કરવા માટે તૈયાર થવાનો ઉલ્લેખ કરે છે.
તે સરળતા સાથે આગળ વધવા માટે કમરની ફરતે બેલ્ટમાં એકના ઝભ્ભાના તળિયાને ટકવાની રીતમાંથી આવે છે.
- "કમર" શબ્દનો ઉપયોગ વારંવાર બાઇબલમાં કરવામાં આવે છે, જેનો બલિદાન આપવામાં આવતા પ્રાણીના નીચેના ભાગનો ઉલ્લેખ કરે છે.
- બાઇબલમાં, "કમર" શબ્દનો અર્થ વારંવાર માણસના પ્રજનન અંગોને તેના વંશજોના સ્ત્રોત તરીકે રૂઢિચુસ્ત અને સૌમ્યોક્તિમાં થાય છે.
(જુઓ: સૌમ્યોક્તિ
- "તમારા કમરમાંથી આવશે" અભિવ્યક્તિ પણ, "તમારૂ સંતાન થશે" અથવા "તમારા સંતાનમાંથી જન્મશે" અથવા "ઈશ્વર તમારા તરફથી આવશે". (જુઓ: સૌમ્યોક્તિ
- જ્યારે શરીરના ભાગનો સંદર્ભ આપતા હોય, ત્યારે સંદર્ભના આધારે તેને "પેટ" અથવા "હિપ્સ" અથવા "કમર" તરીકે પણ અનુવાદ કરી શકાય છે.
(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું,બાંધવું,સંતાન)
બાઇબલના સંદર્ભો:
- 1 પિતર 1: 13-14
- 2 કાળવૃતાંત 6:7-9
- પુનર્નિયમ 33:11
- ઉત્પત્તિ 37:34-36
- અયૂબ 15:27-28
શબ્દ માહિતી:
- Strong's: H2504, H2783, H3409, H3689, H4975, G3751
કમર
વ્યાખ્યા:
"કમર" શબ્દનો ઉલ્લેખ પ્રાણી અથવા વ્યક્તિના શરીરના ભાગનો થાય છે જે નીચલા પાંસળી અને હિપ હાડકા વચ્ચે હોય છે, જેને નીચલા પેટ તરીકે પણ ઓળખાય છે.
- અભિવ્યક્તિ "કમર સજવી" સખત કામ કરવા માટે તૈયાર થવાનો ઉલ્લેખ કરે છે.
તે સરળતા સાથે આગળ વધવા માટે કમરની ફરતે બેલ્ટમાં એકના ઝભ્ભાના તળિયાને ટકવાની રીતમાંથી આવે છે.
- "કમર" શબ્દનો ઉપયોગ વારંવાર બાઇબલમાં કરવામાં આવે છે, જેનો બલિદાન આપવામાં આવતા પ્રાણીના નીચેના ભાગનો ઉલ્લેખ કરે છે.
- બાઇબલમાં, "કમર" શબ્દનો અર્થ વારંવાર માણસના પ્રજનન અંગોને તેના વંશજોના સ્ત્રોત તરીકે રૂઢિચુસ્ત અને સૌમ્યોક્તિમાં થાય છે.
(જુઓ: સૌમ્યોક્તિ
- "તમારા કમરમાંથી આવશે" અભિવ્યક્તિ પણ, "તમારૂ સંતાન થશે" અથવા "તમારા સંતાનમાંથી જન્મશે" અથવા "ઈશ્વર તમારા તરફથી આવશે". (જુઓ: સૌમ્યોક્તિ
- જ્યારે શરીરના ભાગનો સંદર્ભ આપતા હોય, ત્યારે સંદર્ભના આધારે તેને "પેટ" અથવા "હિપ્સ" અથવા "કમર" તરીકે પણ અનુવાદ કરી શકાય છે.
(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું,બાંધવું,સંતાન)
બાઇબલના સંદર્ભો:
- 1 પિતર 1: 13-14
- 2 કાળવૃતાંત 6:7-9
- પુનર્નિયમ 33:11
- ઉત્પત્તિ 37:34-36
- અયૂબ 15:27-28
શબ્દ માહિતી:
- Strong's: H2504, H2783, H3409, H3689, H4975, G3751
કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન
સત્યો:
સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે.
જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.
- કરા કે જે દડા અથવા બરફના ટુકડાના સ્વરૂપમાં આકાશમાંથી નીચે આવે છે, તેને “કરા” કહેવામાં આવે છે.
- સામાન્ય રીતે કરા નાના (ફક્ત થોડા સેન્ટીમીટર પહોળા) હોય છે, પણ ક્યારેક આ કરા 20 સેન્ટીમીટર જેટલા મોટા અને કે જેનું વજન એક કિલોગ્રામ ઉપર હોય છે.
- નવા કરારમાં પ્રકટીકરણનું પુસ્તક 50 કિલોગ્રામના પ્રચંડ કરાને વર્ણવે છે કે જે અંતના સમયે જયારે દેવ લોકોને તેઓની દુષ્ટતા માટે ન્યાય કરશે ત્યારે તે તેને પૃથ્વી ઉપર પડવા દેશે.
- “સલામ” શબ્દ કે જે જૂના અંગ્રેજીમાં ઔપચારિક અભિવાદનનો શાબ્દિક અર્થમાં “આનંદ” થાય છે, અને તેનું ભાષાંતર, “શુભેચ્છાઓ” અથવા “સાંભળો” (હેલો) તરીકે કરી શકાય.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
બાઈબલની કલમો:
- માથ્થી27:27-29
- માથ્થી 28:8-10
- ગીતશાસ્ત્ર 78:47-49
- ગીતશાસ્ત્ર 148:7-8
- પ્રકટીકરણ 8:6-7
શબ્દ માહિતી:
- Strong's: H68, H417, H1258, H1259, G5463, G5464
કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન
સત્યો:
સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે.
જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.
- કરા કે જે દડા અથવા બરફના ટુકડાના સ્વરૂપમાં આકાશમાંથી નીચે આવે છે, તેને “કરા” કહેવામાં આવે છે.
- સામાન્ય રીતે કરા નાના (ફક્ત થોડા સેન્ટીમીટર પહોળા) હોય છે, પણ ક્યારેક આ કરા 20 સેન્ટીમીટર જેટલા મોટા અને કે જેનું વજન એક કિલોગ્રામ ઉપર હોય છે.
- નવા કરારમાં પ્રકટીકરણનું પુસ્તક 50 કિલોગ્રામના પ્રચંડ કરાને વર્ણવે છે કે જે અંતના સમયે જયારે દેવ લોકોને તેઓની દુષ્ટતા માટે ન્યાય કરશે ત્યારે તે તેને પૃથ્વી ઉપર પડવા દેશે.
- “સલામ” શબ્દ કે જે જૂના અંગ્રેજીમાં ઔપચારિક અભિવાદનનો શાબ્દિક અર્થમાં “આનંદ” થાય છે, અને તેનું ભાષાંતર, “શુભેચ્છાઓ” અથવા “સાંભળો” (હેલો) તરીકે કરી શકાય.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
બાઈબલની કલમો:
- માથ્થી27:27-29
- માથ્થી 28:8-10
- ગીતશાસ્ત્ર 78:47-49
- ગીતશાસ્ત્ર 148:7-8
- પ્રકટીકરણ 8:6-7
શબ્દ માહિતી:
- Strong's: H68, H417, H1258, H1259, G5463, G5464
કરાર, કરારો, નવો કરાર
વ્યાખ્યા:
કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.
- આ સંમતિ વ્યક્તિઓ વચ્ચે, લોકોના જૂથો વચ્ચે, અથવા દેવ અને લોકો વચ્ચે હોઈ શકે છે.
- જયારે લોકો એકબીજા સાથે કરાર કરે છે, ત્યારે તેઓ વચન આપે છે કે તેઓ કઈંક કરશે અને તેઓએ તે અવશ્ય કરવું.
- માનવ કરારોના ઉદાહરણોમાં લગ્નના કરારો, ધંધાના કરારો, અને દેશો વચ્ચેની સંધિઓનો સમાવેશ થાય છે.
- સમગ્ર બાઈબલમાં, દેવે તેના લોકો સાથે કેટલાક વિવિધ કરારો કર્યા છે.
- કેટલાક કરારોમાં, દેવે શરતો વગર તેનો કાર્ય પરિપૂર્ણ કરવાનું વચન આપ્યું છે.
ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.
- અન્ય કરારોમાં, જો લોકો તેને આધીન રહેશે અને તેઓના ભાગનો કરાર પાડશે, ફક્ત ત્યારે જ દેવ તેના વચનો પરિપૂર્ણ કરશે.
- “નવો કરાર” શબ્દ, દેવના કરારને (સમંતિ) દર્શાવે છે કે, જે દેવે તેના લોકો સાથે તેના પુત્ર ઈસુના બલિદાન દ્વારા કર્યો છે.
- દેવનો “નવીન કરાર” બાઈબલના ભાગને સમજાવવા માટે આપવામાં આવ્યો છે, જેને “નવો કરાર” કહેવાય આવે છે.
- આ નવો/નવીન કરાર, જે “જૂના” અથવા “ભૂતપૂર્વ” કરારની સામે વિરોધાભાસ ઉભો છે કે, જે દેવે જૂના કરારના સમયમાં ઈઝરાએલીઓ સાથે કર્યો હતો.
- નવો કરાર એ જૂના કરતાં વધારે સારો છે, કારણકે તે ઈસુના બલિદાન પર આધારિત છે, જે સંપૂર્ણપણે સદાને માટે લોકોના પાપોના પ્રાયશ્ચિત કરે છે.
જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા.
જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે.
આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.
- જયારે અંતના સમયમાં દેવ પૃથ્વી ઉપર તેનું રાજ્ય સ્થાપશે, ત્યારે નવો કરાર સંપૂર્ણપણે પરિપૂર્ણ થશે.
જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતરમાં, “કરારનું બંધન” અથવા “ઔપચારિક કબૂલાત” અથવા “પ્રતિજ્ઞા” અથવા “કરાર,” શબ્દોનો સમાવેશ કરી શકાય.
- અમુક ભાષાઓમાં કદાચ કરાર માટે જુદા શબ્દો હશે કે જે એક પક્ષ અથવા બંને પક્ષોને કરેલા વચન તેઓએ અવશ્ય પાળવા જરૂરી છે.
જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.
- ખાતરી કરો કે આ શબ્દનું ભાષાંતર લોકો પ્રસ્તાવ મૂકે છે તેવું ના હોય.
બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.
- “નવો કરાર” શબ્દનું ભાષાંતર “નવું ઔપચારિક સંમતિ” અથવા “નવી સંધિ” અથવા “નવીન કરાર” તરીકે કરી શકાય છે.
- “નવા” શબ્દની આ અભિવ્યક્તિઓનો અર્થ, “તાજું” અથવા “નવા પ્રકારનું” અથવા “બીજું કોઈ” એમ થઇ શકે છે.
(આ પણ જુઓ: કરાર, વચન)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 9:11-13
- ઉત્પત્તિ 17:7-8
- ઉત્પત્તિ 31:43-44
- નિર્ગમન 34:10-11
- યહોશુઆ 24:24-26
- 2 શમુએલ 23:5
- 2 રાજા 18:11-12
- માર્ક 14:22-25
- લૂક 1:72-75
- લૂક 22:19-20
- પ્રેરિતો 7:6-8
- 1કરિંથી 11:25-26
- 2 કરિંથી 3:4-6
- ગલાતી 3:17-18
- હિબ્રૂ 12:22-24
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 4:9 પછી દેવે ઈબ્રાહિમ સાથે કરાર કર્યો. કરાર એ બે પક્ષો વચ્ચેની સંમતિ છે.
- 5:4 “હું ઈશ્માએલને પણ, મહાન દેશ બનાવીશ, પણ મારો કરાર ઈસહાક સાથે હશે.
- 6:4 લાંબા સમય બાદ, ઈબ્રાહિમ મરી ગયો અને બધાંજ કરાર ના વચનો કે જે દેવે તેની સાથે કર્યા હતા, તે ઈસહાકને આપવામાં આવ્યા.
- 7:10 દેવે જે કરારના વચનો ઈબ્રાહિમ અને ઈસહાકને આપ્યા હતા તે હવે યાકૂબને આપવામાં આવ્યા.
- 13:2 દેવે મૂસા અને ઈઝરાએલના લોકોને કહ્યું, “જો તમે વચનો પ્રમાણે મારા આજ્ઞાઓ પાળી અને મારો કરારને પાળશો, તો તમે મારું કિંમતી ધન, યાજકોનું રાજ્ય, અને પવિત્ર દેશ થશો.
- 13:4 પછી દેવે તેઓને કરાર આપ્યો અને કહ્યું, હું યહોવા, તમારો દેવ છું કે જેણે તમને મિસરની ગુલામીમાંથી બચાવ્યા છે. “અન્ય દેવોની ઉપાસના કરશો નહીં.”
- 15:13 પછી યહોશુઆએ લોકોને દેવે સિનાઈમાં ઈઝરાએલીઓ સાથે જે કરાર કર્યો હતો, તેને પાળવાની જવાબદારી યાદ કરાવી.
- 21:5 યર્મિયા પ્રબોધક દ્વારા, દેવે વચન આપ્યું કે તે નવો કરાર કરશે, પણ એવો કરાર નહીં કે જે દેવે ઈઝરાએલ સાથે સિનાઈ પર કર્યો. નવા કરારમાં, દેવ તેનો નિયમ લોકોના હ્રદયો પર લખશે, લોકો દેવને વ્યક્તિગત રીતે ઓળખશે, તેઓ તેના લોક થશે, અને દેવ તેઓના પાપો માફ કરશે.
મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.
- 21:14 મસીહના મૃત્યુ અને પુનરુત્થાન દ્વારા, પાપીઓને બચાવવા અને નવા કરાર ની શરૂઆત કરવા દેવ તેની યોજના પરિપૂર્ણ કરશે.
- 38:5 પછી ઈસુએ પ્યાલો લીધો અને કહ્યું, “આ પીઓ. તે મારા નવા કરાર નું રક્ત છે તે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવેલું છે. દરેક વખતે જયારે તમે આ પીઓ, ત્યારે મારી યાદગીરીમાં આ કરો.
- 48:11 પણ દેવે હવે નવો કરાર કર્યો છે જે દરેક માટે ઉપલબ્ધ છે.
આ નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.
શબ્દ માહિતી:
- Strong's: H1285, H2319, H3772, G802, G1242, G4934
કરાર, કરારો, નવો કરાર
વ્યાખ્યા:
કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.
- આ સંમતિ વ્યક્તિઓ વચ્ચે, લોકોના જૂથો વચ્ચે, અથવા દેવ અને લોકો વચ્ચે હોઈ શકે છે.
- જયારે લોકો એકબીજા સાથે કરાર કરે છે, ત્યારે તેઓ વચન આપે છે કે તેઓ કઈંક કરશે અને તેઓએ તે અવશ્ય કરવું.
- માનવ કરારોના ઉદાહરણોમાં લગ્નના કરારો, ધંધાના કરારો, અને દેશો વચ્ચેની સંધિઓનો સમાવેશ થાય છે.
- સમગ્ર બાઈબલમાં, દેવે તેના લોકો સાથે કેટલાક વિવિધ કરારો કર્યા છે.
- કેટલાક કરારોમાં, દેવે શરતો વગર તેનો કાર્ય પરિપૂર્ણ કરવાનું વચન આપ્યું છે.
ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.
- અન્ય કરારોમાં, જો લોકો તેને આધીન રહેશે અને તેઓના ભાગનો કરાર પાડશે, ફક્ત ત્યારે જ દેવ તેના વચનો પરિપૂર્ણ કરશે.
- “નવો કરાર” શબ્દ, દેવના કરારને (સમંતિ) દર્શાવે છે કે, જે દેવે તેના લોકો સાથે તેના પુત્ર ઈસુના બલિદાન દ્વારા કર્યો છે.
- દેવનો “નવીન કરાર” બાઈબલના ભાગને સમજાવવા માટે આપવામાં આવ્યો છે, જેને “નવો કરાર” કહેવાય આવે છે.
- આ નવો/નવીન કરાર, જે “જૂના” અથવા “ભૂતપૂર્વ” કરારની સામે વિરોધાભાસ ઉભો છે કે, જે દેવે જૂના કરારના સમયમાં ઈઝરાએલીઓ સાથે કર્યો હતો.
- નવો કરાર એ જૂના કરતાં વધારે સારો છે, કારણકે તે ઈસુના બલિદાન પર આધારિત છે, જે સંપૂર્ણપણે સદાને માટે લોકોના પાપોના પ્રાયશ્ચિત કરે છે.
જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા.
જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે.
આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.
- જયારે અંતના સમયમાં દેવ પૃથ્વી ઉપર તેનું રાજ્ય સ્થાપશે, ત્યારે નવો કરાર સંપૂર્ણપણે પરિપૂર્ણ થશે.
જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતરમાં, “કરારનું બંધન” અથવા “ઔપચારિક કબૂલાત” અથવા “પ્રતિજ્ઞા” અથવા “કરાર,” શબ્દોનો સમાવેશ કરી શકાય.
- અમુક ભાષાઓમાં કદાચ કરાર માટે જુદા શબ્દો હશે કે જે એક પક્ષ અથવા બંને પક્ષોને કરેલા વચન તેઓએ અવશ્ય પાળવા જરૂરી છે.
જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.
- ખાતરી કરો કે આ શબ્દનું ભાષાંતર લોકો પ્રસ્તાવ મૂકે છે તેવું ના હોય.
બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.
- “નવો કરાર” શબ્દનું ભાષાંતર “નવું ઔપચારિક સંમતિ” અથવા “નવી સંધિ” અથવા “નવીન કરાર” તરીકે કરી શકાય છે.
- “નવા” શબ્દની આ અભિવ્યક્તિઓનો અર્થ, “તાજું” અથવા “નવા પ્રકારનું” અથવા “બીજું કોઈ” એમ થઇ શકે છે.
(આ પણ જુઓ: કરાર, વચન)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 9:11-13
- ઉત્પત્તિ 17:7-8
- ઉત્પત્તિ 31:43-44
- નિર્ગમન 34:10-11
- યહોશુઆ 24:24-26
- 2 શમુએલ 23:5
- 2 રાજા 18:11-12
- માર્ક 14:22-25
- લૂક 1:72-75
- લૂક 22:19-20
- પ્રેરિતો 7:6-8
- 1કરિંથી 11:25-26
- 2 કરિંથી 3:4-6
- ગલાતી 3:17-18
- હિબ્રૂ 12:22-24
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 4:9 પછી દેવે ઈબ્રાહિમ સાથે કરાર કર્યો. કરાર એ બે પક્ષો વચ્ચેની સંમતિ છે.
- 5:4 “હું ઈશ્માએલને પણ, મહાન દેશ બનાવીશ, પણ મારો કરાર ઈસહાક સાથે હશે.
- 6:4 લાંબા સમય બાદ, ઈબ્રાહિમ મરી ગયો અને બધાંજ કરાર ના વચનો કે જે દેવે તેની સાથે કર્યા હતા, તે ઈસહાકને આપવામાં આવ્યા.
- 7:10 દેવે જે કરારના વચનો ઈબ્રાહિમ અને ઈસહાકને આપ્યા હતા તે હવે યાકૂબને આપવામાં આવ્યા.
- 13:2 દેવે મૂસા અને ઈઝરાએલના લોકોને કહ્યું, “જો તમે વચનો પ્રમાણે મારા આજ્ઞાઓ પાળી અને મારો કરારને પાળશો, તો તમે મારું કિંમતી ધન, યાજકોનું રાજ્ય, અને પવિત્ર દેશ થશો.
- 13:4 પછી દેવે તેઓને કરાર આપ્યો અને કહ્યું, હું યહોવા, તમારો દેવ છું કે જેણે તમને મિસરની ગુલામીમાંથી બચાવ્યા છે. “અન્ય દેવોની ઉપાસના કરશો નહીં.”
- 15:13 પછી યહોશુઆએ લોકોને દેવે સિનાઈમાં ઈઝરાએલીઓ સાથે જે કરાર કર્યો હતો, તેને પાળવાની જવાબદારી યાદ કરાવી.
- 21:5 યર્મિયા પ્રબોધક દ્વારા, દેવે વચન આપ્યું કે તે નવો કરાર કરશે, પણ એવો કરાર નહીં કે જે દેવે ઈઝરાએલ સાથે સિનાઈ પર કર્યો. નવા કરારમાં, દેવ તેનો નિયમ લોકોના હ્રદયો પર લખશે, લોકો દેવને વ્યક્તિગત રીતે ઓળખશે, તેઓ તેના લોક થશે, અને દેવ તેઓના પાપો માફ કરશે.
મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.
- 21:14 મસીહના મૃત્યુ અને પુનરુત્થાન દ્વારા, પાપીઓને બચાવવા અને નવા કરાર ની શરૂઆત કરવા દેવ તેની યોજના પરિપૂર્ણ કરશે.
- 38:5 પછી ઈસુએ પ્યાલો લીધો અને કહ્યું, “આ પીઓ. તે મારા નવા કરાર નું રક્ત છે તે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવેલું છે. દરેક વખતે જયારે તમે આ પીઓ, ત્યારે મારી યાદગીરીમાં આ કરો.
- 48:11 પણ દેવે હવે નવો કરાર કર્યો છે જે દરેક માટે ઉપલબ્ધ છે.
આ નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.
શબ્દ માહિતી:
- Strong's: H1285, H2319, H3772, G802, G1242, G4934
કરારકોશ, યહોવાનો કોશ
વ્યાખ્યા:
આ શબ્દો વિશેષ લાકડાંની પેટી, સોનાથી મઢેલી, કે જેમાં બે શિલાપાટીઓ જેની ઉપર દસ આજ્ઞાઓ લખેલી છે તેનો સમાવેશ થાય છે.
તેમાં માન્નાનું પાત્ર અને હારુનની લાકડીનો સમાવેશ થાય છે.
- આ શબ્દ “કોશ”નું ભાષાંતર “પેટી” અથવા “ખોખું” અથવા “પાત્ર” થઇ શકે છે.
- આ પેટીમાંની વસ્તુઓ ઈઝરાએલીઓને દેવના તેમની સાથેનો કરાર યાદ કરાવે છે.
- કરારકોશ “પરમ પવિત્રસ્થાનમાં” મુકવામાં આવ્યો હતો.
- દેવની હાજરી મુલાકાત મંડપના સૌથી પવિત્રસ્થાનમાં કરારકોશ ઉપર હતી, કે જ્યાં મૂસા દેવ સાથે ઈઝરાએલીઓના માટે વાત કરતો.
તે સમય દરમ્યાન જયારે કરારકોશ મંદિરના પરમપવિત્રસ્થાન હતો, ત્યારે ફક્ત મુખ્યયાજક વર્ષમાં એક જ વાર પ્રાયશ્ચિતના દિવસે તે કરારકોશ પાસે જઈ શકતો હતો.
ઘણી અંગ્રેજી આવૃત્તિઓમાં, આ શબ્દ “કરારની આજ્ઞાઓ” નો શાબ્દિક અર્થ “સાક્ષી” થઇ શકે છે.
આ સત્ય છે કે દસ આજ્ઞાઓ, દેવના તેના લોકોની સાથે કરવામાં કરાર, જે પુરાવો અથવા સાક્ષી સમાન હતા.
(આ પણ જુઓ: વહાણ, કરાર, પ્રાયશ્ચિત, પવિત્ર સ્થાન, જુબાની)
- 1 શમુએલ 6:14-15
- નિર્ગમન 25:10-11
- હિબ્રુ 9:3-5
- ન્યાયાધીશો 20:27-28
- ગણના 7:89
- પ્રકટીકરણ 11:19
શબ્દ માહિતી:
- Strong's: H727, H1285, H3068
કરુણા, કરુણામય
વ્યાખ્યા:
કરુણા શબ્દ ખાસ કરીને તેઓ માટે કે જેઓ પીડાય છે, તે લોકો માટે ચિંતાની લાગણી થાય તેને દર્શાવે છે.
“કરુણામય” વ્યક્તિ અન્ય લોકો વિશે કાળજી લે છે અને તેઓને મદદ કરે છે.
સામાન્ય રીતે “કરુણા” શબ્દ, લોકોની જરૂરિયાત વિશે સંભાળ લેવી, તેમજ તેઓને મદદ કરવા માટે કાર્ય કરે છે.
- બાઈબલ કહે છે કે દેવ “કરુણામય છે”, કેમકે તે પ્રેમ અને દયાથી ભરપૂર છે.
- કલોસ્સીઓને લખેલા પાઉલના પત્રમાં, તે તેઓને કહે છે “કરુણાના વસ્ત્રોથી પોતાને શણગારો.”
તે તેઓને લોકોની સંભાળ વિશે અને જેઓ જરૂરીયાતમાં છે તેઓને સક્રિય રીતે મદદ કરવા સૂચના આપે છે.
ભાષાંતર માટેના સૂચનો:
- “કરુણા” નો વાસ્તવિક અર્થ “દયાનો ભાવ” છે
આ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ “દયા” અથવા “દયાભાવ” થાય છે.
બીજી ભાષાઓમાં તેના અર્થ માટે તેઓની પોતાની અભિવ્યક્તિ હોઈ શકે છે.
- “કરુણા” શબ્દના ભાષાંતરમાં, “બીજા માટે ગંભીરતાથી સંભાળ લેનાર” અથવા “મદદરૂપ દયા દર્શાવનાર” એવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
- “કરુણામય” શબ્દનું ભાષાંતર, “સંભાળ અને મદદરૂપ” અથવા “ખુબ જ પ્રેમાળ અને દયાળુ” એમ પણ કરી શકાય છે.
બાઈબલની કલમો:
- દાનિયેલ 1:8-10
- હોશિયા 13:14
- યાકુબ 5:9-11
- યૂના 4:1-3
- માર્ક 1:40-42
- રોમનોને 9:14-16
શબ્દ માહિતી:
- Strong's: H2550, H7349, H7355, H7356, G1653, G3356, G3627, G4697, G4834, G4835
કસોટી, કસોટીઓ, કસોટી પામેલ
વ્યાખ્યા:
શબ્દ " કસોટી " એક મુશ્કેલ અથવા પીડાદાયક અનુભવનો ઉલ્લેખ કરે છે જે વ્યક્તિની શક્તિ અને નબળાઈઓ દર્શાવે છે.
- ઈશ્વર લોકોની કસોટી કરે છે, પણ તે પાપ કરવાને લલચાવતા નથી. જોકે, શેતાન, લોકોને પાપ કરવા લલચાવે છે.
- ઈશ્વર ક્યારેક લોકોના પાપને છતું કરવા કસોટીઓનો ઉપયોગ કરે છે. કસોટી વ્યક્તિને પાપમાંથી દૂર થવા અને ઈશ્વરની નજીક આવવા માટે મદદ કરે છે.
- સોના અને અન્ય ધાતુઓને અગ્નિથી ચકાસવામાં આવે છે જેથી તે કેટલું શુદ્ધ અને મજબૂત છે. તે જાણી શકાય છે.
આ એક ચિત્ર છે કે ઈશ્વર કેવી રીતે પોતાના લોકોની કસોટી માટે પીડાદાયક સંજોગોનો ઉપયોગ કરે છે.
- " કસોટીમાં મૂકવું" તેનો અર્થ એવો થાય છે, "કંઈક અથવા કોઈ વ્યક્તિને તેના મૂલ્યને સાબિત કરવા માટે પડકારવું.
- ઈશ્વરની પરીક્ષા કરવાના સંદર્ભમાં, તેનો અર્થ એ છે કે તેને આપણા માટે ચમત્કાર કરવા, તેની દયાનો લાભ લેવાનો પ્રયત્ન કરવો.
- ઈસુએ શેતાનને કહ્યું કે ઈશ્વરનું પરીક્ષણ કરવું ખોટું છે.
તે સર્વશક્તિમાન, પવિત્ર ઈશ્વર છે, જે સર્વશ્રેષ્ઠ અને દરેકની ઉપર છે.
અનુવાદ માટેના સૂચનો:
- "કસોટી" શબ્દનો "પડકાર" અથવા "મુશ્કેલીઓનો અનુભવ થવો" અથવા "સાબિત કરવું" એમ ભાષાંતર કરી શકાય છે.
- "એક કસોટી" ભાષાંતર કરવાની રીતો, "એક પડકાર" અથવા "એક મુશ્કેલ અનુભવ" હોઈ શકે છે.
- "પરીક્ષણમાં મૂકવા" નું ભાષાંતર "પરીક્ષણ" તરીકે અથવા "એક પડકાર સ્થાપિત કરવો" અથવા "પોતાને સાબિત કરવા માટેનું દબાણ" તરીકે કરી શકાય છે.
- પરમેશ્વરના પરીક્ષણના સંદર્ભમાં, આનું ભાષાંતર કરી શકાય છે, કે " ઈશ્વરને તેના પ્રેમને સાબિત કરવા માટે દબાણ કરવા પ્રયાસ કરી રહ્યા છે."
- કેટલાક સંદર્ભોમાં, જ્યારે ઈશ્વર કર્તા ન હોય, ત્યારે "કસોટી" શબ્દનો અર્થ "લલચાવવું" એવોથાય છે.
(આ પણ જુઓ: લલચાવવું)
બાઇબલના સંદર્ભો:
- 1 યોહાન 4:1-3
- 1 થેસ્સાલોનીકી 5: 19-22
- પ્રેરિતોનાં કૃત્યો 15:10-11
- ઉત્પત્તિ 22: 1-3
- યશાયા 7:13-15
- યાકૂબ 1:12-13
- યર્મિયાનો વિલાપ 3:40-43
- માલાખી 3:10-12
- ફિલિપી 1:9-11
- ગીતશાસ્ત્ર 26:1-3
શબ્દ માહિતી:
- Strong's: H5713, H5715, H5749, H6030, H8584, G1242, G1263, G1303, G1957, G3140, G3141, G3142, G3143, G4303, G4828, G6020
કાઈન
સત્યો:
બાઈબલમાં કાઈન અને તેનો ભાઈ હાબેલને આદમ અને હવાના પ્રથમ દીકરાઓ તરીકે ઉલ્લેખવામાં છે.
- કાઈન ખેડૂત હતો, જે અનાજનો પાકની પેદાશ કરતો હતો, જયારે હાબેલ ઘેટાનો ગોવાળ હતો.
- કાઈને તેના ભાઈ હાબેલને અદેખાઈના ક્રોધમાં મારી નાંખ્યો, કારણકે દેવે હાબેલના બલિદાનને સ્વીકાર્યું, પણ કાઈનના બલિદાનને સ્વીકાર્યુ નહોતું.
- દેવે તેને સજા તરીકે એદનથી દૂર મોકલી દીધો, અને તેને કહ્યું કે જમીન તેના માટે પાકની ઉપજ આપશે નહીં.
- દેવે કાઈનના કપાળ ઉપર નિશાન તરીકે ચિહ્ન મૂક્યું કે જયારે તે ભટકતો હોય ત્યારે લોકોને તેને મારી ન નાખે પણ તેનો તેથી બચાવ થાય.
(આ પણ જુઓ: આદમ, બલિદાન)
બાઈબલની કલમો:
- 1 યોહાન 3:11-12
- ઉત્પત્તિ 4:1-2
- ઉત્પત્તિ 4:8-9
- ઉત્પત્તિ 4:13-15
- હિબ્રૂ 11:4
- યહૂદા 1:9-11
શબ્દ માહિતી:
કાદેશ, કાદેશ-બાર્નેઆ, મરીબાથ કાદેશ
તથ્યો:
સર્વ નામો કાદેશ, કાદેશ-બાર્નેઆ, મરીબાથ કાદેશ ઈઝરાયેલના ઇતિહાસના મહત્વના શહેર જે અદોમના પ્રદેશ નજીક ઈઝરાયેલના દક્ષિણ ભાગ પર સ્થિત હતું તેનો ઉલ્લેખ કરે છે.
- કાદેશ શહેર એ રણદ્વીપ હતું, એવું સ્થળ જ્યાં ઝીન નામના રણની વચ્ચે પાણી અને ફળદ્રુપ જમીન હતા.
- મુસાએ કાદેશ બાર્નેઆથી બાર જાસૂસોને કનાનમાં મોકલ્યા.
- અરણ્યમાં ભટકવા દરમિયાન ઈઝરાયેલે કાદેશ ખાતે પણ છાવણી કરી હતી.
- કાદેશ બાર્નેઆ એ જગા હતી જ્યાં મરિયમ મરી ગઈ હતી.
- તે તો મરીબાથ કાદેશ હતું જ્યાં મુસા ઈશ્વરને અનાધિન થયો અને જેમ ઈશ્વરે તેને કહ્યું હતું તેને હુકમ કરવાને બદલે ઈઝરાયેલીઓ માટે પાણી મેળવવા ખડક પર માર્યું.
- કાદેશ શબ્દ હિબ્રૂ શબ્દમાં જેનો અર્થ “પવિત્ર” અથવા “અલગ કરાયેલ” થાય છે તે પરથી ઉતરી આવ્યો છે.
(આ પણ જુઓ: રણ, અદોમ, પવિત્ર)
બાઇબલના સંદર્ભો:
- હઝકિયેલ 48:27-29
- ઉત્પત્તિ 14:7-9
- ઉત્પત્તિ 16:13-14
- ઉત્પત્તિ 20:1-3
- યહોશુઆ 10:40-41
- ગણના 20:1
શબ્દ માહિતી:
- Strong's: H4809, H6946, H6947
કામો, કાર્યો, કાર્ય, કૃત્યો
વ્યાખ્યા:
બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.
- 'કાર્ય' શબ્દનો અર્થ બીજા લોકોની સેવા કરવા માટે કરવામાં આવતો શ્રમ કે કોઈ પણ બાબત.
- ઈશ્વરનાં "કાર્યો" અને "તેમના હાથનાં કામ" એવી અભિવ્યક્તિ છે જે તે કરે છે અથવા કરેલાં છે તે વસ્તુઓનો ઉલ્લેખ કરે છે, જેમાં વિશ્વનું નિર્માણ, પાપીઓને બચાવવા, સર્વ સૃષ્ટિની જરૂરિયાતો પૂરી પાડવી અને સમગ્ર બ્રહ્માંડને સ્થાને રાખવું.
"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.
- એક વ્યક્તિ જે કામો અથવા કાર્યો કરે છે તે કાં તો સારા કે ખરાબ હોઈ શકે છે.
- પવિત્ર આત્મા વિશ્વાસીઓને સારા કાર્યો કરવા સમર્થ બનાવે છે, જેને "સારાં ફળ" પણ કહેવાય છે.
- લોકો તેમના સારા કાર્યો દ્વારા બચાવવામાં આવતા નથી; તેઓ ઈસુમાં વિશ્વાસ દ્વારા બચાવવામાં આવે છે.
- કોઈ વ્યક્તિનું "કામ" તે હોઈ શકે કે તે વસવાટ કરો છો અથવા ભગવાનની સેવા કરવા માટે કરે છે.
બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- “કામો" અથવા "કાર્યો" નું ભાષાંતર અન્ય રીતે "ક્રિયાઓ" અથવા "જે બાબતો થઈ છે તે હોઈ શકે છે."કરી શકાય છે.
- પરમેશ્વરના "કામો" અથવા "કાર્યો" અને "તેમના હાથનાં કામ" નો ઉલ્લેખ કરતી વખતે, આ શબ્દોનો અર્થ "ચમત્કારો" અથવા "પરાક્રમી કૃત્યો" અથવા "જે અદ્દભુત કાર્યો કરે છે" તરીકે પણ કરી શકાય છે.
- “ઈશ્વરના કામ" શબ્દનું ભાષાંતર "જે બાબતો ઈશ્વર કરી રહયા છે" અથવા "ઈશ્વર કરે છે તે ચમત્કારો" અથવા "ઈશ્વર કરે છે એ અદ્દભુત વસ્તુઓ" અથવા "ઈશ્વરે જે કંઈ સિદ્ધ કર્યું છે" તરીકે ભાષાંતર કરી શકાય છે.
- કામ” શબ્દ ફક્ત” દરેક સારા કામને" અથવા "દરેક સારા કાર્યો" જેવા "કામો" નું એકવચન હોઇ શકે છે.
- “કામ" શબ્દને "સેવા" અથવા "સેવાકાર્ય" નો વ્યાપક અર્થ પણ હોઈ શકે છે.
ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.
- “તમારા પોતાના કામનું પરીક્ષણ" શબ્દનું ભાષાંતર "દેવની ઇચ્છા છે કે તમે કરો છો તે કરો" અથવા "ખાતરી કરો કે જે તમે કરો છો તે ઈશ્વરને ખુશ કરે છે."
- “પવિત્ર આત્માનું કાર્ય" શબ્દનું ભાષાંતર "પવિત્ર આત્માનું ભરપુરીપણું" અથવા "પવિત્ર આત્માનું સેવાકાર્ય” અથવા "જે બાબતો પવિત્ર આત્મા કરે છે" તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)
બાઇબલના સંદર્ભો:
- 1 યોહાન 3:11-12
- પ્રેરિતોનાં કૃત્યો 2:8-11
- દાનિયેલ 4:36-37
- નિર્ગમન 34:10-11
- ગલાતી 2:15-16
- યાકૂબ 2:14-17
- માથ્થી 16:27-28
- મીખાહ 2:6-8
- રોમન 3:27-28
- તિતસ 3:4-5
શબ્દ માહિતી:
- Strong's: H4566, H4567, H4611, H4659, H5949, G2041
કામો, કાર્યો, કાર્ય, કૃત્યો
વ્યાખ્યા:
બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.
- 'કાર્ય' શબ્દનો અર્થ બીજા લોકોની સેવા કરવા માટે કરવામાં આવતો શ્રમ કે કોઈ પણ બાબત.
- ઈશ્વરનાં "કાર્યો" અને "તેમના હાથનાં કામ" એવી અભિવ્યક્તિ છે જે તે કરે છે અથવા કરેલાં છે તે વસ્તુઓનો ઉલ્લેખ કરે છે, જેમાં વિશ્વનું નિર્માણ, પાપીઓને બચાવવા, સર્વ સૃષ્ટિની જરૂરિયાતો પૂરી પાડવી અને સમગ્ર બ્રહ્માંડને સ્થાને રાખવું.
"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.
- એક વ્યક્તિ જે કામો અથવા કાર્યો કરે છે તે કાં તો સારા કે ખરાબ હોઈ શકે છે.
- પવિત્ર આત્મા વિશ્વાસીઓને સારા કાર્યો કરવા સમર્થ બનાવે છે, જેને "સારાં ફળ" પણ કહેવાય છે.
- લોકો તેમના સારા કાર્યો દ્વારા બચાવવામાં આવતા નથી; તેઓ ઈસુમાં વિશ્વાસ દ્વારા બચાવવામાં આવે છે.
- કોઈ વ્યક્તિનું "કામ" તે હોઈ શકે કે તે વસવાટ કરો છો અથવા ભગવાનની સેવા કરવા માટે કરે છે.
બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- “કામો" અથવા "કાર્યો" નું ભાષાંતર અન્ય રીતે "ક્રિયાઓ" અથવા "જે બાબતો થઈ છે તે હોઈ શકે છે."કરી શકાય છે.
- પરમેશ્વરના "કામો" અથવા "કાર્યો" અને "તેમના હાથનાં કામ" નો ઉલ્લેખ કરતી વખતે, આ શબ્દોનો અર્થ "ચમત્કારો" અથવા "પરાક્રમી કૃત્યો" અથવા "જે અદ્દભુત કાર્યો કરે છે" તરીકે પણ કરી શકાય છે.
- “ઈશ્વરના કામ" શબ્દનું ભાષાંતર "જે બાબતો ઈશ્વર કરી રહયા છે" અથવા "ઈશ્વર કરે છે તે ચમત્કારો" અથવા "ઈશ્વર કરે છે એ અદ્દભુત વસ્તુઓ" અથવા "ઈશ્વરે જે કંઈ સિદ્ધ કર્યું છે" તરીકે ભાષાંતર કરી શકાય છે.
- કામ” શબ્દ ફક્ત” દરેક સારા કામને" અથવા "દરેક સારા કાર્યો" જેવા "કામો" નું એકવચન હોઇ શકે છે.
- “કામ" શબ્દને "સેવા" અથવા "સેવાકાર્ય" નો વ્યાપક અર્થ પણ હોઈ શકે છે.
ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.
- “તમારા પોતાના કામનું પરીક્ષણ" શબ્દનું ભાષાંતર "દેવની ઇચ્છા છે કે તમે કરો છો તે કરો" અથવા "ખાતરી કરો કે જે તમે કરો છો તે ઈશ્વરને ખુશ કરે છે."
- “પવિત્ર આત્માનું કાર્ય" શબ્દનું ભાષાંતર "પવિત્ર આત્માનું ભરપુરીપણું" અથવા "પવિત્ર આત્માનું સેવાકાર્ય” અથવા "જે બાબતો પવિત્ર આત્મા કરે છે" તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)
બાઇબલના સંદર્ભો:
- 1 યોહાન 3:11-12
- પ્રેરિતોનાં કૃત્યો 2:8-11
- દાનિયેલ 4:36-37
- નિર્ગમન 34:10-11
- ગલાતી 2:15-16
- યાકૂબ 2:14-17
- માથ્થી 16:27-28
- મીખાહ 2:6-8
- રોમન 3:27-28
- તિતસ 3:4-5
શબ્દ માહિતી:
- Strong's: H4566, H4567, H4611, H4659, H5949, G2041
કાયાફા
સત્યો:
યોહાન બપ્તિસ્મી અને ઈસુના સમય દરમ્યાન કાયાફા ઈઝરાએલનો પ્રમુખ યાજક હતો.
ઈસુની કસોટી અને દંડાજ્ઞા ફરવામાં કાયાફા એ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
- જયારે પિતર અને યોહાને લંગડા માણસને સાજા કર્યા પછી તેઓની ધરપકડ કરવામાં આવી અને તેમની કસોટી સમયે પ્રમુખ યાજકો અન્નાસ અને કાયાફા ત્યાં હતા.
- કાયાફા એક હતો કે, જેણે કહ્યું એ સારું હતું કે એક માણસનું મૃત્યુ થાય જેથી પુરા દેશનો નાશ ન થાય.
દેવે તેને ભવિષ્યવાણી તરીકે લઈને, ઈસુ વિશે કેવી રીતે મરીને તેના લોકોને બચાવશે તે કહેવાનું કારણ આપ્યું.
(આ પણ જુઓ: અન્નાસ, પ્રમુખ યાજક)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 4:5-7
- યોહાન 18:12-14
- લૂક 3:1-2
- માથ્થી 26:3-5
- માથ્થી 26:57-58
શબ્દ માહિતી:
કાલેબ
સત્યો:
કાલેબ બાર ઈઝરાએલી જાસૂસોમાંનો એક હતો, જેને મૂસાએ કનાનની ભૂમિની તપાસ કરવા મોકલવામાં આવ્યો હતો.
- તેણે અને યહોશુઆએ લોકોને દેવની મદદ પર ભરોસો રાખી કનાનીઓનો પરાજય કરવા કહ્યું.
- યહોશુઆ અને કાલેબ તેઓની પેઢીમાં ફક્ત એવા પુરુષો હતા કે જેઓને કનાનની વચનની ભૂમિમાં પ્રવેશ કરવા પરવાનગી મળી.
- કાલેબે વિનંતી કરી કે હેબ્રોનની જમીન તેને અને તેના કુટુંબને આપવામાં આવે.
તેને ખબર હતી કે જે લોકો ત્યાં રહે છે તેઓનો પરાજય કરવા ઈશ્વર તેને મદદ કરશે.
(આ પણ જુઓ: હેબ્રોન, યહોશુઆ)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 4:13-16
- યહોશુઆ 14:6-7
- ન્યાયાધીશો 1:11-13
- ગણના 32:10-12
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 14:4 જયારે ઈઝરાએલીઓ કનાનને છેડે પહોંચ્યા ત્યારે મૂસાએ ઈઝરાએલના દરેક કુળમાંથી એક એક એમ બાર પુરુષો પસંદ કર્યા.
તેણે તે માણસોને સૂચના આપી કે જાઓ અને જઈને જાસુસી કરો કે તે કેવી જમીન છે.
- 14:6__તરત જ __કાલેબ અને યહોશુઆએ, જે બાકીના બે જાસુસ હતા તેમને કહ્યુ કે, "તે સાચું છે કે કનાનના લોકો કદાવર અને મજબૂત છે પણ આપણે તેઓને ખરેખર હરાવી દઈશું!”
દેવ આપણા માટે લડશે!"
- 14:8 " યહોશુઆ અને કાલેબ વગર, જેઓ વીસ વર્ષથી વધારે ઉંમરવાળા હતા, તેઓ વચનના દેશમાં પ્રવેશ કરી શક્યા નહીં"
જેથી તેઓ તે જગ્યામાં શાંતિથી રહી શક્યા.
શબ્દ માહિતી:
કુટુંબ, કબીલો, લોહીના સંબંધવાળું, સગાસંબંધીઓ, સગા, સગાઓ
વ્યાખ્યા:
“કુટુંબ” શબ્દ વ્યક્તિના લોહીના સંબંધ, જુથ તરીકેનો ઉલ્લેખ કરે છે.
“સગા” સ્પષ્ટપણે પુરુષ સંબંધીનો ઉલ્લેખ કરે છે.
- “કુટુંબ” શબ્દ વ્યક્તિના નજીકના સબંધીઓનો ઉલ્લેખ કરે છે, જેવા કે માતપિતા, બહેન, અથવા તે ઘણાં દૂરના સંબંધીઓ જેવા કે કાકા, મામા, ફોઇ, ફુઆ અથવા પિતરાઇનો સમાવેશ કરે છે.
- પ્રાચીન ઈઝરાયેલમાં, જ્યારે પુરુષ મૃત્યુ પામે ત્યારે, તેના નજીકના પુરુષ સંબંધીએ તેની વિધવા સાથે લગ્ન કરવા અપેક્ષિત હતા, અને તેના કુટુંબના નામને આગળ લઈ જવા મદદ કરવાની હતી.
આ સંબંધીને “સગા-ઉધ્ધારક” કહેવામા આવતા હતા.
- “કુટુંબ” શબ્દનું અનુવાદ “સંબંધી” અથવા “કુટુંબના સભ્ય” તરીકે કરી શકાય.
બાઈબલના સંદર્ભો:
- રોમનો 16:9-11
- રૂથ 2:19-20
- રૂથ 3:8-9
શબ્દ માહિતી:
- Strong's: H251, H1350, H4129, H4130, H7138, H7607, G4773
કુટુંબ, કુટુંબો
વ્યાખ્યા:
“કુટુંબ” શબ્દ એવા લોકોના જૂથને દર્શાવે છે કે, જેઓ લોહીથી સબંધિત અને સામાન્ય રીતે પિતા, માતા, અને તેઓના બાળકોનો સમાવેશ થાય છે.
મોટેભાગે તેમાં અન્ય સંબંધીઓ જેવા કે દાદા-દાદી, પૌત્ર –પુત્રીઓ, કાકાઓ-કાકીઓનો સમાવેશ થાય છે.
- હિબ્રૂ કુટુંબ એ ધાર્મિક સમાજ હતો જે ભજન અને સૂચનાઓ દ્વારા પરંપરાઓને પસાર કરે છે.
- સામાન્ય રીતે આ કુટુંબમાં પિતાને મુખ્ય અધિકાર હતો.
- કુટુંબમાં નોકરો, ઉપપત્નીઓ, અને પરદેશીઓનો પણ સમાવેશ કરી શકાય છે.
- કેટલીક ભાષાઓમાં કદાચ બહોળો શબ્દ જેવા કે “કુળ” અથવા “ઘરના” જે તે સંદર્ભમાં સારી રીતે બંધબેસતો હોય છે, જેમાં માબાપ અને બાળકો સાથે બીજા પણ જોડાયેલા હોય છે.
- “કુટુંબ” શબ્દ લોકો કે જેઓ આત્મિક રીતે સંબંધિત છે તેઓને દર્શાવવા પણ વાપરવામાં આવ્યો છે, જેવા કે લોકો જેઓ દેવના કુટુંબનો ભાગ છે, કારણકે તેઓ ઈસુમાં માને છે.
(આ પણ જુઓ: કુળ, પૂર્વજ, ઘર)
બાઈબલની કલમો:
- 1 રાજા 8:1-2
- 1 શમુએલ 18:17-18
- નિર્ગમન 1:20-22
- યહોશુઆ 2:12-13
- લૂક 2:4-5
શબ્દ માહિતી:
- Strong's: H1, H251, H272, H504, H1004, H1121, H2233, H2859, H2945, H3187, H4138, H4940, H5387, H5712, G1085, G3614, G3624, G3965
કુમારિકા, કુમારિકાઓ કૌમાર્ય
વ્યાખ્યા:
કુમારિકા એક સ્ત્રી છે જેણે ક્યારેય જાતીય સંબંધો કર્યા નથી.
- યશાયાહ પ્રબોધકે કહ્યું કે મસીહ કુમારિકામાંથી જન્મશે.
- મરિયમ કુંવારી હતી જ્યારે તે ઈસુ સાથે ગર્ભવતી હતી.
તેમને માનવ પિતા ન હતા.
- કેટલીક ભાષાઓમાં કુમારિકાનો ઉલ્લેખકરવા નમ્ર રીતનો એક શબ્દ હોઈ શકે છે.
(જુઓ: [સૌમ્યોક્તિ[
(આ પણ જુઓ: [ખ્રિસ્ત[યશાયાહ, ખ્રિસ્ત, યશાયા)
બાઇબલ સંદર્ભો
- ઈસુ
- મરિયમ
- લૂક 1:34-35
- માથ્થી 1:22-23
- માથ્થી 25:1-4
બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:
- 21:9 પ્રબોધક યશાયાહે ભવિષ્યવાણી કરી હતી કે મસીહ કુમારિકાથી જન્મશે .
- 22:4 તેણી )મરિયમ ( કુમારિકા હતી અને તેને યુસફ નામના પુરુષ સાથે લગ્ન કરવા સગાઈ થઈ હતી.
- 22:5__મરિયમે જવાબ આપ્યો, "આ કેવી રીતે હોઈ શકે, કારણ કે હું કુવારી __ છું?"
- 49: 1 કોઈ દૂતે મરિયમ નામની __ કુમારિકા __ને કહ્યું કે તે ઈશ્વરના દીકરાને જન્મ આપશે.
તેથી જ્યારે તે હજુ પણ કુમારિકા હતી, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેને ઈસુ નામ આપ્યું.
શબ્દ માહિતી:
- Strong's: H1330, H1331, H5959, G3932, G3933
કુરેની
સત્યો:
કુરેની ગ્રીક શહેર હતું, જે આફ્રિકાના ઉત્તર કિનારા ઉપર ભૂમધ્ય સમુદ્ર પર, જે ક્રિત ટાપુથી સીધું દક્ષિણ તરફ આવેલું હતું.
- નવા કરારમાં, યહૂદીઓ અને ખ્રિસ્તીઓ બન્ને કુરેનીમાં રહેતા હતાં.
- ઘણું કરીને, કુરેની બાઈબલમાં સિમોન નામના માણસના વતન તરીકે તે સૌથી વધુ જાણીતું છે કે જેણે ઇસુનો વધસ્તંભ ઉંચક્યો હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું
(આ પણ જુઓ: ક્રીત)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 11:19-21
- માથ્થી 27:32-34
શબ્દ માહિતી:
કુળ, કુળો
વ્યાખ્યા:
“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.
- જૂના કરારમાં, ઈઝરાએલીઓ તેમના કુળો અથવા કુટુંબના જૂથો પ્રમાણે ગણવામાં આવતા હતા.
- કુળોના નામ સામાન્ય રીતે તેઓમાંના સૌથી વધુ જાણીતા પૂર્વજ પરથી આપવામાં આવતા હતા.
- ક્યારેક વ્યક્તિગત લોકો તેઓના કુળના નામ દ્વારા ઓળખવામાં આવતા હતા.
આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.
- કુળનું ભાષાંતર, “કુટુંબ જૂથ” અથવા “વિસ્તરેલું કુટુંબ” અથવા “સગા સબંધીઓ” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: કુટુંબ, યિથ્રો, જાતિ)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 6:33-35
- ઉત્પત્તિ 10:2-5
- ઉત્પત્તિ 36:15-16
- ઉત્પત્તિ 36:29-30
- ઉત્પત્તિ 36:40-43
- યહોશુઆ 15:20
- ગણના 3:38-39
શબ્દ માહિતી:
- Strong's: H1, H441, H1004, H4940
કુળ, કુળો
વ્યાખ્યા:
“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.
- જૂના કરારમાં, ઈઝરાએલીઓ તેમના કુળો અથવા કુટુંબના જૂથો પ્રમાણે ગણવામાં આવતા હતા.
- કુળોના નામ સામાન્ય રીતે તેઓમાંના સૌથી વધુ જાણીતા પૂર્વજ પરથી આપવામાં આવતા હતા.
- ક્યારેક વ્યક્તિગત લોકો તેઓના કુળના નામ દ્વારા ઓળખવામાં આવતા હતા.
આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.
- કુળનું ભાષાંતર, “કુટુંબ જૂથ” અથવા “વિસ્તરેલું કુટુંબ” અથવા “સગા સબંધીઓ” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: કુટુંબ, યિથ્રો, જાતિ)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 6:33-35
- ઉત્પત્તિ 10:2-5
- ઉત્પત્તિ 36:15-16
- ઉત્પત્તિ 36:29-30
- ઉત્પત્તિ 36:40-43
- યહોશુઆ 15:20
- ગણના 3:38-39
શબ્દ માહિતી:
- Strong's: H1, H441, H1004, H4940
કુહાડી, કુહાડીઓ
વ્યાખ્યા:
કુહાડી એક હથિયાર છે, જે લાકડું અથવા વૃક્ષો કાપવા અથવા ચીરવા માટે વપરાય છે.
- સામાન્ય રીતે કુહાડીને લાકડાનો લાંબો દસ્તો હોય છે, જેને લોખંડની મોટી ધાર કાઢેલ પાના સાથે છેડા પર જોડેલો હોય છે.
- જો તમારી સંસ્કૃતિમાં કુહાડી (અથવા ફરસી) જેવું સમાન હથિયાર હોય, તે હથિયારના નામનું ભાષાંતર “કુહાડી” વાપરી શકાય.
- બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરીએ તો “વૃક્ષ કાપવાનું હથિયાર” અથવા “ધારવાળું લાકડાનું હથિયાર” અથવા “લાંબા હાથાવાળું લાકડા કાપવાનું હથિયાર” એવા શબ્દોનો સમાવેશ કરી શકાય.
- એક જૂના કરારની ઘટનામાં, કુહાડીનું પાનું નદીમાં પડી ગયું હતું, એટલે કે જો તેનું ઉત્તમ વર્ણન કરવું હોય તો કુહાડીનું પાનું લાકડાના દસ્તામાંથી ઢીલું થઈને નીકળીને શકે છે.
બાઈબલની કલમો:
- 1 રાજા 6:7-8
- 2 રાજા 6:4-5
- ન્યાયાધીશો 9:48-49
- લૂક 3:9
- માથ્થી 3:10-12
- ગીતશાસ્ત્ર 35:1-3
શબ્દ માહિતી:
- Strong's: H1631, H4621, H7134, G513
કૃપા, કૃપાળુ
વ્યાખ્યા:
“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી.
“કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.
- દેવની કૃપા એ માણસજાત માટે એક ભેટ છે કે જે મફત આપવામાં આવી છે.
- કૃપા શબ્દનો વિચાર/ખ્યાલ દયાળુ હોવું એ પણ દર્શાવે છે, અને કોઈકે જેણે ખોટું અથવા હાનિકારક બાબતો કરી છે તેને માફ કરવું.
“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી.
મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.
ભાષાંતરના સૂચનો:
- “કૃપા” શબ્દના વિવિધ ભાષાંતરમાં, “દૈવી કૃપા” અથવા “દેવની તરફેણ” અથવા “દેવની કૃપા” અને પાપીઓ માટે માફી” અથવા “દયાળુ કૃપા” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
- “કૃપાળુ” શબ્દનું ભાષાંતર, “પૂર્ણ કૃપા” અથવા “માયાળુ” અથવા “દયાળુ” અથવા “દયાળુ રીતે માયાળુ” તરીકે કરી શકાય છે.
- “તે દેવની નજરમાં કૃપા પામ્યો” અભિવ્યક્તિનું ભાષાંતર, “તેને દેવ પાસેથી દયા મેળવી” અથવા “દેવે દયાળુ રીતે તેને મદદ કરી” અથવા “દેવે તેની કૃપા દર્શાવી” અથવા “દેવ તેનાથી ખુશ હતો અને તેને મદદ કરી” તરીકે કરી શકાય છે.
બાઈબલની કલમો:
- પ્રેરિતો 4:32-33
- પ્રેરિતો 6:8-9
- પ્રેરિતો 14:3-4
- કલોસ્સી 4:5-6
- કલોસ્સી 4:18
- ઉત્પત્તિ 43:28-29
- યાકૂબ 4:6-7
- યોહાન 1:16-18
- ફિલિપ્પી 4:21-23
- પ્રકટીકરણ 22:20-21
શબ્દ માહિતી:
- Strong's: H2580, H2587, H2589, H2603, H8467, G2143, G5485, G5543
કોપ, ક્રોધ
વ્યાખ્યા:
ક્રોધ એ તીવ્ર ગુસ્સો છે જે ક્યારેક લાંબો સમય ચાલે છે.
તે ખાસ કરીને પાપના ઈશ્વરના ન્યાયી ચુકાદા અને તેમની વિરુદ્ધ બળવાખોર લોકોની સજાને દર્શાવે છે.
- બાઇબલમાં, “ક્રોધ"સામાન્ય રીતે જે તેમની વિરુદ્ધ પાપ કરે છે તેમના પ્રત્યે દેવના ગુસ્સાને દર્શાવે છે.
- “દેવનો ક્રોધ"પાપ માટે તેમનો ચુકાદો અને સજાનો પણ ઉલ્લેખ કરી શકે છે.
- જેઓ પાપનો પસ્તાવો ન કરે, તેમના માટે ઈશ્વરનો ક્રોધ ન્યાયી દંડ છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- સંદર્ભને આધારે, અન્ય શબ્દોમાં આ શબ્દનો અનુવાદ થઈ શકે છે તેમાં "તીવ્ર ગુસ્સો" અથવા "ન્યાયી ચુકાદો" અથવા "ગુસ્સો" નો સમાવેશ થાય છે.
- ઈશ્વરના ક્રોધ વિશે વાત કરતી વખતે, ખાતરી કરો કે આ શબ્દનો અનુવાદ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા શબ્દ અથવા શબ્દસમૂહ પાપી ક્રોધાવેશને યોગ્ય દર્શાવતા નથી ને.
ઈશ્વરનો કોપ ન્યાયી અને પવિત્ર છે.
(આ પણ જુઓ: ન્યાયાધીશ, પાપ)
બાઇબલના સંદર્ભો:
- 1 થેસ્સલોનીકી 1:8-10
- 1 તિમોથી 2:8-10
- લૂક 3:7
- લૂક 21:23-24
- માથ્થી 3:7-9
- પ્રકટીકરણ 14:9-10
- રોમન 1:18-19
- રોમન 5:8-9
શબ્દ માહિતી:
- Strong's: H639, H2197, H2528, H2534, H2740, H3707, H3708, H5678, H7107, H7109, H7110, H7265, H7267, G2372, G3709, G3949, G3950
કોપ, ક્રોધ
વ્યાખ્યા:
ક્રોધ એ તીવ્ર ગુસ્સો છે જે ક્યારેક લાંબો સમય ચાલે છે.
તે ખાસ કરીને પાપના ઈશ્વરના ન્યાયી ચુકાદા અને તેમની વિરુદ્ધ બળવાખોર લોકોની સજાને દર્શાવે છે.
- બાઇબલમાં, “ક્રોધ"સામાન્ય રીતે જે તેમની વિરુદ્ધ પાપ કરે છે તેમના પ્રત્યે દેવના ગુસ્સાને દર્શાવે છે.
- “દેવનો ક્રોધ"પાપ માટે તેમનો ચુકાદો અને સજાનો પણ ઉલ્લેખ કરી શકે છે.
- જેઓ પાપનો પસ્તાવો ન કરે, તેમના માટે ઈશ્વરનો ક્રોધ ન્યાયી દંડ છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- સંદર્ભને આધારે, અન્ય શબ્દોમાં આ શબ્દનો અનુવાદ થઈ શકે છે તેમાં "તીવ્ર ગુસ્સો" અથવા "ન્યાયી ચુકાદો" અથવા "ગુસ્સો" નો સમાવેશ થાય છે.
- ઈશ્વરના ક્રોધ વિશે વાત કરતી વખતે, ખાતરી કરો કે આ શબ્દનો અનુવાદ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા શબ્દ અથવા શબ્દસમૂહ પાપી ક્રોધાવેશને યોગ્ય દર્શાવતા નથી ને.
ઈશ્વરનો કોપ ન્યાયી અને પવિત્ર છે.
(આ પણ જુઓ: ન્યાયાધીશ, પાપ)
બાઇબલના સંદર્ભો:
- 1 થેસ્સલોનીકી 1:8-10
- 1 તિમોથી 2:8-10
- લૂક 3:7
- લૂક 21:23-24
- માથ્થી 3:7-9
- પ્રકટીકરણ 14:9-10
- રોમન 1:18-19
- રોમન 5:8-9
શબ્દ માહિતી:
- Strong's: H639, H2197, H2528, H2534, H2740, H3707, H3708, H5678, H7107, H7109, H7110, H7265, H7267, G2372, G3709, G3949, G3950
કોપ, કોપિત થાય છે, કોપ કર્યો, કોપિત
તથ્યો:
કોપ એ અતિશય ગુસ્સો છે કે જે નિયંત્રણની બહાર હોય છે.
જ્યારે કોઈ કોપિત થાય છે ત્યારે, તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિ પોતાનો ગુસ્સો વિનાશકારી રીતે પ્રદર્શિત કરે છે.
- કોપ ત્યારે ચડે છે જ્યારે ગુસ્સાની ભાવના વ્યક્તિને સ્વનિયંત્રણ ગુમાવવા દોરે છે.
- કોપિત થયેલા લોકો વિનાશકારી બાબતો કહે છે અને કરે છે.
- “ઉત્પાત મચાવવો” શબ્દનો અર્થ જોરદાર રીતે ધસવું પણ થઈ શકે છે જેમ કે “ઉત્પાત મચાવતું” તોફાન અથવા તો “ઉત્પાત મચાવતા” સમુદ્રના મોંજા.
- જ્યારે “દેશો ઉત્પાત મચાવે છે”, ત્યારે તેમના ધર્મભ્રષ્ટ લોકો ઈશ્વરનો અનાદર કરે છે અને તેમની વિરુદ્ધ વિદ્રોહ કરે છે.
- “કોપથી પાગલ થઈ જવા” નો અર્થ અત્યંત ગુસ્સાની જબરજસ્ત ભાવના સવાર થવી એવો થાય છે.
(આ પણ જૂઓ: ગુસ્સો, સંયમ)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 4:23-25
- દાનિયેલ 3:13-14
- લૂક 4:28-30
- ગણના 25:10-11
- નીતિવચનો 19:3-4
શબ્દ માહિતી:
- Strong's: H398, H1348, H1984, H1993, H2121, H2195, H2196, H2197, H2534, H2734, H2740, H3491, H3820, H5590, H5678, H7264, H7265, H7266, H7267, H7283, H7857, G1693, G2830, G3710, G5433
કોપ, કોપિત થાય છે, કોપ કર્યો, કોપિત
તથ્યો:
કોપ એ અતિશય ગુસ્સો છે કે જે નિયંત્રણની બહાર હોય છે.
જ્યારે કોઈ કોપિત થાય છે ત્યારે, તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિ પોતાનો ગુસ્સો વિનાશકારી રીતે પ્રદર્શિત કરે છે.
- કોપ ત્યારે ચડે છે જ્યારે ગુસ્સાની ભાવના વ્યક્તિને સ્વનિયંત્રણ ગુમાવવા દોરે છે.
- કોપિત થયેલા લોકો વિનાશકારી બાબતો કહે છે અને કરે છે.
- “ઉત્પાત મચાવવો” શબ્દનો અર્થ જોરદાર રીતે ધસવું પણ થઈ શકે છે જેમ કે “ઉત્પાત મચાવતું” તોફાન અથવા તો “ઉત્પાત મચાવતા” સમુદ્રના મોંજા.
- જ્યારે “દેશો ઉત્પાત મચાવે છે”, ત્યારે તેમના ધર્મભ્રષ્ટ લોકો ઈશ્વરનો અનાદર કરે છે અને તેમની વિરુદ્ધ વિદ્રોહ કરે છે.
- “કોપથી પાગલ થઈ જવા” નો અર્થ અત્યંત ગુસ્સાની જબરજસ્ત ભાવના સવાર થવી એવો થાય છે.
(આ પણ જૂઓ: ગુસ્સો, સંયમ)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 4:23-25
- દાનિયેલ 3:13-14
- લૂક 4:28-30
- ગણના 25:10-11
- નીતિવચનો 19:3-4
શબ્દ માહિતી:
- Strong's: H398, H1348, H1984, H1993, H2121, H2195, H2196, H2197, H2534, H2734, H2740, H3491, H3820, H5590, H5678, H7264, H7265, H7266, H7267, H7283, H7857, G1693, G2830, G3710, G5433
ખંડણી
વ્યાખ્યા:
" ખંડણી " શબ્દનો અર્થ, રક્ષણના હેતુસર અને તેમના દેશો વચ્ચે સારા સંબંધો માટે એક શાસક પાસેથી અન્ય શાસક માટે ભેટ એવો થાય છે.
- એક ખંડણી એ ચૂકવણી પણ હોઈ શકે છે કે જે લોકો પાસેથી સરકાર અથવા શાસકને આવશ્યક છે, જેમ કે ટોલ અથવા વેરો.
- બાઇબલના સમયમાં, મુસાફરી કરનારા રાજાઓ અથવા શાસકો અમુકવાર તે પ્રદેશના રાજાને ખંડણી ચૂકવતા હતા કે જેથી તેઓ સુરક્ષિત અને સલામત રહે.
- ઘણી વાર ખંડણીમાં નાણાં ઉપરાંત વસ્તુઓ, જેમ કે ખોરાક, મસાલા, સમૃદ્ધ કપડાં અને સોના જેવી મોંઘી ધાતુઓનો સમાવેશ થાય છે.
અનુવાદ માટેનાં સૂચનો:
સંદર્ભના આધારે, " ખંડણી "નું ભાષાંતર "અધિકૃત ભેટો" અથવા "વિશિષ્ટ કર" અથવા "જરૂરી ચુકવણી" તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: સોનુ, રાજા, રાજ, વેરો)
બાઇબલના સંદર્ભો:
- 1કાળવૃતાંત 18:1-2
- 2 કાળવૃતાંત 9:22-24
- 2 રાજાઓ 17:1-3
- લુક 23:1-2
શબ્દ માહિતી:
- Strong's: H1093, H4060, H4061, H4371, H4503, H4522, H4530, H4853, H6066, H7862, G1323, G2778, G5411
ખજૂરી, ખજૂરીઓ
વ્યાખ્યા:
“ખજૂરી” શબ્દ એક પ્રકારના ઊંચા, લાંબી લચીલી પાંદડાવાળી ડાળીઓ ધરાવતા વૃક્ષનો ઉલ્લેખ કરે છે. આ ડાળીઓ ઉપરથી એક પંખા આકારે ફેલાયેલી હોય છે.
- બાઇબલમાંનું ખજૂરીનું વૃક્ષ એક ખાસ પ્રકારના ખજૂરીના વૃક્ષનો ઉલ્લેખ કરે છે જેને “ખજૂરી” નામના ફળ આવતા હતા.
તેના પાંદડા પીંછા સમાન હોય છે.
- ખજૂરીના ઝાડ લાક્ષણિક રીતે ગરમ ભેજવાળી આબોહવામાં ઊગે છે.
તેમના પાંદડા બારે માસ લીલા રહે છે.
- જ્યારે ઈસુ ગધેડા પર સવાર થઈને યરૂશાલેમમાં પ્રવેશતા હતા ત્યારે, લોકોએ તેમની આગળ જમીન પર ખજૂરીની ડાળીઓ બિછાવી.
- ખજૂરીની ડાળીઓ શાંતિ અને વિજયની ઉજવણીનો સંકેત આપે છે.
(આ પણ જૂઓ: ગધેડો, યરૂશાલેમ, શાંતિ)
બાઇબલના સંદર્ભો:
- 1 રાજા 6:29-30
- હઝકિએલ 40:14-16
- યોહાન 12:12-13
- ગણના 33:8-10
શબ્દ માહિતી:
- Strong's: H3712, H8558, H8560, H8561, G5404
ખમીર, ખમીર, ખમીર, ખમીર, બેખમીર
વ્યાખ્યા:
" ખમીર " એક સામાન્ય શબ્દ છે જે રોટલીના કણકને ફૂલાવવા અને વધવા માટેનું કારણ બને છે.
"યીસ્ટ" ચોક્કસ પ્રકારનું ખમીર છે.
- કેટલાક અંગ્રેજી ભાષાંતરોમાં, ખમીર માટેના શબ્દને "યીસ્ટ" તરીકે અનુવાદિત કરવામાં આવે છે, જે આધુનિક ખમીર એજન્ટ છે, જે રોટલીના કણકને ગેસના પરપોટાથી ભરે છે, તે કણકને પકવવા પહેલાં ફૂલાવે છે.
ખમીરને કણકમાં ભેળવવામાં આવે છે, જેથી તે સમગ્ર કણકમાં ફેલાઇ જાય.
- જૂના કરારના સમયમાં, કણકને ક્ષણભર માટે બેસાડી દઈને ફૂલવા અથવા વધવા માટે એજન્ટ બનાવવામાં આવતું હતું.
કણકના પહેલાના બેચમાંથી કણકની થોડી માત્રાને આગામી બેચ માટે ખમીર તરીકે સાચવવામાં આવતું હતું.
- જ્યારે ઈસ્રાએલીઓ ઇજિપ્તમાંથી બચી ગયા, ત્યારે તેમની પાસે રોટલીના કણકમાં ફુલવાની રાહ જોવી પડતી ન હતી. તેથી, તેઓએ તેઓની મુસાફરી દરમિયાન ખમીર વિના રોટલી બનાવી.
આની યાદગીરી તરીકે, દર વર્ષે યહુદી લોકો બેખમીર રોટલી ખાઈને પાસ્ખાપર્વ ઉજવે છે.
- બાઇબલમાં "ખમીર" અથવા "યીસ્ટ" શબ્દનો અર્થ એ છે કે કેવી રીતે પાપ વ્યક્તિના જીવનથી ફેલાય છે અથવા કેવી રીતે પાપ અન્ય લોકો પર અસર કરે છે.
- તે ખોટા શિક્ષણનો સંદર્ભ પણ આપી શકે છે જે ઘણીવાર ઘણા લોકો સુધી ફેલાય છે અને તેમને પ્રભાવિત કરે છે.
- “ ખમીર" શબ્દનો અર્થ હકારાત્મક રીતે સમજાવવા પણ થાય છે કે કેવી રીતે દેવના રાજ્યનો પ્રભાવ વ્યકિતગત રીતે ફેલાય છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- આનું ભાષાંતર "ખમીર" અથવા "પદાર્થ કે જે કણકને ફૂલાવે છે" અથવા "વિસ્તરણ એજન્ટ" તરીકે થાય છે.
"ઉભારવું" શબ્દ "વિસ્તૃત" અથવા "મોટી બનો" અથવા "ફૂલાવવું" તરીકે વ્યક્ત કરી શકાય છે.
- જો સ્થાનિક ખમીર એજન્ટનો ઉપયોગ બ્રેડ કણક ફૂલાવવા માટે થાય છે, તો તે શબ્દનો ઉપયોગ કરી શકાય છે.
જો ભાષામાં જાણીતો, સામાન્ય શબ્દ હોય જેનો અર્થ "ખમીર", થાય, તો તેનો ઉપયોગ કરવા માટે શ્રેષ્ઠ શબ્દ હશે.
આ પણ જુઓ: મિસર, પાસ્ખા, બેખમીર રોટલી)
બાઇબલના સંદર્ભો:
- નિર્ગમન 12:5-8
- ગલાતી 5:9-10
- લૂક 12:1
- લૂક 13:20-21
- માથ્થી 13:33
- માથ્થી 16:5-8
શબ્દ માહિતી:
- Strong's: H2556, H2557, H4682, H7603, G106, G2219, G2220
ખમીર, ખમીર, ખમીર, ખમીર, બેખમીર
વ્યાખ્યા:
" ખમીર " એક સામાન્ય શબ્દ છે જે રોટલીના કણકને ફૂલાવવા અને વધવા માટેનું કારણ બને છે.
"યીસ્ટ" ચોક્કસ પ્રકારનું ખમીર છે.
- કેટલાક અંગ્રેજી ભાષાંતરોમાં, ખમીર માટેના શબ્દને "યીસ્ટ" તરીકે અનુવાદિત કરવામાં આવે છે, જે આધુનિક ખમીર એજન્ટ છે, જે રોટલીના કણકને ગેસના પરપોટાથી ભરે છે, તે કણકને પકવવા પહેલાં ફૂલાવે છે.
ખમીરને કણકમાં ભેળવવામાં આવે છે, જેથી તે સમગ્ર કણકમાં ફેલાઇ જાય.
- જૂના કરારના સમયમાં, કણકને ક્ષણભર માટે બેસાડી દઈને ફૂલવા અથવા વધવા માટે એજન્ટ બનાવવામાં આવતું હતું.
કણકના પહેલાના બેચમાંથી કણકની થોડી માત્રાને આગામી બેચ માટે ખમીર તરીકે સાચવવામાં આવતું હતું.
- જ્યારે ઈસ્રાએલીઓ ઇજિપ્તમાંથી બચી ગયા, ત્યારે તેમની પાસે રોટલીના કણકમાં ફુલવાની રાહ જોવી પડતી ન હતી. તેથી, તેઓએ તેઓની મુસાફરી દરમિયાન ખમીર વિના રોટલી બનાવી.
આની યાદગીરી તરીકે, દર વર્ષે યહુદી લોકો બેખમીર રોટલી ખાઈને પાસ્ખાપર્વ ઉજવે છે.
- બાઇબલમાં "ખમીર" અથવા "યીસ્ટ" શબ્દનો અર્થ એ છે કે કેવી રીતે પાપ વ્યક્તિના જીવનથી ફેલાય છે અથવા કેવી રીતે પાપ અન્ય લોકો પર અસર કરે છે.
- તે ખોટા શિક્ષણનો સંદર્ભ પણ આપી શકે છે જે ઘણીવાર ઘણા લોકો સુધી ફેલાય છે અને તેમને પ્રભાવિત કરે છે.
- “ ખમીર" શબ્દનો અર્થ હકારાત્મક રીતે સમજાવવા પણ થાય છે કે કેવી રીતે દેવના રાજ્યનો પ્રભાવ વ્યકિતગત રીતે ફેલાય છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- આનું ભાષાંતર "ખમીર" અથવા "પદાર્થ કે જે કણકને ફૂલાવે છે" અથવા "વિસ્તરણ એજન્ટ" તરીકે થાય છે.
"ઉભારવું" શબ્દ "વિસ્તૃત" અથવા "મોટી બનો" અથવા "ફૂલાવવું" તરીકે વ્યક્ત કરી શકાય છે.
- જો સ્થાનિક ખમીર એજન્ટનો ઉપયોગ બ્રેડ કણક ફૂલાવવા માટે થાય છે, તો તે શબ્દનો ઉપયોગ કરી શકાય છે.
જો ભાષામાં જાણીતો, સામાન્ય શબ્દ હોય જેનો અર્થ "ખમીર", થાય, તો તેનો ઉપયોગ કરવા માટે શ્રેષ્ઠ શબ્દ હશે.
આ પણ જુઓ: મિસર, પાસ્ખા, બેખમીર રોટલી)
બાઇબલના સંદર્ભો:
- નિર્ગમન 12:5-8
- ગલાતી 5:9-10
- લૂક 12:1
- લૂક 13:20-21
- માથ્થી 13:33
- માથ્થી 16:5-8
શબ્દ માહિતી:
- Strong's: H2556, H2557, H4682, H7603, G106, G2219, G2220
ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ
સત્યો:
આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.
- પ્રાણીઓની ખરીઓ જયારે તેઓ ચાલે છે, ત્યારે તેમણે રક્ષણ આપે છે.
- કેટલાક પ્રાણીઓને ખરીઓ હોય છે, અને તે બે ભાગમાં વહેંચાયેલી હોય છે, અને જયારે બીજાઓને તે હોતી નથી.
- દેવે ઈઝરાએલીઓને કહ્યું કે પ્રાણીઓ જેઓને ફાટેલી ખરીઓ અને વાગોળે તેઓને ખાવા માટે શુદ્ધ ગણવામાં આવ્યા હતા.
તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.
(આ પણ જુઓ: ઊંટ, ગાય, ગધેડો, બકરી, ભૂંડ, ઘેટી)
બાઈબલની કલમો:
- પુનર્નિયમ 14:6-7
- હઝકિયેલ 26:9-11
- લેવીય 11:3-4
- ગીતશાસ્ત્ર 69:30-31
શબ્દ માહિતી:
- Strong's: H6119, H6471, H6536, H6541, H7272
ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ
સત્યો:
આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.
- પ્રાણીઓની ખરીઓ જયારે તેઓ ચાલે છે, ત્યારે તેમણે રક્ષણ આપે છે.
- કેટલાક પ્રાણીઓને ખરીઓ હોય છે, અને તે બે ભાગમાં વહેંચાયેલી હોય છે, અને જયારે બીજાઓને તે હોતી નથી.
- દેવે ઈઝરાએલીઓને કહ્યું કે પ્રાણીઓ જેઓને ફાટેલી ખરીઓ અને વાગોળે તેઓને ખાવા માટે શુદ્ધ ગણવામાં આવ્યા હતા.
તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.
(આ પણ જુઓ: ઊંટ, ગાય, ગધેડો, બકરી, ભૂંડ, ઘેટી)
બાઈબલની કલમો:
- પુનર્નિયમ 14:6-7
- હઝકિયેલ 26:9-11
- લેવીય 11:3-4
- ગીતશાસ્ત્ર 69:30-31
શબ્દ માહિતી:
- Strong's: H6119, H6471, H6536, H6541, H7272
ખાડો, ખાડા, જોખમ
વ્યાખ્યા:
ખાડો એ એક ઊંડું કાણું છે કે જેને જમીનમાં ખોદીને પાડવામાં આવ્યું છે.
- લોકો પ્રાણીઓને ફસાવવા કે પાણી પ્રાપ્ત કરવા ખાડો ખોદે છે.
- ખાડાનો ઉપયોગ હંગામી ધોરણે કેદીને બંધનમાં રાખવા પણ થઈ શકે છે.
- કેટલીક વાર “ખાડો” શબ્દ કબર અથવા તો નર્કનો ઉલ્લેખ કરે છે.
કેટલીક વાર તે “પાતાળ (શેઓલ)” નો ઉલ્લેખ પણ કરી શકે.
- એક ઊંડા ખાડાને “ટાંકી” અથવા તો “કુંડ” પણ કહી શકાય.
- “ખાડો” શબ્દનો ઉપયોગ શબ્દસમૂહોમાં પ્રતિકાત્મક રીતે પણ થાય છે જેમ કે, “નાશનો ખાડો” કે જે આફતો ભરેલી પરિસ્થિતિમાં હોવું અથવા તો પાપરૂપી વિનાશક પ્રવૃત્તિઓમાં ઊંડી રીતે સામેલ હોવું તે દર્શાવે છે.
(આ પણ જૂઓ: પાતાળ [શેઓલ](../kt/hades.md), નર્ક, જેલ)
બાઇબલના સંદર્ભો:
- ઉત્પત્તિ 37:21-22
- અયૂબ 33:16-18
- લૂક 6:39-40
- નીતિવચનો 1:12-14
શબ્દ માહિતી:
- Strong's: H875, H953, H1356, H1360, H1475, H2352, H4087, H4113, H4379, H6354, H7585, H7745, H7816, H7825, H7845, H7882, G12, G999, G5421
ખૂણાનો મુખ્ય પથ્થર, ખૂણાના મુખ્ય પથ્થરો
વ્યાખ્યા:
“ખૂણાનો મુખ્ય પથ્થર” શબ્દ મોટો પથ્થર કે, જે વિશેષ રીતે કાપીને મકાનના પાયાના ખૂણામાં મુકવામાં આવેલો હોય છે, તેને દર્શાવે છે.
- ત્યારબાદ મકાનના બીજા બધા પથ્થરોને માપીને મુખ્ય પથ્થરના સંબંધમાં મૂકવામાં આવે છે.
- તે પુરા માળખાની તાકાત અને સ્થિરતા માટે ખુબજ અગત્યનો ભાગ ભજવે છે.
- નવા કરારમાં, મંડળીઓના વિશ્વાસીઓને રૂપક રીતે ઇમારતની સાથે સરખાવવામાં આવે છે, જેમાં ઈસુ ખ્રિસ્ત જે “ખૂણાનો મુખ્ય પત્થર” છે.
જે રીતે ખૂણાનો મુખ્ય પત્થર આખા મકાનને આધાર આપે છે અને તેની સ્થિતિ નક્કી કરેછે, તેવી રીતે ઈસુ ખ્રિસ્ત ખૂણાનો મુખ્ય પથ્થર છે કે જેના ઉપર મંડળીના વિશ્વાસીઓની સ્થાપના અને આધાર છે.
ભાષાંતરના સૂચનો:
- “ખૂણાના મુખ્ય પથ્થર” શબ્દનું ભાષાંતર, “મકાનનો મુખ્ય પથ્થર” અથવા “પાયાનો પથ્થર” તરીકે કરી શકાય છે.
- ધ્યાન રાખો કે લક્ષ્ય ભાષાનો કયો શબ્દ છે કે, જે ઇમારત માટે પાયાનો ભાગ અને મુખ્ય આધાર છે.
જો એમ હોય તો આ શબ્દ વાપરી શકાય છે.
- વિવિધ રીતે ભાષાંતર કરવામાં આવે તો, “મકાનના ખૂણાના પાયા માટે વપરાતો પથ્થર, એમ થઇ શકે છે.
- તે મહત્વની હકીકત છે કે, આ મોટો પથ્થર છે જે મકાનની સામગ્રીને મજબૂત અને સુરક્ષિત રાખવા માટે વપરાય છે.
જો મકાનના નિર્માણ માટે પથ્થરો વપરાયા નથી, તો તેના માટે કદાચ બીજો શબ્દ, જેનો અર્થ “મોટો પત્થર” (જેવો કે “શિલાખંડ”) વાપરી શકાય છે, પણ તે સારી રીતે રચાયેલો અને બંધ બેસતો હોવો જોઈએ.
બાઈબલની કલમો:
- પ્રેરિતો 4:11-12
- એફેસીઓ 2:19-22
- માથ્થી 21:42
- ગીતશાસ્ત્ર 118:22-23
શબ્દ માહિતી:
- Strong's: H68, H6438, H7218, G204, G1137, G2776, G3037
ખોટું, ખોટા, ખોટું, ખોટી રીતે, ખોટી રીતે, ખોટું કરનાર, ખોટું કરવું, દુર્વ્યવહાર કરવો, દુર્વ્યવય કરાવવું, દુઃખ પહોંચવું, દુખી કરવું, નુકસાન કરવું, નુકસાનકારક
વ્યાખ્યા:
વ્યક્તિને "ખોટુ કરવું" એટલે કે તે વ્યક્તિની સાથે અન્યાયી અને અપ્રમાણિક રીતે વ્યવહાર કરવો.
" * દુર્વ્યવહાર" શબ્દનો અર્થ એ છે કે તે વ્યક્તિ સાથે ખરાબ રીતે અથવા અસામાન્ય રીતે વર્તવું, તે વ્યક્તિને શારિરીક અથવા ભાવનાત્મક નુકસાન પહોંચાડવું.
- ”દુઃખ" શબ્દ વધુ સામાન્ય છે અને તેનો અર્થ છે "કોઈકને નુકસાન પહોંચાડવું."
તે ઘણીવાર "શારીરિક ઇજા" નો અર્થ થાય છે.
- સંદર્ભને આધારે, આ શબ્દોનું "ખોટું કરવું" અથવા "અન્યાયી રીતે વર્તવું" અથવા "હાનિકારક રીતે નુકસાન પહોંચાડવું" અથવા "નુકસાન પહોંચાડવાનું કારણ" તરીકે ભાષાંતર કરી શકાય છે.
બાઇબલ સંદર્ભો
- પ્રેરિતોનાં કૃત્યો 7:26-28
- નિર્ગમન 22:20-21
- ઉત્પત્તિ 16:5-6
- લૂક 6:27-28
- માથ્થી 20:13-14
- ગીતશાસ્ત્ર 71:12-13
શબ્દ માહિતી:
- Strong's: H205, H816, H2248, H2250, H2255, H2257, H2398, H2554, H2555, H3238, H3637, H4834, H5062, H5142, H5230, H5627, H5753, H5766, H5791, H5792, H5916, H6031, H6087, H6127, H6231, H6485, H6565, H6586, H7451, H7489, H7563, H7665, H7667, H7686, H8133, H8267, H8295, G91, G92, G93, G95, G264, G824, G983, G984, G1536, G1626, G1651, G1727, G1908, G2556, G2558, G2559, G2607, G3076, G3077, G3762, G4122, G5195, G5196
ખોપરી
વ્યાખ્યા:
“ખોપરી” શબ્દ વ્યક્તિ કે પ્રાણીના માથાના હાડપિંજરના હાડકાનો ઉલ્લેખ કરે છે.
- કેટલીક વાર “ખોપરી” શબ્દનો અર્થ “તમારા માથાની હજામત કરાવો” જેવા શબ્દસમૂહ “માથું” જેમ જ થાય છે.
- “ખોપરીની જગા” શબ્દ એ ગલગથાનું બીજું નામ હતું, જ્યાં ઈસુને વધસ્તંભે જડાવવામાં આવ્યા હતા.
- આ શબ્દનું અનુવાદ “માથું” અથવા “માથાનું હાડકું” એ પ્રમાણે પણ કરી શકાય.
(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, ગુલગુથા)
બાઈબલના સંદર્ભો:
- 2 રાજાઓ 9:35-37
- યર્મિયા 2:14-17
- યોહાન 19:17-18
- માથ્થી 27:32-34
શબ્દ માહિતી:
- Strong's: H1538, H2026, H2076, H2490, H2491, H2717, H2763, H2873, H2874, H4191, H4194, H5221, H6936, H6991, H6992, H7523, H7819, G337, G615, G1315, G2380, G2695, G4968, G4969, G5407
ખ્રિસ્ત, મસીહ
સત્યો:
“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.
- નવા કરારમાં “મસીહ” અને ખ્રિસ્ત” બન્ને શબ્દ દેવના પુત્રને દર્શાવવા માટે વાપરવામાં આવ્યા છે, જેને ઈશ્વરપિતાએ તેના લોકો ઉપર રાજા તરીકે, અને તેઓને પાપ અને મરણમાંથી બચાવવા નીમ્યો છે.
- જૂના કરારમાં, તે પૃથ્વી પર આવ્યાના ઘણા વર્ષો પહેલા પ્રબોધકોએ મસીહ વિશે ભવિષ્યવાણીઓ લખી હતી.
- જૂના કરારમાં મોટેભાગે “અભિષેક થયલો” શબ્દનો અર્થ મસીહ કે જે આવનાર છે, તે દર્શાવવા માટે વપરાયો છે.
- ઈસુએ ઘણી ભવિષ્યવાણીઓ પૂરી કરી અને ઘણા અદભૂત કાર્યો કર્યા કે જે સાબિત કરે છે કે તે મસીહ છે અને તેમાંથી બાકી રહેલી ભવિષ્યવાણીઓ તે પાછો આવશે ત્યારે પૂરી કરશે.
- મોટેભાગે “ખ્રિસ્ત” શબ્દ શીર્ષક તરીકે વપરાય છે, જેમકે “ખ્રિસ્ત” અને “ઈસુ ખ્રિસ્ત.”
તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”
ભાષાંતરના સૂચનો:
- આ શબ્દના અર્થનો ઉપયોગ કરીને તેનું ભાષાંતર, ”અભિષિક્ત થયેલ” અથવા “દેવનો અભિષિક્ત તારનાર” કરી શકાય છે.
- ઘણી ભાષાઓએ લિપ્યાંતરિત કરીને આ શબ્દને વાપર્યો છે કે, જેનો ઉચ્ચાર અને દેખાવ “ખ્રિસ્ત” અથવા “મસીહ” જેવો લાગે છે.
- જયારે આ શબ્દને લિપ્યાંતરિત કરીને વાપવામાં આવે છે, ત્યારે એ શબ્દની પાછળ તેની ટૂંકી વ્યાખ્યા આપવામાં આવવી જોઈએ, જેમકે “ખ્રિસ્ત, અભિષિક્ત થયેલો છે.”
- બાઈબલમાં જયારે આ શબ્દનું ભાષાંતર કરવામાં આવે ત્યારે દરેક જગ્યા પર તેનું ભાષાંતર સુસંગત હોવું જોઈએ જેથી તેનો અર્થ સ્પષ્ટ થાય કે એક જ સમાન વ્યક્તિની વાત કરે છે.
- જયારે “મસીહ” અને “ખ્રિસ્ત” બંને શબ્દો એક કલમમાં સાથે આવે ત્યારે ધ્યાનમાં રાખો કે તે બન્ને શબ્દો વાક્યમાં સારી રીતે ગોઠવાય છે (જેમકે યોહાન 1:41).
(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)
બાઈબલની કલમો:
- અભિષેક
- પ્રેરિતો 2:34-36
- પ્રેરિતો 5:40-42
- યોહાન 1:40-42
- યોહાન 3:27-28
- યોહાન 4:25-26
- લૂક 2:10-12
- માથ્થી 1:15-17
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.
- 17:8 એ પ્રમાણે થયું કે, મસીહ આવ્યા પહેલા ઈઝરાએલીઓને લગભગ 1000 વર્ષોના સમયગાળા સુધી રાહ જોવી પડી.
- __21:1__શરૂઆતથી જ, દેવે _મસીહ _ ને મોકલવાનું આયોજન કર્યું હતું.
- __21:4__દેવે દાઉદ રાજાને વચન આપ્યું કે મસીહ દાઉદના પોતાના વંશજોમાંનો એક હશે.
- __21:5__મસીહ_ નવા કરારની શરુઆત કરશે.
- __21:6__દેવના પ્રબોધકોએ પણ કહ્યું કે મસીહ પ્રબોધક, યાજક, અને રાજા હશે.
- __21:9__યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી કે મસીહ કુંવારીથી જન્મ લેશે.
- 43:7 “પણ ભવિષ્યવાણી પૂરી થાય માટે દેવે તેને ફરીથી ઉઠાડ્યો, જે કહે છે, તું તારા પવિત્રને કબરમાં કોહવાણ લાગવા નહીં દે.”
- 43:9 "પણ ચોક્કસ જાણો કે, દેવે ઈસુને પ્રભુ અને મસીહ બંને બનાવ્યો છે.
- 43:11 પિતરે તેઓને જવાબ આપ્યો, “તમે દરેક જણાએ પસ્તાવો કરે અને ઈસુ _ખ્રિસ્ત_ના નામમાં બાપ્તિસ્મા લે, જેથી દેવ તમારા પાપોને માફ કરે.”
- 46:6 ઈસુ મસીહ હતો તે સાબિત કરવા, શાઉલે યહૂદીઓની સાથે ચર્ચા કરી.
શબ્દ માહિતી:
- Strong's: H4899, G3323, G5547
ગંધક,ગંધકયુક્ત
વ્યાખ્યા:
ગંધક એક પીળા રંગનો પદાર્થ છે જે બળતું પ્રવાહ બની જાય છે જ્યારે તેને આગ લાગે છે.
- ગંધકમાંખૂબ તીવ્ર ગંધપણ છે જે સડેલા ઇંડાની ગંધ જેવું છે.
- બાઇબલમાં, બળતું ગંધક દુષ્ટ અને બળવાખોર લોકો પર દેવના ન્યાયચુકાદાનું પ્રતિક છે.
- લોતના સમયમાં,દેવે સદોમ અને ગમોરાહના દુષ્ટ શહેરો પર આગ અને ગંધક નો વરસાદ વરસાવ્યો.
- અમુક અંગ્રેજી બાઇબલમાં સલ્ફરને "ગંધક" તરીકે ઓળખવામાં આવે છે,જેનો અર્થ થાય છે " બળતો પથ્થર.”
અનુવાદ માટેના સૂચનો:
- આ શબ્દના સંભવિત અનુવાદમાં"પીળો પથ્થર જે બળે છે" અથવા "પીળાશ પડતો બળતો પથ્થર" શામેલ હોઈ શકે છે.
(આ પણ જુઓ:ગમોરાહ,ન્યાયાધીશ,લોત,બળવો કરવો, સદોમ,દૈવી)
બાઇબલના સંદર્ભો:
- ઉત્પત્તિ 19:23-25
- યશાયાહ 34:8-10
- લુક 17:28-29
- પ્રકટીકરણ 20:9-10
શબ્દ માહિતી:
ગધેડો, ખચ્ચર
વ્યાખ્યા:
ગધેડો એ ચાર પગોવાળું, પણ નાનું અને લાંબા કાનોવાળું ઘોડા સમાન પ્રાણી છે.
- ખચ્ચર એ (નર) ગધેડો અને (નારી) ઘોડીનું વંધ્ય સંતાન છે.
ખચ્ચર એ ખૂબજ મજબૂત પ્રાણી છે અને જેથી તેઓ મૂલ્યવાન કામના પ્રાણીઓ છે.
- ગધેડા અને ખચ્ચર બન્ને બોજો વહન કરવા, અને લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે તેને વાપરવામાં આવે છે.
- બાઈબલના સમયમાં, શાંતિના સમયમાં રાજાઓ ઘોડાના બદલે ગધેડા પર સવારી કરતા, કે જેનો (ઘોડાનો) યુધ્ધના સમયમાં ઉપયોગ કરવામાં આવતો હતો.
- ઈસુને વધસ્તંભ પર જડવામાં આવ્યો તેના એક અઠવાડિયા પહેલા તેણે યરૂશાલેમમાં ગધેડાના વછેરા પર સવારી કરી.
(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું
બાઈબલની કલમો:
- 1 રાજા 1:32-34
- 1 શમુએલ 9:3-4
- 2 રાજા 4:21-22
- પુનર્નિયમ 5:12-14
- લૂક 13:15-16
- માથ્થી 21:1-3
શબ્દ માહિતી:
- Strong's: H860, H2543, H3222, H5895, H6167, H6501, H6505, H6506, H7409, G3678, G3688, G5268
ગર્વિષ્ઠ
વ્યાખ્યા:
“ગર્વિષ્ઠ” શબ્દનો અર્થ, મિજાજી અથવા ઘમંડી હોવું.
કોઈ કે જે “ગર્વિષ્ઠ” છે તે પોતા વિશે ખૂબજ ઊંચું વિચારે છે.
- મોટેભાગે આ શબ્દ અભિમાની વ્યક્તિને વર્ણવે છે કે જે દેવની વિરુદ્ધ પાપ કરવાનું ચાલુ રાખે છે.
- સામાન્ય રીતે ગર્વિષ્ઠ વ્યકિત પોતા વિશે આત્મપ્રશંસા કરે છે.
- ગર્વિષ્ઠ વ્યક્તિ મૂર્ખ છે, જ્ઞાની નથી.
- આ શબ્દનું ભાષાંતર “ગર્વ” અથવા “ઘમંડી” અથવા “સ્વ કેન્દ્રિત” તરીકે પણ કરી શકાય છે.
- “ગર્વિષ્ઠ આંખો” જેની રૂપકાત્મક અભિવ્યક્તિનું ભાષાંતર, “ગર્વથી જોવું” અથવા “બીજાઓ ઓછા મહત્વમાં છે તેમ જોવું” અથવા “ગર્વિષ્ઠ વ્યક્તિ કે જે બીજાઓ ઉપર નીચું જુએ છે” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: બડાઈ, અભિમાની)
બાઈબલની કલમો:
- 2 તિમોથી 3:1-4
- યશાયા 2:17-19
- નીતિવચન 16:17-18
- નીતિવચન 21:23-24
- ગીતશાસ્ત્ર 131:1
શબ્દ માહિતી:
- Strong's: H1361, H1363, H1364, H3093, H4791, H7312
ગશૂર, ગશૂરીઓ
વ્યાખ્યા:
દાઉદ રાજાના સમય દરમ્યાન, ગશૂર એ ગાલીલ સમુદ્ધની પૂર્વ બાજુ ઉપર ઈઝરાએલ અને અરામના દેશોની વચ્ચે આવેલું નાનું રાજ્ય હતું.
- દાઉદ રાજાએ, ગશૂરના રાજાની દીકરી માઅખાહની સાથે લગ્ન કર્યા, અને તેણીને, આબ્શાલોમ નામનો દીકરો જન્મ્યો.
- તેના સાવકા ભાઈ આમ્નોનનું ખૂન કર્યા પછી, આબ્શાલોમ લગભગ 140 કિલોમીટરના અંતરે, ઉત્તર પૂર્વે યરૂશાલેમથી ગશૂર ભાગી ગયો.
તે ત્યાં ત્રણ વર્ષ રહ્યો.
(આ પણ જુઓ: આબ્શાલોમ, આમ્નોન, અરામ, ગાલીલનો સમુદ્ર)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 2:23-24
- 2 શમુએલ 3:2-3
- પુનર્નિયમ 3:14
- યહોશુઆ 12:3-5
શબ્દ માહિતી:
ગાઝા
સત્યો:
બાઈબલના સમય દરમ્યાન, ગાઝા એ પલિસ્તીઓનું સમૃદ્ધ શહેર જે ભૂમધ્ય સમુદ્ધના કિનારા પર, લગભગ 38 કિલોમીટર આશ્દોદની દક્ષિણે આવેલું હતું.
તે પલિસ્તીઓના પાંચ મુખ્ય શહેરોમાંનું એક હતું.
- તેના સ્થાનને કારણે, ગાઝા એ મહત્વનું બંદર હતું, જ્યાં ઘણા અન્ય લોકોના જૂથો, અને દેશો વચ્ચે વ્યાપારી પ્રવૃત્તિઓ થતી હતી.
- આજે પણ, ગાઝા પટ્ટીમાં હજુ પણ ગાઝા શહેર એ મહત્વનું બંદર છે, જે જમીનનો પ્રદેશ ભૂમધ્ય સમુદ્ધના કિનારા સાથે ઈઝરાએલની ઉત્તર અને પૂર્વ સરહદ ઉપર, અને તેની દક્ષિણમાં મિસર આવેલું છે.
- ગાઝા એ શહેર હતું કે જ્યાં પલિસ્તીઓ સામસૂનને તેને બંદી બનાવ્યા પછી લઈ ગયા હતા.
- જયારે ફિલિપ સુવાર્તિક ગાઝાના રણના માર્ગમાં ચાલ્યો હતો, ત્યારે તે એક હબસી ખોજાને મળ્યો.
(આ પણ જુઓ: આશ્દોદ, ફિલિપ, પલિસ્તિઓ, ઇથોપિયા, ગાથ)
બાઈબલની કલમો:
- 1 રાજા 4:24-25
- પ્રેરિતો 8:26-28
- ઉત્પત્તિ 10:19-20
- યહોશુઆ 10:40-41
- ન્યાયાધીશો 6:3-4
શબ્દ માહિતી:
- Strong's: H5804, H5841, G1048
ગાથ, ગીત્તી, ગીત્તીઓ,
સત્યો:
ગાથ એ પલિસ્તીઓના પાંચ મુખ્ય શહેરોમાંનું એક હતું.
તે એક્રોનના ઉત્તરે અને આશ્દોદ અને આશ્ક્લોનની પૂર્વે આવેલું હતું.
- પલિસ્તીનો યોદ્ધો ગોલ્યાથ ગાથ શહેરથી હતો.
- શમુએલના સમય દરમ્યાન, પલિસ્તીઓ ઈઝરાએલથી દેવનો કરાર કોશ ચોરી ગયા, અને આશ્દોદના તેઓના મૂર્તિપૂજક મંદિરમાં તે લઈ ગયા.
પછી તે ત્યાંથી ગાથ, અને પછીથી એક્રોનમાં ખસેડવામાં આવ્યો હતો.
પણ દેવે તે શહેરોના લોકોને રોગ દ્વારા સજા કરી, જેથી ફરીથી તેઓએ તે ઈઝરાએલમાં પાછો મોકલ્યો.
- જયારે દાઉદ શાઉલ રાજાથી નાશી છૂટ્યો, ત્યારે તે ગાથમાં ભાગી ગયો અને તેની બે પત્નીઓ અને છસો માણસો કે જે તેના વફાદાર સાથીઓ હતા, તેઓ સાથે થોડો સમય ત્યાં રહ્યો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: આશ્દોદ, આશ્કેલોન, એક્રોન, ગાઝા, ગોલ્યાથ, પલિસ્તિઓ)
બાઈબલની કલમો:
- 1 રાજા 2:39-40
- 1 શમુએલ 5:8-9
- 2 કાળવૃતાંત 26:6-8
- યહોશુઆ 11:21-22
શબ્દ માહિતી:
ગાદ
સત્યો:
ગાદ એ યાકૂબના દીકરાઓમાંનો એક હતો.
યાકૂબનું નામ ઈઝરાયેલ પણ હતું.
- ગાદનું કુટુંબ એ ઈઝરાએલના બાર કુળોમાનું એક બન્યું.
- બાઈબલમાં બીજા એક માણસનું નામ ગાદ પ્રબોધક હતું કે જેણે દાઉદ રાજાને ઈઝરાએલી લોકોના વસ્તી ગણતરી કરવાના તેના પાપ માટે સામનો કર્યો.
- મૂળ લખાણમાં બઆલગાદ અને મિગ્દાલગાદ શહેરોના નામ બે શબ્દોમાં લખવામાં આવ્યા છે, અને અમુકવાર તેઓને “બઆલ ગાદ” અને “મિગ્દાલ ગાદ” તરીકે લખેલા છે.
(આ પણ જુઓ: વસ્તીગણતરી, પ્રબોધક, ઇસ્રાએલના બાર કુળ)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 5:18-19
- નિર્ગમન 1:1-5
- ઉત્પત્તિ 30:9-11
- યહોશુઆ 1:12-13
- યહોશુઆ 21:36-38
શબ્દ માહિતી:
- Strong's: H1410, H1425, G1045
ગાય, ગાયો, આખલો, આખલાઓ, વાછરડું, વાછરડા, ઢોર, વાછરડી, બળદ, બળદો,
વ્યાખ્યા:
“ગાય,” “આખલો,” “વાછરડી,” “બળદ,” અને “ઢોર” બધાંજ મોટા પ્રકારના, મંદબુદ્ધિના ચાર પગવાળા પ્રાણીને દર્શાવે છે કે જે ઘાસ ખાય છે.
- આ પ્રકારની નારીજાત પ્રાણીને “ગાય,” નરજાતને “આખલો”, અને તેઓના સંતાનને “વાછરડું” કહેવામાં આવે છે.
- બાઈબલમાં, ઢોર એ “શુદ્ધ” પ્રાણીઓ હતા, કે જે લોકો ખાઈ અને બલિદાન માટે વાપરી શકતા હતા.
તેઓ પ્રાથમિક રીતે તેઓને માંસ અને દૂધ માટે ઉછેરતા હતાં.
“વાછરડી” એ એક જુવાન નારી ગાય છે કે જેણે હજુ સુધી વાછરડાને જન્મ આપ્યો નથી.
“બળદ” એક પ્રકારનું પશુ છે કે જે વિશિષ્ઠ રીતે કૃષિવિષયક કામ માટે તાલીમ પામેલું હોય છે.
આ શબ્દનું બહુવચન “બળદો” થાય છે.
સામાન્ય રીતે બળદો નર અને ખસી કરેલા હોય છે.
- સમગ્ર બાઈબલમાં, બળદોને ઝૂંસરી સાથે બાંધી ગાડું અથવા હળ ખેંચવાના પ્રાણીઓ તરીકે દર્શાવામાં આવ્યા હતા.
- એક સાથે ઝૂંસરી નીચે બળદોનું કામ કરવું, એવા બાઈબલમાંના સામાન્ય શબ્દસમૂહનો અર્થ, “ઝૂંસરી નીચે રહીને કઠીન કામ અને શ્રમ કરવું” એમ થાય છે.
- આખલો પણ એક પ્રકારનો નર પશુ છે, પણ તેને ખસી કરેલી હોતી નથી અને કામ કરતાં પ્રાણી તરીકે તાલીમ આપેલી હોતી નથી.
(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું
(આ પણ જુઓ: ઝૂંસરી)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 15:9-11
- નિર્ગમન 24:5-6
- ગણના 19:1-2
- પુનર્નિયમ 21:3-4
- 1 શમુએલ 1:24-25
- 1 શમુએલ 15:1-3
- 1 શમુએલ 16:2-3
- 1 રાજા 1:9-10
- 2 કાળવૃતાંત 11:13-15
- 2 કાળવૃતાંત 15:10-11
- માથ્થી 22:4
- લૂક 13:15-16
- લૂક 14:4-6
- હિબ્રૂ 9:13-15
શબ્દ માહિતી:
- Strong's: H47, H441, H504, H929, H1165, H1241, H1241, H1241, H4399, H4735, H4806, H5695, H5697, H5697, H6499, H6499, H6510, H6510, H6629, H7214, H7716, H7794, H7794, H7921, H8377, H8377, H8450, H8450, G1016, G1151, G2353, G2934, G3447, G3448, G4165, G5022, G5022
ગાય, ગાયો, આખલો, આખલાઓ, વાછરડું, વાછરડા, ઢોર, વાછરડી, બળદ, બળદો,
વ્યાખ્યા:
“ગાય,” “આખલો,” “વાછરડી,” “બળદ,” અને “ઢોર” બધાંજ મોટા પ્રકારના, મંદબુદ્ધિના ચાર પગવાળા પ્રાણીને દર્શાવે છે કે જે ઘાસ ખાય છે.
- આ પ્રકારની નારીજાત પ્રાણીને “ગાય,” નરજાતને “આખલો”, અને તેઓના સંતાનને “વાછરડું” કહેવામાં આવે છે.
- બાઈબલમાં, ઢોર એ “શુદ્ધ” પ્રાણીઓ હતા, કે જે લોકો ખાઈ અને બલિદાન માટે વાપરી શકતા હતા.
તેઓ પ્રાથમિક રીતે તેઓને માંસ અને દૂધ માટે ઉછેરતા હતાં.
“વાછરડી” એ એક જુવાન નારી ગાય છે કે જેણે હજુ સુધી વાછરડાને જન્મ આપ્યો નથી.
“બળદ” એક પ્રકારનું પશુ છે કે જે વિશિષ્ઠ રીતે કૃષિવિષયક કામ માટે તાલીમ પામેલું હોય છે.
આ શબ્દનું બહુવચન “બળદો” થાય છે.
સામાન્ય રીતે બળદો નર અને ખસી કરેલા હોય છે.
- સમગ્ર બાઈબલમાં, બળદોને ઝૂંસરી સાથે બાંધી ગાડું અથવા હળ ખેંચવાના પ્રાણીઓ તરીકે દર્શાવામાં આવ્યા હતા.
- એક સાથે ઝૂંસરી નીચે બળદોનું કામ કરવું, એવા બાઈબલમાંના સામાન્ય શબ્દસમૂહનો અર્થ, “ઝૂંસરી નીચે રહીને કઠીન કામ અને શ્રમ કરવું” એમ થાય છે.
- આખલો પણ એક પ્રકારનો નર પશુ છે, પણ તેને ખસી કરેલી હોતી નથી અને કામ કરતાં પ્રાણી તરીકે તાલીમ આપેલી હોતી નથી.
(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું
(આ પણ જુઓ: ઝૂંસરી)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 15:9-11
- નિર્ગમન 24:5-6
- ગણના 19:1-2
- પુનર્નિયમ 21:3-4
- 1 શમુએલ 1:24-25
- 1 શમુએલ 15:1-3
- 1 શમુએલ 16:2-3
- 1 રાજા 1:9-10
- 2 કાળવૃતાંત 11:13-15
- 2 કાળવૃતાંત 15:10-11
- માથ્થી 22:4
- લૂક 13:15-16
- લૂક 14:4-6
- હિબ્રૂ 9:13-15
શબ્દ માહિતી:
- Strong's: H47, H441, H504, H929, H1165, H1241, H1241, H1241, H4399, H4735, H4806, H5695, H5697, H5697, H6499, H6499, H6510, H6510, H6629, H7214, H7716, H7794, H7794, H7921, H8377, H8377, H8450, H8450, G1016, G1151, G2353, G2934, G3447, G3448, G4165, G5022, G5022
ગાલીલ, ગાલીલી, ગાલીલીઓ,
સત્યો:
ગાલીલ એ સમરૂનની પાસે ઉત્તરમાં આવેલો, ઈઝરાએલનો સૌથી ઉત્તરનો પ્રદેશ હતો.
“ગાલીલી” એ વ્યક્તિ હતો કે જે ગાલીલમાં રહેતો હતો અથવા જે ગાલીલમાં સ્થાયી થયેલો હતો.
- નવા કરારના સમય દરમ્યાન, ગાલીલ, સમરૂન, અને યહૂદિયા ઈઝરાએલના મુખ્ય ત્રણ પ્રાંતો હતા.
- ગાલીલ એ પૂર્વથી મોટું સરોવર જે “ગાલીલનો સમુદ્ધ” કહેવાય છે તેની સરહદ પર આવેલું છે.
- ઈસુ ગાલીલના નાઝરેથ શહેરમાં મોટો થયો અને રહ્યો.
- ઈસુના મોટાભાગના ચમત્કારો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓએ ગાલીલના પ્રદેશમાં સ્થાન લીધું હતું.
(આ પણ જુઓ: નાસરેથ, સમરૂન, ગાલીલનો સમુદ્ર)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 9:31-32
- પ્રેરિતો 13:30-31
- યોહાન 2:1-2
- યોહાન 4:1-3
- લૂક 13:1-3
- માર્ક 3:7-8
- માથ્થી 2:22-23
- માથ્થી 3:13-15
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- __21:10__યશાયા પ્રબોધકે જણાવ્યું કે મસીહા _ગાલીલ_માં રહેશે, અને હ્રદયભંગિત લોકોને આશ્વાસન આપશે, અને બંદીઓને સ્વતંત્રતા જાહેર કરશે અને કેદીઓને મુક્ત કરશે.
- __26:1__શેતાનના પરીક્ષણોથી જીત પ્રાપ્ત કર્યા પછી, ઈસુ પવિત્ર આત્માના સામર્થ્યમાં _ગાલીલ _ના પ્રદેશમાં જ્યાં તે રહેતો હતો, ત્યાં પાછો આવ્યો.
- __39:6__છેવટે, લોકોએ કહ્યું ,કે અમે જાણીએ છીએ કે તું ઈસુ સાથે હતો, કારણકે તમે બંને ગાલીલથી છો.
- __41:6__પછી દૂતે સ્ત્રીને કહ્યું, “જા અને શિષ્યોને કહે, ‘ઈસુ મૃત્યુમાંથી ઉઠ્યો છે અને તે તમારી અગાઉ ગાલીલ જશે.’”
શબ્દ માહિતી:
- Strong's: H1551, G1056, G1057
ગિર્ગાશીઓ
સત્યો:
ગિર્ગાશીઓ એ કનાનની ભૂમિમાં ગાલીલના સમુદ્ધની નજીક રહેતા લોકોનું જૂથ હતું.
- તેઓ કનાનના દીકરા હામના વંશજો હતા, અને જેઓ ઘણા લોકોના જૂથોમાંના એક હતા કે, જેઓ કનાનીઓ તરીકે પણ જાણીતા હતા.
- દેવે ઈઝરાએલીઓને વચન આપ્યું કે તે ગિર્ગાશીઓ અને કનાની લોકોના જૂથોને હરાવવા તેઓને મદદ કરશે.
- બાકીના કનાની લોકોની જેમ, ગિર્ગાશીઓએ જૂઠા દેવોની પૂજા કરતા અને તે પૂજાના ભાગરૂપે અનૈતિક બાબતો કરતા.
(આ પણ જુઓ: કનાન , હામ, નૂહ)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 1:13-16
- પુનર્નિયમ 7:1
- ઉત્પત્તિ 10:15-18
- યહોશુઆ 3:9-11
- યહોશુઆ 24:11-12
શબ્દ માહિતી:
ગિલ્ગાલ
સત્યો:
ગિલ્ગાલ શહેર યરીખોની ઉત્તરે આવેલું હતું, અને પ્રથમ સ્થળ હતું કે જ્યાં ઈઝરાએલીઓ કનાન દેશમાં પ્રવેશ કરવા યર્દન નદી પાર કર્યા બાદ છાવણી કરી.
- યહોશુઆએ ગિલ્ગાલ પર યર્દન નદીના સૂકા પટ પરથી લેવામાં આવેલા બાર પથ્થરો કે માત્ર તેઓએ નદી ઓળંગી હતી પછી સ્થાપિત કર્યા.
- ગિલ્ગાલ એ શહેર હતું કે જ્યારે એલિયાને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યો હતો, ત્યારે એલિયા અને એલિશા યર્દન નદી પાર ઉતરીને તેની (ગિલ્ગાલ) બહાર આવી રહ્યા હતા.
જૂના કરારમાં ત્યાં બીજા ઘણા સ્થાનોને “ગિલ્ગાલ” કહેવામાં આવતા હતા.
“ગિલ્ગાલ” શબ્દનો અર્થ, “પથ્થરોનું વર્તુળ,” કદાચ જ્યાં ગોળાકાર વેદી બાંધવામાં આવી હતી તે સ્થળને દર્શાવે છે.
- જૂના કરારમાં, આ નામ લગભગ હંમેશા “ગિલ્ગાલ” તરીકે આવે છે.
તે સૂચવે છે કે તે ચોક્કસ સ્થળ નહોતું, પણ તેના બદલે અમુક જગ્યાનું વર્ણન કરવામાં આવ્યું હતું.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: એલિયા, , એલિશા, યરીખો, યર્દન નદી)
બાઈબલની કલમો:
- 1 શમુએલ 7:15-17
- 2 રાજા 2:1-2
- હોશિયા 4:15-16
- ન્યાયાધીશો 2:1-2
શબ્દ માહિતી:
ગુસ્સો,(ક્રોધ), ક્રોધે ભરાયેલ, ગુસ્સે થયેલું
વ્યાખ્યા:
“ગુસ્સે થવું” અથવા “ગુસ્સો આવવો” એનો અર્થ એ થાય છે કે અતિશય નાખૂશ કે ગુસ્સે થયેલું, કશાક વિશે અને કોઈકની વિરુદ્ધ ચિડાયેલું કે નારાજ થયેલ.
જયારે લોકો ગુસ્સે થાય, ત્યારે તેઓ સતત પાપ કરનારા અને સ્વાર્થી જતા હોય છે, પણ ક્યારેક તેમનો ન્યાયી ગુસ્સો અન્યાય અથવા જુલમ વિરુદ્ધ હોય છે.
- દેવનો ગુસ્સો (તેને “કોપ” પણ કહેવામાં આવે છે) જે પાપ વિશે સખત નાખુશી દર્શાવે છે.
“ગુસ્સાથી ઉશ્કેરાવું” એ શબ્દનો અર્થ “ગુસ્સે કરાવવો” થાય છે.
(જુઓ: કોપ)
બાઈબલની કલમો:
- એફેસી 4:25-27
- નિર્ગમન 2:9-11
- યશાયા 57:16-17
- યોહાન 6:52 -53
- માર્ક 10:13-14
- માથ્થી 26:6-9
- ગીતશાસ્ત્ર 18:7-8
શબ્દ માહિતી:
- Strong's: H599, H639, H1149, H2152, H2194, H2195, H2198, H2534, H2734, H2787, H3179, H3707, H3708, H3824, H4751, H4843, H5674, H5678, H6225, H7107, H7110, H7266, H7307, G23, G1758, G2371, G2372, G3164, G3709, G3710, G3711, G3947, G3949, G5520
ગૌરવ, તેજસ્વી, મહિમા કરવો, મહિમાવાન કરે છે
વ્યાખ્યા:
સામાન્ય રીતે “ગૌરવ’ શબ્દનો અર્થ, સન્માન, શોભા, અને અત્યંત મહાનતા છે.
કંઈપણ કે જેને ગૌરવ હોય છે, તે “મહિમાવાન” કહેવાય છે.
- અમુક વખતે “ગૌરવ” એ કંઈક મહાન મૂલ્ય અને મહત્વ દર્શાવે છે.
બીજા સંદર્ભમાં તે વૈભવ, તેજ, અથવા ન્યાયને વિદિત કરે છે.
- ઉદાહરણ તરીકે, “ભરવાડોનું ગૌરવ” અભિવ્યક્તિ કૂણું ગૌચર કે જ્યાં તેઓના ઘેટાંને ખાવા માટે પુષ્કળ ઘાસ હોય છે, તે દર્શાવે છે.
- સામાન્ય રીતે ગૌરવ (શબ્દ) દેવનું વર્ણન કરવા માટે વપરાયો છે કે, જે દુનિયામાં કોઈપણ વ્યક્તિ અથવા કંઈપણ વસ્તુ કરતાં વધુ તેજસ્વી હોય છે. તેના ચરિત્રમાં સર્વસ્વ તેનું ગૌરવ અને તેનો વૈભવ પ્રગટ કરે છે.
- “(પોતા)માં મહિમા કરવો” અભિવ્યક્તિનો અર્થ, પોતા વિશે બડાઈ મારવી અથવા કોઈક બાબતમાં ગર્વ લેવું. “મહિમાવાન કરવું” શબ્દનો અર્થ, કોઈ બાબત અથવા વ્યક્તિ કેટલી મહાન અને મહત્વના છે, તે દર્શાવવું અથવા કહેવું, તેનો શાબ્દિક અર્થ, “તેને મહિમા આપવો.”
- દેવે જે અદભૂત બાબતો કરી છે તે વિશે કહીને લોકો દેવને મહિમાવાન કરી શકે છે.
- તેઓ એવું જીવન જીવે કે જેથી તેઓ દેવને માનમહિમા આપી અને તેઓ દર્શાવી શકે છે કે તે કેટલો મહાન અને ભવ્ય છે.
- જયારે બાઈબલ કહે છે કે દેવ પોતાને મહિમાવાન કરે છે, ત્યારે તેનો અર્થ કે તે મોટેભાગે ચમત્કારો દ્વારા તેના લોકો આગળ તેની આશ્ચર્યકારક મહાનતા પ્રગટ કરે છે.
- ઈશ્વરપિતા દેવપુત્રને લોકોની આગળ પુત્રની સંપૂર્ણતા, વૈભવ, અને તેજ પ્રગટ કરી તેને મહિમાવાન કરશે.
- દરેક જે ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે, તેને તેની (ખ્રિસ્ત) સાથે મહિમાવાન કરવામાં આવશે.
- જયારે તેઓને ફરીથી ઉઠાડવામાં આવશે ત્યારે તેઓ તેના ગૌરવનું પ્રતિબિંબ પ્રગટ કરવા તથા તેની કૃપા સમગ્ર ઉત્પત્તિને પ્રદર્શિત કરશે.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને, “ગૌરવ” શબ્દનું વિવિધ રીતે ભાષાંતર કરવામાં આવે તો, “ભવ્યતા” અથવા “તેજ” અથવા “વૈભવ” અથવા “શ્રેષ્ઠ મહાનતા” અથવા “અત્યંત કિંમતી” જેવા શબ્દનો સમાવેશ કરી શકાય છે.
- “તેજસ્વી” શબ્દનું ભાષાંતર, “સંપૂર્ણ મહિમા” અથવા “અત્યંત મૂલ્યવાન” અથવા “તેજસ્વી રીતે ચમકતું” અથવા “શ્રેષ્ઠ રીતે જાજરમાન” તરીકે કરી શકાય છે.
- “દેવને મહિમા આપો” અભિવ્યક્તિનું ભાષાંતર, “દેવની મહાનતાનું સન્માન કરો” અથવા “તેના વૈભવને કારણે તેના વખાણ કરો” અથવા “અન્યોને કહો કે દેવ કેટલો મહાન છે,” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
- “(તે)માં મહિમા કરવો” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “વખાણ” અથવા “તેમાં ગર્વ લેવું” અથવા “વિશે બડાઈ કરવી” અથવા “તેમાં આનંદ લેવો” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.
- “મહિમાવાન કરવું” નું ભાષાંતર, “મહિમા આપવો” અથવા “મહિમા લાવવો” અથવા “મહાન દેખાડવો,” તરીકે પણ કરી શકાય છે.
- “દેવને મહિમાવાન કરવો” શબ્દસમૂહનું ભાષાંતર, “દેવની પ્રશંસા કરવી” અથવા “દેવની મહાનતા વિશે વાત કરવી” અથવા “દેખાડવું કે દેવ કેટલો મહાન છે” અથવા “(તેની આજ્ઞા પાળવા દ્વારા) દેવને માન આપવું” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.
- “મહિમાવાન હોવું” શબ્દનું ભાષાંતર, “ખૂબ જ મહાન હોવાનું બતાવવું” અથવા “પ્રશંસા હોવી” અથવા” અથવા “ઊંચું મનાવવું” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: ઊંચુ કરવું, આજ્ઞા પાળવી, સ્તુતિ કરવી)
બાઈબલની કલમો:
- નિર્ગમન 24:16-18
- ગણના 14:9-10
- યશાયા 35:1-2
- લૂક 18:42-43
- લૂક 2:8-9
- યોહાન 12:27-29
- પ્રેરિતો 3:13-14
- પ્રેરિતો 7:1-3
- રોમન 8:16-17
- 1 કરિંથી 6:19-20
- ફિલિપ્પી 2:14-16
- ફિલિપ્પી 4:18-20
- કલોસ્સી 3:1-4
- 1 થેસ્સલોનિકી 2:5-6
- યાકૂબ 2:1-4
- 1 પિતર 4:15-16
- પ્રકટીકરણ 15:3-4
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 23:7 એકાએક, આકાશો દૂતો દેવની પ્રશંસા કરતાં ભરાઈ ગયા હતા, કહેતાં, સ્વર્ગમાં દેવને “મહિમા થાઓ અને પૃથ્વી પર જે લોકો પર તેની કૃપા છે તેઓને શાંતિ થાઓ.
- 25:6 પછી શેતાને ઈસુને જગતના બધા રાજ્યો અને તેઓનો મહિમા દેખાળ્યો અને કહ્યું, જો તું નમીને મારી પૂજા કરીશ તો આ સઘળું હું તને આપીશ.
- 37:1 જયારે ઈસુએ આ સમાચાર સાંભળ્યા, ત્યારે તેણે જણાવ્યું કે, આ બીમારીનો અંત મૃત્યુ નહિ થાય, પણ તેનાથી દેવનો મહિમા થશે.
- 37:8 ઈસુએ ઉત્તર આપ્યો, કે શું મેં તમને નહોતું કહ્યું કે જો તમે મારામાં વિશ્વાસ કરશો તો તમે દેવનો મહિમા જોશો”?
શબ્દ માહિતી:
- Strong's: H117, H142, H155, H215, H1342, H1921, H1922, H1925, H1926, H1935, H1984, H2892, H3367, H3513, H3519, H3520, H6286, H6643, H7623, H8597, G1391, G1392, G1740, G1741, G2620, G2744, G2745, G2746, G2755, G2811, G4888
ઘઉં
વ્યાખ્યા:
ઘઉં એક પ્રકારનું અનાજ છે જે લોકો ખોરાક માટે ઉગાડે છે.
જ્યારે બાઇબલ "અનાજ" અથવા "બીજ" નો ઉલ્લેખ કરે છે ત્યારે તે ઘઉંના અનાજ અથવા બીજ વિશે વાત કરે છે.
- ઘઉંનાં બીજ અથવા અનાજ ઘઉંના છોડની ટોચ પર ઉગે છે.
- ઘઉંનીકાપણીપછી, અનાજને મસળવા દ્વારા છોડના કણસાલાથી અલગ કરવામાં આવે છે.
ઘઉંના છોડની દાંડીને "પરાળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ઘણીવાર પ્રાણીઓ પર સૂવા માટે જમીન પર મૂકવામાં આવે છે.
ખેડ્યા પછી, અનાજના બીજની આસપાસના ફોતરાંને અનાજમાંથી ઊપણવા દ્વારા દૂર કરવામાં આવે છે.
- લોકો ઘઉંના અનાજને દળીને લોટ બનાવે છે અને રોટલી બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે.
(આ પણ જુઓ: જવ, ભૂસું, અનાજ,બીજ, ઝુડવું, ઊપણવું)
બાઇબલ સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 27:36-38
- લેવીય 34:21-22
- યોહાન 12:23-24
- લૂક 3:17
- માથ્થી 3:10-12
- માથ્થી 13:24-26
શબ્દ માહિતી:
- Strong's: H1250, H2406, G4621
ઘઉં
વ્યાખ્યા:
ઘઉં એક પ્રકારનું અનાજ છે જે લોકો ખોરાક માટે ઉગાડે છે.
જ્યારે બાઇબલ "અનાજ" અથવા "બીજ" નો ઉલ્લેખ કરે છે ત્યારે તે ઘઉંના અનાજ અથવા બીજ વિશે વાત કરે છે.
- ઘઉંનાં બીજ અથવા અનાજ ઘઉંના છોડની ટોચ પર ઉગે છે.
- ઘઉંનીકાપણીપછી, અનાજને મસળવા દ્વારા છોડના કણસાલાથી અલગ કરવામાં આવે છે.
ઘઉંના છોડની દાંડીને "પરાળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ઘણીવાર પ્રાણીઓ પર સૂવા માટે જમીન પર મૂકવામાં આવે છે.
ખેડ્યા પછી, અનાજના બીજની આસપાસના ફોતરાંને અનાજમાંથી ઊપણવા દ્વારા દૂર કરવામાં આવે છે.
- લોકો ઘઉંના અનાજને દળીને લોટ બનાવે છે અને રોટલી બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે.
(આ પણ જુઓ: જવ, ભૂસું, અનાજ,બીજ, ઝુડવું, ઊપણવું)
બાઇબલ સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 27:36-38
- લેવીય 34:21-22
- યોહાન 12:23-24
- લૂક 3:17
- માથ્થી 3:10-12
- માથ્થી 13:24-26
શબ્દ માહિતી:
- Strong's: H1250, H2406, G4621
ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો
વ્યાખ્યા:
બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.
- ક્યારેક તેનો અર્થ “ઘરના,” લોકો કે જેઓ એક ઘરમાં એકસાથે રહે છે તે દર્શાવે છે.
- મોટેભાગે “ઘર” વ્યક્તિના વંશજો અથવા સંબંધીઓને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, “દાઉદનું ઘર(કુટુંબ)” શબ્દસમૂહ, દાઉદ રાજાના બધા વંશજોને દર્શાવે છે.
- “દેવનું ઘર” અને “યહોવાનું ઘર” શબ્દો, મુલાકાત મંડપ અથવા મંદિરને દર્શાવે છે.
સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.
- હિબ્રૂ 3 માં, “દેવના ઘર” ને રૂપક અલંકારમાં, દેવના લોકો અથવા, વધારે સામાન્ય રીતે, દેવને લગતી તમામ બાબત તરીકે દર્શાવવા વાપરવામાં આવી છે.
- સામાન્ય રીતે “ઈઝરાએલનું ઘર” શબ્દસમૂહ, ઈઝરાએલના સમગ્ર દેશ અથવા વધુ નિશ્ચિત રીતે ઈઝરાએલના ઉત્તર રાજ્યના કુળોને દર્શાવી શકાય છે.
ભાષાંતરના સૂચનો
- સંદર્ભ પર આધાર રાખીને, “ઘર”નું ભાષાંતર, “ઘરના” અથવા “લોકો” અથવા “કુટુંબ” અથવા “વંશજો” અથવા “મંદિર” અથવા “રહેવાની જગ્યા” તરીકે કરી શકાય છે.
- “દાઉદનું ઘર” શબ્દસમૂહનું ભાષાંતર, “દાઉદનું કુળ” અથવા “દાઉદનું કુટુંબ” અથવા “દાઉદના વંશજો” તરીકે કરી શકાય છે. આ પ્રકારની અભિવ્યક્તિઓનું ભાષાંતર એજ (સમાન) રીતે કરી શકાય છે.
- “ઈઝરાએલનું ઘર” શબ્દનું વિવિધ ભાષાંતરમાં, “ઈઝરાએલના લોકો” અથવા “ઈઝરાએલના વંશજો” અથવા “ઈઝરાએલીઓ” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
- “યહોવાનું ઘર” શબ્દસમૂહનું ભાષાંતર, “યહોવાનું મંદિર” અથવા “સ્થળ કે જ્યાં યહોવાનું ભજન થાય છે” અથવા “સ્થળ કે જ્યાં યહોવા તેના લોકોને મળે છે” અથવા “જ્યાં યહોવા રહે છે” તરીકે કરી શકાય છે.
- “દેવના ઘરનું” ભાષાંતર સમાન રીતે કરી શકાય છે.
(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 7:41-42
- પ્રેરિતો 7:47-50
- ઉત્પત્તિ 39:3-4
- ઉત્પત્તિ 41:39-41
- લૂક 8:38-39
- માથ્થી 10:5-7
- માથ્થી 15:24-26
શબ્દ માહિતી:
- Strong's: H1004, H1005, G3609, G3613, G3614, G3624
ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો
વ્યાખ્યા:
બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.
- ક્યારેક તેનો અર્થ “ઘરના,” લોકો કે જેઓ એક ઘરમાં એકસાથે રહે છે તે દર્શાવે છે.
- મોટેભાગે “ઘર” વ્યક્તિના વંશજો અથવા સંબંધીઓને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, “દાઉદનું ઘર(કુટુંબ)” શબ્દસમૂહ, દાઉદ રાજાના બધા વંશજોને દર્શાવે છે.
- “દેવનું ઘર” અને “યહોવાનું ઘર” શબ્દો, મુલાકાત મંડપ અથવા મંદિરને દર્શાવે છે.
સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.
- હિબ્રૂ 3 માં, “દેવના ઘર” ને રૂપક અલંકારમાં, દેવના લોકો અથવા, વધારે સામાન્ય રીતે, દેવને લગતી તમામ બાબત તરીકે દર્શાવવા વાપરવામાં આવી છે.
- સામાન્ય રીતે “ઈઝરાએલનું ઘર” શબ્દસમૂહ, ઈઝરાએલના સમગ્ર દેશ અથવા વધુ નિશ્ચિત રીતે ઈઝરાએલના ઉત્તર રાજ્યના કુળોને દર્શાવી શકાય છે.
ભાષાંતરના સૂચનો
- સંદર્ભ પર આધાર રાખીને, “ઘર”નું ભાષાંતર, “ઘરના” અથવા “લોકો” અથવા “કુટુંબ” અથવા “વંશજો” અથવા “મંદિર” અથવા “રહેવાની જગ્યા” તરીકે કરી શકાય છે.
- “દાઉદનું ઘર” શબ્દસમૂહનું ભાષાંતર, “દાઉદનું કુળ” અથવા “દાઉદનું કુટુંબ” અથવા “દાઉદના વંશજો” તરીકે કરી શકાય છે. આ પ્રકારની અભિવ્યક્તિઓનું ભાષાંતર એજ (સમાન) રીતે કરી શકાય છે.
- “ઈઝરાએલનું ઘર” શબ્દનું વિવિધ ભાષાંતરમાં, “ઈઝરાએલના લોકો” અથવા “ઈઝરાએલના વંશજો” અથવા “ઈઝરાએલીઓ” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
- “યહોવાનું ઘર” શબ્દસમૂહનું ભાષાંતર, “યહોવાનું મંદિર” અથવા “સ્થળ કે જ્યાં યહોવાનું ભજન થાય છે” અથવા “સ્થળ કે જ્યાં યહોવા તેના લોકોને મળે છે” અથવા “જ્યાં યહોવા રહે છે” તરીકે કરી શકાય છે.
- “દેવના ઘરનું” ભાષાંતર સમાન રીતે કરી શકાય છે.
(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 7:41-42
- પ્રેરિતો 7:47-50
- ઉત્પત્તિ 39:3-4
- ઉત્પત્તિ 41:39-41
- લૂક 8:38-39
- માથ્થી 10:5-7
- માથ્થી 15:24-26
શબ્દ માહિતી:
- Strong's: H1004, H1005, G3609, G3613, G3614, G3624
ઘરના, ઘરનાઓ (પરિવાર)
વ્યાખ્યા:
“ઘરના” શબ્દ બધા લોકો કુટુંબના સભ્યો અને તેઓના ચાકરો સહિત કે જેઓ ઘરમાં એકસાથે રહે છે, તેઓને દર્શાવે છે.
- ઘરનો વહીવટ કરવો જેમાં નોકરોને માર્ગદર્શન આપવું, અને બધી સંપત્તિની પણ સંભાળ રાખવી તેનો સમાવેશ થાય છે.
- ક્યારેક “ઘરના” રૂપકાત્મક રીતે કોઈના સમગ્ર કુટુંબ-રેખા, ખાસ કરીને તેના વંશજોને દર્શાવી શકાય છે.
(આ પણ જુઓ: ઘર)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 7:9-10
- ગલાતી 6:9-10
- ઉત્પત્તિ 7:1-3
- ઉત્પત્તિ 34:18-19
- યોહાન 4:53-54
- માથ્થી 10:24-25
- માથ્થી 10:34-36
- ફિલિપ્પી 4:21-23
શબ્દ માહિતી:
- Strong's: H1004, H5657, G2322, G3609, G3614, G3615, G3616, G3623, G3624
ઘરના, ઘરનાઓ (પરિવાર)
વ્યાખ્યા:
“ઘરના” શબ્દ બધા લોકો કુટુંબના સભ્યો અને તેઓના ચાકરો સહિત કે જેઓ ઘરમાં એકસાથે રહે છે, તેઓને દર્શાવે છે.
- ઘરનો વહીવટ કરવો જેમાં નોકરોને માર્ગદર્શન આપવું, અને બધી સંપત્તિની પણ સંભાળ રાખવી તેનો સમાવેશ થાય છે.
- ક્યારેક “ઘરના” રૂપકાત્મક રીતે કોઈના સમગ્ર કુટુંબ-રેખા, ખાસ કરીને તેના વંશજોને દર્શાવી શકાય છે.
(આ પણ જુઓ: ઘર)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 7:9-10
- ગલાતી 6:9-10
- ઉત્પત્તિ 7:1-3
- ઉત્પત્તિ 34:18-19
- યોહાન 4:53-54
- માથ્થી 10:24-25
- માથ્થી 10:34-36
- ફિલિપ્પી 4:21-23
શબ્દ માહિતી:
- Strong's: H1004, H5657, G2322, G3609, G3614, G3615, G3616, G3623, G3624
ઘેટાં બકરાં, ટોળું, ટોળું, ઢોરઢાંક
વ્યાખ્યા:
બાઈબલમાં, “ટોળું” ઘેટાનો અથવા બકરાનો સમુદાય, અને “જાનવરનું ટોળું” પશુઓ, જેમાં બળદો, અથવા ભૂંડોના સમુદાયનો પણ સમાવેશ થાય છે.
- કદાચ અલગ ભાષાઓમાં પશુઓ અથવા પક્ષીઓના જૂથોના માટે અલગ નામ આપવામાં આવ્યા હોઈ શકે.
- ઉદાહરણ તરીકે, અંગ્રેજી શબ્દ, “ઢોર ઢાંક”ને ઘેટાં અથવા બકરાં માટે પણ વાપરવામાં આવ્યો છે, પણ બાઈબલના લખાણમાં આ રીતે વાપરવામાં આવ્યા નથી.
- અંગ્રેજીમાં “ટોળું” શબ્દ, પક્ષીઓના જૂથ માટે પણ વાપરવામાં આવ્યો છે, પણ તે ભૂંડો, બળદો, અથવા પશુ માટે વાપરવામાં આવ્યો નથી.
- ધ્યાનમાં રાખો કે જૂથોના પ્રાણીઓ માટે તમારી ભાષામાં કયા શબ્દો વાપરવામાં આવ્યા છે.
- જયારે કલમોમાં “ટોળું અને ઢોર-ઢાંક” આવે ત્યારે જો લક્ષ ભાષામાં અલગ પ્રકારના પ્રાણીના જૂથોને માટે અલગ શબ્દો ન હોય તો, તેમાં ઉદાહરણ તરીકે “ઘેટાનું ટોળું” અથવા “પશુનું ટોળું” એવા શબ્દો ઉમેરી શકાય તો સારું રહેશે.
(આ પણ જુઓ: બકરી, ગાય, ભૂંડ, ઘેટી, )
બાઈબલની કલમો:
- 1 રાજા 10:28-29
- 2 કાળવૃતાંત 17:10-11
- પુનર્નિયમ 14:22-23
- લૂક 2:8-9
- માથ્થી 8:30-32
- માથ્થી 26:30-32
શબ્દ માહિતી:
- Strong's: H951, H1241, H2835, H4029, H4735, H4830, H5349, H5739, H6251, H6629, H7399, H7462, G34, G4167, G4168
ઘેટાંપાળક, ઘેટાંપાળકો, માર્ગદર્શન આપ્યું, ઉત્તેજન આપે છે
વ્યાખ્યા:
ઘેટાંપાળક એ વ્યક્તિ છે કે જે ઘેટાંની સંભાળ રાખે છે.
“ઘેટાંપાળક” ક્રિયાપદનો અર્થ ઘેટાનું રક્ષણ કરવું અને તેમને ખોરાક અને પાણી પૂરું પાડવું.
ઘેટાંપાળક ઘેટાં પર ધ્યાન આપે છે, જ્યાં સારો ખોરાક અને પાણી મળે છે તેવી જગ્યાએ દોરી લઇ જાય છે.
ઘેટાંપાળક ઘેટાંને ખોવાઈ જતું અટકાવે છે અને તેમનું જંગલી પ્રાણીઓથી રક્ષણ કરે છે.
- લોકોની આત્મિક જરૂરિયાતોની સંભાળ રાખવી તે શબ્દોનો ઉલ્લેખ વારંવાર બાઈબલમાં રૂપકાત્મક રીતે કરવામાં આવ્યા છે
આ બાબત ઈશ્વરે બાઈબલમાં તેમને શું કહ્યું છે તે એમને શીખવવું અને જે રીતે તેમણે જીવવું જોઈએ તે રીતે તેમને દોરવા તેનો સમાવેશ કરે છે.
- જુના કરારમાં, ઈશ્વરને તેઓના લોકના “ઘેટાંપાળક” કહેવામાં આવ્યાં હતાં કારણ કે તેઓ તેમની દરેક જરૂરિયાતોની સંભાળ રાખતાં હતાં અને તેમનું રક્ષણ કરતાં હતાં. તેઓ તેમને દોરતાં અને માર્ગદર્શન આપતાં હતાં. (જુઓ: રૂપક
- મુસા ઈઝરાયેલીઓ માટે ઘેટાંપાળક હતો તેણે તેમને આત્મિક રીતે તેમની યહોવાની આરાધનામાં માર્ગદર્શન આપ્યું અને તેમની કનાન સુધીની મુસાફરીમાં શારીરિક રીતે દોરવણી આપી.
- નવા કરારમાં, ઈસુએ પોતાને “ઉત્તમ ઘેટાંપાળક” કહ્યા.
પાઉલ પ્રેરિતે પણ તેમનો ઉલ્લેખ મંડળીના “મહાન ઘેટાંપાળક” તરીકે કર્યો.
- નવા કરારમાં, એવી વ્યક્તિ જે બીજા વિશ્વાસીઓનો આત્મિક આગેવાન હતો તેનો ઉલ્લેખ કરવા માટે પણ “ઘેટાંપાળક” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જે શબ્દ પરથી “પાળક” શબ્દનો અનુવાદ થયો છે તે જ શબ્દ પરથી “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે.
વડીલો અને દેખરેખ રાખનારાઓ પણ ઘેટાંપાળક કહેવાતા.
અનુવાદ માટેના સૂચનો
- જ્યારે શાબ્દિક રીતે કરવાનું હોય ત્યારે “ઘેટાંપાળક” ના કાર્યનું અનુવાદ “ઘેટાંની સંભાળ લેવી” અથવા “ઘેટાંનું ધ્યાન રાખવું” એમ કરી શકાય.
- “ઘેટાંપાળક” તરીકે વ્યક્તિનું અનુવાદ “વ્યક્તિ કે જે ઘેટાંની સંભાળ રાખે છે તે” અથવા “ઘેટાંને જોનાર” અથવા “ઘેટાંના પાલક” એમ કરી શકાય.
- જ્યારે રૂપકાત્મક રીતે વાપરવામાં આવે, ત્યારે આ શબ્દોનો “આત્મિક ઘેટાંપાળક” અથવા “આત્મિક આગેવાન” અથવા “વ્યક્તિ કે જે ઘેટાંપાળકસમાન છે” અથવા “વ્યક્તિ કે જે પોતાના ઘેટાંની સંભાળ રાખે છે તેમ પોતાના લોકોની સંભાળ રાખે છે” અથવા “વ્યક્તિ કે જે પોતાના લોકોને દોરે છે જેમ ઘેટાંપાળક પોતાના ઘેટાંને દોરે છે તેમ” અથવા “વ્યક્તિ કે જે ઈશ્વરના ઘેટાંની સંભાળ રાખે છે” એમ જુદી-જુદી રીતે અનુવાદ કરી સમાવિષ્ટ કરી શકાય.
- કેટલાંક સંદર્ભોમાં, “ઘેટાંપાળક” નું અનુવાદ “આગેવાન” અથવા “માર્ગદર્શક” અથવા “પાલક” એમ કરી શકાય.
- આત્મિક દ્રષ્ટિકોણથી “ઘેટાંપાળક” નું અનુવાદ “ની સંભાળ રાખનાર” અથવા “આત્મિક રીતે પોષવું” અથવા “માર્ગદર્શન આપવું અને શીખવવું” અથવા “દોરવણી આપવી અને સંભાળ લેવી (જેમ ઘેટાંપાળક ઘેટાં માટે કરે છે તેમ)” કરી શકાય.
- રૂપકાત્મક ઉપયોગમાં, “ઘેટાંપાળક” શબ્દના અનુવાદ માટેના શાબ્દિક શબ્દનો ઉપયોગ કરવો અને સમાવેશ કરવો તે શ્રેષ્ઠ છે.
(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, કનાન, મંડળી, મૂસા, પાળક, ઘેટી, આત્મા)
બાઈબલના સંદર્ભો:
- ઉત્પતિ 49:24
- લૂક 2:8-9
- માર્ક 6:33-34
- માર્ક 14:26-27
- માથ્થી 2:4-6
- માથ્થી 9:35-36
- માથ્થી 25:31-33
- માથ્થી 26:30-32
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 9:11 મુસા બન્યો ઘેટાંપાળક મીસરથી ઘણે દૂર રણમાં.
- 17:2 દાઉદ હતો ઘેટાંપાળક બેથલેહેમ શહેરથી.
જુદા-જુદા સમયે જ્યારે તે તેના પિતાના ઘેટાંની સંભાળ રાખતો હતો, ત્યારે દાઉદે સિંહ અને રીંછ બંને કે જેઓએ ઘેટાં પર હુમલો કર્યો હતો તેમને મારી નાંખ્યા.
- 23:6 એ રાતે, ત્યાં કેટલાંક ઘેટાંપાળકો હતાં નજીકન ખેતરમાં તેમના ઘેટાંઓનું રક્ષણ કરતાં હતાં.
- 23:8 આ ઘેટાંપાળકો ઈસુ જ્યાં હતા એ જગાએ જલદીથી આવી પહોંચ્યા અને તેઓએ ગભાણમાં તેમને જોયા, જેમ દૂતોએ તેમને કહ્યું હતું તેમ.
- 30:3 ઈસુ માટે, આ લોકો ઘેટાં હતાં ઘેટાંપાળક વિનાના.
શબ્દ માહિતી:
- Strong's: H6629, H7462, H7469, H7473, G750, G4165, G4166
ઘેટી, ઘેટીઓ, ખરીવાળો ઘેટો, ખરીવાળા ઘેટાંઓ, ઘેટાં, ઘેટાંનો વાળો, ઉન કાતનારાઓ, ઘેટાંનું ચામડું
વ્યાખ્યા:
“ઘેટાં” એક મધ્યમ કદના પ્રાણી છે જેના ચાર પગ હોય છે અને તેના તમામ શરીર પર ઉન હોય છે.
નર ઘેટાંને “ખરીવાળો ઘેટો” કહેવાય છે.
નારી ઘેટાંને “ઘેટી” કહેવાય છે.
“ઘેટાં” નું બહુવચન “ઘેટાંઓ” પણ થાય છે.
- ઘેટાંના બચ્ચાને “હલવાન” કહેવામાં આવે છે.
- ઈઝરાયેલીઓ વારંવાર બલિદાનને માટે ઘેટાંઓનો ઉપયોગ કરતાં હતાં, ખાસ કરીને નર અને જુવાન ઘેટાંનો.
- લોકો ઘેટાંમાંથી માંસ ખાય છે અને તેના ઊનનો ઉપયોગ કપડાં અને અન્ય વસ્તુઓ બનાવવા માટે કરે છે.
- ઘેટાં ખૂબ જ વિશ્વાસુ, નબળા અને ડરપોક હોય છે.
તેઓ સરળતાથી દૂર ભટકવું પ્રભાવિત થઈ જાય છે.
તેઓને એક ઘેટાંપાળક જે તેમને દોરી જાય, તેમનું રક્ષણ કરે તેમને ખોરાક, પાણી અને આશ્રય પૂરો પાડે તેની જરૂર હોય છે.
- બાઇબલમાં, જે લોકોને ઈશ્વર તેમના ઘેટાંપાળક તરીકે છે તેઓની સરખામણી ઘેટાં સાથે કરવામાં આવી છે.
(અનુવાદ માટેના સૂચનો: અજ્ઞાતનો કેવી રીતે અનુવાદ કરવો
(આ પણ જુઓ: ઈઝરાએલ, ઘેટું, બલિદાન, ઘેટાંપાળક)
બાઈબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 8:32-33
- ઉત્પતિ 30:31-32
- યોહાન 2:13-14
- લૂક 15:3-5
- માર્ક 6:33-34
- માથ્થી 9:35-36
- માથ્થી 10:5-7
- માથ્થી 12:11-12
- માથ્થી 25:31-33
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 9:12 એક દિવસ જ્યારે મુસા સંભાળ રાખી રહ્યો હતો તેના ઘેટાંની, તેણે બળતું ઝાડવું જોયું.
- 17:2 દાઉદ બેથલેહેમ શહેરથી એક ભરવાડ હતો.
જુદા-જુદા સમયે જ્યારે તે સંભાળ રાખતો હતો તેના પિતાના ઘેટાંની, દાઉદે સિંહ અને રીંછ બંનેને મારી નાંખ્યા હતાં કે જેમણે હુમલો કર્યો હતો ઘેટાં પર.
- 30:3 ઈસુ માટે, આ લોકો ઘેટાંના જેવા છે ઘેટાંપાળક વિનાના.
- 38:8 ઈસુએ કહ્યું, “આજે રાતે તમે સહુ મને છોડી દેશો.
એ લખવામાં આવ્યું છે કે, ‘હું ઘેટાંપાળકને મારી નાખીશ અને બધા ઘેટાંઓ વેર-વિખેર થઈ જશે.'"
શબ્દ માહિતી:
- Strong's: H352, H1494, H1798, H2169, H3104, H3532, H3535, H3733, H3775, H5739, H5763, H6260, H6629, H6792, H7353, H7462, H7716, G4165, G4262, G4263
ઘેટું, ઈશ્વરનું હલવાન
વ્યાખ્યા:
"ઘેટું" શબ્દ યુવાન ઘેટાંનો ઉલ્લેખ કરે છે.
ઘેટાં ચાર પગવાળા, જાડા ઊનવાળા વાળ સાથેના પ્રાણીઓ છે, જેનો ઈશ્વરને બલિદાન કરવામાં ઉપયોગ કરવામાં આવતો.
ઈસુને "ઈશ્વરના હલવાન" કહેવામાં આવ્યા કારણ કે લોકોના પાપોની કિંમત ચૂકવવા તેઓ બલિદાન થયા હતા.
- આ પ્રાણીઓ સરળતાથી અવડે માર્ગે દોરવાઈ જાય અને તેમને રક્ષણની જરૂર હોય છે.
ઈશ્વર માણસજાતને ઘેટાં સાથે સરખાવે છે.
- ઈશ્વરે તેમના લોકોને સૂચિત કર્યું હતું કે તેમને બલિદાન આપવા માટે શારીરિક રીતે સંપૂર્ણ ઘેટાંઓ અને હલવાનો અર્પવા.
- ઈસુને "ઈશ્વરના હલવાન" કહેવામાં આવ્યા જેઓ લોકોના પાપોની કિંમત ચૂકવવા બલિદાન થયા હતા.
તેઓ સંપૂર્ણ, દોષરહિત બલિદાન હતા કારણ કે તેઓ સંપૂર્ણપણે પાપ વિનાના હતા.
અનુવાદ માટેના સૂચનો:
- જો ભાષાકીય વિસ્તારમાં ઘેટાં જાણીતા છે તો, "ઘેટું" અથવા "ઈશ્વરનું હલવાન" શબ્દોનો અનુવાદ કરવા માટે તેના યુવાન ઘેટાં માટેનું નામ વપરાવું જોઈએ.
- "ઈશ્વરનું હલવાન" નું અનુવાદ "ઈશ્વરનું (બલિદાનયુક્ત) હલવાન" અથવા "હલવાન કે જે ઈશ્વરને બલિદાન કરવામાં આવ્યું" અથવા "ઈશ્વર તરફથી (બલિદાનયુક્ત) હલવાન" એમ કરી શકાય.
- જી ઘેટાં વિષે જાણકારી ન હોય તો, આ શબ્દનો અનુવાદ આમ કરી શકાય "યુવાન ઘેટું" એ નોંધ સાથે જે ઘેટાં કેવા છે તેનું વર્ણન કરતું હોય.
નોંધ ઘેટાં અને હલવાનને તે વિસ્તારના પ્રાણીઓ સાથે સરખાવી શકે જેઓ ટોળામાં રહેતા હોય, જે ડરપોક અને રક્ષણ કરવા અસમર્થ હોય, અને વારંવાર ભટકી જતાં હોય.
- એ પણ ધ્યાન રાખો કે આ શબ્દનું નજીકના સ્થાનિક કે રાષ્ટ્રીય ભાષાના બાઇબલ અનુવાદમાં કેવી રીતે અનુવાદ થયો છે.
(જુઓ: અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું
(આ પણ જુઓ: ઘેટી, ઘેટાંપાળક)
બાઈબલના સંદર્ભો:
- 2 શમુએલ 12:1-3
- એઝરા 8:35-36
- યશાયા 66:3
- યર્મિયા 11:18-20
- યોહાન 1:29-31
- યોહાન 1:35-36
- લેવીય 14:21-23
- લેવીય 17:1-4
- લૂક 10:3-4
- પ્રકટીકરણ 15:3-4
બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:
- 5:7 જ્યારે ઈબ્રાહિમ અને ઈસહાક દહનાર્પણની જગા તરફ જય રહ્યા હતા ત્યારે ઈસહાકે પૂછ્યું, “પિતા, આપની પાસે દહનાર્પણ માટે લાકડાં છે પરંતુ ક્યાં છે હલવાન?”
- 11:2 જે કોઈપણ ઈશ્વર પર વિશ્વાસ કરે તેના પ્રથમજનિતને બચાવવાનો રસ્તો ઈશ્વરે કરી આપ્યો.
દરેક કુટુંબે સંપૂર્ણ પસંદ કરવું હલવાન અથવા બકરું અને તેની હત્યા કરવી.
- 24:6 પછીના દિવસે, ઈસુ યોહાન દ્વારા બાપ્તિસ્મા પામવા આવ્યા.
જ્યારે યોહાને તેમને જોયા ત્યારે, તેણે કહ્યું, “જુઓ!
અહીંયા ઈશ્વરનું હલવાન છે જે જગતના પાપ લઈ લેશે."
- 45:8 તેમણે વાંચ્યું, “તેઓ તેમને દોરી ગયા હલવાનની જેમ મારી નાંખવા માટે, અને ત્યારે હલવાન શાંત છે, તેમણે એકપણ શબ્દ કહ્યો નહીં.
- 48:8 જ્યારે ઈશ્વરે ઈબ્રાહિમને તેના દીકરા, ઈસહાકને, દહનાર્પણ તરીકે, આપવાનું કહ્યું ત્યારે, ઈશ્વરે પૂરું પાડ્યું હલવાન તેના દીકરા, ઈસહાકના બદલામાં દહનાર્પણને માટે.
આપણે સર્વ આપણાં પાપોને માટે મરણને લાયક હતા!
પરંતુ ઈશ્વરે ઈસુ પૂરા પાડ્યા હલવાન ઈશ્વરના, આપણાં સ્થાને બલિદાન તરીકે મરવાને માટે.
- 48:9 જ્યારે ઈશ્વરે મિસર પર છેલ્લી મરકી મોકલી ત્યારે, તેમણે દરેક ઈઝરાયેલી કુટુંબોને મારવા માટે કહ્યું સંપૂર્ણ હલવાન અને તેનું રક્ત તેમના દરવાજાની બારસાખો તથા ઓતરંગ પર છાંટવું.
શબ્દ માહિતી:
- Strong's: H7716, G721, G2316
ઘેટું, ઈશ્વરનું હલવાન
વ્યાખ્યા:
"ઘેટું" શબ્દ યુવાન ઘેટાંનો ઉલ્લેખ કરે છે.
ઘેટાં ચાર પગવાળા, જાડા ઊનવાળા વાળ સાથેના પ્રાણીઓ છે, જેનો ઈશ્વરને બલિદાન કરવામાં ઉપયોગ કરવામાં આવતો.
ઈસુને "ઈશ્વરના હલવાન" કહેવામાં આવ્યા કારણ કે લોકોના પાપોની કિંમત ચૂકવવા તેઓ બલિદાન થયા હતા.
- આ પ્રાણીઓ સરળતાથી અવડે માર્ગે દોરવાઈ જાય અને તેમને રક્ષણની જરૂર હોય છે.
ઈશ્વર માણસજાતને ઘેટાં સાથે સરખાવે છે.
- ઈશ્વરે તેમના લોકોને સૂચિત કર્યું હતું કે તેમને બલિદાન આપવા માટે શારીરિક રીતે સંપૂર્ણ ઘેટાંઓ અને હલવાનો અર્પવા.
- ઈસુને "ઈશ્વરના હલવાન" કહેવામાં આવ્યા જેઓ લોકોના પાપોની કિંમત ચૂકવવા બલિદાન થયા હતા.
તેઓ સંપૂર્ણ, દોષરહિત બલિદાન હતા કારણ કે તેઓ સંપૂર્ણપણે પાપ વિનાના હતા.
અનુવાદ માટેના સૂચનો:
- જો ભાષાકીય વિસ્તારમાં ઘેટાં જાણીતા છે તો, "ઘેટું" અથવા "ઈશ્વરનું હલવાન" શબ્દોનો અનુવાદ કરવા માટે તેના યુવાન ઘેટાં માટેનું નામ વપરાવું જોઈએ.
- "ઈશ્વરનું હલવાન" નું અનુવાદ "ઈશ્વરનું (બલિદાનયુક્ત) હલવાન" અથવા "હલવાન કે જે ઈશ્વરને બલિદાન કરવામાં આવ્યું" અથવા "ઈશ્વર તરફથી (બલિદાનયુક્ત) હલવાન" એમ કરી શકાય.
- જી ઘેટાં વિષે જાણકારી ન હોય તો, આ શબ્દનો અનુવાદ આમ કરી શકાય "યુવાન ઘેટું" એ નોંધ સાથે જે ઘેટાં કેવા છે તેનું વર્ણન કરતું હોય.
નોંધ ઘેટાં અને હલવાનને તે વિસ્તારના પ્રાણીઓ સાથે સરખાવી શકે જેઓ ટોળામાં રહેતા હોય, જે ડરપોક અને રક્ષણ કરવા અસમર્થ હોય, અને વારંવાર ભટકી જતાં હોય.
- એ પણ ધ્યાન રાખો કે આ શબ્દનું નજીકના સ્થાનિક કે રાષ્ટ્રીય ભાષાના બાઇબલ અનુવાદમાં કેવી રીતે અનુવાદ થયો છે.
(જુઓ: અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું
(આ પણ જુઓ: ઘેટી, ઘેટાંપાળક)
બાઈબલના સંદર્ભો:
- 2 શમુએલ 12:1-3
- એઝરા 8:35-36
- યશાયા 66:3
- યર્મિયા 11:18-20
- યોહાન 1:29-31
- યોહાન 1:35-36
- લેવીય 14:21-23
- લેવીય 17:1-4
- લૂક 10:3-4
- પ્રકટીકરણ 15:3-4
બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:
- 5:7 જ્યારે ઈબ્રાહિમ અને ઈસહાક દહનાર્પણની જગા તરફ જય રહ્યા હતા ત્યારે ઈસહાકે પૂછ્યું, “પિતા, આપની પાસે દહનાર્પણ માટે લાકડાં છે પરંતુ ક્યાં છે હલવાન?”
- 11:2 જે કોઈપણ ઈશ્વર પર વિશ્વાસ કરે તેના પ્રથમજનિતને બચાવવાનો રસ્તો ઈશ્વરે કરી આપ્યો.
દરેક કુટુંબે સંપૂર્ણ પસંદ કરવું હલવાન અથવા બકરું અને તેની હત્યા કરવી.
- 24:6 પછીના દિવસે, ઈસુ યોહાન દ્વારા બાપ્તિસ્મા પામવા આવ્યા.
જ્યારે યોહાને તેમને જોયા ત્યારે, તેણે કહ્યું, “જુઓ!
અહીંયા ઈશ્વરનું હલવાન છે જે જગતના પાપ લઈ લેશે."
- 45:8 તેમણે વાંચ્યું, “તેઓ તેમને દોરી ગયા હલવાનની જેમ મારી નાંખવા માટે, અને ત્યારે હલવાન શાંત છે, તેમણે એકપણ શબ્દ કહ્યો નહીં.
- 48:8 જ્યારે ઈશ્વરે ઈબ્રાહિમને તેના દીકરા, ઈસહાકને, દહનાર્પણ તરીકે, આપવાનું કહ્યું ત્યારે, ઈશ્વરે પૂરું પાડ્યું હલવાન તેના દીકરા, ઈસહાકના બદલામાં દહનાર્પણને માટે.
આપણે સર્વ આપણાં પાપોને માટે મરણને લાયક હતા!
પરંતુ ઈશ્વરે ઈસુ પૂરા પાડ્યા હલવાન ઈશ્વરના, આપણાં સ્થાને બલિદાન તરીકે મરવાને માટે.
- 48:9 જ્યારે ઈશ્વરે મિસર પર છેલ્લી મરકી મોકલી ત્યારે, તેમણે દરેક ઈઝરાયેલી કુટુંબોને મારવા માટે કહ્યું સંપૂર્ણ હલવાન અને તેનું રક્ત તેમના દરવાજાની બારસાખો તથા ઓતરંગ પર છાંટવું.
શબ્દ માહિતી:
- Strong's: H7716, G721, G2316
ઘેરો, ઘેરી લેવું, ઘેરાયેલાં, ઘેરો ઘાલનાર, ઘેરી રહ્યા છે, હંગામી કિલ્લો
વ્યાખ્યા:
"ઘેરો" ત્યારે થાય છે જ્યારે એક આક્રમણકારી લશ્કર શહેરની આસપાસ આવે છે અને તેને ખોરાક અને પાણીની કોઈ પણ ચીજ પ્રાપ્ત કરવાથી રોકી રાખે છે.
શહેરને "ઘેરી લેવું" અથવા તેને "ઘોષણા હેઠળ" મૂકવું તેનો અર્થ એ છે કે ઘેરાબંધી દ્વારા તેના પર હુમલો કરવો.
- જ્યારે બાબિલીઓ ઈઝરાયેલ પર હુમલો કરવા આવ્યા, ત્યારે તેઓએ શહેરની અંદર લોકોને નબળા બનાવવા યરૂશાલેમ સામે ઘેરો ઘાલ્યો હતો.
- મોટેભાગે ઘેરાબંધી દરમિયાન, શહેરની દિવાલો પાર કરવા અને શહેર પર આક્રમણ કરવા માટે હુમલાખોર સૈન્યને શક્તિમાન કરવા માટે ધૂળની ઢોળાવવાળો માર્ગ ધીમે ધીમે નિર્માણ કરવામાં આવે છે.
- શહેરને “ઘેરી લેવું” તેને “ઘેરો ઘાલવો” અથવા તેના પર “ઘેરો કરવો” તરીકે વ્યક્ત કરી શકાય.
- “ઘેરી લેવું” શબ્દનો સમાન શબ્દપ્રયોગ “ઘેરાબંધી હેઠળ” તરીકે થાય છે.
બંને અભિવ્યક્તિઓ એવું શહેર કે જેને દુશ્મનના સૈન્યએ ઘેરી લીધા છે તે વર્ણવે છે.
બાઈબલના સંદર્ભો:
- 1 કાળુવૃતાંત 20:1
- 1 રાજાઓ 20:1-3
- 1 શમુએલ 11:1-2
- યર્મિયા 33:4-5
શબ્દ માહિતી:
- Strong's: H4692, H4693, H5341, H5437, H5564, H6693, H6696, H6887
ચંપલ,
વ્યાખ્યા:
ચંપલ એ એક સરળ પગના તળિયાના પગરખા છે જે પગના પંજા અથવા ઘૂંટીની આસપાસ રાખવામાં આવે છે.
ચંપલ પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવે છે.
- ઘણીવાર ચંપલ એ કાયદેસરના વ્યવહાર નક્કી કરવા ઉપયોગમાં લેવાતા, જેવી કે મિલકત વેચવા: એક માણસ ચંપલ કાઢે અને બીજાને આપી દે.
- જોન્ના કે ચંપલ કાઢવા તે માન અને આદરની પણ નિશાની હતી, ખાસ કરીને ઈશ્વરની હાજરીમાં.
- યોહાને કહ્યું કે તે ઈસુના ચંપલની દોરી છોડવા પણ યોગ્ય ન હતો, જે નોકર કે ગુલામનું હલકું કાર્ય હતું.
બાઈબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 7:33-34
- પુનર્નિયમ 25:9-10
- યોહાન 1:26-28
- યહોશુઆ 5:14-15
- માર્ક 6:7-9
શબ્દ માહિતી:
- Strong's: H5274, H5275, H8288, G4547, G5266
ચંપલ,
વ્યાખ્યા:
ચંપલ એ એક સરળ પગના તળિયાના પગરખા છે જે પગના પંજા અથવા ઘૂંટીની આસપાસ રાખવામાં આવે છે.
ચંપલ પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવે છે.
- ઘણીવાર ચંપલ એ કાયદેસરના વ્યવહાર નક્કી કરવા ઉપયોગમાં લેવાતા, જેવી કે મિલકત વેચવા: એક માણસ ચંપલ કાઢે અને બીજાને આપી દે.
- જોન્ના કે ચંપલ કાઢવા તે માન અને આદરની પણ નિશાની હતી, ખાસ કરીને ઈશ્વરની હાજરીમાં.
- યોહાને કહ્યું કે તે ઈસુના ચંપલની દોરી છોડવા પણ યોગ્ય ન હતો, જે નોકર કે ગુલામનું હલકું કાર્ય હતું.
બાઈબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 7:33-34
- પુનર્નિયમ 25:9-10
- યોહાન 1:26-28
- યહોશુઆ 5:14-15
- માર્ક 6:7-9
શબ્દ માહિતી:
- Strong's: H5274, H5275, H8288, G4547, G5266
ચમત્કાર, ચમત્કારો, આશ્ચર્યકર્મ, આશ્ચર્યકર્મો, ચિહ્ન, ચિહ્નો
વ્યાખ્યા:
“ચમત્કાર” એક એવી અદભૂત બાબત છે કે જો ઈશ્વર ન કરે તો તે શક્ય નથી.
- ઈસુએ કરેલા ચમત્કારોના ઉદાહરણોમાં તોફાનને શાંત કરવું તથા અંધજનને દેખતો કરવાનો સમાવેશ થાય છે.
- કેટલીક વાર ચમત્કારોને “આશ્ચર્યકર્મો” કહેવામાં આવે છે કારણકે તેઓ લોકોને આશ્ચર્યચકિત તથા વિસ્મિત કરી દે છે.
- “આશ્ચર્યકર્મ” શબ્દ વધારે સામાન્ય અર્થમાં ઈશ્વરના આશ્ચર્યજનક સામર્થ્યના પ્રદર્શનનો પણ ઉલ્લેખ કરી શકે છે, જેમ કે જ્યારે તેમણે આકાશો અને પૃથ્વી રચ્યાં.
- ચમત્કારોને “ચિહ્નો” પણ કહી શકાય કારણકે ઈશ્વર સર્વશક્તિમાન છે એટલે કે તેઓની પાસે સમગ્ર વિશ્વ પર સંપૂર્ણ અધિકાર છે તેવા સંકેતો અથવા તો પૂરાવાઓ તરીકે તેઓનો ઉપયોગ થાય છે.
- કેટલાક ચમત્કારો ઈશ્વરે કરેલા છૂટકારાના કામો હતા, જેમ કે તેમણે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા અને દાનિયેલને સિંહોના જોખમથી બચાવ્યો.
- બીજા આશ્ચર્યકર્મો ઈશ્વરે કરેલા ન્યાયના કામો હતા, જેમ કે તેઓ નૂહના સમયમાં વિશ્વભરમાં પૂર લાવ્યા અને મૂસાના સમયમાં ઈજીપ્ત દેશમાં ભયંકર મરકીઓ લાવ્યા.
- ઈશ્વરના ઘણાં ચમત્કારો માંદાઓને શારીરિક રીતે સાજા કરવાના અથવા તો મૃતકોને સજીવન કરવાના હતા.
- જ્યારે ઈસુએ લોકોને સાજા કર્યાં, તોફાનો શાંત કર્યાં, તેઓ પાણી પર ચાલ્યા, અને મૃતકોને સજીવન કર્યાં ત્યારે, તેઓમાં ઈશ્વરનું સામર્થ્ય પ્રગટ કરાયું હતું.
આ બધા જ ચમત્કારો હતા.
- ઈશ્વરે પ્રબોધકો તથા પ્રેરિતોને પણ સાજા કરવાના અને બીજા ચમત્કારો કરવા શક્તિ આપી કે જે ઈશ્વરના સામર્થ દ્વારા જ શક્ય હતું.
અનુવાદ માટેના સૂચનો:
- “ચમત્કારો” અથવા તો “આશ્ચર્યકર્મો” ના સંભવત અનુવાદોમાં “ઈશ્વર જે અશક્ય બાબતો કરે છે તે” અથવા તો “ઈશ્વરના સામર્થ્યવાન કાર્યો” અથવા તો “ઈશ્વરના અદભૂત કાર્યો” નો સમાવેશ કરી શકાય.
- વારંવાર વપરાતી અભિવ્યક્તિ “ચિહ્નો અને આશ્ચર્યકર્મો” નો અનુવાદ “સાબિતીઓ અને ચમત્કારો” અથવા તો “ચમત્કારિક કાર્યો કે જે ઈશ્વરનું સામર્થ સાબિત કરે છે” અથવા તો “અદભૂત ચમત્કારો કે જે દર્શાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે” તરીકે થઈ શકે.
- નોંધ કરો કે ચમત્કારિક ચિહ્નોનો આ અર્થ એક ચિહ્ન કે જે કોઈ બાબતની સાબિતી કે પૂરાવો આપે છે તેનાથી અલગ છે.
આ બન્ને સંબંધિત હોઈ શકે છે.
(આ પણ જૂઓ: સામર્થ્ય, પ્રબોધક, પ્રેરિત, ચિહ્ન)
બાઇબલના સંદર્ભો:
- 2 થેસ્સલોનિકી 2:8-10
- પ્રેરિતોના કૃત્યો 4:15-18
- પ્રેરિતોના કૃત્યો 4:21-22
- દાનિયેલ 4:1-3
- પુનર્નિયમ 13:1-3
- નિર્ગમન 3:19-22
- યોહાન 2:11
- માથ્થી 13:57-58
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 16:8 ગિદિયોને ઈશ્વર પાસે બે ચિહ્નો માંગ્યા કે જેથી તેને ખાતરી થાય કે ઈશ્વર તેનો ઉપયોગ ઇઝરાયલને બચાવવા કરશે.
- 19:14 ઈશ્વરે એલિશા દ્વારા ઘણા ચમત્કારો કર્યાં.
- 37:10 આ ચમત્કારને કારણે ઘણા યહૂદીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
- 43:6 “ઇઝરાયલી માણસો, જેમ તમે જોયું છે અને તમને અગાઉથી ખબર છે તેમ, ઈસુ એ વ્યક્તિ હતા કે જેમણે ઈશ્વરના સામર્થ્ય દ્વારા ઘણા પરાક્રમી ચિહ્નો અને આશ્ચર્યકર્મો કર્યાં.
- 49:2 ઈસુએ ઘણા ચમત્કારો કર્યાં કે જેથી સાબિત થયું કે તેઓ ઈશ્વર હતા.
તેઓ પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યાં, ઘણાં બીમારોને સાજા કર્યાં, દુષ્ટાત્માઓને કાઢ્યા, મૃતકોને સજીવન કર્યાં અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 કરતા વધારે લોકો માટે પુરતું ભોજન બનાવી નાખ્યાં.
શબ્દ માહિતી:
- Strong's: H226, H852, H2368, H2858, H4150, H4159, H4864, H5251, H5824, H5953, H6381, H6382, H6383, H6395, H6725, H7560, H7583, H8047, H8074, H8539, H8540,, G880, G1213, G1229, G1411, G1569, G1718, G1770, G1839, G2285, G2296, G2297, G3167, G3902, G4591, G4592, G5059
ચમત્કાર, ચમત્કારો, આશ્ચર્યકર્મ, આશ્ચર્યકર્મો, ચિહ્ન, ચિહ્નો
વ્યાખ્યા:
“ચમત્કાર” એક એવી અદભૂત બાબત છે કે જો ઈશ્વર ન કરે તો તે શક્ય નથી.
- ઈસુએ કરેલા ચમત્કારોના ઉદાહરણોમાં તોફાનને શાંત કરવું તથા અંધજનને દેખતો કરવાનો સમાવેશ થાય છે.
- કેટલીક વાર ચમત્કારોને “આશ્ચર્યકર્મો” કહેવામાં આવે છે કારણકે તેઓ લોકોને આશ્ચર્યચકિત તથા વિસ્મિત કરી દે છે.
- “આશ્ચર્યકર્મ” શબ્દ વધારે સામાન્ય અર્થમાં ઈશ્વરના આશ્ચર્યજનક સામર્થ્યના પ્રદર્શનનો પણ ઉલ્લેખ કરી શકે છે, જેમ કે જ્યારે તેમણે આકાશો અને પૃથ્વી રચ્યાં.
- ચમત્કારોને “ચિહ્નો” પણ કહી શકાય કારણકે ઈશ્વર સર્વશક્તિમાન છે એટલે કે તેઓની પાસે સમગ્ર વિશ્વ પર સંપૂર્ણ અધિકાર છે તેવા સંકેતો અથવા તો પૂરાવાઓ તરીકે તેઓનો ઉપયોગ થાય છે.
- કેટલાક ચમત્કારો ઈશ્વરે કરેલા છૂટકારાના કામો હતા, જેમ કે તેમણે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા અને દાનિયેલને સિંહોના જોખમથી બચાવ્યો.
- બીજા આશ્ચર્યકર્મો ઈશ્વરે કરેલા ન્યાયના કામો હતા, જેમ કે તેઓ નૂહના સમયમાં વિશ્વભરમાં પૂર લાવ્યા અને મૂસાના સમયમાં ઈજીપ્ત દેશમાં ભયંકર મરકીઓ લાવ્યા.
- ઈશ્વરના ઘણાં ચમત્કારો માંદાઓને શારીરિક રીતે સાજા કરવાના અથવા તો મૃતકોને સજીવન કરવાના હતા.
- જ્યારે ઈસુએ લોકોને સાજા કર્યાં, તોફાનો શાંત કર્યાં, તેઓ પાણી પર ચાલ્યા, અને મૃતકોને સજીવન કર્યાં ત્યારે, તેઓમાં ઈશ્વરનું સામર્થ્ય પ્રગટ કરાયું હતું.
આ બધા જ ચમત્કારો હતા.
- ઈશ્વરે પ્રબોધકો તથા પ્રેરિતોને પણ સાજા કરવાના અને બીજા ચમત્કારો કરવા શક્તિ આપી કે જે ઈશ્વરના સામર્થ દ્વારા જ શક્ય હતું.
અનુવાદ માટેના સૂચનો:
- “ચમત્કારો” અથવા તો “આશ્ચર્યકર્મો” ના સંભવત અનુવાદોમાં “ઈશ્વર જે અશક્ય બાબતો કરે છે તે” અથવા તો “ઈશ્વરના સામર્થ્યવાન કાર્યો” અથવા તો “ઈશ્વરના અદભૂત કાર્યો” નો સમાવેશ કરી શકાય.
- વારંવાર વપરાતી અભિવ્યક્તિ “ચિહ્નો અને આશ્ચર્યકર્મો” નો અનુવાદ “સાબિતીઓ અને ચમત્કારો” અથવા તો “ચમત્કારિક કાર્યો કે જે ઈશ્વરનું સામર્થ સાબિત કરે છે” અથવા તો “અદભૂત ચમત્કારો કે જે દર્શાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે” તરીકે થઈ શકે.
- નોંધ કરો કે ચમત્કારિક ચિહ્નોનો આ અર્થ એક ચિહ્ન કે જે કોઈ બાબતની સાબિતી કે પૂરાવો આપે છે તેનાથી અલગ છે.
આ બન્ને સંબંધિત હોઈ શકે છે.
(આ પણ જૂઓ: સામર્થ્ય, પ્રબોધક, પ્રેરિત, ચિહ્ન)
બાઇબલના સંદર્ભો:
- 2 થેસ્સલોનિકી 2:8-10
- પ્રેરિતોના કૃત્યો 4:15-18
- પ્રેરિતોના કૃત્યો 4:21-22
- દાનિયેલ 4:1-3
- પુનર્નિયમ 13:1-3
- નિર્ગમન 3:19-22
- યોહાન 2:11
- માથ્થી 13:57-58
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 16:8 ગિદિયોને ઈશ્વર પાસે બે ચિહ્નો માંગ્યા કે જેથી તેને ખાતરી થાય કે ઈશ્વર તેનો ઉપયોગ ઇઝરાયલને બચાવવા કરશે.
- 19:14 ઈશ્વરે એલિશા દ્વારા ઘણા ચમત્કારો કર્યાં.
- 37:10 આ ચમત્કારને કારણે ઘણા યહૂદીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
- 43:6 “ઇઝરાયલી માણસો, જેમ તમે જોયું છે અને તમને અગાઉથી ખબર છે તેમ, ઈસુ એ વ્યક્તિ હતા કે જેમણે ઈશ્વરના સામર્થ્ય દ્વારા ઘણા પરાક્રમી ચિહ્નો અને આશ્ચર્યકર્મો કર્યાં.
- 49:2 ઈસુએ ઘણા ચમત્કારો કર્યાં કે જેથી સાબિત થયું કે તેઓ ઈશ્વર હતા.
તેઓ પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યાં, ઘણાં બીમારોને સાજા કર્યાં, દુષ્ટાત્માઓને કાઢ્યા, મૃતકોને સજીવન કર્યાં અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 કરતા વધારે લોકો માટે પુરતું ભોજન બનાવી નાખ્યાં.
શબ્દ માહિતી:
- Strong's: H226, H852, H2368, H2858, H4150, H4159, H4864, H5251, H5824, H5953, H6381, H6382, H6383, H6395, H6725, H7560, H7583, H8047, H8074, H8539, H8540,, G880, G1213, G1229, G1411, G1569, G1718, G1770, G1839, G2285, G2296, G2297, G3167, G3902, G4591, G4592, G5059
ચાલવું, ચાલવું, ચાલ્યો, ચાલવું
વ્યાખ્યા:
"ચાલવું” શબ્દનો અર્થ ઘણીવાર લાક્ષણિક અર્થમા "જીવવું” થાય છે.
- “ હનોખ દેવ સાથે ચાલ્યા" એટલે એનો અર્થ હનોખ ઈશ્વર સાથે ગાઢ સંબંધમાં રહીને જીવતા હતા.
- 'આત્મા દ્વારા ચાલવું' એટલે પવિત્ર આત્મા દ્વારા માર્ગદર્શન પામવું, જેથી આપણે જે કઇ કરીએ તેથી ઈશ્વરને ખુશ કરીએ છીએ અને સન્માન કરીએ છીએ.
- ઈશ્વરની આજ્ઞાઓમાં ચાલવું અથવા 'દેવના માર્ગમાં ચાલવું' એટલે કે, 'તેમની આજ્ઞાઓમાં જીવવું' અથવા તેમની આજ્ઞાઓને આધીન રહેવું અથવા 'તેમની ઇચ્છા પ્રમાણે કરવું' એ છે.
- જ્યારે ઈશ્વર કહે છે કે તેઓ તેમના લોકો વચ્ચે "ચાલશે", તેનો અર્થ એ કે તેઓ તેમની વચ્ચે રહે છે અથવા તેમની સાથે નજીકથી વાતચીત કરી રહ્યા છે.
- “ની વિરુદ્ધ ચાલવું” નો અર્થ કંઈક અથવા કોઈની વિરુદ્ધ છે તે રીતે જીવવું અથવા વર્તન કરવું. "
- “ પાછળ ચાલવું" નો અર્થ એ કે કોઈ વ્યક્તિને અથવા કંઈક શોધી કાઢવું.
બીજા કોઈની જેમ જ કાર્ય કરવાનો અર્થ પણ થઈ શકે છે.
અનુવાદનાં સૂચનો:
- સાચો અર્થ સમજીને "ચાલવું” નો શાબ્દિક, અનુવાદ કરવામાં આવશે ત્યાં સુધી શ્રેષ્ઠ છે.
- નહિંતર, "ચાલવું " નો લાક્ષણિક ઉપયોગ "જીવવું" અથવા "કૃત્ય કરવું" અથવા"વર્તવું” દ્વારા પણ અનુવાદ કરી શકાય છે.
- “આત્મા દ્વારા ચાલવું" શબ્દનું ભાષાંતર "પવિત્ર આત્માની આધીનતામાં જીવવું " અથવા "પવિત્ર આત્માને આનંદદાયક છે તે રીતે વર્તવું “ અથવા"જે બાબતો ઈશ્વરને ખુશ કરે છે તેવું માર્ગદર્શન પવિત્ર આત્મા તમને આપે છે” તરીકે કરી શકાય છે.
- “ઈશ્વરની આજ્ઞાઓમાં ચાલવું” એનું ભાષાંતર "ઈશ્વરની આજ્ઞાઓથી જીવવું " અથવા "ઈશ્વરની આજ્ઞાઓ પાળવી" કરી શકાય છે.
- “ ઈશ્વરની સાથે ચાલ્યો" શબ્દસમૂહનું ભાષાંતર આમ થઈ શકે છે, " ઈશ્વર સાથે ગાઢ સંબંધમાં તેમનું પાલન કરીને અને તેમને માન આપીને જીવ્યો હતો."
(આ પણ જુઓ: પવિત્ર આત્મા, માન)
બાઇબલ સંદર્ભો:
- 1 યોહાન 1:5-7
- 1 રાજાઓ 2:1-4
- કલોસી 2:6-7
- ગલાતી 5:25-26
- ઉત્પત્તિ 17:1-2
- યશાયા 2:5-6
- યર્મિયા 13:8-11
- મીખાહ 4:2-3
શબ્દ માહિતી:
- Strong's: H1869, H1979, H1980, H1981, H3212, H4108, H4109, G1330, G1704, G3716, G4043, G4198, G4748
ચાલવું, ચાલવું, ચાલ્યો, ચાલવું
વ્યાખ્યા:
"ચાલવું” શબ્દનો અર્થ ઘણીવાર લાક્ષણિક અર્થમા "જીવવું” થાય છે.
- “ હનોખ દેવ સાથે ચાલ્યા" એટલે એનો અર્થ હનોખ ઈશ્વર સાથે ગાઢ સંબંધમાં રહીને જીવતા હતા.
- 'આત્મા દ્વારા ચાલવું' એટલે પવિત્ર આત્મા દ્વારા માર્ગદર્શન પામવું, જેથી આપણે જે કઇ કરીએ તેથી ઈશ્વરને ખુશ કરીએ છીએ અને સન્માન કરીએ છીએ.
- ઈશ્વરની આજ્ઞાઓમાં ચાલવું અથવા 'દેવના માર્ગમાં ચાલવું' એટલે કે, 'તેમની આજ્ઞાઓમાં જીવવું' અથવા તેમની આજ્ઞાઓને આધીન રહેવું અથવા 'તેમની ઇચ્છા પ્રમાણે કરવું' એ છે.
- જ્યારે ઈશ્વર કહે છે કે તેઓ તેમના લોકો વચ્ચે "ચાલશે", તેનો અર્થ એ કે તેઓ તેમની વચ્ચે રહે છે અથવા તેમની સાથે નજીકથી વાતચીત કરી રહ્યા છે.
- “ની વિરુદ્ધ ચાલવું” નો અર્થ કંઈક અથવા કોઈની વિરુદ્ધ છે તે રીતે જીવવું અથવા વર્તન કરવું. "
- “ પાછળ ચાલવું" નો અર્થ એ કે કોઈ વ્યક્તિને અથવા કંઈક શોધી કાઢવું.
બીજા કોઈની જેમ જ કાર્ય કરવાનો અર્થ પણ થઈ શકે છે.
અનુવાદનાં સૂચનો:
- સાચો અર્થ સમજીને "ચાલવું” નો શાબ્દિક, અનુવાદ કરવામાં આવશે ત્યાં સુધી શ્રેષ્ઠ છે.
- નહિંતર, "ચાલવું " નો લાક્ષણિક ઉપયોગ "જીવવું" અથવા "કૃત્ય કરવું" અથવા"વર્તવું” દ્વારા પણ અનુવાદ કરી શકાય છે.
- “આત્મા દ્વારા ચાલવું" શબ્દનું ભાષાંતર "પવિત્ર આત્માની આધીનતામાં જીવવું " અથવા "પવિત્ર આત્માને આનંદદાયક છે તે રીતે વર્તવું “ અથવા"જે બાબતો ઈશ્વરને ખુશ કરે છે તેવું માર્ગદર્શન પવિત્ર આત્મા તમને આપે છે” તરીકે કરી શકાય છે.
- “ઈશ્વરની આજ્ઞાઓમાં ચાલવું” એનું ભાષાંતર "ઈશ્વરની આજ્ઞાઓથી જીવવું " અથવા "ઈશ્વરની આજ્ઞાઓ પાળવી" કરી શકાય છે.
- “ ઈશ્વરની સાથે ચાલ્યો" શબ્દસમૂહનું ભાષાંતર આમ થઈ શકે છે, " ઈશ્વર સાથે ગાઢ સંબંધમાં તેમનું પાલન કરીને અને તેમને માન આપીને જીવ્યો હતો."
(આ પણ જુઓ: પવિત્ર આત્મા, માન)
બાઇબલ સંદર્ભો:
- 1 યોહાન 1:5-7
- 1 રાજાઓ 2:1-4
- કલોસી 2:6-7
- ગલાતી 5:25-26
- ઉત્પત્તિ 17:1-2
- યશાયા 2:5-6
- યર્મિયા 13:8-11
- મીખાહ 4:2-3
શબ્દ માહિતી:
- Strong's: H1869, H1979, H1980, H1981, H3212, H4108, H4109, G1330, G1704, G3716, G4043, G4198, G4748
ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર
વ્યાખ્યા:
ચિહ્ન એ એક હેતુ, પ્રસંગ, અથવા ક્રિયા છે કે જે ખાસ અર્થ વિષે વાતચીત કરે છે.
- “સ્મૃતિપત્રો” ચિહ્નો છે જે લોકોને “યાદ અપાવે છે” તેઓને કંઇક યાદ કરાવવા મદદરૂપ બનીને, મોટેભાગે જેનું વચન આપવામાં આવ્યું હતું તેને:
- આકાશમાં જે મેઘધનુષ્ય ઈશ્વર રચે છે તે લોકોને યાદ અપાવવા માટે ચિહ્ન છે કે તેમણે વચન આપ્યું છે કે હવે પછી તેઓ સર્વ જીવોનો નાશ વૈશ્વિક જળપ્રલયથી નહિ કરે.
- ઈશ્વરે ઈઝરાયેલીઓને આજ્ઞા કરી કે તેમના તેઓ સાથેના કરારના ચિહ્ન તરીકે તેઓના દીકરાઓની સુન્નત કરાવવામાં આવે.
- ચિહ્નો કંઇક પ્રગટ કે દર્શાવી શકે છે:
- દૂતે ભરવાડોને ચિહ્ન આપ્યું કે જે તેઓને મદદરૂપ બને એ જાણવા માટે કે કયું બાળક બેથલેહેમમાં નવા જન્મેલાં મસીહા છે.
- યહુદાએ ધાર્મિક આગેવાનોને ઈસુ એ જ વ્યક્તિ છે જેને તેઓએ પકડવા જોઈએ તેના ચિહ્ન તરીકે ઈસુને ચુંબન કર્યું.
- ચિહ્નો સાબિત કરી શકે છે કે કંઇક સાચું છે:
- પ્રબોધકો અને પ્રેરીતો દ્વારા જે ચમત્કારો કરવામાં આવ્યા તે ચિહ્નરૂપ હતા કે જે સાબિત કરતાં હતા કે તેઓ ઈશ્વરનો સંદેશો બોલી રહ્યા છે.
- ઈસુએ જે ચમત્કારો કર્યા તે ચિહ્નરૂપ હતા જે સાબિત કરતાં હતા કે તેઓ ખરેખર મસીહા હતા.
અનુવાદ માટેના સૂચનો:
- તેના સંદર્ભના આધારે, “ચિહ્ન” નું અનુવાદ “સંકેત” અથવા “પ્રતિક” અથવા “ચિહ્ન” અથવા “પુરાવો” અથવા “સાબિતી” અથવા “હાવભાવ” એમ પણ કરી શકાય.
- “હાથ વળે ચિહ્નો કરવા” નું અનુવાદ “હાથ વળે પ્રસ્તાવ” અથવા “હાથ વળે હાવભાવ” અથવા “હાવભાવ કરવા” એમ પણ અનુવાદ કરી શકાય.
- કેટલીક ભાષાઓમાં, “ચિહ્ન” માટે એક જ શબ્દ હોઈ શકે કે જે કંઇક સાબિત કરે અને જુદા જુદા શબ્દ “ચિહ્ન” માટે કે જે ચમત્કાર હોઈ શકે.
(આ પણ જુઓ: ચમત્કાર, પ્રેરિત, ખ્રિસ્ત, કરાર, સુન્નત)
બાઈબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 2:18-19
- નિર્ગમન 4:8-9
- નિર્ગમન 31:12-15
- ઉત્પતિ 1:14-15
- ઉત્પતિ 9:11-13
- યોહાન 2:17-19
- લૂક 2:10-12
- માર્ક 8:11-13
- ગીતશાસ્ત્ર 89:5-6
શબ્દ માહિતી:
- Strong's: H226, H852, H2368, H2858, H4150, H4159, H4864, H5251, H5824, H6161, H6725, H6734, H7560, G364, G880, G1213, G1229, G1718, G1730, G1732, G1770, G3902, G4102, G4591, G4592, G4953, G4973, G5280
ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર
વ્યાખ્યા:
ચિહ્ન એ એક હેતુ, પ્રસંગ, અથવા ક્રિયા છે કે જે ખાસ અર્થ વિષે વાતચીત કરે છે.
- “સ્મૃતિપત્રો” ચિહ્નો છે જે લોકોને “યાદ અપાવે છે” તેઓને કંઇક યાદ કરાવવા મદદરૂપ બનીને, મોટેભાગે જેનું વચન આપવામાં આવ્યું હતું તેને:
- આકાશમાં જે મેઘધનુષ્ય ઈશ્વર રચે છે તે લોકોને યાદ અપાવવા માટે ચિહ્ન છે કે તેમણે વચન આપ્યું છે કે હવે પછી તેઓ સર્વ જીવોનો નાશ વૈશ્વિક જળપ્રલયથી નહિ કરે.
- ઈશ્વરે ઈઝરાયેલીઓને આજ્ઞા કરી કે તેમના તેઓ સાથેના કરારના ચિહ્ન તરીકે તેઓના દીકરાઓની સુન્નત કરાવવામાં આવે.
- ચિહ્નો કંઇક પ્રગટ કે દર્શાવી શકે છે:
- દૂતે ભરવાડોને ચિહ્ન આપ્યું કે જે તેઓને મદદરૂપ બને એ જાણવા માટે કે કયું બાળક બેથલેહેમમાં નવા જન્મેલાં મસીહા છે.
- યહુદાએ ધાર્મિક આગેવાનોને ઈસુ એ જ વ્યક્તિ છે જેને તેઓએ પકડવા જોઈએ તેના ચિહ્ન તરીકે ઈસુને ચુંબન કર્યું.
- ચિહ્નો સાબિત કરી શકે છે કે કંઇક સાચું છે:
- પ્રબોધકો અને પ્રેરીતો દ્વારા જે ચમત્કારો કરવામાં આવ્યા તે ચિહ્નરૂપ હતા કે જે સાબિત કરતાં હતા કે તેઓ ઈશ્વરનો સંદેશો બોલી રહ્યા છે.
- ઈસુએ જે ચમત્કારો કર્યા તે ચિહ્નરૂપ હતા જે સાબિત કરતાં હતા કે તેઓ ખરેખર મસીહા હતા.
અનુવાદ માટેના સૂચનો:
- તેના સંદર્ભના આધારે, “ચિહ્ન” નું અનુવાદ “સંકેત” અથવા “પ્રતિક” અથવા “ચિહ્ન” અથવા “પુરાવો” અથવા “સાબિતી” અથવા “હાવભાવ” એમ પણ કરી શકાય.
- “હાથ વળે ચિહ્નો કરવા” નું અનુવાદ “હાથ વળે પ્રસ્તાવ” અથવા “હાથ વળે હાવભાવ” અથવા “હાવભાવ કરવા” એમ પણ અનુવાદ કરી શકાય.
- કેટલીક ભાષાઓમાં, “ચિહ્ન” માટે એક જ શબ્દ હોઈ શકે કે જે કંઇક સાબિત કરે અને જુદા જુદા શબ્દ “ચિહ્ન” માટે કે જે ચમત્કાર હોઈ શકે.
(આ પણ જુઓ: ચમત્કાર, પ્રેરિત, ખ્રિસ્ત, કરાર, સુન્નત)
બાઈબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 2:18-19
- નિર્ગમન 4:8-9
- નિર્ગમન 31:12-15
- ઉત્પતિ 1:14-15
- ઉત્પતિ 9:11-13
- યોહાન 2:17-19
- લૂક 2:10-12
- માર્ક 8:11-13
- ગીતશાસ્ત્ર 89:5-6
શબ્દ માહિતી:
- Strong's: H226, H852, H2368, H2858, H4150, H4159, H4864, H5251, H5824, H6161, H6725, H6734, H7560, G364, G880, G1213, G1229, G1718, G1730, G1732, G1770, G3902, G4102, G4591, G4592, G4953, G4973, G5280
ચુંબન, ચુંબન કરે છે, ચુંબન કર્યું, ચુંબન કરી રહ્યા છે
વ્યાખ્યા:
ચુંબન એ ક્રિયા છે જેમાં એક વ્યક્તિ પોતાના હોઠ બીજાના હોઠ અથવા ચહેરા પર મૂકે છે
આ શબ્દનો ઉપયોગ લાક્ષણિક રીતમાં પણ કરી શકાય.
- કેટલીક સંસ્કૃતિમાં અભિવાદન કે છેલ્લી સલામી પાઠવવાના ભાગ સ્વરૂપે એકબીજાના ગાલ પર ચુંબન કરવામાં આવે છે.
- ચુંબન એ બે વ્યક્તિઓ વચ્ચે ઊંડો પ્રેમ છે તે જણાવી શકે છે, જેમ કે પતિ-પત્ની તરીકે.
- "કોઈકને વિદાય વેળાનું ચુંબન કરવું" ની અભિવ્યક્તિ એટલે કે ચુંબન સાથે છેલ્લી સલામ કહેવી.
- કેટલીકવાર "ચુંબન" શબ્દ "કોઈકને છેલ્લી સલામ કહેવા" વાપરવામાં આવે છે.
જ્યારે એલિશાએ એલિયાને કહ્યું, "મને પહેલા મારા માતપિતા પાસે જઈને ચુંબન કરી આવવા દે," ત્યારે તે એલિયાને અનુસરવા માટે તેના માતપિતાને છોડતા પહેલા છેલ્લી સલામ કહેવા ઈચ્છતો હતો.
બાઈબલના સંદર્ભો:
- 1 થેસ્સાલોનિકીઓ 5:25-28
- ઉત્પત્તિ 27:26-27
- ઉત્પત્તિ 29:11-12
- ઉત્પત્તિ 31:26-28
- ઉત્પત્તિ 45:14-15
- ઉત્પત્તિ 48:8-10
- લૂક 22:47-48
- માર્ક 14:43-46
- માથ્થી 26:47-48
શબ્દ માહિતી:
- Strong's: H5390, H5401, G2705, G5368, G5370
ચોર, ચોરો, લૂંટ, લૂંટી, લૂંટી લેવાયા, લૂંટારો, લૂંટારાઓ , લૂંટફાટ, લૂંટતા
તથ્યો:
"ચોર" શબ્દ એ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે અન્ય લોકો પાસેથી નાણાં અથવા સંપત્તિ ચોરી કરે છે.
“ચોર” નું બહુવચન “ચોરો” છે.
" લૂંટારો " શબ્દ ઘણી વખત એવા ચોરનો ઉલ્લેખ કરે છે કે જે લોકો પાસેથી ચોરી કરતા હોય તેવા લોકોને શારીરિક નુકસાન પહોંચાડે છે અથવા ધમકી આપે છે.
- ઈસુએ એક સમરૂની માણસ વિષે એક દૃષ્ટાંત આપ્યું હતું, જેણે એક યહુદી માણસની સંભાળ રાખી હતી. જેના પર લૂંટારા દ્વારા હુમલો કરાયો હતો.
લૂંટારાઓએ યહૂદી માણસને તેના પૈસા અને કપડાં ચોરી કરતા પહેલાં તેમને માર્યો હતો અને ઘાયલ કર્યો હતો.
- ચોર અને લૂંટારાઓ બંને અચાનક ચોરી કરવા આવે છે, જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી.
મોટેભાગે તેઓ શું કરી રહ્યાં છે તે છુપાવવા માટે અંધકારના આવરણનો ઉપયોગ કરે છે.
- એક લાક્ષણિક રીતે, નવા કરારમાં શેતાનને ચોર તરીકે વર્ણવે છે જે ચોરી કરવા, મારવા અને નાશ કરવા આવે છે.
આનો અર્થ એ થાય કે શેતાનની યોજના ઈશ્વરના લોકો તેમને આધીન રહેવાનું બંધ કરે તેવો પ્રયાસ કરવો..
જો શેતાન આ કરવામાં સફળ થાય તો ઈશ્વરે જે સારી વસ્તુઓની તેમના માટે યોજના કરી છે તેમાંથી તેમની પાસેથી ચોરી કરે છે।
- ઈસુએ તેમના અચાનક પાછા આવવાની સરખામણી ચોર અચાનક લોકો પાસેથી ચોરી કરવા આવે છે તેની સાથે કરી.
જેમ લોકો તેની અપેક્ષા રાખતા નથી એવા સમયે ચોર આવે છે , તેમ જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી તેમ ઈસુ તે સમયે પાછો આવશે
(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, ગુનો ,વધસ્તંભે જડવું, અંધકાર, નાશ, સામર્થ્ય, સમરૂન, શેતાન)
બાઇબલના સંદર્ભો:
- 2 પિતર 3:10
- લુક 12:33-34
- માર્ક 14:47-50
- નીતિવચનો 6:30-31
- પ્રકટીકરણ 3:3-4
શબ્દ માહિતી:
- Strong's: H1214, H1215, H1416, H1589, H1590, H1980, H6530, H6782, H7703, G727, G1888, G2417, G2812, G3027
ચોર, ચોરો, લૂંટ, લૂંટી, લૂંટી લેવાયા, લૂંટારો, લૂંટારાઓ , લૂંટફાટ, લૂંટતા
તથ્યો:
"ચોર" શબ્દ એ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે અન્ય લોકો પાસેથી નાણાં અથવા સંપત્તિ ચોરી કરે છે.
“ચોર” નું બહુવચન “ચોરો” છે.
" લૂંટારો " શબ્દ ઘણી વખત એવા ચોરનો ઉલ્લેખ કરે છે કે જે લોકો પાસેથી ચોરી કરતા હોય તેવા લોકોને શારીરિક નુકસાન પહોંચાડે છે અથવા ધમકી આપે છે.
- ઈસુએ એક સમરૂની માણસ વિષે એક દૃષ્ટાંત આપ્યું હતું, જેણે એક યહુદી માણસની સંભાળ રાખી હતી. જેના પર લૂંટારા દ્વારા હુમલો કરાયો હતો.
લૂંટારાઓએ યહૂદી માણસને તેના પૈસા અને કપડાં ચોરી કરતા પહેલાં તેમને માર્યો હતો અને ઘાયલ કર્યો હતો.
- ચોર અને લૂંટારાઓ બંને અચાનક ચોરી કરવા આવે છે, જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી.
મોટેભાગે તેઓ શું કરી રહ્યાં છે તે છુપાવવા માટે અંધકારના આવરણનો ઉપયોગ કરે છે.
- એક લાક્ષણિક રીતે, નવા કરારમાં શેતાનને ચોર તરીકે વર્ણવે છે જે ચોરી કરવા, મારવા અને નાશ કરવા આવે છે.
આનો અર્થ એ થાય કે શેતાનની યોજના ઈશ્વરના લોકો તેમને આધીન રહેવાનું બંધ કરે તેવો પ્રયાસ કરવો..
જો શેતાન આ કરવામાં સફળ થાય તો ઈશ્વરે જે સારી વસ્તુઓની તેમના માટે યોજના કરી છે તેમાંથી તેમની પાસેથી ચોરી કરે છે।
- ઈસુએ તેમના અચાનક પાછા આવવાની સરખામણી ચોર અચાનક લોકો પાસેથી ચોરી કરવા આવે છે તેની સાથે કરી.
જેમ લોકો તેની અપેક્ષા રાખતા નથી એવા સમયે ચોર આવે છે , તેમ જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી તેમ ઈસુ તે સમયે પાછો આવશે
(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, ગુનો ,વધસ્તંભે જડવું, અંધકાર, નાશ, સામર્થ્ય, સમરૂન, શેતાન)
બાઇબલના સંદર્ભો:
- 2 પિતર 3:10
- લુક 12:33-34
- માર્ક 14:47-50
- નીતિવચનો 6:30-31
- પ્રકટીકરણ 3:3-4
શબ્દ માહિતી:
- Strong's: H1214, H1215, H1416, H1589, H1590, H1980, H6530, H6782, H7703, G727, G1888, G2417, G2812, G3027
છૂટાછેડા
વ્યાખ્યા:
છૂટાછેડા એ લગ્નની સમાપ્તિનું કાનૂની કાર્ય છે.
“છૂટાછેડા” શબ્દનો અર્થ, ઔપચારિક અને કાયદેસર રીતે લગ્નનો અંત લાવવાની પ્રક્રિયા છે.
- “છૂટાછેડા” શબ્દ માટેનો શાબ્દિક અર્થ, “મોકલી દેવું” અથવા “ઔપચારિક રીતથી અલગ” થાય છે.
છૂટાછેડાને દર્શાવવા માટે અન્ય ભાષાઓમાં કદાચ સમાન અભિવ્યક્તિઓ હોય છે.
- “છૂટાછેડાનું પ્રમાણપત્ર” શબ્દનું ભાષાંતર, “એક પ્રકારનું પત્ર છે કે જે દર્શાવે છે કે લગ્નનો અંત આવી ગયો છે.
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 8:8-11
- લેવીય 21:7-9
- લૂક 16:18
- માર્ક 10:1-4
- માથ્થી 5:31-32
- માથ્થી 19:3-4
શબ્દ માહિતી:
- Strong's: H1644, H3748, H5493, H7971, G630, G647, G863
છૂટાછેડા
વ્યાખ્યા:
છૂટાછેડા એ લગ્નની સમાપ્તિનું કાનૂની કાર્ય છે.
“છૂટાછેડા” શબ્દનો અર્થ, ઔપચારિક અને કાયદેસર રીતે લગ્નનો અંત લાવવાની પ્રક્રિયા છે.
- “છૂટાછેડા” શબ્દ માટેનો શાબ્દિક અર્થ, “મોકલી દેવું” અથવા “ઔપચારિક રીતથી અલગ” થાય છે.
છૂટાછેડાને દર્શાવવા માટે અન્ય ભાષાઓમાં કદાચ સમાન અભિવ્યક્તિઓ હોય છે.
- “છૂટાછેડાનું પ્રમાણપત્ર” શબ્દનું ભાષાંતર, “એક પ્રકારનું પત્ર છે કે જે દર્શાવે છે કે લગ્નનો અંત આવી ગયો છે.
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 8:8-11
- લેવીય 21:7-9
- લૂક 16:18
- માર્ક 10:1-4
- માથ્થી 5:31-32
- માથ્થી 19:3-4
શબ્દ માહિતી:
- Strong's: H1644, H3748, H5493, H7971, G630, G647, G863
છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી
વ્યાખ્યા:
“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે.
“વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે.
“વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.
- વાવવાની અને રોપવાની રીત અલગ હોઈ શકે, પરંતુ એક રીત એ છે કે મુઠ્ઠીભર બીજ લેવા અને જમીનમાં તેઓને પાથરવા.
- બીજી રીત બીજ રોપવાની એ જમીનમાં કાણાં પાળવા અને દરેક કાણાંમાં બીજ મુકવા.
- “વાવવું” શબ્દ રૂપકાત્મક રીતે ઉપયોગમાં લઇ શકાય, જેમ કે “વ્યક્તિ જે વાવે છે તે જ લણે છે.”
એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.
અનુવાદ માટેના સૂચનો
- “વાવવું” શબ્દનો અનુવાદ “રોપવું” પણ કરી શકાય.
એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.
- “વાવનાર” ને અનુવાદ કરવાની બીજી રીતોમાં “રોપનાર” અથવા “ખેડૂત” અથવા “વ્યક્તિ કે જે બીજ વાવે છે” તેનો સમવેશ કરી શકાય.
- અંગ્રેજીમાં, “વાવવું” એ માત્ર બીજ વાવવા વપરાય છે, પરંતુ અંગેજી શબ્દ “છોડ/રોપવું” બીજ અને મોટી બાબતો, જેમ કે ઝાડ રોપવા વાપરી શકાય છે.
બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.
- “વ્યક્તિ જે વાવે છે તે લણે છે” અભિવ્યક્તિનુ અનુવાદ આમ કારી શકાય “જેમ ચોક્કસ પ્રકારના બીજ ચોક્કસ પ્રકારના છોડ ઉત્પન્ન કરે, તેમ જ વ્યક્તિના સારા કૃત્યો સારું પરિણામ લાવશે અને વ્યક્તિના દુષ્ટ કૃત્યો દુષ્ટ પરિણામ લાવશે.”
(આ પણ જુઓ: દુષ્ટ, સારું, કાપણી કરવી)
બાઈબલના સંદર્ભો:
- ગલાતીઓ 6:6-8
- લૂક 8:4-6
- માથ્થી 6:25-26
- માથ્થી 13:3-6
- માથ્થી 13:18-19
- માથ્થી 25:24-25
શબ્દ માહિતી:
- Strong's: H2221, H2232, H2233, H2236, H4218, H4302, H5193, H7971, H8362, G4687, G4703, G5300, G5452 , G6037
છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી
વ્યાખ્યા:
“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે.
“વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે.
“વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.
- વાવવાની અને રોપવાની રીત અલગ હોઈ શકે, પરંતુ એક રીત એ છે કે મુઠ્ઠીભર બીજ લેવા અને જમીનમાં તેઓને પાથરવા.
- બીજી રીત બીજ રોપવાની એ જમીનમાં કાણાં પાળવા અને દરેક કાણાંમાં બીજ મુકવા.
- “વાવવું” શબ્દ રૂપકાત્મક રીતે ઉપયોગમાં લઇ શકાય, જેમ કે “વ્યક્તિ જે વાવે છે તે જ લણે છે.”
એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.
અનુવાદ માટેના સૂચનો
- “વાવવું” શબ્દનો અનુવાદ “રોપવું” પણ કરી શકાય.
એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.
- “વાવનાર” ને અનુવાદ કરવાની બીજી રીતોમાં “રોપનાર” અથવા “ખેડૂત” અથવા “વ્યક્તિ કે જે બીજ વાવે છે” તેનો સમવેશ કરી શકાય.
- અંગ્રેજીમાં, “વાવવું” એ માત્ર બીજ વાવવા વપરાય છે, પરંતુ અંગેજી શબ્દ “છોડ/રોપવું” બીજ અને મોટી બાબતો, જેમ કે ઝાડ રોપવા વાપરી શકાય છે.
બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.
- “વ્યક્તિ જે વાવે છે તે લણે છે” અભિવ્યક્તિનુ અનુવાદ આમ કારી શકાય “જેમ ચોક્કસ પ્રકારના બીજ ચોક્કસ પ્રકારના છોડ ઉત્પન્ન કરે, તેમ જ વ્યક્તિના સારા કૃત્યો સારું પરિણામ લાવશે અને વ્યક્તિના દુષ્ટ કૃત્યો દુષ્ટ પરિણામ લાવશે.”
(આ પણ જુઓ: દુષ્ટ, સારું, કાપણી કરવી)
બાઈબલના સંદર્ભો:
- ગલાતીઓ 6:6-8
- લૂક 8:4-6
- માથ્થી 6:25-26
- માથ્થી 13:3-6
- માથ્થી 13:18-19
- માથ્થી 25:24-25
શબ્દ માહિતી:
- Strong's: H2221, H2232, H2233, H2236, H4218, H4302, H5193, H7971, H8362, G4687, G4703, G5300, G5452 , G6037
જમણો હાથ
વ્યાખ્યા:
રૂપકાત્મક શબ્દપ્રયોગ "જમણો હાથ" શાસકની અથવા બીજા મહત્વના વ્યક્તિની જમણી બાજુ માન અથવા બળની જગ્યા સૂચવે છે.
- શક્તિ, અધિકાર અથવા સામર્થ્યના ચિહ્ન તરીકે પણ જમણા હાથનો ઉપયોગ થાય છે.
- બાઈબલ વર્ણવે છે કે ઈસુ વિશ્વાસીઓના (મંડળી) શરીરના શિર તરીકે અને સમગ્ર સૃષ્ટિ પર અંકુશ ધરાવનાર શાસક તરીકે ઈશ્વરપિતાના "જમણા હાથે" બેઠા છે.
- જ્યારે આશીર્વાદ આપવાને માટે કોઈના માથા પર હાથ મુકવામાં આવતો ત્યારે વ્યક્તિનો જમણો હાથ ખાસ માન બતાવવા માટે વાપરવામાં આવતો હતો (જેમ વડા યાકુબે યુસફના દીકરા એફ્રાઈમને આશીર્વાદ આપ્યો હતો તેમ).
- કોઈના "જમણા હાથે રહીને સેવા કરવી'' એનો અર્થ એ કે એવા વ્યક્તિ બનવું કે જેની સેવા ખાસ કરીને તે વ્યક્તિ માટે મદદરૂપ તથા મહત્વની હોય.
અનુવાદ માટેના સૂચનો:
- કેટલીકવાર "જમણો હાથ" ખરેખર વ્યક્તિના જમણા હાથને દર્શાવે છે, જેમ કે રોમન સૈનિકોએ ઠપકો આપવાને માટે ઈસુના જમણા હાથે એક કર્મચારીને રાખ્યો હતો.
આ હાથનો સંદર્ભ આપવા માટે ભાષા જે શબ્દનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ કરીને તેનું અનુવાદ થવું જોઈએ.
- રૂપકાત્મક ઉપયોગ માટે, જો "જમણો હાથ" શબ્દનો સમાવેશ કરતો શબ્દપ્રયોગનો પ્રોજેક્ટ ભાષામાં સમાન અર્થ થતો ન હોય તો તે ભાષામાં સમાન અર્થવાળો કોઈ શબ્દપ્રયોગ છે કે નહીં તે કાળજીપૂર્વક ધ્યાનમાં લો.
- "જમણા હાથે" શબ્દપ્રયોગનું અનુવાદ "જમણી બાજુએ" અથવા "બાજુના સન્માનના સ્થાને" અથવા "સામર્થ્યની સ્થિતિમાં" અથવા "મદદ માટે તૈયાર" એમ પણ થઇ શકે છે.
- ''તેના જમણા હાથ વડે" નું અનુવાદ "અધિકાર સાથે" અથવા "શક્તિનો ઉપયોગ કરીને" અથવા "તેના અદ્દભૂત સામર્થ્ય વડે" એ રીતે પણ કરી શકાય.
- રૂપકાત્મક શબ્દપ્રયોગ "તેનો જમણો હાથ અને તેનો શક્તિશાળી ભૂજ" ઈશ્વરની શક્તિ અને મહાન સામર્થ્ય પર ભાર મૂકી બે રીતે ઉપયોગમાં લે છે. આ શબ્દપ્રયોગનો અનુવાદ કરવાની એક રીત આ પણ હોઈ શકે "તેનું અદ્દભૂત સામર્થ્ય અને સમર્થ શક્તિ.'' (જુઓ: સમાંતરણ
- શબ્દપ્રયોગ "તેનો જમણો હાથ જુઠ્ઠો છે" તેનું અનુવાદ "તેમના વિશેની સન્માનીય બાબત પણ જુઠ્ઠ દ્વારા દૂષિત છે" અથવા "તેમનું સન્માનીય સ્થાન છેતરપીંડી દ્વારા દૂષિત છે" અથવા "તેઓ પોતાને શક્તિમાન બનાવવા માટે જુઠ્ઠનો ઉપયોગ કરે છે" તેમ થઇ શકે છે.
(આ પણ જુઓ: આરોપ, દુષ્ટ, માન, બળ, શિક્ષા કરવી, બળવો કરવો)
બાઈબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 2:32-33
- ક્લોસ્સીઓ 3:1-4
- ગલાતીઓ 2:9-10
- ઉત્પત્તિ 48:14-16
- હિબ્રુઓ 10:11-14
- યર્મિયાનો વિલાપ 2:3-4
- માથ્થી 25:31-33
- માથ્થી 26:62-64
- ગીતશાસ્ત્ર 44:3-4
- પ્રકટીકરણ 2:1-2
શબ્દ માહિતી:
- Strong's: H3225, H3231, H3233, G1188
જવ
વ્યાખ્યા:
“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.
- જવના છોડને લાંબી દાંડી હોય છે અને તેની ઉપર કણસલું જોડાયેલું હોય છે, કે જ્યાં બીજ અથવા દાણાં વૃદ્ધિ પામે છે.
- જવ ગરમ વાતાવરણમાં સારું વધે છે જેથી વસંતઋતુ અને ઉનાળામાં તેની ખેતી વારંવાર થાય છે.
જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.
- જવના અનાજને દળીને લોટ કરાય છે, જેમાં પાણી અથવા તેલ ભેળવી રોટલી બનાવાય છે.
જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.
(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું
(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)
બાઈબલની કલમો:
- ઘઉં
- અયૂબ 31:38-40
- ન્યાયાધીશો 7:13-14
- ગણના 5:15
- પ્રકટીકરણ 6:5-6
શબ્દ માહિતી:
- Strong's: H8184, G2915, G2916
જવ
વ્યાખ્યા:
“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.
- જવના છોડને લાંબી દાંડી હોય છે અને તેની ઉપર કણસલું જોડાયેલું હોય છે, કે જ્યાં બીજ અથવા દાણાં વૃદ્ધિ પામે છે.
- જવ ગરમ વાતાવરણમાં સારું વધે છે જેથી વસંતઋતુ અને ઉનાળામાં તેની ખેતી વારંવાર થાય છે.
જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.
- જવના અનાજને દળીને લોટ કરાય છે, જેમાં પાણી અથવા તેલ ભેળવી રોટલી બનાવાય છે.
જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.
(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું
(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)
બાઈબલની કલમો:
- ઘઉં
- અયૂબ 31:38-40
- ન્યાયાધીશો 7:13-14
- ગણના 5:15
- પ્રકટીકરણ 6:5-6
શબ્દ માહિતી:
- Strong's: H8184, G2915, G2916
જાણવું, જાણે છે, જાણતો હતો, જ્ઞાન, ઓળખાવું, ઓળખાયો, ઓળખાવે છે, ઓળખાવ્યો, અજાણ, વંશવેલો, પૂર્વજ્ઞાન
વ્યાખ્યા:
"જાણવું" એટલે કે કંઈક સમજવું અથવા તથ્ય વિશે વાકેફ.
"ઓળખાવ્યો" અભિવ્યક્તિનો અર્થ માહિતી કહેવી/જણાવવી.
- "જ્ઞાન" શબ્દ લોકો જે માહિતી જાણે છે તેનો ઉલ્લેખ કરે છે.
તે ભૌતિક અને આત્મિક બંને જગતની બાબતો જાણવાનો સમાવેશ કરે છે.
- ઈશ્વર "ના વિશે જાણવું" એટલે તેમના વિશેના તથ્યો સમજવા જે કારણે તેમણે આપણને પ્રગટ કર્યા છે.
- ઈશ્વરને "જાણવા" એટલે તેમની સાથે સંબંધ હોવો.
તે લોકોને જાણવાનો પણ સમાવેશ કરે છે.
- ઈશ્વરની ઈચ્છા જાણવી એટલે વ્યક્તિને જે હુકમ આપવામાં આવ્યો છે તેનાથી વાકેફ, અથવા ઈશ્વર શું ઈચ્છે છે કે વ્યક્તિ કરે તે સમજવું.
- "નિયમને જાણવો" એટલે ઈશ્વરે જે હુકમ કર્યો છે તેનાથી વાકેફ, અથવા મુસાને આપવામાં આવેલ નિયમોમાં ઈશ્વરે શું સૂચના આપી છે તે સમજવું.
- કેટલીકવાર "જ્ઞાન" ને "ડહાપણ" ના સમાનાર્થી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જે ઈશ્વરને પ્રસન્ન કરે એ રીતે જીવવાનો સમાવેશ કરે છે.
- "ઈશ્વરનું જ્ઞાન" ને કેટલીકવાર "યહોવાની બીક" ના સમાનાર્થી તરીકે વાપરવામાં આવે છે.
અનુવાદ માટેના સુચનો
- સંદર્ભને આધારે, "જાણવું" ને અનુવાદ કરવાની રીતોમાં "સમજવું" અથવા "ની સાથે પરિચિત" અથવા "ના વિશે વાકેફ" અથવા "ના વિશે માહિતગાર" અથવા "ની સાથે સંબંધમાં હોવું" નો સમાવેશ થાય છે.
- કેટલીક ભાષાઓમા "જાણવું" માટે બે અલગ શબ્દો હોય છે, એક તથ્યો જાણવા માટે, અને બીજો વ્યક્તિને જાણવા અને તેની સાથે સંબંધ હોવા માટે.
- "ઓળખાયો" શબ્દનું અનુવાદ "લોકો જાણે તે માટેનું પ્રયોજન" અથવા "પ્રગટ કરવું" અથવા "તે વિશે કહેવું" અથવા "સમજાવવું" એમ કરી શકાય.
- "ના વિશે જાણવું" કંઈકનું અનુવાદ "થી વાકેફ" અથવા "ની સાથે પરિચિત" એમ કરી શકાય.
- "કેવી રીતે વિશે જાણવું" અભિવ્યક્તિનો અર્થ કંઈક પૂરું કરવાની પ્રક્રિયા કે પદ્ધતિને સમજવી.
તેનું "સક્ષમ" અથવા "કુશળતા હોવી" અનુવાદ કરી શકાય.
- "જ્ઞાન" શબ્દનું અનુવાદ સંદર્ભને આધારે "જે જાણીતું છે" અથવા "ડહાપણ" અથવા "સમજશક્તિ" કરી શકાય.
(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, પ્રગટ કરવું, સમજવું, ડાહ્યું)
બાઈબલના સંદર્ભો:
- 1 કરિંથીઓ 2:12-13
- 1 શમુએલ 17:46-47
- 2 કરિંથીઓ 2:14-15
- 2 પિત્તર 1:3-4
- પુનર્નિયમ 4:39-40
- ઉત્પત્તિ 19:4-5
- લૂક 1:76-77
શબ્દ માહિતી:
- Strong's: H1843, H1844, H1847, H1875, H3045, H3046, H4093, H4486, H5046, H5234, H5475, H5869, G50, G56, G1097, G1107, G1108, G1231, G1492, G1921, G1922, G1987, G2467, G2589, G3877, G4267, G4894
જાણવું, જાણે છે, જાણતો હતો, જ્ઞાન, ઓળખાવું, ઓળખાયો, ઓળખાવે છે, ઓળખાવ્યો, અજાણ, વંશવેલો, પૂર્વજ્ઞાન
વ્યાખ્યા:
"જાણવું" એટલે કે કંઈક સમજવું અથવા તથ્ય વિશે વાકેફ.
"ઓળખાવ્યો" અભિવ્યક્તિનો અર્થ માહિતી કહેવી/જણાવવી.
- "જ્ઞાન" શબ્દ લોકો જે માહિતી જાણે છે તેનો ઉલ્લેખ કરે છે.
તે ભૌતિક અને આત્મિક બંને જગતની બાબતો જાણવાનો સમાવેશ કરે છે.
- ઈશ્વર "ના વિશે જાણવું" એટલે તેમના વિશેના તથ્યો સમજવા જે કારણે તેમણે આપણને પ્રગટ કર્યા છે.
- ઈશ્વરને "જાણવા" એટલે તેમની સાથે સંબંધ હોવો.
તે લોકોને જાણવાનો પણ સમાવેશ કરે છે.
- ઈશ્વરની ઈચ્છા જાણવી એટલે વ્યક્તિને જે હુકમ આપવામાં આવ્યો છે તેનાથી વાકેફ, અથવા ઈશ્વર શું ઈચ્છે છે કે વ્યક્તિ કરે તે સમજવું.
- "નિયમને જાણવો" એટલે ઈશ્વરે જે હુકમ કર્યો છે તેનાથી વાકેફ, અથવા મુસાને આપવામાં આવેલ નિયમોમાં ઈશ્વરે શું સૂચના આપી છે તે સમજવું.
- કેટલીકવાર "જ્ઞાન" ને "ડહાપણ" ના સમાનાર્થી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જે ઈશ્વરને પ્રસન્ન કરે એ રીતે જીવવાનો સમાવેશ કરે છે.
- "ઈશ્વરનું જ્ઞાન" ને કેટલીકવાર "યહોવાની બીક" ના સમાનાર્થી તરીકે વાપરવામાં આવે છે.
અનુવાદ માટેના સુચનો
- સંદર્ભને આધારે, "જાણવું" ને અનુવાદ કરવાની રીતોમાં "સમજવું" અથવા "ની સાથે પરિચિત" અથવા "ના વિશે વાકેફ" અથવા "ના વિશે માહિતગાર" અથવા "ની સાથે સંબંધમાં હોવું" નો સમાવેશ થાય છે.
- કેટલીક ભાષાઓમા "જાણવું" માટે બે અલગ શબ્દો હોય છે, એક તથ્યો જાણવા માટે, અને બીજો વ્યક્તિને જાણવા અને તેની સાથે સંબંધ હોવા માટે.
- "ઓળખાયો" શબ્દનું અનુવાદ "લોકો જાણે તે માટેનું પ્રયોજન" અથવા "પ્રગટ કરવું" અથવા "તે વિશે કહેવું" અથવા "સમજાવવું" એમ કરી શકાય.
- "ના વિશે જાણવું" કંઈકનું અનુવાદ "થી વાકેફ" અથવા "ની સાથે પરિચિત" એમ કરી શકાય.
- "કેવી રીતે વિશે જાણવું" અભિવ્યક્તિનો અર્થ કંઈક પૂરું કરવાની પ્રક્રિયા કે પદ્ધતિને સમજવી.
તેનું "સક્ષમ" અથવા "કુશળતા હોવી" અનુવાદ કરી શકાય.
- "જ્ઞાન" શબ્દનું અનુવાદ સંદર્ભને આધારે "જે જાણીતું છે" અથવા "ડહાપણ" અથવા "સમજશક્તિ" કરી શકાય.
(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, પ્રગટ કરવું, સમજવું, ડાહ્યું)
બાઈબલના સંદર્ભો:
- 1 કરિંથીઓ 2:12-13
- 1 શમુએલ 17:46-47
- 2 કરિંથીઓ 2:14-15
- 2 પિત્તર 1:3-4
- પુનર્નિયમ 4:39-40
- ઉત્પત્તિ 19:4-5
- લૂક 1:76-77
શબ્દ માહિતી:
- Strong's: H1843, H1844, H1847, H1875, H3045, H3046, H4093, H4486, H5046, H5234, H5475, H5869, G50, G56, G1097, G1107, G1108, G1231, G1492, G1921, G1922, G1987, G2467, G2589, G3877, G4267, G4894
જાતિ, જાતિઓ, આદિજાતિ, આદિવાસીઓ
વ્યાખ્યા:
એક જાતિનું લોકજૂથ જે સામાન્ય પૂર્વજ પરથી ઉતરી આવે છે.
- સમાન જાતિના લોકો સામાન્ય રીતે સામાન્ય ભાષા અને સંસ્કૃતિને પણ વહેંચે છે.
- જૂના કરારમાં, ઈશ્વરે ઈસ્રાએલના લોકોને બાર કુળોમાં વિભાજિત કર્યા.
દરેક જાતિ યાકુબના એક પુત્ર અથવા પૌત્ર પરથી ઉતરી આવ્યું હતું.
- એક જાતિ રાષ્ટ્ર કરતાં નાની છે, પરંતુ એક કુળ કરતાં મોટી છે.
(આ પણ જુઓ: કુળ, દેશ, લોકજાતિ, ઇસ્રાએલના બાર કુળ)
બાઇબલના સંદર્ભો:
- 1શમુએલ:17-19
- 2રાજાઓ 17:16-18
- ઉત્પત્તિ 25:13-16
- ઉત્પત્તિ 49:16-18
- લુક 2:36-38
શબ્દ માહિતી:
- Strong's: H523, H4294, H7625, H7626, G1429, G5443
જાતિ, જાતિઓ, આદિજાતિ, આદિવાસીઓ
વ્યાખ્યા:
એક જાતિનું લોકજૂથ જે સામાન્ય પૂર્વજ પરથી ઉતરી આવે છે.
- સમાન જાતિના લોકો સામાન્ય રીતે સામાન્ય ભાષા અને સંસ્કૃતિને પણ વહેંચે છે.
- જૂના કરારમાં, ઈશ્વરે ઈસ્રાએલના લોકોને બાર કુળોમાં વિભાજિત કર્યા.
દરેક જાતિ યાકુબના એક પુત્ર અથવા પૌત્ર પરથી ઉતરી આવ્યું હતું.
- એક જાતિ રાષ્ટ્ર કરતાં નાની છે, પરંતુ એક કુળ કરતાં મોટી છે.
(આ પણ જુઓ: કુળ, દેશ, લોકજાતિ, ઇસ્રાએલના બાર કુળ)
બાઇબલના સંદર્ભો:
- 1શમુએલ:17-19
- 2રાજાઓ 17:16-18
- ઉત્પત્તિ 25:13-16
- ઉત્પત્તિ 49:16-18
- લુક 2:36-38
શબ્દ માહિતી:
- Strong's: H523, H4294, H7625, H7626, G1429, G5443
જાદુ, જાદુઈ, જાદુગર, જાદુગરો
વ્યાખ્યા:
“જાદુ” શબ્દ ઈશ્વર તરફથી આપવામાં આવી ન હોય તેવી અલૌકિક શક્તિ વાપરવાની ક્રિયાનો ઉલ્લેખ કરે છે.
જાદુ કરનાર વ્યક્તિને “જાદુગર” કહેવાય છે.
- ઈજીપ્તમાં, જ્યારે ઈશ્વરે મૂસા દ્વારા ચમત્કારિક કામો કર્યાં ત્યારે, ઈજીપ્તના રાજા ફારુનના જાદુગરો તેવા જ કામો કરવા સક્ષમ હતા, પણ તેમની શક્તિ ઈશ્વર તરફથી ન હતી.
- જાદુમાં મોટાભાગે મંત્રો ફૂંકવા અથવા તો કંઈક અલૌકિક બાબત કરવા અમુક શબ્દોનું વારંવાર ઉચ્ચારણ કરવામાં આવે છે.
- ઈશ્વરે તેમના લોકોને આવી જાદુક્રિયાઓ અથવા તો ભવિષ્ય ભાખવાની બાબતો ન કરવા આજ્ઞા આપી છે.
- તાંત્રિક વ્યક્તિ એક પ્રકારનો જાદુગર છે કે જે સામાન્ય રીતે બીજાઓને નુકસાન પહોંચાડવા જાદુક્રિયા કરે છે.
(આ પણ જૂઓ: ભવિષ્યકથન, મિસર, ફારૂન, સામર્થ્ય, જાદુગર)
બાઇબલના સંદર્ભો:
- ઉત્પત્તિ 41:7-8
- ઉત્પત્તિ 41:22-24
- ઉત્પત્તિ 44:3-5
- ઉત્પત્તિ 44:14-15
શબ્દ માહિતી:
- Strong's: H2748, H2749, H3049, G3097
જાદુગર, જાદુગરો, સ્ત્રી જાદુગર, મેલીવિદ્યા, મેલીવિદ્યાઓ, મેલીવિદ્યા
વ્યાખ્યા:
“જાદુ” અથવા “મેલીવિદ્યા” જાદુનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ કરે છે, જે દુશ્તાત્માઓ દ્વારા શક્તિશાળી બાબતો કરવાનો સમાવેશ કરે છે.
એ “જાદુગર” એ છે કે જે આ શક્તિશાળી, જાદુને લગતી બાબતો કરે છે.
- જાદુ અને મેલીવિદ્યાનો ઉપયોગ લાભદાયી બાબતો (જેમ કે કોઈને નીરોગી કરવા) અને નુકસાનકારક બાબતો (જેમ કે કોઈકના પર શાપ મુકવો) બંનેનો સમાવેશ કરે છે.
પરંતુ દરેક પ્રકારની મેલીવિદ્યાઓ ખોટી છે, કારણ કે તેઓ દુશ્તાત્માઓના સામર્થનો ઉપયોગ કરે છે.
- બાઈબલમાં, ઈશાવ્ર કહે છે કે મેલીવિદ્યાનો ઉપયોગ બીજા પાપો (જેવા કે વ્યભિચાર, મૂર્તિઓની પૂજા અને બાળ અર્પણો) જેટલું જ ભયંકર છે.
- “મેલીવિદ્યા” અને “મેલીવિદ્યા” શબ્દોનું અનુવાદ “દુષ્ટાત્માનું સામર્થ” અથવા જદુમંત્ર કરવું” એમ પણ કરી શકાય.
- “જાદુગર” ને અનુવાદ કરવાની રીતોમાં “જાદુના કામદારો” અથવા “વ્યક્તિ કે જે જાદુમંત્ર કરે છે” અથવા “વ્યક્તિ કે જે દુશ્તાત્માઓના સામર્થનો ઉપયોગ કરીને ચમત્કારો કરે છે” નો સમાવેશ કરી શકાય.
- એ નોંધો કે “મેલીવિદ્યા” ના “ભવિષ્યકથન” કરતાં જુદાં-જુદાં અર્થ છે, કે જે આત્માના જગતનો સંપક કરવાનો પ્રયત્ન કરે છે તેનો ઉલ્લેખ કરે છે.
(આ પણ જુઓ: વ્યભિચાર, ભૂત, ભવિષ્યકથન, દેવ, જાદુ, બલિદાન, ઉપાસના)
બાઈબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 8:9-11
- નિર્ગમન 7:11-13
- ગલાતીઓ 5:19-21
- પ્રકટીકરણ 9:20-21
શબ્દ માહિતી:
- Strong's: H3784, H3785, H3786, H6049, G3095, G3096, G3097, G5331, G5332, G5333
જાળ, જાળ પાથરે છે, જાળમાં ફસાવવું, જાળમાં ફસાવે છે, જાળમાં ફસાવ્યો, ફોસલાવવું, છટકું, છટકું કરે છે, છટકું ગોઠવ્યું
વ્યાખ્યા:
“જાળ” અને “છટકું” શબ્દ એવા સાધનનો ઉલ્લેખ કરે છે કે જે પ્રાણીઓને પકડવા અને તેમને ભાગી જતા અટકાવવા માટે વપરાય છે.
“જાળ” કે “જાળમાં ફસાવવું” એટલે જાળ દ્વારા પકડવું, અને “છટકું” કે “ફોસલાવવું” એટલે કે છટકા દ્વારા પકડવું.
બાઈબલમાં, આ શબ્દોનો ઉપયોગ રૂપકાત્મક રીતે એ વાત કહેવા વિષે પણ થયો છે કે કેવી રીતે પાપ અને પરીક્ષણએ સંતાયેલ છટકા સમાન છે કે જે લોકોને પકડે છે અને તેમને નુકસાન પહોંચાડે છે
- “જાળ” એટલે દોરડાંનો અથવા તારનો ફાંસો કે જે અચાનક મજબૂત રીતે ખેંચવામાં આવે જ્યારે પ્રાણી અંદર પ્રવેશે ત્યારે, તેના પગને જાળમાં ફસાવવા દ્વારા.
- “છટકું” એ ધાતુ અથવા લાકડાંનું બનેલું હોય છે અને તેને બે ભાગ હોય છે કે જે અચાનક અને શક્તિપૂરવક રીતે સાથે બંધ કરવામાં આવે છે, પ્રાણીને પકડવા દ્વારા કે જેથી તે કોઈ પણ રીતે છટકી ન શકે.
ઘણીવાર છટકું ઊંડા બાકોરું/છિદ્ર જેવું હોઈ શકે કે જે બનાવવામાં આવ્યું હોય જે કંઇક તેમાં પડે તેને પકડવા માટે.
- સામાન્ય રીતે જાળ અથવા છટકું એ ગુપ્ત હોય છે કે જેથી તેનો શિકાર આશ્ચર્યકારક રીતે લઇ લેવામાં આવે.
- “છટકું ગોઠવવું” શબ્દસમૂહનો અર્થ કંઇક પકડવા માટે જાળને તૈયાર કરવી.
- “જાળમાં પડવું” એ ઊંડા છિદ્રમાં કે ખાડામાં પડવું કે જે પ્રાણીને પકડવાને માટે ખોદવામાં આવ્યો હતો અને ગુપ્ત હતો તેનો ઉલ્લેખ કરે છે.
- વ્યક્તિ કે જે પાપ કરવાની શરૂઆત કરે અને બંધ ન કરી શકે તેને “પાપની જાળમાં ફસાયો” છે એમ કહેવાય રૂપકાત્મક સંદર્ભમાં જે રીતે પ્રાણી જાળમાં ફસાય છે અને છટકી શકતું નથી તેમ.
- જેવી રીતે પ્રાણી જાળમાં રહેવા દ્વારા જોખમમાં મુકાય છે અને ઈજાગ્રસ્ત બને છે, તે રીતે વ્યક્તિ પાપના છટકામાં પકડાય છે ત્યારે તેને તે પાપ દ્વારા નુકસાન થાય છે અને તેને છુટવાની જરૂર છે.
(આ પણ જુઓ: મુક્ત કરવું, , શિકાર, શેતાન, લલચાવવું)
બાઈબલના સંદર્ભો:
- સભાશિક્ષક 7:26
- લૂક 21:34-35
- માર્ક 12:13-15
- ગીતશાસ્ત્ર 18:4-5
શબ્દ માહિતી:
- Strong's: H2256, H3353, H3369, H3920, H3921, H4170, H4204, H4434, H4685, H4686, H4889, H5367, H5914, H6315, H6341, H6351, H6354, H6679, H6983, H7639, H7845, H8610, G64, G1029, G2339, G2340, G3802, G3803, G3985, G4625
જાળ, જાળ પાથરે છે, જાળમાં ફસાવવું, જાળમાં ફસાવે છે, જાળમાં ફસાવ્યો, ફોસલાવવું, છટકું, છટકું કરે છે, છટકું ગોઠવ્યું
વ્યાખ્યા:
“જાળ” અને “છટકું” શબ્દ એવા સાધનનો ઉલ્લેખ કરે છે કે જે પ્રાણીઓને પકડવા અને તેમને ભાગી જતા અટકાવવા માટે વપરાય છે.
“જાળ” કે “જાળમાં ફસાવવું” એટલે જાળ દ્વારા પકડવું, અને “છટકું” કે “ફોસલાવવું” એટલે કે છટકા દ્વારા પકડવું.
બાઈબલમાં, આ શબ્દોનો ઉપયોગ રૂપકાત્મક રીતે એ વાત કહેવા વિષે પણ થયો છે કે કેવી રીતે પાપ અને પરીક્ષણએ સંતાયેલ છટકા સમાન છે કે જે લોકોને પકડે છે અને તેમને નુકસાન પહોંચાડે છે
- “જાળ” એટલે દોરડાંનો અથવા તારનો ફાંસો કે જે અચાનક મજબૂત રીતે ખેંચવામાં આવે જ્યારે પ્રાણી અંદર પ્રવેશે ત્યારે, તેના પગને જાળમાં ફસાવવા દ્વારા.
- “છટકું” એ ધાતુ અથવા લાકડાંનું બનેલું હોય છે અને તેને બે ભાગ હોય છે કે જે અચાનક અને શક્તિપૂરવક રીતે સાથે બંધ કરવામાં આવે છે, પ્રાણીને પકડવા દ્વારા કે જેથી તે કોઈ પણ રીતે છટકી ન શકે.
ઘણીવાર છટકું ઊંડા બાકોરું/છિદ્ર જેવું હોઈ શકે કે જે બનાવવામાં આવ્યું હોય જે કંઇક તેમાં પડે તેને પકડવા માટે.
- સામાન્ય રીતે જાળ અથવા છટકું એ ગુપ્ત હોય છે કે જેથી તેનો શિકાર આશ્ચર્યકારક રીતે લઇ લેવામાં આવે.
- “છટકું ગોઠવવું” શબ્દસમૂહનો અર્થ કંઇક પકડવા માટે જાળને તૈયાર કરવી.
- “જાળમાં પડવું” એ ઊંડા છિદ્રમાં કે ખાડામાં પડવું કે જે પ્રાણીને પકડવાને માટે ખોદવામાં આવ્યો હતો અને ગુપ્ત હતો તેનો ઉલ્લેખ કરે છે.
- વ્યક્તિ કે જે પાપ કરવાની શરૂઆત કરે અને બંધ ન કરી શકે તેને “પાપની જાળમાં ફસાયો” છે એમ કહેવાય રૂપકાત્મક સંદર્ભમાં જે રીતે પ્રાણી જાળમાં ફસાય છે અને છટકી શકતું નથી તેમ.
- જેવી રીતે પ્રાણી જાળમાં રહેવા દ્વારા જોખમમાં મુકાય છે અને ઈજાગ્રસ્ત બને છે, તે રીતે વ્યક્તિ પાપના છટકામાં પકડાય છે ત્યારે તેને તે પાપ દ્વારા નુકસાન થાય છે અને તેને છુટવાની જરૂર છે.
(આ પણ જુઓ: મુક્ત કરવું, , શિકાર, શેતાન, લલચાવવું)
બાઈબલના સંદર્ભો:
- સભાશિક્ષક 7:26
- લૂક 21:34-35
- માર્ક 12:13-15
- ગીતશાસ્ત્ર 18:4-5
શબ્દ માહિતી:
- Strong's: H2256, H3353, H3369, H3920, H3921, H4170, H4204, H4434, H4685, H4686, H4889, H5367, H5914, H6315, H6341, H6351, H6354, H6679, H6983, H7639, H7845, H8610, G64, G1029, G2339, G2340, G3802, G3803, G3985, G4625
જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો
વ્યાખ્યા:
“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.
- “જાહેરાત” શબ્દ, શું જાહેર થયું છે તે જ ફક્ત અગત્યનું નથી પણ સાથે જે વ્યક્તિ જાહેરાત કરે છે તેના પર પણ ધ્યાન આપવા સૂચવે છે.
- ઉદાહરણ તરીકે, જૂના કરારમાં મોટેભાગે દેવ તરફથી આવતા સંદેશાની શરૂઆતમાં, “યહોવાની ઘોષણા” અથવા “યહોવા એમ કહે છે (જાહેર કરે છે)” તેમ જાણવવામાં આવતું. આ અભિવ્યક્તિ, જે યહોવા પોતે કહે છે તે પર ભાર મૂકે છે. હકીકત એ છે કે સંદેશો યહોવા તરફથી આવે છે, તેથી તે ખાસ અગત્યનો છે.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને, “જાહેર કરવું” શબ્દનું ભાષાંતર, “ઘોષણા કરવી” અથવા “જાહેરમાં કહેવું” અથવા “દૃઢતાથી કહેવું” અથવા “ભારપૂર્વક કહેવું” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.
- “જાહેરાત” શબ્દનું ભાષાંતર, “નિવેદન” અથવા “ઘોષણા” પણ કરી શકાય.
- “આ યહોવાનું નિવેદન છે” તે શબ્દસમૂહનું ભાષાંતર, “આ યહોવા જાહેર કરે છે” અથવા “આ જે યહોવા કહે છે” એમ કરી શકાય છે.
(આ પણ જુઓ: પ્રચાર કરવો)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 16:23-24
- 1 કરિંથી 15:31-32
- 1 શમુએલ 24:17-18
- આમોસ 2:15-16
- હઝકિયેલ 5:11-12
- માથ્થી 7:21-23
શબ્દ માહિતી:
- Strong's: H262, H559, H560, H816, H874, H952, H1696, H3045, H4853, H5002, H5042, H5046, H5608, H6567, H6575, H7121, H7561, H7878, H8085, G312, G394, G518, G669, G1107, G1213, G1229, G1335, G1344, G1555, G1718, G1732, G1834, G2097, G2511, G2605, G2607, G3140, G3670, G3724, G3822, G3853, G3870, G3955, G5319, G5419
જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો
વ્યાખ્યા:
“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.
- “જાહેરાત” શબ્દ, શું જાહેર થયું છે તે જ ફક્ત અગત્યનું નથી પણ સાથે જે વ્યક્તિ જાહેરાત કરે છે તેના પર પણ ધ્યાન આપવા સૂચવે છે.
- ઉદાહરણ તરીકે, જૂના કરારમાં મોટેભાગે દેવ તરફથી આવતા સંદેશાની શરૂઆતમાં, “યહોવાની ઘોષણા” અથવા “યહોવા એમ કહે છે (જાહેર કરે છે)” તેમ જાણવવામાં આવતું. આ અભિવ્યક્તિ, જે યહોવા પોતે કહે છે તે પર ભાર મૂકે છે. હકીકત એ છે કે સંદેશો યહોવા તરફથી આવે છે, તેથી તે ખાસ અગત્યનો છે.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને, “જાહેર કરવું” શબ્દનું ભાષાંતર, “ઘોષણા કરવી” અથવા “જાહેરમાં કહેવું” અથવા “દૃઢતાથી કહેવું” અથવા “ભારપૂર્વક કહેવું” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.
- “જાહેરાત” શબ્દનું ભાષાંતર, “નિવેદન” અથવા “ઘોષણા” પણ કરી શકાય.
- “આ યહોવાનું નિવેદન છે” તે શબ્દસમૂહનું ભાષાંતર, “આ યહોવા જાહેર કરે છે” અથવા “આ જે યહોવા કહે છે” એમ કરી શકાય છે.
(આ પણ જુઓ: પ્રચાર કરવો)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 16:23-24
- 1 કરિંથી 15:31-32
- 1 શમુએલ 24:17-18
- આમોસ 2:15-16
- હઝકિયેલ 5:11-12
- માથ્થી 7:21-23
શબ્દ માહિતી:
- Strong's: H262, H559, H560, H816, H874, H952, H1696, H3045, H4853, H5002, H5042, H5046, H5608, H6567, H6575, H7121, H7561, H7878, H8085, G312, G394, G518, G669, G1107, G1213, G1229, G1335, G1344, G1555, G1718, G1732, G1834, G2097, G2511, G2605, G2607, G3140, G3670, G3724, G3822, G3853, G3870, G3955, G5319, G5419
જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત
વ્યાખ્યા:
આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે.
તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે.
"ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.
1. ભૌતિક જીવન
- ભૌતિક જીવન એ તો શરીરમાં આત્માની હાજરી છે.
ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.
- "જીવન" એ વ્યક્તિગત વ્યક્તિનો પણ ઉલ્લેખ કરે છે જેમ "જીવન બચી ગયું" માં છે તેમ.
- કેટલીકવાર "જીવન" શબ્દ જીવવાના અનુભવનો ઉલ્લેખ કરે છે જેમ, તેનું જીવન આનંદપ્રદ હતું" માં છે તેમ.
- તે વ્યક્તિના જીવનકાળનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેના જીવનનો અંત" અભિવ્યક્તિમાં છે તેમ.
- "જીવંત" શબ્દ શારીરિક રીતે જીવંતનો ઉલ્લેખ કરે છે, જેમ "મારા માતા હજુ પણ જીવે છે" માં છે તેમ.
તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.
- બાઈબલમાં, "જીવન" નો ખ્યાલ "મરણ" ના ખ્યાલ કરતાં વિપરીત છે.
2. આત્મિક જીવન
- જ્યારે વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરે ત્યારે તેની પાસે આત્મિક જીવન હોય છે અને પવિત્ર આત્માને તેનામાં રહેવા દઈને ઈશ્વર તે વ્યક્તિને પરિવર્તિત જીવન આપે છે.
- આ જીવનને તેનો કોઈ અંત નથી તે દર્શાવવા તેને "અનંતજીવન" પણ કહેવાય છે.
- આત્મિક જીવનનું વિરુદ્ધાર્થી આત્મિક મરણ છે, જેનો અર્થ ઈશ્વરથી અલગ અને અનંતકાળની શિક્ષા અનુભવવી તેમ થાય છે.
અનુવાદ માટેના સૂચનો:
- સનદ્ર્ભ્ને આધારે, "જીવન" નું અનુવાદ "અસ્તિત્વ" અથવા "વ્યક્તિ" અથવા "આત્મા" અથવા "અસ્તિત્વ ધરાવનાર" અથવા "અનુભવ" એમ કરી શકાય.
- "જીવવું" શબ્દનું અનુવાદ "રહેવું" અથવા "માં નિહિત હોવું" અથવા "ટકી રહેવું" દ્વારા કરી શકાય.
- "તેના જીવનનો અંત" અભિવ્યક્તિનું અનુવાદ "જ્યારે તેણે જીવવાનું બંધ કર્યું" તરીકે કરી શકાય.
- "તેમના જીવનોને છોડી દો" અભિવ્યક્તિનું અનુવાદ "તેમને જીવવા માટે મંજૂરી આપો" અથવા "તેમની હત્યા ન કરશો" એમ કરી શકાય.
- "તેમણે પોતાના જીવનો જોખમમાં નાખ્યા" અભિવ્યક્તિનું અનુવાદ "તેમણે પોતાને જોખમમાં મૂક્યા" અથવા "તેમણે એવું કંઈક કર્યું જે તેમના જીવનને ખતમ કરી શક્યું હોત" એમ કરી શકાય.
- જ્યારે બઈબલનું વચન આત્મિક રીતે જીવવાની વાત કરે છે ત્યારે, સંદર્ભને આધારે "જીવન" નું અનુવાદ "આત્મિક જીવન" એમ કરી શકાય.
- "આત્મિક જીવન" નો ખ્યાલનું અનુવાદ "ઈશ્વર આપણને આપણાં આત્મામાં જીવંત બનાવે છે" અથવા "ઈશ્વરના આત્મા દ્વારા નવું જીવન" અથવા "આપણાં આંતરિક જીવનમાં જીવંત બનાવવામાં આવેલા" એમ કરી શકાય.
- સંદર્ભને આધારે, "જીવન આપવું" નું અનુવાદ "જીવવાનું કારણ આપવું" અથવા "અનંતજીવન આપવું" અથવા "અનંતકાળિક રીતે જીવવાનું કારણ આપવું" એમ કરી શકાય.
(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)
બાઈબલના સંદર્ભો:
- 2 પિત્તર 1:3-4
- પ્રેરિતોના કૃત્યો 10:42-43
- ઉત્પત્તિ 2:7-8
- ઉત્પત્તિ 7:21-22
- હિબ્રૂઓ 10:19-22
- યર્મિયા 44:1-3
- યોહાન 1:4-5
- ન્યાયાધીશો 2:18-19
- લૂક 12:22-23
- માથ્થી 7:13-14
બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:
- 1:10 તેથી ઈશ્વરે થોડી માટી લીધી, તેની માણસમાં રચના કરી, અને શ્વાસ ફૂંક્યો જીવનનો તેનામાં.
- 3:1 ઘણાં લાંબા સમય પછી, ઘણા લોકો જીવી રહ્યા હતા જગતમાં.
- 8:13 જ્યારે યુસફના ભાઈઓ ઘરે પરત ફર્યા અને તેમના પિતા, યાકુબને કહ્યું કે, યુસાફ હજુ જીવંત છે, ત્યારે તે ખૂબ ખુશ હતો.
- 17:9 જો કે, તેના અંત સમયે (દાઉદના)જીવનના તેણે ઈશ્વરની આગળ ભયંકર પાપ કર્યું.
- 27:1 એક દિવસ, યહૂદી નિયમનો નિષ્ણાત ઈસુની કસોટી કરવા તેમની પાસે આવ્યો, તેણે પૂછ્યું કે, "શિક્ષક, અનંત જીવનનો વારસો પામવા મારે શું કરવું?"
- 35:5 ઈસુએ પ્રત્યુત્તર આપ્યો, "હું પુનરુત્થાન તથા જીવન છું."
- 44:5 "તમે એ લોકો છો કે જેઓએ રોમન રાજ્યપાલને ઈસુની હત્યા કરવા કહેતા હતા. તમે મારી નાખ્યા છે જીવનના લેખકેને , પરંતુ ઈશ્વરે તેમણે મરણમથી ઉઠાડ્યા છે."
શબ્દ માહિતી:
- Strong's: H1934, H2416, H2417, H2421, H2425, H5315, G198, G222, G227, G806, G590
જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત
વ્યાખ્યા:
આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે.
તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે.
"ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.
1. ભૌતિક જીવન
- ભૌતિક જીવન એ તો શરીરમાં આત્માની હાજરી છે.
ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.
- "જીવન" એ વ્યક્તિગત વ્યક્તિનો પણ ઉલ્લેખ કરે છે જેમ "જીવન બચી ગયું" માં છે તેમ.
- કેટલીકવાર "જીવન" શબ્દ જીવવાના અનુભવનો ઉલ્લેખ કરે છે જેમ, તેનું જીવન આનંદપ્રદ હતું" માં છે તેમ.
- તે વ્યક્તિના જીવનકાળનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેના જીવનનો અંત" અભિવ્યક્તિમાં છે તેમ.
- "જીવંત" શબ્દ શારીરિક રીતે જીવંતનો ઉલ્લેખ કરે છે, જેમ "મારા માતા હજુ પણ જીવે છે" માં છે તેમ.
તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.
- બાઈબલમાં, "જીવન" નો ખ્યાલ "મરણ" ના ખ્યાલ કરતાં વિપરીત છે.
2. આત્મિક જીવન
- જ્યારે વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરે ત્યારે તેની પાસે આત્મિક જીવન હોય છે અને પવિત્ર આત્માને તેનામાં રહેવા દઈને ઈશ્વર તે વ્યક્તિને પરિવર્તિત જીવન આપે છે.
- આ જીવનને તેનો કોઈ અંત નથી તે દર્શાવવા તેને "અનંતજીવન" પણ કહેવાય છે.
- આત્મિક જીવનનું વિરુદ્ધાર્થી આત્મિક મરણ છે, જેનો અર્થ ઈશ્વરથી અલગ અને અનંતકાળની શિક્ષા અનુભવવી તેમ થાય છે.
અનુવાદ માટેના સૂચનો:
- સનદ્ર્ભ્ને આધારે, "જીવન" નું અનુવાદ "અસ્તિત્વ" અથવા "વ્યક્તિ" અથવા "આત્મા" અથવા "અસ્તિત્વ ધરાવનાર" અથવા "અનુભવ" એમ કરી શકાય.
- "જીવવું" શબ્દનું અનુવાદ "રહેવું" અથવા "માં નિહિત હોવું" અથવા "ટકી રહેવું" દ્વારા કરી શકાય.
- "તેના જીવનનો અંત" અભિવ્યક્તિનું અનુવાદ "જ્યારે તેણે જીવવાનું બંધ કર્યું" તરીકે કરી શકાય.
- "તેમના જીવનોને છોડી દો" અભિવ્યક્તિનું અનુવાદ "તેમને જીવવા માટે મંજૂરી આપો" અથવા "તેમની હત્યા ન કરશો" એમ કરી શકાય.
- "તેમણે પોતાના જીવનો જોખમમાં નાખ્યા" અભિવ્યક્તિનું અનુવાદ "તેમણે પોતાને જોખમમાં મૂક્યા" અથવા "તેમણે એવું કંઈક કર્યું જે તેમના જીવનને ખતમ કરી શક્યું હોત" એમ કરી શકાય.
- જ્યારે બઈબલનું વચન આત્મિક રીતે જીવવાની વાત કરે છે ત્યારે, સંદર્ભને આધારે "જીવન" નું અનુવાદ "આત્મિક જીવન" એમ કરી શકાય.
- "આત્મિક જીવન" નો ખ્યાલનું અનુવાદ "ઈશ્વર આપણને આપણાં આત્મામાં જીવંત બનાવે છે" અથવા "ઈશ્વરના આત્મા દ્વારા નવું જીવન" અથવા "આપણાં આંતરિક જીવનમાં જીવંત બનાવવામાં આવેલા" એમ કરી શકાય.
- સંદર્ભને આધારે, "જીવન આપવું" નું અનુવાદ "જીવવાનું કારણ આપવું" અથવા "અનંતજીવન આપવું" અથવા "અનંતકાળિક રીતે જીવવાનું કારણ આપવું" એમ કરી શકાય.
(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)
બાઈબલના સંદર્ભો:
- 2 પિત્તર 1:3-4
- પ્રેરિતોના કૃત્યો 10:42-43
- ઉત્પત્તિ 2:7-8
- ઉત્પત્તિ 7:21-22
- હિબ્રૂઓ 10:19-22
- યર્મિયા 44:1-3
- યોહાન 1:4-5
- ન્યાયાધીશો 2:18-19
- લૂક 12:22-23
- માથ્થી 7:13-14
બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:
- 1:10 તેથી ઈશ્વરે થોડી માટી લીધી, તેની માણસમાં રચના કરી, અને શ્વાસ ફૂંક્યો જીવનનો તેનામાં.
- 3:1 ઘણાં લાંબા સમય પછી, ઘણા લોકો જીવી રહ્યા હતા જગતમાં.
- 8:13 જ્યારે યુસફના ભાઈઓ ઘરે પરત ફર્યા અને તેમના પિતા, યાકુબને કહ્યું કે, યુસાફ હજુ જીવંત છે, ત્યારે તે ખૂબ ખુશ હતો.
- 17:9 જો કે, તેના અંત સમયે (દાઉદના)જીવનના તેણે ઈશ્વરની આગળ ભયંકર પાપ કર્યું.
- 27:1 એક દિવસ, યહૂદી નિયમનો નિષ્ણાત ઈસુની કસોટી કરવા તેમની પાસે આવ્યો, તેણે પૂછ્યું કે, "શિક્ષક, અનંત જીવનનો વારસો પામવા મારે શું કરવું?"
- 35:5 ઈસુએ પ્રત્યુત્તર આપ્યો, "હું પુનરુત્થાન તથા જીવન છું."
- 44:5 "તમે એ લોકો છો કે જેઓએ રોમન રાજ્યપાલને ઈસુની હત્યા કરવા કહેતા હતા. તમે મારી નાખ્યા છે જીવનના લેખકેને , પરંતુ ઈશ્વરે તેમણે મરણમથી ઉઠાડ્યા છે."
શબ્દ માહિતી:
- Strong's: H1934, H2416, H2417, H2421, H2425, H5315, G198, G222, G227, G806, G590
જુલમ કરવો, જુલમ કરે છે, કચડાયેલા, જુલમ કરતું, જુલમ, અત્યાચારી, અત્યાચાર કરનાર, અત્યાચાર કરનારાઓ
વ્યાખ્યા:
“જુલમ કરવો” તથા “જુલમ” શબ્દો લોકો સાથે કઠોર વ્યવહાર કરવાનો ઉલ્લેખ કરે છે.
“અત્યાચારી” એવો વ્યક્તિ છે કે જે લોકો પર જુલમ ગુજારે છે.
- “જુલમ” ખાસ કરીને એવી પરિસ્થતિનો ઉલ્લેખ કરે છે જ્યાં બળવાન લોકો તેઓની સત્તા કે રાજ હેઠળના લોકો સાથે દુર્વ્યવહાર કરે અથવા તો તેઓને ગુલામો બનાવે.
- “કચડાયેલા” શબ્દ જે લોકો સાથે કઠોર વ્યવહાર કરવામાં આવે છે તેઓનું વર્ણન કરે છે.
- ઘણી વાર શત્રુ દેશો અને તેઓના શાસકો ઇઝરાયલી લોકો માટે અત્યાચારીઓ હતા.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભ અનુસાર, “જુલમ કરવા” નો અનુવાદ “સખત દુર્વ્યવહાર કરવો” અથવા તો “ભારે બોજો લાદવો” અથવા તો “દયાજનક ગુલામીમાં જકડવું” અથવા તો “કઠોરતાથી શાસન ચલાવવું” તરીકે કરી શકાય.
- “જુલમ” નો અનુવાદ “ભારે દમન અને ગુલામી” અથવા તો “ભારે નિયંત્રણ” તરીકે કરી શકાય.
- “કચડાયેલા” શબ્દનો અનુવાદ “કચડાયેલા લોકો” અથવા તો “ભયંકર ગુલામીમાં સબડતા લોકો” અથવા તો “જેઓની સાથે કઠોર વ્યવહાર કરવામાં આવે છે તેઓ” તરીકે કરી શકાય.
- “અત્યાચારી” શબ્દનો અનુવાદ “જુલમ કરનાર વ્યક્તિ” અથવા તો “કઠોરતાથી નિયંત્રણ અને રાજ કરનાર દેશ” અથવા તો “સતાવનાર” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: બાંધવું, દાસ/ગુલામ બનાવવું, સતાવવું)
બાઇબલના સંદર્ભો:
- 1 શમુએલ 10:17-19
- પુનર્નિયમ 26:6-7
- સભાશિક્ષક 4:1
- અયૂબ 10:1-3
- ન્યાયાધીશો 2:18-19
- નહેમ્યા 5:14-15
- ગીતશાસ્ત્ર 119:133-134
શબ્દ માહિતી:
- Strong's: H1790, H1792, H2541, H2555, H3238, H3905, H3906, H4642, H4939, H5065, H6115, H6125, H6184, H6206, H6216, H6217, H6231, H6233, H6234, H6693, H7429, H7533, H7701, G2616, G2669
જે પવિત્ર છે
વ્યાખ્યા:
“જે પવિત્ર છે” શબ્દ બાઈબલમાં શીર્ષક છે, કે જે મોટેભાગે દેવને દર્શાવે છે.
- જૂના કરારમાં, મોટેભાગે આ શીર્ષક શબ્દસમૂહ તરીકે “ઈઝરાએલનો પવિત્ર” એવી રીતે આવે છે.
- નવા કરારમાં, ઈસુને પણ “જે પવિત્ર છે” તરીકે દર્શાવવામાં આવ્યો છે.
- બાઈબલમાં “જે પવિત્ર છે” શબ્દ દૂત માટે પણ ક્યારેક વાપરવામાં આવ્યો છે.
ભાષાંતરના સૂચનો:
- તે શાબ્દિક શબ્દ, “જે પવિત્ર છે” (“એક” જે સૂચિત થયેલ) તેને દર્શાવે છે. ઘણી ભાષાઓ (જેવી કે અંગ્રેજી) તેનું ભાષાંતર સૂચિત સંજ્ઞા તરીકે કરે છે (જેમકે “એક” અથવા “દેવ”)
- આ શબ્દનું ભાષાંતર, “દેવ, કે જે પવિત્ર છે” અથવા “એક કે જે અલગ કરાયેલ છે” તરીકે પણ કરી શકાય છે.
- “ઈઝરાએલનો જે પવિત્ર છે” શબ્દસમૂહનું ભાષાંતર, “પવિત્ર દેવ કે જેની ઈઝરાએલ આરાધના કરે છે” અથવા “પવિત્ર કે જે ઈઝરાએલ પર રાજ્ય કરે છે” એમ (ભાષાંતર) થઇ શકે છે.
- આ શબ્દનું શ્રેષ્ઠ ભાષાંતર કરવા માટે તેનો સમાન શબ્દ અથવા શબ્દસમૂહ વાપરીને “પવિત્ર” શબ્દનું ભાષાંતર કરવું.
(આ પણ જુઓ: પવિત્ર, દેવ)
બાઈબલની કલમો:
- 1યોહાન 2:20-21
- 2 રાજા 19:20-22
- પ્રેરિતો 2:27-28
- પ્રેરિતો 3:13-14
- યશાયા 5:15-17
- યશાયા 41:14-15
- લૂક 4:33-34
શબ્દ માહિતી:
- Strong's: H2623, H376, H6918, G40, G3741
જેલ, કેદી, કેદીઓ, જેલો, જેલમાં પૂરવું, જેલમાં પૂરે છે, જેલમાં પૂર્યું, જેલવાસ, જેલવાસો
વ્યાખ્યા:
“જેલ” શબ્દ એવી જગાનો ઉલ્લેખ કરે છે જ્યાં ગુનેગારોને તેઓના ગુનાઓની શિક્ષા કરવા રાખવામાં આવે છે.
“કેદી” એવી વ્યક્તિ છે જેને જેલમાં પૂરવામાં આવી છે.
- જ્યારે કોઈ વ્યક્તિ ન્યાયાલયમાં ન્યાય પામવા સુનવણીની રાહ જોતી હોય ત્યારે તેને જેલમાં રાખવામાં આવી શકે છે.
- “જેલમાં પૂર્યું” શબ્દનો અર્થ “જેલમાં રાખ્યું” અથવા તો “બંધનમાં રાખ્યું” થાય છે.
- તેઓએ કઇંપણ ખોટું કર્યું ન હતું તો પણ ઘણા પ્રબોધકો તથા ઈશ્વરના સેવકોને જેલમાં પૂરવામાં આવ્યા હતા.
અનુવાદ માટેના સૂચનો:
- “જેલ” માટે બીજો શબ્દ “કેદ” છે.
- જ્યારે જેલ જમીનની નીચે કે મહેલ કે મકાનની નીચેના ભાગમાં હોય તે સંદર્ભમાં, આ શબ્દનો અનુવાદ “અંધારકોટડી” અથવા તો “ભોંયરામાનું કેદખાનું” તરીકે કરી શકાય.
- “કેદીઓ” શબ્દ સામાન્ય અર્થમાં એવા લોકોનો ઉલ્લેખ પણ કરી શકે કે જેઓને શત્રુઓએ પકડ્યા છે અને તેઓની ઇચ્છા વિરુદ્ધ બંધનમાં રાખ્યાં છે.
આ અર્થનો બીજો અનુવાદ “બંદી” થઈ શકે.
- “જેલમાં પૂર્યું” નો બીજો અનુવાદ “કેદી તરીકે રાખ્યું” અથવા તો “બંધનમાં રાખ્યું” અથવા તો “બંધનમાં જકડ્યું” થઈ શકે.
(આ પણ જૂઓ: બંદી)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 25:4-5
- એફેસી 4:1-3
- લૂક 12:57-59
- લૂક 22:33-34
- માર્ક 6:16-17
- માથ્થી 5:25-26
- માથ્થી 14:3-5
- માથ્થી 25:34-36
શબ્દ માહિતી:
- Strong's: H612, H613, H615, H616, H631, H1004, H1540, H3608, H3628, H3947, H4115, H4307, H4455, H4525, H4929, H5470, H6115, H6495, H7617, H7622, H7628, G1198, G1199, G1200, G1201, G1202, G1210, G2252, G3612, G4788, G4869, G5084, G5438, G5439
જ્ઞાની માણસો
તથ્યો:
બાઇબલમાં, "જ્ઞાની માણસો" શબ્દ, ઘણીવાર એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ દેવની સેવા કરે છે અને મૂર્ખામીભર્યા નથી, પરંતુ કુશળ રીતે કાર્ય કરે છે.
આ એક વિશિષ્ટ શબ્દ પણ છે જે અસામાન્ય જ્ઞાન અને ક્ષમતાઓ ધરાવતા માણસોને દર્શાવે છે જે રાજાના દરબારના ભાગ રૂપે સેવા આપતા હતા.
- ક્યારેક "જ્ઞાની માણસો "શબ્દને"સમજદાર માણસો "અથવા "સમજુ માણસો" તરીકે વર્ણવવામાં આવ્યા છે.
આનો અર્થ એ છે કે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળવાને કારણે ડહાપણથી અને ન્યાયપણાથી વર્તતા હોય તેવા માણસોનો ઉલ્લેખ કરે છે.
- ફારૂન અને અન્ય રાજાઓની સેવા કરનાર "જ્ઞાની માણસો" ઘણી વાર વિદ્વાનો હતા, જેમણે તારાઓનો અભ્યાસ કર્યો હતો, ખાસ કરીને તારાઓએ આકાશમાંની તેમની સ્થિતિ પર જે નમૂનાઓની રચના કરી હતી તે વિશિષ્ટ અર્થ શોધી રહ્યા હતા.
- ઘણી વખત જ્ઞાની માણસો સ્વપ્નોના અર્થો સમજાવે એવી અપેક્ષા રાખવામાં આવતી હતી.
ઉદાહરણ તરીકે, રાજા નબુખાદનેસ્સારે માંગ કરી હતી કે તેમના જ્ઞાની પુરુષો તેનું સ્વપ્ન વર્ણવે અને તેનો અર્થ શું છે તે તેઓ કહે, પરંતુ તેમને દાનિયલ જેને દેવ પાસેથી આ જ્ઞાન મળ્યું હતું તે સિવાય આવું કહેવા માટે, કોઇ સક્ષમ ન હતું.
- ક્યારેક જ્ઞાની પુરુષો દુષ્ટ આત્માઓ શક્તિ દ્વારા ભવિષ્યકથન કે ચમત્કાર જેવા જાદુઈ કૃત્યો કરવામાં આવતાં હતાં.
- નવા કરારમાં, પૂર્વીય પ્રાંતોમાંથી માણસોનો સમૂહ જે ઇસુનું ભજન કરવા આવ્યા હતા તેમને "માગી" કહેવામાં આવતા હતા, જેને ઘણીવાર "જ્ઞાની માણસો" તરીકે ભાષાંતર કરવામાં આવે છે, કારણ કે કદાચ આ વિદ્વાનોનો ઉલ્લેખ કરે છે, જેમણે પૂર્વીય દેશના એક શાસકની સેવા કરી હતી.
- તે બહુ સંભવ છે કે આ પુરુષો તારાઓનો અભ્યાસ કરનાર જ્યોતિષીઓ હતા.
કેટલાક એવું માને છે કે દાનીએલ બાબેલોનમાં હતા ત્યારે, તેમણે શીખવેલા જ્ઞાની માણસોના વંશજ હતા.
- સંદર્ભ ને આધારે, શબ્દ "જ્ઞાની પુરુષો" શબ્દ "જ્ઞાની" અથવા "હોશિયાર પુરુષો" અથવા "શિક્ષિત પુરુષો" અથવા કોઈ અન્ય શબ્દ જેવા શબ્દસમૂહ સાથે અનુવાદિત કરી શકાય છે જેનો અર્થ થાય છે કે જે લોકોએ શાસક માટે મહત્વનું કામ કર્યું છે.
- જ્યારે "જ્ઞાની માણસો" ફક્ત એક સંજ્ઞા શબ્દ છે, ત્યારે "જ્ઞાની" શબ્દનું ભાષાંતર એ જ અથવા સમાન રીતે કરવું જોઈએ કે તે બાઇબલમાં અન્ય જગ્યાએ અનુવાદિત થાય છે.
(આ પણ જુઓ: બાબિલોન, દાનિયેલ, ભવિષ્યકથન, જાદુ, નબૂખાદનેસ્સાર, રાજ, ડાહ્યું
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 27:32-34
- દાનિયેલ 2:1-2
- દાનિયેલ 2:10-11
શબ્દ માહિતી:
- Strong's: H2445, H2450, H3778, H3779, G4680
ઝબદી
તથ્યો:
ઝબદી ગાલીલનો માછીમાર હતો, જે તેના પુત્રો, યાકૂબ અને યોહાનને કારણે ઓળખાય છે, જે ઈસુના શિષ્યો હતા.
તેઓ નવા કરારમાં "ઝબદીના પુત્રો" તરીકે ઓળખવામાં આવે છે.
- ઝબદીના પુત્રો માછીમારો હતા અને માછલી પકડવા માટે તેમની સાથે કામ કરતા હતા.
- યાકૂબ અને યોહાને તેમના માછીમારીને તેમના પિતા ઝબદી સાથે છોડી દીધી અને ઈસુને અનુસરવા છોડી દીધી.
(આ પણ જુઓ: શિષ્ય,[માછીમારો,યાકૂબ)ઝબદીનો પુત્ર), યોહાન )પ્રેષિત))
બાઇબલના સંદર્ભો:
- યોહાન (પ્રેરિત)
- લૂક 5:8-11
- માર્ક 1:19-20
- માથ્થી 4:21-22
- માથ્થી 20:20-21
- માથ્થી 26:36-38
શબ્દ માહિતી:
ઝબુલોન
તથ્યો:
ઝબુલોન, યાકૂબ અને લેઆહનો છેલ્લો જન્મેલો પુત્ર હતો અને ઇઝરાએલના બાર કુળોમાંના એકનું નામ છે.
- ઝબુલોનના ઈસ્રાએલી કુળને સીધી પશ્ચિમના ખારા સમુદ્રની જમીન આપવામાં આવી હતી.
- કેટલીકવાર "ઝબુલોન" નામનો ઉપયોગ જ્યાં ઇઝરાયલી કુળ રહેતું હતું તે જમીન માટે થાય છે.
(આ પણ જુઓ: ઈઝરાએલ, લેઆહ, ખારો સમુદ્ર, ઇસ્રાએલના બાર કુળ)
બાઇબલના સંદર્ભો:
- નિર્ગમન 1:1-5
- ઉત્પત્તિ 30:19-21
- યશાયા 9:1-2
- ન્યાયાધીશો 4:10
- માથ્થી 4:12-13
- માથ્થી 4:14-16
શબ્દ માહિતી:
- Strong's: H2074, H2075, G2194
ઝબુલોન
તથ્યો:
ઝબુલોન, યાકૂબ અને લેઆહનો છેલ્લો જન્મેલો પુત્ર હતો અને ઇઝરાએલના બાર કુળોમાંના એકનું નામ છે.
- ઝબુલોનના ઈસ્રાએલી કુળને સીધી પશ્ચિમના ખારા સમુદ્રની જમીન આપવામાં આવી હતી.
- કેટલીકવાર "ઝબુલોન" નામનો ઉપયોગ જ્યાં ઇઝરાયલી કુળ રહેતું હતું તે જમીન માટે થાય છે.
(આ પણ જુઓ: ઈઝરાએલ, લેઆહ, ખારો સમુદ્ર, ઇસ્રાએલના બાર કુળ)
બાઇબલના સંદર્ભો:
- નિર્ગમન 1:1-5
- ઉત્પત્તિ 30:19-21
- યશાયા 9:1-2
- ન્યાયાધીશો 4:10
- માથ્થી 4:12-13
- માથ્થી 4:14-16
શબ્દ માહિતી:
- Strong's: H2074, H2075, G2194
ઝભ્ભો, ઝભ્ભાઓ, ઝભ્ભો પહેરાવ્યો
વ્યાખ્યા:
ઝભ્ભો એ બાહ્ય લાંબી બાંયનું કપડું કે જે પુરુષ કે સ્ત્રી દ્વારા પહેરી શકાય.
તે અંગરખાને સમાન હોય છે.
- ઝભ્ભાઓ આગળની બાજુ ખુલ્લા હોય છે અને ખેસ અથવા પટ્ટા દ્વારા બાંધવામાં આવે છે.
- તેઓ લાંબા કે ટૂંકા હોઈ શકે.
- રાજાઓ દ્વારા જાંબલી રંગના ઝભ્ભાઓ હકસાઈ, ધન અને પ્રતિષ્ઠાની નિશાની તરીકે પહેરવામાં આવતાં હતાં.
(આ પણ જુઓ: રાજવંશી, ઉપવસ્ત્ર)
બાઈબલના સંદર્ભો:
- નિર્ગમન 28:4-5
- ઉત્પતિ 49:11,12
- લૂક 15:22-24
- લૂક 20:45-47
- માથ્થી 27:27-29
શબ્દ માહિતી:
- Strong's: H145, H155, H899, H1545, H2436, H2684, H3671, H3801, H3830, H3847, H4060, H4254, H4598, H5497, H5622, H6614, H7640, H7757, H7897, H8071, G1746, G2066, G2067, G2440, G4749, G4016, G5511
ઝભ્ભો, ઝભ્ભાઓ, ઝભ્ભો પહેરાવ્યો
વ્યાખ્યા:
ઝભ્ભો એ બાહ્ય લાંબી બાંયનું કપડું કે જે પુરુષ કે સ્ત્રી દ્વારા પહેરી શકાય.
તે અંગરખાને સમાન હોય છે.
- ઝભ્ભાઓ આગળની બાજુ ખુલ્લા હોય છે અને ખેસ અથવા પટ્ટા દ્વારા બાંધવામાં આવે છે.
- તેઓ લાંબા કે ટૂંકા હોઈ શકે.
- રાજાઓ દ્વારા જાંબલી રંગના ઝભ્ભાઓ હકસાઈ, ધન અને પ્રતિષ્ઠાની નિશાની તરીકે પહેરવામાં આવતાં હતાં.
(આ પણ જુઓ: રાજવંશી, ઉપવસ્ત્ર)
બાઈબલના સંદર્ભો:
- નિર્ગમન 28:4-5
- ઉત્પતિ 49:11,12
- લૂક 15:22-24
- લૂક 20:45-47
- માથ્થી 27:27-29
શબ્દ માહિતી:
- Strong's: H145, H155, H899, H1545, H2436, H2684, H3671, H3801, H3830, H3847, H4060, H4254, H4598, H5497, H5622, H6614, H7640, H7757, H7897, H8071, G1746, G2066, G2067, G2440, G4749, G4016, G5511
ઝૂંસરી, ઝૂંસરીઓ, ઝૂંસરીવાળું
વ્યાખ્યા:
ઝૂંસરી લાકડા અથવા ધાતુનો એક ભાગને બે અથવા વધુ પ્રાણીઓ સાથે જોડાયેલ હળ અથવા ગાડાને ખેંચવાના હેતુ માટે જોડવામાં આવે છે.
આ શબ્દ માટે કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.
- "ઝૂંસરી" શબ્દનો અર્થ એ થાય છે કે એકસાથે કામ કરવાના હેતુથી લોકોને જોડે છે, જેમ કે ઇસુની સેવા કરવી.
- પાઉલ જેમ પોતે ખ્રિસ્તની સેવા કરતા હતા તેમ વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે "ઝૂંસરી સાથીદાર" શબ્દનો ઉપયોગ કર્યો હતો.
આને "સાથીદાર" અથવા "સાથી સેવક" અથવા "સહકર્મીને" તરીકે પણ અનુવાદ કરવામાં આવે છે.
- "ઝૂંસરી" શબ્દનો અર્થ એ પણ થાય છે કે કોઈ વ્યક્તિએ ભારે ભાર ઉચકવો પડે છે, જેમ કે ગુલામી અથવા સતાવણી દ્વારા દમન કરતી વખતે.
- મોટાભાગના સંદર્ભમાં, ખેતી માટે ઉપયોગમાં લેવાતી ઝૂંસરી માટેના સ્થાનિક શબ્દનો ઉપયોગ કરીને, આ શબ્દનનો શાબ્દિક રીતે અનુવાદ કરવો શ્રેષ્ઠ છે.
- આ શબ્દનો લાક્ષણિક રીતે અનુવાદ ઉપયોગ કરવાના અન્ય રીતોના સંદર્ભમાં "જુલમી બોજ" અથવા "ભારે ભાર" અથવા "બંધન" હોઈ શકે છે.
(આ પણ જુઓ: બાંધવું, બોજો, જુલમ કરવો, સતાવવું, ગુલામ બનાવવું)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 15:10-11
- ગલાતી 5:1-2
- ઉત્પત્તિ 27:39-40
- યશાયા 9:4-5
- યર્મિયા 27:1-4
- માથ્થી 11:28-30
- ફિલિપી 4:1-3
શબ્દ માહિતી:
- Strong's: H3627, H4132, H4133, H5674, H5923, H6776, G2086, G2201, G2218, G4805
ઝૂંસરી, ઝૂંસરીઓ, ઝૂંસરીવાળું
વ્યાખ્યા:
ઝૂંસરી લાકડા અથવા ધાતુનો એક ભાગને બે અથવા વધુ પ્રાણીઓ સાથે જોડાયેલ હળ અથવા ગાડાને ખેંચવાના હેતુ માટે જોડવામાં આવે છે.
આ શબ્દ માટે કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.
- "ઝૂંસરી" શબ્દનો અર્થ એ થાય છે કે એકસાથે કામ કરવાના હેતુથી લોકોને જોડે છે, જેમ કે ઇસુની સેવા કરવી.
- પાઉલ જેમ પોતે ખ્રિસ્તની સેવા કરતા હતા તેમ વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે "ઝૂંસરી સાથીદાર" શબ્દનો ઉપયોગ કર્યો હતો.
આને "સાથીદાર" અથવા "સાથી સેવક" અથવા "સહકર્મીને" તરીકે પણ અનુવાદ કરવામાં આવે છે.
- "ઝૂંસરી" શબ્દનો અર્થ એ પણ થાય છે કે કોઈ વ્યક્તિએ ભારે ભાર ઉચકવો પડે છે, જેમ કે ગુલામી અથવા સતાવણી દ્વારા દમન કરતી વખતે.
- મોટાભાગના સંદર્ભમાં, ખેતી માટે ઉપયોગમાં લેવાતી ઝૂંસરી માટેના સ્થાનિક શબ્દનો ઉપયોગ કરીને, આ શબ્દનનો શાબ્દિક રીતે અનુવાદ કરવો શ્રેષ્ઠ છે.
- આ શબ્દનો લાક્ષણિક રીતે અનુવાદ ઉપયોગ કરવાના અન્ય રીતોના સંદર્ભમાં "જુલમી બોજ" અથવા "ભારે ભાર" અથવા "બંધન" હોઈ શકે છે.
(આ પણ જુઓ: બાંધવું, બોજો, જુલમ કરવો, સતાવવું, ગુલામ બનાવવું)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 15:10-11
- ગલાતી 5:1-2
- ઉત્પત્તિ 27:39-40
- યશાયા 9:4-5
- યર્મિયા 27:1-4
- માથ્થી 11:28-30
- ફિલિપી 4:1-3
શબ્દ માહિતી:
- Strong's: H3627, H4132, H4133, H5674, H5923, H6776, G2086, G2201, G2218, G4805
ટોપલી, ટોપલીઓ, ટોપલીભર
વ્યાખ્યા:
“ટોપલી” શબ્દ, વણેલા સામગ્રીનું બનેલું પાત્ર દર્શાવે છે.
- બાઈબલના સમયમાં, ટોપલીઓ મોટેભાગે મજબૂત છોડની સામગ્રી, જેવું કે લાકડાંની ડાળીઓની ઉતારેલી છાલ અથવા ઝાડની નાની ડાળીમાંથી બનેલી હતી.
ટોપલી જળરોધક પદાર્થથી મઢેલી હોઈ તેઓ તરી શકે છે.
- જયારે મૂસા બાળક હતો, ત્યારે તેની માતાએ તેને અંદર મુકવા જળરોધક ટોપલી બનાવી અને તેને નાઈલ નદીમાં બરૂઓની વચ્ચે તરતી મૂકી.
- નૂહની વાર્તા આવે જે “વહાણ” શબ્દ વાપરવામાં આવ્યો છે, તે જ શબ્દ “ટોપલી” માટે પણ વાપરવામાં આવ્યો છે.
આ બન્ને સંદર્ભોનો ઉપયોગમાં વપરાયેલ સામાન્ય શબ્દનો અર્થ “તરતુ પાત્ર” એમ થઇ શકે છે.
(આ પણ જુઓ: વહાણ, મૂસા, નાઇલ નદી, નૂહ)
બાઈબલની કલમો:
- 2 કોરીંથી 11:32-33
- પ્રેરિતો 9:23-25
- આમોસ 8:1-3
- યોહાન 6:13-15
- ન્યાયાધીશો 6:19-20
- માથ્થી 14:19-21
શબ્દ માહિતી:
- Strong's: H374, H1731, H1736, H2935, H3619, H5536, H7991, G2894, G3426, G4553, G4711
ટોપલી, ટોપલીઓ, ટોપલીભર
વ્યાખ્યા:
“ટોપલી” શબ્દ, વણેલા સામગ્રીનું બનેલું પાત્ર દર્શાવે છે.
- બાઈબલના સમયમાં, ટોપલીઓ મોટેભાગે મજબૂત છોડની સામગ્રી, જેવું કે લાકડાંની ડાળીઓની ઉતારેલી છાલ અથવા ઝાડની નાની ડાળીમાંથી બનેલી હતી.
ટોપલી જળરોધક પદાર્થથી મઢેલી હોઈ તેઓ તરી શકે છે.
- જયારે મૂસા બાળક હતો, ત્યારે તેની માતાએ તેને અંદર મુકવા જળરોધક ટોપલી બનાવી અને તેને નાઈલ નદીમાં બરૂઓની વચ્ચે તરતી મૂકી.
- નૂહની વાર્તા આવે જે “વહાણ” શબ્દ વાપરવામાં આવ્યો છે, તે જ શબ્દ “ટોપલી” માટે પણ વાપરવામાં આવ્યો છે.
આ બન્ને સંદર્ભોનો ઉપયોગમાં વપરાયેલ સામાન્ય શબ્દનો અર્થ “તરતુ પાત્ર” એમ થઇ શકે છે.
(આ પણ જુઓ: વહાણ, મૂસા, નાઇલ નદી, નૂહ)
બાઈબલની કલમો:
- 2 કોરીંથી 11:32-33
- પ્રેરિતો 9:23-25
- આમોસ 8:1-3
- યોહાન 6:13-15
- ન્યાયાધીશો 6:19-20
- માથ્થી 14:19-21
શબ્દ માહિતી:
- Strong's: H374, H1731, H1736, H2935, H3619, H5536, H7991, G2894, G3426, G4553, G4711
ઠપકો, નિંદા કરવી, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરતું, નિંદાખોરીથી
વ્યાખ્યા:
કોઇની નિંદા કરવાનો અર્થ તે વ્યક્તિના ચારિત્ર્ય કે વર્તનની ટીકા કરવી કે તેને ખોટું ઠરાવવું એવો થાય છે.
નિંદા એ વ્યક્તિ માટેની નકારાત્મક ટીપણી છે.
- કોઈ વ્યક્તિ “નિંદાથી પર છે” અથવા તો “નિંદાથી દૂર છે” અથવા તો “નિંદારહિત છે” તો તેનો અર્થ એ થાય છે કે તે વ્યક્તિ ઈશ્વરપારાયણ રીતે વર્તે છે અને તેની ટીકા કરવા માટે વધારે કહી ન શકાય એવી છે કે ટીકા કરવા કશું જ નથી એવો થાય છે.
- “નિંદા” શબ્દનો અનુવાદ “આરોપ” અથવા તો “શરમ” અથવા તો “કલંક” તરીકે કરી શકાય.
- “નિંદા” કરવીનો અનુવાદ સંદર્ભ અનુસાર “ઠપકો આપવો” અથવા તો “તહોમત મૂકવું” અથવા તો “ટીકા કરવી” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: આરોપ, ઠપકો આપવો, શરમ)
બાઇબલના સંદર્ભો:
- 1 તિમોથી 5:7-8
- 1 તિમોથી 6:13-14
- યર્મિયા 15:15-16
- અયૂબ 16:9-10
- નીતિવચનો 18:3-4
શબ્દ માહિતી:
- Strong's: H1421, H1442, H2617, H2659, H2778, H2781, H3637, H3639, H7036, G410, G423, G819, G3059, G3679, G3680, G3681, G5195, G5196, G5484
ડર,(ભય), ડર લાગે છે, બીક
વ્યાખ્યા:
“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.
- “ડર” શબ્દ, જે વ્યક્તિ સત્તામાં હોય, તેની ધાક અને ઊંડા આદરને પણ દર્શાવી શકે છે.
- “યહોવાનો ભય” શબ્દસમૂહ તેમજ તેને સંબંધિત શબ્દો, “દેવનો ડર” અને “પ્રભુનો ડર”, દેવ માટે ઊંડો આદર અને તે તેની આજ્ઞા પાળીને દર્શાવવામાં આવે છે.
દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.
- બાઈબલ શીખવે છે કે જે વ્યક્તિ યહોવાનો ભય રાખે છે, તે જ્ઞાની થશે.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને, “ડર” શબ્દનું ભાષાંતર, “બીક લાગવી” અથવા “ઊંડો આદર” અથવા “આદર હોવો” તરીકે કરી શકાય છે.
- “બીક” શબ્દનું ભાષાંતર, “ભયગ્રસ્ત” અથવા “ભયભીત” અથવા “ભયજનક” તરીકે કરી શકાય છે.
- “દેવનો ભય તે બધા ઉપર આવ્યો” તે વાક્યનું ભાષાંતર, “એકાએક તેઓ બધાને દેવ માટે ઊંડો ડર અને ધાક લાગ્યા” અથવા “તરત જ, તેઓ બધા ખૂબ જ આશ્ચર્ય પામ્યા અને દેવને ઊંડો આદર આપ્યો” અથવા “પછી તરતજ, (તેની મહાન શક્તિથી) તેઓ બધાને દેવનો ખુબજ ડર લાગ્યો” તરીકે (ભાષાંતર) પણ કરી શકાય છે
- “ડરો નહીં” શબ્દસમૂહનું ભાષાંતર, “બીક રાખશો નહીં” અથવા બીવાનું બંધ કરો” તરીકે પણ કરી શકાય છે.
- નોંધ કરો કે “યહોવાનું ભય” શબ્દસમૂહ નવા કરારમાં આવતો નથી.
“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.
(આ પણ જુઓ: આશ્ચર્ય પામેલું, આદરયુક્ત ભય, પ્રભુ, સામર્થ્ય, યહોવાહ)
બાઈબલની કલમો:
- 1 યોહાન 4:17-18
- પ્રેરિતો 2:43-45
- પ્રેરિતો 19:15-17
- ઉત્પત્તિ 50:18-21
- યશાયા 11:3-5
- અયૂબ 6:14-17
- યૂના 1:8-10
- લૂક 12:4-5
- માથ્થી 10:28-31
- નીતિવચન 10:24-25
શબ્દ માહિતી:
- Strong's: H367, H926, H1204, H1481, H1672, H1674, H1763, H2119, H2296, H2727, H2729, H2730, H2731, H2844, H2849, H2865, H3016, H3025, H3068, H3372, H3373, H3374, H4032, H4034, H4035, H4116, H4172, H6206, H6342, H6343, H6345, H6427, H7264, H7267, H7297, H7374, H7461, H7493, H8175, G870, G1167, G1168, G1169, G1630, G1719, G2124, G2125, G2962, G5398, G5399, G5400, G5401
ડર,(ભય), ડર લાગે છે, બીક
વ્યાખ્યા:
“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.
- “ડર” શબ્દ, જે વ્યક્તિ સત્તામાં હોય, તેની ધાક અને ઊંડા આદરને પણ દર્શાવી શકે છે.
- “યહોવાનો ભય” શબ્દસમૂહ તેમજ તેને સંબંધિત શબ્દો, “દેવનો ડર” અને “પ્રભુનો ડર”, દેવ માટે ઊંડો આદર અને તે તેની આજ્ઞા પાળીને દર્શાવવામાં આવે છે.
દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.
- બાઈબલ શીખવે છે કે જે વ્યક્તિ યહોવાનો ભય રાખે છે, તે જ્ઞાની થશે.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને, “ડર” શબ્દનું ભાષાંતર, “બીક લાગવી” અથવા “ઊંડો આદર” અથવા “આદર હોવો” તરીકે કરી શકાય છે.
- “બીક” શબ્દનું ભાષાંતર, “ભયગ્રસ્ત” અથવા “ભયભીત” અથવા “ભયજનક” તરીકે કરી શકાય છે.
- “દેવનો ભય તે બધા ઉપર આવ્યો” તે વાક્યનું ભાષાંતર, “એકાએક તેઓ બધાને દેવ માટે ઊંડો ડર અને ધાક લાગ્યા” અથવા “તરત જ, તેઓ બધા ખૂબ જ આશ્ચર્ય પામ્યા અને દેવને ઊંડો આદર આપ્યો” અથવા “પછી તરતજ, (તેની મહાન શક્તિથી) તેઓ બધાને દેવનો ખુબજ ડર લાગ્યો” તરીકે (ભાષાંતર) પણ કરી શકાય છે
- “ડરો નહીં” શબ્દસમૂહનું ભાષાંતર, “બીક રાખશો નહીં” અથવા બીવાનું બંધ કરો” તરીકે પણ કરી શકાય છે.
- નોંધ કરો કે “યહોવાનું ભય” શબ્દસમૂહ નવા કરારમાં આવતો નથી.
“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.
(આ પણ જુઓ: આશ્ચર્ય પામેલું, આદરયુક્ત ભય, પ્રભુ, સામર્થ્ય, યહોવાહ)
બાઈબલની કલમો:
- 1 યોહાન 4:17-18
- પ્રેરિતો 2:43-45
- પ્રેરિતો 19:15-17
- ઉત્પત્તિ 50:18-21
- યશાયા 11:3-5
- અયૂબ 6:14-17
- યૂના 1:8-10
- લૂક 12:4-5
- માથ્થી 10:28-31
- નીતિવચન 10:24-25
શબ્દ માહિતી:
- Strong's: H367, H926, H1204, H1481, H1672, H1674, H1763, H2119, H2296, H2727, H2729, H2730, H2731, H2844, H2849, H2865, H3016, H3025, H3068, H3372, H3373, H3374, H4032, H4034, H4035, H4116, H4172, H6206, H6342, H6343, H6345, H6427, H7264, H7267, H7297, H7374, H7461, H7493, H8175, G870, G1167, G1168, G1169, G1630, G1719, G2124, G2125, G2962, G5398, G5399, G5400, G5401
ડહાપણ, શાણપણ, ડાહ્યો, શાણો, ડહાપણભરી રીતે
તથ્યો:
“ડાહ્યો” શબ્દ એવા વ્યક્તિને વર્ણવે છે કે જે પોતાના કાર્યો વિષે કાળજીપૂર્વક વિચારે છે અને ડહાપણભર્યા નિર્ણયો લે છે.
- ઘણી વાર “ડહાપણ (શાણપણ)” ભૌતિક વ્યાવહારિક બાબતો જેવી કે પૈસા કે સંપત્તિનું સંચાલન કરવું તે વિષે ડહાપણભર્યા નિર્ણયો લેવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે.
- જો કે “શાણપણ” અને “બુદ્ધિ” નો અર્થ સમાન છે તો પણ, ઘણી વાર “બુદ્ધિ” વધારે સામાન્ય વિચાર છે અને તે આત્મિક કે નૈતિક બાબતો પર ભાર મૂકે છે.
- સંદર્ભ અનુસાર, “ડાહ્યો (શાણો)” શબ્દનો અનુવાદ “ચાલાક” અથવા તો “સાવચેત” અથવા તો “ડાહ્યો” તરીકે કરી શકાય.
(આ જૂઓ: ચાલાક, આત્મા, ડાહ્યું)
બાઇબલના સંદર્ભો:
- નીતિવચનો 8:4-5
- નીતિવચનો 12:23-24
- નીતિવચનો 27:11-12
શબ્દ માહિતી:
- Strong's: H995, H5843, H6175, H6191, H6195, H7080, H7919, H7922, G4908, G5428
ઢાલ, ઢાલો, રક્ષણ
વ્યાખ્યા:
દુશ્મનના હથિયારો દ્વારા ઘાયલ થવાથી પોતાની જાતને બચાવવા માટે યુદ્ધમાં સૈનિક દ્વારા રાખવામાં આવતી વસ્તુ તેને ઢાલ કહેવાતી હતી.
કોઈને "ઢાલ" રૂપ બનવું એટલે કે તે વ્યક્તિને હાનિથી રક્ષણ આપવું.
- ઢાલો ઘણી વખત વર્તુળાકાર અથવા લંબગોળ હતા, જે ચામડું, લાકડું અથવા ધાતુ જેવા સામગ્રીથી બનેલા હતા, અને તે પૂરતા ખડતલ અને જાડા હતા જેથી તલવાર કે તીરને ભોંકાતા દુર રખાતા.
- આ શબ્દનો રૂપક તરીકે ઉપયોગ કરીને, બાઈબલ ઈશ્વરને તેમના લોકો માટે એક રક્ષણાત્મક ઢાલ તરીકે વર્ણવે છે.
(જુઓ:
રૂપક)
- પાઊલે "વિશ્વાસની ઢાલ" વિશે વાત કરી, જેને રૂપકાત્મક રીતે એમ કહેવાય કે ઈસુ પર વિશ્વાસ રાખવો અને તે વિશ્વાસને ઈશ્વરની આધીનતામાં જીવવો કે જે વિશ્વાસીઓનું શેતાનના આત્મિક હુમલાઓથી રક્ષણ કરશે.
(આ પણ જુઓ: વિશ્વાસ, આજ્ઞા પાળવી, શેતાન, આત્મા)
બાઈબલના સંદર્ભો:
- 1 રાજાઓ 14:25-26
- 2 કાળુવૃતાંત 23:8-9
- 2 શમુએલ 22:36-37
- પુનર્નિયમ 33:29
- ગીતશાસ્ત્ર 18:35-36
શબ્દ માહિતી:
- Strong's: H2653, H3591, H4043, H5437, H5526, H6793, H7982, G2375
ઢોંગી, ઢોંગીઓ, પાખંડ
વ્યાખ્યા:
“ઢોંગી” શબ્દ વ્યક્તિ કે જે ન્યાયી હોવાની બાબતો કરે છે, પણ તે ગુપ્તમાં દુષ્ટ રીતે વર્તે છે.
“પાખંડ” શબ્દ, એવું વર્તન કે જે તે વ્યક્તિ ન્યાયી છે તેવો વિચાર કરાવી લોકોને છેતરે છે, તેને દર્શાવે છે.
ઢોંગીઓ સારી બાબતો કરે છે તેવું દેખાડવા માંગે છે, જેથી કે લોકો તેઓ વિશે વિચારે કે તેઓ સારા લોકો છે.
- મોટેભાગે ઢોંગી કે જે તેઓ પોતે કરે છે તેવી સમાન પાપરૂપ બાબતો કરવા માટે બીજા લોકોને ટીકા કરે છે.
- ઈસુએ ફરોશીઓને ઢોંગીઓ કહ્યા છે, કારણકે તેઓ ધાર્મિક રીતે વર્ત્યા, જેમકે ચોક્કસ કપડાં પહેરવા અને ચોક્કસ ખોરાક ખાવો, એમ છતાં પણ તેઓ લોકો માટે દયાળુ અથવા વ્યાજબી ન હતા.
- ઢોંગી બીજા લોકોમાં ખામીઓ શોધે છે, પણ પોતાની ખામીઓને સ્વીકારતા નથી.
ભાષાંતરના સૂચનો:
- કેટલીક ભાષાઓમાં એક અભિવ્યક્તિ છે જેવીકે “બે મોઢાવાળું” કે જે ઢોંગી અથવા ઢોંગીના કાર્યોને દર્શાવે છે.
- “ઢોંગી” શબ્દના અન્ય ભાષાંતરમાં, “છેતરપિંડી” અથવા “દંભી” અથવા “ઘમંડી, કપટી વ્યક્તિ” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
- “ઢોંગ” શબ્દનું ભાષાંતર, “છેતરપિંડી” અથવા “નકલી કાર્યો” અથવા “ઢોંગ” દ્વારા કરી શકાય છે.
બાઈબલની કલમો:
- ગલાતી 2:13-14
- લૂક 6:41-42
- લૂક 12:54-56
- લૂક 13:15-16
- માર્ક 7:6-7
- માથ્થી 6:1-2
- રોમન 12:9-10
શબ્દ માહિતી:
- Strong's: H120, H2611, H2612, G505, G5272, G5273
તંબુ, તંબુઓ, તંબુ બનાવનારા
વ્યાખ્યા:
એક તંબુ એ નાનો આશ્રય છે જે મજબુત કાપડના બનેલા હોય છે જે થાંભલાના માળખા પર ઢંકાયેલ હોય છે અને તેમને જોડે છે.
- તંબુ થોડા લોકો માટે સૂવા માટે પૂરતી જગ્યા સાથે નાના હોઇ શકે છે અથવા તેઓ સમગ્ર પરિવારમાટે ઊંઘવા, રસોઇ કરવા અને રહેવા માટે વિશાળ જગ્યા ધરાવતા હોઈ શકે છે.
- ઘણા લોકો માટે તંબુઓનો કાયમી નિવાસસ્થાનો તરીકે ઉપયોગ થાય છે ..
દાખલા તરીકે, મોટા ભાગના વખતે ઈબ્રાહીમનો પરિવાર કનાન દેશમાં રહેતો હતો, તેઓ બકરાના વાળમાંથી બનેલા મજબૂત કાપડના વિશાળ તંબુમાં રહેતા હતા.
- ઈસ્રાએલીઓ સિનાઈના રણમાં ચાલીસ વર્ષ દરમિયાન ભટકતા હતા ત્યારે તંબુઓમાં રહેતા હતા.
- મંડપનું મકાન એક મોટું તંબુ હતું, જેમાં કાપડના પડડાથી બનેલી જાડા દિવાલો હતી.
- જ્યારે પ્રેરીત પાઉલે સુવાર્તા વહેંચવા માટે જુદા જુદા શહેરોમાં પ્રવાસ કર્યો, તેમણે તંબુઓ બનાવીને પોતાની જાતને મદદ કરી.
- "તંબુઓ" શબ્દનો અલંકારિક ઉપયોગ સામાન્ય રીતે જ્યાં લોકો રહે છે તે માટે થાય છે.
તેનો અનુવાદ "ઘરો" અથવા "નિવાસ" અથવા "મકાનો" અથવા તો "સંસ્થાઓ" તરીકે પણ થઈ શકે છે.
(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કનાન, પડદો, પાઉલ, સિનાઈ, મુલાકાતમંડપ,મુલાકાતમંડપ)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃત્તાંત 5:10
- દાનીયેલ 11:44-45
- નિર્ગમન 16:16-18
- ઉત્પત્તિ 12:8-9
શબ્દ માહિતી:
- Strong's: H167, H168, H2583, H3407, H6898
તકરાર
વ્યાખ્યા:
“તકરાર” શબ્દ લોકો વચ્ચેનો શારીરિક કે ભાવનાત્મક ઝગડાનો ઉલ્લેખ કરે છે.
- વ્યક્તિ કે જે તકરાર કરે છે તે એવું કરે છે કે જેથી લોકો વચ્ચે ગાઢ મતભેદ થાય છે અને લાગણીઓ ઘવાય છે.
- કેટલીકવાર “તકરાર” શબ્દનો ઉપયોગ મજબૂત લાગણીઓ જેમ કે ગુસ્સો અથવા કડવાશ, સમાવિષ્ટ છે તેમ સૂચવે છે.
- આ શબ્દનો અનુવાદ કરવાની બીજી રીતોમા “મતભેદ” અથવા “વિવાદ” અથવા “ઝગડો” નો સમાવેશ કરી શકાય.
(આ પણ જુઓ: ગુસ્સો)
બાઈબલના સંદર્ભો:
- 1 કરિંથીઓ 3:3-5
- હબાક્કુક 1:3-4
- ફિલિપ્પીઓ 1:15-17
- નીતિવચન 17:1-2
- ગીતશાસ્ત્ર 55:8-9
- રોમનો 13:13-14
શબ્દ માહિતી:
- Strong's: H1777, H1779, H4066, H4090, H4683, H4808, H7379, H7701, G485, G2052, G2054, G3055, G3163, G5379
તલવાર,તલવારો, તલવારની પત્તાબાજીમાં ઉસ્તાદ
વ્યાખ્યા:
તલવાર કાપવા અથવા ભોંકવા માટે ઉપયોગમાં લેવાતુ એક પહોળી ધારવાળું ધાતુનું હથિયાર છે.
તેને હેન્ડલ અને લાંબી, ખૂબ તીક્ષ્ણ ધારવાળી,અણીદાર બ્લેડ હોય છે.
- પ્રાચીન સમયમાં તલવારની બ્લેડની લંબાઇ લગભગ 60 થી 91સેન્ટિમીટર હતી.
- કેટલીક તલવારોમાં બે બાજુ તીક્ષ્ણ ધાર હોય છે અને તેને "બેધારી"અથવા"બે ધારવાળી" તલવારો તરીકે ઓળખવામાં આવે છે.
- ઈસુના શિષ્યોએ સ્વબચાવ માટે તલવારો રાખી હતી.
પીતરે તેની તલવારથી, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.
- યોહાન બાપ્તિસ્ત અને પ્રેરીત યાકુબ બંનેનો તલવારોથી શિરચ્છેદ કરાયો હતો.
અનુવાદ માટેના સૂચનો:
- તલવારનો ઉપયોગ ઈશ્વરના શબ્દ માટે રૂપક તરીકે થાય છે.
બાઇબલમાં ઇશ્વરનું શિક્ષણ લોકોના આંતરિક વિચારોને ખુલ્લા પાડે છે અને તેમનાં પાપનું ભાન કરાવે છે.
તેવી જ રીતે,તલવાર ઊંડે સુધીકાપે છે,જેનાથી પીડા થાય છે. (જુઓ:રૂપક
- રૂપકાત્મક અનુવાદનો ઉપયોગ આ રીતે પણ થાય છે, "ઈશ્વરનું વચન તલવાર જેવું છે, જે ઊંડે સુધી કાપે છે અને પાપને ખુલ્લું પાડે છે."
- આ શબ્દનો બીજો રૂપકાત્મક ઉપયોગ, ગીતશાસ્ત્રના પુસ્તકમાં કરવામાં આવ્યો છે, જ્યાં વ્યક્તિની જીભ અથવા વાણીની સરખામણી તલવાર સાથે કરવામાં આવી છે, જે લોકોને ઘાયલ કરી શકે છે.
તેનું ભાષાંતર આ રીતે કરી શકાય છે કે,"જીભ તલવાર જેવી છે જે વ્યક્તિને ખરાબ રીતે ઘાયલ કરી શકે છે."
- જો તલવારો તમારી સંસ્કૃતિમાં પ્રચલિત ન હોય, તો આ શબ્દનો ઉપયોગ અન્ય લાંબા હથિયારના નામ સાથે થઈ શકે છે જેનો ઉપયોગ કાપવા અથવા ભોકવા માટે કરવામાંઆવતો હોય છે.
- તલવારને "તીક્ષ્ણ હથિયાર" અથવા "લાંબી છરી"તરીકે વર્ણવવામાં આવી શકે છે.
કેટલાક અનુવાદોમાં તલવારનું ચિત્ર સામેલ હોઈ શકે છે.
(આ પણ જુઓ:અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું
(આ પણ જુઓ:યાકુબ (ઇસુના ભાઇ),યોહાન(બાપ્તિસ્ત),જીભ, ઈશ્વરનો શબ્દ)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાંકૃત્યો 12:1-2
- ઉત્પત્તિ 27:39-40
- ઉત્પત્તિ 34:24-26
- લુક 2:33-35
- લુક 21:23-24
- માથ્થી 10:34-36
- માથ્થી 26:55-56
- પ્રકટીકરણ 1:14-16
શબ્દ માહિતી:
- Strong's: H19, H1300, H2719, H4380, H6609, H7524, H7973, G3162, G4501
તલવાર,તલવારો, તલવારની પત્તાબાજીમાં ઉસ્તાદ
વ્યાખ્યા:
તલવાર કાપવા અથવા ભોંકવા માટે ઉપયોગમાં લેવાતુ એક પહોળી ધારવાળું ધાતુનું હથિયાર છે.
તેને હેન્ડલ અને લાંબી, ખૂબ તીક્ષ્ણ ધારવાળી,અણીદાર બ્લેડ હોય છે.
- પ્રાચીન સમયમાં તલવારની બ્લેડની લંબાઇ લગભગ 60 થી 91સેન્ટિમીટર હતી.
- કેટલીક તલવારોમાં બે બાજુ તીક્ષ્ણ ધાર હોય છે અને તેને "બેધારી"અથવા"બે ધારવાળી" તલવારો તરીકે ઓળખવામાં આવે છે.
- ઈસુના શિષ્યોએ સ્વબચાવ માટે તલવારો રાખી હતી.
પીતરે તેની તલવારથી, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.
- યોહાન બાપ્તિસ્ત અને પ્રેરીત યાકુબ બંનેનો તલવારોથી શિરચ્છેદ કરાયો હતો.
અનુવાદ માટેના સૂચનો:
- તલવારનો ઉપયોગ ઈશ્વરના શબ્દ માટે રૂપક તરીકે થાય છે.
બાઇબલમાં ઇશ્વરનું શિક્ષણ લોકોના આંતરિક વિચારોને ખુલ્લા પાડે છે અને તેમનાં પાપનું ભાન કરાવે છે.
તેવી જ રીતે,તલવાર ઊંડે સુધીકાપે છે,જેનાથી પીડા થાય છે. (જુઓ:રૂપક
- રૂપકાત્મક અનુવાદનો ઉપયોગ આ રીતે પણ થાય છે, "ઈશ્વરનું વચન તલવાર જેવું છે, જે ઊંડે સુધી કાપે છે અને પાપને ખુલ્લું પાડે છે."
- આ શબ્દનો બીજો રૂપકાત્મક ઉપયોગ, ગીતશાસ્ત્રના પુસ્તકમાં કરવામાં આવ્યો છે, જ્યાં વ્યક્તિની જીભ અથવા વાણીની સરખામણી તલવાર સાથે કરવામાં આવી છે, જે લોકોને ઘાયલ કરી શકે છે.
તેનું ભાષાંતર આ રીતે કરી શકાય છે કે,"જીભ તલવાર જેવી છે જે વ્યક્તિને ખરાબ રીતે ઘાયલ કરી શકે છે."
- જો તલવારો તમારી સંસ્કૃતિમાં પ્રચલિત ન હોય, તો આ શબ્દનો ઉપયોગ અન્ય લાંબા હથિયારના નામ સાથે થઈ શકે છે જેનો ઉપયોગ કાપવા અથવા ભોકવા માટે કરવામાંઆવતો હોય છે.
- તલવારને "તીક્ષ્ણ હથિયાર" અથવા "લાંબી છરી"તરીકે વર્ણવવામાં આવી શકે છે.
કેટલાક અનુવાદોમાં તલવારનું ચિત્ર સામેલ હોઈ શકે છે.
(આ પણ જુઓ:અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું
(આ પણ જુઓ:યાકુબ (ઇસુના ભાઇ),યોહાન(બાપ્તિસ્ત),જીભ, ઈશ્વરનો શબ્દ)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાંકૃત્યો 12:1-2
- ઉત્પત્તિ 27:39-40
- ઉત્પત્તિ 34:24-26
- લુક 2:33-35
- લુક 21:23-24
- માથ્થી 10:34-36
- માથ્થી 26:55-56
- પ્રકટીકરણ 1:14-16
શબ્દ માહિતી:
- Strong's: H19, H1300, H2719, H4380, H6609, H7524, H7973, G3162, G4501
તામાર
તથ્યો:
તામાર જૂના કરારમાં ઘણી સ્ત્રીઓનું નામ હતું
તે જૂના કરારમાં કેટલાક શહેરો અથવા અન્ય સ્થળોનું નામ પણ હતું
- તામાર યહૂદાની પુત્રી હતી.
તેણે પેરેસને જન્મ આપ્યો જે ઇસુ ખ્રિસ્તના પૂર્વજ હતા.
- રાજા દાઉદની એક દીકરી તામાર હતી. તે આબ્શાલોમની બહેન હતી.
તેના સાવકા ભાઈ આમ્નોને તેના પર બળાત્કાર કર્યો અને તેને તરછોડી દીધી હતી.
- આબ્શાલોમને તામાર નામની એક પુત્રી પણ હતી.
- 'હેઝઝોન તામાર' તરીકે ઓળખાતું શહેર, ખારા સમુદ્રના પશ્ચિમ કિનારાના એન્ગેદી શહેરની જેવું હતું.
એક "બાલ તામાર" પણ છે, અને સામાન્ય સંદર્ભોમાં "તામાર" નામનું સ્થળ જે બીજા શહેરોથી અલગ હોઈ શકે છે.
(આ પણ જુઓ: આબ્શાલોમ, પૂર્વજ, આમ્નોન, દાઉદ, પૂર્વજ, યહૂદા, ખારો સમુદ્ર)
બાઇબલ સંદર્ભો
- 1 કાળવૃત્તાંત 2: 3-4
- 2 શમુએલ 13: 1-2
- 2શમુએલ 14:25-27
- ઉત્પત્તિ 38: 6-7
- ઉત્પત્તિ 38: 24-26
- માથ્થી 1: 1-3
શબ્દ માહિતી:
- Strong's: H1193, H2688, H8412, H8559
તીડ, તીડ
તથ્યો:
" તીડ " શબ્દનો ઉલ્લેખ મોટા, ઉડતી ખડમાકડી તરીકેનો થાય છે જે ઘણીવાર ઝૂંડમાં ખૂબ જ વિનાશક થઈને ઊડે છે જે બધી વનસ્પતિ ખાઇ જાય છે.
- તીડો અને અન્ય તિત્તીધોડાઓ મોટા, સીધા પાંખવાળા લાંબા, જોડાયેલા પગવાળા જંતુઓ છે જે તેમને લાંબા અંતર સુધી કૂદવાની ક્ષમતા આપે છે.
- જૂના કરારમાં, તીડોનો ઉલ્લેખ ઇસ્રાએલના આજ્ઞાભંગના પરિણામ સ્વરૂપે આવનારા ભારે વિનાશના પ્રતીક અથવા ચિત્ર તરીકે કરવામાં આવ્યો હતો.
ઈશ્વરે ઇજિપ્તવાસીઓ સામે દસ મરકીઓમાંના એક તરીકે તીડો મોકલ્યા હતા.
- નવો કરાર કહે છે કે જ્યારે તે અરણ્યમાં રહેતો હતો ત્યારે યોહાન બાપ્તીસ્ત માટે તીડો ખોરાકનો મુખ્ય સ્ત્રોત હતો.
(આ પણ જુઓ: બંદી, મિસર, ઈઝરાએલ, યોહાન (બાપ્તિસ્ત), મરકી)
બાઇબલના સંદર્ભો:
- 2 કાળવૃતાંત 6:28-31
- પુનર્નિયમ 28:38-39
- નિર્ગમન 10:3-4
- માર્ક 1:4-6
- નીતિવચનો 30:27-28
શબ્દ માહિતી:
- Strong's: H697, H1357, H1462, H1501, H2284, H3218, H5556, H6767, G200
તીડ, તીડ
તથ્યો:
" તીડ " શબ્દનો ઉલ્લેખ મોટા, ઉડતી ખડમાકડી તરીકેનો થાય છે જે ઘણીવાર ઝૂંડમાં ખૂબ જ વિનાશક થઈને ઊડે છે જે બધી વનસ્પતિ ખાઇ જાય છે.
- તીડો અને અન્ય તિત્તીધોડાઓ મોટા, સીધા પાંખવાળા લાંબા, જોડાયેલા પગવાળા જંતુઓ છે જે તેમને લાંબા અંતર સુધી કૂદવાની ક્ષમતા આપે છે.
- જૂના કરારમાં, તીડોનો ઉલ્લેખ ઇસ્રાએલના આજ્ઞાભંગના પરિણામ સ્વરૂપે આવનારા ભારે વિનાશના પ્રતીક અથવા ચિત્ર તરીકે કરવામાં આવ્યો હતો.
ઈશ્વરે ઇજિપ્તવાસીઓ સામે દસ મરકીઓમાંના એક તરીકે તીડો મોકલ્યા હતા.
- નવો કરાર કહે છે કે જ્યારે તે અરણ્યમાં રહેતો હતો ત્યારે યોહાન બાપ્તીસ્ત માટે તીડો ખોરાકનો મુખ્ય સ્ત્રોત હતો.
(આ પણ જુઓ: બંદી, મિસર, ઈઝરાએલ, યોહાન (બાપ્તિસ્ત), મરકી)
બાઇબલના સંદર્ભો:
- 2 કાળવૃતાંત 6:28-31
- પુનર્નિયમ 28:38-39
- નિર્ગમન 10:3-4
- માર્ક 1:4-6
- નીતિવચનો 30:27-28
શબ્દ માહિતી:
- Strong's: H697, H1357, H1462, H1501, H2284, H3218, H5556, H6767, G200
તૂર, તૂરના લોકો
તથ્યો:
તૂર એ એક પ્રાચીન કનાની શહેર હતું, જે ભૂમધ્ય સમુદ્રના દરિયાકિનારે સ્થિત છે, જે હવે લેબનોનના આધુનિક દેશનો ભાગ છે.
તેના લોકો "તૂરના" તરીકે ઓળખાતા હતા.
- શહેરનો ભાગ સમુદ્રમાં એક ટાપુ પર મુખ્ય જમીનથી આશરે એક કિલોમીટર દૂર આવેલો હતો,
- તેના સ્થાન અને તેના દેવદાર વૃક્ષોના મૂલ્યવાન કુદરતી સંસાધનોને કારણે, તૂરનો સમૃદ્ધ વેપાર ઉદ્યોગ હતો અને તે ખૂબ ધનવાન હતું.
તૂરના રાજા હીરામે રાજા દાઉદ માટે મહેલ બાંધવા માટે દેવદારના વૃક્ષોનું લાકડું અને કુશળ કામદારોને મોકલી દીધાં.
- વર્ષો પછી, હીરામે મંદિર બનાવવા માટે રાજા સુલેમાને લાકડું અને કુશળ કામદારોને પણ મોકલ્યા.
સુલેમાને મોટા પ્રમાણમાં ઘઉં અને ઓલિવ તેલ આપ્યા.
- તૂર ઘણી વખત નજીકના પ્રાચીન શહેર સિદોન સાથે સંકળાયેલ હતું.
કનાન પ્રાંતના આ સૌથી મહત્વપૂર્ણ શહેરો ફિનીકિયા કહેવાતા હતા.
આ પણ જુઓ: કનાન, એરેજ (દેવદાર), ઈઝરાએલ, સમુદ્ર, ફિનીકિયા, સિદોન
બાઇબલ સંદર્ભો
- પ્રેરિતોનાં કૃત્યો 12:20-21
- માર્ક 3:7-8
- માથ્થી 11:20-22
- માથ્થી 15:21-23
શબ્દ માહિતી:
- Strong's: H6865, H6876, G5183, G5184
તેલ
વ્યાખ્યા:
તેલ એક ઘટ્ટ પારદર્શક પ્રવાહી છે કે જેને ખાસ છોડમાંથી એકઠું કરી શકાય છે.
બાઇબલના સમયોમાં, સામાન્ય રીતે તેલને જૈતુન વૃક્ષોમાંથી કાઢવામાં આવતું હતું.
- જૈતુન તેલનો ઉપયોગ રાંધવામાં, અભિષેક કરવામાં, બલિદાન ચડાવવામાં, દીવા સળગાવવામાં અને દવા તરીકે કરવામાં આવતો હતો.
- પ્રાચીન સમયોમાં, જૈતુન તેલનું મૂલ્ય ખૂબ વધારે હતું અને તે તેલની માલિકી એ સમૃદ્ધિનો માપદંડ હતો.
- ધ્યાન રાખો કે આ શબ્દનો અનુવાદ એવા પ્રકારના તેલનો ઉલ્લેખ કરે કે જે રાંધવાના કામમાં આવે છે અને મોટરના તેલનો નહિ..
કેટલીક ભાષાઓમાં આ વિભિન્ન પ્રકારના તેલો માટે વિભિન્ન શબ્દો હોય છે.
(આ પણ જૂઓ: જૈતફળ, બલિદાન)
બાઇબલના સંદર્ભો:
- 1 શમુએલ 1:21-22
- નિર્ગમન 29:1-2
- લેવીય 5:11
- લેવીય 8:1-3
- માર્ક 6:12-13
- માથ્થી 25:7-9
શબ્દ માહિતી:
- Strong's: H1880, H2091, H3323, H4887, H6671, H7246, H8081, G1637, G3464
તેલ
વ્યાખ્યા:
તેલ એક ઘટ્ટ પારદર્શક પ્રવાહી છે કે જેને ખાસ છોડમાંથી એકઠું કરી શકાય છે.
બાઇબલના સમયોમાં, સામાન્ય રીતે તેલને જૈતુન વૃક્ષોમાંથી કાઢવામાં આવતું હતું.
- જૈતુન તેલનો ઉપયોગ રાંધવામાં, અભિષેક કરવામાં, બલિદાન ચડાવવામાં, દીવા સળગાવવામાં અને દવા તરીકે કરવામાં આવતો હતો.
- પ્રાચીન સમયોમાં, જૈતુન તેલનું મૂલ્ય ખૂબ વધારે હતું અને તે તેલની માલિકી એ સમૃદ્ધિનો માપદંડ હતો.
- ધ્યાન રાખો કે આ શબ્દનો અનુવાદ એવા પ્રકારના તેલનો ઉલ્લેખ કરે કે જે રાંધવાના કામમાં આવે છે અને મોટરના તેલનો નહિ..
કેટલીક ભાષાઓમાં આ વિભિન્ન પ્રકારના તેલો માટે વિભિન્ન શબ્દો હોય છે.
(આ પણ જૂઓ: જૈતફળ, બલિદાન)
બાઇબલના સંદર્ભો:
- 1 શમુએલ 1:21-22
- નિર્ગમન 29:1-2
- લેવીય 5:11
- લેવીય 8:1-3
- માર્ક 6:12-13
- માથ્થી 25:7-9
શબ્દ માહિતી:
- Strong's: H1880, H2091, H3323, H4887, H6671, H7246, H8081, G1637, G3464
ત્યાગ, ત્યાગ કરે છે, ત્યજાયેલો, ત્યજાઈ ગયેલું
વ્યાખ્યા:
“ત્યાગ” શબ્દનો અર્થ કોઈને છોડી દેવું અથવા કશાકનો પરિત્યાગ કરવો.
કોઈ કે જે “ત્યજાયેલો” છે, તે કોઈ બીજા દ્વારા ત્યજેલો અથવા છોડી દીધેલો છે.
- જયારે લોકો દેવને ત્યજી દે છે, ત્યારે તેઓ તેનો અનાદર કરીને તેને અવિશ્વાસુ બને છે.
- જયારે દેવ લોકોનો “ત્યાગ કરે છે,” ત્યારે તે તેઓને મદદ કરવાનું બંધ કરે છે અને તેઓને તેની પાસે પાછા ફરે માટે તેઓને પીડાનો અનુભવ કરવા દે છે.
- આ શબ્દનો અર્થ વસ્તુઓનો ત્યાગ કરવો પણ હોઈ શકે છે, જેવું કે કાંઈક પરિત્યાગ કરવું, અથવા દેવના શિક્ષણને અનુસરવું નહીં
- “ત્યજાયેલો” શબ્દનો ભૂતકાળ તરીકે ઉપયોગ થઈ શકે છે જેમકે, “તેણે તમને દીધા છે” અથવા કોઈ કે જેને “ત્યજી દેવામાં” આવ્યો છે, એમ કરી શકાય છે.
ભાષાંતરના સૂચનો:
- આ શબ્દના વિવિધ ભાષાંતરમાં, “ત્યાગ” અથવા “ઉપેક્ષા” અથવા “(તે)નો પરિત્યાગ કરવો” અથવા “તેનાથી દૂર જતા રહો” અથવા “પાછળ છોડવું” જેવા શબ્દો વાપરી સંદર્ભ પ્રમાણે તેનું (ભાષાંતર) કરી શકાય છે.
- “દેવના કાયદાનો ત્યાગ કરવો” શબ્દનું ભાષાંતર, “દેવના કાયદાનો અનાદર કરવો” થઈ શકે છે.
તેનું ભાષાંતર “ત્યાગ કરવો” અથવા “પરિત્યાગ કરવો” અથવા “આજ્ઞા પાળવાનું બંધ કરવું” તેનું શિક્ષણ અથવા તેના કાયદા “પાળવાનું બંધ કરવું” પણ થઈ શકે છે.
- “ત્યજાયેલ હોવું” શબ્દસમૂહનું ભાષાંતર, “છોડી દીધેલું હોવું” અથવા “ત્યજી દીધેલું હોવું” તરીકે કરી શકાય છે.
- આ શબ્દના ભાષાંતરને વધારે સ્પષ્ટ કરવા અલગ શબ્દો વાપરવા, જેમકે શું આ લખાણ વસ્તુને અથવા વ્યક્તિના ત્યાગને વર્ણવે છે.
બાઈબલની કલમો:
- 1 રાજા 6:11-13
- દાનિયેલ 11:29-30
- ઉત્પત્તિ 24:26-27
- યહોશુઆ 24:16-18
- માથ્થી 27:45-47
- નીતિવચન 27:9-10
- ગીતશાસ્ત્ર 71:17-18
શબ્દ માહિતી:
- Strong's: H488, H2308, H5203, H5428, H5800, H5805, H7503, G646, G657, G863, G1459, G2641,
થોમા
તથ્યો:
થોમા બાર માણસોમાંનો એક હતો, જેમને ઈસુએ પોતાના શિષ્યો અને પાછળથી પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા.
તે "દીદૂમસ" તરીકે પણ જાણીતો હતો, જેનો અર્થ "જોડિયા." થાય છે.
- ઈસુના જીવનના અંતની નજીક, તેમણે પોતાના શિષ્યોને કહ્યું કે તેઓ પિતા સાથે રહેવા જશે અને તેઓ તેમની સાથે રહેવા માટે એક જગ્યા તૈયાર કરશે.
થોમાએ ઇસુને પૂછ્યું કે , જ્યારે તેઓ જાણતા ન હતા કે તેઓ ક્યાં જઈ રહ્યાં હતા ત્યારે.તેઓ ત્યાં જવાનો માર્ગ કેવી રીતે જાણી સકે.
- ઈસુ મૃત્યુ પામ્યા અને મૃત્યુમાંથી પાછાં જીવતા થયા પછી, થોમાએ કહ્યું કે, જ્યાં સુધી તે ઇજાગ્રસ્ત થયેલા ઘાને જોશે નહીં અને તેને અનુભવશે નહીં ત્યાં સુધી તે માનશે નહી કે ઈસુ ખરેખર જીવંત છે,
(અનુવાદ સૂચનો: નામ કેવી રીતે ભાષાંતર કરવું
(આ પણ જુઓ: પ્રેરિત,શિષ્ય,ઈશ્વરપિતા, બાર)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 1:12-14
- યોહાન 11:15-16
- લુક 6:14-16
- માર્ક 3:17-19
- માથ્થી 10:2-4
શબ્દ માહિતી:
દયા, દયાળુ
વ્યાખ્યા:
“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.
- “દયા” શબ્દમાં લોકોએ કશુંક ખોટું કર્યું હોય તો તમને શિક્ષા ન કરવાનો અર્થ પણ સમાયેલો છે.
- જ્યારે એક શક્તિશાળી વ્યક્તિ જેમકે એક રાજા લોકોને નુકસાન પહોંચાડવાને બદલે તેઓ સાથે માયાળુપણે વર્તે છે ત્યારે તેને “દયાળુ” કહેવામાં આવે છે.
- દયાળુ હોવાનો અર્થ કોઈ વ્યક્તિ કે જેણે આપણી વિરુદ્ધ કંઈક ખોટું કર્યું હોય તેને માફ કરવાનો પણ છે.
- જ્યારે આપણે જેઓ ખૂબ જ જરૂરિયાતમાં છે તેઓને મદદ કરીએ છીએ ત્યારે આપણે દયા દાખવીએ છીએ.
- ઈશ્વર આપણી પ્રત્યે દયાળુ છે, અને તેઓ ઈચ્છે છે કે આપણે બીજાઓ પ્રત્યે દયાળુ બનીએ.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભને ધ્યાનમાં રાખતા “દયા”નો અનુવાદ “ભલાઈ” અથવા તો “કરુણા” અથવા તો “રહેમ” તરીકે કરી શકાય.
- “દયાળુ” શબ્દનો અનુવાદ “દયા કરવી” અથવા તો “કોઈક પ્રત્યે ભલા હોવું” અથવા તો “માફ કરવું” તરીકે કરી શકાય.
- “દયા બતાવવી” અથવા તો “દયા કરવી”નો અનુવાદ “માયાળુપણે વર્તવું” અથવા તો “કરુણામય હોવું” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)
બાઇબલના સંદર્ભો:
- 1 પિતર 1:3-5
- 1 તિમોથી 1:12-14
- દાનિયેલ 9:17-19
- નિર્ગમન 34:5-7
- ઉત્પત્તિ 19:16-17
- હિબ્રૂ 10:28-29
- યાકૂબ 2:12-13
- લૂક 6:35-36
- માથ્થી 9:27-28
- ફિલિપ્પી 2:25-27
- ગીતશાસ્ત્ર 41:4-6
- રોમનો 12:1-2
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 19:16 તેઓ (પ્રબોધકો) બધાએ લોકોને મૂર્તિપૂજા કરવાનું બંધ કરવા અને બીજાઓ પ્રત્યે ન્યાય તથા દયા દર્શાવવા કહ્યું.
- 19:17 તે (યર્મિયા) કૂવાના તળિયે રહેલા કાદવમાં ખૂંપી ગયો, પણ પછી રાજાએ તેના પર દયા કરી અને તેણે યર્મિયા મરી જાય તે પહેલાં તેને બહાર કાઢવા પોતાના ચાકરોને આજ્ઞા કરી.
- 20:12 ઈરાનનું સામ્રાજ્ય શક્તિશાળી હતું તો પણ તેણે જીતેલા લોકો પ્રત્યે તે દયાળુ હતું.
- 27:11 પછી ઈસુએ નિયમના નિષ્ણાંતને પૂછ્યું, “તને શું લાગે છે?
જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો?
તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”
- 32:11 પણ ઈસુએ તેને કહ્યું, “ના, મારી ઈચ્છા છે કે તું ઘરે જાય અને ઈશ્વરે તારા માટે જે બધું કર્યું છે અને કેવી રીતે તેઓએ તારા પર દયા કરી છે તે વિષે તારા મિત્રો તથા કુટુંબને જણાવે.
- 34:9 “પણ કર ઉઘરાવનાર ધાર્મિક આગેવાનથી દૂર ઊભો રહ્યો અને આકાશ તરફ જોયું પણ નહિ. તેને બદલે, તેણે છાતી કૂટીને પ્રાર્થના કરી, ‘ઈશ્વર, મારા પર દયા કરો કારણકે હું પાપી છું.’”
શબ્દ માહિતી:
- Strong's: H2551, H2603, H2604, H2616, H2617, H2623, H3722, H3727, H4627, H4819, H5503, H5504, H5505, H5506, H6014, H7349, H7355, H7356, H7359, G1653, G1655, G1656, G2433, G2436, G3628, G3629, G3741, G4698
દયા, દયાળુ
વ્યાખ્યા:
“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.
- “દયા” શબ્દમાં લોકોએ કશુંક ખોટું કર્યું હોય તો તમને શિક્ષા ન કરવાનો અર્થ પણ સમાયેલો છે.
- જ્યારે એક શક્તિશાળી વ્યક્તિ જેમકે એક રાજા લોકોને નુકસાન પહોંચાડવાને બદલે તેઓ સાથે માયાળુપણે વર્તે છે ત્યારે તેને “દયાળુ” કહેવામાં આવે છે.
- દયાળુ હોવાનો અર્થ કોઈ વ્યક્તિ કે જેણે આપણી વિરુદ્ધ કંઈક ખોટું કર્યું હોય તેને માફ કરવાનો પણ છે.
- જ્યારે આપણે જેઓ ખૂબ જ જરૂરિયાતમાં છે તેઓને મદદ કરીએ છીએ ત્યારે આપણે દયા દાખવીએ છીએ.
- ઈશ્વર આપણી પ્રત્યે દયાળુ છે, અને તેઓ ઈચ્છે છે કે આપણે બીજાઓ પ્રત્યે દયાળુ બનીએ.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભને ધ્યાનમાં રાખતા “દયા”નો અનુવાદ “ભલાઈ” અથવા તો “કરુણા” અથવા તો “રહેમ” તરીકે કરી શકાય.
- “દયાળુ” શબ્દનો અનુવાદ “દયા કરવી” અથવા તો “કોઈક પ્રત્યે ભલા હોવું” અથવા તો “માફ કરવું” તરીકે કરી શકાય.
- “દયા બતાવવી” અથવા તો “દયા કરવી”નો અનુવાદ “માયાળુપણે વર્તવું” અથવા તો “કરુણામય હોવું” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)
બાઇબલના સંદર્ભો:
- 1 પિતર 1:3-5
- 1 તિમોથી 1:12-14
- દાનિયેલ 9:17-19
- નિર્ગમન 34:5-7
- ઉત્પત્તિ 19:16-17
- હિબ્રૂ 10:28-29
- યાકૂબ 2:12-13
- લૂક 6:35-36
- માથ્થી 9:27-28
- ફિલિપ્પી 2:25-27
- ગીતશાસ્ત્ર 41:4-6
- રોમનો 12:1-2
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 19:16 તેઓ (પ્રબોધકો) બધાએ લોકોને મૂર્તિપૂજા કરવાનું બંધ કરવા અને બીજાઓ પ્રત્યે ન્યાય તથા દયા દર્શાવવા કહ્યું.
- 19:17 તે (યર્મિયા) કૂવાના તળિયે રહેલા કાદવમાં ખૂંપી ગયો, પણ પછી રાજાએ તેના પર દયા કરી અને તેણે યર્મિયા મરી જાય તે પહેલાં તેને બહાર કાઢવા પોતાના ચાકરોને આજ્ઞા કરી.
- 20:12 ઈરાનનું સામ્રાજ્ય શક્તિશાળી હતું તો પણ તેણે જીતેલા લોકો પ્રત્યે તે દયાળુ હતું.
- 27:11 પછી ઈસુએ નિયમના નિષ્ણાંતને પૂછ્યું, “તને શું લાગે છે?
જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો?
તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”
- 32:11 પણ ઈસુએ તેને કહ્યું, “ના, મારી ઈચ્છા છે કે તું ઘરે જાય અને ઈશ્વરે તારા માટે જે બધું કર્યું છે અને કેવી રીતે તેઓએ તારા પર દયા કરી છે તે વિષે તારા મિત્રો તથા કુટુંબને જણાવે.
- 34:9 “પણ કર ઉઘરાવનાર ધાર્મિક આગેવાનથી દૂર ઊભો રહ્યો અને આકાશ તરફ જોયું પણ નહિ. તેને બદલે, તેણે છાતી કૂટીને પ્રાર્થના કરી, ‘ઈશ્વર, મારા પર દયા કરો કારણકે હું પાપી છું.’”
શબ્દ માહિતી:
- Strong's: H2551, H2603, H2604, H2616, H2617, H2623, H3722, H3727, H4627, H4819, H5503, H5504, H5505, H5506, H6014, H7349, H7355, H7356, H7359, G1653, G1655, G1656, G2433, G2436, G3628, G3629, G3741, G4698
દસ આજ્ઞાઓ
તથ્યો:
"દસ આજ્ઞાઓ" એ આજ્ઞાઓ હતી જે ઈશ્વરે મુસાને સિનાય પર્વત પર આપી હતી, જ્યારે ઈસ્રાએલીઓ કનાન દેશને રસ્તે અરણ્યમાં રહેતા હતા.
ઈશ્વરે આ આદેશો પથ્થરની બે મોટી શિલા પર લખ્યા હતા.
ઈશ્વરે ઈસ્રાએલીઓને ઘણી આજ્ઞાઓ પાળવાની આજ્ઞા આપી હતી, પરંતુ દસ આજ્ઞાઓ ખાસ આજ્ઞા હતી કે ઈસ્રાએલીઓ ઈશ્વરને પ્રેમ કરે અને ભજન કરે અને અન્ય લોકોને પ્રેમ કરે.
- આ આજ્ઞાઓ પણ તેના લોકો સાથે ઈશ્વરના કરારનો ભાગ હતો.
ઈશ્વરે તેમને જે કરવા કહ્યું હતું તે પાળવાથી ઈસ્રાએલી લોકો બતાવશે કે તેઓ ઈશ્વરને પ્રેમ કરતા હતા અને તેઓ તેમના હતા.
- આ આજ્ઞાઓ લખેલા પથ્થર ને કરારકોશના કરારમાં રાખવામાં આવ્યા હતા, જે મંડપનું પરમ પવિત્રસ્થાન અને પાછળથી મંદિરમાંનું સ્થાન હતું.
(આ પણ જુઓ: કરારકોશ, આદેશ, કરાર, રણ, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, સિનાઈ, ઉપાસના)
બાઇબલના સંદર્ભો:
- પુનર્નિયમ 4:13-14
- પુનર્નિયમ 10:3-4
- નિર્ગમન 34: 27-28
- લુક 18:18-21
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 13:7 ત્યાર પછી ઈશ્વરે બે પથ્થરની પાટીઓ પર આ દસ આજ્ઞાઓ લખી અને મૂસાને આપી દીધી.
- 13:13 જ્યારે મૂસા પર્વત પરથી નીચે આવ્યો અને મૂર્તિને જોઇ, ત્યારે તે એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે પથ્થરની પાટીઓ તોડી નાખી જેના પર ઈશ્વરે દસ આજ્ઞાઓ લખી હતી.
- 13:15 મૂસાએ જે પાટીઓ તોડી નાખી હતી તેના બદલે નવી પથ્થરની પાટીઓ પર દસ આજ્ઞાઓ લખી હતી.
શબ્દ માહિતી:
દાઉદ
સત્યો:
દાઉદ ઈઝરાએલનો બીજો રાજા હતો અને તેણે દેવને પ્રેમ કર્યો અને તેની સેવા કરી.
તે ગીતશાસ્ત્રના પુસ્તકનો મુખ્ય લેખક હતો.
- જયારે દાઉદ હજુ તો નાનો છોકરો તેના કુટુબના ઘેટાં સંભાળતો હતો, ત્યારે દેવે તેને ઈઝરાએલનો અગામી રાજા બનવા પસંદ કર્યો.
- દાઉદ મહાન લડવૈયો બન્યો અને ઈઝરાએલના સૈન્યને તેઓના શત્રુઓની સામે લડાઈઓ લડવા દોરવણી આપી.
તેણે પલિસ્તી ગોલ્યાથનો પરાજય કર્યો તે સારી રીતે જાણીતું છે.
- શાઉલ રાજાએ દાઉદને મારી નાખવા પ્રયત્ન કર્યો, પણ દેવે તેને સુરક્ષિત રાખ્યો અને શાઉલ રાજાના મરણ બાદ તેને રાજા બનાવ્યો.
- દાઉદે ભયંકર પાપ કર્યું, પણ તેણે પસ્તાવો કર્યો અને દેવે તેને માફ કર્યો.
- ઈસુ, મસીહને “દાઉદનો દીકરો” કહેવામાં આવ્યો છે કારણકે તે દાઉદ રાજાનો વંશજ છે.
(આ પણ જુઓ: ગોલ્યાથ, પલિસ્તિઓ, [શાઉલ )
બાઈબલની કલમો:
- શાઉલ (જુનો કરાર)
- 1 શમુએલ 20:32-34
- 2 શમુએલ 5:1-2
- 2 તિમોથી 2:8-10
- પ્રેરિતો 2:25-26
- પ્રેરિતો 13:21-22
- લૂક 1:30-33
- માર્ક 2:25-26
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- __17:2__દેવે દાઉદ નામનાં જુવાન ઈઝરાએલીને શાઉલ પછી રાજા બનવા પસંદ કર્યો. દાઉદ બેથલેહેમ નગરનો ભરવાડ હતો. ... દાઉદ નમ્ર અને ન્યાયી માણસ હતો કે જેણે દેવ પર ભરોસો રાખ્યો અને દેવને આધીન રહ્યો.
- 17:3 દાઉદ એ મહાન સૈનિક અને નેતા પણ હતો.
જયારે દાઉદ હજુ તો જુવાન માણસ હતો, તે ગોલ્યાથ નામના રાક્ષસ સામે લડ્યો.
- __17:4__શાઉલને લોકોના દાઉદ પરના પ્રેમને લીધે ઈર્ષ્યા થઈ.
શાઉલે ઘણીવાર તેને મારવા પ્રયત્નો કર્યા, જેથી દાઉદ શાઉલથી સંતાઈ રહ્યો.
- 17:5 દેવે દાઉદ ને આશીર્વાદ આપ્યો અને તેને સફળ કર્યો. દાઉદ ઘણી લડાઈઓ લડ્યો અને દેવે તેને ઈઝરાએલના શત્રુને હરાવવામાં મદદ કરી.
- 17:6 દાઉદે મંદિર બાંધવા ચાહ્યું કે જ્યાં બધા ઈઝરાએલીઓ દેવની આરાધના કરી શકે અને તેને બલિદાનો અર્પણ કરી શકે.
- 17:9 દાઉદે ન્યાય અને વિશ્વાસુપણાથી રાજ્ય કર્યું અને દેવે તેને આશીર્વાદિત કર્યો.
તોપણ, તેના જીવનના પાછળના સમયમાં તરફ તેણે દેવની વિરુદ્ધ ભયંકર રીતે પાપ કર્યું.
- 17:9 દાઉદે જે કર્યું હતું તે વિશે દેવ ખૂબજ ગુસ્સે હતા, જેથી તેણે નાથાન પ્રબોધકને તેનું પાપ કેવું દુષ્ટ હતું તે દાઉદને કહેવા મોકલ્યો.
બાકીના તેના જીવન દરમ્યાન કે જ્યાં ખૂબ મુશ્કેલી હતી છતાં પણ દાઉદ દેવને અનુસર્યો અને આધીન રહ્યો.
શબ્દ માહિતી:
દાડમ
તથ્યો:
દાડમ એક પ્રકારનું ફળ છે કે જેને સખત જાડું છોડું હોય છે જેમાં ખાવાલાયક લાલ ગરથી આવરિત બીજ રહેલા હોય છે.
- બહારની છાલ લાલ રંગની હોય છે અને બીજની આસપાસનો ગર ચમકતો અને લાલ હોય છે.
- દાડમોને ઈજિપ્ત અને ઇઝરાયલ જેવા બહુ સામાન્ય રીતે ગરમ અને સૂકા દેશોમાં ઉગાડાય છે.
- યહોવાએ ઇઝરાયલીઓને વચન આપ્યું હતું કે કનાન દેશ પુષ્કળ પાણી અને ફળદ્રુપ જમીનથી ભરપૂર હતો કે જેથી ત્યાં દાડમો સહિત ભરપૂર ખોરાક હતો.
- સુલેમાનના ભક્તિસ્થાનના બાંધકામમાં દાડમના આકારના પિત્તળના અલંકારોનો સમાવેશ થયો હતો.
(આ પણ જૂઓ: પિત્તળ, કનાન, મિસર, સુલેમાન, મંદિર)
બાઇબલના સંદર્ભો:
- 2 રાજા 25:16-17
- પુનર્નિયમ 8:7-8
- યર્મિયા 52:22-23
- ગણના 13:23-24
- મિસર
શબ્દ માહિતી:
દાન, દાનો
વ્યાખ્યા:
“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે.
દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.
- પૈસા, ખોરાક, કપડાં, અથવા અન્ય વસ્તુઓ જે ગરીબ લોકોને આપવામાં આવે છે, તેને “દાનો” કહેવામાં આવે છે.
- બાઈબલમાં, દેવને અર્પણ અથવા બલિદાન આપવામાં આવે છે, તેને પણ દાન કહેવામાં આવે છે.
- કંઈક મુક્તિનું દાન છે જે ઈસુમાં વિશ્વાસ દ્વારા દેવ આપણને આપે છે.
- નવા કરારમાં, “દાનો” શબ્દ એ ખાસ આત્મિક ક્ષમતાઓ (વરદાન) દર્શાવવા પણ વાપરવામાં આવ્યો છે કે જે દેવ બધા ખ્રિસ્તીઓને અન્ય લોકોની સેવા કરવા માટે આપે છે.
ભાષાંતરના સૂચનો:
- “દાન” માટેના સામાન્ય શબ્દનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ સાથે કરી શકાય કે જેનો અર્થ, “કંઈક કે જે આપવામાં આવે છે.”
- કોઈને દેવ તરફથી દાન (વરદાન) અથવા ખાસ ક્ષમતા હોય તે સંદર્ભમાં, “આત્મા તરફથી દાન” શબ્દનું ભાષાંતર, “આત્મિક ક્ષમતા” અથવા “પવિત્ર આત્મા દ્વારા ખાસ ક્ષમતા” અથવા “ વિશેષ આત્મિક કૌશલ્ય કે જે દેવ આપે છે,” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)
બાઈબલની કલમો:
- 1 કરિંથી 12:1-3
- 2 શમુએલ 11:6-8
- પ્રેરિતો 8:20-23
- પ્રેરિતો 10:3-6
- પ્રેરિતો 11:17-18
- પ્રેરિતો 24:17-19
- યાકૂબ 1:17-18
- યોહાન 4:9-10
- માથ્થી 5:23-24
- માથ્થી 8:4
શબ્દ માહિતી:
- Strong's: H814, H4503, H4864, H4976, H4978, H4979, H4991, H5078, H5083, H5379, H7810, H8641, G334, G1390, G1394, G1431, G1434, G1435, G3311, G5486
દાન, દાનો
વ્યાખ્યા:
“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે.
દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.
- પૈસા, ખોરાક, કપડાં, અથવા અન્ય વસ્તુઓ જે ગરીબ લોકોને આપવામાં આવે છે, તેને “દાનો” કહેવામાં આવે છે.
- બાઈબલમાં, દેવને અર્પણ અથવા બલિદાન આપવામાં આવે છે, તેને પણ દાન કહેવામાં આવે છે.
- કંઈક મુક્તિનું દાન છે જે ઈસુમાં વિશ્વાસ દ્વારા દેવ આપણને આપે છે.
- નવા કરારમાં, “દાનો” શબ્દ એ ખાસ આત્મિક ક્ષમતાઓ (વરદાન) દર્શાવવા પણ વાપરવામાં આવ્યો છે કે જે દેવ બધા ખ્રિસ્તીઓને અન્ય લોકોની સેવા કરવા માટે આપે છે.
ભાષાંતરના સૂચનો:
- “દાન” માટેના સામાન્ય શબ્દનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ સાથે કરી શકાય કે જેનો અર્થ, “કંઈક કે જે આપવામાં આવે છે.”
- કોઈને દેવ તરફથી દાન (વરદાન) અથવા ખાસ ક્ષમતા હોય તે સંદર્ભમાં, “આત્મા તરફથી દાન” શબ્દનું ભાષાંતર, “આત્મિક ક્ષમતા” અથવા “પવિત્ર આત્મા દ્વારા ખાસ ક્ષમતા” અથવા “ વિશેષ આત્મિક કૌશલ્ય કે જે દેવ આપે છે,” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)
બાઈબલની કલમો:
- 1 કરિંથી 12:1-3
- 2 શમુએલ 11:6-8
- પ્રેરિતો 8:20-23
- પ્રેરિતો 10:3-6
- પ્રેરિતો 11:17-18
- પ્રેરિતો 24:17-19
- યાકૂબ 1:17-18
- યોહાન 4:9-10
- માથ્થી 5:23-24
- માથ્થી 8:4
શબ્દ માહિતી:
- Strong's: H814, H4503, H4864, H4976, H4978, H4979, H4991, H5078, H5083, H5379, H7810, H8641, G334, G1390, G1394, G1431, G1434, G1435, G3311, G5486
દાન
સત્યો:
દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.
- ઈબ્રામના સમય દરમ્યાન, આ દાન નામનું શહેર યરૂશાલેમની પ્રશ્ચિમે આવેલું હતું.
- વર્ષો પછી, ઈઝરાએલ દેશ વચનની ભૂમિમાં પ્રવેશ્યો તે સમય દરમ્યાન, દાન નામનું અલગ શહેર હતું, જે લગભગ યરૂશાલેમથી ઉત્તર દિશા તરફ 60 ગાઉ ઉપર આવેલું હતું.
“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.
(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)
બાઈબલની કલમો:
- 1કાળવૃતાંત 12:34-35
- 1 રાજા 4:24-25
- નિર્ગમન 1:1-5
- ઉત્પત્તિ 14:13-14
- ઉત્પત્તિ 30:5-6
શબ્દ માહિતી:
- Strong's: H1835, H1839, H2051
દાન
સત્યો:
દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.
- ઈબ્રામના સમય દરમ્યાન, આ દાન નામનું શહેર યરૂશાલેમની પ્રશ્ચિમે આવેલું હતું.
- વર્ષો પછી, ઈઝરાએલ દેશ વચનની ભૂમિમાં પ્રવેશ્યો તે સમય દરમ્યાન, દાન નામનું અલગ શહેર હતું, જે લગભગ યરૂશાલેમથી ઉત્તર દિશા તરફ 60 ગાઉ ઉપર આવેલું હતું.
“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.
(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)
બાઈબલની કલમો:
- 1કાળવૃતાંત 12:34-35
- 1 રાજા 4:24-25
- નિર્ગમન 1:1-5
- ઉત્પત્તિ 14:13-14
- ઉત્પત્તિ 30:5-6
શબ્દ માહિતી:
- Strong's: H1835, H1839, H2051
દાન
વ્યાખ્યા:
ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.
- તે સમયના ધર્મમાં મોટેભાગે દાન આપવું તે ન્યાયી થવા માટેની જરૂરી બાબત હતી.
- ઈસુએ કહ્યું બીજા લોકો જુએ તે ઈરાદા જાહેરમાં દાન આપવું જોઈએ નહીં.
- આ શબ્દનું ભાષાંતર આ રીતે પણ થઈ શકે એટલે કે “પૈસા” “ગરીબો લોકોને ભેટ” અથવા “ગરીબ માટે મદદ.”
બાઈબલની કલમો:
- પ્રેરિતો 3:1-3
- માથ્થી 6:1-2
- માથ્થી 6:3-4
શબ્દ માહિતી:
દાન
વ્યાખ્યા:
ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.
- તે સમયના ધર્મમાં મોટેભાગે દાન આપવું તે ન્યાયી થવા માટેની જરૂરી બાબત હતી.
- ઈસુએ કહ્યું બીજા લોકો જુએ તે ઈરાદા જાહેરમાં દાન આપવું જોઈએ નહીં.
- આ શબ્દનું ભાષાંતર આ રીતે પણ થઈ શકે એટલે કે “પૈસા” “ગરીબો લોકોને ભેટ” અથવા “ગરીબ માટે મદદ.”
બાઈબલની કલમો:
- પ્રેરિતો 3:1-3
- માથ્થી 6:1-2
- માથ્થી 6:3-4
શબ્દ માહિતી:
દાનિયેલ
સત્યો:
દાનિયેલ ઈઝરાએલીઓનો એક પ્રબોધક હતો કે જેને જુવાન તરીકે લગભગ ઈસ પૂર્વે 600 વર્ષમાં બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર દ્વારા બંદી બનાવીને લઈ જવામાં આવ્યો હતો.
- આ સમય દરમ્યાન યહૂદામાંથી બીજા ઘણા ઈઝરાએલીઓને બંદી બનાવીને 70 વર્ષો માટે બાબિલમાં લઇ જવાયા હતા.
- દાનિયેલને બાબિનનું નામ બેલ્ટશાસ્સાર આપવામાં આવ્યું હતું.
- દાનિયેલ એ એક પ્રતિષ્ઠિત અને પ્રમાણિક જુવાન માણસ કે જે દેવની આજ્ઞા પાળનારો હતો.
- દેવે દાનિયેલને બાબિનના રાજાઓના અનેક સ્વપ્નો અને દર્શનોનું અર્થઘટન કરવા જ્ઞાન પૂરું પાડ્યું.
- આ ક્ષમતાને કારણે અને તેના પ્રતિષ્ઠિત ચરિત્રને કારણે, દાનિયેલને બાબિલના સામ્રાજ્યમાં ઉચ્ચ નેતૃત્વનો દરજ્જો અપાયો હતો.
- ઘણા વર્ષો પછી, દાનિયેલના શત્રુઓએ બાબિલના રાજા દાર્યાવેશ સિવાય બીજા કોઈની ઉપાસના ન કરવાનો પ્રતિબંધ મૂકતો કાયદો બનાવવાની યુક્તિ કરી.
પણ દાનિયેલે દેવને પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું, જેથી તેની ધરપકડ કરી અને સિંહોના બિલમાં ફેકવામાં આવ્યો.
પણ દેવે તેને બચાવ્યો અને તેને કંઈપણ ઈજા થઈ નહીં.
(આ પણ જુઓ: બાબિલોન, નબૂખાદનેસ્સાર)
બાઈબલની કલમો:
- દાનિયેલ 1:6-7
- દાનિયેલ 5:29-31
- દાનિયેલ 7:27-28
- હઝકિયેલ 14:12-14
- માથ્થી 24:15-18
શબ્દ માહિતી:
- Strong's: H1840, H1841, G1158
દિલાસો, આરામ, દિલાસો પામેલ, દિલાસો આપવો, દિલાસો આપનાર, દિલાસો આપનારાં, દિલાસો ન પામેલ
વ્યાખ્યા:
“દિલાસો” અને “દિલાસો આપનાર” કોઈક કે જે શારીરિક અથવા ભાવનાત્મક દર્દથી પીડાઈ રહ્યું છે તેને મદદ કરવાનું દર્શાવે છે.
- વ્યક્તિ કે જે કોઈકને દિલાસો આપે છે તેને “દિલાસો આપનાર” કહેવાય છે.
- જૂના કરારમાં, “દિલાસો” શબ્દ દેવ તેના લોકોને કેવો માયાળુ અને પ્રેમાળ છે, અને જયારે તેઓ પીડાતા હોય તેઓને મદદ કરે છે તેનું વર્ણન કરે છે
- નવા કરારમાં, તે કહે છે કે દેવ તેના લોકોને પવિત્ર આત્મા દ્વારા દિલાસો આપશે.
જેઓ દિલાસો પામે છે તેઓ તેવો જ દુઃખથી પીડાતા લોકોને તે જ પ્રકારનો દિલાસો આપવા સક્રિય બને છે.
- “ઈઝરાએલને દિલાસો આપનાર,” એ અભિવ્યક્તિ મસીહ કે જે આવીને તેના લોકોને છોડાવશે તેને દર્શાવે છે.
- ઈસુ પવિત્ર આત્માને “દિલાસો આપનાર” તરીકે દર્શાવે છે કે, જે ઈસુમાંના વિશ્વાસીઓને મદદ કરે છે.
ભાષાંતર માટેના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને, “દિલાસા” શબ્દનું ભાષાંતર “દર્દને સરળ કરવું” અથવા “કોઈકના દુઃખને દૂર કરવા મદદ કરવી” અથવા “સાંત્વના આપવી” અથવા “દિલાસો આપવો” તરીકે કરી શકાય.
- જેમકે “અમારો દિલાસો” વાક્યનું ભાષાંતર “અમારું પ્રોત્સાહન” અથવા “(કોઈકને) અમારી સાંત્વના” અથવા “દુઃખના સમયમાં અમારી મદદ” તરીકે કરી શકાય.
- “દિલાસો આપનાર” શબ્દનું ભાષાંતર, “વ્યક્તિ કે જે દિલાસો આપે છે” અથવા “કોઈક કે જે દુઃખ હળવું કરવામાં મદદ કરે છે” અથવા “વ્યક્તિ કે જે પ્રોત્સાહન આપે છે” તરીકે કરી શકાય છે.
- જયારે પવિત્ર આત્મા “દિલાસો આપનાર” કહેવાય છે જેનું ભાષાંતર, “પ્રોત્સાહન આપનાર” અથવા “મદદગાર” અથવા “એક કે જે મદદ અને માર્ગદર્શક” તરીકે પણ કરી શકાય.
- “ઈઝરાએલને દિલાસો આપનાર” વાક્યનું ભાષાંતર, “મસીહ”, કે જે ઈઝરાએલને દિલાસો આપે છે” એમ કરી શકાય છે.
- “તેઓને દિલાસો આપનાર નથી” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “કોઈએ તેમને દિલાસો આપ્યો નથી” અથવા “તેઓને પ્રોત્સાહન કે મદદ કરવા કોઈ પણ નથી” તરીકે પણ કરી શકાય.
(આ પણ જુઓ: હિંમત, પવિત્ર આત્મા)
બાઈબલની કલમો:
- 1 થેસ્સ્લોનિકી 5:8-11
- 2 કરિંથીઓ 1:3-4
- 2 શમુએલ 10:1-3
- પ્રેરિતો 20:11-12
શબ્દ માહિતી:
- Strong's: H2505, H5150, H5162, H5165, H5564, H8575, G302, G2174, G3870, G3874, G3875, G3888, G3890, G3931
દિવસ, દિવસો
વ્યાખ્યા:
“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે.
તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.
- ઈઝરાએલીઓ અને યહૂદિઓ માટે દિવસની શરૂઆત સૂર્યાસ્તથી થાય છે અને તેનો અંત બીજા દિવસના સૂર્યાસ્તે થાય છે.
- કયારેક “દિવસ” શબ્દનો ઉપયોગ રૂપક તરીકે કરવામાં આવ્યો છે, જે લાંબા સમયગાળા ને દર્શાવે છે, જેમકે “યહોવાનો દિવસ” અથવા “છેલ્લા દિવસો.”
- કેટલીક ભાષાઓમાં આ રૂપક શબ્દોની અભિવ્યક્તિને જુદી જુદી રીતે ભાષાંતર કરવામાં આવી છે, અથવા તેનું ભાષાંતરનો સામાન્ય અર્થ “દિવસ” પણ કરવામાં આવ્યું છે.
- સંદર્ભ પ્રમાણે “દિવસ” શબ્દનું ભાષાંતર, “સમય” અથવા “ઋતુ” અથવા “પ્રસંગ” અથવા “ઘટના” જેવા શબ્દોનો સમાવેશ થાય છે.
(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)
બાઈબલની કલમો:
- પ્રેરિતોના કૃત્યો 20:4-6
- દાનિએલ 10:4-6
- એઝરા 6:13-15
- એઝરા 6:19-20
- માથ્થી 9:14-15
શબ્દ માહિતી:
- Strong's: H3117, H3118, H6242, G2250
દિવસ, દિવસો
વ્યાખ્યા:
“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે.
તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.
- ઈઝરાએલીઓ અને યહૂદિઓ માટે દિવસની શરૂઆત સૂર્યાસ્તથી થાય છે અને તેનો અંત બીજા દિવસના સૂર્યાસ્તે થાય છે.
- કયારેક “દિવસ” શબ્દનો ઉપયોગ રૂપક તરીકે કરવામાં આવ્યો છે, જે લાંબા સમયગાળા ને દર્શાવે છે, જેમકે “યહોવાનો દિવસ” અથવા “છેલ્લા દિવસો.”
- કેટલીક ભાષાઓમાં આ રૂપક શબ્દોની અભિવ્યક્તિને જુદી જુદી રીતે ભાષાંતર કરવામાં આવી છે, અથવા તેનું ભાષાંતરનો સામાન્ય અર્થ “દિવસ” પણ કરવામાં આવ્યું છે.
- સંદર્ભ પ્રમાણે “દિવસ” શબ્દનું ભાષાંતર, “સમય” અથવા “ઋતુ” અથવા “પ્રસંગ” અથવા “ઘટના” જેવા શબ્દોનો સમાવેશ થાય છે.
(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)
બાઈબલની કલમો:
- પ્રેરિતોના કૃત્યો 20:4-6
- દાનિએલ 10:4-6
- એઝરા 6:13-15
- એઝરા 6:19-20
- માથ્થી 9:14-15
શબ્દ માહિતી:
- Strong's: H3117, H3118, H6242, G2250
દીકરો, દીકરાઓ
વ્યાખ્યા:
પુરુષ અને સ્ત્રીનું નાર સંતાન તેમનો “દીકરો” તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કહેવાય.
તેને તે પુરુષનો દીકરો અને તે સ્ત્રીનો દીકરો પણ કહેવાય.
“દત્તક પુત્ર” એક પુરુષ છે જે કાયદેસર રીતે દીકરો હોવાનું સ્થાન ધરાવે છે.
- બાઈબલમાં ઘણીવાર “દીકરો” પુરુષ વંશજનો ઉલ્લેખ કરવા રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે, જેમ કે પૌત્ર અથવા પ્રપૌત્ર.
- “દીકરો” શબ્દનો ઉપયોગ વક્તા કરતા નાના હોય તેવા છોકરા કે માણસને નમ્રતાના પ્રતિક તરીકે પણ કરી શકાય છે.
- ઘણીવાર ખ્રિસ્તમાં વિશ્વાસીઓ માટે “ઈશ્વરના દીકરાઓ” નવા કરારમાં વાપરવામાં આવ્યું છે.
- ઈશ્વરે ઈઝરાયેલને તેમનો “પ્રથમજનિત દીકરો” કહ્યો.
તે ઈશ્વરે ઈઝરાયેલને રાષ્ટ્ર તરીકે પોતાના ખાસ લોક બનવા પસંદ કર્યું તેનો ઉલ્લેખ કરે છે.
તે તો તેમના દ્વારા ઈશ્વરનો ઉદ્ધાર અને તારણનો સંદેશ આવ્યો, તેના પરિણામ સ્વરૂપે ઘણાં બીજા લોકો તેમના આત્મિક બાળકો બન્યા.
- “ના દીકરા” શબ્દસમૂહનો રૂપકાત્મક અર્થ “વ્યક્તિ પાસે ના લક્ષણો હોવા” એમ થાય છે.
તેના ઉદાહરણ તરીકે “અજવાળાના દીકરાઓ,” “અનઆજ્ઞાંકિતના દીકરાઓ,” “શાંતિનો દીકરો,” અને “ગર્જનાના દીકરાઓ”નો સમાવેશ થાય છે.
- “નો દીકરો” શબ્દસમૂહ એ વ્યક્તિના પિતા કોણ છે તે કહેવા માટે પણ વપરાય છે.
આ શબ્દસમૂહનો ઉપયોગ વંશાવળીઓમા અને બીજી ઘણી જગ્યાએ થાય છે.
- “નો દીકરો” ઉપયોગ કરીને વારંવાર પિતાનું નામ આપીને એવા લોકોની ઓળખ કરવા મદદ કરે છે જેઓના એકસરખા નામ છે.
ઉદાહરણ તરીકે, 1 રાજાઓ 4 મા, “સાદોકનો દીકરો અઝાર્યા” અને નાથાનનો દીકરો અઝાર્યા” અને 2 રાજાઓ 15 મા “અમાસ્યાનો દીકરો અઝાર્યા” ત્રણે જુદા જુદા માણસો છે.
અનુવાદ માટેના સૂચનો:
- આ શબ્દના મોટા ભાગના બનાવોમાં, “દીકરા”નું અનુવાદ ભાષામાં પુત્ર માટે વપરાતા શાબ્દિક શબ્દ દ્વારા કરવું.
- “ઈશ્વરના દીકરા” શબ્દનું અનુવાદ કરતી વખતે, પ્રોજેક્ટ ભાષાનો “દીકરા” માટેનો સામાન્ય શબ્દ વાપરવો જોઈએ.
- જ્યારે દીકરા કરતાં વંશજનો ઉલ્લેખ કરવાનો હોય, ત્યારે “વંશજ” શબ્દ વાપરી શકાય, જે રીતે ઈસુ માટે “દાઉદના વંશજ” વપરાય છે તેમ અથવા વંશાવળીઓમાં કેટલીકવાર “દીકરો” નર વંશજનો ઉલ્લેખ કરાય છે કે જે ખરેખર દીકરો હોતો નથી.
- કેટલીકવાર “દીકરાઓ” નું અનુવાદ “બાળકો” કરી શકાય, જ્યારે બંને પુરુષ અને સ્ત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય.
ઉદાહાર્ણ તરીકે, “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ “ઈશ્વરના બાળકો” તરીકે કરી શકાય જેમાં આ અભિવ્યક્તિ છોકરીઓ અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.
- “નો દીકરો” રૂપકાત્મક અભિવ્યક્તિનું અનુવાદ “એવું કોઈક કે જેની પાસે કોઈકના લક્ષણો છે” અથવા “કોઈક કે જે કોકના જેવું જ છે” અથવા “કોઈક કે જેની પાસે છે” અથવા “કોઈક કે જે કોઈકની જેમ જ વર્તે છે” એમ પણ કરી શકાય.
(આ પણ જુઓ: અઝાર્યા, વારસામાં ઉતરેલું, પૂર્વજ, પ્રથમજનિત, ઈશ્વરનો દીકરો, ઈશ્વરના દીકરાઓ)
બાઈબલના સંદર્ભો:
- 1 કાળુવૃતાંત 18:14-17
- 1 રાજાઓ 13:1-3
- 1 થેસ્સલોનિકીઓ 5:4-7
- ગલાતીઓ 4:6-7
- હોશિયા 11:1-2
- યશાયા 9:6-7
- માથ્થી 3:16-17
- માથ્થી 5:9-10
- માથ્થી 8:11-13
- નહેમ્યા 10:28-29
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 4:8 ઈશાવ્રે અબ્રામ સાથે વાત કરી અને ફરી વચન આપ્યું કે તેને દીકરો થશે આકાશમાંના તારા જેટલા વંશજો થશે.
- 4:9 ઈશ્વરે કહ્યું, “હું તને દીકરો આપીશ તારા પોતાના દેહમાંથી.”
- 5:5 લગભગ એક વર્ષ બાદ, જ્યારે ઈબ્રાહીમ 100 વર્ષનો હતો ને સારા 90 વર્ષની હતી, ત્યારે સારાએ ઈબ્રાહિમના દીકરાને જન્મ આપ્યો .
- 5:8 જ્યારે તેઓ દહનાર્પણની જગાએ પહોંચ્યા, ત્યારે ઈબ્રાહિમે તેના દીકરા ઈસહાકને બાંધ્યો અને તેને વેદી પર સુવડાવ્યો. તે મારવાની તૈયારીમાં જ હતો તેના દીકરાને ત્યારે ઈશ્વરે કહ્યું, “ઉભો રહે! છોકરાને કંઈ જ કરીશ નહિ! હવે હું જાણું છું કે તું મારાથી બીએ છે કારણ કે તેં પાછો રાખ્યો નથી તારા એકનાએક દીકરાને મારાથી.”
- 9:7 જ્યારે તેણીએ બાળકને જોયું, ત્યારે તેણી તેને પોતાના દીકરા તરીકે લઇ ગઈ.
- 11:6 ઈશ્વરે દરેક પ્રથમ જનીતને મારી નાંખ્યા મીસરીઓના દીકરાઓને.
- 18:1 ઘણાં વર્ષો પછી દાઉદ મરણ પામ્યો, અને તેના દીકરા સુલેમાને રાજ કરવાની શરૂઆત કરી.
- 26:4 શું એ દીકરો યુસફનો?‚" તેઓએ પૂછ્યું.
શબ્દ માહિતી:
- Strong's: H1060, H1121, H1123, H1248, H3173, H3206, H3211, H4497, H5209, H5220, G3816, G5043, G5207
દીકરો, દીકરાઓ
વ્યાખ્યા:
પુરુષ અને સ્ત્રીનું નાર સંતાન તેમનો “દીકરો” તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કહેવાય.
તેને તે પુરુષનો દીકરો અને તે સ્ત્રીનો દીકરો પણ કહેવાય.
“દત્તક પુત્ર” એક પુરુષ છે જે કાયદેસર રીતે દીકરો હોવાનું સ્થાન ધરાવે છે.
- બાઈબલમાં ઘણીવાર “દીકરો” પુરુષ વંશજનો ઉલ્લેખ કરવા રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે, જેમ કે પૌત્ર અથવા પ્રપૌત્ર.
- “દીકરો” શબ્દનો ઉપયોગ વક્તા કરતા નાના હોય તેવા છોકરા કે માણસને નમ્રતાના પ્રતિક તરીકે પણ કરી શકાય છે.
- ઘણીવાર ખ્રિસ્તમાં વિશ્વાસીઓ માટે “ઈશ્વરના દીકરાઓ” નવા કરારમાં વાપરવામાં આવ્યું છે.
- ઈશ્વરે ઈઝરાયેલને તેમનો “પ્રથમજનિત દીકરો” કહ્યો.
તે ઈશ્વરે ઈઝરાયેલને રાષ્ટ્ર તરીકે પોતાના ખાસ લોક બનવા પસંદ કર્યું તેનો ઉલ્લેખ કરે છે.
તે તો તેમના દ્વારા ઈશ્વરનો ઉદ્ધાર અને તારણનો સંદેશ આવ્યો, તેના પરિણામ સ્વરૂપે ઘણાં બીજા લોકો તેમના આત્મિક બાળકો બન્યા.
- “ના દીકરા” શબ્દસમૂહનો રૂપકાત્મક અર્થ “વ્યક્તિ પાસે ના લક્ષણો હોવા” એમ થાય છે.
તેના ઉદાહરણ તરીકે “અજવાળાના દીકરાઓ,” “અનઆજ્ઞાંકિતના દીકરાઓ,” “શાંતિનો દીકરો,” અને “ગર્જનાના દીકરાઓ”નો સમાવેશ થાય છે.
- “નો દીકરો” શબ્દસમૂહ એ વ્યક્તિના પિતા કોણ છે તે કહેવા માટે પણ વપરાય છે.
આ શબ્દસમૂહનો ઉપયોગ વંશાવળીઓમા અને બીજી ઘણી જગ્યાએ થાય છે.
- “નો દીકરો” ઉપયોગ કરીને વારંવાર પિતાનું નામ આપીને એવા લોકોની ઓળખ કરવા મદદ કરે છે જેઓના એકસરખા નામ છે.
ઉદાહરણ તરીકે, 1 રાજાઓ 4 મા, “સાદોકનો દીકરો અઝાર્યા” અને નાથાનનો દીકરો અઝાર્યા” અને 2 રાજાઓ 15 મા “અમાસ્યાનો દીકરો અઝાર્યા” ત્રણે જુદા જુદા માણસો છે.
અનુવાદ માટેના સૂચનો:
- આ શબ્દના મોટા ભાગના બનાવોમાં, “દીકરા”નું અનુવાદ ભાષામાં પુત્ર માટે વપરાતા શાબ્દિક શબ્દ દ્વારા કરવું.
- “ઈશ્વરના દીકરા” શબ્દનું અનુવાદ કરતી વખતે, પ્રોજેક્ટ ભાષાનો “દીકરા” માટેનો સામાન્ય શબ્દ વાપરવો જોઈએ.
- જ્યારે દીકરા કરતાં વંશજનો ઉલ્લેખ કરવાનો હોય, ત્યારે “વંશજ” શબ્દ વાપરી શકાય, જે રીતે ઈસુ માટે “દાઉદના વંશજ” વપરાય છે તેમ અથવા વંશાવળીઓમાં કેટલીકવાર “દીકરો” નર વંશજનો ઉલ્લેખ કરાય છે કે જે ખરેખર દીકરો હોતો નથી.
- કેટલીકવાર “દીકરાઓ” નું અનુવાદ “બાળકો” કરી શકાય, જ્યારે બંને પુરુષ અને સ્ત્રીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય.
ઉદાહાર્ણ તરીકે, “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ “ઈશ્વરના બાળકો” તરીકે કરી શકાય જેમાં આ અભિવ્યક્તિ છોકરીઓ અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.
- “નો દીકરો” રૂપકાત્મક અભિવ્યક્તિનું અનુવાદ “એવું કોઈક કે જેની પાસે કોઈકના લક્ષણો છે” અથવા “કોઈક કે જે કોકના જેવું જ છે” અથવા “કોઈક કે જેની પાસે છે” અથવા “કોઈક કે જે કોઈકની જેમ જ વર્તે છે” એમ પણ કરી શકાય.
(આ પણ જુઓ: અઝાર્યા, વારસામાં ઉતરેલું, પૂર્વજ, પ્રથમજનિત, ઈશ્વરનો દીકરો, ઈશ્વરના દીકરાઓ)
બાઈબલના સંદર્ભો:
- 1 કાળુવૃતાંત 18:14-17
- 1 રાજાઓ 13:1-3
- 1 થેસ્સલોનિકીઓ 5:4-7
- ગલાતીઓ 4:6-7
- હોશિયા 11:1-2
- યશાયા 9:6-7
- માથ્થી 3:16-17
- માથ્થી 5:9-10
- માથ્થી 8:11-13
- નહેમ્યા 10:28-29
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 4:8 ઈશાવ્રે અબ્રામ સાથે વાત કરી અને ફરી વચન આપ્યું કે તેને દીકરો થશે આકાશમાંના તારા જેટલા વંશજો થશે.
- 4:9 ઈશ્વરે કહ્યું, “હું તને દીકરો આપીશ તારા પોતાના દેહમાંથી.”
- 5:5 લગભગ એક વર્ષ બાદ, જ્યારે ઈબ્રાહીમ 100 વર્ષનો હતો ને સારા 90 વર્ષની હતી, ત્યારે સારાએ ઈબ્રાહિમના દીકરાને જન્મ આપ્યો .
- 5:8 જ્યારે તેઓ દહનાર્પણની જગાએ પહોંચ્યા, ત્યારે ઈબ્રાહિમે તેના દીકરા ઈસહાકને બાંધ્યો અને તેને વેદી પર સુવડાવ્યો. તે મારવાની તૈયારીમાં જ હતો તેના દીકરાને ત્યારે ઈશ્વરે કહ્યું, “ઉભો રહે! છોકરાને કંઈ જ કરીશ નહિ! હવે હું જાણું છું કે તું મારાથી બીએ છે કારણ કે તેં પાછો રાખ્યો નથી તારા એકનાએક દીકરાને મારાથી.”
- 9:7 જ્યારે તેણીએ બાળકને જોયું, ત્યારે તેણી તેને પોતાના દીકરા તરીકે લઇ ગઈ.
- 11:6 ઈશ્વરે દરેક પ્રથમ જનીતને મારી નાંખ્યા મીસરીઓના દીકરાઓને.
- 18:1 ઘણાં વર્ષો પછી દાઉદ મરણ પામ્યો, અને તેના દીકરા સુલેમાને રાજ કરવાની શરૂઆત કરી.
- 26:4 શું એ દીકરો યુસફનો?‚" તેઓએ પૂછ્યું.
શબ્દ માહિતી:
- Strong's: H1060, H1121, H1123, H1248, H3173, H3206, H3211, H4497, H5209, H5220, G3816, G5043, G5207
દીન, દીનતા
વ્યાખ્યા:
“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે.
દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.
- દીનતાને ઘણી વાર નમ્રતા સાથે સાંકળવામાં આવે છે.
- આ શબ્દનો અનુવાદ “સૌમ્ય” અથવા તો “ઋજુ સ્વભાવ” અથવા તો “મીઠો સ્વભાવ” એ રીતે પણ કરી શકાય.
- “દીનતા” શબ્દનો અર્થ “સૌમ્યતા” અથવા તો “નમ્રતા” તરીકે પણ કરી શકાય.
(આ પણ જૂઓ: નમ્ર)
બાઇબલના સંદર્ભો:
- 1 પિતર 3:15-17
- 2 કરિંથી 10:1-2
- 2 તિમોથી 2:24-26
- માથ્થી 5:5-8
- માથ્થી 11: 28-30
- ગીતશાસ્ત્ર 37:11-13
શબ્દ માહિતી:
- Strong's: H6035, H6037, H6038, G4235, G4236, G4239, G4240
દીન, દીનતા
વ્યાખ્યા:
“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે.
દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.
- દીનતાને ઘણી વાર નમ્રતા સાથે સાંકળવામાં આવે છે.
- આ શબ્દનો અનુવાદ “સૌમ્ય” અથવા તો “ઋજુ સ્વભાવ” અથવા તો “મીઠો સ્વભાવ” એ રીતે પણ કરી શકાય.
- “દીનતા” શબ્દનો અર્થ “સૌમ્યતા” અથવા તો “નમ્રતા” તરીકે પણ કરી શકાય.
(આ પણ જૂઓ: નમ્ર)
બાઇબલના સંદર્ભો:
- 1 પિતર 3:15-17
- 2 કરિંથી 10:1-2
- 2 તિમોથી 2:24-26
- માથ્થી 5:5-8
- માથ્થી 11: 28-30
- ગીતશાસ્ત્ર 37:11-13
શબ્દ માહિતી:
- Strong's: H6035, H6037, H6038, G4235, G4236, G4239, G4240
દીવી, દીવીઓ
વ્યાખ્યા:
બાઈબલમાં, સામાન્ય રીતે "દીવી" શબ્દ એવિ રચનાનો ઉલ્લેખ કરે છે જેના પર દીવો મૂકવામાં આવે જેથી તે ઓરડામાં પ્રકાશ આપે.
- સામાન્ય રીતે સાદી દીવી એક દીવાને રાખી શકે અને તે માટીની, લાકડાની, કે ધાતુની (જેમ કે કાંસું, ચાંદી, અથવા સોનું) બનેલી હતી.
- યરૂશાલેમના મંદિરમાં એક ખાસ સોનાની દીવી હતી જેને સાત દીવાઓ રાખવા માટે સાત શાખાઓ હતી.
અનુવાદ માટેના સૂચનો
- આ શબ્દનું અનુવાદ "દીવાની પડધી" અથવા "દીવાને રખવાનું માળખું" અથવા "દીવો રાખનાર" એમ કરી શકાય.
- મંદિરની દીવીને માટે, તેનું અનુવાદ "સાત દીવાઓની દીવી" અથવા "સાત દીવાઓ સાથેની સોનાની પડધી" એમ કરી શકાય.
- અનુવાદમાં બાઈબલના ફકરાઓથી સંબંધિત સાદી દીવીના ચિત્રનો અને સાત શાખાઓવાળી દીવીનો સમાવેશ કરવો એ મદદરૂપ બનશે.
(આ પણ જુઓ: પિત્તળ, સોનુ, દીવો, પ્રકાશ, ચાંદી/રૂપું, મંદિર)
બાઈબલના સંદર્ભો:
- દાનિયેલ 5:5-6
- નિર્ગમન 37:17-19
- માર્ક 4:21-23
- માથ્થી 5:15-16
- પ્રકટીકરણ 1:12-13
- પ્રકટીકરણ 1:19-20
શબ્દ માહિતી:
દીવો, દીવાઓ
વ્યાખ્યા:
સામાન્ય રીતે "દીવો" શબ્દ જે અજવાળું આપે છે તેનો ઉલ્લેખ કરે છે.
બાઈબલના સમયમાં જે દીવાઓ ઉપયોગમાં લેવાતા હતા એ તો સામાન્ય રીતે તેલના દીવાઓ હતા.
બળતણના સ્ત્રોત સાથેનું નાનું પાત્ર, સામાન્ય રીતે તેલ, જે જ્યારે સળગે ત્યારે અજવાળું આપે એ બાઈબલના સમયોમાં વપરાતા દીવાનો પ્રકાર હતો.
- સામાન્ય તેલનો દીવો જૈતૂનના તેલથી ભરેલ માટીના વાસણનો બનેલો, જેમાં સળગવા માટે તેલમાં દિવેટ મૂકવામાં આવતી હતી.
- કેટલાંક દીવાઓ માટે, ઘડો અથવા બરણી અંડાકાર હતો, જેની એક બાજુ દિવેટને પકડવા સારું પીલાયેલી હતી.
- તેલના દીવા લઈ જવામાં આવતા અથવા દીવી પર મૂકવામાં આવતા કે જેથી તેનો પ્રકાશ ઓરડા કે ઘરને ભરી દે.
- વચનમાં, દીવાઓનો અનેક અલંકારિક રીતે પ્રકાશ અને જીવનના ચિહ્ન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.
(આ પણ જુઓ: દીવી, જીવન, પ્રકાશ)
બાઈબલના સંદર્ભો:
- 1 રાજાઓ 11:34-36
- નિર્ગમન 25:3-7
- લૂક 8:16-18
- માથ્થી 5:15-16
- માથ્થી 6:22-24
- માથ્થી 25:1-4
શબ્દ માહિતી:
- Strong's: H3940, H3974, H4501, H5215, H5216, G2985, G3088
દુકાળ, દુષ્કાળ
વ્યાખ્યા:
“દુકાળ” શબ્દ સામાન્ય રીતે અપૂરતા વરસાદને કારણે, સમગ્ર દેશ અથવા પ્રદેશમાં ખોરાકની સખત અછતને દર્શાવે છે.
- કુદરતી કારણોથી અનાજનો પાક નિષ્ફળ થઈ શકે જેવા કે વરસાદની અછત, પાકમાં રોગ, અથવા જંતુઓ.
- ખોરાકની તંગી લોકો દ્વારા પણ થઈ શકે, જેવા કે દુશ્મનો કે જેઓ પાકનો નાશ કરે છે.
- બાઈબલમાં, મોટેભાગે જયારે તેઓએ તેની વિરુદ્ધ પાપ કર્યું ત્યારે દેવે દેશોને સજા તરીકે દુકાળ આપ્યો.
- આમોસ 8: 11 માં “દુકાળ” શબ્દ રૂપકાત્મક રીતે જયારે દેવ તેના લોકોને તેઓ સાથે જે તે સમયે વાત ન કરી તેમને સજા કરી તેને દર્શાવવા માટે વપરાયો છે.
તમારી ભાષામાં “દુકાળ” શબ્દ અથવા શબ્દસમૂહનું ભાષાંતર, “ખૂબજ અછત” અથવા “ગંભીર નુકશાન,” (શબ્દ વાપરીને ભાષાંતર) કરી શકાય છે.
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 21:11-12
- પ્રેરિતો 7:11-13
- ઉત્પત્તિ 12:10-13
- ઉત્પત્તિ 45:4-6
- યર્મિયા 11:21-23
- લૂક 4:25-27
- માથ્થી 24:6-8
શબ્દ માહિતી:
- Strong's: H3720, H7458, H7459, G3042
દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા
વ્યાખ્યા:
“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.
- કદાચ “દુષ્ટ” કે જે વ્યક્તિના ચારિત્ર્યનુ વર્ણન કરે છે, જયારે કદાચ “ઘૃણાસ્પદ” (શબ્દ) વ્યક્તિના વર્તનને દર્શાવે છે. જો કે, બન્ને શબ્દો અર્થમાં ખૂબજ સમાન છે
- “દુષ્ટતા” શબ્દ દર્શાવે છે કે જયારે લોકો દુષ્ટ બાબતો કરે છે ત્યારે તેના અસ્તિત્વમાં રહેલી દુષ્ટતા (દેખાઈ આવે છે).
- દુષ્ટતાનું પરિણામ સ્પષ્ટ બતાવે છે કે કેવી રીતે લોકો બીજાની સાથે ખરાબ વર્તન કરીને, મારી નાખે, ચોરી કરે, નિંદા કરી અને ક્રૂર બની અને નિર્દય બની જતા હોય છે.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને, “દુષ્ટ” અને “ઘૃણાસ્પદ” શબ્દોનું ભાષાંતર, “ખરાબ” અથવા “પાપી” અથવા “અનૈતિક” તરીકે કરી શકાય.
- બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરવામાં આવે તો, “જે સારું નથી” અથવા “પ્રામાણિક નથી” અથવા “નૈતિક નથી” તેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
- ખાતરી કરો કે આ શબ્દોનું ભાષાંતર કરવા માટે જે શબ્દો અથવા શબ્દસમૂહો જે સંદર્ભમાં વપરાયા છે તે લક્ષ્ય ભાષામાં તે કુદરતી રીતે બંધ બેસતું હોય.
(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)
બાઈબલની કલમો:
- 1 શમુએલ 24:10-11
- 1 તિમોથી 6:9-10
- 3 યોહાન 1:9-10
- ઉત્પત્તિ 2:15-17
- ઉત્પત્તિ 6:5-6
- અયૂબ 1:1-3
- અયૂબ 8:19-20
- ન્યાયાધીશો 9:55-57
- લૂક 6:22-23
- માથ્થી 7:11-12
- નીતિવચન 3:7-8
- ગીતશાસ્ત્ર 22:16-17
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 2:4 માત્ર દેવ જાણે છે કે જેવું તમે તે ખાશો, તમે દેવના જેવા અને તેના જેવું સારું અને ભૂંડું જાણનાર થશો.
- 3:1 લાંબા સમય પછી, ઘણા લોકો જગતમાં રહેવા લાગ્યા. તેઓ ખૂબજ દુષ્ટ અને હિંસક બન્યાં.
- 3:2 પણ નૂહને દેવથી કૃપા પ્રાપ્ત થઇ. તે દુષ્ટ લોકોની વચ્ચે રહેતો એક પ્રામાણિક માણસ હતો.
- 4:2 દેવે જોયું કે જો તેઓ બધા સાથે મળીને દુષ્ટતા કરવાનું ચાલુ રાખશે, તો તેઓ ઘણી પાપરૂપ બાબતો કરશે.
- 8:12 જયારે તમે મને ગુલામ તરીકે વેચ્યો ત્યારે તમે દુષ્ટતા કરવા પ્રયાસ કર્યો, પણ દેવે દુષ્ટતા નો સારા માટે ઉપયોગ કર્યો.
- 14:2 તેઓ (કનાનીઓ) એ જૂઠા દેવોની પૂજા કરી અને ઘણી દુષ્ટ બાબતો કરી.
- 17:1 પણ પછી તે માણસ (શાઉલ) દુષ્ટ બન્યો કે જેણે દેવની આજ્ઞા પાળી નહિ, જેથી દેવે બીજો એક માણસ પસંદ કર્યો કે જે એક દિવસ તેની જગાએ રાજા થશે.
- 18:11 ઈઝરાએલના નવા રાજ્યમાં, બધાંજ રાજાઓ દુષ્ટ હતા.
- 29:8 રાજા બહુજ ગુસ્સે થયો, કે જેથી દુષ્ટ ચાકર જ્યાં સુધી તેનું બધું દેવું ભરપાઈ ન કરે ત્યાં સુધી તેને કેદખાનામાં નાંખ્યો.
- 45:2 તેઓએ કહ્યું, અમે તેને (સ્તેફન) ને મૂસા અને દેવ વિરુદ્ધ દુષ્ટ બાબતો બોલતો સાંભળ્યો.
- 50:17 તે (ઈસુ) દરેક આસું લૂછી નાખશે, અને ત્યાં કોઈ વધુ પીડા, નિરાશા, રડવું, દુષ્ટતા, દર્દ, અથવા મરણ હશે નહીં.
શબ્દ માહિતી:
- Strong's: H205, H605, H1100, H1681, H1942, H2154, H2162, H2617, H3415, H4209, H4849, H5753, H5766, H5767, H5999, H6001, H6090, H7451, H7455, H7489, H7561, H7562, H7563, H7564, G92, G113, G459, G932, G987, G988, G1426, G2549, G2551, G2554, G2555, G2556, G2557, G2559, G2560, G2635, G2636, G4151, G4189, G4190, G4191, G5337
દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા
વ્યાખ્યા:
“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.
- કદાચ “દુષ્ટ” કે જે વ્યક્તિના ચારિત્ર્યનુ વર્ણન કરે છે, જયારે કદાચ “ઘૃણાસ્પદ” (શબ્દ) વ્યક્તિના વર્તનને દર્શાવે છે. જો કે, બન્ને શબ્દો અર્થમાં ખૂબજ સમાન છે
- “દુષ્ટતા” શબ્દ દર્શાવે છે કે જયારે લોકો દુષ્ટ બાબતો કરે છે ત્યારે તેના અસ્તિત્વમાં રહેલી દુષ્ટતા (દેખાઈ આવે છે).
- દુષ્ટતાનું પરિણામ સ્પષ્ટ બતાવે છે કે કેવી રીતે લોકો બીજાની સાથે ખરાબ વર્તન કરીને, મારી નાખે, ચોરી કરે, નિંદા કરી અને ક્રૂર બની અને નિર્દય બની જતા હોય છે.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને, “દુષ્ટ” અને “ઘૃણાસ્પદ” શબ્દોનું ભાષાંતર, “ખરાબ” અથવા “પાપી” અથવા “અનૈતિક” તરીકે કરી શકાય.
- બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરવામાં આવે તો, “જે સારું નથી” અથવા “પ્રામાણિક નથી” અથવા “નૈતિક નથી” તેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
- ખાતરી કરો કે આ શબ્દોનું ભાષાંતર કરવા માટે જે શબ્દો અથવા શબ્દસમૂહો જે સંદર્ભમાં વપરાયા છે તે લક્ષ્ય ભાષામાં તે કુદરતી રીતે બંધ બેસતું હોય.
(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)
બાઈબલની કલમો:
- 1 શમુએલ 24:10-11
- 1 તિમોથી 6:9-10
- 3 યોહાન 1:9-10
- ઉત્પત્તિ 2:15-17
- ઉત્પત્તિ 6:5-6
- અયૂબ 1:1-3
- અયૂબ 8:19-20
- ન્યાયાધીશો 9:55-57
- લૂક 6:22-23
- માથ્થી 7:11-12
- નીતિવચન 3:7-8
- ગીતશાસ્ત્ર 22:16-17
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 2:4 માત્ર દેવ જાણે છે કે જેવું તમે તે ખાશો, તમે દેવના જેવા અને તેના જેવું સારું અને ભૂંડું જાણનાર થશો.
- 3:1 લાંબા સમય પછી, ઘણા લોકો જગતમાં રહેવા લાગ્યા. તેઓ ખૂબજ દુષ્ટ અને હિંસક બન્યાં.
- 3:2 પણ નૂહને દેવથી કૃપા પ્રાપ્ત થઇ. તે દુષ્ટ લોકોની વચ્ચે રહેતો એક પ્રામાણિક માણસ હતો.
- 4:2 દેવે જોયું કે જો તેઓ બધા સાથે મળીને દુષ્ટતા કરવાનું ચાલુ રાખશે, તો તેઓ ઘણી પાપરૂપ બાબતો કરશે.
- 8:12 જયારે તમે મને ગુલામ તરીકે વેચ્યો ત્યારે તમે દુષ્ટતા કરવા પ્રયાસ કર્યો, પણ દેવે દુષ્ટતા નો સારા માટે ઉપયોગ કર્યો.
- 14:2 તેઓ (કનાનીઓ) એ જૂઠા દેવોની પૂજા કરી અને ઘણી દુષ્ટ બાબતો કરી.
- 17:1 પણ પછી તે માણસ (શાઉલ) દુષ્ટ બન્યો કે જેણે દેવની આજ્ઞા પાળી નહિ, જેથી દેવે બીજો એક માણસ પસંદ કર્યો કે જે એક દિવસ તેની જગાએ રાજા થશે.
- 18:11 ઈઝરાએલના નવા રાજ્યમાં, બધાંજ રાજાઓ દુષ્ટ હતા.
- 29:8 રાજા બહુજ ગુસ્સે થયો, કે જેથી દુષ્ટ ચાકર જ્યાં સુધી તેનું બધું દેવું ભરપાઈ ન કરે ત્યાં સુધી તેને કેદખાનામાં નાંખ્યો.
- 45:2 તેઓએ કહ્યું, અમે તેને (સ્તેફન) ને મૂસા અને દેવ વિરુદ્ધ દુષ્ટ બાબતો બોલતો સાંભળ્યો.
- 50:17 તે (ઈસુ) દરેક આસું લૂછી નાખશે, અને ત્યાં કોઈ વધુ પીડા, નિરાશા, રડવું, દુષ્ટતા, દર્દ, અથવા મરણ હશે નહીં.
શબ્દ માહિતી:
- Strong's: H205, H605, H1100, H1681, H1942, H2154, H2162, H2617, H3415, H4209, H4849, H5753, H5766, H5767, H5999, H6001, H6090, H7451, H7455, H7489, H7561, H7562, H7563, H7564, G92, G113, G459, G932, G987, G988, G1426, G2549, G2551, G2554, G2555, G2556, G2557, G2559, G2560, G2635, G2636, G4151, G4189, G4190, G4191, G5337
દેવ
સત્યો:
બાઈબલમાં, “દેવ” શબ્દ દર્શાવે છે કે, એ શાશ્વત વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે.
દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અસ્તિત્વમાં છે.
દેવનું વ્યક્તિગત નામ “યહોવા” છે.
- દેવ હંમેશા અસ્તિત્વમાં હોય છે; બીજું કંઈ અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં તે અસ્તિત્વમાં હતા, અને તેનું અસ્તિત્વ સદાકાળ માટે ચાલુ રહેશે.
- ફક્ત તેજ સાચો દેવ છે અને આખી સૃષ્ટિમાં બધા ઉપર તેને અધિકાર છે.
- દેવ સંપૂર્ણપણે પ્રામાણિક, અનંત જ્ઞાની, પવિત્ર, પાપરહિત, ન્યાયી, દયાળુ, અને પ્રેમાળ છે.
- તે કરાર પાળનાર દેવ છે કે જે હંમેશા તેના વચનો પૂર્ણ કરે છે.
- લોકોને દેવની આરાધના કરવા બનાવવામાં આવ્યા હતા અને તે ફક્ત એક જ છે તેઓએ તેની આરાધના કરવી જોઈએ.
- દેવે તેનું નામ “યહોવા” તરીકે જાહેર કર્યું ,કે જેનો અર્થ “તે છે” અથવા “હું” અથવા “એક કે જે (હંમેશા) અસ્તિત્વમાં છે.”
- બાઈબલ પણ જૂઠા “દેવો” વિશે શિક્ષણ આપે છે, કે જેઓ નિર્જિવ મૂર્તિઓ કે જેની લોકો ખોટી રીતે પૂજા કરે છે.
ભાષાંતરના સૂચનો:
- “દેવ” (શબ્દ)નું ભાષાંતર કરવા માટે, “દેવતા” અથવા “ઉત્પન્નકર્તા” અથવા “સાર્વભૌમ” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
- “દેવ” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરવામાં આવે તો, “સર્વોચ્ચ સર્જક” અથવા “અનંત સાર્વભૌમ પ્રભુ” અથવા “અનંત સર્વોચ્ચ વ્યક્તિ” કરી શકાય.
- ધ્યાનમાં લો કે દેવને સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે દર્શાવવામાં આવ્યા છે.
ભાષામાં ભાષાંતર તરીકે ત્યાં કદાચ પહેલેથીજ “દેવ” માટે શબ્દ હોઈ શકે.
એમ હોય તો, ખાતરી કરો કે તે ઉપર વર્ણવેલા એક સાચા દેવના લક્ષણો સાથે આ શબ્દ બંધબેસતો આવે કે નહિ અગત્યનું છે.
- જૂઠા દેવ શબ્દના તફાવત માટે ઘણી ભાષાઓમાં એક સાચા દેવ માટે પ્રથમ મૂળાક્ષર મોટો કરવામાં આવે છે (જેમકે અંગ્રેજીમાં “જી ફોર ગોડ” કેપિટલ હોય છે).
- બીજી રીતે “દેવ” અને “ભગવાન” માટેનો ભેદ દર્શાવવા માટે અલગ અલગ શબ્દો વાપરવામાં આવે છે.
- “હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે,” શબ્દસમૂહનું ભાષાંતર, “હું, દેવ, આ લોકો ઉપર રાજ કરીશ અને તેઓ મારી ઉપાસના કરશે,” તરીકે ભાષાંતર કરી શકાય છે
(આ પણ જુઓ: સર્જન કરવું, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, દેવ, ઈશ્વરનો દીકરો, યહોવાહ)
બાઈબલની કલમો:
- 1 યોહાન 1:5-7
- 1 શમુએલ 10:7-8
- 1 તિમોથી 4:9-10
- કલોસ્સી 1:15-17
- પુનર્નિયમ 29:14-16
- એઝરા 3:1-2
- ઉત્પત્તિ 1:1-2
- હોશિયા 4:11-12
- યશાયા 36:6-7
- યાકૂબ 2:18-20
- યર્મિયા 5:4-6
- યોહાન 1:1-3
- યહોશુઆ 3:9-11
- યર્મિયાનો વિલાપ 3:40-43
- મીખાહ 4:4-5
- ફિલિપ્પી 2:5-8
- નીતિવચન 24:11-12
- ગીતશાસ્ત્ર 47:8-9
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 1:1 દેવે સૃષ્ટિ અને તેમાંનું બધુજ છ દિવસમાં બનાવ્યું.
- 1:15 દેવે તેની પોતાની પ્રતિમા પ્રમાણે નર અને નારી બનાવ્યા.
- 5:3 “હું સર્વશક્તિમાન ઈશ્વર છું. હુ તમારી સાથે કરાર કરીશ.”
- 9:14 દેવે કહ્યું, “હું છું તે છું. તેમને કહેજો કે, ‘હું છું તેણે મને મોકલ્યો છે.’ તેઓને એ પણ કહો, ‘હું યહોવા, તમારા પૂર્વજો ઈબ્રાહિમ, ઈસહાક, અને યાકૂબનો દેવ છું.
આ મારું સદાકાળનું નામ છે.”
- 10:2 આ મરકીઓ દ્વારા, દેવે ફારુનને બતાવ્યું કે ફારુન અને તેના બધા જૂઠા દેવો કરતાં તે વધુ શક્તિશાળી છે.
- 16:1 સાચા દેવ યહોવાને બદલે, ઈઝરાએલીઓએ કનાનીઓના દેવોની આરાધના કરવાની શરૂ કર્યું.
- 22:7 મારા દીકરા, તું, સર્વોચ્ચ દેવ નો પ્રબોધક કહેવાશે કે જે મસીહને સ્વીકારવા માટે લોકોને તૈયાર કરશે.
- 24:9 યહોવા એકલોજ દેવ છે. પણ યોહાને દેવ પિતાને બોલતા સાંભળ્યા, અને જયારે તેણે ઈસુનું બાપ્તિસ્મા આપ્યું ત્યારે ઈસુ પુત્ર અને પવિત્ર આત્માને જોયા.
- 25:7 “ફક્ત તમારા દેવ યહોવાનું ભજન કરો, અને ફક્ત તેની એકલાની જ સેવા કરો.
- 28:1 ફક્ત એક કે જે સારો છે, અને તે દેવ છે.
- 49:9 પણ દેવે જગતમાંના દરેકને ખૂબજ પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો જેથી જે કોઈ ઈસુમાં વિશ્વાસ કરશે તેને તેના પાપો માટે સજા થશે નહીં પણ (તે) દેવની સાથે સદાકાળ રહેશે.
- 50:16 પણ એક દિવસે દેવ નવું આકાશ અને નવી પૃથ્વી ઉત્પન્ન કરશે કે જે સંપૂર્ણ હશે.
શબ્દ માહિતી:
- Strong's: H136, H305, H410, H426, H430, H433, H2486, H2623, H3068, H3069, H3863, H4136, H6697, G112, G516, G932, G935, G1096, G1140, G2098, G2124, G2128, G2150, G2152, G2153, G2299, G2304, G2305, G2312, G2313, G2314, G2315, G2316, G2317, G2318, G2319, G2320, G3361, G3785, G4151, G5207, G5377, G5463, G5537, G5538
દેવ
સત્યો:
બાઈબલમાં, “દેવ” શબ્દ દર્શાવે છે કે, એ શાશ્વત વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે.
દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અસ્તિત્વમાં છે.
દેવનું વ્યક્તિગત નામ “યહોવા” છે.
- દેવ હંમેશા અસ્તિત્વમાં હોય છે; બીજું કંઈ અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં તે અસ્તિત્વમાં હતા, અને તેનું અસ્તિત્વ સદાકાળ માટે ચાલુ રહેશે.
- ફક્ત તેજ સાચો દેવ છે અને આખી સૃષ્ટિમાં બધા ઉપર તેને અધિકાર છે.
- દેવ સંપૂર્ણપણે પ્રામાણિક, અનંત જ્ઞાની, પવિત્ર, પાપરહિત, ન્યાયી, દયાળુ, અને પ્રેમાળ છે.
- તે કરાર પાળનાર દેવ છે કે જે હંમેશા તેના વચનો પૂર્ણ કરે છે.
- લોકોને દેવની આરાધના કરવા બનાવવામાં આવ્યા હતા અને તે ફક્ત એક જ છે તેઓએ તેની આરાધના કરવી જોઈએ.
- દેવે તેનું નામ “યહોવા” તરીકે જાહેર કર્યું ,કે જેનો અર્થ “તે છે” અથવા “હું” અથવા “એક કે જે (હંમેશા) અસ્તિત્વમાં છે.”
- બાઈબલ પણ જૂઠા “દેવો” વિશે શિક્ષણ આપે છે, કે જેઓ નિર્જિવ મૂર્તિઓ કે જેની લોકો ખોટી રીતે પૂજા કરે છે.
ભાષાંતરના સૂચનો:
- “દેવ” (શબ્દ)નું ભાષાંતર કરવા માટે, “દેવતા” અથવા “ઉત્પન્નકર્તા” અથવા “સાર્વભૌમ” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
- “દેવ” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરવામાં આવે તો, “સર્વોચ્ચ સર્જક” અથવા “અનંત સાર્વભૌમ પ્રભુ” અથવા “અનંત સર્વોચ્ચ વ્યક્તિ” કરી શકાય.
- ધ્યાનમાં લો કે દેવને સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે દર્શાવવામાં આવ્યા છે.
ભાષામાં ભાષાંતર તરીકે ત્યાં કદાચ પહેલેથીજ “દેવ” માટે શબ્દ હોઈ શકે.
એમ હોય તો, ખાતરી કરો કે તે ઉપર વર્ણવેલા એક સાચા દેવના લક્ષણો સાથે આ શબ્દ બંધબેસતો આવે કે નહિ અગત્યનું છે.
- જૂઠા દેવ શબ્દના તફાવત માટે ઘણી ભાષાઓમાં એક સાચા દેવ માટે પ્રથમ મૂળાક્ષર મોટો કરવામાં આવે છે (જેમકે અંગ્રેજીમાં “જી ફોર ગોડ” કેપિટલ હોય છે).
- બીજી રીતે “દેવ” અને “ભગવાન” માટેનો ભેદ દર્શાવવા માટે અલગ અલગ શબ્દો વાપરવામાં આવે છે.
- “હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે,” શબ્દસમૂહનું ભાષાંતર, “હું, દેવ, આ લોકો ઉપર રાજ કરીશ અને તેઓ મારી ઉપાસના કરશે,” તરીકે ભાષાંતર કરી શકાય છે
(આ પણ જુઓ: સર્જન કરવું, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, દેવ, ઈશ્વરનો દીકરો, યહોવાહ)
બાઈબલની કલમો:
- 1 યોહાન 1:5-7
- 1 શમુએલ 10:7-8
- 1 તિમોથી 4:9-10
- કલોસ્સી 1:15-17
- પુનર્નિયમ 29:14-16
- એઝરા 3:1-2
- ઉત્પત્તિ 1:1-2
- હોશિયા 4:11-12
- યશાયા 36:6-7
- યાકૂબ 2:18-20
- યર્મિયા 5:4-6
- યોહાન 1:1-3
- યહોશુઆ 3:9-11
- યર્મિયાનો વિલાપ 3:40-43
- મીખાહ 4:4-5
- ફિલિપ્પી 2:5-8
- નીતિવચન 24:11-12
- ગીતશાસ્ત્ર 47:8-9
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 1:1 દેવે સૃષ્ટિ અને તેમાંનું બધુજ છ દિવસમાં બનાવ્યું.
- 1:15 દેવે તેની પોતાની પ્રતિમા પ્રમાણે નર અને નારી બનાવ્યા.
- 5:3 “હું સર્વશક્તિમાન ઈશ્વર છું. હુ તમારી સાથે કરાર કરીશ.”
- 9:14 દેવે કહ્યું, “હું છું તે છું. તેમને કહેજો કે, ‘હું છું તેણે મને મોકલ્યો છે.’ તેઓને એ પણ કહો, ‘હું યહોવા, તમારા પૂર્વજો ઈબ્રાહિમ, ઈસહાક, અને યાકૂબનો દેવ છું.
આ મારું સદાકાળનું નામ છે.”
- 10:2 આ મરકીઓ દ્વારા, દેવે ફારુનને બતાવ્યું કે ફારુન અને તેના બધા જૂઠા દેવો કરતાં તે વધુ શક્તિશાળી છે.
- 16:1 સાચા દેવ યહોવાને બદલે, ઈઝરાએલીઓએ કનાનીઓના દેવોની આરાધના કરવાની શરૂ કર્યું.
- 22:7 મારા દીકરા, તું, સર્વોચ્ચ દેવ નો પ્રબોધક કહેવાશે કે જે મસીહને સ્વીકારવા માટે લોકોને તૈયાર કરશે.
- 24:9 યહોવા એકલોજ દેવ છે. પણ યોહાને દેવ પિતાને બોલતા સાંભળ્યા, અને જયારે તેણે ઈસુનું બાપ્તિસ્મા આપ્યું ત્યારે ઈસુ પુત્ર અને પવિત્ર આત્માને જોયા.
- 25:7 “ફક્ત તમારા દેવ યહોવાનું ભજન કરો, અને ફક્ત તેની એકલાની જ સેવા કરો.
- 28:1 ફક્ત એક કે જે સારો છે, અને તે દેવ છે.
- 49:9 પણ દેવે જગતમાંના દરેકને ખૂબજ પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો જેથી જે કોઈ ઈસુમાં વિશ્વાસ કરશે તેને તેના પાપો માટે સજા થશે નહીં પણ (તે) દેવની સાથે સદાકાળ રહેશે.
- 50:16 પણ એક દિવસે દેવ નવું આકાશ અને નવી પૃથ્વી ઉત્પન્ન કરશે કે જે સંપૂર્ણ હશે.
શબ્દ માહિતી:
- Strong's: H136, H305, H410, H426, H430, H433, H2486, H2623, H3068, H3069, H3863, H4136, H6697, G112, G516, G932, G935, G1096, G1140, G2098, G2124, G2128, G2150, G2152, G2153, G2299, G2304, G2305, G2312, G2313, G2314, G2315, G2316, G2317, G2318, G2319, G2320, G3361, G3785, G4151, G5207, G5377, G5463, G5537, G5538
દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા
વ્યાખ્યા:
જૂઠો દેવ એ છે કે લોકો સાચા દેવને બદલે તેની પૂજા કરે છે.
વિશેષ કરીને “દેવી” શબ્દ, જૂઠા નારી દેવને (દેવીને) દર્શાવે છે.
- આ જૂઠા દેવો અથવા દેવી અસ્તિત્વમાં હોતા નથી.
ફક્ત યહોવા એકલો દેવ છે.
- ક્યારેક લોકો પૂજા કરવા માટે તેઓના જૂઠા દેવોના નિશાન તરીકે મૂર્તિઓની પ્રતિમા બનાવે છે.
- બાઈબલમાં વારંવાર દેવના લોકો જૂઠા દેવોની પૂજા કરવા તેનાથી દૂર ચાલ્યા ગયા.
- મોટેભાગે ભૂતો લોકોને વિશ્વાસ આપીને છેતરે છે કે જૂઠા દેવો અને જે મૂર્તિઓની તેઓ પૂજા કરે છે, તેમની પાસે પણ શક્તિ છે.
- બાઈબલના સમયમાં બઆલ, દેગોન, અને મોલેખ એ ઘણા જૂઠા દેવોમાંના ત્રણ હતા કે, જેઓની લોકો દ્વારા પૂજા થતી હતી.
- અશેરાહ અને આર્તીમીશ (ડાયના) બે દેવીઓ હતી કે પ્રાચીન લોકોએ તેઓની પૂજા કરતા. મૂર્તિ એ એક વસ્તુ છે કે લોકો તેને બનાવે છે જેથી તેઓ તેની પૂજા કરી શકે. સાચા ઈશ્વર વગર બીજા કોઈને માન આપવામાં આવે તેને “મૂર્તિપૂજક” કહેવામાં આવે છે.
- લોકો જૂઠા દેવોની મૂર્તિઓ બનાવી તેનું પ્રતિનિધિત્વ કરે છે કે તેઓ તેની પૂજા કરે.
- આ જૂઠા દેવો અસ્તિત્વમાં નથી, યહોવા વિના કોઈ દેવ નથી.
- ક્યારેક ભૂતો એક મૂર્તિ દ્વારા કાર્ય કરે છે કે જે બતાવે છે કે તેની પાસે શક્તિ છે.
- મોટેભાગે મૂર્તિઓને કિંમતી સામગ્રી જેવી કે સોનું, ચાંદી, પિત્તળ, અથવા મોંઘા લાકડામાંથી બનાવવામાં આવે છે.
- “મૂર્તિપૂજક રાજ્ય” શબ્દનો અર્થ, “લોકોનું રાજ્ય જે જ્યાં મૂર્તિઓની પૂજા થાય છે” અથવા “લોકોનું રાજ્ય કે જ્યાં પૃથ્વીની વસ્તુઓની પૂજા કરે છે.”
- “મૂર્તિપૂજાની આકૃતિ” શબ્દ એ “કોતરેલી પ્રતિમા” અથવા એક “મૂર્તિ” માટેનો અન્ય શબ્દ છે.
ભાષાંતરના સૂચનો:
- કદાચ ત્યાંની નજીકમાં રહેતા ભાષાવાળા લોકો પાસે, “દેવ” અથવા “જૂઠો દેવ” શબ્દ હોઈ શકે છે.
- “મૂર્તિ” શબ્દ જૂઠા દેવોને દર્શાવવા માટે વાપરી શકાય છે.
- અંગ્રેજીમાં, જૂઠા દેવોને દર્શાવવા માટે નાનો “જી” (G) વાપરવામાં આવ્યો છે, અને સાચા દેવને દર્શાવવા માટે મોટો “જી” વાપરવામાં આવ્યો છે. અન્ય ભાષાઓ પણ તેમજ કરે છે.
- અન્ય વિકલ્પમાં જૂઠા દેવોને દર્શાવવા માટે સંપૂર્ણપણે અલગ શબ્દનો ઉપયોગ કરવો.
- કદાચ કેટલીક ભાષાઓમાં જૂઠા દેવો નર કે નારી છે તે સ્પષ્ટતા કરવા જે તે શબ્દ ઉમેરવામાં આવે છે.
(આ પણ જુઓ: દેવ, અશેરાહ, બઆલ, મોલેખ, ભૂત, પ્રતિમા (મૂર્તિ), રાજ્ય, ઉપાસના)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 35:1-3
- નિર્ગમન 32:1-2
- ગીતશાસ્ત્ર 31:5-7
- ગીતશાસ્ત્ર 81:8-10
- યશાયા 44:20
- પ્રેરિતો 7:41-42
- પ્રેરિતો 7:43
- પ્રેરિતો 15:19-21
- પ્રેરિતો 19:26-27
- રોમન 2:21-22
- ગલાતી 4:8-9
- ગલાતી 5:19-21
- કલોસ્સી 3:5-8
- 1 થેસ્સલોનિકી 1:8-10
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો :
- 10:2 આ મરકી દ્વારા, દેવે ફારુન ને બતાવ્યું કે, તે ફારુન અને મિસરના સઘળા દેવો કરતા વધારે શક્તિશાળી છે.
- 13:4 પછી દેવે તેઓને કરાર આપ્યો અને કહ્યું, “હું યહોવા, તમારો દેવ છું, કે જેણે તમને મિસરની ગુલામીમાંથી બચાવ્યા. અન્ય દેવોની પૂજા કરશો નહીં.
- 14:2 તેઓ (કનાનીઓ) એ જૂઠા દેવોની પૂજા કરી અને ઘણી દુષ્ટ બાબતો કરી.
- 16:1 ઈઝરાએલીઓએ યહોવા સાચા દેવને બદલે, કનાનીઓના દેવોની આરાધના કરવાની શરૂઆત કરી.
- 18:13 પણ મોટાભાગના યહૂદાના રાજાઓ દુષ્ટ, ભ્રષ્ટ હતા, અને તેઓએ મૂર્તિઓની આરાધના કરી. કેટલાક રાજાઓએ જૂઠા દેવોને તેઓના બાળકોનું બલિદાન પણ આપ્યું.
શબ્દ માહિતી:
- Strong's: H205, H367, H410, H426, H430, H457, H1322, H1544, H1892, H2553, H3649, H4656, H4906, H5236, H5566, H6089, H6090, H6091, H6456, H6459, H6673, H6736, H6754, H7723, H8163, H8251, H8267, H8441, H8655, G1493, G1494, G1495, G1496, G1497, G2299, G2712
દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા
વ્યાખ્યા:
જૂઠો દેવ એ છે કે લોકો સાચા દેવને બદલે તેની પૂજા કરે છે.
વિશેષ કરીને “દેવી” શબ્દ, જૂઠા નારી દેવને (દેવીને) દર્શાવે છે.
- આ જૂઠા દેવો અથવા દેવી અસ્તિત્વમાં હોતા નથી.
ફક્ત યહોવા એકલો દેવ છે.
- ક્યારેક લોકો પૂજા કરવા માટે તેઓના જૂઠા દેવોના નિશાન તરીકે મૂર્તિઓની પ્રતિમા બનાવે છે.
- બાઈબલમાં વારંવાર દેવના લોકો જૂઠા દેવોની પૂજા કરવા તેનાથી દૂર ચાલ્યા ગયા.
- મોટેભાગે ભૂતો લોકોને વિશ્વાસ આપીને છેતરે છે કે જૂઠા દેવો અને જે મૂર્તિઓની તેઓ પૂજા કરે છે, તેમની પાસે પણ શક્તિ છે.
- બાઈબલના સમયમાં બઆલ, દેગોન, અને મોલેખ એ ઘણા જૂઠા દેવોમાંના ત્રણ હતા કે, જેઓની લોકો દ્વારા પૂજા થતી હતી.
- અશેરાહ અને આર્તીમીશ (ડાયના) બે દેવીઓ હતી કે પ્રાચીન લોકોએ તેઓની પૂજા કરતા. મૂર્તિ એ એક વસ્તુ છે કે લોકો તેને બનાવે છે જેથી તેઓ તેની પૂજા કરી શકે. સાચા ઈશ્વર વગર બીજા કોઈને માન આપવામાં આવે તેને “મૂર્તિપૂજક” કહેવામાં આવે છે.
- લોકો જૂઠા દેવોની મૂર્તિઓ બનાવી તેનું પ્રતિનિધિત્વ કરે છે કે તેઓ તેની પૂજા કરે.
- આ જૂઠા દેવો અસ્તિત્વમાં નથી, યહોવા વિના કોઈ દેવ નથી.
- ક્યારેક ભૂતો એક મૂર્તિ દ્વારા કાર્ય કરે છે કે જે બતાવે છે કે તેની પાસે શક્તિ છે.
- મોટેભાગે મૂર્તિઓને કિંમતી સામગ્રી જેવી કે સોનું, ચાંદી, પિત્તળ, અથવા મોંઘા લાકડામાંથી બનાવવામાં આવે છે.
- “મૂર્તિપૂજક રાજ્ય” શબ્દનો અર્થ, “લોકોનું રાજ્ય જે જ્યાં મૂર્તિઓની પૂજા થાય છે” અથવા “લોકોનું રાજ્ય કે જ્યાં પૃથ્વીની વસ્તુઓની પૂજા કરે છે.”
- “મૂર્તિપૂજાની આકૃતિ” શબ્દ એ “કોતરેલી પ્રતિમા” અથવા એક “મૂર્તિ” માટેનો અન્ય શબ્દ છે.
ભાષાંતરના સૂચનો:
- કદાચ ત્યાંની નજીકમાં રહેતા ભાષાવાળા લોકો પાસે, “દેવ” અથવા “જૂઠો દેવ” શબ્દ હોઈ શકે છે.
- “મૂર્તિ” શબ્દ જૂઠા દેવોને દર્શાવવા માટે વાપરી શકાય છે.
- અંગ્રેજીમાં, જૂઠા દેવોને દર્શાવવા માટે નાનો “જી” (G) વાપરવામાં આવ્યો છે, અને સાચા દેવને દર્શાવવા માટે મોટો “જી” વાપરવામાં આવ્યો છે. અન્ય ભાષાઓ પણ તેમજ કરે છે.
- અન્ય વિકલ્પમાં જૂઠા દેવોને દર્શાવવા માટે સંપૂર્ણપણે અલગ શબ્દનો ઉપયોગ કરવો.
- કદાચ કેટલીક ભાષાઓમાં જૂઠા દેવો નર કે નારી છે તે સ્પષ્ટતા કરવા જે તે શબ્દ ઉમેરવામાં આવે છે.
(આ પણ જુઓ: દેવ, અશેરાહ, બઆલ, મોલેખ, ભૂત, પ્રતિમા (મૂર્તિ), રાજ્ય, ઉપાસના)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 35:1-3
- નિર્ગમન 32:1-2
- ગીતશાસ્ત્ર 31:5-7
- ગીતશાસ્ત્ર 81:8-10
- યશાયા 44:20
- પ્રેરિતો 7:41-42
- પ્રેરિતો 7:43
- પ્રેરિતો 15:19-21
- પ્રેરિતો 19:26-27
- રોમન 2:21-22
- ગલાતી 4:8-9
- ગલાતી 5:19-21
- કલોસ્સી 3:5-8
- 1 થેસ્સલોનિકી 1:8-10
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો :
- 10:2 આ મરકી દ્વારા, દેવે ફારુન ને બતાવ્યું કે, તે ફારુન અને મિસરના સઘળા દેવો કરતા વધારે શક્તિશાળી છે.
- 13:4 પછી દેવે તેઓને કરાર આપ્યો અને કહ્યું, “હું યહોવા, તમારો દેવ છું, કે જેણે તમને મિસરની ગુલામીમાંથી બચાવ્યા. અન્ય દેવોની પૂજા કરશો નહીં.
- 14:2 તેઓ (કનાનીઓ) એ જૂઠા દેવોની પૂજા કરી અને ઘણી દુષ્ટ બાબતો કરી.
- 16:1 ઈઝરાએલીઓએ યહોવા સાચા દેવને બદલે, કનાનીઓના દેવોની આરાધના કરવાની શરૂઆત કરી.
- 18:13 પણ મોટાભાગના યહૂદાના રાજાઓ દુષ્ટ, ભ્રષ્ટ હતા, અને તેઓએ મૂર્તિઓની આરાધના કરી. કેટલાક રાજાઓએ જૂઠા દેવોને તેઓના બાળકોનું બલિદાન પણ આપ્યું.
શબ્દ માહિતી:
- Strong's: H205, H367, H410, H426, H430, H457, H1322, H1544, H1892, H2553, H3649, H4656, H4906, H5236, H5566, H6089, H6090, H6091, H6456, H6459, H6673, H6736, H6754, H7723, H8163, H8251, H8267, H8441, H8655, G1493, G1494, G1495, G1496, G1497, G2299, G2712
દેશ, દેશો
વ્યાખ્યા:
દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે.
ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.
- સામાન્ય રીતે દરેક “દેશ” ની એક સુવ્યાખ્યિત સંસ્કૃતિ અને પ્રાદેશિક સીમાઓ હોય છે.
- બાઇબલમાં, એક “દેશ” એ એક “રાષ્ટ્ર” હોઈ શકે છે જેમ કે ઈજીપ્ત અથવા તો ઈથોપિયા, પણ ઘણી વાર તે બહું સામાન્ય અર્થમાં હોય છે અને ખાસ જ્યારે બહુવચનમાં વપરાય છે ત્યારે તે એક લોકજાતિનો ઉલ્લેખ કરે છે.
તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.
- બાઇબલમાં બીજા ઘણાં દેશોમાં ઇઝરાયલીઓ, પલિસ્તીઓ, આશૂરીઓ, બાબિલ, કનાન, રોમનો, ગ્રીકો વગેરેનો સામાવેશ થાય છે.
- ઘણી વાર “દેશ” શબ્દનો ઉપયોગ કોઈ ખાસ લોકજાતિના પૂર્વજનો ઉલ્લેખ કરવા પ્રતીકાત્મક રીતે કરવામાં આવતો હતો, જેમ કે ઈશ્વરે રીબકાને
આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.
- “દેશ” તરીકે જેનો અનુવાદ કરવામાં આવ્યો છે તે શબ્દને ઘણીવાર “વિદેશીઓ (બિન-યહૂદીઓ)” અથવા તો જે લોકો યહોવાની આરાધના કરતા નથી તેઓનો ઉલ્લેખ કરવા વાપરવામાં આવ્યો હતો.
અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભ અનુસાર, “દેશ” શબ્દનો અનુવાદ “લોકજાતિ” અથવા તો “પ્રદેશ” તરીકે કરી શકાય.
- જો કોઈ ભાષામાં “દેશ” માટે એવો શબ્દ હોય કે જે આ બીજા શબ્દોથી અલગ હોય તો તે શબ્દને બાઇબલમાં દરેક જગ્યાએ વાપરી શકાય. ફક્ત ધ્યાન એ રાખવાનું કે તે કુદરતી લાગતો હોય અને સંદર્ભ પ્રમાણે ચોક્કસ હોય.
- બહુવચનમાં “દેશો” શબ્દનો અનુવાદ મોટાભાગે “લોકજાતિઓ” તરીકે કરી શકાય.
- અમુક ખાસ સંદર્ભોમાં, આ શબ્દનો અનુવાદ “વિદેશીઓ” અથવા તો “બિન-યહૂદીઓ” તરીકે પણ કરી શકાય.
(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 14:15-17
- 2 કાળવૃતાંત 15:6-7
- 2 રાજા 17:11-12
- પ્રેરિતોના કૃત્યો 2:5-7
- પ્રેરિતોના કૃત્યો 13:19-20
- પ્રેરિતોના કૃત્યો 17:26-27
- પ્રેરિતોના કૃત્યો 26:4-5
- દાનિયેલ03:3-5
- ઉત્પત્તિ 10:2-5
- ઉત્પત્તિ 27:29
- ઉત્પત્તિ 35:11-13
- ઉત્પત્તિ 49:10
- લૂક 7:2-5
- માર્ક 13:7-8
- માથ્થી 21:43-44
- રોમનો 4:16-17
શબ્દ માહિતી:
- Strong's: H249, H523, H524, H776, H1471, H3816, H4940, H5971, G246, G1074, G1085, G1484
દેશ, દેશો
વ્યાખ્યા:
દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે.
ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.
- સામાન્ય રીતે દરેક “દેશ” ની એક સુવ્યાખ્યિત સંસ્કૃતિ અને પ્રાદેશિક સીમાઓ હોય છે.
- બાઇબલમાં, એક “દેશ” એ એક “રાષ્ટ્ર” હોઈ શકે છે જેમ કે ઈજીપ્ત અથવા તો ઈથોપિયા, પણ ઘણી વાર તે બહું સામાન્ય અર્થમાં હોય છે અને ખાસ જ્યારે બહુવચનમાં વપરાય છે ત્યારે તે એક લોકજાતિનો ઉલ્લેખ કરે છે.
તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.
- બાઇબલમાં બીજા ઘણાં દેશોમાં ઇઝરાયલીઓ, પલિસ્તીઓ, આશૂરીઓ, બાબિલ, કનાન, રોમનો, ગ્રીકો વગેરેનો સામાવેશ થાય છે.
- ઘણી વાર “દેશ” શબ્દનો ઉપયોગ કોઈ ખાસ લોકજાતિના પૂર્વજનો ઉલ્લેખ કરવા પ્રતીકાત્મક રીતે કરવામાં આવતો હતો, જેમ કે ઈશ્વરે રીબકાને
આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.
- “દેશ” તરીકે જેનો અનુવાદ કરવામાં આવ્યો છે તે શબ્દને ઘણીવાર “વિદેશીઓ (બિન-યહૂદીઓ)” અથવા તો જે લોકો યહોવાની આરાધના કરતા નથી તેઓનો ઉલ્લેખ કરવા વાપરવામાં આવ્યો હતો.
અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભ અનુસાર, “દેશ” શબ્દનો અનુવાદ “લોકજાતિ” અથવા તો “પ્રદેશ” તરીકે કરી શકાય.
- જો કોઈ ભાષામાં “દેશ” માટે એવો શબ્દ હોય કે જે આ બીજા શબ્દોથી અલગ હોય તો તે શબ્દને બાઇબલમાં દરેક જગ્યાએ વાપરી શકાય. ફક્ત ધ્યાન એ રાખવાનું કે તે કુદરતી લાગતો હોય અને સંદર્ભ પ્રમાણે ચોક્કસ હોય.
- બહુવચનમાં “દેશો” શબ્દનો અનુવાદ મોટાભાગે “લોકજાતિઓ” તરીકે કરી શકાય.
- અમુક ખાસ સંદર્ભોમાં, આ શબ્દનો અનુવાદ “વિદેશીઓ” અથવા તો “બિન-યહૂદીઓ” તરીકે પણ કરી શકાય.
(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 14:15-17
- 2 કાળવૃતાંત 15:6-7
- 2 રાજા 17:11-12
- પ્રેરિતોના કૃત્યો 2:5-7
- પ્રેરિતોના કૃત્યો 13:19-20
- પ્રેરિતોના કૃત્યો 17:26-27
- પ્રેરિતોના કૃત્યો 26:4-5
- દાનિયેલ03:3-5
- ઉત્પત્તિ 10:2-5
- ઉત્પત્તિ 27:29
- ઉત્પત્તિ 35:11-13
- ઉત્પત્તિ 49:10
- લૂક 7:2-5
- માર્ક 13:7-8
- માથ્થી 21:43-44
- રોમનો 4:16-17
શબ્દ માહિતી:
- Strong's: H249, H523, H524, H776, H1471, H3816, H4940, H5971, G246, G1074, G1085, G1484
દેહ
વ્યાખ્યા:
બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.
- રૂપકાત્મક રીતે સઘળા માનવ જાત અથવા સઘળા જીવિત પ્રાણીઓને દર્શાવવા બાઈબલ પણ “દેહ” શબ્દનો ઉપયોગ કરે છે.
- નવા કરારમાં, “દેહ” શબ્દ માનવ જાતના પાપી સ્વભાવને દર્શાવવા માટે વપરાયેલ છે.
મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.
- “પોતાનો દેહ અને લોહી” અભિવ્યક્તિ કોઈ કે જે જૈવિક રીતે બીજી વ્યક્તિને સંબંધિત છે, જેવા કે માતા- પિતા, ભાઈ-બહેન, બાળક, અથવા પૌત્ર-પૌત્રીને દર્શાવે છે.
- “દેહ અને લોહી” અભિવ્યક્તિ વ્યક્તિના પૂર્વજો અથવા વંશજોને પણ દર્શાવી શકે છે.
- “એક દેહ” અભિવ્યક્તિ લગ્નમાં પુરુષ અને સ્ત્રી શારીરિક રીતે એક થાય છે તેને દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- એક પ્રાણીના શરીરના સંદર્ભમાં, “દેહ” શબ્દનું ભાષાંતર, “શરીર” અથવા “ચામડી” અથવા “માંસ” તરીકે કરી શકાય છે. જયારે આ શબ્દ સામાન્ય રીતે જીવતા પ્રાણીને માટે કરવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર, “જીવતા પ્રાણીઓ” અથવા “જે કાંઈ જીવતું છે,” એમ (ભાષાંતર) થઇ શકે છે.
- સામાન્ય રીતે જયારે બધા લોકો માટે દર્શાવવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર, “લોકો” અથવા “માનવ જાત” અથવા “દરેક જેઓ જીવે છે,” તરીકે કરી શકાય છે.
- “માંસ અને લોહી” અભિવ્યક્તિનું ભાષાંતર, “સંબંધીઓ” અથવા “કુટુંબ” અથવા “સ્વજન” અથવા “કુટુંબનું કુળ” તરીકે પણ કરી શકાય છે.
કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.
- કેટલીક ભાષાઓમાં કદાચ આ અભિવ્યક્તિનો સમાન અર્થ, “માંસ અને લોહી” હોઈ શકે છે.
- “એક દેહ થવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “જાતીય રીતે એક થવું” અથવા “એક શરીર થવું” અથવા “આત્મા અને શરીરમાં એક વ્યક્તિ જેવું બનવું,” તરીકે કરી શકાય છે.
આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.
બાઈબલની કલમો:
- 1 યોહાન 2:15-17
- 2 યોહાન 1:7-8
- એફેસી 6:12-13
- ગલાતી 1:15-17
- ઉત્પત્તિ 2:24-25
- યોહાન 1:14-15
- માથ્થી 16:17-18
- રોમન 8:6-8
શબ્દ માહિતી:
- Strong's: H829, H1320, H1321, H2878, H3894, H4207, H7607, H7683, G2907, G4559, G4560, G4561
દેહ
વ્યાખ્યા:
બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.
- રૂપકાત્મક રીતે સઘળા માનવ જાત અથવા સઘળા જીવિત પ્રાણીઓને દર્શાવવા બાઈબલ પણ “દેહ” શબ્દનો ઉપયોગ કરે છે.
- નવા કરારમાં, “દેહ” શબ્દ માનવ જાતના પાપી સ્વભાવને દર્શાવવા માટે વપરાયેલ છે.
મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.
- “પોતાનો દેહ અને લોહી” અભિવ્યક્તિ કોઈ કે જે જૈવિક રીતે બીજી વ્યક્તિને સંબંધિત છે, જેવા કે માતા- પિતા, ભાઈ-બહેન, બાળક, અથવા પૌત્ર-પૌત્રીને દર્શાવે છે.
- “દેહ અને લોહી” અભિવ્યક્તિ વ્યક્તિના પૂર્વજો અથવા વંશજોને પણ દર્શાવી શકે છે.
- “એક દેહ” અભિવ્યક્તિ લગ્નમાં પુરુષ અને સ્ત્રી શારીરિક રીતે એક થાય છે તેને દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- એક પ્રાણીના શરીરના સંદર્ભમાં, “દેહ” શબ્દનું ભાષાંતર, “શરીર” અથવા “ચામડી” અથવા “માંસ” તરીકે કરી શકાય છે. જયારે આ શબ્દ સામાન્ય રીતે જીવતા પ્રાણીને માટે કરવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર, “જીવતા પ્રાણીઓ” અથવા “જે કાંઈ જીવતું છે,” એમ (ભાષાંતર) થઇ શકે છે.
- સામાન્ય રીતે જયારે બધા લોકો માટે દર્શાવવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર, “લોકો” અથવા “માનવ જાત” અથવા “દરેક જેઓ જીવે છે,” તરીકે કરી શકાય છે.
- “માંસ અને લોહી” અભિવ્યક્તિનું ભાષાંતર, “સંબંધીઓ” અથવા “કુટુંબ” અથવા “સ્વજન” અથવા “કુટુંબનું કુળ” તરીકે પણ કરી શકાય છે.
કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.
- કેટલીક ભાષાઓમાં કદાચ આ અભિવ્યક્તિનો સમાન અર્થ, “માંસ અને લોહી” હોઈ શકે છે.
- “એક દેહ થવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “જાતીય રીતે એક થવું” અથવા “એક શરીર થવું” અથવા “આત્મા અને શરીરમાં એક વ્યક્તિ જેવું બનવું,” તરીકે કરી શકાય છે.
આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.
બાઈબલની કલમો:
- 1 યોહાન 2:15-17
- 2 યોહાન 1:7-8
- એફેસી 6:12-13
- ગલાતી 1:15-17
- ઉત્પત્તિ 2:24-25
- યોહાન 1:14-15
- માથ્થી 16:17-18
- રોમન 8:6-8
શબ્દ માહિતી:
- Strong's: H829, H1320, H1321, H2878, H3894, H4207, H7607, H7683, G2907, G4559, G4560, G4561
દોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા
વ્યાખ્યા:
“દોષિત” અને “દંડાજ્ઞા” શબ્દો, કોઈને કઈંક ખોટું કરવા માટે ન્યાય કરવો, તે દર્શાવે છે.
- “દોષિત” શબ્દ, મોટેભાગે વ્યક્તિ કે જેણે ખોટું કર્યું છે તેને સજા આપવા માટે વાપરવામાં આવે છે.
- “દોષિત” શબ્દનો અર્થ, ક્યારેક કોઈકને ખોટી રીતે દોષારોપણ કરવું અથવા કોઈનો કઠોરતાથી ન્યાય કરવો.
- “દંડાજ્ઞા” શબ્દ કોઈને દોષિત ગણવો કરવો અથવા તહોમત મૂકવાનું કાર્ય દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર “કઠોરતાથી ન્યાય કરવો” અથવા “ખોટી રીતે ટીકા કરવી” તરીકે કરી શકાય છે.
- “તેને દોષિત ઠરાવો” વાક્યનું ભાષાંતર, “ન્યાયમાં તે અપરાધી છે” અથવા “પાપી જાહેર કરવો” અથવા “એવા સ્થાન પર કે જ્યાં તેને પાપ માટે અવશ્ય સજા કરવી” એમ કરી શકાય છે.
- “દંડાજ્ઞા” શબ્દનું ભાષાંતર, “કઠોરતાથી ન્યાય કરવો” અથવા “દોષિત જાહેર કરવું” અથવા “અપરાધની સજા” તરીકે કરી શકાય.
(આ પણ જુઓ: ન્યાયાધીશ, શિક્ષા કરવી)
બાઈબલની કલમો:
- 1 યોહાન 3:19-22
- અયૂબ 9:27-29
- યોહાન 5:24
- લૂક 6:37
- માથ્થી 12:7-8
- નીતિવચન 17:15-16
- ગીતશાસ્ત્ર 34:21-22
- રોમન 5:16-17
શબ્દ માહિતી:
- Strong's: H6064, H7034, H7561, H8199, G176, G843, G2607, G2613, G2631, G2632, G2633, G2917, G2919, G2920, G5272, G6048
દોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા
વ્યાખ્યા:
“દોષિત” અને “દંડાજ્ઞા” શબ્દો, કોઈને કઈંક ખોટું કરવા માટે ન્યાય કરવો, તે દર્શાવે છે.
- “દોષિત” શબ્દ, મોટેભાગે વ્યક્તિ કે જેણે ખોટું કર્યું છે તેને સજા આપવા માટે વાપરવામાં આવે છે.
- “દોષિત” શબ્દનો અર્થ, ક્યારેક કોઈકને ખોટી રીતે દોષારોપણ કરવું અથવા કોઈનો કઠોરતાથી ન્યાય કરવો.
- “દંડાજ્ઞા” શબ્દ કોઈને દોષિત ગણવો કરવો અથવા તહોમત મૂકવાનું કાર્ય દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર “કઠોરતાથી ન્યાય કરવો” અથવા “ખોટી રીતે ટીકા કરવી” તરીકે કરી શકાય છે.
- “તેને દોષિત ઠરાવો” વાક્યનું ભાષાંતર, “ન્યાયમાં તે અપરાધી છે” અથવા “પાપી જાહેર કરવો” અથવા “એવા સ્થાન પર કે જ્યાં તેને પાપ માટે અવશ્ય સજા કરવી” એમ કરી શકાય છે.
- “દંડાજ્ઞા” શબ્દનું ભાષાંતર, “કઠોરતાથી ન્યાય કરવો” અથવા “દોષિત જાહેર કરવું” અથવા “અપરાધની સજા” તરીકે કરી શકાય.
(આ પણ જુઓ: ન્યાયાધીશ, શિક્ષા કરવી)
બાઈબલની કલમો:
- 1 યોહાન 3:19-22
- અયૂબ 9:27-29
- યોહાન 5:24
- લૂક 6:37
- માથ્થી 12:7-8
- નીતિવચન 17:15-16
- ગીતશાસ્ત્ર 34:21-22
- રોમન 5:16-17
શબ્દ માહિતી:
- Strong's: H6064, H7034, H7561, H8199, G176, G843, G2607, G2613, G2631, G2632, G2633, G2917, G2919, G2920, G5272, G6048
દ્રષ્ટાંત, દ્રષ્ટાંતો
વ્યાખ્યા:
“દ્રષ્ટાંત” શબ્દ સામાન્ય રીતે એક નાની વાર્તા અથવા તો પદાર્થપાઠનો ઉલ્લેખ કરે છે કે જેનો ઉપયોગ એક નૈતિક સત્ય સમજાવવા અથવા તો શીખવવા થાય છે.
- ઈસુએ પોતાના શિષ્યોને શીખવવા દ્રષ્ટાંતોનો ઉપયોગ કર્યો.
જો કે તેમણે લોકોના ટોળાઓને પણ દ્રષ્ટાંતો કહ્યાં, તો પણ તેમણે હંમેશાં દ્રષ્ટાંતની સમજણ આપી નહિ.
- દ્રષ્ટાંતનો ઉપયોગ એક તરફ ફરોશીઓ જેવા લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરતાં ન હતા તેઓથી સત્યને છુપાવવા તો બીજી તરફ પોતાના શિષ્યોને સત્ય પ્રગટ કરવા કરી શકાતો હતો.
- નાથાન પ્રબોધકે દાઉદ રાજાને તેનું ભયંકર પાપ બતાવવા એક દ્રષ્ટાંત કહ્યું હતું.
- ભલા સમરૂનીની વાર્તા એક દ્રષ્ટાંત કે જે વાર્તા છે તેનું ઉદાહરણ છે.
ઈસુએ જૂની તથા નવી મશકોની સરખામણી કરી તે દ્રષ્ટાંતનું એક ઉદાહરણ છે. શિષ્યોને ઈસુનું શિક્ષણ સમજવામાં મદદ કરવા તે એક પદાર્થપાઠ હતો.
(આ પણ જૂઓ: સમરૂન)
બાઇબલના સંદર્ભો:
- લૂક 5:36
- લૂક 6:39-40
- લૂક 8:4-6
- લૂક 8:9-10
- માર્ક 4:1-2
- માથ્થી 13:3-6
- માથ્થી 13:10-12
- માથ્થી 13:13-14
શબ્દ માહિતી:
- Strong's: H1819, H4912, G3850, G3942
દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો
વ્યાખ્યા:
દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે.
દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.
- દ્રાક્ષ અલગઅલગ રંગોની છે, જેવી કે આછી લીલી, જાંબુડી, અથવા લાલ.
- સામાન્ય રીતે દ્રાક્ષ કદમાં લગભગ એક થી ત્રણ સેન્ટીમીટર હોય છે.
- લોકો દ્રાક્ષને બગીચામાં ઉગાડે છે તેને દ્રાક્ષાવાડીઓ કહેવામાં આવે છે.
જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.
- બાઈબલના સમય દરમ્યાન દ્રાક્ષા એ ખૂબ મહત્વનો ખોરાક હતો અને દ્રક્ષાવાડીઓ હોવી એ સંપત્તિનો સંકેત હતો.
- દ્રાક્ષો સડી ન જાય માટે, મોટેભાગે લોકો તેઓને સુકવી દેતા.
સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.
- ઈસુએ તેના શિષ્યોને દેવના રાજ્ય વિશે શીખવવા માટે દ્રાક્ષાવાડી વિશેનું દૃષ્ટાંત કહ્યું.
(આ પણ જુઓ: વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષારસ)
બાઈબલની કલમો:
- પુનર્નિયમ 23:24-25
- હોશિયા 9:10
- અયૂબ 15:31-33
- લૂક 6:43-44
- માથ્થી 7:15-17
- માથ્થી 21:33-34
શબ્દ માહિતી:
- Strong's: H811, H891, H1154, H1155, H1210, H2490, H3196, H5563, H5955, H6025, H6528, G288, G4718
દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો
વ્યાખ્યા:
દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે.
દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.
- દ્રાક્ષ અલગઅલગ રંગોની છે, જેવી કે આછી લીલી, જાંબુડી, અથવા લાલ.
- સામાન્ય રીતે દ્રાક્ષ કદમાં લગભગ એક થી ત્રણ સેન્ટીમીટર હોય છે.
- લોકો દ્રાક્ષને બગીચામાં ઉગાડે છે તેને દ્રાક્ષાવાડીઓ કહેવામાં આવે છે.
જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.
- બાઈબલના સમય દરમ્યાન દ્રાક્ષા એ ખૂબ મહત્વનો ખોરાક હતો અને દ્રક્ષાવાડીઓ હોવી એ સંપત્તિનો સંકેત હતો.
- દ્રાક્ષો સડી ન જાય માટે, મોટેભાગે લોકો તેઓને સુકવી દેતા.
સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.
- ઈસુએ તેના શિષ્યોને દેવના રાજ્ય વિશે શીખવવા માટે દ્રાક્ષાવાડી વિશેનું દૃષ્ટાંત કહ્યું.
(આ પણ જુઓ: વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષારસ)
બાઈબલની કલમો:
- પુનર્નિયમ 23:24-25
- હોશિયા 9:10
- અયૂબ 15:31-33
- લૂક 6:43-44
- માથ્થી 7:15-17
- માથ્થી 21:33-34
શબ્દ માહિતી:
- Strong's: H811, H891, H1154, H1155, H1210, H2490, H3196, H5563, H5955, H6025, H6528, G288, G4718
દ્રાક્ષવાડી, દ્રાક્ષવાડીઓ
વ્યાખ્યા:
દ્રાક્ષવાડી એક મોટો બગીચો છે જ્યાં દ્રાક્ષવેલાની વાવણી થાય છે અને દ્રાક્ષની ખેતી થાય છે.
- એક દ્રાક્ષવાડીની આસપાસ ઘણી વાર ચોરો અને પ્રાણીઓથી ફળોનું રક્ષણ કરવા માટે દિવાલ હોય છે.
- ઈશ્વરે ઈસ્રાએલના લોકોને સારા ફળ ન આપનારી એક દ્રાક્ષાવાડી સાથે સરખામણી કરી.
)જુઓ: [રૂપક[
- દ્રાક્ષવાડીનું ભાષાંતર "દ્રાક્ષારસનો બગીચો" અથવા "દ્રાક્ષનું વાવેતર" પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: [દ્રાક્ષ[, ઇસ્રાએલ, દ્રાક્ષ)
બાઇબલ સંદર્ભો
- ઈઝરાએલ
- વેલો
- લૂક 20:15-16
- માથ્થી 20:1-2
- માથ્થી 21:40-41
શબ્દ માહિતી:
- Strong's: H64, H1612, H3657, H3661, H3754, H3755, H8284, G289, G290
દ્રાક્ષાકુંડ
વ્યાખ્યા:
બાઇબલના સમયમાં, "દ્રાક્ષાકુંડ" એક વિશાળપાત્ર અથવા ખુલ્લું સ્થળ હતું, જ્યાં દ્રાક્ષનો રસ દ્રાક્ષારસ બનાવવા માટે કાઢવામાં આવતો હતો.
- ઈસ્રાએલમાં, દ્રાક્ષાકુંડો મોટા ભાગે મોટા, વિશાળ ભાગના કે જે સખત ખડકમાંથી ખોદવામાં આવ્યા હતા.
દ્રાક્ષના ઝૂમખાં કાણાંના સપાટ તળિયે મૂકવામાં આવતાં હતાં અને લોકો દ્રાક્ષનો રસ બહાર કાઢવા માટે તેમના પગ તળે દ્રાક્ષને કચડી નાખતા હતા.
- સામાન્ય રીતે દ્રાક્ષાકુંડને બે સ્તરો હતા, ટોચના સ્તરમાં દ્રાક્ષને કચડી નાખવામાં આવે છે, જેથી રસ નીચલા સ્તરે આવે છે જ્યાં તે એકત્રિત થઈ શકે.
- બાઇબલમાં "દ્રાક્ષાકુંડ" શબ્દનો અર્થ દુષ્ટ લોકો પર રેડવામાં આવેલાં ઈશ્વરના કોપના ચિત્ર તરીકે થાય છે.
(જુઓ: રૂપક
(આ પણ જુઓ: દ્રાક્ષ, કોપ
બાઇબલ સંદર્ભો
- યશાયા 63:1-2
- માર્ક 12:1-3
- માથ્થી 21:33-34
- પ્રકટીકરણ 14:19-20
શબ્દ માહિતી:
- Strong's: H1660, H3342, H6333, G3025, G5276
દ્રાક્ષારસ, દ્રાક્ષારસ, મશક, મશકો, નવો દ્રાક્ષારસ
વ્યાખ્યા:
બાઇબલમાં, " દ્રાક્ષારસ " શબ્દનો અર્થ છે દ્રાક્ષના ફળોના રસમાંથી બનાવેલ આથો ચડાવેલું પીણું.
દ્રાક્ષારસ ને " મશકો " માં સંગ્રહ કરવામાં આવતો હતો, જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવેલી હતી.
- "નવા દ્રાક્ષારસ" શબ્દ દ્રાક્ષના રસનો સંદર્ભ આપે છે જે દ્રાક્ષમાંથી હમણાં જ કાઢવામાં આવ્યો હતો અને જેને હજુ સુધી આથો ચડાવેલો ન હતો.
કેટલીકવાર " દ્રાક્ષારસ " શબ્દ પણ આથો ચડાવેલો ન હોય તેવા દ્રાક્ષના રસનો ઉલ્લેખ કરે છે.
- દ્રાક્ષારસ બનાવવા માટે, દ્રાક્ષને એક દ્રાક્ષાકુંડમાં કચડવામાં આવે છે કે જેથી રસ બહાર આવે છે.
આ રસને આખરે આથો ચડે છે અને તે દારૂમાં ફેરવાય છે.
- બાઇબલના સમયમાં, દ્રાક્ષારસ ભોજન સાથે સામાન્ય પીણું હતું.
હાલના દ્રાક્ષરસમાં દારૂ હોય તેટલો ત્યારના દ્રાક્ષારસમાં ન હતો.
- ભોજન માટે દ્રાક્ષારસ પીરસવામાં આવે તે પહેલાં, ઘણી વખત તેમાં પાણી મિશ્રિત કરવામાં આવતું હતું.
- જે મશક જૂની અને બરડ થઇ ગઇ હતી તેમાં તિરાડો પડી જતી, જેમાંથી દ્રાક્ષારસ બહાર ઢળતો હતો.
નવી મશકોમાં નરમ અને લવચીક હતી, જેનો અર્થ છે કે તેઓ સરળતાથી તૂટતી ન હતી અને દ્રાક્ષારસને સુરક્ષિત રાખી શકતી હતી.
- જો દ્રાક્ષારસ તમારી સંસ્કૃતિમાં અજાણ હોય, તો તેને "આથેલો દ્રાક્ષ રસ" અથવા "આથેલું પીણું કે જેને દ્રાક્ષના ફળમાંથી બને છે" અથવા "આથેલા ફળોનો રસ" તરીકે ભાષાંતર કરી શકાય છે. (જુઓ: અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવુ
મશકનું બીજી રીતે ભાષાંતર “દ્રાક્ષારસ માટેની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલી દ્રાક્ષારસની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલું દ્રાક્ષારસ માટેનું પાત્ર.
(આ પણ જુઓ: દ્રાક્ષ, વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષાકુંડ
બાઇબલના સંદર્ભો:
- 1 તિમોથી 5:23-25
- ઉત્પત્તિ 9:20-21
- ઉત્પત્તિ 49:11-12
- યોહાન 2:3-5
- યોહાન 2:9-10
- માથ્થી 9:17
- માથ્થી 11:18-19
પીસવું
શબ્દ માહિતી:
- Strong's: H2561, H2562, H3196, H4469, H4997, H5435, H6025, H6071, H8492, G1098, G3631, G3820, G3943
દ્રાક્ષારસ, દ્રાક્ષારસ, મશક, મશકો, નવો દ્રાક્ષારસ
વ્યાખ્યા:
બાઇબલમાં, " દ્રાક્ષારસ " શબ્દનો અર્થ છે દ્રાક્ષના ફળોના રસમાંથી બનાવેલ આથો ચડાવેલું પીણું.
દ્રાક્ષારસ ને " મશકો " માં સંગ્રહ કરવામાં આવતો હતો, જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવેલી હતી.
- "નવા દ્રાક્ષારસ" શબ્દ દ્રાક્ષના રસનો સંદર્ભ આપે છે જે દ્રાક્ષમાંથી હમણાં જ કાઢવામાં આવ્યો હતો અને જેને હજુ સુધી આથો ચડાવેલો ન હતો.
કેટલીકવાર " દ્રાક્ષારસ " શબ્દ પણ આથો ચડાવેલો ન હોય તેવા દ્રાક્ષના રસનો ઉલ્લેખ કરે છે.
- દ્રાક્ષારસ બનાવવા માટે, દ્રાક્ષને એક દ્રાક્ષાકુંડમાં કચડવામાં આવે છે કે જેથી રસ બહાર આવે છે.
આ રસને આખરે આથો ચડે છે અને તે દારૂમાં ફેરવાય છે.
- બાઇબલના સમયમાં, દ્રાક્ષારસ ભોજન સાથે સામાન્ય પીણું હતું.
હાલના દ્રાક્ષરસમાં દારૂ હોય તેટલો ત્યારના દ્રાક્ષારસમાં ન હતો.
- ભોજન માટે દ્રાક્ષારસ પીરસવામાં આવે તે પહેલાં, ઘણી વખત તેમાં પાણી મિશ્રિત કરવામાં આવતું હતું.
- જે મશક જૂની અને બરડ થઇ ગઇ હતી તેમાં તિરાડો પડી જતી, જેમાંથી દ્રાક્ષારસ બહાર ઢળતો હતો.
નવી મશકોમાં નરમ અને લવચીક હતી, જેનો અર્થ છે કે તેઓ સરળતાથી તૂટતી ન હતી અને દ્રાક્ષારસને સુરક્ષિત રાખી શકતી હતી.
- જો દ્રાક્ષારસ તમારી સંસ્કૃતિમાં અજાણ હોય, તો તેને "આથેલો દ્રાક્ષ રસ" અથવા "આથેલું પીણું કે જેને દ્રાક્ષના ફળમાંથી બને છે" અથવા "આથેલા ફળોનો રસ" તરીકે ભાષાંતર કરી શકાય છે. (જુઓ: અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવુ
મશકનું બીજી રીતે ભાષાંતર “દ્રાક્ષારસ માટેની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલી દ્રાક્ષારસની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલું દ્રાક્ષારસ માટેનું પાત્ર.
(આ પણ જુઓ: દ્રાક્ષ, વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષાકુંડ
બાઇબલના સંદર્ભો:
- 1 તિમોથી 5:23-25
- ઉત્પત્તિ 9:20-21
- ઉત્પત્તિ 49:11-12
- યોહાન 2:3-5
- યોહાન 2:9-10
- માથ્થી 9:17
- માથ્થી 11:18-19
પીસવું
શબ્દ માહિતી:
- Strong's: H2561, H2562, H3196, H4469, H4997, H5435, H6025, H6071, H8492, G1098, G3631, G3820, G3943
દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,
વ્યાખ્યા:
“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે.
“આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.
- શહેરનું દ્વાર લોકો, પ્રાણીઓ, અને માલને શહેરની અંદર અને બહાર જવા માટે ખોલવામાં આવતું હતું.
- શહેરનું રક્ષણ કરવા માટે, તેની દિવાલો અને દ્વારો જાડા અને મજબૂત રાખવામાં આવતા હતા.
દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.
- મોટેભાગે શહેરનું દ્વાર સમાચારો માટે અને ગામનું સામાજિક કેન્દ્ર હતું.
દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો.
નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને, “દ્વાર” શબ્દનું બીજી રીતે ભાષાંતર, “બારણું” અથવા “દીવાલની અંદર પ્રવેશ કરવાનું દ્વાર” અથવા “અવરોધ” અથવા “પ્રવેશ માર્ગ” કરી શકાય છે.
- “દ્વારના આગળાઓ” શબ્દસમૂહનું ભાષાંતર, “દ્વારની કળ” અથવા “દ્વારને બંધ કરવા માટે લાકડાના મોભ” અથવા “દ્વારને બંધ કરવાના ધાતુના સળિયા” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
બાઈબલની કલમો:
- પ્રેરિતો 9:23-25
- પ્રેરિતો 10:17-18
- પુનર્નિયમ 21:18-19
- ઉત્પત્તિ 19:1-3
- ઉત્પત્તિ 24:59-60
- માથ્થી 7:13-14
શબ્દ માહિતી:
- Strong's: H1817, H5592, H6607, H8179, H8651, G2374, G4439, G4440
દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,
વ્યાખ્યા:
“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે.
“આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.
- શહેરનું દ્વાર લોકો, પ્રાણીઓ, અને માલને શહેરની અંદર અને બહાર જવા માટે ખોલવામાં આવતું હતું.
- શહેરનું રક્ષણ કરવા માટે, તેની દિવાલો અને દ્વારો જાડા અને મજબૂત રાખવામાં આવતા હતા.
દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.
- મોટેભાગે શહેરનું દ્વાર સમાચારો માટે અને ગામનું સામાજિક કેન્દ્ર હતું.
દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો.
નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને, “દ્વાર” શબ્દનું બીજી રીતે ભાષાંતર, “બારણું” અથવા “દીવાલની અંદર પ્રવેશ કરવાનું દ્વાર” અથવા “અવરોધ” અથવા “પ્રવેશ માર્ગ” કરી શકાય છે.
- “દ્વારના આગળાઓ” શબ્દસમૂહનું ભાષાંતર, “દ્વારની કળ” અથવા “દ્વારને બંધ કરવા માટે લાકડાના મોભ” અથવા “દ્વારને બંધ કરવાના ધાતુના સળિયા” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
બાઈબલની કલમો:
- પ્રેરિતો 9:23-25
- પ્રેરિતો 10:17-18
- પુનર્નિયમ 21:18-19
- ઉત્પત્તિ 19:1-3
- ઉત્પત્તિ 24:59-60
- માથ્થી 7:13-14
શબ્દ માહિતી:
- Strong's: H1817, H5592, H6607, H8179, H8651, G2374, G4439, G4440
ધૂપ, ધૂપ કરવો
વ્યાખ્યા:
“ધૂપ” શબ્દ મસાલાની સુવાસના મિશ્રણને દર્શાવે છે કે જેને બાળવાથી જે ધુમાડો પેદા થાય છે, તેની સુવાસ સુખદ હોય.
- દેવે ઈઝરાએલીઓને તેને અર્પણ કરવા માટે ધૂપ બાળવાનું કહ્યું (હતું).
- દેવે જે ચોક્કસરીતે નિર્દેશિત કર્યા, તે રીતે પાંચ વિશેષ મસાલાને સરખા પ્રમાણમાં મેળવીને ધૂપને બનાવવામાં આવતો હતો.
આ પવિત્ર ધૂપ હતો, જેથી તેઓને તેની બીજા કોઈ હેતુ માટે વાપરવાની પરવાનગી નહોતી.
- “ધૂપની વેદી” એ ખાસ વેદી હતી કે જેનો ઉપયોગ ફક્ત ધૂપ બાળવા માટે કરવામાં આવતો હતો.
- પ્રાર્થનાના દરેક કલાકમાં ઓછામાં ઓછો દિવસમાં ચાર વખત ધૂપ ચઢાવવામાં આવતો હતો.
તે દરેક સમયે જયારે દહનાર્પણ અર્પણ કરવામાં આવતું, ત્યારે તે (ધૂપ) ચઢાવવામાં આવતો હતો.
- ધૂપ બાળવો તે દેવ પ્રત્યેની તેના લોકોની પ્રાર્થના અને સ્તુતિને રજૂ કરે છે તે (દેવ પાસે) ઉપર જાય છે.
- “ધૂપ” શબ્દના વિવિધ ભાષાંતરમાં, “મસાલાની સુવાસ” અથવા “સારી સુગંધ આપનારાં છોડવા,” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: ધૂપનીવેદી, દહનાર્પણ, લોબાન)
બાઈબલની કલમો:
- 1 રાજા 3:1-3
- 2 કાળવૃતાંત 13:10-11
- 2 રાજા 14:4-5
- નિર્ગમન 25:3-7
- લૂક 1:8-10
શબ્દ માહિતી:
- Strong's: H2553, H3828, H4196, H4289, H5208, H6988, H6999, H7002, H7004, H7381, G2368, G2369, G2370, G2379, G3031
નકાર કરવો, નકાર કરે છે, નકાર કર્યો, નકાર કરતું, નકાર
વ્યાખ્યા:
કોઈક વ્યક્તિ કે વસ્તુનો “નકાર કરવા” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને સ્વીકારવાનો ઇનકાર કરવો એવો થાય છે.
- “નકાર કરવો” શબ્દનો અર્થ “માં વિશ્વાસ કરવાનો ઇનકાર કરવો” એવો પણ થઈ શકે.
- ઈશ્વરનો નકાર કરવાનો અર્થ તેમનું આજ્ઞાપાલન કરવાનો ઇનકાર કરવો એવો થાય છે.
- જ્યારે ઇઝરાયલીઓએ મૂસાની આગેવાનીનો નકાર કર્યો ત્યારે, તેનો અર્થ એ થયો કે તેઓ તેના અધિકાર વિરુદ્ધ બળવો કરતા હતા.
તેઓ તેનું આજ્ઞાપાલન કરવા ચાહતા નહોતા.
- જ્યારે ઇઝરાયલીઓએ જૂઠા દેવોની પૂજા કરે ત્યારે તેઓએ પ્રદર્શિત કર્યું કે તેઓ ઈશ્વરનો નકાર કરતા હતા.
- આ શબ્દનો શાબ્દિક અર્થ “ધકેલી કાઢવું” એવો થાય છે.
બીજી ભાષાઓમાં આવી જ અભિવ્યક્તિ હોય શકે કે જેનો અર્થ કોઈક વ્યક્તિ કે વસ્તુનો નકાર કરવો અથવા તો તેના પર વિશ્વાસ કરવાનો ઇનકાર કરવો એવો થતો હોય.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભ અનુસાર, “નકાર કરવો” શબ્દનો અનુવાદ “અસ્વીકાર કરવો” અથવા તો “મદદ કરવાનું બંધ કરવું” અથવા તો “આજ્ઞા પાળવાનો ઇનકાર કરવો” અથવા તો “આજ્ઞાપાલન બંધ કરવું” તરીકે પણ કરી શકાય.
- “બાંધનારાઓએ જે પથ્થરનો નકાર કર્યો” અભિવ્યક્તિમાં, “નકાર કર્યો” શબ્દનો અનુવાદ “ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો” અથવા તો “અસ્વીકાર કર્યો” અથવા તો “ફેંકી દીધો” અથવા તો “નકામો ગણીને દૂર કર્યો” તરીકે કરી શકાય.
- જે લોકોએ ઈશ્વરની આજ્ઞાઓનો નકાર કર્યો તે સંદર્ભમાં, નકાર કર્યોનો અનુવાદ તેમની આજ્ઞાઓ “પાળવાનો ઇનકાર કર્યો” અથવા તો “હઠીલા થઈને ઈશ્વરના નિયમોનો સ્વીકાર ના કરવાનું પસંદ કર્યું” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: આદેશ, આજ્ઞાભંગ, આજ્ઞા પાળવી, અક્કડ ગરદન)
બાઇબલના સંદર્ભો:
- ગલાતી 4:12-14
- હોશિયા 4:6-7
- યશાયા 41:8-9
- યોહાન 12:48-50
- માર્ક 7:8-10
શબ્દ માહિતી:
- Strong's: H947, H959, H2186, H2310, H3988, H5006, H5034, H5186, H5203, H5307, H5541, H5800, G96, G114, G483, G550, G579, G580, G593, G683, G720, G1609, G3868
નફતાલી
તથ્યો:
નફતાલી યાકૂબનો છઠ્ઠો દીકરો હતો.
તેના વંશજોથી નફતાલીનું કુળ બન્યું, કે જે ઇઝરાયલના બાર કુળોમાનું એક હતું.
- જ્યાં તે કુળ રહેતું હતું તે પ્રદેશને દર્શાવવા કેટલીક વાર નફતાલી નામનો ઉપયોગ થતો હતો.
(આ જૂઓ: ઉપલક્ષ્ય અલંકાર
- નફતાલીનો પ્રદેશ ઇઝરાયલમાં ઉત્તર ભાગમાં, દાન તથા આશેરના કુળો પાસે આવેલો હતો. તેની પૂર્વીય સરહદ કિન્નેરોથ સમુદ્રના પશ્ચિમના કિનારા પાસે હતી.
- આ કુળનો ઉલ્લેખ બાઇબલના જૂના તથા નવા કરારમાં કરવામાં આવ્યો છે.
(આ પણ જૂઓ: આશેર, દાન, ઈઝરાએલ, ગાલીલનો સમુદ્ર, ઇસ્રાએલના બાર કુળ)
બાઇબલના સંદર્ભો:
- 1 રાજા 4:15-17
- પુનર્નિયમ 27:13-14
- હઝકિયેલ 48:1-3
- ઉત્પત્તિ 30:7-8
- ન્યાયાધીશો 1:33
- માથ્થી 4:12-13
શબ્દ માહિતી:
નફતાલી
તથ્યો:
નફતાલી યાકૂબનો છઠ્ઠો દીકરો હતો.
તેના વંશજોથી નફતાલીનું કુળ બન્યું, કે જે ઇઝરાયલના બાર કુળોમાનું એક હતું.
- જ્યાં તે કુળ રહેતું હતું તે પ્રદેશને દર્શાવવા કેટલીક વાર નફતાલી નામનો ઉપયોગ થતો હતો.
(આ જૂઓ: ઉપલક્ષ્ય અલંકાર
- નફતાલીનો પ્રદેશ ઇઝરાયલમાં ઉત્તર ભાગમાં, દાન તથા આશેરના કુળો પાસે આવેલો હતો. તેની પૂર્વીય સરહદ કિન્નેરોથ સમુદ્રના પશ્ચિમના કિનારા પાસે હતી.
- આ કુળનો ઉલ્લેખ બાઇબલના જૂના તથા નવા કરારમાં કરવામાં આવ્યો છે.
(આ પણ જૂઓ: આશેર, દાન, ઈઝરાએલ, ગાલીલનો સમુદ્ર, ઇસ્રાએલના બાર કુળ)
બાઇબલના સંદર્ભો:
- 1 રાજા 4:15-17
- પુનર્નિયમ 27:13-14
- હઝકિયેલ 48:1-3
- ઉત્પત્તિ 30:7-8
- ન્યાયાધીશો 1:33
- માથ્થી 4:12-13
શબ્દ માહિતી:
નમ્ર,નમ્ર કરે છે, નમ્ર કરાયેલું, નમ્રતા
વ્યાખ્યા:
નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી.
તે અભિમાની અથવા ઘમંડી નથી.
નમ્ર હોવાનો ગુણ તે નમ્રતા છે.
દેવની આગળ નમ્ર હોવાનો અર્થ, પોતાની નબળાઈ અને અપૂર્ણતા સરખામણીમાં દેવની મહાનતા, શાણપણ, અને સંપૂર્ણતાને સમજવી.
- જયારે વ્યક્તિ પોતાને નમ્ર કરે છે, ત્યારે તે પોતાને નીચેના મહત્વના દરજ્જામાં મૂકે છે.
- નમ્રતા એ પોતાની જરૂરિયાતો કરતાં બીજાની જરૂરિયાતોની વધારે કાળજી રાખે છે.
- નમ્રતાનો અર્થ, જયારે પોતાના વરદાનો અને ક્ષમતાઓને વિનમ્રતાના વલણથી વાપરીને સેવા કરે છે.
- “નમ્ર રહેવું” શબ્દસમૂહનું ભાષાંતર, “ઘમંડી ન રહો” તરીકે કરી શકાય છે.
- “જાતે દેવની આગળ નમ્ર થાઓ,” તેનું ભાષાંતર “દેવની મહાનતાને ઓળખીને, તેની ઈચ્છાને આધિન થાઓ” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: અભિમાની)
બાઈબલની કલમો:
- યાકૂબ 1:19-21
- યાકૂબ 3:13-14
- યાકૂબ 4:8-10
- લૂક 14:10-11
- લૂક 18:13-14
- માથ્થી 18:4-6
- માથ્થી 23:11-12
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 17:2 દાઉદ એ નમ્ર અને ન્યાયી માણસ હતો કે જેણે દેવ પર ભરોસો રાખ્યો અને તેની આજ્ઞા પાળી.
- 34:10 “દેવ દરેક કે જેઓ અભિમાની છે તેઓને નમ્ર કરશે, અને તે જે કોઈ પોતાને નમ્ર કરેછે તેને ઊંચો કરશે.”
શબ્દ માહિતી:
- Strong's: H1792, H3665, H6031, H6035, H6038, H6041, H6800, H6819, H7511, H7807, H7812, H8213, H8214, H8215, H8217, H8467, G858, G4236, G4239, G4240, G5011, G5012, G5013, G5391
નમ્ર,નમ્ર કરે છે, નમ્ર કરાયેલું, નમ્રતા
વ્યાખ્યા:
નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી.
તે અભિમાની અથવા ઘમંડી નથી.
નમ્ર હોવાનો ગુણ તે નમ્રતા છે.
દેવની આગળ નમ્ર હોવાનો અર્થ, પોતાની નબળાઈ અને અપૂર્ણતા સરખામણીમાં દેવની મહાનતા, શાણપણ, અને સંપૂર્ણતાને સમજવી.
- જયારે વ્યક્તિ પોતાને નમ્ર કરે છે, ત્યારે તે પોતાને નીચેના મહત્વના દરજ્જામાં મૂકે છે.
- નમ્રતા એ પોતાની જરૂરિયાતો કરતાં બીજાની જરૂરિયાતોની વધારે કાળજી રાખે છે.
- નમ્રતાનો અર્થ, જયારે પોતાના વરદાનો અને ક્ષમતાઓને વિનમ્રતાના વલણથી વાપરીને સેવા કરે છે.
- “નમ્ર રહેવું” શબ્દસમૂહનું ભાષાંતર, “ઘમંડી ન રહો” તરીકે કરી શકાય છે.
- “જાતે દેવની આગળ નમ્ર થાઓ,” તેનું ભાષાંતર “દેવની મહાનતાને ઓળખીને, તેની ઈચ્છાને આધિન થાઓ” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: અભિમાની)
બાઈબલની કલમો:
- યાકૂબ 1:19-21
- યાકૂબ 3:13-14
- યાકૂબ 4:8-10
- લૂક 14:10-11
- લૂક 18:13-14
- માથ્થી 18:4-6
- માથ્થી 23:11-12
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 17:2 દાઉદ એ નમ્ર અને ન્યાયી માણસ હતો કે જેણે દેવ પર ભરોસો રાખ્યો અને તેની આજ્ઞા પાળી.
- 34:10 “દેવ દરેક કે જેઓ અભિમાની છે તેઓને નમ્ર કરશે, અને તે જે કોઈ પોતાને નમ્ર કરેછે તેને ઊંચો કરશે.”
શબ્દ માહિતી:
- Strong's: H1792, H3665, H6031, H6035, H6038, H6041, H6800, H6819, H7511, H7807, H7812, H8213, H8214, H8215, H8217, H8467, G858, G4236, G4239, G4240, G5011, G5012, G5013, G5391
નર્ક, અગ્નિની ખાઈ
વ્યાખ્યા:
નર્ક એ દુઃખ અને પીડાનું અંતિમ શાશ્વત સ્થળ છે જ્યાં દેવ દરેક કે જેઓ તેની વિરુદ્ધ બળવો કરે છે અને ઈસુના બલિદાન દ્વારા તેઓને બચાવવાની તેની યોજનાને નકારે છે, તેઓને સજા કરશે.
તેને “અગ્નિની ખાઈ” તરીકે પણ દર્શાવવામાં આવી છે.
- નર્કને અગ્નિના સ્થળ અને ગંભીર યાતનાની જગ્યા તરીકે વર્ણવામાં આવ્યું છે.
- શેતાન અને દુષ્ટ આત્માઓ કે જે તેને અનુસરે છે તેઓને અનંતકાળની સજા માટે નર્કમાં નાખવામાં આવશે.
- લોકો કે જેઓ તેઓના પાપ માટેના ઈસુના બલિદાનમાં વિશ્વાસ કરતા નથી અને તે તેઓને બચાવશે તેવો વિશ્વાસ તેનામાં રાખતા નથી, તેઓને નર્કમાં સદાકાળની સજા થશે.
ભાષાંતરના સૂચનો:
- આ શબ્દ અલગ સંદર્ભોમાં જુદી રીતે આવતો હોય છે, તેથી તેનું ભાષાંતર અલગ રીતે થવું જોઈએ.
- કેટલીક ભાષાઓ “અગ્નિની ખાઈ (તળાવ)” શબ્દસમૂહમાં “તળાવ” શબ્દનો ઉપયોગ કરી શકતા કરતા નથી કારણકે તે પાણીને દર્શાવે છે.
- “નર્ક” શબ્દનું ભાષાંતર, “દુઃખનું સ્થળ” અથવા “દુઃખ અને અંધકારનું અંતિમ સ્થળ” તરીકે કરી શકાય છે.
- “અગ્નિની ખાઈ” શબ્દનું ભાષાંતર, “અગ્નિનો સમુદ્ધ” અથવા “(દુઃખનો) વિશાળ અગ્નિ” અથવા “અગ્નિનું ક્ષેત્ર” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: સ્વર્ગ, મરી જવું, હાદેસ, પાતાળ [શેઓલ](../kt/hades.md))
બાઈબલની કલમો:
- યાકૂબ 3:5-6
- લૂક 12:4-5
- માર્ક 9:42-44
- માથ્થી 5:21-22
- માથ્થી 5:29-30
- માથ્થી 10:28-31
- માથ્થી 23:32-33
- માથ્થી 25:41-43
- પ્રકટીકરણ 20:13-15
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 50:14 તે (દેવ) તેઓને નર્ક માં ફેંકી દેશે, જ્યાં તેઓને હંમેશા વેદનામાં રડવું અને દાંત પીસવું થશે.
અગ્નિ કે જે કદી હોલવાશે નહિ પણ સતત તે તેઓને બાળશે, અને કીડાઓ તેઓને ખાવાનું કદી બંધ કરશે નહીં.
- 50:15 તે શેતાનને નર્ક માં નાંખી દેશે, ત્યાં તે તથા તેની સાથે જેઓ દેવને આધીન થવાને બદલે શેતાનને અનુસરવાનું પસંદ કર્યું તેઓ સદાકાળ માટે બળશે.
શબ્દ માહિતી:
- Strong's: H7585, G86, G439, G440, G1067, G3041, G4442, G4443, G4447, G4448, G5020, G5394, G5457
નામ, નામો, નામ પાડ્યું
વ્યાખ્યા:
બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.
- અમુક સંદર્ભોમાં, “નામ” એક વ્યક્તિની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરી શકે છે, જેમ કે “ચાલો આપણે આપણા માટે નામના મેળવીએ”.
- “નામ” શબ્દ કોઈ બાબતની યાદનો ઉલ્લેખ પણ કરી શકે છે.
ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.
- “ઈશ્વરના નામમાં બોલવાનો” અર્થ તેમના સામર્થ્ય અને અધિકારથી બોલવું અથવા તો તેમના પ્રતિનિધિ તરીકે બોલવું એવો થતો હતો.
- કોઈક વ્યક્તિનું “નામ” તેના આખા વ્યક્તિત્વનો ઉલ્લેખ કરી શકે છે, જેમ કે “જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી.” (આ પણ જૂઓ: લક્ષણાલંકાર](rc://gu/ta/man/translate/figs-metonymy)
અનુવાદ માટેના સૂચનો:
- “તેનું સારું નામ” એ અભિવ્યક્તિનો અનુવાદ “તેની સારી પ્રતિષ્ઠા” તરીકે કરી શકાય.
- કોઈ વ્યક્તિના “નામમાં” કશુંક કરવાનો અનુવાદ તે વ્યક્તિના “અધિકારથી” અથવા તો “પરવાનગીથી” અથવા તો “તેના પ્રતિનિધિ તરીકે કરવું” એમ કરી શકાય.
- “આપણા માટે નામના મેળવવી” અભિવ્યક્તિનો અનુવાદ “ઘણાં લોકો આપણા વિષે જાણે તેવું કરવું” અથવા તો “લોકો આપણા માટે વિચારે કે આપણે અગત્યના છીએ તેવું કરવું” તરીકે કરી શકાય.
- “તેનું નામ કહેવાવું” અભિવ્યક્તિનો અનુવાદ “નામ પાડવું” અથવા તો “તેને નામ આપવું” તરીકે કરી શકાય.
- “જેઓ તમારા નામને પ્રેમ કરે છે” અભિવ્યક્તિનો અનુવાદ “જેઓ તમને પ્રેમ કરે છે” તરીકે કરી શકાય.
- “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા” અભિવ્યક્તિનો અનુવાદ “મૂર્તિઓનો નાશ કરવો કે જેથી તેઓને યાદ પણ કરવામાં ન આવે” અથવા તો “લોકોને જૂઠા દેવોની આરાધના કરતા રોકવા” અથવા તો “બધી મૂર્તિઓનો સંપૂર્ણપણે નાશ કરવો કે જેથી લોકો તેઓ વિષે વિચારે પણ નહિ” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: તેડું)
બાઇબલના સંદર્ભો:
- 1 યોહાન 2:12-14
- 2 તિમોથી 2:19-21
- પ્રેરિતોના કૃત્યો 4:5-7
- પ્રેરિતોના કૃત્યો 4:11-12
- પ્રેરિતોના કૃત્યો 9:26-27
- ઉત્પત્તિ 12:1-3
- ઉત્પત્તિ 35:9-10
- માથ્થી 18:4-6
શબ્દ માહિતી:
- Strong's: H5344, H7121, H7761, H8034, H8036, G2564, G3686, G3687, G5122
નામ, નામો, નામ પાડ્યું
વ્યાખ્યા:
બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.
- અમુક સંદર્ભોમાં, “નામ” એક વ્યક્તિની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરી શકે છે, જેમ કે “ચાલો આપણે આપણા માટે નામના મેળવીએ”.
- “નામ” શબ્દ કોઈ બાબતની યાદનો ઉલ્લેખ પણ કરી શકે છે.
ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.
- “ઈશ્વરના નામમાં બોલવાનો” અર્થ તેમના સામર્થ્ય અને અધિકારથી બોલવું અથવા તો તેમના પ્રતિનિધિ તરીકે બોલવું એવો થતો હતો.
- કોઈક વ્યક્તિનું “નામ” તેના આખા વ્યક્તિત્વનો ઉલ્લેખ કરી શકે છે, જેમ કે “જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી.” (આ પણ જૂઓ: લક્ષણાલંકાર](rc://gu/ta/man/translate/figs-metonymy)
અનુવાદ માટેના સૂચનો:
- “તેનું સારું નામ” એ અભિવ્યક્તિનો અનુવાદ “તેની સારી પ્રતિષ્ઠા” તરીકે કરી શકાય.
- કોઈ વ્યક્તિના “નામમાં” કશુંક કરવાનો અનુવાદ તે વ્યક્તિના “અધિકારથી” અથવા તો “પરવાનગીથી” અથવા તો “તેના પ્રતિનિધિ તરીકે કરવું” એમ કરી શકાય.
- “આપણા માટે નામના મેળવવી” અભિવ્યક્તિનો અનુવાદ “ઘણાં લોકો આપણા વિષે જાણે તેવું કરવું” અથવા તો “લોકો આપણા માટે વિચારે કે આપણે અગત્યના છીએ તેવું કરવું” તરીકે કરી શકાય.
- “તેનું નામ કહેવાવું” અભિવ્યક્તિનો અનુવાદ “નામ પાડવું” અથવા તો “તેને નામ આપવું” તરીકે કરી શકાય.
- “જેઓ તમારા નામને પ્રેમ કરે છે” અભિવ્યક્તિનો અનુવાદ “જેઓ તમને પ્રેમ કરે છે” તરીકે કરી શકાય.
- “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા” અભિવ્યક્તિનો અનુવાદ “મૂર્તિઓનો નાશ કરવો કે જેથી તેઓને યાદ પણ કરવામાં ન આવે” અથવા તો “લોકોને જૂઠા દેવોની આરાધના કરતા રોકવા” અથવા તો “બધી મૂર્તિઓનો સંપૂર્ણપણે નાશ કરવો કે જેથી લોકો તેઓ વિષે વિચારે પણ નહિ” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: તેડું)
બાઇબલના સંદર્ભો:
- 1 યોહાન 2:12-14
- 2 તિમોથી 2:19-21
- પ્રેરિતોના કૃત્યો 4:5-7
- પ્રેરિતોના કૃત્યો 4:11-12
- પ્રેરિતોના કૃત્યો 9:26-27
- ઉત્પત્તિ 12:1-3
- ઉત્પત્તિ 35:9-10
- માથ્થી 18:4-6
શબ્દ માહિતી:
- Strong's: H5344, H7121, H7761, H8034, H8036, G2564, G3686, G3687, G5122
નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું
વ્યાખ્યા:
કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.
- “વિનાશક” શબ્દનો વાસ્તવિક અર્થ, “વ્યક્તિ કે જે નાશ કરે છે.”
- મોટેભાગે આ શબ્દ જૂના કરારમાં કોઇપણ કે જે બીજા લોકોનો નાશ કરે, જેમકે કોઈ લશ્કર આક્રમણથી નાશ કરે, તેના સામાન્ય ઉલ્લેખ માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે.
- જયારે દેવે મિસરના પ્રથમ જનિત પુરુષોને મારવા માટે દૂતને મોકલ્યો, ત્યારે તે દૂતને “પ્રથમ જનિતના વિનાશક” તરીકે દર્શાવવામાં આવ્યો હતો.
તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.
- પ્રકટીકરણના પુસ્તકમાં અંતના સમયો વિશે, શેતાન અથવા અન્ય બીજા દુષ્ટ આત્માઓને “વિનાશક” કહેવામાં આવ્યા છે.
તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.
(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)
બાઈબલની કલમો:
- નિર્ગમન 12:23
- હિબ્રૂ 11:27-28
- યર્મિયા 6:25-26
- ન્યાયાધીશો 16:23-24
શબ્દ માહિતી:
- Strong's: H6, H7, H622, H398, H1104, H1197, H1820, H1942, H2000, H2015, H2026, H2040, H2254, H2255, H2717, H2718, H2763, H2764, H3238, H3341, H3381, H3423, H3582, H3615, H3617, H3772, H3807, H4191, H4199, H4229, H4591, H4889, H5218, H5221, H5307, H5362, H5420, H5422, H5428, H5595, H5642, H6789, H6979, H7665, H7667, H7703, H7722, H7760, H7843, H7921, H8045, H8074, H8077, H8316, H8552, G355, G396, G622, G853, G1311, G1842, G2049, G2506, G2507, G2647, G2673, G2704, G3089, G3645, G4199, G5351, G5356
નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું
વ્યાખ્યા:
કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.
- “વિનાશક” શબ્દનો વાસ્તવિક અર્થ, “વ્યક્તિ કે જે નાશ કરે છે.”
- મોટેભાગે આ શબ્દ જૂના કરારમાં કોઇપણ કે જે બીજા લોકોનો નાશ કરે, જેમકે કોઈ લશ્કર આક્રમણથી નાશ કરે, તેના સામાન્ય ઉલ્લેખ માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે.
- જયારે દેવે મિસરના પ્રથમ જનિત પુરુષોને મારવા માટે દૂતને મોકલ્યો, ત્યારે તે દૂતને “પ્રથમ જનિતના વિનાશક” તરીકે દર્શાવવામાં આવ્યો હતો.
તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.
- પ્રકટીકરણના પુસ્તકમાં અંતના સમયો વિશે, શેતાન અથવા અન્ય બીજા દુષ્ટ આત્માઓને “વિનાશક” કહેવામાં આવ્યા છે.
તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.
(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)
બાઈબલની કલમો:
- નિર્ગમન 12:23
- હિબ્રૂ 11:27-28
- યર્મિયા 6:25-26
- ન્યાયાધીશો 16:23-24
શબ્દ માહિતી:
- Strong's: H6, H7, H622, H398, H1104, H1197, H1820, H1942, H2000, H2015, H2026, H2040, H2254, H2255, H2717, H2718, H2763, H2764, H3238, H3341, H3381, H3423, H3582, H3615, H3617, H3772, H3807, H4191, H4199, H4229, H4591, H4889, H5218, H5221, H5307, H5362, H5420, H5422, H5428, H5595, H5642, H6789, H6979, H7665, H7667, H7703, H7722, H7760, H7843, H7921, H8045, H8074, H8077, H8316, H8552, G355, G396, G622, G853, G1311, G1842, G2049, G2506, G2507, G2647, G2673, G2704, G3089, G3645, G4199, G5351, G5356
નાસરેથ, નાઝારી
તથ્યો:
નાસરેથ ઉત્તર ઇઝરાયલમાં ગાલીલ પ્રાંતમાં આવેલું એક નગર છે.
તે યરુશાલેમથી લગભગ 100 કિલોમીટર ઉત્તરે છે અને પગે ચાલતા લગભગ ત્રણથી પાંચ દિવસ લાગતા હતા.
- યૂસફ અને મરિયમ નાસરેથના વતની હતા અને ત્યાં જ તેમણે ઈસુનો ઉછેર કર્યો હતો.
તેથી જ ઈસુ “નાઝારી” તરીકે ઓળખાતા હતા.
- નાસરેથમાં રહેતા ઘણાં યહૂદીઓએ ઈસુના શિક્ષણને માન આપ્યું નહિ, કારણકે તેમનો ઉછેર તેઓ વચ્ચે થયો હતો અને તેઓએ વિચાર્યું કે તેઓ એક સામાન્ય માણસ હતા.
- એક વાર, જ્યારે ઈસુ નાસરેથના સભાસ્થાનમાં શીખવતા હતા ત્યારે, ત્યાંના યહૂદીઓએ તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો કારણકે તેઓએ મસીહ હોવાનો દાવો કર્યો હતો અને તેમનો નકાર કરવા બદલ તેઓને ઠપકો આપ્યો હતો.
- જ્યારે નથાનિયેલે સાંભળ્યું કે ઈસુ નાસરેથના હતા ત્યારે તેણે જે ટીપણી કરી તે દર્શાવે છે કે આ શહેર ખાસ જાણીતું ન હતું.
(આ પણ જૂઓ: ખ્રિસ્ત, ગાલીલ, [યૂસફ, યૂસફ (નવાકરાર))
બાઇબલના સંદર્ભો:
- મરિયમ
- યોહાન 1:43-45
- લૂક 1:26-29
- માર્ક 16:5-7
- માથ્થી 2:22-23
- માથ્થી 21:9-11
- માથ્થી 26:71-72
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 23:4 યૂસફ અને મરિયમે જ્યાં તેઓ રહેતા હતા ત્યાં નાસરેથથી બેથલેહેમ જવા લાંબી મુસાફરી કરવી પડી કારણકે તેઓનો પૂર્વજ દાઉદ હતો કે જેનું વતન બેથલેહેમ હતું.
- 26:2 ઈસુ નાસરેથ નગરમાં ગયા કે જ્યાં તેઓનું બાળપણ વીત્યું હતું.
- 26:7 નાસરેથના લોકો ઈસુને આરાધનાના સ્થળેથી બહાર ખેંચી ગયા અને તેમને મારી નાખવા ડુંગરની ધાર પરથી ધકેલી દેવા પર લઈ ગયા.
શબ્દ માહિતી:
- Strong's: G3478, G3479, G3480
નાહૂમ
તથ્યો:
નાહૂમ એક પ્રબોધક હતો કે જેણે જ્યારે મનાશ્શા રાજા યહૂદિયા પર રાજ કરતો હતો ત્યારે પ્રબોધ કર્યો.
- નાહૂમ એલ્કોશ નગરનો રહેવાસી હતો કે જે યરુશાલેમથી લગભગ 20 માઈલ દૂર હતું.
- જૂના કરારનું નાહૂમનું પુસ્તક આશૂર સામ્રાજ્યના નિનવે શહેરના નાશ વિષે તેના ભવિષ્યવચનો નોંધે છે.
(આ પણ જૂઓ:: આશ્શૂર, મનાશ્શા, પ્રબોધક, નિનવે)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
નિંદા, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરનાર, નિંદા કરી રહ્યા છે, નિંદાત્મક
વ્યાખ્યા:
નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે.
કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી.
જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.
- નિંદાએ ખરો અહેવાલ હોય અથવા ખોટો આરોપ હોય, પરંતુ તેની અસર બીજી વ્યક્તિમાં જેની નિંદા કરવામાં આવી છે તેને વિષે નકારત્મક વિચાર લાવે છે.
- “નિંદા કરવી” નું અનુવાદ “ની વિરુદ્ધ બોલવું” અથવા “દુષ્ટ અહેવાલ ફેલાવવો” અથવા “બદનામ” એમ કરી શકાય.
- નિંદા કરનારને “બાતમીદાર” અથવા “ભાષણ વાહક” પણ કહેવાય.
(આ પણ જુઓ: ઈશ્વર નિંદા)
બાઈબલના સંદર્ભો:
- 1 કરિંથીઓ 4:12-13
- 1 તિમોથી 3:11-13
- 2 કરિંથીઓ 6:8-10
- માર્ક 7:20-23
શબ્દ માહિતી:
- Strong's: H1681, H1696, H1848, H3960, H5006, H5791, H7270, H7400, H8267, G987, G988, G1228, G1426, G2636, G2637, G3059, G3060, G6022
નિનવે, નિનવેવાદી
તથ્યો:
નિનવે આશ્શૂરની રાજધાનીનું શહેર હતું.
“નિનવેવાદી” એક વ્યક્તિ હતી કે જે નિનવેમાં રહેતી હતી.
- ઈશ્વરે યૂના પ્રબોધકને નિનવેવાદીઓને તેમનાં દુષ્ટ માર્ગોથી પાછા ફરવા ચેતવણી આપવા મોકલ્યો.
લોકોએ પશ્ચાતાપ કર્યો અને ઈશ્વરે તેમનો નાશ કર્યો નહિ.
- આશ્શૂરના લોકોએ બાદમાં ઈશ્વરની સેવા કરવાનું બંધ કર્યું.
તેઓએ ઇઝરાયલના રાજ્યને જીતી લીધું અને લોકોને નિનવેમાં લઈ ગયા.
(આ પણ જૂઓ: આશ્શૂર, યૂના, પશ્ચાતાપ કરવો, વળાંક)
બાઇબલના સંદર્ભો:
- ઉત્પત્તિ 10:11-14
- યૂના 1:1-3
- યૂના 3:1-3
- લૂક 11:32
- માથ્થી 12:41
શબ્દ માહિતી:
- Strong's: H5210, G3535, G3536
નિમ્ન, નીચુ, નિમ્નતા
વ્યાખ્યા:
"નિમ્ન" અને "નિમ્નતા" શબ્દો ગરીબ અથવા નીચી સ્થિતિ હોવાનો ઉલ્લેખ કરે છે.
નિમ્ન હોવાનો અર્થ નમ્ર હોવાનો અર્થ પણ હોઈ શકે છે.
- ઈસુએ મનુષ્ય બનવાના અને બીજાઓની સેવા કરવાના નિમ્ન પદ સુધી પોતાને નમ્ર કર્યા.
- તેમનો જન્મ નિમ્ન હતો કારણ કે તેમનો જન્મ મહેલમાં નહીં પણ જ્યાં પ્રાણીઓને રાખવામાં આવ્યા હતા એવા સ્થળે થયો હતો.
- નમ્ર વલણ ગર્વનું વિરોધી વલણ છે.
- "નિમ્ન"નું ભાષાંતર કરવાની રીતમાં "નમ્ર" અથવા "નીચા દરજ્જાનું" અથવા "બિનમહત્વપૂર્ણ" શામેલ હોઈ શકે છે.
- "નિમ્નતા" શબ્દનો અનુવાદ "વિનમ્રતા" અથવા "ઓછું મહત્વ" પણ થઈ શકે છે.
(આ પણ જુઓ: નમ્ર, અભિમાની)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 20:17-21
- હઝકિયેલ 17:13-14
- લુક 1:48-49
- રોમન 12:14-16
શબ્દ માહિતી:
- Strong's: H6041, H6819, H8217, G5011, G5012, G5014
નિર્દોષ
વ્યાખ્યા:
“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો.
વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.
- જો કોઈ વ્યક્તિએ કંઈ ખોટું કર્યું નથી તો તે આરોપી નિર્દોષ છે.
- ક્યારેક “નિર્દોષ” શબ્દ, લોકો કે જેઓની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે, અને તેને લાયક તે વ્યક્તિઓએ કંઈજ ખોટું કર્યું નથી, જેવા કે દુશ્મનનું લશ્કર કે જેઓ “નિર્દોષ લોકો” ઉપર હુમલો કરે છે.
ભાષાંતરના સૂચનો:
- મોટાભાગના સંદર્ભોમાં, “નિર્દોષ” શબ્દનું ભાષાંતર, “દોષિત નથી” અથવા “જવાબદાર નથી” અથવા કોઈ બાબત માટે જેના પર “આરોપ નથી” તરીકે કરી શકાય છે.
- જયારે નિર્દોષ લોકોનો સામાન્ય ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર, “જેઓએ કંઈજ ખોટું કર્યું નથી” અથવા “જેઓ દુષ્ટ કરવામાં સામેલ નથી” તરીકે કરી શકાય છે.
- વારંવાર આવતી અભિવ્યક્તિ “નિર્દોષ લોહી” શબ્દનું ભાષાંતર, “લોકો કે જેઓએ મરવા લાયક કંઈ ખોટું કર્યું નથી” તરીકે કરી શકાય છે.
- “નિર્દોષ લોહી રેડવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “નિર્દોષ લોકોને મારી નાખવું” અથવા “એવા લોકોને મારી નાખવા કે જેઓએ મરવા લાયક કંઇપણ કર્યું નથી” તરીકે કરી શકાય છે.
- કોઈને મારી નાખ્યાના સંદર્ભમાં, “(તે)ના લોહીમાં નિર્દોષ” શબ્દોનું ભાષાંતર, “મરણ માટે દોષિત નથી” તરીકે કરી શકાય છે.
- જયારે લોકો ઈસુ વિશેની સુવાર્તા સાંભળે છે પણ તેને સ્વીકારતા નથી તેવા લોકો વિશે વાત કરવામાં આવે છે ત્યારે “(તે)ના લોહી વિશે નિર્દોષ” તે (શબ્દસમૂહ)નું ભાષાંતર, “તેઓ આત્મિક મૃત અવસ્થા છે કે નહિ તે માટે (હું/અમે) જવાબદાર નથી” અથવા “આ સંદેશને તેઓ સ્વીકારે કે નહિ તે માટે (હું/અમે) જવાબદાર નથી” તરીકે કરી શકાય છે.
- જયારે યહૂદાએ કહ્યું, “મેં નિર્દોષ લોહીનો વિશ્વાસઘાત કર્યો છે,” ત્યારે તે કહેતો હતો કે, “મેં એક માણસ જેણે કંઈ ખોટું કર્યું નથી તેનો વિશ્વાસઘાત કર્યો છે” અથવા “હું માણસ કે જે પાપરહિત હતો તેના મરણનું કારણ થયો છું.”
- જયારે પિલાતે ઈસુ વિશે કહ્યું “હું આ નિર્દોષના લોહી વિશે નિર્દોષ છું,” તેનું ભાષાંતર, “આ માણસના મરણ માટે હું જવાબદાર નથી કે જેણે તેને લાયક કંઈ ખોટું કર્યું નથી.”
(આ પણ જુઓ: અપરાધ)
બાઈબલની કલમો:
- 1 કરિંથી 4:3-4
- 1 શમુએલ 19:4-5
- પ્રેરિતો 20:25-27
- નિર્ગમન 23:6-9
- યર્મિયા 22:17-19
- અયૂબ 9:21-24
- રોમન 16:17-18
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 8:6 બે વર્ષ પછી, તે નિર્દોષ હોવા છતાં પણ, હજુ યૂસફ જેલમાં હતો.
- 40:4 તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પણ બીજાએ કહ્યું, “શું તને દેવનો ભય નથી? આપણે દોષિત છીએ, પરંતુ આ માણસ નિર્દોષ છે.”
- 40:8 જયારે સિપાઈ ઈસુની ચોકી કરતા હતો ત્યારે જે બધું થયું તે જોયું, તેણે કહ્યું, “ખરેખર, આ માણસ નિર્દોષ હતો.
તે દેવનો દીકરો હતો”.
શબ્દ માહિતી:
- Strong's: H2136, H2600, H2643, H5352, H5355, H5356, G121
નિર્દોષ
વ્યાખ્યા:
“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો.
વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.
- જો કોઈ વ્યક્તિએ કંઈ ખોટું કર્યું નથી તો તે આરોપી નિર્દોષ છે.
- ક્યારેક “નિર્દોષ” શબ્દ, લોકો કે જેઓની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવે, અને તેને લાયક તે વ્યક્તિઓએ કંઈજ ખોટું કર્યું નથી, જેવા કે દુશ્મનનું લશ્કર કે જેઓ “નિર્દોષ લોકો” ઉપર હુમલો કરે છે.
ભાષાંતરના સૂચનો:
- મોટાભાગના સંદર્ભોમાં, “નિર્દોષ” શબ્દનું ભાષાંતર, “દોષિત નથી” અથવા “જવાબદાર નથી” અથવા કોઈ બાબત માટે જેના પર “આરોપ નથી” તરીકે કરી શકાય છે.
- જયારે નિર્દોષ લોકોનો સામાન્ય ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર, “જેઓએ કંઈજ ખોટું કર્યું નથી” અથવા “જેઓ દુષ્ટ કરવામાં સામેલ નથી” તરીકે કરી શકાય છે.
- વારંવાર આવતી અભિવ્યક્તિ “નિર્દોષ લોહી” શબ્દનું ભાષાંતર, “લોકો કે જેઓએ મરવા લાયક કંઈ ખોટું કર્યું નથી” તરીકે કરી શકાય છે.
- “નિર્દોષ લોહી રેડવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “નિર્દોષ લોકોને મારી નાખવું” અથવા “એવા લોકોને મારી નાખવા કે જેઓએ મરવા લાયક કંઇપણ કર્યું નથી” તરીકે કરી શકાય છે.
- કોઈને મારી નાખ્યાના સંદર્ભમાં, “(તે)ના લોહીમાં નિર્દોષ” શબ્દોનું ભાષાંતર, “મરણ માટે દોષિત નથી” તરીકે કરી શકાય છે.
- જયારે લોકો ઈસુ વિશેની સુવાર્તા સાંભળે છે પણ તેને સ્વીકારતા નથી તેવા લોકો વિશે વાત કરવામાં આવે છે ત્યારે “(તે)ના લોહી વિશે નિર્દોષ” તે (શબ્દસમૂહ)નું ભાષાંતર, “તેઓ આત્મિક મૃત અવસ્થા છે કે નહિ તે માટે (હું/અમે) જવાબદાર નથી” અથવા “આ સંદેશને તેઓ સ્વીકારે કે નહિ તે માટે (હું/અમે) જવાબદાર નથી” તરીકે કરી શકાય છે.
- જયારે યહૂદાએ કહ્યું, “મેં નિર્દોષ લોહીનો વિશ્વાસઘાત કર્યો છે,” ત્યારે તે કહેતો હતો કે, “મેં એક માણસ જેણે કંઈ ખોટું કર્યું નથી તેનો વિશ્વાસઘાત કર્યો છે” અથવા “હું માણસ કે જે પાપરહિત હતો તેના મરણનું કારણ થયો છું.”
- જયારે પિલાતે ઈસુ વિશે કહ્યું “હું આ નિર્દોષના લોહી વિશે નિર્દોષ છું,” તેનું ભાષાંતર, “આ માણસના મરણ માટે હું જવાબદાર નથી કે જેણે તેને લાયક કંઈ ખોટું કર્યું નથી.”
(આ પણ જુઓ: અપરાધ)
બાઈબલની કલમો:
- 1 કરિંથી 4:3-4
- 1 શમુએલ 19:4-5
- પ્રેરિતો 20:25-27
- નિર્ગમન 23:6-9
- યર્મિયા 22:17-19
- અયૂબ 9:21-24
- રોમન 16:17-18
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 8:6 બે વર્ષ પછી, તે નિર્દોષ હોવા છતાં પણ, હજુ યૂસફ જેલમાં હતો.
- 40:4 તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પણ બીજાએ કહ્યું, “શું તને દેવનો ભય નથી? આપણે દોષિત છીએ, પરંતુ આ માણસ નિર્દોષ છે.”
- 40:8 જયારે સિપાઈ ઈસુની ચોકી કરતા હતો ત્યારે જે બધું થયું તે જોયું, તેણે કહ્યું, “ખરેખર, આ માણસ નિર્દોષ હતો.
તે દેવનો દીકરો હતો”.
શબ્દ માહિતી:
- Strong's: H2136, H2600, H2643, H5352, H5355, H5356, G121
નિર્દોષ
વ્યાખ્યા:
“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે.
તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.
- ઈબ્રાહિમ અને નૂહ દેવની આગળ પાપરહિત માનવામાં આવ્યા હતા.
- જેની પ્રતિષ્ઠા “નિર્દોષ” વ્યક્તિ તરીકે હોય તે વ્યક્તિ એવી રીતે વર્તે છે કે જેથી દેવને માન મળે.
- એક કલમ પ્રમાણે, નિર્દોષ તે વ્યક્તિ છે “જે દેવનો ભય રાખે અને દુષ્ટતાથી દૂર રહે છે.”
ભાષાંતરના સૂચનો
તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”
બાઈબલની કલમો:
- 1 થેસ્સલોનિકીઓ 2:10-12
- 1 થેસ્સલોનિકીઓ 3:11-13
- 2 પિતર 3:14-16
- કલોસ્સીઓ 1:21-23
- ઉત્પત્તિ 17:1-2
- ફિલિપ્પીઓ 2:14-16
- ફિલિપ્પીઓ 3:6-7
શબ્દ માહિતી:
- Strong's: H5352, H5355, G273, G274, G298, G338, G410, G423
નિર્દોષ
વ્યાખ્યા:
“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે.
તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.
- ઈબ્રાહિમ અને નૂહ દેવની આગળ પાપરહિત માનવામાં આવ્યા હતા.
- જેની પ્રતિષ્ઠા “નિર્દોષ” વ્યક્તિ તરીકે હોય તે વ્યક્તિ એવી રીતે વર્તે છે કે જેથી દેવને માન મળે.
- એક કલમ પ્રમાણે, નિર્દોષ તે વ્યક્તિ છે “જે દેવનો ભય રાખે અને દુષ્ટતાથી દૂર રહે છે.”
ભાષાંતરના સૂચનો
તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”
બાઈબલની કલમો:
- 1 થેસ્સલોનિકીઓ 2:10-12
- 1 થેસ્સલોનિકીઓ 3:11-13
- 2 પિતર 3:14-16
- કલોસ્સીઓ 1:21-23
- ઉત્પત્તિ 17:1-2
- ફિલિપ્પીઓ 2:14-16
- ફિલિપ્પીઓ 3:6-7
શબ્દ માહિતી:
- Strong's: H5352, H5355, G273, G274, G298, G338, G410, G423
નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું
વ્યાખ્યા:
“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.
- બાઈબલમાં આ શબ્દનો ઉપયોગ અમુકવાર જ્યારે કોઈ પાપીને માફી આપવામાં આવે છે ત્યારે કરવામાં આવ્યો છે.
- મોટા ભાગના સંદર્ભમાં બાઈબલ આ શબ્દનો ઉપયોગ જયારે ભૂંડા અથવા ઈશ્વરની વિરુદ્ધ બળવાખોર વ્યક્તિને નિર્દોષ જાહેર કરવામાં આવે છે ત્યારે વાપરવામાં કરવામાં આવ્યો છે.
- આ શબ્દ “નિર્દોષ જાહેર કરવું” અથવા “ન્યાય થયેલ પણ નિર્દોષ જાહેર કરાયેલ” થઇ શકે છે.
(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)
બાઈબલની કલમો:
- પુર્નનિયમ 25:1-2
- નિર્ગમન 21:28-30
- નિર્ગમન 23:6-9
- યશાયા 5:22-23
- અયૂબ 10:12-14
શબ્દ માહિતી:
- Strong's: H3444, H5352, H5355, H6403, H6663
નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું
વ્યાખ્યા:
“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.
- બાઈબલમાં આ શબ્દનો ઉપયોગ અમુકવાર જ્યારે કોઈ પાપીને માફી આપવામાં આવે છે ત્યારે કરવામાં આવ્યો છે.
- મોટા ભાગના સંદર્ભમાં બાઈબલ આ શબ્દનો ઉપયોગ જયારે ભૂંડા અથવા ઈશ્વરની વિરુદ્ધ બળવાખોર વ્યક્તિને નિર્દોષ જાહેર કરવામાં આવે છે ત્યારે વાપરવામાં કરવામાં આવ્યો છે.
- આ શબ્દ “નિર્દોષ જાહેર કરવું” અથવા “ન્યાય થયેલ પણ નિર્દોષ જાહેર કરાયેલ” થઇ શકે છે.
(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)
બાઈબલની કલમો:
- પુર્નનિયમ 25:1-2
- નિર્ગમન 21:28-30
- નિર્ગમન 23:6-9
- યશાયા 5:22-23
- અયૂબ 10:12-14
શબ્દ માહિતી:
- Strong's: H3444, H5352, H5355, H6403, H6663
નૂહ
તથ્યો:
નૂહ એક માણસ હતો કે જે 4000 વર્ષ અગાઉ થઈ ગયો. આ તે સમય હતો કે જ્યારે ઈશ્વરે જગતના બધા જ દુષ્ટ લોકોનો સંહાર કરવા વિશ્વવ્યાપી પૂર મોકલ્યું હતું.
ઈશ્વરે નૂહને એક વિશાળકાય વહાણ બાંધવા કહ્યું કે જ્યારે પૂર આખી પૃથ્વીને ઘેરી વળે ત્યારે તે અને તેનું કુટુંબ તેમાં રહી શકે.
- નૂહ એક ન્યાયી માણસ હતો કે જેણે દરેક બાબતમાં ઈશ્વરની આજ્ઞા માની.
- જ્યારે ઈશ્વરે નૂહને એક વિશાળકાય વહાણ બાંધવા કહ્યું ત્યારે, ઈશ્વરે જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે નૂહે તે બાંધ્યું.
- વહાણમાં, નૂહ અને તેના કુટુંબને સલામત રાખવામાં આવ્યું અને બાદમાં તેઓના બાળકો અને બાળકોના બાળકોએ પૃથ્વીને ફરી લોકોથી ભરપૂર કરી.
- પૂર બાદ જન્મેલી દરેક વ્યક્તિ નૂહની વંશજ છે.
(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, વહાણ)
બાઇબલના સંદર્ભો:
- ઉત્પત્તિ 5:30-31
- ઉત્પત્તિ 5:32
- ઉત્પત્તિ 6:7-8
- ઉત્પત્તિ 8:1-3
- હિબ્રૂ 11:7
- માથ્થી 24:37-39
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 3:2 પણ નૂહ ઈશ્વરની નજરમાં કૃપા પામ્યો.
- 3:4 નૂહે ઈશ્વરની આજ્ઞા પાળી.
ઈશ્વરે તેઓને જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે તેણે તથા તેના દીકરાઓએ વહાણ બાંધ્યું.
- 3:13 બે મહિના પછી ઈશ્વરે નૂહને કહ્યું, “તું તથા તારું કુટુંબ અને બધા જ પ્રાણીઓ વહાણમાંથી બહાર નીકળી શકો છો.”
ઘણાં બાળકો અને બાળકોના બાળકો પેદા કરો અને પૃથ્વીને ભરપૂર કરો.
તેથી નૂહ અને તેનું કુટુંબ વહાણમાંથી બહાર આવ્યા.
શબ્દ માહિતી:
નેગેબ
તથ્યો:
નેગેબ દક્ષિણ ઇઝરાયલમાં એક અરણ્ય પ્રદેશ છે કે જે ખારા સમુદ્રની દક્ષિણ પશ્ચિમે છે.
- મૂળ શબ્દનો અર્થ “દક્ષિણ” થાય છે અને ઘણાં અંગ્રેજી અનુવાદો તે રીતે તેનો અનુવાદ કરે છે.
- એ શક્ય છે કે આજે જ્યાં નેગેબનું અરણ્ય આવેલું છે ત્યાં તે “દક્ષિણ” સ્થિત ન હોય.
- જ્યારે ઇબ્રાહિમ કાદેશ શહેરમાં વસતો હતો ત્યારે, તે નેબેગ અથવા તો દક્ષિણી પ્રાંતમાં હતો.
- જ્યારે રીબકાએ ઇસાહકને મળવા યાત્રા કરી અને તેની પત્ની બની ત્યારે તે નેગેબમાં રહેતો હતો.
- યહૂદા અને શિમઓનના યહૂદી કુળો દક્ષિણી પ્રાંતમાં રહેતા હતા.
- બેરશીબા નેગેબ પ્રાંતનું સૌથી મોટું શહેર હતું.
(આ પણ જૂઓ: ઈબ્રાહિમ, બેરશેબા, ઈઝરાએલ, યહૂદા, કાદેશ, ખારો સમુદ્ર, શિમયોન)
બાઇબલના સંદર્ભો:
- ઉત્પત્તિ 12:8-9
- ઉત્પત્તિ 20:1-3
- ઉત્પત્તિ 24:61-62
- યહોશુઆ 3:14-16
- ગણના 13:17-20
શબ્દ માહિતી:
ન્યાયસભા, ન્યાયસભાઓ
વ્યાખ્યા:
ન્યાયસભા એ લોકોનું જૂથ છે કે, જેઓ ચર્ચા કરવા, સલાહ આપવા, અને અગત્યની બાબતો વિશે નિર્ણયો લેવા ભેગા મળે છે.
- સામાન્ય રીતે ન્યાયસભા સત્તાવાર અને કંઈક ચોક્કસ હેતુ સાથે કાયમી ધોરણે આયોજિત કરેલી હોય છે, જેમકે કાનૂની બાબતો વિશે નિર્ણયો કરવા માટે મળતા હોય છે.
- યરૂશાલેમમાંની યહૂદી ન્યાયસભા, “સાન્હેદ્રીન” તરીકે પણ જાણીતી હતી, જેમાં 70 સભ્યો હતા, યહૂદી આગેવાનો જેવા કે મુખ્ય યાજકો, વડીલો, લેખકો, ફરોશીઓ અને સાદુકીઓ કે જેઓ યહૂદી કાયદાની બાબતોને નક્કી કરવા નિયમિત મળતા હતા.
તે આ ન્યાયસભાના ધાર્મિક આગેવાનો હતા કે, જેઓએ ઈસુ પર મુકદ્દમો ચલાવ્યો, અને તેને મારી નાખવો જોઈએ તેવું નક્કી કર્યું.
- ત્યાંના બીજા શહેરોમાં પણ નાની યહૂદી ન્યાયસભાઓ હતી.
- સુવાર્તાના શિક્ષણ માટે જયારે પાઉલ પ્રેરીતની ધરપકડ કરવામાં આવી, ત્યારે તેને રોમન ન્યાયસભાની આગળ લાવવામાં આવ્યો હતો.
- સંદર્ભ પર આધાર રાખીને, “ન્યાયસભા” શબ્દનું ભાષાંતર, “કાનૂની સભા” અથવા “રાજકીય સભા” તરીકે પણ કરી શકાય છે.
- “ન્યાયસભામાં” હોવું તેનો અર્થ કઈંક નક્કી કરવા ખાસ સભામાં હોવું.
- નોંધ કરો કે આ શબ્દ, “સલાહ” શબ્દ કરતાં અલગ છે, જેનો અર્થ, ”જ્ઞાની સલાહ” થાય છે.
(આ પણ જુઓ: સભા, સલાહ, ફરોશી, નિયમ/કાયદો/કાનૂન, યાજક, સદૂકી, શાસ્ત્રી)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 7:57-58
- પ્રેરિતો 24:20-21
- યોહાન 3:1-2
- લૂક 22:66-68
- માર્ક 13:9-10
- માથ્થી 5:21-22
- માથ્થી 26:59-61
શબ્દ માહિતી:
- Strong's: H4186, H5475, H7277, G1010, G4824, G4892
ન્યાયાધીશ, ન્યાયાધીશો, ન્યાય, ચુકાદાઓ
વ્યાખ્યા:
મોટેભાગે “ન્યાયાધીશ” અથવા “ન્યાય” શબ્દો, કંઈક નૈતિક રીતે સાચું કે ખોટું છે તે વિશે નિર્ણય કરવો તેને દર્શાવે છે.
- મોટેભાગે “દેવનો ન્યાય” કોઈ બાબત અથવા કોઈને પાપી તરીકે દંડ કરવાના તેના નિર્ણયને દર્શાવે છે.
- સામાન્ય રીતે દેવનો ન્યાય લોકોને તેઓના પાપ માટે સજા કરવાનો સમાવેશ કરે છે.
- “ન્યાય” શબ્દનો અર્થ, “દંડ” પણ થઈ શકે છે.
દેવ તેના લોકોને સૂચન કરે છે કે આ રીતે એક બીજાનો ન્યાય ન કરો.
- જયારે જે વ્યક્તિ વચ્ચે તકરાર હોય ત્યારે તેનો બીજો અર્થ, “બે વ્યક્તિ વચ્ચે વહેંચણી કરવી” અથવા “બે વ્યક્તિ વચ્ચે ન્યાય કરવો” એમ થાય છે.
- કેટલાક સંદર્ભોમાં, દેવના “ચુકાદાઓ” તેણે જે નક્કી કર્યા છે તે સાચા અને ન્યાયી હોય છે.
તેઓ તેના આદેશો, નિયમો, અથવા આજ્ઞાઓ સમાન છે.
- “ન્યાય” ને સમજદાર નિર્ણય કરનારની ક્ષમતાને દર્શાવે છે.
વ્યક્તિ કે જેનામાં “ન્યાય” કરવાનો અભાવ હોય છે તેની પાસે સમજદાર નિર્ણયો કરવાનું જ્ઞાન હોતું નથી.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને, “ન્યાય કરવો” (શબ્દોના) ભાષાંતરમાં, “નિર્ણય કરવો” અથવા “દંડ કરવો” અથવા “સજા કરવી” અથવા “આદેશ આપવો” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
- “ન્યાય” શબ્દનું ભાષાંતર, “સજા” અથવા “નિર્ણય” અથવા “ચુકાદો” અથવા “આદેશ” અથવા “દંડાજ્ઞા” તરીકે કરી શકાય છે.
- કેટલાક સંદર્ભોમાં, “ન્યાયમાં” શબ્દસમૂહનું ભાષાંતર, “ન્યાયના દિવસે” અથવા “એ સમય દરમ્યાન કે જયારે દેવ લોકોનો ન્યાય કરશે” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: વિધિ (હુકમ), ન્યાયાધીશ, ન્યાયનો દિવસ, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન)
બાઈબલની કલમો:
- 1 યોહાન 4:17-18
- 1 રાજા 3:7-9
- પ્રેરિતો 10:42-43
- યશાયા 3:13-15
- યાકૂબ 2:1-4
- લૂક 6:37
- મીખાહ 3:9-11
- ગીતશાસ્ત્ર 54:1-3
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 19:16 પ્રબોધકોએ લોકોને ચેતવણી આપી કે જો તેઓ ભૂંડું કરવાનું બંધ નહીં કરે અને દેવની આજ્ઞા પાળવાનું ચાલુ નહિ કરે તો, પછી દેવ દોષિત ગણી તેઓનો ન્યાય કરશે, અને તે તેઓને સજા કરશે.
- 21:8 રાજા એ કોઈક કે જે રાજ્ય ઉપર રાજ કરે છે અને લોકોનો ન્યાય કરે છે.
મસીહ જે રાજા બનીને આવશે અને તે દાઉદના રાજ્યાસન પર બેસીને સંપૂર્ણ રાજા બનશે. તે આખી દુનિયા પર સદાકાળ માટે રાજ્ય કરશે, અને તે હંમેશા પ્રમાણિકપણે અને સારા નિર્ણયો કરી ન્યાય કરશે.
- 39:4 પ્રમુખ યાજકે પોતાના કપડાં ફાડીને ગુસ્સામાં તથા મોટા અવાજે કહ્યું કે, “હવે આપણને બીજા કોઈની સાક્ષીની જરૂર નથી!” તમે તેને કહેતા સાંભળ્યું કે તેણે કહ્યું કે તે દેવનો દીકરો છે. તમારો ન્યાય શું છે?"
- 50:14 પણ દેવ દરેકનો જેઓ ઇસુ પર વિશ્વાસ કરતા નથી તેઓનો ન્યાય કરશે.
જ્યાં તેઓ સદાકાળ માટે નરકમાં નાખવામાં આવશે કે ત્યાં તેઓ રડશે અને દાંત પીસશે.
શબ્દ માહિતી:
- Strong's: H148, H430, H1777, H1778, H1779, H1780, H1781, H1782, H2940, H4055, H4941, H6414, H6415, H6416, H6417, H6419, H6485, H8196, H8199, H8201, G144, G350, G968, G1106, G1252, G1341, G1345, G1348, G1349, G2917, G2919, G2920, G2922, G2923, G4232
ન્યાયાધીશ, ન્યાયાધીશો, ન્યાય, ચુકાદાઓ
વ્યાખ્યા:
મોટેભાગે “ન્યાયાધીશ” અથવા “ન્યાય” શબ્દો, કંઈક નૈતિક રીતે સાચું કે ખોટું છે તે વિશે નિર્ણય કરવો તેને દર્શાવે છે.
- મોટેભાગે “દેવનો ન્યાય” કોઈ બાબત અથવા કોઈને પાપી તરીકે દંડ કરવાના તેના નિર્ણયને દર્શાવે છે.
- સામાન્ય રીતે દેવનો ન્યાય લોકોને તેઓના પાપ માટે સજા કરવાનો સમાવેશ કરે છે.
- “ન્યાય” શબ્દનો અર્થ, “દંડ” પણ થઈ શકે છે.
દેવ તેના લોકોને સૂચન કરે છે કે આ રીતે એક બીજાનો ન્યાય ન કરો.
- જયારે જે વ્યક્તિ વચ્ચે તકરાર હોય ત્યારે તેનો બીજો અર્થ, “બે વ્યક્તિ વચ્ચે વહેંચણી કરવી” અથવા “બે વ્યક્તિ વચ્ચે ન્યાય કરવો” એમ થાય છે.
- કેટલાક સંદર્ભોમાં, દેવના “ચુકાદાઓ” તેણે જે નક્કી કર્યા છે તે સાચા અને ન્યાયી હોય છે.
તેઓ તેના આદેશો, નિયમો, અથવા આજ્ઞાઓ સમાન છે.
- “ન્યાય” ને સમજદાર નિર્ણય કરનારની ક્ષમતાને દર્શાવે છે.
વ્યક્તિ કે જેનામાં “ન્યાય” કરવાનો અભાવ હોય છે તેની પાસે સમજદાર નિર્ણયો કરવાનું જ્ઞાન હોતું નથી.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને, “ન્યાય કરવો” (શબ્દોના) ભાષાંતરમાં, “નિર્ણય કરવો” અથવા “દંડ કરવો” અથવા “સજા કરવી” અથવા “આદેશ આપવો” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
- “ન્યાય” શબ્દનું ભાષાંતર, “સજા” અથવા “નિર્ણય” અથવા “ચુકાદો” અથવા “આદેશ” અથવા “દંડાજ્ઞા” તરીકે કરી શકાય છે.
- કેટલાક સંદર્ભોમાં, “ન્યાયમાં” શબ્દસમૂહનું ભાષાંતર, “ન્યાયના દિવસે” અથવા “એ સમય દરમ્યાન કે જયારે દેવ લોકોનો ન્યાય કરશે” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: વિધિ (હુકમ), ન્યાયાધીશ, ન્યાયનો દિવસ, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન)
બાઈબલની કલમો:
- 1 યોહાન 4:17-18
- 1 રાજા 3:7-9
- પ્રેરિતો 10:42-43
- યશાયા 3:13-15
- યાકૂબ 2:1-4
- લૂક 6:37
- મીખાહ 3:9-11
- ગીતશાસ્ત્ર 54:1-3
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 19:16 પ્રબોધકોએ લોકોને ચેતવણી આપી કે જો તેઓ ભૂંડું કરવાનું બંધ નહીં કરે અને દેવની આજ્ઞા પાળવાનું ચાલુ નહિ કરે તો, પછી દેવ દોષિત ગણી તેઓનો ન્યાય કરશે, અને તે તેઓને સજા કરશે.
- 21:8 રાજા એ કોઈક કે જે રાજ્ય ઉપર રાજ કરે છે અને લોકોનો ન્યાય કરે છે.
મસીહ જે રાજા બનીને આવશે અને તે દાઉદના રાજ્યાસન પર બેસીને સંપૂર્ણ રાજા બનશે. તે આખી દુનિયા પર સદાકાળ માટે રાજ્ય કરશે, અને તે હંમેશા પ્રમાણિકપણે અને સારા નિર્ણયો કરી ન્યાય કરશે.
- 39:4 પ્રમુખ યાજકે પોતાના કપડાં ફાડીને ગુસ્સામાં તથા મોટા અવાજે કહ્યું કે, “હવે આપણને બીજા કોઈની સાક્ષીની જરૂર નથી!” તમે તેને કહેતા સાંભળ્યું કે તેણે કહ્યું કે તે દેવનો દીકરો છે. તમારો ન્યાય શું છે?"
- 50:14 પણ દેવ દરેકનો જેઓ ઇસુ પર વિશ્વાસ કરતા નથી તેઓનો ન્યાય કરશે.
જ્યાં તેઓ સદાકાળ માટે નરકમાં નાખવામાં આવશે કે ત્યાં તેઓ રડશે અને દાંત પીસશે.
શબ્દ માહિતી:
- Strong's: H148, H430, H1777, H1778, H1779, H1780, H1781, H1782, H2940, H4055, H4941, H6414, H6415, H6416, H6417, H6419, H6485, H8196, H8199, H8201, G144, G350, G968, G1106, G1252, G1341, G1345, G1348, G1349, G2917, G2919, G2920, G2922, G2923, G4232
ન્યાયાધીશ, ન્યાયાધીશો
વ્યાખ્યા:
ન્યાયાધીશ એવી વ્યક્તિ છે કે જે જયારે લોકોની વચ્ચે વિવાદો થાય ત્યારે સાચું અથવા ખોટું શું છે તે નક્કી કરે છે, સામાન્ય રીતે એવી બાબતોમાં કે જે કાયદાને અનુલક્ષે છે.
- બાઈબલમાં, મોટેભાગે દેવને ન્યાયાધીશ તરીકે દર્શાવાયો છે, કારણકે તે એક સંપૂર્ણ ન્યાયાધીશ છે કે જે શું સાચું અને ખોટું છે તે વિશે આખરી નિર્ણયો કરે છે.
- ઈઝરાએલના લોકો કનાનની ભૂમિમાં પ્રવેશ્યા પછી અને તેઓ પર રાજ કરવા રાજાઓ આવ્યા પહેલાં, મુશ્કેલીના સમયોમાં તેઓને દોરવણી આપવા માટે દેવે આગેવાનો કે જેઓને “ન્યાયાધીશો” કહેવામાં આવે છે તેઓની નિમણુક કરી.
મોટેભાગે આ ન્યાયાધીશો સૈન્યના આગેવાનો હતા કે જેઓ ઈઝરાએલીઓને તેઓના શત્રુઓને હરાવીને તે દ્વારા છોડાવતા હતા.
- સંદર્ભ પર આધાર રાખીને, “ન્યાયાધીશ” શબ્દનું ભાષાંતર, “નિર્ણય કરનાર” અથવા “આગેવાન” અથવા “છોડાવનાર” અથવા “હાકેમ” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: સંચાલન, ન્યાયાધીશ, નિયમ/કાયદો/કાનૂન)
બાઈબલની કલમો:
- 2 તિમોથી 4:6-8
- પ્રેરિતો 7:26-28
- લૂક 11:18-20
- લૂક 12:13-15
- લૂક 18:1-2
- માથ્થી 5:25-26
- રૂથ 1:1-2
શબ્દ માહિતી:
- Strong's: H148, H430, H1777, H1778, H1779, H1780, H1781, H1782, H2940, H4055, H6414, H6415, H6416, H6417, H6419, H8196, H8199, H8201, G350, G1252, G1348, G2919, G2922, G2923
ન્યાયાધીશ, ન્યાયાધીશો
વ્યાખ્યા:
ન્યાયાધીશ એવી વ્યક્તિ છે કે જે જયારે લોકોની વચ્ચે વિવાદો થાય ત્યારે સાચું અથવા ખોટું શું છે તે નક્કી કરે છે, સામાન્ય રીતે એવી બાબતોમાં કે જે કાયદાને અનુલક્ષે છે.
- બાઈબલમાં, મોટેભાગે દેવને ન્યાયાધીશ તરીકે દર્શાવાયો છે, કારણકે તે એક સંપૂર્ણ ન્યાયાધીશ છે કે જે શું સાચું અને ખોટું છે તે વિશે આખરી નિર્ણયો કરે છે.
- ઈઝરાએલના લોકો કનાનની ભૂમિમાં પ્રવેશ્યા પછી અને તેઓ પર રાજ કરવા રાજાઓ આવ્યા પહેલાં, મુશ્કેલીના સમયોમાં તેઓને દોરવણી આપવા માટે દેવે આગેવાનો કે જેઓને “ન્યાયાધીશો” કહેવામાં આવે છે તેઓની નિમણુક કરી.
મોટેભાગે આ ન્યાયાધીશો સૈન્યના આગેવાનો હતા કે જેઓ ઈઝરાએલીઓને તેઓના શત્રુઓને હરાવીને તે દ્વારા છોડાવતા હતા.
- સંદર્ભ પર આધાર રાખીને, “ન્યાયાધીશ” શબ્દનું ભાષાંતર, “નિર્ણય કરનાર” અથવા “આગેવાન” અથવા “છોડાવનાર” અથવા “હાકેમ” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: સંચાલન, ન્યાયાધીશ, નિયમ/કાયદો/કાનૂન)
બાઈબલની કલમો:
- 2 તિમોથી 4:6-8
- પ્રેરિતો 7:26-28
- લૂક 11:18-20
- લૂક 12:13-15
- લૂક 18:1-2
- માથ્થી 5:25-26
- રૂથ 1:1-2
શબ્દ માહિતી:
- Strong's: H148, H430, H1777, H1778, H1779, H1780, H1781, H1782, H2940, H4055, H6414, H6415, H6416, H6417, H6419, H8196, H8199, H8201, G350, G1252, G1348, G2919, G2922, G2923
ન્યાયાધીશ, ન્યાયાધીશો
વ્યાખ્યા:
ન્યાયાધીશ એક નિયુક્ત કરેલ અધિકારી છે કે જે ન્યાય કરવાનું કામ કરે છે અને કાયદાકિય બાબતોનો નિર્ણય કરે છે.
- બાઇબલના સમયમાં, ન્યાયાધીશ લોકો વચ્ચેના ઝગડાઓનું સમાધાન પણ કરાવતો હતો.
- સંદર્ભ પ્રમાણે, આ શબ્દનો અનુવાદ કરવા “ચૂકાદો આપનાર ન્યાયાધીશ” અથવા તો “કાયદાકિય અધિકારી” અથવા તો “શહેરનો આગેવાન” એવા શબ્દો વાપરી શકાય.
(આ પણ જૂઓ: ન્યાયાધીશ, નિયમ/કાયદો/કાનૂન)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 16:19-21
- પ્રેરિતોના કૃત્યો 16:35-36
- દાનિયેલ 3:1-2
- લૂક 12:57-59
શબ્દ માહિતી:
- Strong's: H6114, H8200, H8614, G758, G3980, G4755
ન્યાયાધીશ, ન્યાયાધીશો
વ્યાખ્યા:
ન્યાયાધીશ એક નિયુક્ત કરેલ અધિકારી છે કે જે ન્યાય કરવાનું કામ કરે છે અને કાયદાકિય બાબતોનો નિર્ણય કરે છે.
- બાઇબલના સમયમાં, ન્યાયાધીશ લોકો વચ્ચેના ઝગડાઓનું સમાધાન પણ કરાવતો હતો.
- સંદર્ભ પ્રમાણે, આ શબ્દનો અનુવાદ કરવા “ચૂકાદો આપનાર ન્યાયાધીશ” અથવા તો “કાયદાકિય અધિકારી” અથવા તો “શહેરનો આગેવાન” એવા શબ્દો વાપરી શકાય.
(આ પણ જૂઓ: ન્યાયાધીશ, નિયમ/કાયદો/કાનૂન)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 16:19-21
- પ્રેરિતોના કૃત્યો 16:35-36
- દાનિયેલ 3:1-2
- લૂક 12:57-59
શબ્દ માહિતી:
- Strong's: H6114, H8200, H8614, G758, G3980, G4755
ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું
વ્યાખ્યા:
“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે.
આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે.
ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.
- આ શબ્દો ઘણી વાર જે વ્યક્તિ ઈશ્વરનું આજ્ઞાપાલન કરે છે અને નૈતિક રીતે સારી છે તેને દર્શાવવા વપરાય છે.
તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.
- બાઇબલમાં જેઓને “ન્યાયી” કહેવામાં આવ્યા હતા તેવા લોકોના ઉદાહરણોમાં નૂહ, અયૂબ, ઇબ્રાહિમ, ઝખાર્યા અને એલિસાબેતનો સમાવેશ થાય છે.
- જ્યારે લોકો પોતાને બચાવવા ઈસુ પર વિશ્વાસ કરે છે ત્યારે, ઈશ્વર તેઓને તેમના પાપોથી શુદ્ધ કરે છે અને ઈસુના ન્યાયપણાને લીધે તેઓને ન્યાયી ઘોષિત કરે છે.
“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે.
“અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.
- આ શબ્દો ખાસ કરીને ઈશ્વરના શિક્ષણ અને આજ્ઞાઓ ન પાળતી રીતે જીવવાનો ઉલ્લેખ કરે છે.
- અન્યાયી લોકો તેમના વિચારો અને કાર્યોમાં અનૈતિક છે.
- કેટલીક વાર “અન્યાયી” શબ્દ ખાસ કરીને જે લોકો ઈસુમાં વિશ્વાસ કરતા નથી તેઓનો ઉલ્લેખ કરે છે.
“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.
- આ શબ્દોના અર્થમાં સીધા ઊભા રહેવું અને પ્રત્યક્ષ રીતે સામે જોવું જેવા વિચારોનો સમાવેશ થાય છે.
- જે વ્યક્તિ “પ્રામાણિક” છે તે એવી વ્યક્તિ છે કે જે ઈશ્વરના નિયમો પાળે છે અને ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધની બાબતો કરતી નથી.
- “સત્યનિષ્ઠા” અને “ન્યાયી” જેવા શબ્દો સમાન અર્થ ધરાવે છે અને તેઓ કેટલીક વાર સમાંતરિતા રચનાઓમાં વપરાય છે, જેમ કે “સત્યનિષ્ઠા અને પ્રમાણિકપણું.” (આ જૂઓ: સમાંતરિતા
અનુવાદ માટેના સૂચનો:
- જ્યારે તે ઈશ્વરને વર્ણવે છે ત્યારે, “ન્યાયી” શબ્દનો અનુવાદ “સંપૂર્ણપણે ભલા તથા ન્યાયપૂર્ણ” અથવા તો “હંમેશાં ખરી રીતે વર્તતા” તરીકે થઈ શકે.
- ઈશ્વરનું “ન્યાયીપણું” નો અનુવાદ “સંપૂર્ણ વિશ્વાસુપણું તથા ભલાઈ” તરીક પણ કરી શકાય.
- જ્યારે તે જે લોકો ઈશ્વરને આજ્ઞાધીન છે તેઓનું વર્ણન કરે છે ત્યારે, “ન્યાયી” શબ્દનો અનુવાદ “નૈતિક રીતે સારા” અથવા તો “ન્યાયપૂર્ણ” અથવા તો “ઈશ્વરને ખુશ કરતું જીવન જીવતા લોકો” તરીકે પણ કરી શકાય.
- “ન્યાયીઓ” શબ્દનો અનુવાદ “ન્યાયી લોકો” અથવા તો “ઈશ્વરનો ભય માનનારા લોકો” તરીકે થઈ શકે.
- સંદર્ભ અનુસાર, “ન્યાયીપણું” નો અનુવાદ એવા શબ્દ કે શબ્દસમૂહ દ્વારા કરી શકાય કે જેનો અર્થ “ભલાઈ” અથવા તો “ઈશ્વર સમક્ષ સંપૂર્ણ હોવું” અથવા તો “ઈશ્વરનું આજ્ઞાપાલન કરીને ખરી રીતે વર્તવું” અથવા તો “સંપૂર્ણપણે સારું કરવું” તેવો થતો હોય.
- કેટલીક વાર “ન્યાયીઓ” નો ઉપયોગ પ્રતિકાત્મક રીતે કરાયો હતો અને તે “જેઓ માને છે કે તેઓ સારા છે એવા લોકો” અથવા તો “જેઓ ન્યાયી લાગે છે તેવા લોકો” નો ઉલ્લેખ કરતો હતો.
- “અન્યાયી” શબ્દનો સરળ અનુવાદ “ન્યાયી નહીં” એ રીતે કરી શકાય.
- સંદર્ભ અનુસાર, આનો અનુવાદ “દુષ્ટ” અથવા તો “અનૈતિક” અથવા તો “ઈશ્વરની વિરુદ્ધ બળવો કરતા લોકો” અથવા તો “પાપીઓ” એવી બીજી રીતોથી કરી શકાય.
- “અન્યાયીઓ” શબ્દનો અનુવાદ “અન્યાયી લોકો” તરીકે કરી શકાય.
- “અન્યાયીપણું” શબ્દનો અનુવાદ “પાપ” અથવા તો “દુષ્ટ વિચારો અને કાર્યો” અથવા તો “દુષ્ટતા” તરીકે કરી શકાય.
- જો શક્ય હોય તો, તેનો અનુવાદ એ રીતે કરવો કે જ્યાં તેનો સંબંધ “ન્યાયી”, ન્યાયીપણું” સાથે દર્શાવે છે, તો તે ઉત્તમ રહેશે.
- “પ્રામાણિક” નો અનુવાદ “ખરી રીતે વર્તતું” અથવા તો “ખરી રીતે વર્તતી વ્યક્તિ” અથવા તો “ઈશ્વરના નિયમો પાળતું” અથવા તો “ઈશ્વરને આજ્ઞાધીન” અથવા તો “ખરી રીતે વર્તતું” એમ વિભિન્ન રીતોથી કરી શકાય.
- “પ્રામાણિકપણું” શબ્દનો અનુવાદ “નૈતિક શુદ્ધતા” અથવા તો “સારો નૈતિક વ્યવહાર” અથવા તો “ખરાપણું” તરીકે કરી શકાય.
- “પ્રામાણિકો” શબ્દનો અનુવાદ “જેઓ પ્રામાણિક છે તેવા લોકો” અથવા તો “પ્રામાણિક લોકો” તરીકે થઈ શકે.
(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)
બાઇબલના સંદર્ભો:
- પુનર્નિયમ 19:15-16
- અયૂબ 1:6-8
- ગીતશાસ્ત્ર 37:28-30
- ગીતશાસ્ત્ર 49:14-15
- ગીતશાસ્ત્ર 107:41-43
- સભાશિક્ષક 12:10-11
- યશાયા 48:1-2
- હઝકિયેલ 33:12-13
- માલાખી 2:5-7
- માથ્થી 6:1-2
- પ્રેરિતોનાં કૃત્યો 3:13-14
- રોમનો 1:29-31
- 1 કરિંથી 6:9-11
- ગલાતી 3:6-9
- ક્લોસ્સી 3:22-25
- 2 થેસ્સલોનિકી 2:8-10
- 2 તિમોથી 3:16-17
- 1 પિતર 3:18-20
- 1 યોહાન 1:8-10
- 1 યોહાન 5:16-17
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 3:2 પણ નૂહ ઈશ્વરની નજરમાં કૃપા પામ્યો.
તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.
- 4:8 ઈશ્વરે ઘોષિત કર્યું કે અબ્રામ ન્યાયી હતો કારણ કે તેણે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.
- 17:2 દાઉદ નમ્ર અને ન્યાયી માણસ હતો કે જેણે ઈશ્વર પર ભરોસો કર્યો અને તેમનું આજ્ઞાપાલન કર્યું.
- 23:1 યૂસફ કે જેની સાથે મરિયમની સગાઈ થઈ હતી તે, એક ન્યાયી માણસ હતો.
- 50:10 ત્યારે ન્યાયી લોકો ઈશ્વર તેમના પિતાના રાજયમાં સૂરજની જેમ પ્રકાશસે.”
શબ્દ માહિતી:
- Strong's: H205, H1368, H2555, H3072, H3474, H3476, H3477, H3483, H4334, H4339, H4749, H5228, H5229, H5324, H5765, H5766, H5767, H5977, H6662, H6663, H6664, H6665, H6666, H6968, H8535, H8537, H8549, H8552, G93, G94, G458, G1341, G1342, G1343, G1344, G1345, G1346, G2118, G3716, G3717
ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું
વ્યાખ્યા:
“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે.
આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે.
ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.
- આ શબ્દો ઘણી વાર જે વ્યક્તિ ઈશ્વરનું આજ્ઞાપાલન કરે છે અને નૈતિક રીતે સારી છે તેને દર્શાવવા વપરાય છે.
તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.
- બાઇબલમાં જેઓને “ન્યાયી” કહેવામાં આવ્યા હતા તેવા લોકોના ઉદાહરણોમાં નૂહ, અયૂબ, ઇબ્રાહિમ, ઝખાર્યા અને એલિસાબેતનો સમાવેશ થાય છે.
- જ્યારે લોકો પોતાને બચાવવા ઈસુ પર વિશ્વાસ કરે છે ત્યારે, ઈશ્વર તેઓને તેમના પાપોથી શુદ્ધ કરે છે અને ઈસુના ન્યાયપણાને લીધે તેઓને ન્યાયી ઘોષિત કરે છે.
“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે.
“અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.
- આ શબ્દો ખાસ કરીને ઈશ્વરના શિક્ષણ અને આજ્ઞાઓ ન પાળતી રીતે જીવવાનો ઉલ્લેખ કરે છે.
- અન્યાયી લોકો તેમના વિચારો અને કાર્યોમાં અનૈતિક છે.
- કેટલીક વાર “અન્યાયી” શબ્દ ખાસ કરીને જે લોકો ઈસુમાં વિશ્વાસ કરતા નથી તેઓનો ઉલ્લેખ કરે છે.
“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.
- આ શબ્દોના અર્થમાં સીધા ઊભા રહેવું અને પ્રત્યક્ષ રીતે સામે જોવું જેવા વિચારોનો સમાવેશ થાય છે.
- જે વ્યક્તિ “પ્રામાણિક” છે તે એવી વ્યક્તિ છે કે જે ઈશ્વરના નિયમો પાળે છે અને ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધની બાબતો કરતી નથી.
- “સત્યનિષ્ઠા” અને “ન્યાયી” જેવા શબ્દો સમાન અર્થ ધરાવે છે અને તેઓ કેટલીક વાર સમાંતરિતા રચનાઓમાં વપરાય છે, જેમ કે “સત્યનિષ્ઠા અને પ્રમાણિકપણું.” (આ જૂઓ: સમાંતરિતા
અનુવાદ માટેના સૂચનો:
- જ્યારે તે ઈશ્વરને વર્ણવે છે ત્યારે, “ન્યાયી” શબ્દનો અનુવાદ “સંપૂર્ણપણે ભલા તથા ન્યાયપૂર્ણ” અથવા તો “હંમેશાં ખરી રીતે વર્તતા” તરીકે થઈ શકે.
- ઈશ્વરનું “ન્યાયીપણું” નો અનુવાદ “સંપૂર્ણ વિશ્વાસુપણું તથા ભલાઈ” તરીક પણ કરી શકાય.
- જ્યારે તે જે લોકો ઈશ્વરને આજ્ઞાધીન છે તેઓનું વર્ણન કરે છે ત્યારે, “ન્યાયી” શબ્દનો અનુવાદ “નૈતિક રીતે સારા” અથવા તો “ન્યાયપૂર્ણ” અથવા તો “ઈશ્વરને ખુશ કરતું જીવન જીવતા લોકો” તરીકે પણ કરી શકાય.
- “ન્યાયીઓ” શબ્દનો અનુવાદ “ન્યાયી લોકો” અથવા તો “ઈશ્વરનો ભય માનનારા લોકો” તરીકે થઈ શકે.
- સંદર્ભ અનુસાર, “ન્યાયીપણું” નો અનુવાદ એવા શબ્દ કે શબ્દસમૂહ દ્વારા કરી શકાય કે જેનો અર્થ “ભલાઈ” અથવા તો “ઈશ્વર સમક્ષ સંપૂર્ણ હોવું” અથવા તો “ઈશ્વરનું આજ્ઞાપાલન કરીને ખરી રીતે વર્તવું” અથવા તો “સંપૂર્ણપણે સારું કરવું” તેવો થતો હોય.
- કેટલીક વાર “ન્યાયીઓ” નો ઉપયોગ પ્રતિકાત્મક રીતે કરાયો હતો અને તે “જેઓ માને છે કે તેઓ સારા છે એવા લોકો” અથવા તો “જેઓ ન્યાયી લાગે છે તેવા લોકો” નો ઉલ્લેખ કરતો હતો.
- “અન્યાયી” શબ્દનો સરળ અનુવાદ “ન્યાયી નહીં” એ રીતે કરી શકાય.
- સંદર્ભ અનુસાર, આનો અનુવાદ “દુષ્ટ” અથવા તો “અનૈતિક” અથવા તો “ઈશ્વરની વિરુદ્ધ બળવો કરતા લોકો” અથવા તો “પાપીઓ” એવી બીજી રીતોથી કરી શકાય.
- “અન્યાયીઓ” શબ્દનો અનુવાદ “અન્યાયી લોકો” તરીકે કરી શકાય.
- “અન્યાયીપણું” શબ્દનો અનુવાદ “પાપ” અથવા તો “દુષ્ટ વિચારો અને કાર્યો” અથવા તો “દુષ્ટતા” તરીકે કરી શકાય.
- જો શક્ય હોય તો, તેનો અનુવાદ એ રીતે કરવો કે જ્યાં તેનો સંબંધ “ન્યાયી”, ન્યાયીપણું” સાથે દર્શાવે છે, તો તે ઉત્તમ રહેશે.
- “પ્રામાણિક” નો અનુવાદ “ખરી રીતે વર્તતું” અથવા તો “ખરી રીતે વર્તતી વ્યક્તિ” અથવા તો “ઈશ્વરના નિયમો પાળતું” અથવા તો “ઈશ્વરને આજ્ઞાધીન” અથવા તો “ખરી રીતે વર્તતું” એમ વિભિન્ન રીતોથી કરી શકાય.
- “પ્રામાણિકપણું” શબ્દનો અનુવાદ “નૈતિક શુદ્ધતા” અથવા તો “સારો નૈતિક વ્યવહાર” અથવા તો “ખરાપણું” તરીકે કરી શકાય.
- “પ્રામાણિકો” શબ્દનો અનુવાદ “જેઓ પ્રામાણિક છે તેવા લોકો” અથવા તો “પ્રામાણિક લોકો” તરીકે થઈ શકે.
(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)
બાઇબલના સંદર્ભો:
- પુનર્નિયમ 19:15-16
- અયૂબ 1:6-8
- ગીતશાસ્ત્ર 37:28-30
- ગીતશાસ્ત્ર 49:14-15
- ગીતશાસ્ત્ર 107:41-43
- સભાશિક્ષક 12:10-11
- યશાયા 48:1-2
- હઝકિયેલ 33:12-13
- માલાખી 2:5-7
- માથ્થી 6:1-2
- પ્રેરિતોનાં કૃત્યો 3:13-14
- રોમનો 1:29-31
- 1 કરિંથી 6:9-11
- ગલાતી 3:6-9
- ક્લોસ્સી 3:22-25
- 2 થેસ્સલોનિકી 2:8-10
- 2 તિમોથી 3:16-17
- 1 પિતર 3:18-20
- 1 યોહાન 1:8-10
- 1 યોહાન 5:16-17
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 3:2 પણ નૂહ ઈશ્વરની નજરમાં કૃપા પામ્યો.
તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.
- 4:8 ઈશ્વરે ઘોષિત કર્યું કે અબ્રામ ન્યાયી હતો કારણ કે તેણે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.
- 17:2 દાઉદ નમ્ર અને ન્યાયી માણસ હતો કે જેણે ઈશ્વર પર ભરોસો કર્યો અને તેમનું આજ્ઞાપાલન કર્યું.
- 23:1 યૂસફ કે જેની સાથે મરિયમની સગાઈ થઈ હતી તે, એક ન્યાયી માણસ હતો.
- 50:10 ત્યારે ન્યાયી લોકો ઈશ્વર તેમના પિતાના રાજયમાં સૂરજની જેમ પ્રકાશસે.”
શબ્દ માહિતી:
- Strong's: H205, H1368, H2555, H3072, H3474, H3476, H3477, H3483, H4334, H4339, H4749, H5228, H5229, H5324, H5765, H5766, H5767, H5977, H6662, H6663, H6664, H6665, H6666, H6968, H8535, H8537, H8549, H8552, G93, G94, G458, G1341, G1342, G1343, G1344, G1345, G1346, G2118, G3716, G3717
ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ
વ્યાખ્યા:
"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.
માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.
- "ન્યાયી" બનવા બીજાઓ પ્રત્યે વાજબી અને સારી રીતે કાર્ય કરવું.
તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.
- "ન્યાયપૂર્ણ" રીતે વર્તવું એટલે ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે ખરી, સારી, અને યોગ્ય રીતે વર્તવું.
- "ન્યાય" મેળવવો એટલે નિયમ હેઠળ વાજબી ગણાવું, નિયમ દ્વારા સુરક્ષિત થઈને અથવા તો નિયમ તોડવાને લીધે શિક્ષિત થઈને.
- કેટલીકવાર "ન્યાયી" શબ્દનો "ન્યાયી" અથવા "ઈશ્વરના નિયમોને અનુસરવું" એવો વિશાળ અર્થ હોય છે.
"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.
- "અન્યાય" જેને માટે વ્યક્તિ લાયક નથી તેવું કંઈક ખોટું તેને કરવું થવું એવો અર્થ થાય છે.
તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.
- થોડાંક લોકો સાથે ખરાબ રીતે જ્યારે બીજાઓ સાથે સારી રીતે વર્તવું એ પણ અન્યાયનો અર્થ થાય છે.
- કોઈક જે અન્યાયી રીતે વર્તે છે તે "પક્ષપાતી" અથવા "પૂર્વગ્રહવાળો" છે કારણ કે તે લોકોની સાથે સમાન રીતે વર્તતો નથી.
"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે.
માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.
- જ્યારે ઈશ્વર લોકોને ન્યાયી ઠરાવે છે ત્યારે, તેઓ તેમના પાપો માફ કરે છે અને એવ બનાવે છે કે જાણે તેઓમાં કોઈ પાપ છે જ નહીં.
તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.
- "ન્યાયીકરણ" એ જ્યારે ઈશ્વર વ્યક્તિના પાપો માફ કરે છે અને તે વ્યક્તિને પોતાની દ્રષ્ટિમાં ન્યાયી જાહેર કરે છે ત્યારે શું કરે છે તેનો ઉલ્લેખ કરે છે.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભને આધારે, "ન્યાયી" ને બીજી રીતે અનુવાદ કરવામાં "નૈતિક રીતે ખરું" અથવા "વાજબી" નો સમાવેશ કરી શકાય.
- "ન્યાય" શબ્દનો અનુવાદ "વાજબી વર્તાવ" અથવા "પરિણામો માટે લાયક" એ પ્રમાણે કરી શકાય.
- "ન્યાયપૂર્ણ રીતે વર્તવું" નું અનુવાદ "વાજબી રીતે વર્તવું" અથવા "ન્યાયી રીતે વર્તવું" એમ કરી શકાય.
- કેટલાંક સંદર્ભોમાં, "ન્યાયી" નું અનુવાદ "ન્યાયી" અથવા "સદ્દગુણી" તરીકે કરી શકાય.
- સંદર્ભને આધારે, "અન્યાયી" નું અનુવાદ "ગેરવ્યાજબી" અથવા "પક્ષપાતી" અથવા "અન્યાયી" તરીકે પણ કરી શકાય.
- "અન્યાયી" શબ્દસમૂહનું અનુવાદ "અન્યાયી વ્યક્તિઓ" અથવા "અન્યાયી લોકો" અથવા "લોકો કે જેઓ બીજાઓ સાથે ગેરવ્યાજબી રીતે વર્તે છે" અથવા "અન્યાયી લોકો" અથવા "લોકો કે જેઓએ ઈશ્વરનો અનાદર કર્યો" તરીકે કરી શકાય.
- "અન્યાયી રીતે" શબ્દનું અનુવાદ "ગેરવ્યાજબી રીતે" અથવા "ખોટી રીતે" અથવા "ગેરવ્યાજબી" એમ કરી શકાય.
- "અન્યાય" નું અનુવાદ કરવાની રીતોમાં "ખોટો વર્તાવ" અથવા "ગેરવ્યાજબી વર્તાવ" અથવા "ગેરવ્યાજબી રીતે વર્તવું" નો સમાવેશ કરી શકાય. (જુઓ: અવ્યક્ત નામો
- "ન્યાયી ઠરાવવું" નું અનુવાદ કરવાની રીતોમાં "કોઈકને ન્યાયી જાહેર કરવું" અથવા "કોઈકને ન્યાયી બનાવવું" નો સમાવેશ કરી શકાય.
- "ન્યાયીકરણ" શબ્દનું અનુવાદ "ન્યાયી જાહેર કરવું" અથવા "ન્યાયી થવું/બનવું" અથવા "લોકોને ન્યાયી બનાવવું" તરીકે કરી શકાય.
- "ન્યાયીકરણમાં પરીણમવું" શબ્દસમૂહનું અનુવાદ "તેથી ઈશ્વરે ઘણાં લોકોને ન્યાયી ઠરાવ્યા" અથવા "જેનું પરીણામ ઈશ્વરે લોકોને ન્યાયી ઠરાવ્યા" તરીકે કરી શકાય.
- "આપણાં ન્યાયીકરણ માટે" શબ્દસમૂહનું અનુવાદ "આપણે ઈશ્વર દ્વારા ન્યાયી બની શકીએ તે હેતુથી" એમ કરી શકાય.
(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)
બાઈબલના સંદર્ભો:
- ઉત્પત્તિ 44:16-17
- 1 કાળુવૃતાંત 18:14-17
- યશાયા 4:3-4
- યર્મિયા 22:1-3
- હઝકિયેલ 18:16-17
- મીખાહ 3:8
- માથ્થી 5:43-45
- માથ્થી 11:18-19
- માથ્થી 23:23-24
- લૂક 18:3-5
- લૂક 18:6-8
- લૂક 18:13-14
- લૂક 21:20-22
- લૂક 23:39-41
- પ્રેરિતોના કૃત્યો 13:38-39
- પ્રેરિતોના કૃત્યો 28:3-4
- રોમનો 4:1-3
- ગલાતીઓ 3:6-9
- ગલાતીઓ 3:10-12
- ગલાતીઓ 5:3-4
- તિતસ 3:6-7
- હિબ્રૂઓ 6:9-10
- યાકુબ 2:21-24
- પ્રકટીકરણ 15:3-4
બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:
- 17:9 દાઉદે રાજ કર્યું ન્યાય અને વિશ્વાસુપણા સાથે ઘણાં વરસો સુધી, અને ઈશ્વરે તેને આશીર્વાદિત કર્યો.
- 18:13 (યહુદીયા) ના કેટલાંક રાજાઓ સારા પુરુધો હતા જેઓએ ન્યાયી રીતે રાજ કર્યું અને ઈશ્વરનું ભજન કર્યું.
- 19:16 તેઓ (પ્રબોધકો) સર્વએ લોકોને મૂર્તિપૂજા રોકવા અને શરૂ કરવા કહ્યું ન્યાય અને બીજાઓ માટે દયા.
- 50:17 ઈસુ તેમનં રાજયનું રાજ કરશે શાંતિ સાથે અને ન્યાય, અને તેઓ તેમના લોકો સાથે સર્વકાળ હશે.
શબ્દ માહિતી:
- Strong's: H205, H2555, H3477, H5765, H5766, H5767, H6662, H6663, H6664, H6666, H8003, H8264, H8636, G91, G93, G94, G1342, G1344, G1345, G1346, G1347, G1738
ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ
વ્યાખ્યા:
"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.
માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.
- "ન્યાયી" બનવા બીજાઓ પ્રત્યે વાજબી અને સારી રીતે કાર્ય કરવું.
તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.
- "ન્યાયપૂર્ણ" રીતે વર્તવું એટલે ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે ખરી, સારી, અને યોગ્ય રીતે વર્તવું.
- "ન્યાય" મેળવવો એટલે નિયમ હેઠળ વાજબી ગણાવું, નિયમ દ્વારા સુરક્ષિત થઈને અથવા તો નિયમ તોડવાને લીધે શિક્ષિત થઈને.
- કેટલીકવાર "ન્યાયી" શબ્દનો "ન્યાયી" અથવા "ઈશ્વરના નિયમોને અનુસરવું" એવો વિશાળ અર્થ હોય છે.
"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.
- "અન્યાય" જેને માટે વ્યક્તિ લાયક નથી તેવું કંઈક ખોટું તેને કરવું થવું એવો અર્થ થાય છે.
તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.
- થોડાંક લોકો સાથે ખરાબ રીતે જ્યારે બીજાઓ સાથે સારી રીતે વર્તવું એ પણ અન્યાયનો અર્થ થાય છે.
- કોઈક જે અન્યાયી રીતે વર્તે છે તે "પક્ષપાતી" અથવા "પૂર્વગ્રહવાળો" છે કારણ કે તે લોકોની સાથે સમાન રીતે વર્તતો નથી.
"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે.
માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.
- જ્યારે ઈશ્વર લોકોને ન્યાયી ઠરાવે છે ત્યારે, તેઓ તેમના પાપો માફ કરે છે અને એવ બનાવે છે કે જાણે તેઓમાં કોઈ પાપ છે જ નહીં.
તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.
- "ન્યાયીકરણ" એ જ્યારે ઈશ્વર વ્યક્તિના પાપો માફ કરે છે અને તે વ્યક્તિને પોતાની દ્રષ્ટિમાં ન્યાયી જાહેર કરે છે ત્યારે શું કરે છે તેનો ઉલ્લેખ કરે છે.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભને આધારે, "ન્યાયી" ને બીજી રીતે અનુવાદ કરવામાં "નૈતિક રીતે ખરું" અથવા "વાજબી" નો સમાવેશ કરી શકાય.
- "ન્યાય" શબ્દનો અનુવાદ "વાજબી વર્તાવ" અથવા "પરિણામો માટે લાયક" એ પ્રમાણે કરી શકાય.
- "ન્યાયપૂર્ણ રીતે વર્તવું" નું અનુવાદ "વાજબી રીતે વર્તવું" અથવા "ન્યાયી રીતે વર્તવું" એમ કરી શકાય.
- કેટલાંક સંદર્ભોમાં, "ન્યાયી" નું અનુવાદ "ન્યાયી" અથવા "સદ્દગુણી" તરીકે કરી શકાય.
- સંદર્ભને આધારે, "અન્યાયી" નું અનુવાદ "ગેરવ્યાજબી" અથવા "પક્ષપાતી" અથવા "અન્યાયી" તરીકે પણ કરી શકાય.
- "અન્યાયી" શબ્દસમૂહનું અનુવાદ "અન્યાયી વ્યક્તિઓ" અથવા "અન્યાયી લોકો" અથવા "લોકો કે જેઓ બીજાઓ સાથે ગેરવ્યાજબી રીતે વર્તે છે" અથવા "અન્યાયી લોકો" અથવા "લોકો કે જેઓએ ઈશ્વરનો અનાદર કર્યો" તરીકે કરી શકાય.
- "અન્યાયી રીતે" શબ્દનું અનુવાદ "ગેરવ્યાજબી રીતે" અથવા "ખોટી રીતે" અથવા "ગેરવ્યાજબી" એમ કરી શકાય.
- "અન્યાય" નું અનુવાદ કરવાની રીતોમાં "ખોટો વર્તાવ" અથવા "ગેરવ્યાજબી વર્તાવ" અથવા "ગેરવ્યાજબી રીતે વર્તવું" નો સમાવેશ કરી શકાય. (જુઓ: અવ્યક્ત નામો
- "ન્યાયી ઠરાવવું" નું અનુવાદ કરવાની રીતોમાં "કોઈકને ન્યાયી જાહેર કરવું" અથવા "કોઈકને ન્યાયી બનાવવું" નો સમાવેશ કરી શકાય.
- "ન્યાયીકરણ" શબ્દનું અનુવાદ "ન્યાયી જાહેર કરવું" અથવા "ન્યાયી થવું/બનવું" અથવા "લોકોને ન્યાયી બનાવવું" તરીકે કરી શકાય.
- "ન્યાયીકરણમાં પરીણમવું" શબ્દસમૂહનું અનુવાદ "તેથી ઈશ્વરે ઘણાં લોકોને ન્યાયી ઠરાવ્યા" અથવા "જેનું પરીણામ ઈશ્વરે લોકોને ન્યાયી ઠરાવ્યા" તરીકે કરી શકાય.
- "આપણાં ન્યાયીકરણ માટે" શબ્દસમૂહનું અનુવાદ "આપણે ઈશ્વર દ્વારા ન્યાયી બની શકીએ તે હેતુથી" એમ કરી શકાય.
(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)
બાઈબલના સંદર્ભો:
- ઉત્પત્તિ 44:16-17
- 1 કાળુવૃતાંત 18:14-17
- યશાયા 4:3-4
- યર્મિયા 22:1-3
- હઝકિયેલ 18:16-17
- મીખાહ 3:8
- માથ્થી 5:43-45
- માથ્થી 11:18-19
- માથ્થી 23:23-24
- લૂક 18:3-5
- લૂક 18:6-8
- લૂક 18:13-14
- લૂક 21:20-22
- લૂક 23:39-41
- પ્રેરિતોના કૃત્યો 13:38-39
- પ્રેરિતોના કૃત્યો 28:3-4
- રોમનો 4:1-3
- ગલાતીઓ 3:6-9
- ગલાતીઓ 3:10-12
- ગલાતીઓ 5:3-4
- તિતસ 3:6-7
- હિબ્રૂઓ 6:9-10
- યાકુબ 2:21-24
- પ્રકટીકરણ 15:3-4
બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:
- 17:9 દાઉદે રાજ કર્યું ન્યાય અને વિશ્વાસુપણા સાથે ઘણાં વરસો સુધી, અને ઈશ્વરે તેને આશીર્વાદિત કર્યો.
- 18:13 (યહુદીયા) ના કેટલાંક રાજાઓ સારા પુરુધો હતા જેઓએ ન્યાયી રીતે રાજ કર્યું અને ઈશ્વરનું ભજન કર્યું.
- 19:16 તેઓ (પ્રબોધકો) સર્વએ લોકોને મૂર્તિપૂજા રોકવા અને શરૂ કરવા કહ્યું ન્યાય અને બીજાઓ માટે દયા.
- 50:17 ઈસુ તેમનં રાજયનું રાજ કરશે શાંતિ સાથે અને ન્યાય, અને તેઓ તેમના લોકો સાથે સર્વકાળ હશે.
શબ્દ માહિતી:
- Strong's: H205, H2555, H3477, H5765, H5766, H5767, H6662, H6663, H6664, H6666, H8003, H8264, H8636, G91, G93, G94, G1342, G1344, G1345, G1346, G1347, G1738
પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત
વ્યાખ્યા:
“પક્ષ” એટલે પસંદ છે.
જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.
- “પક્ષપાત” શબ્દનો અર્થ કેટલાક લોકો પ્રત્યે તરફેણ કરે પણ બીજાઓ માટે નહી.
તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.????
સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.
- ઈસુ દેવ અને માણસોની “પ્રસન્નતામાં” વધતો ગયો.
તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.
- કોઇ થી “પક્ષ શોધવો” અભિવ્યક્તિ કે તે વ્યક્તિ દ્વારા કોઇકને મંજુર કરવો.?????
- જયારે રાજા કોઈના માટે પક્ષ બતાવે છે, ત્યારે મોટેભાગે તેનો અર્થ કે તે વ્યક્તિની વિનંતીને મંજૂર અને તેનું અનુદાન કરે છે.
- “પક્ષ” એ અન્ય વ્યક્તિ તરફ અને તેના ફાયદા માટે હાવભાવ અથવા ક્રિયા પણ હોઈ શકે છે.
ભાષાંતરના સૂચનો:
- “પક્ષ” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરતા, “આશીર્વાદ” અથવા “ફાયદો” નો સમાવેશ કરીને કરી શકાય છે.
- “યહોવાની તરફેણનો દિવસ” નું ભાષાંતર “વર્ષ (અથવા સમય” જયારે યહોવા મહાન આશીર્વાદ લાવશે” તરીકે કરી શકાય છે.
- “પક્ષપાત” શબ્દનું ભાષાંતર “તરફેણ” અથવા “પૂર્વગ્રહવાળું હોવું” અથવા “અન્યાયી વર્તન” તરીકે કરી શકાય છે.
આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.
બાઈબલની કલમો:
- 1 શમુએલ 2:25-26
- 2 કાળવૃતાંત 19:6-7
- 2 કરિંથી 1:11
- પ્રેરિતો 24:26-27
- ઉત્પત્તિ 41:14-16
- ઉત્પત્તિ 47:25-26
- ઉત્પત્તિ 50:4-6
શબ્દ માહિતી:
- Strong's: H995, H1156, H1293, H1779, H1921, H2580, H2603, H2896, H5278, H5375, H5414, H5922, H6213, H6437, H6440, H7521, H7522, H7965, G1184, G3685, G4380, G4382, G5485, G5486
પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત
વ્યાખ્યા:
“પક્ષ” એટલે પસંદ છે.
જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.
- “પક્ષપાત” શબ્દનો અર્થ કેટલાક લોકો પ્રત્યે તરફેણ કરે પણ બીજાઓ માટે નહી.
તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.????
સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.
- ઈસુ દેવ અને માણસોની “પ્રસન્નતામાં” વધતો ગયો.
તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.
- કોઇ થી “પક્ષ શોધવો” અભિવ્યક્તિ કે તે વ્યક્તિ દ્વારા કોઇકને મંજુર કરવો.?????
- જયારે રાજા કોઈના માટે પક્ષ બતાવે છે, ત્યારે મોટેભાગે તેનો અર્થ કે તે વ્યક્તિની વિનંતીને મંજૂર અને તેનું અનુદાન કરે છે.
- “પક્ષ” એ અન્ય વ્યક્તિ તરફ અને તેના ફાયદા માટે હાવભાવ અથવા ક્રિયા પણ હોઈ શકે છે.
ભાષાંતરના સૂચનો:
- “પક્ષ” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરતા, “આશીર્વાદ” અથવા “ફાયદો” નો સમાવેશ કરીને કરી શકાય છે.
- “યહોવાની તરફેણનો દિવસ” નું ભાષાંતર “વર્ષ (અથવા સમય” જયારે યહોવા મહાન આશીર્વાદ લાવશે” તરીકે કરી શકાય છે.
- “પક્ષપાત” શબ્દનું ભાષાંતર “તરફેણ” અથવા “પૂર્વગ્રહવાળું હોવું” અથવા “અન્યાયી વર્તન” તરીકે કરી શકાય છે.
આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.
બાઈબલની કલમો:
- 1 શમુએલ 2:25-26
- 2 કાળવૃતાંત 19:6-7
- 2 કરિંથી 1:11
- પ્રેરિતો 24:26-27
- ઉત્પત્તિ 41:14-16
- ઉત્પત્તિ 47:25-26
- ઉત્પત્તિ 50:4-6
શબ્દ માહિતી:
- Strong's: H995, H1156, H1293, H1779, H1921, H2580, H2603, H2896, H5278, H5375, H5414, H5922, H6213, H6437, H6440, H7521, H7522, H7965, G1184, G3685, G4380, G4382, G5485, G5486
પડદો, પડદાઓ
વ્યાખ્યા:
બાઈબલમાં, “પડદો” શબ્દ, મુલાકાત મંડપ અને મંદિર બનાવવામાં માટે વપરાતી કપડાંની સામગ્રીના ખૂબજ જાડો અને ભારે ટુકડાને દર્શાવે છે.
- મુલાકાત મંડપની ટોચ અને બાજુઓને બાંધવા માટે ચાર પડના પડદાઓ વાપરવામાં આવ્યા હતા.
આ પડદાના આવરણો કાપડ અથવા પશુઓની ચામડીમાંથી બનાવેલા હતા.
- કપડાના પડદાઓ મુલાકાત મંડપના આંગણાની આસપાસની દીવાલ બનાવવા પણ વપરાતા હતા.
આ પડદાઓ “શણ” માંથી બનાવેલા હતા, કે જે શણના છોડમાંથી બનાવેલું એક પ્રકારનું કાપડ હતું.
- મુલાકાત મંડપ અને મંદિર બંને ઇમારતોમાં, જાડા કાપડના પડદાઓ પવિત્રસ્થાન અને પરમ પવિત્રસ્થાનની વચ્ચે લટકાવેલા હતા.
આ તે પડદાઓ હતા કે જયારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે ચમત્કારિક રીતે બે ભાગોમાં ચિરાઈ ગયા હતા.
ભાષાંતરના સૂચનો:
- આધુનિક સમયના પડદાઓ બાઈબલમાં વાપરવામાં આવેલા પડદાઓથી ખૂબજ અલગ છે, તે વધારે સ્પષ્ટ કરવા માટે કદાચ શક્ય હોય તો અલગ શબ્દ વાપરવો અથવા પડદાઓનું વર્ણન કરવા શબ્દો ઉમેરવા.
- સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર, “પડદાનું આવરણ” અથવા “આવરણ” અથવા “જાડા કપડાનો ટુકડો” અથવા “પશુઓની ચામડીનું આવરણ” એવા શબ્દોનો સમાવેશ કરી શકાય.
(આ પણ જુઓ: પવિત્ર સ્થાન, મુલાકાતમંડપ, મંદિર)
બાઈબલની કલમો:
- હિબ્રૂ 10:19-22
- લેવીય 4:16-17
- લૂક 23:44-45
- માથ્થી 27:51-53
- ગણના 4:5-6
શબ્દ માહિતી:
- Strong's: H1852, H3407, H4539, H6532, H7050, G2665
પડદો, ઘૂંઘટ, અસ્પષ્ટ, અનાવરણ
વ્યાખ્યા:
"પડદો" શબ્દ સામાન્ય રીતે કાપડના પાતળા ભાગને દર્શાવે છે, જે માથાના આવરણ તરીકે ઉપયોગમાં લેવાય છે, માથા કે ચહેરાને ઢાંકવા માટે કે જેથી તેને જોઈ શકાતું નથી.
- યહોવાના હાજરીમાં મૂસાએ તેનો ચહેરો પડદોથી ઢાંકી દીધો, જેથી તેનો ચમકતો ચહેરો લોકોથી ઢંકાયેલો રહે..
- બાઇબલમાં, સ્ત્રીઓ તેમના માથાને આવરી લેવા માટે એક પડદો પહેરી હતી, અને ઘણી વાર જ્યારે તે જાહેરમાં હતી અથવા પુરુષોની હાજરીમાં હતી ત્યારે તેમનો ચહેરો ઢાંકતી.
- “ઢાંકવું" ક્રિયાપદ એક પડદાથી કંઈક આવરી લેવું એ અર્થ થાય છે.
- કેટલાક અંગ્રેજી આવૃત્તિઓમાં, "પડદો" શબ્દ જાડો પડદો કે મોટા ભાગના પરમ પવિત્ર સ્થળના પ્રવેશને આવરી લેવાના સંદર્ભ માટે વપરાય છે.
પરંતુ તે સંદર્ભમાં "પડદો" એ વધુ સારો શબ્દ છે, કારણ કે તે કાપડના ભારે, જાડા ભાગને દર્શાવે છે.
અનુવાદનાં સૂચનો
- શબ્દ "પડદા" નું ભાષાંતર "પાતળા કાપડનું આવરણ" અથવા "કાપડનું આવરણ" અથવા "માથાનું આવરણ" તરીકે પણ થઇ શકે છે.
- કેટલીક સંસ્કૃતિઓમાં, પહેલેથી જ મહિલાઓ માટેના પડદા માટે એક શબ્દ હોઇ શકે છે.
મૂસા માટે તેનો ઉપયોગ થતો હોય ત્યારે કોઈ અલગ શબ્દ શોધવાનું જરૂરી બની શકે છે.
)આ પણ જુઓ: મૂસા)
બાઇબલ સંદર્ભો
- 2 કોરિંથી 3:12-13
- 2 કોરિંથી 3:14-16
- હઝકિયેલ 13:17-18
- યશાયાહ 47:1-2
- ગીતોનું ગીત 4:3
શબ્દ માહિતી:
પડોશી, પડોશીઓ, પાડોશ, પાડોશના
વ્યાખ્યા:
“પડોશી” શબ્દ સામાન્ય રીતે નજીકમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.
વધુમાં, તે એક જ સમુદાયમાં અથવા તો લોકજાતિમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ પણ કરી શકે છે.
- “પડોશી” એવી વ્યક્તિ છે કે જેનું રક્ષણ કરવામાં આવે છે અને તેની સાથે ભલાઈથી વર્તવામાં આવે છે કારણકે તે એક જ સમુદાયનો ભાગ છે.
- નવા કરારના ભલા સમરૂનીના દ્રષ્ટાંતમાં, ઈસુએ “પડોશી” શબ્દનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે કર્યો. બધા જ મનુષ્યોનો સમાવેશ કરતા અને જેને શત્રુ માનવામાં આવે તેનો પણ સમાવેશ કરતા તેમણે તેના અર્થને વિસ્તાર્યો.
- જો શક્ય હોય તો, “તમારી આસપાસ રહેતી વ્યક્તિ” એવો અર્થ ધરાવનાર શબ્દ કે શબ્દસમૂહ વાપરીને આ શબ્દનો શબ્દશઃ અનુવાદ કરવો સૌથી શ્રેષ્ઠ રહેશે.
(આ પણ જૂઓ: વૈરી, દ્રષ્ટાંત, લોકજાતિ, સમરૂન)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કર્યો 7:26-28
- એફેસી 4:25-27
- ગલાતી 5:13-15
- યાકૂબ 2:8-9
- યોહાન 9:8-9
- લૂક 1:56-58
- માથ્થી 5:43-45
- માથ્થી 19:18-19
- માથ્થી 22:39-40
શબ્દ માહિતી:
- Strong's: H5997, H7138, H7453, H7468, H7934, G1069, G2087, G4040, G4139
પડોશી, પડોશીઓ, પાડોશ, પાડોશના
વ્યાખ્યા:
“પડોશી” શબ્દ સામાન્ય રીતે નજીકમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.
વધુમાં, તે એક જ સમુદાયમાં અથવા તો લોકજાતિમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ પણ કરી શકે છે.
- “પડોશી” એવી વ્યક્તિ છે કે જેનું રક્ષણ કરવામાં આવે છે અને તેની સાથે ભલાઈથી વર્તવામાં આવે છે કારણકે તે એક જ સમુદાયનો ભાગ છે.
- નવા કરારના ભલા સમરૂનીના દ્રષ્ટાંતમાં, ઈસુએ “પડોશી” શબ્દનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે કર્યો. બધા જ મનુષ્યોનો સમાવેશ કરતા અને જેને શત્રુ માનવામાં આવે તેનો પણ સમાવેશ કરતા તેમણે તેના અર્થને વિસ્તાર્યો.
- જો શક્ય હોય તો, “તમારી આસપાસ રહેતી વ્યક્તિ” એવો અર્થ ધરાવનાર શબ્દ કે શબ્દસમૂહ વાપરીને આ શબ્દનો શબ્દશઃ અનુવાદ કરવો સૌથી શ્રેષ્ઠ રહેશે.
(આ પણ જૂઓ: વૈરી, દ્રષ્ટાંત, લોકજાતિ, સમરૂન)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કર્યો 7:26-28
- એફેસી 4:25-27
- ગલાતી 5:13-15
- યાકૂબ 2:8-9
- યોહાન 9:8-9
- લૂક 1:56-58
- માથ્થી 5:43-45
- માથ્થી 19:18-19
- માથ્થી 22:39-40
શબ્દ માહિતી:
- Strong's: H5997, H7138, H7453, H7468, H7934, G1069, G2087, G4040, G4139
પત્ર, પત્ર, પત્રો
વ્યાખ્યા:
પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.
પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.
- નવા કરારના સમયોમાં, પત્રો અને બીજા પ્રકારના પત્રો પ્રાણીની ચામડીઓમાથી બનાવેલ ચર્મપત્રો અથવા વનસ્પતિના રેસામાથી બનાવેલ પેપિરસ પર લખવામાં આવતા હતા.
- પાઉલ, યોહાન, યાકુબ, અને પિત્તરના નવા કરારના પત્રો સૂચનાના પત્રો હતા જે તેમણે સમગ્ર રોમન સામ્રાજ્યના વિવિધ શહેરોમાં વસતા શરૂઆતના ખ્રિસ્તીઓને ઉત્તેજન, બોધ, અને શીખવવા માટે લખ્યા હતા.
- આ શબનો અનુવાદ કરવાની રીતોમાં "લેખિત સંદેશ" અથવા "લેખિત શબ્દો" અથવા "લખાણ" નો સમાવેશ કરી શકાય.
(આ પણ જુઓ: હિંમત, બોધ, શીખવવું)
બાઈબલના સંદર્ભો:
- 1 થેસ્સાલોનિકીઓ 5:25-28
- 2 થેસ્સાલોનિકીઓ 2:13-15
- પ્રેરિતોના કૃત્યો 9:1-2
- પ્રેરિતોના કૃત્યો 28:21-22
શબ્દ માહિતી:
- Strong's: H104, H107, H3791, H4385, H5406, H5407, H5612, H6600, G1121, G1989, G1992
પત્ર, પત્ર, પત્રો
વ્યાખ્યા:
પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.
પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.
- નવા કરારના સમયોમાં, પત્રો અને બીજા પ્રકારના પત્રો પ્રાણીની ચામડીઓમાથી બનાવેલ ચર્મપત્રો અથવા વનસ્પતિના રેસામાથી બનાવેલ પેપિરસ પર લખવામાં આવતા હતા.
- પાઉલ, યોહાન, યાકુબ, અને પિત્તરના નવા કરારના પત્રો સૂચનાના પત્રો હતા જે તેમણે સમગ્ર રોમન સામ્રાજ્યના વિવિધ શહેરોમાં વસતા શરૂઆતના ખ્રિસ્તીઓને ઉત્તેજન, બોધ, અને શીખવવા માટે લખ્યા હતા.
- આ શબનો અનુવાદ કરવાની રીતોમાં "લેખિત સંદેશ" અથવા "લેખિત શબ્દો" અથવા "લખાણ" નો સમાવેશ કરી શકાય.
(આ પણ જુઓ: હિંમત, બોધ, શીખવવું)
બાઈબલના સંદર્ભો:
- 1 થેસ્સાલોનિકીઓ 5:25-28
- 2 થેસ્સાલોનિકીઓ 2:13-15
- પ્રેરિતોના કૃત્યો 9:1-2
- પ્રેરિતોના કૃત્યો 28:21-22
શબ્દ માહિતી:
- Strong's: H104, H107, H3791, H4385, H5406, H5407, H5612, H6600, G1121, G1989, G1992
પથ્થર, પથ્થરો, પથ્થર મારવા
વ્યાખ્યા:
પથ્થર એ નાનો ખડક છે.
કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા.
“પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.
- પ્રાચીન સમયમાં, લોકોને જે ગુનો તેમણે કર્યો હોય તેની શિક્ષા તરીકે પથ્થર વડે મારી નાંખવાની સામાન્ય રીત હતી.
- ઈશ્વરે ઈઝરાયેલીઓના આગેવાનોને હુકમ આપ્યો હતો કે ચોક્કસ પાપો જેવા કે વ્યભિચારને માટે લોકોને પથ્થરે મારવા.
- નવા કરારમાં, ઈસુએ વ્યભિચારમાં પકડાયેલ સ્ત્રીને માફ કરી અને લોકોને પથ્થર મારતા અટકાવ્યા.
- સ્તેફન, કે જે બાઈબલમાં પ્રથમ વ્યક્તિ હતો જેને ઈસુ વિશેની સાક્ષીને કારણે પથ્થરો મારીને મારી નાંખવામાં આવ્યો.
- લુસ્ત્રા શહેરમાં, પ્રેરિત પાઉલને પથ્થર મારવામાં આવ્યા, પરંતુ તે તેના ઘાઓથી મરણ પામ્યો નહિ.
(આ પણ જુઓ: વ્યભિચાર, સોંપવું, ગુનો, મરી જવું, લુસ્ત્રા, જુબાની)
બાઈબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 7:57-58
- પ્રેરિતોના કૃત્યો 7:59-60
- પ્રેરિતોના કૃત્યો 14:5-7
- પ્રેરિતોના કૃત્યો 14:19-20
- યોહાન 8:4-6
- લૂક 13:34-35
- લૂક 20:5-6
- માથ્થી 23:37-39
શબ્દ માહિતી:
- Strong's: H68, H69, H810, H1382, H1496, H1530, H2106, H2672, H2687, H2789, H4676, H4678, H5553, H5601, H5619, H6344, H6443, H6697, H6864, H6872, H7275, H7671, H8068, G2642, G2991, G3034, G3035, G3036, G3037, G4074, G4348, G5586
પથ્થર, પથ્થરો, પથ્થર મારવા
વ્યાખ્યા:
પથ્થર એ નાનો ખડક છે.
કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા.
“પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.
- પ્રાચીન સમયમાં, લોકોને જે ગુનો તેમણે કર્યો હોય તેની શિક્ષા તરીકે પથ્થર વડે મારી નાંખવાની સામાન્ય રીત હતી.
- ઈશ્વરે ઈઝરાયેલીઓના આગેવાનોને હુકમ આપ્યો હતો કે ચોક્કસ પાપો જેવા કે વ્યભિચારને માટે લોકોને પથ્થરે મારવા.
- નવા કરારમાં, ઈસુએ વ્યભિચારમાં પકડાયેલ સ્ત્રીને માફ કરી અને લોકોને પથ્થર મારતા અટકાવ્યા.
- સ્તેફન, કે જે બાઈબલમાં પ્રથમ વ્યક્તિ હતો જેને ઈસુ વિશેની સાક્ષીને કારણે પથ્થરો મારીને મારી નાંખવામાં આવ્યો.
- લુસ્ત્રા શહેરમાં, પ્રેરિત પાઉલને પથ્થર મારવામાં આવ્યા, પરંતુ તે તેના ઘાઓથી મરણ પામ્યો નહિ.
(આ પણ જુઓ: વ્યભિચાર, સોંપવું, ગુનો, મરી જવું, લુસ્ત્રા, જુબાની)
બાઈબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 7:57-58
- પ્રેરિતોના કૃત્યો 7:59-60
- પ્રેરિતોના કૃત્યો 14:5-7
- પ્રેરિતોના કૃત્યો 14:19-20
- યોહાન 8:4-6
- લૂક 13:34-35
- લૂક 20:5-6
- માથ્થી 23:37-39
શબ્દ માહિતી:
- Strong's: H68, H69, H810, H1382, H1496, H1530, H2106, H2672, H2687, H2789, H4676, H4678, H5553, H5601, H5619, H6344, H6443, H6697, H6864, H6872, H7275, H7671, H8068, G2642, G2991, G3034, G3035, G3036, G3037, G4074, G4348, G5586
પરદેશી, અલગ કરે છે, અલગ કરેલું, વિદેશ, વિદેશી, વિદેશીઓ
વ્યાખ્યા:
“વિદેશી” શબ્દ વ્યક્તિ કે જે દેશ તેનો પોતાનો નથી તેમાં રહે છે, તે દર્શાવે છે.
વિદેશીનું બીજું એક નામ “પરદેશી” છે.
- જૂના કરારમાં, ખાસ કરીને આ શબ્દ કોઇપણ કે જે તે લોકોની વચ્ચે રહેતો હતો, તેના કરતાં અન્ય લોકોના જૂથમાંથી આવે છે, તે દર્શાવે છે.
- વિદેશી વ્યક્તિ તે છે કે જેની ભાષા અને સંસ્કૃતિ બીજા પ્રદેશની જગ્યાથી અલગ હોય છે.
- ઉદાહરણ તરીકે, જયારે નાઓમી અને તેણીનું કુટુંબ મોઆબમાં રહેવા ગયા, ત્યારે ત્યાં તેઓ વિદેશીઓ હતા.
પછીથી જયારે નાઓમી અને તેણીની પુત્ર વધૂ રૂથ ઈઝરાએલમાં રહેવા આવ્યા, ત્યારે રૂથને “વિદેશી” કહેવામાં આવી હતી કારણકે તેણી મૂળ ઈઝરાએલથી નહોતી.
- પાઉલ પ્રેરીતે એફેસીઓને કહ્યું કે ખ્રિસ્તને જાણ્યાં પહેલા, તેઓ દેવના કરાર માટે “પરદેશીઓ” હતા.
- ક્યારેક “વિદેશી” શબ્દનું ભાષાંતર, “અજાણી વ્યક્તિ” છે, પણ તે ફક્ત કોઈક કે જે અજાણ્યા અથવા અજ્ઞાત વ્યક્તિઓને માટે દર્શાવવું જોઈએ નહીં.
બાઈબલની કલમો:
- 2 કાળવૃતાંત 2:17-18
- પ્રેરિતો 7:29-30
- પુનર્નિયમ 1:15-16
- ઉત્પત્તિ 15:12-13
- ઉત્પત્તિ 17:24-27
- લૂક 17:17-19
- માથ્થી 17:24-25
શબ્દ માહિતી:
- Strong's: H312, H628, H776, H1471, H1481, H1616, H2114, H3363, H3937, H4033, H5236, H5237, H5361, H6154, H8453, G241, G245, G526, G915, G1854, G3581, G3927, G3941
પરદેશી, અલગ કરે છે, અલગ કરેલું, વિદેશ, વિદેશી, વિદેશીઓ
વ્યાખ્યા:
“વિદેશી” શબ્દ વ્યક્તિ કે જે દેશ તેનો પોતાનો નથી તેમાં રહે છે, તે દર્શાવે છે.
વિદેશીનું બીજું એક નામ “પરદેશી” છે.
- જૂના કરારમાં, ખાસ કરીને આ શબ્દ કોઇપણ કે જે તે લોકોની વચ્ચે રહેતો હતો, તેના કરતાં અન્ય લોકોના જૂથમાંથી આવે છે, તે દર્શાવે છે.
- વિદેશી વ્યક્તિ તે છે કે જેની ભાષા અને સંસ્કૃતિ બીજા પ્રદેશની જગ્યાથી અલગ હોય છે.
- ઉદાહરણ તરીકે, જયારે નાઓમી અને તેણીનું કુટુંબ મોઆબમાં રહેવા ગયા, ત્યારે ત્યાં તેઓ વિદેશીઓ હતા.
પછીથી જયારે નાઓમી અને તેણીની પુત્ર વધૂ રૂથ ઈઝરાએલમાં રહેવા આવ્યા, ત્યારે રૂથને “વિદેશી” કહેવામાં આવી હતી કારણકે તેણી મૂળ ઈઝરાએલથી નહોતી.
- પાઉલ પ્રેરીતે એફેસીઓને કહ્યું કે ખ્રિસ્તને જાણ્યાં પહેલા, તેઓ દેવના કરાર માટે “પરદેશીઓ” હતા.
- ક્યારેક “વિદેશી” શબ્દનું ભાષાંતર, “અજાણી વ્યક્તિ” છે, પણ તે ફક્ત કોઈક કે જે અજાણ્યા અથવા અજ્ઞાત વ્યક્તિઓને માટે દર્શાવવું જોઈએ નહીં.
બાઈબલની કલમો:
- 2 કાળવૃતાંત 2:17-18
- પ્રેરિતો 7:29-30
- પુનર્નિયમ 1:15-16
- ઉત્પત્તિ 15:12-13
- ઉત્પત્તિ 17:24-27
- લૂક 17:17-19
- માથ્થી 17:24-25
શબ્દ માહિતી:
- Strong's: H312, H628, H776, H1471, H1481, H1616, H2114, H3363, H3937, H4033, H5236, H5237, H5361, H6154, H8453, G241, G245, G526, G915, G1854, G3581, G3927, G3941
પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર
વ્યાખ્યા:
“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે
- ફક્ત દેવજ સંપૂર્ણપણે પવિત્ર છે.
તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.
- વ્યક્તિ કે જે પવિત્ર છે તે દેવનો છે, અને દેવની સેવાના હેતુ માટે અને તેને મહિમા મળે માટે અલગ કરાયેલો છે.
- જે વસ્તુ જેને ઈશ્વરે પવિત્ર જાહેર કર્યું છે, એટલે કે જેને તેના મહિમા અને તેના કાર્ય માટે અલગ કરવામાં આવ્યા છે, જેમકે જે વેદી જે બલિદાન ચઢાવવા વાપરવામાં આવે છે.
- જ્યાં સુધી તે (દેવ) પરવાનગી ના આપે ત્યાં સુધી લોકો તેની નજીક જઈ શકતા નથી, કારણકે તે પવિત્ર છે અને તેઓ માત્ર મનુષ્ય, પાપી અને અપૂર્ણ છે.
- જૂના કરારમાં, દેવે યાજકોને તેની સેવા માટે પવિત્ર તરીકે અલગ કર્યા છે.
દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.
- દેવે ચોક્કસ સ્થળો અને વસ્તુઓને પણ પવિત્ર કરીને અલગ કર્યા કે જે તેના છે અથવા તેમાં તે પોતાને પ્રગટ કરે છે, જેમકે કે તેનું મંદિર.
શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.”
તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.
- આ શબ્દ કોઈ કે જે તેની વિરુદ્ધ બળવો કરી દેવનું અપમાન કરે છે, તેનું વર્ણન કરવા વાપરવામાં આવ્યો છે.
- વસ્તુ જે સામાન્ય, અપવિત્ર અથવા અશુદ્ધ હોય તેને “અપવિત્ર” કહી શકાય છે.
તે દેવનું નથી.
“પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.
- જૂના કરારમાં, “પવિત્ર” શબ્દ મોટેભાગે પત્થરના થાંભલાઓ અને બીજા વસ્તુઓ કે જે જૂઠા દેવોની આરાધનામાં વાપરવામાં આવતા હતા.
તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.
- “પવિત્ર ગીતો” અને “પવિત્ર સંગીત” કે જે દેવના મહિમા માટે જે ગાવામાં અથવા વગાડવામાં આવે છે, તેને દર્શાવે છે.
તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.
- “પવિત્ર ફરજો” શબ્દસમૂહ, “ધાર્મિક ફરજો” અથવા “વિધિ” કે જે લોકોને દેવની આરાધનામાં દોરવા માટે યાજક જે કરે છે, તેને દર્શાવે છે.
તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- “પવિત્ર” શબ્દના ભાષાંતરમાં, “દેવ માટે અલગ કરાયેલું” અથવા “દેવનું” અથવા “સંપૂર્ણ શુદ્ધ” અથવા “સંપૂર્ણપણે પાપ રહિત” અથવા “પાપથી અલગ કરાયેલું” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
- મોટેભાગે અંગ્રેજીમાં “પવિત્ર બનાવવા” શબ્દનું ભાષાંતર, “શુદ્ધ કરવું” તરીકે કરવામાં આવેલું છે.
તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.
- “અપવિત્ર” (શબ્દ)ના ભાષાંતરમાં જે, “પવિત્ર નથી” અથવા “જે દેવનું નથી તેવું” અથવા “દેવને માન આપતો નથી” અથવા “દૈવી નથી” તેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
- કેટલાક સંદર્ભોમાં, “અપવિત્ર”નું ભાષાંતર “અશુદ્ધ” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 28:20-22
- 2 રાજા 3:1-3
- યર્મિયાનો વિલાપ 4:1-2
- હઝકિયેલ 20:18-20
- માથ્થી 7:6
- માર્ક 8:38
- પ્રેરિતો 7:33-34
- પ્રેરિતો 11:7-10
- રોમન 1:1-3
- 2 કરિંથી 12:3-5
- કલોસ્સી 1:21-23
- 1 થેસ્સલોનિકી 3:11-13
- 1 થેસ્સલોનિકી 4:7-8
- 2 તિમોથી 3:14-15
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 1:16 તેણે (દેવે) સાતમા દિવસને આશીર્વાદ દીધો અને તેને પવિત્ર ઠરાવ્યો, કારણકે આ દિવસે તે તેના કામથી સ્વસ્થ રહ્યો.
- 9:12 “તું પવિત્ર જગા ઉપર ઊભો છે.”
- 13:1 “જો તમે મારી આજ્ઞા પાળશો અને મારો કરાર માનશો, તો તમે મારું કિંમતી દ્રવ્ય અને યાજકોનું રાજ્ય અને પવિત્ર દેશ કહેવાશો.
- 13:5 “ હંમેશા સાબ્બાથ દિવસને પવિત્ર રાખો.”
- 22:5 “જેથી તે બાળક જે દેવનો દીકરો છે, તે પવિત્ર હશે,.”
- 50:2 જયારે આપણે ઈસુના પાછા આવવાની રાહ જોઈએ છીએ, ત્યારે દેવ ચાહે છે કે આપણે એવું પવિત્ર જીવન જીવીએ કે જેથી તેને માન મળે.
શબ્દ માહિતી:
- Strong's: H430, H2455, H2623, H4676, H4720, H6918, H6922, H6942, H6944, H6948, G37, G38, G39, G40, G41, G42, G462, G1859, G2150, G2412, G2413, G2839, G3741, G3742
પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર
વ્યાખ્યા:
“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે
- ફક્ત દેવજ સંપૂર્ણપણે પવિત્ર છે.
તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.
- વ્યક્તિ કે જે પવિત્ર છે તે દેવનો છે, અને દેવની સેવાના હેતુ માટે અને તેને મહિમા મળે માટે અલગ કરાયેલો છે.
- જે વસ્તુ જેને ઈશ્વરે પવિત્ર જાહેર કર્યું છે, એટલે કે જેને તેના મહિમા અને તેના કાર્ય માટે અલગ કરવામાં આવ્યા છે, જેમકે જે વેદી જે બલિદાન ચઢાવવા વાપરવામાં આવે છે.
- જ્યાં સુધી તે (દેવ) પરવાનગી ના આપે ત્યાં સુધી લોકો તેની નજીક જઈ શકતા નથી, કારણકે તે પવિત્ર છે અને તેઓ માત્ર મનુષ્ય, પાપી અને અપૂર્ણ છે.
- જૂના કરારમાં, દેવે યાજકોને તેની સેવા માટે પવિત્ર તરીકે અલગ કર્યા છે.
દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.
- દેવે ચોક્કસ સ્થળો અને વસ્તુઓને પણ પવિત્ર કરીને અલગ કર્યા કે જે તેના છે અથવા તેમાં તે પોતાને પ્રગટ કરે છે, જેમકે કે તેનું મંદિર.
શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.”
તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.
- આ શબ્દ કોઈ કે જે તેની વિરુદ્ધ બળવો કરી દેવનું અપમાન કરે છે, તેનું વર્ણન કરવા વાપરવામાં આવ્યો છે.
- વસ્તુ જે સામાન્ય, અપવિત્ર અથવા અશુદ્ધ હોય તેને “અપવિત્ર” કહી શકાય છે.
તે દેવનું નથી.
“પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.
- જૂના કરારમાં, “પવિત્ર” શબ્દ મોટેભાગે પત્થરના થાંભલાઓ અને બીજા વસ્તુઓ કે જે જૂઠા દેવોની આરાધનામાં વાપરવામાં આવતા હતા.
તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.
- “પવિત્ર ગીતો” અને “પવિત્ર સંગીત” કે જે દેવના મહિમા માટે જે ગાવામાં અથવા વગાડવામાં આવે છે, તેને દર્શાવે છે.
તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.
- “પવિત્ર ફરજો” શબ્દસમૂહ, “ધાર્મિક ફરજો” અથવા “વિધિ” કે જે લોકોને દેવની આરાધનામાં દોરવા માટે યાજક જે કરે છે, તેને દર્શાવે છે.
તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- “પવિત્ર” શબ્દના ભાષાંતરમાં, “દેવ માટે અલગ કરાયેલું” અથવા “દેવનું” અથવા “સંપૂર્ણ શુદ્ધ” અથવા “સંપૂર્ણપણે પાપ રહિત” અથવા “પાપથી અલગ કરાયેલું” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
- મોટેભાગે અંગ્રેજીમાં “પવિત્ર બનાવવા” શબ્દનું ભાષાંતર, “શુદ્ધ કરવું” તરીકે કરવામાં આવેલું છે.
તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.
- “અપવિત્ર” (શબ્દ)ના ભાષાંતરમાં જે, “પવિત્ર નથી” અથવા “જે દેવનું નથી તેવું” અથવા “દેવને માન આપતો નથી” અથવા “દૈવી નથી” તેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
- કેટલાક સંદર્ભોમાં, “અપવિત્ર”નું ભાષાંતર “અશુદ્ધ” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 28:20-22
- 2 રાજા 3:1-3
- યર્મિયાનો વિલાપ 4:1-2
- હઝકિયેલ 20:18-20
- માથ્થી 7:6
- માર્ક 8:38
- પ્રેરિતો 7:33-34
- પ્રેરિતો 11:7-10
- રોમન 1:1-3
- 2 કરિંથી 12:3-5
- કલોસ્સી 1:21-23
- 1 થેસ્સલોનિકી 3:11-13
- 1 થેસ્સલોનિકી 4:7-8
- 2 તિમોથી 3:14-15
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 1:16 તેણે (દેવે) સાતમા દિવસને આશીર્વાદ દીધો અને તેને પવિત્ર ઠરાવ્યો, કારણકે આ દિવસે તે તેના કામથી સ્વસ્થ રહ્યો.
- 9:12 “તું પવિત્ર જગા ઉપર ઊભો છે.”
- 13:1 “જો તમે મારી આજ્ઞા પાળશો અને મારો કરાર માનશો, તો તમે મારું કિંમતી દ્રવ્ય અને યાજકોનું રાજ્ય અને પવિત્ર દેશ કહેવાશો.
- 13:5 “ હંમેશા સાબ્બાથ દિવસને પવિત્ર રાખો.”
- 22:5 “જેથી તે બાળક જે દેવનો દીકરો છે, તે પવિત્ર હશે,.”
- 50:2 જયારે આપણે ઈસુના પાછા આવવાની રાહ જોઈએ છીએ, ત્યારે દેવ ચાહે છે કે આપણે એવું પવિત્ર જીવન જીવીએ કે જેથી તેને માન મળે.
શબ્દ માહિતી:
- Strong's: H430, H2455, H2623, H4676, H4720, H6918, H6922, H6942, H6944, H6948, G37, G38, G39, G40, G41, G42, G462, G1859, G2150, G2412, G2413, G2839, G3741, G3742
પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા
સત્યો:
આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે.
એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.
- પવિત્ર આત્માને “આત્મા” અને “યહોવાનો આત્મા” અને “સત્યનો આત્મા” તરીકે પણ દર્શાવવામાં આવે છે.
- કારણકે પવિત્ર આત્મા દેવ છે, તે સંપૂર્ણપણે પવિત્ર છે, અનંત શુદ્ધ, અને તેના પૂર્ણ સ્વભાવમાં અને જે બધું કરે છે તેમાં તે નૈતિક રીતે સંપૂર્ણ છે.
- પિતા અને પુત્રની સાથે, પવિત્ર આત્મા જગતનું સર્જન કરવામાં સક્રિય હતો.
- જયારે દેવનો દીકરો ઈસુ, સ્વર્ગમાં પરત ગયા, ત્યારે દેવે તેના લોકોને દોરવણી આપવા, તેઓને શીખવવા, દિલાસો આપવા, અને તેઓને દેવની ઈચ્છા પ્રમાણે કરવા પવિત્ર આત્મા મોકલ્યો.
- પવિત્ર આત્મા એ ઈસુને માર્ગદર્શન આપ્યું અને તે જેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને માર્ગ દર્શન આપે છે.
ભાષાંતરના સૂચનો:
- આ શબ્દોનું ભાષાંતર કરવા માટે, “પવિત્ર” અને “આત્મા” શબ્દોનો ઉપયોગ કરી શકાય છે.
- આ શબ્દના ભાષાંતરમાં, “શુદ્ધ આત્મા” અથવા “આત્મા કે જે પવિત્ર છે” અથવા “દેવ આત્મા” શબ્દોનો સમાવેશ કરીને પણ (ભાષાંતર) કરી શકાય છે.
આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)
બાઈબલની કલમો:
- 1 શમુએલ 10:9-10
- 1 થેસ્સલોનિકી 4:7-8
- પ્રેરિતો 8:14-17
- ગલાતી 5:25-26
- ઉત્પત્તિ 1:1-2
- યશાયા 63:10
- અયૂબ 33:4-5
- માથ્થી 12:31-32
- માથ્થી 28:18-19
- ગીતશાસ્ત્ર 51:10-11
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 1:1 પરંતુ દેવનો આત્મા ત્યાં પાણી ઉપર હતો.
- 24:8 બાપ્તિસમા પામ્યા પછી જયારે ઈસુ પાણીમાંથી બહાર આવ્યો, ત્યારે દેવનો આત્મા કબૂતરના રૂપમાં દેખાયો અને નીચે ઉતરીને તેના ઉપર બેઠો.
- 26:1 શેતાનના પરીક્ષણો પર જીત પ્રાપ્ત કર્યા બાદ, ઈસુ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈને ગાલીલના પ્રદેશમાં જ્યાં તે રહેતો હતો ત્યાં પાછો આવ્યો.
- 26:3 ઈસુએ વાચ્યું, “દેવે તેનો આત્મા મને આપ્યો છે કે જેથી હું દરિદ્રીઓને સુવાર્તા જાહેર કરું, બંદીવાનોને છૂટકારો, અંધજનોને દ્રષ્ટિ, અને દબાયેલાને છોડાવું.”
- 42:10 જેથી તમે જઈને સર્વ જાતિના લોકોને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા આપતા જાઓ, અને મેં તમને જે જે આજ્ઞા આપી છે, તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.”
- 43:3 તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા હતા અને તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા.
- 43:8 “તેણે જે વચન આપ્યું હતું તે પ્રમાણે તેણે ઈસુએ પવિત્ર આત્મા મોકલ્યો. પવિત્ર આત્મા જે કાર્ય કરી રહ્યો છે કે જે તમે જુઓ છો અને સાંભળો છો.
- 43:11 પિતરે તેઓને જવાબ આપ્યો, દરેક જણે પસ્તાવો કરવો અને ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા લેવું જોઈએ જેથી દેવ તમારા પાપો માફ કરે. પછી તે તમને પવિત્ર આત્મા પણ આપશે.”
- 45:1 તેની (સ્તેફન) ની સારી પ્રતિષ્ઠા હતી અને પવિત્ર આત્મા અને જ્ઞાનથી ભરપૂર હતો.
શબ્દ માહિતી:
- Strong's: H3068, H6944, H7307, G40, G4151
પવિત્ર નગર, પવિત્ર નગરો
વ્યાખ્યા:
બાઈબલમાં, “પવિત્ર નગર” શબ્દ યરૂશાલેમ શહેરને દર્શાવે છે.
- આ શબ્દ યરૂશાલેમના પ્રાચીન શહેર, તેમ જ નવું આકાશી યરૂશાલેમ કે જ્યાં દેવ રહેશે, અને તેના લોકોમાં રાજ્ય કરશે તેને દર્શાવવા માટે વાપરવામાં આવ્યો છે.
- આ શબ્દનું ભાષાંતર, “પવિત્ર” અને “શહેર” શબ્દો ભેગા કરીને કરી શકાય છે કે જે બાકીના ભાષાંતરમાં વાપરવામાં આવ્યા છે.
(આ પણ જુઓ: સ્વર્ગ, પવિત્ર, યરૂશાલેમ)
બાઈબલની કલમો:
- માથ્થી 4:5-6
- માથ્થી 27:51-53
- પ્રકટીકરણ 21:1-2
- પ્રકટીકરણ 21:9-10
- પ્રકટીકરણ 22:18-19
શબ્દ માહિતી:
- Strong's: H5892, H6944, G40, G4172
પવિત્ર સ્થાન
વ્યાખ્યા:
બાઈબલમાં “પવિત્ર સ્થાન” અને “પરમ પવિત્ર સ્થાન” શબ્દો, મુલાકાત મંડપના અથવા મંદિરની ઈમારતના બે ભાગોને દર્શાવે છે. પ્રથમ ખંડ “પવિત્ર સ્થાન” હતું, અને તેમાં વેદીનો ધૂપ અને ટેબલ ઉપર ખાસ “રોટલીની હાજરી” રાખવામાં આવતી હતી.
- સૌથી અંદરનો ખંડ, જે બીજું સ્થાન હતું કે જે “પરમ પવિત્ર સ્થાન” કહેવાતું, અને તેમાં કરારકોશ આવેલો હતો.
- જાડા, ભારે પડદા બહારના ખંડથી અંદરના ખંડને અલગ કરતા.
- ફક્ત પ્રમુખ યાજક એક જ હતો કે જેને પરમપવિત્ર સ્થાનમાં જવાની પરવાનગી આપવામાં આવતી હતી.
- ક્યારેક, મંદિર અથવા મુલાકાત મંડપની ઈમારત અને આંગણાનો એમ બંને વિસ્તારને “પવિત્ર સ્થાન” તરીકે દર્શાવવામાં આવે છે.
સામાન્ય રીતે તે કોઈપણ જગ્યા હોય, તે દેવ માટે અલગ કરાયેલી હતી એમ દર્શાવી શકાય છે.
ભાષાંતરના સૂચનો:
- “પવિત્ર સ્થાન” શબ્દનું ભાષાંતર, “ખંડ કે જે દેવ માટે અલગ કરાયેલો છે” અથવા “દેવને મળવાનો ખાસ ઓરડો” અથવા “દેવ માટેનું અનામત સ્થળ” તરીકે પણ કરી શકાય છે.
- “પરમ પવિત્ર સ્થાન” શબ્દ નું ભાષાંતર “દેવ માટે સૌથી અલગ કરાયેલો ઓરડો” અથવા “દેવને મળવા માટેનો વિશેષ ઓરડો” તરીકે કરી શકાય છે. સંદર્ભ પર આધાર રાખીને, “પવિત્ર સ્થાન” શબ્દનું સામાન્ય અભિવ્યક્તિમાં ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “અભિષેક કરેલું સ્થાન” અથવા “દેવ કે જેણે અલગ કરેલું સ્થાન” અથવા “મંદિરની ઇમારતનું સ્થાન, કે જે પવિત્ર છે” અથવા “દેવના પવિત્ર મંદિરનું આંગણુ,” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: ધૂપનીવેદી, કરારકોશ, રોટલી, પાવન કરવું, અદાલત, પડદો, પવિત્ર, અલગ કરવું, મુલાકાતમંડપ, મંદિર)
બાઈબલની કલમો:
- 1 રાજા 6:16-18
- પ્રેરિતો 6:12-15
- નિર્ગમન 26:31-33
- નિર્ગમન 31:10-11
- હઝકિયેલ 41:1-2
- એઝરા 9:8-9
- હિબ્રૂ 9:1-2
- લેવીય 16:17-19
- માથ્થી 24:15-18
- પ્રકટીકરણ 15:5-6
શબ્દ માહિતી:
- Strong's: H1964, H4720, H4725, H5116, H6918, H6944, G39, G40, G3485, G5117
પવિત્રસ્થાન
વ્યાખ્યા:
શાબ્દિક રીતે “પવિત્રસ્થાન”નો અર્થ “પવિત્ર સ્થાન” અને તે જે જગ્યાને ઈશ્વરે પવિત્ર બનાવી છે તેનો ઉલ્લેખ કરે છે. તે એવી પણ જગ્યાનો ઉલ્લેખ કરે છે કે જે રક્ષણ અને સલામતી આપે છે.
- જુના કરારમાં, “પવિત્રસ્થાન” શબ્દનો વારંવાર ઉપયોગ મુલાકાતમંડપ અથવા મંદિર કે જ્યાં “પવિત્ર સ્થાન” અને “પરમ પવિત્રસ્થાન” સ્થાપિત હતું તેનો ઉલ્લેખ કરવા માટે થયો હતો.
- ઈશ્વરે પવિત્રસ્થાનને તેઓ તેમના લોકો, ઈઝરાયેલીઓ મધ્યે રહેતાં હતાં તે સ્થળ તરીકે ઉલ્લેખ કર્યો હતો.
- તેઓ પોતાને “પવિત્રસ્થાન” અથવા તેમના લોકોને માટે સલામત જગ્યા કે જ્યાં તેઓ રક્ષણ મેળવી શકે એ પ્રમાણે પણ ઓળખાવતાં હતાં.
અનુવાદ માટેના સૂચનો:
- આ શબ્દનો મૂળભૂત અર્થ "પવિત્ર સ્થાન" અથવા "સ્થળ કે જે અલગ કરવામાં આવ્યું છે" તે છે.
- સંદર્ભને આધારે “પવિત્રસ્થાન” શબ્દનો અનુવાદ “પવિત્ર સ્થાન” અથવા “પવિત્ર ઈમારત” અથવા “ઈશ્વરનું પવિત્ર રહેવાનું સ્થાન” અથવા “રક્ષણ માટેનું પવિત્ર સ્થાન” અથવા “સલામતી માટેનું પવિત્ર સ્થાન” એ પ્રમાણે કરી શકાય.
- શબ્દસમૂહ “પવિત્રસ્થાનનું શેકેલ” નું અનુવાદ “મુલાકાત મંડપને માટે એક પ્રકારનું શેકેલ આપવામાં આવતું” અથવા “મંદિરની સંભાળ લેવાને માટે કર ચુકવવા શેકેલનો ઉપયોગ થતો” આ પ્રમાણે કરી શકાય.
- નોંધ: સાવધ રહો કે આ શબ્દનું અનુવાદ આધુનિક સમયની મંડળીમાં ભજન ખંડનો ઉલ્લેખ કરતુ નથી
(આ પણ જુઓ: પવિત્ર, પવિત્ર આત્મા, પવિત્ર, અલગ કરવું, મુલાકાતમંડપ, વેરો, મંદિર)
બાઈબલના સંદર્ભો:
- આમોસ 7:12-13
- નિર્ગમન 25:3-7
- હઝકિયેલ 25:3-5
- હિબ્રુઓ 8:1-2
- લૂક 11:49-51
- ગણના 18:1-2
- ગીતશાસ્ત્ર 78:67-69
શબ્દ માહિતી:
- Strong's: H4720, H6944, G39
પવિત્રસ્થાન
વ્યાખ્યા:
શાબ્દિક રીતે “પવિત્રસ્થાન”નો અર્થ “પવિત્ર સ્થાન” અને તે જે જગ્યાને ઈશ્વરે પવિત્ર બનાવી છે તેનો ઉલ્લેખ કરે છે. તે એવી પણ જગ્યાનો ઉલ્લેખ કરે છે કે જે રક્ષણ અને સલામતી આપે છે.
- જુના કરારમાં, “પવિત્રસ્થાન” શબ્દનો વારંવાર ઉપયોગ મુલાકાતમંડપ અથવા મંદિર કે જ્યાં “પવિત્ર સ્થાન” અને “પરમ પવિત્રસ્થાન” સ્થાપિત હતું તેનો ઉલ્લેખ કરવા માટે થયો હતો.
- ઈશ્વરે પવિત્રસ્થાનને તેઓ તેમના લોકો, ઈઝરાયેલીઓ મધ્યે રહેતાં હતાં તે સ્થળ તરીકે ઉલ્લેખ કર્યો હતો.
- તેઓ પોતાને “પવિત્રસ્થાન” અથવા તેમના લોકોને માટે સલામત જગ્યા કે જ્યાં તેઓ રક્ષણ મેળવી શકે એ પ્રમાણે પણ ઓળખાવતાં હતાં.
અનુવાદ માટેના સૂચનો:
- આ શબ્દનો મૂળભૂત અર્થ "પવિત્ર સ્થાન" અથવા "સ્થળ કે જે અલગ કરવામાં આવ્યું છે" તે છે.
- સંદર્ભને આધારે “પવિત્રસ્થાન” શબ્દનો અનુવાદ “પવિત્ર સ્થાન” અથવા “પવિત્ર ઈમારત” અથવા “ઈશ્વરનું પવિત્ર રહેવાનું સ્થાન” અથવા “રક્ષણ માટેનું પવિત્ર સ્થાન” અથવા “સલામતી માટેનું પવિત્ર સ્થાન” એ પ્રમાણે કરી શકાય.
- શબ્દસમૂહ “પવિત્રસ્થાનનું શેકેલ” નું અનુવાદ “મુલાકાત મંડપને માટે એક પ્રકારનું શેકેલ આપવામાં આવતું” અથવા “મંદિરની સંભાળ લેવાને માટે કર ચુકવવા શેકેલનો ઉપયોગ થતો” આ પ્રમાણે કરી શકાય.
- નોંધ: સાવધ રહો કે આ શબ્દનું અનુવાદ આધુનિક સમયની મંડળીમાં ભજન ખંડનો ઉલ્લેખ કરતુ નથી
(આ પણ જુઓ: પવિત્ર, પવિત્ર આત્મા, પવિત્ર, અલગ કરવું, મુલાકાતમંડપ, વેરો, મંદિર)
બાઈબલના સંદર્ભો:
- આમોસ 7:12-13
- નિર્ગમન 25:3-7
- હઝકિયેલ 25:3-5
- હિબ્રુઓ 8:1-2
- લૂક 11:49-51
- ગણના 18:1-2
- ગીતશાસ્ત્ર 78:67-69
શબ્દ માહિતી:
- Strong's: H4720, H6944, G39
પસંદ કરેલું, પસંદ કરેલાઓ, પસંદ, પસંદ કરેલા લોકો, પસંદ કરેલો, ચૂંટવું
વ્યાખ્યા:
શાબ્દિક રીતે “ચૂંટી કાઢવું” શબ્દનો અર્થ, “પસંદ કરેલાઓ” અથવા “પસંદ કરેલા લોકો” જેમની દેવે નિમણૂક અથવા તેના લોકો થવા પસંદ કર્યા છે, તે દર્શાવે છે.
“પસંદ કરેલા” અથવા દેવના પસંદ કરેલા” શીર્ષક કે જે ઈસુને દર્શાવે છે, કે જે પસંદ કરેલો મસીહા છે.
- “પસંદ” શબ્દનો અર્થ, કઈંક અથવા કોઈકને પસંદ કરવું/કરવો અથવા કઈંક નક્કી કરવું.
મોટેભાગે તે એવી વ્યક્તિને દર્શાવે છે કે જેને દેવ તેના લોક થવા સારું અને તેની સેવા કરવા સારું નિમણૂક કરે છે.
“પસંદ કરેલા હોવું” શબ્દનો અર્થ કઈંક કરવા “પસંદ હોવું” અથવા” નિમણૂક કરેલું હોવું.”
- દેવે લોકોને પવિત્ર રહેવા, સારા આત્મિક ફળ ધારણ કરવાના હેતુ માટે તેના દ્વારા અલગ કરી પસંદ કર્યા છે.
તેને લીધે તેઓ “પસંદ કરાયેલા અથવા “ચૂંટેલા” કહેવાય છે.
- ” “પસંદ કરાયેલા” શબ્દ બાઈબલમાં ક્યારેક ચોક્કસ લોકો જેવા કે મૂસા, અને દાઉદ રાજા જેમને દેવે તેના લોકો ઉપર નેતાઓ તરીકે નિમણૂક કરી, તે માટે વાપર્યો છે.
તે ઈઝરાયેલ દેશના પસંદ કરેલા લોકોને દર્શાવવા પણ વપરાયો છે.
- “ચૂંટવું” શબ્દ એ જૂનો શબ્દસમૂહ છે કે જેનો શાબ્દિક અર્થ, “પસંદ કરેલા” અથવા “પસંદ કરેલા લોકો” થાય છે.
જયારે ખ્રિસ્તમાં વિશ્વાસીઓને દર્શાવવામાં આવે છે, ત્યારે મૂળ ભાષામાં આ શબ્દસમૂહ બહુવચન છે.
- બાઈબલની જૂના અંગ્રેજીની આવૃત્તિમાં, જૂના અને નવા કરારના બન્નેના ભાષાંતરમાં, “પસંદ કરેલા(ઓ)” (બહુવચન) માટે “ચૂંટવું” શબ્દ વાપરવામાં આવ્યો છે.
નવા કરારમાં “ચૂંટવું” શબ્દ, મોટાભાગની આધુનિક આવૃત્તિઓમાં વાપર્યો છે, જે દર્શાવે છે કે લોકો વિશ્વાસથી ઈસુમાં દેવ દ્વ્રારા બચાવવામાં આવ્યા છે.
બાઈબલના અન્યત્ર લખાણમાં તેઓએ “પસંદ કરેલાઓ” તરીકે આ શબ્દનું ભાષાંતર વધારે શાબ્દિક રીતે કર્યું છે.
ભાષાંતરના સૂચનો:
- “ચૂંટવું” શબ્દ અથવા શબ્દસમૂહનું શ્રેષ્ઠ ભાષાંતર કરીએ તેઓ અર્થ, “પસંદ કરેલાઓ” અથવા “પસંદ કરેલા લોકો” થાય છે. તેનું ભાષાંતર, “લોકો જેમને દેવે પસંદ કરેલા” અથવા “દેવે તેમને તેના લોકો થવા નિમણૂક કરેલા છે” તરીકે પણ (ભાષાંતર) કરી શકાય છે.
- “જેઓ પસંદ કરેલા હતા” શબ્દસમૂહનું ભાષાંતર, “જેઓની નિમણૂક કરેલી હતી” અથવા “જેઓને પસંદ કરેલા હતા” અથવા “જેમને દેવે પસંદ કર્યા” તરીકે પણ કરી શકાય છે.
- “મેં તમને પસંદ કર્યા છે” તે શબ્દનું ભાષાંતર, “મેં તમારી નિમણૂક કરી છે” અથવા “મેં તમને પસંદ કર્યા છે” એમ થઇ શકે છે.
- ઈસુના સંદર્ભમાં, “પસંદ કરેલાનું ભાષાંતર “દેવનો પસંદ કરાયેલ” અથવા “દેવ દ્વારા ખાસ નિમાયેલો મસીહા” અથવા “એક કે જે દેવે (લોકોને બચાવવા) નિમેલો” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: નિમણુક, ખ્રિસ્ત)
બાઈબલની કલમો:
- 2 યોહાન 1:1-3
- કોલોસ્સી 3:12-14
- એફેસી 1:3-4
- યશાયા 65:22-23
- લૂક 18:6-8
- માથ્થી 24:19-22
- રોમન 8:33-34
શબ્દ માહિતી:
- Strong's: H970, H972, H977, H1262, H1305, H4005, H6901, G138, G140, G1586, G1588, G1589, G1951, G4400, G4401, G4758, G4899, G5500
પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું
વ્યાખ્યા:
તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.
- “ પાણી” શબ્દનો અર્થ પાણીનું શરીર અથવા પાણીના ઘણા સ્રોતોનો ઉલ્લેખ કરે છે.
તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.
- “પાણી “નો અલંકારિક ઉપયોગ થાય છે, જે મહાન તકલીફ, મુશ્કેલીઓ અને દુઃખનો ઉલ્લેખ કરે છે.
દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.
- શબ્દસમૂહ "ઘણાં પાણીઓ” મુશ્કેલીઓ કેટલી મોટી છે તેના પર ભાર મૂકે છે.
- '' પાણી પીવડાવવું '' નો અર્થ પશુધન અને અન્ય પશુઓને " પાણી પૂરું પાડવું" થાય છે.
બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.
- જૂના કરારમાં, ઈશ્વરને તેના લોકો માટે"જીવતા પાણી" નો ઝરો અથવા ફુવારો તરીકે ઓળખવામાં આવે છે.
તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.
- નવા કરારમાં, ઈસુએ "જીવંત પાણી" શબ્દનો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ થાય છે પવિત્ર આત્મા એક વ્યક્તિમાં પરિવર્તન અને નવા જીવન લાવવા માટે કામ કરે છે.
અનુવાદનાં સૂચનો:
- શબ્દસમૂહ, "પાણી ભરવું” નું"એક ડોલથી કૂવામાંથી પાણી ખેંચવું” ભાષાંતર કરી શકાય છે.
"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે."
"આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.
- જ્યારે ઈસુ સમરૂની સ્ત્રીની સાથે કૂવા પર વાત કરી રહ્યા છે ત્યારે, "જીવંત પાણી" શબ્દનું ભાષાંતર "પાણી કે જે જીવન આપે છે" અથવા "જીવનઆપનાર પાણી" તરીકે કરી શકાય છે.
આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.
સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.
(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([
બાઇબલ સંદર્ભો:
- સામર્થ્ય
- નિર્ગમન 14:21-22
- યોહાન 4:9-10
- યોહાન 4:13-14
- યોહાન 4:15-16
- માથ્થી 14:28-30
શબ્દ માહિતી:
- Strong's: H2222, H4325, H4529, H4857, H7301, H7783, H8248, G504, G4215, G4222, G5202, G5204
પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું
વ્યાખ્યા:
તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.
- “ પાણી” શબ્દનો અર્થ પાણીનું શરીર અથવા પાણીના ઘણા સ્રોતોનો ઉલ્લેખ કરે છે.
તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.
- “પાણી “નો અલંકારિક ઉપયોગ થાય છે, જે મહાન તકલીફ, મુશ્કેલીઓ અને દુઃખનો ઉલ્લેખ કરે છે.
દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.
- શબ્દસમૂહ "ઘણાં પાણીઓ” મુશ્કેલીઓ કેટલી મોટી છે તેના પર ભાર મૂકે છે.
- '' પાણી પીવડાવવું '' નો અર્થ પશુધન અને અન્ય પશુઓને " પાણી પૂરું પાડવું" થાય છે.
બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.
- જૂના કરારમાં, ઈશ્વરને તેના લોકો માટે"જીવતા પાણી" નો ઝરો અથવા ફુવારો તરીકે ઓળખવામાં આવે છે.
તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.
- નવા કરારમાં, ઈસુએ "જીવંત પાણી" શબ્દનો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ થાય છે પવિત્ર આત્મા એક વ્યક્તિમાં પરિવર્તન અને નવા જીવન લાવવા માટે કામ કરે છે.
અનુવાદનાં સૂચનો:
- શબ્દસમૂહ, "પાણી ભરવું” નું"એક ડોલથી કૂવામાંથી પાણી ખેંચવું” ભાષાંતર કરી શકાય છે.
"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે."
"આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.
- જ્યારે ઈસુ સમરૂની સ્ત્રીની સાથે કૂવા પર વાત કરી રહ્યા છે ત્યારે, "જીવંત પાણી" શબ્દનું ભાષાંતર "પાણી કે જે જીવન આપે છે" અથવા "જીવનઆપનાર પાણી" તરીકે કરી શકાય છે.
આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.
સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.
(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([
બાઇબલ સંદર્ભો:
- સામર્થ્ય
- નિર્ગમન 14:21-22
- યોહાન 4:9-10
- યોહાન 4:13-14
- યોહાન 4:15-16
- માથ્થી 14:28-30
શબ્દ માહિતી:
- Strong's: H2222, H4325, H4529, H4857, H7301, H7783, H8248, G504, G4215, G4222, G5202, G5204
પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું
વ્યાખ્યા:
“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે.
પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.
- પાપ આપણે એવું કંઈપણ કરીએ છીએ જે ઈશ્વરને આધીન નથી અથવા તો તેમને પ્રસન્ન કરતુ નથી તેનો સમાવેશ કરે છે, એવી પણ બાબતો કે જેના વિષે બીજા કોઈ જાણતા નથી.
- વિચારો અને ક્રિયાઓ કે જે ઈશ્વરની ઈચ્છાને અનાધીન થાય છે તેને “પાપી” કહેવાય છે.
- આદમે પાપ કર્યું તેને કારણે, સમગ્ર માનવજાત “પાપી સ્વભાવ” થી જન્મે છે, એવો સ્વભાવ કે જે તેમના પર અંકુશ ધરાવે છે અને તેમને પાપ કરવા તરફ દોરી જાય છે.
- “પાપ કરનાર” એ છે કે જે પાપ કરે છે, તેથી દરેક મનુષ્ય પાપી છે.
- ઘણીવાર “પાપી” શબ્દ ધાર્મિક લોકો જેવા કે ફરોશીઓ દ્વારા એવા લોકોને સંબોધવા માટે વાપરવામાં આવતો હતો કે જેઓ નિયમો પાળતા ન હતા જે ફરોશીઓ ઈચ્છતા હતા કે તેમણે પાળવા જોઈએ.
- “પાપી” શબ્દ એવા લોકો માટે પણ વાપરવામાં આવતો હતો જેમને બીજા લોકો કરતાં ખરાબ પાપી ગણવામાં આવતા હતા.
ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.
અનુવાદ માટેના સૂચનો:
- “પાપ” શબ્દનું અનુવાદ એવા શબ્દ કે શબ્દસમૂહ જેનો અર્થ “ઈશ્વરને અનાધીન” અથવા “ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ જવું” અથવા “દુષ્ટ વર્તન અને વિચારો” અથવા “ખોટું કરવું” તેને માટે કરી શકાય.
- “પાપ” કરવું તેનું અનુવાદ આમ પણ કરી શકાય “ઈશ્વરનું ન માનવું” અથવા “ખોટું કરવું.”
- સંદર્ભને આધારે “પાપી” શબ્દનું અનુવાદ “ખોટું કરવાથી ભરપુર” અથવા “દુષ્ટ” અથવા “અનૈતિક” અથવા “દુષ્ટ” અથવા “ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારવું” એમ કરી શકાય.
- સંદર્ભને આધારે “પાપ કરનાર” નું અનુવાદ એવા શબ્દ કે શબ્દસમૂહનો અર્થ, “એવી વ્યક્તિ કે જે પાપ કરે છે” અથવા “વ્યક્તિ કે જે ખોટી બાબતો કરે છે” અથવા “વ્યક્તિ કે ઈશ્વરનું માનતી નથી” અથવા “વ્યક્તિ કે જે નિયમોને પાળતી નથી” થાય છે તે પ્રમાણે કરી શકાય.
- “પાપીઓ” શબ્દનું અનુવાદ જે શબ્દકે શબ્દસમૂહનો અર્થ “અતિ ઘણાં પાપી લોકો” અથવા “લોકો જેઓને ઘણાં પાપી ગણવામાં આવ્યા છે” અથવા “અનૈતિક લોકો” થાય તે પ્રમાણે કરી શકાય.
- “દાણીઓ અને પાપીઓ” નું અનુવાદ કરવાની રીતોમાં “લોકો કે જેઓ સરકાર માટે નાણાં ઉઘરાવે છે, અને બીજા ઘણાં પાપી લોકો” અથવા “ઘણાં પાપી લોકો, જેમાં દાણીઓનો પણ સમાવેશ થાય” કરી શકાય.
- અભિવ્યક્તિ જેવી કે “પાપના ગુલામો” અથવા “પાપ દ્વારા દોરવાતા,” “પાપ” શબ્દનું અનુવાદ “આજ્ઞાનો અનાદર” અથવા “દુષ્ટ ઇચ્છાઓ અને ક્રિયાઓ” કરી શકાય.
- એ ધ્યાનમાં રાખો કે આ શબ્દનું અનુવાદ પાપી વર્તન અને વિચારોનો સમાવેશ કરે, એવા પણ જેને બીજા લોકો જોઈ શકતા નથી કે જેણે વિષે જાણતા નથી.
- “પાપ” શબ્દ સામાન્ય, અને “દુષ્ટતા” અને “દુષ્ટ” શબ્દોથી જુદો હોવો જોઈએ.
(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)
બાઈબલના સંદર્ભો:
- 1 કાળુવૃતાંત 9:1-3
- 1 યોહાન 1:8-10
- 1 યોહાન 2:1-3
- 2 શમુએલ 7:12-14
- પ્રેરિતોના કૃત્યો 3:19-20
- દાનિયેલ 9:24-25
- ઉત્પતિ 4:6-7
- હિબ્રુઓ 12:1-3
- યશાયા 53:10-11
- યર્મિયા 18:21-23
- લેવીય 4:13-15
- લૂક 15:17-19
- માથ્થી 12:31-32
- રોમનો 6:22-23
- રોમનો 8:3-5
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 3:15 ઈશ્વરે કહ્યું, “હું વચન આપું છું હું હવે કદી લોકોના દુષ્ટ કૃત્યોને કારણે ભૂમિને શાપિત કરીશ નહિ, અથવા જળપ્રલય લાવીને જગતનો નાશ કરીશ નહિ, લોકો હોય પાપી તોપણ બાળપણના સમયથી.”
- 13:12 ઈશ્વર તેમના પર ઘણાં ગુસ્સે હતા તેમના પાપના કારણે અને યોજના કરી તેમનો નાશ કરવાને માટે.
- 20:1 ઈઝરાયેલ અને યહુદિયા બંને રાજ્યોએ પાપ કર્યું ઈશ્વરની વિરુદ્ધમાં.
તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.
- 21:13 પ્રબોધાકોએ પણ કહ્યું કેમસીહા સંપૂર્ણ, પાપરહિત હશે.
બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.
- 35:1 એક દિવસ, ઈસુ ઘણાં દાણીઓ અને બીજા પાપીઓને શીખવતા હતા જેઓ તેમનું સાંભળવા ભેગા થયા હતા.
- 38:5 પછી ઈસુએ પ્યાલો લીધો અને કહ્યું, “આ પીઓ.
તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.
- 43:11 પીટરે તેઓને ઉત્તર આપ્યો, “તમારામાના દરેકે પસ્તાવો કરવો જોઈએ અને ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ્તિસ્મા લેવું જોઈએ કે જેથી ઈશાવ્ર તમારા __પાપો__માફ કરે.”
- 48:8 આપણે સર્વ આપણા પાપોને માટે મારવાને લાયક છીએ!
- 49:17 જો કે તમે ખ્રિસ્તી વ્યક્તિ છો, તોપણ તમને પાપનું પરીક્ષણ થશે જ.
પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે.
તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.
શબ્દ માહિતી:
- Strong's: H817, H819, H2398, H2399, H2400, H2401, H2402, H2403, H2408, H2409, H5771, H6588, H7683, H7686, G264, G265, G266, G268, G361, G3781, G3900, G4258
પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું
વ્યાખ્યા:
“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે.
પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.
- પાપ આપણે એવું કંઈપણ કરીએ છીએ જે ઈશ્વરને આધીન નથી અથવા તો તેમને પ્રસન્ન કરતુ નથી તેનો સમાવેશ કરે છે, એવી પણ બાબતો કે જેના વિષે બીજા કોઈ જાણતા નથી.
- વિચારો અને ક્રિયાઓ કે જે ઈશ્વરની ઈચ્છાને અનાધીન થાય છે તેને “પાપી” કહેવાય છે.
- આદમે પાપ કર્યું તેને કારણે, સમગ્ર માનવજાત “પાપી સ્વભાવ” થી જન્મે છે, એવો સ્વભાવ કે જે તેમના પર અંકુશ ધરાવે છે અને તેમને પાપ કરવા તરફ દોરી જાય છે.
- “પાપ કરનાર” એ છે કે જે પાપ કરે છે, તેથી દરેક મનુષ્ય પાપી છે.
- ઘણીવાર “પાપી” શબ્દ ધાર્મિક લોકો જેવા કે ફરોશીઓ દ્વારા એવા લોકોને સંબોધવા માટે વાપરવામાં આવતો હતો કે જેઓ નિયમો પાળતા ન હતા જે ફરોશીઓ ઈચ્છતા હતા કે તેમણે પાળવા જોઈએ.
- “પાપી” શબ્દ એવા લોકો માટે પણ વાપરવામાં આવતો હતો જેમને બીજા લોકો કરતાં ખરાબ પાપી ગણવામાં આવતા હતા.
ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.
અનુવાદ માટેના સૂચનો:
- “પાપ” શબ્દનું અનુવાદ એવા શબ્દ કે શબ્દસમૂહ જેનો અર્થ “ઈશ્વરને અનાધીન” અથવા “ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ જવું” અથવા “દુષ્ટ વર્તન અને વિચારો” અથવા “ખોટું કરવું” તેને માટે કરી શકાય.
- “પાપ” કરવું તેનું અનુવાદ આમ પણ કરી શકાય “ઈશ્વરનું ન માનવું” અથવા “ખોટું કરવું.”
- સંદર્ભને આધારે “પાપી” શબ્દનું અનુવાદ “ખોટું કરવાથી ભરપુર” અથવા “દુષ્ટ” અથવા “અનૈતિક” અથવા “દુષ્ટ” અથવા “ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારવું” એમ કરી શકાય.
- સંદર્ભને આધારે “પાપ કરનાર” નું અનુવાદ એવા શબ્દ કે શબ્દસમૂહનો અર્થ, “એવી વ્યક્તિ કે જે પાપ કરે છે” અથવા “વ્યક્તિ કે જે ખોટી બાબતો કરે છે” અથવા “વ્યક્તિ કે ઈશ્વરનું માનતી નથી” અથવા “વ્યક્તિ કે જે નિયમોને પાળતી નથી” થાય છે તે પ્રમાણે કરી શકાય.
- “પાપીઓ” શબ્દનું અનુવાદ જે શબ્દકે શબ્દસમૂહનો અર્થ “અતિ ઘણાં પાપી લોકો” અથવા “લોકો જેઓને ઘણાં પાપી ગણવામાં આવ્યા છે” અથવા “અનૈતિક લોકો” થાય તે પ્રમાણે કરી શકાય.
- “દાણીઓ અને પાપીઓ” નું અનુવાદ કરવાની રીતોમાં “લોકો કે જેઓ સરકાર માટે નાણાં ઉઘરાવે છે, અને બીજા ઘણાં પાપી લોકો” અથવા “ઘણાં પાપી લોકો, જેમાં દાણીઓનો પણ સમાવેશ થાય” કરી શકાય.
- અભિવ્યક્તિ જેવી કે “પાપના ગુલામો” અથવા “પાપ દ્વારા દોરવાતા,” “પાપ” શબ્દનું અનુવાદ “આજ્ઞાનો અનાદર” અથવા “દુષ્ટ ઇચ્છાઓ અને ક્રિયાઓ” કરી શકાય.
- એ ધ્યાનમાં રાખો કે આ શબ્દનું અનુવાદ પાપી વર્તન અને વિચારોનો સમાવેશ કરે, એવા પણ જેને બીજા લોકો જોઈ શકતા નથી કે જેણે વિષે જાણતા નથી.
- “પાપ” શબ્દ સામાન્ય, અને “દુષ્ટતા” અને “દુષ્ટ” શબ્દોથી જુદો હોવો જોઈએ.
(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)
બાઈબલના સંદર્ભો:
- 1 કાળુવૃતાંત 9:1-3
- 1 યોહાન 1:8-10
- 1 યોહાન 2:1-3
- 2 શમુએલ 7:12-14
- પ્રેરિતોના કૃત્યો 3:19-20
- દાનિયેલ 9:24-25
- ઉત્પતિ 4:6-7
- હિબ્રુઓ 12:1-3
- યશાયા 53:10-11
- યર્મિયા 18:21-23
- લેવીય 4:13-15
- લૂક 15:17-19
- માથ્થી 12:31-32
- રોમનો 6:22-23
- રોમનો 8:3-5
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 3:15 ઈશ્વરે કહ્યું, “હું વચન આપું છું હું હવે કદી લોકોના દુષ્ટ કૃત્યોને કારણે ભૂમિને શાપિત કરીશ નહિ, અથવા જળપ્રલય લાવીને જગતનો નાશ કરીશ નહિ, લોકો હોય પાપી તોપણ બાળપણના સમયથી.”
- 13:12 ઈશ્વર તેમના પર ઘણાં ગુસ્સે હતા તેમના પાપના કારણે અને યોજના કરી તેમનો નાશ કરવાને માટે.
- 20:1 ઈઝરાયેલ અને યહુદિયા બંને રાજ્યોએ પાપ કર્યું ઈશ્વરની વિરુદ્ધમાં.
તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.
- 21:13 પ્રબોધાકોએ પણ કહ્યું કેમસીહા સંપૂર્ણ, પાપરહિત હશે.
બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.
- 35:1 એક દિવસ, ઈસુ ઘણાં દાણીઓ અને બીજા પાપીઓને શીખવતા હતા જેઓ તેમનું સાંભળવા ભેગા થયા હતા.
- 38:5 પછી ઈસુએ પ્યાલો લીધો અને કહ્યું, “આ પીઓ.
તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.
- 43:11 પીટરે તેઓને ઉત્તર આપ્યો, “તમારામાના દરેકે પસ્તાવો કરવો જોઈએ અને ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ્તિસ્મા લેવું જોઈએ કે જેથી ઈશાવ્ર તમારા __પાપો__માફ કરે.”
- 48:8 આપણે સર્વ આપણા પાપોને માટે મારવાને લાયક છીએ!
- 49:17 જો કે તમે ખ્રિસ્તી વ્યક્તિ છો, તોપણ તમને પાપનું પરીક્ષણ થશે જ.
પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે.
તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.
શબ્દ માહિતી:
- Strong's: H817, H819, H2398, H2399, H2400, H2401, H2402, H2403, H2408, H2409, H5771, H6588, H7683, H7686, G264, G265, G266, G268, G361, G3781, G3900, G4258
પાયમાલ, પાયમાલી, તારાજીઓ (નાશ)
વ્યાખ્યા:
“પાયમાલ” અને “પાયમાલી” શબ્દો વસવાટ કરેલા પ્રદેશને નાશ કરવો જેથી તે બિનવસવાટી જગ્યા બની જાય, તેને દર્શાવે છે.
- “પાયમાલ” શબ્દ જયારે વ્યક્તિ માટે દર્શાવાય છે ત્યારે તે વિનાશ, એકલતા અને દુઃખની પરિસ્થિતિ વર્ણવે છે.
- “પાયમાલી” શબ્દ, તે ઉજ્જડ હોવાની અવસ્થા અથવા પરિસ્થિતિ દર્શાવે છે.
- જે ખેતરમાં જ્યાં ફસલ પાકે છે તેનો નાશ કરવામાં આવે છે, તેનો અર્થ એમ કે કંઈક જેવા કે જંતુઓ (જીવડાં) અથવા લશ્કરના આક્રમણથી પાકનો નાશ થયો છે.
- “ઉજ્જડ પ્રદેશ” તે જમીનનો એવો વિસ્તાર દર્શાવે છે કે જ્યાં થોડા લોકો રહે છે, કારણકે ત્યાં ફસલો અને શાકભાજી ઓછા ઉગે છે.
- “ઉજ્જડ જમીન” અથવા “અરણ્ય” કે જ્યાં મોટેભાગે ઘરબારવિહોણા (જેવા કે રક્તપીતિયાઓ) અને ખતરનાક પ્રાણીઓ રહેતા હતાં.
- જો શહેર “પાયમાલ કરવામાં” આવ્યું છે તેનો અર્થ કે મકાનો અને માલ સમાનનો નાશ અથવા ચોરી કરવામાં આવી છે, અને તેના લોકોને મારી નાખવામાં અથવા પકડી લઇ જવામાં આવ્યા છે. જેથી શહેર “ખાલી” અને “નિર્જન” થયેલું છે. આવો જ સમાન અર્થ, “ઉજાડવું” અથવા “ઉજાડેલું” છે, પણ તે શબ્દમાં ખાલીપણું પર વધારે બહાર મૂકવામાં આવ્યો છે.
- સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર, “નિર્જન” અથવા “વિનાશ કરેલું” અથવા “નકામું કરી નાખવું” અથવા “એકાંકી અને ઘરબારવિહોણા” અથવા “રણ જેવું,” એવું (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: રણ, ઉજાડવું, વિનાશ, કચરો)
બાઈબલની કલમો :
- 2 રાજા 22:17-19
- પ્રેરિતો 1:20
- દાનિયેલ 9:17-19
- યર્મિયાનો વિલાપ 3:9-11
- લૂક 11:16-17
- માથ્થી 12:24-25
શબ્દ માહિતી:
- Strong's: H490, H816, H820, H910, H1327, H1565, H2717, H2720, H2721, H2723, H3173, H3341, H3456, H3582, H4875, H4876, H4923, H5352, H5800, H7582, H7612, H7701, H7722, H8047, H8074, H8076, H8077, G2048, G2049, G2050, G3443
પારાન
તથ્યો:
પારાન ઈજિપ્તની પૂર્વમાં અને કનાન દેશની દક્ષિણે આવેલો રણ કે અરણ્ય વિસ્તાર હતો.
ત્યાં પારાન પહાડ પણ હતો કે જે સિનાઈ પર્વતનું બીજું નામ હોય શકે છે.
- સારાએ ઇબ્રાહિમને હગાર દાસી તથા તેના પુત્ર ઇશ્માએલને કાઢી મૂકવા કહ્યું તે પછી તેઓ પારાનના અરણ્યમાં રહેવા ગયા.
- જ્યારે મૂસાએ ઇઝરાયલીઓને ઈજિપ્તમાંથી બહાર દોર્યા ત્યારે, તેઓએ પારાનના અરણ્યમાં થઈને મુસાફરી કરી.
- પારાનના અરણ્યના કાદેશ-બાર્નેઆથી મૂસાએ કનાન દેશની બાતમી કાઢવા અને તેનો અહેવાલ લાવવા બાર જાસૂસોને મોકલ્યા હતા.
- ઝીનનું અરણ્ય પારાનની ઉત્તરે હતું અને સીનનું અરણ્ય પારાનની દક્ષિણે હતું.
(આ પણ જૂઓ: કનાન, રણ, મિસર, કાદેશ, સિનાઈ)
બાઇબલના સંદર્ભો:
- 1 રાજા 11:18-19
- 1 શમુએલ 25:1
- ઉત્પત્તિ 21:19-21
- ગણના 10:11-13
- ગણના 13:3-4
શબ્દ માહિતી:
પાળક, પાળકો
વ્યાખ્યા:
“પાળક” શબ્દ શબ્દશઃ રીતે “ઘેટાંપાળક” નો સમાનાર્થી શબ્દ છે.
કોઈ વ્યક્તિ કે જે એક વિશ્વાસીઓના જૂથનો આત્મિક આગેવાન છે તેના માટે તે શીર્ષક તરીકે વપરાય છે.
- અંગ્રેજી બાઇબલના અનુવાદોમાં, “પાળક” શબ્દ ફક્ત એક જ વાર એટલે કે એફેસીઓના પત્રમાં જોવા મળે છે.
બીજે બધે જ્યાં “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે તેનો આ સમાનર્થી શબ્દ છે.
- કેટલીક ભાષાઓમાં, “પાળક” માટેનો શબ્દ “ઘેટાંપાળક” માટેના શબ્દ સમાન છે.
- ઈસુનો ઉલ્લેખ “ઉત્તમ ઘેટાંપાળક” તરીકે કરવામાં જે શબ્દ વપરાયો છે તે આ જ શબ્દ છે.
અનુવાદ માટેના સૂચનો:
- ભાષાંતર કરવાની ભાષામાં “ઘેટાંપાળક” માટે જે શબ્દ છે તે જ શબ્દ દ્વારા આ શબ્દનો અનુવાદ કરવો સૌથી શ્રેષ્ઠ રીત છે.
- આ શબ્દનો અનુવાદ કરવાની બીજી રીતોમાં “આત્મિક પાળક” અથવા તો “ખ્રિસ્તી પાળકિય આગેવાન” નો સમાવેશ થઈ શકે.
(આ પણ જૂઓ: ઘેટાંપાળક, ઘેટી)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
પાસ્ખા, પાસ્ખાપર્વ
તથ્યો:
ઈશ્વરે કેવી રીતે તેઓના પૂર્વજોને એટલે કે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની યાદગીરીમાં યહૂદીઓ દર વર્ષે જે ધાર્મિક પર્વ મનાવતા હતા તેનું નામ “પાસ્ખાપર્વ” છે.
- આ પર્વનું નામ એ હકીકત પર આધારિત છે કે જ્યારે ઈશ્વરે ઈજીપ્તના લોકોના પ્રથમજનિત પુત્રોનો સંહાર કર્યો ત્યારે તેમણે ઇઝરાયલીઓના ઘરોને ટાળ્યા અને તેઓના પુત્રોનો સંહાર કર્યો નહિ.
- પાસ્ખાપર્વની ઉજવણીમાં એક સંપૂર્ણ હલવાન (ઘેટું) કે જેને હલાલ કરીને તથા શેકીને અને ખમીર વગરની રોટલીનું તૈયાર કરેલું ખાસ ભોજન કરવામાં આવતું હતું.
આ ખોરાક તેમને તે ભોજનની યાદ અપાવતો હતો કે જેને ઇઝરાયલીઓએ ઈજિપ્તમાંથી છૂટકારો પામ્યા તેની આગલી રાત્રે ખાધું હતું.
- કેવી રીતે ઈશ્વરે તેઓના ઘરોને “ટાળ્યા” અને તેઓને ઈજીપ્તની ગુલામીમથી મુક્ત કર્યા તેને યાદ કરવા અને તેનો ઉત્સવ મનાવવા ઈશ્વરે ઇઝરાયલીઓને આ ભોજન દર વર્ષે ખાવા કહ્યું હતું.
અનુવાદ માટેના સૂચનો:
- “પાસ્ખાપર્વ” શબ્દનો અનુવાદ “પસાર થવું” અને “ઉપરથી” એ બંને શબ્દોને જોડીને અથવા તો આવો અર્થ ધરાવતા બીજા શબ્દોને જોડવા દ્વારા કરી શકાય.
- આ પર્વના નામ માટે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તે શબ્દો દૂતે ઇઝરાયલીઓના ઘરોને ટાળવામાં અને તેઓના પુત્રોને બચાવવામાં જે કર્યું તેની સાથે સ્પષ્ટ રીતે જોડાયેલા હોય તો તે મદદરૂપ થશે.
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 5:6-8
- 2 કાળવૃતાંત 30:13-15
- 2 રાજા 23:21-23
- પુનર્નિયમ 16:1-2
- નિર્ગમન 12:26-28
- એઝરા 6:21-22
- યોહાન 13:1-2
- યહોશુઆ 5:10-11
- લેવીય 23:4-6
- ગણના 9:1-3
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 12:14 ઈશ્વરે દર વર્ષે પાસ્ખાપર્વ પાળવા દ્વારા ઇઝરાયલીઓને ઈશ્વરનો ઈજિપ્તના લોકો પરનો વિજય અને ઇઝરાયલીઓનો ગુલામીમાંથી છૂટકારો યાદ રાખવા આજ્ઞા આપી.
- 38:1 યહૂદીઓ દર વર્ષે પાસ્ખાપર્વ પાળતા. ઘણી સદીઓ અગાઉ કેવી રીતે ઈશ્વરે તેઓના પૂર્વજોને ઈજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની આ ઉજવણી હતી.
- 38:4 ઈસુએ પોતાના શિષ્યો સાથે પાસ્ખાપર્વ મનાવ્યું.
- 48:9 જ્યારે ઈશ્વરે રક્ત જોયું ત્યારે, તેમણે તેઓના ઘરોને ટાળ્યા અને તેઓના પ્રથમજનિત પુત્રોનો સંહાર કર્યો નહીં. આ ઘટનાને પાસ્ખાપર્વ કહેવામાં આવે છે.
- 48:10 ઈસુ આપણું પાસ્ખાપર્વનું હલવાન છે.
તેઓ સંપૂર્ણ અને પાપરહિત હતા અને તેમને પાસ્ખાપર્વની ઉજવણી દરમ્યાન મારી નાખવામાં આવ્યા હતા.
શબ્દ માહિતી:
પાસ્ખા, પાસ્ખાપર્વ
તથ્યો:
ઈશ્વરે કેવી રીતે તેઓના પૂર્વજોને એટલે કે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની યાદગીરીમાં યહૂદીઓ દર વર્ષે જે ધાર્મિક પર્વ મનાવતા હતા તેનું નામ “પાસ્ખાપર્વ” છે.
- આ પર્વનું નામ એ હકીકત પર આધારિત છે કે જ્યારે ઈશ્વરે ઈજીપ્તના લોકોના પ્રથમજનિત પુત્રોનો સંહાર કર્યો ત્યારે તેમણે ઇઝરાયલીઓના ઘરોને ટાળ્યા અને તેઓના પુત્રોનો સંહાર કર્યો નહિ.
- પાસ્ખાપર્વની ઉજવણીમાં એક સંપૂર્ણ હલવાન (ઘેટું) કે જેને હલાલ કરીને તથા શેકીને અને ખમીર વગરની રોટલીનું તૈયાર કરેલું ખાસ ભોજન કરવામાં આવતું હતું.
આ ખોરાક તેમને તે ભોજનની યાદ અપાવતો હતો કે જેને ઇઝરાયલીઓએ ઈજિપ્તમાંથી છૂટકારો પામ્યા તેની આગલી રાત્રે ખાધું હતું.
- કેવી રીતે ઈશ્વરે તેઓના ઘરોને “ટાળ્યા” અને તેઓને ઈજીપ્તની ગુલામીમથી મુક્ત કર્યા તેને યાદ કરવા અને તેનો ઉત્સવ મનાવવા ઈશ્વરે ઇઝરાયલીઓને આ ભોજન દર વર્ષે ખાવા કહ્યું હતું.
અનુવાદ માટેના સૂચનો:
- “પાસ્ખાપર્વ” શબ્દનો અનુવાદ “પસાર થવું” અને “ઉપરથી” એ બંને શબ્દોને જોડીને અથવા તો આવો અર્થ ધરાવતા બીજા શબ્દોને જોડવા દ્વારા કરી શકાય.
- આ પર્વના નામ માટે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તે શબ્દો દૂતે ઇઝરાયલીઓના ઘરોને ટાળવામાં અને તેઓના પુત્રોને બચાવવામાં જે કર્યું તેની સાથે સ્પષ્ટ રીતે જોડાયેલા હોય તો તે મદદરૂપ થશે.
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 5:6-8
- 2 કાળવૃતાંત 30:13-15
- 2 રાજા 23:21-23
- પુનર્નિયમ 16:1-2
- નિર્ગમન 12:26-28
- એઝરા 6:21-22
- યોહાન 13:1-2
- યહોશુઆ 5:10-11
- લેવીય 23:4-6
- ગણના 9:1-3
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 12:14 ઈશ્વરે દર વર્ષે પાસ્ખાપર્વ પાળવા દ્વારા ઇઝરાયલીઓને ઈશ્વરનો ઈજિપ્તના લોકો પરનો વિજય અને ઇઝરાયલીઓનો ગુલામીમાંથી છૂટકારો યાદ રાખવા આજ્ઞા આપી.
- 38:1 યહૂદીઓ દર વર્ષે પાસ્ખાપર્વ પાળતા. ઘણી સદીઓ અગાઉ કેવી રીતે ઈશ્વરે તેઓના પૂર્વજોને ઈજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની આ ઉજવણી હતી.
- 38:4 ઈસુએ પોતાના શિષ્યો સાથે પાસ્ખાપર્વ મનાવ્યું.
- 48:9 જ્યારે ઈશ્વરે રક્ત જોયું ત્યારે, તેમણે તેઓના ઘરોને ટાળ્યા અને તેઓના પ્રથમજનિત પુત્રોનો સંહાર કર્યો નહીં. આ ઘટનાને પાસ્ખાપર્વ કહેવામાં આવે છે.
- 48:10 ઈસુ આપણું પાસ્ખાપર્વનું હલવાન છે.
તેઓ સંપૂર્ણ અને પાપરહિત હતા અને તેમને પાસ્ખાપર્વની ઉજવણી દરમ્યાન મારી નાખવામાં આવ્યા હતા.
શબ્દ માહિતી:
પિતર, સિમોન પિતર, કેફાસ
તથ્યો:
પિતર ઈસુના બાર શિષ્યોમાંનો એક હતો.
તે શરૂઆતની મંડળીનો એક મહત્ત્વનો આગેવાન હતો.
- ઈસુએ પિતરને પોતાનો શિષ્ય થવા બોલાવ્યો તે અગાઉ, તેનું નામ સિમોન હતું.
- બાદમાં, ઈસુએ તેનું નામ “કેફાસ” પાડ્યું, જેનો અર્થ અરામિક ભાષામાં “પથ્થર” અથવા તો “ખડક” થાય છે.
પિતર નામનો અર્થ ગ્રીક ભાષામાં પણ “પથ્થર” અથવા તો “ખડક” થાય છે.
- ઈશ્વરે પિતર દ્વારા લોકોને સાજા કરવા તથા ઈસુ વિષે સુવાર્તા પ્રસારવા કાર્ય કર્યું.
- નવા કરારમાં બે પુસ્તકો પિતરે સાથી વિશ્વાસીઓને ઉત્તેજન આપવા તથા શીખવવા લખેલા પત્રો છે.
(આ પણ જૂઓ: શિષ્ય, પ્રેરિત)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 8:25
- ગલાતી 2:6-8
- ગલાતી 2:11-12
- લૂક 22:56-58
- માર્ક 3:13-16
- માથ્થી 4:18-20
- માથ્થી 8:14-15
- માથ્થી 14:28-30
- માથ્થી 26:33-35
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 28:9 પિતરે ઈસુને કહ્યું, “અમે સઘળું છોડીને તમારું અનુસરણ કર્યું છે.
અમને શો બદલો મળશે?”
- 29:1 એક દિવસે પિતરે ઈસુને પૂછ્યું, “પ્રભુ, જ્યારે મારો ભાઈ મારી વિરુદ્ધ પાપ કરે ત્યારે મારે તેને કેટલી વાર માફ કરવું જોઈએ?
સાત વાર?”
- 31:5 પછી પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, જો તે તમે છો તો, મને પાણી પર ચાલીને તમારી પાસે આવવા આજ્ઞા કરો.”
ઈસુએ પિતરને કહ્યું, “આવ!”
- 36:1 એક દિવસે ઈસુએ તેમના ત્રણ શિષ્યોને એટલે કે, પિતર, યાકૂબ અને યોહાનને પોતાની સાથે લીધા.
- 38:9 પિતરે જવાબ આપ્યો, “જો કે બીજા બધા જ તમને તરછોડે તો પણ, હું તમને તરછોડીશ નહીં.”
પછી ઈસુએ પિતરને કહ્યું, “શેતાન તમારા બધા પર નિયંત્રણ ચાહે છે, પણ પિતર મેં તારા માટે પ્રાર્થના કરી છે કે તારો વિશ્વાસ નિષ્ફળ ન જાય.
તો પણ, આજે રાત્રે, તું ક્યારેય મને ઓળખતો હતો તે વિષે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર નકાર કરીશ.”
- 38:15 સૈનિકોએ ઈસુની ધરપકડ કરી ત્યારે, પિતરે તેની તલવાર કાઢીને પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.
- 43:11 પિતરે તેઓને જવાબ આપ્યો, “તમારામાંના દરેકે પશ્ચાતાપ કરવો જોઈએ અને ઈસુના નામમાં બાપ્તિસ્મા પામવું જોઈએ કે જેથી ઈશ્વર તમારા પાપ માફ કરે.”
- 44:8 પિતરે તેઓને જવાબ આપ્યો, “ઈસુ મસીહાના સામર્થ્ય દ્વારા આ માણસ તમારી સામે સાજો ઊભો છે.
શબ્દ માહિતી:
- Strong's: G2786, G4074, G4613
પિત્તળ
વ્યાખ્યા:
“પિત્તળ” શબ્દ, એક પ્રકારનું ધાતુ દર્શાવે છે કે જે તાંબુ અને કલાઈ ધાતુઓને એક સાથે ઓગાળીને બનાવવામાં આવે છે.
તેને ઘેરો બદામી, સહેજ લાલ રંગ હોય છે.
- પિત્તળ પાણીના ખવાણને અટકાવે છે અને ઉષ્માને સારી રીતે વાહક (લઈ જાય છે) કરી શકે છે.
- પ્રાચીન સમયોમાં, પિત્તળનો ઉપયોગ બીજી વસ્તુઓની સાથે, સાધનો, હથિયારો, કલાકારી, વેદીઓ, રાંધવાના ઘડાઓ અને સૈનિકોના શસ્ત્રો તરીકે થતો હતો.
- મંદિર અને મુલાકાત મંડપ બાંધવા માટેની ઘણી સામગ્રીઓ પિત્તળમાંથી બનાવેલી હતી.
- જુઠા દેવોની મૂર્તિઓ પણ મોટેભાગે પિત્તળના ધાતુમાંથી બનાવવામાં આવતી હતી.
- પ્રથમ પિત્તળની વસ્તુઓને પ્રવાહીમાં ઓગાળીને પછી તેને બીબામાં તે રેડીને બનાવવામાં આવતી હતી.
આ પ્રક્રિયાને “ઢાળણી” કહેવામાં આવતી હતી.
(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું
(આ પણ જુઓ: બખ્તર, મુલાકાતમંડપ, મંદિર)
બાઈબલની કલમો:
- 1 રાજા 7:15-17
- 1શમુએલ 17:37-38
- દાનિએલ 2:44-45
- નિર્ગમન 25:3-7
- પ્રકટીકરણ 1:14-16
શબ્દ માહિતી:
- Strong's: H5153, H5154, H5174, H5178, G5470, G5474, G5475
પિત્તળ
વ્યાખ્યા:
“પિત્તળ” શબ્દ, એક પ્રકારનું ધાતુ દર્શાવે છે કે જે તાંબુ અને કલાઈ ધાતુઓને એક સાથે ઓગાળીને બનાવવામાં આવે છે.
તેને ઘેરો બદામી, સહેજ લાલ રંગ હોય છે.
- પિત્તળ પાણીના ખવાણને અટકાવે છે અને ઉષ્માને સારી રીતે વાહક (લઈ જાય છે) કરી શકે છે.
- પ્રાચીન સમયોમાં, પિત્તળનો ઉપયોગ બીજી વસ્તુઓની સાથે, સાધનો, હથિયારો, કલાકારી, વેદીઓ, રાંધવાના ઘડાઓ અને સૈનિકોના શસ્ત્રો તરીકે થતો હતો.
- મંદિર અને મુલાકાત મંડપ બાંધવા માટેની ઘણી સામગ્રીઓ પિત્તળમાંથી બનાવેલી હતી.
- જુઠા દેવોની મૂર્તિઓ પણ મોટેભાગે પિત્તળના ધાતુમાંથી બનાવવામાં આવતી હતી.
- પ્રથમ પિત્તળની વસ્તુઓને પ્રવાહીમાં ઓગાળીને પછી તેને બીબામાં તે રેડીને બનાવવામાં આવતી હતી.
આ પ્રક્રિયાને “ઢાળણી” કહેવામાં આવતી હતી.
(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું
(આ પણ જુઓ: બખ્તર, મુલાકાતમંડપ, મંદિર)
બાઈબલની કલમો:
- 1 રાજા 7:15-17
- 1શમુએલ 17:37-38
- દાનિએલ 2:44-45
- નિર્ગમન 25:3-7
- પ્રકટીકરણ 1:14-16
શબ્દ માહિતી:
- Strong's: H5153, H5154, H5174, H5178, G5470, G5474, G5475
પિલાત
તથ્યો:
પિલાત યહૂદીયાના રોમન પ્રાંતનો રાજ્યપાલ હતો કે જેણે ઈસુને મૃત્યુદંડ દીધો હતો.
- પિલાત રાજ્યપાલ હતો તે કારણે તેની પાસે ગુનેગારોને મૃત્યુદંડ આપવાનો અધિકાર હતો.
- યહૂદી ધાર્મિક આગેવાનો ઇચ્છતા હતા કે પિલાત ઈસુને વધસ્તંભે જડાવે, તેથી તેઓ જૂઠું બોલ્યા અને કહ્યું કે ઈસુ ગુનેગાર હતા.
- પિલાતને ખબર પડી કે ઈસુ દોષિત ન હતા, પણ તે લોકોના ટોળાથી ડરતો હતો અને તેઓને ખુશ કરવા ચાહતો હતો, તેથી તેણે તેના સૈનિકોને ઈસુને વધસ્તંભે જડવા હુકમ કર્યો.
(આ પણ જૂઓ: વધસ્તંભે જડવું, સંચાલન, અપરાધ, યહૂદિયા, રોમ)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 4:27-28
- પ્રેરિતોનાં કૃત્યો 13:28-29
- લૂક 23:1-2
- માર્ક 15:1-3
- માથ્થી 27:11-14
- માથ્થી 27:57-58
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 39:9 બીજા દિવસે વહેલી સવારે, યહૂદી આગેવાનો ઈસુને રોમન રાજ્યપાલ પિલાત પાસે લાવ્યા.
તેઓને આશા હતી કે પિલાત ઈસુને દોષિત ઠરાવશે અને તેને મારી નાખવાની સજા કરશે. પિલાતે ઈસુને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?”
- 39:10 પિલાતે કહ્યું, “સત્ય શું છે?”
- 39:11 ઈસુ સાથે વાત કર્યા પછી પિલાત લોકોના ટોળા પાસે ગયો અને કહ્યું, “મને આ માણસમાં કોઈ દોષ માલૂમ પડતો નથી.”
પણ યહૂદી આગેવાનોએ અને ટોળાએ બૂમો પાડી, “તેને વધસ્તંભે જડાવ!” પિલાતે પ્રત્યુત્તર આપ્યો, “તે દોષિત નથી.”
પણ તેઓએ વધારે મોટેથી બૂમો પાડી.
પછી પિલાતે ત્રીજી વાર કહ્યું, “તે દોષિત નથી!”
- 39:12 પિલાતને ડર લાગ્યો કે ટોળું હુલ્લડ કરશે, તેથી તેણે પોતાના સૈનિકોને ઈસુને વધસ્તંભે જડવા આદેશ આપ્યો.
- 40:2 પિલાતે હુકમ કર્યો કે ઈસુના માથા ઉપર “યહૂદીઓનો રાજા” એવો એક લેખ મૂકવામાં આવે.
- 41:2 પિલાતે કહ્યું, “કેટલાક સૈનિકોને લઈ જાવ અને કબરને પૂરતી સુરક્ષિત કરો.”
શબ્દ માહિતી:
પીડા, ત્રાસ, પીડા, પીડિત
તથ્યો:
"પીડા" શબ્દનો અર્થ ભયંકર દુઃખો થાય છે.
કોઈને દુઃખ આપવાનો અર્થ એ કે તે વ્યક્તિને ઘણીવાર ક્રૂર રીતે, સહન કરવું પડે છે.
- કેટલીક વખત "પીડા" શબ્દનો અર્થ શારીરિક પીડા અને દુઃખનો થાય છે.
ઉદાહરણ તરીકે, પ્રકટીકરણનું પુસ્તક શારીરિક પીડાને વર્ણવે છે કે "શ્વાપદ"ના ભક્તો અંતના સમયમાં પીડાશે.
- અયૂબની અનુભવની જેમ દુઃખ પણ આધ્યાત્મિક અને ભાવનાત્મક પીડા હોઇ શકે છે.
- પ્રેરિત યોહાને પ્રકટીકરણના પુસ્તકમાં લખ્યું હતું કે જે લોકો ઈસુને તેમના ઉદ્ધારક તરીકે માનશે નહી તેઓ આગના તળાવમાં શાશ્વત પીડા અનુભવશે.
- આ શબ્દ "ભયંકર વેદના" અથવા "કોઈને મોટા પ્રમાણમાં પીડાય થઇ" અથવા "યાતના."તરીકે ભાષાંતર કરી શકે છે
કેટલાક અનુવાદકો અર્થને સ્પષ્ટ બનાવવા માટે " શારીરિક " અથવા "આધ્યાત્મિક" ઉમેરી શકે છે.
)આ પણ જુઓ: [શ્વાપદ[, [શાશ્વત[, [અયૂબ[, [તારનાર[, [આત્મા[, [પીડા[, [ભજન([
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H3013, G928, G929, G930, G931, G2558, G2851, G3600
પીડા, ત્રાસ, પીડા, પીડિત
તથ્યો:
"પીડા" શબ્દનો અર્થ ભયંકર દુઃખો થાય છે.
કોઈને દુઃખ આપવાનો અર્થ એ કે તે વ્યક્તિને ઘણીવાર ક્રૂર રીતે, સહન કરવું પડે છે.
- કેટલીક વખત "પીડા" શબ્દનો અર્થ શારીરિક પીડા અને દુઃખનો થાય છે.
ઉદાહરણ તરીકે, પ્રકટીકરણનું પુસ્તક શારીરિક પીડાને વર્ણવે છે કે "શ્વાપદ"ના ભક્તો અંતના સમયમાં પીડાશે.
- અયૂબની અનુભવની જેમ દુઃખ પણ આધ્યાત્મિક અને ભાવનાત્મક પીડા હોઇ શકે છે.
- પ્રેરિત યોહાને પ્રકટીકરણના પુસ્તકમાં લખ્યું હતું કે જે લોકો ઈસુને તેમના ઉદ્ધારક તરીકે માનશે નહી તેઓ આગના તળાવમાં શાશ્વત પીડા અનુભવશે.
- આ શબ્દ "ભયંકર વેદના" અથવા "કોઈને મોટા પ્રમાણમાં પીડાય થઇ" અથવા "યાતના."તરીકે ભાષાંતર કરી શકે છે
કેટલાક અનુવાદકો અર્થને સ્પષ્ટ બનાવવા માટે " શારીરિક " અથવા "આધ્યાત્મિક" ઉમેરી શકે છે.
)આ પણ જુઓ: [શ્વાપદ[, [શાશ્વત[, [અયૂબ[, [તારનાર[, [આત્મા[, [પીડા[, [ભજન([
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H3013, G928, G929, G930, G931, G2558, G2851, G3600
પૂછવું, પુછે છે, તપાસ કરેલું, પૂછપરછ
સત્યો:
“પૂછવું” શબ્દનો અર્થ જાણકારી માટે કોઈને પૂછવું.
“(તે)ને વિશે પૂછવું” અભિવ્યક્તિ મોટેભાગે જ્ઞાન અથવા મદદ માટે દેવને પૂછવું, તે દર્શાવવા વાપરવામાં આવ્યો છે.
- જૂના કરારમાં કેટલાક ઉદાહરણો છે જ્યાં લોકો દેવની પૂછપરછ કરતા હતા.
- રાજા અથવા સરકારી અધિકારી દ્વારા જયારે સત્તાવાર લખાયેલા અહેવાલોની તપાસ કરવામાં આવે છે ત્યારે આ શબ્દ વાપરી શકાય છે.
- સંદર્ભ પર આધાર રાખીને, “પૂછપરછ” શબ્દનું ભાષાંતર, “પૂછવું” અથવા જાણકારી માટે પૂછવું” તરીકે કરી શકાય છે.
- “યહોવાને પૂછવું” અભિવ્યક્તિનું ભાષાંતર “માર્ગદર્શન માટે યહોવાને પૂછવું” અથવા “યહોવાને પૂછવું કે શું કરવું” તરીકે કરી શકાય છે.
- કંઈક “તેના વિશે પૂછવું” શબ્દસમૂહનું ભાષાંતર, “વિશે પ્રશ્નો પૂછવા” અથવા “વિશેની જાણકારી માટે પૂછવું” તરીકે કરી શકાય છે.
- જયારે યહોવા કહે છે “હું તમને પૂછવા નહિ દઉં,” ત્યારે તેનુ ભાષાંતર “હું તમને માહિતી માટે મને પૂછવાની પરવાનગી આપીશ નહીં” અથવા “તમને મારા તરફથી મદદ લેવાની પરવાનગી અપાશે નહીં” તરીકે કરી શકાય છે.
બાઈબલની કલમો:
- પુનર્નિયમ 19:17-19
- હઝકિયેલ 20:1
- હઝકિયેલ 20:30-32
- એઝરા 7:14-16
- અયૂબ 10:4-7
શબ્દ માહિતી:
- Strong's: H1240, H1245, H1875, G1830
પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર
વ્યાખ્યા:
“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.
- આ શબ્દ રૂપકાત્મક ઉપયોગ જ્યારે અતિશય પ્રમાણમાં થઈ જાય, ખાસ કરીને કંઈક એકાએક બને છે તેને દર્શાવવા પણ વપરાયો છે.
- નૂહના સમયમાં, લોકો ખૂબજ દુષ્ટ બની ગયા હતા કે જેથી દેવે સમગ્ર પૃથ્વીની સપાટી ઉપર વિશ્વભરમાં પૂર આવવા દીધું, પર્વતોની ટોચ પણ ઢંકાઈ ગઈ.
દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા.
પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.
- આ શબ્દ એક ક્રિયા પણ હોઈ શકે છે, જેમકે “નદીના પાણીથી જમીનમાં પૂર આવ્યું હતું.”
ભાષાંતરના સૂચનો:
- “પૂર” ના શાબ્દિક અર્થનું ભાષાંતર, “પાણીનું ઊભરાવું” અથવા “પાણીનું વધારે પ્રમાણ” જેવા શબ્દનો સમાવેશ થાય છે.
- “પૂર જેવું” શબ્દની રૂપકાત્મક સરખામણીમાં શાબ્દિક શબ્દ રાખી શકાય અથવા યોગ્ય શબ્દ વાપરી શકાય કે જે કઈક દર્શાવે છે કે જે નદીની જેમ વહેતુ હોય.
- “પૂરના જેવું પાણી” અભિવ્યક્તિ, જ્યાં પાણી શબ્દનો ઉલ્લેખ આવી જાય છે, ત્યાં પૂર શબ્દનું ભાષાંતર, “વધારે પડતું પાણી” અથવા “ઉભરાતું પાણી” તરીકે કરી શકાય છે.
- આ શબ્દ રૂપક તરીકે વાપરવામાં આવ્યો છે, જેમકે “પૂરને મારી ઉપર આવવા ન દો,” જેનો અર્થ, “અતિશય આપત્તિઓ મારી પર આવવા ન દો” અથવા “આપત્તિઓથી મારો વિનાશ થવા ન દો” અથવા “તમારો ગુસ્સો અમારો નાશ ન કરો” એમ થઈ શકે છે. (જુઓ: રૂપક
- “મારી પથારીને આંસુઓથીથી ભીંજવું છું” રૂપકાત્મક અભિવ્યક્તિનું ભાષાંતર, “મારા આંસુઓ મારી પથારીને પાણીના પૂરની જેમ ઢાંકે છે”
(આ પણ જુઓ: વહાણ, નૂહ)
બાઈબલની કલમો:
- દાનિયેલ 11:10
- ઉત્પત્તિ 7:6-7
- લૂક 6:46-48
- માથ્થી 7:24-25
- માથ્થી 7:26-27
- માથ્થી 24:37-39
શબ્દ માહિતી:
- Strong's: H216, H2229, H2230, H2975, H3999, H5104, H5140, H5158, H5674, H6556, H7641, H7857, H7858, H8241, G2627, G4132, G4215, G4216
પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર
વ્યાખ્યા:
“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.
- આ શબ્દ રૂપકાત્મક ઉપયોગ જ્યારે અતિશય પ્રમાણમાં થઈ જાય, ખાસ કરીને કંઈક એકાએક બને છે તેને દર્શાવવા પણ વપરાયો છે.
- નૂહના સમયમાં, લોકો ખૂબજ દુષ્ટ બની ગયા હતા કે જેથી દેવે સમગ્ર પૃથ્વીની સપાટી ઉપર વિશ્વભરમાં પૂર આવવા દીધું, પર્વતોની ટોચ પણ ઢંકાઈ ગઈ.
દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા.
પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.
- આ શબ્દ એક ક્રિયા પણ હોઈ શકે છે, જેમકે “નદીના પાણીથી જમીનમાં પૂર આવ્યું હતું.”
ભાષાંતરના સૂચનો:
- “પૂર” ના શાબ્દિક અર્થનું ભાષાંતર, “પાણીનું ઊભરાવું” અથવા “પાણીનું વધારે પ્રમાણ” જેવા શબ્દનો સમાવેશ થાય છે.
- “પૂર જેવું” શબ્દની રૂપકાત્મક સરખામણીમાં શાબ્દિક શબ્દ રાખી શકાય અથવા યોગ્ય શબ્દ વાપરી શકાય કે જે કઈક દર્શાવે છે કે જે નદીની જેમ વહેતુ હોય.
- “પૂરના જેવું પાણી” અભિવ્યક્તિ, જ્યાં પાણી શબ્દનો ઉલ્લેખ આવી જાય છે, ત્યાં પૂર શબ્દનું ભાષાંતર, “વધારે પડતું પાણી” અથવા “ઉભરાતું પાણી” તરીકે કરી શકાય છે.
- આ શબ્દ રૂપક તરીકે વાપરવામાં આવ્યો છે, જેમકે “પૂરને મારી ઉપર આવવા ન દો,” જેનો અર્થ, “અતિશય આપત્તિઓ મારી પર આવવા ન દો” અથવા “આપત્તિઓથી મારો વિનાશ થવા ન દો” અથવા “તમારો ગુસ્સો અમારો નાશ ન કરો” એમ થઈ શકે છે. (જુઓ: રૂપક
- “મારી પથારીને આંસુઓથીથી ભીંજવું છું” રૂપકાત્મક અભિવ્યક્તિનું ભાષાંતર, “મારા આંસુઓ મારી પથારીને પાણીના પૂરની જેમ ઢાંકે છે”
(આ પણ જુઓ: વહાણ, નૂહ)
બાઈબલની કલમો:
- દાનિયેલ 11:10
- ઉત્પત્તિ 7:6-7
- લૂક 6:46-48
- માથ્થી 7:24-25
- માથ્થી 7:26-27
- માથ્થી 24:37-39
શબ્દ માહિતી:
- Strong's: H216, H2229, H2230, H2975, H3999, H5104, H5140, H5158, H5674, H6556, H7641, H7857, H7858, H8241, G2627, G4132, G4215, G4216
પૂર્વજ, પૂર્વજો, પિતા, પિતાઓ, જન્મ આપવો, પિતાની સાર, વડવા, વડવાઓ, દાદા
વ્યાખ્યા:
જયારે શાબ્દિક રીતે “પિતા” શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે તે વ્યક્તિના પુરુષ પિતાને દર્શાવે છે.
આ શબ્દના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ છે.
- મોટેભાગે “પિતા” અથવા “વડવા” શબ્દો ચોક્કસ વ્યક્તિ અથવા લોકોના જૂથના પુરુષ વડવાઓને દર્શાવવા વાપરવામાં આવે છે.
આ શબ્દનું ભાષાંતર, “પૂર્વજ” અથવા “વડીલોપાર્જિત પિતા” પણ કરી શકાય છે.
- “(તે)નો પિતા” અભિવ્યક્તિ રૂપકાત્મક રીતે એવી વ્યક્તિને દર્શાવે છે કે જે કોઈ લોક જૂથનો આગેવાન અથવા કોઈકનો સ્ત્રોત (ઉત્પન્ન કરનાર) હોય.
ઉદાહરણ તરીકે, ઉત્પત્તિ 4 માં “બધાનો પિતા જે તંબુઓમાં રહે છે” તે શબ્દનો અર્થ, “પ્રથમ લોકોના પ્રથમ કુળનો આગેવાન કે જે તંબુમાં વસ્યો હતો,” એમ થઈ શકે છે.
- પાઉલ પ્રેરિત જેઓને સુવાર્તા પ્રચાર દ્વારા (ઘણા લોકોને) ખ્રિસ્તી બનવા માટે મદદ કરી, તેથી તે રૂપકાત્મક રીતે પોતાને “પિતા” કહેવડાવે છે.
ભાષાંતરના સૂચનો:
- જયારે પિતા અને તેના વાસ્તવિક પુત્ર વિશે વાત કરીએ, ત્યારે જે તે ભાષામાં પિતાનો સામાન્ય શબ્દ વપરાય છે તે વાપરીને તેનું ભાષાંતર કરવું.
- પિતા માટેના સામાન્ય શબ્દનો ઉપયોગ કરીને “ઈશ્વર પિતા” શબ્દનું ભાષાંતર પણ કરવું જોઈએ.
- જયારે વડવાઓને દર્શાવવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વડીલોપાર્જિત પિતાઓ” તરીકે કરી શકાય છે.
- જયારે પાઉલ રૂપકાત્મક રીતે પોતાને ખ્રિસ્તમાં વિશ્વાસીઓના પિતા તરીકે દર્શાવે છે, ત્યારે તેનું ભાષાંતર “આત્મિક પિતા” અથવા “ખ્રિસ્તમાં પિતા” તરીકે કરી શકાય છે.
- ક્યારેક “પિતા” શબ્દનું ભાષાંતર, “કુળના આગેવાન” તરીકે કરી શકાય છે.
- “સઘળા જૂઠાણાનો પિતા” શબ્દસમૂહનું ભાષાંતર, “સઘળા જૂઠાણાનો સ્ત્રોત” અથવા “એક કે જેમાંથી સઘળું જૂઠ આવે છે.
(આ પણ જુઓ: ઈશ્વરપિતા, દીકરો, ઈશ્વરનો દીકરો)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 7:1-3
- પ્રેરિતો 7:31-32
- પ્રેરિતો 7:44-46
- પ્રેરિતો 22:3-5
- ઉત્પત્તિ 31:29-30
- ઉત્પત્તિ 31:41-42
- ઉત્પત્તિ 31:51-53
- હિબ્રૂ 7:4-6
- યોહાન 4:11-12
- યહોશુઆ 24:3-4
- માલાખી 3:6-7
- માર્ક 10:7-9
- માથ્થી 1:7-8
- માથ્થી 3:7-9
- માથ્થી 10:21-23
- માથ્થી 18:12-14
- રોમન 4:11-12
શબ્દ માહિતી:
- Strong's: H1, H2, H25, H369, H539, H1121, H1730, H1733, H2524, H3205, H3490, H4940, H5971, H7223, G256, G540, G1080, G2495, G3737, G3962, G3964, G3966, G3967, G3970, G3971, G3995, G4245, G4269, G4613
પૂર્વજ, પૂર્વજો, પિતા, પિતાઓ, જન્મ આપવો, પિતાની સાર, વડવા, વડવાઓ, દાદા
વ્યાખ્યા:
જયારે શાબ્દિક રીતે “પિતા” શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે તે વ્યક્તિના પુરુષ પિતાને દર્શાવે છે.
આ શબ્દના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ છે.
- મોટેભાગે “પિતા” અથવા “વડવા” શબ્દો ચોક્કસ વ્યક્તિ અથવા લોકોના જૂથના પુરુષ વડવાઓને દર્શાવવા વાપરવામાં આવે છે.
આ શબ્દનું ભાષાંતર, “પૂર્વજ” અથવા “વડીલોપાર્જિત પિતા” પણ કરી શકાય છે.
- “(તે)નો પિતા” અભિવ્યક્તિ રૂપકાત્મક રીતે એવી વ્યક્તિને દર્શાવે છે કે જે કોઈ લોક જૂથનો આગેવાન અથવા કોઈકનો સ્ત્રોત (ઉત્પન્ન કરનાર) હોય.
ઉદાહરણ તરીકે, ઉત્પત્તિ 4 માં “બધાનો પિતા જે તંબુઓમાં રહે છે” તે શબ્દનો અર્થ, “પ્રથમ લોકોના પ્રથમ કુળનો આગેવાન કે જે તંબુમાં વસ્યો હતો,” એમ થઈ શકે છે.
- પાઉલ પ્રેરિત જેઓને સુવાર્તા પ્રચાર દ્વારા (ઘણા લોકોને) ખ્રિસ્તી બનવા માટે મદદ કરી, તેથી તે રૂપકાત્મક રીતે પોતાને “પિતા” કહેવડાવે છે.
ભાષાંતરના સૂચનો:
- જયારે પિતા અને તેના વાસ્તવિક પુત્ર વિશે વાત કરીએ, ત્યારે જે તે ભાષામાં પિતાનો સામાન્ય શબ્દ વપરાય છે તે વાપરીને તેનું ભાષાંતર કરવું.
- પિતા માટેના સામાન્ય શબ્દનો ઉપયોગ કરીને “ઈશ્વર પિતા” શબ્દનું ભાષાંતર પણ કરવું જોઈએ.
- જયારે વડવાઓને દર્શાવવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વડીલોપાર્જિત પિતાઓ” તરીકે કરી શકાય છે.
- જયારે પાઉલ રૂપકાત્મક રીતે પોતાને ખ્રિસ્તમાં વિશ્વાસીઓના પિતા તરીકે દર્શાવે છે, ત્યારે તેનું ભાષાંતર “આત્મિક પિતા” અથવા “ખ્રિસ્તમાં પિતા” તરીકે કરી શકાય છે.
- ક્યારેક “પિતા” શબ્દનું ભાષાંતર, “કુળના આગેવાન” તરીકે કરી શકાય છે.
- “સઘળા જૂઠાણાનો પિતા” શબ્દસમૂહનું ભાષાંતર, “સઘળા જૂઠાણાનો સ્ત્રોત” અથવા “એક કે જેમાંથી સઘળું જૂઠ આવે છે.
(આ પણ જુઓ: ઈશ્વરપિતા, દીકરો, ઈશ્વરનો દીકરો)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 7:1-3
- પ્રેરિતો 7:31-32
- પ્રેરિતો 7:44-46
- પ્રેરિતો 22:3-5
- ઉત્પત્તિ 31:29-30
- ઉત્પત્તિ 31:41-42
- ઉત્પત્તિ 31:51-53
- હિબ્રૂ 7:4-6
- યોહાન 4:11-12
- યહોશુઆ 24:3-4
- માલાખી 3:6-7
- માર્ક 10:7-9
- માથ્થી 1:7-8
- માથ્થી 3:7-9
- માથ્થી 10:21-23
- માથ્થી 18:12-14
- રોમન 4:11-12
શબ્દ માહિતી:
- Strong's: H1, H2, H25, H369, H539, H1121, H1730, H1733, H2524, H3205, H3490, H4940, H5971, H7223, G256, G540, G1080, G2495, G3737, G3962, G3964, G3966, G3967, G3970, G3971, G3995, G4245, G4269, G4613
પૂર્વજ, પૂર્વજો
વ્યાખ્યા:
બાઈબલમાં “પૂર્વજ” શબ્દ જે વ્યક્તિ યહૂદી લોકોની સ્થાપના કરનાર પૂર્વજ હતો તેનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઇબ્રાહિમ, ઇસહાક અથવા તો યાકૂબનો ઉલ્લેખ કરે છે.
- તે શબ્દ યાકૂબના બાર પુત્રોનો ઉલ્લેખ પણ કરી શકે છે કે જેઓ ઇઝરાયલના બાર કુળોના બાર પૂર્વજો બન્યા.
- “પૂર્વજ” શબ્દનો અર્થ “આદિપિતા” જેવો જ છે, પણ તે વિશિષ્ટરૂપે એક લોકજાતિના સૌથી વિખ્યાત પુરુષ વડા આગેવાનનો ઉલ્લેખ કરે છે.
(આ પણ જૂઓ: પૂર્વજ)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 2:29-31
- પ્રેરિતોનાં કૃત્યો 7:6-8
- પ્રેરિતોનાં કૃત્યો 7:9-10
- એઝરા 3:12-13
શબ્દ માહિતી:
- Strong's: H1, H7218, G3966
પૂર્વજ, પૂર્વજો
વ્યાખ્યા:
બાઈબલમાં “પૂર્વજ” શબ્દ જે વ્યક્તિ યહૂદી લોકોની સ્થાપના કરનાર પૂર્વજ હતો તેનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઇબ્રાહિમ, ઇસહાક અથવા તો યાકૂબનો ઉલ્લેખ કરે છે.
- તે શબ્દ યાકૂબના બાર પુત્રોનો ઉલ્લેખ પણ કરી શકે છે કે જેઓ ઇઝરાયલના બાર કુળોના બાર પૂર્વજો બન્યા.
- “પૂર્વજ” શબ્દનો અર્થ “આદિપિતા” જેવો જ છે, પણ તે વિશિષ્ટરૂપે એક લોકજાતિના સૌથી વિખ્યાત પુરુષ વડા આગેવાનનો ઉલ્લેખ કરે છે.
(આ પણ જૂઓ: પૂર્વજ)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 2:29-31
- પ્રેરિતોનાં કૃત્યો 7:6-8
- પ્રેરિતોનાં કૃત્યો 7:9-10
- એઝરા 3:12-13
શબ્દ માહિતી:
- Strong's: H1, H7218, G3966
પૃથ્વી, માટીનું, ધરતીનું
વ્યાખ્યા:
“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.
- “પૃથ્વી” એ ભૂમિ અથવા માટી કે જે જમીનને ઢાંકે છે તેને પણ દર્શાવે છે.
મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા
- “પૃથ્વી આનંદ કરો” અને “તે પૃથ્વીનો ન્યાય કરશે,” એવી અભિવ્યક્તિઓ આ શબ્દના રૂપકાત્મક ઉપયોગો માટેના ઉદાહરણો છે.
- સામાન્ય રીતે “પૃથ્વીનું” શબ્દ, ભૈતિક બાબતો જે આત્મિક બાબતો સામે વિરોધાભાસ દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- આ શબ્દનું ભાષાંતર, કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા કરી શકાય છે કે જે સ્થાનિક ભાષા અથવા નજીકની રાષ્ટ્રીય ભાષાઓમાં પૃથ્વીને ગ્રહ તરીકે દર્શાવે કે જેમાં આપણે રહીએ છીએ.
- સંદર્ભ પર આધાર રાખીને, “પૃથ્વી” શબ્દનું ભાષાંતર, “વિશ્વ” અથવા “જમીન” અથવા “ધૂળ” અથવા “માટી” તરીકે પણ કરી શકાય છે.
- જયારે તેનો રૂપકાત્મક ઉપયોગ થાય છે ત્યારે “પૃથ્વી” શબ્દનું ભાષાંતર, “પૃથ્વી પરના લોકો” અથવા “પૃથ્વી ઉપર રહેતા લોકો” અથવા “પૃથ્વી ઉપરનું સઘળું,” તરીકે કરી શકાય છે.
- “પૃથ્વીનું” શબ્દના ભાષાંતરમાં, “ભૌતિક” અથવા “આ પૃથ્વી પરની વસ્તુઓ” અથવા “દૃશ્યમાન” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)
બાઈબલની કલમો:
- 1 રાજા 1:38-40
- 2 કાળવૃતાંત 2:11-12
- દાનિયેલ 4:35
- લૂક 12:51-53
- માથ્થી 6:8-10
- માથ્થી 11:25-27
- ઝખાર્યા 6:5-6
શબ્દ માહિતી:
- Strong's: H127, H772, H776, H778, H2789, H3007, H3335, H6083, H7494, G1093, G1919, G2709, G2886, G3625, G3749, G4578, G5517
પૃથ્વી, માટીનું, ધરતીનું
વ્યાખ્યા:
“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.
- “પૃથ્વી” એ ભૂમિ અથવા માટી કે જે જમીનને ઢાંકે છે તેને પણ દર્શાવે છે.
મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા
- “પૃથ્વી આનંદ કરો” અને “તે પૃથ્વીનો ન્યાય કરશે,” એવી અભિવ્યક્તિઓ આ શબ્દના રૂપકાત્મક ઉપયોગો માટેના ઉદાહરણો છે.
- સામાન્ય રીતે “પૃથ્વીનું” શબ્દ, ભૈતિક બાબતો જે આત્મિક બાબતો સામે વિરોધાભાસ દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- આ શબ્દનું ભાષાંતર, કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા કરી શકાય છે કે જે સ્થાનિક ભાષા અથવા નજીકની રાષ્ટ્રીય ભાષાઓમાં પૃથ્વીને ગ્રહ તરીકે દર્શાવે કે જેમાં આપણે રહીએ છીએ.
- સંદર્ભ પર આધાર રાખીને, “પૃથ્વી” શબ્દનું ભાષાંતર, “વિશ્વ” અથવા “જમીન” અથવા “ધૂળ” અથવા “માટી” તરીકે પણ કરી શકાય છે.
- જયારે તેનો રૂપકાત્મક ઉપયોગ થાય છે ત્યારે “પૃથ્વી” શબ્દનું ભાષાંતર, “પૃથ્વી પરના લોકો” અથવા “પૃથ્વી ઉપર રહેતા લોકો” અથવા “પૃથ્વી ઉપરનું સઘળું,” તરીકે કરી શકાય છે.
- “પૃથ્વીનું” શબ્દના ભાષાંતરમાં, “ભૌતિક” અથવા “આ પૃથ્વી પરની વસ્તુઓ” અથવા “દૃશ્યમાન” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)
બાઈબલની કલમો:
- 1 રાજા 1:38-40
- 2 કાળવૃતાંત 2:11-12
- દાનિયેલ 4:35
- લૂક 12:51-53
- માથ્થી 6:8-10
- માથ્થી 11:25-27
- ઝખાર્યા 6:5-6
શબ્દ માહિતી:
- Strong's: H127, H772, H776, H778, H2789, H3007, H3335, H6083, H7494, G1093, G1919, G2709, G2886, G3625, G3749, G4578, G5517
પેઓર, પેઓર પહાડ, બઆલ પેઓર
વ્યાખ્યા:
“પેઓર” અને “પેઓર પહાડ” શબ્દો મોઆબના પ્રદેશમાં, ખારા સમુદ્રની ઉત્તરપૂર્વે સ્થિત એક પહાડનો ઉલ્લેખ કરે છે.
- “બેથ પેઓર” નામ એક શહેરનું નામ હતું કે જે કદાચને તે પહાડ પર અથવા તો તેની નજીક સ્થિત હતું.
આ એ જગ્યા છે જ્યાં ઈશ્વરે મૂસાને વચનનો દેશ બતાવ્યો તે પછી તે ત્યાં મૃત્યુ પામ્યો.
- “બઆલ પેઓર” મોઆબીઓનો જૂઠો દેવ હતો કે જેની પૂજા તેઓ પેઓર પહાડ પર કરતા હતા.
ઇઝરાયલીઓએ પણ તે મૂર્તિની પૂજા કરવાનું શરૂ કર્યું હતું અને ઈશ્વરે તે માટે તેઓને સજા કરી હતી.
(આ પણ જૂઓ: બઆલ, દેવ, મોઆબ, ખારો સમુદ્ર, ઉપાસના)
બાઇબલના સંદર્ભો:
- ગણના 23:28-30
- ગણના 31:16-17
- ગીતશાસ્ત્ર 106:28-29
શબ્દ માહિતી:
- Strong's: H1047, H1187, H6465
પેઢી
વ્યાખ્યા:
“પેઢી” શબ્દ, લોકોનું જૂથ કે જેઓ એક સમયગાળામાં આસપાસ જન્મ્યા હતા, તેને દર્શાવે છે.
- પેઢી સમયના ગાળા માટે પણ દર્શાવી શકાય છે.
બાઈબલના સમયમાં, પેઢી સામાન્ય રીતે લગભગ 40 વર્ષો માટે માનવામાં આવતી હતી.
- માતા-પિતા અને તેઓના બાળકો બે અલગઅલગ પેઢીઓમાં આવે છે.
- બાઈબલમાં, રૂપકાત્મક રીતે “પેઢી” શબ્દ, પ્રચલિત રીતે જે લોકો સામાન્ય લક્ષણો ધરાવે છે તેમને માટે વાપરવામાં આવ્યો છે.
ભાષાંતરના સૂચનો:
- “આ પેઢી” અથવા “આ પેઢીના લોકો” શબ્દસમૂહનું ભાષાંતર, “અત્યારે જે લોકો જીવે છે” અથવા “તમે લોકો” તરીકે કરી શકાય છે.
- “આ દુષ્ટ પેઢી” નું ભાષાંતર, “અત્યારે આ દુષ્ટ લોકો જીવે છે તે,” તરીકે પણ કરી શકાય છે.
- “વંશપરંપરા” અથવા “એક પેઢીથી બીજી પેઢી” અભિવ્યક્તિનું ભાષાંતર, “અત્યારે લોકો જીવે છે, તેમજ તેઓના બાળકો અને પૌત્ર પૌત્રીઓ” અથવા “દરેક સમયગાળામાં લોકો” અથવા “આ સમયગાળામાં અને ભવિષ્યના સમયગાળામાં લોકો” અથવા “બધા લોકો અને તેઓના વંશજો,” તરીકે કરી શકાય છે.
- “પેઢી જે આવશે તેની સેવા કરશે; તેઓ પછીની પેઢીને યહોવા વિશે કહેશે,” તેનું ભાષાંતર, “ભવિષ્યમાં ઘણા લોકો યહોવાની સેવા કરશે અને તેઓના બાળકો અને પૌત્ર-પૌત્રીઓને તેના વિશે કહેશે,” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, દુષ્ટ, પૂર્વજ)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 15:19-21
- નિર્ગમન 3:13-15
- ઉત્પત્તિ 15:14-16
- ઉત્પત્તિ 17:7-8
- માર્ક 8:11-13
- માથ્થી 11:16-17
- માથ્થી 23:34-36
- માથ્થી 24:34-35
શબ્દ માહિતી:
પેઢી
વ્યાખ્યા:
“પેઢી” શબ્દ, લોકોનું જૂથ કે જેઓ એક સમયગાળામાં આસપાસ જન્મ્યા હતા, તેને દર્શાવે છે.
- પેઢી સમયના ગાળા માટે પણ દર્શાવી શકાય છે.
બાઈબલના સમયમાં, પેઢી સામાન્ય રીતે લગભગ 40 વર્ષો માટે માનવામાં આવતી હતી.
- માતા-પિતા અને તેઓના બાળકો બે અલગઅલગ પેઢીઓમાં આવે છે.
- બાઈબલમાં, રૂપકાત્મક રીતે “પેઢી” શબ્દ, પ્રચલિત રીતે જે લોકો સામાન્ય લક્ષણો ધરાવે છે તેમને માટે વાપરવામાં આવ્યો છે.
ભાષાંતરના સૂચનો:
- “આ પેઢી” અથવા “આ પેઢીના લોકો” શબ્દસમૂહનું ભાષાંતર, “અત્યારે જે લોકો જીવે છે” અથવા “તમે લોકો” તરીકે કરી શકાય છે.
- “આ દુષ્ટ પેઢી” નું ભાષાંતર, “અત્યારે આ દુષ્ટ લોકો જીવે છે તે,” તરીકે પણ કરી શકાય છે.
- “વંશપરંપરા” અથવા “એક પેઢીથી બીજી પેઢી” અભિવ્યક્તિનું ભાષાંતર, “અત્યારે લોકો જીવે છે, તેમજ તેઓના બાળકો અને પૌત્ર પૌત્રીઓ” અથવા “દરેક સમયગાળામાં લોકો” અથવા “આ સમયગાળામાં અને ભવિષ્યના સમયગાળામાં લોકો” અથવા “બધા લોકો અને તેઓના વંશજો,” તરીકે કરી શકાય છે.
- “પેઢી જે આવશે તેની સેવા કરશે; તેઓ પછીની પેઢીને યહોવા વિશે કહેશે,” તેનું ભાષાંતર, “ભવિષ્યમાં ઘણા લોકો યહોવાની સેવા કરશે અને તેઓના બાળકો અને પૌત્ર-પૌત્રીઓને તેના વિશે કહેશે,” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, દુષ્ટ, પૂર્વજ)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 15:19-21
- નિર્ગમન 3:13-15
- ઉત્પત્તિ 15:14-16
- ઉત્પત્તિ 17:7-8
- માર્ક 8:11-13
- માથ્થી 11:16-17
- માથ્થી 23:34-36
- માથ્થી 24:34-35
શબ્દ માહિતી:
પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ
વ્યાખ્યા:
“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.
- બાઈબલમાં, આ શબ્દ ખાસ રીતે જ્યારે ઈશ્વરે પૃથ્વીની રચના કરી ત્યારે જે વિશિષ્ટ પ્રકારના છોડવાઓ અને પ્રાણીઓ બનાવ્યા તેના માટે વપરાયો છે.
- ઘણીવાર દરેક “પ્રકાર’’ ની અંદર જુદા જુદા તફાવત અથવા પ્રજાતિઓ હોય છે.
ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.
- મુખ્ય બાબત જે દરેક “પ્રકાર” ને અલગ જુથ તરીકે તફાવત કરે છે એ તો તે જૂથના સભ્યો તેમના સમાન “પ્રકાર” ના ફરી ઉત્પન્ન કરી શકે છે.
જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.
અનુવાદ માટેના સૂચનો
- આ શબ્દનો અનુવાદ કરવાની રીતો “પ્રકાર” અથવા ”વર્ગ” અથવા ”જુથ” અથવા “પ્રાણીનું (છોડ) જુથ” અથવા”” “શ્રેણી” નો સમાવેશ કરી શકે છે.
બાઇબલ સંદર્ભો:
- ઉત્પત્તિ 1:20-21
- ઉત્પત્તિ 1:24-25
- માર્ક 9:28-29
- માથ્થી 13:47-48
શબ્દ માહિતી:
- Strong's: H2178, H3978, H4327, G1085, G5449
પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ
વ્યાખ્યા:
“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.
- બાઈબલમાં, આ શબ્દ ખાસ રીતે જ્યારે ઈશ્વરે પૃથ્વીની રચના કરી ત્યારે જે વિશિષ્ટ પ્રકારના છોડવાઓ અને પ્રાણીઓ બનાવ્યા તેના માટે વપરાયો છે.
- ઘણીવાર દરેક “પ્રકાર’’ ની અંદર જુદા જુદા તફાવત અથવા પ્રજાતિઓ હોય છે.
ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.
- મુખ્ય બાબત જે દરેક “પ્રકાર” ને અલગ જુથ તરીકે તફાવત કરે છે એ તો તે જૂથના સભ્યો તેમના સમાન “પ્રકાર” ના ફરી ઉત્પન્ન કરી શકે છે.
જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.
અનુવાદ માટેના સૂચનો
- આ શબ્દનો અનુવાદ કરવાની રીતો “પ્રકાર” અથવા ”વર્ગ” અથવા ”જુથ” અથવા “પ્રાણીનું (છોડ) જુથ” અથવા”” “શ્રેણી” નો સમાવેશ કરી શકે છે.
બાઇબલ સંદર્ભો:
- ઉત્પત્તિ 1:20-21
- ઉત્પત્તિ 1:24-25
- માર્ક 9:28-29
- માથ્થી 13:47-48
શબ્દ માહિતી:
- Strong's: H2178, H3978, H4327, G1085, G5449
પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ
વ્યાખ્યા:
બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે.
તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક
- ઈસુએ કહ્યું, "હું જગતનો પ્રકાશ/અજવાળું છું" એ દર્શાવવા માટે કે તેઓ ઈશ્વરનો સાચો સંદેશ જગતમાં લાવે છે અને લોકોને તેમના પાપોના અંધકારમાથી છોડવે છે.
- ખ્રિસ્તી લોકોને "પ્રકાશમાં ચાલવા" આજ્ઞા આપવામાં આવી છે, જેનો અર્થ તેઓ ઈશ્વર ચાહે છે તે રીતે જીવન જીવે અને દુષ્ટતાને ટાળે.
- પ્રેરિત યોહાને નોંધ્યું કે "ઈશ્વર પ્રકાશ" છે અને તેમનામા કંઈ પણ અંધકાર નથી.
- પ્રકાશ અને અંધકાર સંપૂર્ણપણે વિપરીત છે.
અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.
- ઈસુએ કહ્યું કે તેઓ "જગતના પ્રકાશ હતા" અને તેમના શિષ્યોએ જગતમાં પ્રકાશની જેમ પ્રકાશિત થવું જોઈએ એવી રીતે જીવીને કે જે સપ્શ્ત બતાવે કે ઈશ્વર કેટલા મહાન છે.
- "પ્રકાશમાં ચાલવું" એ એવી રીતે જીવવું કે જે ઈશ્વરને પસંદ પડે છે, જે ખરું અને સાચું છે તે કરવું તેનું પ્રતિનિધિત્વ કરે છે.
અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.
અનુવાદ માટેના સૂચનો:
- અનુવાદ કરતી વખતે, જ્યારે તેનો અર્થાલંકારિક રીતે ઉપયોગ થયો હોય તોપણ એ મહત્વનુ છે કે "પ્રકાશ" અને "અંધકાર" ના શાબ્દિક શબ્દો જ રાખવા.
- લખાણમાં તેની સરખામણી સમજાવવી એ જરૂરી બની શકે.
ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.
- એ ધ્યાનમાં રાખો કે "પ્રકાશ" નું અનુવાદ વસ્તુનો ઉલ્લેખ કરતો નથી જે પ્રકાશ આપે છે, જેમ કે દીવો.
આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.
(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સાચું)
બાઈબલના સંદર્ભો:
- 1 યોહાન 1:5-7
- 1 યોહાન 2:7-8
- 2 કરિંથીઓ 4:5-6
- પ્રેરિતોના કૃત્યો 26:15-18
- યશાયા 2:5-6
- યોહાન 1:4-5
- માથ્થી 5:15-16
- માથ્થી 6:22-24
- નહેમ્યા 9:12-13
- પ્રકટીકરણ 18:23-24
શબ્દ માહિતી:
- Strong's: H216, H217, H3313, H3974, H4237, H5051, H5094, H5105, H5216, H6348, H7052, H7837, G681, G796, G1645, G2985, G3088, G5338, G5457, G5458, G5460, G5462
પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ
વ્યાખ્યા:
બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે.
તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક
- ઈસુએ કહ્યું, "હું જગતનો પ્રકાશ/અજવાળું છું" એ દર્શાવવા માટે કે તેઓ ઈશ્વરનો સાચો સંદેશ જગતમાં લાવે છે અને લોકોને તેમના પાપોના અંધકારમાથી છોડવે છે.
- ખ્રિસ્તી લોકોને "પ્રકાશમાં ચાલવા" આજ્ઞા આપવામાં આવી છે, જેનો અર્થ તેઓ ઈશ્વર ચાહે છે તે રીતે જીવન જીવે અને દુષ્ટતાને ટાળે.
- પ્રેરિત યોહાને નોંધ્યું કે "ઈશ્વર પ્રકાશ" છે અને તેમનામા કંઈ પણ અંધકાર નથી.
- પ્રકાશ અને અંધકાર સંપૂર્ણપણે વિપરીત છે.
અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.
- ઈસુએ કહ્યું કે તેઓ "જગતના પ્રકાશ હતા" અને તેમના શિષ્યોએ જગતમાં પ્રકાશની જેમ પ્રકાશિત થવું જોઈએ એવી રીતે જીવીને કે જે સપ્શ્ત બતાવે કે ઈશ્વર કેટલા મહાન છે.
- "પ્રકાશમાં ચાલવું" એ એવી રીતે જીવવું કે જે ઈશ્વરને પસંદ પડે છે, જે ખરું અને સાચું છે તે કરવું તેનું પ્રતિનિધિત્વ કરે છે.
અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.
અનુવાદ માટેના સૂચનો:
- અનુવાદ કરતી વખતે, જ્યારે તેનો અર્થાલંકારિક રીતે ઉપયોગ થયો હોય તોપણ એ મહત્વનુ છે કે "પ્રકાશ" અને "અંધકાર" ના શાબ્દિક શબ્દો જ રાખવા.
- લખાણમાં તેની સરખામણી સમજાવવી એ જરૂરી બની શકે.
ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.
- એ ધ્યાનમાં રાખો કે "પ્રકાશ" નું અનુવાદ વસ્તુનો ઉલ્લેખ કરતો નથી જે પ્રકાશ આપે છે, જેમ કે દીવો.
આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.
(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સાચું)
બાઈબલના સંદર્ભો:
- 1 યોહાન 1:5-7
- 1 યોહાન 2:7-8
- 2 કરિંથીઓ 4:5-6
- પ્રેરિતોના કૃત્યો 26:15-18
- યશાયા 2:5-6
- યોહાન 1:4-5
- માથ્થી 5:15-16
- માથ્થી 6:22-24
- નહેમ્યા 9:12-13
- પ્રકટીકરણ 18:23-24
શબ્દ માહિતી:
- Strong's: H216, H217, H3313, H3974, H4237, H5051, H5094, H5105, H5216, H6348, H7052, H7837, G681, G796, G1645, G2985, G3088, G5338, G5457, G5458, G5460, G5462
પ્રતિજ્ઞા, સમ, મંજૂર
વ્યાખ્યા:
પ્રતિજ્ઞા એક વચન છે કે જે વ્યક્તિ ઈશ્વરને આપે છે.
વ્યક્તિ વિશિષ્ટ રીતે ઈશ્વરનું સન્માન કરવા અથવા તેને ભક્તિ દર્શાવવા માટે ચોક્કસ વસ્તુ કરવાના વચનો આપે છે.
- વ્યક્તિએ પ્રતિજ્ઞા કર્યા પછી, તે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે તે જવાબદાર છે.
- બાઇબલ શીખવે છે કે કોઈ વ્યક્તિ તેની પ્રતિજ્ઞા ન પાળે તો તે વ્યક્તિનો ઈશ્વરથી ન્યાય થઈ શકે છે.
- ક્યારેક કોઈ વ્યક્તિ ઈશ્વરને તેમનું રક્ષણ કરવા માટે કહી શકે છે અથવા પ્રતિજ્ઞા ના બદલામાં પૂરું પાડવા તેમને કહી શકે છે.
- પરંતુ, કોઈ વ્યક્તિએ તેની પ્રતિજ્ઞા માટે વિનંતી કરવાની વિનંતી કરવાની જરૂર નથી.
અનુવાદ માટેનાં સૂચનો:
- સંદર્ભને આધારે, "પ્રતિજ્ઞા" નું ભાષાંતર "ગંભીર વચન" અથવા "ઈશ્વરને આપેલ વચન" તરીકે કરી શકાય છે.
- પ્રતિજ્ઞા એક ખાસ પ્રકારના શપથ છે જે ઈશ્વરને માટે કરવામાં આવે છે.
આ પણ જુઓ: વચન, શપથ)
બાઇબલ સંદર્ભો
- 1 કોરિંથી 7:27-28
- પ્રેરિતોનાં કૃત્યો 21:22-24
- ઉત્પત્તિ 28:20-22
- ઉત્પત્તિ 31:12-13
- યૂના 1:14-16
- યૂના 2:9-10
- નીતિવચનો 7:13-15
શબ્દ માહિતી:
- Strong's: H5087, H5088, G2171
પ્રતિજ્ઞા, જમાનત, પ્રતિજ્ઞા કરી, પ્રતિજ્ઞા કરે છે
વ્યાખ્યા:
“પ્રતિજ્ઞા” શબ્દ ઔપચારિક રીતે અને ગંભીરતાપૂર્વક કઇંક કરવાનું કે આપવાનું વચન આપવાનો ઉલ્લેખ કરે છે.
- જૂના કરારમાં, ઇઝરાયલના અધિકારીઓએ દાઉદ રાજા પ્રત્યે વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
- જ્યારે પ્રતિજ્ઞા પૂરી કરવામાં આવે ત્યારે જે વસ્તુને જમાનત તરીકે આપવામાં આવી હોય તે વસ્તુને તેના માલિકને પાછી આપવામાં આવે છે.
- “પ્રતિજ્ઞા કરવી” નો અનુવાદ “ઔપચારિક રીતે વચન આપવું” અથવા તો “દ્રઢતાપૂર્વક વચન આપવું” તરીકે કરી શકાય.
- “જમાનત” શબ્દ દેવું ચૂકવી આપવામાં આવશે તેની બાંયધરી અથવા તો ખાતરીરૂપે આપવામાં આવેલી વસ્તુનો ઉલ્લેખ પણ કરી શકે છે.
- “પ્રતિજ્ઞા” નો અનુવાદ સંદર્ભ અનુસાર “ગંભીર વચન” અથવા તો “ઔપચારિક સમર્પણ” અથવા તો “બાંયધરી” અથવા તો “ઔપચારિક ભરોસો” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: વચન, શપથ, પ્રતિજ્ઞા)
બાઇબલના સંદર્ભો:
- 2 કાળવૃતાંત 5:4-5
- નિર્ગમન 22:25-27
- ઉત્પત્તિ 38:17-18
- નહેમ્યા 10:28-29
શબ્દ માહિતી:
- Strong's: H781, H2254, H2258, H5667, H5671, H6148, H6161, H6162
પ્રથમજનિત
વ્યાખ્યા:
“પ્રથમજનિત” શબ્દ, તે લોક અથવા પ્રાણીઓના સંતાનને દર્શાવે છે, જેઓ બીજા સંતાનની પહેલા જન્મે છે.
- બાઈબલમાં, સામાન્ય રીતે “પ્રથમજનિત” પહેલા પુરુષ સંતાન કે જે જન્મ લે છે તે દર્શાવે છે.
- બાઈબલના સમયમાં, પ્રથમ જનિત પુત્ર ને તેના કુટુંબના વારસામાં બીજા પુત્રો કરતા બમણો હિસ્સો અને પદ આપવામાં આવતા હતા.
- મોટેભાગે પ્રાણીનું જે પ્રથમ જનિત નર હતું કે જેનું દેવ માટે બલિદાન આપવામાં આવતું હતું.
- આ ભાગને રૂપકાત્મક રીતે પણ વાપરી શકાય છે.
ઉદાહરણ તરીકે, ઈઝરાએલના દેશને દેવનો પ્રથમજનિત દીકરો કહેવામાં આવ્યો છે કારણકે દેવે તેને બીજા દેશો ઉપર ખાસ અધિકારો આપ્યા છે.
- ઈસુ , દેવના દીકરાને દેવનો પ્રથમજનિત કહેવામાં આવ્યો છે કારણકે દરેક જણ ઉપર તેનું મહત્વ અને અધિકાર રહેલો છે.
ભાષાંતરના સૂચનો:
- જયારે “પ્રથમજનિત” માત્ર લખાણ માં હોયછે, ત્યારે તેનું ભાષાંતર “ પ્રથમજનિત પુરુષ” અથવા “પ્રથમજનિત પુત્ર,” તરીકે પણ કરી શકાય છે ? (જુઓ: માની લીધેલું જ્ઞાન અને સૂચિત માહિતી
- આ શબ્દનું બીજી રીતે ભાષાંતર “પુત્ર કે જે પ્રથમ જન્મ્યો છે” અથવા “ જ્યેષ્ઠ પુત્ર” નો સમાવેશ કરીને કરી શકાય છે.
- જયારે રૂપકાત્મક રીતે ઈસુને દર્શાવવા વપરાય છે, ત્યારે તેનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ સાથે કે જેનો અર્થ “પુત્ર કે જેને સઘળા ઉપર અધિકાર છે” અથવા “પુત્ર કે જે પ્રથમ સન્માનમાં છે” તરીકે કરી શકાય છે.
- સાવધાની:
ખાત્રી કરો કે ઈસુના સંદર્ભમાં આ શબ્દનું ભાષાંતર કે તેને બનાવવામાં આવેલો હતો તેમ સૂચિત કરતું નથી.
(આ પણ જુઓ: વારસો મેળવવો, બલિદાન, દીકરો)
બાઈબલની કલમો:
- કલોસ્સી 1:15-17
- ઉત્પત્તિ 4:3-5
- ઉત્પત્તિ 29:26-27
- ઉત્પત્તિ 43:32-34
- લૂક 2:6-7
- પ્રકટીકરણ 1:4-6
શબ્દ માહિતી:
- Strong's: H1060, H1062, H1067, H1069, G4416, G5207
પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા
વ્યાખ્યા:
“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે.
જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.
- ઘણીવાર પ્રબોધકોએ લોકોને તેઓના પાપોથી પાછા ફરવા અને ઈશ્વરની આજ્ઞાઓ પાળવા ચેતવણી આપી.
- પ્રબોધકો જે સંદેશો આપે છે તેને “પ્રબોધવાણી” કહે છે.
“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.
- ઘણીવાર પ્રબોધવાણીનો સંદેશો ભવિષ્યમાં કશું થશે તે વિષે હતો.
- જૂના કરારની ઘણી પ્રબોધવાણીઓ ક્યારનીય પરિપૂર્ણ થઈ ચુકી છે.
- બાઇબલમાં પ્રબોધકોએ લખેલા પુસ્તકોના સંગ્રહને ઘણીવાર “પ્રબોધકો” તરીકે ઉલ્લેખવામાં આવે છે.
- ઉદાહરણ તરીકે, “નિયમ તથા પ્રબોધકો” શબ્દસમૂહ તે સમગ્ર હિબ્રૂ શાસ્ત્રવચનનો ઉલ્લેખ કરવાની એક રીત છે કે જે “જૂનો કરાર” તરીકે પણ જાણીતું છે.
- પ્રબોધક માટેનો જૂનો શબ્દ “દ્રષ્ટા” અથવા તો “એવો વ્યક્તિ કે જે જૂએ છે” તે હતો.
- ઘણીવાર “દ્રષ્ટા” શબ્દ જૂઠા પ્રબોધકનો અથવા તો જે વ્યક્તિ ભવિષ્ય ભાખવાનું કામ કરે છે તેનો ઉલ્લેખ કરે છે.
અનુવાદ માટેના સૂચનો:
- “પ્રબોધક” શબ્દનો અનુવાદ “ઈશ્વરનો પ્રવકતા” અથવા તો “ઈશ્વર માટે બોલતો માણસ” અથવા તો “ઈશ્વરના સંદેશાઓ કહેનાર માણસ” તરીકે કરી શકાય.
- “દ્રષ્ટા” નો અનુવાદ “દર્શનો જોનાર વ્યક્તિ” અથવા તો “ઈશ્વર તરફથી ભવિષ્ય જોનાર વ્યક્તિ” તરીકે કરી શકાય.
- “પ્રબોધિકા” શબ્દનો અનુવાદ “ઈશ્વરની પ્રવકતા” અથવા તો “ઈશ્વર માટે બોલતી સ્ત્રી” અથવા તો “ઈશ્વરના સંદેશાઓ કહેનાર સ્ત્રી” તરીકે કરી શકાય.
- “પ્રબોધવાણી” નો અનુવાદ “ઈશ્વર તરફથી સંદેશો” અથવા તો “પ્રબોધકનો સંદેશો” તરીકે કરી શકાય.
- “પ્રબોધવાણી કરવી” નો અનુવાદ “ઈશ્વર તરફથી બાબતો કહેવી” અથવા તો “ઈશ્વરનો સંદેશો કહેવો” તરીકે કરી શકાય.
- પ્રતિકાત્મક અભિવ્યક્તિ “નિયમ તથા પ્રબોધકો” નો અનુવાદ “નિયમના તથા પ્રબોધકોના પુસ્તકો” અથવા તો “ઈશ્વરના નિયમો તથા તેમના પ્રબોધકોએ જે પ્રચાર કર્યો તે સહિત ઈશ્વર તથા તેમના લોકો સંબંધી લખાયેલી બધી જ બાબતો” તરીકે પણ કરી શકાય.
- જ્યારે જૂઠા દેવના પ્રબોધક (કે દ્રષ્ટાનો) ઉલ્લેખ કરવામાં આવે ત્યારે, તે જરૂરી છે કે તેનો અનુવાદ “જૂઠો પ્રબોધક (દ્રષ્ટા)” અથવા તો “જૂઠા દેવનો પ્રબોધક (દ્રષ્ટા)” અથવા તો ઉદાહરણ તરીકે “બઆલનો પ્રબોધક” તરીકે કરવામાં આવે.
(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)
બાઇબલના સંદર્ભો:
- 1 થેસ્સલોનિકી 2:14-16
- પ્રેરિતોનાં કૃત્યો 3:24-26
- યોહાન 1:43-45
- માલાખી 4:4-6
- માથ્થી 1:22-23
- માથ્થી 2:17-18
- માથ્થી 5:17-18
- ગીતશાસ્ત્ર 51:1-2
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 12:12 જ્યારે ઇઝરાયલીઓએ જોયું કે ઈજીપ્તના લોકો મરણ પામ્યા છે ત્યારે, તેઓએ ઈશ્વરમાં વિશ્વાસ કર્યો અને માન્યું કે મૂસા ઈશ્વરનો પ્રબોધક છે.
- 17:13 દાઉદે જે કર્યું હતું તે વિષે ઈશ્વર ખૂબ જ ક્રોધિત થયા, તેથી દાઉદને તેનું પાપ કેટલું દુષ્ટ હતું તે કહેવા તેમણે નાથાન પ્રબોધકને મોકલ્યો.
- 19:1 ઇઝરાયલીઓના સમગ્ર ઇતિહાસ દરમ્યાન ઈશ્વરે તેમની પાસે પ્રબોધકો મોકલ્યા.
પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.
- 19:6 બઆલના 450 પ્રબોધકો સહિત સમગ્ર ઇઝરાયલ રાજ્યના બધા જ લોકો કાર્મેલ પર્વત પર આવ્યા.
- 19:17 મોટાભાગે લોકોએ ઈશ્વરની આજ્ઞાઓ પાળી નહીં.
ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.
- 21:9 યશાયા પ્રબોધકે પ્રબોધવાણી કરી કે મસીહા એક કુંવારી યુવતી દ્વારા જન્મ લેશે.
- 43:5 “આ બાબત યોએલ પ્રબોધકે કરેલી પ્રબોધવાણી પરિપૂર્ણ કરે છે જેમાં ઈશ્વરે કહ્યું, ‘અંતના દિવસોમાં હું મારો પવિત્ર આત્મા રેડી દઇશ.’”
- 43:7 “આ બાબત એ પ્રબોધવાણી પરિપૂર્ણ કરે છે જે કહે છે કે ‘તમે તમારા પવિત્ર મનુષ્યને કબરમાં સડવા દેશો નહીં’”.
- 48:12 મૂસા મહાન પ્રબોધક હતો કે જેણે ઈશ્વરનું વચન ઘોષિત કર્યું.
પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.
તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.
શબ્દ માહિતી:
- Strong's: H2372, H2374, H4853, H5012, H5013, H5016, H5017, H5029, H5030, H5031, H5197, G2495, G4394, G4395, G4396, G4397, G4398, G5578
પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા
વ્યાખ્યા:
“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે.
જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.
- ઘણીવાર પ્રબોધકોએ લોકોને તેઓના પાપોથી પાછા ફરવા અને ઈશ્વરની આજ્ઞાઓ પાળવા ચેતવણી આપી.
- પ્રબોધકો જે સંદેશો આપે છે તેને “પ્રબોધવાણી” કહે છે.
“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.
- ઘણીવાર પ્રબોધવાણીનો સંદેશો ભવિષ્યમાં કશું થશે તે વિષે હતો.
- જૂના કરારની ઘણી પ્રબોધવાણીઓ ક્યારનીય પરિપૂર્ણ થઈ ચુકી છે.
- બાઇબલમાં પ્રબોધકોએ લખેલા પુસ્તકોના સંગ્રહને ઘણીવાર “પ્રબોધકો” તરીકે ઉલ્લેખવામાં આવે છે.
- ઉદાહરણ તરીકે, “નિયમ તથા પ્રબોધકો” શબ્દસમૂહ તે સમગ્ર હિબ્રૂ શાસ્ત્રવચનનો ઉલ્લેખ કરવાની એક રીત છે કે જે “જૂનો કરાર” તરીકે પણ જાણીતું છે.
- પ્રબોધક માટેનો જૂનો શબ્દ “દ્રષ્ટા” અથવા તો “એવો વ્યક્તિ કે જે જૂએ છે” તે હતો.
- ઘણીવાર “દ્રષ્ટા” શબ્દ જૂઠા પ્રબોધકનો અથવા તો જે વ્યક્તિ ભવિષ્ય ભાખવાનું કામ કરે છે તેનો ઉલ્લેખ કરે છે.
અનુવાદ માટેના સૂચનો:
- “પ્રબોધક” શબ્દનો અનુવાદ “ઈશ્વરનો પ્રવકતા” અથવા તો “ઈશ્વર માટે બોલતો માણસ” અથવા તો “ઈશ્વરના સંદેશાઓ કહેનાર માણસ” તરીકે કરી શકાય.
- “દ્રષ્ટા” નો અનુવાદ “દર્શનો જોનાર વ્યક્તિ” અથવા તો “ઈશ્વર તરફથી ભવિષ્ય જોનાર વ્યક્તિ” તરીકે કરી શકાય.
- “પ્રબોધિકા” શબ્દનો અનુવાદ “ઈશ્વરની પ્રવકતા” અથવા તો “ઈશ્વર માટે બોલતી સ્ત્રી” અથવા તો “ઈશ્વરના સંદેશાઓ કહેનાર સ્ત્રી” તરીકે કરી શકાય.
- “પ્રબોધવાણી” નો અનુવાદ “ઈશ્વર તરફથી સંદેશો” અથવા તો “પ્રબોધકનો સંદેશો” તરીકે કરી શકાય.
- “પ્રબોધવાણી કરવી” નો અનુવાદ “ઈશ્વર તરફથી બાબતો કહેવી” અથવા તો “ઈશ્વરનો સંદેશો કહેવો” તરીકે કરી શકાય.
- પ્રતિકાત્મક અભિવ્યક્તિ “નિયમ તથા પ્રબોધકો” નો અનુવાદ “નિયમના તથા પ્રબોધકોના પુસ્તકો” અથવા તો “ઈશ્વરના નિયમો તથા તેમના પ્રબોધકોએ જે પ્રચાર કર્યો તે સહિત ઈશ્વર તથા તેમના લોકો સંબંધી લખાયેલી બધી જ બાબતો” તરીકે પણ કરી શકાય.
- જ્યારે જૂઠા દેવના પ્રબોધક (કે દ્રષ્ટાનો) ઉલ્લેખ કરવામાં આવે ત્યારે, તે જરૂરી છે કે તેનો અનુવાદ “જૂઠો પ્રબોધક (દ્રષ્ટા)” અથવા તો “જૂઠા દેવનો પ્રબોધક (દ્રષ્ટા)” અથવા તો ઉદાહરણ તરીકે “બઆલનો પ્રબોધક” તરીકે કરવામાં આવે.
(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)
બાઇબલના સંદર્ભો:
- 1 થેસ્સલોનિકી 2:14-16
- પ્રેરિતોનાં કૃત્યો 3:24-26
- યોહાન 1:43-45
- માલાખી 4:4-6
- માથ્થી 1:22-23
- માથ્થી 2:17-18
- માથ્થી 5:17-18
- ગીતશાસ્ત્ર 51:1-2
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 12:12 જ્યારે ઇઝરાયલીઓએ જોયું કે ઈજીપ્તના લોકો મરણ પામ્યા છે ત્યારે, તેઓએ ઈશ્વરમાં વિશ્વાસ કર્યો અને માન્યું કે મૂસા ઈશ્વરનો પ્રબોધક છે.
- 17:13 દાઉદે જે કર્યું હતું તે વિષે ઈશ્વર ખૂબ જ ક્રોધિત થયા, તેથી દાઉદને તેનું પાપ કેટલું દુષ્ટ હતું તે કહેવા તેમણે નાથાન પ્રબોધકને મોકલ્યો.
- 19:1 ઇઝરાયલીઓના સમગ્ર ઇતિહાસ દરમ્યાન ઈશ્વરે તેમની પાસે પ્રબોધકો મોકલ્યા.
પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.
- 19:6 બઆલના 450 પ્રબોધકો સહિત સમગ્ર ઇઝરાયલ રાજ્યના બધા જ લોકો કાર્મેલ પર્વત પર આવ્યા.
- 19:17 મોટાભાગે લોકોએ ઈશ્વરની આજ્ઞાઓ પાળી નહીં.
ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.
- 21:9 યશાયા પ્રબોધકે પ્રબોધવાણી કરી કે મસીહા એક કુંવારી યુવતી દ્વારા જન્મ લેશે.
- 43:5 “આ બાબત યોએલ પ્રબોધકે કરેલી પ્રબોધવાણી પરિપૂર્ણ કરે છે જેમાં ઈશ્વરે કહ્યું, ‘અંતના દિવસોમાં હું મારો પવિત્ર આત્મા રેડી દઇશ.’”
- 43:7 “આ બાબત એ પ્રબોધવાણી પરિપૂર્ણ કરે છે જે કહે છે કે ‘તમે તમારા પવિત્ર મનુષ્યને કબરમાં સડવા દેશો નહીં’”.
- 48:12 મૂસા મહાન પ્રબોધક હતો કે જેણે ઈશ્વરનું વચન ઘોષિત કર્યું.
પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.
તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.
શબ્દ માહિતી:
- Strong's: H2372, H2374, H4853, H5012, H5013, H5016, H5017, H5029, H5030, H5031, H5197, G2495, G4394, G4395, G4396, G4397, G4398, G5578
પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો
વ્યાખ્યા:
આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.
- ઈસુનો ઉલ્લેખ કરતી વખતે અથવા ગુલામોના માલિકની વાત કરતી વખતે આ શબ્દનો ઘણીવાર "માલીક" તરીકે અનુવાદ કરવામાં આવે છે.
- કેટલાક અંગ્રેજી આવૃતીઓ આ શબ્દ "સાહેબ" તરીકે અનુવાદિત કરે છે જ્યાં કોઈ નમ્રતાપૂર્વક ઉચ્ચસ્થિતિવાળા વ્યક્તિના સંદર્ભમાં સંબોધન કરે છે.
જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)
- જૂના કરારમાં, આ શબ્દનો ઉપયોગ " સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર" અથવા "પ્રભુ યહોવા" અથવા "યહોવા અમારા પ્રભુ" જેવી અભિવ્યક્તિમાં પણ થાય છે.
- નવા કરારમાં, પ્રેરિતોએ આ શબ્દનો ઉપયોગ "પ્રભુ ઈસુ" અને "પ્રભુ ઈસુ ખ્રિસ્ત" જેવા શબ્દોમાં કર્યો છે, જે જણાવે છે કે ઇસુ પ્રભુ છે.
- નવા કરારમાં "પ્રભુ" શબ્દનો ઉપયોગ ઈશ્વરના સીધા સંદર્ભ તરીકે એકલા કરવામાં આવે છે, ખાસ કરીને જૂના કરારમાંના અવતરણમાં.
ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."
- યુએલબી અને યુડીબીમાં, "પ્રભુ" શીર્ષકનો ઉપયોગ ફક્ત હેબ્રી અને ગ્રીક શબ્દનો અનુવાદ કરવા માટે થાય છે જેનો અર્થ "પ્રભુ" થાય છે. જેમ ઘણા અનુવાદોમાં થાય છે તેમ ઈશ્વરના નામ (યહોવા) ના ભાષાંતર તરીકે ક્યારેય ઉપયોગમાં લેવાતો નથી,
- કેટલીક ભાષાઓ "પ્રભુ" ને "માલીક" અથવા "શાસક" અથવા અન્ય કોઈ શબ્દ જે માલિકી અથવા સર્વોચ્ચ શાસનને દર્શાવતા હોય તે અનુસાર અનુવાદ કરે છે.
- યોગ્ય સંદર્ભોમાં, ઘણા અનુવાદો, આ શબ્દનો પ્રથમ મોટો અક્ષર વાચકને સ્પષ્ટ કરે છે કે તે ઈશ્વરનો ઉલ્લેખ કરનાર શીર્ષક છે.
- નવા કરારમાં સ્થાનોમાં જ્યાં જૂના કરારના અવતરણ છે, "પ્રભુ ઈશ્વર" શબ્દનો ઉપયોગ તેને સ્પષ્ટ કરવા માટે થઈ શકે છે કે આ ઈશ્વરનો સંદર્ભ છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- આ શબ્દનો અનુવાદ જ્યારે તે ગુલામોના માલિકની વાત કરે છે ત્યારે "માલીક" ની સમકક્ષ કરી શકાય છે
નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.
- જ્યારે તે ઈસુને ઉલ્લેખ કરે છે, જો સંદર્ભ દર્શાવે છે કે વક્તા તેને ધાર્મિક શિક્ષક તરીકે જુએ છે, તો ધાર્મિક શિક્ષક માટે એક આદરણીય સંબોધન સાથે અનુવાદ કરી શકાય છે. , જેમ કે "સાહેબ."
- જો ઇસુને સંબોધતી વ્યક્તિ તેને ઓળખતી ન હોય, તો "પ્રભુ" ને આદરપૂર્ણ સ્વરૂપ સાથે અનુવાદિત કરી શકાય છે જેમ કે "સ્વામી." આ ભાષાંતરનો ઉપયોગ અન્ય સંદર્ભો માટે પણ કરવામાં આવશે જેમાં વ્યક્તિને નમ્ર સ્વરૂપે સંબોધન કરવામાં આવે છે.
- પિતા અથવા ઈસુને ઈશ્વરનો સંદર્ભ આપતા, આ શબ્દ એક શીર્ષક માનવામાં આવે છે, જે અંગ્રેજીમાં "પ્રભુ" (મોટા અક્ષરો) તરીકે લખાય છે.
(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)
બાઇબલના સંદર્ભો:
- ઉત્પત્તિ 39:1-2
- યહોશુઆ 3:9-11
- ગીતશાસ્ત્ર 86:15-17
- યર્મિયા 27:1-4
- યર્મિયાનો વિલાપ 2:1-2
- હઝકિયેલ 18:29-30
- દાનિયેલ 9:9-11
- દાનિયેલ 9:17-19
- માલાખી 3:1-3
- માથ્થી 7:21-23
- લુક 1:30-33
- લુક 16:13
- રોમન 6:22-23
- એફેસી 6:9
- ફિલિપી 2:9-11
- કલોસી 3:22-25
- હિબ્રુ 12:14-17
- યાકૂબ 2:1-4
- 1 પિતર 1:3-5
- યહુદા 1:5-6
- પ્રકટીકરણ 15:3-4
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 25:5 પરંતુ ઈસુએ શાસ્ત્રવચનોમાંથી અવતરણ ટાંકીને શેતાનને જવાબ આપ્યો. તેમણે કહ્યું, "ઈશ્વરના વચનમાં, તેમણે પોતાના લોકોને આજ્ઞા આપી છે, 'તમારા દેવ પ્રભુ નું પરીક્ષણ ન કરો.'"
- 25:7 ઈસુએ જવાબ આપ્યો, "મારાથી દૂર રહે, શેતાન! ઇશ્વરના વચનમાં તેણે પોતાના લોકોને આજ્ઞા આપી છે, 'ફક્ત તમારા પ્રભુ દેવની જ પૂજા કરો અને તેની જ સેવા કરો.' "
- 26:3 આ પ્રભુનું માન્ય વર્ષ છે.
- 27:2 શાસ્ત્રીએ જવાબ આપ્યો કે ઇશ્વરનો નિયમ કહે છે, "તમારા પ્રભુ દેવ પર તમારા ખરા હૃદયથી, આત્માથી, શક્તિથી અને મનથી પ્રેમ કરો."
- 31:5 પછી પિતરે ઈસુને કહ્યું, "સ્વામી, જો તે તમે જ છો, તો મને પાણી પર ચાલીને તમારી પાસે આવવા માટે આજ્ઞા આપો"
- 43:9 "પરંતુ ચોક્કસ જાણો કે ઈશ્વરે ઇસુને પ્રભુ અને મસીહ બન્ને બનાવ્યા છે!"
- 47:3 આ દુષ્ટાત્માના માધ્યમથી તેણે લોકો માટે ભવિશ્યની આગાહી કરી, તેણીએ તેના માલીકો માટે એક ભવિષ્યવેત્તા તરીકે ખૂબ પૈસા કમાવી આપ્યા.
- 47:11 પાઉલે જવાબ આપ્યો, "ઈસુ સ્વામી માં વિશ્વાસ કરો, , અને તમે અને તમારું કુટુંબ બચાવી લેવામાં આવશે."
શબ્દ માહિતી:
- Strong's: H113, H136, H1167, H1376, H4756, H7980, H8323, G203, G634, G962, G1203, G2962
પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો
વ્યાખ્યા:
આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.
- ઈસુનો ઉલ્લેખ કરતી વખતે અથવા ગુલામોના માલિકની વાત કરતી વખતે આ શબ્દનો ઘણીવાર "માલીક" તરીકે અનુવાદ કરવામાં આવે છે.
- કેટલાક અંગ્રેજી આવૃતીઓ આ શબ્દ "સાહેબ" તરીકે અનુવાદિત કરે છે જ્યાં કોઈ નમ્રતાપૂર્વક ઉચ્ચસ્થિતિવાળા વ્યક્તિના સંદર્ભમાં સંબોધન કરે છે.
જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)
- જૂના કરારમાં, આ શબ્દનો ઉપયોગ " સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર" અથવા "પ્રભુ યહોવા" અથવા "યહોવા અમારા પ્રભુ" જેવી અભિવ્યક્તિમાં પણ થાય છે.
- નવા કરારમાં, પ્રેરિતોએ આ શબ્દનો ઉપયોગ "પ્રભુ ઈસુ" અને "પ્રભુ ઈસુ ખ્રિસ્ત" જેવા શબ્દોમાં કર્યો છે, જે જણાવે છે કે ઇસુ પ્રભુ છે.
- નવા કરારમાં "પ્રભુ" શબ્દનો ઉપયોગ ઈશ્વરના સીધા સંદર્ભ તરીકે એકલા કરવામાં આવે છે, ખાસ કરીને જૂના કરારમાંના અવતરણમાં.
ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."
- યુએલબી અને યુડીબીમાં, "પ્રભુ" શીર્ષકનો ઉપયોગ ફક્ત હેબ્રી અને ગ્રીક શબ્દનો અનુવાદ કરવા માટે થાય છે જેનો અર્થ "પ્રભુ" થાય છે. જેમ ઘણા અનુવાદોમાં થાય છે તેમ ઈશ્વરના નામ (યહોવા) ના ભાષાંતર તરીકે ક્યારેય ઉપયોગમાં લેવાતો નથી,
- કેટલીક ભાષાઓ "પ્રભુ" ને "માલીક" અથવા "શાસક" અથવા અન્ય કોઈ શબ્દ જે માલિકી અથવા સર્વોચ્ચ શાસનને દર્શાવતા હોય તે અનુસાર અનુવાદ કરે છે.
- યોગ્ય સંદર્ભોમાં, ઘણા અનુવાદો, આ શબ્દનો પ્રથમ મોટો અક્ષર વાચકને સ્પષ્ટ કરે છે કે તે ઈશ્વરનો ઉલ્લેખ કરનાર શીર્ષક છે.
- નવા કરારમાં સ્થાનોમાં જ્યાં જૂના કરારના અવતરણ છે, "પ્રભુ ઈશ્વર" શબ્દનો ઉપયોગ તેને સ્પષ્ટ કરવા માટે થઈ શકે છે કે આ ઈશ્વરનો સંદર્ભ છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- આ શબ્દનો અનુવાદ જ્યારે તે ગુલામોના માલિકની વાત કરે છે ત્યારે "માલીક" ની સમકક્ષ કરી શકાય છે
નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.
- જ્યારે તે ઈસુને ઉલ્લેખ કરે છે, જો સંદર્ભ દર્શાવે છે કે વક્તા તેને ધાર્મિક શિક્ષક તરીકે જુએ છે, તો ધાર્મિક શિક્ષક માટે એક આદરણીય સંબોધન સાથે અનુવાદ કરી શકાય છે. , જેમ કે "સાહેબ."
- જો ઇસુને સંબોધતી વ્યક્તિ તેને ઓળખતી ન હોય, તો "પ્રભુ" ને આદરપૂર્ણ સ્વરૂપ સાથે અનુવાદિત કરી શકાય છે જેમ કે "સ્વામી." આ ભાષાંતરનો ઉપયોગ અન્ય સંદર્ભો માટે પણ કરવામાં આવશે જેમાં વ્યક્તિને નમ્ર સ્વરૂપે સંબોધન કરવામાં આવે છે.
- પિતા અથવા ઈસુને ઈશ્વરનો સંદર્ભ આપતા, આ શબ્દ એક શીર્ષક માનવામાં આવે છે, જે અંગ્રેજીમાં "પ્રભુ" (મોટા અક્ષરો) તરીકે લખાય છે.
(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)
બાઇબલના સંદર્ભો:
- ઉત્પત્તિ 39:1-2
- યહોશુઆ 3:9-11
- ગીતશાસ્ત્ર 86:15-17
- યર્મિયા 27:1-4
- યર્મિયાનો વિલાપ 2:1-2
- હઝકિયેલ 18:29-30
- દાનિયેલ 9:9-11
- દાનિયેલ 9:17-19
- માલાખી 3:1-3
- માથ્થી 7:21-23
- લુક 1:30-33
- લુક 16:13
- રોમન 6:22-23
- એફેસી 6:9
- ફિલિપી 2:9-11
- કલોસી 3:22-25
- હિબ્રુ 12:14-17
- યાકૂબ 2:1-4
- 1 પિતર 1:3-5
- યહુદા 1:5-6
- પ્રકટીકરણ 15:3-4
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 25:5 પરંતુ ઈસુએ શાસ્ત્રવચનોમાંથી અવતરણ ટાંકીને શેતાનને જવાબ આપ્યો. તેમણે કહ્યું, "ઈશ્વરના વચનમાં, તેમણે પોતાના લોકોને આજ્ઞા આપી છે, 'તમારા દેવ પ્રભુ નું પરીક્ષણ ન કરો.'"
- 25:7 ઈસુએ જવાબ આપ્યો, "મારાથી દૂર રહે, શેતાન! ઇશ્વરના વચનમાં તેણે પોતાના લોકોને આજ્ઞા આપી છે, 'ફક્ત તમારા પ્રભુ દેવની જ પૂજા કરો અને તેની જ સેવા કરો.' "
- 26:3 આ પ્રભુનું માન્ય વર્ષ છે.
- 27:2 શાસ્ત્રીએ જવાબ આપ્યો કે ઇશ્વરનો નિયમ કહે છે, "તમારા પ્રભુ દેવ પર તમારા ખરા હૃદયથી, આત્માથી, શક્તિથી અને મનથી પ્રેમ કરો."
- 31:5 પછી પિતરે ઈસુને કહ્યું, "સ્વામી, જો તે તમે જ છો, તો મને પાણી પર ચાલીને તમારી પાસે આવવા માટે આજ્ઞા આપો"
- 43:9 "પરંતુ ચોક્કસ જાણો કે ઈશ્વરે ઇસુને પ્રભુ અને મસીહ બન્ને બનાવ્યા છે!"
- 47:3 આ દુષ્ટાત્માના માધ્યમથી તેણે લોકો માટે ભવિશ્યની આગાહી કરી, તેણીએ તેના માલીકો માટે એક ભવિષ્યવેત્તા તરીકે ખૂબ પૈસા કમાવી આપ્યા.
- 47:11 પાઉલે જવાબ આપ્યો, "ઈસુ સ્વામી માં વિશ્વાસ કરો, , અને તમે અને તમારું કુટુંબ બચાવી લેવામાં આવશે."
શબ્દ માહિતી:
- Strong's: H113, H136, H1167, H1376, H4756, H7980, H8323, G203, G634, G962, G1203, G2962
પ્રભુ યહોવા, યહોવા દેવ
તથ્યો:
જૂના કરારમાં, " પ્રભુ યહોવા " નો વારંવાર એક સાચા ઈશ્વરનો ઉલ્લેખ કરવા માટે ઉપયોગ થાય છે.
- " પ્રભુ " શબ્દ એક દૈવી શીર્ષક છે અને " યહોવા " એ ઈશ્વરનું વ્યક્તિગત નામ છે.
- " યહોવા " ને ઘણીવાર "દેવ" શબ્દ સાથે જોડવામાં આવે છે જેને " યહોવા દેવ " બનાવવામાં આવે છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- જો "યહોવા" કેટલાક સ્વરૂપે ઈશ્વરના વ્યક્તિગત નામના અનુવાદ માટે વપરાય છે, તો શબ્દો "પ્રભુ યહોવા" અને "યહોવા દેવ" શાબ્દિક ભાષાંતર કરી શકાય.
ઈશ્વરનો ઉલ્લેખ કરતી વખતે " પ્રભુ " શબ્દનો સંદર્ભ અન્ય સંદર્ભોમાં અનુવાદિત કરવામાં આવે છે તે પણ ધ્યાનમાં લો.
- કેટલીક ભાષાઓ નામ પછી શીર્ષક મૂકીને આ રીતે "યહોવા પ્રભુ" તરીકે અનુવાદ કરશે.
પ્રોજેક્ટ ભાષામાં કુદરતી શું છે તે ધ્યાનમાં લો: "પ્રભુ" શીર્ષક "યહોવા" પહેલાં અથવા પછી આવવું જોઈએ?
- " યહોવા દેવ " પણ "ઈશ્વર જેને યહોવા કહેવાય છે" અથવા " દેવ જે જીવંત છે" અથવા "હું, જે ઈશ્વરછું."
- જો અનુવાદ "યહોવા" ને "પ્રભુ" અથવા "પ્રભુ" તરીકે રજૂ કરવા માટેની પરંપરાને અનુસરે છે, તો " પ્રભુ યહોવા" શબ્દનો અનુવાદ "પ્રભુ ઈશ્વર" અથવા "ઈશ્વર જે પ્રભુ છે."
અન્ય શક્ય અનુવાદો, "માલીક પ્રભુ" અથવા "ઈશ્વર પ્રભુ" હોઈ શકે છે.
- " પ્રભુ યહોવા" શબ્દને "પ્રભુ પ્રભુ" તરીકે રજૂ કરવામાં નહીં આવે કારણ કે વાચકોને અક્ષરના કદમાં તફાવત ન દેખાય કે પરંપરાગત રીતે આ બે શબ્દોને અલગ પાડવા માટે ઉપયોગમાં લેવાય છે અને તે ખૂબ વિચિત્ર લાગશે.
(આ પણ જુઓ: દેવ, પ્રભુ, પ્રભુ, યહોવાહ)
બાઇબલના સંદર્ભો:
- 1 કોરિંથી 4:3-4
- 2 શમુએલ 7:21-23
- પુનર્નિયમ 3:23-25
- હઝકિયેલ 39:25-27
- હઝકિયેલ 45:18-20
- યર્મિયા 44:26-28
- ન્યાયાધીશો 6:22-24
- મીખાહ 1:2-4
શબ્દ માહિતી:
- Strong's: H136, H430, H3068, G2316, G2962
પ્રમુખ યાજક
વ્યાખ્યા:
“પ્રમુખ યાજક” શબ્દ વિશેષ યાજકને દર્શાવે છે કે જેને બધા અન્ય ઈઝરાએલી યાજકો માટે એક વર્ષ આગેવાન તરીકે સેવા કરવા નિમણુક કરવામાં આવતો હતો.
- પ્રમુખ યાજકને ખાસ જવાબદારીઓ હતી.
ફક્ત તેને એકલાને જ વરસમાં એક વાર ખાસ બલિદાન ચઢાવવા માટે મંદિરના સૌથી પવિત્ર ભાગમાં જવાની પરવાનગી હતી.
- ઈઝરાએલીઓને ઘણા યાજકો હતા, પણ એક સમયે ફક્ત એકજ પ્રમુખ યાજક રહેતો.
- જયારે ઈસુની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે કાયાફાસ સત્તાવાર પ્રમુખ યાજક હતો.
ક્યારેક કાયાફાસના સસરા અન્નાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણકે તે ભૂતપૂર્વ પ્રમુખ યાજક હતો તેમ છતાં પણ હજુ તે કદાચ લોકો ઉપર સત્તા અને અધિકાર ધરાવતો હતો.
ભાષાંતરના સૂચનો:
- “પ્રમુખ યાજક” શબ્દનું ભાષાંતર, “સાર્વભૌમ યાજક” અથવા “સૌથી ઊંચા સ્તરનો યાજક” તરીકે કરી શકાય છે.
- ખાતરી કરો કે આ શબ્દનું ભાષાંતર “મુખ્ય યાજક” કરતાં અલગ થવું જોઈએ.
(આ પણ જુઓ: અન્નાસ, કાયાફા, મુખ્ય યાજકો, યાજક, મંદિર)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 5:26-28
- પ્રેરિતો 7:1-3
- પ્રેરિતો 9:1-2
- નિર્ગમન 30:10
- હિબ્રૂ 6:19-20
- લેવીય 16:32-33
- લૂક 3:1-2
- માર્ક 2:25-26
- માથ્થી 26:3-5
- માથ્થી26:51-54
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 13:8 પડદાની પાછળના ખંડમાં પ્રમુખ યાજક સિવાય કોઈ જઈ શકતું નહોતું, કારણકે દેવ ત્યાં રહેતો હતો.
- 21:7 મસીહા કે જે આવશે તે સંપૂર્ણ પ્રમુખ યાજક રહેશે કે જે સંપૂર્ણ બલિદાન તરીકે પોતાની જાતને દેવને અર્પણ કરશે.
- 38:3 પ્રમુખ યાજક ની દોરવણી પ્રમાણે યહૂદી આગેવાનોએ, ઈસુને પર પરસ્વાધિન કરવા માટે યહૂદાને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવ્યા.
- 39:1 ઈસુને પ્રશ્નો પૂછવા માટે સિપાઈઓ તેને (ઈસુને) પ્રમુખ યાજકના ઘરમાં લઈ ગયા.
- 39:3 છેવટે, પ્રમુખ યાજકે સીધાજ ઈસુ સામે જોયું અને કહ્યું, “અમને કહે, તું મસીહા, જીવતા દેવનો પુત્ર છે?”
- 44:7 બીજા દિવસે, યહૂદી આગેવાનો પિતર અને યોહાનને પ્રમુખ યાજક અને અન્ય ધાર્મિક આગેવાનો પાસે લાવ્યાં.
- 45:2 જેથી ધાર્મિક આગેવાનોએ સ્તેફનની ધરપકડ કરી અને પ્રમુખ યાજક અને અન્ય યહૂદી આગેવાનોએ પાસે લાવ્યાં, ત્યાં સ્તેફન વિશે ઘણા જૂઠા સાક્ષીઓએ ખોટી શાહેદી પૂરી.
- 46:1 પ્રમુખ યાજકે શાઉલને દમસ્ક શહેરમાં જઈને ત્યાંના ખ્રિસ્તીઓને ધરપકડ કરી અને યરૂશાલેમ પાછા લાવવાની સંમતિ આપી.
- 48:6 ઈસુ એ મહાન પ્રમુખ યાજક છે અન્ય યાજકોથી વિપરીત, તેણે પોતે પોતાનું બલિદાન આપ્યું કે જેથી તે જગતના બધા લોકોના પાપ લઈ શકે. ઈસુ સંપૂર્ણ પ્રમુખ યાજક હતો, કારણકે તેણે દરેક પાપ, કે જે કોઈપણ વ્યક્તિએ ગમે ત્યારે કરેલા હોય, તેઓની સજા ઈસુએ માથે લીધી.
શબ્દ માહિતી:
- Strong's: H7218, H1419, H3548, G748, G749
પ્રાંત, પ્રાંતો, પ્રાંતીય
તથ્યો:
પ્રાંત એ દેશ અથવા સામ્રાજ્યનો એક ભાગ કે વિભાગ છે.
“પ્રાંતીય” શબ્દ એવી બાબતનું વર્ણન કરે છે કે જે પ્રાંત સાથે સંબંધિત છે જેમ કે પ્રાંતીય રાજયપાલ.
- ઉદાહરણ તરીકે, પ્રાચીન ઇરાનનું સામ્રાજ્ય માદી, ઇરાન, સીરિયા તથા ઈજિપ્ત એવા પ્રાંતોમાં વિભાજિત હતું.
- નવા કરારના સમય દરમ્યાન, રોમનું સામ્રાજ્ય મકદોનિયા, આસિયા, સીરિયા, યહૂદીયા, સમારિયા, ગાલીલી તથા ગલાતિયા જેવા પ્રાંતોમાં વિભાજિત હતું.
- દરેક પ્રાંતનો તેમનો પોતાનો શાસન કરનાર અધિકારી હતો કે જે રાજા અથવા તો સામ્રાજ્યના શાસકનો તાબેદાર હતો.
આ શાસક અધિકારીને કેટલીક વાર “પ્રાંતીય અધિકારી” અથવા તો “પ્રાંતીય રાજ્યપાલ” કહેવામા આવતો હતો.
- “પ્રાંત” અને “પ્રાંતીય” શબ્દોનો અનુવાદ “પ્રદેશ” અને “પ્રાદેશિક” તરીકે પણ કરી શકાય.
(આ જૂઓ: આશિયા, મિસર, એસ્તેર, ગલાતિયા, ગાલીલ, યહૂદિયા, મકદોનિયા, માદીઓ, રોમ, સમરૂન, સીરિયા)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 19:30-32
- દાનિયેલ 3:1-2
- દાનિયેલ 6:1-3
- સભાશિક્ષક 2:7-8
શબ્દ માહિતી:
- Strong's: H4082, H4083, H5675, H5676, G1885
પ્રાણી, પ્રાણીઓ
સત્યો:
બાઈબલમાં “જાનવર” શબ્દ માટે મોટેભાગે “પ્રાણી” શબ્દ વપરાય છે
- જંગલી જાનવર એક પ્રકારનું પ્રાણી છે કે જે વન અથવા ખેતરોમાં છૂટથી રહે છે અને લોકો દ્વારા કેળવાયેલું નથી હોતું.
- પાળેલું જાનવર એવું પ્રાણી છે કે જે લોકો સાથે રહે છે અને ખોરાક માટે અથવા કામ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, જેમકે ખેતર ખેડવા માટે તેનો ઉપયોગ થાય છે.
મોટેભાગે “પશુધન” શબ્દ આ પ્રકારના જાનવર માટે દર્શાવાયો છે.
- જૂના કરારમાં દાનિએલના પુસ્તકમાં અને નવા કરારમાં પ્રકટીકરણના પુસ્તકના દર્શનોમાં જે જાનવરનું (શ્વાપદ) વર્ણન કરવામાં આવ્યું છે, જેની પાસે દેવની વિરુદ્ધમાં લડવા માટે દુષ્ટ શક્તિ અને સત્તાઓ રહેલી છે.
(જુઓ: રૂપક
- આમાંના થોડા ઘણા પ્રાણીઓના વિચિત્ર લક્ષણો રહેલા છે, જેવાં કે બેથી વધુ માથાં અને શિંગડાવાળા દર્શાવેલા પ્રાણીઓ.
તેઓ પાસે મોટે ભાગે શક્તિ અને સત્તા હોય છે, કે જેઓ દેશો, રાષ્ટ્રો, અથવા રાજકીય સત્તાઓને દર્શાવે છે.
- સંદર્ભ પ્રમાણે આ શબ્દનું ભાષાંતર “પ્રાણી” અથવા “સર્જેલી વસ્તુ” અથવા “પશુ” અથવા “જંગલી જાનવર” થઇ શકે છે.
(આ પણ જુઓ: અધિકાર, દાનિયેલ, પશુધન, દેશ, સામર્થ્ય, પ્રગટ કરવું, બાલઝબૂલ)
બાઈબલની કલમો:
- 1 કરિંથી 15:31-32
- 1 શમુએલ 17:44-45
- 2 કાળવૃતાંત 25:18-19
- યર્મિયા 16:1-4
- લેવીય 7:21
- ગીતશાસ્ત્ર 49:12-13
શબ્દ માહિતી:
- Strong's: H338, H929, H1165, H2123, H2416, H2423, H2874, H3753, H4806, H7409, G2226, G2341, G2342, G2934, G4968, G5074
પ્રાણી, પ્રાણીઓ
સત્યો:
બાઈબલમાં “જાનવર” શબ્દ માટે મોટેભાગે “પ્રાણી” શબ્દ વપરાય છે
- જંગલી જાનવર એક પ્રકારનું પ્રાણી છે કે જે વન અથવા ખેતરોમાં છૂટથી રહે છે અને લોકો દ્વારા કેળવાયેલું નથી હોતું.
- પાળેલું જાનવર એવું પ્રાણી છે કે જે લોકો સાથે રહે છે અને ખોરાક માટે અથવા કામ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, જેમકે ખેતર ખેડવા માટે તેનો ઉપયોગ થાય છે.
મોટેભાગે “પશુધન” શબ્દ આ પ્રકારના જાનવર માટે દર્શાવાયો છે.
- જૂના કરારમાં દાનિએલના પુસ્તકમાં અને નવા કરારમાં પ્રકટીકરણના પુસ્તકના દર્શનોમાં જે જાનવરનું (શ્વાપદ) વર્ણન કરવામાં આવ્યું છે, જેની પાસે દેવની વિરુદ્ધમાં લડવા માટે દુષ્ટ શક્તિ અને સત્તાઓ રહેલી છે.
(જુઓ: રૂપક
- આમાંના થોડા ઘણા પ્રાણીઓના વિચિત્ર લક્ષણો રહેલા છે, જેવાં કે બેથી વધુ માથાં અને શિંગડાવાળા દર્શાવેલા પ્રાણીઓ.
તેઓ પાસે મોટે ભાગે શક્તિ અને સત્તા હોય છે, કે જેઓ દેશો, રાષ્ટ્રો, અથવા રાજકીય સત્તાઓને દર્શાવે છે.
- સંદર્ભ પ્રમાણે આ શબ્દનું ભાષાંતર “પ્રાણી” અથવા “સર્જેલી વસ્તુ” અથવા “પશુ” અથવા “જંગલી જાનવર” થઇ શકે છે.
(આ પણ જુઓ: અધિકાર, દાનિયેલ, પશુધન, દેશ, સામર્થ્ય, પ્રગટ કરવું, બાલઝબૂલ)
બાઈબલની કલમો:
- 1 કરિંથી 15:31-32
- 1 શમુએલ 17:44-45
- 2 કાળવૃતાંત 25:18-19
- યર્મિયા 16:1-4
- લેવીય 7:21
- ગીતશાસ્ત્ર 49:12-13
શબ્દ માહિતી:
- Strong's: H338, H929, H1165, H2123, H2416, H2423, H2874, H3753, H4806, H7409, G2226, G2341, G2342, G2934, G4968, G5074
પ્રાણી, પ્રાણીઓ
વ્યાખ્યા:
“પ્રાણી” શબ્દ, બધાંજ જીવતા સજીવોને જેને દેવે બનાવ્યા તેને દર્શાવે છે, જેમકે તેમાં માણસો અને પશુઓ બન્નેનો સમાવેશ થાય છે.
- દેવના મહિમાના દર્શનમાં હઝકિયેલ પ્રબોધક “જીવતા પ્રાણીઓને” જુએ છે.
તેને ખબર નહોતી કે તેઓ કોણ છે, જેથી તેણે તેઓને ખૂબ સામાન્ય નામ આપ્યું.
“સર્જન” શબ્દ, જેમાં સજીવ અને નિર્જિવનો સમાવેશ થાય છે કારણકે દેવે સધળું બનાવ્યું છે અને બંને વસ્તુઓ માટે અલગ અર્થ થાય છે તે ધ્યાન રાખો (જેવી કે જમીન, પાણી, અને તારાઓ)
“પ્રાણી” શબ્દમાં ફક્ત જીવંત વસ્તુઓનો સમાવેશ થાય છે.
ભાષાંતરના સૂચનો
- સંદર્ભ પર આધાર રાખીને “પ્રાણી” શબ્દનું ભાષાંતર, “અસ્તિત્વ ધરાવનાર” અથવા “જીવતું હોવું” અથવા “માનવજાત” તરીકે કરી શકાય.
- ” “પ્રાણીઓ” શબ્દનું ભાષાંતર, ”બધીજ જીવંત વસ્તુઓ” અથવા “લોકો અને પશુઓ” અથવા “પ્રાણીઓ” અથવા “માનવ જાત” તરીકે કરી શકાય.
(આ પણ જુઓ: સર્જન કરવું)
બાઈબલની કલમો:
- દાનિયેલ 4:10-12
- હઝકિયેલ 1:7-9
- યહોશુઆ 10:28
- લેવીય 11:46-47
- પ્રકટીકરણ 19:3-4
શબ્દ માહિતી:
- Strong's: H255, H1320, H1321, H1870, H2119, H2416, H4639, H5315, H5971, H7430, H8318, G2226, G2937, G2938
પ્રાણી, પ્રાણીઓ
વ્યાખ્યા:
“પ્રાણી” શબ્દ, બધાંજ જીવતા સજીવોને જેને દેવે બનાવ્યા તેને દર્શાવે છે, જેમકે તેમાં માણસો અને પશુઓ બન્નેનો સમાવેશ થાય છે.
- દેવના મહિમાના દર્શનમાં હઝકિયેલ પ્રબોધક “જીવતા પ્રાણીઓને” જુએ છે.
તેને ખબર નહોતી કે તેઓ કોણ છે, જેથી તેણે તેઓને ખૂબ સામાન્ય નામ આપ્યું.
“સર્જન” શબ્દ, જેમાં સજીવ અને નિર્જિવનો સમાવેશ થાય છે કારણકે દેવે સધળું બનાવ્યું છે અને બંને વસ્તુઓ માટે અલગ અર્થ થાય છે તે ધ્યાન રાખો (જેવી કે જમીન, પાણી, અને તારાઓ)
“પ્રાણી” શબ્દમાં ફક્ત જીવંત વસ્તુઓનો સમાવેશ થાય છે.
ભાષાંતરના સૂચનો
- સંદર્ભ પર આધાર રાખીને “પ્રાણી” શબ્દનું ભાષાંતર, “અસ્તિત્વ ધરાવનાર” અથવા “જીવતું હોવું” અથવા “માનવજાત” તરીકે કરી શકાય.
- ” “પ્રાણીઓ” શબ્દનું ભાષાંતર, ”બધીજ જીવંત વસ્તુઓ” અથવા “લોકો અને પશુઓ” અથવા “પ્રાણીઓ” અથવા “માનવ જાત” તરીકે કરી શકાય.
(આ પણ જુઓ: સર્જન કરવું)
બાઈબલની કલમો:
- દાનિયેલ 4:10-12
- હઝકિયેલ 1:7-9
- યહોશુઆ 10:28
- લેવીય 11:46-47
- પ્રકટીકરણ 19:3-4
શબ્દ માહિતી:
- Strong's: H255, H1320, H1321, H1870, H2119, H2416, H4639, H5315, H5971, H7430, H8318, G2226, G2937, G2938
પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત કરવું, પ્રાયશ્ચિત કરે છે, પ્રાયશ્ચિત કરેલ
વ્યાખ્યા:
“પ્રાયશ્ચિત” અને “પ્રાયશ્ચિત કરવું” શબ્દો દર્શાવે છે કે દેવે કેવી રીતે લોકોના પાપો માટે બલિદાન પૂરું પાડ્યું અને પાપનો કોપ શમાવ્યો છે.
- જૂનાકરારના સમયમાં, દેવે ઈઝરાએલીઓના પાપોના પ્રાયશ્ચિત માટે રક્તના અર્પણ દ્વારા થોડા વખત માટે પ્રાયશ્ચિત કરવાની ની મંજુરી આપી હતી કે જેમાં પશુઓને મારી નાખવામાં આવતા.
- નવા કરારમાં જે રીતે નોંધવામાં આવ્યું છે તે પ્રમાણે વધસ્તંભ ઉપર ખ્રિસ્તનું મૃત્યુ ફક્ત સાચું અને પાપ માટેનું શાશ્વત પ્રાયશ્ચિત છે.
જયારે ઈસુ મૃત્યુ પામ્યા, ત્યારે તેમણે લોકોના પાપની સજા પોતા પર લઈ લીધી.
તેણે પોતાના બલિદાનયુક્ત મરણ દ્વારા પ્રાયશ્ચિતની કિંમત ચૂકવી.
ભાષાંતરના સુચનો
- “પ્રાયશ્ચિત” શબ્દનું ભાષાંતર, જયારે કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા કરવામાં આવે તો તેનો અર્થ “કોઈ માટે ચુકવવું” અથવા “ચુકવણી કરવી” અથવા “કોઈકના પાપોને માફીનું કારણ બનવું” અથવા “ગુના માટેનો બદલો ભરવો” એમ થઇ શકે છે.
- “પ્રાયશ્ચિત” શબ્દના ભાષાંતરમાં “ચુકવણી” અથવા “પાપ માટે બલિદાન આપવું” અથવા “માફીનો ઉપાય પૂરો પાડવો” એવા શબ્દોનો સમાવેશ થઈ શકે છે.
- આ શબ્દનું ભાષાંતર પૈસાની ચુકવણીનો ઉલ્લેખ કરતા નથી તેનું ધ્યાન રાખો.
(આ પણ જુઓ: દયાસન, માફ કરવું, કોપશમન, સમાધાન કરવું, છૂટકારો કરવો)
બાઈબલની કલમો:
- હઝકિએલ 43:25-27
- હઝકિએલ 45:18-20
- લેવીય 4:20-21
- ગણના 5:8-10
- ગણના 28:19-22
શબ્દ માહિતી:
- Strong's: H3722, H3725, G2643
પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા
વ્યાખ્યા:
બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે.
"પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:
1.
ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે.
આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે.
ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.
- ઈસુએ આપણને પાપ અને મરણમાંથી છોડાવવા માટે પોતાના જીવનું બલિદાન આપવા દ્વારા આ પ્રકારનો પ્રેમ દર્શાવ્યો છે. તેમણે(ઇસુએ) તેમના અનુયાયીઓને બીજાઓને બલિદાનયુક્ત પ્રેમ કરવાનું શીખવ્યું.
- જ્યારે લોકો આ પ્રકારના પ્રેમથી બીજાઓને પ્રેમ કરે છે, ત્યારે તેઓ તે રીતે વર્તતા હોય છે જે દર્શાવે છે કે તેઓ વિચારે છે કે બીજાઓ શું થવાનું કારણ બને છે.
આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.
- યુએલબીમાં, "પ્રેમ" શબ્દનો અર્થ આ પ્રકારના બલિદાન પ્રેમને થાય છે, જ્યાં સુધી અનુવાદ નોંધ અલગ અર્થ સૂચવે નહીં.
2.
નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.
- આ શબ્દ મિત્રો અથવા સંબંધીઓ વચ્ચે કુદરતી માનવીય પ્રેમનો ઉલ્લેખ કરે છે.
- આ શબ્દનો ઉપયોગ આ સંદર્ભમાં પણ થઈ શકે છે, જેમ કે, "તેઓ ભોજનની સૌથી મહત્વપૂર્ણ બેઠકોમાં બેસવાનું ચાહે છે."
આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે.
3.
"પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે.
4.
આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે.
આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે.
જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો.
"નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- જ્યાં સુધી અનુવાદ નોંધમાં સૂચવવામાં નહીં આવે ત્યાં સુધી, યુ.એલ.બી. માં "પ્રેમ" શબ્દનો અર્થ ઈશ્વર તરફથી આવેલો બલિદાનયુક્ત પ્રેમ છે.
- અમુક ભાષાઓમાં ઈશ્વર પાસે જે નિઃસ્વાર્થ, બલિદાન પ્રેમ છે તેના માટે વિશિષ્ટ શબ્દ હોઈ શકે છે.
આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે.
ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં
- કેટલીકવાર અંગ્રેજી શબ્દ "પ્રેમ" એ ઊંડી કાળજીનું વર્ણન કરે છે જે લોકો માટે મિત્રો અને પરિવારના સભ્યો માટે હોય છે.
કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."
- સંદર્ભમાં જોઈએ તો જ્યાં શબ્દ "પ્રેમ" કંઈક માટે એક મજબૂત પસંદગી વ્યક્ત કરવા માટે વપરાય છે ત્યાં , આ "ભારપૂર્વક પ્રાધાન્ય" અથવા "ખૂબ ગમે છે " અથવા "અત્યંત ઈચ્છા" તરીકે અનુવાદ કરી શકાય.
- કેટલીક ભાષાઓમાં એક અલગ શબ્દ હોઈ શકે છે જે પતિ અને પત્ની વચ્ચે રોમેન્ટિક અથવા જાતીય પ્રેમનો ઉલ્લેખ કરે છે.
- ઘણી ભાષાઓએ ક્રિયા તરીકે "પ્રેમ" ને વ્યક્ત કરવું આવશ્યક છે.
તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."
(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)
બાઇબલના સંદર્ભો:
- 1 કોરિંથી 13:4-7
- 1 યોહાન 3:1-3
- 1 થેસ્સલોનીકી 4:9-12
- ગલાતી 5:22-24
- ઉત્પત્તિ 29:15-18
- યશાયા 56:6-7
- યર્મિયા 2:1-3
- યોહાન 3:16-18
- માથ્થી 10:37-39
- નહેમ્યા 9:32-34
- ફિલિપી 1:9-11
- ગીતોનું ગીત 1:1-4
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 27:2 શાસ્ત્રીએ જવાબ આપ્યો કે ઈશ્વરનો નિયમ કહે છે, "પ્રભુ તમારા દેવ પર તમારા ખરા હૃદયથી, આત્માથી, સામર્થ્યથી, અને મનથી પ્રેમ કરો. અને તમારા પાડોશી પર તમારા જેવો પ્રેમ કરો."
- 33:8 "કાંટાળી જમીન એ એવી વ્યક્તિ છે જે દેવના વચનને ધ્યાનથી સાંભળે છે, પરંતુ સમય પસાર થતાં, જીવનની ચિંતા, સંપત્તિ અને આનંદ એ ઈશ્વર માટેના તેમના પ્રેમ ને દબાવી દે છે."
- 36:5 પીતર વાત કરતા હતા ત્યારે, તેમના ઉપર એક તેજસ્વી વાદળ નીચે આવ્યું અને વાદળમાંથી એક અવાજ આવ્યો, "આ મારો પુત્ર છે જેને હું પ્રેમ કરું છું."
- 39:10 "જે કોઈ વ્યક્તિ સત્યને ચાહે છે તે મારું સાંભળે છે."
- 47:1 તેણી (લુદીયા)એ ઈશ્વરને પ્રેમ કર્યો અને ઈશ્વરની ઉપાસના કરી.
- 48:1 જ્યારે ભગવાનએ વિશ્વ બનાવ્યું, ત્યારે બધું જ સંપૂર્ણ હતું.
ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો
- 49:3 તેણે (ઇસુ) એ શીખવ્યું હતું કે તમારે બીજા લોકોને તમારી જાતને પ્રેમ કરો છો તેમ જ પ્રેમ કરવો જોઈએ.
- 49:4 તે (ઇસુ) એ પણ શીખવ્યું હતું કે તમારે તમારી સંપત્તિ કરતાં ઈશ્વરને વધુ પ્રેમ કરવાની જરૂર છે.
- 49:7 ઇસુએ શીખવ્યું કે ઈશ્વર પાપીઓને ખૂબ પ્રેમ કરે છે.
- 49:9 પરંતુ ઈશ્વરે વિશ્વમાં દરેકને એટલા બધો પ્રેમ કર્યો છે કે તેણે પોતાના એકમાત્ર દીકરાને આપ્યો જેથી જે કોઈ પણ ઈસુમાં વિશ્વાસ કરે તેને તેના પાપો માટે સજા કરવામાં આવશે નહીં, પરંતુ તે હંમેશાં ઈશ્વર સાથે રહેશે.
- 49:13 ઈશ્વર તમને પ્રેમ કરે છે અને ઈચ્છે છે કે તમે ઇસુમાં વિશ્વાસ કરો જેથી તે તમારી સાથે ગાઢ સંબંધ રાખી શકે.
શબ્દ માહિતી:
- Strong's: H157, H158, H159, H160, H2245, H2617, H2836, H3039, H4261, H5689, H5690, H5691, H7355, H7356, H7453, H7474, G25, G26, G5360, G5361, G5362, G5363, G5365, G5367, G5368, G5369, G5377, G5381, G5382, G5383, G5388
પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા
વ્યાખ્યા:
બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે.
"પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:
1.
ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે.
આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે.
ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.
- ઈસુએ આપણને પાપ અને મરણમાંથી છોડાવવા માટે પોતાના જીવનું બલિદાન આપવા દ્વારા આ પ્રકારનો પ્રેમ દર્શાવ્યો છે. તેમણે(ઇસુએ) તેમના અનુયાયીઓને બીજાઓને બલિદાનયુક્ત પ્રેમ કરવાનું શીખવ્યું.
- જ્યારે લોકો આ પ્રકારના પ્રેમથી બીજાઓને પ્રેમ કરે છે, ત્યારે તેઓ તે રીતે વર્તતા હોય છે જે દર્શાવે છે કે તેઓ વિચારે છે કે બીજાઓ શું થવાનું કારણ બને છે.
આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.
- યુએલબીમાં, "પ્રેમ" શબ્દનો અર્થ આ પ્રકારના બલિદાન પ્રેમને થાય છે, જ્યાં સુધી અનુવાદ નોંધ અલગ અર્થ સૂચવે નહીં.
2.
નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.
- આ શબ્દ મિત્રો અથવા સંબંધીઓ વચ્ચે કુદરતી માનવીય પ્રેમનો ઉલ્લેખ કરે છે.
- આ શબ્દનો ઉપયોગ આ સંદર્ભમાં પણ થઈ શકે છે, જેમ કે, "તેઓ ભોજનની સૌથી મહત્વપૂર્ણ બેઠકોમાં બેસવાનું ચાહે છે."
આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે.
3.
"પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે.
4.
આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે.
આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે.
જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો.
"નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- જ્યાં સુધી અનુવાદ નોંધમાં સૂચવવામાં નહીં આવે ત્યાં સુધી, યુ.એલ.બી. માં "પ્રેમ" શબ્દનો અર્થ ઈશ્વર તરફથી આવેલો બલિદાનયુક્ત પ્રેમ છે.
- અમુક ભાષાઓમાં ઈશ્વર પાસે જે નિઃસ્વાર્થ, બલિદાન પ્રેમ છે તેના માટે વિશિષ્ટ શબ્દ હોઈ શકે છે.
આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે.
ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં
- કેટલીકવાર અંગ્રેજી શબ્દ "પ્રેમ" એ ઊંડી કાળજીનું વર્ણન કરે છે જે લોકો માટે મિત્રો અને પરિવારના સભ્યો માટે હોય છે.
કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."
- સંદર્ભમાં જોઈએ તો જ્યાં શબ્દ "પ્રેમ" કંઈક માટે એક મજબૂત પસંદગી વ્યક્ત કરવા માટે વપરાય છે ત્યાં , આ "ભારપૂર્વક પ્રાધાન્ય" અથવા "ખૂબ ગમે છે " અથવા "અત્યંત ઈચ્છા" તરીકે અનુવાદ કરી શકાય.
- કેટલીક ભાષાઓમાં એક અલગ શબ્દ હોઈ શકે છે જે પતિ અને પત્ની વચ્ચે રોમેન્ટિક અથવા જાતીય પ્રેમનો ઉલ્લેખ કરે છે.
- ઘણી ભાષાઓએ ક્રિયા તરીકે "પ્રેમ" ને વ્યક્ત કરવું આવશ્યક છે.
તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."
(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)
બાઇબલના સંદર્ભો:
- 1 કોરિંથી 13:4-7
- 1 યોહાન 3:1-3
- 1 થેસ્સલોનીકી 4:9-12
- ગલાતી 5:22-24
- ઉત્પત્તિ 29:15-18
- યશાયા 56:6-7
- યર્મિયા 2:1-3
- યોહાન 3:16-18
- માથ્થી 10:37-39
- નહેમ્યા 9:32-34
- ફિલિપી 1:9-11
- ગીતોનું ગીત 1:1-4
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 27:2 શાસ્ત્રીએ જવાબ આપ્યો કે ઈશ્વરનો નિયમ કહે છે, "પ્રભુ તમારા દેવ પર તમારા ખરા હૃદયથી, આત્માથી, સામર્થ્યથી, અને મનથી પ્રેમ કરો. અને તમારા પાડોશી પર તમારા જેવો પ્રેમ કરો."
- 33:8 "કાંટાળી જમીન એ એવી વ્યક્તિ છે જે દેવના વચનને ધ્યાનથી સાંભળે છે, પરંતુ સમય પસાર થતાં, જીવનની ચિંતા, સંપત્તિ અને આનંદ એ ઈશ્વર માટેના તેમના પ્રેમ ને દબાવી દે છે."
- 36:5 પીતર વાત કરતા હતા ત્યારે, તેમના ઉપર એક તેજસ્વી વાદળ નીચે આવ્યું અને વાદળમાંથી એક અવાજ આવ્યો, "આ મારો પુત્ર છે જેને હું પ્રેમ કરું છું."
- 39:10 "જે કોઈ વ્યક્તિ સત્યને ચાહે છે તે મારું સાંભળે છે."
- 47:1 તેણી (લુદીયા)એ ઈશ્વરને પ્રેમ કર્યો અને ઈશ્વરની ઉપાસના કરી.
- 48:1 જ્યારે ભગવાનએ વિશ્વ બનાવ્યું, ત્યારે બધું જ સંપૂર્ણ હતું.
ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો
- 49:3 તેણે (ઇસુ) એ શીખવ્યું હતું કે તમારે બીજા લોકોને તમારી જાતને પ્રેમ કરો છો તેમ જ પ્રેમ કરવો જોઈએ.
- 49:4 તે (ઇસુ) એ પણ શીખવ્યું હતું કે તમારે તમારી સંપત્તિ કરતાં ઈશ્વરને વધુ પ્રેમ કરવાની જરૂર છે.
- 49:7 ઇસુએ શીખવ્યું કે ઈશ્વર પાપીઓને ખૂબ પ્રેમ કરે છે.
- 49:9 પરંતુ ઈશ્વરે વિશ્વમાં દરેકને એટલા બધો પ્રેમ કર્યો છે કે તેણે પોતાના એકમાત્ર દીકરાને આપ્યો જેથી જે કોઈ પણ ઈસુમાં વિશ્વાસ કરે તેને તેના પાપો માટે સજા કરવામાં આવશે નહીં, પરંતુ તે હંમેશાં ઈશ્વર સાથે રહેશે.
- 49:13 ઈશ્વર તમને પ્રેમ કરે છે અને ઈચ્છે છે કે તમે ઇસુમાં વિશ્વાસ કરો જેથી તે તમારી સાથે ગાઢ સંબંધ રાખી શકે.
શબ્દ માહિતી:
- Strong's: H157, H158, H159, H160, H2245, H2617, H2836, H3039, H4261, H5689, H5690, H5691, H7355, H7356, H7453, H7474, G25, G26, G5360, G5361, G5362, G5363, G5365, G5367, G5368, G5369, G5377, G5381, G5382, G5383, G5388
પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ
વ્યાખ્યા :
“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા.
“પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.
- “પ્રેરિત” શબ્દનો અર્થ “જેને વિશેષ હેતુ માટે બહાર મોકલવામાં આવ્યા છે.”
પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.
- ઈસુના નજીકના બાર શિષ્યો પ્રથમ પ્રેરિતો બન્યા.
બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા.
દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.
ભાષાંતરના સૂચનો:
- “પ્રેરિત” શબ્દનું ભાષાંતર “જેને બહાર મોકલવામાં આવેલ છે” અથવા “બહાર મોકલેલ” અથવા “વ્યક્તિ કે જે દેવનો સંદેશ લોકો પાસે લઈ બહાર જાય છે.”
- “પ્રેરિત” અને “શિષ્ય” શબ્દોનું ભાષાંતર જુદી જુદી રીતે થાય તે મહત્વનું છે.
- આ શબ્દનું સ્થાનિક અને રાષ્ટ્રીય ભાષાના બાઈબલમાં કેવી રીતે ભાષાંતર થયેલ છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)
બાઈબલની કલમો:
- યહૂદા 1:17-19
- લૂક 9:12-14
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 26:10 પછી ઈસુએ બાર માણસો પસંદ કર્યા જેઓ તેના પ્રેરિતો કહેવાયા.
પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.
- 30:1 ઈસુએ તેના પ્રેરિતોને ઘણા જુદા જુદા ગામોમાં લોકોને બોધ તથા શિક્ષણ આપવા મોકલ્યા.
- 38:2 યહૂદા ઈસુના પ્રેરિતો માંનો એક હતો.
તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.
- 43:13 શિષ્યો પોતે પ્રેરિતોની સાથે બોધમાં, સંગતમાં, સાથે મળીને ભોજન કરવામાં અને પ્રાર્થનામાં સમર્પિત રહેતા.
- 46 :8 પછી બાર્નાબાસ નામનો વિશ્વાસી શાઉલને પ્રેરિતો પાસે લઈ આવ્યો અને તેણે તેઓને કહ્યું કે કેવી રીતે શાઉલે હિંમતભેર દમસ્કમાં ઉપદેશ કર્યો.
શબ્દ માહિતી:
- Strong's: G651, G652, G2491, G5376, G5570
ફરમાન, ફરમાનો
વ્યાખ્યા:
ફરમાન એક જાહેર કાયદો કે નિયમ છે કે જે લોકોને અનુસરવા માટે ધોરણો કે સૂચનાઓ આપે છે.
આ શબ્દ “ઠરાવવું” શબ્દ સાથે સંબંધિત છે.
- ઘણીવાર ફરમાન એક રિવાજ છે કે જે વર્ષોના મહાવરાને કારણે ઘણો સ્થાપિત કાયદો બની ગયો છે.
- બાઇબલમાં, ફરમાન એવી બાબત હતી કે જેને ઈશ્વરે ઇઝરાયલીઓને પાળવા આજ્ઞા કરી હતી.
ઘણીવાર ઈશ્વરે તેઓને તે હંમેશાં પાળવા આજ્ઞા કરી હતી.
- “ફરમાન” શબ્દનો અનુવાદ સંદર્ભ પ્રમાણે “જાહેર વટહુકમ” અથવા તો “ધારાધોરણ” અથવા તો “નિયમ” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: આદેશ, વિધિ (હુકમ), નિયમ/કાયદો/કાનૂન, ઠરાવવું, વિધિ)
બાઇબલના સંદર્ભો:
- પુનર્નિયમ 4:13-14
- નિર્ગમન 27:20-21
- લેવીય 8:31-32
- માલાખી 3:6-7
શબ્દ માહિતી:
- Strong's: H2706, H2708, H4687, H4931, H4941, G1296, G1345, G1378, G1379, G2937, G3862
ફરોશી, ફરોશીઓ
તથ્યો:
ફરોશીઓ ઈસુના સમયમાં યહૂદી ધાર્મિક આગેવાનોનું એક મહત્ત્વનું શક્તિશાળી જૂથ હતું.
- તેઓમાંના ઘણા મધ્યમ વર્ગીય વેપારીઓ હતા અને કેટલાક યાજકો પણ હતા.
- બધા જ યહૂદી આગેવાનોમાં, ફરોશીઓ મૂસાના નિયમો અને બીજા યહૂદી નિયમો તથા પરંપરાઓ પાળવામાં સૌથી ચૂસ્ત હતા.
- યહૂદી લોકોને તેઓની આસપાસના બિનયહૂદીઓના પ્રભાવથી દૂર રાખવા વિષે તેઓ ખૂબ જ કાળજી ધરાવતા હતા.
“ફરોશી” નામ “અલગ કરવું” શબ્દ પરથી આવે છે.
- ફરોશીઓ મૃત્યુ પછીના જીવન વિષે માનતા હતા અને તેઓ દૂતોના તથા બીજા આત્મિક જીવોના અસ્તિત્વ વિષે પણ માનતા હતા.
- ફરોશીઓ તથા સાદૂકીઓએ સક્રિય રીતે ઈસુનો અને શરૂઆતના ખ્રિસ્તીઓનો વિરોધ કર્યો હતો.
(આ પણ જૂઓ: ન્યાયસભા, યહૂદી અધિકારીઓ, નિયમ/કાયદો/કાનૂન, સદૂકી)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરીતોનાં કૃત્યો 26:4-5
- યોહાન 3:1-2
- લૂક 11:43-44
- માથ્થી 3:7-9
- માથ્થી 5:19-20
- માથ્થી 9:10-11
- માથ્થી 12:1-2
- માથ્થી 12:38-40
- ફિલિપ્પી 3:4-5
શબ્દ માહિતી:
ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય
વ્યાખ્યા:
શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે.
કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે.
બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.
- મોટેભાગે બાઈબલ વ્યક્તિના કાર્યોને દર્શાવવા “ફળ” નો ઉપયોગ કરે છે.
જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.
- વ્યક્તિ સારા અને ખરાબ આત્મિક ફળ ઉત્પન્ન કરી શકે છે, પણ હંમેશા “ફળદાયી” શબ્દનો વધારે સારા ફળ ઉત્પન્ન કરવાનો હકારાત્મક અર્થ હોય છે.
- રૂપકાત્મક રીતે “ફળદાયી” શબ્દને “સમૃદ્ધિ” અર્થમાં પણ વાપરવામાં આવે છે.
મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.
- સામાન્ય રીતે “(તે)ના ફળ” અભિવ્યક્તિ, કંઈપણ કે જે તેમાંથી આવે છે અથવા કે જે બીજી કોઈક બાબત દ્વારા ઉત્પાદન થાય છે, તેને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, “શાણપણનું ફળ” સારી બાબતો કે જે જ્ઞાની હોવાથી આવે છે, તે દર્શાવે છે.
- “ભૂમિનું ફળ” અભિવ્યક્તિ, સામાન્ય રીતે જે ભૂમિ લોકોને ખાવા માટે બધું ઉત્પન કરે છે તેને દર્શાવે છે.
આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.
- “આત્માના ફળ” રૂપકાત્મક અભિવ્યક્તિ, દૈવી ગુણોને દર્શાવે છે કે જે પવિત્ર આત્મા, કે જેઓ તેની આજ્ઞા પાળે છે તેવા લોકોના જીવનમાં પેદા કરે છે.
- “ગર્ભનું ફળ” અભિવ્યક્તિ, “ગર્ભાશય જે પેદા કરે છે,” એટલે કે તે બાળકોને દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- “ફળ” શબ્દનું શ્રેષ્ઠ ભાષાંતર કરવા માટે લક્ષ્ય ભાષામાં વૃક્ષના ખાદ્ય ફળને દર્શાવવા માટે જે સામાન્ય શબ્દ વપરાતો હોય તેનો ઉપયોગ કરવો.
જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.
- સંદર્ભ પર આધાર રાખીને, “ફળદાયી” શબ્દનું ભાષાંતર, “ખૂબ આત્મિક ફળનું ઉત્પાદન કરવું” અથવા “ઘણા બાળકો હોવા” અથવા “સમૃદ્ધ,” તરીકે કરી શકાય છે.
- “ભૂમિનું ફળ” અભિવ્યક્તિનું ભાષાંતર, “ભૂમિ કે જે ખોરાક પેદા કરે છે” અથવા “ખોરાકનો પાક કે જે તે પ્રદેશમાં ઉગે છે,” તરીકે પણ કરી શકાય છે.
- જયારે દેવે પ્રાણીઓ અને લોકોને બનાવ્યા ત્યારે તેણે તેઓને આજ્ઞા આપી “ફળદાયી બનો અને વધો,” કે જે ઘણા સંતાન હોવાનું દર્શાવે છે.
તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.
- “ગર્ભનું ફળ” અભિવ્યક્તિનું ભાષાંતર, “ગર્ભાશય જે પેદા કરે છે” અથવા “સ્ત્રીઓ બાળકોને જન્મ આપે છે” અથવા માત્ર “બાળકો,” તરીકે (ભાષાંતર) કરી શકાય છે. જયારે એલિસાબેત મરિયમને કહે છે “તારા ગર્ભના ફળને ધન્ય છે,” ત્યારે તેણીનો કહેવાનો અર્થ “તું જે બાળકને જન્મ આપશે તેને ધન્ય છે.”
કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.
- “ફળનો દ્રાક્ષારસ” અન્ય અભિવ્યક્તિનું ભાષાંતર, “દ્રાક્ષારસનું ફળ” અથવા “દ્રાક્ષો,” તરીકે કરી શકાય છે.
- સંદર્ભ પર આધાર રાખીને, “વધુ ફળદાયી હશે” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “વધુ ફળ પેદા કરશે” અથવા “વધુ બાળકો હશે” અથવા “સમૃદ્ધ હશે” તરીકે પણ કરી શકાય છે.
- પાઉલ પ્રેરિતની અભિવ્યક્તિ “ફળદાયી શ્રમ” શબ્દસમૂહનું ભાષાંતર, “કાર્ય કે જે ખૂબજ સારું પરિણામ લાવે છે” અથવા “પ્રયાસો કે જેના પરિણામે ઘણા લોકોને ઈસુમાં વિશ્વાસ કરવા સક્ષમ બને છે,” તરીકે કરી શકાય છે.
- “આત્માના ફળ” (શબ્દસમૂહ)નું ભાષાંતર, “કામ કે જે પવિત્ર આત્મા પેદા કરે છે” અથવા “શબ્દો અને કાર્યો કે જે બતાવે છે કે તેનામાં પવિત્ર આત્મા કામ કરી રહ્યો છે” એમ (ભાષાંતર) પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)
બાઈબલની કલમો:
- ગલાતી 5:22-24
- ઉત્પત્તિ 1:11-13
- લૂક 8:14-15
- માથ્થી 3:7-9
- માથ્થી 7:15-17
શબ્દ માહિતી:
- Strong's: H3, H4, H1061, H1063, H1069, H2173, H2233, H2981, H3206, H3581, H3759, H3899, H3978, H4022, H4395, H5108, H5208, H6500, H6509, H6529, H7019, H8256, H8393, H8570, G1081, G2590, G2592, G2593, G3703, G5052, G5352, G6013
ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય
વ્યાખ્યા:
શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે.
કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે.
બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.
- મોટેભાગે બાઈબલ વ્યક્તિના કાર્યોને દર્શાવવા “ફળ” નો ઉપયોગ કરે છે.
જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.
- વ્યક્તિ સારા અને ખરાબ આત્મિક ફળ ઉત્પન્ન કરી શકે છે, પણ હંમેશા “ફળદાયી” શબ્દનો વધારે સારા ફળ ઉત્પન્ન કરવાનો હકારાત્મક અર્થ હોય છે.
- રૂપકાત્મક રીતે “ફળદાયી” શબ્દને “સમૃદ્ધિ” અર્થમાં પણ વાપરવામાં આવે છે.
મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.
- સામાન્ય રીતે “(તે)ના ફળ” અભિવ્યક્તિ, કંઈપણ કે જે તેમાંથી આવે છે અથવા કે જે બીજી કોઈક બાબત દ્વારા ઉત્પાદન થાય છે, તેને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, “શાણપણનું ફળ” સારી બાબતો કે જે જ્ઞાની હોવાથી આવે છે, તે દર્શાવે છે.
- “ભૂમિનું ફળ” અભિવ્યક્તિ, સામાન્ય રીતે જે ભૂમિ લોકોને ખાવા માટે બધું ઉત્પન કરે છે તેને દર્શાવે છે.
આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.
- “આત્માના ફળ” રૂપકાત્મક અભિવ્યક્તિ, દૈવી ગુણોને દર્શાવે છે કે જે પવિત્ર આત્મા, કે જેઓ તેની આજ્ઞા પાળે છે તેવા લોકોના જીવનમાં પેદા કરે છે.
- “ગર્ભનું ફળ” અભિવ્યક્તિ, “ગર્ભાશય જે પેદા કરે છે,” એટલે કે તે બાળકોને દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- “ફળ” શબ્દનું શ્રેષ્ઠ ભાષાંતર કરવા માટે લક્ષ્ય ભાષામાં વૃક્ષના ખાદ્ય ફળને દર્શાવવા માટે જે સામાન્ય શબ્દ વપરાતો હોય તેનો ઉપયોગ કરવો.
જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.
- સંદર્ભ પર આધાર રાખીને, “ફળદાયી” શબ્દનું ભાષાંતર, “ખૂબ આત્મિક ફળનું ઉત્પાદન કરવું” અથવા “ઘણા બાળકો હોવા” અથવા “સમૃદ્ધ,” તરીકે કરી શકાય છે.
- “ભૂમિનું ફળ” અભિવ્યક્તિનું ભાષાંતર, “ભૂમિ કે જે ખોરાક પેદા કરે છે” અથવા “ખોરાકનો પાક કે જે તે પ્રદેશમાં ઉગે છે,” તરીકે પણ કરી શકાય છે.
- જયારે દેવે પ્રાણીઓ અને લોકોને બનાવ્યા ત્યારે તેણે તેઓને આજ્ઞા આપી “ફળદાયી બનો અને વધો,” કે જે ઘણા સંતાન હોવાનું દર્શાવે છે.
તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.
- “ગર્ભનું ફળ” અભિવ્યક્તિનું ભાષાંતર, “ગર્ભાશય જે પેદા કરે છે” અથવા “સ્ત્રીઓ બાળકોને જન્મ આપે છે” અથવા માત્ર “બાળકો,” તરીકે (ભાષાંતર) કરી શકાય છે. જયારે એલિસાબેત મરિયમને કહે છે “તારા ગર્ભના ફળને ધન્ય છે,” ત્યારે તેણીનો કહેવાનો અર્થ “તું જે બાળકને જન્મ આપશે તેને ધન્ય છે.”
કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.
- “ફળનો દ્રાક્ષારસ” અન્ય અભિવ્યક્તિનું ભાષાંતર, “દ્રાક્ષારસનું ફળ” અથવા “દ્રાક્ષો,” તરીકે કરી શકાય છે.
- સંદર્ભ પર આધાર રાખીને, “વધુ ફળદાયી હશે” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “વધુ ફળ પેદા કરશે” અથવા “વધુ બાળકો હશે” અથવા “સમૃદ્ધ હશે” તરીકે પણ કરી શકાય છે.
- પાઉલ પ્રેરિતની અભિવ્યક્તિ “ફળદાયી શ્રમ” શબ્દસમૂહનું ભાષાંતર, “કાર્ય કે જે ખૂબજ સારું પરિણામ લાવે છે” અથવા “પ્રયાસો કે જેના પરિણામે ઘણા લોકોને ઈસુમાં વિશ્વાસ કરવા સક્ષમ બને છે,” તરીકે કરી શકાય છે.
- “આત્માના ફળ” (શબ્દસમૂહ)નું ભાષાંતર, “કામ કે જે પવિત્ર આત્મા પેદા કરે છે” અથવા “શબ્દો અને કાર્યો કે જે બતાવે છે કે તેનામાં પવિત્ર આત્મા કામ કરી રહ્યો છે” એમ (ભાષાંતર) પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)
બાઈબલની કલમો:
- ગલાતી 5:22-24
- ઉત્પત્તિ 1:11-13
- લૂક 8:14-15
- માથ્થી 3:7-9
- માથ્થી 7:15-17
શબ્દ માહિતી:
- Strong's: H3, H4, H1061, H1063, H1069, H2173, H2233, H2981, H3206, H3581, H3759, H3899, H3978, H4022, H4395, H5108, H5208, H6500, H6509, H6529, H7019, H8256, H8393, H8570, G1081, G2590, G2592, G2593, G3703, G5052, G5352, G6013
ફસલ, ફસલો, કાપણી, લણણી કરવી, કાપણી કરનાર, કાપણી કરનારાઓ
વ્યાખ્યા:
“ફસલ” શબ્દ દર્શાવે છે કે છોડવાઓથી પાકેલાં ફળો અથવા શાકભાજી કે જે તેઓ ઉગાડી રહ્યા હતા, તેને ભેગા કરવામાં આવે છે.
- સામાન્ય રીતે કાપણીનો સમય એ વૃદ્ધિની ઋતુના અંત પર થાય છે.
- ઈઝરાએલીઓ ખોરાકના પાકોની લણણીની ઉજવણી માટે “કાપણીનું પર્વ” અથવા “ફસલનું પર્વનું” આયોજન કરતા.
દેવે તેઓને આજ્ઞા આપી આ પાકોના પ્રથમ ફળોનું તેને બલિદાન તરીકે અર્પણ કરવા.
- રૂપકાત્મક અર્થમાં, “ફસલ” શબ્દ લોકો ઈસુ પાસે આવે છે તે દર્શાવી શકે છે અથવા વ્યક્તિની આત્મિક વૃદ્ધિને દર્શાવી શકે છે.
- આત્મિક પાકોના ફસલનો વિચાર તેના ફળોની રૂપકાત્મક છબી જે દૈવી ચરિત્રનું ચિત્ર રજૂ કરે છે તે સાથે સુસંગત થાય છે.
ભાષાંતર સૂચનો:
- આ શબ્દનું ભાષાંતર કરવા માટે લક્ષ ભાષામાં જે સામાન્ય શબ્દ ફસલ ભેગી કરવા વાપરવામાં આવે છે તેનો ઉપયોગ કરવો.
- લણણીના પ્રસંગનું ભાષાંતર, “ભેગું કરવાનો સમય” અથવા “પાક ભેગો કરવાનો સમય” અથવા “ફળ તોડવાનો સમય” તરીકે કરી શકાય છે.
- “લણણી” ક્રિયાપદનું ભાષાંતર, “તેમાં ભેગું કરવાનો સમય” અથવા “એકઠું કરી લેવું” અથવા “ભેગું કરવું” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: પ્રથમફળો, તહેવાર)
બાઈબલની કલમો:
- 1 કરંથી 9:9-11
- 2 શમુએલ21:7-9
- ગલાતી 6:9-10
- યશાયા 17:10-11
- યાકૂબ 5:7-8
- લેવીય 19:9-10
- માથ્થી 9:37-38
- રૂથ 1:22
શબ્દ માહિતી:
- Strong's: H2758, H7105, G2326, G6013
ફિલિપ, સુવાર્તિક
તથ્યો:
યરૂશાલેમમાંની શરૂઆતની ખ્રિસ્તી મંડળીમાં, ગરીબ અને જરૂરિયાતમંદ ખ્રિસ્તીઓની, ખાસ કરીને વિધવાઓની સંભાળ લેવા પસંદ કરાયેલા સાત આગેવાનોમાંનો એક ફિલિપ હતો.
- ઈશ્વરે યહૂદીયા અને ગાલીલના પ્રાંતોના વિવિધ નગરોમાં સુવાર્તા આપવા ફિલિપનો ઉપયોગ કર્યો. તેમાં ઇથોપિયાનો જે માણસ તેને યરુશાલેમથી ગાઝા જવાના અરણ્યના માર્ગે મળ્યો તેનો પણ સમાવેશ થાય છે.
- ઘણા વર્ષો બાદ જ્યારે ફિલિપ કાઈસારિયામાં રહેતો હતો ત્યારે પાઉલ તથા તેના સાથીદારો યરૂશાલેમ પાછા જતાં તેના ઘરમાં રહ્યા હતા.
- મોટા ભાગના બાઇબલના અભ્યાસકો માને છે કે સુવાર્તિક ફિલિપ અને તેના જ જેવુ નામ ધરાવતો ઈસુનો એક પ્રેરિત તે બંને એક જ વ્યક્તિ ન હતા.
કેટલીક ભાષાઓમાં આ બંને વ્યક્તિઓ માટે થોડા જુદા નામ વાપરવા વિચારી શકાય કે જેથી એ સ્પષ્ટ થાય કે તેઓ બંને જુદાજુદા વ્યક્તિઓ છે.
(આ પણ જૂઓ: પ્રેરિત ફિલિપ)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરીતોનાં કૃત્યો 6:5-6
- પ્રેરીતોનાં કૃત્યો 8:6-8
- પ્રેરીતોનાં કૃત્યો 8:12-13
- પ્રેરીતોનાં કૃત્યો 8:29-31
- પ્રેરીતોનાં કૃત્યો 8:36-38
- પ્રેરીતોનાં કૃત્યો 8:39-40
શબ્દ માહિતી:
ફ્રાત નદી, નદી
સત્યો:
ફ્રાત નદી એ ચાર નદીઓમાંની એક કે જે એદનના બાગમાંથી વહેતી હતી.
તે નદીનો બાઈબલમાં સૌથી વધારે વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- આધુનિક સમયની ઉફ્રેટીસ નામની નદી મધ્ય પૂર્વમાં આવેલી છે અને એશિયાની સૌથી લાંબી અને મહત્વપૂર્ણ નદી છે.
- હીદ્દેકેલ અને ફ્રાત બંને નદીઓ મેસોપોટેમીયાની જાણીતી જગ્યાની (પ્રદેશની) સરહદ બનાવે છે (બંને સરહદ પર આ નદીઓ આવેલી છે).
- જ્યાંથી ઈબ્રાહિમ આવ્યો હતો, તે ઉર નામનું પ્રાચીન શહેર ફ્રાત નદીના દ્વાર પર આવેલું હતું.
- આ નદીની સીમાઓમાંની એક હતી કે દેવે જે ભૂમિ ઈબ્રાહિમને આપવાનું વચન આપ્યું હતું (ઉત્પત્તિ 15:18).
- ક્યારેક ફ્રાત ફક્ત “નદી” કહેવાય છે.
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 5:7-9
- 2 કાળવૃતાંત 9:25-26
- નિર્ગમન 23:30-33
- ઉત્પત્તિ 2:13-14
- યશાયા 7:20-22
શબ્દ માહિતી:
- Strong's: H5104, H6578, G2166
બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ
વ્યાખ્યા:
“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે.
યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.
- મોટેભાગે બંદીવાનોને જે દેશે બંદી બનાવ્યા છે, તેમને માટે ત્યાં ફરજીયાત કામ કરવું પડતું હોય છે.
- દાનિએલ અને નહેમ્યા ઈઝરાએલી બંદીવાનો હતા કે, જેઓએ બાબિલોનના રાજા માટે કામ કર્યું.
- “બંદી બનાવી લેવા” બીજાને પકડી લેવા માટેની બીજી એક અભિવ્યક્તિ છે.
- “બંદી બનાવી લઈ જવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “તમને બંદીઓ તરીકે રહેવા બળજબરી કરવી” અથવા “તમને અન્ય દૂર દેશમાં કેદીઓ તરીકે લઈ જવા” એમ થઇ શકે છે.
- રૂપકાત્મક ભાવમાં પાઉલ પ્રેરિત ખ્રિસ્તીઓને કહે છે કે, બધા જ વિચારને “વશમાં કરી લો” અને તેને ખ્રિસ્ત માટે આજ્ઞાકારી બનાવો.
તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે
ભાષાંતરના સૂચનો
- સંદર્ભ પર આધાર રાખીને, “બંદી બનાવી લેવું” શબ્દનું ભાષાંતર, “સ્વતંત્ર રહેવા ન દેવા” અથવા “કેદમાં નાખવું” અથવા “વિદેશમાં રહેવાની ફરજ પાડવી” એમ કરી શકાય છે.
“બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.
- “બંદીવાનો” શબ્દનું ભાષાંતર, “લોકો કે જેઓને પકડી જવામાં આવ્યા હતા” અથવા “ગુલામ લોકો” તરીકે પણ કરી શકાય છે.
સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, જપ્ત કરવું)
બાઈબલની કલમો:
- 2 કરંથી 10:5-6
- યશાયા 20:3-4
- યર્મિયા 43:1-3
- લૂક 4:18-19
શબ્દ માહિતી:
- Strong's: H1123, H1473, H1540, H1546, H1547, H2925, H6808, H7617, H7622, H7628, H7633, H7686, H7870, G161, G162, G163, G164, G2221
બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ
વ્યાખ્યા:
“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે.
યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.
- મોટેભાગે બંદીવાનોને જે દેશે બંદી બનાવ્યા છે, તેમને માટે ત્યાં ફરજીયાત કામ કરવું પડતું હોય છે.
- દાનિએલ અને નહેમ્યા ઈઝરાએલી બંદીવાનો હતા કે, જેઓએ બાબિલોનના રાજા માટે કામ કર્યું.
- “બંદી બનાવી લેવા” બીજાને પકડી લેવા માટેની બીજી એક અભિવ્યક્તિ છે.
- “બંદી બનાવી લઈ જવું” અભિવ્યક્તિનું ભાષાંતર, “તમને બંદીઓ તરીકે રહેવા બળજબરી કરવી” અથવા “તમને અન્ય દૂર દેશમાં કેદીઓ તરીકે લઈ જવા” એમ થઇ શકે છે.
- રૂપકાત્મક ભાવમાં પાઉલ પ્રેરિત ખ્રિસ્તીઓને કહે છે કે, બધા જ વિચારને “વશમાં કરી લો” અને તેને ખ્રિસ્ત માટે આજ્ઞાકારી બનાવો.
તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે
ભાષાંતરના સૂચનો
- સંદર્ભ પર આધાર રાખીને, “બંદી બનાવી લેવું” શબ્દનું ભાષાંતર, “સ્વતંત્ર રહેવા ન દેવા” અથવા “કેદમાં નાખવું” અથવા “વિદેશમાં રહેવાની ફરજ પાડવી” એમ કરી શકાય છે.
“બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.
- “બંદીવાનો” શબ્દનું ભાષાંતર, “લોકો કે જેઓને પકડી જવામાં આવ્યા હતા” અથવા “ગુલામ લોકો” તરીકે પણ કરી શકાય છે.
સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, જપ્ત કરવું)
બાઈબલની કલમો:
- 2 કરંથી 10:5-6
- યશાયા 20:3-4
- યર્મિયા 43:1-3
- લૂક 4:18-19
શબ્દ માહિતી:
- Strong's: H1123, H1473, H1540, H1546, H1547, H2925, H6808, H7617, H7622, H7628, H7633, H7686, H7870, G161, G162, G163, G164, G2221
બંદીવાસ, નિર્વાસિતો, દેશવટો
વ્યાખ્યા:
“બંદીવાસ” શબ્દ, લોકોને તેમના વતનના દેશથી ક્યાંક દૂર રહેવા માટે ફરજ પાડવામાં આવે તેને દર્શાવે છે.
- સામાન્ય રીતે સજા માટે અથવા રાજકીય કારણો માટે લોકોને બંદીવાસમાં મોકલવામાં આવે છે.
- કદાચ પરાજય પામેલા લોકોને વિજય પામેલા લશ્કરના દેશમાં, કામ કરવા માટે બંદીવાસમાં લઈ જવામાં આવે છે.
- “બાબિલનો બંદીવાસ” (અથવા “બંદીવાસ”) બાઈબલના સમયનો ઈતિહાસ છે, જયારે યહૂદાના પ્રદેશના યહૂદી નાગરિકોને તેમના વતનથી દૂર લઈ જવાયા હતા, અને બાબિલમાં રહેવાની ફરજ પાડી હતી. તે (બંદીવાસ) 70 વર્ષો માટે ચાલ્યો હતો.
- “નિર્વાસિતો” શબ્દસમૂહ, લોકો કે જેઓ તેમના વતનના દેશથી દૂર, બંદીવાસમાં રહે છે, તેમને દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- “બંદીવાસ” શબ્દનું ભાષાંતર, “દૂર મોકલવું” અથવા “બહાર જવાની ફરજ પાડવી” અથવા “કાઢી નાખવું” તરીકે પણ કરી શકાય છે.
- “આ બંદીવાસ” શબ્દનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ સાથે કરવામાં આવે જેનો અર્થ, “દૂર મોકલવાનો સમય” અથવા “દેશ નિકાલનો સમય” અથવા “તડીપારનો સમય” અથવા “દેશનિકાલ” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
- “નિર્વાસિતો” શબ્દના ભાષાંતરમાં, “દેશવટો પામેલા લોકો” અથવા “લોકો કે જેઓ દેશનિકાલ કરાયા હતા” અથવા “બાબિલ માટે બંદીવાન બનેલા લોકો,” તેનો સમાવેશ કરી શકાય છે.
(આ પણ જુઓ: બાબિલોન, યહુદા)
બાઈબલની કલમો:
- 2 રાજા 24:13-14
- દાનિયેલ 2:25-26
- હઝકિયેલ 1:1-3
- યશાયા 20:3-4
- યર્મિયા 29:1-3
શબ્દ માહિતી:
- Strong's: H1123, H1473, H1540, H1541, H1546, H1547, H3212, H3318, H5080, H6808, H7617, H7622, H8689, G3927
બઆલ
સત્યો:
“બઆલ”નો અર્થ “સ્વામી” અથવા “ધણી” થાય છે, અને તે કનાનીઓ દ્વારા પૂજાતા પ્રાથમિક જુઠા દેવનું નામ હતું.
- ત્યાંના સ્થાનિક જુઠા દેવો પણ “બઆલ” નામ સાથે ભાગરૂપ હતા, જેમાં “બઆલ પેઓર” ના નામનો સમાવેશ થાય છે.
ક્યારેક આ બધા દેવોનો ઉલ્લેખ એક સાથે “બઆલીમ” તરીકે કરવામાં આવ્યો છે.
- કેટલાક લોકોના નામોમાં “બઆલ” શબ્દનો સમાવેશ થયેલો હતો.
- બઆલની ઉપાસનામાં બાળકોનું બલિદાન અને વેશ્યાનો ઉપયોગ જેવી ભૂંડી રીતો સમાવેશ થતો.
- ઈતિહાસના જુદાજુદા સમયગાળામાં દરમ્યાન ઈઝરાએલીઓ પણ આજુબાજુના વિદેશી દેશોના ઉદાહરણને અનુસરીને ગંભીરપણે બઆલની પૂજામાં સંડોવાયેલા હતા.
- આહાબ રાજાના શાસન દરમ્યાન, દેવના પ્રબોધક એલિયાએ બઆલનું અસ્તિત્વ નથી અને યહોવા તેજ ફક્ત સાચો દેવ છે તે સાબિત કરવા કસોટી ગોઠવી.
તેના પરિણામે, બઆલના પ્રબોધકોનો નાશ થયો અને ફરીથી લોકોએ યહોવાની આરાધના કરવાનું ચાલુ કર્યું.
(આ પણ જુઓ: આહાબ, અશેરાહ, એલિયા, દેવ, વેશ્યા, યહોવાહ)
બાઈબલની કલમો:
- 1 રાજા 16:31-33
- 1 શમુએલ 7:3-4
- યર્મિયા 2:7-8
- ન્યાયાધીશો 2:11-13
- ગણના 22:41
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 19:2 આહાબ એક દુષ્ટ માણસ હતો કે જેણે લોકોને બઆલ નામના જુઠા દેવને ભજવા લોકોને ઉત્તેજન આપ્યું.
- 19:6 ઈઝરાએલના સમગ્ર રાજ્યના લોકો, તથા બઆલના 450 પ્રબોધકો સહિત, બધા કાર્મેલ પર્વત પર આવ્યા. એલિયાએ લોકોને કહ્યું, “ક્યાં સુધી તમે તમારા મનોને ફેરવ્યા કરશો?” જો યહોવા દેવ છે, તેની સેવા કરો! જો બઆલ દેવ છે, તેની સેવા કરો!"
- 19:7 પછી એલિયાએ બઆલના પ્રબોધકોને કહ્યું, ગોધો મારીને બલિદાન તરીકે તૈયાર કરો, પણ અગ્નિ સળગાવશો નહીં.
- 19:8 પછી બઆલ પ્રબોધકો બઆલને પ્રાર્થના કરે, “અમોને સાંભળ, ઓ બઆલ!"
- 19:12 જેથી લોકોએ બઆલના પ્રબોધકોને પકડ્યા. પછી એલિયા તેઓને ત્યાંથી દુર લઈ ગયો અને તેણે તેઓને મારી નાખ્યા.
શબ્દ માહિતી:
બકરી, બકરાં, બકરાની ચામડી, બલિનો બકરો, બકરીનું બચ્ચું
વ્યાખ્યા:
બકરી એ મધ્યમ કદનું, ચાર પગોવાળું પ્રાણી છે કે જે ઘેટાં સમાન હોય છે, અને પ્રાથમિક રીતે તેના દૂધ અને માંસ માટે ઉછેરવામાં આવે છે.
બકરીના નાના બચ્ચાને “લવારું” કહેવામાં આવે છે.
- ઘેટાંની જેમ, બકરાં પણ ખાસ કરીને, પાસ્ખાના સમય પર બલિદાન માટેના અગત્યના પ્રાણીઓ હતા.
- જોકે બકરાં અને ઘેટાં સરખા હોઈ શકે છે, આ રીતે તેઓ ભિન્ન છે:
- બકરાંને બરછટ વાળ હોય છે; ઘેટાને ઊન હોય છે.
- બકરાંની પૂંછડી ઉભી રહે છે; ઘેટાની પૂંછડી નીચે લટકે છે.
- ખાસ કરીને ઘેટાં તેઓના ટોળા સાથે રહેવાનું પસંદ છે, પણ બકરાં વધુ સ્વતંત્ર અને તેઓના ટોળાથી દૂર ભટકવાનું વલણ દર્શાવતા હોય છે.
- બાઈબલમાં, મોટેભાગે બકરાં એ ઈઝરાએલમાં દૂધ માટેનો મુખ્ય સ્ત્રોત હતા.
- બકરાના ચામડાને તંબુને ઢાંકવા માટે અને દ્રાક્ષારસ ભરવા માટે મશકો બનાવવા માટે વાપરવામાં આવતા હતા.
- જૂના અને નવા કરાર બન્નેમાં, કદાચ જેઓ બકરા કાળજી રાખે છે તેનાથી દૂર જવાના ભટકવાના વલણને કારણે બકરાને અન્યાયી લોકોના પ્રતિક તરીકે વાપરવામાં આવ્યા હતા.
- ઈઝરાએલીઓ પણ બકરાને પાપના સાંકેતિક વાહક તરીકે વાપરતા.
જયારે એક બકરાનું બલિદાન આપવામાં આવતું હતું, ત્યારે યાજક બીજા બકરા પર પોતાના હાથો મૂકતો, તે બકરાને લોકોના પાપોને વહન કરી લઈ લેવાના પ્રતિકરૂપે રણમાં મોકલી દેવામાં આવતો આવતો.
(આ પણ જુઓ: ઘેટાં બકરાં, બલિદાન, ઘેટી, ન્યાયી, દ્રાક્ષારસ)
બાઈબલની કલમો:
- નિર્ગમન 12:3-4
- ઉત્પત્તિ 30:31-32
- ઉત્પત્તિ 31:10-11
- ઉત્પત્તિ 37:31-33
- લેવીય 3:12-14
- માથ્થી 25:31-33
શબ્દ માહિતી:
- Strong's: H689, H1423, H1429, H1601, H3277, H3629, H5795, H5796, H6260, H6629, H6842, H6939, H7716, H8163, H8166, H8495, G122, G2055, G2056, G5131
બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર
વ્યાખ્યા:
“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે.
કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.
- બદલો એક સારી અને હકારાત્મક બાબત હોય શકે, કે જે વ્યક્તિએ કશુંક સારું કર્યું છે તે કારણે અથવા તો તેણે ઈશ્વરનું આજ્ઞાપાલન કર્યું છે તે કારણે પ્રાપ્ત કરે છે.
- કેટલીક વાર બદલો નકારાત્મક બાબતોનો ઉલ્લેખ કરી શકે છે કે જે ખરાબ વર્તનના પરિણામે હોય શકે એટલે કે જેમ “દુષ્ટોનો બદલો” વિધાન જણાવે છે તેમ હોય શકે છે.
આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભ અનુસાર, “બદલો” શબ્દનો અનુવાદ “ચુકવણી” અથવા તો “પામવા માટે યોગ્ય છે તે બાબત” અથવા તો “સજા” તરીકે કરી શકાય.
- કોઈને “બદલો” આપવો તેનો અનુવાદ “ચૂકવી આપવું” અથવા તો “સજા કરવી” અથવા તો “જે યોગ્ય છે તે ચૂકવી આપવું” તરીકે થઈ શકે.
- આ શબ્દનો અનુવાદ પગાર કે મજૂરીનો ઉલ્લેખ ના કરે તેનું ધ્યાન રાખો.
“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.
(આ પણ જૂઓ: શિક્ષા કરવી)
બાઇબલના સંદર્ભો:
- પુનર્નિયમ 32:5-6
- યશાયા 40:9-10
- લૂક 6:35-36
- માર્ક 9:40-41
- માથ્થી 5:11-12
- માથ્થી 6:3-4
- ગીતશાસ્ત્ર 127:3-5
- પ્રકટીકરણ 11:18
શબ્દ માહિતી:
- Strong's: H319, H866, H868, H1576, H1578, H1580, H4864, H4909, H4991, H5023, H6118, H6468, H6529, H7809, H7810, H7936, H7938, H7939, H7966, H7999, H8011, H8021, G469, G514, G591, G2603, G3405, G3406, G3408
બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર
વ્યાખ્યા:
“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે.
કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.
- બદલો એક સારી અને હકારાત્મક બાબત હોય શકે, કે જે વ્યક્તિએ કશુંક સારું કર્યું છે તે કારણે અથવા તો તેણે ઈશ્વરનું આજ્ઞાપાલન કર્યું છે તે કારણે પ્રાપ્ત કરે છે.
- કેટલીક વાર બદલો નકારાત્મક બાબતોનો ઉલ્લેખ કરી શકે છે કે જે ખરાબ વર્તનના પરિણામે હોય શકે એટલે કે જેમ “દુષ્ટોનો બદલો” વિધાન જણાવે છે તેમ હોય શકે છે.
આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભ અનુસાર, “બદલો” શબ્દનો અનુવાદ “ચુકવણી” અથવા તો “પામવા માટે યોગ્ય છે તે બાબત” અથવા તો “સજા” તરીકે કરી શકાય.
- કોઈને “બદલો” આપવો તેનો અનુવાદ “ચૂકવી આપવું” અથવા તો “સજા કરવી” અથવા તો “જે યોગ્ય છે તે ચૂકવી આપવું” તરીકે થઈ શકે.
- આ શબ્દનો અનુવાદ પગાર કે મજૂરીનો ઉલ્લેખ ના કરે તેનું ધ્યાન રાખો.
“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.
(આ પણ જૂઓ: શિક્ષા કરવી)
બાઇબલના સંદર્ભો:
- પુનર્નિયમ 32:5-6
- યશાયા 40:9-10
- લૂક 6:35-36
- માર્ક 9:40-41
- માથ્થી 5:11-12
- માથ્થી 6:3-4
- ગીતશાસ્ત્ર 127:3-5
- પ્રકટીકરણ 11:18
શબ્દ માહિતી:
- Strong's: H319, H866, H868, H1576, H1578, H1580, H4864, H4909, H4991, H5023, H6118, H6468, H6529, H7809, H7810, H7936, H7938, H7939, H7966, H7999, H8011, H8021, G469, G514, G591, G2603, G3405, G3406, G3408
બરફ, બરફ પડ્યો, બરફ પડી રહ્યો છે
તથ્યો:
“બરફ” શબ્દ સફેદ પાણીના ઠરી ગયેલા ટુકડાઓ કે જે એવી જગાઓમાં જ્યાં હવાનું તાપમાન વધુ ઠંડુ હોય ત્યાં વાદળામાંથી પડે છે
- ઈઝરાયેલમાં બરફ ઊંચા ચઢાણ પર પડે છે, પરંતુ લાંબા સમય સુધી પીગળવા પહેલા હંમેશા મેદાન પર રહેતું નથી.
પર્વતોના શિખરો પર બરફ કે જે લાંબો સમય સુધી રહે છે.
બાઈબલમાં નોંધવામાં આવેલ જગાનું એક ઉદાહરણ કે જ્યાં બરફ હોય છે તે છે લબાનોન પર્વત.
- કંઇક જે ઘણું સફેદ હોય છે ઘણીવાર તેના રંગની સરખામણી બરફના રંગ સાથે કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, પ્રકટીકરણના પુસ્તકમાં ઈસુના વસ્ત્રો અને વાળ “બરફ જેવા સફેદ” તરીકે વર્ણવામાં આવ્યા છે.
- બરફના સાક્ષીઓ શુદ્ધતા અને સ્વચ્છતા પણ દર્શાવે છે.
ઉદાહરણ તરીકે, આપણા “પાપો બરફ જેવા સફેદ થશે” વાક્યનો અર્થ એ છે કે ઈશ્વર સંપૂર્ણપણે પોતાના લોકોને તેમના પાપોથી શુદ્ધ કરશે.
- ઘણી ભાષાઓમાં બરફને “ઠરી ગયેલો વરસાદ” અથવા “બરફના ટુકડાઓ” અથવા “ઠરી ગયેલા ટુકડાઓ” સંબોધવામાં આવે છે.
- “બરફનું પાણી” એ પાણી કે જે ઓગાળવામાં આવેલા બરફમાંથી આવે છે તેનો ઉલ્લેખ કરે છે.
(આ પણ જુઓ: અજ્ઞાતનો અનુવાદ કેવી રીતે કરવો
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ
(આ પણ જુઓ: લબાનોન, શુદ્ધ)
બાઈબલના સંદર્ભો:
- નિર્ગમન 4:6-7
- અયૂબ 37:4-6
- માથ્થી 28:3-4
- ગીતશાસ્ત્ર 147:15-16
- પ્રકટીકરણ 1:14-16
શબ્દ માહિતી:
- Strong's: H7949, H7950, H8517, G5510
બરુ, બરુઓ
તથ્યો:
“બરુ” શબ્દ લાંબી દાંડીવાળા છોડનો ઉલ્લેખ કરે છે કે જે પાણીમાં અને સામાન્ય રીતે નદી કે ઝરણાના કિનારે ઊગે છે.
- નાઇલ નદીમાંના બરુઓ કે જ્યાં મૂસાને છુપાવવામાં આવ્યો હતો તેઓને દાભના છોડ પણ કહેવામાં આવતા હતા.
તેઓ ઊંચી પોલી દાંડીઓ હતી કે જેઓ નદીના પાણીમાં ભરાવદાર ઝૂંડોમાં ઊગતી હતી.
- પ્રાચીન ઈજીપ્તમાં આ રેસાવાળા છોડનો ઉપયોગ કાગળ, ટોપલીઓ અને હોડીઓ બનાવવા કરવામાં આવતો હતો.
- બરુના છોડની દાંડી લચીલી અને પવન દ્વારા સરળતાથી વળી જાય તેવી હોય છે.
(આ પણ જૂઓ: મિસર, મૂસા, નાઇલ નદી)
બાઇબલના સંદર્ભો:
- 1 રાજા 14:14-16
- લૂક 7:24-26
- માથ્થી 11:7-8
- માથ્થી 12:19-21
- ગીતશાસ્ત્ર 68:30-31
શબ્દ માહિતી:
- Strong's: H98, H100, H260, H5488, H6169, H7070, G2063, G2563
બરુ, બરુઓ
તથ્યો:
“બરુ” શબ્દ લાંબી દાંડીવાળા છોડનો ઉલ્લેખ કરે છે કે જે પાણીમાં અને સામાન્ય રીતે નદી કે ઝરણાના કિનારે ઊગે છે.
- નાઇલ નદીમાંના બરુઓ કે જ્યાં મૂસાને છુપાવવામાં આવ્યો હતો તેઓને દાભના છોડ પણ કહેવામાં આવતા હતા.
તેઓ ઊંચી પોલી દાંડીઓ હતી કે જેઓ નદીના પાણીમાં ભરાવદાર ઝૂંડોમાં ઊગતી હતી.
- પ્રાચીન ઈજીપ્તમાં આ રેસાવાળા છોડનો ઉપયોગ કાગળ, ટોપલીઓ અને હોડીઓ બનાવવા કરવામાં આવતો હતો.
- બરુના છોડની દાંડી લચીલી અને પવન દ્વારા સરળતાથી વળી જાય તેવી હોય છે.
(આ પણ જૂઓ: મિસર, મૂસા, નાઇલ નદી)
બાઇબલના સંદર્ભો:
- 1 રાજા 14:14-16
- લૂક 7:24-26
- માથ્થી 11:7-8
- માથ્થી 12:19-21
- ગીતશાસ્ત્ર 68:30-31
શબ્દ માહિતી:
- Strong's: H98, H100, H260, H5488, H6169, H7070, G2063, G2563
બર્થોલ્મી
સત્યો:
બર્થોલ્મી ઈસુના બાર પ્રેરિતોમાંનો એક હતો.
- બીજા પ્રેરિતોની સાથે, બર્થોલ્મીને પણ સુવાર્તાપ્રચાર અને ચમત્કારો કરવા બહાર મોકલવામાં આવ્યો હતો.
- તે તેઓમાંનો એક હતો જેને ઈસુને સ્વર્ગમાં પાછા જતાં પણ જોયા.
થોડા અઠવાડિયા પછી, એટલે કે જયારે પચાસમાના દિવસે પવિત્રઆત્મા તેઓના ઉપર આવ્યો, ત્યારે તે બીજા પ્રેરિતોની સાથે યરુશાલેમમાં હતો.
(આ પણ જુઓ: પ્રેરિત, સારા સમાચારો, પવિત્ર આત્મા, ચમત્કાર, પેન્ટીકોસ્ટ, બાર)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 1:12-14
- લૂક 6:14-16
- માર્ક 3:17-19
શબ્દ માહિતી:
બલામ
સત્યો:
જયારે ઈઝરાએલપુત્રોએ મોઆબના ઉત્તરે યર્દન નદી પાસે છાવણી નાંખીને કનાનની ભૂમિમાં પ્રવેશ કરવા તૈયારી હતા, તે સમયે બલામ જે એક મૂર્તિપૂજક પ્રબોધક હતો તેને બાલાક રાજાએ ઈઝરાએલને શ્રાપ આપવા ભાડે રાખ્યો.
- બલામ પેથોર શહેરથી હતો, કે જે ફ્ર્રાત (યુફ્રેટીસ) નદીની આજુબાજુના પ્રાંતમાં, લગભગ 400 માઈલ મોઆબની ભૂમિથી દૂર આવેલું હતું.
- મિદ્યાનીઓનો રાજા બાલક ઈઝરાએલીઓની સંખ્યા અને તાકાતથી ભયભીત થઈને તેણે બલામને ઈઝરાએલી લોકોને શ્રાપ દેવા ભાડે રાખ્યો.
- જયારે બલામ ઈઝરાએલ તરફ મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે દેવનો દૂત તેના રસ્તામાં ઊભો રહ્યો, જેથી બલામની ગધેડી અટકી ગઈ.
દેવે ગધેડીને પણ બલામની સાથે બોલવાની ક્ષમતા આપી.
- દેવે બલામને ઈઝરાએલીઓને શ્રાપ આપવાની મંજુરી નહીં અને તેને બદલે તેઓને આશીર્વાદ આપવાનો હુકમ આપ્યો.
- તેમ છતાં પછી, બલામે ઈઝરાએલીઓ ઉપર દુષ્ટતા આણી, એટલે કે તેણે જુઠા દેવ બઆલ-પેઓરની આરાધના કરવા ઈઝરાએલીઓને પ્રેર્યા.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, કનાન, શાપ, ગધેડો, ફ્રાત નદી, યર્દન નદી, મિદ્યાન, મોઆબ, પેઓર)
બાઈબલની કલમો:
- 2 પિતર 2:15-16
- પુનર્નિયમ 23:3-4
- યહોશુઆ 13:22-23
- ગણના22:5-6
- પ્રકટીકરણ 2:14-15
શબ્દ માહિતી:
બલિદાન, બલિદાન કરે છે, બલિદાન કર્યું, બલિદાન કરી રહ્યો છે, અર્પણ, અર્પણો
વ્યાખ્યા:
બાઈબલમાં, “બલિદાન” અને “અર્પણ” શબ્દો ઈશ્વરની આરાધનાના ભાગ સ્વરૂપે તેમને ખાસ ભેટ આપવાંનો ઉલ્લેખ કરે છે
લોકો જુઠ્ઠા દેવોને પણ બલિદાનો ચઢાવતાં હતાં.
- સામાન્ય રીતે “અર્પણ” શબ્દ કંઈપણ કે જે ચઢાવવામાં અથવા આપવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે.
“બલિદાન” શબ્દ આપનાર દ્વારા ભારે કિંમતે કંઈક કે જે આપવામાં અથવા કરવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે
- ઈશ્વરને માટે ચોક્કસ અર્પણો હતાં કે જે તેમણે તેમના પ્રત્યે સમર્પણ અને આધિનતા દર્શાવવાં માટે ઈઝરાયેલીઓએ આપવાં માટે ફરમાવ્યા હતાં.
- અલગ અલગ અર્પણોના નામ જેવાં કે, “દહનાર્પણ” અને “શાંત્યર્પણ,” એ કેવાં પ્રકારનું અર્પણ આપવામાં આવી રહ્યું હતું તે સૂચવતું હતું.
- ઈશ્વરને બલિદાનો આપવા વારંવાર પશુની હત્યા કરવાનો સમાવેશ કરવામાં આવતો હતો.
- માત્ર ઈસુ ઈશ્વરના સંપૂર્ણ, પાપરહિત દીકરાનું બલિદાન, લોકોને પાપથી સંપૂર્ણપણે શુદ્ધ કરી શકે છે જે પશુનું બલિદાન કદી ન કરી શક્યું હોત.
- “જીવંત બલિદાન તરીકે પોતાને રજુ કરો” રૂપકાત્મક અભિવ્યક્તિનો અર્થ, “ઈશ્વરની સંપૂર્ણ આધિનતામાં તમારું જીવન જીવો, તેમની સેવા કરવા સઘળું છોડી દો.”
અનુવાદ માટેના સૂચનો
- “અર્પણ” શબ્દનું અનુવાદ આ પ્રમાણે પણ કરી શકાય “ઈશ્વરને માટે ભેટ” અથવા “કંઈક ઈશ્વરને આપવું” અથવા “કંઈક મુલ્યવાન કે જે ઈશ્વરને પ્રસ્તુત કરવું.”
- સંદર્ભના આધારે, “બલિદાન” શબ્દનો અનુવાદ આ રીતે પણ કરી શકાય “કંઈક મુલ્યવાન આરાધનામાં આપવું” અથવા “ખાસ પશુને મારી નાંખવામાં આવતું અને ઈશ્વરને પ્રસ્તુત કરવામાં આવતું.”
- “બલિદાન”ની ક્રિયાનો “કંઈક મુલ્યવાન આપી દેવું” અથવા “પશુને મારીને ઈશ્વરને આપવું” આ પ્રમાણે અનુવાદ કરી શકાય.
- બીજી રીતે “જીવંત બલિદાન તરીકે પોતાને રજુ કરો” નું અનુવાદ આ પ્રમાણે કરી શકાય “જ્યારે તમે જીવન જીવો છો, ત્યારે જે રીતે પશુને યજ્ઞવેદી પર અર્પણ કરવામાં આવતું તેમ તમારું સંપૂર્ણપણે અર્પણ ઈશ્વરને કરો.”
(આ પણ જુઓ: યજ્ઞવેદી, દહનાર્પણ, પેયાર્પણો, દેવ, શાંત્યર્પણ, ઐચ્છિકાર્પણ શાંત્યાર્પણ, યાજક, પાપાર્થાપણ, ઉપાસના)
બાઈબલના સંદર્ભો:
- 2 તિમોથી 4:6-8
- પ્રેરિતોના કૃત્યો 7:41-42
- પ્રેરિતોના કૃત્યો 21:25-26
- ઉત્પતિ 4:3-5
- યાકુબ 2:21-24
- માર્ક 1:43-44
- માર્ક 14:12-14
- માથ્થી 5:23-24
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 3:14 નૂહ વહાણમાંથી ઉતાર્યો પછી, તેણે યજ્ઞવેદી બંધી અને બલિદાન કર્યું દરેક પ્રકારના કેટલાંક પશુનું કે જેનો ઉપયોગ કરી શકાય બલિદાન તરીકે.
ઈશ્વર ખૂશ હતાં બલિદાનથી અને નૂહ અને તેના કુટુંબને આશીર્વાદિત કર્યા.
- 5:6 “ઈસહાકને લે, તારો એકનો એક દીકરો, અને તેને મારી નાંખ બલિદાન તરીકે મારે વાસ્તે."
ફરીથી ઈબ્રાહીમ ઈશ્વરને આધીન થયો અને તૈયારી કરવાં લાગ્યો બલિદાન કરવાં તેના દીકરાને.
- 5:9 ઈશ્વરે ઘેટું પૂરું પાડ્યું બલિદાન માટે ઈસહાકના બદલામાં.
- 13:9 જે કોઈ ઈશ્વરના નિયમનો અનાદર કરો તે મુલાકાતમંડપ પાસે પશુ લાવતો બલિદાન તરીકે ઈશ્વરને માટે.
યાજક પશુને મારી નાંખતો અને યજ્ઞવેદી પર બાળી નાંખતો.
પશુનું રક્ત બલિદાન કરવામાં આવતું હતું વ્યક્તિના પાપને ઢાંકવા અને ઈશ્વરની નજરમાં તે વ્યક્તિને શુદ્ધ કરવાં માટે.
- 17:6 દાઉદ મંદિર બાંધવા ઈચ્છતો હતો કે જ્યાં સર્વ ઈઝરાયેલીઓ ઈશ્વરની આરાધના કરી શકે અને તેમને બલિદાનો ચઢાવી શકે.
- 48:6 ઈસુએ મહાન પ્રમુખ યાજક છે.
અન્ય યાજકોથી વિપરીત, તેમણે પોતાને આપી દીધા એકમાત્ર બલિદાન તરીકે જે વિશ્વના તમામ લોકોના પાપ દૂર કરી શકે.
- 48:8 પરંતુ ઈશ્વરે ઈસુને આપ્યાં, ઈશ્વરના હલવાન બલિદાન તરીકે આપણી જગાએ મરણ પામવા.
- 49:11 કારણ કે ઈસુએ બલિદાન કર્યું પોતાનું, ઈશ્વર કોઈ પણ પાપ માફ કરી શકે છે, ભયંકર પાપો પણ.
શબ્દ માહિતી:
- Strong's: H801, H817, H819, H1685, H1890, H1974, H2076, H2077, H2281, H2282, H2398, H2401, H2402, H2403, H2409, H3632, H4394, H4469, H4503, H4504, H5066, H5068, H5069, H5071, H5257, H5258, H5261, H5262, H5927, H5928, H5930, H6453, H6944, H6999, H7133, H7311, H8002, H8426, H8548, H8573, H8641, G266, G334, G1049, G1435, G1494, G2378, G2380, G3646, G4376, G5485
બલિદાન, બલિદાન કરે છે, બલિદાન કર્યું, બલિદાન કરી રહ્યો છે, અર્પણ, અર્પણો
વ્યાખ્યા:
બાઈબલમાં, “બલિદાન” અને “અર્પણ” શબ્દો ઈશ્વરની આરાધનાના ભાગ સ્વરૂપે તેમને ખાસ ભેટ આપવાંનો ઉલ્લેખ કરે છે
લોકો જુઠ્ઠા દેવોને પણ બલિદાનો ચઢાવતાં હતાં.
- સામાન્ય રીતે “અર્પણ” શબ્દ કંઈપણ કે જે ચઢાવવામાં અથવા આપવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે.
“બલિદાન” શબ્દ આપનાર દ્વારા ભારે કિંમતે કંઈક કે જે આપવામાં અથવા કરવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે
- ઈશ્વરને માટે ચોક્કસ અર્પણો હતાં કે જે તેમણે તેમના પ્રત્યે સમર્પણ અને આધિનતા દર્શાવવાં માટે ઈઝરાયેલીઓએ આપવાં માટે ફરમાવ્યા હતાં.
- અલગ અલગ અર્પણોના નામ જેવાં કે, “દહનાર્પણ” અને “શાંત્યર્પણ,” એ કેવાં પ્રકારનું અર્પણ આપવામાં આવી રહ્યું હતું તે સૂચવતું હતું.
- ઈશ્વરને બલિદાનો આપવા વારંવાર પશુની હત્યા કરવાનો સમાવેશ કરવામાં આવતો હતો.
- માત્ર ઈસુ ઈશ્વરના સંપૂર્ણ, પાપરહિત દીકરાનું બલિદાન, લોકોને પાપથી સંપૂર્ણપણે શુદ્ધ કરી શકે છે જે પશુનું બલિદાન કદી ન કરી શક્યું હોત.
- “જીવંત બલિદાન તરીકે પોતાને રજુ કરો” રૂપકાત્મક અભિવ્યક્તિનો અર્થ, “ઈશ્વરની સંપૂર્ણ આધિનતામાં તમારું જીવન જીવો, તેમની સેવા કરવા સઘળું છોડી દો.”
અનુવાદ માટેના સૂચનો
- “અર્પણ” શબ્દનું અનુવાદ આ પ્રમાણે પણ કરી શકાય “ઈશ્વરને માટે ભેટ” અથવા “કંઈક ઈશ્વરને આપવું” અથવા “કંઈક મુલ્યવાન કે જે ઈશ્વરને પ્રસ્તુત કરવું.”
- સંદર્ભના આધારે, “બલિદાન” શબ્દનો અનુવાદ આ રીતે પણ કરી શકાય “કંઈક મુલ્યવાન આરાધનામાં આપવું” અથવા “ખાસ પશુને મારી નાંખવામાં આવતું અને ઈશ્વરને પ્રસ્તુત કરવામાં આવતું.”
- “બલિદાન”ની ક્રિયાનો “કંઈક મુલ્યવાન આપી દેવું” અથવા “પશુને મારીને ઈશ્વરને આપવું” આ પ્રમાણે અનુવાદ કરી શકાય.
- બીજી રીતે “જીવંત બલિદાન તરીકે પોતાને રજુ કરો” નું અનુવાદ આ પ્રમાણે કરી શકાય “જ્યારે તમે જીવન જીવો છો, ત્યારે જે રીતે પશુને યજ્ઞવેદી પર અર્પણ કરવામાં આવતું તેમ તમારું સંપૂર્ણપણે અર્પણ ઈશ્વરને કરો.”
(આ પણ જુઓ: યજ્ઞવેદી, દહનાર્પણ, પેયાર્પણો, દેવ, શાંત્યર્પણ, ઐચ્છિકાર્પણ શાંત્યાર્પણ, યાજક, પાપાર્થાપણ, ઉપાસના)
બાઈબલના સંદર્ભો:
- 2 તિમોથી 4:6-8
- પ્રેરિતોના કૃત્યો 7:41-42
- પ્રેરિતોના કૃત્યો 21:25-26
- ઉત્પતિ 4:3-5
- યાકુબ 2:21-24
- માર્ક 1:43-44
- માર્ક 14:12-14
- માથ્થી 5:23-24
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 3:14 નૂહ વહાણમાંથી ઉતાર્યો પછી, તેણે યજ્ઞવેદી બંધી અને બલિદાન કર્યું દરેક પ્રકારના કેટલાંક પશુનું કે જેનો ઉપયોગ કરી શકાય બલિદાન તરીકે.
ઈશ્વર ખૂશ હતાં બલિદાનથી અને નૂહ અને તેના કુટુંબને આશીર્વાદિત કર્યા.
- 5:6 “ઈસહાકને લે, તારો એકનો એક દીકરો, અને તેને મારી નાંખ બલિદાન તરીકે મારે વાસ્તે."
ફરીથી ઈબ્રાહીમ ઈશ્વરને આધીન થયો અને તૈયારી કરવાં લાગ્યો બલિદાન કરવાં તેના દીકરાને.
- 5:9 ઈશ્વરે ઘેટું પૂરું પાડ્યું બલિદાન માટે ઈસહાકના બદલામાં.
- 13:9 જે કોઈ ઈશ્વરના નિયમનો અનાદર કરો તે મુલાકાતમંડપ પાસે પશુ લાવતો બલિદાન તરીકે ઈશ્વરને માટે.
યાજક પશુને મારી નાંખતો અને યજ્ઞવેદી પર બાળી નાંખતો.
પશુનું રક્ત બલિદાન કરવામાં આવતું હતું વ્યક્તિના પાપને ઢાંકવા અને ઈશ્વરની નજરમાં તે વ્યક્તિને શુદ્ધ કરવાં માટે.
- 17:6 દાઉદ મંદિર બાંધવા ઈચ્છતો હતો કે જ્યાં સર્વ ઈઝરાયેલીઓ ઈશ્વરની આરાધના કરી શકે અને તેમને બલિદાનો ચઢાવી શકે.
- 48:6 ઈસુએ મહાન પ્રમુખ યાજક છે.
અન્ય યાજકોથી વિપરીત, તેમણે પોતાને આપી દીધા એકમાત્ર બલિદાન તરીકે જે વિશ્વના તમામ લોકોના પાપ દૂર કરી શકે.
- 48:8 પરંતુ ઈશ્વરે ઈસુને આપ્યાં, ઈશ્વરના હલવાન બલિદાન તરીકે આપણી જગાએ મરણ પામવા.
- 49:11 કારણ કે ઈસુએ બલિદાન કર્યું પોતાનું, ઈશ્વર કોઈ પણ પાપ માફ કરી શકે છે, ભયંકર પાપો પણ.
શબ્દ માહિતી:
- Strong's: H801, H817, H819, H1685, H1890, H1974, H2076, H2077, H2281, H2282, H2398, H2401, H2402, H2403, H2409, H3632, H4394, H4469, H4503, H4504, H5066, H5068, H5069, H5071, H5257, H5258, H5261, H5262, H5927, H5928, H5930, H6453, H6944, H6999, H7133, H7311, H8002, H8426, H8548, H8573, H8641, G266, G334, G1049, G1435, G1494, G2378, G2380, G3646, G4376, G5485
બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે
વ્યાખ્યા:
“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.
- ઘણી વાર “બળ” શબ્દ “શક્તિ” માટેનો બીજો એક શબ્દ છે.
જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.
- “બળવાન માણસો” શબ્દસમૂહ ઘણીવાર એવા માણસોનો ઉલ્લેખ કરે છે કે જેઓ હિમ્મતવાન અને યુદ્ધમાં વિજયી હોય છે.
દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.
- ઈશ્વરનો ઉલ્લેખ પણ “બળવાન” તરીકે થાય છે.
- “શક્તિશાળી કાર્યો” શબ્દસમૂહ સામાન્યરીતે ઈશ્વર જે અદભૂત બાબતો કરે છે, અને ખાસ કરીને ચમત્કારો કરે છે તેઓનો ઉલ્લેખ કરે છે.
- આ શબ્દ “સર્વશક્તિમાન” શબ્દ સાથે સંબંધિત છે, કે જે ઈશ્વર માટેનું સામાન્ય વર્ણન છે અને તેનો અર્થ થાય છે કે તેઓ પાસે સંપૂર્ણ સામર્થ્ય છે.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભ અનુસાર, “બળવાન” શબ્દનો અનુવાદ “શક્તિમાન” અથવા તો “અદભૂત” અથવા તો “ખૂબ જ બળવાન” તરીકે કરી શકાય.
- “તેમનું બળ” શબ્દસમૂહનો અનુવાદ “તેમની શક્તિ” અથવા તો “તેમનું સામર્થ્ય” તરીકે કરી શકાય.
- પ્રેરિતોના કૃત્યો 7માં, મૂસાને એક “વાણી તથા વ્યવહારમાં બળવાન” મનુષ્ય તરીકે વર્ણવવામાં આવ્યો છે.
તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.
- સંદર્ભ અનુસાર, “શક્તિશાળી કાર્યો”નો અનુવાદ “ઈશ્વર કરે છે તે અદભૂત બાબતો” અથવા તો “ચમત્કારો” અથવા તો “ઈશ્વર સામર્થ્ય વડે જે કાર્યો કરે છે તે” તરીકે કરી શકાય.
- “બળ” શબ્દનો અનુવાદ “સામર્થ્ય” અથવા તો “મહાશક્તિ” તરીકે પણ કરી શકાય.
- આ શબ્દને અંગ્રેજી શબ્દ કે જેને શક્યતા દર્શાવવા વાપરવામાં આવે છે તેની સાથે ગુંચવશો નહિ.
(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 7:22-25
- ઉત્પત્તિ 6:4
- માર્ક 9:38-39
- માથ્થી 11:23-24
શબ્દ માહિતી:
- Strong's: H46, H47, H117, H193, H202, H352, H386, H410, H430, H533, H650, H1219, H1368, H1369, H1370, H1396, H1397, H1401, H1419, H2220, H2389, H2394, H2428, H3201, H3524, H3581, H3966, H4101, H5794, H5797, H5807, H5868, H6099, H6105, H6108, H6184, H6697, H6743, H7227, H7580, H7989, H8623, H8624, H8632, G972, G1411, G1413, G1414, G1415, G1498, G1752, G1754, G2159, G2478, G2479, G2900, G2904, G3168, G3173, G5082
બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે
વ્યાખ્યા:
“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.
- ઘણી વાર “બળ” શબ્દ “શક્તિ” માટેનો બીજો એક શબ્દ છે.
જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.
- “બળવાન માણસો” શબ્દસમૂહ ઘણીવાર એવા માણસોનો ઉલ્લેખ કરે છે કે જેઓ હિમ્મતવાન અને યુદ્ધમાં વિજયી હોય છે.
દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.
- ઈશ્વરનો ઉલ્લેખ પણ “બળવાન” તરીકે થાય છે.
- “શક્તિશાળી કાર્યો” શબ્દસમૂહ સામાન્યરીતે ઈશ્વર જે અદભૂત બાબતો કરે છે, અને ખાસ કરીને ચમત્કારો કરે છે તેઓનો ઉલ્લેખ કરે છે.
- આ શબ્દ “સર્વશક્તિમાન” શબ્દ સાથે સંબંધિત છે, કે જે ઈશ્વર માટેનું સામાન્ય વર્ણન છે અને તેનો અર્થ થાય છે કે તેઓ પાસે સંપૂર્ણ સામર્થ્ય છે.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભ અનુસાર, “બળવાન” શબ્દનો અનુવાદ “શક્તિમાન” અથવા તો “અદભૂત” અથવા તો “ખૂબ જ બળવાન” તરીકે કરી શકાય.
- “તેમનું બળ” શબ્દસમૂહનો અનુવાદ “તેમની શક્તિ” અથવા તો “તેમનું સામર્થ્ય” તરીકે કરી શકાય.
- પ્રેરિતોના કૃત્યો 7માં, મૂસાને એક “વાણી તથા વ્યવહારમાં બળવાન” મનુષ્ય તરીકે વર્ણવવામાં આવ્યો છે.
તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.
- સંદર્ભ અનુસાર, “શક્તિશાળી કાર્યો”નો અનુવાદ “ઈશ્વર કરે છે તે અદભૂત બાબતો” અથવા તો “ચમત્કારો” અથવા તો “ઈશ્વર સામર્થ્ય વડે જે કાર્યો કરે છે તે” તરીકે કરી શકાય.
- “બળ” શબ્દનો અનુવાદ “સામર્થ્ય” અથવા તો “મહાશક્તિ” તરીકે પણ કરી શકાય.
- આ શબ્દને અંગ્રેજી શબ્દ કે જેને શક્યતા દર્શાવવા વાપરવામાં આવે છે તેની સાથે ગુંચવશો નહિ.
(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 7:22-25
- ઉત્પત્તિ 6:4
- માર્ક 9:38-39
- માથ્થી 11:23-24
શબ્દ માહિતી:
- Strong's: H46, H47, H117, H193, H202, H352, H386, H410, H430, H533, H650, H1219, H1368, H1369, H1370, H1396, H1397, H1401, H1419, H2220, H2389, H2394, H2428, H3201, H3524, H3581, H3966, H4101, H5794, H5797, H5807, H5868, H6099, H6105, H6108, H6184, H6697, H6743, H7227, H7580, H7989, H8623, H8624, H8632, G972, G1411, G1413, G1414, G1415, G1498, G1752, G1754, G2159, G2478, G2479, G2900, G2904, G3168, G3173, G5082
બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે
તથ્યો:
“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે.
કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.
- “બળ” એ કોઈક પ્રકારની વિરુદ્ધ તાકાત સામે ટકવા શક્તિનો પણ ઉલ્લેખ કરી શકે છે.
- વ્યક્તિ પાસે “ઈચ્છા શક્તિનું બળ છે” જ્યારે પરીક્ષણ આવે ત્યારે જો તે પાપને ટાળવા શક્તિમાન છે તો.
- ગીતશાસ્ત્રના એક લેખકે યહોવાને પોતાનું “બળ” કહ્યા કારણ કે ઈશ્વરે તેને બળવાન થવા મદદ કરી હતી માટે.
- જો ભૌતિક માળખું જેવું કે દીવાલ અથવા ઈમારત “મજબૂત કરવામાં આવે,” તો લોકો માળખાને ફરીથી બંધી રહ્યા છે, વધારે પથ્થરોથી કે ઇંટોથી તેને બળવત્તર આકરી રહ્યા છે જેથી તે હુમલા સામે ટકી શકે.
અનુવાદ માટેના સૂચનો
- સામાન્ય રીતે, “મજબૂત કરવું” શબ્દનું અનુવાદ “મજબૂત બનાવવું” અથવા “ખુબ શક્તિશાળી બનાવવું” એમ કરી શકાય.
- આત્મિક સમાજમાં, “તારા ભાઈઓને મજબૂત કર” નું અનુવાદ આમ પણ કરી શકાય “તારા ભાઈઓને ઉત્તેજન આપ” અથવા “મંડ્યા રહેવા તારા ભાઈઓને મદદ કર.”
- જ્યારે તેનો લાંબી અભિવ્યક્તિઓમાં સમાવેશ થયો હોય ત્યારે તેનું અનુવાદ કેવી રીતે કરી શકાય તે નીચેના ઉદાહરણો આ શબ્દોનો અર્થ બતાવે છે.
- “કમરબંધની જેમ મારાં પર બળ મુકો” નો અર્થ “કમરબંધ કે જે મારી કમરને ઘેરે છે તેની જેમ મને સંપૂર્ણ રીતે મજબૂત બનાવે છે.”
- “શાંતિ અને વિશ્વાસ તારું બળ થશે” નો અર્થ “સ્વસ્થતાપૂર્વક વર્તવું અને ઈશ્વરમાં વિશ્વાસ કરવો તે તમને આત્મિક રીતે મજબૂત બનાવશે.”
- “તેમનું બળ નવું કરાશે” નો અર્થ “ફરથી મજબૂત કરાશે.”
- “મારાં બળ અને મારાં ડહાપણ દ્વારા હું વર્ત્યો” નો અર્થ “મેં આ સઘળું કર્યું કારણ કે હું ખુબ જ બળવાન અને ડાહ્યો છું.”
- “દીવાલને મજબૂત કરવી” નો અર્થ “દીવાલને બળવત્તર કરવી” અથવા “દીવાલને ફરીથી બાંધવી.”
- “હું તને મજબૂત કરીશ” નો અર્થ “મજબૂત થવા માટે હું તને મદદ કરીશ.”
- “યહોવામાં જ માત્ર તારણ અને બળ છે” નો અર્થ “યહોવા જ એકમાત્ર છે જે આપણને બચાવે છે અને મજબૂત કરે છે.”
- “તારા બળનો ખડક” નો અર્થ “વિશ્વાસુ કે જે તને મજબૂત બનાવે છે.”
- “તેના જમણા હાથના બચાવવાના બળ વડે” નો અર્થ “તે મજબૂત રીતે તને મુશ્કેલીમાંથી બચાવે છે જેમ કોઈક સુરક્ષિત રીતે તેના મજબૂત હાથ વડે પકડી રાખે.”
- “નું થોડું બળ” નો અર્થ “બહુ મજબૂત નહિ” અથવા “નબળો.”
- “મારાં સઘળાં બળ વડે” નો અર્થ “મારાં શ્રેષ્ઠ પ્રયત્નોનો ઉપયોગ કરીને” અથવા મજબૂત રીતે અને સંપૂર્ણપણે.”
(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)
બાઈબલના સંદર્ભો:
- 2 રાજાઓ 18:19-21
- 2 પિતર 2:10-11
- લૂક 10:25-28
- ગીતશાસ્ત્ર 21:1-2
શબ્દ માહિતી:
- Strong's: H193, H202, H353, H360, H386, H410, H553, H556, H905, H1082, H1369, H1396, H1679, H2220, H2388, H2391, H2392, H2393, H2428, H2633, H3027, H3028, H3559, H3581, H3811, H3955, H4206, H4581, H5326, H5331, H5332, H5582, H5797, H5807, H5810, H5934, H5975, H6106, H6109, H6697, H6965, H7292, H7293, H7296, H7307, H8003, H8443, H8510, H8632, H8633, G461, G772, G950, G1411, G1412, G1743, G1765, G1840, G1849, G1991, G2479, G2480, G2901, G2904, G3619, G3756, G4599, G4732, G4733, G4741
બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે
તથ્યો:
“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે.
કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.
- “બળ” એ કોઈક પ્રકારની વિરુદ્ધ તાકાત સામે ટકવા શક્તિનો પણ ઉલ્લેખ કરી શકે છે.
- વ્યક્તિ પાસે “ઈચ્છા શક્તિનું બળ છે” જ્યારે પરીક્ષણ આવે ત્યારે જો તે પાપને ટાળવા શક્તિમાન છે તો.
- ગીતશાસ્ત્રના એક લેખકે યહોવાને પોતાનું “બળ” કહ્યા કારણ કે ઈશ્વરે તેને બળવાન થવા મદદ કરી હતી માટે.
- જો ભૌતિક માળખું જેવું કે દીવાલ અથવા ઈમારત “મજબૂત કરવામાં આવે,” તો લોકો માળખાને ફરીથી બંધી રહ્યા છે, વધારે પથ્થરોથી કે ઇંટોથી તેને બળવત્તર આકરી રહ્યા છે જેથી તે હુમલા સામે ટકી શકે.
અનુવાદ માટેના સૂચનો
- સામાન્ય રીતે, “મજબૂત કરવું” શબ્દનું અનુવાદ “મજબૂત બનાવવું” અથવા “ખુબ શક્તિશાળી બનાવવું” એમ કરી શકાય.
- આત્મિક સમાજમાં, “તારા ભાઈઓને મજબૂત કર” નું અનુવાદ આમ પણ કરી શકાય “તારા ભાઈઓને ઉત્તેજન આપ” અથવા “મંડ્યા રહેવા તારા ભાઈઓને મદદ કર.”
- જ્યારે તેનો લાંબી અભિવ્યક્તિઓમાં સમાવેશ થયો હોય ત્યારે તેનું અનુવાદ કેવી રીતે કરી શકાય તે નીચેના ઉદાહરણો આ શબ્દોનો અર્થ બતાવે છે.
- “કમરબંધની જેમ મારાં પર બળ મુકો” નો અર્થ “કમરબંધ કે જે મારી કમરને ઘેરે છે તેની જેમ મને સંપૂર્ણ રીતે મજબૂત બનાવે છે.”
- “શાંતિ અને વિશ્વાસ તારું બળ થશે” નો અર્થ “સ્વસ્થતાપૂર્વક વર્તવું અને ઈશ્વરમાં વિશ્વાસ કરવો તે તમને આત્મિક રીતે મજબૂત બનાવશે.”
- “તેમનું બળ નવું કરાશે” નો અર્થ “ફરથી મજબૂત કરાશે.”
- “મારાં બળ અને મારાં ડહાપણ દ્વારા હું વર્ત્યો” નો અર્થ “મેં આ સઘળું કર્યું કારણ કે હું ખુબ જ બળવાન અને ડાહ્યો છું.”
- “દીવાલને મજબૂત કરવી” નો અર્થ “દીવાલને બળવત્તર કરવી” અથવા “દીવાલને ફરીથી બાંધવી.”
- “હું તને મજબૂત કરીશ” નો અર્થ “મજબૂત થવા માટે હું તને મદદ કરીશ.”
- “યહોવામાં જ માત્ર તારણ અને બળ છે” નો અર્થ “યહોવા જ એકમાત્ર છે જે આપણને બચાવે છે અને મજબૂત કરે છે.”
- “તારા બળનો ખડક” નો અર્થ “વિશ્વાસુ કે જે તને મજબૂત બનાવે છે.”
- “તેના જમણા હાથના બચાવવાના બળ વડે” નો અર્થ “તે મજબૂત રીતે તને મુશ્કેલીમાંથી બચાવે છે જેમ કોઈક સુરક્ષિત રીતે તેના મજબૂત હાથ વડે પકડી રાખે.”
- “નું થોડું બળ” નો અર્થ “બહુ મજબૂત નહિ” અથવા “નબળો.”
- “મારાં સઘળાં બળ વડે” નો અર્થ “મારાં શ્રેષ્ઠ પ્રયત્નોનો ઉપયોગ કરીને” અથવા મજબૂત રીતે અને સંપૂર્ણપણે.”
(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)
બાઈબલના સંદર્ભો:
- 2 રાજાઓ 18:19-21
- 2 પિતર 2:10-11
- લૂક 10:25-28
- ગીતશાસ્ત્ર 21:1-2
શબ્દ માહિતી:
- Strong's: H193, H202, H353, H360, H386, H410, H553, H556, H905, H1082, H1369, H1396, H1679, H2220, H2388, H2391, H2392, H2393, H2428, H2633, H3027, H3028, H3559, H3581, H3811, H3955, H4206, H4581, H5326, H5331, H5332, H5582, H5797, H5807, H5810, H5934, H5975, H6106, H6109, H6697, H6965, H7292, H7293, H7296, H7307, H8003, H8443, H8510, H8632, H8633, G461, G772, G950, G1411, G1412, G1743, G1765, G1840, G1849, G1991, G2479, G2480, G2901, G2904, G3619, G3756, G4599, G4732, G4733, G4741
બહેન, બહેનો
વ્યાખ્યા:
બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે.
તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે.
- નવા કરારમાં, “બહેન” અર્થાલંકારિક રીતે એવી સ્ત્રી કે જે ઈસુ ખ્રિસ્તમાં સાથી વિશ્વાસી છે તેનો ઉલ્લેખ કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
- ઘણીવાર “ભાઈઓ અને બહેનો” શબ્દસમૂહ સ્ત્રી અને પુરુષ બંને, ખ્રિસ્તમાં દરેક વિશ્વાસીઓને સંબોધવા માટે વાપરવામાં આવ્યો છે.
- જુના કરારના ગીતોના ગીત પુસ્તકમાં, “બહેન” સ્ત્રીના પ્રેમી અથવા પત્નીનો ઉલ્લેખ કરે છે.
અનુવાદ માટેના સૂચનો:
- આ શબ્દનો શાબ્દિક શબ્દ સાથે અનુવાદ કરવો કે જેનો ઉપયોગ સ્થાનિક ભાષામાં કુદરતી કે જૈવિક બહેનનો ઉલ્લેખ કરવાં થાય છે તે શ્રેષ્ઠ છે, નહિતર તે ખોટો અર્થ આપશે.
- તેનું બીજી રીતે અનુવાદ “ખ્રિસ્તમાં બહેન” અથવા “આત્મિક બહેન” અથવા “સ્ત્રી કે જે ઈસુમાં વિશ્વાસ કરે છે” અથવા સાથી સ્ત્રી વિશ્વાસી” એમ કરી શકાય.
- જો શક્ય હોય તો, પારિવારિક શબ્દ વાપરવો શ્રેષ્ઠ છે.
- જો ભાષા પાસે “વિશ્વાસી” માટે નારીજાતિનો શબ્દ હોય, તો એ શબ્દનું અનુવાદ કરવું તે શક્ય રીતે હોઈ શકે.
- જ્યારે પ્રેમી કે પત્નીનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે, તેનો અનુવાદ કરી શકાય નારીજાતિનો શબ્દ વાપરીને “પ્રેમાળ” અથવા “વ્હાલા” એમ કરી શકાય.
(આ પણ જુઓ: ભાઈ ખ્રિસ્તમાં, આત્મા)
બાઈબલના સંદર્ભો:
- 1 કાળુવૃતાંત 2:16-17
- પુનર્નિયમ 27:22-23
- ફિલેમોન 1:1-3
- રોમનો 16:1-2
શબ્દ માહિતી:
- Strong's: H269, H1323, G27, G79
બહેન, બહેનો
વ્યાખ્યા:
બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે.
તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે.
- નવા કરારમાં, “બહેન” અર્થાલંકારિક રીતે એવી સ્ત્રી કે જે ઈસુ ખ્રિસ્તમાં સાથી વિશ્વાસી છે તેનો ઉલ્લેખ કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
- ઘણીવાર “ભાઈઓ અને બહેનો” શબ્દસમૂહ સ્ત્રી અને પુરુષ બંને, ખ્રિસ્તમાં દરેક વિશ્વાસીઓને સંબોધવા માટે વાપરવામાં આવ્યો છે.
- જુના કરારના ગીતોના ગીત પુસ્તકમાં, “બહેન” સ્ત્રીના પ્રેમી અથવા પત્નીનો ઉલ્લેખ કરે છે.
અનુવાદ માટેના સૂચનો:
- આ શબ્દનો શાબ્દિક શબ્દ સાથે અનુવાદ કરવો કે જેનો ઉપયોગ સ્થાનિક ભાષામાં કુદરતી કે જૈવિક બહેનનો ઉલ્લેખ કરવાં થાય છે તે શ્રેષ્ઠ છે, નહિતર તે ખોટો અર્થ આપશે.
- તેનું બીજી રીતે અનુવાદ “ખ્રિસ્તમાં બહેન” અથવા “આત્મિક બહેન” અથવા “સ્ત્રી કે જે ઈસુમાં વિશ્વાસ કરે છે” અથવા સાથી સ્ત્રી વિશ્વાસી” એમ કરી શકાય.
- જો શક્ય હોય તો, પારિવારિક શબ્દ વાપરવો શ્રેષ્ઠ છે.
- જો ભાષા પાસે “વિશ્વાસી” માટે નારીજાતિનો શબ્દ હોય, તો એ શબ્દનું અનુવાદ કરવું તે શક્ય રીતે હોઈ શકે.
- જ્યારે પ્રેમી કે પત્નીનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે, તેનો અનુવાદ કરી શકાય નારીજાતિનો શબ્દ વાપરીને “પ્રેમાળ” અથવા “વ્હાલા” એમ કરી શકાય.
(આ પણ જુઓ: ભાઈ ખ્રિસ્તમાં, આત્મા)
બાઈબલના સંદર્ભો:
- 1 કાળુવૃતાંત 2:16-17
- પુનર્નિયમ 27:22-23
- ફિલેમોન 1:1-3
- રોમનો 16:1-2
શબ્દ માહિતી:
- Strong's: H269, H1323, G27, G79
બાબિલ
સત્યો:
બાબિલ એ મેસોપોતામિયાના દક્ષિણ ભાગના શિનઆર પ્રાંતમાં આવેલું મુખ્ય શહેર હતું.
પછી શિનઆર બાબિલોનિયા કહેવાયું હતું.
- બાબિલ શહેર હામના પૌત્ર દ્વારા સ્થપાયું હતું, નિમ્રોદ કે જેણે શિનઆર પ્રાંતમાં રાજ્ય કર્યું.
- શિનઆરના લોકો અભિમાની બન્યા, અને તેઓએ આકાશમાં પહોચે એવો ઊંચો બુરજ બાંધવાનો નિર્ણય કર્યો.
તે પાછળથી “બાબિલના બુરજ” તરીકે જાણીતો બન્યો.
- કારણકે લોકો દેવની આજ્ઞાનો ઈન્કાર કરીને બીજી જગ્યામાં વિસ્તરી જવાને બદલે બુરજ બાંધવાની શરૂઆત કરી, તેથી દેવે તેઓની ભાષા ઉલટાવી નાંખી જેથી તેઓ એકબીજાને સમજી શક્યા નહી.
જેથી તેઓને આખા દુનિયાના જુદા જુદા ભાગોમાં દુર જઈને રહેવાની ફરજ પડી.
- “બાબિલ”નો મૂળ અર્થ “ગુંચવણ” છે, કારણકે દેવે લોકોની ભાષા બદલી નાંખી, તે નામ પરથી તેનું નામ પડ્યું.
(આપણ જુઓ: બાબિલોન, હામ, મેસોપોતામિયા)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 10:8-10
- ઉત્પત્તિ 11:8-9
શબ્દ માહિતી:
બાર, અગિયાર
વ્યાખ્યા:
"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા.
યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા
- ઈસુના બીજા ઘણા શિષ્યો હતા, પરંતુ "બાર" શિર્ષકવાળાબીજા લોકોથી અલગ હતા જેઓ દેખીતી રીતે ઈસુની નજીક હતા.
- આ બાર શિષ્યોના નામ માથ્થી10, માર્ક 3, અને લુક 6 ની યાદી આપેલ છે.
- ઈસુ સ્વર્ગમાં પાછા ફર્યાના અમુક સમય પછી "અગિયાર" શિષ્યોએ માથ્થિયસને યહૂદાની જગ્યાએ પસંદ કર્યા.
ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.
અનુવાદ માટેના સૂચનો:
- ઘણાં ભાષાઓ માટે સંજ્ઞા ઉમેરવી વધુ સ્પષ્ટ અથવા વધુ કુદરતી હોઈ શકે છે, અને કહે છે, "બાર પ્રેરિતો" અથવા "ઈસુના બાર સૌથી નજીકના અનુયાયીઓ."
- "અગિયાર" નો અનુવાદ "ઈસુના બાકીના અગિયાર શિષ્યો" તરીકે થાય છે. "
- કેટલાક અનુવાદો તેને " બાર " અને "અગિયાર" શીર્ષક તરીકે ઉપયોગમાં લેતા હતા તે દર્શાવવા માટે મોટા અક્ષરોનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)
બાઇબલના સંદર્ભો:
- 1 કોરિંથી 15:5-7
- પ્રેરિતોનાં કૃત્યો 6:2-4
- લુક 9:1-2
- લુક 18:31-33
- માર્ક 10:32-34
- માથ્થી 10:5-7
શબ્દ માહિતી:
બાર, અગિયાર
વ્યાખ્યા:
"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા.
યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા
- ઈસુના બીજા ઘણા શિષ્યો હતા, પરંતુ "બાર" શિર્ષકવાળાબીજા લોકોથી અલગ હતા જેઓ દેખીતી રીતે ઈસુની નજીક હતા.
- આ બાર શિષ્યોના નામ માથ્થી10, માર્ક 3, અને લુક 6 ની યાદી આપેલ છે.
- ઈસુ સ્વર્ગમાં પાછા ફર્યાના અમુક સમય પછી "અગિયાર" શિષ્યોએ માથ્થિયસને યહૂદાની જગ્યાએ પસંદ કર્યા.
ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.
અનુવાદ માટેના સૂચનો:
- ઘણાં ભાષાઓ માટે સંજ્ઞા ઉમેરવી વધુ સ્પષ્ટ અથવા વધુ કુદરતી હોઈ શકે છે, અને કહે છે, "બાર પ્રેરિતો" અથવા "ઈસુના બાર સૌથી નજીકના અનુયાયીઓ."
- "અગિયાર" નો અનુવાદ "ઈસુના બાકીના અગિયાર શિષ્યો" તરીકે થાય છે. "
- કેટલાક અનુવાદો તેને " બાર " અને "અગિયાર" શીર્ષક તરીકે ઉપયોગમાં લેતા હતા તે દર્શાવવા માટે મોટા અક્ષરોનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)
બાઇબલના સંદર્ભો:
- 1 કોરિંથી 15:5-7
- પ્રેરિતોનાં કૃત્યો 6:2-4
- લુક 9:1-2
- લુક 18:31-33
- માર્ક 10:32-34
- માથ્થી 10:5-7
શબ્દ માહિતી:
બારસાખ
વ્યાખ્યા:
“બારસાખ” એ બારણાની બેમાંથી એક બાજુ પર આવેલો ઊભી પાંખ (મોભ) છે, કે જે બારણાના સૌથી ઉપરના ભાગને આધાર આપે છે.
- દેવે ઈઝરાએલીઓને મિસરમાંથી નાશી જવા મદદ કરી તે પહેલા તેણે (દેવે) સૂચના આપી કે તેઓ ઘેટાને મારીને તેનું રક્ત બારસાખો પર લગાવે.
- જૂના કરારમાં, દાસ કે જે પૂરી જિંદગી તેના શેઠની સેવા કરવા ઈચ્છતો હોય તો, તેણે તેનો કાન તેના શેઠના ઘરની બારસાખ ઉપર મૂકી, બારસાખમાં તેનો કાન આરથી (ખીલીથી) વીંધવામાં આવતો.
- આ શબ્દનું ભાષાંતર, “બારણાની બંને બાજુના ચોખઠાની પાંખ” અથવા “લાકડાંની બારસાખની બાજુઓ” અથવા “દ્વારની બાજુઓ પરના લાકડાંના મોભ” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: મિસર, પાસ્ખા)
બાઈબલની કલમો:
- 1 રાજા 6:31-32
- પૂનર્નિયમ 11:20-21
- નિર્ગમન 12:5-8
- યશાયા 57:7-8
શબ્દ માહિતી:
બાલઝબૂલ
સત્યો:
બાલઝબૂલ એ શેતાન અથવા દુષ્ટ વ્યક્તિ માટેનું બીજું નામ છે.
ક્યારેક તેની જોડણી “બિલઝબૂબ” પણ હોય છે.
- આ નામનો શાબ્દિક અર્થ “વાયુઓનો સ્વામી” કે જેનો અર્થ, “ભૂતોનો રાજા” થાય છે.
આ શબ્દનું ભાષાંતર કરવાને બદલે તેને અસલ જોડણી રાખવી વધારે શ્રેષ્ઠ છે.
- તેનું સ્પષ્ટ ભાષાંતર કરવા માટે “બાલઝબૂલ શેતાન” નો ઉપયોગ કરવો જે તેને દર્શાવે છે.
- આ નામ એક્રોનના જુઠા દેવ “બાલ-ઝબૂબ” ના નામ સાથે સંબધ ધરાવે છે.
(આ પણ જુઓ: ભૂત, એક્રોન, શેતાન)
બાઈબલની કલમો:
- લૂક 11:14-15
- માર્ક 3:20-22
- માથ્થી 10:24-25
- માથ્થી 12:24-25
શબ્દ માહિતી:
બાળકો, બાળક
વ્યાખ્યા:
બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે.
“બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.
- ક્યારેક બાઈબલમાં, શિષ્યો અથવા અનુયાયીઓને “બાળકો” કહીને બોલાવામાં આવ્યા છે.
- મોટેભાગે વ્યક્તિના વંશજોને દર્શાવવા “બાળકો” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- “(તે)ના બાળકો” એ શબ્દ એવા પ્રકારના ચારિત્ર્યને વર્ગીકૃત કરવા માટે દર્શાવાયો છે.
કેટલાક ઉદાહરણો હોઈ શકે:
- પ્રકાશના બાળકો
- આજ્ઞાપાલન ના બાળકો
- શેતાનના બાળકો
- જેઓ આત્મિક બાળકો જેવા છે તેવા લોકો માટે પણ આ શબ્દ દર્શાવી શકાય છે.
ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- જયારે “બાળક” શબ્દનું ભાષાંતર ‘વંશજો” કરવામાં આવે ત્યારે તે વ્યક્તિના દોહિત્ર અને દોહિત્રના બાળકોને દર્શાવે છે.
- સંદર્ભ પર આધાર રાખીને, “(તે)ના બાળકો” ભાષાંતર, “લોકો કે જેઓને તેવી લાક્ષણિકતા હોય છે” અથવા “લોકો કે જે એ પ્રકારનું વર્તન કરે છે” એમ થઈ શકે છે.
શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ.
તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.
- જયારે ઈસુએ શિષ્યો ને તેના “બાળકો” કહીને બોલાવ્યા તેનું ભાષાંતર “વ્હાલા મિત્રો” અથવા “મારા પ્રિય શિષ્યો”તરીકે પણ કરી શકાય.
- જયારે પાઉલે અને યોહાને ઈસુમાં વિશ્વાસી “બાળકો” તરીકે દર્શાવ્યા છે ત્યારે તેનું ભાષાંતર, “વ્હાલા સાથી વિશ્વાસીઓ” તરીકે પણ કરી શકાય છે.
- “વચનના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, “લોકો કે જેઓને દેવનું વચન આપવામાં આવ્યું અને તેઓને તે પ્રાપ્ત થયું છે” એમ કરી શકાય છે.
(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))
બાઈબલની કલમો:
- 1 યોહાન 2:27-29
- 3 યોહાન 1:1-4
- ગલાતી 4:19-20
- ઉત્પત્તિ 45:9-11
- યહોશુઆ 8:34-35
- નહેમ્યા 5:4-5
શબ્દ માહિતી:
- Strong's: H1069, H1121, H1123, H1129, H1323, H1397, H1580, H2029, H2030, H2056, H2138, H2145, H2233, H2945, H3173, H3205, H3206, H3208, H3211, H3243, H3490, H4392, H5271, H5288, H5290, H5759, H5764, H5768, H5953, H6185, H7908, H7909, H7921, G730, G815, G1025, G1064, G1471, G3439, G3515, G3516, G3808, G3812, G3813, G3816, G5040, G5041, G5042, G5043, G5044, G5206, G5207, G5388
બાળકો, બાળક
વ્યાખ્યા:
બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે.
“બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.
- ક્યારેક બાઈબલમાં, શિષ્યો અથવા અનુયાયીઓને “બાળકો” કહીને બોલાવામાં આવ્યા છે.
- મોટેભાગે વ્યક્તિના વંશજોને દર્શાવવા “બાળકો” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- “(તે)ના બાળકો” એ શબ્દ એવા પ્રકારના ચારિત્ર્યને વર્ગીકૃત કરવા માટે દર્શાવાયો છે.
કેટલાક ઉદાહરણો હોઈ શકે:
- પ્રકાશના બાળકો
- આજ્ઞાપાલન ના બાળકો
- શેતાનના બાળકો
- જેઓ આત્મિક બાળકો જેવા છે તેવા લોકો માટે પણ આ શબ્દ દર્શાવી શકાય છે.
ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- જયારે “બાળક” શબ્દનું ભાષાંતર ‘વંશજો” કરવામાં આવે ત્યારે તે વ્યક્તિના દોહિત્ર અને દોહિત્રના બાળકોને દર્શાવે છે.
- સંદર્ભ પર આધાર રાખીને, “(તે)ના બાળકો” ભાષાંતર, “લોકો કે જેઓને તેવી લાક્ષણિકતા હોય છે” અથવા “લોકો કે જે એ પ્રકારનું વર્તન કરે છે” એમ થઈ શકે છે.
શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ.
તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.
- જયારે ઈસુએ શિષ્યો ને તેના “બાળકો” કહીને બોલાવ્યા તેનું ભાષાંતર “વ્હાલા મિત્રો” અથવા “મારા પ્રિય શિષ્યો”તરીકે પણ કરી શકાય.
- જયારે પાઉલે અને યોહાને ઈસુમાં વિશ્વાસી “બાળકો” તરીકે દર્શાવ્યા છે ત્યારે તેનું ભાષાંતર, “વ્હાલા સાથી વિશ્વાસીઓ” તરીકે પણ કરી શકાય છે.
- “વચનના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, “લોકો કે જેઓને દેવનું વચન આપવામાં આવ્યું અને તેઓને તે પ્રાપ્ત થયું છે” એમ કરી શકાય છે.
(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))
બાઈબલની કલમો:
- 1 યોહાન 2:27-29
- 3 યોહાન 1:1-4
- ગલાતી 4:19-20
- ઉત્પત્તિ 45:9-11
- યહોશુઆ 8:34-35
- નહેમ્યા 5:4-5
શબ્દ માહિતી:
- Strong's: H1069, H1121, H1123, H1129, H1323, H1397, H1580, H2029, H2030, H2056, H2138, H2145, H2233, H2945, H3173, H3205, H3206, H3208, H3211, H3243, H3490, H4392, H5271, H5288, H5290, H5759, H5764, H5768, H5953, H6185, H7908, H7909, H7921, G730, G815, G1025, G1064, G1471, G3439, G3515, G3516, G3808, G3812, G3813, G3816, G5040, G5041, G5042, G5043, G5044, G5206, G5207, G5388
બાવળ
વ્યાખ્યા:
"બાવળ" શબ્દ એ પુરાતન કનાનમાં આવેલા એક છોડ અથવા વૃક્ષનું નામ છે જે એ વિસ્તારમાં બહુ ઉગે છે.
- બાવળમાંથી એક બદામી રંગનું ખુબ જ મજબુત અને ટકાઉ લાકડું પેદા થાય છે, જેનો ઉપયોગ બાંધકામ માટે થાય છે
- આ લાકડામાં ન સડવાના ગુણ રહેલા છે, કારણકે એ ખુબજ ઘટ્ટ અને તે પોતામાંથી પાણીને દુર રાખે છે. તેમાં કુદરતી સાચવણીનો ગુણધર્મ રહેલો છે જે જંતુનો નાશ કરે છે.
બાઈબલ ની અંદર, કરારકોશ અને મુલાકાત મંડપ બનાવવા માટે બાવળના લાકડાનો ઉપયોગ કર્યો હતો.
(જુઓ: અજ્ઞાતોનું ભાષાંતર કેવી રીતે કરવું
(જુઓં: કરારકોશ, મુલાકાતમંડપ)
બાઈબલની કલમો:
- પુર્નનિયમ 10:3-4
- નિર્ગમન 25:3-7
- નિર્ગમન 38:6-7
- યશાયાહ 41:19-20
શબ્દ માહિતી:
બાશાન
સત્યો:
બાશાન ગાલીલ સમુદ્રના પૂર્વની ભૂમિનો પ્રદેશ હતો.
તે જે હાલના સીરિયાના ભાગના પ્રદેશને અને ગોલાનની ઉંચાઈને ઢાંકે છે.
- જૂનાકરારનું એક આશ્રય નગર જે ગોલાન કહેવાય છે તે આ બાશાનના પ્રદેશમાં આવેલું હતું.
- બાશાન ઘણો ફળદ્રુપ છે, તે પ્રદેશ ઓકના વૃક્ષો અને પશુઓને ચરવા માટે માટે જાણીતો હતો.
- ઉત્પત્તિ 14માં નોધવામાં આવ્યું છે કે, બાશાન કેટલાક રાજાઓ અને તેમના રાષ્ટ્રોની યુદ્ધની જગ્યા હતી.
- મિસરમાંથી તેમના છૂટકારા બાદ ઈઝરાએલ અરણ્યમાં ભટકતા હતા તે દરમ્યાન, તેઓએ બાશનના પ્રદેશના અમુક ભાગનો કબજો કર્યો.
- વર્ષો પછી, તે પ્રદેશમાંથી સુલેમાન રાજાએ જરૂરી સાધન સામગ્રી મેળવી.
(આ પણ જુઓ: મિસર, ઓક, ગાલીલનો સમુદ્ર, સીરિયા)
બાઈબલની કલમો:
- 1 રાજા 4:11-14
- આમોસ 4:1-2
- યર્મિયા 22:20-21
- યહોશુઆ 9:9-10
શબ્દ માહિતી:
બિન્યામીન, બિન્યામીની, બિન્યામીનીઓ
સત્યો:
બિન્યામીન એ યાકૂબ અને તેની પત્ની રાહેલ દ્વારા જન્મેલો સૌથી નાનો દીકરો હતો.
તેના નામનો અર્થ, “મારા જમણા હાથનો પુત્ર.”
- તે અને તેનો મોટો ભાઈ યુસુફ ફક્ત રાહેલના બાળકો હતા, તેણી બિન્યામીનના જન્મ પછી મરણ પામી.
- બિન્યામીન વંશજો ઈઝરાએલના બાર કુળોમાંનું એક બન્યું.
- શાઉલ રાજા ઈઝરાએલના બિન્યામીન કુળમાંનો હતો.
- પાઉલ પ્રેરિત પણ બિન્યામીન કુળનો હતો.
(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, [યુસૂફ , યૂસફ (જૂના કરાર), પાઉલ, રાહેલ)
બાઈબલની કલમો:
- ઇસ્રાએલના બાર કુળ
- 1 રાજા 2:8-9
- પ્રેરિતો 13:21-22
- ઉત્પત્તિ 35:16-20
- ઉત્પત્તિ 42:1-4
- ઉત્પત્તિ 42:35-36
- ફિલીપ્પી 3:4-5
શબ્દ માહિતી:
બીજ, વીર્ય
વ્યાખ્યા:
બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે.
તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.
- "બીજ" શબ્દ રૂપકાત્મક અને સૌમ્યોક્તિથી ઉપયોગમાં લેવાય છે જે એક માણસની અંદર રહેલાં નાના કોશિકાઓ એક સ્ત્રીના કોશિકાઓ સાથે જોડાય છે જેના કારણે તેનામાં બાળકની વૃદ્ધિ થાય છે તેનો ઉલ્લેખ કરે છે.
તેના સંકલનને વીર્ય કહેવાય છે.
- તેના અનુસંધાનમાં, “બીજ” વ્યક્તિના સંતાન અથવા વંશજનો ઉલ્લેખ કરવાં ઉપયોગમાં લેવાય છે.
- આ શબ્દમાં ઘણીવાર બહુવચનનો અર્થ થાય છે, એક કરતાં વધુ બીજનું અનાજ અથવા એક કરતાં વધુ વંશજ.
- ખેડૂતના બીજ વાવવાના દ્રષ્ટાંતમાં, ઈસુએ તેમના બીજની સરખામણી ઈશ્વરના વચન સાથે કરી હતી, જે સારા આધ્યાત્મિક ફળ ઉત્પન્ન કરવા માટે લોકોના હૃદયમાં વાવવામાં આવે છે.
- પ્રેરિત પાઉલે પણ “બીજ” શબ્દનો ઉપયોગ ઈશ્વરના વચનનો ઉલ્લેખ કરવાં માટે કર્યો છે.
અનુવાદ માટેના સૂચનો:
- શાબ્દિક બીજ માટે, ખેડૂત પોતાના ખેતરમાં જે વાવે છે તે માટે પ્રાદેશિક ભાષામાં જે શબ્દ વપરાય છે તેનો શાબ્દિક ઉપયોગ “બીજ” માટે કરવો.
- શાબ્દિક શબ્દ જ્યાં રૂપકાત્મક રીતે ઈશ્વરના વચનો વિષે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સંદર્ભમાં પણ તેનો ઉપયોગ થવો જોઈએ.
- રૂપકાત્મક ઉપયોગ એક સમાન કુટુંબ રેખાના લોકોનો ઉલ્લેખ કરવા માટે, બીજને બદલે “વંશજ” અથવા “વંશજો” શબ્દનો ઉપયોગ કરવો ભૂ સ્પષ્ટ રહેશે.
કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.
- માણસ કે સ્ત્રીના “બીજ” માટે એ ધ્યાનમાં લો કે પ્રાદેશિક ભાષા તેને કેવી રીતે વર્ણવે કે જેથી તે લોકોને નારાજ ન કરે કે મુંઝવણમાં ન મુકે.
(જુઓ: સોમ્યોક્તિ
(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)
બાઈબલના સંદર્ભો:
- 1 રાજાઓ 18:30-32
- ઉત્પતિ 18:30-32
- યર્મિયા 2:20-22
- માથ્થી 13:7-9
શબ્દ માહિતી:
- Strong's: H2232, H2233, H2234, H3610, H6507, G4615, G4687, G4690, G4701, G4703
બીજ, વીર્ય
વ્યાખ્યા:
બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે.
તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.
- "બીજ" શબ્દ રૂપકાત્મક અને સૌમ્યોક્તિથી ઉપયોગમાં લેવાય છે જે એક માણસની અંદર રહેલાં નાના કોશિકાઓ એક સ્ત્રીના કોશિકાઓ સાથે જોડાય છે જેના કારણે તેનામાં બાળકની વૃદ્ધિ થાય છે તેનો ઉલ્લેખ કરે છે.
તેના સંકલનને વીર્ય કહેવાય છે.
- તેના અનુસંધાનમાં, “બીજ” વ્યક્તિના સંતાન અથવા વંશજનો ઉલ્લેખ કરવાં ઉપયોગમાં લેવાય છે.
- આ શબ્દમાં ઘણીવાર બહુવચનનો અર્થ થાય છે, એક કરતાં વધુ બીજનું અનાજ અથવા એક કરતાં વધુ વંશજ.
- ખેડૂતના બીજ વાવવાના દ્રષ્ટાંતમાં, ઈસુએ તેમના બીજની સરખામણી ઈશ્વરના વચન સાથે કરી હતી, જે સારા આધ્યાત્મિક ફળ ઉત્પન્ન કરવા માટે લોકોના હૃદયમાં વાવવામાં આવે છે.
- પ્રેરિત પાઉલે પણ “બીજ” શબ્દનો ઉપયોગ ઈશ્વરના વચનનો ઉલ્લેખ કરવાં માટે કર્યો છે.
અનુવાદ માટેના સૂચનો:
- શાબ્દિક બીજ માટે, ખેડૂત પોતાના ખેતરમાં જે વાવે છે તે માટે પ્રાદેશિક ભાષામાં જે શબ્દ વપરાય છે તેનો શાબ્દિક ઉપયોગ “બીજ” માટે કરવો.
- શાબ્દિક શબ્દ જ્યાં રૂપકાત્મક રીતે ઈશ્વરના વચનો વિષે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સંદર્ભમાં પણ તેનો ઉપયોગ થવો જોઈએ.
- રૂપકાત્મક ઉપયોગ એક સમાન કુટુંબ રેખાના લોકોનો ઉલ્લેખ કરવા માટે, બીજને બદલે “વંશજ” અથવા “વંશજો” શબ્દનો ઉપયોગ કરવો ભૂ સ્પષ્ટ રહેશે.
કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.
- માણસ કે સ્ત્રીના “બીજ” માટે એ ધ્યાનમાં લો કે પ્રાદેશિક ભાષા તેને કેવી રીતે વર્ણવે કે જેથી તે લોકોને નારાજ ન કરે કે મુંઝવણમાં ન મુકે.
(જુઓ: સોમ્યોક્તિ
(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)
બાઈબલના સંદર્ભો:
- 1 રાજાઓ 18:30-32
- ઉત્પતિ 18:30-32
- યર્મિયા 2:20-22
- માથ્થી 13:7-9
શબ્દ માહિતી:
- Strong's: H2232, H2233, H2234, H3610, H6507, G4615, G4687, G4690, G4701, G4703
બેખમીર રોટલી
વ્યાખ્યા:
"બેખમીર રોટલી" શબ્દ એ રોટલીનો ઉલ્લેખ કરે છે, જે ખમીર અથવા અન્ય ધમણ વિના બનાવવામાં આવે છે.
આ પ્રકારની રોટલી સપાટ છે કારણ કે તેમાં વધારો કરવા માટે કોઈ ખમીર નથી.
- જ્યારે ઈશ્વરે ઈસ્રાએલીઓને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા ત્યારે, તેમણે તેઓને કહ્યું કે, રોટલી બનવાની રાહ જોયા વિના તરત જ તેઓ મિસરથી ભાગી જજો.
તેથી તેઓએ તેમના ભોજન સાથે બેખમીર રોટલી ખાધી.
ત્યારથી બેખમીર રોટલી તેમને તે સમયે યાદ કરાવવા માટે તેમના વાર્ષિક પાસ્ખાપર્વની ઉજવણીમાં વપરાય છે.
- ત્યારથી ક્યારેક ખમીર પાપના એક ચિત્ર તરીકે વપરાય છે, "બેખમીર રોટલી" એક વ્યક્તિના જીવનમાંથી પાપ દૂર થયેલ હોય જે ઈશ્વરને સન્માન આપતી રીતે જીવતી હોય તેને રજૂ કરે છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- આ શબ્દને અનુવાદિત કરવાની અન્ય રીતોમાં " આથા વગરની રોટલી" અથવા "સપાટ રોટલી જે ફૂલતી ન હતી " નો સમાવેશ થઈ શકે છે.
- ખાતરી કરો કે આ શબ્દનો અનુવાદ તમે કેવી રીતે " આથો, ખમીર" શબ્દનો અનુવાદ કરો છો તેની સાથે સુસંગત છે.
- કેટલાક સંદર્ભોમાં, આ શબ્દ "બેખમીર રોટલી" "બેખમીર રોટલીનું પર્વ" નો ઉલ્લેખ કર્યો છે અને તે રીતે ભાષાંતર કરી શકાય.
(આ પણ જુઓ: રોટલી, મિસર, મિજબાની, પાસ્ખા, ગુલામ બનાવવું, પાપ, ખમીર)
બાઇબલ સંદર્ભો
- 1 કોરિંથી 5:6-8
- 2 કાળવૃતાંત 30:13-15
- પ્રેરિતોનાં કૃત્યો 12:3-4
- નિર્ગમન 23:14-15
- એઝરા 6:21-22
- ઉત્પત્તિ 19:1-3
- લેવીય 8:1-3
- ન્યાયાધીશો 6:21
- લૂક 22:1-2
શબ્દ માહિતી:
બેથલેહેમ,એફ્રાથાહ
સત્યો:
બેથલેહેમ ઈઝરાએલની ભૂમિમાં યરૂશાલેમ શહેરની નજીક આવેલું એક નાનું શહેર હતું.
તે “એફ્રાથાહ,” તરીકે પણ જાણીતું હતું કે, જે સંભવત તેનું મૂળ નામ હતું.
- દાઉદ રાજા ત્યાં જન્મ્યો હતો, ત્યારથી બેથલેહેમ “દાઉદના શહેર” તરીકે ઓળખાતું હતું.
- મીખાહ પ્રબોધકે કહ્યું કે મસીહ “બેથલેહેમ એફ્રાથાહ” માંથી આવશે.
- ઘણાં વર્ષો પછી, તે ભવિષ્યવાણી પરિપૂર્ણ થતા, ઈસુ બેથલેહેમમાં જન્મ્યો હતો.
“બેથલેહેમ” શબ્દના નામનો અર્થ, “રોટલીનું ઘર” અથવા “અન્નનું ઘર” થતો હતો.
(આ પણ જુઓ : કાલેબ, દાઉદ, મીખાહ)
બાઈબલની કલમો :
- ઉત્પત્તિ 35:16-20
- યોહાન 7:40-42
- માથ્થી 2:4-6
- માથ્થી 2:16
- રૂથ 1:1-2
- રૂથ 1:19-21
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 17:2 દાઉદ બેથલેહેમ નગરનો ભરવાડ હતો.
- 21:9 યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી કે મસીહ કુંવારીથી જન્મ લેશે.
મીખાહ પ્રબોધકે કહ્યું કે તે બેથલેહેમ નગરમાં જન્મ લેશે.
- 23:4 યુસુફ અને મરિયમને નાઝરેથ કે જ્યાં તેઓ રહેતા હતા ત્યાંથી બેથલેહેમ જવું પડ્યું, કારણકે તેમનો પૂર્વજ દાઉદ હતો કે જેનું વતન બેથલેહેમ હતું.
- 23:6”મસીહ, સ્વામી,બેથલેહેમમાં જન્મ્યો છે.
શબ્દ માહિતી:
- Strong's: H376, H672, H1035, G965
બોઆઝ
સત્યો:
બોઆઝ ઈઝરાએલી માણસ હતો કે જે રૂથનો પતિ, દાઉદ રાજાના વડદાદા, અને ઈસુ ખ્રિસ્તનો પૂર્વજ હતો.
- બોઆઝ જયારે ઈઝરાએલમાં ન્યાયાધીશો હતા તે સમય દરમ્યાન જીવ્યો હતો.
- તે નાઓમી નામની ઈઝરાએલી સ્ત્રીનો સગો હતો કે જેનો પતિ અને પુત્રો મોઆબમાં મરણ પામ્યા પછી તેણી ઈઝરાએલ પાછી ફરી હતી.
- બોઆઝે નાઓમીની વિધવા પુત્રવધૂ રૂથની સાથે લગ્ન કરી તેને છોડાવી અને તેણે તેણીને પતિ અને બાળકો સાથેનું ભવિષ્ય આપ્યું .
- ઈસુએ આપણને કેવી રીતે પાપથી છોડાવ્યા અને બચાવ્યા તેની તે છબી દર્શાવે છે.
(આ પણ જુઓ: મોઆબ, છૂટકારો કરવો, રૂથ)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 2:9-12
- 2 કાળવૃતાંત 3:15-17
- લૂક 3:30-32
- માથ્થી 1:4-6
- રૂથ 2:3-4
શબ્દ માહિતી:
બોજો, ભારરૂપ છે, ભારથી લદાયેલું, બોજારૂપ
વ્યાખ્યા:
બોજો એ ભારે વજનને દર્શાવે છે.
તે શાબ્દિક અર્થ અનુસાર તે શારીરિક ભારને દર્શાવે છે, જેમકે પ્રાણી કામ કરવા માટે જે બોજાને ઉંચકે છે.
“ભાર” શબ્દને ઘણા બધા રૂપકાત્મક અર્થો પણ હોય છે.
- ભાર કોઈ મુશ્કેલ ફરજ, અથવા મહત્વની જવાબદારી કે જે વ્યક્તિ એ કરવાની હોય, તેને દર્શાવી શકે છે.
તેને કહેવા મુજબ તે “ભારે બોજો” “વહન કરી” અથવા “લઇ જઈ” રહ્યો છે.
- ક્રૂર નેતા જે લોકો પર શાસન ચલાવતો હોય તેઓ પર ભારે બોજો મૂકી શકે છે, ઉદાહરણ તરીકે, બળજબરી દ્વારા તે તેઓ પાસે વધુ કરોની ચુકવણી કરાવી શકે છે.
- વ્યક્તિ કે જે કોઈને માટે બોજ બનવા માંગતો નથી, તે બીજી વ્યક્તિને કોઇપણ તકલીફ આપવા માંગતો નથી.
વ્યક્તિ પાપનો દોષ તેના માટે બોજ છે.
“પ્રભુનો બોજો” શબ્દનો અર્થાલંકારિક અર્થ, “ઈશ્વર તરફથી સંદેશ” કે જે પ્રબોધકે ઈશ્વરના લોકોને સુધી અવશ્ય પહોંચાડવાનો હોય, તેને દર્શાવે છે.
- “ભાર” શબ્દનું ભાષાંતર, “જવાબદારી” અથવા “ફરજ” અથવા “ભારે બોજો” અથવા “સંદેશ,” જે તે સંદર્ભ પ્રમાણે કરી શકાય છે.
બાઈબલની કલમો:
- 2 થેસ્સલોનિકી 3:6-9
- ગલાતીઓ 6:1-2
- ગલાતીઓ 6:3-5
- ઉત્પત્તિ 49:14-15
- માથ્થી 11:28-30
- માથ્થી 23:4-5
શબ્દ માહિતી:
- Strong's: H92, H3053, H4614, H4853, H4858, H4864, H4942, H5445, H5447, H5448, H5449, H5450, H6006, G4, G916, G922, G1117, G2347, G2599, G2655, G5413
બોજો, ભારરૂપ છે, ભારથી લદાયેલું, બોજારૂપ
વ્યાખ્યા:
બોજો એ ભારે વજનને દર્શાવે છે.
તે શાબ્દિક અર્થ અનુસાર તે શારીરિક ભારને દર્શાવે છે, જેમકે પ્રાણી કામ કરવા માટે જે બોજાને ઉંચકે છે.
“ભાર” શબ્દને ઘણા બધા રૂપકાત્મક અર્થો પણ હોય છે.
- ભાર કોઈ મુશ્કેલ ફરજ, અથવા મહત્વની જવાબદારી કે જે વ્યક્તિ એ કરવાની હોય, તેને દર્શાવી શકે છે.
તેને કહેવા મુજબ તે “ભારે બોજો” “વહન કરી” અથવા “લઇ જઈ” રહ્યો છે.
- ક્રૂર નેતા જે લોકો પર શાસન ચલાવતો હોય તેઓ પર ભારે બોજો મૂકી શકે છે, ઉદાહરણ તરીકે, બળજબરી દ્વારા તે તેઓ પાસે વધુ કરોની ચુકવણી કરાવી શકે છે.
- વ્યક્તિ કે જે કોઈને માટે બોજ બનવા માંગતો નથી, તે બીજી વ્યક્તિને કોઇપણ તકલીફ આપવા માંગતો નથી.
વ્યક્તિ પાપનો દોષ તેના માટે બોજ છે.
“પ્રભુનો બોજો” શબ્દનો અર્થાલંકારિક અર્થ, “ઈશ્વર તરફથી સંદેશ” કે જે પ્રબોધકે ઈશ્વરના લોકોને સુધી અવશ્ય પહોંચાડવાનો હોય, તેને દર્શાવે છે.
- “ભાર” શબ્દનું ભાષાંતર, “જવાબદારી” અથવા “ફરજ” અથવા “ભારે બોજો” અથવા “સંદેશ,” જે તે સંદર્ભ પ્રમાણે કરી શકાય છે.
બાઈબલની કલમો:
- 2 થેસ્સલોનિકી 3:6-9
- ગલાતીઓ 6:1-2
- ગલાતીઓ 6:3-5
- ઉત્પત્તિ 49:14-15
- માથ્થી 11:28-30
- માથ્થી 23:4-5
શબ્દ માહિતી:
- Strong's: H92, H3053, H4614, H4853, H4858, H4864, H4942, H5445, H5447, H5448, H5449, H5450, H6006, G4, G916, G922, G1117, G2347, G2599, G2655, G5413
બોધ, સલાહ (પ્રોત્સાહન)
વ્યાખ્યા:
“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી.
આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.
- પ્રોત્સાહનનો હેતુ પાપને ટાળવા, અને દેવની ઈચ્છાને અનુસરવા માટે તે બીજા લોકોને સમજાવે છે.
- નવો કરાર ખ્રિસ્તીઓને શીખવે છે કે કઠોરતાથી અથવા તોછડી રીતે નહિ, પણ પ્રેમથી દરેકે એકબીજાને બોધ આપવો.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધારિત, “બોધ” શબ્દનું ભાષાંતર, “સખત રીતે અરજ કરવી” અથવા “સમજાવવું” અથવા “સલાહ આપવી,” આ રીતે પણ કરી શકાય છે.
- ખાતરી કરો કે આ શબ્દનું ભાષાંતર, બોધ આપનાર ગુસ્સે થઇ કહે છે તેવું સૂચિત ન થવું જોઈએ.
શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.
- મુખ્ય સંદર્ભોમાં, “બોધ” શબ્દનું ભાષાંતર, “પ્રોત્સાહિત” કરતા અલગ રીતે થવું જોઈએ,” જેનો અર્થ “પ્રેરણા, ખાતરી, અથવા કોઈને આશ્વાસન આપવું.
- સામાન્ય રીતે આ શબ્દનું ભાષાંતર, “ચેતવણી” શબ્દથી અલગ રીતે પણ થઈ શકે, કેમકે તેનો અર્થ કોઈકને તેના અયોગ્ય વર્તન માટે ચેતવણી અથવા સુધારવા માટે કહેવામાં આવે છે.
બાઈબલની કલમો:
- 1 થેસ્સલોનિકી 2:3-4
- 1 થેસ્સલોનિકી 2:10-12
- 1 તિમોથી 5:1-2
- લૂક 3:18-20
શબ્દ માહિતી:
- Strong's: G3867, G3870, G3874, G4389
બોધ, સલાહ (પ્રોત્સાહન)
વ્યાખ્યા:
“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી.
આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.
- પ્રોત્સાહનનો હેતુ પાપને ટાળવા, અને દેવની ઈચ્છાને અનુસરવા માટે તે બીજા લોકોને સમજાવે છે.
- નવો કરાર ખ્રિસ્તીઓને શીખવે છે કે કઠોરતાથી અથવા તોછડી રીતે નહિ, પણ પ્રેમથી દરેકે એકબીજાને બોધ આપવો.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધારિત, “બોધ” શબ્દનું ભાષાંતર, “સખત રીતે અરજ કરવી” અથવા “સમજાવવું” અથવા “સલાહ આપવી,” આ રીતે પણ કરી શકાય છે.
- ખાતરી કરો કે આ શબ્દનું ભાષાંતર, બોધ આપનાર ગુસ્સે થઇ કહે છે તેવું સૂચિત ન થવું જોઈએ.
શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.
- મુખ્ય સંદર્ભોમાં, “બોધ” શબ્દનું ભાષાંતર, “પ્રોત્સાહિત” કરતા અલગ રીતે થવું જોઈએ,” જેનો અર્થ “પ્રેરણા, ખાતરી, અથવા કોઈને આશ્વાસન આપવું.
- સામાન્ય રીતે આ શબ્દનું ભાષાંતર, “ચેતવણી” શબ્દથી અલગ રીતે પણ થઈ શકે, કેમકે તેનો અર્થ કોઈકને તેના અયોગ્ય વર્તન માટે ચેતવણી અથવા સુધારવા માટે કહેવામાં આવે છે.
બાઈબલની કલમો:
- 1 થેસ્સલોનિકી 2:3-4
- 1 થેસ્સલોનિકી 2:10-12
- 1 તિમોથી 5:1-2
- લૂક 3:18-20
શબ્દ માહિતી:
- Strong's: G3867, G3870, G3874, G4389
બોળ
વ્યાખ્યા:
બોળ એક તેલ અથવા તો તેજાનો છે કે જેને બોળના વૃક્ષના ગુંદરમાંથી બનાવવામાં આવે છે. બોળના વૃક્ષો આફ્રિકા અને એશિયામાં થાય છે.
તે લોબાન સાથે સંબંધિત છે.
- બોળનો ઉપયોગ ધૂપ, અત્તર અને દવાઓ બનાવવામાં અને મૃતદેહોને દફન માટે તૈયાર કરવા પણ કરવામાં આવતો હતો.
- ઈસુ જ્યારે જન્મ્યા ત્યારે જ્ઞાનીપુરુષોએ તેમને જે ભેટો આપી તેમાં બોળ પણ એક હતું.
- જ્યારે ઈસુને વધસ્થંભે જડ્યા હતા ત્યારે તેમની પીડા ઓછી કરવા તેમને બોળમિશ્રિત દ્રાક્ષારસ આપવામાં આવ્યો હતો.
(આ પણ જૂઓ: લોબાન, વિદ્વાન માણસ)
બાઇબલના સંદર્ભો:
- નિર્ગમન 30:22-25
- ઉત્પત્તિ 37:25-26
- યોહાન 11:1-2
- માર્ક 15:22-24
- માથ્થી 2:11-12
શબ્દ માહિતી:
- Strong's: H3910, H4753, G3464, G4666, G4669
બોળ
વ્યાખ્યા:
બોળ એક તેલ અથવા તો તેજાનો છે કે જેને બોળના વૃક્ષના ગુંદરમાંથી બનાવવામાં આવે છે. બોળના વૃક્ષો આફ્રિકા અને એશિયામાં થાય છે.
તે લોબાન સાથે સંબંધિત છે.
- બોળનો ઉપયોગ ધૂપ, અત્તર અને દવાઓ બનાવવામાં અને મૃતદેહોને દફન માટે તૈયાર કરવા પણ કરવામાં આવતો હતો.
- ઈસુ જ્યારે જન્મ્યા ત્યારે જ્ઞાનીપુરુષોએ તેમને જે ભેટો આપી તેમાં બોળ પણ એક હતું.
- જ્યારે ઈસુને વધસ્થંભે જડ્યા હતા ત્યારે તેમની પીડા ઓછી કરવા તેમને બોળમિશ્રિત દ્રાક્ષારસ આપવામાં આવ્યો હતો.
(આ પણ જૂઓ: લોબાન, વિદ્વાન માણસ)
બાઇબલના સંદર્ભો:
- નિર્ગમન 30:22-25
- ઉત્પત્તિ 37:25-26
- યોહાન 11:1-2
- માર્ક 15:22-24
- માથ્થી 2:11-12
શબ્દ માહિતી:
- Strong's: H3910, H4753, G3464, G4666, G4669
ભઠ્ઠી
સત્યો:
ભઠ્ઠી એ ખૂબ જ મોટો ચૂલો હતો કે જેમાં વસ્તુઓને ઊંચા તાપમાને ગરમ કરવા માટે વાપરવામાં આવતો હતો.
- પ્રાચીન સમયમાં, મોટાભાગની ભઠ્ઠીઓ વસ્તુઓ બનાવવા માટેના ધાતુઓને ઓગાળવા વાપરવામાં આવતી હતી, જેવી કે રાંધવાના વાસણો, આભૂષણો, શસ્ત્રો, અને મૂર્તિઓ.
- ભઠ્ઠીઓમાં માટીની કુલડીઓ પણ બનાવવા આવતી હતી.
- રૂપકાત્મક રીતે ક્યારેક ભઠ્ઠીને કંઈક કે જે ખૂબ જ ગરમ છે, તેને દર્શાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
(આ પણ જુઓ: દેવ, પ્રતિમા (મૂર્તિ))
બાઈબલની કલમો:
- 1 રાજા 8:51-53
- ઉત્પત્તિ 19:26-28
- નીતિવચન 17:3-4
- ગીતશાસ્ત્ર 21:9-10
- પ્રકટીકરણ 9:1-2
શબ્દ માહિતી:
- Strong's: H861, H3536, H3564, H5948, H8574, G2575
ભઠ્ઠી
સત્યો:
ભઠ્ઠી એ ખૂબ જ મોટો ચૂલો હતો કે જેમાં વસ્તુઓને ઊંચા તાપમાને ગરમ કરવા માટે વાપરવામાં આવતો હતો.
- પ્રાચીન સમયમાં, મોટાભાગની ભઠ્ઠીઓ વસ્તુઓ બનાવવા માટેના ધાતુઓને ઓગાળવા વાપરવામાં આવતી હતી, જેવી કે રાંધવાના વાસણો, આભૂષણો, શસ્ત્રો, અને મૂર્તિઓ.
- ભઠ્ઠીઓમાં માટીની કુલડીઓ પણ બનાવવા આવતી હતી.
- રૂપકાત્મક રીતે ક્યારેક ભઠ્ઠીને કંઈક કે જે ખૂબ જ ગરમ છે, તેને દર્શાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
(આ પણ જુઓ: દેવ, પ્રતિમા (મૂર્તિ))
બાઈબલની કલમો:
- 1 રાજા 8:51-53
- ઉત્પત્તિ 19:26-28
- નીતિવચન 17:3-4
- ગીતશાસ્ત્ર 21:9-10
- પ્રકટીકરણ 9:1-2
શબ્દ માહિતી:
- Strong's: H861, H3536, H3564, H5948, H8574, G2575
ભરોસો, વિશ્વાસ, વિશ્વસનીય, ભરોસાપાત્ર, વિશ્વસનીયતા
વ્યાખ્યા:
કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે.
એવી માન્યતાને પણ "વિશ્વાસ " કહેવામાં આવે છે.
"વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો, અને તેથી જે વ્યક્તિની પાસે "વિશ્વસનીયતા" નો ગુણ હોય છે.
- ભરોસો વિશ્વાસ સાથે ગાઢ સંબંધ ધરાવે છે
જો આપણે કોઈનો ભરોસો કરીએ છીએ, તો તે વ્યક્તિએ જે વચન આપ્યું છે તે કરશે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ.
- કોઈની પર ભરોસો રાખવો એ તે વ્યક્તિ પર આધાર રાખવો એવો અર્થ થાય છે.
ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ તે ઈશ્વર છે, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હતો અને આપણને બચાવવા તેમના પર આધાર રાખવો એ થાય છે.
- એ "વિશ્વસનીય ઉચ્ચારણ" જેનો અર્થ થાય છે કે જે સાચું છે તે ગણાશે.
અનુવાદ માટેનાં સૂચનો:
- "ભરોસા" નું અનુવાદ કરવાની રીતોમાં "માનવું" અથવા "વિશ્વાસ" અથવા "આત્મવિશ્વાસ" અથવા "પર આધાર રાખવો" શામેલ હોઈ શકે છે.
- " માં તમારો ભરોસો મૂકો" શબ્દસમૂહ " માં વિશ્વાસ છે" ના અર્થમાં ખૂબ સમાન છે.
"વિશ્વસનીય" * શબ્દ તરીકે ભાષાંતર કરી શકાય છે "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."
(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર (વિશ્વાસુ), સાચું)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 9:22-24
- 1 તિમોથી 4:9-10
- હોશિયા 10:12-13
- યશાયાહ 31:1-2
- નહેમ્યા 13:12-14
- ગીતશાસ્ત્ર 31:5-7
- તિતસ 3:8
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 12:12 જ્યારે ઈસ્રાએલીઓએ જોયું કે ઇજિપ્તવાસીઓ મૃત્યુ પામ્યા હતા,ત્યારે તેઓએ__ ઈશ્વરમાં વિશ્વાસ કર્યો હતો અને માનતા થયા કે મુસા ઈશ્વરનો પ્રબોધક હતો.
- 14:15 યહોશુઆ એક સારા નેતા હતા કારણ કે તે વિશ્વાસ કર્યો અને ઈશ્વરને આધીન થયા હતા.
- 17:2 દાઉદ એક નમ્ર અને પ્રામાણિક માણસ હતો જેણે વિશ્વાસ કર્યો અને ઈશ્વરને આધીન થયો હતો.
- 34:6 પછી ઈસુએ એવા લોકો વિશેની એક વાર્તા કહી કે જેઓ તેમના સારા કાર્યોમાં માનતા હતા અને અન્ય લોકોને તિરસ્કારતા હતા.
શબ્દ માહિતી:
- Strong's: H539, H982, H1556, H2620, H2622, H3176, H4009, H4268, H7365, G1679, G3872, G3982, G4006, G4100, G4276
ભરોસો, વિશ્વાસ, વિશ્વસનીય, ભરોસાપાત્ર, વિશ્વસનીયતા
વ્યાખ્યા:
કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે.
એવી માન્યતાને પણ "વિશ્વાસ " કહેવામાં આવે છે.
"વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો, અને તેથી જે વ્યક્તિની પાસે "વિશ્વસનીયતા" નો ગુણ હોય છે.
- ભરોસો વિશ્વાસ સાથે ગાઢ સંબંધ ધરાવે છે
જો આપણે કોઈનો ભરોસો કરીએ છીએ, તો તે વ્યક્તિએ જે વચન આપ્યું છે તે કરશે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ.
- કોઈની પર ભરોસો રાખવો એ તે વ્યક્તિ પર આધાર રાખવો એવો અર્થ થાય છે.
ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ તે ઈશ્વર છે, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હતો અને આપણને બચાવવા તેમના પર આધાર રાખવો એ થાય છે.
- એ "વિશ્વસનીય ઉચ્ચારણ" જેનો અર્થ થાય છે કે જે સાચું છે તે ગણાશે.
અનુવાદ માટેનાં સૂચનો:
- "ભરોસા" નું અનુવાદ કરવાની રીતોમાં "માનવું" અથવા "વિશ્વાસ" અથવા "આત્મવિશ્વાસ" અથવા "પર આધાર રાખવો" શામેલ હોઈ શકે છે.
- " માં તમારો ભરોસો મૂકો" શબ્દસમૂહ " માં વિશ્વાસ છે" ના અર્થમાં ખૂબ સમાન છે.
"વિશ્વસનીય" * શબ્દ તરીકે ભાષાંતર કરી શકાય છે "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."
(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર (વિશ્વાસુ), સાચું)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 9:22-24
- 1 તિમોથી 4:9-10
- હોશિયા 10:12-13
- યશાયાહ 31:1-2
- નહેમ્યા 13:12-14
- ગીતશાસ્ત્ર 31:5-7
- તિતસ 3:8
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 12:12 જ્યારે ઈસ્રાએલીઓએ જોયું કે ઇજિપ્તવાસીઓ મૃત્યુ પામ્યા હતા,ત્યારે તેઓએ__ ઈશ્વરમાં વિશ્વાસ કર્યો હતો અને માનતા થયા કે મુસા ઈશ્વરનો પ્રબોધક હતો.
- 14:15 યહોશુઆ એક સારા નેતા હતા કારણ કે તે વિશ્વાસ કર્યો અને ઈશ્વરને આધીન થયા હતા.
- 17:2 દાઉદ એક નમ્ર અને પ્રામાણિક માણસ હતો જેણે વિશ્વાસ કર્યો અને ઈશ્વરને આધીન થયો હતો.
- 34:6 પછી ઈસુએ એવા લોકો વિશેની એક વાર્તા કહી કે જેઓ તેમના સારા કાર્યોમાં માનતા હતા અને અન્ય લોકોને તિરસ્કારતા હતા.
શબ્દ માહિતી:
- Strong's: H539, H982, H1556, H2620, H2622, H3176, H4009, H4268, H7365, G1679, G3872, G3982, G4006, G4100, G4276
ભાઈ, ભાઈઓ
વ્યાખ્યા:
“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.
- જૂના કરારમાં, “ભાઈઓ” શબ્દ, સામાન્ય સંદર્ભમાં સબંધીઓ, જેમકે સમાન કુળના સભ્યો, ગોત્ર, અથવા લોકોનું જૂથ તરીકે વપરાયો છે.
- નવા કરારમાં, પ્રેરિતો મોટે ભાગે “ભાઈઓ” શબ્દ, ખ્રિસ્તી સાથીઓ, પુરુષો અને સ્ત્રીઓ (બન્ને સહિત), કારણકે બધા વિશ્વાસીઓ ખ્રિસ્તમાં એક આત્મિક કુટુંબના સભ્યો હોઈ, ઈશ્વર તેઓના સ્વર્ગીય પિતા છે.
- નવા કરારમાં કોઈક વાર, પ્રેરિતોએ “બહેન” શબ્દ પણ વાપર્યો છે, ખાસ કરીને કે જયારે ખ્રિસ્તી સાથી તે સ્ત્રી હતી, અથવા તે દર્શાવે છે કે પુરુષો અને સ્ત્રીઓ બન્નેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.
ભાષાંતરના સુચનો:
લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.
- જૂના કરારમાં જયારે “ભાઈઓને” સામાન્ય રીતે દર્શાવવા માટે, જેમાં વિશેષ કરીને, એક જ કુટુંબના સભ્યો, ગોત્ર, અથવા જન જૂથ માટે આ શબ્દ વપરાયો હોય ત્યારે તેનું સંભવિત ભાષાંતર “સબંધીઓ” અથવા “કુળના સભ્યો” અથવા “સાથી ઈઝરાએલી” થઇ શકે છે.
- ખ્રિસ્તમાં સાથી વિશ્વાસીના સંદર્ભના જયારે આ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે આ શબ્દનું ભાષાંતર “ખ્રિસ્તમાં ભાઈ” અથવા “આત્મિક ભાઈ” એમ કરી શકાય છે.
- જો પુરુષો અને સ્ત્રીઓ બન્નેને “ભાઈ” તરીકે ઉલ્લેખવામાં આવે તો તે ખોટો અર્થ આપે શકે છે, તે સંદર્ભમાં સગપણને લગતો કોઈ સામાન્ય શબ્દનો ઉપયોગ કરવો કે જેમાં પુરુષો અને સ્ત્રીઓનો બંનેનો સમાવેશ કરી શકાય.
- બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરીએ તો પુરુષ અને સ્ત્રી વિશ્વાસીઓ માટે “વિશ્વાસુ સાથી” અથવા “ખ્રિસ્તી ભાઈઓ અને બહેનો” શબ્દ વાપરી શકાય.
- સંદર્ભ પ્રમાણે ધ્યાનથી તપાસ કરીને નિર્ણય કરવો કે, શું ફક્ત પુરુષને દર્શાવવામાં આવ્યો છે, અથવા શું તેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 7:26-28
- ઉત્પત્તિ 29:9-10
- લેવીય 19:17-18
- નહેમ્યા 3:1-2
- ફિલિપ્પી 4:21-23
- પ્રકટીકરણ 1:9-11
શબ્દ માહિતી:
- Strong's: H251, H252, H264, H1730, H2992, H2993, H2994, H7453, G80, G81, G2385, G2455, G2500, G4613, G5360, G5569
ભાઈ, ભાઈઓ
વ્યાખ્યા:
“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.
- જૂના કરારમાં, “ભાઈઓ” શબ્દ, સામાન્ય સંદર્ભમાં સબંધીઓ, જેમકે સમાન કુળના સભ્યો, ગોત્ર, અથવા લોકોનું જૂથ તરીકે વપરાયો છે.
- નવા કરારમાં, પ્રેરિતો મોટે ભાગે “ભાઈઓ” શબ્દ, ખ્રિસ્તી સાથીઓ, પુરુષો અને સ્ત્રીઓ (બન્ને સહિત), કારણકે બધા વિશ્વાસીઓ ખ્રિસ્તમાં એક આત્મિક કુટુંબના સભ્યો હોઈ, ઈશ્વર તેઓના સ્વર્ગીય પિતા છે.
- નવા કરારમાં કોઈક વાર, પ્રેરિતોએ “બહેન” શબ્દ પણ વાપર્યો છે, ખાસ કરીને કે જયારે ખ્રિસ્તી સાથી તે સ્ત્રી હતી, અથવા તે દર્શાવે છે કે પુરુષો અને સ્ત્રીઓ બન્નેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.
ભાષાંતરના સુચનો:
લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.
- જૂના કરારમાં જયારે “ભાઈઓને” સામાન્ય રીતે દર્શાવવા માટે, જેમાં વિશેષ કરીને, એક જ કુટુંબના સભ્યો, ગોત્ર, અથવા જન જૂથ માટે આ શબ્દ વપરાયો હોય ત્યારે તેનું સંભવિત ભાષાંતર “સબંધીઓ” અથવા “કુળના સભ્યો” અથવા “સાથી ઈઝરાએલી” થઇ શકે છે.
- ખ્રિસ્તમાં સાથી વિશ્વાસીના સંદર્ભના જયારે આ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે આ શબ્દનું ભાષાંતર “ખ્રિસ્તમાં ભાઈ” અથવા “આત્મિક ભાઈ” એમ કરી શકાય છે.
- જો પુરુષો અને સ્ત્રીઓ બન્નેને “ભાઈ” તરીકે ઉલ્લેખવામાં આવે તો તે ખોટો અર્થ આપે શકે છે, તે સંદર્ભમાં સગપણને લગતો કોઈ સામાન્ય શબ્દનો ઉપયોગ કરવો કે જેમાં પુરુષો અને સ્ત્રીઓનો બંનેનો સમાવેશ કરી શકાય.
- બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરીએ તો પુરુષ અને સ્ત્રી વિશ્વાસીઓ માટે “વિશ્વાસુ સાથી” અથવા “ખ્રિસ્તી ભાઈઓ અને બહેનો” શબ્દ વાપરી શકાય.
- સંદર્ભ પ્રમાણે ધ્યાનથી તપાસ કરીને નિર્ણય કરવો કે, શું ફક્ત પુરુષને દર્શાવવામાં આવ્યો છે, અથવા શું તેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 7:26-28
- ઉત્પત્તિ 29:9-10
- લેવીય 19:17-18
- નહેમ્યા 3:1-2
- ફિલિપ્પી 4:21-23
- પ્રકટીકરણ 1:9-11
શબ્દ માહિતી:
- Strong's: H251, H252, H264, H1730, H2992, H2993, H2994, H7453, G80, G81, G2385, G2455, G2500, G4613, G5360, G5569
ભૂંડ, ભૂંડો, ડુક્કરનું માંસ, ભૂંડણ
વ્યાખ્યા:
ભૂંડ એ ચાર પગવાળું, ખરીવાળું પ્રાણી છે કે જે માંસ માટે પાળવમાં આવે છે.
તેનું માંસ “ડુક્કરનું માંસ” (અંગ્રેજીમાં “પોર્ક”) કહેવામાં આવે છે.
ભૂંડો તથા તેમના સંબંધિત પ્રાણીઓ માટે “ભૂંડણ” એ સામાન્ય શબ્દ છે.
- ઈશ્વરે ઇઝરાયલીઓને ભૂંડનું માંસ ન ખાવા અને તેને અશુદ્ધ ગણવા જણાવ્યું.
યહૂદીઓ આજે પણ ભૂંડને અશુદ્ધ ગણે છે અને તેનું માંસ ખાતા નથી.
- ભૂંડોને તેમના માંસ માટે લોકોને વેચવા ખેતરોમાં પાળવામાં આવે છે.
- એક એવા પ્રકારનું ભૂંડ હોય છે કે જેને ખેતરમાં પાળવામાં આવતું નથી પણ તે જંગલમાં રહે છે કે જેને “જંગલી સૂવર” કહેવામા આવે છે.
જંગલી સૂવરોને મોટો અણીદાર દાંત હોય છે અને તેઓને ખૂબ જ ભયાનક પ્રાણી માનવામાં આવે છે.
- કેટલીક વાર મોટા ભૂંડોનો ઉલ્લેખ “ડુક્કરો” તરીકે કરવામાં આવે છે.
(આ પણ જૂઓ: કેવી રીતે અજ્ઞાત બાબતોનો અનુવાદ કરવો
(આ પણ જૂઓ: શુદ્ધ)
બાઇબલના સંદર્ભો:
- 2 પિતર 2:20-22
- માર્ક 5:11-13
- માથ્થી 7:6
- માથ્થી 8:30-32
શબ્દ માહિતી:
ભૂત, દુષ્ટ આત્મા, અશુદ્ધ આત્મા
વ્યાખ્યા:
આ બધાંજ શબ્દો તે ભૂતોને દર્શાવે છે, કે જેઓના આત્મા અસ્તિત્વ ધરાવે છે, તેઓ દેવની ઈચ્છાનો વિરોધ કરે છે.
દેવે દૂતોને તેની સેવા કરવા માટે બનાવ્યા.
જયારે શેતાને દેવની વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે કેટલાક દૂતોએ પણ બળવો કર્યો અને તેઓને સ્વર્ગમાંથી બહાર ફેકવામાં આવ્યા હતા.
એવું માનવામાં આવે છે આ “પતિત થયેલા દૂતો,” ભૂતો અને દુષ્ટ આત્માઓ છે.
- ક્યારેક આ ભૂતોને “અશુદ્ધ આત્માઓ” કહેવામાં આવ્યા છે.
“અશુદ્ધ” શબ્દનો અર્થ “ભૂંડો” અથવા “દુષ્ટ” અથવા “અપવિત્ર” છે
- કારણકે ભૂતો શેતાનની સેવા કરે છે, અને તેઓ દુષ્ટ વસ્તુઓ કરે છે.
ક્યારેક તેઓ લોકોની અંદર રહે છે અને તેઓનું નિયંત્રણ કરે છે.
- ભૂતો માનવજાત કરતા વધારે શક્તિશાળી હોય છે, પણ દેવ જેટલા શક્તિશાળી હોતા નથી.
ભાષાંતરના સૂચનો:
- “ભૂત” શબ્દનું ભાષાંતર, “દુષ્ટ આત્મા” થઇ શકે છે.
- “અશુદ્ધ આત્મા” શબ્દનું ભાષાંતર, “ભૂંડો આત્મા” અથવા “ભ્રષ્ટ આત્મા” અથવા “દુષ્ટ આત્મા” તરીકે પણ કરી શકાય છે.
- આ શબ્દ અથવા શબ્દસમૂહ જે આ શબ્દના ભાષાંતરમાં વપરાય છે તે શેતાન માટે વપરાયેલા શબ્દથી અલગ છે, તેનું ધ્યાન રાખો.
- તે પણ ધ્યાનમાં રાખો કે “ભૂત” શબ્દનું સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં ભાષાંતર કેવી રીતે થયું છે.
(આ પણ જુઓ : ભૂત વળગેલાઓ, શેતાન, દેવ, દેવ, દેવદૂત, દુષ્ટ, શુદ્ધ)
બાઈબલની કલમો:
- યાકૂબ 2:18-20
- યાકૂબ 3:15-18
- લૂક 4:35-37
- માર્ક 3:20-22
- માથ્થી 4:23-25
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 26:9 ઘણા લોકો કે જેઓને ભૂતો વળગેલા હતા તેઓને ઈસુ પાસે લાવ્યાં. યારે ઈસુએ તેઓને આજ્ઞા આપી, ત્યારે ભૂતો લોકોમાંથી બહાર નીકળી ગયા, અને ઘણીવાર બૂમો પાડી કે, “તું દેવનો દીકરો છે!”
- 32:8 ભૂતો માણસમાંથી બહાર આવ્યા અને ભૂંડોમાં પેઠા.
- 47:5 છેવટે એક દિવસ ગુલામ છોકરીએ ચીસ પાડી, ત્યારે પાઉલે તેણીની તરફ ફરી અને ભૂત કે જે તેણીમાં હતું તેને કહ્યુ કે, “ઈસુના નામમાં, તેણીમાંથી બહાર નીકળ.” તરત જ ભૂત તેણીને મૂકી ચાલ્યું ગયું.
- 49:2 તે (ઈસુ) પાણી ઉપર ચાલ્યો, તોફાનને શાંત પાડ્યું, ઘણા બીમાર લોકોને સાજા કર્યા, ભૂતોને બહાર હાંકી કાઢ્યા, મરેલાને સજીવન કર્યા, અને પાંચ રોટલીઓ અને બે નાની માછલીને 5000 લોકો માટે ખોરાકમાં ફેરવી નાંખી.
શબ્દ માહિતી:
- Strong's: H2932, H7307, H7451, H7700, G169, G1139, G1140, G1141, G1142, G4190, G4151, G4152, G4189
ભૂત, દુષ્ટ આત્મા, અશુદ્ધ આત્મા
વ્યાખ્યા:
આ બધાંજ શબ્દો તે ભૂતોને દર્શાવે છે, કે જેઓના આત્મા અસ્તિત્વ ધરાવે છે, તેઓ દેવની ઈચ્છાનો વિરોધ કરે છે.
દેવે દૂતોને તેની સેવા કરવા માટે બનાવ્યા.
જયારે શેતાને દેવની વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે કેટલાક દૂતોએ પણ બળવો કર્યો અને તેઓને સ્વર્ગમાંથી બહાર ફેકવામાં આવ્યા હતા.
એવું માનવામાં આવે છે આ “પતિત થયેલા દૂતો,” ભૂતો અને દુષ્ટ આત્માઓ છે.
- ક્યારેક આ ભૂતોને “અશુદ્ધ આત્માઓ” કહેવામાં આવ્યા છે.
“અશુદ્ધ” શબ્દનો અર્થ “ભૂંડો” અથવા “દુષ્ટ” અથવા “અપવિત્ર” છે
- કારણકે ભૂતો શેતાનની સેવા કરે છે, અને તેઓ દુષ્ટ વસ્તુઓ કરે છે.
ક્યારેક તેઓ લોકોની અંદર રહે છે અને તેઓનું નિયંત્રણ કરે છે.
- ભૂતો માનવજાત કરતા વધારે શક્તિશાળી હોય છે, પણ દેવ જેટલા શક્તિશાળી હોતા નથી.
ભાષાંતરના સૂચનો:
- “ભૂત” શબ્દનું ભાષાંતર, “દુષ્ટ આત્મા” થઇ શકે છે.
- “અશુદ્ધ આત્મા” શબ્દનું ભાષાંતર, “ભૂંડો આત્મા” અથવા “ભ્રષ્ટ આત્મા” અથવા “દુષ્ટ આત્મા” તરીકે પણ કરી શકાય છે.
- આ શબ્દ અથવા શબ્દસમૂહ જે આ શબ્દના ભાષાંતરમાં વપરાય છે તે શેતાન માટે વપરાયેલા શબ્દથી અલગ છે, તેનું ધ્યાન રાખો.
- તે પણ ધ્યાનમાં રાખો કે “ભૂત” શબ્દનું સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં ભાષાંતર કેવી રીતે થયું છે.
(આ પણ જુઓ : ભૂત વળગેલાઓ, શેતાન, દેવ, દેવ, દેવદૂત, દુષ્ટ, શુદ્ધ)
બાઈબલની કલમો:
- યાકૂબ 2:18-20
- યાકૂબ 3:15-18
- લૂક 4:35-37
- માર્ક 3:20-22
- માથ્થી 4:23-25
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 26:9 ઘણા લોકો કે જેઓને ભૂતો વળગેલા હતા તેઓને ઈસુ પાસે લાવ્યાં. યારે ઈસુએ તેઓને આજ્ઞા આપી, ત્યારે ભૂતો લોકોમાંથી બહાર નીકળી ગયા, અને ઘણીવાર બૂમો પાડી કે, “તું દેવનો દીકરો છે!”
- 32:8 ભૂતો માણસમાંથી બહાર આવ્યા અને ભૂંડોમાં પેઠા.
- 47:5 છેવટે એક દિવસ ગુલામ છોકરીએ ચીસ પાડી, ત્યારે પાઉલે તેણીની તરફ ફરી અને ભૂત કે જે તેણીમાં હતું તેને કહ્યુ કે, “ઈસુના નામમાં, તેણીમાંથી બહાર નીકળ.” તરત જ ભૂત તેણીને મૂકી ચાલ્યું ગયું.
- 49:2 તે (ઈસુ) પાણી ઉપર ચાલ્યો, તોફાનને શાંત પાડ્યું, ઘણા બીમાર લોકોને સાજા કર્યા, ભૂતોને બહાર હાંકી કાઢ્યા, મરેલાને સજીવન કર્યા, અને પાંચ રોટલીઓ અને બે નાની માછલીને 5000 લોકો માટે ખોરાકમાં ફેરવી નાંખી.
શબ્દ માહિતી:
- Strong's: H2932, H7307, H7451, H7700, G169, G1139, G1140, G1141, G1142, G4190, G4151, G4152, G4189
ભૂસું
વ્યાખ્યા:
ભૂસું એ અનાજના દાણાનું સુકું રક્ષણાત્મક આવરણ છે.
ભૂસું એ ખોરાક માટે સારું નથી, જેથી લોકો તેને અનાજના દાણામાંથી જુદું કરીને તેને દૂર ફેંકી દે છે.
- મોટેભાગે, અનાજના કણસલાંને હવામાં ઉછાળીને ભૂસાથી અલગ કરવામાં આવે છે.
હવા ભૂસાને દૂર ખેંચી લઇ જાય છે, અને દાણા જમીન ઉપર પડે છે.
આ પ્રક્રિયાને “ઊપણવું” કહેવામાં આવે છે.
- બાઈબલમાં આ શબ્દ રૂપકાત્મક રીતે દુષ્ટ લોકો અને, નકામી વસ્તુઓ માટે પણ વાપરવામાં આવ્યો છે.
(આ પણ જુઓ: અનાજ, ઘઉં, ઊપણવું)
બાઈબલની કલમો:
- દાનિએલ 2:34-35
- અયૂબ 21:16-18
- લૂક 3:17
- માથ્થી 3:10-12
શબ્દ માહિતી:
- Strong's: H2842, H4671, H5784, H8401, G892
ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું
વ્યાખ્યા:
કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.
- ભ્રષ્ટ વ્યક્તિ એ છે કે જે અપવિત્ર અને ઈશ્વરનું અપમાન કરતી રીતે કાર્ય કરે છે.
- “ભ્રષ્ટ કરવું” ક્રિયાપદનો અનુવાદ “કોઈ બાબત સાથે તે અપવિત્ર હોય તે રીતે વ્યવહાર કરવો” અથવા તો “કોઈ બાબત પ્રત્યે અનાદર દેખાડવો” અથવા તો “અપમાન” તરીકે કરી શકાય.
- ઈશ્વરે ઇઝરાયલી લોકોને કહ્યું કે તેઓએ પોતાને મૂર્તિઓ દ્વારા “ભ્રષ્ટ” કર્યા હતા, જેનો અર્થ એ થતો હતો કે તે પાપ દ્વારા લોકો પોતાને “અશુદ્ધ” કે “અપમાનિત” કરતા હતા.
તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.
- સંદર્ભ અનુસાર, “ભ્રષ્ટ” વિશેષણનો અનુવાદ “અપમાનકારક” અથવા તો “ઈશ્વરરહિત” અથવા તો “અપવિત્ર” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)
બાઇબલના સંદર્ભો:
- 2 તિમોથી 2:16-18
- હઝકિયેલ 20:8-9
- માલાખી 1:10-12
- માથ્થી 12:5-6
- ગણના 18:30-32
શબ્દ માહિતી:
- Strong's: H2455, H2490, H2491, H2610, H2613, H5234, H8610, G952, G953
ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું
વ્યાખ્યા:
કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.
- ભ્રષ્ટ વ્યક્તિ એ છે કે જે અપવિત્ર અને ઈશ્વરનું અપમાન કરતી રીતે કાર્ય કરે છે.
- “ભ્રષ્ટ કરવું” ક્રિયાપદનો અનુવાદ “કોઈ બાબત સાથે તે અપવિત્ર હોય તે રીતે વ્યવહાર કરવો” અથવા તો “કોઈ બાબત પ્રત્યે અનાદર દેખાડવો” અથવા તો “અપમાન” તરીકે કરી શકાય.
- ઈશ્વરે ઇઝરાયલી લોકોને કહ્યું કે તેઓએ પોતાને મૂર્તિઓ દ્વારા “ભ્રષ્ટ” કર્યા હતા, જેનો અર્થ એ થતો હતો કે તે પાપ દ્વારા લોકો પોતાને “અશુદ્ધ” કે “અપમાનિત” કરતા હતા.
તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.
- સંદર્ભ અનુસાર, “ભ્રષ્ટ” વિશેષણનો અનુવાદ “અપમાનકારક” અથવા તો “ઈશ્વરરહિત” અથવા તો “અપવિત્ર” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)
બાઇબલના સંદર્ભો:
- 2 તિમોથી 2:16-18
- હઝકિયેલ 20:8-9
- માલાખી 1:10-12
- માથ્થી 12:5-6
- ગણના 18:30-32
શબ્દ માહિતી:
- Strong's: H2455, H2490, H2491, H2610, H2613, H5234, H8610, G952, G953
ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું
વ્યાખ્યા:
“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.
- “ભ્રષ્ટ” શબ્દનો વાસ્તવિક અર્થ, નૈતિક રીતે “વાકું હોવું” અથવા “ભાગેલું” થાય છે.
- વ્યક્તિ કે જે ભ્રષ્ટ છે તે સત્યથી દૂર ગયેલો અને તે અપ્રમાણિક અથવા અનૈતિક વસ્તુઓ કરતો હોય છે.
- કોઈને ભ્રષ્ટ કરવું તેનો અર્થ કે, તે વ્યક્તિને અપ્રમાણિક અને અનૈતિક વસ્તુઓ કરવા પ્રભાવિત કરવું.
ભાષાંતરના સૂચનો:
- “ભ્રષ્ટ” શબ્દનું ભાષાંતર, “દુષ્ટતા કરવા પ્રભાવિત કરવું” અથવા “અનૈતિક બનાવવા પ્રેરવું” તરીકે કરી શકાય.
- ભ્રષ્ટ વ્યક્તિનું વર્ણન એવી વ્યક્તિ તરીકે કરી શકાય કે “જે અનૈતિક બનેલી છે” અથવા “જે દુષ્ટ વ્યવહારો કરે છે.”
- આ શબ્દનું ભાષાંતર, “ખરાબ” અથવા “અનૈતિક” અથવા “દુષ્ટ” તરીકે પણ કરી શકાય.
- “ભ્રષ્ટાચાર” શબ્દનું ભાષાંતર, “દુષ્ટનો વ્યવહાર” અથવા “દુષ્ટ” અથવા “અનૈતિકતા” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: દુષ્ટ)
બાઈબલની કલમો:
- હઝકિયેલ 20:42-44
- ગલાતી 6:6-8
- ઉત્પત્તિ 6:11-12
- માથ્થી 12:33-35
- ગીતશાસ્ત્ર 14:1
શબ્દ માહિતી:
- Strong's: H1097, H1605, H2254, H2610, H4167, H4743, H4889, H4893, H7843, H7844, H7845, G853, G861, G862, G1311, G1312, G2585, G2704, G4550, G4595, G5349, G5351, G5356
ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું
વ્યાખ્યા:
“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.
- “ભ્રષ્ટ” શબ્દનો વાસ્તવિક અર્થ, નૈતિક રીતે “વાકું હોવું” અથવા “ભાગેલું” થાય છે.
- વ્યક્તિ કે જે ભ્રષ્ટ છે તે સત્યથી દૂર ગયેલો અને તે અપ્રમાણિક અથવા અનૈતિક વસ્તુઓ કરતો હોય છે.
- કોઈને ભ્રષ્ટ કરવું તેનો અર્થ કે, તે વ્યક્તિને અપ્રમાણિક અને અનૈતિક વસ્તુઓ કરવા પ્રભાવિત કરવું.
ભાષાંતરના સૂચનો:
- “ભ્રષ્ટ” શબ્દનું ભાષાંતર, “દુષ્ટતા કરવા પ્રભાવિત કરવું” અથવા “અનૈતિક બનાવવા પ્રેરવું” તરીકે કરી શકાય.
- ભ્રષ્ટ વ્યક્તિનું વર્ણન એવી વ્યક્તિ તરીકે કરી શકાય કે “જે અનૈતિક બનેલી છે” અથવા “જે દુષ્ટ વ્યવહારો કરે છે.”
- આ શબ્દનું ભાષાંતર, “ખરાબ” અથવા “અનૈતિક” અથવા “દુષ્ટ” તરીકે પણ કરી શકાય.
- “ભ્રષ્ટાચાર” શબ્દનું ભાષાંતર, “દુષ્ટનો વ્યવહાર” અથવા “દુષ્ટ” અથવા “અનૈતિકતા” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: દુષ્ટ)
બાઈબલની કલમો:
- હઝકિયેલ 20:42-44
- ગલાતી 6:6-8
- ઉત્પત્તિ 6:11-12
- માથ્થી 12:33-35
- ગીતશાસ્ત્ર 14:1
શબ્દ માહિતી:
- Strong's: H1097, H1605, H2254, H2610, H4167, H4743, H4889, H4893, H7843, H7844, H7845, G853, G861, G862, G1311, G1312, G2585, G2704, G4550, G4595, G5349, G5351, G5356
મંડળી, મંડળીઓ, વૈશ્વિક મંડળી
વ્યાખ્યા:
નવાકરારમાં, “મંડળી” શબ્દ, ઈસુમાં વિશ્વાસીઓનું સ્થાનિક જૂથ કે જેઓ નિયમિત રીતે એક સાથે મળી પ્રાર્થના અને દેવના વચનોનો પ્રચાર સાંભળતા હતા તેમને દર્શાવે છે. મોટેભાગે “મંડળી” (વૈશ્વિક મંડળી) શબ્દ બધા ખ્રિસ્તીઓને દર્શાવે છે.
- તેનો શબ્દનો શાબ્દિક અર્થ, “બોલાવવામાં આવેલી,” જે લોકોની સભા અથવા મંડળી છે, કે જેઓ વિશેષ હેતુ માટે સાથે મળતા હોય તેને દર્શાવે છે.
- જયારે આ શબ્દ બધા વિશ્વાસીઓ માટે વાપરવામાં આવે છે, ત્યારે તે ખ્રિસ્તના પુરા શરીરની સર્વત્ર મંડળીને દર્શાવે છે, અમુક ભાષાંતર “મંડળી” (વૈશ્વિક મંડળી) દર્શાવવા માટે અંગ્રેજીમાં વિશેષ જોડણી વાપરે છે (ચર્ચ માટે કેપીટલ સી), જેથી સ્થાનિક મંડળી અલગ દેખાઈ આવે.
મોટેભાગે વિશ્વાસીઓ ખાસ શહેરમાં કોઈકના ઘરમાં એક સાથે મળતાં હતા.
આ શહેરોની સ્થાનિક મંડળીઓને જેમકે “એફેસસ ની મંડળી” એવું નામ આપવામાં આવતું હતું.
બાઈબલમાં, “મંડળી” તે મકાનને દર્શાવાતું નથી.
ભાષાંતરના સૂચનો:
- “મંડળી” શબ્દનું ભાષાંતર, “એક સાથે ભેગા થવું” અથવા “સભા” અથવા “મંડળ” અથવા “જેઓ એક સાથે ભેગા થાય” તરીકે કરી શકાય છે.
- આ શબ્દ અથવા શબ્દસમૂહ કે જે ભાષાંતરમાં વપરાયો છે, તે શબ્દ ફક્ત નાના જૂથ ને જ નહીં, પણ બધા વિશ્વાસીને દર્શાવતો હોવો જોઈએ.
- ધ્યાનમાં રાખો કે “મંડળી શબ્દનું ભાષાંતર ફક્ત મકાનને દર્શાવતું નથી.
- જૂના કરારમાં “સભા” માટે જે શબ્દ વપરાયો છે તે જ શબ્દનો ઉપયોગ કરી ભાષાંતર કરી શકાય છે.
એ પણ ધ્યાનમાં રાખો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય બાઈબલ ભાષાંતરમાં તેનું ભાષાંતર કેવી રીતે થયું છે.
(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું.)
(આ પણ જુઓ: સભા, વિશ્વાસ રાખવો, ખ્રિસ્તી)
બાઈબલની કલમો:
- 1 કરિંથીઓ 5:11-13
- 1 થેસ્સલોનિકીઓ 2:14-16
- 1 તિમોથી 3:4-5
- પ્રેરિતો 9:31-32
- પ્રેરિતો 14:23-26
- પ્રેરિતો 15:39-41
- કલોસ્સીઓ 4:15-17
- એફેસી 5:22-24
- માથ્થી 16:17-18
- ફિલિપ્પી 4:14-17
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 43:12 પિતરે જે કહ્યું સાંભળીને લગભગ 3000 લોકોએ વિશ્વાસ કર્યો અને ઈસુના શિષ્યો બન્યા. તેઓએ બાપ્તિસ્મા લીધું અને યરૂશાલેમની મંડળી ના એક ભાગરૂપ બન્યા.
- 46:9 અંત્યોખમાંના મોટાભાગના લોકો યહૂદી નહોતા, પણ પ્રથમવાર તેઓમાંના ઘણા વિશ્વાસીઓ બન્યા. બર્નાબાસ અને શાઉલ આ નવા વિશ્વાસીઓને ઈસુ વિશે વધારે શીખવવા અને મંડળી ને મજબૂત કરવા ત્યાં ગયા.
- 46:10 જેથી અંત્યોખની મંડળી એ બર્નાબાસ અને શાઉલ પર તેઓના હાથો મૂકીને તેઓ માટે પાર્થના કરી. પછી તેઓએ તેઓને ઈસુની સુવાર્તાનો પ્રચાર કરવા બીજા અન્ય સ્થળોએ મોકલ્યા.
- 47:13 ઈસુની સુવાર્તા પ્રસરતી ગઈ અને મંડળી વધતી ગઈ.
- 50:1 લગભગ 2000 વર્ષોથી, જગતની આસપાસના લોકો ઈસુ મસિહની સુવાર્તા સાંભળવા આવ્યા છે. તે રીતે મંડળી વૃદ્ધિ પામી રહી છે.
શબ્દ માહિતી:
મંદિર
તથ્યો:
મંદિર દિવાલોથી ઘેરાયેલ આંગણાવાળું એક મકાન હતું, જ્યાં ઈસ્રાએલીઓ ઈશ્વરને પ્રાર્થના કરવા અને બલિદાન અર્પણ કરવા માટે આવ્યા.
તે યરૂશાલેમ શહેરમાં મોરીયા પર્વત પર આવેલું હતું.
- મોટેભાગે "મંદિર" શબ્દ સમગ્ર મકાન સંકુલને ઓળખવામાં આવે છે, જેમાં મુખ્ય મકાનની આસપાસની આંગણાઓનો સમાવેશ થાય છે.
કેટલીકવાર તે મકાનને જ ઓળખવામાં આવે છે.
- મંદિરના મકાનમાં બે ઓરડા હતા, પવિત્રસ્થાન અને પરમ પવિત્રસ્થાન હતું.
- ઈશ્વર મંદિરને તેમના નિવાસસ્થાન તરીકે ઓળખાવે છે.
- સુલેમાન રાજાએ તેમના રાજયકાળ દરમ્યાન મંદિર બાંધ્યું.
યરૂશાલેમમાં પૂજા માટેની કાયમી જગ્યા હોવાનું માનવામાં આવે છે
- નવા કરારમાં, "પવિત્ર આત્માનું મંદિર" શબ્દનો ઉપયોગ ઈસુના વિશ્વાસીઓના એક જૂથ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણ કે પવિત્ર આત્મા તેમનામાં રહે છે.
અનુવાદ માટેના સૂચનો:
- સામાન્ય રીતે જ્યારે લખાણમાં જણાવે છે કે લોકો "મંદિરમાં," હતા ત્યારે તે ઇમારતની બહારના આંગણાનો ઉલ્લેખ કરવામાં આવે છે.
આનું ભાષાંતર "મંદિરના આંગણામાં" અથવા "મંદિરના સંકુલમાં" તરીકે થઈ શકે છે.
- જ્યાં ખાસ કરીને મકાનનો ઉલ્લેખ કરે છે, કેટલાક અનુવાદો “મંદિર”ને "મંદિરની ઇમારત" તરીકે અનુવાદ કરે છે, જે તેનો સંદર્ભ સ્પષ્ટ કરે છે.
- બીજી રીતે ભાષાંતર કરવાની રીતોમાં "મંદિર"ને "દેવનું પવિત્ર ઘર" અથવા "પવિત્ર ભજન સ્થાન" નો સમાવેશ થાય છે.
- ઘણી વખત બાઇબલમાં, મંદિરને "યહોવાનું ઘર" અથવા "દેવનું ઘર " કહેવામાં આવે છે.
(આ પણ જુઓ: બલિદાન,સુલેમાન, બાબિલોન, પવિત્ર આત્મા, મુલાકાતમંડપ, અદાલત, સિયોન, ઘર)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 3:1-3
- પ્રેરિતોનાં કૃત્યો 3:7-8
- હઝકીએલ 45: 18-20
- લુક 19: 45-46
- નહેમ્યાહ 10: 28-29
- ગીતશાસ્ત્ર 79:1-3
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 17:6 દાઉદ એક મંદિર બનાવવ। માંગતો હતો કે જ્યાં બધા ઈસ્રાએલીઓ ઈશ્વરની ઉપાસના કરી શકે અને તેમને બલિદાનો આપી શકે.
- 18:2 યરૂશાલેમમાં, સુલેમાને મંદિર નું નિર્માણ કર્યું હતું જેના માટે તેમના પિતા દાઉદે આયોજન કર્યું હતું અને સામગ્રી એકત્ર કરી હતી. લોકો હવે મુલાકાત મંડપને બદલે, ઈશ્વરની ઉપાસના મંદિર ખાતે કરવા લાગ્યા અને તેમને બલિદાન અર્પણ કરે છે. ઈશ્વર આવ્યા હતા અને મંદિર માં હાજર હતા, અને તે તેના લોકો સાથે ત્યાં રહેતા હતા.
- 20:7 તેઓ (બાબેલોનીઓએ) યરૂશાલેમના શહેરને કબજે કરી લીધું, અને મંદિર નો નાશ કર્યો, અને તમામ ખજાનાને લુંટી લીધો.
- 20:13 જ્યારે લોકો યરૂશાલેમ પહોંચ્યા, તેઓએ મંદિર અને શહેર અને મંદિર તથા શહેરની આસપાસની દીવાલ ફરી બાંધી.
- 25:4 પછી શેતાન મંદિર ના સૌથી ઊંચા શિખર પર ઈસુને લઇ ગયો અને કહ્યું હતું કે, "જો તમે ઈશ્વરન। પુત્ર છો, તો પોતાને નીચે ફેંકી દો, કેમકે લખવામાં આવેલ છે,કે 'ઈશ્વર તેમના તો ને આદેશ કરશે જેથી તમારા પગ પથ્થર પર અફળાય નહી.
- 40:7 જયારે તે મૃત્યુ પામ્યો ત્યારે ત્યાં ધરતીકંપ થયો અને મંદિર નો મોટો પડદો જે લોકોને ઈશ્વરની હાજરીથી જુદાં પાડતો હતો, તે ઉપર થી નીચે સુધી બે ભાગમાં ફાટી ગયો.
શબ્દ માહિતી:
- Strong's: H1004, H1964, H1965, H7541, G1493, G2411, G3485
મંદિર
તથ્યો:
મંદિર દિવાલોથી ઘેરાયેલ આંગણાવાળું એક મકાન હતું, જ્યાં ઈસ્રાએલીઓ ઈશ્વરને પ્રાર્થના કરવા અને બલિદાન અર્પણ કરવા માટે આવ્યા.
તે યરૂશાલેમ શહેરમાં મોરીયા પર્વત પર આવેલું હતું.
- મોટેભાગે "મંદિર" શબ્દ સમગ્ર મકાન સંકુલને ઓળખવામાં આવે છે, જેમાં મુખ્ય મકાનની આસપાસની આંગણાઓનો સમાવેશ થાય છે.
કેટલીકવાર તે મકાનને જ ઓળખવામાં આવે છે.
- મંદિરના મકાનમાં બે ઓરડા હતા, પવિત્રસ્થાન અને પરમ પવિત્રસ્થાન હતું.
- ઈશ્વર મંદિરને તેમના નિવાસસ્થાન તરીકે ઓળખાવે છે.
- સુલેમાન રાજાએ તેમના રાજયકાળ દરમ્યાન મંદિર બાંધ્યું.
યરૂશાલેમમાં પૂજા માટેની કાયમી જગ્યા હોવાનું માનવામાં આવે છે
- નવા કરારમાં, "પવિત્ર આત્માનું મંદિર" શબ્દનો ઉપયોગ ઈસુના વિશ્વાસીઓના એક જૂથ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણ કે પવિત્ર આત્મા તેમનામાં રહે છે.
અનુવાદ માટેના સૂચનો:
- સામાન્ય રીતે જ્યારે લખાણમાં જણાવે છે કે લોકો "મંદિરમાં," હતા ત્યારે તે ઇમારતની બહારના આંગણાનો ઉલ્લેખ કરવામાં આવે છે.
આનું ભાષાંતર "મંદિરના આંગણામાં" અથવા "મંદિરના સંકુલમાં" તરીકે થઈ શકે છે.
- જ્યાં ખાસ કરીને મકાનનો ઉલ્લેખ કરે છે, કેટલાક અનુવાદો “મંદિર”ને "મંદિરની ઇમારત" તરીકે અનુવાદ કરે છે, જે તેનો સંદર્ભ સ્પષ્ટ કરે છે.
- બીજી રીતે ભાષાંતર કરવાની રીતોમાં "મંદિર"ને "દેવનું પવિત્ર ઘર" અથવા "પવિત્ર ભજન સ્થાન" નો સમાવેશ થાય છે.
- ઘણી વખત બાઇબલમાં, મંદિરને "યહોવાનું ઘર" અથવા "દેવનું ઘર " કહેવામાં આવે છે.
(આ પણ જુઓ: બલિદાન,સુલેમાન, બાબિલોન, પવિત્ર આત્મા, મુલાકાતમંડપ, અદાલત, સિયોન, ઘર)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 3:1-3
- પ્રેરિતોનાં કૃત્યો 3:7-8
- હઝકીએલ 45: 18-20
- લુક 19: 45-46
- નહેમ્યાહ 10: 28-29
- ગીતશાસ્ત્ર 79:1-3
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 17:6 દાઉદ એક મંદિર બનાવવ। માંગતો હતો કે જ્યાં બધા ઈસ્રાએલીઓ ઈશ્વરની ઉપાસના કરી શકે અને તેમને બલિદાનો આપી શકે.
- 18:2 યરૂશાલેમમાં, સુલેમાને મંદિર નું નિર્માણ કર્યું હતું જેના માટે તેમના પિતા દાઉદે આયોજન કર્યું હતું અને સામગ્રી એકત્ર કરી હતી. લોકો હવે મુલાકાત મંડપને બદલે, ઈશ્વરની ઉપાસના મંદિર ખાતે કરવા લાગ્યા અને તેમને બલિદાન અર્પણ કરે છે. ઈશ્વર આવ્યા હતા અને મંદિર માં હાજર હતા, અને તે તેના લોકો સાથે ત્યાં રહેતા હતા.
- 20:7 તેઓ (બાબેલોનીઓએ) યરૂશાલેમના શહેરને કબજે કરી લીધું, અને મંદિર નો નાશ કર્યો, અને તમામ ખજાનાને લુંટી લીધો.
- 20:13 જ્યારે લોકો યરૂશાલેમ પહોંચ્યા, તેઓએ મંદિર અને શહેર અને મંદિર તથા શહેરની આસપાસની દીવાલ ફરી બાંધી.
- 25:4 પછી શેતાન મંદિર ના સૌથી ઊંચા શિખર પર ઈસુને લઇ ગયો અને કહ્યું હતું કે, "જો તમે ઈશ્વરન। પુત્ર છો, તો પોતાને નીચે ફેંકી દો, કેમકે લખવામાં આવેલ છે,કે 'ઈશ્વર તેમના તો ને આદેશ કરશે જેથી તમારા પગ પથ્થર પર અફળાય નહી.
- 40:7 જયારે તે મૃત્યુ પામ્યો ત્યારે ત્યાં ધરતીકંપ થયો અને મંદિર નો મોટો પડદો જે લોકોને ઈશ્વરની હાજરીથી જુદાં પાડતો હતો, તે ઉપર થી નીચે સુધી બે ભાગમાં ફાટી ગયો.
શબ્દ માહિતી:
- Strong's: H1004, H1964, H1965, H7541, G1493, G2411, G3485
મગ્દલાની મરિયમ
તથ્યો:
મગ્દલાની મરિયમ ઈસુમાં વિશ્વાસ કરતી અને તેમની સેવામાં તેમનું અનુસરણ કરતી સ્ત્રીઓમાંની એક સ્ત્રી હતી.
જેનામાંથી ઈસુએ સાત દુષ્ટાત્માઓ કાઢ્યા હતા કે જેઓએ તેને બાંધી રાખી હતી તે સ્ત્રી તરીકે તે જાણીતી હતી.
- મગ્દલાની મરિયમ અને કેટલીક બીજી સ્ત્રીઓ ઈસુ અને તેમના પ્રેરિતોને નાણાં આપીને સહાયતા કરતી હતી.
- ઈસુ મરણમાંથી સજીવન થયા ત્યારે તેમને સૌપ્રથમ મળનાર સ્ત્રીઓમાંની એક સ્ત્રી તરીકે પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- જ્યારે મગ્દલાની મરિયમ ખાલી કબરની બહાર ઊભી હતી ત્યારે, તેણે ઈસુને ત્યાં ઉભેલા જોયા અને તેમણે તેને જઈને બીજા શિષ્યોને ઈસુ ફરીથી સજીવન થયા છે તે જણાવવા કહ્યું.
(આ પણ જૂઓ: ભૂત, ભૂત વળગેલાઓ)
બાઇબલના સંદર્ભો:
- લૂક 8:1-3
- લૂક 24:8-10
- માર્ક 15:39-41
- માથ્થી 27:54-56
શબ્દ માહિતી:
મજૂરી, મજૂરીમાં, પ્રસૂતિની પીડા
વ્યાખ્યા:
એક સ્ત્રી કે જે "પ્રસૂતિમાં હોય" તે પીડાનો અનુભવ કરે છે જે બાળકના જન્મ તરફ દોરી જાય છે.
તેઓને "પ્રસૂતિની પીડા" કહેવામા આવે છે.
- ગલાતીઓના લખેલા તેના પત્રમાં, પ્રેરિત પાઉલે તેના સાથી વિશ્વાસીઓ વધુને વધુ ખ્રિસ્ત જેવા બને તે માટે મદદરૂપ બનવા તેના તીવ્ર પ્રયત્નનું વર્ણન કરવા રૂપકાત્મક રીતે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
- અંતિમ દિવસોમાં કેવી આપત્તિઓ વધુને વધુ અને વધુ તીવ્ર થશે એ વર્ણવવા માટે પણ બાઈબલમાં પ્રસૂતિની પીડાની સમરૂપતા વપરાઈ છે.
(આ પણ જુઓ: મજૂરી, અંતિમ દિવસ)
બાઈબલના સંદર્ભો:
- 1 શમુએલ 4:19-20
- ગલાતીઓ 4:19-20
- યશાયા 13:6-8
- યર્મિયા 13:20-21
- ગીતશાસ્ત્ર 48:4-6
- રોમનો 8:20-22
શબ્દ માહિતી:
- Strong's: H2342, H2470, H3018, H3205, H5999, H6045, H6887, H8513, G3449, G4944, G5088, G5604, G5605
મજૂરી, મજૂરીમાં, પ્રસૂતિની પીડા
વ્યાખ્યા:
એક સ્ત્રી કે જે "પ્રસૂતિમાં હોય" તે પીડાનો અનુભવ કરે છે જે બાળકના જન્મ તરફ દોરી જાય છે.
તેઓને "પ્રસૂતિની પીડા" કહેવામા આવે છે.
- ગલાતીઓના લખેલા તેના પત્રમાં, પ્રેરિત પાઉલે તેના સાથી વિશ્વાસીઓ વધુને વધુ ખ્રિસ્ત જેવા બને તે માટે મદદરૂપ બનવા તેના તીવ્ર પ્રયત્નનું વર્ણન કરવા રૂપકાત્મક રીતે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
- અંતિમ દિવસોમાં કેવી આપત્તિઓ વધુને વધુ અને વધુ તીવ્ર થશે એ વર્ણવવા માટે પણ બાઈબલમાં પ્રસૂતિની પીડાની સમરૂપતા વપરાઈ છે.
(આ પણ જુઓ: મજૂરી, અંતિમ દિવસ)
બાઈબલના સંદર્ભો:
- 1 શમુએલ 4:19-20
- ગલાતીઓ 4:19-20
- યશાયા 13:6-8
- યર્મિયા 13:20-21
- ગીતશાસ્ત્ર 48:4-6
- રોમનો 8:20-22
શબ્દ માહિતી:
- Strong's: H2342, H2470, H3018, H3205, H5999, H6045, H6887, H8513, G3449, G4944, G5088, G5604, G5605
મજૂરી, મજૂરી કરે છે, મહેનત, મજૂર, મજૂરો
વ્યાખ્યા:
"મજૂરી" શબ્દ કોઈપણ પ્રકારના ભારે શ્રમના કાર્યનો ઉલ્લેખ કરે છે.
- સામાન્ય રીતે, મજૂરી એટલે કોઈપણ કાર્ય જેમાં શક્તિનો ઉપયોગ થાય.
તેમાં ઘણીવાર કાર્ય મુશ્કેલ હોય છે તે સૂચિત હોય છે.
- મજૂર એવિ એક વ્યક્તિ કે જે કોઈપણ પ્રકારની મજૂરી કરે છે.
- અંગ્રેજીમાં, "મજૂરી" શબ્દ જન્મ આપવાની પ્રક્રિયાના ભાગ સ્વરૂપે પણ વપરાય છે.
બીજી ભાષાઓમાં સંપૂર્ણપણે અલગ શબ્દ તે માટે હોઈ શકે.
- "મજૂરી" ને અનુવાદ કરવાની રીતોમાં "કામ" અથવા "ભારે શ્રમ" અથવા "મુશ્કેલ કામ" અથવા "ભારે પરિશ્રમ" નો સંવેશ કરી શકાય.
(આ પણ જુઓ: કઠણ, મજૂરી)
બાઈબલના સંદર્ભો:
- 1 થેસ્સાલોનિકીઓ 2:7-9
- 1 થેસ્સાલોનિકીઓ 3:4-5
- ગલાતીઓ 4:10-11
- યાકુબ 5:4-6
- યોહાન 4:37-38
- લૂક 10:1-2
- માથ્થી 10:8-10
શબ્દ માહિતી:
- Strong's: H213, H3018, H3021, H3022, H3023, H3205, H5447, H4522, H4639, H5445, H5647, H5656, H5998, H5999, H6001, H6089, H6468, H6635, G75, G2038, G2040, G2041, G2872, G2873, G4704, G4866, G4904, G5389
મજૂરી, મજૂરી કરે છે, મહેનત, મજૂર, મજૂરો
વ્યાખ્યા:
"મજૂરી" શબ્દ કોઈપણ પ્રકારના ભારે શ્રમના કાર્યનો ઉલ્લેખ કરે છે.
- સામાન્ય રીતે, મજૂરી એટલે કોઈપણ કાર્ય જેમાં શક્તિનો ઉપયોગ થાય.
તેમાં ઘણીવાર કાર્ય મુશ્કેલ હોય છે તે સૂચિત હોય છે.
- મજૂર એવિ એક વ્યક્તિ કે જે કોઈપણ પ્રકારની મજૂરી કરે છે.
- અંગ્રેજીમાં, "મજૂરી" શબ્દ જન્મ આપવાની પ્રક્રિયાના ભાગ સ્વરૂપે પણ વપરાય છે.
બીજી ભાષાઓમાં સંપૂર્ણપણે અલગ શબ્દ તે માટે હોઈ શકે.
- "મજૂરી" ને અનુવાદ કરવાની રીતોમાં "કામ" અથવા "ભારે શ્રમ" અથવા "મુશ્કેલ કામ" અથવા "ભારે પરિશ્રમ" નો સંવેશ કરી શકાય.
(આ પણ જુઓ: કઠણ, મજૂરી)
બાઈબલના સંદર્ભો:
- 1 થેસ્સાલોનિકીઓ 2:7-9
- 1 થેસ્સાલોનિકીઓ 3:4-5
- ગલાતીઓ 4:10-11
- યાકુબ 5:4-6
- યોહાન 4:37-38
- લૂક 10:1-2
- માથ્થી 10:8-10
શબ્દ માહિતી:
- Strong's: H213, H3018, H3021, H3022, H3023, H3205, H5447, H4522, H4639, H5445, H5647, H5656, H5998, H5999, H6001, H6089, H6468, H6635, G75, G2038, G2040, G2041, G2872, G2873, G4704, G4866, G4904, G5389
મધ, મધપૂડા
વ્યાખ્યા:
“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે.
મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.
- મધ પ્રકાર પર આધારિત હોઈ તે પીળું અથવા કથ્થાઇ રંગનુ હોઈ શકે છે.
- મધ જંગલમાં મળી શકે છે, જેવું કે વૃક્ષના પોલાણમાં, અથવા જયારે મધમાખી માળો બનાવે છે.
મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.
- ત્રણ લોકો કે જેનો બાઈબલમાં વિશેષ રીતે જંગલી મધ ખાવાની (અથવા ન ખાવાની) બાબતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, યોનાથાન, સામસૂન, અને યોહાન બાપ્તિસ્ત હતા.
- મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે કંઈક કે જે મીઠું અને ખૂબજ આનંદદાયક છે, તે દર્શાવવા વાપરવામાં આવ્યો છે.
ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક
અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.
(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)
બાઈબલની કલમો:
- 1 રાજા 14:1-3
- પુનર્નિયમ 6:3
- નિર્ગમન 13:3-5
- યહોશુઆ 5:6-7
- નીતિવચન 5:3-4
શબ્દ માહિતી:
- Strong's: H1706, H3293, H3295, H5317, H6688, G2781, G3192, G3193
મધ, મધપૂડા
વ્યાખ્યા:
“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે.
મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.
- મધ પ્રકાર પર આધારિત હોઈ તે પીળું અથવા કથ્થાઇ રંગનુ હોઈ શકે છે.
- મધ જંગલમાં મળી શકે છે, જેવું કે વૃક્ષના પોલાણમાં, અથવા જયારે મધમાખી માળો બનાવે છે.
મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.
- ત્રણ લોકો કે જેનો બાઈબલમાં વિશેષ રીતે જંગલી મધ ખાવાની (અથવા ન ખાવાની) બાબતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, યોનાથાન, સામસૂન, અને યોહાન બાપ્તિસ્ત હતા.
- મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે કંઈક કે જે મીઠું અને ખૂબજ આનંદદાયક છે, તે દર્શાવવા વાપરવામાં આવ્યો છે.
ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક
અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.
(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)
બાઈબલની કલમો:
- 1 રાજા 14:1-3
- પુનર્નિયમ 6:3
- નિર્ગમન 13:3-5
- યહોશુઆ 5:6-7
- નીતિવચન 5:3-4
શબ્દ માહિતી:
- Strong's: H1706, H3293, H3295, H5317, H6688, G2781, G3192, G3193
મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો
વ્યાખ્યા:
“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.
- દરેક વ્યક્તિનું મન તેના તમામ વિચારો અને તર્કશક્તિનો સરવાળો છે.
- “ખ્રિસ્તનું મન રાખવું”નો અર્થ ઈસુ ખ્રિસ્ત જે રીતે વિચારશે અને વર્તશે તે રીતે વિચારવું અને વર્તવું એવો થાય છે.
તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.
- “મન બદલવું”નો અર્થ થાય છે કે કોઈકે એક ભિન્ન નિર્ણય કર્યો અથવા તો અગાઉના કરતા ભિન્ન મત દાખવ્યો.
અનુવાદ માટેના સૂચનો:
- “મન” શબ્દનો અનુવાદ “વિચારો” અથવા તો “તર્ક કરવો” અથવા તો “વિચારવું” અથવા તો “સમજ” તરીકે પણ કરી શકાય.
- “મનમાં રાખો” અભિવ્યક્તિનો અનુવાદ “યાદ રાખો” અથવા તો “આ બાબત પર ધ્યાન આપો” અથવા તો “આ જાણવાની ખાતરી રાખો” તરીકે કરી શકાય.
- “હૃદય, પ્રાણ અને અને મન” અભિવ્યક્તિનો અનુવાદ “તમે જે અનુભવો છો, તમે જે માનો છો અને તમે તે વિષે શું વિચારો છો” તરીકે પણ કરી શકાય.
- “મનમાં લાવવું”નો અનુવાદ “યાદ કરો” અથવા તો “તે વિષે વિચારો” તરીકે કરી શકાય.
- “મન બદલ્યું અને ગયો” અભિવ્યક્તિનો અનુવાદ “અલગ નિર્ણય કર્યો અને ગયો” અથવા તો “છેવટે જવાનો નિર્ણય કર્યો” અથવા તો “તેનો મત બદલ્યો અને ગયો” તરીકે પણ કરી શકાય.
- “બે મનવાળો” અભિવ્યક્તિનો અનુવાદ “શંકા કરનાર” અથવા તો “નિર્ણય કરવા અશક્તિમાન” અથવા તો “વિરોધાભાસી વિચારો વાળો” તરીકે પણ કરી શકાય.
(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)
બાઇબલના સંદર્ભો:
- લૂક 10:25-28
- માર્ક 6:51-52
- માથ્થી 21:28-30
- માથ્થી 22:37-38
- યાકૂબ 4:8
શબ્દ માહિતી:
- Strong's: H3629, H3820, H3824, H5162, H7725, G1271, G1374, G3328, G3525, G3540, G3563, G4993, G5590
મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો
વ્યાખ્યા:
“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.
- દરેક વ્યક્તિનું મન તેના તમામ વિચારો અને તર્કશક્તિનો સરવાળો છે.
- “ખ્રિસ્તનું મન રાખવું”નો અર્થ ઈસુ ખ્રિસ્ત જે રીતે વિચારશે અને વર્તશે તે રીતે વિચારવું અને વર્તવું એવો થાય છે.
તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.
- “મન બદલવું”નો અર્થ થાય છે કે કોઈકે એક ભિન્ન નિર્ણય કર્યો અથવા તો અગાઉના કરતા ભિન્ન મત દાખવ્યો.
અનુવાદ માટેના સૂચનો:
- “મન” શબ્દનો અનુવાદ “વિચારો” અથવા તો “તર્ક કરવો” અથવા તો “વિચારવું” અથવા તો “સમજ” તરીકે પણ કરી શકાય.
- “મનમાં રાખો” અભિવ્યક્તિનો અનુવાદ “યાદ રાખો” અથવા તો “આ બાબત પર ધ્યાન આપો” અથવા તો “આ જાણવાની ખાતરી રાખો” તરીકે કરી શકાય.
- “હૃદય, પ્રાણ અને અને મન” અભિવ્યક્તિનો અનુવાદ “તમે જે અનુભવો છો, તમે જે માનો છો અને તમે તે વિષે શું વિચારો છો” તરીકે પણ કરી શકાય.
- “મનમાં લાવવું”નો અનુવાદ “યાદ કરો” અથવા તો “તે વિષે વિચારો” તરીકે કરી શકાય.
- “મન બદલ્યું અને ગયો” અભિવ્યક્તિનો અનુવાદ “અલગ નિર્ણય કર્યો અને ગયો” અથવા તો “છેવટે જવાનો નિર્ણય કર્યો” અથવા તો “તેનો મત બદલ્યો અને ગયો” તરીકે પણ કરી શકાય.
- “બે મનવાળો” અભિવ્યક્તિનો અનુવાદ “શંકા કરનાર” અથવા તો “નિર્ણય કરવા અશક્તિમાન” અથવા તો “વિરોધાભાસી વિચારો વાળો” તરીકે પણ કરી શકાય.
(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)
બાઇબલના સંદર્ભો:
- લૂક 10:25-28
- માર્ક 6:51-52
- માથ્થી 21:28-30
- માથ્થી 22:37-38
- યાકૂબ 4:8
શબ્દ માહિતી:
- Strong's: H3629, H3820, H3824, H5162, H7725, G1271, G1374, G3328, G3525, G3540, G3563, G4993, G5590
મનાશ્શા
તથ્યો:
જૂના કરારમાં મનાશ્શા નામના પાંચ પુરુષો હતા:
- યૂસફના પ્રથમજનિત પુત્રનું નામ મનાશ્શા હતું.
- મનાશ્શા અને તેના નાના ભાઈ એફ્રાઇમને યૂસફના પિતા યાકૂબે દત્તક લીધા હતા કે જેનાથી તેઓના વંશજોને ઇઝરાયલના બાર કુળોમાં ગણવાનો વિશેષાધિકાર મળ્યો.
- મનાશ્શાના વંશજોનું ઇઝરાયલમાં એક કુળ બન્યું.
- મનાશ્શાના કુળને ઘણીવાર “મનાશ્શાનું અર્ધકુળ” કહેવામાં આવતું હતું કારણકે યર્દન નદીની પશ્ચિમે કનાન દેશમાં ફક્ત અડધું જ કુળ વસ્યું હતું.
બાકીનું અરધું કુળ યર્દન નદીની પૂર્વ દિશાએ વસ્યું હતું.
- યહૂદિયાના એક રાજાનું નામ પણ મનાશ્શા હતું.
- મનાશ્શા એક દુષ્ટ રાજા હતો કે જેણે પોતાના ખુદના બાળકોનું જૂઠા દેવો આગળ દહનીયાર્ણ કર્યું.
- ઈશ્વરે મનાશ્શાને દુશ્મન સૈન્ય દ્વારા પકડાવીને શિક્ષા કરી.
મનાશ્શા ઈશ્વર તરફ પાછો ફર્યો અને જ્યાં મૂર્તિપૂજાઓ થતી હતી તે વેદીઓનો નાશ કર્યો.
- મનાશ્શા નામના બે માણસો એઝરાના સમયમાં થઈ ગયા.
આ બે પુરુષોને તેઓની પરદેશી પત્નીઓને છૂટાછેડા આપવા કહેવામાં આવ્યું હતું કે જેમણે તેઓને જૂઠા દેવોની આરાધના કરવા પ્રભાવિત કર્યાં હતા.
- એક બીજો મનાશ્શા દાનના કુળના કેટલાક લોકોનો પરદાદા હતો કે જેઓ જૂઠા દેવોના યાજકો હતા.
(આ પણ જૂઓ: યજ્ઞવેદી, દાન, એફ્રાઈમ, એઝરા, દેવ, ઈઝરાએલ, યહૂદા, અધર્મી, ઇસ્રાએલના બાર કુળ)
બાઇબલના સંદર્ભો:
- 2 કાળવૃત્તાંત 15:8-9
- પુનર્નિયમ 3:12-13
- ઉત્પત્તિ 41:50-52
- ઉત્પત્તિ 48:1-2
- ન્યાયાધીશો 1:27-28
શબ્દ માહિતી:
- Strong's: H4519, H4520, G3128
મનાશ્શા
તથ્યો:
જૂના કરારમાં મનાશ્શા નામના પાંચ પુરુષો હતા:
- યૂસફના પ્રથમજનિત પુત્રનું નામ મનાશ્શા હતું.
- મનાશ્શા અને તેના નાના ભાઈ એફ્રાઇમને યૂસફના પિતા યાકૂબે દત્તક લીધા હતા કે જેનાથી તેઓના વંશજોને ઇઝરાયલના બાર કુળોમાં ગણવાનો વિશેષાધિકાર મળ્યો.
- મનાશ્શાના વંશજોનું ઇઝરાયલમાં એક કુળ બન્યું.
- મનાશ્શાના કુળને ઘણીવાર “મનાશ્શાનું અર્ધકુળ” કહેવામાં આવતું હતું કારણકે યર્દન નદીની પશ્ચિમે કનાન દેશમાં ફક્ત અડધું જ કુળ વસ્યું હતું.
બાકીનું અરધું કુળ યર્દન નદીની પૂર્વ દિશાએ વસ્યું હતું.
- યહૂદિયાના એક રાજાનું નામ પણ મનાશ્શા હતું.
- મનાશ્શા એક દુષ્ટ રાજા હતો કે જેણે પોતાના ખુદના બાળકોનું જૂઠા દેવો આગળ દહનીયાર્ણ કર્યું.
- ઈશ્વરે મનાશ્શાને દુશ્મન સૈન્ય દ્વારા પકડાવીને શિક્ષા કરી.
મનાશ્શા ઈશ્વર તરફ પાછો ફર્યો અને જ્યાં મૂર્તિપૂજાઓ થતી હતી તે વેદીઓનો નાશ કર્યો.
- મનાશ્શા નામના બે માણસો એઝરાના સમયમાં થઈ ગયા.
આ બે પુરુષોને તેઓની પરદેશી પત્નીઓને છૂટાછેડા આપવા કહેવામાં આવ્યું હતું કે જેમણે તેઓને જૂઠા દેવોની આરાધના કરવા પ્રભાવિત કર્યાં હતા.
- એક બીજો મનાશ્શા દાનના કુળના કેટલાક લોકોનો પરદાદા હતો કે જેઓ જૂઠા દેવોના યાજકો હતા.
(આ પણ જૂઓ: યજ્ઞવેદી, દાન, એફ્રાઈમ, એઝરા, દેવ, ઈઝરાએલ, યહૂદા, અધર્મી, ઇસ્રાએલના બાર કુળ)
બાઇબલના સંદર્ભો:
- 2 કાળવૃત્તાંત 15:8-9
- પુનર્નિયમ 3:12-13
- ઉત્પત્તિ 41:50-52
- ઉત્પત્તિ 48:1-2
- ન્યાયાધીશો 1:27-28
શબ્દ માહિતી:
- Strong's: H4519, H4520, G3128
મરકી, મરકીઓ
વ્યાખ્યા:
મરકીઓ એવી ઘટનાઓ છે કે જેઓ મોટી સંખ્યામાં લોકોમાં પીડા અને મૃત્યુ ઉપજાવે છે.
ઘણી વાર મરકી એ એવો રોગ છે જે ઝડપથી ફેલાય છે અને તેને અટકાવી શકાય તે અગાઉ ઘણા લોકોના મૃત્યુમાં પરિણામે છે.
- ઘણી મરકીઓ પાછળ કુદરતી કારણો હોય છે પણ કેટલીક મરકીઓ લોકોને તેઓના પાપને કારણે સજા કરવા ઈશ્વર તરફથી મોકલવામાં આવી હતી.
- મૂસાના સમયમાં, ફારૂન ઇઝરાયલીઓને ઈજિપ્તમાંથી જવા દે તે માટે તેના પર દબાણ લાવવા ઈશ્વરે ઈજિપ્ત વિરુદ્ધ દસ મરકીઓ મોકલી હતી.
આ મરકીઓમાં પાણીનું લોહી બનવું, શારીરિક રોગો, જીવાત અને કરા દ્વારા પાકનો નાશ, ત્રણ દિવસનો સંપૂર્ણ અંધકાર અને પ્રથમજનિત પુત્રોના મૃત્યુનો સમાવેશ થાય છે.
- આનો અનુવાદ સંદર્ભ અનુસાર “વ્યાપક આપત્તિઓ” અથવા તો “વ્યાપક રોગો” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: કરા, ઈઝરાએલ, મૂસા, ફારૂન)
બાઇબલના સંદર્ભો:
- 2 શમુએલ 24:13-14
- નિર્ગમન 9:13-14
- ઉત્પત્તિ 12:17-20
- લૂક 21:10-11
- પ્રકટીકરણ 9:18-19
શબ્દ માહિતી:
- Strong's: H1698, H4046, H4194, H4347, H5061, H5062, H5063, G3061, G3148, G4127
મરિયમ, ઈસુની માતા
તથ્યો:
મરિયમ નાઝરેથ નગરમાં રહેતી એક યુવાન સ્ત્રી હતી કે જેની સગાઈ યૂસફ નામના એક પુરુષ સાથે થઈ હતી.
ઈશ્વરે મરિયમને ઈસુ મસીહ એટલે કે ઈશ્વરપુત્રની શારીરિક માતા થવા પસંદ કરી.
- જ્યારે મરિયમ કુંવારી હતી ત્યારે પવિત્ર આત્માએ તેને અલૌકિક રીતે ગર્ભવતી થવા દોરી.
- એક દૂતે મરિયમને કહ્યું કે જે બાળક તેને જનમવાનું હતું તે તો ઈશ્વરપુત્ર હતા અને તેણે તેમનું નામ ઈસુ પાડવાનું હતું.
- મરિયમે ઈશ્વરને પ્રેમ કર્યો અને તેના પર કૃપા કરવા તેમની સ્તુતિ કરી.
- યૂસફ મરિયમને પરણ્યો, પણ બાળક જન્મ્યું ત્યાં સુધી તે કુંવારી જ રહી.
- ભરવાડોએ તથા માગીઓએ જે અદભૂત બાબતો બાળઈસુ વિષે કહી તે વિષે મરિયમ ઊંડાણપૂર્વક વિચારતી હતી.
- મરિયમ તથા યૂસફ બાળઈસુને અર્પણ કરવા ભક્તિસ્થાનમાં લઈ ગયા.
બાદમાં હેરોદ રાજાની તે બાળકને મારી નાખવાની યોજનાથી બચવા તેઓ ઈસુને ઈજીપ્તમાં લઈ ગયા.
અંતે તેઓ પાછા નાઝરેથમાં સ્થાયી થયા.
- જ્યારે ઈસુ મોટા થયા અને કાના ગામના લગ્નમાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો ત્યારે, મરિયમ ઈસુની સાથે હતી.
- સુવાર્તા એ પણ ઉલ્લેખ કરે છે કે જ્યારે ઈસુ વધસ્થંભ પર મર્યા ત્યારે મરિયમ ત્યાં હતી.
તેમણે પોતાના શિષ્ય યોહાનને તેણીની કાળજી પોતાની સગી માતા તરીકે રાખવા કહ્યું.
(આ પણ જૂઓ: કાના, મિસર, મહાન હેરોદ, ઈસુ, યૂસફ (નવાકરાર), ઈશ્વરનો દીકરો, કુમારિકા)
બાઇબલના સંદર્ભો:
- યોહન 2:3-5
- યોહાન 2:12
- લૂક 1:26-29
- લૂક 1:34-35
- માર્ક 6:1-3
- માથ્થી 1:15-17
- માથ્થી 1:18-19
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 22:4 જ્યારે એલિસાબેત છ મહિનાથી ગર્ભવતી હતી ત્યારે, તે જ દૂત એલિસાબેતની સગી સમક્ષ પ્રગટ થયો, કે જેનું નામ મરિયમ હતું.
તે કુંવારી હતી અને યૂસફ નામના પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી.
દૂતે તેને કહ્યું, “તું ગર્ભવતી થશે અને એક પુત્રને જન્મ આપશે.
તારે તેનું નામ ઈસુ પાડવું અને તેઓ તો મસીહ હશે.”
- 22:5 દૂતે તેને સમજાવ્યું, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને ઈશ્વરનું સામર્થ્ય તારા પર આચ્છાદાન કરશે.
તેથી બાળક પવિત્ર એટલે કે ઈશ્વરપુત્ર હશે.” મરિયમે દૂતે જે કહ્યું તેના પર વિશ્વાસ કર્યો અને તેને સ્વીકાર્યું.
- 22:6 દૂત મરિયમ સાથે બોલ્યો તે પછી તરતજ તેણે જઈને એલિસાબેતની મુલાકાત કરી.
જેવી એલિસબેતે મરિયમની સલામ સાંભળી કે, એલીસાબેતનું બાળક તેના પેટમાં કૂદ્યું.
- 23:2 દૂતે કહ્યું, “યૂસફ, મરિયમને તારી પત્ની તરીકે લેતાં ડરીશ નહિ.
તેના પેટમાનું બાળક પવિત્ર આત્મા દ્વારા છે.”
- 23:4 યૂસફ તથા મરિયમને જ્યાં તેઓ રહેતા હતા તે નાઝરેથથી બેથલેહેમ જવા લાંબી મુસાફરી કરવી પડી કારણકે તેમનો પૂર્વજ દાઉદ હતો કે જેનું વતન બેથલેહેમ હતું.
- 49:1 એક દૂતે મરિયમ નામની એક કુમારિકાને કહ્યું કે તે ઈશ્વરના પુત્રને જન્મ આપશે.
તેથી જ્યારે તે કુંવારી હતી ત્યારે, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ઈસુ પાડ્યું.
શબ્દ માહિતી:
મરિયમ, ઈસુની માતા
તથ્યો:
મરિયમ નાઝરેથ નગરમાં રહેતી એક યુવાન સ્ત્રી હતી કે જેની સગાઈ યૂસફ નામના એક પુરુષ સાથે થઈ હતી.
ઈશ્વરે મરિયમને ઈસુ મસીહ એટલે કે ઈશ્વરપુત્રની શારીરિક માતા થવા પસંદ કરી.
- જ્યારે મરિયમ કુંવારી હતી ત્યારે પવિત્ર આત્માએ તેને અલૌકિક રીતે ગર્ભવતી થવા દોરી.
- એક દૂતે મરિયમને કહ્યું કે જે બાળક તેને જનમવાનું હતું તે તો ઈશ્વરપુત્ર હતા અને તેણે તેમનું નામ ઈસુ પાડવાનું હતું.
- મરિયમે ઈશ્વરને પ્રેમ કર્યો અને તેના પર કૃપા કરવા તેમની સ્તુતિ કરી.
- યૂસફ મરિયમને પરણ્યો, પણ બાળક જન્મ્યું ત્યાં સુધી તે કુંવારી જ રહી.
- ભરવાડોએ તથા માગીઓએ જે અદભૂત બાબતો બાળઈસુ વિષે કહી તે વિષે મરિયમ ઊંડાણપૂર્વક વિચારતી હતી.
- મરિયમ તથા યૂસફ બાળઈસુને અર્પણ કરવા ભક્તિસ્થાનમાં લઈ ગયા.
બાદમાં હેરોદ રાજાની તે બાળકને મારી નાખવાની યોજનાથી બચવા તેઓ ઈસુને ઈજીપ્તમાં લઈ ગયા.
અંતે તેઓ પાછા નાઝરેથમાં સ્થાયી થયા.
- જ્યારે ઈસુ મોટા થયા અને કાના ગામના લગ્નમાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો ત્યારે, મરિયમ ઈસુની સાથે હતી.
- સુવાર્તા એ પણ ઉલ્લેખ કરે છે કે જ્યારે ઈસુ વધસ્થંભ પર મર્યા ત્યારે મરિયમ ત્યાં હતી.
તેમણે પોતાના શિષ્ય યોહાનને તેણીની કાળજી પોતાની સગી માતા તરીકે રાખવા કહ્યું.
(આ પણ જૂઓ: કાના, મિસર, મહાન હેરોદ, ઈસુ, યૂસફ (નવાકરાર), ઈશ્વરનો દીકરો, કુમારિકા)
બાઇબલના સંદર્ભો:
- યોહન 2:3-5
- યોહાન 2:12
- લૂક 1:26-29
- લૂક 1:34-35
- માર્ક 6:1-3
- માથ્થી 1:15-17
- માથ્થી 1:18-19
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 22:4 જ્યારે એલિસાબેત છ મહિનાથી ગર્ભવતી હતી ત્યારે, તે જ દૂત એલિસાબેતની સગી સમક્ષ પ્રગટ થયો, કે જેનું નામ મરિયમ હતું.
તે કુંવારી હતી અને યૂસફ નામના પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી.
દૂતે તેને કહ્યું, “તું ગર્ભવતી થશે અને એક પુત્રને જન્મ આપશે.
તારે તેનું નામ ઈસુ પાડવું અને તેઓ તો મસીહ હશે.”
- 22:5 દૂતે તેને સમજાવ્યું, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને ઈશ્વરનું સામર્થ્ય તારા પર આચ્છાદાન કરશે.
તેથી બાળક પવિત્ર એટલે કે ઈશ્વરપુત્ર હશે.” મરિયમે દૂતે જે કહ્યું તેના પર વિશ્વાસ કર્યો અને તેને સ્વીકાર્યું.
- 22:6 દૂત મરિયમ સાથે બોલ્યો તે પછી તરતજ તેણે જઈને એલિસાબેતની મુલાકાત કરી.
જેવી એલિસબેતે મરિયમની સલામ સાંભળી કે, એલીસાબેતનું બાળક તેના પેટમાં કૂદ્યું.
- 23:2 દૂતે કહ્યું, “યૂસફ, મરિયમને તારી પત્ની તરીકે લેતાં ડરીશ નહિ.
તેના પેટમાનું બાળક પવિત્ર આત્મા દ્વારા છે.”
- 23:4 યૂસફ તથા મરિયમને જ્યાં તેઓ રહેતા હતા તે નાઝરેથથી બેથલેહેમ જવા લાંબી મુસાફરી કરવી પડી કારણકે તેમનો પૂર્વજ દાઉદ હતો કે જેનું વતન બેથલેહેમ હતું.
- 49:1 એક દૂતે મરિયમ નામની એક કુમારિકાને કહ્યું કે તે ઈશ્વરના પુત્રને જન્મ આપશે.
તેથી જ્યારે તે કુંવારી હતી ત્યારે, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ઈસુ પાડ્યું.
શબ્દ માહિતી:
મરિયમ
તથ્યો:
મરિયમ હારુન અને મૂસાની મોટી બહેન હતી.
- જ્યારે મરિયમ નાની હતી ત્યારે, તેની માતાએ તેને તેના ભાઈ બાળમૂસાનું ધ્યાન રાખવા સૂચના આપી હતી કે જે નાઇલ નદીમાં બરૂઓ વચ્ચે ટોપલીમાં મૂકેલો હતો.
જ્યારે ફારુનની દીકરીને તે બાળક મળ્યું અને તેને કોઈ વ્યક્તિની જરૂર હતી કે જે બાળકની સંભાળ રાખી શકે ત્યારે, તે કરવા મરિયમ પોતાની માતાને બોલાવી લાવી.
- જ્યારે ઇઝરાયલીઓ લાલ સમુદ્રને પાર કરીને ઈજીપ્તના લોકોથી બચી ગયા ત્યારે, મરિયમે તેઓને આનંદ અને આભારસ્તુતિનું નૃત્ય કરવામાં દોર્યા.
- વર્ષો બાદ જ્યારે ઇઝરાયલીઓ અરણ્યમાં ભટકતા હતા ત્યારે, મરિયમ અને હારુન મૂસા વિરુદ્ધ ખોટું બોલ્યા કારણકે તેણે એક કુશી સ્ત્રી સાથે લગ્ન કર્યું હતું.
- મૂસા વિરુદ્ધ બોલવાના તેના વિદ્રોહને કારણે, ઈશ્વરે મરિયમને કોઢની રોગી બનાવી દીધી.
પણ બાદમાં જ્યારે મૂસાએ તેના માટે આજીજી કરી ત્યારે ઈશ્વરે તેને સાજી કરી.
(આ પણ જૂઓ: હારુન, કૂશ, મધ્યસ્થી કરવી, મૂસા, નાઇલ નદી, ફારૂન, બળવો કરવો)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 6:1-3
- પુનર્નિયમ 24:8-9
- મીખાહ 6:3-5
- ગણના 12:1-3
- ગણના 20:1
શબ્દ માહિતી:
મરિયમ
તથ્યો:
મરિયમ હારુન અને મૂસાની મોટી બહેન હતી.
- જ્યારે મરિયમ નાની હતી ત્યારે, તેની માતાએ તેને તેના ભાઈ બાળમૂસાનું ધ્યાન રાખવા સૂચના આપી હતી કે જે નાઇલ નદીમાં બરૂઓ વચ્ચે ટોપલીમાં મૂકેલો હતો.
જ્યારે ફારુનની દીકરીને તે બાળક મળ્યું અને તેને કોઈ વ્યક્તિની જરૂર હતી કે જે બાળકની સંભાળ રાખી શકે ત્યારે, તે કરવા મરિયમ પોતાની માતાને બોલાવી લાવી.
- જ્યારે ઇઝરાયલીઓ લાલ સમુદ્રને પાર કરીને ઈજીપ્તના લોકોથી બચી ગયા ત્યારે, મરિયમે તેઓને આનંદ અને આભારસ્તુતિનું નૃત્ય કરવામાં દોર્યા.
- વર્ષો બાદ જ્યારે ઇઝરાયલીઓ અરણ્યમાં ભટકતા હતા ત્યારે, મરિયમ અને હારુન મૂસા વિરુદ્ધ ખોટું બોલ્યા કારણકે તેણે એક કુશી સ્ત્રી સાથે લગ્ન કર્યું હતું.
- મૂસા વિરુદ્ધ બોલવાના તેના વિદ્રોહને કારણે, ઈશ્વરે મરિયમને કોઢની રોગી બનાવી દીધી.
પણ બાદમાં જ્યારે મૂસાએ તેના માટે આજીજી કરી ત્યારે ઈશ્વરે તેને સાજી કરી.
(આ પણ જૂઓ: હારુન, કૂશ, મધ્યસ્થી કરવી, મૂસા, નાઇલ નદી, ફારૂન, બળવો કરવો)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 6:1-3
- પુનર્નિયમ 24:8-9
- મીખાહ 6:3-5
- ગણના 12:1-3
- ગણના 20:1
શબ્દ માહિતી:
મર્મ, મર્મો, ગુપ્ત સત્ય, ગુપ્ત સત્યો
વ્યાખ્યા:
બાઇબલમાં, “મર્મ” શબ્દ કંઈક અજ્ઞાત અથવા તો સમજવા અઘરી એવી બાબત કે જેને ઈશ્વર હવે સમજાવે છે તેનો ઉલ્લેખ કરે છે.
- નવો કરાર કહે છે કે ખ્રિસ્તની સુવાર્તા એક મર્મ હતો કે જે ભૂતકાળમાં અજ્ઞાત હતો.
- મર્મ તરીકે વર્ણન કરાયેલો એક ખાસ મુદ્દો એ છે કે યહૂદીઓ અને બિન-યહૂદીઓ ખ્રિસ્તમાં સમાન થશે.
- આ શબ્દનો અનુવાદ “રહસ્ય” અથવા તો “ગુપ્ત બાબતો” અથવા તો “કશુંક અજ્ઞાત” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: ખ્રિસ્ત, વિદેશી, સારા સમાચારો, યહૂદી, સાચું)
બાઇબલના સંદર્ભો:
- ક્લોસ્સી 4:2-4
- એફેસી 6:19-20
- લૂક 8:9-10
- માર્ક 4:10-12
- માથ્થી 13:10-12
શબ્દ માહિતી:
- Strong's: H1219, H7328, G3466
મર્મ, મર્મો, ગુપ્ત સત્ય, ગુપ્ત સત્યો
વ્યાખ્યા:
બાઇબલમાં, “મર્મ” શબ્દ કંઈક અજ્ઞાત અથવા તો સમજવા અઘરી એવી બાબત કે જેને ઈશ્વર હવે સમજાવે છે તેનો ઉલ્લેખ કરે છે.
- નવો કરાર કહે છે કે ખ્રિસ્તની સુવાર્તા એક મર્મ હતો કે જે ભૂતકાળમાં અજ્ઞાત હતો.
- મર્મ તરીકે વર્ણન કરાયેલો એક ખાસ મુદ્દો એ છે કે યહૂદીઓ અને બિન-યહૂદીઓ ખ્રિસ્તમાં સમાન થશે.
- આ શબ્દનો અનુવાદ “રહસ્ય” અથવા તો “ગુપ્ત બાબતો” અથવા તો “કશુંક અજ્ઞાત” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: ખ્રિસ્ત, વિદેશી, સારા સમાચારો, યહૂદી, સાચું)
બાઇબલના સંદર્ભો:
- ક્લોસ્સી 4:2-4
- એફેસી 6:19-20
- લૂક 8:9-10
- માર્ક 4:10-12
- માથ્થી 13:10-12
શબ્દ માહિતી:
- Strong's: H1219, H7328, G3466
મહિનો, મહિનાઓ, મહિને
વ્યાખ્યા:
“ મહિનો” એ શબ્દ, ચાર અઠવાડિયાના સમયગાળાને દર્શાવે છે.
દરેક મહિનામાં કેટલા દિવસોની સંખ્યા હોય છે, તેનો આધાર સૂર્ય અથવા ચંદ્રના પંચાંગ પર હોઈ, તેઓ અલગ અલગ હોય શકે છે.
- ચંદ્રના પંચાગમાં, મહિનાની લંબાઈ ચંદ્રને પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરવા માટે કેટલો સમય લે છે તેના તેનો પર આધાર હોય છે, જેમકે તેનો સમય લગભગ 29 દિવસનો હોય છે.
આ વ્યવસ્થામાં એક વર્ષમાં 12 અથવા 13 મહિના હોય છે.
આ પંચાંગમાં વર્ષના 12 અથવા 13 મહિના હોય છે, જેમાં પ્રથમ મહિનાને હંમેશા એક જ નામથી બોલાવાય છે, તેમ છતાં તેમાં અલગ અલગ ઋતુ હોય શકે છે.
- “નવો ઉગતો ચંદ્ર” અથવા નવા ચંદ્રનું શરૂઆતનું સ્વરૂપ જેમાં તે ચાંદીના પ્રકાશ સાથે ચમકે છે જે સમયે ચંદ્રેના પંચાંગમાં શરૂઆત થાય છે.
- બાઈબલમાં બધાં જ મહિનાઓના નામ ચંદ્રના પંચાંગના નામ પ્રમાણે આપવામાં આવ્યા છે, કારણકે ઈઝરાએલીઓ આ પ્રકારના પંચાગનો ઉપયોગ કરતા હતા. આધુનિક યહૂદિયો આજે પણ ધાર્મિક હેતુ માટે આ પંચાગનો ઉપયોગ કરે છે.
- આધુનિક સમયના સૂર્ય પંચાંગનો આધાર, પૃથ્વી સૂર્યની ચોફેર ફરતા કેટલો સમય લે છે તેના ઉપર આધારિત છે (લગભગ 365 દિવસ) આ વ્યવસ્થામાં વર્ષને હંમેશા 12 મહિનાઓમાં વિભાજીત કરવામાં આવે છે, જેમાં દરેક મહિનામાં દિવસોની સંખ્યા 28 થી લઈને 31 સુધી હોય છે.
બાઈબલની કલમો:
- 1 શમુએલ 20:32-34
- પ્રેરિતોના કૃત્યો 18:9-11
- હિબ્રુઓ 11:23-26
- ગણના 10:10
શબ્દ માહિતી:
- Strong's: H2320, H3391, H3393, G3376
મહિમા
વ્યાખ્યા:
“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.
- બાઇબલમાં, “મહિમા” ઈશ્વરની મહાનતાનો વારંવાર ઉલ્લેખ કરે છે કે જેઓ વિશ્વમાં સર્વોચ્ચ રાજાધિરાજ છે.
- અંગ્રેજી ભાષામાં “યોર મેજેસ્ટી” એ રાજાને સંબોધવાની એક રીત છે.
અનુવાદ માટેના સૂચનો:
- આ શબ્દોનો અનુવાદ “બાદશાહી મહાનતા” અથવા તો “રાજવી વૈભવ” તરીકે કરી શકાય.
- “યોર મેજેસ્ટી”નો અનુવાદ “યોર હાઈનેસ” અથવા તો “યોર એક્ષેલન્સિ” તરીકે કરી શકાય અથવા તો અનુવાદ કરવાની ભાષામાં એક રાજાને સંબોધવાની સામાન્ય રીતનો ઉપયોગ કરી શકાય.
(આ પણ જૂઓ: રાજા)
બાઇબલ સંદર્ભ:
- 2 પિતર 1:16-18
- દાનિયેલ 4:36-37
- યશાયા 2:9-11
- યહૂદા 1:24-25
- મીખાહ 5:4-5
શબ્દ માહિતી:
- Strong's: H1347, H1348, H1420, H1923, H1926, H1935, H7238, G3168, G3172
મહેલ, મહેલો
વ્યાખ્યા:
“મહેલ” શબ્દ જ્યાં રાજા તેના કુટુંબીજનો અને દાસો સાથે રહે છે તે ભવન અથવા તો ઘરનો ઉલ્લેખ કરે છે.
- નવા કરારમાં દર્શાવ્યા પ્રમાણે, પ્રમુખ યાજક પણ મહેલ જેવા ભવનમાં રહેતો હતો.
- મહેલો સુંદર બાંધકામ અને રાચરચીલા સાથે અતિ આભૂષિત ભવનો હતા.
- મહેલનું મકાન અને રાચરચીલું પથ્થર અથવા તો લાકડાનું બનાવેલું હતું અને ઘણી વાર તેના પર કિંમતી લાકડું, સોનું અથવા તો હાથીદાંતનો ઢોળ ચડાવેલો હતો.
- બીજા ઘણા લોકો મહેલ પરિસરોમાં રહેતા હતા અને કામ કરતા હતા. આ પરિસરોમાં સામાન્યરીતે ઘણા ભવનો તથા આંગણાઓ હતા.
(આ પણ જૂઓ: અદાલત, પ્રમુખ યાજક, રાજા)
બાઇબલના સંદર્ભો:
- 2 કાળવૃતાંત 28:7-8
- 2 શમુએલ 11:2-3
- દાનિયેલ 5:5-6
- માથ્થી 26:3-5
- ગીતશાસ્ત્ર 45:8-9
શબ્દ માહિતી:
- Strong's: H643, H759, H1001, H1002, H1004, H1055, H1406, H1964, H1965, H2038, H2918, G833, G933, G4232
મહોર, મહોર કરે છે, મહોર કરવામાં આવી, મહોર કરવામાં આવી રહી છે, મહોર ન કરેલું
વ્યાખ્યા:
વસ્તુને મહોર કરવી તેનો અર્થ કે તેને કશાકથી બંધ કરવું કે જેને તોડ્યા વિના ખોલવા માટે અશક્ય બનાવે.
- ઘણીવાર મહોરને ચિત્ર કે આકૃતિ દ્વારા અંકિત કરવામાં આવતું કે જેથી તે દર્શાવી શકાય કે તે કોની માલિકીનું છે.
- પત્રો અથવા બીજા દસ્તાવેજો કે જે સુરક્ષિત રાખવાની જરૂર હોય તેને મહોર કરવા ઓગાળેલી મીણનો ઉપયોગ કરવામાં આવતો હતો.
જ્યારે મીણ ઠંડુ અને કઠણ બની જાય, ત્યારે મહોરને તોડ્યા વિના પત્ર ખોલી શકાય નહિ.
- ઈસુની કબરની સામે પથ્થર પર મહોર મુકવામાં આવી હતી કે જેથી કોઈ પથ્થર ખસેડી શકે નહિ.
- પાઉલ રૂપકાત્મક રીતે પવિત્ર આત્માને “મહોર” તરીકે ઉલ્લેખે છે જે દર્શાવે છે કે આપણું તારણ સુરક્ષિત છે.
(આ પણ જુઓ: પવિત્ર આત્મા, કબર)
બાઈબલના સંદર્ભો:
- નિર્ગમન 2:3-4
- યશાયા 29:11-12
- યોહાન 6:26-27
- માથ્થી 27:65-66
- પ્રકટીકરણ 5:1-2
શબ્દ માહિતી:
- Strong's: H2368, H2560, H2856, H2857, H2858, H5640, G2696, G4972, G4973
માછીમાર, માછીમારો
વ્યાખ્યા:
માછીમાર માણસો કે જેઓ પૈસાની આવક માટે પાણીમાંથી માછલી પકડે છે.
નવા કરારમાં, માછીમાર માછલી પકડવા મોટી જાળોનો ઉપયોગ કરતા હતા.
“માછીમારો” શબ્દ એ માછીમાર માટેનું બીજું નામ છે.
- ઈસુએ પિતર અને બીજા પ્રેરિતો તેડું આપ્યા તે પહેલા તેઓ માછીમાર તરીકે કામ કરતા હતા.
- ઈઝરાએલની જમીન પાણીની નજીક હતી, જેથી બાઈબલમાં માછલી અને માછીમારો વિશે ઘણા સંદર્ભો આપવામાં આવેલા છે.
- આ શબ્દનું ભાષાંતર શબ્દસમૂહ વડે કરાય તો, “માણસો કે જેઓ માછલી પકડે છે” અથવા “માણસો કે જેઓ માછલી પકડવા દ્વારા પૈસાની આવક કરે છે,” એવા શબ્દો દ્વારા (ભાષાંતર) કરી શકાય છે.
બાઈબલની કલમો:
- હઝકિયેલ 47:9-10
- યશાયા 19:7-8
- લૂક 5:1-3
- માથ્થી 4:18-20
- માથ્થી 13:47-48
શબ્દ માહિતી:
- Strong's: H1728, H1771, H2271, G231, G1903
માણસનો દીકરો, માણસનો દીકરો
વ્યાખ્યા:
“માણસનો દીકરો” શિર્ષક ઈસુ દ્વારા પોતાને સંબોધવા વાપરવામાં આવ્યું
તેમને ઘણીવાર આ શબ્દ “હું” કે “મને” બોલવાને બદલે વાપર્યું.
- બાઈબલમાં, “માણસનો દીકરો” માણસનો ઉલ્લેખ કરવા કે સંબોધવાની રીત હોઈ શકે.
તેનો એ પણ અર્થ થાય કે “માનવ.”
- જુના કરારના હઝકિયેલના સંગ પુસ્તક દ્વારા, ઈશ્વર હઝકિયેલને વારંવાર “માણસના દીકરા” તરીકે સંબોધે છે.
ઉદાહરણ ટીકે, તેઓએ કહ્યું, “તારે, માણસના દીકરા, પ્રબોધ કરવો જ જોઈએ.”
- દાનિયેલ પ્રબોધકે વાદળાંમા આવતાં “માણસના દીકરાનું” દર્શન જોયું, જે આવનાર મસીહાનો સંદર્ભ છે.
- ઈસુએ પણ કહ્યું કે માણસનો દીકરો કોઈક દિવસે વાદળાં પર પાછો આવશે.
- આ વાદળાં પર આવતાં માણસના દીકરાના સંદર્ભો પ્રગટ કરે છે કે ઈસુ મસીહા એ ઈશ્વર છે.
અનુવાદ માટેના સૂચનો:
- જ્યારે ઈસુ “માણસની દીકરો” શબ્દ વાપરે છે ત્યારે તેનું અનુવાદ “એક કે જે માનવ બન્યા” અથવા “સ્વર્ગમાંથી માણસ” એમ કરી શકાય.
- કેટલાંક અનુવાદકો “હું” અને “મને” પ્રસંગોપાત આ શિર્ષક સાથે સમાવેશ કરે છે (“હું, માં માણસનો દીકરો”) તેને સ્પષ્ટ કરવાને માટે કે ઈસુ પોતાને વિષે વાત કરે છે.
- એ નક્કી કરવા માટે તપાસ કરો કે આ શબ્દનું અનુવાદ ખોટો અર્થ ન આપે (જેમ કે વ્યભિચારથી જન્મેલ દીકરાનો ઉલ્લેખ અથવા ખોટી છાપનો ઉલ્લેખ કરવો કે ઈસુ માત્ર માનવ હતાં).
- જ્યારે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે, “માણસના દીકરા”નું અનુવાદ “તું માનવ” અથવા “તું, માણસ” અથવા “માનવ” અથવા “માણસ” એમ કરી શકાય.
(આ પણ જુઓ: સ્વર્ગ, દીકરો, ઈશ્વરનો દીકરો, યહોવાહ)
બાઈબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 7:54-56
- દાનિયેલ 7:13-14
- હઝકિયેલ 43:6-8
- યોહાન 3:12-13
- લૂક 6:3-5
- માર્ક 2:10-12
- માથ્થી 13:36-39
- ગીતશાસ્ત્ર 80:17-18
- પ્રકટીકરણ 14:14-16
શબ્દ માહિતી:
- Strong's: H120, H606, H1121, H1247, G444, G5207
માથ્થી, લેવી
તથ્યો:
માથ્થી બાર માણસોમાંનો એક હતો કે જેઓને ઈસુએ તેમના પ્રેરિતો થવા પસંદ કર્યાં હતા.
તે અલ્ફીના પુત્ર લેવી તરીકે પણ ઓળખાતો હતો.
- ઈસુ તેને મળ્યા તે અગાઉ લેવી (માથ્થી) કફર-નહૂમ નગરનો કર ઉઘરાવનાર વ્યક્તિ હતો.
- માથ્થીએ જે સુવાર્તા લખી છે તેમાં તેનું નામ દર્શાવાયું છે.
- બાઇબલમાં લેવી નામના બીજા કેટલાક લોકો છે.
(આ પણ જૂઓ: પ્રેરિત, લેવી, વેરો)
બાઇબલના સંદર્ભો:
- લૂક 5:27-28
- લૂક 6:14-16
- માર્ક 2:13-14
- માર્ક 3:17-19
- માથ્થી 9:7-9
- માથ્થી 10:2-4
શબ્દ માહિતી:
માન, સન્માન
વ્યાખ્યા:
“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.
- સામાન્ય રીતે સન્માન કોઈ કે જેને ઊંચો હોદ્દો અને મહત્વ છે, જેવા કે રાજા અથવા દેવ.
- દેવે ખ્રિસ્તીઓને બીજાઓને માન આપવાની સૂચના આપી છે.
- બાળકોને તેઓના માતા પિતાને માન આપવાની સૂચના આપવામાં આવી છે કે જેમાં તેઓને આદર અને તેઓની આજ્ઞા પાળવાનો સમાવેશ થાય છે.
- ખાસ કરીને જયારે આ શબ્દો ઈસુને માટે દર્શાવવામાં આવ્યા છે, ત્યારે મોટેભાગે “સન્માન” અને “મહિમા” બંને શબ્દો એકસાથે વાપરવામાં આવ્યા છે.
આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.
- દેવને માન આપવાની રીતોમાં તેનો આભાર અને પ્રશંસા કરવાનો, અને તેની આજ્ઞા પાળીને તેને આદર આપવાનો અને એવી રીતે જીવી દેખાડવું કે તે કેટલો મહાન છે, તેવી (બાબતોનો) સમાવેશ થાય છે.
ભાષાંતરના સૂચનો:
- “માન” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “આદર” અથવા “સન્માન” અથવા “ઉચ્ચ આદર,” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
- “માન” શબ્દનું ભાષાંતર, “ખાસ આદર દેખાડવો” અથવા “તેની પ્રશંસા થવા દેવી” અથવા “(તેના) માટે ઉચ્ચ આદર દેખાડવો” અથવા “અત્યંત આદર” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)
બાઈબલની કલમો:
- 1 શમુએલ 2:8
- પ્રેરિતો 19:15-17
- યોહાન 4:43-45
- યોહાન 12:25-26
- માર્ક 6:4-6
- માથ્થી 15:4-6
શબ્દ માહિતી:
- Strong's: H1420, H1921, H1922, H1923, H1926, H1927, H1935, H2082, H2142, H3366, H3367, H3368, H3372, H3373, H3374, H3444, H3513, H3519, H3655, H3678, H5081, H5375, H5457, H6213, H6286, H6437, H6942, H6944, H6965, H7236, H7613, H7812, H8597, H8416, G820, G1391, G1392, G1784, G2151, G2570, G3170, G4411, G4586, G5091, G5092, G5093, G5399
માન, સન્માન
વ્યાખ્યા:
“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.
- સામાન્ય રીતે સન્માન કોઈ કે જેને ઊંચો હોદ્દો અને મહત્વ છે, જેવા કે રાજા અથવા દેવ.
- દેવે ખ્રિસ્તીઓને બીજાઓને માન આપવાની સૂચના આપી છે.
- બાળકોને તેઓના માતા પિતાને માન આપવાની સૂચના આપવામાં આવી છે કે જેમાં તેઓને આદર અને તેઓની આજ્ઞા પાળવાનો સમાવેશ થાય છે.
- ખાસ કરીને જયારે આ શબ્દો ઈસુને માટે દર્શાવવામાં આવ્યા છે, ત્યારે મોટેભાગે “સન્માન” અને “મહિમા” બંને શબ્દો એકસાથે વાપરવામાં આવ્યા છે.
આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.
- દેવને માન આપવાની રીતોમાં તેનો આભાર અને પ્રશંસા કરવાનો, અને તેની આજ્ઞા પાળીને તેને આદર આપવાનો અને એવી રીતે જીવી દેખાડવું કે તે કેટલો મહાન છે, તેવી (બાબતોનો) સમાવેશ થાય છે.
ભાષાંતરના સૂચનો:
- “માન” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “આદર” અથવા “સન્માન” અથવા “ઉચ્ચ આદર,” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
- “માન” શબ્દનું ભાષાંતર, “ખાસ આદર દેખાડવો” અથવા “તેની પ્રશંસા થવા દેવી” અથવા “(તેના) માટે ઉચ્ચ આદર દેખાડવો” અથવા “અત્યંત આદર” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)
બાઈબલની કલમો:
- 1 શમુએલ 2:8
- પ્રેરિતો 19:15-17
- યોહાન 4:43-45
- યોહાન 12:25-26
- માર્ક 6:4-6
- માથ્થી 15:4-6
શબ્દ માહિતી:
- Strong's: H1420, H1921, H1922, H1923, H1926, H1927, H1935, H2082, H2142, H3366, H3367, H3368, H3372, H3373, H3374, H3444, H3513, H3519, H3655, H3678, H5081, H5375, H5457, H6213, H6286, H6437, H6942, H6944, H6965, H7236, H7613, H7812, H8597, H8416, G820, G1391, G1392, G1784, G2151, G2570, G3170, G4411, G4586, G5091, G5092, G5093, G5399
માન્ના
વ્યાખ્યા:
માન્ના સફેદ દાણાના જેવો ખોરાક હતો કે જે ઈશ્વરે ઇઝરાયલીઓને તેઓ ઈજીપ્ત દેશમાંથી નીકળ્યા ત્યાર બાદ અરણ્યના 40 વર્ષના વસવાટ દરમ્યાન ખાવા માટે પૂરો પાડ્યો.
- માન્ના સફેદ પાપડી જેવું દેખાતું હતું કે જે દર સવારે ઝાકળ નીચે જમીન પર મળતું હતું.
તે મધની જેમ ગળ્યું લાગતું હતું.
- ઇઝરાયલીઓ વિશ્રામવાર સિવાય દરરોજ માન્નાની પાપડીઓ એકઠી કરતા હતા.
- વિશ્રામવારની અગાઉના દિવસે, ઈશ્વરે ઇઝરાયલીઓને બમણું માન્ના એકઠું કરવા કહ્યું હતું કે જેથી તેઓએ તેમના આરામના દિવસે તે એકઠું કરવું ન પડે.
- “માન્ના” શબ્દનો અર્થ “એ શું છે?” એવો થાય છે.
- બાઇબલમાં, માન્નાનો ઉલ્લેખ “સ્વર્ગમાંથી આપવામાં આવેલી રોટલી” અને “સ્વર્ગમાંથી આપવામાં આવેલો ખોરાક” તરીકે પણ કરવામાં આવ્યો છે.
અનુવાદ માટેના સૂચનો
- આ શબ્દનો અનુવાદ બીજી આ રીતે થઈ શકે કે “સફેદ પાતળી પાપડીનો ખોરાક” અથવા તો “સ્વર્ગથી આવેલો ખોરાક”.
- સ્થાનિક અથવા તો રાષ્ટ્રીય ભાષાના બાઇબલ અનુવાદમાં આ શબ્દનો અનુવાદ કેવી રીતે થયો છે તેને પણ તપાસો.
(આ પણ જૂઓ: રોટલી, રણ, અનાજ, સ્વર્ગ, વિશ્રામવાર)
બાઇબલના સંદર્ભો:
- પુનર્નિયમ 8:3
- નિર્ગમન 16:26-27
- હિબ્રૂ 9:3-5
- યોહાન 6:30-31
- યહોશુઆ 5:12
શબ્દ માહિતી:
મિસર, મિસરી, મિસરીઓ
સત્યો:
મિસર એ આફ્રિકાના ઇશાન ભાગમાં, કનાનની ભૂમિના દક્ષિણ પશ્ચિમમાં આવેલો દેશ છે.
મિસરી વ્યક્તિ છે કે જે મિસર દેશમાંથી આવે છે.
- પ્રાચીન સમયમાં, મિસર એ શક્તિશાળી અને શ્રીમંત દેશ હતો.
પ્રાચીન મિસર બે ભાગમાં વહેચાયેલું હતું, મિસરનો નીચેનો (ઉત્તર ભાગ જ્યાં નાઈલ નદી નીચે સમુદ્ર તરફ વહેતી હતી) અને મિસર નો ઉપરનો (દક્ષિણ ભાગ).
જૂના કરારમાં, આ ભાગોને મૂળ ભાષાના લખાણમાં “મિસર” અને “પત્રોસ” કહેવામાં આવે છે.
- અનેક વાર જયારે કનાનમાં અનાજ ઓછું હતું, ત્યારે ઈઝરાએલના કુટુંબના વડાઓ તેમના કુટુંબો માટે અનાજ વેચાતું લેવા મિસરમાં પ્રવાસ કરતા હતા.
- ઘણા વર્ષો માટે, ઈઝરાએલીઓ મિસરમાં ગુલામો હતા.
- સમ્રાટ હેરોદથી બચવા માટે, યુસફ અને મરિયમ નાના બાળક ઈસુને લઈને મિસરમાં ચાલ્યા ગયા.
(આ પણ જુઓ: મહાન હેરોદ, [યૂસફ , યૂસફ (નવાકરાર), નાઇલ નદી)
બાઈબલની કલમો:
- પૂર્વજ
- પ્રેરિતો 7:9-10
- નિર્ગમન 3:7-8
- ઉત્પત્તિ 41:27-29
- ઉત્પત્તિ 41:55-57
- માથ્થ 2:13-15
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 8:4 ગુલામના વેપારીઓ યૂસફ ને મિસરમાં લઈ ગયા. મિસર એ નાઈલ નદીને મોખરે આવેલો વિશાળ, શક્તિશાળી દેશ હતો.
- ફારુન યૂસફથી ખૂબ પ્રભાવિત થયો હતો કે તેણે તેને પુરા મિસર ઉપર બીજા સ્થાને સૌથી શક્તિશાળી માણસ તરીકે નીમ્યો.
- 8:11 જેથી યાકૂબે તેના મોટા દીકરાઓને અનાજ વેચાતું લેવા મિસર મોકલ્યા.
- 8:14 યાકૂબ ઘરડો હોવા છતાં, તેના પુરા કુટુંબ સાથે મિસર માં સ્થળાંતર કર્યું, અને તેઓ બધા ત્યાં રહ્યા.
- 9:1 યૂસફના મરણ બાદ, તેના બધા સંબંધીઓ મિસર માં વસ્યા.
શબ્દ માહિતી:
- Strong's: H4713, H4714, G124, G125
મિસર, મિસરી, મિસરીઓ
સત્યો:
મિસર એ આફ્રિકાના ઇશાન ભાગમાં, કનાનની ભૂમિના દક્ષિણ પશ્ચિમમાં આવેલો દેશ છે.
મિસરી વ્યક્તિ છે કે જે મિસર દેશમાંથી આવે છે.
- પ્રાચીન સમયમાં, મિસર એ શક્તિશાળી અને શ્રીમંત દેશ હતો.
પ્રાચીન મિસર બે ભાગમાં વહેચાયેલું હતું, મિસરનો નીચેનો (ઉત્તર ભાગ જ્યાં નાઈલ નદી નીચે સમુદ્ર તરફ વહેતી હતી) અને મિસર નો ઉપરનો (દક્ષિણ ભાગ).
જૂના કરારમાં, આ ભાગોને મૂળ ભાષાના લખાણમાં “મિસર” અને “પત્રોસ” કહેવામાં આવે છે.
- અનેક વાર જયારે કનાનમાં અનાજ ઓછું હતું, ત્યારે ઈઝરાએલના કુટુંબના વડાઓ તેમના કુટુંબો માટે અનાજ વેચાતું લેવા મિસરમાં પ્રવાસ કરતા હતા.
- ઘણા વર્ષો માટે, ઈઝરાએલીઓ મિસરમાં ગુલામો હતા.
- સમ્રાટ હેરોદથી બચવા માટે, યુસફ અને મરિયમ નાના બાળક ઈસુને લઈને મિસરમાં ચાલ્યા ગયા.
(આ પણ જુઓ: મહાન હેરોદ, [યૂસફ , યૂસફ (નવાકરાર), નાઇલ નદી)
બાઈબલની કલમો:
- પૂર્વજ
- પ્રેરિતો 7:9-10
- નિર્ગમન 3:7-8
- ઉત્પત્તિ 41:27-29
- ઉત્પત્તિ 41:55-57
- માથ્થ 2:13-15
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 8:4 ગુલામના વેપારીઓ યૂસફ ને મિસરમાં લઈ ગયા. મિસર એ નાઈલ નદીને મોખરે આવેલો વિશાળ, શક્તિશાળી દેશ હતો.
- ફારુન યૂસફથી ખૂબ પ્રભાવિત થયો હતો કે તેણે તેને પુરા મિસર ઉપર બીજા સ્થાને સૌથી શક્તિશાળી માણસ તરીકે નીમ્યો.
- 8:11 જેથી યાકૂબે તેના મોટા દીકરાઓને અનાજ વેચાતું લેવા મિસર મોકલ્યા.
- 8:14 યાકૂબ ઘરડો હોવા છતાં, તેના પુરા કુટુંબ સાથે મિસર માં સ્થળાંતર કર્યું, અને તેઓ બધા ત્યાં રહ્યા.
- 9:1 યૂસફના મરણ બાદ, તેના બધા સંબંધીઓ મિસર માં વસ્યા.
શબ્દ માહિતી:
- Strong's: H4713, H4714, G124, G125
મુખ્ય, મુખ્ય વ્યક્તિઓ
વ્યાખ્યા:
“મુખ્ય” શબ્દ એ ખાસ જૂથના સૌથી શક્તિશાળી અથવા સૌથી મહત્વના આગેવાનને દર્શાવે છે.
- આ ઉદાહરણોમાં, “મુખ્ય સંગીતકાર,” “મુખ્ય યાજક,” અને “મુખ્ય કર ઉઘરાવનાર” અને “મુખ્ય રાજ્યકર્તા” નો સમાવેશ થાય છે.
- તેને કુટુંબના વિશિષ્ટ વડા તરીકે પણ વાપરી શકાય છે, જેમકે ઉત્પત્તિ 36માં કે જ્યાં તેઓના કુટુંબના ગોત્રના ચોક્કસ માણસો “મુખ્ય વ્યક્તિઓ” તરીકે ઓળખવામાં આવ્યા છે.
આ સંદર્ભમાં, “મુખ્ય” શબ્દનું ભાષાંતર “આગેવાન” અથવા “મુખ્ય પિતા” તરીકે પણ કરી શકાય છે.
- જયારે શબ્દને નામ તરીકે લઈએ તો તેનું ભાષાંતર “અગ્રણી” અથવા “રાજ્ય કરનાર” અથવા “મુખ્ય સંગીતકાર” અથવા “મુખ્ય યાજક” તરીકે કરી શકાય.
(આ પણ જુઓ: મુખ્ય યાજકો, યાજક, વેરો)
બાઈબલની કલમો:
- દાનિયેલ 1:11-13
- હઝકિયેલ 26:15-16
- લૂક 19:1-2
- ગીતશાસ્ત્ર 04:1
શબ્દ માહિતી:
- Strong's: H47, H441, H5057, H5387, H5632, H6496, H7218, H7225, H7227, H7229, H7262, H8269, H8334, G749, G750, G754, G4410, G4413, G5506
મુખ્ય યાજકો
વ્યાખ્યા:
ઈસુ પૃથ્વી ઉપર રહેતા હતા તે સમય દરમ્યાન મુખ્ય યાજકો મહત્વના યહૂદી ધાર્મિક આગેવાનો હતા.
- મુખ્ય યાજકો એ મંદિરમાં ભજનની સેવાઓની દરેક જરૂરી વસ્તુ માટે જવાબદાર હતા.
તેઓ મંદિરમાં જે પૈસા આપવામાં આવતા હતા, તેના પણ ઉપરીઓ હતા.
- સામાન્ય યાજકો કરતાં તેઓનો દરજ્જો ઉંચો રહેતો અને અધિકાર ધરાવતા હતા. ફક્ત મુખ્ય યાજક (પ્રધાન યાજક) પાસે વધારે સત્તા હતી.
- કેટલાક મુખ્ય યાજકો ઈસુના મુખ્ય શત્રુઓ હતા અને તેઓએ રોમન આગેવાનોને ઈસુની ધરપકડ કરી અને મારી નાખવા ખુબજ પ્રભાવિત કર્યા.
ભાષાંતરના સૂચનો:
- “મુખ્ય યાજકો” શબ્દનું ભાષાંતર, “મોટા યાજકો” અથવા “આગેવાની આપનાર યાજકો” અથવા “રાજ્ય કરનાર યાજકો” તરીકે પણ કરી શકાય.
- ધ્યાન રાખો કે “મુખ્ય યાજક (પ્રધાન યાજક)” શબ્દનું ભાષાંતર, આ શબ્દથી થોડું અલગ રીતે હોવું જોઈએ.
(આ પણ જુઓ: મુખ્ય, પ્રમુખ યાજક, યહૂદી અધિકારીઓ, યાજક)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 9:13-16
- પ્રેરિતો 22:30
- પ્રેરિતો 26:12-14
- લૂક 20:1-2
- માર્ક 8:31-32
- માથ્થી 16:21-23
- માથ્થી 26:3-5
- માથ્થી 26:59-61
- માથ્થી 27:41-42
શબ્દ માહિતી:
- Strong's: H3548, H7218, G749
મુલાકાતમંડપ
વ્યાખ્યા:
આ મુલાકાતમંડપ એ ખાસ તંબુ જેવું હતું, જ્યાં ઈસ્રાએલીઓ 40 વર્ષ દરમિયાન ઈશ્વરનું ભજન કરતા હતા.
- ઈશ્વરે ઈસ્રાએલીઓને આ વિશાળ તંબુ બનાવવા માટે વિગતવાર સૂચનો આપ્યા હતા, જેમાં બે ઓરડા હતા અને એક બંધ આંગણાથી ઘેરાયેલું હતું.
દરરોજ ઈસ્રાએલીઓ અરણ્યમાં રહેવા માટે જુદીજુદી જગ્યાએ જતાં ત્યારે,યાજકો મુલાકાતમંડપને ઊંચકીને તેને બીજી છાવણીએ લઈ જતા હતા.
પછી તેઓ ફરીથી તેને નવી છાવણીની મધ્યમાં ઊભો કરતા.
- મુલાકાતમંડપ કાપડ,બકરાના વાળ અને પશુના ચામડામાંથી બનેલા પડદાને લાકડાની ફ્રેમ સાથે લટકાવીને બનાવવામાં આવ્યો હતો. આંગણાને આસપાસ વધુ પડદાથી બંધ કરવામાં આવ્યું હતું.
- મંડપના બે ભાગ પવિત્રસ્થાન (જ્યાં ધૂપ બાળવાની ધૂપવેદી હતી) અને પરમપવિત્ર સ્થાન (જ્યાં કરારકોશ રાખવામાં આવ્યો હતો) હતા.
- આ મંડપના આંગણામાં પ્રાણીના બલિદાન માટે વેદી અને ખાસ ધાર્મિક શુધ્ધિકરણ માટેનો હોજ હતા.
- સુલેમાન દ્વારા યરૂશાલેમમાં મંદિર બાંધવામાં આવ્યું ત્યારે, ઈસ્રાએલીઓએ મુલાકાતમંડપનો ઉપયોગ કરવાનું બંધ કર્યું.
અનુવાદ માટેના સૂચનો:
"મંડપ" શબ્દનો અર્થ "નિવાસસ્થાન" થાય છે.
બીજી રીતે અનુવાદ કરવામાં "પવિત્ર તંબુ" અથવા " જ્યાં ઈશ્વર હતા તે તંબુ" અથવા " ઈશ્વરનો તંબુ" નો સમાવેશ થાય છે.
ખાતરી કરો કે આ શબ્દનો અનુવાદ "મંદિર"ના અનુવાદથી અલગ છે.
(આ પણ જુઓ: યજ્ઞવેદી, ધૂપનીવેદી, કરારકોશ, મંદિર, મુલાકાતમંડપ
બાઇબલ સંદર્ભો
- 1 કાળવૃત્તાંત 21:28-30
- 2 કાળવૃત્તાંત 1:2-5
- પ્રેરિતોનાં કૃત્યો 7:43
- પ્રેરિતોનાં કૃત્યો 7:44-46
- નિર્ગમન 38:21-23
- યહોશુઆ 22:19-20
- લેવીય 10:16-18
શબ્દ માહિતી:
- Strong's: H168, H4908, H5520, H5521, H5522, H7900, G4633, G4634, G4636, G4638
મુલાકાતમંડપ
તથ્યો:
" મુલાકાત મંડપ "શબ્દ એ તંબુને દર્શાવે છે, જેમાં મુસા ઈશ્વરસાથે કામચલાઉ તંબુમાં જે મુલાકાત મંડપ બાંધવામાં આવ્યો તે પહેલાં મળતો હતો.
- ઈસ્રાએલીઓની છાવણીની બહાર મુલાકાતનો તંબુ ઊભો કરવામાં આવ્યો હતો.
- મુસા જ્યારે ઈશ્વર સાથે મળવા માટે મંડપમાં ગયા, ત્યારે ત્યાં ઈશ્વરની હાજરીના ચિન્હ તરીકે મેઘસ્તંભ તંબુના પ્રવેશદ્વાર પર ઊભો રહેતો.
- ઈસ્રાએલીઓએ મંડપ બનાવડાવ્યા પછી, કામચલાઉ તંબુની જરૂર ન હતી અને મંડપનો ઉલ્લેખ કરવા માટે " મુલાકાતમંડપ" શબ્દનો ઉપયોગ થતો હતો.
(આ પણ જુઓ: ઈઝરાએલ, મૂસા, થાંભલો, મુલાકાતમંડપ, તંબુ)
બાઇબલના સંદર્ભો:
- 1 રાજા 2:28-29
- યહોશુઆ 19:51
- લેવીય 1:1-2
- ગણના 4:31-32
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 13:8 ઈશ્વરે ઈસ્રાએલીઓને તંબુનું વિસ્તૃત વર્ણન આપ્યું હતું જે તેઓ બનાવે એવું તે ઇચ્છતા હતા. તે મુલાકાત મંડપ તરીકે ઓળખાતું હતું, અને તેમાં બે રૂમ હતા, જે મોટા પડદા દ્વારા અલગ કરાયેલા હતા.
- 13:9 કોઈ પણ વ્યક્તિ જે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે ઈશ્વરને બલિદાન તરીકે મુલાકાત મંડપ ની સામે યજ્ઞવેદીને એક પ્રાણી લાવી શકતો.
- 14:8 ઈશ્વર ખૂબ ગુસ્સે થયા હતા અને મુલાકાત મંડપ માં આવ્યા હતા.
- 18:2 મુલાકાત મંડપ ની જગ્યાએ, લોકો હવે ઈશ્વરની ઉપાસના કરે છે અને મંદિરમાં તેમને બલિદાન અર્પણ કરે છે.
શબ્દ માહિતી:
મુશ્કેલી, મુશ્કેલીઓ, મુશ્કેલીગ્રસ્ત, મુશ્કેલીમાં, તોફાની,
વ્યાખ્યા:
"મુશ્કેલી" એ જીવનનો અનુભવ છે જે ખૂબ જ મુશ્કેલ અને દુ: ખદાયી છે.
કોઇ વ્યક્તિને "મુશ્કેલી" આપવી એટલે તે વ્યક્તિને "ચિંતા" કરવા અથવા તેને દુઃખ પહોંચાડવાનો અર્થ થાય છે. "મુશ્કેલીમાં" હોવાનો અર્થ કોઈના વિશે અસ્વસ્થ અથવા દુઃખી થવાનો થાય છે.
- મુશ્કેલીઓ શારીરિક, લાગણીયુક્ત, અથવા આધ્યાત્મિક બાબતો છે કે જે વ્યક્તિને નુકસાન કરી શકે છે.
- બાઇબલમાં, ઘણીવાર મુશ્કેલીઓ કસોટીઓનો સમય છે કે જે ઈશ્વર વિશ્વાસીઓને તેમના વિશ્વાસમાં પરિપકવ અને વૃદ્ધિ પામવા મદદ કરે છે.
- જૂનો કરારમાં "મુશ્કેલી"નો ઉપયોગ પણ ન્યાયનો ઉલ્લેખ કર્યો છે કે જે લોક જૂથો પર આવ્યો હતો કે જે અનૈતિક હતા અને ઈશ્વરને નકારતા હતા.
અનુવાદ માટેનાં સૂચનો:
- "મુશ્કેલી" અથવા "મુશ્કેલીઓ" શબ્દનું ભાષાંતર "ભય" અથવા "દુઃખદાયક વસ્તુઓ" અથવા "સતાવણી" અથવા "મુશ્કેલ અનુભવો" અથવા "તકલીફ" તરીકે કરી શકાય છે.
- શબ્દ "મુશ્કેલીમાં" શબ્દ અથવા શબ્દસમૂહ સાથે અનુવાદિત થઈ શકે છે, જેનો અર્થ છે "દુઃખ સહન કરવું" અથવા "ભયંકર તકલીફ અનુભવવી" અથવા "ચિંતિત" અથવા "બેચેન" અથવા "પીડિત" અથવા "ભયભીત" અથવા "વ્યગ્ર".
- "તેણીને મુશ્કેલી આપશો નહીં" નું ભાષાંતર પણ "તેણીને ચિંતા ન આપશો" અથવા "તેણીની ટીકા કરશો નહીં."
- "મુશ્કેલીનો દિવસ" અથવા "મુશ્કેલીનો સમય" નો અનુવાદ પણ "જ્યારે તમને તકલીફ થાય છે" અથવા "જ્યારે મુશ્કેલ બાબતો તમને થાય છે" અથવા "જ્યારે ઈશ્વર દુ: ખદાયી બાબતો માટે કારણ બને છે."
- "તકલીફ ઊભી કરવી" અથવા "મુશ્કેલી લાવવી"નું ભાષાંતર કરવાની રીતોમાં "દુ: ખદાયી બાબતોનું કારણ બનવું " અથવા "મુશ્કેલીઓ ઊભી કરવી" અથવા "તેમને ખૂબ જ મુશ્કેલ બાબતોનો અનુભવ કરવો" શામેલ હોઈ શકે છે.
(આ પણ જુઓ: વ્યથિત, સતાવવું)
બાઇબલના સંદર્ભો:
- 1 રાજાઓ 18:18-19
- 2 કાળવૃતાંત 25:18-19
- લુક 24:38-40
- માથ્થી 24:6-8
- માથ્થી 26:36-38
શબ્દ માહિતી:
- Strong's: H205, H598, H926, H927, H928, H1204, H1205, H1607, H1644, H1804, H1993, H2000, H2113, H2189, H2560, H2960, H4103, H5590, H5753, H5916, H5999, H6031, H6040, H6470, H6696, H6862, H6869, H6887, H7264, H7267, H7451, H7481, H7489, H7515, H7561, H8513, G387, G1298, G1613, G1776, G2346, G2347, G2350, G2360, G2553, G2873, G3636, G3926, G3930, G3986, G4423, G4660, G5015, G5016, G5182
મૂર્ખ, મૂર્ખો, નાદાન, મૂર્ખાઈ
વ્યાખ્યા:
“મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે મોટેભાગે ખોટી પસંદગીઓ, ખાસ કરીને કે જ્યારે તે (આજ્ઞાનું) અનાદર કરવાનું પસંદ કરે છે.
“નાદાન” શબ્દ વ્યક્તિ અથવા વર્તન કે જે જ્ઞાની નથી, તેનું વર્ણન કરે છે.
- બાઈબલમાં, સામાન્ય રીતે “મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે દેવને માનતો અથવા આજ્ઞા પાળતો નથી, તેને દર્શાવે છે.
તેને જ્ઞાની માણસ સાથે સરખાવવામાં આવ્યો છે કે જે દેવમાં વિશ્વાસ કરે છે અને દેવની આજ્ઞા પાળે છે.
- ગીતશાસ્ત્રમાં, દાઉદ મૂર્ખ વ્યક્તિનું વર્ણન કરે છે કે જે દેવમાં વિશ્વાસ કરતો નથી, તે દેવના સર્જનના બધાંજ પુરાવાને અવગણે છે.
- જૂના કરારનું નીતિવચનનું પુસ્તક પણ મૂર્ખ શું છે અથવા નાદાન વ્યક્તિ કેવી હોય છે, તેના ઘણા વર્ણનો આપે છે.
- “મૂર્ખાઈ” શબ્દ એક ક્રિયા છે કે જે જ્ઞાની નથી, કારણકે તે દેવની ઈચ્છાની વિરુદ્ધ છે.
મોટેભાગે “મૂર્ખાઈ” શબ્દના અર્થ માં કઈક કે જે હાસ્યસ્પદ અથવા ખતરનાક છે, તેનો પણ સમાવેશ થાય છે.
ભાષાંતરના સૂચનો:
- “મૂર્ખ” શબ્દનું ભાષાંતર, “નાદાન વ્યક્તિ” અથવા “અજ્ઞાની વ્યક્તિ” અથવા “મૂર્ખ વ્યક્તિ” અથવા “પાપી વ્યક્તિ” તરીકે કરી શકાય છે.
- “નાદાન” શબ્દના ભાષાંતરમાં “સમજણનો અભાવ” અથવા “અજ્ઞાની” અથવા “મૂર્ખ” તેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
(આ પણ જુઓ: ડાહ્યું)
બાઈબલની કલમો:
- સભાશિક્ષક 1:16-18
- એફેસી 5:15-17
- ગલાતી 3:1-3
- ઉત્પત્તિ 31:26-28
- માથ્થી 7:26-27
- માથ્થી 25:7-9
- નીતિવચન 13:15-16
- ગીતશાસ્ત્ર 49:12-13
શબ્દ માહિતી:
- Strong's: H191, H196, H200, H1198, H1984, H2973, H3684, H3687, H3688, H3689, H3690, H5034, H5036, H5039, H5528, H5529, H5530, H5531, H6612, H8417, H8602, H8604, G453, G454, G781, G801, G877, G878, G3471, G3472, G3473, G3474, G3912
મૂર્ખ, મૂર્ખો, નાદાન, મૂર્ખાઈ
વ્યાખ્યા:
“મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે મોટેભાગે ખોટી પસંદગીઓ, ખાસ કરીને કે જ્યારે તે (આજ્ઞાનું) અનાદર કરવાનું પસંદ કરે છે.
“નાદાન” શબ્દ વ્યક્તિ અથવા વર્તન કે જે જ્ઞાની નથી, તેનું વર્ણન કરે છે.
- બાઈબલમાં, સામાન્ય રીતે “મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે દેવને માનતો અથવા આજ્ઞા પાળતો નથી, તેને દર્શાવે છે.
તેને જ્ઞાની માણસ સાથે સરખાવવામાં આવ્યો છે કે જે દેવમાં વિશ્વાસ કરે છે અને દેવની આજ્ઞા પાળે છે.
- ગીતશાસ્ત્રમાં, દાઉદ મૂર્ખ વ્યક્તિનું વર્ણન કરે છે કે જે દેવમાં વિશ્વાસ કરતો નથી, તે દેવના સર્જનના બધાંજ પુરાવાને અવગણે છે.
- જૂના કરારનું નીતિવચનનું પુસ્તક પણ મૂર્ખ શું છે અથવા નાદાન વ્યક્તિ કેવી હોય છે, તેના ઘણા વર્ણનો આપે છે.
- “મૂર્ખાઈ” શબ્દ એક ક્રિયા છે કે જે જ્ઞાની નથી, કારણકે તે દેવની ઈચ્છાની વિરુદ્ધ છે.
મોટેભાગે “મૂર્ખાઈ” શબ્દના અર્થ માં કઈક કે જે હાસ્યસ્પદ અથવા ખતરનાક છે, તેનો પણ સમાવેશ થાય છે.
ભાષાંતરના સૂચનો:
- “મૂર્ખ” શબ્દનું ભાષાંતર, “નાદાન વ્યક્તિ” અથવા “અજ્ઞાની વ્યક્તિ” અથવા “મૂર્ખ વ્યક્તિ” અથવા “પાપી વ્યક્તિ” તરીકે કરી શકાય છે.
- “નાદાન” શબ્દના ભાષાંતરમાં “સમજણનો અભાવ” અથવા “અજ્ઞાની” અથવા “મૂર્ખ” તેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
(આ પણ જુઓ: ડાહ્યું)
બાઈબલની કલમો:
- સભાશિક્ષક 1:16-18
- એફેસી 5:15-17
- ગલાતી 3:1-3
- ઉત્પત્તિ 31:26-28
- માથ્થી 7:26-27
- માથ્થી 25:7-9
- નીતિવચન 13:15-16
- ગીતશાસ્ત્ર 49:12-13
શબ્દ માહિતી:
- Strong's: H191, H196, H200, H1198, H1984, H2973, H3684, H3687, H3688, H3689, H3690, H5034, H5036, H5039, H5528, H5529, H5530, H5531, H6612, H8417, H8602, H8604, G453, G454, G781, G801, G877, G878, G3471, G3472, G3473, G3474, G3912
મૂલ્યવાન
તથ્યો:
“મૂલ્યવાન” શબ્દ એવા લોકો કે વસ્તુઓનો ઉલ્લેખ કરે છે જેઓને ઘણા કિંમતી ગણવામાં આવે છે.
- “મૂલ્યવાન પાષાણ” અથવા તો “મૂલ્યવાન રત્ન” શબ્દો એવા પથ્થરો કે ખનિજોનો ઉલ્લેખ કરે છે કે જેઓ રંગબેરંગી હોય અથવા તો જેઓમાં સુંદરતા કે ઉપયોગીતાના ગુણલક્ષણો હોય.
- હીરા, માણેક તથા નીલમણિ મૂલ્યવાન પાષાણોના ઉદાહરણો છે.
- સોનું અને ચાંદીને “મૂલ્યવાન ધાતુઓ” કહેવામાં આવે છે.
- યહોવા કહે છે કે તેમના લોકો તેમની નજરમાં “મૂલ્યવાન” છે (યશાયા 43:4).
- પિતરે લખ્યું કે નમ્ર તથા શાંત સ્વભાવ ઈશ્વરની નજરમાં મૂલ્યવાન છે (1 પિતર 3:4).
- આ શબ્દનો અનુવાદ “કિંમતી” અથવા તો “ખૂબ જ વહાલું” અથવા તો “વહાલસોયું” અથવા તો “મહામૂલું” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: સોનુ, ચાંદી/રૂપું)
બાઇબલના સંદર્ભો:
- 2 પિતર 1:1-2
- પ્રેરિતોનાં કૃત્યો 20:22-24
- દાનિયેલ 11:38-39
- યર્મિયાનો વિલાપ 1:7
- લૂક 7:2-5
- ગીતશાસ્ત્ર 36:7-9
શબ્દ માહિતી:
- Strong's: H68, H1431, H2532, H2580, H2667, H2896, H3357, H3365, H3366, H3368, H4022, H4030, H4261, H4262, H4901, H5238, H8443, G927, G1784, G2472, G4185, G4186, G5092, G5093
મૂસા
તથ્યો:
મૂસા 40 વર્ષ સુધી ઇઝરાયલી લોકો માટે એક પ્રબોધક અને આગેવાન હતો.
- જ્યારે મૂસા બાળક હતો ત્યારે, તેના માતાપિતાએ ઈજીપ્તના રાજા ફારુનથી સંતાડવા તેને નાઇલ નદીના બરુઓમાં એક ટોપલીમાં મૂક્યો હતો.
મૂસાની બહેન મરિયમે ત્યાં તેનું ધ્યાન રાખ્યું હતું.
જ્યારે ફારુનની દીકરીએ તેને જોયો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા મહેલમાં લઈ ગઈ ત્યારે મૂસાનું જીવન બચી ગયું હતું.
- ઈશ્વરે ઈજીપ્તની ગુલામીમાંથી ઇઝરાયલીઓને મુક્ત કરવા અને તેઓને વચનના દેશમાં દોરી જવા મૂસાને પસંદ કર્યો.
- ઇઝરાયલીઓ ઈજીપ્તમાંથી નીકળ્યા ત્યાર બાદ અને જ્યારે તેઓ અરણ્યમાં ભટકતા હતા ત્યારે, ઈશ્વરે મૂસાને દશ આજ્ઞાઓ લખેલી પથ્થરની બે પાટીઓ આપી હતી.
- તેના જીવનના અંત ભાગમાં, મૂસાએ વચનનો દેશ જોયો પણ તે તેમાં રહેવા પામ્યો નહિ કારણકે તેણે ઈશ્વરનું આજ્ઞાપાલન કર્યું નહિ.
(આ પણ જૂઓ: મરિયમ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 7:20-21
- પ્રેરિતોના કૃત્યો 7:29-30
- નિર્ગમન 2:9-10
- નિર્ગમન 9:1-4
- માથ્થી 17:3-4
- રોમનો 5:14-15
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 9:12 એક દિવસે જ્યારે મૂસા ઘેટાં ચરાવતો હતો ત્યારે, તેણે એક બળતું ઝાડવું જોયું.
- 12:5 મૂસાએ ઇઝરાયલીઓને કહ્યું, “ડરશો નહિ!
ઈશ્વર તમારા માટે લડશે અને તમને બચાવશે.”
- 12:7 ઈશ્વરે મૂસાને તેનો હાથ સમુદ્ર પર લાંબો કરવા અને પાણીના બે ભાગ કરવા કહ્યું.
- 12:12 જ્યારે ઇઝરાયલીઓએ જોયું કે ઈજીપ્તના લોકો મરી ગયા છે ત્યારે, તેઓએ ઈશ્વર પર ભરોસો કર્યો અને માન્યું કે મૂસા ઈશ્વરનો પ્રબોધક હતો.
- 13:7 પછી ઈશ્વરે આ દસ આજ્ઞાઓ બે પથ્થરની પાટીઓ પર લખી અને મૂસાને આપી.
શબ્દ માહિતી:
- Strong's: H4872, H4873, G3475
મૂસા
તથ્યો:
મૂસા 40 વર્ષ સુધી ઇઝરાયલી લોકો માટે એક પ્રબોધક અને આગેવાન હતો.
- જ્યારે મૂસા બાળક હતો ત્યારે, તેના માતાપિતાએ ઈજીપ્તના રાજા ફારુનથી સંતાડવા તેને નાઇલ નદીના બરુઓમાં એક ટોપલીમાં મૂક્યો હતો.
મૂસાની બહેન મરિયમે ત્યાં તેનું ધ્યાન રાખ્યું હતું.
જ્યારે ફારુનની દીકરીએ તેને જોયો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા મહેલમાં લઈ ગઈ ત્યારે મૂસાનું જીવન બચી ગયું હતું.
- ઈશ્વરે ઈજીપ્તની ગુલામીમાંથી ઇઝરાયલીઓને મુક્ત કરવા અને તેઓને વચનના દેશમાં દોરી જવા મૂસાને પસંદ કર્યો.
- ઇઝરાયલીઓ ઈજીપ્તમાંથી નીકળ્યા ત્યાર બાદ અને જ્યારે તેઓ અરણ્યમાં ભટકતા હતા ત્યારે, ઈશ્વરે મૂસાને દશ આજ્ઞાઓ લખેલી પથ્થરની બે પાટીઓ આપી હતી.
- તેના જીવનના અંત ભાગમાં, મૂસાએ વચનનો દેશ જોયો પણ તે તેમાં રહેવા પામ્યો નહિ કારણકે તેણે ઈશ્વરનું આજ્ઞાપાલન કર્યું નહિ.
(આ પણ જૂઓ: મરિયમ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 7:20-21
- પ્રેરિતોના કૃત્યો 7:29-30
- નિર્ગમન 2:9-10
- નિર્ગમન 9:1-4
- માથ્થી 17:3-4
- રોમનો 5:14-15
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 9:12 એક દિવસે જ્યારે મૂસા ઘેટાં ચરાવતો હતો ત્યારે, તેણે એક બળતું ઝાડવું જોયું.
- 12:5 મૂસાએ ઇઝરાયલીઓને કહ્યું, “ડરશો નહિ!
ઈશ્વર તમારા માટે લડશે અને તમને બચાવશે.”
- 12:7 ઈશ્વરે મૂસાને તેનો હાથ સમુદ્ર પર લાંબો કરવા અને પાણીના બે ભાગ કરવા કહ્યું.
- 12:12 જ્યારે ઇઝરાયલીઓએ જોયું કે ઈજીપ્તના લોકો મરી ગયા છે ત્યારે, તેઓએ ઈશ્વર પર ભરોસો કર્યો અને માન્યું કે મૂસા ઈશ્વરનો પ્રબોધક હતો.
- 13:7 પછી ઈશ્વરે આ દસ આજ્ઞાઓ બે પથ્થરની પાટીઓ પર લખી અને મૂસાને આપી.
શબ્દ માહિતી:
- Strong's: H4872, H4873, G3475
મોઆબ, મોઆબી, મોઆબી સ્ત્રી
તથ્યો:
મોઆબ લોતની મોટી દીકરીનો પુત્ર હતો.
તે અને તેનું કુટુંબ જ્યાં રહેતા હતા તે પ્રદેશનું નામ પણ મોઆબ પડ્યું.
“મોઆબી” શબ્દ એવી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે મોઆબની વંશજ છે અથવા તો જે મોઆબ દેશમાં રહે છે.
- મોઆબ દેશ ખારા સમુદ્રની પૂર્વ દિશાએ આવેલો હતો.
- મોઆબ બેથલેહેમ નગરથી દક્ષિણ-પૂર્વ દિશાએ આવેલું હતું કે જ્યાં નાઓમીનું કુટુંબ થોડો સમય રહ્યું.
- બેથલેહેમના લોકોએ રૂથને “મોઆબી” સ્ત્રી કહી કારણકે તે મોઆબ દેશની સ્ત્રી હતી.
આ શબ્દનો અનુવાદ “મોઆબની સ્ત્રી” અથવા તો “મોઆબ દેશની સ્ત્રી” તરીકે પણ થઈ શકે.
(આ પણ જૂઓ: બેથલેહેમ, યહૂદિયા, લોત, રૂથ, ખારો સમુદ્ર)
બાઇબલના સંદર્ભો:
- ઉત્પત્તિ 19:36-38
- ઉત્પત્તિ 36:34-36
- રૂથ 1:1-2
- રૂથ 1:22
શબ્દ માહિતી:
યજ્ઞવેદી, યજ્ઞવેદીઓ
વ્યાખ્યા:
યજ્ઞવેદી એક ઉભું કરેલું માળખું હતું કે જ્યાં ઈઝરાએલીઓ દેવને પશુઓ અને અનાજનું દહન તરીકે અર્પણ કરતા.
- બાઈબલના સમયો દરમ્યાન સાદી યજ્ઞવેદીઓ બાંધવામાં આવતી, જેમકે નીચે માટી ચણી તેના ઉપર મોટા પથ્થરોને વારાફરતી સાવચેતીથી મુકવામાં આવતા જેથી વેદી હાલે નહિ.
- ઘણી ડબ્બા-આકારની વિશિષ્ઠ યજ્ઞવેદીઓ બનાવવામાં આવતી, જેને લાકડા પર સોનું, પિત્તળ અથવા કાંસાની ધાતુઓથી મઢી લેવામાં આવતી હતી.
- બીજા જૂથના લોકો જેઓ ઈઝરાએલીઓની નજીક રહેતા હતા, તેઓએ પણ તેમના દેવોને બલિદાન ચઢાવવા યજ્ઞવેદીઓ બાંધતા.
(આ પણ જુઓ: ધૂપનીવેદી, દેવ, ખાદ્યાર્પણ, બલિદાન)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 8:20-22
- ઉત્પત્તિ 22:9-10
- યાકુબ 2:21-24
- લૂક 11:49-51
- માથ્થી 5:23-24
- માથ્થી 23:18-19
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 3:14 વહાણમાંથી બહાર નિકળ્યા બાદ નુહે વેદી બાંધી અને બલિદાન માટે ઉપયોગ કરી શકાય, તેવાં થોડા એક પ્રાણીઓનું બલિદાન આપ્યું.
- 5:8 જયારે તેઓ બલિદાનની જગ્યાએ પહોંચ્યા, ઈબ્રાહિમે તેના દિકરા ઈસહાકને બાંધીને વેદી ઉપર સુવાડયો.
- 13:9 યાજક પશુને મારીને વેદી ઉપર તેનું દહન કરતા.
- 16:6 તેણે (ગિદિઓને) મુર્તિઓની વેદી ની નજીકમાં નવી વેદી બાંધી દેવને અર્પણ કરી અને તેની ઉપર દેવ માટે બલિદાન ચઢાવ્યા.
શબ્દ માહિતી:
- Strong's: H741, H2025, H4056, H4196, G1041, G2379
યબૂસ, યબૂસી, યબૂસીઓ
સત્યો:
યબૂસીઓ એ કનાનની ભૂમિમાં રહેનારા લોકોનું એક જૂથ હતું.
તેઓ હામના દીકરા કનાનથી ઉતરી આવેલા હતા.
યબૂસીઓ એ યબૂસ શહેરમાં રહેતા હતા, અને જયારે દાઉદ રાજાએ તેને જીતી લીધું ત્યારે તેનું નામ બદલીને યરૂશાલેમ રાખવામાં આવ્યું.
- શાલેમનો રાજા, મલ્ખીસદેખ કદાચ મૂળ યબૂસી હતો.
(આ પણ જુઓ: કનાન, હામ, યરૂશાલેમ, મલ્ખીસેદેક)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 1:13-16
- 1 રાજા 9:20-21
- નિર્ગમન 3:7-8
- ઉત્પત્તિ 10:15-18
- યહોશુઆ 3:9-11
- ન્યાયાધીશો 1:20-21
શબ્દ માહિતી:
યરીખો
સત્યો:
યરીખો કનાનની ભૂમિમાંનું શક્તિશાળી શહેર હતું.
તે યર્દન નદીની પૂર્વે અને ખારા સમુદ્રની ઉત્તરે આવેલું હતું.
- કનાનીઓની એ કર્યું તેમ, યરીખોના લોકો પણ જૂઠા દેવોની પૂજા કરતા.
- યરીખો એ કનાનની ભૂમિનું પ્રથમ શહેર હતું કે જેને દેવે ઈઝરાએલીઓને કબ્જે કરવા માટે કહ્યું.
- જયારે યહોશુઆ યરીખોની વિરુદ્ધ ઈઝરાએલીઓને આગેવાની આપતો હતો, ત્યારે તે શહેરને હરાવવા માટે દેવે મહાન ચમત્કાર કરી તેઓને મદદ કરી.
(આ પણ જુઓ: કનાન, યર્દન નદી, યહોશુઆ, ચમત્કાર, ખારો સમુદ્ર)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 6:77-79
- યહોશુઆ 2:1-3
- યહોશુઆ 7:2-3
- લૂક 18:35-37
- માર્ક 10:46-48
- માથ્થી 20:29-31
- ગણના 22:1
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 15:1 યહોશુઆએ બે જાસૂસોને કનાનીઓના શહેર યરીખો માં મોકલ્યા.
- 15:3 લોકોએ યર્દન નદી પાર કર્યા પછી, દેવે યહોશુઆને યરીખો ના શક્તિશાળી શહેર ઉપર કેવી રીતે હુમલો કરવો તે કહ્યું.
- 15:5 ત્યારબાદ યરીખો ની આસપાસની દિવાલો તૂટી પડી. દેવે આજ્ઞા આપી તે પ્રમાણે ઈઝરાએલીઓએ શહેરમાંના સર્વસ્વનો નાશ કર્યો.
શબ્દ માહિતી:
યરીખો
સત્યો:
યરીખો કનાનની ભૂમિમાંનું શક્તિશાળી શહેર હતું.
તે યર્દન નદીની પૂર્વે અને ખારા સમુદ્રની ઉત્તરે આવેલું હતું.
- કનાનીઓની એ કર્યું તેમ, યરીખોના લોકો પણ જૂઠા દેવોની પૂજા કરતા.
- યરીખો એ કનાનની ભૂમિનું પ્રથમ શહેર હતું કે જેને દેવે ઈઝરાએલીઓને કબ્જે કરવા માટે કહ્યું.
- જયારે યહોશુઆ યરીખોની વિરુદ્ધ ઈઝરાએલીઓને આગેવાની આપતો હતો, ત્યારે તે શહેરને હરાવવા માટે દેવે મહાન ચમત્કાર કરી તેઓને મદદ કરી.
(આ પણ જુઓ: કનાન, યર્દન નદી, યહોશુઆ, ચમત્કાર, ખારો સમુદ્ર)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 6:77-79
- યહોશુઆ 2:1-3
- યહોશુઆ 7:2-3
- લૂક 18:35-37
- માર્ક 10:46-48
- માથ્થી 20:29-31
- ગણના 22:1
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 15:1 યહોશુઆએ બે જાસૂસોને કનાનીઓના શહેર યરીખો માં મોકલ્યા.
- 15:3 લોકોએ યર્દન નદી પાર કર્યા પછી, દેવે યહોશુઆને યરીખો ના શક્તિશાળી શહેર ઉપર કેવી રીતે હુમલો કરવો તે કહ્યું.
- 15:5 ત્યારબાદ યરીખો ની આસપાસની દિવાલો તૂટી પડી. દેવે આજ્ઞા આપી તે પ્રમાણે ઈઝરાએલીઓએ શહેરમાંના સર્વસ્વનો નાશ કર્યો.
શબ્દ માહિતી:
યર્દન નદી, યર્દન
સત્યો:
યર્દન નદી કે જે ઉત્તરથી દક્ષિણમાં વહે છે, અને જમીનની પૂર્વ સીમા બનાવે છે કે જે કનાન કહેવાતો હતો.
આજે, યર્દન નદી ઈઝરાએલને તેના પશ્ચિમ યર્દનથી તેના પૂર્વ યર્દનને અલગ કરે છે.
- યર્દન નદી ગાલીલના સમુદ્રમાંથી વહે છે અને પછી મૃત સમુદ્રમાં ખાલી થાય છે.
- જયારે યહોશુઆ ઈઝરાએલીઓને કનાનમાં જવા આગેવાની આપતો હતો ત્યારે તેઓને યર્દન નદી પાર કરીને જવું પડ્યું
તેને સામાન્ય રીતે પાર કરવી ખૂબ અઘરી હતી, પણ દેવે નદીને ચમત્કારીક રીતે વહેતી બંધ કરી જેથી તેઓ ચાલીને નદીના પટ પાર કરી શક્યા.
- બાઈબલમાં યર્દન નદીને મોટેભાગે “યર્દન” તરીકે દર્શાવવામાં આવી છે.
(આ પણ જુઓ: કનાન, ખારો સમુદ્ર, ગાલીલનો સમુદ્ર)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 32:9-10
- યોહાન 1:26-28
- યોહાન 3:25-26
- લૂક 3:3
- માથ્થી 3:4-6
- માથ્થી 3:13-15
- માથ્થી 4:14-16
- માથ્થી 19:1-2
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- __15:2__વચનની ભૂમિમાં પ્રવેશ કરવા માટે ઈઝરાએલીઓને યર્દન નદી પાર કરવી પડી.
- __15:3__લોકોએ યર્દન નદી પાર કર્યા પછી, દેવે યહોશુઆને યરીખોના શક્તિશાળી શહેર પર કેવી રીતે હુમલો કરવો તે જણાવ્યું.
- 19:14 એલિશાએ (નામાનને) પોતે _યર્દન નદી_માં સાત વખત ડૂબકી મારવા કહ્યું.
શબ્દ માહિતી:
યર્દન નદી, યર્દન
સત્યો:
યર્દન નદી કે જે ઉત્તરથી દક્ષિણમાં વહે છે, અને જમીનની પૂર્વ સીમા બનાવે છે કે જે કનાન કહેવાતો હતો.
આજે, યર્દન નદી ઈઝરાએલને તેના પશ્ચિમ યર્દનથી તેના પૂર્વ યર્દનને અલગ કરે છે.
- યર્દન નદી ગાલીલના સમુદ્રમાંથી વહે છે અને પછી મૃત સમુદ્રમાં ખાલી થાય છે.
- જયારે યહોશુઆ ઈઝરાએલીઓને કનાનમાં જવા આગેવાની આપતો હતો ત્યારે તેઓને યર્દન નદી પાર કરીને જવું પડ્યું
તેને સામાન્ય રીતે પાર કરવી ખૂબ અઘરી હતી, પણ દેવે નદીને ચમત્કારીક રીતે વહેતી બંધ કરી જેથી તેઓ ચાલીને નદીના પટ પાર કરી શક્યા.
- બાઈબલમાં યર્દન નદીને મોટેભાગે “યર્દન” તરીકે દર્શાવવામાં આવી છે.
(આ પણ જુઓ: કનાન, ખારો સમુદ્ર, ગાલીલનો સમુદ્ર)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 32:9-10
- યોહાન 1:26-28
- યોહાન 3:25-26
- લૂક 3:3
- માથ્થી 3:4-6
- માથ્થી 3:13-15
- માથ્થી 4:14-16
- માથ્થી 19:1-2
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- __15:2__વચનની ભૂમિમાં પ્રવેશ કરવા માટે ઈઝરાએલીઓને યર્દન નદી પાર કરવી પડી.
- __15:3__લોકોએ યર્દન નદી પાર કર્યા પછી, દેવે યહોશુઆને યરીખોના શક્તિશાળી શહેર પર કેવી રીતે હુમલો કરવો તે જણાવ્યું.
- 19:14 એલિશાએ (નામાનને) પોતે _યર્દન નદી_માં સાત વખત ડૂબકી મારવા કહ્યું.
શબ્દ માહિતી:
યર્મિયા
સત્યો:
યર્મિયા યહૂદાના રાજ્યમાં દેવનો પ્રબોધક હતો.
યર્મિયાના જૂના કરારના પુસ્તકમાં તેની ભવિષ્યવાણીઓનો સમાવેશ થયેલો છે.
- બીજા પ્રબોધકોની જેમ, યર્મિયાએ વારંવાર ઈઝરાએલના લોકોને ચેતવણી આપી કે દેવ તેઓને તેમના પાપોની શિક્ષા કરવા જઈ રહ્યો હતો.
- યર્મિયા એ ભવિષ્યવાણી કરી કે બાબિલોનીઓ યરૂશાલેમને બંદી બનાવશે, જેથી યહૂદાના કેટલાક લોકો ક્રોધિત થયા.
જેથી તેઓએ તેને ઊંડા, સૂકા ટાંકામાં નાંખ્યો અને મરવા માટે ત્યાં છોડી દીધો.
પણ યહૂદાના રાજાએ તેના નોકરોને યર્મિયાને ટાંકામાંથી બહાર કાઢવા આદેશ આપ્યો.
- યર્મિયાએ જયારે તેના લોકોની પીડા અને બળવાખોરી જોઈ તેણે પોતાની ઊંડી નિરાશાને દર્શાવવા લખ્યું કે તેની આંખો “આંસુઓનો ઝરો” હોત તો કેવું સારું, (તેવી ઈચ્છા વ્યક્ત કરી).
(આ પણ જુઓ: બાબિલોન, યહુદા, પ્રબોધક, બળવો કરવો, સહન કરવું, ટાંકણ)
બાઈબલની કલમો:
- 2કાળવૃતાંત 35:25
- યર્મિયા 1:1-3
- યર્મિયા 11:1-2
- માથ્થી 2:17-18
- માથ્થી 16:13-16
- માથ્થી 27:9-10
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 19:17 એક વખત, યર્મિયા ને સુકા ટાંકામાં નાખવામાં આવ્યો અને ત્યાં મરવા માટે છોડી દેવામાં આવ્યો હતો. તે માટીમાં ખુંપાયી ગયો કે જે ટાંકાનું તળિયું હતું, પણ પછી રાજાને તેના ઉપર દયા આવી અને તે મૃત્યુ પામે તે પહેલા યર્મિયા ને ટાંકામાંથી બહાર ખેંચી કાઢવા તેના ચાકરોને આદેશ આપ્યો.
- 21:5 યર્મિયા પ્રબોધક દ્વારા, દેવે વચન આપ્યું કે તે નવો કરાર કરશે, પણ દેવે ઈઝરાએલ સાથે સિનાઈ પર કરાર કર્યો હતો તેવો નહીં હોય.
શબ્દ માહિતી:
યશાયા
સત્યો:
યશાયા એ દેવનો પ્રબોધક હતો કે જેણે યહૂદાના ચાર રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી:
ઉઝિઝયા, યોથામ, આહાઝ, અને હિઝિક્યા.
- હિઝિક્યા રાજાના રાજ્ય દરમ્યાન, જયારે આશ્શૂરીઓએ શહેર પર હુમલો કર્યો હતો, તે સમય દરમ્યાન તે યરૂશાલેમમાં રહેતો હતો.
- યશાયાનું પુસ્તક બાઈબલના જૂના કરારનું પુસ્તકોમાનું એક મુખ્ય પુસ્તક છે.
- યશાયા એ ઘણી ભવિષ્યવાણીઓ કરી કે જે જયારે હજુ તે જીવતો હતો ત્યારે સાચી પડી.
- ખાસ કરીને યશાયા મસીહા વિશેની લખેલી ભવિષ્યવાણીઓ માટે જાણીતો છે, તે જયારે ઈસુ પૃથ્વી ઉપર રહેતો હતો ત્યારે 700 વર્ષો પછી તેઓ સાચી પડી.
- ઈસુ અને તેના શિષ્યોએ લોકોને મસીહા વિશે શીખવવા માટે યશાયાની ભવિષ્યવાણીઓ ટાંકી (અવતરણ ટાંકયા).
(આ પણ જુઓ: આહાઝ, આશ્શૂર, ખ્રિસ્ત, હિઝિક્યા, યોથામ, યહુદા, પ્રબોધક, ઉઝિઝયા)
બાઈબલની કલમો:
- 2 રાજા 20:1-3
- પ્રેરિતો 28:25-26
- યશાયા 1:1
- લૂક 3:4
- માર્ક 1:1-3
- માર્ક 7:6-7
- માથ્થી 3:1-3
- માથ્થી 4:14-16
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 21:9 યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી કે મસીહા કુંવારીથી જન્મ લેશે.
- 21:10 યશાયા પ્રબોધકે જણાવ્યું કે મસીહા ગાલીલમાં રહેશે, ભંગિત હ્રદયવાળા લોકોને દિલાસો આપશે, અને બંદીવાનોને મુક્તિ જાહેર કરશે અને કેદીઓને છોડાવશે.
- 21:11 _યશાયા _ પ્રબોધકે એ પણ ભવિષ્યવાણી કરી કે મસીહા પર વિના કારણ દ્વેષ કરવામાં અને નકારવામાં આવશે.
- 21:12 યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી કે લોકો મસીહા ઉપર થૂંકશે, મશ્કરી કરશે અને મારશે.
- 26:2 તેઓએ તેને (ઈસુને) યશાયા પ્રબોધકનું ઓળિયું આપ્યું જેથી તે તે તેમાંથી વાંચે.
ઈસુએ ઓળિયું ખોલ્યું અને લોકો માટે તેનો ભાગ વાંચ્યો.
- 45:8 જયારે ફિલિપ રથની પાસે ગયો ત્યારે ઈથોપિયાનો (હબશી) યશાયા પ્રબોધકનું લખેલું પુસ્તક વાંચતો સાંભળ્યો.
- 45:10 યશાયા એ ઈસુ વિશે જે લખ્યું હતું, તે ફિલિપે ઈથોપિયના (હબશીને) સમજાવ્યું.
શબ્દ માહિતી:
યહૂદા
સત્યો:
યહૂદા એ યાકૂબના મોટા દીકરાઓમાંનો એક હતો.
લેઆહ તેની માતા હતી.
તેના વંશજોને “યહૂદાનું કુળ” કહેવામાં આવતા હતા.
તે યહૂદા હતો કે જેણે તેના ભાઈઓને તેઓના નાના ભાઈ યૂસફને ઊંડા ખાડામાં તેને મરવા માટે છોડવાને બદલે ગુલામ તરીકે વેચી દેવા કહ્યું.
- દાઉદ રાજા અને તેના પછીના બધાજ રાજાઓ યહૂદાના વંશજો હતા.
ઈસુ, પણ યહૂદાનો વંશજ હતો.
- જયારે સુલેમાનના રાજનો અંત આવ્યો અને ઈઝરાએલ રાષ્ટ્રના ભાગલા પડ્યા, ત્યારે દક્ષિણનું રાજ્ય યહૂદાનું રાજ્ય બન્યું.
- નવા કરારના પ્રકટીકરણના પુસ્તકમાં, ઈસુને “યહૂદાનો સિંહ” કહેવામાં આવ્યો છે.
- “યહૂદી” અને “યહૂદિયા” શબ્દો “યહૂદાના” નામ પરથી આવે છે.
(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહુદા, યહૂદિયા, ઇસ્રાએલના બાર કુળ)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 2:1-2
- 1 રાજા 1:9-10
- ઉત્પત્તિ 29:35
- ઉત્પત્તિ 38:1-2
- લૂક 3:33-35
- રૂથ 1:1-2
શબ્દ માહિતી:
યહૂદા
સત્યો:
યહૂદા એ યાકૂબના મોટા દીકરાઓમાંનો એક હતો.
લેઆહ તેની માતા હતી.
તેના વંશજોને “યહૂદાનું કુળ” કહેવામાં આવતા હતા.
તે યહૂદા હતો કે જેણે તેના ભાઈઓને તેઓના નાના ભાઈ યૂસફને ઊંડા ખાડામાં તેને મરવા માટે છોડવાને બદલે ગુલામ તરીકે વેચી દેવા કહ્યું.
- દાઉદ રાજા અને તેના પછીના બધાજ રાજાઓ યહૂદાના વંશજો હતા.
ઈસુ, પણ યહૂદાનો વંશજ હતો.
- જયારે સુલેમાનના રાજનો અંત આવ્યો અને ઈઝરાએલ રાષ્ટ્રના ભાગલા પડ્યા, ત્યારે દક્ષિણનું રાજ્ય યહૂદાનું રાજ્ય બન્યું.
- નવા કરારના પ્રકટીકરણના પુસ્તકમાં, ઈસુને “યહૂદાનો સિંહ” કહેવામાં આવ્યો છે.
- “યહૂદી” અને “યહૂદિયા” શબ્દો “યહૂદાના” નામ પરથી આવે છે.
(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહુદા, યહૂદિયા, ઇસ્રાએલના બાર કુળ)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 2:1-2
- 1 રાજા 1:9-10
- ઉત્પત્તિ 29:35
- ઉત્પત્તિ 38:1-2
- લૂક 3:33-35
- રૂથ 1:1-2
શબ્દ માહિતી:
યહૂદિયા
સત્યો:
“યહૂદિયા” શબ્દ પ્રાચીન ઈઝરાએલની ભૂમિના એક વિસ્તારને દર્શાવે છે.
તેનો ઉપયોગ કેટલીક વાર સાંકડા સંદર્ભમાં અને અમુકવાર તેને બહોળા સંદર્ભમાં કરવામાં આવ્યો છે.
- કેટલીક વાર “યહૂદિયા”ને ફક્ત પશ્ચિમના મૃત સમુદ્રના પ્રાચીન ઈઝરાએલના દક્ષિણ ભાગમાં આવેલા પ્રાંતને દર્શાવવા માટે સાંકડા સંદર્ભમાં વાપરવામાં આવ્યું છે.
કેટલાક ભાષાંતરોમાં, આ પ્રાંતને “યહૂદા” કહેવામાં આવે છે.
- અન્ય સમયોમાં, “યહૂદિયા”નું બહોળો સંદર્ભ છે અને તે પ્રાચીન ઈઝરાએલના બધા પ્રાંતો, ગાલીલ, સમરૂન, પેરીઆ, ઈદુમીયા, અને યહૂદિયા (યહૂદા) સહિતના ભાગને દર્શાવે છે.
- જો અનુવાદકોને ભેદ સાફ કરવા માંગતા હોય તો, યહૂદિયાનું બહોળા અર્થમાં ભાષાંતર “યહૂદિયા દેશ,” અને સાંકડા અર્થમાં ભાષાંતર “યહૂદિયા પ્રાંત,” તરીકે કરી શકાય છે, કારણકે આ પ્રાચીન ઈઝરાએલના ભાગમાં યહૂદાનું કુળ અગાઉથી જ રહેતું હતું.
(આ પણ જુઓ: ગાલીલ, અદોમ, યહૂદા, યહુદા, સમરૂન)
બાઈબલની કલમો:
- 1 થેસ્સલોનિકી 2:14-16
- પ્રેરિતો 2:8-11
- પ્રેરિતો 9:31-32
- પ્રેરિતો 12:18-19
- યોહાન 3:22-24
- લૂક 1:5-7
- લૂક 4:42-44
- લૂક 5:17
- માર્ક 10:1-4
- માથ્થી 2:1-3
- માથ્થી 2:4-6
- માથ્થી 2:22-23
- માથ્થી 3:1-3
- માથ્થી 19:1-2
શબ્દ માહિતી:
યહૂદી, યહૂદી, યહૂદીઓ
સત્યો:
યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો હતા.
“યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.
- જયારે તેઓ બાબિલમાંના તેઓના બંદીવાસમાંથી પાછા ફર્યા ત્યારે લોકોએ ઈઝરાએલીઓને “યહૂદીઓ” કહેવાની શરૂઆત કરી.
- ઈસુ મસીહ યહૂદી હતા.
તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો અસ્વીકાર કર્યો અને તેને મારી નાખવાની માંગણી કરી.
- મોટેભાગે “યહૂદીઓ” શબ્દસમૂહ બધા યહૂદી લોકોને નહિ, પણ યહૂદી આગેવાનોને દર્શાવે છે.
તે સંદર્ભોમાં, તેને સ્પષ્ટ બનાવવા માટે કેટલાક ભાષાંતરો “આગેવાનો નો” ઉમેરે છે.
(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈઝરાએલ, ઈઝરાએલ, બાબિલોન, યહૂદી અધિકારીઓ)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 2:5-7
- પ્રેરિતો 10:27-29
- પ્રેરિતો 14:5-7
- કલોસ્સી 3:9-11
- યોહાન 2:13-14
- માથ્થી 28:14-15
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 20:11 હવે ઈઝરાએલીઓને યહૂદીઓ કહેવામાં આવતા હતા અને તેઓમાંના મોટાભાગના તેઓના સમગ્ર જીવન બાબિલમાં રહ્યા.
- 20:12 જેથી, સિત્તેર વર્ષોના બંદીવાસ પછી, યહૂદીઓનું નાનું જૂથ યહૂદામાં યરૂશાલેમના શહેરમાં પાછા ફર્યા.
- 37:10 આ ચમત્કારને કારણે યહૂદી ના ઘણાએ ઈસુમાં વિશ્વાસ કર્યો.
- 37:11 પણ યહૂદીઓના ધાર્મિક આગેવાનો ઈર્ષાળુ હતા, જેથી તેઓએ એકસાથે ભેગા મળી કેવી રીતે તેઓ ઈસુ અને લાઝરસને મારી શકે તેની યોજના ઘડી.
- 40:2 પિલાતે તેઓને નિશાની (ચિહ્ન) તરીકે “યહૂદીઓ નો રાજા” લખવા આદેશ આપ્યો, અને વધસ્તંભની ઉપર ઈસુના માથા પર તે મૂકી.
- 46:6 તરત જ, શાઉલે દમસ્કમાં યહૂદીઓ ને “ ઈસુ દેવનો પુત્ર છે” એમ કહીને, પ્રચાર કરવાનું શરૂ કર્યું.
શબ્દ માહિતી:
- Strong's: H3054, H3061, H3062, H3064, H3066, G2450, G2451, G2452, G2453, G2454
યહૂદી, યહૂદી ધર્મ
વ્યાખ્યા:
“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે.
તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.
- જૂના કરારમાં, “યહૂદી ધર્મ” શબ્દ વાપરવામાં આવ્યો છે,જયારે નવા કરારમાં, “યહૂદીવાદ” શબ્દ વાપરવામાં આવ્યો છે.
- યહૂદીવાદમાં જૂના કરારના બધા નિયમો અને સૂચનોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે દેવે ઈઝરાએલીઓને પાળવા આપ્યા હતા.
તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.
- જયારે ભાષાંતર કરીએ છીએ ત્યારે “યહૂદી ધર્મ” અથવા “યહૂદીઓનો ધર્મ” શબ્દ, જૂના અને નવા કરાર બંનેમાં વાપરી શકાય છે.
- જો કે, “યહૂદી વાદ” ફક્ત નવા કરારમાં વપરાયેલ હોવો જોઈએ, કારણ કે તે સમય પહેલા તે શબ્દ અસ્તિત્વમાં નહોતો.
(આ પણ જુઓ: યહૂદી, નિયમ/કાયદો/કાનૂન)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
યહોવાહ
તથ્યો:
"યહોવાહ" શબ્દ ઈશ્વરનું વ્યક્તિગત નામ છે જે તેમણે પ્રગટ કર્યું, જ્યારે તેમણે બળતા ઝાડવા પાસે મૂસાને જણાવ્યું હતું.
- “યહોવાહ" નામ જે શબ્દ પરથી આવે છે જેનો અર્થ છે, "હોવું" અથવા "અસ્તિત્વમાં છે."
" * યહોવાહ" ના શક્ય અર્થમાં શામેલ છે, "તે છે" અથવા "હું છું" અથવા "જે કોઈ હોવાનું કારણ બને છે તે."
- આ નામ દર્શાવે છે કે ઈશ્વર હંમેશાં જીવ્યા છે અને હંમેશ માટે જીવવાનું ચાલુ રાખશે.
તેનો અર્થ એ પણ છે કે તે હંમેશા હાજર છે.
- પરંપરાને અનુસરતાં, ઘણી બાઇબલ આવૃત્તિઓ " યહોવાહ” ની રજૂઆત કરવા માટે "પ્રભુ"અથવા "પ્રભુ"શબ્દનો મોટા અક્ષરોમાં ઉપયોગ કરે છે. આ પરંપરા એ હકીકતથી પરિણમી હતી કે ઐતિહાસિક રીતે, યહુદી લોકોએ યહોવાહનું નામ ખોટું બોલવાની દ્વિધાથી ડરતા હતા અને "યહોવાહ" શબ્દદેખાય ત્યાં દરેક શબ્દમાં "પ્રભુ" બોલવાની શરૂઆત કરી. આધુનિક બાઈબલો ઈશ્વરના અંગત નામ પ્રત્યે આદર દર્શાવવા અને તેને "પ્રભુ" થી જુદા પાડવા, જે એક અલગ હિબ્રુ શબ્દ છે મોટા મૂળાક્ષરોથી લખે છે.
- યુએલબી અને યુડીબી ગ્રંથો હંમેશા આ શબ્દનો "યહોવાહ" તરીકે અનુવાદ કરે છે, કારણ કે તે શાબ્દિક રીતે જૂના કરારના હિબ્રૂ લખાણમાં થાય છે.
- “યહોવાહ " શબ્દ ક્યારેય નવા કરારના મૂળ લખાણમાં જોવા મળતો નથી; જૂના કરારના અવતરણમાં પણ "પ્રભુ" માટેના ગ્રીક શબ્દનો ઉપયોગ થાય છે.
- જૂના કરારમાં, જ્યારે ઈશ્વરે પોતાના વિશે વાત કરી હતી, ત્યારે તે વારંવાર સર્વનામ બદલે તેના નામનો ઉપયોગ કર્યો હતો.
- સર્વનામ "હું" અથવા "મને" ઉમેરીને, યુ.એલ.બી વાંચકને સૂચવે છે કે ઈશ્વર વક્તા છે.
અનુવાદ માટેનાં સૂચનો:
"* યહોવાહ" શબ્દનો અર્થ "હું છું" અથવા "જીવનારું" અથવા "જે તે છે" અથવા "જે જીવંત છે તે" દ્વારા ભાષાંતર કરી શકાય છે.
- આ શબ્દને એવી રીતે લખી શકાય છે કે જે "યહોવાહ"ની જોડણીની સમાન છે.
કેટલીક મંડળીના સંપ્રદાયો "યહોવાહ" શબ્દનો ઉપયોગ નહીં કરવાને બદલે પરંપરાગત અનુવાદનો ઉપયોગ કરે છે, "પ્રભુ". એક મહત્વની વિચારણા એ છે કે જ્યારે તે મોટેથી વાંચવામાં આવે ત્યારે તે મૂંઝવણ થઈ શકે છે કારણ કે તે "પ્રભુ" શીર્ષક જેવો જ ધ્વનિ (અવાજ) કરશે. કેટલીક ભાષાઓમાં એક લગાડવું અથવા અન્ય વ્યાકરણીય માર્કર હોઈ શકે છે જે "યહોવાહ" ને "પ્રભુ" થી એક અલગ નામ "પ્રભુ" તરીકે ઓળખવામાં આવે છે.
- જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી શાબ્દિક લખાણમાં યહોવાહનું નામ રાખવું તે શ્રેષ્ઠ છે, પરંતુ કેટલાક અનુવાદો માત્ર લખાણને વધુ કુદરતી અને સ્પષ્ટ બનાવવા કેટલીક જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરવાનું વિચારે છે.
- આવું અવતરણ રજૂ કરો , " યહોવાહ આ કહે છે."
(આ પણ જુઓ: દેવ, પ્રભુ, પ્રભુ, મૂસા, પ્રગટ કરવું)
બાઇબલના સંદર્ભો:
- 1રાજાઓ 21:19-20
- 1 શમુએલ 16:6-7
- દાનિયેલ 9:3-4
- હઝકિયેલ 17:24
- ઉત્પત્તિ 2:4-6
- ઉત્પત્તિ 4:3-5
- ઉત્પત્તિ 28:12-13
- હોશિયા 11:12
- યશાયા 10:3-4
- યશાયા 38:7-8
- અયૂબ 12:9-10
- યહોશુઆ 1:8-9
- નિર્ગમન 1:4-5
- લેવીય 25:35-38
- માલાખી 3:4-5
- મીખાહ 2:3-5
- મીખાહ 6:3-5
- ગણના 8:9-11
- ગીતશાસ્ત્ર 124:1-3
- રૂથ 1:19-21
- ઝખાર્યા 14:5
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 9:14 ઈશ્વરે કહ્યું, "હું જે છું તે છું. તેઓને કહે,’ હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે.’ ઉપરાંત, તેમને કહેવું 'હું યહોવાહ, તમારા પૂર્વજો ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબનો દેવ છું. આ મારું નામ સદા એ જ છે."
- 13:4 પછી ઈશ્વરે તેમને કરાર આપ્યો અને જણાવ્યું હતું કે, "હું યહોવાહ, તમારો દેવ, જે તમને મિસરની ગુલામીમાંથી બચાવનાર છું. અન્ય દેવોની પૂજા કરશો નહીં."
- 13:5 "મૂર્તિઓ બનાવશો નહીં અથવા તેમની પૂજા કરશો નહીં, કારણ કે હું, યહોવાહ, ઇર્ષ્યાળુ દેવ છું."
- 16: 1 ઈસ્રાએલીઓએ યહોવાહ, સાચા ઈશ્વરની જગ્યાએ કનાની દેવોની પૂજા કરવાનું શરૂ કર્યું.
- 19:10. પછી એલીયાએ પ્રાર્થના કરી, " ઓ યહોવાહ, ઇબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબના દેવ, , આજે અમને બતાવો કે તમે ઈસ્રાએલના દેવ છો અને હું તમારો સેવક છું."
શબ્દ માહિતી:
- Strong's: H3050, H3068, H3069
યહોશાફાટ
સત્યો:
જૂનાકરારમાં યહોશાફાટ નામના ઓછામાં ઓછા બે માણસો હતા.
- આ નામથી જાણીતો શ્રેષ્ઠ માણસ યહોશાફાટ રાજા હતો કે જે યહૂદાના રાજ્ય પર રાજ કરનાર ચોથો રાજા હતો.
- તેણે યહૂદા અને ઈઝરાએલ વચ્ચે શાંતિ સ્થાપી અને જૂઠા દેવોની મૂર્તિઓનો નાશ કર્યો.
- અન્ય યહોશાફાટ એ દાઉદ અને સુલેમાન માટે “ઈતિહાસકાર” હતો.
તેનું કાર્ય દસ્તાવેજો લખવાનું હતું, જેમાં રાજા સહી કરતો અને તે ઈતિહાસની અગત્યની ઘટનાઓ તે રાજ્યમાં બનતી તેની નોંધ કરવાના કાર્યનો સમાવેશ હતો.
(આ પણ જુઓ: યજ્ઞવેદી, દાઉદ, દેવ, ઈઝરાએલ, યહૂદા, યાજક, સુલેમાન)
બાઇબલના કલમો:
- 1 કાળવૃતાંત 3:10-12
- 1 રાજા 4:15-17
- 2 કાળવૃતાંત 17:1-2
- 2 રાજા 1:17-18
- શમુએલ 8:15-18
- માથ્થી 1:7-8
શબ્દ માહિતી:
- Strong's: H3092, H3146, G2498
યહોશુઆ
સત્યો:
બાઈબલમાં યહોશુઆ નામનાં ઘણા ઈઝરાએલી માણસો હતા.
નૂનનો દીકરો યહોશુઆ એ સૌથી સારી રીતે જાણીતો છે કે જે મૂસાનો મદદગાર હતો, અને જે પાછળથી દેવના લોકોનો એક મહત્વનો આગેવાન બન્યો.
- યહોશુઆ બાર જાસૂસોમાંનો એક હતો કે જેઓને મૂસાએ વચનની ભૂમિની તપાસ કરવા મોકલ્યા હતા.
- કાલેબની સાથે, યહોશુઆએ કનાનીઓને હરાવી અને વચનની ભૂમિમાં પ્રવેશ કરવા ઈઝરાએલી લોકોને દેવની આજ્ઞા માનવા માટે વિનંતી કરી.
- મૂસાના મરણ પછી, ઘણાવર્ષો બાદ,ઈઝરાએલના લોકોને વચનની ભૂમિમાં દોરવા માટે દેવે યહોશુઆની નિમણૂક કરી.
- કનાનીઓની વિરુદ્ધ પ્રથમ અને સૌથી પ્રખ્યાત યુદ્ધમાં, યહોશુઆએ યરીખોના શહેરને હરાવવા ઈઝરાએલીઓને આગેવાની આપી.
- જૂના કરારમાંનું યહોશુઆનું પુસ્તક જણાવે છે કે કેવી રીતે યહોશુઆએ વચનની ભૂમિને કબ્જે કરવા ઈઝરાએલીઓને આગેવાની આપી અને કેવી રીતે તેણે ઈઝરાએલના દરેક કુળને રહેવા માટે જમીનનો ભાગ વહેંચી આપ્યો.
- હાગ્ગાયના પુસ્તકમાં યહોસાદાકના દીકરા યહોશુઆ અને ઝખાર્યાનો ઉલ્લેખ થયેલો છે; તે પ્રમુખ યાજક હતો જેણે યરૂશાલેમની દિવાલો ફરીથી બાંધવા મદદ કરી.
- બાઈબલમાં બીજી જગ્યાએ અને વંશાવળીમાં યહોશુઆ નામનાં બીજા કેટલાક માણસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
(આ પણ જુઓ: કનાન, હાગ્ગાય, યરીખો, મૂસા, વચનનો દેશ, ઝખાર્યા (જૂનો કરાર))
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 7:25-27
- પુનર્નિયમ 3:21-22
- નિર્ગમન 17:8-10
- યહોશુઆ 1:1-3
- ગણના 27:18-19
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 14:4 જયારે ઈઝરાએલીઓ કનાનની છેડે પહોંચ્યા, ત્યારે મૂસાએ ઈઝરાએલના દરેક કુળમાંથી એક એમ બાર માણસો પસંદ કર્યા. તેણે માણસોને સૂચના આપી કે જાઓ અને જમીનની તપાસ કરો કે તે કેવી છે.
- 14:6 તરત જ કાલેબ અને યહોશુઆ અને બીજા બે જાસૂસોએ કહ્યું, “તે સાચું છે કે કનાનના લોકો ઊંચા અને મજબૂત છે, પણ આપણે ચોક્કસ તેઓને હરાવી શકીશું!”
- 14:08 કાલેબ અને યહોશુઆ સિવાય, દરેક કે જે વીસ વર્ષની ઉંમરના અથવા તેનાથી મોટા ત્યાં મૃત્યુ પામશે અને કદી વચનની ભૂમિમાં પ્રવેશ કરશે નહીં.
- 14:14 મૂસા હવે ખૂબ ઘરડો હતો, જેથી દેવે યહોશુઆ ને લોકોને આગેવાની આપી મદદ માટે પસંદ કર્યો.
- 14:15 યહોશુઆ સારો આગેવાન હતો કારણકે તેણે દેવની આજ્ઞા પાળી અને દેવ પર ભરોસો રાખ્યો.
- 15:3 લોકોએ યર્દન નદી પાર કરી પછી, દેવે યહોશુઆ ને યરીખોના શક્તિશાળી શહેર પર કેવી રીતે હુમલો કરવો તે જણાવ્યું.
શબ્દ માહિતી:
યાજક, યાજકો, યાજકપદ
વ્યાખ્યા:
બાઇબલમાં, યાજક એ માણસ હતો કે જેને ઈશ્વરના લોકો માટે ઈશ્વરને બલિદાનો ચડાવવા પસંદ કરવામાં આવ્યો હતો.
“યાજકપદ” એ તેના હોદ્દાનું નામ અથવા તો યાજક હોવાની સ્થિતિ હતી.
- જૂના કરારમાં, ઈશ્વરે પોતાના ઇઝરાયલી લોકો માટે હારુન અને તેના વંશજોને પોતાના યાજકો થવા પસંદ કર્યા હતા.
- “યાજકપદ” એક અધિકાર અને એક જવાબદારી હતી કે જેને લેવીઓના કુળમાં પિતા તરફથી પુત્રને આપવામાં આવતી હતી.
- ઇઝરાયલી યાજકો પાસે ભક્તિસ્થાનની બીજી ફરજો સાથેસાથે ઈશ્વરને લોકોના બલિદાનો ચડાવવાની જવાબદારી હતી.
- યાજકો લોકો માટે ઈશ્વરને નિયમિત પ્રાર્થનાઓ પણ અર્પણ કરતા હતા તથા બીજી ધાર્મિક વિધિઓ કરતા હતા.
- યાજકો ઔપચારિક રીતે લોકોને આશીર્વાદ આપતા અને તેઓને ઈશ્વરના નિયમો શીખવતા હતા.
- ઈસુના સમયમાં, મુખ્ય યાજકો અને પ્રમુખ યાજક સહિત યાજકોના વિભિન્ન સ્તરો હતા.
- ઈસુ આપણાં “મહાન પ્રમુખ યાજક” છે કે જેઓ ઈશ્વરની સન્મુખ આપણા માટે મધ્યસ્થીની પ્રાર્થનાઓ કરે છે.
તેમણે આપણા માટે અંતિમ બલિદાન તરીકે પોતાનું સ્વાર્પણ કર્યું છે.
તેનો અર્થ એ થાય છે કે માનવીય યાજકો દ્વારા આપતા બલિદાનોની હવે જરૂર નથી.
- નવા કરારમાં, ઈસુના દરેક વિશ્વાસીને “યાજક” કહેવામાં આવે છે કે જે પોતાના માટે અને બીજાઓ માટે મધ્યસ્થીની પ્રાર્થનાઓ કરવા ઈશ્વર પાસે પ્રત્યક્ષ રીતે આવી શકે છે.
- પ્રાચીન સમયોમાં, અધાર્મિક યાજકો પણ હતા કે જેઓ બઆલ જેવા જૂઠા દેવોને બલિદનો ચડાવતા હતા.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભ અનુસાર, “યાજક” શબ્દનો અનુવાદ “બલિદાન આપનાર વ્યક્તિ” અથવા તો “ઈશ્વરનો મધ્યસ્થ” અથવા તો “બલિદાન આપનાર મધ્યસ્થ” અથવા તો “ઈશ્વર પોતાના પ્રતિનિધિ તરીકે જેને નિયુક્ત કરે છે તે વ્યક્તિ” તરીકે કરી શકાય.
- “યાજક” નો અનુવાદ “મધ્યસ્થ” ના અનુવાદ કરતા અલગ હોવો જોઈએ.
- કેટલાક અનુવાદકો “ઇઝરાયલનો યાજક” અથવા તો “યહૂદી યાજક” અથવા તો “યહોવાનો યાજક” અથવા તો “બઆલનો યાજક” જેવા શબ્દો હંમેશાં વાપરવાનું પસંદ કરી શકે છે કે જેથી સ્પષ્ટ થાય કે આ શબ્દો આધુનિક સમયના યાજકોનો ઉલ્લેખ કરતા નથી.
- “યાજક” માટે વપરાતો શબ્દ “મુખ્ય યાજક”, “પ્રમુખ યાજક”, “લેવી” તથા “પ્રબોધક” કરતા અલગ હોવો જોઈએ.
(આ પણ જૂઓ: હારુન, મુખ્ય યાજકો, પ્રમુખ યાજક, મધ્યસ્થ, બલિદાન)
બાઇબલના સંદર્ભો:
- 2 કાળવૃતાંત 6:4-42
- ઉત્પત્તિ 14:17-18
- ઉત્પત્તિ 47:20-22
- યોહાન 1:19-21
- લૂક 10:31-32
- માર્ક 1:43-44
- માર્ક 2:25-26
- માથ્થી 8:4
- માથ્થી 12:3-4
- મીખાહ 3:9-11
- નહેમ્યા 10:28-29
- નહેમ્યા 10:34-36
- પ્રકટીકરણ 1:4-6
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 4:7 “સર્વોચ્ચ ઈશ્વરનો યાજક “મલ્ખીસેદેક”
- 13:9 જેણે પણ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય તે મુલાકાત મંડપની સામે વેદી પર ઈશ્વર માટે બલિદાન તરીકે એક પ્રાણી લાવી શકતો હતો. એક યાજક તે પ્રાણીનું બલિદાન આપતો અને તેને વેદી પર બાળતો. બલિદાન કરાયેલા પ્રાણીનું રક્ત વ્યક્તિના પાપને ઢાંકતું અને તે વ્યક્તિને ઈશ્વરની નજરમાં શુદ્ધ કરતું. ઈશ્વરે મૂસાના ભાઈ હારુનને તથા તેના વંશજોને પોતાના યાજકો થવા પસંદ કર્યા.
- 19:7 તેથી બઆલના યાજકોએ એક બલિદાન તૈયાર કર્યું પણ અગ્નિ સળગાવ્યો નહીં.
- 21:7 ઇઝરાયલી યાજક એ માણસ હતો કે જે લોકો માટે તેઓના પાપની સજાની અવેજી બદલ ઈશ્વરને બલિદાનો ચડાવતો હતો. યાજકો લોકો માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરતા હતા.
શબ્દ માહિતી:
- Strong's: H3547, H3548, H3549, H3550, G748, G749, G2405, G2406, G2407, G2409, G2420
યાજક, યાજકો, યાજકપદ
વ્યાખ્યા:
બાઇબલમાં, યાજક એ માણસ હતો કે જેને ઈશ્વરના લોકો માટે ઈશ્વરને બલિદાનો ચડાવવા પસંદ કરવામાં આવ્યો હતો.
“યાજકપદ” એ તેના હોદ્દાનું નામ અથવા તો યાજક હોવાની સ્થિતિ હતી.
- જૂના કરારમાં, ઈશ્વરે પોતાના ઇઝરાયલી લોકો માટે હારુન અને તેના વંશજોને પોતાના યાજકો થવા પસંદ કર્યા હતા.
- “યાજકપદ” એક અધિકાર અને એક જવાબદારી હતી કે જેને લેવીઓના કુળમાં પિતા તરફથી પુત્રને આપવામાં આવતી હતી.
- ઇઝરાયલી યાજકો પાસે ભક્તિસ્થાનની બીજી ફરજો સાથેસાથે ઈશ્વરને લોકોના બલિદાનો ચડાવવાની જવાબદારી હતી.
- યાજકો લોકો માટે ઈશ્વરને નિયમિત પ્રાર્થનાઓ પણ અર્પણ કરતા હતા તથા બીજી ધાર્મિક વિધિઓ કરતા હતા.
- યાજકો ઔપચારિક રીતે લોકોને આશીર્વાદ આપતા અને તેઓને ઈશ્વરના નિયમો શીખવતા હતા.
- ઈસુના સમયમાં, મુખ્ય યાજકો અને પ્રમુખ યાજક સહિત યાજકોના વિભિન્ન સ્તરો હતા.
- ઈસુ આપણાં “મહાન પ્રમુખ યાજક” છે કે જેઓ ઈશ્વરની સન્મુખ આપણા માટે મધ્યસ્થીની પ્રાર્થનાઓ કરે છે.
તેમણે આપણા માટે અંતિમ બલિદાન તરીકે પોતાનું સ્વાર્પણ કર્યું છે.
તેનો અર્થ એ થાય છે કે માનવીય યાજકો દ્વારા આપતા બલિદાનોની હવે જરૂર નથી.
- નવા કરારમાં, ઈસુના દરેક વિશ્વાસીને “યાજક” કહેવામાં આવે છે કે જે પોતાના માટે અને બીજાઓ માટે મધ્યસ્થીની પ્રાર્થનાઓ કરવા ઈશ્વર પાસે પ્રત્યક્ષ રીતે આવી શકે છે.
- પ્રાચીન સમયોમાં, અધાર્મિક યાજકો પણ હતા કે જેઓ બઆલ જેવા જૂઠા દેવોને બલિદનો ચડાવતા હતા.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભ અનુસાર, “યાજક” શબ્દનો અનુવાદ “બલિદાન આપનાર વ્યક્તિ” અથવા તો “ઈશ્વરનો મધ્યસ્થ” અથવા તો “બલિદાન આપનાર મધ્યસ્થ” અથવા તો “ઈશ્વર પોતાના પ્રતિનિધિ તરીકે જેને નિયુક્ત કરે છે તે વ્યક્તિ” તરીકે કરી શકાય.
- “યાજક” નો અનુવાદ “મધ્યસ્થ” ના અનુવાદ કરતા અલગ હોવો જોઈએ.
- કેટલાક અનુવાદકો “ઇઝરાયલનો યાજક” અથવા તો “યહૂદી યાજક” અથવા તો “યહોવાનો યાજક” અથવા તો “બઆલનો યાજક” જેવા શબ્દો હંમેશાં વાપરવાનું પસંદ કરી શકે છે કે જેથી સ્પષ્ટ થાય કે આ શબ્દો આધુનિક સમયના યાજકોનો ઉલ્લેખ કરતા નથી.
- “યાજક” માટે વપરાતો શબ્દ “મુખ્ય યાજક”, “પ્રમુખ યાજક”, “લેવી” તથા “પ્રબોધક” કરતા અલગ હોવો જોઈએ.
(આ પણ જૂઓ: હારુન, મુખ્ય યાજકો, પ્રમુખ યાજક, મધ્યસ્થ, બલિદાન)
બાઇબલના સંદર્ભો:
- 2 કાળવૃતાંત 6:4-42
- ઉત્પત્તિ 14:17-18
- ઉત્પત્તિ 47:20-22
- યોહાન 1:19-21
- લૂક 10:31-32
- માર્ક 1:43-44
- માર્ક 2:25-26
- માથ્થી 8:4
- માથ્થી 12:3-4
- મીખાહ 3:9-11
- નહેમ્યા 10:28-29
- નહેમ્યા 10:34-36
- પ્રકટીકરણ 1:4-6
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 4:7 “સર્વોચ્ચ ઈશ્વરનો યાજક “મલ્ખીસેદેક”
- 13:9 જેણે પણ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય તે મુલાકાત મંડપની સામે વેદી પર ઈશ્વર માટે બલિદાન તરીકે એક પ્રાણી લાવી શકતો હતો. એક યાજક તે પ્રાણીનું બલિદાન આપતો અને તેને વેદી પર બાળતો. બલિદાન કરાયેલા પ્રાણીનું રક્ત વ્યક્તિના પાપને ઢાંકતું અને તે વ્યક્તિને ઈશ્વરની નજરમાં શુદ્ધ કરતું. ઈશ્વરે મૂસાના ભાઈ હારુનને તથા તેના વંશજોને પોતાના યાજકો થવા પસંદ કર્યા.
- 19:7 તેથી બઆલના યાજકોએ એક બલિદાન તૈયાર કર્યું પણ અગ્નિ સળગાવ્યો નહીં.
- 21:7 ઇઝરાયલી યાજક એ માણસ હતો કે જે લોકો માટે તેઓના પાપની સજાની અવેજી બદલ ઈશ્વરને બલિદાનો ચડાવતો હતો. યાજકો લોકો માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરતા હતા.
શબ્દ માહિતી:
- Strong's: H3547, H3548, H3549, H3550, G748, G749, G2405, G2406, G2407, G2409, G2420
યાફા
સત્યો:
બાઈબલના સમયોમાં, યાફાનું શહેર ભૂમધ્ય સમુદ્ધ ઉપર, શારોનના મેદાનની દક્ષિણે આવેલું એક મહત્વનું વ્યાપારી બંદર હતું.
- યાફાનું પ્રાચીન સ્થળ તે વર્તમાન સમયના જફા શહેરનું સ્થાન છે, કે જે હાલના તેલ અવીવ શહેરના ભાગરૂપ છે.
- જૂના કરારમાં યાફા એ શહેર હતું, જ્યાં યૂના વહાણમાં બેઠો કે જે તાર્શીશ જઈ રહ્યું હતું
- નવા કરારમાં, ટબીથા નામની ખ્રિસ્તી સ્ત્રી યાફામાં મૃત્યુ પામી, અને પિતરે તેણીને સજીવન કરી.
(આ પણ જુઓ: સમુદ્ર, યરૂશાલેમ, શારોન, તાર્શીશ)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 9:36-37
- પ્રેરિતો 10:7-8
- પ્રેરિતો 11:4-6
- પ્રેરિતો 11:11-14
- યૂના 1:1-3
શબ્દ માહિતી:
યૂના
વ્યાખ્યા:
યૂના એ જૂના કરારમાંનો હિબ્રૂ પ્રબોધક હતો.
- યૂનાના પુસ્તકની વાર્તા જણાવે છે કે જયારે દેવે યૂનાને નિનવેહના લોકોને બોધ કરવા માટે મોકલ્યો ત્યારે શું થયું.
- યૂનાએ નિનવેહ જવાનો ઇનકાર કર્યો અને તેને બદલે તાર્શીશ માટે જવાના વહાણમાં ચઢી બેઠો.
- દેવે તે વહાણને રોકવા માટે મોટું તોફાન ઉત્પન્ન કર્યું .
- તેણે વહાણ હંકારનારા માણસોને કહ્યું કે તે દેવથી દૂર નાસી જઈ રહ્યો હતો, અને તેણે સૂચન કર્યું કે તેઓ તેને સમુદ્રમાં ફેંકી દે.
જયારે તેઓએ તેમ કર્યું ત્યારે તોફાન બંધ થયું.
- યૂનાને એક મોટી માછલી ગળી ગઈ હતી, અને તે ત્રણ દિવસ અને ત્રણ રાત તે માછલીના પેટમાં રહ્યો હતો.
- તે પછી, યૂના નિનવેહ ગયો અને ત્યાંના લોકોને બોધ કર્યો, અને તેઓ તેમના પાપોથી ફર્યા.
(આ પણ જુઓ: આજ્ઞાભંગ, નિનવે, વળાંક)
બાઈબલની કલમો:
- યૂના 1:1-3
- લૂક 11:29-30
- માથ્થી 12:38-40
- માથ્થી 16:3-4
શબ્દ માહિતી:
યોથામ
વ્યાખ્યા:
જૂના કરારમાં, યોથામ નામ સાથેના ત્રણ માણસો હતા.
એક યોથામ નામનો માણસ ગિદિયોનનો નાનો પુત્ર હતો.
યોથામે તેના મોટાભાઈ અબીમેલેખને હરાવવા મદદ કરી, કે જેણે બાકીના તેઓના બધા ભાઈઓને મારી નાખ્યા હતા.
- યોથામ નામનો બીજો માણસ હતો કે જેણે તેના પિતા ઉઝિઝયા (અઝાર્યા) પછી સોળ વર્ષ માટે યહૂદા ઉપર રાજ કર્યું.
- તેના પિતાની જેમ, યોથામ રાજાએ દેવની આજ્ઞાઓ પાળી અને સારો રાજા હતો.
- તોપણ મૂર્તિ પૂજાના સ્થાનો કાઢી નાખવામાં આવ્યા નહિ, જેથી તે યહૂદાના લોકોને ફરીથી દેવથી દૂર જવાનું કારણ થઈ પડ્યો.
- માથ્થીના પુસ્તકમાં ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં યોથામને તેના પૂર્વજોમાંના એક ગણવામાં આવ્યો છે.
(આ પણ જુઓ: અબીમેલેખ, આહાઝ, ગિદિયોન, ઉઝિઝયા)
બાઈબલની કલમો:
- 2 કાળવૃતાંત 26:21
- 2 રાજા 15:4-5
- યશાયા 1:1
- ન્યાયાધીશો 9:5-6
શબ્દ માહિતી:
યોશિયા
સત્યો:
યોશિયા એક ધાર્મિક રાજા હતો જેણે યહૂદાના રાજ્ય ઉપર એકત્રીસ વર્ષ માટે રાજ કર્યું.
તેણે યહૂદાના લોકોને પસ્તાવો કરી અને યહોવાની આરાધના કરવા આગેવાની આપી.
- તેના પિતા આમોન રાજાને મારી નાખ્યા બાદ, આઠ વર્ષની ઉમરે યોશિયા યહૂદા ઉપર રાજા બન્યો.
- તેના શાસનના અઢારમે વર્ષે, યોશિયા રાજાએ હિલ્કિયા મુખ્ય યાજકને દેવનું મંદિર ફરીથી બાંધવા આદેશ આપ્યો.
જયારે આ થયું હતું ત્યારે નિયમશાસ્ત્રના પુસ્તકો મળી આવ્યા.
- જયારે નિયમશાસ્ત્રના પુસ્તકો યોશિયાની આગળ વાંચવામાં આવ્યા હતા ત્યારે તેણે શોક કર્યો કે કેવી રીતે તેના લોકો દેવની અવજ્ઞા કરતા હતા.
તેણે આદેશ આપ્યો કે મૂર્તિ પૂજાના બધા સ્થાનોનો નાશ કરવો અને જૂઠા દેવોના યાજકોને મારી નાખવા.
- તેણે લોકોને ફરીથી પાસ્ખા પર્વની ઉજવણી કરવા પણ આદેશ આપ્યો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: દેવ, યહૂદા, કાયદો/કાનૂન, પાસ્ખા, મંદિર)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 3:13-14
- 2 કાળવૃતાંત 33:24-25
- 2 કાળવૃતાંત 34:1-3
- યર્મિયા 1:1-3
- માથ્થી 1:9-11
શબ્દ માહિતી:
રક્ત
વ્યાખ્યા:
“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે.
રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.
- રક્ત જીવનનું પ્રતિક છે અને જયારે તે વહેવડાવવા અથવા બહાર રેડવામાં આવે છે ત્યારે તે જીવન ગુમાવવાનું અથવા મરણનું પ્રતિક છે.
- જયારે લોકો દેવને બલિદાનો કરે છે, તેઓ પ્રાણીને મારી નાખે છે અને તેનું રક્ત વેદી ઉપર રેડે છે.
આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.
- ઇસુના વધસ્તંભ ઉપરના મૃત્યુ દ્વારા, તેમણે પોતાના રક્તના પ્રતિક દ્વારા લોકોને તેઓના પાપોથી શુધ્ધ કરે છે અને જે પાપોની શિક્ષા માટે તેઓ લાયક હતા તેની તેમણે ચુકવણી કરી છે.
- “માંસ અને રક્ત” અભિવ્યક્તિ માનવજાતને દર્શાવે છે.
- “પોતાનુ માંસ અને રક્ત” અભિવ્યક્તિ લોકો કે જેઓ જૈવિક રીતે જોડાયેલા છે તેઓને દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- લક્ષ્ય ભાષામાં આ શબ્દનું ભાષાંતર જે શબ્દ રક્ત માટે વપરાય છે તેના માટે થવું જોઈએ.
- “માંસ અને રક્ત” અભિવ્યક્તિનું ભાષાંતર “લોકો” અથવા “મનુષ્ય જાત” તરીકે કરી શકાય.
સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.
- જો લક્ષ્ય ભાષામાં આ અભિવ્યક્તિ આવેલી છે તો તે અભિવ્યક્તિનું ભાષાંતર “માંસ અને રક્ત” કરી શકાય છે.
(આ પણ જુઓ: દેહ)
બાઈબલની કલમો:
- 1 યોહાન 1:5-7
- 1 શમુએલ 14:31-32
- પ્રેરિતો 2:20-21
- પ્રેરિતો 5:26-28
- કલોસ્સી 1:18-20
- ગલાતી 1:15-17
- ઉત્પત્તિ 4:10-12
- ગીતશાસ્ત્ર 16:4
- ગીતશાસ્ત્ર 105:28-30
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 8:3 યુસુફના ભાઈઓએ ઘરે પાછા ફરતા પહેલા, તેઓએ યુસુફનો ઝભ્ભો ફાડયો અને તે બકરાના રક્તમાં બોળ્યો.
- 10:3 દેવે નાઈલ નદીનું પાણી રક્તમાં ફેરવી નાંખ્યું, પણ ફારુને ઈઝરાએલીઓને જવા દીધા નહીં.
- 11:5 ઈઝરાએલીઓના બધાજ ઘરોના બારણાની ચોફેર રક્ત લગાવ્યું હતું, જેથી દેવ તે ઘરો આગળથી પસાર થઇ ગયો અને અંદર બધા જ સલામત રહ્યા.
તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.
- 13:9 પ્રાણીના બલિદાનનું રક્ત કે જે વ્યક્તિના પાપને ઢાંકતુ હતું તે વ્યક્તિને દેવની નજરમાં શુધ્ધ કરે છે.
- 38:5 પછી ઈસુ એ પ્યાલો લીધો અને કહ્યું, “આ પીઓ. તે મારું નવા કરારમાંનું રક્ત છે કે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવેલું છે.
- 48:10 જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે છે તો ઈસુનું રક્ત તે વ્યક્તિના પાપોને દૂર કરે છે, અને તે દેવની શિક્ષામાંથી બચી જાય છે.
શબ્દ માહિતી:
- Strong's: H1818, H5332, G129, G130, G131, G1420
રક્ત
વ્યાખ્યા:
“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે.
રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.
- રક્ત જીવનનું પ્રતિક છે અને જયારે તે વહેવડાવવા અથવા બહાર રેડવામાં આવે છે ત્યારે તે જીવન ગુમાવવાનું અથવા મરણનું પ્રતિક છે.
- જયારે લોકો દેવને બલિદાનો કરે છે, તેઓ પ્રાણીને મારી નાખે છે અને તેનું રક્ત વેદી ઉપર રેડે છે.
આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.
- ઇસુના વધસ્તંભ ઉપરના મૃત્યુ દ્વારા, તેમણે પોતાના રક્તના પ્રતિક દ્વારા લોકોને તેઓના પાપોથી શુધ્ધ કરે છે અને જે પાપોની શિક્ષા માટે તેઓ લાયક હતા તેની તેમણે ચુકવણી કરી છે.
- “માંસ અને રક્ત” અભિવ્યક્તિ માનવજાતને દર્શાવે છે.
- “પોતાનુ માંસ અને રક્ત” અભિવ્યક્તિ લોકો કે જેઓ જૈવિક રીતે જોડાયેલા છે તેઓને દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- લક્ષ્ય ભાષામાં આ શબ્દનું ભાષાંતર જે શબ્દ રક્ત માટે વપરાય છે તેના માટે થવું જોઈએ.
- “માંસ અને રક્ત” અભિવ્યક્તિનું ભાષાંતર “લોકો” અથવા “મનુષ્ય જાત” તરીકે કરી શકાય.
સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.
- જો લક્ષ્ય ભાષામાં આ અભિવ્યક્તિ આવેલી છે તો તે અભિવ્યક્તિનું ભાષાંતર “માંસ અને રક્ત” કરી શકાય છે.
(આ પણ જુઓ: દેહ)
બાઈબલની કલમો:
- 1 યોહાન 1:5-7
- 1 શમુએલ 14:31-32
- પ્રેરિતો 2:20-21
- પ્રેરિતો 5:26-28
- કલોસ્સી 1:18-20
- ગલાતી 1:15-17
- ઉત્પત્તિ 4:10-12
- ગીતશાસ્ત્ર 16:4
- ગીતશાસ્ત્ર 105:28-30
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 8:3 યુસુફના ભાઈઓએ ઘરે પાછા ફરતા પહેલા, તેઓએ યુસુફનો ઝભ્ભો ફાડયો અને તે બકરાના રક્તમાં બોળ્યો.
- 10:3 દેવે નાઈલ નદીનું પાણી રક્તમાં ફેરવી નાંખ્યું, પણ ફારુને ઈઝરાએલીઓને જવા દીધા નહીં.
- 11:5 ઈઝરાએલીઓના બધાજ ઘરોના બારણાની ચોફેર રક્ત લગાવ્યું હતું, જેથી દેવ તે ઘરો આગળથી પસાર થઇ ગયો અને અંદર બધા જ સલામત રહ્યા.
તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.
- 13:9 પ્રાણીના બલિદાનનું રક્ત કે જે વ્યક્તિના પાપને ઢાંકતુ હતું તે વ્યક્તિને દેવની નજરમાં શુધ્ધ કરે છે.
- 38:5 પછી ઈસુ એ પ્યાલો લીધો અને કહ્યું, “આ પીઓ. તે મારું નવા કરારમાંનું રક્ત છે કે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવેલું છે.
- 48:10 જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે છે તો ઈસુનું રક્ત તે વ્યક્તિના પાપોને દૂર કરે છે, અને તે દેવની શિક્ષામાંથી બચી જાય છે.
શબ્દ માહિતી:
- Strong's: H1818, H5332, G129, G130, G131, G1420
રડવું, રડે છે, રડ્યો, રડતું, પોકાર કરવો, પોકાર કર્યો, બૂમ પાડવી, બૂમરાણ કરે છે
વ્યાખ્યા”
“રડવું” અથવા “પોકારવું” શબ્દોના અર્થ, મોટેભાગે કંઇક મોટેથી કહેવું અથવા તાત્કાલિક કરવા વિનંતી કરવી.
કોઈક દુઃખ અથવા તકલીફ અથવા ગુસ્સામાં “રડી” શકે છે.
- “ બૂમ પાડવી” શબ્દસમૂહનો અર્થ, મોટેભાગે મદદના ઉદ્દેશથી ચીસ પાડવી અથવા બોલાવવું,
- સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર, “મોટેથી બોલી પડવું” અથવા “તાત્કાલિક મદદ માટે પૂછવું” એમ પણ કરી શકાય છે.
- અભિવ્યક્તિ જેવી કે, “હું તમને બોલાવું છું” શબ્દનું ભાષાંતર, “હું તમને મદદ માટે બોલવું છું” અથવા “હું તમને તાત્કાલિક મદદ માટે પૂછું છું” એમ કરી શકાય છે.
(આ પણ જુઓ: તેડું, આજીજી)
બાઈબલની કલમો:
- અયૂબ 27:8-10
- માર્ક 5:5-6
- માર્ક 6:48-50
- ગીતશાસ્ત્ર 22:1-2
શબ્દ માહિતી:
- Strong's: H603, H1058, H2199, H2201, H6030, H6463, H6670, H6682, H6817, H6818, H6873, H6963, H7121, H7123, H7321, H7440, H7442, H7723, H7737, H7768, H7769, H7771, H7773, H7775, H8173, H8663, G310, G349, G863, G994, G995, G1916, G2019, G2799, G2805, G2896, G2905, G2906, G2929, G4377, G5455
રણ, રણો, અરણ્ય, અરણ્યો
વ્યાખ્યા:
રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.
- રણ એ જમીનનો સુકી આબોહવાવાળો વિસ્તાર હતો કે જ્યાં છોડવા અથવા પ્રાણીઓ ઓછા પ્રમાણમાં રહેલા હોય.
- આવી કઠોર પરિસ્થિતિ કારણે ત્યાં ખૂબજ ઓછા લોકો રહી શકતા, જેથી તેને “અરણ્ય” તરીકે પણ દર્શાવવામાં આવ્યું છે.
“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.
- આ શબ્દનું ભાષાંતર, “ખાલી જગ્યાનો પ્રદેશ” અથવા “ઉજ્જડ જગ્યા” અથવા “બિનવસવાટવાળી જગ્યા,” થઇ શકે છે.
બાઈબલની કલમો:
- પ્રેરિતો 13:16-18
- પ્રેરિતો 21:37-38
- નિર્ગમન 4:27-28
- ઉત્પત્તિ 37:21-22
- યોહાન 3:14-15
- લૂક 1:80
- લૂક 9:12-14
- માર્ક 1:1-3
- માથ્થી 4:1-4
- માથ્થી 11:7-8
શબ્દ માહિતી:
- Strong's: H776, H2723, H3293, H3452, H4057, H6160, H6723, H6728, H6921, H8047, H8414, G2047, G2048
રણ, રણો, અરણ્ય, અરણ્યો
વ્યાખ્યા:
રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.
- રણ એ જમીનનો સુકી આબોહવાવાળો વિસ્તાર હતો કે જ્યાં છોડવા અથવા પ્રાણીઓ ઓછા પ્રમાણમાં રહેલા હોય.
- આવી કઠોર પરિસ્થિતિ કારણે ત્યાં ખૂબજ ઓછા લોકો રહી શકતા, જેથી તેને “અરણ્ય” તરીકે પણ દર્શાવવામાં આવ્યું છે.
“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.
- આ શબ્દનું ભાષાંતર, “ખાલી જગ્યાનો પ્રદેશ” અથવા “ઉજ્જડ જગ્યા” અથવા “બિનવસવાટવાળી જગ્યા,” થઇ શકે છે.
બાઈબલની કલમો:
- પ્રેરિતો 13:16-18
- પ્રેરિતો 21:37-38
- નિર્ગમન 4:27-28
- ઉત્પત્તિ 37:21-22
- યોહાન 3:14-15
- લૂક 1:80
- લૂક 9:12-14
- માર્ક 1:1-3
- માથ્થી 4:1-4
- માથ્થી 11:7-8
શબ્દ માહિતી:
- Strong's: H776, H2723, H3293, H3452, H4057, H6160, H6723, H6728, H6921, H8047, H8414, G2047, G2048
રથ, રથો, સારથિ
વ્યાખ્યા:
પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.
- લોકો રથોમાં બેસતા અથવા ઉભા રહેતા, યુદ્ધ અથવા મુસાફરી માટે તેઓનો ઉપયોગ થતો.
- યુધ્ધ દરમ્યાન જે લશ્કર પાસે રથો નહોતા તેમની સામે જે લશ્કર પાસે રથો હતા તેઓને ઝડપ અને ગતિશીલતાનો મહાન ફાયદો હતો.
- પ્રાચીન સમયના મિસરીઓ અને રોમનો તેઓના ઘોડાઓ અને રથોના ઉપયોગ માટે ખૂબજ પ્રખ્યાત હતા.
(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું
(આ પણ જુઓ : મિસર, રોમ)
બાઈબલની કલમો:
- 1 રાજા 9:22
- 2 કાળવૃતાંત 18:28-30
- પ્રેરિતો 8:29-31
- પ્રેરિતો 8:36-38
- દાનિયેલ 11:40-41
- નિર્ગમન 14:23-25
- ઉત્પત્તિ 41:42-43
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- __12:10__જેથી તેઓ સમુદ્રમાં તેઓની પૂઠે લાગ્યા, પણ દેવે મિસરીઓને ગભરાવી નાખ્યા અને તેઓના રથોને ફસાવી દીધા.
શબ્દ માહિતી:
- Strong's: H668, H2021, H4817, H4818, H5699, H7393, H7395, H7396, H7398, G716, G4480
રથ, રથો, સારથિ
વ્યાખ્યા:
પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.
- લોકો રથોમાં બેસતા અથવા ઉભા રહેતા, યુદ્ધ અથવા મુસાફરી માટે તેઓનો ઉપયોગ થતો.
- યુધ્ધ દરમ્યાન જે લશ્કર પાસે રથો નહોતા તેમની સામે જે લશ્કર પાસે રથો હતા તેઓને ઝડપ અને ગતિશીલતાનો મહાન ફાયદો હતો.
- પ્રાચીન સમયના મિસરીઓ અને રોમનો તેઓના ઘોડાઓ અને રથોના ઉપયોગ માટે ખૂબજ પ્રખ્યાત હતા.
(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું
(આ પણ જુઓ : મિસર, રોમ)
બાઈબલની કલમો:
- 1 રાજા 9:22
- 2 કાળવૃતાંત 18:28-30
- પ્રેરિતો 8:29-31
- પ્રેરિતો 8:36-38
- દાનિયેલ 11:40-41
- નિર્ગમન 14:23-25
- ઉત્પત્તિ 41:42-43
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- __12:10__જેથી તેઓ સમુદ્રમાં તેઓની પૂઠે લાગ્યા, પણ દેવે મિસરીઓને ગભરાવી નાખ્યા અને તેઓના રથોને ફસાવી દીધા.
શબ્દ માહિતી:
- Strong's: H668, H2021, H4817, H4818, H5699, H7393, H7395, H7396, H7398, G716, G4480
રહાબામ
તથ્યો:
રહાબામ સુલેમાન રાજાનો એક પુત્ર હતો અને સુલેમાનના મૃત્યુ બાદ તે ઇઝરાયલ દેશનો રાજા બન્યો.
- તેના શાસનકાળની શરૂઆતમાં, રહાબામ પોતાના લોકો પ્રત્યે કઠોર હતો કે જેથી ઇઝરાયલના દસ કુળોએ તેની વિરુદ્ધ બળવો કર્યો અને ઉત્તરમાં “ઇઝરાયલનું રાજ્ય” સ્થાપ્યું.
- રહાબામ દક્ષિણના યહૂદા રાજ્યના રાજા તરીકે ચાલુ રહ્યો જેમાં બાકીના બે કુળો યહૂદા અને બિન્યામીનનો સમાવેશ થતો હતો.
- રહાબામ દુષ્ટ રાજા હતો કે જેણે યહોવાનું આજ્ઞાપાલન કર્યું નહીં પણ જૂઠા દેવોની પૂજા કરી.
(આ પણ જૂઓ: ઈઝરાયેલનું રાજ્ય, યહુદા, સુલેમાન)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 3:10-12
- 1 રાજા 11:41-43
- 1 રાજા 14:21-22
- માથ્થી 1:7-8
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 18:5 સુલેમાનના મરણ પછી, તેનો પુત્ર રહાબામ રાજા બન્યો. રહાબામ મૂર્ખ માણસ હતો.
- 18:6 રહાબામે મૂર્ખતાથી જવાબ આપ્યો અને કહ્યું કે, “તમે વિચારો છો કે મારા પિતા સુલેમાને તમારી પાસે કઠોર મહેનત કરાવી, પણ હું તમારા કામને તેનાથી વધારે કઠોર બનાવીશ અને હું તમને મારા પિતા કરતાં વધારે નિર્દયતાથી સજા કરીશ.”
- 18:7 ઇઝરાયલ દેશના દસ કુળોએ રહાબામ વિરુદ્ધ બળવો કર્યો.
ફક્ત બે જ કુળો તેને વિશ્વાસુ રહ્યાં.
શબ્દ માહિતી:
રાખ, ભસ્મ, ધૂળ
સત્યો:
“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે.
ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે.
બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે.
તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.
- ભસ્મનો ઢગલો ”રાખનો ઢગલો” છે.
પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી.
વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી.
માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.
કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.
જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.
- “રાખ વૃક્ષ” (એશ ત્રી નામનું વૃક્ષ)” સંપૂર્ણ અલગ શબ્દ છે, તેની નોંધ લેશો.
(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)
બાઈબલની કલમો:
- 1 રાજા 20:9-10
- યર્મિયા 6:25-26
- ગીતશાસ્ત્ર 102:9-10
- ગીતશાસ્ત્ર 113:7-8
શબ્દ માહિતી:
- Strong's: H80, H665, H666, H766, H1854, H6083, H6368, H7834, G2868, G4700, G5077, G5522
રાખ, ભસ્મ, ધૂળ
સત્યો:
“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે.
ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે.
બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે.
તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.
- ભસ્મનો ઢગલો ”રાખનો ઢગલો” છે.
પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી.
વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી.
માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.
કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.
જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.
- “રાખ વૃક્ષ” (એશ ત્રી નામનું વૃક્ષ)” સંપૂર્ણ અલગ શબ્દ છે, તેની નોંધ લેશો.
(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)
બાઈબલની કલમો:
- 1 રાજા 20:9-10
- યર્મિયા 6:25-26
- ગીતશાસ્ત્ર 102:9-10
- ગીતશાસ્ત્ર 113:7-8
શબ્દ માહિતી:
- Strong's: H80, H665, H666, H766, H1854, H6083, H6368, H7834, G2868, G4700, G5077, G5522
રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું
વ્યાખ્યા:
“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન.
“રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.
- જુના કરારમાં, સામાન્ય રીતે રાજાને કેટલીકવાર “રાજકર્તા” તરીકે ઓળખવામાં આવતાં હતાં, “ઈઝરાયેલ પર તેને રાજકર્તા તરીકે નિમવામાં આવ્યો” એ શબ્દસમૂહ પ્રમાણે.
- ઈશ્વરને અંતિમ રાજકર્તા તરીકે ઓળખવામાં આવે છે, કે જેઓ સર્વ બીજા રાજકર્તાઓ પર રાજ કરે છે.
- નવા કરારમાં, સભાસ્થાનના આગેવાન “રાજકર્તા” કહેવાતા હતાં.
- બીજા પ્રકારના રાજકર્તા નવા કરારમાં “રાજ્યપાલ” હતાં.
- સંદર્ભને આધારે, “રાજકર્તા” નું અનુવાદ “આગેવાન” અથવા “વ્યક્તિ કે જેને બીજા પર અધિકાર છે” તરીકે કરી શકાય.
- “રાજ” કરવાની ક્રિયા એટલે કે “આગેવાની” આપવી અથવા “બીજા પર અધિકાર” હોવો.
જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.
(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)
બાઈબલના સંદર્ભો:
- પ્રે.કૃ. 3:17-18
- પ્રે.કૃ. 7:35-37
- લૂક 12:11-12
- લૂક 23:35
- માર્ક 10:41-42
- માથ્થી 9:32-34
- માથ્થી 20:25-28
- તિતસ 3:1-2
શબ્દ માહિતી:
- Strong's: H995, H1166, H1167, H1404, H2708, H2710, H3027, H3548, H3920, H4043, H4410, H4427, H4428, H4438, H4467, H4474, H4475, H4623, H4910, H4941, H5057, H5065, H5387, H5401, H5461, H5715, H6113, H6213, H6485, H6957, H7101, H7218, H7287, H7300, H7336, H7786, H7860, H7980, H7981, H7985, H7989, H7990, H8199, H8269, H8323, H8451, G746, G752, G755, G757, G758, G932, G936, G1018, G1203, G1299, G1778, G1785, G1849, G2232, G2233, G2525, G2583, G2888, G2961, G3545, G3841, G4165, G4173, G4291
રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું
વ્યાખ્યા:
“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન.
“રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.
- જુના કરારમાં, સામાન્ય રીતે રાજાને કેટલીકવાર “રાજકર્તા” તરીકે ઓળખવામાં આવતાં હતાં, “ઈઝરાયેલ પર તેને રાજકર્તા તરીકે નિમવામાં આવ્યો” એ શબ્દસમૂહ પ્રમાણે.
- ઈશ્વરને અંતિમ રાજકર્તા તરીકે ઓળખવામાં આવે છે, કે જેઓ સર્વ બીજા રાજકર્તાઓ પર રાજ કરે છે.
- નવા કરારમાં, સભાસ્થાનના આગેવાન “રાજકર્તા” કહેવાતા હતાં.
- બીજા પ્રકારના રાજકર્તા નવા કરારમાં “રાજ્યપાલ” હતાં.
- સંદર્ભને આધારે, “રાજકર્તા” નું અનુવાદ “આગેવાન” અથવા “વ્યક્તિ કે જેને બીજા પર અધિકાર છે” તરીકે કરી શકાય.
- “રાજ” કરવાની ક્રિયા એટલે કે “આગેવાની” આપવી અથવા “બીજા પર અધિકાર” હોવો.
જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.
(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)
બાઈબલના સંદર્ભો:
- પ્રે.કૃ. 3:17-18
- પ્રે.કૃ. 7:35-37
- લૂક 12:11-12
- લૂક 23:35
- માર્ક 10:41-42
- માથ્થી 9:32-34
- માથ્થી 20:25-28
- તિતસ 3:1-2
શબ્દ માહિતી:
- Strong's: H995, H1166, H1167, H1404, H2708, H2710, H3027, H3548, H3920, H4043, H4410, H4427, H4428, H4438, H4467, H4474, H4475, H4623, H4910, H4941, H5057, H5065, H5387, H5401, H5461, H5715, H6113, H6213, H6485, H6957, H7101, H7218, H7287, H7300, H7336, H7786, H7860, H7980, H7981, H7985, H7989, H7990, H8199, H8269, H8323, H8451, G746, G752, G755, G757, G758, G932, G936, G1018, G1203, G1299, G1778, G1785, G1849, G2232, G2233, G2525, G2583, G2888, G2961, G3545, G3841, G4165, G4173, G4291
રાજા, રાજાઓ, રાજ્ય, રાજ્યો, રાજાશાહી, રાજવી
વ્યાખ્યા:
"રાજા" શબ્દ એવા એક માણસનો ઉલ્લેખ કરે છે જે શહેર, રાજ્ય, અથવા દેશનો સર્વોચ્ચ શાસક છે.
- આગલા રાજાઓના કૌટુંબિક સંબંધને કારણે સામાન્ય રીતે રાજાને રાજ કરવા પસંદ કરવામાં આવતો હતો.
- જ્યારે રાજા મરણ પામે ત્યારે, સામાન્ય રીતે તેનો વડો દીકરો તેના પછીનો રાજા બને.
- પ્રાચીન સમયોમાં, રાજા પાસે તેના રાજ્યના લોકો પર સંપૂર્ણ સત્તા હતી.
- ભાગ્યેજ "રાજા" શબ્દનો ઉલ્લેખ એવા વ્યક્તિ માટે કરવામાં આવ્યો હતો જે ખરો રાજા ન હતો, જેમ કે નવા કરારમાં "”હેરોદ રાજા."
- બાઈબલમાં, ઘણીવાર ઈશ્વરને તેમના લોકો પર રાજા તરીકે સંબોધવામાં આવ્યા છે.
- "ઈશ્વરનું રાજ્ય" એ ઈશ્વરનું તેમના લોકો પરના રાજનો ઉલ્લેખ કરે છે.
- ઈસુને "યહુદીઓના રાજા," "ઈઝરાયેલના રાજા," અને "રાજાઓના રાજા" કહેવામા આવ્યા.
- જ્યારે ઈસુ પરત આવશે ત્યારે, તેઓ રાજા તરીકે જગત પર રાજ કરશે.
- આ શબ્દનું અનુવાદ "સર્વોચ્ચ વડા" અથવા "પૂર્ણ આગેવાન" અથવા "સર્વોપરી શાસક" એમ પણ કરી શકાય.
- "રાજાઓના રાજા" શબ્દસમૂહનું અનુવાદ "રાજા કે જે બીજા રાજાઓ પર રાજ કરે છે" અથવા "સર્વોચ્ચ શાસક જેને બીજા શાસકો પર સત્તા છે" એમ કરી શકાય.
(આ પણ જુઓ: અધિકાર, હેરોદ, રાજ્ય, ઈશ્વરનું રાજ્ય)
બાઇબલના સંદર્ભો:
- 1 તિમોથી 6:15-16
- 2 રાજાઓ 5:17-19
- 2 શમુએલ 5:3-5
- પ્રેરિતોના કૃત્યો 7:9-10
- પ્રેરિતોના કૃત્યો 13:21-22
- યોહાન 1:49-51
- લૂક 1:5-7
- લૂક 22:24-25
- માથ્થી 5:33-35
- માથ્થી 14:8-9
બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:
- 8:6 એ રાત્રે, ફારુન, જેને મિસરીઓ તેમના રાજા તરીકે ગણતાં હતા, તેને બે સ્વપ્નો આવ્યા કે જેણે તેને ખૂબ બેચેન બનાવી દીધો.
- 16:1 ઈઝરાયેલીઓનો કોઈ હતો નહીં રાજા, તેથી દરેક જેને પોતાને માટે જે સારું લાગતું તે કરો હતો.
- 16:18 છેવટે, લોકોએ ઈશ્વર પાસે માંગ્યો એક રાજા જેમ બીજા બધા દેશો પાસે હતો તેમ.
- 17:5 છેવટે, શાઉલ લડતમાં મૃત્યુ પામ્યો, અને દાઉદ બન્યો રાજા ઇઝરાયેલનો.
તે સારો હતો રાજા, અને કોલો તેને પ્રેમ કરતાં હતા.
- 21:6 ઈશ્વરના પ્રબોધકોએ એ પણ કહ્યું હતું કે મસીહા પ્રબોધક, યાજક અને રાજા હશે.
- 48:14 દાઉદ હતો રાજા ઈઝરાયેલનો, પરંતુ ઈસુ છે રાજા સમગ્ર વિશ્વના!
શબ્દ માહિતી:
- Strong's: H4427, H4428, H4430, G935, G936
રાજા, રાજાઓ, રાજ્ય, રાજ્યો, રાજાશાહી, રાજવી
વ્યાખ્યા:
"રાજા" શબ્દ એવા એક માણસનો ઉલ્લેખ કરે છે જે શહેર, રાજ્ય, અથવા દેશનો સર્વોચ્ચ શાસક છે.
- આગલા રાજાઓના કૌટુંબિક સંબંધને કારણે સામાન્ય રીતે રાજાને રાજ કરવા પસંદ કરવામાં આવતો હતો.
- જ્યારે રાજા મરણ પામે ત્યારે, સામાન્ય રીતે તેનો વડો દીકરો તેના પછીનો રાજા બને.
- પ્રાચીન સમયોમાં, રાજા પાસે તેના રાજ્યના લોકો પર સંપૂર્ણ સત્તા હતી.
- ભાગ્યેજ "રાજા" શબ્દનો ઉલ્લેખ એવા વ્યક્તિ માટે કરવામાં આવ્યો હતો જે ખરો રાજા ન હતો, જેમ કે નવા કરારમાં "”હેરોદ રાજા."
- બાઈબલમાં, ઘણીવાર ઈશ્વરને તેમના લોકો પર રાજા તરીકે સંબોધવામાં આવ્યા છે.
- "ઈશ્વરનું રાજ્ય" એ ઈશ્વરનું તેમના લોકો પરના રાજનો ઉલ્લેખ કરે છે.
- ઈસુને "યહુદીઓના રાજા," "ઈઝરાયેલના રાજા," અને "રાજાઓના રાજા" કહેવામા આવ્યા.
- જ્યારે ઈસુ પરત આવશે ત્યારે, તેઓ રાજા તરીકે જગત પર રાજ કરશે.
- આ શબ્દનું અનુવાદ "સર્વોચ્ચ વડા" અથવા "પૂર્ણ આગેવાન" અથવા "સર્વોપરી શાસક" એમ પણ કરી શકાય.
- "રાજાઓના રાજા" શબ્દસમૂહનું અનુવાદ "રાજા કે જે બીજા રાજાઓ પર રાજ કરે છે" અથવા "સર્વોચ્ચ શાસક જેને બીજા શાસકો પર સત્તા છે" એમ કરી શકાય.
(આ પણ જુઓ: અધિકાર, હેરોદ, રાજ્ય, ઈશ્વરનું રાજ્ય)
બાઇબલના સંદર્ભો:
- 1 તિમોથી 6:15-16
- 2 રાજાઓ 5:17-19
- 2 શમુએલ 5:3-5
- પ્રેરિતોના કૃત્યો 7:9-10
- પ્રેરિતોના કૃત્યો 13:21-22
- યોહાન 1:49-51
- લૂક 1:5-7
- લૂક 22:24-25
- માથ્થી 5:33-35
- માથ્થી 14:8-9
બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:
- 8:6 એ રાત્રે, ફારુન, જેને મિસરીઓ તેમના રાજા તરીકે ગણતાં હતા, તેને બે સ્વપ્નો આવ્યા કે જેણે તેને ખૂબ બેચેન બનાવી દીધો.
- 16:1 ઈઝરાયેલીઓનો કોઈ હતો નહીં રાજા, તેથી દરેક જેને પોતાને માટે જે સારું લાગતું તે કરો હતો.
- 16:18 છેવટે, લોકોએ ઈશ્વર પાસે માંગ્યો એક રાજા જેમ બીજા બધા દેશો પાસે હતો તેમ.
- 17:5 છેવટે, શાઉલ લડતમાં મૃત્યુ પામ્યો, અને દાઉદ બન્યો રાજા ઇઝરાયેલનો.
તે સારો હતો રાજા, અને કોલો તેને પ્રેમ કરતાં હતા.
- 21:6 ઈશ્વરના પ્રબોધકોએ એ પણ કહ્યું હતું કે મસીહા પ્રબોધક, યાજક અને રાજા હશે.
- 48:14 દાઉદ હતો રાજા ઈઝરાયેલનો, પરંતુ ઈસુ છે રાજા સમગ્ર વિશ્વના!
શબ્દ માહિતી:
- Strong's: H4427, H4428, H4430, G935, G936
રાજ્ય, રાજ્યો
વ્યાખ્યા:
રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે.
તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.
- રાજ્ય કોઈપણ ભૌગોલિક આકારનું હોય શકે.
રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.
- "રાજ્ય" શબ્દ એ આત્મિક શાસન કે સત્તાનો ઉલ્લેખ કરી શકે, જેમ "ઈશ્વરના રાજ્ય" ના શબ્દમાં છે તેમ.
- ઈશ્વર સર્વ સર્જનના શાસક છે, પરંતુ "ઈશ્વરનું રાજ્ય" શબ્દ જેઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો છે અને જેઓ તેમની સત્તાને તાબે થયા છે તેઓ પર તેમના શાસન અને સત્તાનો ખાસ કરીને ઉલ્લેખ કરે છે.
- શેતાન પાસે પણ "રાજ્ય" છે એવી પણ વાત બાઇબલ કરે છે જેમાં તે આ પૃથ્વી પર ઘણી બાબતો પર ક્ષણિક રીતે રાજ કરે છે.
તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.
અનુવાદ માટેના સૂચનો:
- જ્યારે ભૌતિક વિસ્તાર જે પર રાજા દ્વારા શાસન કરવામાં આવતું હોય તેમ સંબોધવામાં આવ્યું હોય ત્યારે, "રાજ્ય" શબ્દનું અનુવાદ "દેશ (રાજા દ્વારા શાસિત)" અથવા "રાજાનો પ્રદેશ" અથવા "રાજા દ્વારા શાસિત વિસ્તાર" એમ કરી શકાય.
- આત્મિક સમજણમાં, "રાજ્ય" નું અનુવાદ "શાસક" અથવા "સત્તાધીશ" અથવા "નિયંત્રણ" અથવા "શાસન" એમ કરી શકાય.
- એક રીતે "યાજકોનું રાજ્ય" નું અનુવાદ "આત્મિક યાજકો જેઓ ઈશ્વર દ્વારા શાસિત છે" એમ કરી શકાય.
- "અજવાળાનું રાજ્ય" નું અનુવાદ "ઈશ્વરનું શાસન જે અજવાળાની જેમ સારું છે" અથવા "જ્યારે ઈશ્વર, જેઓ અજવાળું છે, લોકો પર શાસન કરે છે" અથવા "અજવાળું અને ઈશ્વરના રાજ્યની ભલમનસાઈ" એમ કરી શકાય.
આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.
- એ નોંધો કે "રાજ્ય" શબ્દ એ સામ્રાજ્ય શબ્દ કરતાં અલગ છે, જેમાં સમ્રાટ અનેક દેશો પર રાજ કરે છે.
(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)
બાઈબલના સંદર્ભો:
- 1 થેસ્સાલોનિકીઓ 2:10-12
- 2 તિમોથી 4:17-18
- કલોસ્સીઓ 1:13-14
- યોહાન 18:36-37
- માર્ક 3:23-25
- માથ્થી 4:7-9
- માથ્થી 13:18-19
- માથ્થી 16:27-28
- પ્રકટીકરણ 1:9-11
બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:
- 13:2 ઈશ્વરે મુસા અને ઈઝરાયેલના લોકોને કહ્યું, "જો તમે મારી આજ્ઞાઓ પાળશો અને મારો કરાર પાળશો, તો તમે મારા ખાસ લોક થશો, એક રાજ્ય યાજકોનું, અને એક પવિત્ર દેશજાતિ."
- 18:4 ઈશ્વર સુલેમાનથી ગુસ્સે થયા અને, સુલેમાનના અવિશ્વાસુપણાની શિક્ષા તરીકે, તેમણે ઈઝરાયેલ રાષ્ટ્રનું વિભાજન કરવાનું વચન આપ્યું બે રાજ્યોમાં સુલેમાનના મરણ પછી.
- 18:7 ઈઝરાયેલ રાષ્ટ્રના દસ કુળોએ રહાબામ વિરુદ્ધ બંડ પોકાર્યું.
માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા.
આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.
- 18:8 ઇઝરાયેલ રાષ્ટ્રના બીજા દસ કુળો કે જેમણે રહાબામ વિરુદ્ધ બંડ પોકાર્યું હતું તેમણે યરોબામ નામના માણસને તેમના રાજા તરીકે પસંદ કર્યો.
તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.
- 21:8 રાજા એ છે કે જે રાજ કરો હોય રાજ્ય પર અને લોકોનો ન્યાય કરતો હોય.
શબ્દ માહિતી:
- Strong's: H4410, H4437, H4438, H4467, H4468, H4474, H4475, G932
રાજ્ય, રાજ્યો
વ્યાખ્યા:
રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે.
તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.
- રાજ્ય કોઈપણ ભૌગોલિક આકારનું હોય શકે.
રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.
- "રાજ્ય" શબ્દ એ આત્મિક શાસન કે સત્તાનો ઉલ્લેખ કરી શકે, જેમ "ઈશ્વરના રાજ્ય" ના શબ્દમાં છે તેમ.
- ઈશ્વર સર્વ સર્જનના શાસક છે, પરંતુ "ઈશ્વરનું રાજ્ય" શબ્દ જેઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો છે અને જેઓ તેમની સત્તાને તાબે થયા છે તેઓ પર તેમના શાસન અને સત્તાનો ખાસ કરીને ઉલ્લેખ કરે છે.
- શેતાન પાસે પણ "રાજ્ય" છે એવી પણ વાત બાઇબલ કરે છે જેમાં તે આ પૃથ્વી પર ઘણી બાબતો પર ક્ષણિક રીતે રાજ કરે છે.
તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.
અનુવાદ માટેના સૂચનો:
- જ્યારે ભૌતિક વિસ્તાર જે પર રાજા દ્વારા શાસન કરવામાં આવતું હોય તેમ સંબોધવામાં આવ્યું હોય ત્યારે, "રાજ્ય" શબ્દનું અનુવાદ "દેશ (રાજા દ્વારા શાસિત)" અથવા "રાજાનો પ્રદેશ" અથવા "રાજા દ્વારા શાસિત વિસ્તાર" એમ કરી શકાય.
- આત્મિક સમજણમાં, "રાજ્ય" નું અનુવાદ "શાસક" અથવા "સત્તાધીશ" અથવા "નિયંત્રણ" અથવા "શાસન" એમ કરી શકાય.
- એક રીતે "યાજકોનું રાજ્ય" નું અનુવાદ "આત્મિક યાજકો જેઓ ઈશ્વર દ્વારા શાસિત છે" એમ કરી શકાય.
- "અજવાળાનું રાજ્ય" નું અનુવાદ "ઈશ્વરનું શાસન જે અજવાળાની જેમ સારું છે" અથવા "જ્યારે ઈશ્વર, જેઓ અજવાળું છે, લોકો પર શાસન કરે છે" અથવા "અજવાળું અને ઈશ્વરના રાજ્યની ભલમનસાઈ" એમ કરી શકાય.
આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.
- એ નોંધો કે "રાજ્ય" શબ્દ એ સામ્રાજ્ય શબ્દ કરતાં અલગ છે, જેમાં સમ્રાટ અનેક દેશો પર રાજ કરે છે.
(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)
બાઈબલના સંદર્ભો:
- 1 થેસ્સાલોનિકીઓ 2:10-12
- 2 તિમોથી 4:17-18
- કલોસ્સીઓ 1:13-14
- યોહાન 18:36-37
- માર્ક 3:23-25
- માથ્થી 4:7-9
- માથ્થી 13:18-19
- માથ્થી 16:27-28
- પ્રકટીકરણ 1:9-11
બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:
- 13:2 ઈશ્વરે મુસા અને ઈઝરાયેલના લોકોને કહ્યું, "જો તમે મારી આજ્ઞાઓ પાળશો અને મારો કરાર પાળશો, તો તમે મારા ખાસ લોક થશો, એક રાજ્ય યાજકોનું, અને એક પવિત્ર દેશજાતિ."
- 18:4 ઈશ્વર સુલેમાનથી ગુસ્સે થયા અને, સુલેમાનના અવિશ્વાસુપણાની શિક્ષા તરીકે, તેમણે ઈઝરાયેલ રાષ્ટ્રનું વિભાજન કરવાનું વચન આપ્યું બે રાજ્યોમાં સુલેમાનના મરણ પછી.
- 18:7 ઈઝરાયેલ રાષ્ટ્રના દસ કુળોએ રહાબામ વિરુદ્ધ બંડ પોકાર્યું.
માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા.
આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.
- 18:8 ઇઝરાયેલ રાષ્ટ્રના બીજા દસ કુળો કે જેમણે રહાબામ વિરુદ્ધ બંડ પોકાર્યું હતું તેમણે યરોબામ નામના માણસને તેમના રાજા તરીકે પસંદ કર્યો.
તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.
- 21:8 રાજા એ છે કે જે રાજ કરો હોય રાજ્ય પર અને લોકોનો ન્યાય કરતો હોય.
શબ્દ માહિતી:
- Strong's: H4410, H4437, H4438, H4467, H4468, H4474, H4475, G932
રાણી, રાણીઓ
વ્યાખ્યા:
રાણી એ એક દેશની સ્ત્રી શાસક અથવા તો રાજાની પત્ની છે.
- એસ્તેર જ્યારે અહાશ્વેરોશ રાજાને પરણી ત્યારે તે ઇરાનના સામ્રાજ્યની રાણી બની.
- ઇઝબેલ રાણી આહબ રાજાની દુષ્ટ પત્ની હતી.
- શેબાની રાણી એક વિખ્યાત શાસક હતી કે જે સુલેમાન રાજાની મુલાકાતે આવી હતી.
- “રાજમાતા” શબ્દ સામાન્ય રીતે રાજ કરતા રાજાની માતા અથવા દાદી અથવા તો અગાઉના રાજાની વિધવા પત્નીઓ ઉલ્લેખ કરતો હતો.
રાજમાતા ઘણી પ્રભાવશાળી વ્યક્તિ હતી; ઉદાહરણ તરીકે અથાલ્યાએ લોકોને મૂર્તિપૂજા કરવા પ્રેર્યા હતા.
(આ જૂઓ: અહાશ્વેરોશ, અથાલ્યા, એસ્તેર, રાજા. ઇરાન રાજ, શેબા)
બાઇબલના સંદર્ભો:
- 1 રાજા 10:10
- 1 રાજા 11:18-19
- 2 રાજા 10:12-14
- પ્રેરિતોનાં કૃત્યો 8:26-28
- એસ્તેર 1:16-18
- લૂક 11:31
- માથ્થી 12:42
શબ્દ માહિતી:
- Strong's: H1404, H1377, H4410, H4427, H4433, H4436, H4438, H4446, H7694, H8282, G938
રાણી, રાણીઓ
વ્યાખ્યા:
રાણી એ એક દેશની સ્ત્રી શાસક અથવા તો રાજાની પત્ની છે.
- એસ્તેર જ્યારે અહાશ્વેરોશ રાજાને પરણી ત્યારે તે ઇરાનના સામ્રાજ્યની રાણી બની.
- ઇઝબેલ રાણી આહબ રાજાની દુષ્ટ પત્ની હતી.
- શેબાની રાણી એક વિખ્યાત શાસક હતી કે જે સુલેમાન રાજાની મુલાકાતે આવી હતી.
- “રાજમાતા” શબ્દ સામાન્ય રીતે રાજ કરતા રાજાની માતા અથવા દાદી અથવા તો અગાઉના રાજાની વિધવા પત્નીઓ ઉલ્લેખ કરતો હતો.
રાજમાતા ઘણી પ્રભાવશાળી વ્યક્તિ હતી; ઉદાહરણ તરીકે અથાલ્યાએ લોકોને મૂર્તિપૂજા કરવા પ્રેર્યા હતા.
(આ જૂઓ: અહાશ્વેરોશ, અથાલ્યા, એસ્તેર, રાજા. ઇરાન રાજ, શેબા)
બાઇબલના સંદર્ભો:
- 1 રાજા 10:10
- 1 રાજા 11:18-19
- 2 રાજા 10:12-14
- પ્રેરિતોનાં કૃત્યો 8:26-28
- એસ્તેર 1:16-18
- લૂક 11:31
- માથ્થી 12:42
શબ્દ માહિતી:
- Strong's: H1404, H1377, H4410, H4427, H4433, H4436, H4438, H4446, H7694, H8282, G938
રાબ્બા
વ્યાખ્યા:
રાબ્બા આમ્મોની લોકોનું સૌથી મહત્ત્વનું શહેર હતું.
- આમ્મોનીઓ વિરુદ્ધની લડાઈઓમાં, ઇઝરાયલીઓ ઘણી વાર રાબ્બા પર હુમલો કરતા હતા.
- ઇઝરાયલના રાજા દાઉદે પોતાના અંતિમ યુદ્ધ વિજયોમાં રાબ્બાને સર કર્યું હતું.
- રાબ્બા જ્યાં સ્થિત હતું ત્યાં આજે જોર્ડન દેશનું અમ્માન શહેર હયાત છે.
(આ જૂઓ: આમ્મોન, દાઉદ)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 20:1
- 2 શમુએલ 12:26-28
- પુનર્નિયમ 3:11
- હઝકિયેલ 25:3-5
- યર્મિયા 49:1-2
શબ્દ માહિતી:
રામા
તથ્યો:
રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું.
જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.
- રાહેલ બિન્યામીનને જન્મ આપ્યા પછી મરણ પામી તે સ્થળ રામા હતું.
- જ્યારે ઇઝરાયલીઓને બાબેલના બંદીવાસમાં લઈ જવામાં આવતા હતા ત્યારે, તેઓને બાબેલમાં લઈ ગયા અગાઉ રામામાં લાવવામાં આવ્યા હતા.
- રામા શમુએલના માતાપિતાનું વતન હતું.
(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 27:25-27
- 1 શમુએલ 2:11
- 2 કાળવૃતાંત 16:1
- યર્મિયા 31:15
- યહોશુઆ 18:25-28
- માથ્થી 2:17-18
શબ્દ માહિતી:
રામા
તથ્યો:
રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું.
જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.
- રાહેલ બિન્યામીનને જન્મ આપ્યા પછી મરણ પામી તે સ્થળ રામા હતું.
- જ્યારે ઇઝરાયલીઓને બાબેલના બંદીવાસમાં લઈ જવામાં આવતા હતા ત્યારે, તેઓને બાબેલમાં લઈ ગયા અગાઉ રામામાં લાવવામાં આવ્યા હતા.
- રામા શમુએલના માતાપિતાનું વતન હતું.
(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 27:25-27
- 1 શમુએલ 2:11
- 2 કાળવૃતાંત 16:1
- યર્મિયા 31:15
- યહોશુઆ 18:25-28
- માથ્થી 2:17-18
શબ્દ માહિતી:
રામોથ
તથ્યો:
રામોથ યર્દન નદી નજીક ગિલ્યાદના પહાડોમાં સ્થિત એક અગત્યનું શહેર હતું.
તેને રામોથ ગિલ્યાદ પણ કહેવામાં આવતું હતું.
- રામોથ ઇઝરાયલના ગાદના કુળની માલિકીનું હતું અને તેને આશ્રયસ્થાનના એક શહેર તરીકે ઠરાવવામાં આવ્યું હતું.
- ઇઝરાયલના રાજા આહાબ અને યહૂદાના રાજા યહોશાફાટે રામોથમાં અરામના રાજા સાથે યુદ્ધ કર્યું હતું.
તે યુદ્ધમાં આહાબને મારી નાખવામાં આવ્યો હતો.
- થોડા સમય પછી, અહાઝ્યા રાજા અને યોરામ રાજાએ અરામના રાજા પાસેથી રામા જીતી લેવા પ્રયાસ કર્યો હતો.
- રામોથ ગિલ્યાદમાં યેહુને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કરવામાં આવ્યો હતો.
(આ પણ જૂઓ: આહાબ, અહાઝ્યા, અરામ, ગાદ, યહોશાફાટ, યેહૂ, યોરામ (યહોરામ), યર્દન નદી, યહુદા, આશ્રય)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 6:71-73
- 1 રાજા 22:3-4
- 2 કાળવૃતાંત 18:1-3
- 2 રાજા 8:28-29
શબ્દ માહિતી:
- Strong's: H7216, H7418, H7433
રાહાબ
તથ્યો:
રાહાબ એક સ્ત્રી હતી કે જે જ્યારે ઇઝરાયલીઓએ યરીખો પર હુમલો કર્યો ત્યારે ત્યાં રહેતી હતી.
તે એક વેશ્યા હતી.
- ઇઝરાયલીઓ યરીખો પર હુમલો કરવા આવ્યા તે અગાઉ જે બે ઇઝરાયલીઓ તેની માહિતી મેળવવા આવ્યા તેઓને રાહાબે સંતાડ્યા હતા.
તેણે તે જાસૂસોને ઇઝરાયલની છાવણીમાં પાછા ભાગી જવા મદદ કરી હતી.
- રાહાબ યહોવામાં વિશ્વાસ કરનારી વ્યક્તિ બની.
- જ્યારે યરીખોનો નાશ કરવામાં આવ્યો ત્યારે તેને અને તેના કુટુંબને બચાવવામાં આવ્યું હતું અને તેઓ બધા ઇઝરાયલીઓ સાથે રહેવા ગયા.
(આ પણ જૂઓ: ઈઝરાએલ, યરીખો, વેશ્યા)
બાઇબલના સંદર્ભો:
- હિબ્રૂ 11:29-31
- યાકૂબ 2:25-26
- યહોશુઆ 2:20-21
- યહોશુઆ 6:17-19
- માત્થી 1:4-6
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 15:1 તે શહેરમાં રાહાબ નામે એક વેશ્યા રહેતી હતી જેણે જાસૂસોને સંતાડ્યા અને બાદમાં તેઓને ભાગી જવામાં મદદ કરી. તે ઈશ્વરમાં વિશ્વાસ કરતી હતી તે માટે તેણે આમ કર્યું. જ્યારે ઇઝરાયલીઓ યરીખોનો નાશ કરે ત્યારે તેઓએ રાહાબનું તથા તેના કુટુંબનું રક્ષણ કરવાનું વચન આપ્યું.
- 15:5 ઇઝરાયલીઓએ જેમ ઈશ્વરે આજ્ઞા આપી હતી તેમ શહેરમાંની દરેક બાબતોનો નાશ કર્યો. શહેરમાં રાહાબ અને તેનું કુટુંબ જ એવા લોકો હતા જેઓને તેઓએ મારી નાખ્યા નહીં.
તેઓ ઇઝરાયલી લોકોનો હિસ્સો બની ગયા.
શબ્દ માહિતી:
રાહેલ
તથ્યો:
રાહેલ યાકૂબની પત્નીઓમાંની એક હતી.
તે અને તેની બહેન લેઆ લાબાન કે જે યાકૂબના મામા હતા તેની દીકરીઓ હતી.
- રાહેલ યૂસફ અને બિન્યામીનની માતા હતી કે જેઓના વંશજો ઇઝરાયલના બે કુળો બન્યા.
- ઘણા વર્ષો સુધી, રાહેલ બાળકોને જન્મ આપવા સક્ષમ ન હતી.
પછી ઈશ્વરે તેને યૂસફનો જન્મ આપવા સક્ષમ કરી.
- વર્ષો બાદ, બિન્યામીનની પ્રસૂતિ સમયે રાહેલ મૃત્યુ પામી અને યાકુબે બેથલેહેમ પાસે તેનું દફન કર્યું.
(આ પણ જૂઓ: બેથલેહેમ, ઈઝરાએલ, લાબાન, લેઆહ, યૂસફ (જૂના કરાર), ઇસ્રાએલના બાર કુળ)
બાઇબલના સંદર્ભો:
- ઉત્પત્તિ 29:4-6
- ઉત્પત્તિ 29:19-20
- ઉત્પત્તિ 29:28-30
- ઉત્પત્તિ 31:4-6
- ઉત્પત્તિ 33:1-3
- માથ્થી 2:17-18
શબ્દ માહિતી:
રૂથ
તથ્યો:
રૂથ મોઆબી સ્ત્રી હતી જે જ્યારે ન્યાયાધીશો ઈઝરાયેલનો ન્યાય કરતાં હતાં તે સમય દરમિયાન જીવતી હતી.
તેણીએ ઈઝરાયેલી માણસ સાથે મોઆબમાં લગ્ન કર્યા હતાં જ્યારે ન્યાયાધીશો ઈઝરાયેલનો ન્યાય કરતાં હતાં તે સમય દરમિયાન દુષ્કાળને કારણે તેણે ત્યાં તેના કુટુંબ સાથે સ્થળાંતર કર્યું હતું
- રૂથનો પતિ મરણ પામ્યો, અને થોડાં સમય પછી તેણીએ પોતાની સાસુ નાઓમી સાથે મુસાફરી શરૂ કરતાં મોઆબ છોડ્યું, કે જે તેના વતન ઈઝરાયેલના બેથલેહેમ તરફ પરત ફરી રહી હતી.
- રૂથ નાઓમીને વફાદાર હતી અને તેને માટે ખોરાક પૂરો પાડવા ભારે મહેનત કરતી હતી.
- તેણે ઈઝરાયેલના એક ખરા ઈશ્વરની સેવાને માટે પણ પોતાને સમર્પિત કરી.
- રૂથે બોઆઝ નામના એક ઈઝરાયેલી માણસ સાથે લગ્ન કર્યા અને પુત્રને જન્મ આપ્યો કે જે દાઉદ રાજાનો દાદા બન્યો.
કારણ કે દાઉદ રાજા ઈસુ ખ્રિસ્તના પૂર્વજ હતાં તેથી રૂથ પણ હતી.
(આ પણ જુઓ: બેથલેહેમ, બોઆઝ, દાઉદ, ન્યાયાધીશ)
બાઈબલના સદાર્ભો:
- માથ્થી 1:4-6
- રૂથ 1:3-5
- રૂથ 3:8-9
- રૂથ 4:5-6
શબ્દ માહિતી:
રૂથ
તથ્યો:
રૂથ મોઆબી સ્ત્રી હતી જે જ્યારે ન્યાયાધીશો ઈઝરાયેલનો ન્યાય કરતાં હતાં તે સમય દરમિયાન જીવતી હતી.
તેણીએ ઈઝરાયેલી માણસ સાથે મોઆબમાં લગ્ન કર્યા હતાં જ્યારે ન્યાયાધીશો ઈઝરાયેલનો ન્યાય કરતાં હતાં તે સમય દરમિયાન દુષ્કાળને કારણે તેણે ત્યાં તેના કુટુંબ સાથે સ્થળાંતર કર્યું હતું
- રૂથનો પતિ મરણ પામ્યો, અને થોડાં સમય પછી તેણીએ પોતાની સાસુ નાઓમી સાથે મુસાફરી શરૂ કરતાં મોઆબ છોડ્યું, કે જે તેના વતન ઈઝરાયેલના બેથલેહેમ તરફ પરત ફરી રહી હતી.
- રૂથ નાઓમીને વફાદાર હતી અને તેને માટે ખોરાક પૂરો પાડવા ભારે મહેનત કરતી હતી.
- તેણે ઈઝરાયેલના એક ખરા ઈશ્વરની સેવાને માટે પણ પોતાને સમર્પિત કરી.
- રૂથે બોઆઝ નામના એક ઈઝરાયેલી માણસ સાથે લગ્ન કર્યા અને પુત્રને જન્મ આપ્યો કે જે દાઉદ રાજાનો દાદા બન્યો.
કારણ કે દાઉદ રાજા ઈસુ ખ્રિસ્તના પૂર્વજ હતાં તેથી રૂથ પણ હતી.
(આ પણ જુઓ: બેથલેહેમ, બોઆઝ, દાઉદ, ન્યાયાધીશ)
બાઈબલના સદાર્ભો:
- માથ્થી 1:4-6
- રૂથ 1:3-5
- રૂથ 3:8-9
- રૂથ 4:5-6
શબ્દ માહિતી:
રોટલી
વ્યાખ્યા:
રોટલી એ લોટમાં પાણી અને તેલ ભેળવીને કણક (બાંધેલા લોટ) માંથી બનાવેલો ખોરાક છે.
પછી કણકને રોટલાનો આકાર આપીને શેકવામાં આવે છે.
- જયારે “રોટલો” (આખો શેકેલો લોંદો/બ્રેડ) શબ્દ આવે છે, તેનો અર્થ “રોટલાનો ટુકડો” (રોટલીનો ટુકડો) થાય છે.
- રોટલીનો કણક સામાન્ય રીતે એવી વસ્તુમાંથી બને છે જે ખમીર લીધે ઉપશી આવે છે.
- ખમીર વગરની રોટલી પણ બનાવી શકાય છે, જે ફૂલશે નહીં.
બાઈબલમાં તેને “બેખમીર રોટલી” અને જે યહૂદિઓના પાસ્ખાપર્વના ભોજન માટે વપરાય હતી.
- બાઈબલના સમયોમાં રોટલી ઘણા લોકો માટે મુખ્ય ખોરાક હતો, આ શબ્દ બાઈબલમાં સામાન્ય રીતે ખોરાક દર્શાવવા વપરાય છે.
(જુઓ: લક્ષણા(અલંકાર)
- “ઉપસ્થિતિની રોટલી” શબ્દ, બાર રોટલીઓ કે જે મુલાકાત મંડપના સોનાની મેજ ઉપર મુકવામાં આવતી હતી અથવા મંદિરની ઈમારત પર દેવને બલિદાન તરીકે અર્પણ કરવામાં આવતી હતી, તેને દર્શાવે છે.
આ રોટલીઓ ઈઝરાએલના બાર કુળો દર્શાવે છે અને તે ફક્ત યાજકોને ખાવા માટે હતી.
તેનું ભાષાંતર એમ કરી શકાય, “રોટલી દર્શાવે છે કે દેવ તેઓની મધ્યેમાં રહે છે.”
- “સ્વર્ગમાંથી આવેલી રોટલી” રૂપકાત્મક શબ્દ દર્શાવે છે, જે વિશેષ સફેદ ખોરાક છે જેને “માન્ના” કહેવાય છે, જયારે ઈઝરાએલીઓ અરણ્યના રણમાં ભટકતા હતા ત્યારે દેવે તેઓને પૂરું પાડ્યું.
- ઈસુ પણ પોતાને “રોટલી કે જે આકાશમાંથી નીચે આવી છે” અને “જીવનની રોટલી” કહેવડાવે છે.
- જયારે ઈસુ અને તેના શિષ્યોની સાથે તેના મૃત્યુ પહેલા પાસ્ખા ભોજન ખાઈ રહ્યા હતા ત્યારે તેમણે બેખમીર પાસ્ખા રોટલીને તેના શરીર સાથે સરખાવી કે જેને વધસ્તંભ ઉપર ઘાયલ કરી અને મારી નાખવામાં આવશે.
- ઘણી વખત “રોટલી” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે “ખોરાક” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: પાસ્ખા, મુલાકાતમંડપ, મંદિર, બેખમીર રોટલી, ખમીર)
બાઈબલની કલમો :
- પ્રેરિતો 2:46-47
- પ્રેરિતો 27:33-35
- નિર્ગમન 16:13-15
- લૂક 9:12-14
- માર્ક 6:37-38
- માથ્થી 4:1-4
- માથ્થી 11:18-19
શબ્દ માહિતી:
- Strong's: H2557, H3899, H4635, H4682, G106, G740, G4286
રોટલી
વ્યાખ્યા:
રોટલી એ લોટમાં પાણી અને તેલ ભેળવીને કણક (બાંધેલા લોટ) માંથી બનાવેલો ખોરાક છે.
પછી કણકને રોટલાનો આકાર આપીને શેકવામાં આવે છે.
- જયારે “રોટલો” (આખો શેકેલો લોંદો/બ્રેડ) શબ્દ આવે છે, તેનો અર્થ “રોટલાનો ટુકડો” (રોટલીનો ટુકડો) થાય છે.
- રોટલીનો કણક સામાન્ય રીતે એવી વસ્તુમાંથી બને છે જે ખમીર લીધે ઉપશી આવે છે.
- ખમીર વગરની રોટલી પણ બનાવી શકાય છે, જે ફૂલશે નહીં.
બાઈબલમાં તેને “બેખમીર રોટલી” અને જે યહૂદિઓના પાસ્ખાપર્વના ભોજન માટે વપરાય હતી.
- બાઈબલના સમયોમાં રોટલી ઘણા લોકો માટે મુખ્ય ખોરાક હતો, આ શબ્દ બાઈબલમાં સામાન્ય રીતે ખોરાક દર્શાવવા વપરાય છે.
(જુઓ: લક્ષણા(અલંકાર)
- “ઉપસ્થિતિની રોટલી” શબ્દ, બાર રોટલીઓ કે જે મુલાકાત મંડપના સોનાની મેજ ઉપર મુકવામાં આવતી હતી અથવા મંદિરની ઈમારત પર દેવને બલિદાન તરીકે અર્પણ કરવામાં આવતી હતી, તેને દર્શાવે છે.
આ રોટલીઓ ઈઝરાએલના બાર કુળો દર્શાવે છે અને તે ફક્ત યાજકોને ખાવા માટે હતી.
તેનું ભાષાંતર એમ કરી શકાય, “રોટલી દર્શાવે છે કે દેવ તેઓની મધ્યેમાં રહે છે.”
- “સ્વર્ગમાંથી આવેલી રોટલી” રૂપકાત્મક શબ્દ દર્શાવે છે, જે વિશેષ સફેદ ખોરાક છે જેને “માન્ના” કહેવાય છે, જયારે ઈઝરાએલીઓ અરણ્યના રણમાં ભટકતા હતા ત્યારે દેવે તેઓને પૂરું પાડ્યું.
- ઈસુ પણ પોતાને “રોટલી કે જે આકાશમાંથી નીચે આવી છે” અને “જીવનની રોટલી” કહેવડાવે છે.
- જયારે ઈસુ અને તેના શિષ્યોની સાથે તેના મૃત્યુ પહેલા પાસ્ખા ભોજન ખાઈ રહ્યા હતા ત્યારે તેમણે બેખમીર પાસ્ખા રોટલીને તેના શરીર સાથે સરખાવી કે જેને વધસ્તંભ ઉપર ઘાયલ કરી અને મારી નાખવામાં આવશે.
- ઘણી વખત “રોટલી” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે “ખોરાક” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: પાસ્ખા, મુલાકાતમંડપ, મંદિર, બેખમીર રોટલી, ખમીર)
બાઈબલની કલમો :
- પ્રેરિતો 2:46-47
- પ્રેરિતો 27:33-35
- નિર્ગમન 16:13-15
- લૂક 9:12-14
- માર્ક 6:37-38
- માથ્થી 4:1-4
- માથ્થી 11:18-19
શબ્દ માહિતી:
- Strong's: H2557, H3899, H4635, H4682, G106, G740, G4286
રોમ, રોમન
તથ્યો:
નવા કરારના સમયમાં, રોમ શહેર તે રોમન સામ્રાજયનું કેન્દ્ર હતું.
તે હવે આજના આધુનિક દેશ ઈટલીનું મહત્વનું શહેર છે.
- રોમન સામ્રાજ્યે ભૂમધ્ય સમુદ્રની આસપાસના દરેક પ્રદેશો પર, ઈઝરાયેલ પર પણ રાજ કર્યું.
- "રોમન" શબ્દ, રોમની સરકારના નિયંત્રણ હેઠળના વિસ્તારો, રોમન નાગરિકો અને રોમન અધિકારીઓ સહિતને લગતી કોઈ પણ બાબતનો ઉલ્લેખ કરે છે.
- પ્રેરિત પાઉલને રોમ શહેરમાં બંદીવાન તરીકે લઇ જવામાં આવ્યો હતો કારણ કે તેણે ઈસુ વિશેના સારાં સમાચારનો બોધ કર્યો હતો.
- નવા કરારનું પુસ્તક “રોમન” એ પત્ર છે જે પાઉલે રોમના ખ્રિસ્તીઓને લખ્યો હતો.
(આ પણ જુઓ: સારા સમાચારો, સમુદ્ર, પિલાત, પાઉલ)
બાઈબલના સંદર્ભો:
- 2 તિમોથી 1:15-18
- પ્રે.કૃ. 22:25-26
- પ્રે.કૃ. 28:13-15
- યોહાન 11:47-48
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 23:4 જ્યારે મરિયમ માટે જન્મ આપવાનો સમય નજીક આવ્યો, ત્યારે રોમન સરકારે દરેકને જણાવ્યું કે જ્યાં તેઓના પૂર્વજો રહેતાં હતાં તે શહેરમાં વસ્તી ગણતરીને સારું જાય.
- 32:6 પછી ઈસુએ અશુદ્ધ આત્માને પૂછ્યું, "તારું નામ શું છે?" તેણે જવાબ આપ્યો, "મારું નામ સેના છે, કારણ કે અમે ઘણાં છીએ." (“સેના” અનેક હજારો સૈનિકોનું જૂથ હતું રોમન સૈન્યમાં.)
- 39:9 બીજા દિવસે વહેલી સવારે, યહૂદી આગેવાનો ઈસુને રોમન રાજ્યપાલ, પિલાત, પાસે ઈસુને મારી નાંખવાની આશાએ લઇ આવ્યાં.
- 39:12 રોમન સૈનિકોએ ઈસુને ચાબૂક મારી અને બાદશાહી ઝભ્ભો અને કાંટાનો બનેલો મુગટ તેમને પહેરાવ્યો. પછી તેઓએ તેમની એમ કરતાં મશ્કરી કરી કે, “જુઓ, યહૂદીઓનો રાજા!"
શબ્દ માહિતી:
રોમ, રોમન
તથ્યો:
નવા કરારના સમયમાં, રોમ શહેર તે રોમન સામ્રાજયનું કેન્દ્ર હતું.
તે હવે આજના આધુનિક દેશ ઈટલીનું મહત્વનું શહેર છે.
- રોમન સામ્રાજ્યે ભૂમધ્ય સમુદ્રની આસપાસના દરેક પ્રદેશો પર, ઈઝરાયેલ પર પણ રાજ કર્યું.
- "રોમન" શબ્દ, રોમની સરકારના નિયંત્રણ હેઠળના વિસ્તારો, રોમન નાગરિકો અને રોમન અધિકારીઓ સહિતને લગતી કોઈ પણ બાબતનો ઉલ્લેખ કરે છે.
- પ્રેરિત પાઉલને રોમ શહેરમાં બંદીવાન તરીકે લઇ જવામાં આવ્યો હતો કારણ કે તેણે ઈસુ વિશેના સારાં સમાચારનો બોધ કર્યો હતો.
- નવા કરારનું પુસ્તક “રોમન” એ પત્ર છે જે પાઉલે રોમના ખ્રિસ્તીઓને લખ્યો હતો.
(આ પણ જુઓ: સારા સમાચારો, સમુદ્ર, પિલાત, પાઉલ)
બાઈબલના સંદર્ભો:
- 2 તિમોથી 1:15-18
- પ્રે.કૃ. 22:25-26
- પ્રે.કૃ. 28:13-15
- યોહાન 11:47-48
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 23:4 જ્યારે મરિયમ માટે જન્મ આપવાનો સમય નજીક આવ્યો, ત્યારે રોમન સરકારે દરેકને જણાવ્યું કે જ્યાં તેઓના પૂર્વજો રહેતાં હતાં તે શહેરમાં વસ્તી ગણતરીને સારું જાય.
- 32:6 પછી ઈસુએ અશુદ્ધ આત્માને પૂછ્યું, "તારું નામ શું છે?" તેણે જવાબ આપ્યો, "મારું નામ સેના છે, કારણ કે અમે ઘણાં છીએ." (“સેના” અનેક હજારો સૈનિકોનું જૂથ હતું રોમન સૈન્યમાં.)
- 39:9 બીજા દિવસે વહેલી સવારે, યહૂદી આગેવાનો ઈસુને રોમન રાજ્યપાલ, પિલાત, પાસે ઈસુને મારી નાંખવાની આશાએ લઇ આવ્યાં.
- 39:12 રોમન સૈનિકોએ ઈસુને ચાબૂક મારી અને બાદશાહી ઝભ્ભો અને કાંટાનો બનેલો મુગટ તેમને પહેરાવ્યો. પછી તેઓએ તેમની એમ કરતાં મશ્કરી કરી કે, “જુઓ, યહૂદીઓનો રાજા!"
શબ્દ માહિતી:
લબાનોન
તથ્યો:
લબાનોન ઈઝરાયેલની ઉત્તરે સુંદર પર્વતીય વિસ્તાર ભૂમધ્ય સમુદ્રના કિનારાની સમાંતરે સ્થિત છે.
બાઈબલના સમયમાં આ વિસ્તાર જાડા વૃક્ષો જેવા કે દેવદાર અને સાયપ્રસ સાથે, જંગલવાળો હતો.
- સુલેમાન રાજાએ ઈશ્વરના મંદિરના બાંધકામ માટે દેવદાર વૃક્ષોની લણણી કરવા કામદારોને લબાનોન મોકલ્યા હતા.
- પ્રાચીન લબાનોનનો ફોનિશિયન લોકો દ્વારા કબજો કરવામાં આવ્યો હતો, જેઓ જહાજોના કુશળ બાંધનારાઓ હતા જે સફળ વેપાર ઉદ્યોગ માટે ઉપયોગી હતું.
- તૂર અને સિદોનના શહેરો લબાનોનમાં સ્થિત હતા.
એ તો આ શહેરોમાં સૌ પ્રથમ મૂલ્યવાન જાંબલી રંગ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.
(આ પણ જુઓ: એરેજ (દેવદાર), જૈત વૃક્ષ, દેવદાર, ફિનીકિયા)
બાઈબલના સંદર્ભો:
- 1 રાજાઓ 4:32-34
- 2 કાળુવૃતાંત 2:8-10
- પુનર્નિયમ 1:7-8
- ગીતશાસ્ત્ર 29:3-5
- ઝખાર્યા 10:8-10
શબ્દ માહિતી:
લાકડી, લાકડીઓ
વ્યાખ્યા:
“લાકડી” શબ્દ સાંકડી, સખત, સોટીનો ઉલ્લેખ કરે છે- હથિયાર જેવું જેનો ઉપયોગ અનેક જુદી જુદી રીતે કરવામાં આવતો હતો.
તે કદાચ લંબાઈમાં ઓછામાં ઓછી એક મીટર હતી.
- લાકડાની લાકડીનો ઉપયોગ ઘેટાંપાળક દ્વારા ઘેટાંને અન્ય પ્રાણીઓથી બચાવવા માટે કરવામાં આવતો હતો.
ભટકતા ઘેટાંને ટોળામાં પાછું લાવવાં માટે તેને ફેંકવામાં પણ આવતું હતું.
- ગી.શા. 23 માં, દાઉદ રાજાએ “લાકડી” અને “છડી” શબ્દનો ઉલ્લેખ પોતાના લોકો માટે ઈશ્વરના માર્ગદર્શન અને શિસ્ત માટે રૂપક તરીકે કર્યો હતો.
- ઘેટાંપાળની લાકડીનો ઉપયોગ જેમ ઘેટાંઓ તેની નીચેથી પસાર થતાં તેમ તેઓની ગણતરી કરવાં માટે પણ થતો હતો.
- બીજી રૂપક અભિવ્યક્તિ, "લોખંડની લાકડી," જેઓ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારતા અને દુષ્ટ બાબતો કરતાં તેઓ માટે ઈશ્વરની શિક્ષા તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- પ્રાચીન સમયમાં, ધાતુ, લાકડાં, અથવા પથ્થરની બનેલી લાકડીનો ઉપયોગ મકાન અથવા વસ્તુની લંબાઈને માપવા માટે કરવામાં આવતો હતો.
- બાઈબલમાં, લાકડાંની લાકડીનો ઉલ્લેખ બાળકોને શિસ્તમાં લાવવાં માટેના સાધન તરીકે પણ કરવામાં આવ્યો હતો.
(આ પણ જુઓ: લાકડી, ઘેટી, ઘેટાંપાળક)
બાઈબલના સંદર્ભો:
- 1 કરિંથી 4:19-21
- 1 શમુએલ 14:43-44
- પ્રે.કૃ. 16:22-24
- નિર્ગમન 27:9-10
- પ્રકટીકરણ 11:1-2
શબ્દ માહિતી:
- Strong's: H2415, H4294, H4731, H7626, G2563, G4463, G4464
લાકડી, લાકડીઓ
વ્યાખ્યા:
લાકડી એ લાંબી લાકડાંની છડી અથવા સોટી હોય છે, જે ઘણીવાર ચાલતી વખતે સાથે રાખવામાં આવે છે.
- જ્યારે યાકુબ ઘરડો હતો, ત્યારે તે ચાલવા માટે લાકડીની મદદ લેતો હતો.
- ઈશ્વરે તેમનું બળ ફારૂનને બતાવવા માટે મુસાની લાકડીને સર્પમાં બદલી નાંખી.
- ઘેટાંપાળકો પણ તેમના ઘેટાંને દોરવા, અથવા જ્યારે તેઓ પડી જાય કે ભટકી જાય ત્યારે ઘેટાંને બચાવવા લાકડીની મદદ લેતા હતા.
- ઘેટાંપાળકની લાકડીમાં એક બાજુ વાળેલો આંકડો હોય, તેથી તે ઘેટાંપાળકની સોટી કે જે સીધી હોય અને જે જંગલી પ્રાણીઓ કે જેઓ ઘેટાં પર હુમલો કરવાનો પ્રયત્ન કરતાં હોય તેને મારવા કરવામાં આવતો હતો.
(આ પણ જુઓ: ફારૂન, સામર્થ્ય, ઘેટી, ઘેટાંપાળક)
બાઈબલના સંદર્ભો:
- નિર્ગમન 4:1-3
- નિર્ગમન 7:8-10
- લૂક 9:3-4
- માર્ક 6:7-9
- માથ્થી 10:8-10
- માથ્થી 27:27-29
શબ્દ માહિતી:
- Strong's: H4132, H4294, H4731, H4938, H6086, H6418, H7626, G2563, G3586, G4464
લાબાન
તથ્યો:
જૂના કરારમાં, લાબાન એ યાકુબનો સસરા તથા મામા હતા.
- યાકુબ લબાનના ઘરનાઓની સાથે પદ્દાનારામમાં રહ્યો અને તેની દીકરી સાથે લગ્ન કરવાની શરત પેટે તે તેના ઘેટાં-બકરાં સાચવતો હતો.
- યાકુબની પસંદગી લાબાનની દીકરી રાહેલને તેની પત્ની બનાવવા માટેની હતી.
- લાબાને યાકુબને છેતર્યો અને રાહેલને તેની પત્ની તરીકે આપતા પહેલા તેની મોટી દીકરી લેઆહને તેની સાથે પરણાવી દીધી.
(આ પણ જુઓ: ઈઝરાએલ, નાહોર, લેઆહ, રાહેલ)
બાઈબલના સંદર્ભો:
- ઉત્પત્તિ 24:28-30
- ઉત્પત્તિ 24:50-51
- ઉત્પત્તિ 27:43-45
- ઉત્પત્તિ 28:1-2
- ઉત્પત્તિ 29:4-6
- ઉત્પત્તિ 29:13-14
- ઉત્પત્તિ 30:25-26
- ઉત્પત્તિ 46:16-18
શબ્દ માહિતી:
લાભ, લાભો, લાભકારક, બિનલાભદાયક
વ્યાખ્યા:
સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવું તેનો ઉલ્લેખ કરે છે.
જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.
- વધારે ચોક્કસ રીતે, “લાભ” શબ્દ ઘણીવાર વેપાર દ્વારા પ્રાપ્ત કરેલા નાણાંનો ઉલ્લેખ કરે છે.
વેપારમાં જે નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી જો વધારે નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.
- જો કાર્યો લોકો માટે સારી બાબતો ઉપજાવે તો તે કાર્યો લાભકારક છે.
- 2 તિમોથી 3:16 કહે છે કે દરેક શાસ્ત્રવચન લોકોને સુધારા માટે અને ન્યાયીપણાની તાલીમ માટે “લાભકારક” છે.
તેનો અર્થ એ થાય છે કે બાઇબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે.
“બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.
- તેનો શાબ્દિક અર્થ કશોજ લાભ ન થવો અથવા તો કોઈક વ્યક્તિને કશું પણ પ્રાપ્ત કરવા મદદ ન કરવી એવો થાય છે.
- જે બાબત બિનલાભદાયક છે તે કરવા યોગ્ય નથી કારણકે તે કશો લાભ કરાવતી નથી.
- તેનો અનુવાદ “બિનઉપયોગી’ અથવા તો “નકામું” અથવા તો “લાભદાયી નહીં” અથવા તો “લાભ ન કરાવતું” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: લાયક)
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભ અનુસાર, “લાભ” શબ્દનો અનુવાદ “ફાયદો” અથવા તો “મદદ” અથવા તો “નફો” તરીકે પણ કરી શકાય.
- “લાભકારક” શબ્દનો અનુવાદ “ઉપયોગી” અથવા તો “ફાયદાકારક” અથવા તો “મદદરૂપ” તરીકે કરી શકાય.
- “માંથી લાભ પામવો” નો અનુવાદ “માંથી ફાયદો થવો” અથવા તો “માંથી નાણાં પ્રાપ્ત કરવા” અથવા તો “માંથી મદદ પ્રાપ્ત કરવી” તરીકે કરી શકાય.
- વેપારના સંદર્ભમાં, “લાભ” નો અનુવાદ એવા શબ્દ કે શબ્દસમૂહ દ્વારા કરી શકાય કે જેનો અર્થ “ધનલાભ” અથવા તો “વધારે નાણાં” અથવા તો “અધિક નાણાં” તરીકે કરી શકાય.
બાઇબલના સંદર્ભો:
- અયૂબ 15:1-3
- નીતિવચનો 10:16-17
- યર્મિયા 2:7-8
- હઝકિયેલ 18:12-13
- યોહાન 6:62-63
- માર્ક 8:35-37
- માથ્થી 16:24-26
- 2 પિતર 2:1-3
શબ્દ માહિતી:
- Strong's: H1215, H3148, H3276, H3504, H4195, H4768, H5532, H7737, H7939, G147, G255, G512, G888, G889, G890, G1281, G2585, G2770, G2771, G3408, G4297, G4298, G4851, G5539, G5622, G5623, G5624
લેવી, લેવી, લેવીઓ, લેવીઓના
વ્યાખ્યા:
લેવી યાકુબ અથવા ઈઝરાયેલના બાર દીકરાઓમાનો એક હતો.
"લેવી””" શબ્દ એવિ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ઈઝરાયેલી કુળનો સભ્ય છે જેના પૂર્વજો લેવી હતા.
- મંદિરની સંભાળ લેવાને માટે અને ધાર્મિક વિધિઓ કરાવવા, જેમાં બલિદાનો ચઢાવવા અને પ્રાર્થનાઓનો સમાવેશ થાય છે તે માટે લેવીઓ જવાબદાર હતા.
- સર્વ યહૂદી યાજકો લેવીઓ હતા, લેવી પરથી ઉતરી આવેલા અને લેવીના કુળનો ભાગ હતા.
(જો કે, સર્વ લેવીઓ યાજકો ન હતા.)
- લેવી યાજકો અલગ કરવામાં આવેલા અને મંદિરમાં ઈશ્વરની સેવાના ખાસ કાર્યને સારું સમર્પિત કરવામાં આવ્યા હતા.
- "લેવી””" નામના બે બીજા માણસો ઈસુના પૂર્વજો હતા, અને તેઓના નામો લુકની સુવાર્તાની વંશાવળીમાં છે.
- ઈસુનો શિષ્ય માથ્થી પણ લેવી હતો.
(આ પણ જુઓ: માથ્થી, યાજક, બલિદાન, મંદિર, ઇસ્રાએલના બાર કુળ)
બાઈબલના સંદર્ભો:
- 1 કાળુવૃતાંત 2:1-2
- 1 રાજાઓ 8:3-5
- પ્રેરિતોના કૃત્યો 4:36-37
- ઉત્પત્તિ 29:33-34
- યોહાન 1:19-21
- લૂક 10:31-32
શબ્દ માહિતી:
- Strong's: H3878, H3879, H3881, G3017, G3018, G3019, G3020
લોત
તથ્યો:
લોત ઇબ્રાહીમનો ભત્રીજો હતો.
- તે ઇબ્રાહીમના ભાઈ હારાનનો પુત્ર હતો.
- લોતે કનાન દેશમાં ઇબ્રાહીમ સાથે મુસાફરી અને સદોમ શહેરમાં સ્થાયી થયો હતો.
- લોત મોઆબીઓ અને આમ્મોનીઓનો પૂર્વજ હતો.
- દુશ્મન રાજાઓએ સદોમ પર હુમલો કર્યો અને લોત પર કબજો કર્યો ત્યારે, ઈબ્રાહીમ લોતને બચાવવા અને પોતાની સંપત્તિ ફરીથી મેળવવા ઘણા માણસો સાથે આવ્યો.
- સદોમ શહેરમાં રહેતા લોકો ખૂબ દુષ્ટ હતા, તેથી દેવે તે શહેરનો નાશ કર્યો.
પરંતુ, તેમણે સૌ પ્રથમ લોત અને તેના કુટુંબને શહેર છોડી જવા કહ્યું, જેથી તેઓ ભાગી શકે.
(આ પણ જુઓ: ઈબ્રાહિમ, આમ્મોન, હારાન, મોઆબ, સદોમ)
બાઇબલના સંદર્ભો:
- 2 પિતર 2:7-9
- ઉત્પત્તિ 11:27-28
- ઉત્પત્તિ 12:4-5
શબ્દ માહિતી:
લોબાન
વ્યાખ્યા:
લોબાન એ રાળ વૃક્ષમાંથી બનાવેલી તેજાનાની સુવાસ છે.
તેને અત્તર અને ધૂપ બનાવવા વાપરવામાં આવે છે.
- બાઈબલના સમયમાં, લોબાન એ મહત્વનો મસાલો હતો, જે મૃતદેહોને દફન માટે તૈયાર કરવા વાપરવામાં આવતું હતું.
- આ મસાલો તેના રૂઝ લાવવાના અને શાંત પાળવાના ગુણોને માટે પણ કિંમતી છે.
- જયારે પૂર્વ દેશથી જ્ઞાની માણસો બાળક ઈસુની મુલાકાત માટે બેથલેહેમ આવ્યા, ત્યારે તેઓ તેના માટે ત્રણ ભેટો લાવ્યાં હતા, લોબાન તેઓમાંની એક હતી.
(આ પણ જુઓ: બેથલેહેમ, વિદ્વાન માણસ)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 9:28-29
- નિર્ગમન 30:34-36
- માથ્થી 2:11-12
- ગણના 5:15
શબ્દ માહિતી:
વખાર, વખારો
વ્યાખ્યા:
“વખાર” એ મોટી ઈમારત હોય છે જે લાંબા સમય માટે અનાજ અને બીજી વસ્તુઓ રાખવા માટે વપરાય છે.
- બાઈબલમાં સામાન્ય રીતે વધારાનું અનાજ અને બીજા ખોરાકનો સંગ્રહ “વખાર” માં કરવામાં આવતું જે પછી જ્યારે દુકાળ હોય ત્યારે વાપરવામાં આવતું.
- ઈશ્વર દરેક સારી બાબતો કે જે તેમના લોકોને આપવા ઈચ્છે છે તેનો ઉલ્લેખ કરવા આ શબ્દનો રૂપકાત્મક રીતે પણ ઉપયોગ કરવામાં આવતો હતો.
- મંદિરના વખારો મુલ્યવાન વસ્તુઓ જેમ કે સોનું અને ચાંદી કે જે યહોવાને સમર્પિત કરવામાં આવતું તેને સામેલ કરતું હતું.
તેમાંની કેટલીક બાબતોનો ઉપયોગ મંદિરના સમારકામ અને જાળવણી માટે કરવામાં આવતો જે ત્યાં રાખવામાં આવતું હતું.
- “વખાર” નું અનુવાદ કરવાની બીજી રીતોમાં “અનાજનો સંગ્રહ કરવાની ઈમારત” અથવા “ખોરાક રાખવાની જગા” અથવા “મુલ્યવાન વસ્તુઓ સુરક્ષિત રાખવાનો ઓરડો” નો સમાવેશ થાય છે.
(આ પણ જુઓ: પાવન કરવું, અર્પણ, દુકાળ, સોનુ, અનાજ, ચાંદી/રૂપું, મંદિર)
બાઈબલના સંદર્ભો:
- 2 કાળુવૃતાંત 16:2-3
- લૂક 3:17
- માથ્થી 3:10-12
- ગીતશાસ્ત્ર 33:7-9
શબ્દ માહિતી:
- Strong's: H214, H618, H624, H4035, H4200, H4543, G596
વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું
વ્યાખ્યા:
વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે.
જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.
- બાઇબલ એવા ઘણા વચનોનો હેવાલ આપે છે જે ઈશ્વરે પોતાના લોકોને આપ્યાં છે.
- વચનો, કરારો જેવી ઔપચારિક સમજૂતીઓનો એક મહત્ત્વનો ભાગ છે.
- વચન સાથે ઘણવાર એક શપથ લેવામાં આવે છે જે પુષ્ટિ કરે છે કે તે બાબત કરવામાં આવશે જ.
અનુવાદ માટેના સૂચનો:
- “વચન” શબ્દનો અનુવાદ “સમર્પણ” અથવા તો “બાયંધરી” અથવા તો “ખાતરી” તરીકે કરી શકાય.
- “કશું કરવાનું વચન આપવું” તેનો અનુવાદ “કોઈ વ્યક્તિને ખાતરી કરાવવી કે તમે કશું કરશો જ” અથવા તો “કશું કરવાનું સમર્પણ કરવું” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)
બાઇબલના સંદર્ભો:
- ગલાતી 3:15-16
- ઉત્પત્તિ 25:31-34
- હિબ્રૂ 11:8-11
- યાકૂબ 1:12-13
- ગણના 30:1-2
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 3:15 ઈશ્વરે કહ્યું, “જો કે લોકો તેમના બાળપણથી જ પાપી હોય છે તે છતાં હું વચન આપું છું કે લોકો જે દુષ્ટ બાબતો કરે છે તે કારણે હું ભૂમિને કદાપિ શ્રાપ નહીં આપું, કે પૂર લાવીને દુનિયાનો નાશ નહીં કરું.”
- 3:16 ત્યાર બાદ પોતાના વચનની નિશાની તરીકે ઈશ્વરે પ્રથમ મેઘધનુષ રચ્યું.
મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.
- 4:8 ઈશ્વરે ઇબ્રામ સાથે વાત કરી અને ફરીથી વચન આપ્યું કે તેને એક પુત્ર થશે અને તેના સંતાનો આકાશમાંના તારાઓ જેટલાં થશે.
ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.
- 5:4 “તારી પત્ની સારાયને એક પુત્ર થશે – તે વચનનો પુત્ર હશે.”
- 8:15 કરારના જે વચનો ઈશ્વરે ઇબ્રાહિમને આપ્યાં તેઓને બાદમાં ઇસહાકને, પછી યાકૂબને અને પછી યાકૂબના બારા પુત્રોને તથા તેઓના કુટુંબોને આપવામાં આવ્યાં.
- 17:14 જો કે દાઉદ ઈશ્વર પ્રત્યે અવિશ્વાસુ હતો તો પણ ઈશ્વર પોતાના વચનો પ્રત્યે હજુ પણ વિશ્વાસુ હતા.
- 50:1 ઈસુએ વચન આપ્યું કે જગતના અંતે તેઓ પાછા આવશે.
જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.
શબ્દ માહિતી:
- Strong's: H559, H562, H1696, H8569, G1843, G1860, G1861, G1862, G3670, G4279
વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું
વ્યાખ્યા:
વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે.
જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.
- બાઇબલ એવા ઘણા વચનોનો હેવાલ આપે છે જે ઈશ્વરે પોતાના લોકોને આપ્યાં છે.
- વચનો, કરારો જેવી ઔપચારિક સમજૂતીઓનો એક મહત્ત્વનો ભાગ છે.
- વચન સાથે ઘણવાર એક શપથ લેવામાં આવે છે જે પુષ્ટિ કરે છે કે તે બાબત કરવામાં આવશે જ.
અનુવાદ માટેના સૂચનો:
- “વચન” શબ્દનો અનુવાદ “સમર્પણ” અથવા તો “બાયંધરી” અથવા તો “ખાતરી” તરીકે કરી શકાય.
- “કશું કરવાનું વચન આપવું” તેનો અનુવાદ “કોઈ વ્યક્તિને ખાતરી કરાવવી કે તમે કશું કરશો જ” અથવા તો “કશું કરવાનું સમર્પણ કરવું” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)
બાઇબલના સંદર્ભો:
- ગલાતી 3:15-16
- ઉત્પત્તિ 25:31-34
- હિબ્રૂ 11:8-11
- યાકૂબ 1:12-13
- ગણના 30:1-2
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 3:15 ઈશ્વરે કહ્યું, “જો કે લોકો તેમના બાળપણથી જ પાપી હોય છે તે છતાં હું વચન આપું છું કે લોકો જે દુષ્ટ બાબતો કરે છે તે કારણે હું ભૂમિને કદાપિ શ્રાપ નહીં આપું, કે પૂર લાવીને દુનિયાનો નાશ નહીં કરું.”
- 3:16 ત્યાર બાદ પોતાના વચનની નિશાની તરીકે ઈશ્વરે પ્રથમ મેઘધનુષ રચ્યું.
મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.
- 4:8 ઈશ્વરે ઇબ્રામ સાથે વાત કરી અને ફરીથી વચન આપ્યું કે તેને એક પુત્ર થશે અને તેના સંતાનો આકાશમાંના તારાઓ જેટલાં થશે.
ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.
- 5:4 “તારી પત્ની સારાયને એક પુત્ર થશે – તે વચનનો પુત્ર હશે.”
- 8:15 કરારના જે વચનો ઈશ્વરે ઇબ્રાહિમને આપ્યાં તેઓને બાદમાં ઇસહાકને, પછી યાકૂબને અને પછી યાકૂબના બારા પુત્રોને તથા તેઓના કુટુંબોને આપવામાં આવ્યાં.
- 17:14 જો કે દાઉદ ઈશ્વર પ્રત્યે અવિશ્વાસુ હતો તો પણ ઈશ્વર પોતાના વચનો પ્રત્યે હજુ પણ વિશ્વાસુ હતા.
- 50:1 ઈસુએ વચન આપ્યું કે જગતના અંતે તેઓ પાછા આવશે.
જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.
શબ્દ માહિતી:
- Strong's: H559, H562, H1696, H8569, G1843, G1860, G1861, G1862, G3670, G4279
વડીલ, વડીલો
વ્યાખ્યા:
વડીલ વ્યક્તિ તે છે કે જે સ્થાનિક મંડળીમાં સાથી વિશ્વાસીઓને સાથે વ્યવહારુ જરૂરીયાતો, જેવી કે ખોરાક અથવા પૈસાની મદદ કરીને સેવા આપે છે.
- “વડીલ” શબ્દ સીધો જ ગ્રીક શબ્દમાંથી લેવાયો છે જેનો અર્થ, “સેવક” અથવા “કારભારી” થાય છે.
- શરૂઆત ખ્રિસ્તીઓના સમયથી માંડીને વડીલની ભૂમિકા અને સેવા મંડળીમાં વિશિષ્ટ અને સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે.
- ઉદાહરણ તરીકે, નવા કરારમાં વિશ્વાસીઓ જે કઈ પૈસા અથવા ખાદ્ય સામગ્રી આપતા તેનું વિતરણ સારી રીતે અને નીતિથી વિધવાઓને થાય તેનું વડીલો ધ્યાન આપતા.
- “વડીલ” શબ્દનું ભાષાંતર, “મંડળીનો સેવક” અથવા “મંડળીનો કાર્યકર” અથવા “મંડળીનો ચાકર,” અથવા અન્ય કેટલાક શબ્દસમૂહ કે જે બતાવે છે કે તે વ્યક્તિની ઔપચારિક રીતે નિમણુક આપવામાં આવતી, જેથી તે ચોક્કસ કાર્યો કરે, જેનાથી સ્થાનિક ખ્રિસ્તી સમાજને ફાયદો થાય.
(આ પણ જુઓ: સેવા આપવી, ગુલામ બનાવવું)
બાઈબલની કલમો:
- 1 તિમોથી 3:8-10
- 1 તિમોથી 3:11-13
- ફિલિપ્પી 1:1-2
શબ્દ માહિતી:
વડીલ, વડીલો
વ્યાખ્યા:
વડીલ વ્યક્તિ તે છે કે જે સ્થાનિક મંડળીમાં સાથી વિશ્વાસીઓને સાથે વ્યવહારુ જરૂરીયાતો, જેવી કે ખોરાક અથવા પૈસાની મદદ કરીને સેવા આપે છે.
- “વડીલ” શબ્દ સીધો જ ગ્રીક શબ્દમાંથી લેવાયો છે જેનો અર્થ, “સેવક” અથવા “કારભારી” થાય છે.
- શરૂઆત ખ્રિસ્તીઓના સમયથી માંડીને વડીલની ભૂમિકા અને સેવા મંડળીમાં વિશિષ્ટ અને સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે.
- ઉદાહરણ તરીકે, નવા કરારમાં વિશ્વાસીઓ જે કઈ પૈસા અથવા ખાદ્ય સામગ્રી આપતા તેનું વિતરણ સારી રીતે અને નીતિથી વિધવાઓને થાય તેનું વડીલો ધ્યાન આપતા.
- “વડીલ” શબ્દનું ભાષાંતર, “મંડળીનો સેવક” અથવા “મંડળીનો કાર્યકર” અથવા “મંડળીનો ચાકર,” અથવા અન્ય કેટલાક શબ્દસમૂહ કે જે બતાવે છે કે તે વ્યક્તિની ઔપચારિક રીતે નિમણુક આપવામાં આવતી, જેથી તે ચોક્કસ કાર્યો કરે, જેનાથી સ્થાનિક ખ્રિસ્તી સમાજને ફાયદો થાય.
(આ પણ જુઓ: સેવા આપવી, ગુલામ બનાવવું)
બાઈબલની કલમો:
- 1 તિમોથી 3:8-10
- 1 તિમોથી 3:11-13
- ફિલિપ્પી 1:1-2
શબ્દ માહિતી:
વડીલ, વડીલો
વ્યાખ્યા:
વડીલો એ આત્મિક રીતે પુખ્ત માણસો છે કે, જેઓને દેવના લોકો મધ્યે આત્મિક જવાબદારીઓ અને વ્યવહારુ નેતૃત્વ મળેલા હોય છે.
- “વડીલ” શબ્દ એક હકીકત છે કે મૂળ વૃદ્ધ માણસો પરથી આવ્યો છે, જેઓની ઉંમર અને અનુભવને કારણે, તેઓને પાસે વધારે શાણપણ હતું.
- જૂના કરારમાં, વડીલોએ સામાજિક ન્યાય અને મૂસાના નિયમોની બાબતમાં ઈઝરાએલીઓને મદદ કરીને દોર્યા.
- નવા કરારમાં, યહૂદી વડીલો તેઓના સમુદાયોમાં આગેવાનો તરીકે ચાલુ રહ્યા અને લોકો માટે ન્યાયાધીશો પણ રહ્યા હતા.
- શરૂઆતની ખ્રિસ્તી મંડળીઓમાં, ખ્રિસ્તી વડીલોએ વિશ્વાસીઓની સ્થાનિક સભામાં આત્મિક નેતાગીરી આપી.
- આ મંડળીઓના વડીલોમાં જુવાન માણસો કે જેઓ આત્મિક રીતે પુખ્ત હતા તેઓનો સમાવેશ કરવામાં આવ્યો.
- આ શબ્દનું ભાષાંતર “વૃદ્ધ માણસો” અથવા “મંડળીને દોરનાર આત્મિક રીતે પુખ્ત માણસો” તરીકે પણ કરી શકાય છે.
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 11:1-3
- 1 તિમોથી 3:1-3
- 1 તિમોથી 4:14-16
- પ્રેરિતો 5:19-21
- પ્રેરિતો 14:23-26
- માર્ક 11:27-28
- માથ્થી 21:23-24
શબ્દ માહિતી:
- Strong's: H1419, H2205, H7868, G1087, G3187, G4244, G4245, G4850
વડીલ, વડીલો
વ્યાખ્યા:
વડીલો એ આત્મિક રીતે પુખ્ત માણસો છે કે, જેઓને દેવના લોકો મધ્યે આત્મિક જવાબદારીઓ અને વ્યવહારુ નેતૃત્વ મળેલા હોય છે.
- “વડીલ” શબ્દ એક હકીકત છે કે મૂળ વૃદ્ધ માણસો પરથી આવ્યો છે, જેઓની ઉંમર અને અનુભવને કારણે, તેઓને પાસે વધારે શાણપણ હતું.
- જૂના કરારમાં, વડીલોએ સામાજિક ન્યાય અને મૂસાના નિયમોની બાબતમાં ઈઝરાએલીઓને મદદ કરીને દોર્યા.
- નવા કરારમાં, યહૂદી વડીલો તેઓના સમુદાયોમાં આગેવાનો તરીકે ચાલુ રહ્યા અને લોકો માટે ન્યાયાધીશો પણ રહ્યા હતા.
- શરૂઆતની ખ્રિસ્તી મંડળીઓમાં, ખ્રિસ્તી વડીલોએ વિશ્વાસીઓની સ્થાનિક સભામાં આત્મિક નેતાગીરી આપી.
- આ મંડળીઓના વડીલોમાં જુવાન માણસો કે જેઓ આત્મિક રીતે પુખ્ત હતા તેઓનો સમાવેશ કરવામાં આવ્યો.
- આ શબ્દનું ભાષાંતર “વૃદ્ધ માણસો” અથવા “મંડળીને દોરનાર આત્મિક રીતે પુખ્ત માણસો” તરીકે પણ કરી શકાય છે.
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 11:1-3
- 1 તિમોથી 3:1-3
- 1 તિમોથી 4:14-16
- પ્રેરિતો 5:19-21
- પ્રેરિતો 14:23-26
- માર્ક 11:27-28
- માથ્થી 21:23-24
શબ્દ માહિતી:
- Strong's: H1419, H2205, H7868, G1087, G3187, G4244, G4245, G4850
વધસ્તંભ
વ્યાખ્યા:
બાઈબલના સમયમાં, વધસ્તંભ એ એક જમીનમાં ઉભું કરેલું લાકડું, જેની ઉપરની ટોચના આડા લાકડા સાથે મોભથી જોડાયેલું હતું.
- રોમન સામ્રાજ્યના સમય દરમ્યાન, રોમન સરકાર ગુનેગારોને મારી નાખવા માટે તેઓને વધસ્તંભે બાંધીને અથવા ખીલાથી જડીને મરવા માટે ત્યાં છોડી દેતા.
- ઈસુએ જે ગુનાઓ કર્યા નહોતા તેવા ખોટા તહોમત તેમના પર લગાવામાં આવ્યા અને રોમનોએ તેમને વધસ્તંભ ઉપર મારી નાખ્યા.
ધ્યાનમાં રાખો કે, આ શબ્દ ક્રિયાપદ “પાર જવું” (ક્રોસ કરવું) તે શબ્દથી સંપૂર્ણપણે અલગ છે કે જેનો અર્થ, જેમકે નદી અથવા સરોવરની પેલે પાર જવું.
ભાષાંતરના સૂચનો:
- લક્ષ્ય ભાષામાં આ શબ્દનું ભાષાંતર એવી રીતે કરવું કે જે એક ચોકડી આકારના (ક્રૂસ/વધસ્તંભને) દર્શાવે છે. ધ્યાન રાખો કે વધસ્તંભનું વર્ણન એવી વસ્તુથી કરવું કે જે પર લોકોને જડીને મારી નાખવા માટે વાપરવામાં આવતા, જેના માટે “દેહાંતદંડનો થાંભલો” અથવા “વૃક્ષના લાકડા પરનું મૃત્યુ” એવા શબ્દસમૂહનો ઉપયોગ કરવો.
- એ પણ ધ્યાનમાં રાખો કે બાઈબલના આ શબ્દનું ભાષાંતર સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે થયું છે.
(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું
(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, રોમ)
બાઈબલની કલમો:
- 1કરિંથી 1:17
- કલોસ્સી 2:13-15
- ગલાતી 6:11-13
- યોહાન 19:17-18
- લૂક 9:23-25
- લૂક 23:26
- માથ્થી 10:37-39
- ફિલિપ્પી 2:5-8
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 40:1 ઈસુની મશ્કરી કર્યા પછી સિપાઈઓ, તેને વધસ્તંભે જડવા સારું દૂર લઈ ગયા.
તેઓએ જે વધસ્તંભ પર તેનું મૃત્યુ થવાનું હતું તે તેને ઉંચકાવ્યો.
- 40:2 સિપાઈઓ ઈસુને “ખોપડી” નામની જગ્યાએ લાવ્યા અને વધસ્તંભ પર તેના હાથો અને પગો ખીલાથી જડ્યા.
- 40:5 યહૂદી આગેવાનો અને ટોળામાંના લોકોએ ઈસુની મશ્કરી કરી.
તેઓએ તેને કહ્યું , “જો તું દેવનો દીકરો હોય તો, “વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ!
પછી અમે તને માનીશું.
- 49:10 જયારે ઈસુ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, ત્યારે તેણે તમારી સજા સ્વીકારી.
- 49:12 તમારે અવશ્ય માનવું જોઈએ કે ઈસુ દેવનો દીકરો છે, કે જે તમારે બદલે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો છે, અને દેવે તેને ફરીથી સજીવન કર્યો છે.
શબ્દ માહિતી:
વરરાજા, વરરાજાઓ
વ્યાખ્યા:
લગ્ન સમાંરભમાં, વરરાજા એક પુરુષ છે કે જે કન્યા સાથે લગ્ન કરશે.
- બાઈબલના સમય દરમ્યાન યહૂદી સંસ્કૃતિમાં, વરરાજા તેની કન્યાને લેવા આવતો અને આખો સમારંભ તેની આસપાસ કેન્દ્રિત હતો.
- બાઈબલમાં, ઈસુને રૂપકાત્મક રીતે “વરરાજા” કહેવામાં આવ્યો છે, કે જે એક દિવસ તેની “કન્યા,” જે મંડળી છે તેને લેવા માટે આવશે.
ઈસુએ તેના શિષ્યોને વરરાજાના મિત્રો સમાન સરખાવ્યા છે કે જયારે તેઓ વરરાજા સાથે છે ત્યારે તેઓ ઉજવણી કરે છે, પણ જયારે વરરાજા ચાલ્યો જશે ત્યારે તેઓ ઉદાસ થઇ જશે.
(આ પણ જુઓ: કન્યા)
બાઈબલની કલમો :
- યશાયા 62:5
- યોએલ 2:15-16
- યોહાન 3:29-30
- લૂક 5:33-35
- માર્ક 2:18-19
- માર્ક 2:20-21
- માથ્થી 9:14-15
શબ્દ માહિતી:
વરુ, વરુઓ, જંગલી કુતરાઓ
વ્યાખ્યા:
વરુ એક જંગલી કૂતરા સમાન ઉગ્ર, માંસ ભક્ષક પ્રાણી છે.
- વરુઓ સામાન્ય રીતે જૂથોમાં શિકાર કરે છે અને એક હોંશિયાર અને ક્રાંતિકારી રીતે શિકાર કરે છે.
- બાઇબલમાં, "વરૂઓ" શબ્દનો ઉપયોગ ખોટા શિક્ષકો અથવા જૂઠા પ્રબોધકોનો ઉલ્લેખ કરવા માટે કરવામાં આવે છે જે ઘેટાંના જેવા વિશ્વાસીઓનો નાશ કરે છે.
ખોટુ શિક્ષણ લોકોને ખોટી બાબતો મનાવે છે જે તેમને નુકસાન પહોંચાડે છે.
- આ સરખામણી એ હકીકત પર આધારિત છે કે ઘેટાં ખાસ કરીને વરુના દ્વારા થનારહુમલા અને ખાઇ જવાની બીક માટે સંવેદનશીલ હોય છે, કારણ કે તેઓ નબળા છે અને પોતાનું રક્ષણ કરી શકતા નથી.
અનુવાદ માટેનાં સૂચનો:
- આ શબ્દનો અનુવાદ "જંગલી કૂતરો" અથવા "જંગલી પ્રાણી" તરીકે કરી શકાય છે.
- જંગલી કૂતરા માટેના અન્ય નામો "શિયાળ" અથવા "કોયોટે" હોઈ શકે છે.
- લાક્ષણિક રીતે જ્યારે લોકોનો ઉલ્લેખ કરવા માટે વપરાય ત્યારે, આનો અર્થ થાય છે, "દુષ્ટ લોકો જે ઘેટાં પર હુમલો કરતા પ્રાણીઓ જેવા લોકોને નુકસાન પહોંચાડે છે."
(આ પણ જુઓ: દુષ્ટ, જૂઠો પ્રબોધક, ઘેટી, શીખવવું)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 20:28-30
- યશાયા 11:6-7
- યોહાન 10:11-13
- લૂક 10:3-4
- માથ્થી 7:15-17
- સફાન્યા 3:3-4
શબ્દ માહિતી:
- Strong's: H2061, H3611, G3074
વર્ષ, વર્ષો
વ્યાખ્યા:
બાઈબલમાં જયારે “વર્ષ” શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેના શાબ્દિક અર્થ અનુસાર તે સમયગાળો 354 દિવસોનો હોય છે.
આ ચંદ્રની પંચાંગ પ્રમાણેની વ્યવસ્થા છે, જેમાં ચંદ્રને પૃથ્વીની ચોફેર ફરતા જે સમય લે છે તે દર્શાવે છે.
- આધુનિક સમયમાં સૂર્ય પંચાંગ પ્રમાણે 365 દિવસોને બાર મહિનાઓમાં વિભાજીત કરવામાં આવે છે, એટલે કે એ સમય દરમ્યાન પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરી એક આંટો પુરો કરે છે.
- બન્ને પંચાંગ વ્યવસ્થામાં વર્ષના બાર મહિના હોય છે.
પણ ચંદ્રના પંચાંગમાં વધારાનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય પંચાંગ પ્રમાણે 11 ખૂટતા દિવસો ઉમેરી દેવામાં આવે.
આ બંને પંચાંગો એકબીજા સાથે જોડી રાખવામાં વધારે મદદ કરે છે.
- બાઈબલમાં જયારે વિશિષ્ટ ઘટના સ્થાન લે છે, તે વખતે સામાન્ય સમયને દર્શાવવા માટે “વર્ષ” શબ્દનો રૂપક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉદાહરણોમાં “યહોવાનું વર્ષ,” અથવા “દુકાળના સમયનું વર્ષ” અથવા “પ્રભુને માન્ય વર્ષ” નો સમાવેશ થાય છે.
આ સંદર્ભોમાં, ”વર્ષ” શબ્દનું ભાષાંતર “સમય” અથવા “ઋતુ” અથવા “સમયગાળો” કરી શકાય છે.
(આ પણ જુઓ: મહિનો)
બાઈબલની કલમો:
- 2 રાજા 23:31-33
- પ્રેરિતોના કૃત્યો 19:8-10
- દાનિએલ 8:1-2
- નિર્ગમન 12:1-2
શબ્દ માહિતી:
- Strong's: H3117, H7620, H7657, H8140, H8141, G1763, G2094
વર્ષ, વર્ષો
વ્યાખ્યા:
બાઈબલમાં જયારે “વર્ષ” શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેના શાબ્દિક અર્થ અનુસાર તે સમયગાળો 354 દિવસોનો હોય છે.
આ ચંદ્રની પંચાંગ પ્રમાણેની વ્યવસ્થા છે, જેમાં ચંદ્રને પૃથ્વીની ચોફેર ફરતા જે સમય લે છે તે દર્શાવે છે.
- આધુનિક સમયમાં સૂર્ય પંચાંગ પ્રમાણે 365 દિવસોને બાર મહિનાઓમાં વિભાજીત કરવામાં આવે છે, એટલે કે એ સમય દરમ્યાન પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરી એક આંટો પુરો કરે છે.
- બન્ને પંચાંગ વ્યવસ્થામાં વર્ષના બાર મહિના હોય છે.
પણ ચંદ્રના પંચાંગમાં વધારાનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય પંચાંગ પ્રમાણે 11 ખૂટતા દિવસો ઉમેરી દેવામાં આવે.
આ બંને પંચાંગો એકબીજા સાથે જોડી રાખવામાં વધારે મદદ કરે છે.
- બાઈબલમાં જયારે વિશિષ્ટ ઘટના સ્થાન લે છે, તે વખતે સામાન્ય સમયને દર્શાવવા માટે “વર્ષ” શબ્દનો રૂપક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉદાહરણોમાં “યહોવાનું વર્ષ,” અથવા “દુકાળના સમયનું વર્ષ” અથવા “પ્રભુને માન્ય વર્ષ” નો સમાવેશ થાય છે.
આ સંદર્ભોમાં, ”વર્ષ” શબ્દનું ભાષાંતર “સમય” અથવા “ઋતુ” અથવા “સમયગાળો” કરી શકાય છે.
(આ પણ જુઓ: મહિનો)
બાઈબલની કલમો:
- 2 રાજા 23:31-33
- પ્રેરિતોના કૃત્યો 19:8-10
- દાનિએલ 8:1-2
- નિર્ગમન 12:1-2
શબ્દ માહિતી:
- Strong's: H3117, H7620, H7657, H8140, H8141, G1763, G2094
વહાણ
વ્યાખ્યા:
“વહાણ” શબ્દનો શાબ્દિક અર્થ દર્શાવે છે કે, લંબચોરસ લાકડાનું ખોખું કે જેમાં કાંઈક રાખી શકાય અથવા તેમાં રક્ષણ થઈ શકે.
વહાણ નાનું કે મોટું હોઈ શકે, તે તેના ઉપયોગ પર આધારિત છે.
અંગ્રેજી બાઈબલમાં, પ્રથમવાર “વહાણ” શબ્દ બહુ મોટા લંબચોરસ, કે જે વિશ્વભરના જળપ્રલયથી બચવા નુહે બાંધેલી લાકડાંની નાવ એમ દર્શાવે છે
વહાણનું તળિયું, છત, અને દિવાલો સીઘા હતા.
આ શબ્દનું ભાષાંતર “ખુબ મોટી નાવ” અથવા “સપાટ તળિયા વાળી માલવાહક નૌકા” અથવા “નૌકાભાર” અથવા “મોટી, ખોખા આકારની નાવ” થઇ શકે છે.
- આ હિબ્રુ શબ્દ કે જે આ વિશાળ નાવ માટે વપરાયો છે તેજ શબ્દ પેટી અથવા ખોખું માટે વપરાયો છે અથવા પેટી કે જેમાં બાળક મૂસાને તેની માતાએ નાઈલ નદીમાં સંતાડવા ઉપયોગ કર્યો હતો.
આ કિસ્સામાં સામાન્ય રીતે તેનું ભાષાંતર “પેટી” થઇ શકે છે.
- “કરારકોશ” શબ્દમાં “કોશ” માટે જુદો જ હિબ્રુ શબ્દનો ઉપયોગ કરાયો છે.
તેનું ભાષાંતર “ખોખું” અથવા “પેટી” અથવા “ડબ્બો” થઇ શકે છે.
- જયારે આ શબ્દ “વહાણ” ભાષાંતર કરવા પસંદ કરીએ, ત્યારે તેનો ઉપયોગ કયા સંદર્ભમાં થયો છે તે સમજવું અગત્યનું છે.
(આપણ જુઓ: કરારકોશ, ટોપલી)
બાઈબલની કલમો:
- 1 પિતર 3:18-20
- નિર્ગમન 16:33-36
- નિર્ગમન 30:5-6
- ઉત્પત્તિ 8:4-5
- લૂક 17:25-27
- માથ્થી 24:37-39
શબ્દ માહિતી:
- Strong's: H727, H8392, G2787
વહાણ
વ્યાખ્યા:
“વહાણ” શબ્દનો શાબ્દિક અર્થ દર્શાવે છે કે, લંબચોરસ લાકડાનું ખોખું કે જેમાં કાંઈક રાખી શકાય અથવા તેમાં રક્ષણ થઈ શકે.
વહાણ નાનું કે મોટું હોઈ શકે, તે તેના ઉપયોગ પર આધારિત છે.
અંગ્રેજી બાઈબલમાં, પ્રથમવાર “વહાણ” શબ્દ બહુ મોટા લંબચોરસ, કે જે વિશ્વભરના જળપ્રલયથી બચવા નુહે બાંધેલી લાકડાંની નાવ એમ દર્શાવે છે
વહાણનું તળિયું, છત, અને દિવાલો સીઘા હતા.
આ શબ્દનું ભાષાંતર “ખુબ મોટી નાવ” અથવા “સપાટ તળિયા વાળી માલવાહક નૌકા” અથવા “નૌકાભાર” અથવા “મોટી, ખોખા આકારની નાવ” થઇ શકે છે.
- આ હિબ્રુ શબ્દ કે જે આ વિશાળ નાવ માટે વપરાયો છે તેજ શબ્દ પેટી અથવા ખોખું માટે વપરાયો છે અથવા પેટી કે જેમાં બાળક મૂસાને તેની માતાએ નાઈલ નદીમાં સંતાડવા ઉપયોગ કર્યો હતો.
આ કિસ્સામાં સામાન્ય રીતે તેનું ભાષાંતર “પેટી” થઇ શકે છે.
- “કરારકોશ” શબ્દમાં “કોશ” માટે જુદો જ હિબ્રુ શબ્દનો ઉપયોગ કરાયો છે.
તેનું ભાષાંતર “ખોખું” અથવા “પેટી” અથવા “ડબ્બો” થઇ શકે છે.
- જયારે આ શબ્દ “વહાણ” ભાષાંતર કરવા પસંદ કરીએ, ત્યારે તેનો ઉપયોગ કયા સંદર્ભમાં થયો છે તે સમજવું અગત્યનું છે.
(આપણ જુઓ: કરારકોશ, ટોપલી)
બાઈબલની કલમો:
- 1 પિતર 3:18-20
- નિર્ગમન 16:33-36
- નિર્ગમન 30:5-6
- ઉત્પત્તિ 8:4-5
- લૂક 17:25-27
- માથ્થી 24:37-39
શબ્દ માહિતી:
- Strong's: H727, H8392, G2787
વાંસળી, વાંસળીઓ, મુરલી, મુરલીઓ
વ્યાખ્યા:
બાઈબલના સમયમાં, મુરલીઓ એ સંગીતના સાધનો હતા જેને વગાડવા અને તેનો અવાજને બહાર આવવા માટે લાકડાં અથવા હાડકાંમાં નાના કાણાં પાડવામાં આવતા હતા.
વાંસળી એ એક પ્રકારની પાઈપ હતી.
- મોટાભાગની વાંસળીઓને બરુ બનેલી હતી જે એક જાડા પ્રકારનું ઘાસ છે, જ્યારે હવા તેના પર વાય છે ત્યારે તે હમેશાં હાલ્યા કરે છે.
- મોટેભાગે બરુ વગરની મુરલીને “વાંસળી” કહેવામાં આવે છે.
- ઘેટાંપાળક તેના ઘેટાંના ટોળાને શાંત કરવા માટે મુરલી વગાડે છે.
- મુરલીઓ અને વાંસળીઓ દુઃખી અથવા આનંદી સંગીત વગાડવા માટે વાપરવામાં આવતી હતી.
(આ પણ જુઓ: ઘેટાં બકરાં, ઘેટાંપાળક)
બાઈબલની કલમો:
- 1 કરિંથી 14:7-9
- 1 રાજા 1:38-40
- દાનિયેલ 3:3-5
- લૂક 7:31-32
- માથ્થી 9:23-24
- માથ્થી 11:16-17
શબ્દ માહિતી:
- Strong's: H4953, H5748, H2485, H2490, G832, G834, G836
વિદેશી, વિદેશીઓ
સત્યો:
“વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે.
વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા.
- બાઈબલમાં, રૂપકાત્મક રીતે “બેસુન્ન્ત” શબ્દ પણ વિદેશીઓને દર્શાવે છે, કારણકે જે રીતે ઈઝરાએલીઓએ કર્યું તે રીતે તેઓમાંના ઘણાએ તેઓના નર બાળકોની સુન્નત કરી ન હતી.
- કારણકે દેવે યહૂદીઓને તેના ખાસ લોક થવા સારું પસંદ કર્યા હતા, જેથી તેઓએ વિદેશીઓને બહારના તરીકે ગણ્યા કે તેઓ ક્યારેય દેવના લોકો બની શકે નહીં.
- ઈતિહાસના અલગ અલગ સમયોમાં યહૂદીઓને “ઈઝરાએલીઓ” અથવા “હિબ્રૂઓ” પણ કહેવામાં આવ્યા હતા.
તેઓ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા.
- વિદેશીનું ભાષાંતર, “યહૂદી નહિ” અથવા બિન-યહૂદીઓ” અથવા “એક કે જે ઈઝરાએલી નથી” (જૂના કરારમાં) અથવા “બિન યહૂદી” તરીકે પણ કરી શકાય છે.
- પરંપરાગત રીતે યહૂદીઓ વિદેશીઓ સાથે ખાતા અથવા સંબંધ રાખતા નહોતા, કે જેને કારણે શરૂઆતની મંડળીની અંદર સમસ્યાઓ થઈ.
(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, યહૂદી)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 9:13-16
- પ્રેરિતો 14:5-7
- ગલાતી 2:15-16
- લૂક 2:30-32
- માથ્થી 5:46-48
- માથ્થી 6:5-7
- રોમન 11:25
શબ્દ માહિતી:
- Strong's: H1471, G1482, G1484, G1672
વિદેશી, વિદેશીઓ
સત્યો:
“વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે.
વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા.
- બાઈબલમાં, રૂપકાત્મક રીતે “બેસુન્ન્ત” શબ્દ પણ વિદેશીઓને દર્શાવે છે, કારણકે જે રીતે ઈઝરાએલીઓએ કર્યું તે રીતે તેઓમાંના ઘણાએ તેઓના નર બાળકોની સુન્નત કરી ન હતી.
- કારણકે દેવે યહૂદીઓને તેના ખાસ લોક થવા સારું પસંદ કર્યા હતા, જેથી તેઓએ વિદેશીઓને બહારના તરીકે ગણ્યા કે તેઓ ક્યારેય દેવના લોકો બની શકે નહીં.
- ઈતિહાસના અલગ અલગ સમયોમાં યહૂદીઓને “ઈઝરાએલીઓ” અથવા “હિબ્રૂઓ” પણ કહેવામાં આવ્યા હતા.
તેઓ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા.
- વિદેશીનું ભાષાંતર, “યહૂદી નહિ” અથવા બિન-યહૂદીઓ” અથવા “એક કે જે ઈઝરાએલી નથી” (જૂના કરારમાં) અથવા “બિન યહૂદી” તરીકે પણ કરી શકાય છે.
- પરંપરાગત રીતે યહૂદીઓ વિદેશીઓ સાથે ખાતા અથવા સંબંધ રાખતા નહોતા, કે જેને કારણે શરૂઆતની મંડળીની અંદર સમસ્યાઓ થઈ.
(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, યહૂદી)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 9:13-16
- પ્રેરિતો 14:5-7
- ગલાતી 2:15-16
- લૂક 2:30-32
- માથ્થી 5:46-48
- માથ્થી 6:5-7
- રોમન 11:25
શબ્દ માહિતી:
- Strong's: H1471, G1482, G1484, G1672
વિધિ, વિધિઓ
વ્યાખ્યા:
વિધિએ સ્પષ્ટ લેખિત નિયમ છે જે લોકોને જીવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
- “વિધિ” શબ્દ “વટહુકમ” અને “હુકમ” અને “નિયમ” અને “ફરમાન” ના સમાન અર્થમાં છે.
આ બધા શબ્દો સૂચનાઓ અને જરૂરિયાતો કે જે ઈશ્વર તેમના લોકોને આપે છે અથવા રાજકર્તાઓ તેમના લોકોને આપે છે તેનો સમાવેશ કરે છે.
- દાઉદ રાજાએ કહ્યું કે તેણે પોતાને યહોવાના વિધિઓમાં ઉલ્લાસી કર્યો.
- “વિધિ” શબ્દ નું અનુવાદ “સ્પષ્ટ હુકમ” અથવા “ખાસ ફરમાન” એમ પણ કરી શકાય.
(આ પણ જુઓ: આદેશ, વિધિ (હુકમ), નિયમ/કાયદો/કાનૂન, ફરમાન, યહોવાહ)
બાઈબલના સંદર્ભો:
- 1 રાજાઓ 11:11-13
- પુનર્નિયમ 6:20-23
- હઝકિયેલ 33:14-16
- ગણના 19:1-2
શબ્દ માહિતી:
- Strong's: H2706, H2708, H6490, H7010
વિનાશ, વિનાશ કરવો, વિનાશ કર્યો
વ્યાખ્યા:
કશાકનો “વિનાશ” કરવો એટલે કે બગાડવું, નાશ, અથવા નિરુપયોગી બનાવવું.
“વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દ જેનો નાશ કરવામાં આવ્યો છે તેના રોડાં અને બગડેલા કશાકના અવશેષનો ઉલ્લેખ કરે છે.
- સફાન્યા પ્રબોધક “વિનાશના દિવસ” તરીકે ઈશ્વરના કોપના દિવસ વિશે બોલ્યો કે જ્યારે જગતનો ન્યાય અને શિક્ષા કરવામાં આવશે.
- નીતિવચનનું પુસ્તક જણાવે છે કે વિનાશ અને નાશ જેઓ પાપીઓ છે તેઓની રાહ જુએ છે.
- સંદર્ભના આધારે, “વિનાશ” નો અનુવાદ “નાશ” અથવા “બગાડવું” અથવા “નિરુપયોગી બનાવવું” અથવા “તોડવું” તરીકે કરી શકાય.
- “વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દનો અનુવાદ “રોડાં” અથવા “ખરાબ દશાની ઈમારતો” અથવા “નષ્ટ શહેર” અથવા “બરબાદી” અથવા “ભંગીત” અથવા “પાયમાલી” એમ સંદર્ભના આધારે કરી શકાય.
બાઈબલના સંદર્ભો:
- 2 કાળુવૃતાંત 12:7-8
- 2 રાજાઓ 19:25-26
- પ્રે.કૃ. 15:15-18
- યશાયા 23:13-14
શબ્દ માહિતી:
- Strong's: H6, H1197, H1530, H1820, H1942, H2034, H2040, H2717, H2719, H2720, H2723, H2930, H3510, H3765, H3782, H3832, H4072, H4288, H4383, H4384, H4654, H4658, H4876, H4889, H5221, H5557, H5754, H5856, H6365, H7451, H7489, H7582, H7591, H7612, H7701, H7703, H7843, H8047, H8074, H8077, H8414, H8510, G2679, G2692, G3639, G4485
વિપત્તિ
વ્યાખ્યા:
"વિપત્તિ" શબ્દ હાડમારી, દુઃખ અને વેદનાના સમયનો ઉલ્લેખ કરે છે.
- નવા કરારમાં સમજાવ્યું છે કે ખ્રિસ્તીઓ સતાવણી અને અન્ય પ્રકારની વિપત્તિના સમયમાં સહન કરશે કારણ કે આ જગતમાં ઘણા લોકો ઈસુના શિક્ષણનો વિરોધ કરે છે.
- "મહા વિપત્તિ" શબ્દ બાઇબલમાં ઈસુના બીજા આગમન પહેલાના સમય માટે વર્ણવવા ઉપયોગ કર્યો છે ત્યારે ઈશ્વરનો ક્રોધ ઘણા વર્ષો માટે પૃથ્વી પર રેડવામાં કરવામાં આવશે.
- " વિપત્તિ " શબ્દ "મહા દુ:ખનો સમય" અથવા “ઊડી વેદના”અથવા "ગંભીર મુશ્કેલીઓ" તરીકે ભાષાંતર કરી શકાય છે.
)આ પણ જુઓ: [પૃથ્વી[, પૃથ્વી, શીખવવું
બાઇબલના સંદર્ભો:
- કોપ
- માર્ક 13:17-20
- માથ્થી 13:20-21
- માથ્થી 24:9-11
- માથ્થી 24:29
- રોમન 2:8-9
શબ્દ માહિતી:
- Strong's: H6869, G2346, G2347
વિપત્તિ
વ્યાખ્યા:
"વિપત્તિ" શબ્દ હાડમારી, દુઃખ અને વેદનાના સમયનો ઉલ્લેખ કરે છે.
- નવા કરારમાં સમજાવ્યું છે કે ખ્રિસ્તીઓ સતાવણી અને અન્ય પ્રકારની વિપત્તિના સમયમાં સહન કરશે કારણ કે આ જગતમાં ઘણા લોકો ઈસુના શિક્ષણનો વિરોધ કરે છે.
- "મહા વિપત્તિ" શબ્દ બાઇબલમાં ઈસુના બીજા આગમન પહેલાના સમય માટે વર્ણવવા ઉપયોગ કર્યો છે ત્યારે ઈશ્વરનો ક્રોધ ઘણા વર્ષો માટે પૃથ્વી પર રેડવામાં કરવામાં આવશે.
- " વિપત્તિ " શબ્દ "મહા દુ:ખનો સમય" અથવા “ઊડી વેદના”અથવા "ગંભીર મુશ્કેલીઓ" તરીકે ભાષાંતર કરી શકાય છે.
)આ પણ જુઓ: [પૃથ્વી[, પૃથ્વી, શીખવવું
બાઇબલના સંદર્ભો:
- કોપ
- માર્ક 13:17-20
- માથ્થી 13:20-21
- માથ્થી 24:9-11
- માથ્થી 24:29
- રોમન 2:8-9
શબ્દ માહિતી:
- Strong's: H6869, G2346, G2347
વિશ્રામવાર
વ્યાખ્યા:
“વિશ્રામવાર” શબ્દ અઠવાડિયાના સાતમા દિવસનો ઉલ્લેખ કરે છે, કે જેને ઈશ્વરે ઇઝરાયેલીઓ માટે આરામના દિવસ અને કોઈ કામ ન કરવાં તરીકે અલગ કરવાં ફરમાવ્યો હતો.
- ઈશ્વરે છ દિવસમાં સૃષ્ટિનું સર્જન પૂર્ણ કર્યા પછી, સાતમા દિવસે તેમણે આરામ કર્યો.
તે જ પ્રમાણે, સાતમા દિવસને આરામના અને ઈશ્વરની આરાધના કરવાના ખાસ દિવસ તરીકે અલગ કરવાં તેમણે ઈઝરાયેલીઓને આજ્ઞા આપી હતી.
- “સાબ્બાથ દિન પવિત્ર પાળવો” એ આજ્ઞા દસ આજ્ઞાઓમાંની એક આજ્ઞા છે કે જે ઈશ્વરે શિલાપાટીઓ પર લખી હતી કે જે તેમણે મુસાને ઈઝરાયેલીઓ માટે આપી હતી.
- યહૂદી પદ્ધતિ પ્રમાણે દિવસોની ગણતરી, સાબ્બાથની શરૂઆત શુક્રવારના સુર્યાસ્તથી થતી અને શનિવારના સુર્યાસ્ત સુધી રહેતી.
- ઘણીવાર બાઈબલમાં સાબ્બાથને માત્ર સાબ્બાથને બદલે “વિશ્રામવાર” કહેવામાં આવ્યું છે.
અનુવાદ માટેના સૂચનો:
- તેનો “આરામનો દિવસ” અથવા “આરામ માટેનો દિવસ” અથવા “કામ ન કરવાનો દિવસ” અથવા “ઈશ્વરનો આરામનો દિવસ” તરીકે પણ અનુવાદ કરી શકાય.
- કેટલાંક અનુવાદોમાં આ શબ્દને તે ખાસ દિવસ છે માટે મોટાં અક્ષરોમાં બતાવવામાં આવે છે, “વિશ્રામવાર” અથવા “આરામનો દિવસ” આ પ્રમાણે.
- આ શબ્દનો અનુવાદ સ્થાનિક અને રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે કરવામાં આવ્યો છે તે ધ્યાનમાં લો.
(આ પણ જુઓ: કેવી રીતે અજ્ઞાતનો અનુવાદ કરવો
(આ પણ જુઓ: આરામ)
બાઈબલના સંદર્ભો:
- 2 કાળુવૃતાંત 31:2-3
- પ્રેરીતોના કૃત્યો 13:26-27
- નિર્ગમન 31:12-15
- યશાયા 56: 6-7
- યર્મિયાનો વિલાપ 2: 5-6
- લેવીય 19: 1-4
- લૂક 13: 12-14
- માર્ક 2: 27-28
- માથ્થી 12: 1-2
- નહેમ્યા 10: 32-33
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 13:5 હંમેશા ચોક્કસ રહો વિશ્રામવાર પવિત્ર પાળવાને માટે. એટલે કે, તમારું બધું જ કામ છ દિવસમાં કરો, સાતમો દિવસ તમારાં માટે આરામનો અને મને માન આપવાનો દિવસ છે.
- 26:2 ઈસુ નાઝરેથ શહેરમાં ગયાં જ્યાં તેઓ તેમના બાળપણના દિવસો દરમિયાન ત્યાં રહ્યાં. વારે વિશ્રામ, તેઓ આરાધના માટેના સ્થળે ગયાં.
- 41:3 ઈસુને દફનાવવામાં આવ્યાં તે પછીનો દિવસ હતો વિશ્રામ વાર, અને તે દિવસે યહુદીઓને કબર પર જવાની પરવાનગી ન હતી.
શબ્દ માહિતી:
- Strong's: H4868, H7676, H7677, G4315, G4521
વિશ્રામવાર
વ્યાખ્યા:
“વિશ્રામવાર” શબ્દ અઠવાડિયાના સાતમા દિવસનો ઉલ્લેખ કરે છે, કે જેને ઈશ્વરે ઇઝરાયેલીઓ માટે આરામના દિવસ અને કોઈ કામ ન કરવાં તરીકે અલગ કરવાં ફરમાવ્યો હતો.
- ઈશ્વરે છ દિવસમાં સૃષ્ટિનું સર્જન પૂર્ણ કર્યા પછી, સાતમા દિવસે તેમણે આરામ કર્યો.
તે જ પ્રમાણે, સાતમા દિવસને આરામના અને ઈશ્વરની આરાધના કરવાના ખાસ દિવસ તરીકે અલગ કરવાં તેમણે ઈઝરાયેલીઓને આજ્ઞા આપી હતી.
- “સાબ્બાથ દિન પવિત્ર પાળવો” એ આજ્ઞા દસ આજ્ઞાઓમાંની એક આજ્ઞા છે કે જે ઈશ્વરે શિલાપાટીઓ પર લખી હતી કે જે તેમણે મુસાને ઈઝરાયેલીઓ માટે આપી હતી.
- યહૂદી પદ્ધતિ પ્રમાણે દિવસોની ગણતરી, સાબ્બાથની શરૂઆત શુક્રવારના સુર્યાસ્તથી થતી અને શનિવારના સુર્યાસ્ત સુધી રહેતી.
- ઘણીવાર બાઈબલમાં સાબ્બાથને માત્ર સાબ્બાથને બદલે “વિશ્રામવાર” કહેવામાં આવ્યું છે.
અનુવાદ માટેના સૂચનો:
- તેનો “આરામનો દિવસ” અથવા “આરામ માટેનો દિવસ” અથવા “કામ ન કરવાનો દિવસ” અથવા “ઈશ્વરનો આરામનો દિવસ” તરીકે પણ અનુવાદ કરી શકાય.
- કેટલાંક અનુવાદોમાં આ શબ્દને તે ખાસ દિવસ છે માટે મોટાં અક્ષરોમાં બતાવવામાં આવે છે, “વિશ્રામવાર” અથવા “આરામનો દિવસ” આ પ્રમાણે.
- આ શબ્દનો અનુવાદ સ્થાનિક અને રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે કરવામાં આવ્યો છે તે ધ્યાનમાં લો.
(આ પણ જુઓ: કેવી રીતે અજ્ઞાતનો અનુવાદ કરવો
(આ પણ જુઓ: આરામ)
બાઈબલના સંદર્ભો:
- 2 કાળુવૃતાંત 31:2-3
- પ્રેરીતોના કૃત્યો 13:26-27
- નિર્ગમન 31:12-15
- યશાયા 56: 6-7
- યર્મિયાનો વિલાપ 2: 5-6
- લેવીય 19: 1-4
- લૂક 13: 12-14
- માર્ક 2: 27-28
- માથ્થી 12: 1-2
- નહેમ્યા 10: 32-33
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 13:5 હંમેશા ચોક્કસ રહો વિશ્રામવાર પવિત્ર પાળવાને માટે. એટલે કે, તમારું બધું જ કામ છ દિવસમાં કરો, સાતમો દિવસ તમારાં માટે આરામનો અને મને માન આપવાનો દિવસ છે.
- 26:2 ઈસુ નાઝરેથ શહેરમાં ગયાં જ્યાં તેઓ તેમના બાળપણના દિવસો દરમિયાન ત્યાં રહ્યાં. વારે વિશ્રામ, તેઓ આરાધના માટેના સ્થળે ગયાં.
- 41:3 ઈસુને દફનાવવામાં આવ્યાં તે પછીનો દિવસ હતો વિશ્રામ વાર, અને તે દિવસે યહુદીઓને કબર પર જવાની પરવાનગી ન હતી.
શબ્દ માહિતી:
- Strong's: H4868, H7676, H7677, G4315, G4521
વિશ્વ, દુન્યવી
વ્યાખ્યા:
"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી.
"દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.
- મોટાભાગે સામાન્ય અર્થમાં, "વિશ્વ “ શબ્દ સ્વર્ગમાં અને પૃથ્વીને, તેમજ તેમાંની દરેક વસ્તુનો સંદર્ભ આપે છે.
- ઘણા બધા સંદર્ભોમાં, "જગત" નો અર્થ "વિશ્વમાંના લોકો" થાય છે.
- કેટલીક વખત એવું સૂચન કરવામાં આવે છે કે આ પૃથ્વી પરના દુષ્ટ લોકો અથવા જે લોકો ઈશ્વરને આધીન થતા નથી તેમના માટે છે.
- આ જગતમાં રહેતા લોકોની સ્વાર્થી વર્તણૂક અને ભ્રષ્ટ મૂલ્યોનો ઉલ્લેખ કરવા માટે પ્રેરિતોએ "જગત" નો ઉપયોગ કર્યો હતો
આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.
- લોકો અને વસ્તુઓ આ મૂલ્યો દ્વારા વર્ગીકૃત"દુન્યવી” કરવામાં આવે છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- સંદર્ભને આધારે, "વિશ્વ" નું "બ્રહ્માંડ" અથવા "આ જગતના લોકો" અથવા "દુનિયાની ભ્રષ્ટ વસ્તુઓ" અથવા "દુનિયાની લોકોના દુષ્ટ વર્તન" તરીકે ભાષાંતર કરી શકાય છે.
- “સર્વ જગત “ શબ્દનો અર્થ "ઘણા લોકો" થાય છે અને તે ચોક્કસ પ્રદેશમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે.
ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.
- રોમન વસ્તી ગણતરીમાં નોંધાવવા આખું જગત તેમના વતનમાં ગયા” નું ભાષાંતર કરવાનો બીજો રસ્તો "રોમન સામ્રાજ્યના શાસન હેઠળના પ્રદેશોમાં રહેતા ઘણા લોકો ગયા ..."
- સંદર્ભના આધારે, "દુન્યવી" શબ્દનો અનુવાદ "દુષ્ટ" અથવા "પાપી" અથવા "સ્વાર્થી" અથવા "અધર્મી" અથવા "ભ્રષ્ટ" અથવા "આ દુનિયામાં લોકોના ભ્રષ્ટ મૂલ્યોથી થઈ શકે છે."
- “દુનિયામાં આ વાતો કહેતા" શબ્દનું ભાષાંતર "વિશ્વના લોકો માટે આ વાતો કહે છે."
- અન્ય સંદર્ભોમાં, "દુનિયામાં" "જગતના લોકોમાં વસવું" અથવા "અધર્મી લોકોમાં રહેવું" તરીકે ભાષાંતર કરી શકાય છે.
(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)
બાઇબલના સંદર્ભો:
- 1 યોહાન 2:15-17
- 1 યોહાન 4:4-6
- 1 યોહાન 5:4-5
- યોહાન 1:29-31
- માથ્થી 13:36-39
શબ્દ માહિતી:
- Strong's: H776, H2309, H2465, H5769, H8398, G1093, G2886, G2889, G3625
વિશ્વ, દુન્યવી
વ્યાખ્યા:
"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી.
"દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.
- મોટાભાગે સામાન્ય અર્થમાં, "વિશ્વ “ શબ્દ સ્વર્ગમાં અને પૃથ્વીને, તેમજ તેમાંની દરેક વસ્તુનો સંદર્ભ આપે છે.
- ઘણા બધા સંદર્ભોમાં, "જગત" નો અર્થ "વિશ્વમાંના લોકો" થાય છે.
- કેટલીક વખત એવું સૂચન કરવામાં આવે છે કે આ પૃથ્વી પરના દુષ્ટ લોકો અથવા જે લોકો ઈશ્વરને આધીન થતા નથી તેમના માટે છે.
- આ જગતમાં રહેતા લોકોની સ્વાર્થી વર્તણૂક અને ભ્રષ્ટ મૂલ્યોનો ઉલ્લેખ કરવા માટે પ્રેરિતોએ "જગત" નો ઉપયોગ કર્યો હતો
આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.
- લોકો અને વસ્તુઓ આ મૂલ્યો દ્વારા વર્ગીકૃત"દુન્યવી” કરવામાં આવે છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- સંદર્ભને આધારે, "વિશ્વ" નું "બ્રહ્માંડ" અથવા "આ જગતના લોકો" અથવા "દુનિયાની ભ્રષ્ટ વસ્તુઓ" અથવા "દુનિયાની લોકોના દુષ્ટ વર્તન" તરીકે ભાષાંતર કરી શકાય છે.
- “સર્વ જગત “ શબ્દનો અર્થ "ઘણા લોકો" થાય છે અને તે ચોક્કસ પ્રદેશમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે.
ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.
- રોમન વસ્તી ગણતરીમાં નોંધાવવા આખું જગત તેમના વતનમાં ગયા” નું ભાષાંતર કરવાનો બીજો રસ્તો "રોમન સામ્રાજ્યના શાસન હેઠળના પ્રદેશોમાં રહેતા ઘણા લોકો ગયા ..."
- સંદર્ભના આધારે, "દુન્યવી" શબ્દનો અનુવાદ "દુષ્ટ" અથવા "પાપી" અથવા "સ્વાર્થી" અથવા "અધર્મી" અથવા "ભ્રષ્ટ" અથવા "આ દુનિયામાં લોકોના ભ્રષ્ટ મૂલ્યોથી થઈ શકે છે."
- “દુનિયામાં આ વાતો કહેતા" શબ્દનું ભાષાંતર "વિશ્વના લોકો માટે આ વાતો કહે છે."
- અન્ય સંદર્ભોમાં, "દુનિયામાં" "જગતના લોકોમાં વસવું" અથવા "અધર્મી લોકોમાં રહેવું" તરીકે ભાષાંતર કરી શકાય છે.
(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)
બાઇબલના સંદર્ભો:
- 1 યોહાન 2:15-17
- 1 યોહાન 4:4-6
- 1 યોહાન 5:4-5
- યોહાન 1:29-31
- માથ્થી 13:36-39
શબ્દ માહિતી:
- Strong's: H776, H2309, H2465, H5769, H8398, G1093, G2886, G2889, G3625
વિશ્વાસ
વ્યાખ્યા:
“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.
- કોઈનામાં “વિશ્વાસ હોવો” એટલે, તે જે કહે છે અને કરે છે તે સાચું અને વિશ્વસનીય છે તેમ માનવું.
- “ઈસુમાં વિશ્વાસ હોવો” તેનો અર્થ, દેવના ઈસુ વિશેના બધાજ શિક્ષણને માનવું.
ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.
- ઈસુમાં સાચો વિશ્વાસ અથવા માન્યતા વ્યક્તિને સારા આત્મિક ફળો અથવા સારું વર્તન કરવામાં મદદરૂપ થશે, કારણકે પવિત્ર આત્મા તેનામાં રહે છે.
- ક્યારેક “વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે ઈસુ વિશેના સઘળા શિક્ષણને દર્શાવે છે, અને તેને “વિશ્વાસના સત્યો” તરીકે અભિવ્યક્તિ કરે છે.
- “વિશ્વાસ રાખવો” અથવા “વિશ્વાસ મૂકી દેવા,” તેવા સંદર્ભમાં, “વિશ્વાસ” શબ્દ ઈસુ વિશેના સઘળા શિક્ષણમાં વિશ્વાસ કરવાની સ્થિતિને દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- કેટલાક સદર્ભોમાં, “વિશ્વાસ” શબ્દનું ભાષાંતર, “માન્યતા” અથવા “પ્રતીતિ” અથવા “આત્મવિશ્વાસ” અથવા “ભરોસો” કરી શકાય છે.
- કેટલીક ભાષાઓ માટે આ શબ્દો ક્રિયાપદના સ્વરૂપમાં, જેમકે “વિશ્વાસ કરવો.” તેમ વાપરવામાં આવતા હશે.
- “વિશ્વાસ રાખો” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “ઈસુમાં વિશ્વાસ રાખો” અથવા “ઈસુમાં માનવાનું ચાલુ રાખો,” એમ કરી શકાય છે.
- આ વાક્ય, “તેઓ અવશ્ય વિશ્વાસના ઊંડા સત્યો પકડી રાખે” તેનું ભાષાંતર, “તેઓ ઈસુ વિશે ની સઘળી સાચી બાબતો છે કે જે તેઓને શીખવવામાં આવી છે તેમાં વિશ્વાસ રાખવાનું ચાલુ રાખે,” એમ કરી શકાય છે.
- “વિશ્વાસમાં મારા સાચા દીકરા” અભિવ્યક્તિનું ભાષાંતર, “મારા જેવો દીકરો કોને છે કારણકે મેં તેને ઈસુમાં વિશ્વાસ કરવાનું શીખવ્યું છે” અથવા “મારા આત્મિક દીકરા, કે જે ઈસુમાં માને છે” એ પ્રમાણે (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))
બાઈબલની કલમો:
- 2 તિમોથી 4:6-8
- પ્રેરિતો 6:7
- ગલાતી 2:20-21
- યાકૂબ 2:18-20
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 5:6 જયારે ઈસહાક જુવાન માણસ હતો, ત્યારે દેવે ઈબ્રાહિમના વિશ્વાસ ની પરીક્ષા કરી.
- 31:7 પછી તેણે (ઈસુ) એ પિતરને કહ્યું, “ઓ અલ્પવિશ્વાસી, તેં સંદેહ કેમ રાખ્યો?”
- 32:16 ઈસુએ તેણીને કહ્યું, “તારા વિશ્વાસે તને સાજી કરી છે.
શાંતિએ જા.”
- 38:9 પછી ઈસુએ પિતરને કહ્યું, શેતાન તારું બધું જ માંગે છે, પણ પિતર, મેં તારા માટે પ્રાર્થના કરી, કે તારો વિશ્વાસ નિષ્ફળ ન જાય.
શબ્દ માહિતી:
- Strong's: H529, H530, G1680, G3640, G4102, G6066
વિશ્વાસ
વ્યાખ્યા:
“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.
- કોઈનામાં “વિશ્વાસ હોવો” એટલે, તે જે કહે છે અને કરે છે તે સાચું અને વિશ્વસનીય છે તેમ માનવું.
- “ઈસુમાં વિશ્વાસ હોવો” તેનો અર્થ, દેવના ઈસુ વિશેના બધાજ શિક્ષણને માનવું.
ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.
- ઈસુમાં સાચો વિશ્વાસ અથવા માન્યતા વ્યક્તિને સારા આત્મિક ફળો અથવા સારું વર્તન કરવામાં મદદરૂપ થશે, કારણકે પવિત્ર આત્મા તેનામાં રહે છે.
- ક્યારેક “વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે ઈસુ વિશેના સઘળા શિક્ષણને દર્શાવે છે, અને તેને “વિશ્વાસના સત્યો” તરીકે અભિવ્યક્તિ કરે છે.
- “વિશ્વાસ રાખવો” અથવા “વિશ્વાસ મૂકી દેવા,” તેવા સંદર્ભમાં, “વિશ્વાસ” શબ્દ ઈસુ વિશેના સઘળા શિક્ષણમાં વિશ્વાસ કરવાની સ્થિતિને દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- કેટલાક સદર્ભોમાં, “વિશ્વાસ” શબ્દનું ભાષાંતર, “માન્યતા” અથવા “પ્રતીતિ” અથવા “આત્મવિશ્વાસ” અથવા “ભરોસો” કરી શકાય છે.
- કેટલીક ભાષાઓ માટે આ શબ્દો ક્રિયાપદના સ્વરૂપમાં, જેમકે “વિશ્વાસ કરવો.” તેમ વાપરવામાં આવતા હશે.
- “વિશ્વાસ રાખો” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “ઈસુમાં વિશ્વાસ રાખો” અથવા “ઈસુમાં માનવાનું ચાલુ રાખો,” એમ કરી શકાય છે.
- આ વાક્ય, “તેઓ અવશ્ય વિશ્વાસના ઊંડા સત્યો પકડી રાખે” તેનું ભાષાંતર, “તેઓ ઈસુ વિશે ની સઘળી સાચી બાબતો છે કે જે તેઓને શીખવવામાં આવી છે તેમાં વિશ્વાસ રાખવાનું ચાલુ રાખે,” એમ કરી શકાય છે.
- “વિશ્વાસમાં મારા સાચા દીકરા” અભિવ્યક્તિનું ભાષાંતર, “મારા જેવો દીકરો કોને છે કારણકે મેં તેને ઈસુમાં વિશ્વાસ કરવાનું શીખવ્યું છે” અથવા “મારા આત્મિક દીકરા, કે જે ઈસુમાં માને છે” એ પ્રમાણે (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))
બાઈબલની કલમો:
- 2 તિમોથી 4:6-8
- પ્રેરિતો 6:7
- ગલાતી 2:20-21
- યાકૂબ 2:18-20
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 5:6 જયારે ઈસહાક જુવાન માણસ હતો, ત્યારે દેવે ઈબ્રાહિમના વિશ્વાસ ની પરીક્ષા કરી.
- 31:7 પછી તેણે (ઈસુ) એ પિતરને કહ્યું, “ઓ અલ્પવિશ્વાસી, તેં સંદેહ કેમ રાખ્યો?”
- 32:16 ઈસુએ તેણીને કહ્યું, “તારા વિશ્વાસે તને સાજી કરી છે.
શાંતિએ જા.”
- 38:9 પછી ઈસુએ પિતરને કહ્યું, શેતાન તારું બધું જ માંગે છે, પણ પિતર, મેં તારા માટે પ્રાર્થના કરી, કે તારો વિશ્વાસ નિષ્ફળ ન જાય.
શબ્દ માહિતી:
- Strong's: H529, H530, G1680, G3640, G4102, G6066
વેદના
વ્યાખ્યા:
“વેદના” શબ્દ તીવ્ર દુઃખ અથવા આપત્તિ દર્શાવે છે.
- “વેદના” શારીરિક અથવા ભાવનાત્મક દુઃખ અથવા વેદના હોઈ શકે.
- જે લોકોને બહુ વેદના થાય છે, તેઓના ચહેરા અને વર્તનમાં દેખાય આવે છે.
- દાખલા તરીકે, જયારે વ્યક્તિ ખુબજ દુઃખ અથવા વેદનામાં હોય ત્યારે તે પોતાના દાંત પીસે અથવા રુદન કરે છે.
- “વેદના” શબ્દનું ભાષાંતર “ભાવનાત્મક વેદના” અથવા “ઊંડું દુઃખ” અથવા “ખુબજ દુઃખ” થઇ શકે છે.
બાઈબલની કલમો:
- યર્મિયા 6:23-24
- યર્મિયા 19:6-9
- અયૂબ 15:22-24
- લૂક 16:24
- ગીતશાસ્ત્ર 116:3-4
શબ્દ માહિતી:
- Strong's: H2342, H2479, H3708, H4164, H4689, H4691, H5100, H6695, H6862, H6869, H7267, H7581, G928, G3600, G4928
વેર, વેર લે છે, વેર લીધું, વેર લેવું, વેર લેનાર, વેર વાળવું, બદલો
વ્યાખ્યા:
“વેર” અથવા “વેર લેવું” અથવા “બદલો વાળી આપવો” કોઈને તેને કરેલા નુકસાનને પાછું ભરી આપવાની સજા છે.
વેર લેવાનું કામ અથવા વેર લેવું તે “બદલો” છે. સામાન્ય રીતે “વેર” નો ઉદ્દેશ ન્યાય મેળવી, ખોટને સુધારવું (રોકવું). “બદલો લેવો” અથવા “વેર લેવું” તે અભિવ્યક્તિ દર્શાવે છે, કે સામાન્ય રીતે જે વ્યક્તિએ નુકસાન કર્યું તેને તે પ્રમાણે કરી પાછું વાળી આપવું.
- જયારે દેવ “બદલો લે છે” અથવા “બદલો વાળી આપે છે,” તે એક ન્યાયી તરીકે કાર્ય છે, કારણકે તે પાપ અને બળવાની સજા કરે છે.
ભાષાંતરના સુચનો:
- “વેર” ની અભિવ્યક્તિનું ભાષાંતર, “ખોટું રોકવું” અથવા “બીજા માટે ન્યાય મેળવવો” એમ થઇ શકે છે.
- જયારે “બદલો લેવો,” તે માનવજાત માટે વપરાય છે, ત્યારે તેનું ભાષાંતર “પાછા ભરી આપવું” અથવા “દુઃખ આપીને સજા કરવી” અથવા “બદલો વાળવો” એમ થઇ શકે છે.
- સંદર્ભ પ્રમાણે “વેર” શબ્દનું ભાષાંતર “સજા” અથવા “પાપની શિક્ષા” અથવા “ખોટું કર્યાની કિંમત ચૂકવવી” એમ થઇ શકે છે.
જો આ શબ્દ નો અર્થ “વેરની વસૂલાત” થાય છે, તો એનો ઉપયોગ ફક્ત માણસજાત માટે જ થાય છે.
- જયારે દેવ કહે છે, “મારે બદલો લેવો છે,” તેનું ભાષાંતર “મારી વિરુદ્ધ ગયાથી તેમને સજા થાય છે” અથવા “તેઓએ મારી વિરુદ્ધ પાપ કર્યું છે તેના કારણે તેમના પર ખરાબ બિના બની રહી છે” એમ થઇ શકે છે.
- જ્યારે દેવના બદલાની વાત થાય છે, ત્યારે તે સ્પષ્ટ ખાતરી કરવી કે દેવ ન્યાયી બની વ્યક્તિને પાપની સજા કરે છે.
(આ પણ જુઓ: શિક્ષા કરવી, ન્યાયી, ન્યાયી)
બાઈબલની કલમો:
- 1 શમુએલ24:12-13
- હઝકિએલ 25:15-17
- યશાયા 47:3-5
- લેવીય 19:17-18
- ગીતશાસ્ત્ર 18:46-47
- રોમન 12:19-21
શબ્દ માહિતી:
- Strong's: H1350, H3467, H5358, H5359, H5360, H6544, H6546, H8199, G1349, G1556, G1557, G1558, G2917, G3709
વેર, વેર લે છે, વેર લીધું, વેર લેવું, વેર લેનાર, વેર વાળવું, બદલો
વ્યાખ્યા:
“વેર” અથવા “વેર લેવું” અથવા “બદલો વાળી આપવો” કોઈને તેને કરેલા નુકસાનને પાછું ભરી આપવાની સજા છે.
વેર લેવાનું કામ અથવા વેર લેવું તે “બદલો” છે. સામાન્ય રીતે “વેર” નો ઉદ્દેશ ન્યાય મેળવી, ખોટને સુધારવું (રોકવું). “બદલો લેવો” અથવા “વેર લેવું” તે અભિવ્યક્તિ દર્શાવે છે, કે સામાન્ય રીતે જે વ્યક્તિએ નુકસાન કર્યું તેને તે પ્રમાણે કરી પાછું વાળી આપવું.
- જયારે દેવ “બદલો લે છે” અથવા “બદલો વાળી આપે છે,” તે એક ન્યાયી તરીકે કાર્ય છે, કારણકે તે પાપ અને બળવાની સજા કરે છે.
ભાષાંતરના સુચનો:
- “વેર” ની અભિવ્યક્તિનું ભાષાંતર, “ખોટું રોકવું” અથવા “બીજા માટે ન્યાય મેળવવો” એમ થઇ શકે છે.
- જયારે “બદલો લેવો,” તે માનવજાત માટે વપરાય છે, ત્યારે તેનું ભાષાંતર “પાછા ભરી આપવું” અથવા “દુઃખ આપીને સજા કરવી” અથવા “બદલો વાળવો” એમ થઇ શકે છે.
- સંદર્ભ પ્રમાણે “વેર” શબ્દનું ભાષાંતર “સજા” અથવા “પાપની શિક્ષા” અથવા “ખોટું કર્યાની કિંમત ચૂકવવી” એમ થઇ શકે છે.
જો આ શબ્દ નો અર્થ “વેરની વસૂલાત” થાય છે, તો એનો ઉપયોગ ફક્ત માણસજાત માટે જ થાય છે.
- જયારે દેવ કહે છે, “મારે બદલો લેવો છે,” તેનું ભાષાંતર “મારી વિરુદ્ધ ગયાથી તેમને સજા થાય છે” અથવા “તેઓએ મારી વિરુદ્ધ પાપ કર્યું છે તેના કારણે તેમના પર ખરાબ બિના બની રહી છે” એમ થઇ શકે છે.
- જ્યારે દેવના બદલાની વાત થાય છે, ત્યારે તે સ્પષ્ટ ખાતરી કરવી કે દેવ ન્યાયી બની વ્યક્તિને પાપની સજા કરે છે.
(આ પણ જુઓ: શિક્ષા કરવી, ન્યાયી, ન્યાયી)
બાઈબલની કલમો:
- 1 શમુએલ24:12-13
- હઝકિએલ 25:15-17
- યશાયા 47:3-5
- લેવીય 19:17-18
- ગીતશાસ્ત્ર 18:46-47
- રોમન 12:19-21
શબ્દ માહિતી:
- Strong's: H1350, H3467, H5358, H5359, H5360, H6544, H6546, H8199, G1349, G1556, G1557, G1558, G2917, G3709
વેલો, વેલા
વ્યાખ્યા:
"વેલો" શબ્દ એ એક છોડને દર્શાવે છે જે જમીનની સાથે અથવા વૃક્ષો અને અન્ય માળખાઓ ચડતાં વધતો જાય છે.
બાઇબલમાં "વેલો" શબ્દનો ઉપયોગ ફળદાયક વેલાને માટે થાય છે અને સામાન્ય રીતે દ્રાક્ષવેલાનો ઉલ્લેખ કરે છે.
- બાઇબલમાં, "વેલો" શબ્દનો અર્થ હંમેશા "દ્રાક્ષવેલો" થાય છે.
- દ્રાક્ષની ડાળીઓ મુખ્ય થડ સાથે જોડાયેલ છે જે તેમને પાણી અને અન્ય પોષક તત્વો આપે છે જેથી તેઓ વૃધ્ધિ કરી શકે.
- ઈસુએ પોતાને "દ્રાક્ષાવેલો" કહ્યા અને પોતાના લોકોને "ડાળીઓ" કહ્યા.
આ સંદર્ભમાં, "વેલો" શબ્દને "દ્રાક્ષવેલાનું થડ" અથવા "દ્રાક્ષના છોડનો દાંડો" તરીકે ભાષાંતર કરી શકાય છે.)જુઓ: રૂપક
આ પણ જુઓ: દ્રાક્ષ દ્રાક્ષવાડી)
બાઇબલ સંદર્ભો
- ઉત્પત્તિ 40:9-11
- ઉત્પત્તિ 49:11-12
- યોહાન 15:1-2
- લૂક 22:17-18
- માર્ક 12:1-3
- માથ્થી 21:35-37
શબ્દ માહિતી:
- Strong's: H5139, H1612, H8321, G288, G290, G1009, G1092
વેલો, વેલા
વ્યાખ્યા:
"વેલો" શબ્દ એ એક છોડને દર્શાવે છે જે જમીનની સાથે અથવા વૃક્ષો અને અન્ય માળખાઓ ચડતાં વધતો જાય છે.
બાઇબલમાં "વેલો" શબ્દનો ઉપયોગ ફળદાયક વેલાને માટે થાય છે અને સામાન્ય રીતે દ્રાક્ષવેલાનો ઉલ્લેખ કરે છે.
- બાઇબલમાં, "વેલો" શબ્દનો અર્થ હંમેશા "દ્રાક્ષવેલો" થાય છે.
- દ્રાક્ષની ડાળીઓ મુખ્ય થડ સાથે જોડાયેલ છે જે તેમને પાણી અને અન્ય પોષક તત્વો આપે છે જેથી તેઓ વૃધ્ધિ કરી શકે.
- ઈસુએ પોતાને "દ્રાક્ષાવેલો" કહ્યા અને પોતાના લોકોને "ડાળીઓ" કહ્યા.
આ સંદર્ભમાં, "વેલો" શબ્દને "દ્રાક્ષવેલાનું થડ" અથવા "દ્રાક્ષના છોડનો દાંડો" તરીકે ભાષાંતર કરી શકાય છે.)જુઓ: રૂપક
આ પણ જુઓ: દ્રાક્ષ દ્રાક્ષવાડી)
બાઇબલ સંદર્ભો
- ઉત્પત્તિ 40:9-11
- ઉત્પત્તિ 49:11-12
- યોહાન 15:1-2
- લૂક 22:17-18
- માર્ક 12:1-3
- માથ્થી 21:35-37
શબ્દ માહિતી:
- Strong's: H5139, H1612, H8321, G288, G290, G1009, G1092
વેશ્યા, વેશ્યાવૃત્તિ કરી, વેશ્યાઓ, ગણિકા, વેશ્યાવૃત્તિ કરી
વ્યાખ્યા:
“વેશ્યા” અને “ગણિકા” બંને શબ્દો પૈસા માટે કે ધાર્મિક ક્રિયાકાંડો માટે જાતીય વ્યવહાર કરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.
વેશ્યાઓ તથા ગણિકાઓ સામાન્ય રીતે સ્ત્રીઓ હતી, પણ કેટલાક પુરુષો પણ હતા.
- બાઇબલમાં, “વેશ્યા” શબ્દ જૂઠા દેવની પૂજા કરનાર કે જાદુક્રિયા આચરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરવા કેટલીક વાર પ્રતિકાત્મક રીતે વપરાયો છે.
- “વેશ્યાવૃત્તિ કરવી” અભિવ્યક્તિનો અર્થ જાતીય રીતે અનૈતિક બની ગણિકા જેવો વ્યવહાર કરવો એવો થાય છે.
બાઇબલમાં આ અભિવ્યક્તિનો ઉપયોગ મૂર્તિઓની પૂજા કરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરવા પણ થયો છે.
- કોઈ બાબત સાથે “જાતે વેશ્યાવૃત્તિ કરવી” નો અર્થ જાતીય રીતે અનૈતિક હોવું અથવા પ્રતિકાત્મક રીતે વપરાય તો જૂઠા દેવોની પૂજા કરવા દ્વારા ઈશ્વરને અવિશ્વાસુ હોવું તેવો થાય છે.
- પ્રાચીન સમયોમાં, કેટલાક અધર્મી મંદિરો પોતાના ક્રિયાકાંડોના ભાગરૂપે પુરુષ અને સ્ત્રી વેશ્યાઓનો ઉપયોગ કરતા હતા.
- આ શબ્દનો અનુવાદ જે ભાષામાં બાઇબલનો અનુવાદ કરવામાં આવે છે તે ભાષામાં વપરાતા શબ્દ કે શબ્દસમૂહ દ્વારા કરી શકાય કે જે વેશ્યાનો ઉલ્લેખ કરતો હોય.
કેટલીક ભાષાઓમાં આને માટે વપરાતો સૌમ્યોક્તિ શબ્દ હોય શકે.
(આ જૂઓ: સૌમ્યોક્તિ
(આ જૂઓ: વ્યભિચાર, દેવ, જાતીય અનૈતિકતા, દેવ)
બાઇબલના સંદર્ભો:
- ઉત્પત્તિ 34:30-31
- ઉત્પત્તિ 38:21-23
- લૂક 15:28-30
- માથ્થી 21:31-32
શબ્દ માહિતી:
- Strong's: H2154, H2181, H2183, H2185, H6945, H6948, H8457, G4204
વૈભવ
વ્યાખ્યા:
“વૈભવ” શબ્દ ઉચ્ચ સુંદરતા અને લાવણ્યનો ઉલ્લેખ કરે છે કે જે ઘણીવાર સંપત્તિ અને ભવ્ય દેખાવ સાથે સંકળાયેલ હોય છે.
- ઘણીવાર રાજા પાસે જે સંપત્તિ છે અથવા તેના ખર્ચાળ, સુંદર શણગારમાં તે કેવો લાગે છે તે વર્ણવવા વૈભવનો ઉપયોગ થાય છે.
- “વૈભવ” શબ્દનો ઉપયોગ વૃક્ષની, પહાડોની અને વસ્તુઓ કે જે ઈશ્વરે સર્જી છે તેની સુંદરતા વર્ણવવા પણ થાય છે.
- ચોક્કસ શહેરો તેમના કુદરતી સંસાધનો, કાળજીપૂર્વક તૈયાર કરેલા બાંધકામ અને રસ્તાઓ, અને તેમના લોકોની સંપત્તિ, જે કિંમતી વસ્ત્ર, સોના અને ચાંદીનો સમાવેશ કરે છે તેને કારણે તેમનો વૈભવ છે એમ કહેવાય છે.
- સંદર્ભને આધારે, આ શબ્દનો ઉપયોગ “ભવ્ય સુંદરતા” અથવા “અદ્દભુત પ્રતિભા” અથવા બાદશાહી મહાનતા” તરીકે કરી શકાય.
(આ પણ જુઓ: ગૌરવ, રાજા, મહિમા)
બાઈબલના સંદર્ભો:
- 1 કાળુવૃતાંત 16:25-27
- નિર્ગમન 28:1-3
- હઝકિયેલ 28:6-7
- લૂક 4:5-7
- ગીતશાસ્ત્ર 89:44-45
- પ્રકટીકરણ 21:26-27
શબ્દ માહિતી:
- Strong's: H1925, H1926, H1927, H1935, H2091, H2122, H2892, H3314, H3519, H6643, H7613, H8597
વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો
વ્યાખ્યા:
“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે.
બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે.
“વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.
- “વ્યભિચારી” શબ્દ સામાન્ય રીતે એવી વ્યક્તિ દર્શાવે છે કે જે તે વ્યભિચારનું પાપ કરે છે.
- અમુકવાર “વ્યભિચારીણી” શબ્દ એવી સ્ત્રીને દર્શાવે છે કે જેણે વ્યભિચારનું પાપ કર્યું હોય.
- વ્યભિચાર એવા પ્રકારના પાપને દર્શાવે છે કે, જે પતિ અને પત્ની પોતાના લગ્નજીવનમાં ઈશ્વર સામે કરેલા કરારનો ભંગ કરી તેનું વચન તોડે છે.
- દેવે ઇસ્રાએલપુત્રોને વ્યભિચારનું પાપ ન કરવા આજ્ઞા આપી હતી.
- બાઈબલમાં ઘણીવાર “વ્યભિચારી” શબ્દનો ઉપયોગ ઇસ્રાએલ લોકોના ઈશ્વર પ્રત્યેના અવિશ્વાશીપણા વિશે દર્શાવે છે, ખાસ કરીને જયારે તેઓએ જુઠા દેવોનું ભજન કર્યું.
ભાષાંતર માટે સૂચનો:
- જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દ ન હોય તો આ શબ્દનું ભાષાંતર આ રીતે થવું જોઈએ, જેમકે “બીજાની પત્ની સાથે જાતીયતાના સબંધો રાખવા” અથવા “બીજા કોઈની પત્ની સાથે વધુ નિકટતાના સબંધો રાખવા.”
- બીજી ભાષાઓમાં આ શબ્દનો ઉપયોગ આડકતરી રીતે કરવામાં આવે છે.જેમકે “બીજા વ્યક્તિની પત્ની સાથે સુઈ જવું” અથવા “પોતાની પત્નીને અવિશ્વાસુ રહેવું” (જુઓ: સૌમ્યોક્તિ
- બાઈબલમાં જયારે "વ્યભિચારી" શબ્દનો રૂપક રીતે ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે આ શબ્દનું લાક્ષણિક અને શ્રેષ્ઠ ભાષાંતર એમ થાય કે, એક બેવફા પતિ કે પત્ની માફક ઈશ્વરની અવગણના કરવી.
જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.
(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))
બાઈબલની કલમો:
- નિર્ગમન 20:12-14
- હોશિયા 4:1-2
- લૂક 16:18
- માથ્થી 5: 27-28
- માથ્થી 12: 38-40
- પ્રકટીકરણ 2:22-23
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:
- 13:6 "વ્યભિચાર ન કર."
- 28:2 "વ્યભિચાર ન કર."
- 34:7 "ધાર્મિક આગેવાન આ પ્રમાણે પ્રાર્થના કરતા કે “પ્રભુ હું તમારો આભાર માનું છું કે બીજા વ્યક્તિના જેવો લુંટારો, અન્યાયી, વ્યભિચારી, કે આ એક દાણી જેવો પાપી નથી.
શબ્દ માહિતી:
- Strong's: H5003, H5004, G3428, G3429, G3430, G3431, G3432
વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો
વ્યાખ્યા:
“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે.
બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે.
“વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.
- “વ્યભિચારી” શબ્દ સામાન્ય રીતે એવી વ્યક્તિ દર્શાવે છે કે જે તે વ્યભિચારનું પાપ કરે છે.
- અમુકવાર “વ્યભિચારીણી” શબ્દ એવી સ્ત્રીને દર્શાવે છે કે જેણે વ્યભિચારનું પાપ કર્યું હોય.
- વ્યભિચાર એવા પ્રકારના પાપને દર્શાવે છે કે, જે પતિ અને પત્ની પોતાના લગ્નજીવનમાં ઈશ્વર સામે કરેલા કરારનો ભંગ કરી તેનું વચન તોડે છે.
- દેવે ઇસ્રાએલપુત્રોને વ્યભિચારનું પાપ ન કરવા આજ્ઞા આપી હતી.
- બાઈબલમાં ઘણીવાર “વ્યભિચારી” શબ્દનો ઉપયોગ ઇસ્રાએલ લોકોના ઈશ્વર પ્રત્યેના અવિશ્વાશીપણા વિશે દર્શાવે છે, ખાસ કરીને જયારે તેઓએ જુઠા દેવોનું ભજન કર્યું.
ભાષાંતર માટે સૂચનો:
- જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દ ન હોય તો આ શબ્દનું ભાષાંતર આ રીતે થવું જોઈએ, જેમકે “બીજાની પત્ની સાથે જાતીયતાના સબંધો રાખવા” અથવા “બીજા કોઈની પત્ની સાથે વધુ નિકટતાના સબંધો રાખવા.”
- બીજી ભાષાઓમાં આ શબ્દનો ઉપયોગ આડકતરી રીતે કરવામાં આવે છે.જેમકે “બીજા વ્યક્તિની પત્ની સાથે સુઈ જવું” અથવા “પોતાની પત્નીને અવિશ્વાસુ રહેવું” (જુઓ: સૌમ્યોક્તિ
- બાઈબલમાં જયારે "વ્યભિચારી" શબ્દનો રૂપક રીતે ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે આ શબ્દનું લાક્ષણિક અને શ્રેષ્ઠ ભાષાંતર એમ થાય કે, એક બેવફા પતિ કે પત્ની માફક ઈશ્વરની અવગણના કરવી.
જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.
(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))
બાઈબલની કલમો:
- નિર્ગમન 20:12-14
- હોશિયા 4:1-2
- લૂક 16:18
- માથ્થી 5: 27-28
- માથ્થી 12: 38-40
- પ્રકટીકરણ 2:22-23
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:
- 13:6 "વ્યભિચાર ન કર."
- 28:2 "વ્યભિચાર ન કર."
- 34:7 "ધાર્મિક આગેવાન આ પ્રમાણે પ્રાર્થના કરતા કે “પ્રભુ હું તમારો આભાર માનું છું કે બીજા વ્યક્તિના જેવો લુંટારો, અન્યાયી, વ્યભિચારી, કે આ એક દાણી જેવો પાપી નથી.
શબ્દ માહિતી:
- Strong's: H5003, H5004, G3428, G3429, G3430, G3431, G3432
વ્યર્થ, મિથ્યાભિમાન
વ્યાખ્યા:
આ "વ્યર્થ" શબ્દ કંઈક નકામી છે અથવા કોઈ હેતુ નથી તેવું વર્ણવે છે.
વ્યર્થ વસ્તુઓ ખાલી અને નકામી છે.
- શબ્દ "મિથ્યાભિમાન" નો અર્થ નકામું અથવા ખાલીપણું છે.
તે ગર્વિષ્ઠ અથવા ઘમંડનો પણ ઉલ્લેખ કરી શકે છે.
- જૂના કરારમાં, મૂર્તિઓને નિરર્થક વસ્તુઓ તરીકે વર્ણવવામાં આવી છે જે બચાવી અથવા સાચવી શકતી નથી.
તેઓ નકામી છે અને તેનો કોઈ ઉપયોગ અથવા હેતુ નથી.
- જો કંઈક " વ્યર્થ " કરવામાં આવ્યું હતું, તો તેનો અર્થ એ કે તેનાથી કોઈ સારા પરિણામ આવવાનનાં ન હતાં.
પ્રયત્ન અથવા ક્રિયા કંઈપણ પૂર્ણ કરી શકતી નહીં.
- ' વ્યર્થમાં માનવું ' એટલે જે સાચું નથી તે માનવું અને તે ખોટી આશા આપે છે
અનુવાદ માટેનાં સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને, " વ્યર્થ " શબ્દનું "ખાલી" અથવા "નકામી" અથવા "નિરાશાજનક" અથવા "નાલાયક" અથવા "અર્થહીન." તરીકે ભાષાંતર કરી શકાય છે.
- શબ્દ " વ્યર્થ " નો અનુવાદ "પરિણામ વગર" અથવા "કોઈ પરિણામ વિના" અથવા "કોઈ કારણ વિના" અથવા "કોઈ હેતુ વગર" તરીકે કરી શકાય છે.
- શબ્દ "મિથ્યાભિમાન" નું ભાષાંતર "ગર્વ" અથવા "યોગ્ય નથી" અથવા "નિરાશા" તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: દેવ, [લાયક([
બાઇબલ સંદર્ભો
- લાયક
- 1 શમુએલ 25:21-22
- 2 પિતર 2:17-19
- યશાયાહ 45:19
- યર્મિયા 2:29-31
- માથ્થી 15:7-9
શબ્દ માહિતી:
- Strong's: H205, H1891, H1892, H2600, H3576, H5014, H6754, H7307, H7385, H7386, H7387, H7723, H8193, H8267, H8414, G945, G1432, G1500, G2755, G2756, G2757, G2758, G2761, G3150, G3151, G3152, G3153, G3154, G3155
શબ્દ, શબ્દો
વ્યાખ્યા:
"શબ્દ" એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે કોઈએ કહ્યું છે
- આનું ઉદાહરણ હતું કે જ્યારે દૂતે ઝખાર્યાહને કહ્યું હતું કે, "તમે મારા શબ્દો પર વિશ્વાસ ન કર્યો," તો એનો અર્થ એ થયો કે, "મેં જે કહ્યું તે તમે માનતા નહોતા."
આ શબ્દ લગભગ હંમેશાં સમગ્ર સંદેશ, ફક્ત એક શબ્દ નહીં, ઉલ્લેખ કરે છે.
- ક્યારેક "શબ્દ" સામાન્ય રીતે ભાષણને સંદર્ભિત કરે છે, જેમ કે "શબ્દ અને કૃત્યોમાં શક્તિશાળી" જેનો અર્થ છે "વાણી અને વર્તનમાં શક્તિશાળી."
- ઘણી વાર બાઇબલમાં "શબ્દ" શબ્દ જેનો અર્થ "દેવના વચન" અથવા "સત્યના વચન" પ્રમાણે થાય છે.
- આ શબ્દનો એક ખાસ ઉપયોગ છે જ્યારે ઇસુને "શબ્દ" કહેવામાં આવે છે.
આ છેલ્લા બે અર્થો માટે, જુઓ ઈશ્વરનો શબ્દ
અનુવાદ માટેનાં સૂચનો:
- "શબ્દ" અથવા "શબ્દો" નો અનુવાદ વિવિધ રીતે "શિક્ષણ" અથવા "સંદેશ" અથવા "સમાચાર" અથવા "એક કહેવત" અથવા "શું કહેવામાં આવ્યું હતું" નો સમાવેશ થાય છે.
(આ પણ જુઓ: ઈશ્વરનો શબ્દ
બાઇબલના સંદર્ભો:
- 2 તિમોથી 4:1-2
- પ્રેરિતોનાં કૃત્યો 8:4-5
- કલોસી 4:2-4
- યાકૂબ 1:17-18
- યર્મિયા 27:1-4
- યોહાન 1:1-3
- યોહાન 1:14-15
- લૂક 8:14-15
- માથ્થી 2:7-8
- માથ્થી 7:26-27
શબ્દ માહિતી:
- Strong's: H561, H562, H565, H1697, H1703, H3983, H4405, H4406, H6310, H6600, G518, G1024, G3050, G3054, G3055, G3056, G4086, G4487, G4935, G5023, G5542
શબ્દ, શબ્દો
વ્યાખ્યા:
"શબ્દ" એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે કોઈએ કહ્યું છે
- આનું ઉદાહરણ હતું કે જ્યારે દૂતે ઝખાર્યાહને કહ્યું હતું કે, "તમે મારા શબ્દો પર વિશ્વાસ ન કર્યો," તો એનો અર્થ એ થયો કે, "મેં જે કહ્યું તે તમે માનતા નહોતા."
આ શબ્દ લગભગ હંમેશાં સમગ્ર સંદેશ, ફક્ત એક શબ્દ નહીં, ઉલ્લેખ કરે છે.
- ક્યારેક "શબ્દ" સામાન્ય રીતે ભાષણને સંદર્ભિત કરે છે, જેમ કે "શબ્દ અને કૃત્યોમાં શક્તિશાળી" જેનો અર્થ છે "વાણી અને વર્તનમાં શક્તિશાળી."
- ઘણી વાર બાઇબલમાં "શબ્દ" શબ્દ જેનો અર્થ "દેવના વચન" અથવા "સત્યના વચન" પ્રમાણે થાય છે.
- આ શબ્દનો એક ખાસ ઉપયોગ છે જ્યારે ઇસુને "શબ્દ" કહેવામાં આવે છે.
આ છેલ્લા બે અર્થો માટે, જુઓ ઈશ્વરનો શબ્દ
અનુવાદ માટેનાં સૂચનો:
- "શબ્દ" અથવા "શબ્દો" નો અનુવાદ વિવિધ રીતે "શિક્ષણ" અથવા "સંદેશ" અથવા "સમાચાર" અથવા "એક કહેવત" અથવા "શું કહેવામાં આવ્યું હતું" નો સમાવેશ થાય છે.
(આ પણ જુઓ: ઈશ્વરનો શબ્દ
બાઇબલના સંદર્ભો:
- 2 તિમોથી 4:1-2
- પ્રેરિતોનાં કૃત્યો 8:4-5
- કલોસી 4:2-4
- યાકૂબ 1:17-18
- યર્મિયા 27:1-4
- યોહાન 1:1-3
- યોહાન 1:14-15
- લૂક 8:14-15
- માથ્થી 2:7-8
- માથ્થી 7:26-27
શબ્દ માહિતી:
- Strong's: H561, H562, H565, H1697, H1703, H3983, H4405, H4406, H6310, H6600, G518, G1024, G3050, G3054, G3055, G3056, G4086, G4487, G4935, G5023, G5542
શરમ, શરમ અનુભવે છે, શરમ અનુભવવી, શરમજનક, શરમજનક રીતે, બેશરમ, નિર્લજ્જ, લજ્જિત, નિષ્ઠુર
વ્યાખ્યા:
"શરમ" શબ્દ એ વ્યક્તિનું અપમાન થયાની પીડાદાયક લાગણીનો સંદર્ભ આપે છે, તેણે અથવા અન્ય કોઈ વ્યક્તિએ કરેલ શરમજનક અથવા અયોગ્ય બાબતને કારણે.
- કંઈક "શરમજનક" છે તે "યોગ્ય" અથવા "અપમાનજનક" છે.
- “લજ્જિત" શબ્દ એ જ્યારે વ્યક્તિએ કંઈક શરમજનક કર્યું હોય ત્યારે તે કેવું અનુભવે છે તેનું વર્ણન કરે છે.
- “શરમમાં મુકવા" શબ્દસમૂહનો અર્થ લોકોને હરાવવાનો અથવા તેઓના પાપને ખુલ્લા પાડવા કે જેથી તેઓ પોતે જ પોતાને માટે શરમ અનુભવે.
- યશાયા પ્રબોધકે કહ્યું કે જેઓ મૂર્તિઓ બનાવે છે અને તેનું ભજન કરે છે તેઓને શરમમાં મુકવામાં આવશે.
- ઈશ્વર જે વ્યક્તિ પસ્તાવો કરતો નથી તેના પાપોને ખુલ્લાં પાડી અને તેને અપમાનિત કરીને તેને શરમ હેઠળ લાવી શકે છે.
(આ પણ જુઓ: દેવ, નમ્ર, હલકું પાડવું, યશાયા, પશ્ચાતાપ કરવો, પાપ, ઉપાસના)
બાઈબલના સંદર્ભો:
- 1 પિતર 3:15-17
- 2 રાજાઓ 2:17-18
- 2 શમુએલ 13:13-14
- લૂક 20:11-12
- માર્ક 8:38
- માર્ક 12:4-5
શબ્દ માહિતી:
- Strong's: H937, H954, H955, H1317, H1322, H2616, H2659, H2781, H3001, H3637, H3639, H3640, H6172, H7022, H7036, H8103, H8106, G127, G149, G152, G153, G422, G808, G818, G819, G821, G1788, G1791, G1870, G2617, G3856, G5195
શરીર, શરીરો
વ્યાખ્યા:
શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે.
આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.
- મોટેભાગે “શરીર” (મૃતદેહ) શબ્દ મરેલા વ્યક્તિ અથવા પ્રાણીને દર્શાવે છે. ક્યારેક આ શબ્દ ”લાશ” અથવા ”શબ” ને દર્શાવે છે.
- જયારે ઈસુએ તેના શિષ્યોની સાથે છેલ્લા પાસ્ખા ભોજનમાં કહ્યું, “આ (રોટલી) મારું શરીર છે,” તે તેના દૈહિક શરીરને દર્શાવતો હતો કે જે તેમના પાપોની ચુકવણી સારું “ભાંગવામાં” (મારી નાખવામાં) આવશે.
- બાઈબલમાં ખ્રિસ્તી લોકોના સમુદાયને “ખ્રિસ્તના શરીર” તરીકે દર્શાવામાં આવ્યા છે.
- જે રીતે દૈહિક શરીરના ઘણા ભાગો હોય છે, તે જ રીતે “ખ્રિસ્તના શરીર” ના પણ વ્યક્તિગત સભ્યો રહેલા છે.
- દરેક વિશ્વાસીને ખ્રિસ્તના શરીરમાં વિશેષ કાર્ય આપવામાં આવ્યું છે જેથી આખો સમુદાય સાથે મળીને દેવની સેવા અને તેનો મહિમા લાવવા મદદ કરે.
- ઈસુને પણ તેના વિશ્વાસીઓના “શરીર” ના “શિરપતિ (આગેવાન)” તરીકે દર્શાવામાં આવ્યા છે.
જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.
ભાષાંતરના સૂચનો:
- આ શબ્દનું ઉત્તમ ભાષાંતર કરવા માટે, લક્ષ ભાષામાં જે સૌથી સામાન્ય શબ્દ હોય તેનો ઉપયોગ કરવો.
ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય.
જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.
- જયારે ઈસુએ કહ્યું, “આ મારું શરીર છે,” તેનું શાબ્દિક ભાષાંતર કરવું અને જરૂર પડે તેની નોંધ લઇ સમજાવવું. અમુક ભાષામાં જયારે મૃત શરીરની વાત કરવામાં આવે ત્યારે તેના માટે અલગ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, જેમકે માણસ માટે “લાશ” અથવા પ્રાણી માટે “મડદું” (મૃતદેહ) હોય શકે. જયારે આવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ધ્યાન રાખવું કે જે તે સંદર્ભમાં તે સ્વીકાર્ય હોય.
(આ પણ જુઓ: શિર, આત્મા)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 10:11-12
- 1 કરંથીઓ 5:3-5
- એફેસીઓ 4:4-6
- ન્યાયાધીશો 14:7-9
- ગણના 6:6-8
- ગીતશાસ્ત્ર 31:8-9
- રોમન 12:4-5
શબ્દ માહિતી:
- Strong's: H990, H1320, H1460, H1465, H1472, H1480, H1655, H3409, H4191, H5038, H5085, H5315, H6106, H6297, H7607, G4430, G4954, G4983, G5559
શરીર, શરીરો
વ્યાખ્યા:
શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે.
આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.
- મોટેભાગે “શરીર” (મૃતદેહ) શબ્દ મરેલા વ્યક્તિ અથવા પ્રાણીને દર્શાવે છે. ક્યારેક આ શબ્દ ”લાશ” અથવા ”શબ” ને દર્શાવે છે.
- જયારે ઈસુએ તેના શિષ્યોની સાથે છેલ્લા પાસ્ખા ભોજનમાં કહ્યું, “આ (રોટલી) મારું શરીર છે,” તે તેના દૈહિક શરીરને દર્શાવતો હતો કે જે તેમના પાપોની ચુકવણી સારું “ભાંગવામાં” (મારી નાખવામાં) આવશે.
- બાઈબલમાં ખ્રિસ્તી લોકોના સમુદાયને “ખ્રિસ્તના શરીર” તરીકે દર્શાવામાં આવ્યા છે.
- જે રીતે દૈહિક શરીરના ઘણા ભાગો હોય છે, તે જ રીતે “ખ્રિસ્તના શરીર” ના પણ વ્યક્તિગત સભ્યો રહેલા છે.
- દરેક વિશ્વાસીને ખ્રિસ્તના શરીરમાં વિશેષ કાર્ય આપવામાં આવ્યું છે જેથી આખો સમુદાય સાથે મળીને દેવની સેવા અને તેનો મહિમા લાવવા મદદ કરે.
- ઈસુને પણ તેના વિશ્વાસીઓના “શરીર” ના “શિરપતિ (આગેવાન)” તરીકે દર્શાવામાં આવ્યા છે.
જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.
ભાષાંતરના સૂચનો:
- આ શબ્દનું ઉત્તમ ભાષાંતર કરવા માટે, લક્ષ ભાષામાં જે સૌથી સામાન્ય શબ્દ હોય તેનો ઉપયોગ કરવો.
ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય.
જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.
- જયારે ઈસુએ કહ્યું, “આ મારું શરીર છે,” તેનું શાબ્દિક ભાષાંતર કરવું અને જરૂર પડે તેની નોંધ લઇ સમજાવવું. અમુક ભાષામાં જયારે મૃત શરીરની વાત કરવામાં આવે ત્યારે તેના માટે અલગ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, જેમકે માણસ માટે “લાશ” અથવા પ્રાણી માટે “મડદું” (મૃતદેહ) હોય શકે. જયારે આવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ધ્યાન રાખવું કે જે તે સંદર્ભમાં તે સ્વીકાર્ય હોય.
(આ પણ જુઓ: શિર, આત્મા)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 10:11-12
- 1 કરંથીઓ 5:3-5
- એફેસીઓ 4:4-6
- ન્યાયાધીશો 14:7-9
- ગણના 6:6-8
- ગીતશાસ્ત્ર 31:8-9
- રોમન 12:4-5
શબ્દ માહિતી:
- Strong's: H990, H1320, H1460, H1465, H1472, H1480, H1655, H3409, H4191, H5038, H5085, H5315, H6106, H6297, H7607, G4430, G4954, G4983, G5559
શરૂઆત, ઉંબરો, પ્રવેશદ્વાર
વ્યાખ્યા:
" ઉંબરો " શબ્દનો ઉપયોગ દરવાજાના તળિયાનો ભાગ અથવા બારણ।ની અંદરના ભાગમાંના એક ભાગ તરીકે ઉલ્લેખ થાય છે.
- ક્યારેક ઉંબરો કોઈ લાકડાની અથવા પથ્થરની પટ્ટી છે જે રૂમ અથવા ઇમારતમાં દાખલ થવા માટે લગાડવામાં આવે છે.
- બંને દરવાજા અને તંબુને ખોલવા પણ થ્રેશોલ્ડ હોય છે.
- આ શબ્દનો પ્રોજેક્ટની ભાષાના શબ્દ સાથે અનુવાદ કરવો જોઈએ જે એક ઘરના પ્રવેશદ્વારસાથે ઉલ્લેખ કરે છે કે કોઈ વ્યક્તિ ચાલે છે.
- જો આ માટે કોઈ શબ્દ ન હોય તો સંદર્ભના આધારે "થ્રેશોલ્ડ" નું ભાષાંતર "દ્વાર" અથવા "ઉદઘાટન" અથવા "પ્રવેશદ્વાર" તરીકે પણ થઈ શકે છે.
(આ પણ જુઓ: દ્વાર, તંબુ)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 9:17-19
- હઝકીએલ 9:3-4
- યશાયાહ 9:4-5
- નીતિવચનો 17:19-20
શબ્દ માહિતી:
- Strong's: H624, H4670, H5592
શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ
વ્યાખ્યા:
“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે.
“શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.
- જ્યારે લોકજાતિઓ તથા દેશો એકબીજા સાથે યુદ્ધ ન કરતા હોય તે સમયનો ઉલ્લેખ પણ “શાંતિ” શબ્દ કરી શકે છે.
તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.
- કોઈ વ્યક્તિ કે લોકોના જૂથ સાથે “સુલેહ કરવાનો” અર્થ લડાઈ બંધ કરવા પગલાં ભરવા એવો થાય છે.
- “શાંતિ કરાવનાર” વ્યક્તિ એ છે કે જે લોકોને એકબીજા સાથે શાંતિપૂર્વક રહેવા માટે પોતાના વર્તન અને વાણીથી પ્રભાવિત કરે છે.
- બીજા લોકો સાથે “શાંતિ હોવી” નો અર્થ તે લોકો સાથે લડાઈ ન કરવાની સ્થિતિ એવો થાય છે.
- જ્યારે ઈશ્વર લોકોને તેઓના પાપથી બચાવે છે ત્યારે, ઈશ્વર અને લોકો વચ્ચે એક સારો અને સાચો સંબંધ સ્થાપિત થાય છે.
તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.
- પ્રેરિતોએ તેમના સાથી વિશ્વાસીઓને લખેલા પત્રોમાં “કૃપા તથા શાંતિ” એ સલામનો ઉપયોગ આશીર્વાદ આપવા થયો હતો.
- “શાંતિ” શબ્દ બીજા લોકો સાથે કે ઈશ્વર સાથે સારા સંબંધો હોવાનો ઉલ્લેખ પણ કરી શકે છે.
બાઇબલના સંદર્ભો:
- 1 થેસ્સલોનિકી 5:1-3
- પ્રરિતોનાં કૃત્યો 7:26-28
- ક્લોસ્સી 1:18-20
- ક્લોસ્સી 3:15-17
- ગલાતી 5:22-24
- લૂક 7:48-50
- લૂક 12:51-53
- માર્ક 4:38-39
- માથ્થી 5:9-10
- માથ્થી 10:11-13
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 15:6 ઈશ્વરે ઇઝરાયલીઓને કનાન દેશની કોઈપણ લોકજાતિ સાથે શાંતિ કરાર કરવા ના પાડી હતી.
- 15:12 પછી ઈશ્વરે ઇઝરાયલને તેની ચારે બાજુએ શાંતિ આપી.
- 16:3 પછી ઈશ્વરે એક છોડાવનાર ઊભો કર્યો કે જેણે તેઓને તેઓના દુશ્મનોના હાથમાંથી છોડાવ્યા અને દેશમાં શાંતિ બહાલ કરી.
- 21:13 તે (મસીહ) બીજા લોકોના પાપને કારણે શિક્ષા પામવા મૃત્યુ પામશે.
તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.
- 48:14 દાઉદ ઇઝરાયલનો રાજા હતો, પણ ઈસુ તો સમગ્ર વિશ્વના રાજા છે!
તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.
- 50:17 ઈસુ તેમનું રાજ્ય શાંતિ અને ન્યાયથી ચલાવશે અને તેઓ સર્વકાળ સુધી પોતાના લોકો સાથે રહેશે.
શબ્દ માહિતી:
- Strong's: H5117, H7961, H7962, H7965, H7999, H8001, H8002, H8003, H8252, G269, G31514, G1515, G1516, G1517, G1518, G2272
શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ
વ્યાખ્યા:
“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે.
“શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.
- જ્યારે લોકજાતિઓ તથા દેશો એકબીજા સાથે યુદ્ધ ન કરતા હોય તે સમયનો ઉલ્લેખ પણ “શાંતિ” શબ્દ કરી શકે છે.
તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.
- કોઈ વ્યક્તિ કે લોકોના જૂથ સાથે “સુલેહ કરવાનો” અર્થ લડાઈ બંધ કરવા પગલાં ભરવા એવો થાય છે.
- “શાંતિ કરાવનાર” વ્યક્તિ એ છે કે જે લોકોને એકબીજા સાથે શાંતિપૂર્વક રહેવા માટે પોતાના વર્તન અને વાણીથી પ્રભાવિત કરે છે.
- બીજા લોકો સાથે “શાંતિ હોવી” નો અર્થ તે લોકો સાથે લડાઈ ન કરવાની સ્થિતિ એવો થાય છે.
- જ્યારે ઈશ્વર લોકોને તેઓના પાપથી બચાવે છે ત્યારે, ઈશ્વર અને લોકો વચ્ચે એક સારો અને સાચો સંબંધ સ્થાપિત થાય છે.
તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.
- પ્રેરિતોએ તેમના સાથી વિશ્વાસીઓને લખેલા પત્રોમાં “કૃપા તથા શાંતિ” એ સલામનો ઉપયોગ આશીર્વાદ આપવા થયો હતો.
- “શાંતિ” શબ્દ બીજા લોકો સાથે કે ઈશ્વર સાથે સારા સંબંધો હોવાનો ઉલ્લેખ પણ કરી શકે છે.
બાઇબલના સંદર્ભો:
- 1 થેસ્સલોનિકી 5:1-3
- પ્રરિતોનાં કૃત્યો 7:26-28
- ક્લોસ્સી 1:18-20
- ક્લોસ્સી 3:15-17
- ગલાતી 5:22-24
- લૂક 7:48-50
- લૂક 12:51-53
- માર્ક 4:38-39
- માથ્થી 5:9-10
- માથ્થી 10:11-13
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 15:6 ઈશ્વરે ઇઝરાયલીઓને કનાન દેશની કોઈપણ લોકજાતિ સાથે શાંતિ કરાર કરવા ના પાડી હતી.
- 15:12 પછી ઈશ્વરે ઇઝરાયલને તેની ચારે બાજુએ શાંતિ આપી.
- 16:3 પછી ઈશ્વરે એક છોડાવનાર ઊભો કર્યો કે જેણે તેઓને તેઓના દુશ્મનોના હાથમાંથી છોડાવ્યા અને દેશમાં શાંતિ બહાલ કરી.
- 21:13 તે (મસીહ) બીજા લોકોના પાપને કારણે શિક્ષા પામવા મૃત્યુ પામશે.
તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.
- 48:14 દાઉદ ઇઝરાયલનો રાજા હતો, પણ ઈસુ તો સમગ્ર વિશ્વના રાજા છે!
તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.
- 50:17 ઈસુ તેમનું રાજ્ય શાંતિ અને ન્યાયથી ચલાવશે અને તેઓ સર્વકાળ સુધી પોતાના લોકો સાથે રહેશે.
શબ્દ માહિતી:
- Strong's: H5117, H7961, H7962, H7965, H7999, H8001, H8002, H8003, H8252, G269, G31514, G1515, G1516, G1517, G1518, G2272
શાંત્યર્પણ, શાંત્યર્પણો
સત્યો:
જૂના કરારમાં, “શાંત્યર્પણ” એ એક પ્રકારનું બલિદાન હતું કે જે અલગઅલગ કારણો, જેવા કે દેવનો આભાર માનવા અથવા પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે ચઢાવવામાં આવતું હતું,
- જે અર્પણમાં એક પશુનું બલિદાન જરૂરી હતું કે, જે નર અથવા નારી હોઈ શકે છે.
તે દહનાર્પણથી અલગ હતું, કે જેમાં નર પશુ જરૂરી હોય છે.
- દેવને બલિદાનનો ભાગ આપ્યા પછી, વ્યક્તિ કે જે શાંત્યર્પણ લાવ્યો છે તે માંસને યાજકો અને ઈઝરાએલીઓ સાથે વહેંચે છે.
- આ અર્પણ સાથે જે ભોજન સંકળાયેલ હતું, જેમાં બેખમીર રોટલીનો સમાવેશ થાય છે.
- ક્યારેક તેને “શાંતિ અર્પણ” કહેવામાં આવે છે.
(આ પણ જુઓ: દહનાર્પણ, પરિપૂર્ણ થવું, ખાદ્યાર્પણ, દોષાર્થાર્પણ, શાંત્યાર્પણ, યાજક, બલિદાન, બેખમીર રોટલી, પ્રતિજ્ઞા)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 21:25-27
- 2 કાળવૃતાંત 29:35-36
- નિર્ગમન 24:5-6
- લેવીય 3:3-5
- ગણના 6:13-15
શબ્દ માહિતી:
શાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો
વ્યાખ્યા:
“શાપ” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુઓને જેને શાપ આપવામાં આવ્યો છે અથવા તેવી નકારાત્મક વસ્તુ બનવા કારણ થવું.
- શાપ એ કોઈક અથવા કશાકને નુકશાન થશે તેનું વિધાન (વાક્ય) હોઈ શકે છે.
- કોઈકને શાપ આપવો એ ઈચ્છાની અભિવ્યક્તિ હોઈ શકે કે તેમનું ખોટું અથવા ખરાબ બાબત થશે.
- તે સજા તરીકે પણ દર્શાવી શકાય અથવા બીજી નકારાત્મક વસ્તુઓ કે જે બીજા માટે થવા કારણ બને.
ભાષાંતરના સૂચનો:
- આ શબ્દનું ભાષાંતર, “ખોટી વસ્તુઓ થવા કારણ બનવું” અથવા “કઈંક ખરાબ થશે તે જાહેર કરવું” અથવા “દુષ્ટ વસ્તુઓ થવા માટે સમ ઘાલવા” એમ કરી શકાય છે.
- દેવ તેના અનાજ્ઞાકિંત લોકો ઉપર શ્રાપો મોકલવાના સંદર્ભમાં, તેનું ભાષાંતર, “ખરાબ વસ્તુઓ દ્વારા સજા થવા દેવી” એમ કરી શકાય છે.
- જયારે “શાપિત” શબ્દ લોકોનું વર્ણન કરવા વપરાય છે ત્યારે તેનું ભાષાંતર, “(આ વ્યક્તિ) ખૂબ મુશ્કેલીનો અનુભવ કરશે” તરીકે કરી શકાય છે.
- “શાપિત હોવું” શબ્દસમૂહનું ભાષાંતર, “(આ વ્યક્તિ) પર મોટી મુશ્કેલીઓ આવો” એમ કરી શકાય છે.
- “ભૂમિ શાપિત છે” શબ્દસમૂહનું ભાષાંતર, “જમીન વધારે ફળદ્રુપ નહીં બને” એમ કરી શકાય છે.
- “હું જે દિવસે જન્મ્યો તે શાપિત હો” તેનું ભાષાંતર, “હું દુઃખી છું તેથી હું જન્મ્યો ના હોત તો સારું” એમ પણ કરી શકાય છે.
- તેમ છતાં, જો લક્ષ્ય ભાષામાં “શાપિત હો” એવો શબ્દસમૂહ હોય કે જેનો અર્થ તેના સમાન હોય તો પછી તે જ શબ્દસમૂહ રાખવો તે સારું છે.
(આ પણ જુઓ : આશીર્વાદ આપવો)
બાઈબલની કલમો :
- 1 શમુએલ 14:24-26
- 2 પિતર 2:12-14
- ગલાતી 3:10-12
- ગલાતી 3:13-14
- ઉત્પત્તિ 3:14-15
- ઉત્પત્તિ 3:17-19
- યાકૂબ 3:9-10
- ગણના 22:5-6
- ગીતશાસ્ત્ર 109:28-29
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 2:9 દેવે સાપને કહ્યું, “તું શાપિત હો!”
- 2:11 “હવેથી ભૂમિ શાપિત છે ,અને તારે અન્ન ઉપજાવવા ભારે પરિશ્રમ કરવો પડશે.”
- 4:4 “જેઓ તને આશીર્વાદ આપે છે તેઓને હું આશીર્વાદ અને જેઓ તને શાપ આપે છે તેઓને હું શાપ આપીશ.”
- 39:7 પછી પિતર સમ ખાઈને કહ્યું, “કદાચ જો હું આ માણસ ને જાણતો હોઉં તો દેવ મને શાપ આપો!”
- 50:16 કારણકે આદમ અને હવા એ દેવની આજ્ઞાનો અનાદર કર્યો અને આ જગતમાં પાપ લાવ્યાં, દેવે તેને (પાપ) શાપ આપ્યો અને નાશ કરવાનું નક્કી કર્યું.
શબ્દ માહિતી:
- Strong's: H422, H423, H779, H1288, H2763, H2764, H3994, H5344, H6895, H7043, H7045, H7621, H8381, G331, G332, G685, G1944, G2551, G2652, G2653, G2671, G2672, G6035
શાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો
વ્યાખ્યા:
“શાપ” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુઓને જેને શાપ આપવામાં આવ્યો છે અથવા તેવી નકારાત્મક વસ્તુ બનવા કારણ થવું.
- શાપ એ કોઈક અથવા કશાકને નુકશાન થશે તેનું વિધાન (વાક્ય) હોઈ શકે છે.
- કોઈકને શાપ આપવો એ ઈચ્છાની અભિવ્યક્તિ હોઈ શકે કે તેમનું ખોટું અથવા ખરાબ બાબત થશે.
- તે સજા તરીકે પણ દર્શાવી શકાય અથવા બીજી નકારાત્મક વસ્તુઓ કે જે બીજા માટે થવા કારણ બને.
ભાષાંતરના સૂચનો:
- આ શબ્દનું ભાષાંતર, “ખોટી વસ્તુઓ થવા કારણ બનવું” અથવા “કઈંક ખરાબ થશે તે જાહેર કરવું” અથવા “દુષ્ટ વસ્તુઓ થવા માટે સમ ઘાલવા” એમ કરી શકાય છે.
- દેવ તેના અનાજ્ઞાકિંત લોકો ઉપર શ્રાપો મોકલવાના સંદર્ભમાં, તેનું ભાષાંતર, “ખરાબ વસ્તુઓ દ્વારા સજા થવા દેવી” એમ કરી શકાય છે.
- જયારે “શાપિત” શબ્દ લોકોનું વર્ણન કરવા વપરાય છે ત્યારે તેનું ભાષાંતર, “(આ વ્યક્તિ) ખૂબ મુશ્કેલીનો અનુભવ કરશે” તરીકે કરી શકાય છે.
- “શાપિત હોવું” શબ્દસમૂહનું ભાષાંતર, “(આ વ્યક્તિ) પર મોટી મુશ્કેલીઓ આવો” એમ કરી શકાય છે.
- “ભૂમિ શાપિત છે” શબ્દસમૂહનું ભાષાંતર, “જમીન વધારે ફળદ્રુપ નહીં બને” એમ કરી શકાય છે.
- “હું જે દિવસે જન્મ્યો તે શાપિત હો” તેનું ભાષાંતર, “હું દુઃખી છું તેથી હું જન્મ્યો ના હોત તો સારું” એમ પણ કરી શકાય છે.
- તેમ છતાં, જો લક્ષ્ય ભાષામાં “શાપિત હો” એવો શબ્દસમૂહ હોય કે જેનો અર્થ તેના સમાન હોય તો પછી તે જ શબ્દસમૂહ રાખવો તે સારું છે.
(આ પણ જુઓ : આશીર્વાદ આપવો)
બાઈબલની કલમો :
- 1 શમુએલ 14:24-26
- 2 પિતર 2:12-14
- ગલાતી 3:10-12
- ગલાતી 3:13-14
- ઉત્પત્તિ 3:14-15
- ઉત્પત્તિ 3:17-19
- યાકૂબ 3:9-10
- ગણના 22:5-6
- ગીતશાસ્ત્ર 109:28-29
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 2:9 દેવે સાપને કહ્યું, “તું શાપિત હો!”
- 2:11 “હવેથી ભૂમિ શાપિત છે ,અને તારે અન્ન ઉપજાવવા ભારે પરિશ્રમ કરવો પડશે.”
- 4:4 “જેઓ તને આશીર્વાદ આપે છે તેઓને હું આશીર્વાદ અને જેઓ તને શાપ આપે છે તેઓને હું શાપ આપીશ.”
- 39:7 પછી પિતર સમ ખાઈને કહ્યું, “કદાચ જો હું આ માણસ ને જાણતો હોઉં તો દેવ મને શાપ આપો!”
- 50:16 કારણકે આદમ અને હવા એ દેવની આજ્ઞાનો અનાદર કર્યો અને આ જગતમાં પાપ લાવ્યાં, દેવે તેને (પાપ) શાપ આપ્યો અને નાશ કરવાનું નક્કી કર્યું.
શબ્દ માહિતી:
- Strong's: H422, H423, H779, H1288, H2763, H2764, H3994, H5344, H6895, H7043, H7045, H7621, H8381, G331, G332, G685, G1944, G2551, G2652, G2653, G2671, G2672, G6035
શાસ્ત્રી, શાસ્ત્રીઓ
વ્યાખ્યા:
શાસ્ત્રીઓ અધિકૃત હતા કે જેઓ સરકારી અથવા ધાર્મિક મહત્વના દસ્તાવેજો હાથથી લખવા અથવા નકલ કરવા જવાબદાર હતા.
યહૂદી શાસ્ત્રીનું બીજું નામ “યહૂદી નિયમમાં પારંગત” હતું.
- શાસ્ત્રીઓ જુના કરારના પુસ્તકોની નકલ કરવા અને સાચવવા જવાબદાર હતા.
- તેઓએ ઈશ્વરના નિયમ પર ધાર્મિક અભિપ્રાયો અને વિવરણની પણ નકલ, સાચવણી, અને અર્થઘટન પણ કર્યું હતું.
- એક સમયે, શાસ્ત્રીઓ મહત્વના સરકારી અધિકૃત હતા.
- બાઈબલ આધારિત મહત્વના શાસ્ત્રીઓમાં બારૂખ અને એઝરાનો સમાવેશ થતો હતો.
- નવા કરારમાં, “શાસ્ત્રીઓ” શબ્દનો અનુવાદ “નિયમના શિક્ષકો” તરીકે પણ થયો છે.
- નવા કરારમાં, શાસ્ત્રીઓ સામાન્ય રીતે ધાર્મિક જૂથ “ફરોશી” નામના જૂથના ભાગ હતા, અને બને જૂથનો ઉલ્લેખ વારંવાર સાથે જ કરવામાં આવ્યો છે.
(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, ફરોશી)
બાઈબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 4:5-7
- લૂક 7:29-30
- લૂક 20:45-47
- માર્ક 1:21-22
- માર્ક 2:15-16
- માથ્થી 5:19-20
- માથ્થી 7:28-29
- માથ્થી 12:38-40
- માથ્થી 13:51-53
શબ્દ માહિતી:
- Strong's: H5608, H5613, H7083, G1122
શિંગડા, શિંગ, શિંગડાવાળા
સત્યો:
શિંગડા એ ઘણા પ્રકારના પ્રાણીઓના માથા ઉપર કાયમ માટે થતી કઠણ અણીદાર વૃદ્ધિ છે, જેમાં ઢોર, ધેટા, બકરાં અને હરણનો સમાવેશ થાય છે.
- મેઢાનું શિંગ (નર ઘેટો) ને સંગીત સાધન હતું જેને “મેઢાનું શિંગ (રણશિંગુ)” અથવા “સોફાર” કહેવામાં આવે છે તે બનાવવામાં આવતું હતું, કે જે ખાસ પ્રસંગો જેવા કે ધાર્મિક પર્વો માટે વગાડવામાં આવતા હતા.
- દેવે ઈઝરાએલીઓને કહ્યું ધૂપ વેદીના દરેક ચાર ખૂણાની ઉપર અને પિત્તળની વેદીઓ ઉપર શિંગ આકારનું પ્રક્ષેપણ બનાવ.
જો કે આ પ્રક્ષેપણોને “રણ શિંગડા” કહેવામાં આવતા હતા, ખરેખર તેઓ પ્રાણીઓના શિંગડા નહોતા.
- ક્યારેક “શિંગડા” શબ્દ “બાટલી” ને દર્શાવવા વાપરવામાં આવતો હતો કે જેનો આકાર શિંગડા જેવો હતો અને તે પાણી અથવા તેલ ભરવા વાપરવામાં આવતા હતા.
શિંગનું તેલ રાજાનો અભિષેક કરવા માટે વાપરવામાં આવતું હતું, જેવી રીતે શમુએલે દાઉદ સાથે કર્યું હતું.
આ શબ્દનું ભાષાંતરમાં જે શબ્દ રણશિંગું દર્શાવે છે, તેનાથી અલગ રીતે થવું જોઈએ.
- “શિંગડા” શબ્દને રૂપકાત્મક રીતે તાકાત, શક્તિ, અધિકાર, અને બાદશાહીના પ્રતિક તરીકે પણ વાપરવામાં આવ્યો છે.
(આ પણ જુઓ: અધિકાર, ગાય, હરણ, બકરી, સામર્થ્ય રાજવંશી, ઘેટી, [રણશિંગુ)
બાઈબલની કલમો:
- રણશીગડું
- 1 રાજા 1:38-40
- 2 શમુએલ 22:3-4
- યર્મિયા 17:1-2
- ગીતશાસ્ત્ર 22:20-21
શબ્દ માહિતી:
- Strong's:H3104, H7160, H7161, H7162, H7782, G2768
શિંગડા, શિંગ, શિંગડાવાળા
સત્યો:
શિંગડા એ ઘણા પ્રકારના પ્રાણીઓના માથા ઉપર કાયમ માટે થતી કઠણ અણીદાર વૃદ્ધિ છે, જેમાં ઢોર, ધેટા, બકરાં અને હરણનો સમાવેશ થાય છે.
- મેઢાનું શિંગ (નર ઘેટો) ને સંગીત સાધન હતું જેને “મેઢાનું શિંગ (રણશિંગુ)” અથવા “સોફાર” કહેવામાં આવે છે તે બનાવવામાં આવતું હતું, કે જે ખાસ પ્રસંગો જેવા કે ધાર્મિક પર્વો માટે વગાડવામાં આવતા હતા.
- દેવે ઈઝરાએલીઓને કહ્યું ધૂપ વેદીના દરેક ચાર ખૂણાની ઉપર અને પિત્તળની વેદીઓ ઉપર શિંગ આકારનું પ્રક્ષેપણ બનાવ.
જો કે આ પ્રક્ષેપણોને “રણ શિંગડા” કહેવામાં આવતા હતા, ખરેખર તેઓ પ્રાણીઓના શિંગડા નહોતા.
- ક્યારેક “શિંગડા” શબ્દ “બાટલી” ને દર્શાવવા વાપરવામાં આવતો હતો કે જેનો આકાર શિંગડા જેવો હતો અને તે પાણી અથવા તેલ ભરવા વાપરવામાં આવતા હતા.
શિંગનું તેલ રાજાનો અભિષેક કરવા માટે વાપરવામાં આવતું હતું, જેવી રીતે શમુએલે દાઉદ સાથે કર્યું હતું.
આ શબ્દનું ભાષાંતરમાં જે શબ્દ રણશિંગું દર્શાવે છે, તેનાથી અલગ રીતે થવું જોઈએ.
- “શિંગડા” શબ્દને રૂપકાત્મક રીતે તાકાત, શક્તિ, અધિકાર, અને બાદશાહીના પ્રતિક તરીકે પણ વાપરવામાં આવ્યો છે.
(આ પણ જુઓ: અધિકાર, ગાય, હરણ, બકરી, સામર્થ્ય રાજવંશી, ઘેટી, [રણશિંગુ)
બાઈબલની કલમો:
- રણશીગડું
- 1 રાજા 1:38-40
- 2 શમુએલ 22:3-4
- યર્મિયા 17:1-2
- ગીતશાસ્ત્ર 22:20-21
શબ્દ માહિતી:
- Strong's:H3104, H7160, H7161, H7162, H7782, G2768
શિક્ષક, શિક્ષકો
વ્યાખ્યા:
શિક્ષક એક એવી વ્યક્તિ છે જે બજા લોકોને નવી માહિતી આપે છે.
શિક્ષકો બીજાઓને જ્ઞાન અને કૌશલ્યો બંને મેળવવામાં અને ઉપયોગ કરવામાં મદદ કરે છે.
- બાઈબલમાં “શિક્ષક” શબ્દનો ઉપયોગ વિશિષ્ટ રીતે જે વ્યક્તિ ઈશ્વર વિશે શીખવતી હોય તેના માટે કરવામાં આવ્યો છે.
- શિક્ષક પાસેથી શિખનાર લોકોને “વિદ્યાર્થીઓ” અથવા “શિષ્યો” કહેતા હતા.
- કેટલાક બાઈબલના અનુવાદોમાં આ શબ્દ જ્યારે ઇસુ માટે સંબોધન કરાયું છે ત્યાં મોટા અક્ષરોમાં (શિક્ષક) કરવામાં આવ્યો છે.
અનુવાદ માટેના સૂચનો:
- કેટલીક સંસ્કૃતિઓમાં ધાર્મિક શિક્ષકો માટે વિશિષ્ટ શિર્ષકો વપરાતાં હતાં જેવાકે “સાહેબ” અથવા “રાબ્બી” અથવા “ઉપદેશક.”
(આ પણ જુઓ: શિષ્ય, પ્રચાર કરવો)
બાઇબલના સંદર્ભો:
- સભાશિક્ષક 1:12-15
- એફેસી 4:11-13
- ગલાતી 6:6-8
- હબાક્કુક 2:18-20
- યાકૂબ 3:1-2
- યોહાન 1:37-39
- લૂક 6:39-40
- માથ્થી 12:38-40
- 27:1 એક દિવસે એક પંડિતે ઇસુનું પરીક્ષણ કરતાં કહ્યું કે “ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા સારુ મારેશું કરવું?”
- 28:1 એક દિવસે એક શ્રીમંત જુવાન અધિકારીએ
- 37:2 બે દિવસો પૂરા થયા બાદ ઇસુએ તેના શિષ્યોને કહ્યું, કે ચાલો આપણે પાછા યહૂદીયા જઈએ.” શિષ્યોએ ઉત્તર આપ્યો કે, પણ ગુરુજી”, થોડા સમય પહેલાં તો લોકો તને મારી નાખવા માગતા હતા!”
- 38:14 યહૂદા ઇસુ પાસે આવ્યો અને કહ્યું,” સલામ ગુરુજી”, અને તેમને ચુંબન કર્યું.
- 49:3 ઇસુ મહાન શિક્ષક પણ હતા, અને તે અધિકારથી બોલતા હતા કારણકે તે ઈશ્વરપુત્ર હતા.
શબ્દ માહિતી:
- Strong's: H3384, H3887, H3925, G1320, G2567, G3547, G5572
શિક્ષા કરવી, શિક્ષા કરે છે, શિક્ષા કરી, શિક્ષા કરતું, શિક્ષા , શિક્ષા નહીં કરેલું
વ્યાખ્યા:
“શિક્ષા કરવી” શબ્દનો અર્થ કશું ખોટું કરવા માટે વ્યક્તિ નકારાત્મક પરિણામ ભોગવે તેવું કરવું તેવો થાય છે.
“શિક્ષા” શબ્દ તે ખોટા વ્યવહારના ફળ સ્વરૂપે આપવામાં આવેલા નકારાત્મક પરિણામનો ઉલ્લેખ કરે છે.
- ઘણી વાર શિક્ષા પાછળનો ઉદ્દેશ્ય વ્યક્તિને પાપ કરવાથી રોકવા પ્રોત્સાહિત કરવાનો હોય છે.
- જ્યારે ઇઝરાયલીઓએ ઈશ્વરની આજ્ઞા પાળી નહીં, અને ખાસ કરીને જ્યારે તેઓએ જૂઠા દેવોની પૂજા કરી ત્યારે તેઓએ તેમને શિક્ષા કરી.
તેઓના પાપોને કારણે ઈશ્વરે તેઓના શત્રુઓને તેઓ પર હુમલા કરવા દીધા અને બંદી બનાવવા દીધા.
- ઈશ્વર ન્યાયી અને નિષ્પક્ષ છે અને તેથી તેમણે પાપને શિક્ષા કરવી જ પડે.
દરેક મનુષ્યે ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે અને તે શિક્ષાને યોગ્ય છે.
- દરેક વ્યક્તિએ દરેક સમયે કરેલી દરેક દુષ્ટ બાબતો માટે ઈસુને શિક્ષા કરવામાં આવી હતી.
જો કે તેમણે કશું પણ ખોટું કર્યું ન હતું અને તેના માટે તેમને શિક્ષા થાય તે યોગ્ય ન હતું તો પણ, ઈસુએ દરેક વ્યક્તિની શિક્ષા પોતા પર ભોગવી.
- “શિક્ષા ન થવી” અને “શિક્ષા કર્યા વગર છોડી દેવું” અભિવ્યક્તિઓનો અર્થ લોકોને તેઓના દુષ્કૃત્યો બદલ શિક્ષા ન કરવા નિર્ણય કરવો તેવો થાય છે.
ઈશ્વર ઘણી વાર પાપની શિક્ષા કરતાં નથી કારણ કે લોકો પશ્ચાતાપ કરે તેની તેઓ રાહ જૂએ છે.
(આ જૂઓ: ન્યાયી, પશ્ચાતાપ કરવો, ન્યાયી, પાપ)
બાઇબલના સંદર્ભો:
- 1 યોહાન 4:17-18
- 2 થેસ્સલોનિકી 1:9-10
- પ્રેરિતોનાં કૃત્યો 4:21-22
- પ્રેરિતોનાં કૃત્યો 7:59-60
- ઉત્પત્તિ 4:13-15
- લૂક 23:15-17
- માથ્થી 25:44-46
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 13:7 ઈશ્વરે બીજા પણ ઘણા કાનૂનો અને નિયમો પાળવા માટે આપ્યા.
જો લોકો તે કાનૂનો પાળે તો, ઈશ્વરે વચન આપ્યું કે તેઓ તેમને આશીર્વાદ આપશે અને રક્ષણ કરશે.
જો લોકો તેનો અનાદર કરે તો ઈશ્વર તેઓને શિક્ષા કરશે.
- 16:2 ઇઝરાયલીઓએ ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરવાનું ચાલ્યું રાખ્યું માટે, ઈશ્વરે તેઓના શત્રુઓ તેઓને હરાવે એવું કરીને તેઓને શિક્ષા કરી.
- 19:16 પ્રબોધકોએ લોકોને ચેતવણી આપી કે જો તેઓ દુષ્ટતા કરવાનું બંધ કરીને ઈશ્વરનું આજ્ઞાપાલન નહીં કરે તો, ઈશ્વર દોષિત તરીકે તેઓનો ન્યાય કરશે અને તેઓને શિક્ષા કરશે.
- 48:6 ઈસુ સંપૂર્ણ પ્રમુખ યાજક હતા કારણ કે તેઓએ દરેક વ્યક્તિએ દરેક સમયે કરેલા દરેક પાપની શિક્ષા ભોગવી.
- 48:10 જ્યારે કોઈ વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરે છે ત્યારે, ઈસુનું રક્ત તે વ્યક્તિના પાપ દૂર કરે છે અને તેના પરથી ઈશ્વરની શિક્ષા દૂર કરાય છે.
- 49:9 પણ ઈશ્વરે દુનિયાની દરેક વ્યક્તિને એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપ્યો કે જેથી જે કોઈ વ્યક્તિ ઈસુ પર વિશ્વાસ કરે તેને તેના પાપ માટે શિક્ષા ન થાય પણ તે વ્યક્તિ સદાકાળને માટે ઈશ્વર સાથે રહેશે.
- 49:11 ઈસુએ કદાપિ પાપ કર્યું નહોતું, પણ તેમણે તમારા અને દુનિયાની દરેક વ્યક્તિના પાપો દૂર કરવા શિક્ષા પામવા અને સંપૂર્ણ બલિદાન તરીકે મરવા પસંદ કર્યું.
શબ્દ માહિતી:
- Strong's: H3027, H3256, H4148, H4941, H5221, H5414, H6031, H6064, H6213, H6485, H7999, H8199, G1349, G1556, G1557, G2849, G3811, G5097
શિમયોન
તથ્યો:
બાઈબલમાં, શિમયોન નામના ઘણા માણસો હતા.
- જુના કરારમાં, યાકુબ (ઈઝરાયેલ)ના બીજા દીકરાનું નામ શિમયોન હતું.
તેની માતા લેહ હતી.
તેના વંશજો ઈઝરાયેલના બાર કુળમાંના એક બન્યા.
- શિમયોનના કુળે વચનના દેશ કનાનનો મોટા ભાગનો દક્ષિણ પ્રદેશ કબજે કર્યો હતો.
તે જમીન જે જમીન યહુદિયા સાથે સંકળાયેલ હતી તેનાથી સંપૂર્ણપણે ઘેરાયેલી હતી.
- જ્યારે યુસફ અને મરિયમ ઈસુને ઈશ્વરને સમર્પિત કરવા યરૂશાલેમ મંદિરમાં લાવ્યા ત્યારે, શિમયોન નામના વૃદ્ધ વ્યક્તિએ મસીહાને જોવા બદલઈશ્વરની સ્તુતિ કરી.
(આ પણ જુઓ: કનાન, ખ્રિસ્ત, અર્પણ, ઈઝરાએલ, યહૂદા, મંદિર)
બાઈબલના સંદર્ભો:
- ઉત્પતિ 29:33-34
- ઉત્પતિ 34:24-26
- ઉત્પતિ 42:35-36
- ઉત્પતિ 43:21-23
- લૂક 2:25-26
શબ્દ માહિતી:
- Strong's: H8095, H8099, G4826
શિર, શિરો, કપાળ, કપાળો, ટાલિયો, વગરવિચારે અથવા અનાયાસે, ખેસ, દુપટ્ટો, શિરચ્છેદ
વ્યાખ્યા:
બાઈબલમાં, “શિર” શબ્દ, અન્ય રૂપકાત્મક અર્થો સાથે વાપરવામાં આવ્યો છે.
- મોટેભાગે આ શબ્દ, જેને લોકો ઉપર અધિકાર હોય છે, તે દર્શાવવા માટે વાપરવામાં આવ્યો છે, જેમકે “તમે મને રાષ્ટ્રો ઉપર શિર બનાવ્યો છે.” તેનું ભાષાંતર, “તમે મને શાસક બનાવ્યા છે” અથવા “તમે મને (તેના) ઉપર અધિકાર આપ્યો છે,” તરીકે (ભાષાંતર) થઇ શકે છે.
- ઈસુને “મંડળીના શિરપતિ” કહેવામાં આવે છે.
જેવી રીતે વ્યક્તિનું શિર તેના શરીરના અવયવોને માર્ગદર્શન અને દિશા બતાવે છે, તેવી રીતે ઈસુ તેના “શરીર” એટલે કે મંડળીને માર્ગદર્શન અને દિશા બતાવે છે.
- નવો કરાર શીખવે છે કે પતિ તેની પત્ની માટે “શિર” અથવા અધિકાર છે.
તેને તેની પત્ની અને કુટુંબને આગેવાની અને માર્ગદર્શન આપવાની જવાબદારી આપવામાં આવી છે.
- “અસ્ત્રો તેના માથા ઉપર કદી ફરશે નહીં” તે અભિવ્યક્તિનો અર્થ, “તે કદી તેના વાળ કાપશે અથવા તેના વાળનું મુંડન કરશે નહીં”
- “શિર” શબ્દને કોઈ બાબતની શરૂઆત કરનાર અથવા કશાકનો સ્ત્રોત હોય તેને પણ દર્શાવી શકાય છે, જેમ કે “શેરીનો વડો.”
- “અનાજનું કણસલું” અભિવ્યક્તિ, તે ઘઉંના સૌથી ઉપરના ભાગો અથવા જવનો છોડ કે જેમાં દાણાંનો સમાવેશ થાય છે.
- જયારે સમગ્ર વ્યક્તિને રજૂ કરવામાં આવે છે જેમાં “શિર” શબ્દનો રૂપકાત્મક ઉપયોગ ઉપયોગ થાય છે, જેમકે “આ પળિયાવાળું શિર” તે એક વૃદ્ધ વ્યક્તિને દર્શાવે છે, અથવા “યૂસફનું શિર” કે જે યૂસફને દર્શાવે છે. (જુઓ: લક્ષણા (અલંકાર
- “તેનું લોહી તેના પોતાના માથા પર હો” તે અભિવ્યક્તિનો અર્થ, માણસ તેઓના મોત માટે જવાબદાર છે અને તે માટે તેને સજા થશે.
ભાષાંતરના સૂચનો
- સંદર્ભ પર આધાર રાખીને, “શિર” શબ્દનું ભાષાંતર, “અધિકાર” અથવા “એક કે જે આગેવાની આપે છે અને માર્ગદર્શન આપે છે” અથવા “એક કે જે જવાબદાર છે” તરીકે કરી શકાય છે.
- “(તે)નું માથું” તે અભિવ્યક્તિ સમગ્ર વ્યક્તિને દર્શાવે છે, અને જેથી આ અભિવ્યક્તિનું ભાષાંતર માત્ર વ્યક્તિનું નામ વાપરીને કરી શકાય છે. ઉદાહરણ તરીકે, “યૂસફનું શિર” નું ભાષાંતર, કેવળ “યૂસફ” તરીકે કરી શકાય છે.
- “તેના પોતાના શિર પર હશે” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “તેના પર હશે” અથવા “તે માટે તેને સજા થશે” અથવા “તેના માટે તે જવાબદાર રહેશે” અથવા “તેને માટે તેને દોષિત માનવામાં આવશે” તરીકે કરી શકાય છે.
- સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું વિવિધ રીતે ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “શરૂઆત” અથવા “સ્ત્રોત” અથવા “શાસક” અથવા “આગેવાન” અથવા “સર્વોચ્ચ” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: અનાજ)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 1:51-54
- 1 રાજા 8:1-2
- 1 શમુએલ 9:22
- કલોસ્સી 2:10-12
- કલોસ્સી 2:18-19
- ગણના 1:4-6
શબ્દ માહિતી:
- Strong's: H441, H1270, H1538, H3852, H4425, H4761, H4763, H5110, H5324, H6285, H6287, H6797, H6915, H6936, H7139, H7144, H7146, H7217, H7226, H7218, H7541, H7636, H7641, H7872, G346, G755, G2775, G2776, G4719
શિર, શિરો, કપાળ, કપાળો, ટાલિયો, વગરવિચારે અથવા અનાયાસે, ખેસ, દુપટ્ટો, શિરચ્છેદ
વ્યાખ્યા:
બાઈબલમાં, “શિર” શબ્દ, અન્ય રૂપકાત્મક અર્થો સાથે વાપરવામાં આવ્યો છે.
- મોટેભાગે આ શબ્દ, જેને લોકો ઉપર અધિકાર હોય છે, તે દર્શાવવા માટે વાપરવામાં આવ્યો છે, જેમકે “તમે મને રાષ્ટ્રો ઉપર શિર બનાવ્યો છે.” તેનું ભાષાંતર, “તમે મને શાસક બનાવ્યા છે” અથવા “તમે મને (તેના) ઉપર અધિકાર આપ્યો છે,” તરીકે (ભાષાંતર) થઇ શકે છે.
- ઈસુને “મંડળીના શિરપતિ” કહેવામાં આવે છે.
જેવી રીતે વ્યક્તિનું શિર તેના શરીરના અવયવોને માર્ગદર્શન અને દિશા બતાવે છે, તેવી રીતે ઈસુ તેના “શરીર” એટલે કે મંડળીને માર્ગદર્શન અને દિશા બતાવે છે.
- નવો કરાર શીખવે છે કે પતિ તેની પત્ની માટે “શિર” અથવા અધિકાર છે.
તેને તેની પત્ની અને કુટુંબને આગેવાની અને માર્ગદર્શન આપવાની જવાબદારી આપવામાં આવી છે.
- “અસ્ત્રો તેના માથા ઉપર કદી ફરશે નહીં” તે અભિવ્યક્તિનો અર્થ, “તે કદી તેના વાળ કાપશે અથવા તેના વાળનું મુંડન કરશે નહીં”
- “શિર” શબ્દને કોઈ બાબતની શરૂઆત કરનાર અથવા કશાકનો સ્ત્રોત હોય તેને પણ દર્શાવી શકાય છે, જેમ કે “શેરીનો વડો.”
- “અનાજનું કણસલું” અભિવ્યક્તિ, તે ઘઉંના સૌથી ઉપરના ભાગો અથવા જવનો છોડ કે જેમાં દાણાંનો સમાવેશ થાય છે.
- જયારે સમગ્ર વ્યક્તિને રજૂ કરવામાં આવે છે જેમાં “શિર” શબ્દનો રૂપકાત્મક ઉપયોગ ઉપયોગ થાય છે, જેમકે “આ પળિયાવાળું શિર” તે એક વૃદ્ધ વ્યક્તિને દર્શાવે છે, અથવા “યૂસફનું શિર” કે જે યૂસફને દર્શાવે છે. (જુઓ: લક્ષણા (અલંકાર
- “તેનું લોહી તેના પોતાના માથા પર હો” તે અભિવ્યક્તિનો અર્થ, માણસ તેઓના મોત માટે જવાબદાર છે અને તે માટે તેને સજા થશે.
ભાષાંતરના સૂચનો
- સંદર્ભ પર આધાર રાખીને, “શિર” શબ્દનું ભાષાંતર, “અધિકાર” અથવા “એક કે જે આગેવાની આપે છે અને માર્ગદર્શન આપે છે” અથવા “એક કે જે જવાબદાર છે” તરીકે કરી શકાય છે.
- “(તે)નું માથું” તે અભિવ્યક્તિ સમગ્ર વ્યક્તિને દર્શાવે છે, અને જેથી આ અભિવ્યક્તિનું ભાષાંતર માત્ર વ્યક્તિનું નામ વાપરીને કરી શકાય છે. ઉદાહરણ તરીકે, “યૂસફનું શિર” નું ભાષાંતર, કેવળ “યૂસફ” તરીકે કરી શકાય છે.
- “તેના પોતાના શિર પર હશે” તે અભિવ્યક્તિનું ભાષાંતર, “તેના પર હશે” અથવા “તે માટે તેને સજા થશે” અથવા “તેના માટે તે જવાબદાર રહેશે” અથવા “તેને માટે તેને દોષિત માનવામાં આવશે” તરીકે કરી શકાય છે.
- સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું વિવિધ રીતે ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “શરૂઆત” અથવા “સ્ત્રોત” અથવા “શાસક” અથવા “આગેવાન” અથવા “સર્વોચ્ચ” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: અનાજ)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 1:51-54
- 1 રાજા 8:1-2
- 1 શમુએલ 9:22
- કલોસ્સી 2:10-12
- કલોસ્સી 2:18-19
- ગણના 1:4-6
શબ્દ માહિતી:
- Strong's: H441, H1270, H1538, H3852, H4425, H4761, H4763, H5110, H5324, H6285, H6287, H6797, H6915, H6936, H7139, H7144, H7146, H7217, H7226, H7218, H7541, H7636, H7641, H7872, G346, G755, G2775, G2776, G4719
શિષ્ય, શિષ્યો
વ્યાખ્યા:
“શિષ્ય” શબ્દ, વ્યક્તિ કે જે શિક્ષક સાથે વધારે સમય વિતાવે છે, તે શિક્ષકના ચરિત્ર અને શિક્ષણથી શીખે છે તે માટે દર્શાવાયો છે.
- જે લોકો ઈસુને અનુસરતા, તેનું શિક્ષણને સાંભળતા અને પાળતા, તેઓ તેના શિષ્યો કહેવાતા હતા.
- યોહાન બાપ્તિસ્તને પણ શિષ્યો હતા.
- ઈસુની સેવા, દરમ્યાન, ત્યાં ઘણા શિષ્યો હતા કે જેઓએ તેનું સાભળ્યું અને તેના શિક્ષણને અનુસર્યા.
- ઈસુએ તેના બાર શિષ્યોને તેના નજીકના અનુયાયીઓ થવા સારું પસંદ કર્યા; આ માણસો તેના “પ્રેરિતો” તરીકે જાણીતા બન્યા.
- ઈસુના બાર પ્રેરિતોએ તેના “શિષ્યો” અથવા “મુખ્ય બાર” હોવાનું ચાલુ રાખ્યું.
- ઈસુના સ્વર્ગમાં ગયા અગાઉ, તેણે તેના શિષ્યોને બીજા લોકો ઈસુના શિષ્યો કેવી રીતે બનવું તે વિશે શિક્ષણ આપવાની આજ્ઞા આપી.
- જેઓ ઈસુમાં માને છે અને તેના શિક્ષણને પાળે છે તેઓને ઈસુના શિષ્યો કહેવામાં આવે છે.
ભાષાંતરના સૂચનો:
- “શિષ્ય” શબ્દનું ભાષાંતર શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા કરવામાં આવે તો તેનો અર્થ, “અનુયાયી” અથવા “છાત્ર” અથવા “વિદ્યાર્થી” અથવા “શિખાઉ” તરીકે કરી શકાય છે.
- ધ્યાન રાખો કે આ શબ્દનું ભાષાંતર ફક્ત વર્ગખંડમાં શીખતા વિદ્યાર્થીઓને દર્શાવતું નથી.
- આ શબ્દનું ભાષાંતર “પ્રેરિત” શબ્દના ભાષાંતરથી અલગ હોવું જોઈએ.
(આ પણ જુઓ: પ્રેરિત, વિશ્વાસ રાખવો, ઈસુ, યોહાન (બાપ્તિસ્ત), બાર)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 6:1
- પ્રેરિતો 9:26-27
- પ્રેરિતો 11:25-26
- પ્રેરિતો 14:21-22
- યોહાન 13:23-25
- લૂક 6:39-40
- માથ્થી 11:1-3
- માથ્થી 26:33-35
- માથ્થી 27:62-64
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 30:8 તેણે (ઈસુએ) તેના શિષ્યોને લોકોને આપવા માટે ટુકડાઓ આપ્યા. શિષ્યોએ ભોજન વહેંચવાનું ચાલુ રાખ્યું, અને તે કદી ખૂટ્યું નહીં.
- 38:1 લગભગ ત્રણ વર્ષ પછી ઈસુએ જાહેરમાં પ્રથમ શિક્ષણ અને પ્રચાર શરૂ કર્યું, ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે તે યરૂશાલેમમાં તેઓની સાથે પાસ્ખા ની ઉજવણી કરવા માંગે છે,અને ત્યાં તેને મારવામાં આવશે.
- 38:11 પછી ઈસુ તેના શિષ્યોની સાથે જે જગા ગેથસેમાને કહેવાય છે ત્યાં ગયો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે તમે પ્રાર્થના કરતા રહો જેથી તમે પરીક્ષણમાં નહિ પડો.
- 42:10 ઈસુએ તેના શિષ્યો ને કહ્યું, “સ્વર્ગ અને પૃથ્વી પર બધો જ અધિકાર મને અપાયો છે. તેથી તમે જાઓ અને સર્વ જાતિના લોકોને શિષ્ય બનાવો અને તેમને પિતા, પુત્ર તથા પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા આપતા જાઓ અને જે મેં તમને આજ્ઞા આપી છે તે શીખવતા જાઓ.
શબ્દ માહિતી:
- Strong's: H3928, G3100, G3101, G3102
શિસ્ત, વિવિધ શિસ્ત, શિસ્તબદ્ધ, સ્વયં-શિસ્તપાલન
વ્યાખ્યા:
“શિસ્ત” શબ્દ, નૈતિક આચરણ કરવા માટે લોકોને આપવામાં આવતી તાલીમની બધી માર્ગદર્શિકાને દર્શાવે છે.
- માબાપ તેઓના બાળકોને નૈતિક માર્ગદર્શન અને દિશા પૂરા પાડે છે જેથી તેઓ શિક્ષણ પ્રાપ્ત કરી શિસ્તથી આજ્ઞાનું પાલન કરે.
- એ જ રીતે, દેવ તેના બાળકોને શિસ્ત શીખવે છે જેથી તેઓને જીવનમાં તંદુરસ્ત આત્મિક ફળ પેદા કરવામાં મદદ મળે, જેથી તેઓમાં આનંદ, પ્રેમ, ધીરજ જેવા ફળ ઉત્પન્ન થાય.
- શિસ્તપાલનમાં, દેવને કેવી રીતે ખુશ કરીને જીવવું તથા દેવની ઈચ્છા વિરુદ્ધના વર્તન માટે સજા, એમ (બંને) માહિતીનો સમાવેશ થાય છે.
- સ્વયં-શિસ્તપાલન, એ પોતાના જીવન માટે નૈતિક અને આત્મિક સિદ્ધાંતોને લાગુ કરવાની પ્રક્રિયા છે.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને “શિસ્ત” શબ્દનું ભાષાંતર, “તાલીમ અને સૂચના આપવી” અથવા “નૈતિક માર્ગદર્શન” અથવા “ખોટું કર્યા બદલ થતી શિક્ષા,” એવું (ભાષાંતર) કરી શકાય છે.
- “શિસ્ત” સંજ્ઞાનું ભાષાંતર, “નૈતિક તાલીમ” અથવા “સજા” અથવા “નૈતિક સુધારો” અથવા “નૈતિક માર્ગદર્શન અને સૂચના” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
બાઈબલની કલમો:
- એફેસી 6:4
- હિબ્રૂ 12:4-6
- નીતિવચન 19:17-18
- નીતિવચન 23:13-14
શબ્દ માહિતી:
શીખવવું, શીખવે છે, શીખવ્યું, શિક્ષણ, ઉપદેશો, વણશીખવ્યું
વ્યાખ્યા:
કોઈને “શીખવવું” એટલે તે જે કઇ જાણતો નથી તે તેને કહેવું.
સામાન્ય રીતે "માહિતી પૂરી પાડવી" એવો અર્થ પણ થઇ શકે છે, જે શીખનાર વ્યક્તિ સાથે કોઈ સંદર્ભ નથી.
સામાન્ય રીતે માહિતી ઔપચારિક અથવા વ્યવસ્થિત રીતે આપવામાં આવે છે
એક વ્યક્તિનું " શિક્ષણ " અથવા તેના "ઉપદેશો" એ છે જે તેમણે શીખવ્યું છે
- જે શીખવે છે તે "શિક્ષક" છે.
“શીખવ્યું” એ “શીખવવાની” ભૂતકાળની ક્રિયા છે.
- જ્યારે ઈસુ શીખવતા હતા, ત્યારે તે ઈશ્વર અને તેમના રાજ્ય વિષે સમજાવતા હતા.
- ઈસુના શિષ્યોએ તેમને "ગુરુજી" તરીકે માનવાચક સંબોધન કર્યું જે કોઈ વ્યક્તિ ઈશ્વર વિષે લોકોને શીખવતું હોય તેવી વ્યક્તિ માટે વાપરવામાં આવતું હતું.
- શીખવવામાં આવી રહેલી માહિતી બતાવી અથવા બોલી શકાય છે.
- "સિદ્ધાંત" શબ્દ ઈશ્વર તરફથી પોતાને વિશે અને કેવી રીતે જીવવું તે વિશેની ઈશ્વરની સૂચનાઓના ઉપદેશોના સમૂહનો ઉલ્લેખ કરે છે.
આનો અનુવાદ "ઈશ્વરના ઉપદેશો" અથવા " ઈશ્વર આપણને જે શીખવે છે" એમ પણ અનુવાદ કરી શકાય છે
- શબ્દસમૂહ "જે તમને શીખવવામાં આવ્યું છે" નું ભાષાંતર, "આ લોકોએ તમને શીખવ્યું છે" અથવા " ઈશ્વરે તમને જે શીખવ્યું છે તે" એમ સંદર્ભના આધારે કરી શકાય છે
- “શીખવવું” નું બીજી રીતે “કહેવું” અથવા “સમજાવવું” અથવા “સૂચન કરવું” એમ ભાષાંતર કરી શકાય.
- ઘણીવાર આ શબ્દનું ભાષાંતર " લોકોને ઈશ્વર વિષે શીખવે છે." એમ પણ ભાષાંતર કરી શકાય.
(આ પણ જુઓ: સૂચના આપવી, શિક્ષક, ઈશ્વરનો શબ્દ)
બાઇબલના સંદર્ભો:
- 1 તીમોથી 1:3-4
- પ્રેરિતોનાં કૃત્યો 2:40-42
- યોહાન 7:14-16
- લુક 4:31-32
- માથ્થી 4:23-25
- ગીતશાસ્ત્ર 32:7-8
શબ્દ માહિતી:
- Strong's: H502, H2094, H2449, H3045, H3046, H3256, H3384, H3925, H3948, H7919, H8150, G1317, G1321, G1322, G2085, G2605, G2727, G3100, G2312, G2567, G3811, G4994
શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ
વ્યાખ્યા:
“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું.
બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.
- “શુદ્ધ” કરવાની પ્રક્રિયા, એટલે કશુંક “શુદ્ધ કરવું.”
તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.
- દેવે જૂના કરારમાં ઈઝરાએલીઓને નિર્દેશ કરીને કહ્યું હતું કે કયા પ્રાણીઓ ધાર્મિક રીતે “શુદ્ધ” અને કયા “અશુદ્ધ” છે.
ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી.
આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.
- વ્યક્તિ કે જેને ચોક્કસ ચામડીના રોગો હોય, તેને જ્યાં સુધી વ્યક્તિની ચામડી ચેપ પર પુરુ સાજપણું ન આવે ત્યાં સુધી તે અશુદ્ધ ગણાતો.
ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.
- ક્યારેક “શુદ્ધ” શબ્દ, રૂપકાત્મક રીતે નૈતિક શુધ્ધતા દર્શાવવા માટે વપરાય છે.
બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.
- દેવે ઈઝરાયેલીઓને કયા પ્રાણીઓ “શુદ્ધ” અને કયા “અશુદ્ધ” હતાં તે વિશે સૂચના આપી.
અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.
- ચોક્કસ પ્રકારના ચામડીના રોગોવાળા લોકો સાજા થાય નહીં, ત્યાં સુધી તેઓ “અશુદ્ધ” કહેવાતા હતા.
- જો ઈઝરાએલીઓ કઈંક “અશુદ્ધ” સ્પર્શ કરે તેઓ ચોક્કસ સમયગાળા માટે અશુદ્ધ ગણાતા.
ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.
- શારીરિક અને ક્રિયાકાંડોની અશુદ્ધતા એ નૈતિક અશુધ્ધ્તાનું પણ સંકેત હતું.
અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- સામાન્ય રીતે આ શબ્દનું ભાષાંતર, “શુદ્ધ” અથવા “ચોખ્ખું” જેવા શબ્દો વડે થઇ શકે છે (તેનો અર્થ, એવું જે ગંદુ ન હોય).
- આ શબ્દનું બીજી રીતે ભાષાંતર કરીએ તો “ધાર્મિક રીતે શુદ્ધ” અથવા “ દેવને સ્વીકાર્ય” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
- “સ્વચ્છ કરવું” શબ્દનું ભાષાંતર “ધોવું” અથવા “શુદ્ધ કરવું” થઇ શકે છે.
- ધ્યાન રાખો કે શબ્દો જેવા કે “શુદ્ધ” અથવા “શુદ્ધ કરવું” તે રૂપકાત્મક ભાવમાં પણ સમજાવા જોઈએ.
- “અશુદ્ધ” શબ્દનું ભાષાંતર, “શુદ્ધ નથી” અથવા “દેવની નજરમાં અયોગ્ય છે” અથવા “શારીરિક રીતે અશુદ્ધ” અથવા “અશુદ્ધ થયેલ” તરીકે પણ કરી શકાય છે.
- ભૂતપ્રેતને અશુદ્ધ આત્મા તરીકે દર્શાવવામાં આવે તે વખતે, “અશુદ્ધ” નું ભાષાંતર “દુષ્ટ” અથવા “અશુદ્ધ” તરીકે કરી શકાય.
- આત્મિક અસ્વચ્છતાના ભાષાંતર માટે આ શબ્દ વાપરી શકાય.
આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.
(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 7:1-3
- ઉત્પત્તિ 7:8-10
- પૂનર્નીયમ 12:15-16
- ગીતશાસ્ત્ર 51:7-9
- નીતિવચન 20:29-30
- હઝકિયેલ 24:13
- માથ્થી 23:27-28
- લૂક 5:12-13
- પ્રેરિતો 8:6-8
- પ્રેરિતો 10:27-29
- કલોસ્સી 3:5-8
- 1 થેસ્સલોનિકી 4:7-8
- યાકૂબ 4:8-10
શબ્દ માહિતી:
- Strong's: H1249, H1252, H1305, H2134, H2135, H2141, H2398, H2548, H2834, H2889, H2890, H2891, H2893, H2930, H2931, H2932, H3001, H3722, H5079, H5352, H5355, H5356, H6172, H6565, H6663, H6945, H7137, H8552, H8562, G167, G169, G2511, G2512, G2513, G2839, G2840, G3394, G3689
શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ
વ્યાખ્યા:
“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું.
બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.
- “શુદ્ધ” કરવાની પ્રક્રિયા, એટલે કશુંક “શુદ્ધ કરવું.”
તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.
- દેવે જૂના કરારમાં ઈઝરાએલીઓને નિર્દેશ કરીને કહ્યું હતું કે કયા પ્રાણીઓ ધાર્મિક રીતે “શુદ્ધ” અને કયા “અશુદ્ધ” છે.
ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી.
આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.
- વ્યક્તિ કે જેને ચોક્કસ ચામડીના રોગો હોય, તેને જ્યાં સુધી વ્યક્તિની ચામડી ચેપ પર પુરુ સાજપણું ન આવે ત્યાં સુધી તે અશુદ્ધ ગણાતો.
ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.
- ક્યારેક “શુદ્ધ” શબ્દ, રૂપકાત્મક રીતે નૈતિક શુધ્ધતા દર્શાવવા માટે વપરાય છે.
બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.
- દેવે ઈઝરાયેલીઓને કયા પ્રાણીઓ “શુદ્ધ” અને કયા “અશુદ્ધ” હતાં તે વિશે સૂચના આપી.
અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.
- ચોક્કસ પ્રકારના ચામડીના રોગોવાળા લોકો સાજા થાય નહીં, ત્યાં સુધી તેઓ “અશુદ્ધ” કહેવાતા હતા.
- જો ઈઝરાએલીઓ કઈંક “અશુદ્ધ” સ્પર્શ કરે તેઓ ચોક્કસ સમયગાળા માટે અશુદ્ધ ગણાતા.
ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.
- શારીરિક અને ક્રિયાકાંડોની અશુદ્ધતા એ નૈતિક અશુધ્ધ્તાનું પણ સંકેત હતું.
અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- સામાન્ય રીતે આ શબ્દનું ભાષાંતર, “શુદ્ધ” અથવા “ચોખ્ખું” જેવા શબ્દો વડે થઇ શકે છે (તેનો અર્થ, એવું જે ગંદુ ન હોય).
- આ શબ્દનું બીજી રીતે ભાષાંતર કરીએ તો “ધાર્મિક રીતે શુદ્ધ” અથવા “ દેવને સ્વીકાર્ય” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
- “સ્વચ્છ કરવું” શબ્દનું ભાષાંતર “ધોવું” અથવા “શુદ્ધ કરવું” થઇ શકે છે.
- ધ્યાન રાખો કે શબ્દો જેવા કે “શુદ્ધ” અથવા “શુદ્ધ કરવું” તે રૂપકાત્મક ભાવમાં પણ સમજાવા જોઈએ.
- “અશુદ્ધ” શબ્દનું ભાષાંતર, “શુદ્ધ નથી” અથવા “દેવની નજરમાં અયોગ્ય છે” અથવા “શારીરિક રીતે અશુદ્ધ” અથવા “અશુદ્ધ થયેલ” તરીકે પણ કરી શકાય છે.
- ભૂતપ્રેતને અશુદ્ધ આત્મા તરીકે દર્શાવવામાં આવે તે વખતે, “અશુદ્ધ” નું ભાષાંતર “દુષ્ટ” અથવા “અશુદ્ધ” તરીકે કરી શકાય.
- આત્મિક અસ્વચ્છતાના ભાષાંતર માટે આ શબ્દ વાપરી શકાય.
આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.
(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 7:1-3
- ઉત્પત્તિ 7:8-10
- પૂનર્નીયમ 12:15-16
- ગીતશાસ્ત્ર 51:7-9
- નીતિવચન 20:29-30
- હઝકિયેલ 24:13
- માથ્થી 23:27-28
- લૂક 5:12-13
- પ્રેરિતો 8:6-8
- પ્રેરિતો 10:27-29
- કલોસ્સી 3:5-8
- 1 થેસ્સલોનિકી 4:7-8
- યાકૂબ 4:8-10
શબ્દ માહિતી:
- Strong's: H1249, H1252, H1305, H2134, H2135, H2141, H2398, H2548, H2834, H2889, H2890, H2891, H2893, H2930, H2931, H2932, H3001, H3722, H5079, H5352, H5355, H5356, H6172, H6565, H6663, H6945, H7137, H8552, H8562, G167, G169, G2511, G2512, G2513, G2839, G2840, G3394, G3689
શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ
વ્યાખ્યા:
“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે.
કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.
- જૂના કરારના નિયમોના સંબંધમાં, “શુદ્ધ કરવું” અને “શુદ્ધિકરણ” મુખ્યત્વે કોઈ વસ્તુ અથવા તો વ્યક્તિને જે બાબતો વિધિવત અશુદ્ધ કરે છે તે બાબતોથી શુદ્ધ કરવાનો ઉલ્લેખ કરે છે, જેમ કે રોગ, શરીરના પ્રવાહી સ્રાવ અથવા તો બાળકનો જન્મ.
- જૂના કરારમાં લોકોએ કેવી રીતે પાપથી શુદ્ધ થવું તે ફરમાવતા નિયમો પણ હતા જે સામાન્યપણે પ્રાણીના બલિદાન દ્વારા થતું હતું.
આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.
- નવા કરારમાં, શુદ્ધ થવું ઘણી વાર પાપથી શુદ્ધ થવું તેનો ઉલ્લેખ કરે છે.
- લોકો માટે પાપથી સંપૂર્ણપણે અને સદાને માટે શુદ્ધ થવાનો એક માત્ર માર્ગ ઈસુ પર અને તેમના બલિદાન પર વિશ્વાસ કરવા દ્વારા પશ્ચાતાપ કરવો અને ઈશ્વરની માફી મેળવવી તે છે.
અનુવાદ માટેના સૂચનો:
- “શુદ્ધ કરવું” શબ્દનો અનુવાદ “શુદ્ધ બનાવવું” અથવા તો “સાફ કરવું” અથવા તો “બધા જ પ્રદૂષણોથી સાફ કરવું” અથવા તો “બધા જ પાપ દૂર કરવા” તરીકે કરી શકાય.
- “જ્યારે તેમના શુદ્ધિકરણનો સમય પૂરો થયો” શબ્દસમૂહનો અનુવાદ “જરૂરી દિવસો સુધી રાહ જોવા દ્વારા જ્યારે તેમણે પોતાને શુદ્ધ કર્યા” તરીકે કરી શકાય.
- “પાપ માટે શુદ્ધિકરણ પૂરું પાડ્યું” શબ્દસમૂહનો અનુવાદ “લોકો માટે તેમના પાપથી સંપૂર્ણપણે શુદ્ધ થવાનો માર્ગ પૂરો પાડ્યો” તરીકે કરી શકાય.
- “શુદ્ધિકરણ” નો અનુવાદ “સાફ કરવું” અથવા તો “આત્મિક અર્થમાં ધોવું” અથવા તો “વિધિવત રીતે શુદ્ધ બનવું” તરીકે પણ કરી શકાય.
(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)
બાઇબલના સંદર્ભો:
- 1 તિમોથી 1:5-8
- નિર્ગમન 31:6-9
- હિબ્રૂ 9:13-15
- યાકૂબ 4:8-10
- લૂક 2:22-24
- પ્રકટીકરણ 14:3-5
શબ્દ માહિતી:
- Strong's: H1249, H1252, H1253, H1305, H1865, H2134, H2135, H2141, H2212, H2398, H2403, H2561, H2889, H2890, H2891, H2892, H2893, H3795, H3800, H4795, H5343, H5462, H6337, H6884, H6942, H8562, G48, G49, G53, G54, G1506, G2511, G2512, G2513, G2514
શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ
વ્યાખ્યા:
“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે.
કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.
- જૂના કરારના નિયમોના સંબંધમાં, “શુદ્ધ કરવું” અને “શુદ્ધિકરણ” મુખ્યત્વે કોઈ વસ્તુ અથવા તો વ્યક્તિને જે બાબતો વિધિવત અશુદ્ધ કરે છે તે બાબતોથી શુદ્ધ કરવાનો ઉલ્લેખ કરે છે, જેમ કે રોગ, શરીરના પ્રવાહી સ્રાવ અથવા તો બાળકનો જન્મ.
- જૂના કરારમાં લોકોએ કેવી રીતે પાપથી શુદ્ધ થવું તે ફરમાવતા નિયમો પણ હતા જે સામાન્યપણે પ્રાણીના બલિદાન દ્વારા થતું હતું.
આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.
- નવા કરારમાં, શુદ્ધ થવું ઘણી વાર પાપથી શુદ્ધ થવું તેનો ઉલ્લેખ કરે છે.
- લોકો માટે પાપથી સંપૂર્ણપણે અને સદાને માટે શુદ્ધ થવાનો એક માત્ર માર્ગ ઈસુ પર અને તેમના બલિદાન પર વિશ્વાસ કરવા દ્વારા પશ્ચાતાપ કરવો અને ઈશ્વરની માફી મેળવવી તે છે.
અનુવાદ માટેના સૂચનો:
- “શુદ્ધ કરવું” શબ્દનો અનુવાદ “શુદ્ધ બનાવવું” અથવા તો “સાફ કરવું” અથવા તો “બધા જ પ્રદૂષણોથી સાફ કરવું” અથવા તો “બધા જ પાપ દૂર કરવા” તરીકે કરી શકાય.
- “જ્યારે તેમના શુદ્ધિકરણનો સમય પૂરો થયો” શબ્દસમૂહનો અનુવાદ “જરૂરી દિવસો સુધી રાહ જોવા દ્વારા જ્યારે તેમણે પોતાને શુદ્ધ કર્યા” તરીકે કરી શકાય.
- “પાપ માટે શુદ્ધિકરણ પૂરું પાડ્યું” શબ્દસમૂહનો અનુવાદ “લોકો માટે તેમના પાપથી સંપૂર્ણપણે શુદ્ધ થવાનો માર્ગ પૂરો પાડ્યો” તરીકે કરી શકાય.
- “શુદ્ધિકરણ” નો અનુવાદ “સાફ કરવું” અથવા તો “આત્મિક અર્થમાં ધોવું” અથવા તો “વિધિવત રીતે શુદ્ધ બનવું” તરીકે પણ કરી શકાય.
(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)
બાઇબલના સંદર્ભો:
- 1 તિમોથી 1:5-8
- નિર્ગમન 31:6-9
- હિબ્રૂ 9:13-15
- યાકૂબ 4:8-10
- લૂક 2:22-24
- પ્રકટીકરણ 14:3-5
શબ્દ માહિતી:
- Strong's: H1249, H1252, H1253, H1305, H1865, H2134, H2135, H2141, H2212, H2398, H2403, H2561, H2889, H2890, H2891, H2892, H2893, H3795, H3800, H4795, H5343, H5462, H6337, H6884, H6942, H8562, G48, G49, G53, G54, G1506, G2511, G2512, G2513, G2514
શેતાન, શેતાન, દુષ્ટ
તથ્યો:
જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો.
તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
- શેતાન ઈશ્વર અને ઈશ્વરે સૃજાવેલા સઘળાને ધિક્કારે છે કારણ કે તે ઈશ્વરની જગ્યા લેવા માંગે છે અને લોકો તેનું ઈશ્વર તરીકે ભજન કરે એવું ઈચ્છે છે.
- શેતાન લોકોને ઈશ્વરની વિરુદ્ધ બંડ કરવાં લલચાવે છે.
- ઈશ્વરે લોકોને શેતાનના નિયંત્રણથી છોડાવવા માટે તેમના દીકરા, ઈસુને મોકલ્યાં.
- શેતાનનો અર્થ “વિરોધી” અથવા “દુશ્મન” થાય છે.
- “શેતાન” શબ્દનો અર્થ “દોષ મુકનાર” થાય છે.
અનુવાદ માટેના સૂચનો:
- “શેતાન” શબ્દનો અનુવાદ “દોષ મુકનાર” અથવા “દુષ્ટ વ્યક્તિ” અથવા “દુષ્ટાત્માઓનો રાજા” અથવા “મુખ્ય દુષ્ટ આત્મા” એમ પણ કરી શકાય.
- “શેતાન” નો અનુવાદ “હરીફ” અથવા “વિરોધી” અથવા બીજું કોઈ નામ કે જે બતાવે કે તે શેતાન છે.
- આ શબ્દનો અનુવાદ અશુદ્ધ આત્મા અને દુષ્ટાત્માથી અલગ રીતે થવો જોઈએ.
- આ શબ્દનો અનુવાદ સ્થાનિક અને રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે થાય છે તે ધ્યાન આપો.
(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)
બાઈબલના સંદર્ભો:
- 1 યોહાન 3:7-8
- 1 થેસ્સલોનિકીઓ 2:17-20
- 1 તિમોથી 5:14-16
- પ્રેરિતોના કૃત્યો 13:9-10
- અયૂબ 1:6-8
- માર્ક 8:33-34
- ઝખાર્યા 3:1-3
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 21:1 સાપ કે જેણે હવાને ભરમાવી તે શેતાન હતો.
વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.
- 25:6 પછી શેતાન જગતના સઘળાં રાજ્ય તથા તેઓનો મહિમા ઈસુને દેખાડ્યા અને કહ્યું, “જો તમે પગે પાડીને મારું ભજન કરો, તો આ સઘળાં હું તમને આપીશ.”
- 25:8 ઈસુ પડ્યા નહિ શેતાનના પરીક્ષણોમાં, તેથી શેતાન તેમને છોડીને ચાલ્યો ગયો.
- 33:6 તેથી ઈસુએ સમજાવ્યું, “બીજ એ તો ઈશ્વરનું વચન છે.
રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”
- 38:7 યહુદાએ રોટલી લીધી પછી, શેતાન તેનામાં પ્રવેશ્યો.
- 48:4 ઈશ્વરે વચન આપ્યું કે હવાનું એક વંશજ છુંદશે શેતાનનું શિર, અને શેતાન તેઓની એડી છુંદશે.
તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.
- 49:15 ઈશ્વરે તમને ખેંચી લીધા છે શેતાનના અંધકારના રાજ્યમાંથી અને ઈશ્વરના પ્રકાશના રાજ્યમાં મૂક્યાં છે.
- 50:9 “ખરાબ ઘાસ એવા લોકોને સૂચવે છે કે જેઓ સંબંધિત છે દુષ્ટ વ્યક્તિને.
દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”
- 50:10 “જ્યારે જગતનો અંત આવશે, ત્યારે દૂતો સર્વ લોકોને ભેગા કરશે કે જેઓ સંબંધિત છે શેતાનને અને તેઓને બળતી અગ્નિમાં ફેંકી દેશે, જ્યાં તેઓ ભયંકર યાતનામાં રડશે અને પોતાના દાંત પીસશે.”
- 50:15 જ્યારે ઈસુ પાછા આવશે, ત્યારે તેઓ સંપૂર્ણપણે નાશ કરશે શેતાન અને તેના રાજ્યનો.
તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.
શબ્દ માહિતી:
- Strong's: H7700, H7854, H8163, G1139, G1140, G1141, G1142, G1228, G4190, G4566, G4567
શેષ
વ્યાખ્યા:
“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.
- ઘણીવાર “શેષ” એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ જીવનની જોખમભરી પરિસ્થિતીથી બચી ગયા હોય અથવા તો સતાવણીમાંથી પસાર થતી વખતે ઈશ્વરને વિશ્વાસુ રહ્યા હોય.
- જેઓ બહારના લોકોના હુમલાઓથી બચી જશે અને કનાન દેશમાં વચનની ભૂમિમાં પાછા ફરવા જીવતા રહેશે તેવા યહૂદીઓના જૂથનો ઉલ્લેખ યશાયાએ શેષ કરીકે કર્યો હતો.
- પાઉલ ઈશ્વરે તેમની કૃપા મેળવવા પસંદ કરેલા લોકોના “શેષ” વિષે વાત કરે છે.
- “શેષ” શબ્દ સૂચિત કરે છે કે બીજા લોકો પણ હતા કે જેઓ વિશ્વાસુ રહ્યા નહીં અથવા તો બચ્યા નહીં અથવા તો તેઓને પસંદ કરવામાં આવ્યા નહોતા.
અનુવાદ માટેના સૂચનો:
- “આ લોકોનો શેષ” એવા શબ્દસમૂહનો અનુવાદ “આ લોકોમાંના બાકીના લોકો” અથવા તો “જે લોકો વિશ્વાસુ રહ્યા તેઓ” અથવા તો “બાકી રહેલા લોકો” તરીકે કરી શકાય.
- “લોકોનો તમામ શેષ” નો અનુવાદ “બાકીના બધા જ લોકો” અથવા તો “બાકી રહેલા લોકો” તરીકે કરી શકાય.
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 15:15-18
- આમોસ 9:11-12
- હઝકિયેલ 6:8-10
- ઉત્પત્તિ 45:7-8
- યશાયા 11:10-11
- મીખાહ 4:6-8
શબ્દ માહિતી:
- Strong's: H3498, H3499, H5629, H6413, H7604, H7605, H7611, H8281, H8300, G2640, G3005, G3062
શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો
વ્યાખ્યા:
બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.
- બાઈબલ શીખવે છે કે, દેવે આદમમાં જીવનનો “શ્વાસ મૂક્યો.”
તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.
- જયારે ઈસુએ શિષ્યો ઉપર શ્વાસ ફૂંક્યો અને તેઓને કહ્યું “આત્મા પ્રાપ્ત કરો”, ત્યારે તેણે તેઓને ઉપર કદાચ વ્યવહારિક રીતે હવા બહાર ફેંકીને તેમના પર પ્રતિકરૂપે પવિત્ર આત્મા આવે એમ કર્યું હશે.
- ક્યારેક “શ્વાસ લેવો” અને “ઉચ્છવાસ” શબ્દો, મૌખિક રજૂઆત દર્શાવવા માટે વપરાયા છે.
- “દેવનો શ્વાસ” અથવા “યહોવાનો શ્વાસ” રૂપકાત્મક અભિવ્યક્તિ, મોટેભાગે બળવાખોર અથવા નાસ્તિક દેશો ઉપર દેવનો કોપ રેડવામાં આવ્યો તેમ દર્શાવે છે.
તે તેની શક્તિ દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો
- “તેણે છેલ્લો શ્વાસ લીધો” તે અભિવ્યક્તિ રૂપકાત્મક દર્શાવે છે કે “તે મરણ પામ્યો.”
તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે.
દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું.
“ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.
- જો “ઈશ્વર-પ્રેરિત” શબ્દનું શાબ્દિક ભાષાંતર સ્વીકાર્ય ન હોય તો બીજી રીતે તેનું ભાષાંતર, “દેવ દ્વારા પ્રેરિત” અથવા “ઈશ્વર દ્વારા લખેલું” અથવા “ઈશ્વર દ્વારા બોલાયેલું” થઇ શકે છે.
એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”
- “તેમાં શ્વાસ મુકવો” અથવા “તેમાં જીવનનો શ્વાસ મૂકવો” અથવા “શ્વાસ આપવો” તે અભિવ્યક્તિઓનું ભાષાંતર, “શ્વાસ લેવામાં મદદ કરી” અથવા “ફરીથી જીવતું કરવું” અથવા “તેઓને જીવવા અને શ્વાસ લેવામાં મદદ કરી” અથવા “જીવન આપવું” એમ કરી શકાય છે.
- “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું, સંભવિત રીતે શક્ય હોય તો તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર કરવું હોય તો તેની ભાષામાં જે શબ્દ “શ્વાસ” માટે વપરાય છે તેનો ઉપયોગ કરવો.
- જો તેનું ભાષાંતર “શ્વાસ લેવાના” શબ્દ સાથે જોડાયેલું ના હોય તો તેનું ભાષાંતર “દેવનું સામર્થ્ય” અથવા “દેવની વાણી” થઇ શકે છે.
- “શ્વાસ રોકાઈ જવો” અથવા “શ્વાસ પાછો આવી જવો” એ અભિવ્યક્તિનું ભાષાંતર, “શ્વાસ લેવા માટે વિશ્રામ લેવો” અથવા “દોડવાનું બંધ કર્યું જેથી શ્વાસ લઇ શકાય” તેમ થઇ શકે છે.
- “ફક્ત શ્વાસ જ છે” એવી અભિવ્યકિતનો અર્થ થાય છે કે “થોડો સમય માટે જ ટકશે.”
- એવી જ રીતે “માણસ ફક્ત એક શ્વાસ છે” તેવી અભિવ્યક્તિનો અર્થ “માણસનું જીવન ખૂબ જ ટૂંકુ છે” અથવા “દેવની સરખામણીમાં માણસનું જીવન ખુબ જ ટૂંકુ છે કારણકે તેના જીવન માટે ફક્ત એક શ્વાસની જરૂર હોય છે.”
(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)
બાઈબલની કલમો:
- 1 રાજા 17:17-18
- સભાશિક્ષક 8:8-9
- અયૂબ 4:7-9
- પ્રકટીકરણ 11:10-12
- પ્રકટીકરણ 13:15-17
શબ્દ માહિતી:
- Strong's: H3307, H5301, H5396, H5397, H7307, H7309, G1709, G1720, G4157
શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો
વ્યાખ્યા:
બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.
- બાઈબલ શીખવે છે કે, દેવે આદમમાં જીવનનો “શ્વાસ મૂક્યો.”
તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.
- જયારે ઈસુએ શિષ્યો ઉપર શ્વાસ ફૂંક્યો અને તેઓને કહ્યું “આત્મા પ્રાપ્ત કરો”, ત્યારે તેણે તેઓને ઉપર કદાચ વ્યવહારિક રીતે હવા બહાર ફેંકીને તેમના પર પ્રતિકરૂપે પવિત્ર આત્મા આવે એમ કર્યું હશે.
- ક્યારેક “શ્વાસ લેવો” અને “ઉચ્છવાસ” શબ્દો, મૌખિક રજૂઆત દર્શાવવા માટે વપરાયા છે.
- “દેવનો શ્વાસ” અથવા “યહોવાનો શ્વાસ” રૂપકાત્મક અભિવ્યક્તિ, મોટેભાગે બળવાખોર અથવા નાસ્તિક દેશો ઉપર દેવનો કોપ રેડવામાં આવ્યો તેમ દર્શાવે છે.
તે તેની શક્તિ દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો
- “તેણે છેલ્લો શ્વાસ લીધો” તે અભિવ્યક્તિ રૂપકાત્મક દર્શાવે છે કે “તે મરણ પામ્યો.”
તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે.
દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું.
“ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.
- જો “ઈશ્વર-પ્રેરિત” શબ્દનું શાબ્દિક ભાષાંતર સ્વીકાર્ય ન હોય તો બીજી રીતે તેનું ભાષાંતર, “દેવ દ્વારા પ્રેરિત” અથવા “ઈશ્વર દ્વારા લખેલું” અથવા “ઈશ્વર દ્વારા બોલાયેલું” થઇ શકે છે.
એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”
- “તેમાં શ્વાસ મુકવો” અથવા “તેમાં જીવનનો શ્વાસ મૂકવો” અથવા “શ્વાસ આપવો” તે અભિવ્યક્તિઓનું ભાષાંતર, “શ્વાસ લેવામાં મદદ કરી” અથવા “ફરીથી જીવતું કરવું” અથવા “તેઓને જીવવા અને શ્વાસ લેવામાં મદદ કરી” અથવા “જીવન આપવું” એમ કરી શકાય છે.
- “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું, સંભવિત રીતે શક્ય હોય તો તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર કરવું હોય તો તેની ભાષામાં જે શબ્દ “શ્વાસ” માટે વપરાય છે તેનો ઉપયોગ કરવો.
- જો તેનું ભાષાંતર “શ્વાસ લેવાના” શબ્દ સાથે જોડાયેલું ના હોય તો તેનું ભાષાંતર “દેવનું સામર્થ્ય” અથવા “દેવની વાણી” થઇ શકે છે.
- “શ્વાસ રોકાઈ જવો” અથવા “શ્વાસ પાછો આવી જવો” એ અભિવ્યક્તિનું ભાષાંતર, “શ્વાસ લેવા માટે વિશ્રામ લેવો” અથવા “દોડવાનું બંધ કર્યું જેથી શ્વાસ લઇ શકાય” તેમ થઇ શકે છે.
- “ફક્ત શ્વાસ જ છે” એવી અભિવ્યકિતનો અર્થ થાય છે કે “થોડો સમય માટે જ ટકશે.”
- એવી જ રીતે “માણસ ફક્ત એક શ્વાસ છે” તેવી અભિવ્યક્તિનો અર્થ “માણસનું જીવન ખૂબ જ ટૂંકુ છે” અથવા “દેવની સરખામણીમાં માણસનું જીવન ખુબ જ ટૂંકુ છે કારણકે તેના જીવન માટે ફક્ત એક શ્વાસની જરૂર હોય છે.”
(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)
બાઈબલની કલમો:
- 1 રાજા 17:17-18
- સભાશિક્ષક 8:8-9
- અયૂબ 4:7-9
- પ્રકટીકરણ 11:10-12
- પ્રકટીકરણ 13:15-17
શબ્દ માહિતી:
- Strong's: H3307, H5301, H5396, H5397, H7307, H7309, G1709, G1720, G4157
સંત, સંતો
વ્યાખ્યા:
"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.
- મંડળીના ઇતિહાસમાં પાછળથી, પોતાના સારા કાર્યો માટે જાણીતા વ્યક્તિને “સંત” શિર્ષક આપવામાં આવ્યું હતું, પરંતુ નવા કરારના સમય દરમિયાન આ શબ્દનો ઉપયોગ આ પ્રમાણે થતો ન હતો..
- ઈસુમાં વિશ્વાસ કરનારાઓ સંતો કે પવિત્ર વ્યક્તિઓ છે, તેઓએ જે કર્યું તેને કારણે નહિ, પરંતુ તેને બદલે ઈસુ ખ્રિસ્તના બચાવ કાર્યમાં તેઓના વિશ્વાસને કારણે.
તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.
અનુવાદ માટેના સૂચનો:
- “સંતો”નું અનુવાદ કરવાની રીતોમાં “પવિત્ર વ્યક્તિઓ” અથવા “પવિત્ર લોકો” અથવા “ઈસુમાં પવિત્ર વિશ્વાસીઓ” અથવા “અલગ કરાયેલાઓ” નો સમાવેશ થઇ શકે છે.
- કાળજી રાખો એવાં શબ્દનો ઉપયોગ ન કરવાં માટે જે માત્ર એક જ ખ્રિસ્તી જૂથના લોકોનો ઉલ્લેખ કરતો હોય .
(આ પણ જુઓ: પવિત્ર)
બાઈબલના સંદર્ભો:
- 1 તિમોથી 5:9-10
- 2 કરિંથીઓ 9:12-15
- પ્રકટીકરણ 16:4-7
- પ્રકટીકરણ 20:9-10
શબ્દ માહિતી:
- Strong's: H2623, H6918, H6922, G40
સંત, સંતો
વ્યાખ્યા:
"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.
- મંડળીના ઇતિહાસમાં પાછળથી, પોતાના સારા કાર્યો માટે જાણીતા વ્યક્તિને “સંત” શિર્ષક આપવામાં આવ્યું હતું, પરંતુ નવા કરારના સમય દરમિયાન આ શબ્દનો ઉપયોગ આ પ્રમાણે થતો ન હતો..
- ઈસુમાં વિશ્વાસ કરનારાઓ સંતો કે પવિત્ર વ્યક્તિઓ છે, તેઓએ જે કર્યું તેને કારણે નહિ, પરંતુ તેને બદલે ઈસુ ખ્રિસ્તના બચાવ કાર્યમાં તેઓના વિશ્વાસને કારણે.
તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.
અનુવાદ માટેના સૂચનો:
- “સંતો”નું અનુવાદ કરવાની રીતોમાં “પવિત્ર વ્યક્તિઓ” અથવા “પવિત્ર લોકો” અથવા “ઈસુમાં પવિત્ર વિશ્વાસીઓ” અથવા “અલગ કરાયેલાઓ” નો સમાવેશ થઇ શકે છે.
- કાળજી રાખો એવાં શબ્દનો ઉપયોગ ન કરવાં માટે જે માત્ર એક જ ખ્રિસ્તી જૂથના લોકોનો ઉલ્લેખ કરતો હોય .
(આ પણ જુઓ: પવિત્ર)
બાઈબલના સંદર્ભો:
- 1 તિમોથી 5:9-10
- 2 કરિંથીઓ 9:12-15
- પ્રકટીકરણ 16:4-7
- પ્રકટીકરણ 20:9-10
શબ્દ માહિતી:
- Strong's: H2623, H6918, H6922, G40
સંતાન
વ્યાખ્યા:
“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.
- ઘણીવાર બાઇબલમાં, “સંતાન” નો અર્થ “બાળકો” અથવા તો “વંશજો” ના અર્થ જેવો જ કરવામાં આવે છે.
- ઘણીવાર “બીજ” શબ્દનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે સંતાનનો ઉલ્લેખ કરવા વપરાય છે.
(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 17:28-29
- નિર્ગમન 13:11-13
- ઉત્પત્તિ 24:5-7
- યશાયા 41:8-9
- અયૂબ 5:23-25
- લૂક 3:7
- માથ્થી 12:33-35
શબ્દ માહિતી:
- Strong's: H1121, H2233, H5209, H6363, H6529, H6631, G1081, G1085
સંતાન
વ્યાખ્યા:
“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.
- ઘણીવાર બાઇબલમાં, “સંતાન” નો અર્થ “બાળકો” અથવા તો “વંશજો” ના અર્થ જેવો જ કરવામાં આવે છે.
- ઘણીવાર “બીજ” શબ્દનો ઉપયોગ પ્રતીકાત્મક રીતે સંતાનનો ઉલ્લેખ કરવા વપરાય છે.
(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 17:28-29
- નિર્ગમન 13:11-13
- ઉત્પત્તિ 24:5-7
- યશાયા 41:8-9
- અયૂબ 5:23-25
- લૂક 3:7
- માથ્થી 12:33-35
શબ્દ માહિતી:
- Strong's: H1121, H2233, H5209, H6363, H6529, H6631, G1081, G1085
સંદેશવાહક, સંદેશવાહકો
તથ્યો:
“સંદેશવાહક” શબ્દ એવો વ્યક્તિ કે જેને બીજાઓને કહેવા માટે એક સંદેશ આપવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કરે છે.
- પ્રાચીન સમયોમાં, જે બની રહ્યું હતું તે શહેરના લોકોને કહેવા લડાઈના મેદાનમાંથી એક સંદેશવાહકને મોકલવામાં આવતો હતો.
- દૂત એક ખાસ પ્રકારનો સંદેશવાહક છે કે જેને ઈશ્વર લોકોને સદેશાઓ આપવા મોકલે છે.
કેટલાક અનુવાદો “દૂત”નો “સંદેશવાહક” તરીકે અનુવાદ કરે છે.
- યોહાન બાપ્તિસ્મીને સંદેશવાહક કહેવામાં આવ્યો કે જે ઈસુની અગાઉ મસીહાનું આગમન ઘોષિત કરવા અને લોકો મસીહાનો સ્વીકાર કરે તે માટે તેમને તૈયાર કરવા આવ્યો હતો.
- ઈસુના પ્રેરિતો ઈશ્વરના રાજ્ય વિશેની સુવાર્તા બીજા લોકોને જણાવવા ઈસુના સંદેશવાહકો હતા.
(આ પણ જૂઓ: દેવદૂત, પ્રેરિત, યોહાન (બાપ્તિસ્મી))
બાઇબલના સંદર્ભો:
- 1 રાજા 19:1-3
- 1 શમુએલ 6:21
- 2 રાજા 1:1-2
- લૂક 7:27-28
- માથ્થી 11:9-10
શબ્દ માહિતી:
- Strong's: H1319, H4397, H4398, H5046, H5894, H6735, H6737, H7323, H7971, G32, G652
સંદેશવાહક, સંદેશવાહકો
તથ્યો:
“સંદેશવાહક” શબ્દ એવો વ્યક્તિ કે જેને બીજાઓને કહેવા માટે એક સંદેશ આપવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કરે છે.
- પ્રાચીન સમયોમાં, જે બની રહ્યું હતું તે શહેરના લોકોને કહેવા લડાઈના મેદાનમાંથી એક સંદેશવાહકને મોકલવામાં આવતો હતો.
- દૂત એક ખાસ પ્રકારનો સંદેશવાહક છે કે જેને ઈશ્વર લોકોને સદેશાઓ આપવા મોકલે છે.
કેટલાક અનુવાદો “દૂત”નો “સંદેશવાહક” તરીકે અનુવાદ કરે છે.
- યોહાન બાપ્તિસ્મીને સંદેશવાહક કહેવામાં આવ્યો કે જે ઈસુની અગાઉ મસીહાનું આગમન ઘોષિત કરવા અને લોકો મસીહાનો સ્વીકાર કરે તે માટે તેમને તૈયાર કરવા આવ્યો હતો.
- ઈસુના પ્રેરિતો ઈશ્વરના રાજ્ય વિશેની સુવાર્તા બીજા લોકોને જણાવવા ઈસુના સંદેશવાહકો હતા.
(આ પણ જૂઓ: દેવદૂત, પ્રેરિત, યોહાન (બાપ્તિસ્મી))
બાઇબલના સંદર્ભો:
- 1 રાજા 19:1-3
- 1 શમુએલ 6:21
- 2 રાજા 1:1-2
- લૂક 7:27-28
- માથ્થી 11:9-10
શબ્દ માહિતી:
- Strong's: H1319, H4397, H4398, H5046, H5894, H6735, H6737, H7323, H7971, G32, G652
સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે
વ્યાખ્યા:
બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે.
કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.
- સંપૂર્ણ અને પરિપક્વ હોવાનો અર્થ એક ખ્રિસ્તી વ્યક્તિ આજ્ઞાંકિત છે એવો થાય છે અને પાપરહિત છે એવો નથી થતો.
- “સંપૂર્ણ” શબ્દનો બીજો અર્થ “પૂર્ણ” અથવા તો “સમગ્ર (પૂરેપુરું)” હોવું એવો પણ થાય છે.
- નવા કરારમાં યાકૂબનો પત્ર જણાવે છે કે કસોટીઓમાં દ્રઢ રહેવું તે સંપૂર્ણતા અને પરિપક્વતા ઉપજાવે છે.
- જ્યારે ખ્રિસ્તીઓ બાઇબલનો અભ્યાસ કરે છે અને તેનું આજ્ઞાપાલન કરે છે ત્યારે, તેઓ આત્મિક રીતે વધારે સંપૂર્ણ અને પરિપક્વ બનશે કારણકે તેઓ તેમના ચારિત્ર્યમાં ઈસુ જેવા વધારે બનાશે.
અનુવાદ માટેના સૂચનો:
- આ શબ્દનો અનુવાદ “દોષરહિત” અથવા તો “ભૂલરહિત” અથવા તો “ક્ષતિરહિત” અથવા તો “ચૂકરહિત” અથવા તો “કોઈ પણ દોષ ન હોય તેવું” તરીકે કરી શકાય.
બાઇબલના સંદર્ભો:
- હિબ્રૂ 12:1-3
- યાકૂબ 3:1-2
- માથ્થી 5:46-48
- ગીતશાસ્ત્ર 19:7-8
શબ્દ માહિતી:
- Strong's: H724, H998, H1584, H1585, H3632, H3634, H4357, H4359, H4512, H8003, H8502, H8503, H8535, H8537, H8549, H8552, G195, G197, G199, G739, G1295, G2005, G2675, G2676, G2677, G3647, G5046, G5047, G5048, G5050, G5052
સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે
વ્યાખ્યા:
બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે.
કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.
- સંપૂર્ણ અને પરિપક્વ હોવાનો અર્થ એક ખ્રિસ્તી વ્યક્તિ આજ્ઞાંકિત છે એવો થાય છે અને પાપરહિત છે એવો નથી થતો.
- “સંપૂર્ણ” શબ્દનો બીજો અર્થ “પૂર્ણ” અથવા તો “સમગ્ર (પૂરેપુરું)” હોવું એવો પણ થાય છે.
- નવા કરારમાં યાકૂબનો પત્ર જણાવે છે કે કસોટીઓમાં દ્રઢ રહેવું તે સંપૂર્ણતા અને પરિપક્વતા ઉપજાવે છે.
- જ્યારે ખ્રિસ્તીઓ બાઇબલનો અભ્યાસ કરે છે અને તેનું આજ્ઞાપાલન કરે છે ત્યારે, તેઓ આત્મિક રીતે વધારે સંપૂર્ણ અને પરિપક્વ બનશે કારણકે તેઓ તેમના ચારિત્ર્યમાં ઈસુ જેવા વધારે બનાશે.
અનુવાદ માટેના સૂચનો:
- આ શબ્દનો અનુવાદ “દોષરહિત” અથવા તો “ભૂલરહિત” અથવા તો “ક્ષતિરહિત” અથવા તો “ચૂકરહિત” અથવા તો “કોઈ પણ દોષ ન હોય તેવું” તરીકે કરી શકાય.
બાઇબલના સંદર્ભો:
- હિબ્રૂ 12:1-3
- યાકૂબ 3:1-2
- માથ્થી 5:46-48
- ગીતશાસ્ત્ર 19:7-8
શબ્દ માહિતી:
- Strong's: H724, H998, H1584, H1585, H3632, H3634, H4357, H4359, H4512, H8003, H8502, H8503, H8535, H8537, H8549, H8552, G195, G197, G199, G739, G1295, G2005, G2675, G2676, G2677, G3647, G5046, G5047, G5048, G5050, G5052
સદૂકી, સદૂકીઓ
વ્યાખ્યા:
ઈસુ ખ્રિસ્તના સમય દરમિયાન સદૂકીઓ યહૂદી યાજકોનું રાજકીય જૂથ હતું.
તેઓ રોમન સત્તાને સમર્થન આપતાં હતાં અને પુનરુત્થાનમાં માનતાં ન હતાં.
- ઘણાં સદૂકીઓ શ્રીમંત, ઉચ્ચ કક્ષાના યહૂદીઓ કે જેઓ મુખ્ય યાજક અને પ્રમુખ યાજક જેવાં શક્તિશાળી નેતૃત્વવાળા દરજ્જા ધરાવતાં હતાં.
- સદૂકીઓની ફરજોમાં મંદિર સંકુલની સંભાળ રાખવી અને બલિદાનો આપવા જેવા યાજકવર્ગના કાર્યોનો સમાવેશ થતો હતો.
- સદૂકીઓ અને ફરોશીઓએ રોમન આગેવાનોને ઈસુને વધસ્તંભે જડવાં માટે પ્રભાવિત કર્યા હતા.
- ઈસુ આ બે ધાર્મિક જૂથો વિરુદ્ધ તેમના સ્વાર્થીપણા અને ઢોંગને કારણે બોલ્યાં હતા.
(આ પણ જુઓ: મુખ્ય યાજકો, ન્યાયસભા, પ્રમુખ યાજક, ઢોંગી, યહૂદી અધિકારીઓ, ફરોશી, યાજક)
બાઈબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 4:1-4
- પ્રેરિતોના કૃત્યો 5:17-18
- લૂક 20:27-28
- માથ્થી 3:7-9
- માથ્થી 16:1-2
શબ્દ માહિતી:
સદોમ
વ્યાખ્યા:
સદોમએ કનાનના દક્ષિણ ભાગનું શહેર હતું જ્યાં ઈબ્રાહિમનો ભત્રીજો લોત તેણી પત્ની અને બાળકો સાથે રહેતો હતો.
- સદોમની આસપાસનો પ્રદેશ ઘણો સારો પાણીયુક્ત અને ફળદ્રુપ હતો, તેથી લોતે જ્યારે તે પ્રથમ કનાનમાં સ્થાયી થયા ત્યારે ત્યાં રહેવા માટે પસંદ કર્યું.
- આ શહેરનું ચોક્કસ સ્થાન જાણીતું નથી કારણ કે સદોમ અને તેની નજીકનું શહેર ગમોરા ત્યાના લોકોના દુષ્ટ કૃત્યોને લીધે શિક્ષાના ભાગરૂપે ઈશ્વર દ્વારા સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યું હતું
- સૌથી નોંધપાત્ર પાપ સદોમ અને ગમોરાના લોકો કરતાં હતા એ તો સમલૈંગિકતા હતી.
(આ પણ જુઓ: કનાન, ગમોરાહ)
બાઈબલના સંદર્ભો:
- ઉત્પતિ 10:19-20
- ઉત્પતિ 13:12-13
- માથ્થી 10:14-15
- માથ્થી 11:23-24
શબ્દ માહિતી:
સદોમ
વ્યાખ્યા:
સદોમએ કનાનના દક્ષિણ ભાગનું શહેર હતું જ્યાં ઈબ્રાહિમનો ભત્રીજો લોત તેણી પત્ની અને બાળકો સાથે રહેતો હતો.
- સદોમની આસપાસનો પ્રદેશ ઘણો સારો પાણીયુક્ત અને ફળદ્રુપ હતો, તેથી લોતે જ્યારે તે પ્રથમ કનાનમાં સ્થાયી થયા ત્યારે ત્યાં રહેવા માટે પસંદ કર્યું.
- આ શહેરનું ચોક્કસ સ્થાન જાણીતું નથી કારણ કે સદોમ અને તેની નજીકનું શહેર ગમોરા ત્યાના લોકોના દુષ્ટ કૃત્યોને લીધે શિક્ષાના ભાગરૂપે ઈશ્વર દ્વારા સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યું હતું
- સૌથી નોંધપાત્ર પાપ સદોમ અને ગમોરાના લોકો કરતાં હતા એ તો સમલૈંગિકતા હતી.
(આ પણ જુઓ: કનાન, ગમોરાહ)
બાઈબલના સંદર્ભો:
- ઉત્પતિ 10:19-20
- ઉત્પતિ 13:12-13
- માથ્થી 10:14-15
- માથ્થી 11:23-24
શબ્દ માહિતી:
સભા, સભાઓ, એકત્ર કરવું, ભેગા થયેલ
વ્યાખ્યા:
“સભા” શબ્દ દર્શાવે છે કે એક લોકોનું એવું જૂથ જેઓ એક સાથે ભેગા થઈ સમસ્યાઓની ચર્ચા કરી, સલાહ આપી, અને નિર્ણય કરે.
- સભા એ એક આયોજીત સત્તાવાર જૂથ છે જે કેટલેક અંશે કાયમી હોઈ શકે છે, તે એક એવાં લોકોનું જૂથ કે જે થોડાસમય અને નિશ્ચિત હેતુ અથવા પ્રસંગ માટે ભેગા મળે છે.
- જૂનાકરારમાં વિશિષ્ટ પ્રકારની સભા હતી જેને “ધાર્મિક સભા” તરીકે ઓળખવામાં આવતી હતી કે જ્યાં ઈઝરાએલના લોકો ભેગા મળી યહોવાની આરાધના કરતા હતા.
- ક્યારેક આ શબ્દ “સભા” સામાન્ય રીતે ઈઝરાએલી લોકોના જૂથને દર્શાવે છે.
- દુશ્મન સૈનિકોના મોટા ટોળાને પણ ક્યારેક “સભા” તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે.
તેનું ભાષાંતર “સૈન્ય” થઇ શકે છે.
- નવાકરારના સમયમાં 70 યહૂદી આગેવાનોની એક સભા હતી, જે મોટા શહેરો જેવા કે યરુશાલેમમાં પણ હતી, જે કાયદાને લગતી બાબતોને લઈને ન્યાય કરવા અને લોકો વચ્ચેના વિવાદોને ઠેકાણે પાડવા ભેગા મળતી.
આ “સભા” સાન્હેદ્રીન” અથવા “પરિષદ” તરીકે જાણીતી હતી.
ભાષાંતરના સુચનો
- સંદર્ભ પર આધાર રાખીને આ “સભા” શબ્દનું ભાષાંતર “વિશિષ્ટ સંમેલન” અથવા “ભજન માટે એકત્ર થયેલી સભા” અથવા “પરિષદ” અથવા “સૈન્ય” અથવા “મોટું જૂથ” થઈ શકે છે.
- “સભા” શબ્દનો ઉપયોગ મોટે ભાગે સમગ્ર ઈઝરાએલી લોકોને એક જૂથ તરીકે ઓળખવામાં થાય છે, તેનું ભાષાંતર “જનસમૂહ” અથવા “ઈઝરાએલના લોકો” થઈ શકે છે.
- “સમગ્ર સભા” શબ્દનું ભાષાંતર “સમગ્ર લોકો” અથવા “ઈઝરાએલીઓનું આખું જૂથ” અથવા “દરેક જણ” થઈ શકે છે.
(જુઓ:અતિશયોક્તિ
(આ પણ જુઓ: ન્યાયસભા)
બાઈબલની કલમો:
- 1રાજા 8:14-16
- પ્રેરિતો 7:38-40
- એઝરા 10:12-13
- હિબ્રૂ 12:22-24
- લેવીય 4:20-21
- નહેમ્યા 8:1-3
શબ્દ માહિતી:
- Strong's: H622, H627, H1413, H1481, H2199, H3259, H4150, H4186, H4744, H5475, H5712, H5789, H6116, H6633, H6908, H6950, H6951, H6952, H7284, G1577, G1997, G3831, G4863, G4864, G4871, G4905
સભા, સભાઓ, એકત્ર કરવું, ભેગા થયેલ
વ્યાખ્યા:
“સભા” શબ્દ દર્શાવે છે કે એક લોકોનું એવું જૂથ જેઓ એક સાથે ભેગા થઈ સમસ્યાઓની ચર્ચા કરી, સલાહ આપી, અને નિર્ણય કરે.
- સભા એ એક આયોજીત સત્તાવાર જૂથ છે જે કેટલેક અંશે કાયમી હોઈ શકે છે, તે એક એવાં લોકોનું જૂથ કે જે થોડાસમય અને નિશ્ચિત હેતુ અથવા પ્રસંગ માટે ભેગા મળે છે.
- જૂનાકરારમાં વિશિષ્ટ પ્રકારની સભા હતી જેને “ધાર્મિક સભા” તરીકે ઓળખવામાં આવતી હતી કે જ્યાં ઈઝરાએલના લોકો ભેગા મળી યહોવાની આરાધના કરતા હતા.
- ક્યારેક આ શબ્દ “સભા” સામાન્ય રીતે ઈઝરાએલી લોકોના જૂથને દર્શાવે છે.
- દુશ્મન સૈનિકોના મોટા ટોળાને પણ ક્યારેક “સભા” તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે.
તેનું ભાષાંતર “સૈન્ય” થઇ શકે છે.
- નવાકરારના સમયમાં 70 યહૂદી આગેવાનોની એક સભા હતી, જે મોટા શહેરો જેવા કે યરુશાલેમમાં પણ હતી, જે કાયદાને લગતી બાબતોને લઈને ન્યાય કરવા અને લોકો વચ્ચેના વિવાદોને ઠેકાણે પાડવા ભેગા મળતી.
આ “સભા” સાન્હેદ્રીન” અથવા “પરિષદ” તરીકે જાણીતી હતી.
ભાષાંતરના સુચનો
- સંદર્ભ પર આધાર રાખીને આ “સભા” શબ્દનું ભાષાંતર “વિશિષ્ટ સંમેલન” અથવા “ભજન માટે એકત્ર થયેલી સભા” અથવા “પરિષદ” અથવા “સૈન્ય” અથવા “મોટું જૂથ” થઈ શકે છે.
- “સભા” શબ્દનો ઉપયોગ મોટે ભાગે સમગ્ર ઈઝરાએલી લોકોને એક જૂથ તરીકે ઓળખવામાં થાય છે, તેનું ભાષાંતર “જનસમૂહ” અથવા “ઈઝરાએલના લોકો” થઈ શકે છે.
- “સમગ્ર સભા” શબ્દનું ભાષાંતર “સમગ્ર લોકો” અથવા “ઈઝરાએલીઓનું આખું જૂથ” અથવા “દરેક જણ” થઈ શકે છે.
(જુઓ:અતિશયોક્તિ
(આ પણ જુઓ: ન્યાયસભા)
બાઈબલની કલમો:
- 1રાજા 8:14-16
- પ્રેરિતો 7:38-40
- એઝરા 10:12-13
- હિબ્રૂ 12:22-24
- લેવીય 4:20-21
- નહેમ્યા 8:1-3
શબ્દ માહિતી:
- Strong's: H622, H627, H1413, H1481, H2199, H3259, H4150, H4186, H4744, H5475, H5712, H5789, H6116, H6633, H6908, H6950, H6951, H6952, H7284, G1577, G1997, G3831, G4863, G4864, G4871, G4905
સભાસ્થાન
વ્યાખ્યા:
સભાસ્થાન એ એક એવી ઇમારત છેકે જ્યાં યહૂદી લોકો ઈશ્વરનું ભજનકરવા ભેગા મળે છે.
- પ્રાચીન સમયથી, સભાસ્થાનની સેવામાં પ્રાર્થના,શાસ્ત્રવાચન અને શાસ્ત્ર અંગેના શિક્ષણના સમયનો સમાવેશ થયેલ છે.
- યહુદીઓએ શરૂઆતના સ્થળો તરીકે સભાસ્થાનોનું બાંધકામ શરૂ કર્યું, જેથી તેઓ પોતાનાં શહેરોમાં પ્રાર્થના અને ભજન કરી શકે, કેમ કે તેઓમાંના ઘણા યરૂશાલેમના મંદિરથી દૂર રહેતા હતા.
- ઈસુએ વારંવાર સભાસ્થાનોમાં શીખવ્યું અને ત્યાં લોકોને સાજા કર્યા.
- "સભાસ્થાન" શબ્દનો અલંકારિક અર્થ ત્યાં ભેગા થયેલા લોકોના સમૂહને દર્શાવવા થાય છે.
આ પણ જુઓ: સાજુ કરવું, યરૂશાલેમ, યહૂદી, પ્રાર્થના કરવી, મંદિર, ઈશ્વરનો શબ્દ, ઉપાસના)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 6:8-9
- પ્રેરિતોનાં કૃત્યો 14:1-2
- પ્રેરિતોનાં કૃત્યો 15:19-21
- પ્રેરિતોનાં કૃત્યો 24:10-13
- યોહાન 6:57-59
- લૂક 4:14-15
- માથ્થી 6:1-2
- માથ્થી 9:35-36
- માથ્થી 13:54-56
શબ્દ માહિતી:
- Strong's: H4150, G656, G752, G4864
સમય, સમયસર, સમય, અકાળે
તથ્યો:
બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો.
તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.
- દાનીયેલ અને પ્રકટીકરણ બંનેમાં પૃથ્વી પર આવનાર મહા વિપત્તિકાળ અથવા વિપત્તિના "સમય" વિષે વાત કરી છે.
- સમય, સમયો અને અડધા સમય" શબ્દમાં "સમય" શબ્દનો અર્થ "વર્ષ." થાય છે.
આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે.
” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે.
"ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.
- “સમયસર" હોવુંનો અર્થ એ થાય કે અપેક્ષિત હોય ત્યારે, મોડા નહીં
- સંદર્ભને આધારે, "સમય" શબ્દનું "મોસમ" અથવા "સમયગાળો" અથવા "ક્ષણ" અથવા "ઘટના" અથવા "પ્રસંગ." તરીકે ભાષાંતર કરી શકાય છે.
- “વખત અને ઋતુઓ" શબ્દસમૂહ એવી અલંકારિક અભિવ્યક્તિ છે જે સમાન વિચારને બે વાર જણાવે છે.
આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ
આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 1:6 -8
- દાનિયેલ 12:1-2
- માર્ક 11:11-12
- માથ્થી 8:28-29
- ગીતશાસ્ત્ર 68:28-29
- પ્રકટીકરણ 14:14-16
શબ્દ માહિતી:
- Strong's: H116, H227, H268, H310, H570, H865, H1697, H1755, H2165, H2166, H2233, H2465, H3027, H3117, H3118, H3119, H3259, H3427, H3706, H3967, H4150, H4279, H4489, H4557, H5331, H5703, H5732, H5750, H5769, H6049, H6235, H6256, H6258, H6440, H6471, H6635, H6924, H7105, H7138, H7223, H7272, H7281, H7637, H7651, H7655, H7659, H7674, H7992, H8027, H8032, H8138, H8145, H8462, H8543, G744, G530, G1074, G1208, G1441, G1597, G1626, G1909, G2034, G2119, G2121, G2235, G2250, G2540, G3379, G3461, G3568, G3763, G3764, G3819, G3956, G3999, G4178, G4181, G4183, G4218, G4277, G4287, G4340, G4455, G5119, G5151, G5305, G5550, G5551, G5610
સમય, સમયસર, સમય, અકાળે
તથ્યો:
બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો.
તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.
- દાનીયેલ અને પ્રકટીકરણ બંનેમાં પૃથ્વી પર આવનાર મહા વિપત્તિકાળ અથવા વિપત્તિના "સમય" વિષે વાત કરી છે.
- સમય, સમયો અને અડધા સમય" શબ્દમાં "સમય" શબ્દનો અર્થ "વર્ષ." થાય છે.
આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે.
” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે.
"ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.
- “સમયસર" હોવુંનો અર્થ એ થાય કે અપેક્ષિત હોય ત્યારે, મોડા નહીં
- સંદર્ભને આધારે, "સમય" શબ્દનું "મોસમ" અથવા "સમયગાળો" અથવા "ક્ષણ" અથવા "ઘટના" અથવા "પ્રસંગ." તરીકે ભાષાંતર કરી શકાય છે.
- “વખત અને ઋતુઓ" શબ્દસમૂહ એવી અલંકારિક અભિવ્યક્તિ છે જે સમાન વિચારને બે વાર જણાવે છે.
આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ
આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 1:6 -8
- દાનિયેલ 12:1-2
- માર્ક 11:11-12
- માથ્થી 8:28-29
- ગીતશાસ્ત્ર 68:28-29
- પ્રકટીકરણ 14:14-16
શબ્દ માહિતી:
- Strong's: H116, H227, H268, H310, H570, H865, H1697, H1755, H2165, H2166, H2233, H2465, H3027, H3117, H3118, H3119, H3259, H3427, H3706, H3967, H4150, H4279, H4489, H4557, H5331, H5703, H5732, H5750, H5769, H6049, H6235, H6256, H6258, H6440, H6471, H6635, H6924, H7105, H7138, H7223, H7272, H7281, H7637, H7651, H7655, H7659, H7674, H7992, H8027, H8032, H8138, H8145, H8462, H8543, G744, G530, G1074, G1208, G1441, G1597, G1626, G1909, G2034, G2119, G2121, G2235, G2250, G2540, G3379, G3461, G3568, G3763, G3764, G3819, G3956, G3999, G4178, G4181, G4183, G4218, G4277, G4287, G4340, G4455, G5119, G5151, G5305, G5550, G5551, G5610
સમરૂન, સમરૂની
તથ્યો:
સમરૂન ઈઝરાયેલના ઉત્તરીય ભાગના એક શહેર અને તેના આસપાસના પ્રદેશનું નામ હતું.
આ પ્રદેશ શારોન સરહદની પશ્ચિમ અને યરદન નદીની પૂર્વ વચ્ચે આવેલું હતું.
- જુના કરારમાં, સમરૂન ઈઝરાયેલના ઉત્તરી રાજ્યનું પાટનગર હતું.
પાછળથી તેના આસપાસના પ્રદેશને પણ સમરૂન કહેવાય છે.
- જ્યારે આશ્શૂરીઓએ ઈઝરાયેલના ઉત્તરીય રાજ્ય પર વિજય મેળવ્યો, ત્યારે તેઓએ સમરૂન શહેર કબજે કર્યું અને મોટાભાગના ઉત્તરના ઈઝરાયેલીઓને આ પ્રદેશ છોડાવા માટે ફરજ પાડી, તેઓને આશ્શૂરના જુદા જુદા શહેરોમાં ખસેડીને.
- આશ્શૂરીઓએ જે ઈઝરાયેલીઓને ખસેડ્યા હતાં તેઓના સ્થાને ઘણા વિદેશીઓને પણ સમરૂનના પ્રદેશમાં લાવ્યા હતા.
- આ પ્રદેશમાં રહેલા કેટલાંક ઈઝરાયેલીઓએ વિદેશીઓ કે જેઓ ત્યાં વસ્યા હતાં તેઓની સાથે લગ્ન કર્યા, અને તેઓના વંશજો સમરૂનીઓ તરીકે ઓળખાયા.
- યહૂદીઓ સમરૂનીઓને તુચ્છ ગણતા હતાં કારણ કે તેઓ માત્ર અંશતઃ યહૂદી હતા અને તેઓના પૂર્વજોએ મૂર્તિપૂજક દેવોની પૂજા કરી હતી માટે.
- નવા કરારના સમયમાં, સમરૂનનો પ્રદેશ તેની ઉત્તર તરફના ગાલીલ પ્રદેશ અને તેની દક્ષિણ તરફના યહૂદિયા પ્રદેશની સરહદે આવ્યો હતો.
(જુઓં: આશ્શૂર, ગાલીલ, યહૂદિયા, શારોન, ઈઝરાયેલનું રાજ્ય)
બાઈબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 8:1-3
- પ્રેરિતોના કૃત્યો 8:4-5
- યોહાન 4:4-5
- લૂક 9:51-53
- લૂક 10:33-35
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 20:4 પછી આશ્શૂરીઓ જ્યાં ઈઝરાયેલનું રાજ્ય હતું ત્યાં વસવા માટે વિદેશીઓને લઇ આવ્યાં હતાં..
વિદેશીઓએ નષ્ટ થયેલાં શહેરોનું પુનઃનિર્માણ કર્યું અને ત્યાં બાકી રહેલા ઈઝરાયેલીઓ સાથે લગ્ન કર્યા.
ઈઝરાયેલીઓ કે જેઓ વિદેશીઓ સાથે પરણ્યા હતાં તેઓના વંશજોને સમુરૂનીઓ તરીકે ઓળખાયા.
- 27:8 “તે માર્ગ પર ત્યારબાદ જનાર વ્યક્તિ સમરૂની હતો. (સમરૂનીઓ યહૂદીઓના વંશજો હતાં જેઓએ બીજા રાષ્ટ્રોના લોકો સાથે લગ્ન કર્યા હતાં. સમરૂનીઓ અને યહૂદીઓ એકબીજાને ધિક્કારતા હતાં.)”
- 27:9 “તે સમરૂની તે માણસને પોતાના ગધેડા પર ઊંચકીને ઉતારામાં લઇ ગયો જ્યાં તેણે તેની માવજત કરી.”
- 45:7 તે (ફિલિપ) ગયો સમરૂનમાં જ્યાં તેણે ઈસુ વિશે બોધ કર્યો અને ઘણાં લોકો બચી ગયાં.
શબ્દ માહિતી:
- Strong's: H8111, H8115, H8118, G4540, G4541, G4542
સમાન, સમાન વિચારસરણી, સરખું, સમાનતા, સમાનતાઓ, તેવી જ રીતે, એકસરખું, વિપરીત
વ્યાખ્યા:
"સમાન" અને "સમાનતા" શબ્દો કંઈક બીજા કશાકને એક સરખું, અથવા મળતું આવતું હોય તેનો ઉલ્લેખ કરે છે.
- "સમાન" શબ્દ ઘણીવાર અર્થાલંકારિક અભિવ્યક્તિ "અનુકરણ" તરીકે પણ વપરાય છે જેમાં કશાકને કશાકની સાથે સરખાવવામાં આવે છે, સામાન્ય રીતે સમાન લાક્ષણિકતાઓને દર્શાવીને.
ઉદાહરણ તરીકે, "તેના વસ્ત્રો સૂર્યની જેમ પ્રકાશે છે" અને "અવાજ મેઘગર્જના જેવો મોટો છે. " (જુઓ: અનુકરણ
- કશાક અથવા કોઈક "ના જેવુ" અથવા "ના જેવો અવાજ" અથવા "ના જેવુ દેખાવું" નો અર્થ કે વસ્તુ કે વ્યક્તિ સાથે સરખાવતા સમાન ગુણ હોવા.
- લોકોને ઈશ્વરની "સમાનતા" માં સર્જવામાં આવ્યા, એટલે કે તેમની "પ્રતિમામાં. "
તેનો અર્થ એ કે જે "સમાન" અથવા "સરખી" ગુણવત્તા ઈશ્વર પાસે છે એ તેઓ પાસે ગુણવત્તા અથવા લાક્ષણિક્તાઓ છે, જેમ કે વિચારવાની, અનુભવવાની, અને વાત કરવાની ક્ષમતા.
- કશાક અથવા કોઈક "ના જેવી સમાનતા" નો અર્થ કે લાક્ષણિકતાઓ હોવી જે તે વસ્તુ કે વ્યક્તિની જેમ જ લાગે છે.
અનુવાદ માટેના સૂચનો
- કેટલાંક સંદર્ભમાં, "ના જેવી સમાનતા" અભિવ્યક્તિનું અનુવાદ "ના જેવુ લાગવું" અથવા "ના જેવુ દેખાય છે" એમ કરી શકાય.
- "તેના મરણની સમાનતામાં" અભિવ્યક્તિનું અનુવાદ "તેના મરણનો અનુભવ વહેંચવો" અથવા "જાણે તેની સાથે તેના મરણને અનુભવવું" એમ કરી શકાય.
- "પાપી દેહની સમાનતામાં" અભિવ્યક્તિનું અનુવાદ "પાપી મનુષ્ય જેવુ બનવું" અથવા "માનવી બનવું" એમ કરી શકાય.
એ ધ્યાનમાં રાખો કે આ અભિવ્યક્તિનું અનુવાદ એમ ન કહે કે ઈસુ પાપી હતા.
- "તેની પોતાની સમાનતામાં" નું અનુવાદ "તેની જેમ" અથવા "તેની પાસે છે તેવી ઘણી ગુણવત્તાઓ હોવી" એમ કરી શકાય.
- "નાશવંત માણસ, પક્ષી, ચાર પગવાળા પશુ અને વિસર્પી બાબતોની પ્રતિમાની સમાનતામાં" નું અનુવાદ "નાશવંત મનુષ્ય, અથવા પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, અને નાના, પેટે ચાલતા જંતુઓના જેવી બનાવેલ મુર્તિ" એમ કરી શકાય.
(આ પણ જુઓ: પ્રાણી, દેહ, દેવની પ્રતિમા, પ્રતિમા (મૂર્તિ), નાશ પામવું)
બાઈબલના સંદર્ભો:
- હઝકિયેલ 1:4-6
- માર્ક 8:24-26
- માથ્થી 17:1-2
- માથ્થી 18:1-3
- ગીતશાસ્ત્ર 73:4-5
- પ્રકટીકરણ 1:12-13
શબ્દ માહિતી:
- Strong's: H1823, H8403, H8544, G1503, G1504, G2509, G2531, G2596, G3664, G3665, G3666, G3667, G3668, G3669, G3697, G4833, G5108, G5613, G5615, G5616, G5618, G5619
સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર
તથ્યો:
બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.
- ભૂમધ્ય સમુદ્રની હદ આ પ્રમાણે હતી:
ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).
- પ્રાચીન સમયમાં આ સમુદ્ર વ્યાપાર અને યાત્રા માટે ખૂબ જ અગત્યનો હતો કારણકે તે ઘણાં દેશોની સરહદને સ્પર્શતો હતો.
આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.
- મહા સમુદ્ર ઇઝરાયલની પશ્ચિમે આવેલો હતો તે કારણે ઘણી વાર તેનો ઉલ્લેખ “પશ્ચિમના સમુદ્ર” તરીકે કરવામાં આવતો હતો.
(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ, સમૃદ્ધ થવું)
બાઇબલના સંદર્ભો:
- હઝકિયેલ 47:15-17
- હઝકિયેલ 47:18-20
- યહોશુઆ 15:3-4
- ગણના 13:27-29
શબ્દ માહિતી:
- Strong's: H314, H1419, H3220
સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર
તથ્યો:
બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.
- ભૂમધ્ય સમુદ્રની હદ આ પ્રમાણે હતી:
ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).
- પ્રાચીન સમયમાં આ સમુદ્ર વ્યાપાર અને યાત્રા માટે ખૂબ જ અગત્યનો હતો કારણકે તે ઘણાં દેશોની સરહદને સ્પર્શતો હતો.
આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.
- મહા સમુદ્ર ઇઝરાયલની પશ્ચિમે આવેલો હતો તે કારણે ઘણી વાર તેનો ઉલ્લેખ “પશ્ચિમના સમુદ્ર” તરીકે કરવામાં આવતો હતો.
(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ, સમૃદ્ધ થવું)
બાઇબલના સંદર્ભો:
- હઝકિયેલ 47:15-17
- હઝકિયેલ 47:18-20
- યહોશુઆ 15:3-4
- ગણના 13:27-29
શબ્દ માહિતી:
- Strong's: H314, H1419, H3220
સર્પ, સર્પો, સાપ, સાપો, નાનો ઝેરી સાપ, નાના ઝેરી સાપો
તથ્યો:
આ બધા શબ્દો એક પ્રકારની પેટે ચાલનારા પ્રાણીનો ઉલ્લેખ કરે છે જેને લાંબા, પાતળા શરીર અને મોટી ફેણ હોય છે અને તે સમગ્ર જમીન પર પાછળથી આગળ વધીને આગળ વધે છે.
“સર્પ” શબ્દ મોટા સાપનો ઉલ્લેખ કરે છે અને “એક નાનો ઝેરી સાપ” એવા પ્રકારનો સાપ કે જેનામાં ઝેર હોય છે જેનો ઉપયોગ તે પોતાના શિકારમાં ઝેર ફેલાવવા કરે છે.
- આ પ્રાણીનો રૂપકાત્મક ઉપયોગ એવી વ્યક્તિ કે જે દુષ્ટ છે તેને સંબોધવા થાય છે, ખાસ કરીને એવી વ્યક્તિ કે જે દગાખોર છે.
- ઈસુએ ધાર્મિક આગેવાનોને “સર્પોના વંશજો” એમ કહ્યા કારણ કે તેઓ ન્યાયી હોવાનો ઢોંગ કરતાં હતાં અને લોકોને છેતરતા અને તેઓની સાથે અયોગ્ય વર્તન કરતાં હતા.
- એદન વાડીમાં, શેતાને જ્યારે હવાની સાથે વાત કરી ત્યારે સર્પનું રૂપ ધારણ કર્યું અને ઈશ્વરનો અનાદર કરવા તેણીને લલચાવી.
- સર્પે હવાને પાપ કરવા લલચાવ્યા બાદ, હવા અને તેના પતિ આદમ બંનેએ પાપ કર્યું, ઈશ્વરે સર્પને શાપ આપ્યો, એમ કહીને કે, હવેથી દરેક સર્પ પેટે ચાલશે, એટલે કે તે પહેલા તેઓને પગ હતાં.
(આ પણ જુઓ: શાપ, છેતરવું, આજ્ઞાભંગ, એદન, દુષ્ટ, સંતાન, શિકાર, શેતાન, પાપ, લલચાવવું)
બાઈબલના સંદર્ભો:
- ઉત્પતિ 3:1-3
- ઉત્પતિ 3:4-6
- ઉત્પતિ 3:12-13
- માર્ક 16:17-18
- માથ્થી 3:7-9
- માથ્થી 23:32-33
શબ્દ માહિતી:
- Strong's: H660, H2119, H5175, H6620, H6848, H8314, H8577, G2191, G2062, G3789
સર્પ, સર્પો, સાપ, સાપો, નાનો ઝેરી સાપ, નાના ઝેરી સાપો
તથ્યો:
આ બધા શબ્દો એક પ્રકારની પેટે ચાલનારા પ્રાણીનો ઉલ્લેખ કરે છે જેને લાંબા, પાતળા શરીર અને મોટી ફેણ હોય છે અને તે સમગ્ર જમીન પર પાછળથી આગળ વધીને આગળ વધે છે.
“સર્પ” શબ્દ મોટા સાપનો ઉલ્લેખ કરે છે અને “એક નાનો ઝેરી સાપ” એવા પ્રકારનો સાપ કે જેનામાં ઝેર હોય છે જેનો ઉપયોગ તે પોતાના શિકારમાં ઝેર ફેલાવવા કરે છે.
- આ પ્રાણીનો રૂપકાત્મક ઉપયોગ એવી વ્યક્તિ કે જે દુષ્ટ છે તેને સંબોધવા થાય છે, ખાસ કરીને એવી વ્યક્તિ કે જે દગાખોર છે.
- ઈસુએ ધાર્મિક આગેવાનોને “સર્પોના વંશજો” એમ કહ્યા કારણ કે તેઓ ન્યાયી હોવાનો ઢોંગ કરતાં હતાં અને લોકોને છેતરતા અને તેઓની સાથે અયોગ્ય વર્તન કરતાં હતા.
- એદન વાડીમાં, શેતાને જ્યારે હવાની સાથે વાત કરી ત્યારે સર્પનું રૂપ ધારણ કર્યું અને ઈશ્વરનો અનાદર કરવા તેણીને લલચાવી.
- સર્પે હવાને પાપ કરવા લલચાવ્યા બાદ, હવા અને તેના પતિ આદમ બંનેએ પાપ કર્યું, ઈશ્વરે સર્પને શાપ આપ્યો, એમ કહીને કે, હવેથી દરેક સર્પ પેટે ચાલશે, એટલે કે તે પહેલા તેઓને પગ હતાં.
(આ પણ જુઓ: શાપ, છેતરવું, આજ્ઞાભંગ, એદન, દુષ્ટ, સંતાન, શિકાર, શેતાન, પાપ, લલચાવવું)
બાઈબલના સંદર્ભો:
- ઉત્પતિ 3:1-3
- ઉત્પતિ 3:4-6
- ઉત્પતિ 3:12-13
- માર્ક 16:17-18
- માથ્થી 3:7-9
- માથ્થી 23:32-33
શબ્દ માહિતી:
- Strong's: H660, H2119, H5175, H6620, H6848, H8314, H8577, G2191, G2062, G3789
સલાહ, સલાહ આપવી, સલાહ આપી, સલાહકાર, સલાહકારો, સલાહ, સલાહ આપનારો, સલાહ આપનારાઓ
વ્યાખ્યા:
“સલાહ” અને “સલાહ-સૂચન” શબ્દોના સમાન અર્થ હોય છે, અને કોઈકને ચોક્કસ પરિસ્થિતિમાં શું કરવું તે વિશે ડહાપણથી નિર્ણય લેવા મદદ કરે છે, તેને દર્શાવે છે.
સમજદાર “સલાહકાર” અથવા “સલાહ આપનારો” એ વ્યક્તિ છે કે જે એવી સલાહ અથવા સલાહ-સૂચન આપે છે કે જેથી વ્યક્તિ યોગ્ય પસંદગીઓ કરી શકે.
- રાજાઓને મહત્વની બાબતો નક્કી કરવા અને મદદ માટે મોટેભાગે સત્તાવાર સલાહઆપનારાઓ અથવા સલાહકારો હોય છે કે જેઓ લોકો પર શાસન કરી તેમને અસર પહોંચાડે છે.
- ઘણીવાર તેમની સલાહસૂચન અથવા સલાહ સારા હોતા નથી.
દુષ્ટ સલાહકારો રાજાને એવી કાર્યવાહી કરવા અથવા ફરમાન પાળવા અરજ કરતા જેથી તે રાજાને અથવા તેના લોકોને નુકશાન થાય.
- સંદર્ભ પર આધાર રાખીને, “સલાહ” અથવા “સલાહસૂચન” શબ્દનું ભાષાંતર, “નિર્ણય લેવામાં મદદ કરવી” અથવા “ચેતવણીઓ” અથવા “બોધ આપવો” અથવા “માર્ગદર્શન” તરીકે પણ કરી શકાય છે.
- “સલાહસૂચન આપવાના” કાર્યનું ભાષાંતર, “સલાહ આપવી” અથવા “સૂચનો આપવા” અથવા “પ્રોત્સાહન આપવું” એમ કરી શકાય છે.
- નોંધ રાખો કે “સલાહ” શબ્દ “ન્યાયસભા” શબ્દ કરતાં જુદો છે, જે લોકોનું જૂથ દર્શાવે છે.
(તેને પણ જુઓ: બોધ, પવિત્ર આત્મા, ડાહ્યું)
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H1697, H1847, H1875, H1884, H1907, H2940, H3245, H3272, H3289, H3982, H4156, H4431, H5475, H5779, H5843, H6440, H6963, H6098, H7592, H8458, G1010, G1011, G1012, G1106, G4823, G4824, G4825
સાચું, સત્ય, સત્ય
વ્યાખ્યા:
"સત્ય" શબ્દ એક અથવા વધુ ખ્યાલો છે જે હકીકતો છે, વાસ્તવમાં જે ઘટનાઓ બને છે, અને વાસ્તવમાં કહેવામાં આવતા નિવેદનોનો ઉલ્લેખ કરે છે.
આવા ખ્યાલોને "સાચા" કહેવાય છે.
- સાચી વસ્તુઓ વાસ્તવિક, અસલી, વાસ્તવિક, યોગ્ય, કાયદેસર અને હકીકતલક્ષી છે.
- સત્ય એક સમજ, માન્યતા, હકીકત અથવા નિવેદન છે જે સાચું છે.
- એમ કહેવું કે ભવિષ્યવાણી "સાચી પડી" અથવા "સાચી થઈ જશે" એનો અર્થ એ થયો કે તે વાસ્તવમાં આગાહી પ્રમાણે થયું કે તે તે રીતે થશે.
- સત્યમાં એવી રીતે કામ કરવાના ખ્યાલનો સમાવેશ થાય છે જે વિશ્વસનીય અને વફાદાર છે.
- ઈસુએ ઈશ્વરનું સત્ય તેમણે કહેલા શબ્દોમાં પ્રગટ કર્યું..
- ઈશ્વરનો શબ્દ સત્ય છે.
તે ખરેખર જે થયું છે તે વિશે કહે છે અને ઈશ્વર વિશે અને તેમણે જે કંઈ પણ બનાવ્યું છે તે બધું સાચું છે તે વિશે તે શીખવે છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- સંદર્ભ અને તેના વર્ણનના આધારે, "સાચું" શબ્દનો અનુવાદ "વાસ્તવિક" અથવા "વાસ્તવિક" અથવા "સાચા" અથવા "ખરું" અથવા "ચોક્કસ" અથવા "અસલી" પણ કરી શકાય છે.
- "સત્ય" શબ્દને ભાષાંતર કરવાની રીતોમાં "સાચું શું છે" અથવા "હકીકત" અથવા "નિશ્ચિતતા" અથવા "સિદ્ધાંત" શામેલ હોઈ શકે છે.
- "સાચું થયું છે" અભિવ્યક્તિ "પૂર્ણ થાય છે" અથવા "આગાહી પ્રમાણે થવું" તરીકે અનુવાદિત કરવામાં આવે છે.
- "સત્ય કહો" અથવા "સત્ય બોલો" અભિવ્યક્તિનો " શું સાચું છે તે કહો " અથવા " ખરેખર શું થયું તે કહો " અથવા " જે વિશ્વસનીય છે કહો." તરીકે પણ અનુવાદ કરી શકાય.
- "સત્ય સ્વીકારવું"નું ભાષાંતર કરી શકાય છે " ઈશ્વર વિશે જે સાચું છે તે માનવું "
- "આત્મામાં તથા સત્યમાં દેવની ભક્તિ કરવી" જેવી અભિવ્યક્તિનું, "સત્યમાં" શબ્દનો અર્થ "ઈશ્વરે આપણને જે શીખવ્યું છે તે પાળવું" એવુંભાષાંતર કરી શકાય છે.
(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ), પરિપૂર્ણ થવું, આજ્ઞા પાળવી, પ્રબોધક, સમજવું)
બાઇબલના સંદર્ભો:
- 1 કોરિંથી 5:6-8
- 1યોહાન 1:5-7
- 1યોહાન 2:7-8
- 3યોહાન 1:5-8
- પ્રેરિતોનાં કૃત્યો 26:24-26
- કલોસી 1:4-6
- ઉત્પત્તિ 47:29-31
- યાકૂબ 1:17-18
- યાકૂબ 3:13-14
- યાકૂબ 5:19-20
- યર્મિયા 4:1-3
- યોહાન 1:9
- યોહાન 1:16-18
- યોહાન 1:49-51
- યોહાન 3:31-33
- યહોશુઆ 7:19-21
- યર્મિયાનો વિલાપ 5:19-22
- માથ્થી 8:8-10
- માથ્થી 12:15-17
- ગીતશાસ્ત્ર 26:1-3
- પ્રકટીકરણ 1:19-20
- પ્રકટીકરણ 15:3-4
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- [2:4 સર્પે સ્ત્રીને પ્રત્યુત્તર આપ્યો, 'તે સાચું નથી! તમે મરશો નહીં.”
- 14:6 તરત જ કાલેબ અને યહોશુઆએ, અન્ય બે જાસૂસોએ કહ્યું, "તે સાચું છે કે કનાનના લોકો ઉંચા અને મજબૂત છે, પણ આપણે તેમને હરાવી શકીએ છીએ!"
- 16:1 ઇઝરાયેલીઓએ યહોવાહ, સાચા ઈશ્વરને બદલે કનાની દેવોની પૂજા કરવાનું શરૂ કર્યું.
- [31:8 તેઓએ ઈસુની ભક્તિ કરી, તેમને કહ્યું, "સાચે જ, તમે ઈશ્વરના પુત્ર છો."
- 39:10 "હું પૃથ્વી પર ઇશ્વર વિશેનું સત્ય કહેવા આવ્યો છું. જે કોઈ સત્ય ને પ્રેમ કરે છે તે મારું સાંભળે છે." પિલાતે કહ્યું, " સત્ય શું છે?"
શબ્દ માહિતી:
- Strong's: H199, H389, H403, H529, H530, H543, H544, H551, H571, H935, H3321, H3330, H6237, H6656, H6965, H7187, H7189, G225, G226, G227, G228, G230, G1103, G3303, G3483, G3689, G4103, G4137
સાચું, સત્ય, સત્ય
વ્યાખ્યા:
"સત્ય" શબ્દ એક અથવા વધુ ખ્યાલો છે જે હકીકતો છે, વાસ્તવમાં જે ઘટનાઓ બને છે, અને વાસ્તવમાં કહેવામાં આવતા નિવેદનોનો ઉલ્લેખ કરે છે.
આવા ખ્યાલોને "સાચા" કહેવાય છે.
- સાચી વસ્તુઓ વાસ્તવિક, અસલી, વાસ્તવિક, યોગ્ય, કાયદેસર અને હકીકતલક્ષી છે.
- સત્ય એક સમજ, માન્યતા, હકીકત અથવા નિવેદન છે જે સાચું છે.
- એમ કહેવું કે ભવિષ્યવાણી "સાચી પડી" અથવા "સાચી થઈ જશે" એનો અર્થ એ થયો કે તે વાસ્તવમાં આગાહી પ્રમાણે થયું કે તે તે રીતે થશે.
- સત્યમાં એવી રીતે કામ કરવાના ખ્યાલનો સમાવેશ થાય છે જે વિશ્વસનીય અને વફાદાર છે.
- ઈસુએ ઈશ્વરનું સત્ય તેમણે કહેલા શબ્દોમાં પ્રગટ કર્યું..
- ઈશ્વરનો શબ્દ સત્ય છે.
તે ખરેખર જે થયું છે તે વિશે કહે છે અને ઈશ્વર વિશે અને તેમણે જે કંઈ પણ બનાવ્યું છે તે બધું સાચું છે તે વિશે તે શીખવે છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- સંદર્ભ અને તેના વર્ણનના આધારે, "સાચું" શબ્દનો અનુવાદ "વાસ્તવિક" અથવા "વાસ્તવિક" અથવા "સાચા" અથવા "ખરું" અથવા "ચોક્કસ" અથવા "અસલી" પણ કરી શકાય છે.
- "સત્ય" શબ્દને ભાષાંતર કરવાની રીતોમાં "સાચું શું છે" અથવા "હકીકત" અથવા "નિશ્ચિતતા" અથવા "સિદ્ધાંત" શામેલ હોઈ શકે છે.
- "સાચું થયું છે" અભિવ્યક્તિ "પૂર્ણ થાય છે" અથવા "આગાહી પ્રમાણે થવું" તરીકે અનુવાદિત કરવામાં આવે છે.
- "સત્ય કહો" અથવા "સત્ય બોલો" અભિવ્યક્તિનો " શું સાચું છે તે કહો " અથવા " ખરેખર શું થયું તે કહો " અથવા " જે વિશ્વસનીય છે કહો." તરીકે પણ અનુવાદ કરી શકાય.
- "સત્ય સ્વીકારવું"નું ભાષાંતર કરી શકાય છે " ઈશ્વર વિશે જે સાચું છે તે માનવું "
- "આત્મામાં તથા સત્યમાં દેવની ભક્તિ કરવી" જેવી અભિવ્યક્તિનું, "સત્યમાં" શબ્દનો અર્થ "ઈશ્વરે આપણને જે શીખવ્યું છે તે પાળવું" એવુંભાષાંતર કરી શકાય છે.
(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ), પરિપૂર્ણ થવું, આજ્ઞા પાળવી, પ્રબોધક, સમજવું)
બાઇબલના સંદર્ભો:
- 1 કોરિંથી 5:6-8
- 1યોહાન 1:5-7
- 1યોહાન 2:7-8
- 3યોહાન 1:5-8
- પ્રેરિતોનાં કૃત્યો 26:24-26
- કલોસી 1:4-6
- ઉત્પત્તિ 47:29-31
- યાકૂબ 1:17-18
- યાકૂબ 3:13-14
- યાકૂબ 5:19-20
- યર્મિયા 4:1-3
- યોહાન 1:9
- યોહાન 1:16-18
- યોહાન 1:49-51
- યોહાન 3:31-33
- યહોશુઆ 7:19-21
- યર્મિયાનો વિલાપ 5:19-22
- માથ્થી 8:8-10
- માથ્થી 12:15-17
- ગીતશાસ્ત્ર 26:1-3
- પ્રકટીકરણ 1:19-20
- પ્રકટીકરણ 15:3-4
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- [2:4 સર્પે સ્ત્રીને પ્રત્યુત્તર આપ્યો, 'તે સાચું નથી! તમે મરશો નહીં.”
- 14:6 તરત જ કાલેબ અને યહોશુઆએ, અન્ય બે જાસૂસોએ કહ્યું, "તે સાચું છે કે કનાનના લોકો ઉંચા અને મજબૂત છે, પણ આપણે તેમને હરાવી શકીએ છીએ!"
- 16:1 ઇઝરાયેલીઓએ યહોવાહ, સાચા ઈશ્વરને બદલે કનાની દેવોની પૂજા કરવાનું શરૂ કર્યું.
- [31:8 તેઓએ ઈસુની ભક્તિ કરી, તેમને કહ્યું, "સાચે જ, તમે ઈશ્વરના પુત્ર છો."
- 39:10 "હું પૃથ્વી પર ઇશ્વર વિશેનું સત્ય કહેવા આવ્યો છું. જે કોઈ સત્ય ને પ્રેમ કરે છે તે મારું સાંભળે છે." પિલાતે કહ્યું, " સત્ય શું છે?"
શબ્દ માહિતી:
- Strong's: H199, H389, H403, H529, H530, H543, H544, H551, H571, H935, H3321, H3330, H6237, H6656, H6965, H7187, H7189, G225, G226, G227, G228, G230, G1103, G3303, G3483, G3689, G4103, G4137
સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો
સત્યો:
“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે.
“સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.
- સાથીઓ એક સાથે અનુભવો કરે છે, જેમકે તેઓ એક સાથે ભોજન વહેંચે છે, અને એકબીજાને આધાર અને પ્રોત્સાહન પુરા પાડે છે.
- સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર, શબ્દ અથવા શબ્દસમૂહ વડે કરી શકાય જેનો અર્થ, “મિત્ર” અથવા “સાથી મુસાફર” અથવા “આધાર આપનાર વ્યક્તિ કે જે સાથે જાય છે” અથવા “વ્યક્તિ કે જે સાથે કામ કરે છે” તરીકે પણ કરી શકાય છે.
બાઈબલની કલમો:
- હઝકિયેલ 37:15-17
- હિબ્રૂ 1:8-9
- નીતિવચનો 2:16-17
- ગીતશાસ્ત્ર 38:11-12
શબ્દ માહિતી:
- Strong's: H251, H441, H2269, H2270, H2271, H2273, H2278, H3674, H3675, H4828, H7453, H7462, H7464, G2844, G3353, G4791, G4898, G4904
સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો
સત્યો:
“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે.
“સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.
- સાથીઓ એક સાથે અનુભવો કરે છે, જેમકે તેઓ એક સાથે ભોજન વહેંચે છે, અને એકબીજાને આધાર અને પ્રોત્સાહન પુરા પાડે છે.
- સંદર્ભ પર આધાર રાખીને, આ શબ્દનું ભાષાંતર, શબ્દ અથવા શબ્દસમૂહ વડે કરી શકાય જેનો અર્થ, “મિત્ર” અથવા “સાથી મુસાફર” અથવા “આધાર આપનાર વ્યક્તિ કે જે સાથે જાય છે” અથવા “વ્યક્તિ કે જે સાથે કામ કરે છે” તરીકે પણ કરી શકાય છે.
બાઈબલની કલમો:
- હઝકિયેલ 37:15-17
- હિબ્રૂ 1:8-9
- નીતિવચનો 2:16-17
- ગીતશાસ્ત્ર 38:11-12
શબ્દ માહિતી:
- Strong's: H251, H441, H2269, H2270, H2271, H2273, H2278, H3674, H3675, H4828, H7453, H7462, H7464, G2844, G3353, G4791, G4898, G4904
સાદોક
તથ્યો:
રાજા દાઉદના શાસનકાળ દરમિયાન ઇઝરાયલમાં એક મહત્વપૂર્ણ મુખ્ય યાજકનું નામ સાદોક હતું.
- જ્યારે આબ્શાલોમે રાજા દાઉદ સામે બળવો કર્યો ત્યારે, સાદોકે દાઉદને ટેકો આપ્યો અને કરારકોશને યરૂશાલેમમાં પાછો લાવવા મદદ કરી.
- વર્ષો પછી, તેમણે દાઉદના દીકરા સુલેમાનને રાજા તરીકે અભિષિક્ત કરવા માટે સમારંભમાં ભાગ લીધો.
- સાદોક નામના બે જુદા જુદા પુરુષોએ નહેમ્યાહના સમય દરમિયાન યરૂશાલેમની દિવાલોને ફરીથી બાંધવામાં સહાય કરી.
- સાદોક રાજા યોથામના દાદાનું નામ પણ હતું.
(આ પણ જુઓ: કરારકોશ, દાઉદ, યોથામ, નહેમ્યા, રાજ કરવું, સુલેમાન)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 24:1-3
- 1રાજાઓ 1:26-27
- 2 શમુએલ 15:24-26
- માથ્થી 1:12-14
શબ્દ માહિતી:
સામર્થ્ય, સત્તા, શક્તિઓ
વ્યાખ્યા:
“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે.
“શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.
- “ઈશ્વરનું સામર્થ્ય” શબ્દ ઈશ્વરની બધું જ કરવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવી બાબતો કરવાની ક્ષમતા કે જે મનુષ્યો માટે અશક્ય હોય.
- ઈશ્વર પાસે તેઓએ સૃજેલી દરેક બાબત પર સંપૂર્ણ સત્તા છે.
- ઈશ્વર જે ઈચ્છે છે તે કરવા પોતાના લોકોને સામર્થ્ય આપે છે, કે જેથી જ્યારે તેઓ લોકોને સાજા કરે કે બીજા ચમત્કારો કરે ત્યારે, તેઓ તે ઈશ્વરના સામર્થ્યથી કરે.
- ઈસુ અને પવિત્ર આત્મા પાસે સમાન સામર્થ્ય છે કારણ કે તેઓ પણ ઈશ્વર છે.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભ અનુસાર, “સામર્થ” શબ્દનો અનુવાદ “ક્ષમતા” અથવા તો “બળ” અથવા તો “શક્તિ” અથવા તો “ચમત્કારો કરવાની ક્ષમતા” અથવા તો “નિયંત્રણ” તરીકે પણ કરી શકાય.
- “શક્તિઓ” શબ્દનો અનુવાદ “શક્તિશાળી જીવો” અથવા તો “નિયંત્રણ કરનારા આત્માઓ” અથવા તો “જેઓ બીજાઓને નિયંત્રિત કરે છે તેઓ” તરીકે કરી શકાય.
- “અમારા શત્રુઓના સામર્થ્યથી અમને બચાવ” તે અભિવ્યક્તિનો અનુવાદ “અમારા શત્રુઓના જુલમથી અમને બચાવ” અથવા તો “અમારા શત્રુઓની ચૂંગાલમાંથી અમને છોડાવ” તરીકે કરી શકાય.
આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.
(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)
બાઇબલના સંદર્ભો:
- 1 થેસ્સલોનિકી 1:4-5
- ક્લોસ્સી 1:11-12
- ઉત્પત્તિ 31:29-31
- યર્મિયા 18:21-23
- યહૂદા 1:24-25
- ન્યાયાધીશો 2:18-19
- લૂક 1:16-17
- લૂક 4:14-15
- માથ્થી 26:62-64
- ફિલિપી 3:20-21
- ગીતશાસ્ત્ર 80:1-3
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 22:5 દૂતે સમજાવ્યું, “પવિત્ર આત્મા તારા પર આવશે અને ઈશ્વરનું સામર્થ તારા પર આચ્છાદાન કરશે.
તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.
- 26:1 શેતાનના પરીક્ષણો પર વિજય પામ્યા બાદ, ઈસુ પવિત્ર આત્માના સામર્થ્યમાં ગાલીલના પ્રદેશમાં કે જ્યાં તેઓ રહેતા હતા ત્યાં પાછા ફર્યા.
- 32:15 તરત જ ઈસુને ખબર પડી કે તેમનામાંથી સામર્થ્ય નિકળ્યું હતું.
- 42:11 ઈસુ મરણમાંથી સજીવન થયાના ચાલીસ દિવસ બાદ, તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવે ત્યારે મારા પિતા તમને સામર્થ આપે ત્યાં સુધી યરૂશાલેમમાં રહો.”
- 43:6 “ઇઝરાયલના માણસો, જેમ તમે જોયું છે અને જાણો છો તેમ ઈસુ એ માણસ હતા કે જેમણે ઈશ્વરના સામર્થ્યથી મહાન ચિહ્નો અને આશ્ચર્યકૃત્યો કર્યા.”
- 44:8 પિતરે તેઓને જવાબ આપ્યો, “આ માણસ તમારી સમક્ષ ઈસુ મસીહાના સામર્થ્યથી સાજો થઈને ઊભો છે.”
શબ્દ માહિતી:
- Strong's: H410, H1369, H2220, H2428, H2429, H2632, H3027, H3028, H3581, H4475, H4910, H5794, H5797, H5808, H6184, H7786, H7980, H7981, H7983, H7989, H8280, H8592, H8633, G1411, G1415, G1756, G1849, G1850, G2478, G2479, G2904, G3168
સામર્થ્ય, સત્તા, શક્તિઓ
વ્યાખ્યા:
“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે.
“શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.
- “ઈશ્વરનું સામર્થ્ય” શબ્દ ઈશ્વરની બધું જ કરવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવી બાબતો કરવાની ક્ષમતા કે જે મનુષ્યો માટે અશક્ય હોય.
- ઈશ્વર પાસે તેઓએ સૃજેલી દરેક બાબત પર સંપૂર્ણ સત્તા છે.
- ઈશ્વર જે ઈચ્છે છે તે કરવા પોતાના લોકોને સામર્થ્ય આપે છે, કે જેથી જ્યારે તેઓ લોકોને સાજા કરે કે બીજા ચમત્કારો કરે ત્યારે, તેઓ તે ઈશ્વરના સામર્થ્યથી કરે.
- ઈસુ અને પવિત્ર આત્મા પાસે સમાન સામર્થ્ય છે કારણ કે તેઓ પણ ઈશ્વર છે.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભ અનુસાર, “સામર્થ” શબ્દનો અનુવાદ “ક્ષમતા” અથવા તો “બળ” અથવા તો “શક્તિ” અથવા તો “ચમત્કારો કરવાની ક્ષમતા” અથવા તો “નિયંત્રણ” તરીકે પણ કરી શકાય.
- “શક્તિઓ” શબ્દનો અનુવાદ “શક્તિશાળી જીવો” અથવા તો “નિયંત્રણ કરનારા આત્માઓ” અથવા તો “જેઓ બીજાઓને નિયંત્રિત કરે છે તેઓ” તરીકે કરી શકાય.
- “અમારા શત્રુઓના સામર્થ્યથી અમને બચાવ” તે અભિવ્યક્તિનો અનુવાદ “અમારા શત્રુઓના જુલમથી અમને બચાવ” અથવા તો “અમારા શત્રુઓની ચૂંગાલમાંથી અમને છોડાવ” તરીકે કરી શકાય.
આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.
(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)
બાઇબલના સંદર્ભો:
- 1 થેસ્સલોનિકી 1:4-5
- ક્લોસ્સી 1:11-12
- ઉત્પત્તિ 31:29-31
- યર્મિયા 18:21-23
- યહૂદા 1:24-25
- ન્યાયાધીશો 2:18-19
- લૂક 1:16-17
- લૂક 4:14-15
- માથ્થી 26:62-64
- ફિલિપી 3:20-21
- ગીતશાસ્ત્ર 80:1-3
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 22:5 દૂતે સમજાવ્યું, “પવિત્ર આત્મા તારા પર આવશે અને ઈશ્વરનું સામર્થ તારા પર આચ્છાદાન કરશે.
તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.
- 26:1 શેતાનના પરીક્ષણો પર વિજય પામ્યા બાદ, ઈસુ પવિત્ર આત્માના સામર્થ્યમાં ગાલીલના પ્રદેશમાં કે જ્યાં તેઓ રહેતા હતા ત્યાં પાછા ફર્યા.
- 32:15 તરત જ ઈસુને ખબર પડી કે તેમનામાંથી સામર્થ્ય નિકળ્યું હતું.
- 42:11 ઈસુ મરણમાંથી સજીવન થયાના ચાલીસ દિવસ બાદ, તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવે ત્યારે મારા પિતા તમને સામર્થ આપે ત્યાં સુધી યરૂશાલેમમાં રહો.”
- 43:6 “ઇઝરાયલના માણસો, જેમ તમે જોયું છે અને જાણો છો તેમ ઈસુ એ માણસ હતા કે જેમણે ઈશ્વરના સામર્થ્યથી મહાન ચિહ્નો અને આશ્ચર્યકૃત્યો કર્યા.”
- 44:8 પિતરે તેઓને જવાબ આપ્યો, “આ માણસ તમારી સમક્ષ ઈસુ મસીહાના સામર્થ્યથી સાજો થઈને ઊભો છે.”
શબ્દ માહિતી:
- Strong's: H410, H1369, H2220, H2428, H2429, H2632, H3027, H3028, H3581, H4475, H4910, H5794, H5797, H5808, H6184, H7786, H7980, H7981, H7983, H7989, H8280, H8592, H8633, G1411, G1415, G1756, G1849, G1850, G2478, G2479, G2904, G3168
સારા, સારાય
તથ્યો:
- સારા ઈબ્રાહિમની પત્ની હતી.
- મૂળ રીતે તેણીનું નામ “સારાય” હતું પરંતુ ઈશ્વરે તે બદલીને “સારા” કર્યું.
- સારાએ ઈસહાકને જન્મ આપ્યો, દીકરો કે જેનું વચન ઈશ્વરે ઈબ્રાહિમ અને તેણીને આપ્યું હતું.
(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)
બાઈબલના સંદર્ભો:
- ઉત્પતિ 11:29-30
- ઉત્પતિ 11:31-32
- ઉત્પતિ 17:15-16
- ઉત્પતિ 25:9-11
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 5:1 “તેથી ઈબ્રાહિમની પત્ની, સારાયે, તેને કહ્યું, “ઈશ્વરે મને બાળકો થાય એ માટે હજુ પરવાનગી આપી નથી અને બાળકોને પ્રાપ્ત કરવાં હવે હું ખુબ વૃદ્ધ થઈ છું, અહિયાં મારી દાસી છે, હાગાર.
તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”
- 5:4 "'તારી પત્ની, સારા, દીકરો થશે—તે વચનનો દીકરો થશે.'"
- 5:4 "ઈશ્વરે સારાયનું નામ પણ બદલી નાંખ્યું સારા કરીને, જેનો અર્થ "રાજકુમારી" થાય છે.
- 5:5 "આશરે એક વરસ પછી, જ્યારે ઈબ્રાહિમ 100 વર્ષનો હતો અને સારા 90 વર્ષની હતી, ત્યારે સારાએ ઈબ્રાહિમના દીકરાને જન્મ આપ્યો.
જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."
શબ્દ માહિતી:
- Strong's: H8283, H8297, G4564
સારા, સારાય
તથ્યો:
- સારા ઈબ્રાહિમની પત્ની હતી.
- મૂળ રીતે તેણીનું નામ “સારાય” હતું પરંતુ ઈશ્વરે તે બદલીને “સારા” કર્યું.
- સારાએ ઈસહાકને જન્મ આપ્યો, દીકરો કે જેનું વચન ઈશ્વરે ઈબ્રાહિમ અને તેણીને આપ્યું હતું.
(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)
બાઈબલના સંદર્ભો:
- ઉત્પતિ 11:29-30
- ઉત્પતિ 11:31-32
- ઉત્પતિ 17:15-16
- ઉત્પતિ 25:9-11
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 5:1 “તેથી ઈબ્રાહિમની પત્ની, સારાયે, તેને કહ્યું, “ઈશ્વરે મને બાળકો થાય એ માટે હજુ પરવાનગી આપી નથી અને બાળકોને પ્રાપ્ત કરવાં હવે હું ખુબ વૃદ્ધ થઈ છું, અહિયાં મારી દાસી છે, હાગાર.
તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”
- 5:4 "'તારી પત્ની, સારા, દીકરો થશે—તે વચનનો દીકરો થશે.'"
- 5:4 "ઈશ્વરે સારાયનું નામ પણ બદલી નાંખ્યું સારા કરીને, જેનો અર્થ "રાજકુમારી" થાય છે.
- 5:5 "આશરે એક વરસ પછી, જ્યારે ઈબ્રાહિમ 100 વર્ષનો હતો અને સારા 90 વર્ષની હતી, ત્યારે સારાએ ઈબ્રાહિમના દીકરાને જન્મ આપ્યો.
જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."
શબ્દ માહિતી:
- Strong's: H8283, H8297, G4564
સારું, ભલાઈ
વ્યાખ્યા:
સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે.
ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.
- સામાન્ય રીતે, કંઈક કે જે દેવના ચારિત્ર્ય, હેતુઓ, અને ઈચ્છા સાથે બંધબેસતું છે તો તે સારું છે.
- જે કાંઇક પ્રશંસનીય, ઉત્તમ, ઉપયોગી, યોગ્ય, નફાકારક, અને નૈતિક રીતે સાચું છે, તેને “સારું” કહી શકાય છે.
- જમીન કે જે “સારી” છે તેને “ફળદાયી” અને “ઉત્પાદક” કહી શકાય છે.
- “સારા” પાકને “પુષ્કળ” પાક કહી શકાય છે.
- જે વ્યક્તિ તેના પોતાના કાર્ય અથવા વ્યવસાયમાં કુનેહ હોય તેને તેને “સારી” કહી શકાય, અભિવ્યક્તિ જેવી કે, “સારો ખેડૂત.”
- મોટેભાગે બાઈબલમાં, “સારા” શબ્દનો સામાન્ય અર્થ “દુષ્ટ” શબ્દની વિરોધાભાસમાં દર્શાવવામાં આવ્યો છે.
- સામાન્ય રીતે “ભલાઈ” શબ્દ નૈતિક રીતે સારા હોવું, અથવા વિચારો અને કાર્યોમાં પ્રામાણિક હોવું તે દર્શાવે છે.
- દેવની ભલાઈ તે કેવી રીતે લોકોને સારી અને ગુણકારી વસ્તુઓ આપીને તેઓને આશીર્વાદ આપે છે તે દર્શાવે છે.
તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- લક્ષ્ય ભાષામાં જયારે “સારા” (શબ્દ) માટેનો સામાન્ય શબ્દનો અર્થ ચોક્કસ અને કુદરતી હોય, ખાસ કરીને સંદર્ભોમાં જયારે તે દુષ્ટની સામે વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો હોય ત્યારે તેનો ઉપયોગ કરવો.
- સંદર્ભ પર આધાર રાખીને, બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “માયાળુ” અથવા “ઉત્તમ” અથવા “દેવની પ્રશંસા કરનારું” અથવા “પ્રામાણિક” અથવા “નૈતિક રીતે સારા” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
- “સારી જમીન” શબ્દનું ભાષાંતર, “ફળદ્રુપ જમીન” અથવા “ઉત્પાદક જમીન” તરીકે કરી શકાય છે; “સારો પાક” શબ્દનું ભાષાંતર, “પુષ્કળ ફસલ” અથવા “મોટા પ્રમાણમાં પાક” તરીકે કરી શકાય છે.
- “સારું કરો” શબ્દસમૂહનો અર્થ, એવું કાંઇક કરો કે જેથી બીજાઓને લાભ થાય અને તેનું ભાષાંતર, “માયાળુ હોવું” અથવા “મદદ” અથવા કોઈકને “લાભ થાય” એમ થઇ શકે છે.
- “સબ્બાથ પર સારું કર” જેનો અર્થ, “સાબ્બાથ પર એવી બાબતો કરો કે જેથી લોકોને મદદ થાય.”
- સંદર્ભ પર આધાર રાખીને, “ભલાઈ” શબ્દનું ભાષાંતર એવી રીતે કરવામાં આવે જેમાં, “વરદાન” અથવા “દયા” અથવા “નૈતિક સંપૂર્ણતા” અથવા “ઈમાનદારી” અથવા “શુદ્ધતા” શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)
બાઈબલની કલમો:
- ગલાતી 5:22-24
- ઉત્પત્તિ 1:11-13
- ઉત્પત્તિ 2:9-10
- ઉત્પત્તિ 2:15-17
- યાકૂબ 3:13-14
- રોમન 2:3-4
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 1:4 દેવે જોયું કે તેણે જે બનાવ્યું તે સારું હતું
- 1:11 દેવે ભલું અને ભૂંડું જાણવાનું વૃક્ષ રોપ્યું.
- 1:12 પછી દેવે કહ્યું માણસ એકલો રહે તે તેના માટે સારું નથી.
- 2:4 “માત્ર દેવ જાણે છે કે જેવું તમે તે ખાશો, તમે દેવના જેવા અને તે જે કરે છે તેવાં ભલું અને ભૂંડું જાણનારા થશો.
- 8:12 જયારે તમે મને ગુલામ તરીકે વેચ્યો ત્યારે તમે મારું ભૂંડું કરવા પ્રયત્ન કર્યો, પણ દેવે ભૂંડાનો સારા માટે ઉપયોગ કર્યો.
- 14:15 યહોશુઆ એક સારો આગેવાન હતો, કારણકે તેને ઈશ્વર પર ભરોસો રાખ્યો અને તેને આધીન થયો.
- 18:13 તેમાંના કેટલાક રાજાઓ સારા માણસો હતા કે જેઓએ ન્યાયથી રાજ કર્યું અને દેવની આરાધના કરી.
- 28:1 “ સારા શિક્ષક, અનંતજીવન પામવા માટે મારે શું કરવું જોઈએ?” ઈસુએ તેને કહ્યું, “તું મને ‘સારો’ શા માટે કહે છે? ફક્ત એક જ જે સારો છે, અને તે દેવ છે.”
શબ્દ માહિતી:
- Strong's: H117, H145, H155, H202, H239, H410, H1580, H1926, H1935, H2532, H2617, H2623, H2869, H2895, H2896, H2898, H3190, H3191, H3276, H3474, H3788, H3966, H4261, H4399, H5232, H5750, H6287, H6643, H6743, H7075, H7368, H7399, H7443, H7999, H8231, H8232, H8233, H8389, H8458, G14, G15, G18, G19, G515, G744, G865, G979, G1380, G2095, G2097, G2106, G2107, G2108, G2109, G2114, G2115, G2133, G2140, G2162, G2163, G2174, G2293, G2565, G2567, G2570, G2573, G2887, G2986, G3140, G3617, G3776, G4147, G4632, G4674, G4851, G5223, G5224, G5358, G5542, G5543, G5544
સારું, ભલાઈ
વ્યાખ્યા:
સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે.
ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.
- સામાન્ય રીતે, કંઈક કે જે દેવના ચારિત્ર્ય, હેતુઓ, અને ઈચ્છા સાથે બંધબેસતું છે તો તે સારું છે.
- જે કાંઇક પ્રશંસનીય, ઉત્તમ, ઉપયોગી, યોગ્ય, નફાકારક, અને નૈતિક રીતે સાચું છે, તેને “સારું” કહી શકાય છે.
- જમીન કે જે “સારી” છે તેને “ફળદાયી” અને “ઉત્પાદક” કહી શકાય છે.
- “સારા” પાકને “પુષ્કળ” પાક કહી શકાય છે.
- જે વ્યક્તિ તેના પોતાના કાર્ય અથવા વ્યવસાયમાં કુનેહ હોય તેને તેને “સારી” કહી શકાય, અભિવ્યક્તિ જેવી કે, “સારો ખેડૂત.”
- મોટેભાગે બાઈબલમાં, “સારા” શબ્દનો સામાન્ય અર્થ “દુષ્ટ” શબ્દની વિરોધાભાસમાં દર્શાવવામાં આવ્યો છે.
- સામાન્ય રીતે “ભલાઈ” શબ્દ નૈતિક રીતે સારા હોવું, અથવા વિચારો અને કાર્યોમાં પ્રામાણિક હોવું તે દર્શાવે છે.
- દેવની ભલાઈ તે કેવી રીતે લોકોને સારી અને ગુણકારી વસ્તુઓ આપીને તેઓને આશીર્વાદ આપે છે તે દર્શાવે છે.
તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- લક્ષ્ય ભાષામાં જયારે “સારા” (શબ્દ) માટેનો સામાન્ય શબ્દનો અર્થ ચોક્કસ અને કુદરતી હોય, ખાસ કરીને સંદર્ભોમાં જયારે તે દુષ્ટની સામે વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો હોય ત્યારે તેનો ઉપયોગ કરવો.
- સંદર્ભ પર આધાર રાખીને, બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “માયાળુ” અથવા “ઉત્તમ” અથવા “દેવની પ્રશંસા કરનારું” અથવા “પ્રામાણિક” અથવા “નૈતિક રીતે સારા” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
- “સારી જમીન” શબ્દનું ભાષાંતર, “ફળદ્રુપ જમીન” અથવા “ઉત્પાદક જમીન” તરીકે કરી શકાય છે; “સારો પાક” શબ્દનું ભાષાંતર, “પુષ્કળ ફસલ” અથવા “મોટા પ્રમાણમાં પાક” તરીકે કરી શકાય છે.
- “સારું કરો” શબ્દસમૂહનો અર્થ, એવું કાંઇક કરો કે જેથી બીજાઓને લાભ થાય અને તેનું ભાષાંતર, “માયાળુ હોવું” અથવા “મદદ” અથવા કોઈકને “લાભ થાય” એમ થઇ શકે છે.
- “સબ્બાથ પર સારું કર” જેનો અર્થ, “સાબ્બાથ પર એવી બાબતો કરો કે જેથી લોકોને મદદ થાય.”
- સંદર્ભ પર આધાર રાખીને, “ભલાઈ” શબ્દનું ભાષાંતર એવી રીતે કરવામાં આવે જેમાં, “વરદાન” અથવા “દયા” અથવા “નૈતિક સંપૂર્ણતા” અથવા “ઈમાનદારી” અથવા “શુદ્ધતા” શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)
બાઈબલની કલમો:
- ગલાતી 5:22-24
- ઉત્પત્તિ 1:11-13
- ઉત્પત્તિ 2:9-10
- ઉત્પત્તિ 2:15-17
- યાકૂબ 3:13-14
- રોમન 2:3-4
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 1:4 દેવે જોયું કે તેણે જે બનાવ્યું તે સારું હતું
- 1:11 દેવે ભલું અને ભૂંડું જાણવાનું વૃક્ષ રોપ્યું.
- 1:12 પછી દેવે કહ્યું માણસ એકલો રહે તે તેના માટે સારું નથી.
- 2:4 “માત્ર દેવ જાણે છે કે જેવું તમે તે ખાશો, તમે દેવના જેવા અને તે જે કરે છે તેવાં ભલું અને ભૂંડું જાણનારા થશો.
- 8:12 જયારે તમે મને ગુલામ તરીકે વેચ્યો ત્યારે તમે મારું ભૂંડું કરવા પ્રયત્ન કર્યો, પણ દેવે ભૂંડાનો સારા માટે ઉપયોગ કર્યો.
- 14:15 યહોશુઆ એક સારો આગેવાન હતો, કારણકે તેને ઈશ્વર પર ભરોસો રાખ્યો અને તેને આધીન થયો.
- 18:13 તેમાંના કેટલાક રાજાઓ સારા માણસો હતા કે જેઓએ ન્યાયથી રાજ કર્યું અને દેવની આરાધના કરી.
- 28:1 “ સારા શિક્ષક, અનંતજીવન પામવા માટે મારે શું કરવું જોઈએ?” ઈસુએ તેને કહ્યું, “તું મને ‘સારો’ શા માટે કહે છે? ફક્ત એક જ જે સારો છે, અને તે દેવ છે.”
શબ્દ માહિતી:
- Strong's: H117, H145, H155, H202, H239, H410, H1580, H1926, H1935, H2532, H2617, H2623, H2869, H2895, H2896, H2898, H3190, H3191, H3276, H3474, H3788, H3966, H4261, H4399, H5232, H5750, H6287, H6643, H6743, H7075, H7368, H7399, H7443, H7999, H8231, H8232, H8233, H8389, H8458, G14, G15, G18, G19, G515, G744, G865, G979, G1380, G2095, G2097, G2106, G2107, G2108, G2109, G2114, G2115, G2133, G2140, G2162, G2163, G2174, G2293, G2565, G2567, G2570, G2573, G2887, G2986, G3140, G3617, G3776, G4147, G4632, G4674, G4851, G5223, G5224, G5358, G5542, G5543, G5544
સાવધાન, ભયની સુચના આપવી, ભયભીત
સત્યો:
સાવધાની તે આવનાર ભયની સુચના છે જેનાથી લોકોને નુકશાન થઈ શકે છે.
“સાવધાન થવું” એટલે, કાંઈક જોખમી અથવા ધમકીને લીધે ચિંતા થાય અને ડર લાગે.
- યહોશાફાટ રાજાએ જયારે જાણ્યું કે મોઆબીઓ યહુદાના રાજ્ય પર હુમલો કરનારા છે ત્યારે તે ભયભીત થયો.
- ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે જયારે તમે છેલ્લા દિવસોમાં આફતો આવતી જુઓ ત્યારે ભયભીત થશો નહીં.
- “ભયની સુચના આપવી” એ અભિવ્યક્તિ દર્શાવે છે કે ચેતવણી આપવી.
જુના જમાનામાં કોઈને ચેતવણી આપવા માટે રણશિંગું ફુંકીને અવાજ કરવામાં આવતો.
ભાષાંતરના સૂચનો
- “કોઈને સાવધાન કરવું” તેનો અર્થ “કોઈને ચિંતા કરાવવી” અથવા “કોઈને ચિંતામાં નાખવા.”
- “સાવધાન થવું” તેનું ભાષાંતર “ચિંતા થવી” અથવા “ડર લાગવો” અથવા “કોઈની વિશે ચિંતા થવી” એમ થઇ શકે છે.
- “સાવધાન કરવું” એ અભિવ્યક્તિનું ભાષાંતર “જાહેર ચેતવણી આપવી” અથવા “આવનાર ભય વિશે જાહેરાત કરવી” અથવા “આવનાર ભય વિશે રણશિંગડું ફુંકવું” એમ થઈ શકે છે.
(જુઓ: યહોશાફાટ, મોઆબ)
બાઈબલની કલમો:
- દાનિએલ 11:44-45
- યર્મિયા 4: 19-20
- ગણના 10:9
શબ્દ માહિતી:
સાવધાન, ભયની સુચના આપવી, ભયભીત
સત્યો:
સાવધાની તે આવનાર ભયની સુચના છે જેનાથી લોકોને નુકશાન થઈ શકે છે.
“સાવધાન થવું” એટલે, કાંઈક જોખમી અથવા ધમકીને લીધે ચિંતા થાય અને ડર લાગે.
- યહોશાફાટ રાજાએ જયારે જાણ્યું કે મોઆબીઓ યહુદાના રાજ્ય પર હુમલો કરનારા છે ત્યારે તે ભયભીત થયો.
- ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે જયારે તમે છેલ્લા દિવસોમાં આફતો આવતી જુઓ ત્યારે ભયભીત થશો નહીં.
- “ભયની સુચના આપવી” એ અભિવ્યક્તિ દર્શાવે છે કે ચેતવણી આપવી.
જુના જમાનામાં કોઈને ચેતવણી આપવા માટે રણશિંગું ફુંકીને અવાજ કરવામાં આવતો.
ભાષાંતરના સૂચનો
- “કોઈને સાવધાન કરવું” તેનો અર્થ “કોઈને ચિંતા કરાવવી” અથવા “કોઈને ચિંતામાં નાખવા.”
- “સાવધાન થવું” તેનું ભાષાંતર “ચિંતા થવી” અથવા “ડર લાગવો” અથવા “કોઈની વિશે ચિંતા થવી” એમ થઇ શકે છે.
- “સાવધાન કરવું” એ અભિવ્યક્તિનું ભાષાંતર “જાહેર ચેતવણી આપવી” અથવા “આવનાર ભય વિશે જાહેરાત કરવી” અથવા “આવનાર ભય વિશે રણશિંગડું ફુંકવું” એમ થઈ શકે છે.
(જુઓ: યહોશાફાટ, મોઆબ)
બાઈબલની કલમો:
- દાનિએલ 11:44-45
- યર્મિયા 4: 19-20
- ગણના 10:9
શબ્દ માહિતી:
સિદોન, સિદોનીઓ
તથ્યો:
સિદોન કનાનનો મોટો દીકરો હતો.
ત્યાં એક કનાની શહેર સિદોન નામનું પણ હતું, કદાચ તેનું નામ કનાનના દીકરા પરથી પાડવામાં આવ્યું હોય.
- સિદોન શહેર ભૂમધ્ય સમુદ્રના કિનારે ઇઝરાયલના ઉત્તરપશ્ચિમમાં એક પ્રદેશમાં આવેલું હતું જે હાલના લબાનોનના દેશનો ભાગ છે.
- "સિદોનીઓ" એક ફિનીકિયા લોકોનો સમૂહ હતો, જે પ્રાચીન સિદોન અને તેની આસપાસના પ્રદેશમાં રહેતા હતા.
- બાઈબલમાં, સિદોન બહુ જ નજીકથી તૂર શહેર સાથે સંકળાયેલું હતું, અને બંને શહેરો તેમની સંપત્તિ અને તેમના લોકોના અનૈતિક વર્તનને કારણે ઓળખાતું હતું.
(આ પણ જુઓ: કનાન, નૂહ, ફિનીકિયા, સમુદ્ર, તૂર)
બાઈબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 12:20-21
- પ્રેરિતોના કૃત્યો 27:3-6
- ઉત્પતિ 10:15-18
- ઉત્પતિ 10:19-20
- માર્ક 3:7-8
- માથ્થી 11:20-22
- માથ્થી 15:21-23
શબ્દ માહિતી:
- Strong's: H6721, H6722, G4605, G4606
સિદોન, સિદોનીઓ
તથ્યો:
સિદોન કનાનનો મોટો દીકરો હતો.
ત્યાં એક કનાની શહેર સિદોન નામનું પણ હતું, કદાચ તેનું નામ કનાનના દીકરા પરથી પાડવામાં આવ્યું હોય.
- સિદોન શહેર ભૂમધ્ય સમુદ્રના કિનારે ઇઝરાયલના ઉત્તરપશ્ચિમમાં એક પ્રદેશમાં આવેલું હતું જે હાલના લબાનોનના દેશનો ભાગ છે.
- "સિદોનીઓ" એક ફિનીકિયા લોકોનો સમૂહ હતો, જે પ્રાચીન સિદોન અને તેની આસપાસના પ્રદેશમાં રહેતા હતા.
- બાઈબલમાં, સિદોન બહુ જ નજીકથી તૂર શહેર સાથે સંકળાયેલું હતું, અને બંને શહેરો તેમની સંપત્તિ અને તેમના લોકોના અનૈતિક વર્તનને કારણે ઓળખાતું હતું.
(આ પણ જુઓ: કનાન, નૂહ, ફિનીકિયા, સમુદ્ર, તૂર)
બાઈબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 12:20-21
- પ્રેરિતોના કૃત્યો 27:3-6
- ઉત્પતિ 10:15-18
- ઉત્પતિ 10:19-20
- માર્ક 3:7-8
- માથ્થી 11:20-22
- માથ્થી 15:21-23
શબ્દ માહિતી:
- Strong's: H6721, H6722, G4605, G4606
સિદ્ધાંત
વ્યાખ્યા:
“સિદ્ધાંત” શબ્દનો શાબ્દિક અર્થ “શિક્ષણ” છે.
સામાન્ય રીતે તે ધાર્મિક શિક્ષણને દર્શાવે છે.
- ખ્રિસ્તી શિક્ષણના સદર્ભમાં, “સિદ્ધાંત,” તે દેવ, પુત્ર અને પવિત્રઆત્મા - તેના બધાંજ ચરિત્ર ગુણો સહિત, તથા તેણે જે બધું કર્યું છે તે વિશેના સઘળા શિક્ષણને દર્શાવે છે.
- દેવે ખ્રિસ્તીઓને તેના માટે મહિમા લાવવા કેવી રીતે પવિત્ર જીવન જીવવું તે બધી બાબતો દર્શાવે છે, અને શીખવે છે.
- ક્યારેક “સિદ્ધાંત” શબ્દ, ખોટું અથવા દુન્યવી ધાર્મિક શિક્ષણ કે જે માનવજાત દ્વારા આવે છે, તે દર્શાવવા પણ (આ શબ્દ) વાપરવામાં આવ્યો છે.
સંદર્ભ આ અર્થને સ્પષ્ટ કરે છે.
- આ શબ્દનું ભાષાંતર “શિક્ષણ” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: શીખવવું)
બાઈબલની કલમો:
- 1 તિમોથી 1:3-4
- 2 તિમોથી 3:16-17
- માર્ક 7:6-7
- માથ્થી 15:7-9
શબ્દ માહિતી:
- Strong's: H3948, H4148, H8052, G1319, G1322, G2085
સિનાઈ, સિનાઈ પર્વત
તથ્યો:
સિનાઈ પર્વત એક પહાડ છે તે કદાચ હાલના સિનાઈ દ્વીપકલ્પના દક્ષિણ ભાગે સ્થિત છે.
તેને “હોરેબ પર્વત” તરીકે પણ ઓળખવામાં આવતો હતો.
- સિનાઈ પર્વત મોટા, પથરાળ રણનો એક ભાગ છે.
- ઈઝરાયેલીઓ જ્યારે ઈજીપ્તથી વચનના દેશ ભણી મુસાફરી કરતાં હતા ત્યારે તેઓ સિનાઈ પર્વત પર આવ્યા.
- ઈશ્વરે મુસાને સિનાઈ પર્વત પર દસ આજ્ઞાઓ આપી હતી.
(આ પણ જુઓ: રણ, મિસર, હોરેબ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)
બાઈબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 7:29-30
- નિર્ગમન 16:1-3
- ગલાતીઓ 4:24-25
- લેવીય 27:34
- ગણના 1:17-19
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 13:1 ઈશ્વર ઈઝરાયેલીઓને લાલ સમુદ્રમાંથી દોર્ય બાદ, તેઓ તેમને વેરાન ઉજ્જડ પ્રદેશથી દોરી લઇ ગયા પર્વત સિનાઈ પર.
- 13:3 ત્રણ દિવસ બાદ, લોકોએ જ્યારે પોતાને આત્મિક રીતે તૈયાર કર્યા પછી, ઈશ્વર નીચે ઉતર્યા ટોચ પર સિનાઈ પર્વત પર મેઘગર્જના, વીજળી, ધુમાડા, અને મોટા રણશિંગડાના અવાજ સાથે.
- 13:11 ઘણાં દિવસો સુધી, મુસા ટોચ પર હતો સિનાઈ પર્વત પર ઈશ્વર સાથે વાતચીત કરતો હતો.
- 15:13 પછી યહોશુઆએ લોકોને ઈશ્વરે જે કરાર ઈઝરાયેલીઓ સાથે સિનાઈ પર્વત પર કર્યો હતો તેને આધીન થવા તેમની જવાબદારી વિષે યાદ અપાવ્યું.
શબ્દ માહિતી:
- Strong's: H2022, H5514, G3735, G4614
સિયોન, સિયોન પર્વત
વ્યાખ્યા:
અસલમાં, "સિયોન" અથવા " સિયોન પર્વત" શબ્દનો અર્થ કિલ્લાનો ગઢ અથવા ગઢ તરીકે ઓળખાય છે, જે રાજા દાઉદે યબૂસીઓની પાસેથી કબજે કર્યો હતો.
આ બંને શબ્દો અન્ય રીતે યરૂશાલેમનો ઉલ્લેખ કરતા બન્યા હતા.
- સિયોન પર્વત અને મોરીયાહ પર્વત બે ટેકરીઓ છે જેના પર યરૂશાલેમ શહેર આવેલું હતું.
બાદમાં, " સિયોન " અને " સિયોન પર્વત " આ પર્વતો અને યરૂશાલેમના શહેર બંને માટે સામાન્ય શબ્દો તરીકે ઉપયોગમાં લેવાય છે.
ક્યારેક તેઓ યરૂશાલેમમાં આવેલ મંદિરના ઉલ્લેખ માટે પણ થતો હતો.
- દાઉદ સિયોન, અથવા યરૂશાલેમ, નામ આપ્યું " દાઉદનું શહેર."
આ દાઉદના વતન, બેથલહેમથી અલગ છે, જેને દાઉદનું શહેર પણ કહેવામાં આવ્યું હતું.
- "સિયોન" શબ્દ ઇસ્રાએલ અથવા ઈશ્વરનું આધ્યાત્મિક સામ્રાજ્ય અથવા નવું, સ્વર્ગીય યરૂશાલેમ કે જેને ઈશ્વર બનાવશે તેનો ઉલ્લેખ કરવા માટે અન્ય રૂપકાત્મક રીતે ઉપયોગ થાય છે.
(આ પણ જુઓ: ઈબ્રાહિમ, દાઉદ, યરૂશાલેમ, બેથલેહેમ, યબૂસ)
બાઇબલ સંદર્ભો
- 1 કાળવૃતાંત 11:4-6
- આમોસ 1:1-2
- યર્મિયા 51:34-35
- ગીતશાસ્ત્ર 76:1-3
- રોમન 11:26-27
શબ્દ માહિતી:
સિયોન, સિયોન પર્વત
વ્યાખ્યા:
અસલમાં, "સિયોન" અથવા " સિયોન પર્વત" શબ્દનો અર્થ કિલ્લાનો ગઢ અથવા ગઢ તરીકે ઓળખાય છે, જે રાજા દાઉદે યબૂસીઓની પાસેથી કબજે કર્યો હતો.
આ બંને શબ્દો અન્ય રીતે યરૂશાલેમનો ઉલ્લેખ કરતા બન્યા હતા.
- સિયોન પર્વત અને મોરીયાહ પર્વત બે ટેકરીઓ છે જેના પર યરૂશાલેમ શહેર આવેલું હતું.
બાદમાં, " સિયોન " અને " સિયોન પર્વત " આ પર્વતો અને યરૂશાલેમના શહેર બંને માટે સામાન્ય શબ્દો તરીકે ઉપયોગમાં લેવાય છે.
ક્યારેક તેઓ યરૂશાલેમમાં આવેલ મંદિરના ઉલ્લેખ માટે પણ થતો હતો.
- દાઉદ સિયોન, અથવા યરૂશાલેમ, નામ આપ્યું " દાઉદનું શહેર."
આ દાઉદના વતન, બેથલહેમથી અલગ છે, જેને દાઉદનું શહેર પણ કહેવામાં આવ્યું હતું.
- "સિયોન" શબ્દ ઇસ્રાએલ અથવા ઈશ્વરનું આધ્યાત્મિક સામ્રાજ્ય અથવા નવું, સ્વર્ગીય યરૂશાલેમ કે જેને ઈશ્વર બનાવશે તેનો ઉલ્લેખ કરવા માટે અન્ય રૂપકાત્મક રીતે ઉપયોગ થાય છે.
(આ પણ જુઓ: ઈબ્રાહિમ, દાઉદ, યરૂશાલેમ, બેથલેહેમ, યબૂસ)
બાઇબલ સંદર્ભો
- 1 કાળવૃતાંત 11:4-6
- આમોસ 1:1-2
- યર્મિયા 51:34-35
- ગીતશાસ્ત્ર 76:1-3
- રોમન 11:26-27
શબ્દ માહિતી:
સિયોનની દીકરી
વ્યાખ્યા:
“સિયોનની દીકરી” રૂપકાત્મક રીતે ઈઝરાએલના લોકોને દર્શાવવા માટે વપરાયો છે.
સામાન્ય રીતે તે ભવિષ્યવાણીને માટે વપરાયો છે.
- જૂના કરારમાં, મોટેભાગે “સિયોન” શબ્દ, એ યરૂશાલેમ શહેરના બીજા એક નામ માટે વપરાયો છે.
- “સિયોન” અને “યરૂશાલેમ” બન્ને ઈઝરાએલને દર્શાવવા માટે પણ વપરાયા છે.
- “દીકરી” શબ્દ, તે “વહાલ” અથવા “સ્નેહ” દર્શાવે છે
તે ધીરજ અને કાળજી માટેનું રૂપક છે કે જે દેવ તેના લોકો માટે રાખે છે
ભાષાંતરના સૂચનો:
- આ શબ્દનું ભાષાંતરમાં “સિયોનમાંની, મારી દીકરી ઈઝરાએલ” અથવા “સિયોનના લોકો, કે જેઓ મારી દીકરી જેવા છે” અથવા “સિયોનના મારા પ્રિય ઈઝરાએલ લોક” એવા શબ્દનો સમાવેશ કરી શકાય છે.
- બાઈબલમાં આ શબ્દ ઘણી વાર વપરાયો છે તેથી આ અભિવ્યક્તિમાં “સિયોન” શબ્દ રાખવો તે શ્રેષ્ઠ છે.
આ શબ્દનો રૂપકાત્મક અર્થ અને ભવિષ્યકથનનો ઉપયોગ સમજાવવા માટે તેના ભાષાંતરમાં નોંધનો સમાવેશ કરવો.
- આ અભિવ્યક્તિના ભાષાંતરમાં “દીકરી” શબ્દ જ્યાં સુધી યોગ્ય રીતે સમજાય ત્યાં સુધી તે જ શબ્દ રાખવો સારો છે.
(આ પણ જુઓ: યરૂશાલેમ, પ્રબોધક, સિયોન)
બાઈબલની કલમો:
- યર્મિયા 6:1-3
- યોહાન 12:14-15
- માથ્થી 21:4-5
શબ્દ માહિતી:
સુન્નત, સુન્નત કરવી, સુન્નતની વિધિ, બેસુન્ન્ત, બેસુન્ન્ત
વ્યાખ્યા:
“સુન્નત” નો અર્થ, માણસ અથવા નર બાળકની શિશ્નના આગળના ભાગની ચામડી કાપવી, એમ થાય છે.
કદાચ સુન્નત વિધિનો સંસ્કાર આ બાબતના અનુસંધાનમાં કરવામાં આવે છે.
- દેવે ઈબ્રાહિમને આદેશ આપ્યો કે દેવના તેની સાથેના કરારના ચિહ્ન તરીકે તેના કુટુંબમાંના દરેક પુરુષ અને ચાકરોની સુન્નત કરવી.
- દેવે ઈબ્રાહિમના વંશજોને પણ આદેશ આપ્યો તેઓના કુટુંબમાં જન્મેલા દરેક નર બાળકને આ પ્રમાણે કરવું
- “હ્રદયની સુન્નત કરવી” એ શબ્દસમૂહ અર્થાલંકારિક રીતે “કાપીને દૂર કરવું” અથવા વ્યક્તિમાંથી પાપને કાઢી નાખવું, એમ દર્શાવે છે.
- આત્મિક અર્થમાં “સુન્નત કરવી” તે દર્શાવે છે કે, લોકો કે જેઓને દેવે ઈસુના લોહી દ્વારા પાપથી શુદ્ધ કર્યા છે અને જેઓ તેના લોકો છે.
- “બેસુન્ન્ત” શબ્દ દર્શાવે છે, જેઓની શારીરિક સુન્ન્ત થઈ નથી.
તે અર્થાલંકારિક રીતે દર્શાવે છે કે જેઓની આત્મિક રીતે સુન્નત થઈ નથી, અને જેઓને દેવની સાથે સંબંધ નથી.
“બેસુન્ન્તી” અને “બેસુન્ન્ત” શબ્દ પુરૂષ કે જેની શારીરિક સુન્નત કરાઈ નથી તેને દર્શાવે છે.
આ શબ્દો રૂપક રીતે પણ વપરાયા છે.
મિસર દેશમાં પણ સુન્નત ફરજીયાત હતી.
જયારે દેવે મિસરના “બેસુન્ન્તીઓને” હરાવવા કહ્યું, ત્યારે દેવ એવા મિસરીઓની વાત કરે છે જેઓ સુન્ન્ત કરવાનું ધિક્કારતા હતા.
- બાઈબલ એવા લોકોને દર્શાવે છે કે જેઓ “બેસુન્ન્ત હ્રદયવાળા” છે અથવા જેઓ “જેઓનું હૃદય બેસુન્ન્ત થયેલું” છે.
આ બાબતને અર્થાલંકારિક રીતે કહેવામાં આવે તો આ લોકો દેવના લોકો નથી અને તેને અવગણના કરનારા હઠીલા છે.
- જો કોઈ ભાષામાં સુન્નત શબ્દ ભાષામાં જાણીતો હોય તો “બેસુન્ન્ત” શબ્દનું ભાષાંતર “સુન્નત ન થયેલા” એમ થઇ શકે.
- સંદર્ભ પર આધાર રાખીને “બેસુન્નત” અભિવ્યક્તિનું ભાષાંતર, “લોકો કે જેઓની સુન્નત થઈ નથી” અથવા “લોકો કે જેઓ દેવના નથી”, એમ કરી શકાય છે.
- આ શબ્દનું રૂપકાત્મક બીજી રીતે ભાષાંતર કરીએ તો, “જેઓ દેવના લોકો નથી” અથવા “બંડખોર લોકો જેઓ દેવના નથી” અથવા “લોકો જેમાં દેવના હોવાની કોઈ નિશાની નથી” એમ કરી શકાય.
- “હ્રદયનો બેસુન્ન્તી” અભિવ્યક્તિનું ભાષાંતર, “હઠીલો બળવાખોર” અથવા “જે વિશ્વાસ કરવા ઇનકાર કરે છે” તે કરી શકાય.
તેમ છતાં, બની શકે તો આ અભિવ્યક્તિ એમ જ રાખવી અથવા તેના સમાન રાખવી, કારણકે આત્મિક સુન્નત એક અગત્યનો વિષય છે.
ભાષાંતરના સૂચનો:
- જો લક્ષ્ય ભાષાની સંસ્કૃતિમાં પુરૂષો ઉપર સુન્નત થાય છે, તો તે માટે જે શબ્દ વપરાય છે તે વાપરવો.
- બીજી રીતે આ શબ્દનું ભાષાંતર કરીએ તો, “આસપાસ કાપવું” અથવા “ગોળાકારમાં કાપવું” અથવા “આગળના ભાગની ચામડી કાપી નાખવી” એમ થઇ શકે.
- જે સંસ્કૃતિમાં સુન્નત જાણીતી નથી તેને સમજાવવા પાદનોંધ અથવા શબ્દાવલીમાં છણાવટ કરવી અનિવાર્ય છે.
ધ્યાન રાખો કે આ શબ્દનું જે ભાષાંતર સ્ત્રીઓને માટેની સુન્નત દર્શાવતી ન હોય.
આ શબ્દનું ભાષાંતર થાય ત્યારે દર્શાવેલ શબ્દ અથવા શબ્દસમૂહ “પુરુષની” સુન્નત સાથે જોડાયેલો હોવો જોઈએ.
(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું
(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કરાર)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 17:9-11
- ઉત્પત્તિ 17:12-14
- નિર્ગમન 12:47-48
- લેવીય 26:40-42
- યહોશુઆ 5:2-3
- ન્યાયાધીશો 15:17-18
- 2 શમુએલ 1:17-20
- યર્મિયા 9:25-26
- હઝકિયેલ 32:24-25
- પ્રેરિતો 10:44-45
- પ્રેરિતો 11:1-3
- પ્રેરિતો 15:1-2
- પ્રેરિતો 11:1-3
- રોમન 2:25-27
- ગલાતી 5:3-4
- એફેસી 2:11-12
- ફિલિપ્પી 3:1-3
- કલોસ્સી 2:10-12
- કલોસ્સી 2:13-15
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 5:3 "તમારે તમારા કુટુંબના દરેક પુરુષની સુન્નત અવશ્ય કરવી.
- 5:5 તે દિવસે ઈબ્રાહિમે તેના ઘરના બધાંજ પુરુષોની સુન્નત કરી.
શબ્દ માહિતી:
- Strong's: H4135, H4139, H5243, H6188, H6189, H6190, G203, G564, G1986, G4059, G4061
સુલેમાન
તથ્યો:
સુલેમાન દાઉદ રાજાના દીકરાઓમાનો એક દીકરો હતો.
તેની માતા બાથશેબા હતી.
- જ્યારે સુલેમાન રાજા બન્યો ત્યારે, ઈશ્વરે તેને જે જોઈએ તે માંગવા કહ્યું.
તેથી સુલેમાને લોકો પર ન્યાયી અને સારી રીતે રાજ કરવા ડહાપણ માંગ્યું.
ઈશ્વર સુલેમાનની માંગણીથી ખુશ થયા અને તેને ડહાપણ અને ઘણી સંપત્તિ બંને આપ્યા.
- સુલેમાન યરૂશાલેમમાં ભવ્ય મંદિર બંધાયાને લીધે પણ ઘણો પ્રખ્યાત હતો.
- જો કે સુલેમાને પોતાના રાજ્યકાળના પ્રથમ વર્ષો દરમિયાન સારી રીતે રાજ કર્યું, પછીથી તેણે મુર્ખામી રીતે ઘણી વિદેશી સ્ત્રીઓ સાથે લગ્નો કર્યા અને તેણીઓના દેવોનું ભજન કરવાનું શરૂ કર્યું.
- સુલેમાંનના અવિશ્વાસુપણાને કારણે, તેના મરણ પછી ઈશ્વરે ઈઝરાયેલીઓને બે રાજ્યોમાં ઈઝરાયેલ અને યહુદીયામાં વહેંચી દીધા.
આ રાજ્યો અવારનવાર એકબીજા વિરુદ્ધ લડતાં હતાં.
(આ પણ જુઓ: બાથ-શેબા, દાઉદ, ઈઝરાએલ, યહુદા, ઈઝરાયેલનું રાજ્ય, મંદિર)
બાઈબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 7:47-50
- લૂક 12:27-28
- માથ્થી 1:7-8
- માથ્થી 6:27-29
- માથ્થી 12:42
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 17:14 પછી, દાઉદ અને બાથશેબાને બીજો દીકરો થયો, અને તેઓએ તેનું નામ સુલેમાન પાડ્યું.
- 18:1 ઘણાં વર્ષો પછી, દાઉદ મરણ પામ્યો, અને તેના દીકરા સુલેમાને રાજ કરવાનું શરૂ કર્યું.
ઈશ્વર બોલ્યા સુલેમાન સાથે અને તેને પૂછ્યું કે તેને વધારે શું જોઈએ છે.
જ્યાત્રે સુલેમાને ડહાપણ માંગ્યું, ત્યારે ઈશ્વર ખુશ થયા અને તેને દુનિયાનો જ્ઞાની માણસ બનાવ્યો. સુલેમાન ઘણું શીખ્યો અને જ્ઞાની ન્યાયાધીશ હતો.
ઈશ્વરે તેને ઘણો ધનવાન પણ બનાવ્યો.
- 18:2 યારૂશાલેમમાં, સુલેમાને મંદિર બંધાવ્યું કે જેણે માટે તેના પિતા દાઉદે આયોજન કર્યું હતું અને સામગ્રીઓ ભેગી કરી હતી.
- 18:3 પરંતુ સુલેમાને બીજા દેશોની સ્ત્રીઓ પર પ્રીતિ કરી. ...
જ્યારે સુલેમાન વૃદ્ધ થયો, ત્યારે તેણે તેમના દેવોની પણ પૂજા કરી.
- 18:4 ઈશ્વર કોપાયમાન થયા સુલેમાન પર અને, શિક્ષા તરીકે સુલેમાનના અવિશ્વાસુપણાને માટે, તેમણે ઈઝરાયેલ રાષ્ટ્રના બે રાજ્યોમાં ભાગ કરવાનું વચન આપ્યું સુલેમાંનના મરણ પછી.
શબ્દ માહિતી:
સોંપવું, સોંપેલું, સોંપણી, ગૃહકાર્ય, ગૃહકાર્યો, પરત સોંપવું
સત્યો:
“સોંપવું” અથવા “સોંપેલું” શબ્દ દર્શાવે છે કે કોઈકને ચોક્કસ કામ માટે નીમવું અથવા કોઈકને કઈક પૂરું પાડવા એક અથવા વધારે લોકોને નિમવામાં આવે.
- શમુએલ પ્રબોધકે ભાખ્યું હતું કે, શાઉલ રાજા લશ્કરમાં સેવા માટે ઈઝરાએલના શ્રેષ્ઠ જુવાન પુરુષોને કામ “સોંપણી” કરશે.
- મુસાએ ઈઝરાએલના બાર કુળોમાંના દરેકને કનાનની ભૂમિનો હિસ્સો રહેવા માટે “વહેંચી આપ્યો” (સોંપ્યો).
- જૂના કરારના નિયમ હેઠળ, ઈઝરાએલના અમુક કુળોને સેવા કરવા માટે યાજકો, કલાકારો, ગાયકો, અને નિર્માતાઓ થવા સારુ નિમવામાં આવ્યા હતા.
- સંદર્ભ પર આધાર રાખીને “સોંપવું” શબ્દનું ભાષાંતર “આપવું” અથવા “નીમવું” અથવા “કામ માટે પસંદ કરવું” થઇ શકે છે.
- “સોંપેલું” શબ્દનું ભાષાંતર “નિમણુક કરવી” અથવા “અપાયેલું કામ” એમ થઇ શકે છે.
(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કરવું
(આ પણ જુઓ: નિમણુક, શમુએલ, [શાઉલ )
બાઈબલની કલમો:
- શાઉલ (જુનો કરાર)
- દાનિએલ 12:12-13
- યર્મિયા 43:11-13
- યહોશુઆ 18:1-2
- ગણના 4:27-28
- ગીતશાસ્ત્ર 78:54-55
શબ્દ માહિતી:
- Strong's: H2506, H3335, H4487, H4941, H5157, H5307, H5414, H5596, H5975, H6485, H7760, G3307
સોંપવું, સમર્પિત, સોંપાયેલું, પ્રતિબદ્ધતા
વ્યાખ્યા:
“સોંપવું” અને “સમર્પણ” શબ્દો, નિર્ણય કરવા અથવા કઈંક વચનબદ્ધ કરવાની વાત દર્શાવે છે.
- વ્યક્તિ કે જે કઈંક કરવા વચનો આપે છે, તે કરવા માટે “સમર્પિત” હોય તેને પણ દર્શાવી શકાય છે.
- કોઈકને ચોક્કસ કાર્ય “સોંપવું” તેનો અર્થ એમ કે, તે વ્યક્તિને તે કાર્ય સોંપી દેવું.
ઉદાહરણ તરીકે, 2 કરિંથીઓમાં પાઉલ કહેછે કે દેવે આપણને લોકોને દેવની સાથે સમાધાન કરવા મદદ કરવાની સેવા “સોંપેલી” (અથવા આપવામાં) આવેલી છે.
- આ શબ્દો “આધિન” અને “સોંપાયેલ” શબ્દો ઘણીવાર ચોક્કસ ખોટા કામ કરવા જેમકે “પાપ કરવું” અથવા “વ્યભિચાર કરવો” અથવા “ખૂન કરવું” તરીકે પણ દર્શાવાય છે.
- “તેને સોંપાયેલ કામ” અભિવ્યક્તિનુ ભાષાંતર, “તેને કામ આપ્યું” અથવા “તેને કાર્ય સોંપવામાં આવ્યું” અથવા “તેને કામ સોંપેલ છે” એમ કરી શકાય છે.
- “સમર્પિત” શબ્દનું ભાષાંતર, “કાર્ય કે જે સોંપાયેલું હતું” અથવા “વચન કે જે આપેલું હતું” એમ કરી શકાય છે.
(આ પણ જુઓ: વ્યભિચાર, વફાદાર (વિશ્વાસુ), વચન, પાપ)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 28:6-7
- 1 પિતર 2:21-23
- યર્મિયા 2:12-13
- માથ્થી 13:40-43
- ગીતશાસ્ત્ર 58:1-2
શબ્દ માહિતી:
- Strong's: H539, H817, H1361, H1497, H1500, H1540, H1556, H2181, H2388, H2398, H2399, H2403, H4560, H4603, H5003, H5753, H5766, H5771, H6213, H6466, H7683, H7760, H7847, G264, G2038, G2716, G3429, G3431, G3860, G3872, G3908, G4102, G4160, G4203
સોઆર
તથ્યો:
સોઆર નાનું શહેર હતું જ્યાં લોત જ્યારે ઈશ્વરે સદોમ અને ગમોરાહનો નાશ કર્યો ત્યારે નાસી ગયો.
- પહેલાં તે "બેલા" તરીકે ઓળખાતું હતું પરંતુ લોતે આ "નાના" શહેરને છોડી દેવા માટે ઈશ્વરને પૂછ્યું ત્યારે તેનું નામ બદલીને " સોઆર " રાખવામાં આવ્યું હતું.
- સોઆર યર્દન નદીના મેદાનમાં અથવા મૃત સમુદ્રના દક્ષિણને અંતે આવ્યું હોય તેવું માનવામાં આવે છે.
(આ પણ જુઓ: લોત, સદોમ, ગમોરાહ)
બાઇબલ સંદર્ભો
- પુનર્નિયમ 34:1-3
- ઉત્પત્તિ 13:10-11
- ઉત્પત્તિ 14:1-2
- ઉત્પત્તિ 19:21-22
- ઉત્પત્તિ 19:23-25
શબ્દ માહિતી:
સોનુ, સોનેરી
વ્યાખ્યા:
સોનું એ પીળું, ઊંચા ગુણવત્તાની ધાતુ છે કે જે આભૂષણ અને ધાર્મિક વસ્તુઓ બનાવવા માટે વાપરવામાં આવતું હતું
પ્રાચીન સમયમાં તે સૌથી મૂલ્યવાન ધાતુ હતી.
- બાઈબલના સમયમાં, ઘણા અન્ય પ્રકારની વસ્તુઓ કે જે સોનામાંથી બનાવવામાં આવતી હતી અથવા સોનાના પાતળા સ્તરથી ઢાંકવામાં આવતી હતી.
- આ વસ્તુઓમાં કાનની બૂટ્ટી અને બીજા આભૂષણો, અને મૂર્તિઓ, યજ્ઞ વેદીઓ, અને મુલાકત મંડપ અને મંદિરની બીજી વસ્તુઓ, જેવા કે કરારકોશ તરીકે વાપરવામાં આવતી હતી તેનો સમાવેશ છે.
- જૂના કરારના સમયમાં, સોનું એ ખરીદી અને વેચાણમાં લેવડ દેવડના અર્થમાં વાપરવામાં આવતું હતું
તેની કિંમતને નક્કી કરવા તેનું વજન કરવામાં આવતું હતું.
- પાછળથી, સોનું અને અન્ય ધાતુઓ જેવી કે ચાંદી ખરીદી અને વેચાણ માટે સિક્કાઓ બનાવવા વાપરવામાં આવતા હતા.
- જયારે કોઈક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય કે જે સખત સોનું નથી, પણ તેને ફક્ત સોનાનું પાતળું પડ હોય છે, ત્યારે “સોનેરી” અથવા “સોનાથી ઢાંકેલું” અથવા “સોનાથી મઢેલું” શબ્દ પણ વાપરી શકાય છે.
- ક્યારેક વસ્તુને “સોનેરી રંગ” તરીકે વર્ણવામાં આવે છે, જેનો અર્થ તે સોનાને પીળો રંગ હોય છે, પણ તે કદાચ વાસ્તવમાં સોનામાંથી બનાવેલું ન હોય.
(આ પણ જુઓ: યજ્ઞવેદી, કરારકોશ, દેવ, ચાંદી/રૂપું, મુલાકાતમંડપ, મંદિર)
બાઈબલની કલમો:
- 1 પિતર 1:6-7
- 1 તિમોથી 2:8-10
- 2 કાળવૃતાંત 1:14-15
- પ્રેરિતો 3:4-6
- દાનિયેલ 2:31-33
શબ્દ માહિતી:
- Strong's: H1220, H1222, H1722, H2091, H2742, H3800, H4062, H5458, H6884, H6885, G5552, G5553, G5554, G5557
સોનુ, સોનેરી
વ્યાખ્યા:
સોનું એ પીળું, ઊંચા ગુણવત્તાની ધાતુ છે કે જે આભૂષણ અને ધાર્મિક વસ્તુઓ બનાવવા માટે વાપરવામાં આવતું હતું
પ્રાચીન સમયમાં તે સૌથી મૂલ્યવાન ધાતુ હતી.
- બાઈબલના સમયમાં, ઘણા અન્ય પ્રકારની વસ્તુઓ કે જે સોનામાંથી બનાવવામાં આવતી હતી અથવા સોનાના પાતળા સ્તરથી ઢાંકવામાં આવતી હતી.
- આ વસ્તુઓમાં કાનની બૂટ્ટી અને બીજા આભૂષણો, અને મૂર્તિઓ, યજ્ઞ વેદીઓ, અને મુલાકત મંડપ અને મંદિરની બીજી વસ્તુઓ, જેવા કે કરારકોશ તરીકે વાપરવામાં આવતી હતી તેનો સમાવેશ છે.
- જૂના કરારના સમયમાં, સોનું એ ખરીદી અને વેચાણમાં લેવડ દેવડના અર્થમાં વાપરવામાં આવતું હતું
તેની કિંમતને નક્કી કરવા તેનું વજન કરવામાં આવતું હતું.
- પાછળથી, સોનું અને અન્ય ધાતુઓ જેવી કે ચાંદી ખરીદી અને વેચાણ માટે સિક્કાઓ બનાવવા વાપરવામાં આવતા હતા.
- જયારે કોઈક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય કે જે સખત સોનું નથી, પણ તેને ફક્ત સોનાનું પાતળું પડ હોય છે, ત્યારે “સોનેરી” અથવા “સોનાથી ઢાંકેલું” અથવા “સોનાથી મઢેલું” શબ્દ પણ વાપરી શકાય છે.
- ક્યારેક વસ્તુને “સોનેરી રંગ” તરીકે વર્ણવામાં આવે છે, જેનો અર્થ તે સોનાને પીળો રંગ હોય છે, પણ તે કદાચ વાસ્તવમાં સોનામાંથી બનાવેલું ન હોય.
(આ પણ જુઓ: યજ્ઞવેદી, કરારકોશ, દેવ, ચાંદી/રૂપું, મુલાકાતમંડપ, મંદિર)
બાઈબલની કલમો:
- 1 પિતર 1:6-7
- 1 તિમોથી 2:8-10
- 2 કાળવૃતાંત 1:14-15
- પ્રેરિતો 3:4-6
- દાનિયેલ 2:31-33
શબ્દ માહિતી:
- Strong's: H1220, H1222, H1722, H2091, H2742, H3800, H4062, H5458, H6884, H6885, G5552, G5553, G5554, G5557
સ્તુતિ કરવી, સ્તુતિ કરે છે, સ્તુતિ કરી, સ્તુતિ કરતા, સ્તુતિયોગ્ય
વ્યાખ્યા:
કોઈ વ્યક્તિની સ્તુતિ કરવી એટલે તે વ્યક્તિ માટે પ્રશંસા તથા સન્માન વ્યક્ત કરવું.
- ઈશ્વર કેટલા મહાન છે તે કારણે અને જગતના સૃજનહાર તથા ઉદ્ધારક તરીકે તેઓએ જે આશ્ચર્યજનક બાબતો કરી છે તે કારણે લોકો તેમની સ્તુતિ કરે છે.
- ઈશ્વરની સ્તુતિમાં ઘણી વાર તેઓએ જે કર્યું છે તેના માટે આભાર માનવાનો સમાવેશ થાય છે.
- ઘણી વાર સંગીત અને ગાયનોનો ઉપયોગ ઈશ્વરની સ્તુતિ કરવાની રીત તરીકે થાય છે.
- ઈશ્વરની સ્તુતિ કરવી તે તેઓની આરાધના કરવાનો એક ભાગ છે.
- “સ્તુતિ કરવી” શબ્દસમૂહનો અનુવાદ “કોઈના વિષે સારું બોલવું” અથવા તો “શબ્દો દ્વારા ઉચ્ચ માન આપવું” અથવા તો “કોઈના વિષે સારી બાબતો કહેવી” તરીકે પણ કરી શકાય.
- “સ્તુતિ” સંજ્ઞાનો અનુવાદ “બોલાયેલ સન્માન” અથવા તો “માન આપતી વાણી” અથવા તો “કોઈના વિષે સારી બાબતો બોલાવી” તરીકે કરી શકાય.
(આ પણ જૂઓ: ઉપાસના)
બાઇબલના સંદર્ભો:
- 2 કાળવૃતાંત 1:3-4
- પ્રેરિતોનાં કૃત્યો 2:46-47
- પ્રેરિતોનાં કૃત્યો 13:48-49
- દાનિયેલ 3:28
- એફેસી 1:3-4
- ઉત્પત્તિ 49:8
- યાકૂબ 3:9-10
- યોહાન 5:41-42
- લૂક 1:46-47
- લૂક 1:64-66
- લૂક 19:37-38
- માથ્થી 11:25-27
- માથ્થી 15:29-31
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 12:13 ઇઝરાયલીઓએ તેમની નવી આઝાદીનો ઉત્સવ મનાવવા અને ઈશ્વરે તેમને ઈજીપ્તના સૈન્યથી બચાવ્યા હતા તે માટે તેમની સ્તુતિ કરવા ઘણા ગીતો ગાયા.
- 17:8 જ્યારે દાઉદે આ શબ્દો સાંભળ્યા ત્યારે, તેણે તરત જ ઈશ્વરનો આભાર માન્યો અને તેમની સ્તુતિ કરી કારણ કે ઈશ્વરે દાઉદ માટે આ મહાન માન અને ઘણા આશીર્વાદોનું વચન આપ્યું હતું.
- 22:7 ઝખાર્યાએ કહ્યું, “ઈશ્વરની સ્તુતિ થાઓ, કારણ કે તેમણે પોતાના લોકોને યાદ કર્યા છે!
- 43:13 તેઓએ (શિષ્યોએ) સાથે મળીને ઈશ્વરની સ્તુતિ કરવામાં આનંદ માન્યો અને તેઓએ પોતાની પાસે જે કઈ હતું તે એકબીજા સાથે વહેચ્યું.
- 47:8 તેઓએ પાઉલ તથા સિલાસને જેલના સૌથી સુરક્ષિત ભાગમાં રાખ્યા અને તેઓના પગોને પણ બેડીઓમાં જકડ્યા.
તો પણ મધ્યરાત્રિએ, તેઓ ઈશ્વરની સ્તુતિના ગીતો ગાઈ રહ્યા હતા.
શબ્દ માહિતી:
- Strong's: H1319, H6953, H7121, H7150, G1229, G1256, G2097, G2605, G2782, G2783, G2784, G2980, G3853, G3955, G4283, G4296
સ્વપ્ન
વ્યાખ્યા:
સ્વપ્ન તે (બાબત) છે કે જયારે લોકો ઊંઘતા હોય છે ત્યારે તેઓ કંઇક જોવે અથવા તેમના મનમાં અનુભવ કરે છે.
- મોટેભાગે સ્વપ્નોમાં તેઓને લાગે છે કે ખરેખર કઈંક થઈ રહ્યું છે, પરંતુ તે વાસ્તવિક હોતું નથી.
- ક્યારેક દેવ લોકોને સ્વપ્ન આપે છે જેથી તેમાંથી તેઓ કશુંક શીખી શકે.
તે (દેવ) લોકો સાથે તેઓના સ્વપ્નોમાં સીધી વાત પણ કરે છે.
- બાઈબલમાં, દેવ ખાસ લોકોને તેઓને ભવિષ્યમાં કંઇક થશે તે વિશે સંદેશ આપવા માટે મોટેભાગે વિશેષ સ્વપ્નો આપતા.
- સ્વપ્ન એ દર્શનથી અલગ છે.
સ્વપ્નો જયારે વ્યક્તિ ઊંઘી ગયેલી હોય ત્યારે આવે છે, પરંતુ દર્શનો સામાન્ય રીતે વ્યક્તિ જયારે જાગતી હોય છે ત્યારે આવે છે.
(આ પણ જુઓ: દર્શન)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 2:16-17
- દાનિયેલ 1:17-18
- દાનિયેલ 2:1-2
- ઉત્પત્તિ 37:5-6
- ઉત્પત્તિ 40:4-5
- માથ્થી 2:13-15
- માથ્થી 2:19-21
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- __8:2__યૂસફના ભાઈઓએ તેને નફરત કરી કારણકે તેમનો પિતા તેને સૌથી વધારે પ્રેમ કરતો હતો અને યૂસફને સ્વપ્ન આવ્યું હતું કે તે તેઓનો રાજકર્તા થશે.
- __8:6__એક રાત્રે, ફારુન, મિસરીઓ જેઓ પોતાના રાજાઓને તે ઉપનામ આપતા, તેને સ્વપ્ન આવ્યું, જેથી તે ખૂબજ વિચલિત થયો.
તેના સલાહકારોમાંથી કોઈ પણ તેના સ્વપ્નનો અર્થ કહી શક્યા નહીં.
- 8:7 દેવે યૂસફને સ્વપ્નોનું અર્થઘટન કરવાની ક્ષમતા આપી, જેથી યૂસફને જેલમાંથી ફારુનની પાસે લાવવામાં આવ્યો.
યૂસફે તેના સ્વપ્નો અર્થઘટન કર્યું અને કહ્યું, દેવ સાત વર્ષ પુષ્કળ ફસલ મોકલશે અને પછીના સાત વર્ષ દુકાળના રહેશે.
- 16:11 તેથી જે રાત્રે ગિદિઓન છાવણીમાં નીચે ગયો અને તેણે એક મિદ્યાની સૈનિકને તેના મિત્રને જે સ્વપ્ન આવ્યું હતું તે કહેતાં સાંભળ્યો.
માણસના મિત્રએ કહ્યું, ”આ સ્વપ્ન નો અર્થ એમકે ગિદિઓનનું લશ્કર મિદ્યાનીઓના લશ્કરનો પરાજય કરશે.
- 23:1 તે (યૂસફ) તેણી (મરીયમને) શરમાવવા માંગતો નહોતો, જેથી તેણે તેને છૂપી રીતે તેને છૂટાછેડા આપવાની નક્કી કર્યું.
તે તેવું કરે તે પહેલા, દૂતે સ્વપ્નમાં આવીને તેની સાથે વાત કરી.
શબ્દ માહિતી:
- Strong's: H1957, H2472, H2492, H2493, G1797, G1798, G3677
સ્વપ્ન
વ્યાખ્યા:
સ્વપ્ન તે (બાબત) છે કે જયારે લોકો ઊંઘતા હોય છે ત્યારે તેઓ કંઇક જોવે અથવા તેમના મનમાં અનુભવ કરે છે.
- મોટેભાગે સ્વપ્નોમાં તેઓને લાગે છે કે ખરેખર કઈંક થઈ રહ્યું છે, પરંતુ તે વાસ્તવિક હોતું નથી.
- ક્યારેક દેવ લોકોને સ્વપ્ન આપે છે જેથી તેમાંથી તેઓ કશુંક શીખી શકે.
તે (દેવ) લોકો સાથે તેઓના સ્વપ્નોમાં સીધી વાત પણ કરે છે.
- બાઈબલમાં, દેવ ખાસ લોકોને તેઓને ભવિષ્યમાં કંઇક થશે તે વિશે સંદેશ આપવા માટે મોટેભાગે વિશેષ સ્વપ્નો આપતા.
- સ્વપ્ન એ દર્શનથી અલગ છે.
સ્વપ્નો જયારે વ્યક્તિ ઊંઘી ગયેલી હોય ત્યારે આવે છે, પરંતુ દર્શનો સામાન્ય રીતે વ્યક્તિ જયારે જાગતી હોય છે ત્યારે આવે છે.
(આ પણ જુઓ: દર્શન)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 2:16-17
- દાનિયેલ 1:17-18
- દાનિયેલ 2:1-2
- ઉત્પત્તિ 37:5-6
- ઉત્પત્તિ 40:4-5
- માથ્થી 2:13-15
- માથ્થી 2:19-21
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- __8:2__યૂસફના ભાઈઓએ તેને નફરત કરી કારણકે તેમનો પિતા તેને સૌથી વધારે પ્રેમ કરતો હતો અને યૂસફને સ્વપ્ન આવ્યું હતું કે તે તેઓનો રાજકર્તા થશે.
- __8:6__એક રાત્રે, ફારુન, મિસરીઓ જેઓ પોતાના રાજાઓને તે ઉપનામ આપતા, તેને સ્વપ્ન આવ્યું, જેથી તે ખૂબજ વિચલિત થયો.
તેના સલાહકારોમાંથી કોઈ પણ તેના સ્વપ્નનો અર્થ કહી શક્યા નહીં.
- 8:7 દેવે યૂસફને સ્વપ્નોનું અર્થઘટન કરવાની ક્ષમતા આપી, જેથી યૂસફને જેલમાંથી ફારુનની પાસે લાવવામાં આવ્યો.
યૂસફે તેના સ્વપ્નો અર્થઘટન કર્યું અને કહ્યું, દેવ સાત વર્ષ પુષ્કળ ફસલ મોકલશે અને પછીના સાત વર્ષ દુકાળના રહેશે.
- 16:11 તેથી જે રાત્રે ગિદિઓન છાવણીમાં નીચે ગયો અને તેણે એક મિદ્યાની સૈનિકને તેના મિત્રને જે સ્વપ્ન આવ્યું હતું તે કહેતાં સાંભળ્યો.
માણસના મિત્રએ કહ્યું, ”આ સ્વપ્ન નો અર્થ એમકે ગિદિઓનનું લશ્કર મિદ્યાનીઓના લશ્કરનો પરાજય કરશે.
- 23:1 તે (યૂસફ) તેણી (મરીયમને) શરમાવવા માંગતો નહોતો, જેથી તેણે તેને છૂપી રીતે તેને છૂટાછેડા આપવાની નક્કી કર્યું.
તે તેવું કરે તે પહેલા, દૂતે સ્વપ્નમાં આવીને તેની સાથે વાત કરી.
શબ્દ માહિતી:
- Strong's: H1957, H2472, H2492, H2493, G1797, G1798, G3677
સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)
વ્યાખ્યા:
“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે.
સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.
- “આકાશો” શબ્દ, સૂર્ય, ચંદ્ર, અને તારા સહિત બધું જ જે આપણે પૃથ્વીથી ઉપર જોઈએ છીએ તેને દર્શાવે છે.
તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.
- “આકાશ” શબ્દ પૃથ્વીની ઉપર વાદળી વિસ્તારને દર્શાવે છે કે જેમાં વાદળો છે, અને જેની હવામાં આપણે શ્વાસ લઈએ છીએ.
મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.
- બાઈબલમાં કેટલાક સંદર્ભોમાં, “સ્વર્ગ” શબ્દને આકાશ અથવા સ્થળ કે જ્યાં દેવ રહે છે, તેને દર્શાવે છે.
- જયારે “સ્વર્ગ” ને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યું છે, ત્યારે તે દેવને દર્શાવે છે.
ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- જયારે “સ્વર્ગ” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યું છે, ત્યારે તેનું ભાષાંતર “દેવને” દર્શાવે છે.
- માથ્થીના પુસ્તકમાંના ‘સ્વર્ગનું રાજ્ય” એવો શબ્દ વાપરવામાં આવ્યો છે, તે માથ્થીની સુવાર્તાની વિશિષ્ટતા છે તેથી તે જ “સ્વર્ગ” શબ્દ રાખવો શ્રેષ્ઠ છે.
- “આકાશી” અથવા “સ્વર્ગીય શરીરો” શબ્દોનું ભાષાંતર, “સૂર્ય, ચંદ્ર, અને તારા” અથવા “દુનિયામાંના બધા તારા” તરીકે પણ કરી શકાય છે.
- “સ્વર્ગના તારા ”શબ્દસમૂહનું ભાષાંતર, “આકાશમાંના તારા” અથવા “આકાશગંગાના તારા” અથવા “દુનિયામાંના તારા” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)
બાઈબલની કલમો:
- 1 રાજા 8:22-24
- 1 થેસ્સલોનિકી 1:8-10
- 1 થેસ્સલોનિકી 4:16-18
- પુનર્નિયમ 9:1-2
- એફેસી 6:9
- ઉત્પત્તિ 1:1-2
- ઉત્પત્તિ 7:11-12
- યોહાન 3:12-13
- યોહાન 3:27-28
- માથ્થી 5:17-18
- માથ્થી 5:46-48
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 4:2 તેઓએ પણ “સ્વર્ગ” સુધી પહોચવા ઊંચો બુરજ બાંધવાનું શરૂ કર્યું.
- 14:11 તેણે (દેવે) સ્વર્ગ માંથી તેઓને રોટલી આપી, જે માન્ના કહેવાય છે.
- 23:7 એકાએક, દેવની સ્તુતિ કરતા દૂતોથી આકાશો ભરાઈ ગયા હતા, કહે છે સ્વર્ગ માં દેવને મહિમા હો અને પૃથ્વી ઉપરના લોકો જેના પર તેની કૃપા છે તેઓને શાંતિ થાઓ.
- 29:9 ઈસુએ જણાવ્યું કે, જો તમે તમારા ભાઈને તમારા હ્રદયથી માફ નહિ કરો તો આ મારો આકાશી બાપ તમને તેમ જ કરશે.
- 37:9 પછી ઈસુએ આકાશ તરફ ઊંચું જોઇને કહ્યું. “પિતા. તમે મારું સાભળ્યું છે માટે આભાર.”
- 42:11 પછી ઈસુ ઉપર સ્વર્ગ માં ગયો, અને વાદળે તેને તેઓની દૃષ્ટિથી ઢાંકી દીધો.
શબ્દ માહિતી:
- Strong's: H1534, H6160, H6183, H7834, H8064, H8065, G932, G2032, G3321, G3770, G3771, G3772
સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)
વ્યાખ્યા:
“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે.
સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.
- “આકાશો” શબ્દ, સૂર્ય, ચંદ્ર, અને તારા સહિત બધું જ જે આપણે પૃથ્વીથી ઉપર જોઈએ છીએ તેને દર્શાવે છે.
તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.
- “આકાશ” શબ્દ પૃથ્વીની ઉપર વાદળી વિસ્તારને દર્શાવે છે કે જેમાં વાદળો છે, અને જેની હવામાં આપણે શ્વાસ લઈએ છીએ.
મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.
- બાઈબલમાં કેટલાક સંદર્ભોમાં, “સ્વર્ગ” શબ્દને આકાશ અથવા સ્થળ કે જ્યાં દેવ રહે છે, તેને દર્શાવે છે.
- જયારે “સ્વર્ગ” ને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યું છે, ત્યારે તે દેવને દર્શાવે છે.
ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.
ભાષાંતરના સૂચનો:
- જયારે “સ્વર્ગ” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યું છે, ત્યારે તેનું ભાષાંતર “દેવને” દર્શાવે છે.
- માથ્થીના પુસ્તકમાંના ‘સ્વર્ગનું રાજ્ય” એવો શબ્દ વાપરવામાં આવ્યો છે, તે માથ્થીની સુવાર્તાની વિશિષ્ટતા છે તેથી તે જ “સ્વર્ગ” શબ્દ રાખવો શ્રેષ્ઠ છે.
- “આકાશી” અથવા “સ્વર્ગીય શરીરો” શબ્દોનું ભાષાંતર, “સૂર્ય, ચંદ્ર, અને તારા” અથવા “દુનિયામાંના બધા તારા” તરીકે પણ કરી શકાય છે.
- “સ્વર્ગના તારા ”શબ્દસમૂહનું ભાષાંતર, “આકાશમાંના તારા” અથવા “આકાશગંગાના તારા” અથવા “દુનિયામાંના તારા” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)
બાઈબલની કલમો:
- 1 રાજા 8:22-24
- 1 થેસ્સલોનિકી 1:8-10
- 1 થેસ્સલોનિકી 4:16-18
- પુનર્નિયમ 9:1-2
- એફેસી 6:9
- ઉત્પત્તિ 1:1-2
- ઉત્પત્તિ 7:11-12
- યોહાન 3:12-13
- યોહાન 3:27-28
- માથ્થી 5:17-18
- માથ્થી 5:46-48
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 4:2 તેઓએ પણ “સ્વર્ગ” સુધી પહોચવા ઊંચો બુરજ બાંધવાનું શરૂ કર્યું.
- 14:11 તેણે (દેવે) સ્વર્ગ માંથી તેઓને રોટલી આપી, જે માન્ના કહેવાય છે.
- 23:7 એકાએક, દેવની સ્તુતિ કરતા દૂતોથી આકાશો ભરાઈ ગયા હતા, કહે છે સ્વર્ગ માં દેવને મહિમા હો અને પૃથ્વી ઉપરના લોકો જેના પર તેની કૃપા છે તેઓને શાંતિ થાઓ.
- 29:9 ઈસુએ જણાવ્યું કે, જો તમે તમારા ભાઈને તમારા હ્રદયથી માફ નહિ કરો તો આ મારો આકાશી બાપ તમને તેમ જ કરશે.
- 37:9 પછી ઈસુએ આકાશ તરફ ઊંચું જોઇને કહ્યું. “પિતા. તમે મારું સાભળ્યું છે માટે આભાર.”
- 42:11 પછી ઈસુ ઉપર સ્વર્ગ માં ગયો, અને વાદળે તેને તેઓની દૃષ્ટિથી ઢાંકી દીધો.
શબ્દ માહિતી:
- Strong's: H1534, H6160, H6183, H7834, H8064, H8065, G932, G2032, G3321, G3770, G3771, G3772
હરણ, હરણી, હરણીઓ, હરણનું બચ્ચું, એક જાતનું નર હરણ, એક જાતના નર હરણો
વ્યાખ્યા:
હરણ એ મોટું, આકર્ષક, ચાર પગોવાળું પ્રાણી કે જે જંગલોમાં અને પર્વતો ઉપર રહે છે.
નર પ્રાણીને તેના માથા પર મોટા શિંગડા અથવા સાબરશિંગ હોય છે.
- “હરણી” એ નારી હરણ માટે અને “હરણનું પ્રથમ વર્ષ દરમ્યાનનું બચ્ચું (fawn)” જે હરણના બચ્ચાને દર્શાવે છે.
- “હરણ” શબ્દ નર હરણ માટે દર્શાવ્યો છે.
- એક જાતનું નર હરણ છે, તે વિશેષ પ્રકારના હરણને “રો-હરણ” કહેવાય છે.
- હરણને મજબૂત, પાતળા પગો કે જે તેઓને ઉંચે કૂદવામાં અને ઝડપથી દોડવામાં મદદ કરે છે.
- તેઓના પગમાં ફાટેલી ખરી હોય છે કે જે તેઓને સરળતાથી ચાલવા અથવા કોઇપણ જમીન પર ચઢવા મદદ કરે છે.
(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું
બાઈબલની કલમો:
- 2 શમુએલ 22:34-35
- ઉત્પત્તિ 49:19-21
- અયૂબ 39:1-2
- ગીતશાસ્ત્ર 18:33-34
- ગીતોનું ગીત 2:7
શબ્દ માહિતી:
- Strong's: H354, H355, H365, H3180, H3280, H6643, H6646
હળ, હળો, હળથી ખેડ્યું, ખેડતું, ખેડનારા, ખેડનાર ખેડૂત, હળનું લોખંડનું ફળ, વણખેડેલું
વ્યાખ્યા:
“હળ” ખેતીનું સાધન છે કે જેનો ઉપયોગ વાવણી કરવા જમીનને તોડીને ખેતર તૈયાર કરવા થાય છે.
- હળોને તીક્ષ્ણ અણીદાર દાંતાઓ હોય છે કે જેઓ જમીનને ખોદે છે.
તેમાં સામાન્ય રીતે હાથો હોય છે કે જેના દ્વારા ખેડૂત હળને યોગ્ય દિશામાં દોરે છે.
- બાઇબલના સમયોમાં, હળોને સામાન્ય રીતે બળદો કે બીજા કાર્યકારી પ્રાણીઓની જોડ દ્વારા ખેંચવામાં આવતા હતા.
- મોટા ભાગના હળોને સખત લાકડામાંથી બનાવવામાં આવતા હતા અને તેના તીક્ષ્ણ દાંતાઓને પિત્તળ કે લોખંડ જેવી ધાતુઓમાંથી બનાવવામાં આવતા હતા.
(આ પણ જૂઓ: પિત્તળ, ગાય)
બાઇબલના સંદર્ભો:
- 1 શમુએલ 8:10-12
- પુનર્નિયમ 21:3-4
- લૂક 9:61-62
- લૂક 17:7-8
- ગીતશાસ્ત્ર 141:5-7
શબ્દ માહિતી:
- Strong's: H406, H855, H2758, H2790, H5215, H5647, H5656, H5674, H6213, H6398, G722, G723
હવા
સત્યો:
આ પ્રથમ સ્ત્રીનું નામ હતું.
તેણીના નામનો અર્થ “જીવન” અથવા “સજીવ” થાય છે.
- દેવે પાંસળીમાંથી (શરીરના ભાગમાંથી) હવાની રચના કરી કે જે તેણે આદમમાંથી લીધી હતી.
- હવાને આદમની સહાયકારી થવા માટે બનાવવામાં આવી હતી.
- દેવે જે કામ તેઓને કરવા આપ્યું હતું તેમાં આદમને સહાય કરવા માટે તેણી તેની સાથે આવી.
- હવા શેતાન (સાપના રૂપમાં) દ્વારા લલચાઈ હતી અને દેવે જે ફળ ખાવાની મના કરી હતી તે ખાવા દ્વારા તેણીએ પ્રથમ પાપ કર્યું હતું.
(આ પણ જુઓ: આદમ, જીવન, શેતાન)
બાઈબલની કલમો:
- 1 તિમોથી 2:13-15
- 2 કરિંથી 11:3-4
- ઉત્પત્તિ 3:20-21
- ઉત્પત્તિ 4:1-2
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- __1:13__પછી દેવે આદમની પાંસળીઓમાંથી (ભાગમાંથી) એક લીધી અને તેમાંથી સ્ત્રી બનાવી અને તેણીને તેની પાસે લાવ્યો.
- __2:2__પણ બાગમાં ત્યાં સાપ લુચ્ચો હતો.
તેણે સ્ત્રીને પૂછયું, શું ખરેખર દેવે તને કહ્યું છે, વાડીમાંના કોઇપણ વૃક્ષોના ફળમાંથી ખાવું નહીં?
- __2:11__માણસે તેની પત્નીનું નામ હવા રાખ્યું, જેનો અર્થ “જીવન આપનાર,” કારણકે તે બધાંજ લોકોની માતા બનવાની હતી.
- __21:1__દેવે વચન આપ્યું કે _હવા_ના જે વંશજો જન્મ લેશે કે જેઓ સાપનું માથું છૂંદશે.
- 48:2 વાડીમાં _હવા_ને છેતરવા માટે શેતાન સાપ દ્વારા બોલ્યો.
- __49:8__જયારે આદમ અને હવા એ પાપ કર્યું, તેની તેઓના બધાજ વંશજો પર અસર થઈ..
- 50:16 કારણકે આદમ અને હવા એ દેવની આજ્ઞાનો ભંગ કર્યો અને આ જગતમાં પાપ લાવ્યાં, દેવે શાપ દીધો અને તેનો નાશ કરવાનું નક્કી કર્યું.
શબ્દ માહિતી:
હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી
વ્યાખ્યા:
બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.
- “સોંપવું” નો અર્થ થાય કે કોઈ વ્યક્તિને કાંઇક હાથોમાં સોંપી દેવું.
- મોટેભાગે “હાથ” શબ્દ ઈશ્વરની શકિતને અને કાર્ય દર્શાવવા વાપરવામાં આવ્યો છે, જેવાકે જયારે દેવ કહે છે કે “શું મારા હાથોએ આ બધી વસ્તુઓ બનાવી નથી?” (જુઓ: નામ વિપર્યય
- અભિવ્યક્તિ જેવી કે “સોંપી દેવું” અથવા “ના હાથોમાં સોંપી દેવું,” તે કોઈના નિયંત્રણ અથવા કોઈ બીજાના સત્તા હેઠળ હોવું તેમ દર્શાવે છે.
- “હાથ” ના કેટલાક અન્ય રૂપકાત્મક ઉપયોગોનો સમાવેશ થાય છે:
- (તે)ના પર હાથ નાખવો” નો અર્થ “નુકસાન કરવું” થાય છે.
- “ના હાથોથી બચાવવું” શબ્દનો, અર્થ કે એક વ્યકિતને બીજા કોઈને નુકસાન કરતા અટકાવવું.
- “જમણા હાથ પર” ના સ્થાનમાં હોવું તેનો અર્થ, “જમણી બાજુ ઉપર” અથવા “જમણી બાજુએ” થાય છે
“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.
- મોટેભાગે જયારે કોઈને વ્યક્તિને આશીર્વાદ આપવામાં આવે છે ત્યારે તેના ઉપર હાથ મૂકીને (શબ્દો) બોલવામાં આવે છે.
- “ની ઉપર હાથ મૂકવા” શબ્દ, દેવની સેવા અથવા સાજાપણા માટે પ્રાર્થના કરવા તે વ્યક્તિને સમર્પિત કરવું તે દર્શાવે છે.
- જયારે પાઉલ કહે છે કે “મારા હાથો દ્વારા લખાયેલું,” તેનો અર્થ કે આ પત્ર તેના શારીરિક ભાગ દ્વારા લખાયા છે, એવું નથી કે તેના બોલેલા શબ્દો બીજી વ્યક્તિએ લખ્યા હોય.
ભાષાંતરના સૂચનો
- આ અભિવ્યક્તિઓ અને બીજા શબ્દાલંકારોનું ભાષાંતર, બીજી રૂપકાત્મક અભિવ્યક્તિઓ જેનો સમાન અર્થ થાય છે તેનો ઉપયોગ કરીને (ભાષાંતર) કરી શકાય છે. અથવા અર્થનું ભાષાંતર સીધાજ, શાબ્દિક ભાષાનો ઉપયોગ કરી શકાય છે. (ઉપરના ઉદાહરણો જુઓ).
- “તેને ઓળિયું સોંપવામાં આવ્યું” અભિવ્યક્તિનું ભાષાંતર, “તેને ઓળિયું આપ્યું” અથવા “ઓળિયું તેના હાથમાં મૂકયું” તરીકે પણ કરી શકાય છે.
તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.
- જયારે “હાથ” કોઈ વ્યક્તિને દર્શાવે છે, જેમકે “દેવના હાથોએ આ કર્યું,” તેનું ભાષાંતર, “દેવે આ કર્યું” તરીકે કરી શકાય છે.
- એક અભિવ્યક્તિ જેવી કે “તેઓના શત્રુઓના હાથોમાંથી તેઓને સોંપી દીધા” અથવા “તેમને તેમના શત્રુઓના હાથમાં સોંપી દીધા,” (શબ્દસમૂહ)નું ભાષાંતર, “તેઓના શત્રુઓને તેઓ પર વિજય મેળવવા પરવાનગી આપવી” અથવા “તેઓને તેઓના શત્રુઓ દ્વારા કબજે થવા દેવા” અથવા “તેઓના શત્રુઓને તેઓની પર નિયંત્રણ પ્રાપ્ત કરવા મજબૂત કરવા” એમ કરી શકાય છે.
- “હાથથી મરવું” (શબ્દસમૂહ)નું ભાષાંતર, “દ્વારા હત્યા થઈ હોવી,” એમ કરી શકાય છે.
- “(તે)ના જમણા હાથ પર” અભિવ્યક્તિનું ભાષાંતર, “ની જમણી બાજુ પર હોવું” તરીકે કરી શકાય છે.
- ઈસુના સંદર્ભમાં, “દેવના જમણા હાથે બિરાજમાન છે,” જો આ વાક્ય તે તેને ઊંચા માન અને એક સમાન અધિકારને ન દર્શાવતું હોય તો તે ભાષાના સંચારમાં તેને યોગ્ય બીજી અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકાય.
અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”
(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 7:22-25
- પ્રેરિતો 8:14-17
- પ્રેરિતો 11:19-21
- ઉત્પત્તિ 9:5-7
- ઉત્પત્તિ 14:19-20
- યોહાન 3:34-36
- માર્ક 7:31-32
- માથ્થી 6:3-4
શબ્દ માહિતી:
- Strong's: H405, H2026, H2651, H2947, H2948, H3027, H3028, H3225, H3231, H3233, H3709, H7126, H7138, H8040, H8042, H8168, G710, G1188, G1448, G1451, G1764, G2021, G2092, G2176, G2902, G4084, G4474, G4475, G5495, G5496, G5497
હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી
વ્યાખ્યા:
બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.
- “સોંપવું” નો અર્થ થાય કે કોઈ વ્યક્તિને કાંઇક હાથોમાં સોંપી દેવું.
- મોટેભાગે “હાથ” શબ્દ ઈશ્વરની શકિતને અને કાર્ય દર્શાવવા વાપરવામાં આવ્યો છે, જેવાકે જયારે દેવ કહે છે કે “શું મારા હાથોએ આ બધી વસ્તુઓ બનાવી નથી?” (જુઓ: નામ વિપર્યય
- અભિવ્યક્તિ જેવી કે “સોંપી દેવું” અથવા “ના હાથોમાં સોંપી દેવું,” તે કોઈના નિયંત્રણ અથવા કોઈ બીજાના સત્તા હેઠળ હોવું તેમ દર્શાવે છે.
- “હાથ” ના કેટલાક અન્ય રૂપકાત્મક ઉપયોગોનો સમાવેશ થાય છે:
- (તે)ના પર હાથ નાખવો” નો અર્થ “નુકસાન કરવું” થાય છે.
- “ના હાથોથી બચાવવું” શબ્દનો, અર્થ કે એક વ્યકિતને બીજા કોઈને નુકસાન કરતા અટકાવવું.
- “જમણા હાથ પર” ના સ્થાનમાં હોવું તેનો અર્થ, “જમણી બાજુ ઉપર” અથવા “જમણી બાજુએ” થાય છે
“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.
- મોટેભાગે જયારે કોઈને વ્યક્તિને આશીર્વાદ આપવામાં આવે છે ત્યારે તેના ઉપર હાથ મૂકીને (શબ્દો) બોલવામાં આવે છે.
- “ની ઉપર હાથ મૂકવા” શબ્દ, દેવની સેવા અથવા સાજાપણા માટે પ્રાર્થના કરવા તે વ્યક્તિને સમર્પિત કરવું તે દર્શાવે છે.
- જયારે પાઉલ કહે છે કે “મારા હાથો દ્વારા લખાયેલું,” તેનો અર્થ કે આ પત્ર તેના શારીરિક ભાગ દ્વારા લખાયા છે, એવું નથી કે તેના બોલેલા શબ્દો બીજી વ્યક્તિએ લખ્યા હોય.
ભાષાંતરના સૂચનો
- આ અભિવ્યક્તિઓ અને બીજા શબ્દાલંકારોનું ભાષાંતર, બીજી રૂપકાત્મક અભિવ્યક્તિઓ જેનો સમાન અર્થ થાય છે તેનો ઉપયોગ કરીને (ભાષાંતર) કરી શકાય છે. અથવા અર્થનું ભાષાંતર સીધાજ, શાબ્દિક ભાષાનો ઉપયોગ કરી શકાય છે. (ઉપરના ઉદાહરણો જુઓ).
- “તેને ઓળિયું સોંપવામાં આવ્યું” અભિવ્યક્તિનું ભાષાંતર, “તેને ઓળિયું આપ્યું” અથવા “ઓળિયું તેના હાથમાં મૂકયું” તરીકે પણ કરી શકાય છે.
તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.
- જયારે “હાથ” કોઈ વ્યક્તિને દર્શાવે છે, જેમકે “દેવના હાથોએ આ કર્યું,” તેનું ભાષાંતર, “દેવે આ કર્યું” તરીકે કરી શકાય છે.
- એક અભિવ્યક્તિ જેવી કે “તેઓના શત્રુઓના હાથોમાંથી તેઓને સોંપી દીધા” અથવા “તેમને તેમના શત્રુઓના હાથમાં સોંપી દીધા,” (શબ્દસમૂહ)નું ભાષાંતર, “તેઓના શત્રુઓને તેઓ પર વિજય મેળવવા પરવાનગી આપવી” અથવા “તેઓને તેઓના શત્રુઓ દ્વારા કબજે થવા દેવા” અથવા “તેઓના શત્રુઓને તેઓની પર નિયંત્રણ પ્રાપ્ત કરવા મજબૂત કરવા” એમ કરી શકાય છે.
- “હાથથી મરવું” (શબ્દસમૂહ)નું ભાષાંતર, “દ્વારા હત્યા થઈ હોવી,” એમ કરી શકાય છે.
- “(તે)ના જમણા હાથ પર” અભિવ્યક્તિનું ભાષાંતર, “ની જમણી બાજુ પર હોવું” તરીકે કરી શકાય છે.
- ઈસુના સંદર્ભમાં, “દેવના જમણા હાથે બિરાજમાન છે,” જો આ વાક્ય તે તેને ઊંચા માન અને એક સમાન અધિકારને ન દર્શાવતું હોય તો તે ભાષાના સંચારમાં તેને યોગ્ય બીજી અભિવ્યક્તિનો ઉપયોગ કરી શકાય.
અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”
(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 7:22-25
- પ્રેરિતો 8:14-17
- પ્રેરિતો 11:19-21
- ઉત્પત્તિ 9:5-7
- ઉત્પત્તિ 14:19-20
- યોહાન 3:34-36
- માર્ક 7:31-32
- માથ્થી 6:3-4
શબ્દ માહિતી:
- Strong's: H405, H2026, H2651, H2947, H2948, H3027, H3028, H3225, H3231, H3233, H3709, H7126, H7138, H8040, H8042, H8168, G710, G1188, G1448, G1451, G1764, G2021, G2092, G2176, G2902, G4084, G4474, G4475, G5495, G5496, G5497
હાબેલ
સત્યો:
હાબેલ આદમ અને હવાનો બીજો પુત્ર હતો .
તે કાઈનનો નાનો ભાઈ હતો.
- હાબેલ ઘેટાપાળક હતો.
- હાબેલે તેના થોડા પશુઓ દેવને બલિદાન તરીકે અર્પણ કર્યા.
- દેવ હાબેલ અને તેના અર્પણથી ખુશ હતો.
- હાબેલનું ખૂન આદમ અને હવાના પ્રથમ પુત્ર કાઈને કર્યું.
(ભાષાંતર માટેના સૂચનો: નામોનું ભાષાંતર કેવીરીતે કરવું
(જુઓં: કાઈન, બલિદાન, ઘેટાંપાળક)
બાઈબલની કલમો:
- ઉત્પતિ 4:1-2
- ઉત્પતિ 4:8-9
- હિબ્રૂ 12:22-24
- લૂક 11:49-51
- માત્થી 23:34-36
શબ્દ માહિતી:
હામ
સત્યો:
હામ એ નૂહના ત્રણ દીકરાઓમાંનો બીજો હતો.
- વિશ્વભરમાં પૂર દરમ્યાન કે જેણે સમગ્ર પૃથ્વીને ઢાંકી દીધી હતી, ત્યારે હામ અને તેના ભાઈઓ તેઓની પત્નીઓ સહિત નૂહની સાથે વહાણમાં હતાં.
- પૂર પછી, ત્યાં એક પ્રસંગ હતો, જ્યાં હામે તેના પિતા નૂહનું ખૂબ અપમાન કર્યું.
પરિણામે, નૂહે હામના દીકરા કનાન અને તેના બધા વંશજોને શ્રાપ દીધો, કે છેવટે જેઓ કનાનીઓ તરીકે ઓળખાયા.
(આ પણ જુઓ: વહાણ, કનાન, અપમાન, નૂહ)
બાઈબલની કલમો:
- ઉત્પત્તિ 5:32
- ઉત્પત્તિ 6:9-10
- ઉત્પત્તિ 7:13-14
- ઉત્પત્તિ 10:1
- ઉત્પત્તિ 10:19-20
શબ્દ માહિતી:
હારુન
સત્યો:
હારુન મુસાનો મોટો ભાઈ હતો.
ઈશ્વરે હારુનને પસંદ કર્યો કે જેથી તે ઈઝરાએલના લોકોનો પ્રથમ યાજક બની શકે.
- હારુનને મુસાને મદદ કરી જેથી તે ફારુન રાજા સાથે વાત કરે અને તેના લોકોને જવા દે.
- અરણ્યમાંથી જ્યારે ઈઝરાએલીઓ પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે હારુને લોકોને સારું ભજવા મૂર્તિ બનાવીને પાપ કર્યું.
- ઈઝરાએલના લોકો માટે દેવે હારુન અને તેના વંશજોને યાજક યાજકો તરીકે પણ નિયુક્ત કર્યા.
(તે પણ જુઓં: યાજક, મૂસા, ઈઝરાએલ)
બાઈબલ ની કલમો:
- 1કાળવૃતાંત 23:12-14
- પ્રેરિતોના કૃત્યો 7:38-40
- નિર્ગમન 28:1-3
- લૂક 1:5-7
- ગણના 16:44-46
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 9.15 દેવે મૂસા અને હારુન ને ચેતવણી આપી કે ફારુન હઠીલો બનશે.
- 10:5 ફારુને મૂસા અને હારુન ને બોલાવીને તેઓને કહ્યું કે જો તેઓ મરકી બંધ કરશે તો, ઈઝરાએલીઓને મિસરમાંથી છોડી શકશે.
- 13:9 યાજકો થવા માટે દેવે મૂસાના ભાઈ હારુન અને હારુનના વંશજોને પસંદ કર્યા.
- 13:11 જેથી તેઓએ (ઈઝરાએલીઓં) હારુનની પાસે સોનુ લાવ્યા અને તેને કહ્યું કે તેમાંથી તેમના માટે મૂર્તિ બનાવે!
- 14:7 તેઓ (ઈઝરાએલીઓ) મૂસા અને હારુનની સાથે ગુસ્સે થયા અને કહેવા લાગ્યા, “અરે, તમે અમને આવી ભયંકર જગ્યામાં કેમ લાવ્યા?
શબ્દ માહિતી:
હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું
સત્યો:
“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.
- “હિંમતવાન” શબ્દ એવી વ્યક્તિને દર્શાવે છે કે જે ભય લાગતો હોય અથવા છોડી દેવાનું દબાણ હોવા છતાં હિંમત બતાવી સાચી વસ્તુ કરે છે.
- વ્યક્તિ જયારે ભાવનાત્મક અથવા શારીરિક દુઃખનો સામનો કરે છે ત્યારે તાકાત અને દ્રઢતા સાથે હિંમત દેખાડે છે.
- “હિંમત રાખો” અભિવ્યક્તિનો અર્થ, “ભયભીત થશો નહીં” અથવા “ખાતરી રાખો કે બધુજ સારું થશે,” એમ થાય છે.”
- જયારે યહોશુઆ કનાનની ખતરનાક ભૂમિમાં જવા તૈયારી કરી રહ્યો હતો ત્યારે મુસાએ તેને ઉત્સાહ આપ્યો કે “બળવાન તથા હિંમતવાન થા.”
- “હિંમતવાન” શબ્દનું ભાષાંતર, “નીડર” અથવા “ભયભીત ન થાય તેવું” અથવા “સાહસિક” તરીકે પણ કરી શકાય છે.
- સંદર્ભ પર આધાર રાખીને, “હિંમત હોવી” શબ્દનું ભાષાંતર, “ભાવનાત્મક રીતે બળવાન રહો” અથવા “આત્મવિશ્વાસુ રહો” અથવા “દૃઢ ઉભા રહો,” એમ કરી શકાય છે.
- “હિંમત સાથે બોલવું” તેનું ભાષાંતર, “હિંમતભેર બોલો” અથવા “ડર રાખ્યા વગર બોલવું” અથવા “આત્મવિશ્વાસથી બોલવું,” તરીકે કરી શકાય છે.
“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.
- તેના જેવો સમાન શબ્દ, “ઉત્તેજન” છે, જેનો અર્થ જે પ્રવૃત્તિ ખોટી છે તેને નકારવી અને તેને બદલે વસ્તુઓ કે જે સારી અને સાચી છે તે કરવા કોઈને અરજ કરવી.
- પાઉલ પ્રેરિત અને નવાકરારના અન્ય લેખકોએ ખ્રિસ્તીઓને એકબીજાને પ્રેમ કરવા માટે પ્રોત્સાહિત અને બીજાઓની સેવા કરવા માટે શીખવ્યું છે.
“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.
ભાષાંતરના સૂચનો
- સંદર્ભ પર આધાર રાખીને, “પ્રોત્સહિત” શબ્દના ભાષાંતરમાં, “અરજ” અથવા “દિલાસો” અથવા “માયાળુ વસ્તુઓ કહેવી” અથવા “મદદ અને સમર્થન” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
- “પ્રોત્સાહનના શબ્દો કહેવા” શબ્દ સમૂહનો અર્થ, “એવી બાબતો કહેવી કે જેથી બીજા લોકોને પ્રેમ, સ્વીકૃતી, અને સશક્તિકરણનો અનુભવ થાય.
(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, બોધ, ડર, બળ)
બાઈબલની કલમો:
- પુનર્નીયમ 1:37-38
- 2 રાજા 18:19-21
- 1 કાળવૃતાંત 17:25-27
- માથ્થી 9:20-22
- 1 કરિંથી 14:1-4
- 2 કરિંથી 7:13-14
- પ્રેરિતો 5:12-13
- પ્રેરિતો 16:40
- હિબ્રૂ 3:12-13
- હિબ્રૂ 13:5-6
શબ્દ માહિતી:
- Strong's: H533, H553, H1368, H2388, H2388, H2428, H3820, H3824, H7307, G2114, G2115, G2174, G2292, G2293, G2294, G3870, G3874, G3954, G4389, G4837, G5111
હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું
સત્યો:
“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.
- “હિંમતવાન” શબ્દ એવી વ્યક્તિને દર્શાવે છે કે જે ભય લાગતો હોય અથવા છોડી દેવાનું દબાણ હોવા છતાં હિંમત બતાવી સાચી વસ્તુ કરે છે.
- વ્યક્તિ જયારે ભાવનાત્મક અથવા શારીરિક દુઃખનો સામનો કરે છે ત્યારે તાકાત અને દ્રઢતા સાથે હિંમત દેખાડે છે.
- “હિંમત રાખો” અભિવ્યક્તિનો અર્થ, “ભયભીત થશો નહીં” અથવા “ખાતરી રાખો કે બધુજ સારું થશે,” એમ થાય છે.”
- જયારે યહોશુઆ કનાનની ખતરનાક ભૂમિમાં જવા તૈયારી કરી રહ્યો હતો ત્યારે મુસાએ તેને ઉત્સાહ આપ્યો કે “બળવાન તથા હિંમતવાન થા.”
- “હિંમતવાન” શબ્દનું ભાષાંતર, “નીડર” અથવા “ભયભીત ન થાય તેવું” અથવા “સાહસિક” તરીકે પણ કરી શકાય છે.
- સંદર્ભ પર આધાર રાખીને, “હિંમત હોવી” શબ્દનું ભાષાંતર, “ભાવનાત્મક રીતે બળવાન રહો” અથવા “આત્મવિશ્વાસુ રહો” અથવા “દૃઢ ઉભા રહો,” એમ કરી શકાય છે.
- “હિંમત સાથે બોલવું” તેનું ભાષાંતર, “હિંમતભેર બોલો” અથવા “ડર રાખ્યા વગર બોલવું” અથવા “આત્મવિશ્વાસથી બોલવું,” તરીકે કરી શકાય છે.
“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.
- તેના જેવો સમાન શબ્દ, “ઉત્તેજન” છે, જેનો અર્થ જે પ્રવૃત્તિ ખોટી છે તેને નકારવી અને તેને બદલે વસ્તુઓ કે જે સારી અને સાચી છે તે કરવા કોઈને અરજ કરવી.
- પાઉલ પ્રેરિત અને નવાકરારના અન્ય લેખકોએ ખ્રિસ્તીઓને એકબીજાને પ્રેમ કરવા માટે પ્રોત્સાહિત અને બીજાઓની સેવા કરવા માટે શીખવ્યું છે.
“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.
ભાષાંતરના સૂચનો
- સંદર્ભ પર આધાર રાખીને, “પ્રોત્સહિત” શબ્દના ભાષાંતરમાં, “અરજ” અથવા “દિલાસો” અથવા “માયાળુ વસ્તુઓ કહેવી” અથવા “મદદ અને સમર્થન” જેવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
- “પ્રોત્સાહનના શબ્દો કહેવા” શબ્દ સમૂહનો અર્થ, “એવી બાબતો કહેવી કે જેથી બીજા લોકોને પ્રેમ, સ્વીકૃતી, અને સશક્તિકરણનો અનુભવ થાય.
(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, બોધ, ડર, બળ)
બાઈબલની કલમો:
- પુનર્નીયમ 1:37-38
- 2 રાજા 18:19-21
- 1 કાળવૃતાંત 17:25-27
- માથ્થી 9:20-22
- 1 કરિંથી 14:1-4
- 2 કરિંથી 7:13-14
- પ્રેરિતો 5:12-13
- પ્રેરિતો 16:40
- હિબ્રૂ 3:12-13
- હિબ્રૂ 13:5-6
શબ્દ માહિતી:
- Strong's: H533, H553, H1368, H2388, H2388, H2428, H3820, H3824, H7307, G2114, G2115, G2174, G2292, G2293, G2294, G3870, G3874, G3954, G4389, G4837, G5111
હિત્તી, હિત્તીઓ
વ્યાખ્યા:
હિત્તીઓ હામના તેના પુત્ર કનાનથી થયેલા વંશજો હતા.
તેઓ એક મોટું સામ્રાજ્ય બન્યું, જે હાલના સમયનું તુર્કસ્તાન અને ઉત્તર પેલેસ્ટાઈનમાં આવેલું છે.
- ઈબ્રાહિમે એફ્રોન હિત્તી પાસેથી મિલકતનો ભાગ ખરીદ્યો, જેથી તે તેની મરેલી પત્ની સારા ને ત્યાંની ગુફામાં દાટે.
છેવટે ઈબ્રાહિમ અને તેના અન્ય વંશજોને પણ તે ગુફામાં દફનાવવામાં આવ્યા હતા.
- જયારે એસાવ હિત્તી સ્ત્રીને પરણ્યો ત્યારે તેના માતા પિતા ઉદાસ થયા હતા.
- દાઉદના શક્તિશાળી માણસોમાંના એકનું નામ ઊરિયા હિત્તી હતું.
- કેટલીક પરદેશી સ્ત્રીઓ કે જેની સાથે સુલેમાને લગ્ન કર્યા તેઓ હિત્તીઓ હતી.
આ પરદેશી સ્ત્રીઓએ સુલેમાંનના હ્રદયને દેવથી દૂર ફેરવી નાખ્યું, કારણકે તેઓ જૂઠા દેવોની પૂજા કરતી હતી.
- ઘણીવાર હિત્તીઓ ઈઝરાએલીઓને માટે શારીરિક અને આત્મિક બંને રીતે અનિષ્ટ (ધમકી આપનારા) બન્યા હતા.
(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, એસાવ, પરદેશી, હામ, બળ, સુલેમાન, ઉરિયા)
બાઈબલની કલમો:
- 1 રાજા 9:20-21
- નિર્ગમન 3:7-8
- ઉત્પત્તિ 23:10-11
- ઉત્પત્તિ 25:9-11
- યહોશુઆ 1:4-5
- નહેમ્યા 9:7-8
- ગણના 13:27-29
શબ્દ માહિતી:
હિબ્રૂ, હિબ્રુઓ
સત્યો:
“હિબ્રુઓ એ લોકો હતા કે જેઓ ઈબ્રાહિમથી ઈસહાક અને યાકૂબના કુળ દ્વારા ઉતરી આવેલા હતા.
ઈબ્રાહિમ પ્રથમ વ્યક્તિ છે કે જે બાઈબલમાં “હિબ્રૂ” કહેવાય છે.
- “હિબ્રૂ” શબ્દ હિબ્રૂ ભાષાને પણ દર્શાવે છે કે જે હિબ્રૂ લોકો બોલે છે.
મોટાભાગનો જૂનો કરાર હિબ્રૂ ભાષામાં લખવામાં આવ્યો હતો.
- બાઈબલમાં જુદી જુદી જગ્યાઓમાં, હિબ્રૂઓને “યહૂદી લોકો” અથવા “ઈઝરાએલીઓ” પણ કહેવામાં આવ્યા છે.
જ્યાં સુધી એ સ્પષ્ટ થાય છે કે આ ત્રણેય શબ્દોના એક લોકોના જૂથને દર્શાવે છે, ત્યાં સુધી આ ત્રણેય શબ્દો અલગ રાખવા ઉત્તમ છે.
(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહૂદી અધિકારીઓ)
બાઈબલની કલમો:
- પ્રેરિતો 26:12-14
- ઉત્પત્તિ 39:13-15
- ઉત્પત્તિ 40:14-15
- ઉત્પત્તિ 41:12-13
- યોહાન 5:1-4
- યોહાન 19:12-13
- યૂના 1:8-10
- ફિલિપ્પી 3:4-5
શબ્દ માહિતી:
- Strong's: H5680, G1444, G1445, G1446, G1447
હિવ્વી, હિવ્વીઓ
સત્યો:
હિવ્વીઓ કનાનની ભૂમિમાં રહેતા સાત મુખ્ય લોકોના જૂથોમાંનું એક હતું.
- આ બધા જૂથો, હિવ્વીઓ સહિત, કનાનના વંશજો હતા, કે જે નૂહનો પૌત્ર હતો.
- શેખેમ હિવ્વીએ યાકૂબની દીકરી દીનાહનો બળાત્કાર કર્યો, અને બદલામાં તેણીના ભાઈઓએ ઘણા હિવ્વીઓને મારી નાખ્યા.
- જયારે યહોશુઆ ઈઝરાએલીઓને કનાનની ભૂમિમાં લઈ જઈ રહ્યો હતો, ત્યારે ઈઝરાએલીઓએ તેઓને વિજય મેળવવાને બદલે બનાવટ કરીને તેઓ સાથે કરાર કર્યો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: કનાન, હમોર, નૂહ, શખેમ)
બાઈબલની કલમો:
- 2 કાળવૃતાંત 8:7-8
- નિર્ગમન 3:7-8
- ઉત્પત્તિ 34:1-3
- યહોશુઆ 9:1-2
- ન્યાયાધીશો 3:1-3
શબ્દ માહિતી:
હેરોદ, હેરોદ એન્તીપાસ
સત્યો:
ઈસુના મોટાભાગના જીવનકાળ દરમ્યાન, હેરોદ એન્તીપાસ રોમન સામ્રાજ્યના ભાગનો શાસક હતો કે જેમાં ગાલીલ પ્રાંતનો સમાવેશ થાય છે.
- તેના પિતા મહાન હેરોદની જેમ અમુક સમયે એન્તીપાસ રાજા ન હતો છતાં પણ તેને રાજા તરીકે દર્શાવવામાં આવ્યો છે.
હેરોદ એન્તીપાસ રોમન સામ્રાજ્યના ચોથા ભાગમાં રાજ્ય કરતો હતો, જેથી તેને “હેરોદ તેત્રાચ” પણ કહેવામાં આવતો હતો.
- “હેરોદ” એન્તીપાસ છે કે જેણે યોહાન બાપ્તિસ્તનું માથું કાપીને તેને મારી નાખવાનો આદેશ આપ્યો.
- તે પણ હેરોદ એન્તીપાસ હતો કે જેણે ઈસુને વધસ્તંભે જડ્યા પહેલા પ્રશ્ન કર્યા હતા.
- નવા કરારમાં બીજા હેરોદ તે એન્તીપાસનો દીકરો (એગ્રીપા) અને તેનો પૌત્ર (એગ્રીપા-2), જેઓએ પ્રેરિતોના સમય દરમ્યાન રાજ્ય કર્યું
(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, મહાન હેરોદ, યોહાન (બાપ્તિસ્ત), રાજા, રોમ)
બાઈબલની કલમો:
- લૂક 3:1-2
- લૂક 3:18-20
- લૂક 9:7-9
- લૂક 13:31-33
- લૂક 23:8-10
- માર્ક 6:18-20
- માથ્થી 14:1-2
શબ્દ માહિતી:
- Strong's: G2264, G2265, G2267
હેરોદિયા
સત્યો:
હેરોદિયા એ યહૂદિયામાં યોહાન બાપ્તિસ્તના સમય દરમ્યાન હેરોદ એત્નીપાસની પત્ની હતી.
- હેરોદિયા મૂળ હેરોદ એન્તીપાસના ભાઈ ફિલિપની પત્ની હતી, પણ પાછળથી તેણીએ ગેરકાયદેસર રીતે હેરોદ એન્તીપાસ સાથે લગ્ન કર્યા.
- યોહાન બાપ્તિસ્તએ હેરોદ અને હેરોદિયાને તેઓના ગેરકાયદેસર લગ્ન માટે ઠપકો આપ્યો.
તેને કારણે, હેરોદે યોહાનને કેદખાનામાં નાંખ્યો અને હેરોદિયાના કારણે શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.
(આ પણ જુઓ: હેરોદ, યોહાન(બાપ્તિસ્ત)
બાઈબલની કલમો:
- લૂક 3:18-20
- માર્ક 6:-17
- માર્ક 6:21-22
- માથ્થી 14:3-5
શબ્દ માહિતી:
હેર્મોન પર્વત
તથ્યો:
હેર્મોન પર્વત ઇઝરાયલના સૌથી ઊંચા પર્વતનું નામ છે કે જે લબાનોન પર્વતમાળાની દક્ષિણના છેડે આવેલો છે.
- તે ઇઝરાયલ અને સિરિયા વચ્ચેની ઉત્તર દિશાની સરહદ પર ગાલીલ સમુદ્રની ઉત્તરે આવેલો છે.
- બીજી લોકજાતિઓ દ્વારા હેર્મોન પર્વતને આપાયેલા બીજા નામો “સીરીઓન પર્વત” અને “સનીર પર્વત” હતા.
- હેર્મોન પર્વતના ત્રણ મુખ્ય શિખરો છે.
સૌથી ઊંચું શિખર 2800 મીટર ઊંચું છે.
(આ પણ જૂઓ: ઈઝરાએલ, ગાલીલનો સમુદ્ર, સીરિયા)
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 5:23-24
- હઝકિયેલ 27:4-5
- યહોશુઆ 11:16-17
- ગીતશાસ્ત્ર 42:5-6
- ગીતોનું ગીત 4:8
શબ્દ માહિતી:
- Strong's: H2022, H2768, H2769, H8149
હોરેબ
વ્યાખ્યા:
હોરેબ પર્વત એ સિનાઈ પર્વત માટેનું બીજું નામ છે, જ્યાં દેવે મૂસાને દસ આજ્ઞાઓ સાથે શિલાપાટીઓ આપી.
- હોરેબ પર્વતને “દેવનો પર્વત” કહેવામાં આવે છે.
- હોરેબ એ સ્થળ હતું કે, જ્યાં મૂસા જયારે ઘેટાં ચરાવતો હતો ત્યારે તેણે બળતું ઝાડવું જોયું.
- હોરેબ પર્વત એ સ્થળ હતું કે જ્યાં દેવે શિલાપાટીઓ પર તેની દસ આજ્ઞાઓ લખીને આપી, અને ઈઝરાએલીઓ સાથે તેનો કરાર પ્રગટ કર્યો.
- તે એ પણ સ્થળ હતું કે જ્યાં દેવે જયારે તેઓ અરણ્યમાં ભટકતા હતા ત્યારે ઈઝરાએલીઓ માટે પાણી પૂરું પાળવા માટે મૂસાને ખડક પર મારવા કહ્યું.
- આ પર્વતનું ચોક્કસ સ્થાન ખબર નથી, પણ તે કદાચ દક્ષિણ ભાગમાં કે જ્યાં હાલમાં સિનાઈ દ્વીપકલ્પ છે.
- તે શક્ય છે કે પર્વતનું વાસ્તવિક નામ “હોરેબ” હતું, અને કે જે “સિનાઈનો ટેકરો” નો સામાન્ય અર્થ “સિનાઈનો પર્વત,” એ સત્યને દર્શાવવા માટે કે હોરેબ પર્વત સિનાઈના રણમાં આવેલો હતો.
(આ પણ જુઓ: કરાર, ઈઝરાએલ, મૂસા, સિનાઈ, દસ આજ્ઞાઓ)
બાઈબલની કલમો:
- 1 રાજા 8:9-11
- 2 કાળવૃતાંત 5:9-10
- પુનર્નિયમ 1:1-2
- નિર્ગમન 3:1-3
- ગીતશાસ્ત્ર 106:19-21
શબ્દ માહિતી:
હોશિયા
સત્યો:
હોશિયા ઈઝરાએલનો એક પ્રબોધક હતો, કે જેણે લગભગ ખ્રિસ્તના 750 વર્ષો સમય પહેલા જીવ્યો હતો અને તેણે ભવિષ્યવાણી કરી.
- તેની સેવા કેટલાક રાજાઓના શાસન દ્વારા ઘણા વર્ષો માટે ચાલી હતી, જેવા કે યરોબઆમ, ઝખાર્યા, યોથામ, આહાઝ, હોશિયા, ઉઝિઝયા, અને હિઝિક્યા.
- હોશિયાને દેવ દ્વારા કહેવામાં આવ્યું, કે તે ગોમેર નામની વેશ્યા સાથે લગ્ન કરે અને તે તેને અવિશ્વાસુ (રહી) હોવા છતાં તેને પ્રેમ કરવાનું ચાલુ રાખે.
- આ દેવના તેના અવિશ્વાસુ ઈઝરાએલ લોકો પરના પ્રેમનું માટેનું ચિત્ર છે.
- હોશિયાએ ઈઝરાએલના લોકો વિરુદ્ધ તેઓના પાપને કારણે ભવિષ્ય ભાખ્યું, તેઓને મૂર્તિઓની પૂજા કરવાથી દૂર રહેવા ચેતવણી આપી.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: આહાઝ, હિઝિક્યા, હોશિયા, યરોબઆમ, યોથામ, ઉઝિઝયા, [ઝખાર્યા )
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
હોશિયા
સત્યો:
જૂના કરારમાં હોશિયા તે ઈઝરાએલના રાજા અને અન્ય માણસોના નામ (પણ) હતા.
- યહૂદાના રાજાઓ આહાઝ અને હિઝિક્યાના શાસનના ભાગ દરમ્યાન, એલાહનો દીકરો હોશિયા નવ વરસ માટે ઈઝરાએલનો રાજા હતો.
- એક સમયે નૂનના પુત્ર યહોશુઆનું નામ હોશિયા હતું.
મૂસાએ કનાનીઓની ભૂમિમાં અગિયાર માણસો જાસૂસ કરવા સાથે મોકલ્યા, તે પહેલા હોશિયાનું નામ બદલીને યહોશુઆ આપ્યું હતું.
- મૂસાના મરણ બાદ, યહોશુઆએ કનાનની ભૂમિની સંપત્તિ લેવા ઈઝરાએલના લોકોને આગેવાની આપી.
- બીજો એક હોશિયા નામનો માણસ અઝાઝ્યાનો પુત્ર હતો, અને તે એફ્રાએમીઓના આગેવાનોમાંનો એક હતો.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર
(આ પણ જુઓ: આહાઝ, કનાન, એફ્રાઈમ, હિઝિક્યા, યહોશુઆ, મૂસા)
બાઈબલની કલમો:
- 1 કાળવૃતાંત 27:19-22
- 2 રાજા 15:29-31
- 2 રાજા 17:1-3
- 2 રાજા 18:1-3
- 2 રાજા 18:9-10
શબ્દ માહિતી: